મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે !
ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે !
ઉમાશંકર જોશી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for February, 2007

થયો છું – અજય પુરોહિત

અક્ષાંશે નિનાદિત રૂપાંતર થયો છું;
તરત કોઇમાં હું સ્થળાંતર થયો છું.

હિરોશીમા, લોથલ, હડપ્પા થજે તું-
મુલાકાત નામે અવાંતર થયો છું.

નિરુત્તર હતી આ વ્યથાઓ ય નિર્લજ્જ-
ઉદાસી અલગ છે મતાંતર થયો છું.

નિરાદર સમયની હતી ચાલ કેવી?
સવિસ્તર કથામાં સમાંતર થયો છું.

અનાગત અજાણ્યા મળે શબ્દ સામા-
મુસાફર ગઝલનો નિતાંતર થયો છું.

અજય પુરોહિત

Comments (2)

આપણો ઘડીક સંગ – નિરંજન ભગત

કાળની કેડીએ ઘડીક સંગ
રે ભાઈ, આપણો ઘડીક સંગ;
આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ !

ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનવેળા,
વાટમાં વચ્ચે એક દી નકી આવશે વિદાયવેળા!
તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા !
હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ !

પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી,
કંટકપથે સ્મિતવેરીને મ્હોરશું ફૂલની ક્યારી;
એકબીજાને જીતશું, રે ભાઈ,જાતને જાશું હારી !
ક્યાંય ના માય રે આટલો આજ તો ઉરને થાય ઉમંગ !

– નિરંજન ભગત

આ ટૂંકા જીવનને પ્રિયજનના સંગમાં માણી લેવાની વાત નિરંજન ભગત બહુ ઉત્તમ રીતે કરે છે. દરેક સંબંધમાં ઉતરાવ ચડાવ તો આવે જ છે. એવા વખતે કવિ કહે છે – હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ ! ને છેલ્લે ગુજરાતી કવિતાની અવિસ્મરણીય પંક્તિઓમાંથી એક આવે છે – એકબીજાને જીતશું, રે ભાઈ,જાતને જાશું હારી ! આ ગીત હંમેશા મનને સંતોષ અને આનંદ આપી જાય છે.

Comments (5)

પ્રશ્નોપનિષદ – ગુણવંત શાહ

લોક પૂછે છે :
આ કવિતા આવે છે ક્યાંથી ?
મને પણ થાય છે કે
આ વાયરો મૂળ ક્યાંનો વતની ?
મહાસાગરની રાષ્ટ્રીયતા કઈ ?
આ મેઘધનુષ ક્યાંથી redirect થઈને આવ્યું ?
ઝાકળના ગામનો પિનકોડ નંબર શો ?
ઊર્ધ્વમૂલ વૃક્ષ કઈ વાડીમાં ઊભું છે ?

અનંતના વહેણમાં અતીતનો ઓવારો ક્યાં આવ્યો ?
વૃક્ષને કલરવ ફૂટે એમ
મૌનને ફૂટે છે શબ્દ
ને ત્યારે
કવિ અને ઈશ્વર વચ્ચે
માંડ એક વેંતનું છેટું હોય છે.

– ગુણવંત શાહ

ગુજરાતી ભાષાના અગ્રણી નિબંધકાર ગુણવંત શાહે થોડી કવિતાઓ પણ લખેલી. ‘વિસ્મયનું પરોઢ’ એમનો સંગ્રહ. આ નાની સરખી કવિતામાં એ સર્જનની પ્રક્રિયા પોતાના અંદાજમાં સમજાવે છે.

Comments (5)

ત્સુનામીનું ગીત – રાજીવ ભટ્ટ ‘દક્ષરાજ’

એક કાચબાએ ધોળ્યું છે વખ
એવું કાગળમાં વાદળને લખ !

માછલીએ પાડી’તી ના તોય દરિયાએ
દખ્ખણમાં દાટ કેમ વાળ્યો?
આપણે તો હોય એક મોજાંના વલખાં
ત્યાં મોજાંનો હિમાલય ભાળ્યો !
જોયું ક્યાંય દરિયાનું દઃખ ?
એવું કાગળમાં વાદળને લખ.

સૂરજ તપે તો એને માફી અપાય
પણ ચાંદાને કેમ કરી આપવી ?
દરિયાના લોહિયાળ તાંડવની વાતને
સૃષ્ટિનાં કયે પાને છાપવી ?!
હવે કાંઠાના વધતા’ગ્યા નખ !!
એવું કાગળમાં વાદળને લખ !

તળાજા, ભાવનગરના રાજીવ ભટ્ટની આ કવિતાએ આંખો આગળ સુનામીના કહરને તાજો કરી દીધો. સૂરજનો તો સ્વભાવ છે કે તપે જ અને બાળે જ. એટલે એને તો કદાચ માફી પણ આપી દેવાય પણ ચાંદો બાળે તો? નદીનું રમણે ચડવું તો સૌ જાણે જ છે, પણ દરિયો તો મ્હેરામણો છે. એ તો નદીઓના પાણીથી માંડીને મનુષ્યોના તાપ, બધું જિરવીને પેટમાંના વડવાનલની ય બહાર જાણ થવા દેતો નથી. દરિયા જેવો દરિયો ઊઠીને સંહારે ચડે અને તેય કાંઠા પર, તો માફી કેમ કરી દેવી? આ વાત કોને જઈ કહેવી?

Comments (6)

લયસ્તરો ઈ-મેલ લીસ્ટ

આજથી વાચકો માટે એક નવી સુવિધા ઉમેરીએ છીએ. નીચે ઈ-મેલ લીસ્ટમાં તમારું ઈ-મેલ ઉમેરો અને પછી લયસ્તરો પર જ્યારે પણ નવો પોસ્ટ મૂકાય કે તરત અમે તમને ઈ-મેલથી જાણ કરીશું. ઘણા વાંચકો કહેતા હતા કે લયસ્તરો પર આવીને વારંવાર ‘ચેક’ કરવું પડે છે નવો પોસ્ટ મૂકાયો છે કે નહીં. હવે માત્ર ઈ-મેલ લીસ્ટમાં જોડાવ ને પછી નવો પોસ્ટ લયસ્તરો પર મૂકાયો નથી કે તમને ઈ-મેલ પહોંચ્યો નથી !

લયસ્તરો ઈ-મેલ લીસ્ટ માં જોડાવામાં કોઈ તકલીફ થાય તો મને ઈ-મેલ કરો : mgalib@hotmail.com

Comments (2)

ટહુકાનાં વન – ઉર્વીશ વસાવડા

નરસિંહ મહેતાની ભૂમિમાં જન્મેલા તબીબ કવિ ઉર્વીશ વસાવડા ઊર્મિઓના કવિ છે. વ્યવસાયે રેડિયોજિસ્ટ છે પણ કવિતા વાંચો તો એમ લાગે કે આ માણસ શબ્દોની સોનોગ્રાફી વધુ સારી રીતે કરી જાણે છે અને અર્થના સોંસરવા એક્ષ-રે પાડવામાં તો ખાસ પાવરધો  છે. રણ-ઝાકળ-અરીસો-દરિયો-પીડા જેવા ગઝલના ચવાઈ ગયેલા સિક્કાઓને પણ એ કૈંક નવી જ અને એવી તાજગી સાથે પેશ કરી શકે છે કે એનો ચળકાટ દિલની આંખોને આંજી દે છે. સરળ વાક્યરચના અને વાતચીતમાં વપરાતા રદીફો લઈને આવતી એમની ગઝલો આમ-આદમી સાથે ક્ષણાર્ધમાં તાદાત્મ્ય સાધી લે છે. એમના બીજા ગઝલસંગ્રહ ‘ટહુકાનાં વન’માં ફરતા-ફરતા ગમી ગયેલા થોડા ટહુકાઓ સાંભળીએ:

મને ગમતી પ્રત્યેક ક્ષણ ગઝલમાં લઈને આવ્યો છું,
ઘણી વાતો તમારી પણ ગઝલમાં લઈને આવ્યો છું.
નથી મારી ખૂબી એમાં, લખાવે છે કૃપા એની,
સતત એ વાતની સમજણ ગઝલમાં લઈને આવ્યો છું.

ક્ષણોમાં જીવવાનો રંજ ના રહેશે કદી મનમાં
ક્ષણો શાશ્વત બને એવો કસબ મળશે ગઝલ પાસે.

ઘાવ કોના ? પૂછ ના
પૂછ કોનો છે મલમ

જો સ્વીકારી ના શકે તું સત્યને
તો જરૂરી છે કે તું ઈન્કાર કર

લે કલમ, ને લખ ગઝલ કોઈ નવી
એમ તારી ચેતના વિસ્તાર કર !

રાખજો અકબંધ નાતો ડાળ સાથે ને છતાં
વૃક્ષના મૂળમાં જઈને કેન્દ્રબિંદુ શોધજો.

શ્વાસની સાથે વણાઈ છે જીવનની હર પીડા,
શ્વાસની સાથે જ જીવતરની કથા પૂરી થઈ.

યુગ યુગાંતરથી ઊભો છું એમના દ્વારે છતાં
એમને મળવાનું કારણ શોધવા મથતો રહ્યો.

તું ભલે ઉલ્લેખ ટાળે, નામ તો મારું જ છે
તુજ કથાના હર મથાળે નામ તો મારું જ છે.

કાલ આંખોમાં એ ધસમસ પૂર માફક આવશે
આજ સંભવ છે તું ખાળે, નામ તો મારું જ છે

તુજ સ્મરણનો મ્હેલ સળગ્યાને વીત્યાં વરસો છતાં
કેમ ઊડે છે હજી આ રાખ, હું ના કહી શક્યો.

જે ડૂબ્યું રંજ એનો કરી અર્થ શું
જે બચ્યું એ બધું તારવાનું હતું

જનમ કે મરણ પર નથી કોઈ કાબૂ
બધાં માણસોને ઉભય છેતરે છે

એ સતત સીંચાય છે આંસુ વડે
વેદનાનાં વન તો વિસ્તરતાં રહે

ખુશીઓ બધી ઈશ્વરે મોકલી છે અને સર્વ વિપદાઓ આપી છે એણે
ખુશી હો કે આફત, છે એના દીધેલાં પછી શું જરૂરી દિલાસો અમારે

એક વર્તુળના પ્રવાસી આપણે
આજ છે આરંભ ને આ અંત છે

ધર્મ જુદા એટલા ઈશ્વર જુદા
એમ જે સમજે નહીં એ સંત છે

વેદના એ કાંકરીની કેટલી ઊંડી હશે
કોઈ પનિહારી વગરના જ્યાં સૂના પનઘટ હતા

અમારી જિંદગીમાં શબ્દનો છે માત્ર ફાળો એ
સતત એણે કર્યું છે કામ પીડાઓ સરજવાનું

તને હું મોકલું તો મોકલું સંદેશ શી રીતે
નથી કાગળ, નથી વાદળ, ન જાણું હું, શું લખવાનું

ઊગી આવ્યું તરત મનમાં નિહાળી તાજનાં ચિત્રો
જીવન થોડા વરસ માટે, કબર વરસો સુધી રહેશે.

ગઝલ મારી સુણી તું દાદ આપે, પણ હકીકતમાં
બધાં ભીતરના દર્દો છે તને એ કોણ સમજાવે?

લુપ્ત થયો છું ગૌરવ સાથે
બુંદ હતો ને થયો સમંદર

કોરી પાટી જેવી ધરતી નીરખો તો સમજાશે
ભૂંસાતા ઈશ્વરના અક્ષર, વૃક્ષ પડે છે ત્યારે

એ બધા ટોળાનાં માણસ, આપણે એકાંતનાં
એટલે હો હર જગાએ આપણો ખૂણો અલગ

ગઝલના આ નગરમાં કઈ રીતે આવી ગયો, કહી દઉં
કદી જાણે અજાણે આંગળી પકડી લીધી એની

ખબર ન્હોતી, નીકળશે બાદમાં જન્મોજનમની એ
અમે જે ઓળખાણે, આંગળી પકડી લીધી એની
વધુ આગળ વાંચો…

Comments (6)

દીકરી – ઉદયન ઠક્કર

દીકરીએ  પ્હેરતાં  પ્હેરી  લીધાં
મારાં ચંપલ, માપ ખોટું નીકળ્યું
એનું પગલું, સ્હેજ મોટું નીકળ્યું

નાનીમાંથી મોટી સંખ્યા બાદ કર
જા, થઈ જા એની ઉંમરનો ફરી
જાદુમંતર જાત પર એકાદ, કર

નાની સરખી યુક્તિ અજમાવી લીધી
આ  જુઓને,  એણે  શીર્ષાસન  કર્યું
રમતાં રમતાં સૃષ્ટિ સુલટાવી લીધી

‘લાવો, ઓળી આપું?’ કહીને દીકરી
કોરા કેશે કાંસકીને ફેરવે
ગૂંચ ઉકેલે, ટચૂકડે ટેરવે

– ઉદયન ઠક્કર

થોડા વખત પર ત્રિપદીનો પ્રકાર મૂકેશ જોષીની કલમે માણ્યો હતો. એ જ પ્રકાર આજે ઉદયન ઠક્કરની કલમે માણો. ફરક એટલો કે આ ત્રિપદી-ગુચ્છ એક જ વિષય પર છે. વિષય પણ સરસ છે અને કલ્પનોની તાજગી અને કુમાશ તો ઊડીને આંખે વળગે છે. દીકરી વાળ ઓળવાની કોશિષ કરતા કરતા તમારા માથામાં એની નાનકડી આંગળીઓ પ્રેમથી ફેરવે એ તદ્દન નાજુક ક્ષણને કવિએ અહીં આબાદ પકડી પાડી છે ! 

Comments (3)

છે ઘણા એવા – સૈફ પાલનપુરી

છે ઘણા એવા કે, જેઓ યુગને પલટાવી ગયા,
પણ બહુ ઓછા છે, જેઓ પ્રેમમાં ફાવી ગયા.

દુર્દશા જેવું હતું, કિંતુ સમજ નો’તી મને,
દોસ્તો આવ્યા અને આવીને સમજાવી ગયા.

હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો,
યાદ કંઈ આવ્યું નહીં, પણ આંસુઓ આવી ગયાં.

મેં લખેલો દઈ ગયા; પોતે લખેલો લઈ ગયા,
છે હજી સંબંધ કે, એ પત્ર બદલાવી ગયા.

‘સૈફ’ આ તાજી કબર પર નામ તો મારું જ છે,
પણ ઉતાવળમાં આ લોકો કોને દફનાવી ગયા ?

સૈફ પાલનપુરી

Comments (5)

શ્યામ રંગ સમીપે ન જાવું – દયારામ

શ્યામ રંગ સમીપે ન જાવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું.

જેમાં કાળાશ તે તો સૌ એકસરખું, સર્વમાં કપટ હશે આવું.
કસ્તૂરી કેરી બિંદી તો કરું નહીં, કાજળ ના આંખમાં અંજાવું. મારે….

કોકિલાનો શબ્દ હું સૂણું નહીં કાને, કાગવાણી શકુનમાં ન લાવું.
નીલાંબર કાળી કંચૂકી ન પહેરું, જમનાનાં નીરમાં ન ન્હાવું. મારે….

મરકતમણિ ને મેઘ દ્રષ્ટે ના જોવા, જાંબુ-વંત્યાક ના ખાવું.
’દયા’ના પ્રીતમ સાથે મુખે નીમ લીધો, મન કહે જે ‘પલક ના નિભાવું’. મારે….

દયારામ : કવિ પરિચય

Comments (4)

હજીયે સભર – હરિવલ્લભ ભાયાણી

‘અહીં રહી
અહીં કેલી કરી
અહીં રિસાઈ
અહીં મનાઈ –
સૂનું પડ્યું અવ આ મારું ઘર
તોયે પ્રિયાથી હજીયે સભર.’

– હરિવલ્લભ ભાયાણી
(અનુવાદ, મૂળ પ્રાકૃત સુભાષિત પરથી)

Comments (2)

કોમળ કોમળ… – માધવ રામાનુજ

હળવા તે હાથે ઉપાડજો રે અમે કોમળ કોમળ…
          સાથરે ફૂલડાં ઢાળજો રે અમે કોમળ કોમળ…

આયખાની આ કાંટ્યમાં રે અમે અડવાણે પગ, 
          રૂંવે રૂંવે કાંટા ઊગિયા રે અમને રૂંધ્યા રગેરગ;
ઊનાં તે પાણીડે ઝારજો રે અંગ કોમળ કોમળ, 
          ખેપનો થાક ઉતારજો રે અમે કોમળ કોમળ..

પ્હેર્યાં-ઓઢ્યાંના ઓરતા રે છોગે છેલ ઝુલાબી, 
          આંખમાં રાત્યું આંજતા રે અમે ઘેન ગુલાબી,
કેડિયે કોયલ ગૂંથજો રે અમે કોમળ કોમળ, 
          ફૂમતે મોર ગ્હેકાવજો રે અમે કોમળ કોમળ…

હાથ મૂકી મારે કાળજે રે પછી થોડુંક લળજો: 
          – ભવ ભવ આવાં આકરાં રે અમને જીવતર મળજો ! 
          – ભવ ભવ આવાં આકરાં રે અમને જોબન મળજો !

કેવા જીવ્યાના અભરખા રે હતા કોમળ કોમળ ! 
          ફૂલના પોઢણ સાથરા રે કેવા કોમળ કોમળ !

– માધવ રામાનુજ

આ ગીતમાં નાયિકા અજબ ખૂમારી, ગૌરવ અને નાજૂકાઈથી મરણપથારી પરથી પોતાના વિતેલા જીવનની વાત કરે છે. દુ:ખ અને અડચણથી ભરેલા જીવનના અંતે નાયિકાને રંજ કે અફસોસ નથી, એની વાત તો તદ્દન અલગ છે – એ કહે છે કે હું એટલી કોમળ છું કે મને હળવા હાથે ઉઠાવજો અને મને ફૂલ પર સુવાડજો. આખી જીંદગી કાંટાઓ પર વિતી છે એનો થાક ઊતારવા ઊના પાણીએ નવડાવજો (અહીં શબને નવડાવવાના રીવાજ તરફ ઈશારો છે.) આખરી સફરમાં નવા, ચમકતા વસ્ત્રો પહેરાવજો. પણ આખરે એ સૌથી મોટી વાત કરે છે – એની ઈચ્છા છે કે ભવ ભવ આવું જ જીવન મળે ! જીવન દુ:ખથી ભરપૂર હતું તો ય એને બદલવું નથી, એવા જીવનનો પણ મનને સંતોષ છે.

આખા ગીતમાં, વિતેલા જીવનની સખતાઈઓની સામે ‘કોમળ કોમળ’ પ્રયોગ અદભૂત રીતે વિષમ ભાવ ઊભો કરે છે. આ ગીતની સાથે થોડા દિવસ પર ટહુકા પર મૂકેલું ગીત માંડવાની જૂઈ પણ જોવા જેવું છે.

Comments (5)

ગઝલ – દિલીપ જોશી

ચાહવાની પળ પ્રથમ દિનરાત વિસ્તારી હતી.
આગ જેવી જિંદગી બસ રીતે ઠારી હતી !

કેદખાનામાં ને ઘરમાં ફર્ક છે બસ આટલો,
એક ને બારી નથી ને એકને બારી હતી !

જાતથી અળગા થવાનો મર્મ જ્યારે જાણશે,
તું કહેશે કે ગઝલમાં એક ચિંગારી હતી !

પથ્થરોમાં સ્મિત કરતું શિલ્પ સળવળતું રહે,
દોસ્ત ! કેવી ખૂબ ઊંડે ડૂબકી મારી હતી !

ધારણાઓ માત્ર સુખદુઃખની કથાનું મૂળ છે,
મન પડે ત્યાં મોજ, કોણે વાત સ્વીકારી હતી ?

હો અગર માણસ તો તારે આવવું પડશે અહીં,
લાગણી છોને ભલે તેં ભોંમાં ભંડારી હતી !

દિલીપ જોશી

Comments (7)

સુંદર મોડ – સાહિર લુધિયાનવી (સાછંદ પદ્યાનુવાદ: રઈશ મનીઆર)

चलो इक बार फिर से अजनबी बन जाएं हम दोनों

न मैं तुमसे कोई उम्मीद रखूं दिलनवाज़ी की
न तुम मेरी तरफ़ देखो ग़लत-अंदाज़ नज़रों से
न मेरे दिल की धड़कन लड़खड़ाए मेरी बातों में
न ज़ाहिर हो तुम्हारी कश्मकश का राज़ नज़रों से

तुम्हें भी कोई उलझन रोकती है पेश-क़दमी से
मुझे भी लोग कहते हैं कि ये जलवे पराए हैं
मिरे हमराह भी रुसवाईयां हैं मेरे माज़ी की
तुम्हारे साथ भी गुज़री हुई रातों के साए हैं

तआरुफ़ रोग हो जाए तो उसको भूलना बेहतर
तअल्लुक़ बोझ बन जाए तो उसको तोड़ना अच्छा
वो अफ़साना जिसें अंजाम तक लाना न हो मुमकिन
उसे इक खूबसूरत मोड़ देकर छोड़ना अच्छा

चलो इक बार फिर से अजनबी बन जाएं हम दोनों

ફરી પાછાં અજાણ્યાં આપણે બંને બની જઈએ

અપેક્ષા હું નહીં રાખું હૃદયની સરભરા કેરી
તમે મારી તરફ જોશો નહીં મર્માળુ નજરોથી
હૃદય ધબકાર મારી વાતો દ્વારા વ્યક્ત નહીં થાશે
પ્રગટ થઈ જાય ના તારી દ્વિધાનો ભેદ આંખોથી

તને પણ પહેલ કરતાં મૂંઝવણ કોઈ તો રોકે છે
મને પણ સૌ કહે કે છે પરાઈ રૂપની માયા
વીતેલા કાળના અપમાન સૌ મારા સંગાથી છે
ને તારી સાથ પણ વીતેલી રાતોના છે પડછાયા

પરિચય રોગ થઈ જાયે તો એને ભૂલવો સારો
પ્રીતિનો બોજ જો લાગે તો એને તોડવી સારી
કથા જેને ન પહોંચાડી શકાતી હોય મંઝિલ પર
તો એને એક સુંદર મોડ આપી છોડવી સારી

ફરી પાછાં અજાણ્યાં આપણે બંને બની જઈએ

ઉર્દૂ ગઝલના ચમકતા સિતારા અને હિંદી ચલચિત્રોના પાર્શ્વગાયનના પ્રાણ સમા સાહિર લુધિયાનવીના લબ્ધપ્રતિષ્ઠ સંગ્રહ “आओ कि कोइ ख्वाब बुनें”નો ગુજરાતી તરજૂમો એની શાસ્ત્રીય ઉર્દૂ ભાષાના કારણે આમેય અઘરો છે અને વળી છંદ જાળવી રાખીને પદ્યાનુવાદ કરવો તો વળી ઓર દોહ્યલો ગણાય. પણ છંદોની ગલીઓના ભોમિયા રઈશ મનીઆરને કદાચ આ કળા હસ્તગત છે. કૈફી આઝમી, જાવેદ અખ્તર અને પછી હવે સાહિર લુધિયાનવીના પ્રતિનિધિ કાવ્યસંગ્રહોનો સાછંદ પદ્યાનુવાદ -આવો કે સ્વપ્ન વણીએ કોઈ- આપીને એમણે ગુજરાતી ભાષાને વધુ રળિયાત કરી છે. ગુલઝારના કાવ્યોનો અનુવાદ પણ પાઈપલાઈનમાં જ છે. હિંદી ફિલ્મમાં ખૂબ વિખ્યાત થયેલી સાહિરની એક નજમને અહીં આસ્વાદીએ. (લયસ્તરોને આ પુસ્તક ભેટ આપવા બદલ રઈશ મનીઆરનો આભાર).

Comments (26)

બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી – સુરેશ દલાલ

ડોશી કહે સવાર પડી : ડોસો કહે હાજી.
ડોસો કહે રાત પડી : ડોશી કહે હાજી.
હાજી હાજી હાજી હાજી હાજી હાજી હાજી
બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી.

બન્ને જણા વાતો કરે : કરે હોંશાતોંશી
મનથી રહ્યાં તાજાંમાજાં : શરીરની ખામોશી
ડોસો બ્હારથી થોંથા લાવે : ડોશી લાવે ભાજી.
બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી.

ડોશીના દુ:ખે છે ઘૂંટણ : ડોસો ધીમે ચાલે.
એકમેકનો હાથ પકડી નાટકમાં જઈ મ્હાલે.
સિગારેટના ધુમાડાથી ડોશી જાયે દાઝી.
બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી

બન્નેના રસ્તા જુદા : પણ બન્ને પાછા એક
એકમેક વિના ચાલે નહીં : લખ્યાં વિધિએ લેખ
વરસે તો વરસે એવાં : પણ ક્યારેક રહેતા ગાજી.
બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી.

– સુરેશ દલાલ

સુ.દ.ના આ ડોસા-ડોશી કાવ્યો મને ખૂબ ગમે છે. (એક પહેલા પણ રજૂ કરેલું) આ ગીતમાં કવિ સહજીકતાથી જ પ્રસન્ન વાર્ધક્યનું ચિત્ર દોરી આપે છે. એમાં ક્યારેક રહેતા ગાજી થી માંડીને શરીરની ખામોશી જેવી બધી વાતો પણ આવી જાય છે. ડોશીના ઘૂંટણ દુ:ખે તો ડોસો ધીમે ચાલે એ પણ પ્રેમની જ એક અભિવ્યક્તિ છે ને ! સમય સાથે અભિવ્યક્તિ ભલે બદલાય પણ પ્રેમ તો એજ રહે છે.

Comments (6)

કોણ આવી ગયું? – દિપક ગણાત્રા ‘સાથી’

કોણ મારા શ્વાસમાં આવી ગયું?
જિંદગીને આજ મહેકાવી ગયું.

દિલની આજે ધડકનો અટકી ગઇ,
કોણ દિલના દ્વાર ખખડાવી ગયું?

આજ તરવાની નથી ઇચ્છા હવે,
ડૂબવાના અર્થ સમજાવી ગયું.

પ્યાસ ‘સાથી’ ની વધી જ્યારે સતત,
કોણ આવી જામ છલકાવી ગયું?

દિપક ગણાત્રા ‘સાથી’

શ્રી. મનહર ઉધાસના સૂરીલા કંઠમાં  આ ગઝલ સાંભળવી તે પણ એક લ્હાવો છે.

આલ્બમ- ‘આલાપ’

 

Comments

એક સુસ્ત શરદની રાતે – નિનુ મઝુમદાર

એક સુસ્ત શરદની રાતે
આળસ મરડી રહી’તી ક્ષિતિજો ને વ્યોમ બગાસું ખાતું હતું;
આંખો ચોળી નિદ્રાભારે પાંપણ પલકાવતી તારલીઓ,
ભમતી’તી આછી વાદળીઓ કંઇ ધ્યેય વિના અહીંયાં તહીંયાં;
ચંદાએ દીવો ધીમો કરી મલમલની ચાદર ઓઢી લીધી.

એક સુસ્ત શરદની રાતે
ત્યાં મંદ પવન લ્હેરાયો,
ડાળે પંખી બેચેન થયાં , જરી ઘેનભરી કચકચ કીધી
એક બચ્ચું હરણનું બેઠું થયું, હળવેકથી ડોક ખણી લીધી,
મૃગલીએ પાસું બદલીને નિજ બાળનું શિર સૂંઘી લીધું,
ને ભીરુ સસલું ચમકીને બેચાર કદમ દૂર દોડી ગયું.

એક સુસ્ત શરદની રાતે
જ્યાં મંદ પવન લ્હેરાયો,
ચંપાએ ઝૂકી કાંઇ કહ્યું મધુમાલતીના કાનોમાં;
મધુમાલતી બહુ શરમાઇ ગઇ
અને ઝૂમખે ઝૂમખે લાલ થઇ
ને ચંપો ખડખડ હસી પડ્યો
ભ્રુભંગ કરી રહી વૃક્ષઘટા,
કંઇ ફૂલ બકુલના કૂદી પડ્યાં
મધુવનની ક્યારી ક્યારીએ,
માંડી કૂથલી ઉશ્કેરાઇ ને ચકિત થઇ ગભરુ કળીઓ
ગુલબાસ જૂઇ ગણગણી ઊઠ્યાં,
દર્ભે ડમરાને ગલી કરી,
ને વૃધ્ધ પીપળો ડોકું ધુણાવી
ગયો સમય સંભારી રહ્યો.

એક સુસ્ત શરદની રાતે
જ્યાં મંદ પવન લહરાયો,
કાઢીને અંચલ મેઘ તણો દિગ્વધુઓ અંગો લૂછી રહી,
જોવા શશિરાજ ચઢ્યો ગગને, અણજાણને ઇચ્છા જાગી ગઇ;
ક્યહીંથી અણદીઠો સ્નેહ સર્યો પ્રસ્વેદ ફૂટ્યો પાને પાને,
સૂતેલી ક્લાન્ત પ્રગલ્ભ ધરાને રૂપેરી રોમાંચ થયો,

એક સુસ્ત શરદની રાતે
જ્યાં મંદ પવન લ્હેરાયો.

નિનુ મઝુમદાર

પ્રેમના સામ્રાજ્યનું આ સજીવારોપણથી ભરપૂર વર્ણન, ગુજરાતી કવિતાનું એક અમૂલ્ય ઘરેણું છે. જ્યારે અમદાવાદમાં સાક્ષરો અને સારસ્વતો થી ભરચક અને માત્ર રસીકજનો જ હાજર હોય તેવી સભામાં કવિની પુત્રીએ આ ગીત વાંચી સંભળાવ્યું;  ત્યારે તે ત્રણ વખત વન્સમોર થયું હતું .
કોઇ એક લહેરખી ફરી વળે અને પ્રકૃતિના કણેકણમાં આકસ્મિક જ અનંગ જાગી ઊઠે તેનું આટલું સુંદર અને નજાકત ભર્યું વર્ણન વાંચીએ ત્યારે, પ્રેમ એ કેટલી નાજૂક અનુભૂતિ છે તે થોડું થોડું સમજાય છે.

Comments (6)

ત્રિપદી – મુકેશ જોષી

પ્રેમ કરશો તો તમોને મોક્ષ મળશે
પાટિયાં દુકાન પર ચીતરાયેલાં છે
લાગણી  પણ  અહીં  ઝેરોક્ષ મળશે

જિંદગીનો  અર્થ  એથી તો કશો ના  નીકળે
ઉષ્ણ જળમાંથી બરફ કરવા યુવાની વાપરો
ને,  બરફ  જેવો બુઢાપો ટીપે  ટીપે પીગળે

ઝાડ નામની ઑફીસ ઉપર પવન-કાયદા જોયા છે ?
લીલમ્ -લીલા  કામ કરે પણ અંતે  મળતો  જાકારો
ઘણાં  પાંદડાં  રાજીનામું  લખતાં  લખતાં  રોયાં છે.

સૂઈ જતાં પહેલાં સમયસર ખાઈ લે છે
તૃણ,  ઝાકળનો  સમય પણ સાચવે છે
ઊંઘમાં  ને  ઊંઘમાં  એ નાહી  લે  છે !

જળ ઉપર અક્ષર બતાવે તો ખરો
આગમાં  કે  શ્વાસમાં  એ  હોય પણ
તું  પવનનું  ઘર  બતાવે તો ખરો

– મુકેશ જોષી

ત્રિપદી તદ્દન નવો કાવ્ય પ્રકાર છે. પહેલી અને ત્રીજી પંક્તિમાં કાફિયા-રદીફ મેળવીને ત્રિપદી રચાય છે. આ પહેલા ઉદયન ઠક્કરની ત્રિપદીઓ જોઈ છે. આ નવા કાવ્ય પ્રકારમાં તાજા કલ્પનો અને ચમત્કૃતિ-સભર રચનાઓ જોવા મળે છે. મને તો આ પ્રકાર ખૂબ ગમે છે. હાઈકુ કરતા અહીં વધારે મોકળાશ છે અને ઉપરાંત છંદનું બંધારણ પણ સચવાય છે એટલે કૃતિ વધારે મજાની બને છે.

આવો જ પ્રયોગ ગુલઝારે હિન્દીમાં કર્યો છે – એને એ ત્રિવેણી કહે છે. એમણે તો ત્રિવેણીઓનો આખો સંગ્રહ પ્રગટ કર્યો છે. જોકે ગુલઝારની ત્રિવેણી આ ત્રિપદીથી થોડી અલગ પડે છે. ગુલઝારની ત્રિવેણી શું છે જાણવા અને થોડી ત્રિવેણીઓ માંણવા માટે હિન્દી બ્લોગર ફરસતિયાસાહેબનો આ પોસ્ટ જોશો.

Comments (5)

ખાલી જગા – અમૃત પ્રીતમ (અનુ. – હરીન્દ્ર દવે)

માત્ર બે રજવાડાં હતાં –
એકે મને અને તને પદભ્રષ્ટ કર્યાં હતાં.
અને બીજાનો અમે બંનેએ ત્યાગ કર્યો હતો.

નગ્ન આકાશની નીચે –
હું કેટલીયે વાર –
શરીરના વાદળમાં પલળતી રહી,
એ કેટલીયે વાર
શરીરના વાદળમાં પલળતો રહ્યો.

પછી વર્ષોના મોહ ને-
એક ઝેરની જેમ પીને
એણે કંપતા હાથે મારો હાથ પકડ્યો
ચાલ ! ક્ષણોના માથા પર એક છત બાંધીએ
તે જો !
દૂર  – સામે, ત્યાં
સાચ અને જૂઠની વચ્ચે – કંઈક ખાલી જગ્યા છે…

– અમૃતા પ્રીતમ
(અનુ. – હરીન્દ્ર દવે)

અમૃતા પ્રીતમની કવિતામાં પ્રેમને માટે નવી દુનિયા વસાવવાની વાત વારંવાર આવે છે. અમૃતા પ્રીતમ જેવી વ્યક્તિને પ્રેમ માટે આ દુનિયા નાની પડે એ સ્વાભાવિક જ છે. અહીં એ પ્રેમી સાથે નવું ઘર બાંધવાની વાત પોતાની આગવી છ્ટાથી કરે છે. પ્રેમનું ઘર તો સત્ય-અસત્યથી પર જ હોય. એમાં ખરા-ખોટાની બધી વાત ભૂલી જવાની હોય.

Comments (2)

શહેર અને ગામ – અશોકપુરી ગોસ્વામી

હજીયે ગામ તારા શહેરની અંદર વસે છે જો
અને તેથી જ તારું શહેર લાગે કે હસે છે જો

નથી ઉષ્મા; સહુના થીજતા વર્તનથી લાગે કે ….
હિમાલયની તરફ આ શહેર લાગે કે ખસે છે. જો

હવે અહીં લાગણીનો એકપણ ક્યાં છોડ લીલો છે ?
અહીં તો પૂર માફક ચોતરફથી રણ ધસે છે જો

પ્રતીતિ થઈ કે તારું શહેર લોઢાનું બનેલું છે
અમારા ગામ પારસનો મણિ તેને ઘસે છે જો

ટક્યાં છે શી રીતે આ ગામ ? તેનો ના ખુલાસો કૈં;
નહીંતર ગામને તારું શહેર કાયમ ડસે છે જો.

– અશોકપુરી ગોસ્વામી

શહેરમાં ક્યાંક ક્યાંક હજી જીવતા રહી ગયેલા ગામ અને ગામના થતા જતા શહેરીકરણ – બે છેડાની વરવી વાસ્તવિક્તાને આ ગઝલ સુપેરે વ્યક્ત કરી શકી છે એવું લાગ્યા વિના રહેતું નથી. શહેર હજી પણ રહેવા જેવું લાગે છે કારણકે શહેરમાં હજી પણ ક્યાંક ને ક્યાંક તો એક ગામ જળવાઈ જ રહ્યું છે. હિમાલયની જગ્યાએ પહેલા સમુદ્ર હતો અને ભૂખંડ ખસતા ખસતા સમુદ્રની જગ્યાએ બરફના તોતિંગ શિખરો ખડકાઈ ગયા એ સંદર્ભ લાગણીહીન, ઉષ્માહીન બનતા જતા મનુષ્યો અને શહેરના હિમાલય તરફ ખસવાની વાતમાં સુંદર રીતે ઉપસી આવે છે.

Comments (1)

ગઝલ – શેખાદમ આબુવાલા

સુરાલયમાં જાશું જરા વાત કરશું
અમસ્તી શરાબી મુલાકાત કરશું

મુહબ્બતના રસ્તે સફર આદરી છે
મુહબ્બતના રસ્તે ફના જાત કરશું

જમાનાની મરજીનો આદર કરીને
વિખૂટાં પડીને મુલાકાત કરશું

સલામત રહે સ્વપ્ન નિદ્રાને ખોળે
કરી બંધ આંખો અમે રાત કરશું

સુરાલયમાં, મસ્જિદમાં, મંદિરમાં, ઘરમાં
કે
આદમ કહો ત્યાં મુલાકાત કરશું

–  શેખાદમ આબુવાલા

શેખાદમની કવિતાઓ પ્રત્યે મને અને ખાસ તો ધવલને, પહેલેથી જ થોડો પક્ષપાત રહ્યો છે. એની ગઝલો કલમમાંથી ઓછી અને દિલમાંથી વધુ આવતી લાગે. એના શેરોમાં ક્લિષ્ટતા કે દુર્બોધતા જવલ્લે જ જોવા મળે. કોઈ મજાના વોશિંગ પાવડરથી ધોઈને ખાસ્સા મજાના બગલા જેવા સફેદ કર્યા હોય એવા ચોખ્ખા શેરોની આ એક ટૂંકી ગઝલ મારી વાતની પુષ્ટિ  માટે.

Comments (1)

હળવાશ – પન્ના નાયક

તને પ્રેમ કર્યો હતો

ભૂલી જવા
મેં
આપણા હાસ્યના ફુવારા
મુશળધાર વરસાદમાં ભેળવી દીધા,
આપણી વિશ્રંભકથા
પતંગિયાંઓની પાંખ પર મૂકી દીધી,
અને
આપણા આશ્લેશની નિકટતા
તાજા જ પડેલા સ્નોને સોંપી દીધી.

હવે
હું
સ્મૃતિરહિત.

– પન્ના નાયક

પોતાના મનમાંની બધી યાદોને કુદરતને પાછી સોંપી દઈને હળવા થઈ જવાની આ યુક્તિ, કવિતા વાંચી કે તરત જ ગમી ગઈ. કાશ, આ યુક્તિ સાચી જીંદગીમાં પણ ચાલતી હોત !

Comments (1)

હવે ગુજરાતીમાં યાહૂ !

1999-98માં મહીનાના એક લેખે ગુજરાતી પોર્ટલ ચાલુ થતા’તા. ગુજરાતથી દૂર બેઠેલા બધા ગુજરાતીને વેબ ઉપર ચમકતી જોઈને ખૂશ થતા. કમનસીબે એ બધા પોર્ટલો અને વેબસાઈટ ધીમે ધીમે ‘અવસાન’ પામ્યા. આનંદની વાત એ છે કે છેલ્લા થોડા વખતથી ફરી આ આખી ‘ઈંડિક વેબ’ની વાત જોર પકડવા માંડી છે.

મોટી મોટી કંપનીઓને ખ્યાલ આવ્યો છે કે હવે વધારેને વધારે વાંચકો જોઈતા હોય તો એમણે વાચકોની પોતાની ભાષામાં ‘વાત’ કરવાનું શીખવું પડશે ! આ વાતની એક નંબરની સાબિતી રૂપે યાહૂએ ભારતીય ભાષાઓમાં વેબસાઈટો શરૂ કરી છે એ છે. એમાથી એક છે યાહૂ ગુજરાતી. એક પછી એક મોટી કંપનીઓ હવે ગુજરાતીમાં આવતી જ જવાની. ગૂગલ પણ ભારતીય ભાષાઓમાં પોતાની રજૂઆત થોડા સમયમાં કરશે એવી વાત છે. આ બે કંપનીઓ આવે તો એમ.એસ.એન. પણ આવશે. ગુજરાતી ભાષા માટે આ બહુ સારા સમાચાર છે.

યાહૂ ગુજરાતીને પોતાનો સાહિત્ય વિભાગ પણ છે. એમા એક રસપ્રદ લેખ રમેશ પારેખ વિષે છે એ ખાસ જોજો. લયસ્તરોના વાંચકોને તરત ખ્યાલ આવશે કે આ લેખ યાહૂએ લયસ્તરો પરથી લઈને જ ત્યાં મૂક્યો છે ! એ લેખ મૂળ વિવેકે લખેલો છે અને એ તમે અહીં જોઈ શકો છો. અમે યાહૂને જણાવ્યું છે એટલે આશા રાખીએ કે તમે થોડા વખતમાં વિવેકનું નામ લેખક તરીકે ત્યાં જોઈ શકશો !

અને સૌથી આનંદની વાત કરવની તો રહી જ ગઈ. યાહૂ ગુજરાતી યુનિકોડમાં છે ! એટલે ફોંટની કોઈ ઝંઝટ જ નહીં.

Comments

ન કરો – ભગવતીકુમાર શર્મા

ફૂલને ફૂલ સ્વરૂપે જુઓ, ગજરો ન કરો;
ખુશ્બો ચૂપચાપ પ્રસારો, એનો જલસો ન કરો!

જળ છે, ખારાશ છે, ભરતી છે, અજંપો પણ છે.
તો ય માઝામાં રહો, આંખોનો દરિયો ન કરો !

પાનખરની ય અદબ હોય છે; જાળવવી પડે,
જો કે વગડો છે, છતાં ચૂપ રહો, ટહૂકો ન કરો!

સાચી ઓળખનો વધારે હશે સંભવ એમાં,
છો ને અંધાર યથાવત્ રહે, દીવો ન કરો!

છે તમારી જ હયાતિનું એ બીજું પાસું,
મોત આવ્યું તો ભલે, એનો યે પરદો ન કરો!

ભગવતીકુમાર શર્મા

આને ગદ્ય ગઝલ કહીશું?! કદાચ અગેય કહી શકાય તેવી આ ગઝલમાં ઉપરછલ્લી રીતે અકર્મણ્યતાનો સંદેશ આપણને લાગે,પણ સમતાથી સભર જીવન જીવવાનો બહુ જરૂરી સંદેશો આમાં કવિ આપણને આપે છે. જીવનના સૌથી મોટા ભય મૃત્યુનો પણ પરદો ન રાખવાની વાત કરી, કવિ આપણને અજાતશત્રુ બનવાની સલાહ આપે છે. ગીતાના ભારેખમ શ્લોકોનું આવું સરલીકરણ આપણા તનાવ અને મિથ્યા ખ્યાલોથી ભરેલા જીવનને એક હળવાશ આપી જાય છે.  

Comments (2)

(નવો હાકેમ છે) – ચિનુ મોદી

કોણ પૂછે તો કહું કે આ ઉદાસી કેમ છે ?
ગામ, શેરી ને પછી ઘર કુશળ છે, ક્ષેમ છે.

જે હતાં લીલાં હવે સૂકાં થયાં, ઓ ડાળખી!
પાંદડાંને કારણે પોપટ હતા – નો વ્હેમ છે.

બંધ દરવાજે ટકોરા મારતાં તારાં સ્મરણ
નામ સરનામા વગરના કાગળોની જેમ છે.

હું તને મારી ગઝલ દ્વારા ફક્ત ચાહી શકું
એ સમે આ શબ્દ સાલા સાવ ટાઢા હેમ છે.

થાય છે કાયા વગરનો એક પડછાયો હવે
શેખજી! ‘ઈર્શાદગઢ’નો એ નવો હાકેમ છે.

– ચિનુ મોદી

ચિનુ મોદીએ ગુજરાતી ગઝલના નવા દેહને ઘડવામાં બહુ મોટો ફાળો આપ્યો છે. એ તદ્દન નવા વિષયો અને કલ્પનો ગઝલમાં લઈ આવે છે. છેલ્લો શેર મારો બહુ પ્રિય શેર છે. કાયાના બંધનથી પર થઈ જે જીવે એ દુનિયા પર રાજ કરે છે એ વાત કવિએ એમના અંદાજમાં સરસ રીતે કહી છે.

Comments (3)

માણસ મરી જાય છે પછી – જયા મહેતા

થોડા દિવસ
કરુણ શબ્દોની ઊડાઊડ.

થોડા દિવસ
હોસ્પિટલની લોબીમાં ફરતાં સગાંવહાલાં જેવી
ઠાલાં આશ્વાસનોની અવરજવર.

થોડા દિવસ
‘ગીતા’ને ‘ગરુડપુરાણ’ની હવા.

પછી
બેંક-બેલેન્સની પૂછપરછ.
પછી
મરનારના પુરુષાર્થનાં
ગુણગાનની ભરતી અને ઓટ.
પછી
રેશનકાર્ડમાંથી નામની બાદબાકી
અને છેવટે રોજની જેમ સૂર્ય ઊગે છે,
અને
કંકુની ડબી પર જાણે કે
શબની ચાદર ઢંકાઈ જાય છે.
કંકણોની પાંપણો ટપક્યા કરે છે
અને
મંગળસૂત્ર ઝૂર્યા કરે છે.

– જયા મહેતા

મૃત્યુના બે ચહેરા હોય છે. એક જાહેર અને બીજો ખાનગી. મૃત્યુના શોકના પડઘમ શમી જાય પછી પણ એના પડધા અંગત માણસોના દિલમાં કાયમ માટે રહી જાય છે. પોતાનું માણસ જતું રહે એનો ખાલીપો તો રોજ થોડો થોડો જીવવો પડે છે; આખી જીંદગી જીવવો પડે છે.

Comments (4)

ગઝલ – ગની દહીંવાલા

ન તો કંપ છે ધરાનો, ન તો હું ડગી ગયો છું,
કોઈ મારો હાથ ઝાલો, હું કશુંક પી ગયો છું.

જો કહું વિનમ્રભાવે તો સૂરજ સુધી ગયો છું
કે નજરનો તાપ જોવા હું નયન લગી ગયો છું.

હતો હું ય સૂર્ય કિન્તુ ન હતી તમારી છાયા,
ઘણીવાર ભરબપોરે અહીં આથમી ગયો છું.

આ હૃદય સમો તિખારો છે દઈ રહ્યો ઈશારો,
કોઈ કાળે સૂર્યમાંથી હું જુદો પડી ગયો છું.

નથી કંઈ પ્રયાણ સરખું અને પથ કપાઈ ચાલ્યો
નથી કાફલાની હસ્તી અને હું ભળી ગયો છું.

બહુ રાહતે લીધા છે મેં પસંદગીના શ્વાસો,
ન જિવાયું દર્દરૂપે તો સ્વયં મટી ગયો છું.

ગની પર્વતોની સામે આ રહ્યું છે શીશ અણનમ
કોઈ પાંપણો ઢળ્યાં ત્યાં હું ઝૂકીઝૂકી ગયો છું.

– ગની દહીંવાલા

ગનીચાચાની આ મજાની ગઝલના દરેક શેર સામે નતમસ્તક થયા વિના રહી શકાતું નથી… બસ, એને વાંચીને જ માણીએ… (આ ગઝલના ચૂકી ગયેલા બે શેર તરફ અછડતો અંગૂલિનિર્દેશ કરવા બદલ જયશ્રીનો ખૂબ ખૂબ આભાર…)

Comments (1)

કેડેથી નમેલી ડોશી -દલપતરામ કવિ

કેડેથી નમેલી ડોશી દેખીને જુવાન નર,
કહે શું શોધો છો કશી ચીજ અછતી રહી;

કહે ડોશી બાળપણું ખબર વિના મેં ખોયું,
જુવાનીમાં દીવાની તારા જેવી ગતિ રહી;

છવાઈ જરાની છાયા, કાયાના વિંખાયા બંધ,
ગાયા ન ગોવિંદરાયા, માયામાં મતિ રહી;

ઝૂકી ઝૂકી ડોકી વાંકી રાખી દલપતરામ,
જોતી હું ફરું છું જે જુવાની ક્યાં જતી રહી.

-દલપતરામ કવિ

દલપતરામની આ પ્રસિદ્ધ કવિતા વાચકમિત્રની ફરમાઈશ પર અહીં રજૂ કરીએ છીએ. લયસ્તરો ટીમ તરફથી આપ સર્વ વાચકમિત્રોને આ પોસ્ટ વડે ફરી એકવાર સંદેશો આપવા ઈચ્છીએ છીએ કે લયસ્તરો એ અમારો નહીં, આપનો પોતાનો જ બ્લૉગ છે અને આપ આપની ઈચ્છાઓને અહીં શબ્દાકારે મૂર્ત થતી જોઈ શકો એમાં નિમિત્ત બનીએ, બસ એ જ અમારું સૌભાગ્ય છે…

(જરા= ઘડપણ)

Comments

(આહ ! આલિંગાઈ કવિતા) – ચંદ્રકાંત શાહ

કાગળ કિત્તા
સ્ટેમ્પસભર કવિતા

આંખોથી આળોટ
ફોડ વિરહ પરપોટ
વાંચ મને વંચિતા.

કાગળ કિત્તા
રહી કંકોત્રાઈ કવિતા.

જા શબ્દોની પીઠી ચોડ
કાગળ બની રહ્યો બાજોઠ
ધાર તને પરિણીતા.

કાગળ કિત્તા
આહ ! આલિંગાઈ કવિતા.

લે સ્ખલન, લે કર અનુભવ
યાદોથી તું તને પ્રસવ
જણ મને, ઓ રૂપગર્વિતા.

કાગળ કિત્તા
ગઈ ગર્ભાઈ કવિતા.

કાગળ કિત્તા
ફરી બિડાઈ કવિતા

– ચંદ્રકાંત શાહ

આ ગીતના લયનું એટલું જબરજસ્ત ખેંચાણ છે કે પહેલી વાર વાંચતી વખતે તો એને સમજવા માટે ઊભા રહેવાની ય ઈચ્છા થતી નથી !

ચંદ્રકાંત શાહનું ગીત એટલે અલગ જાતનું જ હોવાનું. આ ગીતમાં કવિતા લખવાની પ્રક્રિયાને કવિતા સાથે લગ્ન કરવા સમાન વર્ણવી છે. કાગળ કલમ લઈને કવિતા લખવા બેસેલા કવિ કવિતાને ફોડ વિરહ પરપોટ એમ કહીને બોલાવે છે. રીસાયેલી કવિતાને એ કહે છે, વાંચ મને – મારી અંદરના ભાવને વાંચ અને એ મને સમજાવ ! કવિતા લખવાની પ્રક્રિયા આગળ વધે એમાં કંકોત્રી તૈયાર થવાની, પીઠી ચોળવાની અને બાજઠ પર બેસવાની વાત આવે છે. કવિતા મળવાની ક્ષણને કવિ આહ !આલિંગાઈ કવિતા એમ વર્ણવે છે. કવિતા પ્રસવ પામે તો શેનાથી ? – યાદોથી જ સ્તો ! અને કવિતા કોને જન્મ આપે ? – કવિને. અત્યાર સુધી એ સામાન્ય માણસ હતો, પણ કવિતાએ જ્યારે એને જ્ણ્યો ત્યારે એ કવિ થયો. આ આખી પ્રક્રિયા પૂરી થઈ, કવિતા લખાઈ અને પરબીડિયામાં મોકલી આપી. જોકે આ કવિતા કોને મોકલી એ કવિ કહેતા નથી 🙂

આ ગીત સાથે જ ચંદ્રકાંત શાહ પર આગળ કરેલો પોસ્ટ પણ જુઓ. એમના બંને સંગ્રહો અને થોડા સપનાં અને બ્લૂ જીન્સ એમની વેબસાઈટ પર વાંચી શકો છો. અહીં શીર્ષક કૌંસમાં મૂક્યું છે કારણ કે કવિ એ આ ગીતને કોઈ નામ નથી આપ્યું. આ શીર્ષક પસંદ કરવાની ગુસ્તાખી મારી છે.

Comments (2)

બોન્સાઇ વૃક્ષની મનોવ્યથા – જયંત જી. ગાંધી ‘કુસુમાયુધ’

(વસંતતિલકા)
જાણો વસંતતિલકા ‘તભજાજગાગા’
—————————————–

કાપીકૂપી, નિત અરે અમ ડાળ સર્વે,
‘બોન્સાઇ’ વૃક્ષ રૂપમાં ઘરના રવેશે,
કૂંડાં મહીં જતનથી તરુ જાળવી ત્યાં,
શોભા રચો કદ કરી અમ વામણાં કાં?

આવેલ સૌ અતિથિને નિજ હુન્નરો આ,
વૃક્ષો વિરાટ સહુ વિરાટ વામન રૂપમાં ત્યાં,
કેવાં જહેમત કરી જ તમે બનાવ્યાં,
એ પોરસે બહુ કથા સહુને કહેતા.

”આ પીપળો વડ તથા ગુલમોર આંબો,
આ લીંબડો સવન બાવળ બોરડી તો,
’બોન્સાઇ’ રૂપ દઇને ઝરૂખે સજ્યા છે.”
આવું સુણી મન મહીં અમને વ્રીડા છે.

’ઓ માનવી! નિજ ઉરે કદી તો વિચારો,
‘બોન્સાઇ’ કો વપુ કરે તમ જો જગે તો?!

જયંત જી. ગાંધી ‘કુસુમાયુધ’

વપુ – શરીર ; વ્રીડા – લજ્જા , શરમ

કવિતામાં કૃત્રિમ સૃષ્ટિ આવી શકે? હા! આવી શકે.

આધુનિક અને વૈભવી જીવનની એક ચીજ ‘બોન્સાઇ’ ઉપર રચાયેલું આ સોનેટ સાવ નવા નક્કોર વિષયને જૂના છંદમાં અને હવે ઓછા ખેડાતા કાવ્ય ક્ષેત્રમાં રજુ કરી કવિએ એક નવી કેડી શરુ કરી નથી લાગતી?

અને આગળ વિચારીએ તો આપણે પણ ‘બોન્સાઇ’ જેવા નથી? કોઇ આપણી ઇચ્છા વિરુધ્ધ હંમેશ આપણી ડાળીઓ અને આપણાં મૂળ કાપી આપણને વામણા ને વામણા રાખે છે; અને આપણે તે પરમ તત્વ સામે એક હરફ પણ ઉચ્ચારી શકતા નથી !

આપણા જીવનની આ એક કરુણ નિયતિ છે.

Comments (2)