એક વાદળ એમ ચાલ્યું જાય છે
આભમાં, જાણે કે જળની પાલખી !
ભરત વિંઝુડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for અછાંદસ

અછાંદસ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




વ્યર્થ – ચૈરિલ અનવર (ઇન્ડોનેશિયન) (અનુ. વિવેક મનહર ટેલર)

છેલ્લે જ્યારે તું આવી હતી તું ફૂલો લાવી હતી,
લાલ ગુલાબ, શ્વેત ચમેલી,
રક્ત અને પવિત્રતા,
અને મારી સામે પાથરી દીધા હતાં
એક ચકિત નજર સાથે: તારા માટે.

આપણે બંને દિક્મૂઢ થઈ ગયાં હતાં અને એકમેકને પૂછ્યું હતું: આ શું છે?
પ્રેમ? બેમાંથી કોઈ સમજી શક્યું નહોતું.

એ દિવસે આપણે બંને સાથે હતાં.
આપણે સ્પર્શ કર્યો નહોતો.

પણ ઓ મારું દિલ જે જરાય મચક આપતું નથી!
તૂટી જા, છિનાળ, તારી એકલતાથી ચૂરેચૂરા થઈને!

– ચૈરિલ અનવર
(અંગ્રેજી અનુવાદ પરથી ગુજરાતી અનુવાદ: વિવેક મનહર ટેલર)

‘ઇગો’ વિશે ક્યાંક વાંચ્યું હતું કે ‘ઇ’ ને ‘ગો’ નથી કહી શકાતું એટલે જ જીવનમાં સમસ્યા છે. ઇન્ડોનેશિયાના સૌથી વધુ પ્રખ્યાત કવિ જે માત્ર સત્તાવીસ વર્ષની જિંદગીમાં ૭૧ કવિતાઓ લખીને જ અમર થઈ ગયા એ ચૈરિલ અનવર આ જ વાત અહીં કરે છે. પ્રિયતમા છેલ્લે જ્યારે આવી હતી ત્યારે ફૂલો લઈને આવી હતી. લાલ અને સફેદ. બંનેનો સંદર્ભ પણ કવિ જ સ્પષ્ટ કરી અપે છે: રક્ત અને પવિત્રતા. હિંસા અને શાંતિ એકસાથે ઓફર કરવામાં આવે ત્યારે કેવી વિમાસણ અનુભવાય! આવું જ કંઈક બંને પ્રેમીઓ અનુભવે છે અને સ્પર્શ પણ કર્યા વિના છૂટાં પડે છે. સ્પર્શ અહીં માત્ર સેક્સ જ ઇંગિત નથી કરતો, બે પ્રેમી વચ્ચેનું અદ્વૈત પણ દર્શાવે છે. બંને સાથે હતાં પણ એક નહોતાં થઈ શક્યાં, કારણ કે નાયકનું દિલ પુરુષસહજ ઇગોથી આઝાદ થઈ શકતું નથી. નાયક પોતાના દિલને કોસે છે અને એકલતાથી તૂટીને ચૂરેચૂરા થઈ જવાનો શાપ પણ આપે છે.. પ્રેમમાં અંતે તો વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે, સીવેલા હોઠ લઈ જવાની છૂટ છે તને…

*

IN VAIN

The last time you came
You brought bright flowers,
Red roses, white jasmine,
Blood and holiness,
And spread them in front of me
With a decisive look : for you.

We were stunned
And asked each other: what’s this?
Love? Neither of us understood.

The day we were together.
We did not touch.

But my heart will not give itself to you,
And does not care
That you are ripped by desolation.

– Chairil Anwar

Comments (5)

હું – ચૈરિલ અનવર (ઇન્ડોનેશિયા) (અનુ. વિવેક મનહર ટેલર)

જ્યારે મારો સમય આવશે
મારે કોઈનેય રડતાં સાંભળવા નથી
તને પણ નહીં

રડવું બિલકુલ જરૂરી નથી!

આ છું હું, એક જંગલી જાનવર
પોતાના ઝુંડમાંથી હાંકી કઢાયેલો

ગોળીઓ મારી ચામડી છેદી નાંખશે
પણ હું વધતો જ રહીશ

આગળ મારા ઘા અને મારા દર્દને ઊંચકીને હુમલો કરતો,
હુમલો કરતો,
જ્યાં સુધી યાતના ગાયબ ન થઈ જાય

અને હું તસુભાર પણ પરવા નથી કરવાનો

હું બીજા હજાર વર્ષ જીવવા માંગું છું.

– ચૈરિલ અનવર
(અનુ. વિવેક મનહર ટેલર)

*
ચૈરિલ અનવર. ઇન્ડોનેશિયાનો યુવા કવિ. ભરવસંતે ખરી ગયેલું ફૂલ. એના હોઠ વચ્ચેની સિગારેટ સળગીને રાખ થાય એ ઝડપે સત્તાવીસથીય અલ્પાયુમાં માત્ર ૭૧ જેટલી કવિતાઓ અને ગણતરીબંધ લેખો, મુઠ્ઠીભર અનુવાદો કરીને આ માણસ ઇન્ડોનેશિયાનો આજદિનપર્યંતનો સૌથી નોંધનીય કવિ બની ગયો. ફાકામસ્તીમાં જીવતો, સૂકલકડી, ફિક્કો અને લઘરવઘર નફિકરો નવયુવાન દુકાનમાંથી પુસ્તકો પણ ચોરતો. ૧૫ વર્ષની ઊંમરે એને ખબર હતી કે એનો જન્મ કળાકાર થવા માટે થયો છે. ૧૮ વર્ષની ઊંમરે શાળા છોડી દીધી. હૉસ્પિટલમાં જ મૃત્યુ થયું પણ મૃત્યુનું કારણ અનિર્ણિત. ભાષામાં એની શોધખોળ-પ્રયોગોએ ઇન્ડોનેશિયાની પરંપરાગત ‘શૃંગારિક’ ભાષા અને બીબાંઢાળ કાવ્યપ્રણાલિઓના લીરેલીરા ઊડાવી દીધા. એનો નિર્વાણદિન આજેપણ ઇન્ડોનેશિયામાં ‘સાહિત્ય દિન’ તરીકે ઉજવાય છે.

આખી રચના ‘હું’ની ફરતે વીંટળાયેલી છે. સૈનિક તરીકે યુદ્ધમાં જવાનો કે મૃત્યુના ખોળામાં સૂઈ જવાનો કે કોઈપણ સમય જ્યારે આવશે ત્યારે કવિ નથી ઇચ્છતા કે કોઈપણ રૂદન કરે, શોક મનાવે. કેમ? કેમકે નાયક એના દળમાંથી હાંકી કાઢવામાં આવેલ જંગલી જાનવર છે. ભલે ન્યાતબહાર મૂકાયો હોય પણ એની ભીતરનો સૈનિક મર્યો નથી ત્યાં સુધી એ આગળ ધપશે જ ધપશે. બધી યાતનાઓ તન-મનને વીંધી-વીંધીને હથિયાર ફેંકી દે, જ્યાં જઈને દુઃખ-દર્દની સરહદ જ ખતમ થઈ જાય એ સ્થળે પહોંચી ન જવાય ત્યાં સુધી નાયક અવિરત ધપતા રહેવાની નેમ ધરાવે છે. मुश्किलें मुझ पर पड़ीं इतनी कि आसां हो गईं | અને કવિને કોઈ વાતની પડી પણ નથી. મૃત્યુને રડ્યા વિના, રડવા દીધા વિના, ખુશી ખુશી ગળે લગાડવાનું આહ્વાન આપતી આ રચના હકીકતમાં તો આઝાદી અને જીવન માટેનું બુલંદ આક્રંદ છે. એટલે જ અંતને ગળે લગાડતી આ કવિતાના અંતમાં કવિ તારસ્વરે એલાન કરે છે: ‘હું બીજા હજાર વર્ષ જીવવા માંગું છું.

*
I

When my time comes
I want to hear no one’s cries
Nor yours either

Away with all who cry!

Here I am, a wild beast
Driven out of the herd

Bullets may pierce my skin
But I’ll keep on

Carrying forward my wounds and my pain Attacking,
Attacking,
Until suffering disappears

And I won’t care any more

I wish to live another thousand years.

– Chairil Anwar
(Eng. Trans: Burton Raffel)

Comments (3)

આખરી દેવતાઓ – ગાલવે કિન્નલ (અનુ. વિવેક મનહર ટેલર)

એ એક પથ્થર પર નિર્વસ્ત્ર બેઠી છે
પાણીમાં કેટલેક અંદર. એ કિનારા પર ઊભો છે,
નિર્વસ્ત્ર જ, બ્લુબેરીઝ ચૂંટતો.
પેલી બોલાવે છે. આ ફરે છે. પેલી ખોલે છે
એના પગ પોતાનું મહાન સૌંદર્ય આને બતાવતા,
અને સ્મિત વેરે છે, હોઠોની એક કમાન
જાણે સાથે બાંધી ન રાખતી હોય
ધરતીના છેડાઓને.
તેણીના પ્રતિબિંબને ટુકડાઓમાં
છબછબાવતો, એ તેની સામે
આવીને ઊભો રહે છે,
ઘૂંટી સમાણા લીલ-પાંદડાઓ
અને તળિયાના કીચડને ફેંદતો – આત્મીયતા
દૃશ્યમાન જગતની. એ મૂકે છે
ધુમ્મસના ખમીસવાળી એક
બેરી તેણીના મોઢામાં.
પેલી ગળી જાય છે. એ બીજી એક મૂકે છે.
પેલી ગળી જાય છે. તળાવ ઉપર
બે અબાબિલ ચકરાવા લે છે, મસ્તી કરે છે, દિશા બદલે છે
અને જ્યારે એક ચીલઝડપે ઝપટી લે છે
એક જીવડું, એ બંને ગોળગોળ ફરે છે
અને આનંદિત થાય છે. એ ઉત્તેજિત અને કડક થયો છે
દૈવત્વથી નહીં પણ પુરુષત્વથી-
ને મુખમૈથુનથી તો વધારે.
પુરુષ ઘૂંટણિયે નમે છે, ખોલે છે
ગાઢ, ઊભું સ્મિત
સ્વર્ગ અને પાતાળને જોડતું
અને ચાટે છે એના સુંવાળતમ માંસને વધુ સુંવાળપથી.
પથ્થરની ઉપર એ બંને જોડાય છે.
ક્યાંક એક દેડકો બોલે છે, કાગડો કરાંજે છે.
એમના શરીર પરના વાળ
ચોંકી ઊઠે છે. તેઓ આક્રંદે છે
આખરી દેવતાઓની જુબાનમાં,
જેઓએ જવાની ના કહીને,
મૃત્યુ પસંદ કર્યું હતું, અને રોમાંચિત થઈ ઊઠ્યા હતા
આનંદમાં અને વિખેરાઈ ગયા હતા ટુકડાઓમાં,
મૂકી ગયા હતા એમનું આક્રંદ
મનુષ્યના મુખમાં. હવે તળાવમાં
બે ચહેરા તરી રહ્યા છે, ઉપર જોતા એક માતૃતુલ્ય દેવદારને જેની ડાળીઓ
બધી જ દિશાઓમાં ખુલે છે
બધું જ સમજાવી દેતી.

– ગાલવે કિન્નલ
(અનુ. વિવેક મનહર ટેલર)

વસ્ત્રો એ સંસ્કૃતિના નામે મનુષ્યે ઊભી કરેલી સૌથી મોટી દીવાલ છે. વસ્ત્રો નહોતાં ત્યારે મનુષ્યને એકમેકમાં ઓગળી જવાનું હાથવગું હતું. આજે તો સેક્સ સાધ્ય બનવાને બદલે સાધન બની ગયું છે. ‘આખરી દેવતાઓ’ નિર્વસનતાનું, પારદર્શિતાનું ગાન છે. ગ્રીક પુરાણકથાઓ અનુસાર કેટલાક દેવતાઓ અમરત્વ અને સ્વર્ગલોકના સ્થાને નાશવંત શરીર અને પૃથ્વીલોક સ્વીકાર્યાં હતાં અને મનુષ્ય સંવેદનાસભર જીવનના આનંદ-આક્રંદ સાથે એમણે મૃત્યુ આવકાર્યું હતું. સમ્-ભોગની ક્ષણે મનુષ્ય દેવતાઓની સમકક્ષ હોય છે.

કાવ્યનાયિકા ઘૂંટીસમાણા પાણીમાં કેટલેક અંદર એક પથરા પર નિર્વસ્ત્ર બેઠી છે. અને આ નિર્વસ્ત્ર સૌંદર્યથી નિર્લેપ કાવ્યનાયક પણ નિર્વસ્ત્ર કિનારા પર ઊગેલી બ્લુબેરીઝ ચૂંટી રહ્યો છે. પોતાના પગ પહોળા કરીને નાયિકા યોનિપ્રદેશનું સૌંદર્ય છતું કરે છે અને વેલકમ સ્માઇલ વેરે છે. આવકારનું સ્મિત હંમેશા સૃષ્ટિના બંને અંતિમોને સાંકળી લે એવું પહોળું જ હોવાનું. નાયક ઘૂંટણિયે નમે છે. નાયિકાને માન આપે છે અને પછી સ્વર્ગ-પાતાળ વચ્ચે સેતુ સર્જતા, અસ્તિત્વના ઊભા સ્મિત સમા યોનિમાર્ગને મંદિરના દ્વાર પેઠે ખોલે છે. બંનેના દૈવી મિલનમાં પ્રકૃતિ પણ સંમિલિત થાય છે. સંભોગ પછીની સમાધિસ્થ અવસ્થામાં બંનેના ચહેરાઓ પર ઝળુંબી રહ્યું છે બધી જ દિશાઓમાં ડાળી ફેલાવતું માતુલ્ય દેવદારનું વૃક્ષ. પ્રેમ જ મનુષ્યના અસ્તિત્વનો ચરમ આવિર્ભાવ છે એમ બધું જ સમજાવી દેતી આંતર્દૃષ્ટિ ચરમસ્થિતિએ જ ખુલે-ખીલે છે.

Comments (5)

એ લગભગ ઈશ્વર છે, તારી સાથેનો પુરુષ – સેફો (અનુ.: વિવેક મનહર ટેલર)

એ લગભગ ઈશ્વર છે, તારી સાથેનો પુરુષ,
તારી વાતોથી, તારા હાસ્યથી વશીભૂત.
જોઈને જ મારું હૃદય વધુ ઝડપે ધબકે છે
કેમ કે, ઓછું જોઈને, હું વધુ કલ્પું છું.
તું મારા ગાલોમાં આગ લગાડે છે.
અવાજ અટકી ગયો છે. મારા કાન વાગી રહ્યા છે.
બીજા બધાથી અનભિજ્ઞ, હું પસીને રેબઝેબ થાઉં છું અને તોતડાઉં છું.
હું કાંપી રહી છું, ઘાસની જેમ,
મૃત્યુથી એક ઈંચ દૂર.

હું એટલી ગરીબ છું, મારે કંઈ જ ગુમાવવાનું નથી, મારે જુગાર રમી જ લેવો જોઈએ…

– સેફો (ગ્રીક)
(અંગ્રેજી અનુવાદ: સેમ હમિલ)
અનુ.: વિવેક મનહર ટેલર

*

ગઈકાલે આ કવિતાનો કાવ્યસ્વરૂપને વફાદાર અનુવાદ જોયો… આજે ગ્રીક ભાષામાંથી અંગ્રેજી ભાષાંતર કરતા ખ્યાતનામ અનુવાદક સેમ હમિલનો અનુવાદ પણ જોઈએ.

કવયિત્રી અથવા કાવ્યનાયિકાની સ્ત્રીસહજ ઈર્ષ્યાનું આ કાવ્ય છે. કવિતામાંથી પસાર થતાં સમજી શકાય છે કે આ દૃશ્ય કોઈક પાર્ટીનું હોઈ શકે. નાયિકા જે સ્ત્રીના સમલૈંગિક પ્રેમમાં બદ્ધ છે એ કોઈક બીજા પુરુષના આશ્લેષમાં પ્રેમના ગીત ગાઈ રહી છે. નોંધવા જેવી વાત એ છે કે કવિતાની શરૂઆત નાયિકા ન તો પોતાનાથી કરે છે કે ન તો પોતાની દિલોજાન પ્રેયસીથી. કવિતાની શરૂઆત થાય છે પેલા અજાણ્યા પુરુષથી. પોતાના પ્રેમને છિનવી શકવાની ક્ષમતાયુક્ત એ પુરુષ નાયિકાને ભગવાનની સમકક્ષ લાગે છે, કેમકે બીજું તો કોણ આવું દુર્ગમ કાર્ય સફળતાપૂર્વક કરી શકે? પુરુષ નાયિકાની પ્રેયસીને અડોઅડ બેઠો છે. ખૂબ નજીકથી એ એને હસતાં-બોલતાં સાંભળી રહ્યો છે અને એ બેનું તારામૈત્રક જોઈને નાયિકા ઈર્ષ્યાથી બળી મરે છે. નાયિકાનું હૃદય ઝડપથી ધડકી રહ્યું છે. જીભ ભાંગી ગઈ હોય એમ કશુંય બોલવું અશક્ય બની રહે છે. તનબદનમાં આગ ફરી વળે છે. આંખ આગળ ઝાંખપ ફરી વળે છે. કાનમાં તમરાં બોલી રહ્યાં છે. શરીર આખું પસીને રેબઝેબ ઠંડુગાર પડી જાય છે. શરીર કાંપવા માંડે છે અને સૂકા ઘાસ કરતાં પણ ફિક્કું પડી જાય છે. અબઘડી મોત આવી જાય તો સારુંની લાચારી ઘેરી વળે છે. કવયિત્રીનું ધ્યાન હકીકતમાં પ્રેયસી કે ભગવાન-જેવા પુરુષ તરફ છે જ નહીં, માત્ર અને માત્ર પોતાની તરફ છે. કાળજીપૂર્વક સભાનતા સાથે જે પ્રેમ એને બેસુધ બનાવી દે છે, એના કારણે સર્જાતી સંવેદનાની આંધીને સ્ટેપ-બાય-સ્ટેપ એ રજૂ કરે છે. મૃતપ્રાય અવસ્થાની લાચારી ઘેરી વળે છે. કવિતાના પાંચમા અંતરાની એક જ પંક્તિ સંશોધકોને હાથ લાગી છે. આ અધૂરી પંક્તિમાં કંઈક એવું સમજી શકાય છે કે હાથથી સરી જતી પ્રેયસીને પામવા માટે સાહસ તો કરવું જ જોઈએ કેમકે આમેય પ્રેયસી કોઈ બીજું છિનવી ગયું જ હોય એવી ગરીબ-નિર્માલ્ય અવસ્થામાં આથી વધુ તો શું ગુમાવવાની બીક હોઈ શકે?

 

He Is Almost A God, A Man Beside You

He is almost a god, a man beside you,
enthralled by your talk, by your laughter.
Watching makes my heart beat fast
because, seeing little, I imagine much.
You put a fire in my cheeks.
Speech won’t come. My ears ring.
Blind to all others, I sweat and I stammer.
I am a trembling thing, like grass,
an inch from dying.

So poor I’ve nothing to lose, I must gamble…

– Sappho (Greek)
(Eng Translation: Sam Hamill)

Comments

મને લાગે છે… – સેફો (ગ્રીક) (અનુ.: વિવેક મનહર ટેલર)

પેલો પુરુષ મને ભગવાન બરાબર લાગે છે,
જે તારી સામે બેઠો છે
અને તને નજીકથી સાંભળી રહ્યો છે
મીઠું બોલતી

અને મજાનું હસતી, જે ખરેખર
મારા હૃદયને છાતીમાં ફડફડાવે છે;
કેમ કે જ્યારે હું ક્ષણાર્ધ માટે પણ તારી તરફ જોઉં છું
મારા માટે કંઈ પણ બોલવું શક્ય રહેતું નથી

જાણે કે મારી જીભ ભાંગી કેમ ન ગઈ હોય
અને તરત જ એક ઝીણી આગ મારી ચામડી પર ફરી વળે છે.
મારી આંખો આગળ ઝાંખપ ફરી વળે છે,
અને મારા કાન વાગવા માંડે છે.

એક ઠંડો પસીનો ફરી વળે છે, લખલખુ
મને ઝડપી લે છે, હું ફિક્કી પડી જાઉં છું
ઘાસ કરતાં, અને હું, લાગે છે કે, લગભગ
મૃત્યુ પામું છું.

પરંતુ બધામાં સાહસ કરવું જ જોઈએ, કેમ કે (અને ગરીબ…)

-સેફો (ગ્રીક)
અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર

*

લગભગ ૨૬૦૦ વર્ષ પહેલાં ગ્રીસના લેસ્બૉસ ટાપુ પર થઈ ગયેલી સેફો નામની કવયિત્રી સેફો તેના લઘુકાવ્યો, શોકાંતિકાઓ અને પ્રણયપ્રચૂર ગીતકાવ્યો; સ્ત્રીગત સંવેદનોનું તાદૃશ આલેખન; ભાષાની સફાઈ, વિચારની સરળતા અને ઉત્તમ શબ્દચિત્રો વડે અમર થઈ ગઈ. એની રચનાઓ, એના સમકાલીનો અને અનુજોની રચનાઓમાંથી એનું એક ચિત્ર વિદ્યાર્થીનીઓ સાથેના એના સમલૈંગિક સંબંધોનું ઊભું થાય છે અને એ એ હદ સુધી કે આજે સેફો એ લેસ્બિનિઝમનું પ્રતીક ગણાય છે.

સેફોની પ્રસ્તુત રચના ૩૧મો ટુકડો ગણાય છે, જેના સોથી વધુ તો માત્ર અંગ્રેજી અનુવાદ થયા છે, બીજી ભાષાઓના તો અલગ! મોટા ભાગના અનુવાદકોએ છેલ્લી મુખ્ય રચનાથી છૂટી લખાયેલી અને અધૂરી ગણાતી પંક્તિને અવગણી છે. વિકીપિડિયા પર મૂળ ગ્રીક કવિતાના સ્વરૂપને (છંદને નહીં) વફાદાર રહીને કરાયેલા અંગ્રેજી અનુવાદને અહીં આધારભૂત ગણ્યો છે. સેફોના ગીત અને શૈલી એટલા બધા પ્રભાવક છે કે જે છંદોલયમાં એ રચના કરતી હતી એનું નામ Sapphic stanza પડ્યું, જેમાં ચાર પંક્તિના અંતરામાં પહેલી ત્રણ પંક્તિમાં અગિયાર-અગિયાર (hendecasyllable)અને ચોથી, ટૂંકી પંક્તિમાં પાંચ (adonic) શબ્દાંશ (syllable) આવે છે. સેફોની ભાષા પણ લેસ્બૉસ ટાપુની સ્થાનિક ઇઓલિક બોલી હતી. આપણે ત્યાં મરાઠી ભાષામાંથી ઊતરી આવેલું અંજનીગીત મૂળે આના પરથી ઊતરી આવ્યું હોય તો નવાઈ નહીં. અંજનીગીતમાં પણ ચાર પંક્તિના અંતરામાં પહેલી ત્રણમાં સોળ-સોળ માત્રા અને ચોથી પંક્તિ ટૂંકી-દસ માત્રાની હોય છે.

*

It seems to me…

That man seems to me to be equal to the gods
who is sitting opposite you
and hears you nearby
speaking sweetly

and laughing delightfully, which indeed
makes my heart flutter in my breast;
for when I look at you even for a short time,
it is no longer possible for me to speak

but it is as if my tongue is broken
and immediately a subtle fire has run over my skin,
I cannot see anything with my eyes,
and my ears are buzzing

a cold sweat comes over me, trembling
seizes me all over, I am paler
than grass, and I seem nearly
to have died.

but everything must be dared/endured, since (?even a poor man) …

– Sappho (Greek)

Comments (4)

પાંડોબા અને મેઘધનુષ્ય – ઉદયન ઠક્કર

દૃશ્ય :

મુંબઈના ત્રીજા ભોઈવાડામાં ‘હરિનિવાસ’ મકાનની અગાસી. ખૂણાની મોરી પાસે એક આધેડ વયસ્ક વ્યક્તિ ધડાધડ વાસણો સાફ કરે છે. વરસાદનાં ફોરાં પડવાં શરૂ થયાં છે.

નેપથ્યે :

પાંડુ કાંબળે લબ્ધ-પ્રતિષ્ઠિત, ખાતરીવાળો રામો છે
જેના હાથમાં મોટાં મોટાં કુટુંબનો પાયજામો છે
કપડાં-વાસણનું પ્રતિમાસે ત્રીસ નગદનું ભથ્થું છે
પાંડોબાનું કાર્યક્ષેત્ર, ભોઈવાડામાં, એકહથ્થુ છે
(પાનસભર) મોઢાને એ ક્યાં સમ ખાવા પણ ખોલે છે?
પાંડોબા વર્ષોથી ચુપ છે, વાસણ-કપડાં બોલે છે…

આકાશમાં સાત રંગો કોળી રહ્યા છે. તાજા જ ખીલેલા મેઘધનુષ્યની નજર ‘હરિનિવાસ’ પર પડે છે. કોણ જાણે કેમ, મેઘધનુષ્યને પાંડોબા પર વ્હાલ ઊપજે છે.

મેઘધનુષ્ય :

ઉહ્ ઉહ્ (પાંડોબાનું ધ્યાન આકર્ષવા ખાંસી ખાય છે.)

પાંડોબા :

ઘસર ઘસર (વાસણો ઉજ્જવળ કરે છે.)

મેઘધનુષ્ય :

સદા કાર્યરત આંખો વચ્ચે ચપટીક વિસ્મય આંજીને
રે પાંડોબા, અહીં પણ જોજો, એલ્યુમિનિયમ માંજીને

કેટકેટલાં વર્ષો પહેલાં, યાદ છે? આપણે મળ્યાં હતાં?
આછા તડકામાં, જ્યારે ખેતરના શ્વાસો ભળ્યા હતા
કપોલ પર જલશીકરના અનવરત પ્રહારો થતા હતા
તારા હાથોમાં, બીજા પણ કોક હાથ ખળખળ્યા હતા!

બે પારેવાં જેવાં, મેં વર્ષામાં તમને દીઠેલાં
મૌન થયેલાં, મૂંઝાયેલાં, એકમેકને અડકેલાં…

તને સાત રંગોની ઇર્ષા થઈ કે નહીં, એ ખબર નથી
ઓષ્ઠ વગરનાં મારા આયુષ, મને તે ક્ષણે ખટકેલાં!

પાંડોબા :

વાસણ બાજુએ કરે છે, હાથ પરની રાખ ખંખેરે છે, મેઘધનુષ્ય તરફ જુએ છે.

મેઘધનુષ્ય :

ખેતર જેને ટૂંકાં પડતાં—આજે ચાર દીવાલોમાં
યથાશક્તિ રોમાન્સ કરે છે, ભોઈવાડાની ચાલોમાં.
શું છે ભોઈવાડાથી મોટું? ચણિયા કરતાં રંગીન પણ?
ના સમજ્યો તેથી વેડફાયો, પાંડોબા નામે એક જણ
ભલે જીવીએ સ્હેજ, તોય જીવીએ ઝળહળમાં, પાંડોબા
વાસણ મૂકી ક્વચિત્ નીકળી પડો સકળમાં, પાંડોબા

પાંડોબા ઊભા થાય છે. હાથ લંબાવીને મેઘધનુષ્યને પકડે છે.
આકાશથી ઉતારે છે.
‘501 બાર’ સાબુથી એને ધુએ છે, નીચોવે છે,
પછી ધોળાધબ્બ થયેલા મેઘધનુષ્યને,
ક્લીપ લગાડીને આકાશે ટાંગી દે છે.

આ જોઈને ‘હરિનિવાસ’ના બીજા માળે રાખેલો
એક પોપટ પિંજરામાંથી બોલે છે કે,
‘પગાર તીસ રૂપયડી હોય,
ત્યારે ભલભલાં મેઘધનુષ્યો પણ ધોળાંધબ્બ થઈ જતાં હોય છે,
સીતારામ.’

– ઉદયન ઠક્કર

એક નવતર પણ બળકટ પ્રયોગ….વાતમાં વજન છે !

Comments (6)

મૂળિયા – મનીષા જોશી

મૂળ ખુલ્લાં દેખાય તેવું વૃક્ષ
મને હંમેશ ડરામણું લાગે છે.
પર્વતની ધાર પર ઉભેલા
એ વૃક્ષના મૂળિયાને કોઈ આધાર નથી
ભેખડ તો ગમે ત્યારે તૂટી પડે

નીચેની ઊંડી ખાઈમાં ફંગોળાઈ રહેલા
એ વૃક્ષને જોઈને લાગે છે,
ધરતી જ છે સાવ છેતરામણી
ગમે ત્યારે છેહ દઈ દે.
વૃક્ષમાં બાંધેલા માળામાં સૂતેલાં
સેવાયા વગરના ઈંડા
ક્યાં પડ્યાં ?
ન વૃક્ષ , ન ઈંડા
કાંઈ અવાજ નહી, કાંઈ નહી
હમણાં અહીં હતાં, હવે નથી
ભરી ભરી સૃષ્ટિમાંથી કંઈ આમ ઓછું થઇ જાય
અને આસપાસ કોઈ ફરક સુદ્ધાં નહી?
નીચે ખાઈમાં કંઈ દેખાતું નથી, છતાં લાગે છે કે,
ઈંડા હજી શોધી રહ્યાં છે, ગરમી ,
ખાઈમાં પડેલી બંધિયાર હવામાંથી.
વૃક્ષ હજુ ઝાવાં નાખી રહ્યું છે,
પર્વતની અવાસ્તવિક માટી પકડી લેવા માટે
નિરાધાર વૃક્ષ
નોંધારાં ઈંડા.
ખાઈમાં ઘૂમરાતા , પવનમાં
નિ:શબ્દ વલોપાત છે.
પર્વતો સ્થિર , મૂંગામંતર
સાંભળી રહ્યા છે.
અકળાવી નાખે તેવી હોય છે ,
આ પર્વતોની શાંતિ.
મારે હવે જોવા છે,
આખા ને આખા પર્વતોને તૂટી પડતા
ખાઈનું રુદન
મોં ફાટ બહાર આવે તે મારે સાંભળવું છે.

– મનીષા જોશી

કવયિત્રીની લાક્ષણિક કવિતા છે આ !! ‘ પાકિઝા ‘ પિક્ચરમાં એક ડાયલોગ છે – ‘ યહ કોહરે કી ઝમીં ઉપર ધુંએ સે બની હુઈ દુનિયા હૈ જો કિસી કો પનાહ નહીં દે સકતી ‘ …..જે જમીનમાં વૃક્ષના મૂળિયાં છે તે જમીન-ભેખડ એટલે જગતની value system – પ્રત્યેક વ્યક્તિનું થઈ જતું/કરવામાં આવતું conditioning. પાયા જ નિર્બળ-નમાલા છે….ખાઈ એટલે રાગ-દ્વેષ ઇત્યાદિથી રચાતું અજ્ઞાનરૂપી કળણ… માનવી પ્રયત્ન કરે….તરફડે, પણ બહાર ન નીકળી શકે. જ્યાં સુધી ભૂમિ જ દગો આપતી રહેશે ત્યાં સુધી…………

Comments (5)

શું શું સાથે લઈ જઈશ હું? – ઉમાશંકર જોશી

શું શું સાથે લઈ જઈશ હું?

કહું ?

લઈ જઈશ હું સાથે
ખુલ્લા ખાલી હાથે
પૃથ્વી પરની રિદ્ધિ હૃદયભર-

વસન્તની મ્હેકી ઉઠેલી ઉજ્જ્વલ મુખશોભા જે નવતર,
મેઘલ સાંજે વૃક્ષડાળીઓ મહીં ઝિલાયો તડકો,
વિમળ ઊમટ્યો જીવનભર કો અઢળક હૃદય-ઉમળકો,
માનવજાતિ તણા પગમાં તરવરતી ક્રાન્તિ
અને મસ્તકે હિમાદ્રિશ્વેત ઝબકતી શાન્તિ,
પશુની ધીરજ, વિહંગનાં કલનૃત્ય, શિલાનું મૌન ચિરંતન,
વિરહ-ધડકતું મિલન, સદા-મિલને રત સંતન
તણી શાન્ત શીળી સ્મિતશોભા,
અંધકારના હૃદયનિચોડ સમી મૃદુ કંપિત સૌમ્ય તારકિત આભા,
પ્રિય હૃદયોનો ચાહ
અને પડઘો પડતો જે ‘આહ!’
મિત્રગોઠડી મસ્ત, અજાણ્યા માનવબંઘુ
તણું કદી એકાદ લૂછેલું અશ્રુબિન્દુ,
નિદ્રાની લ્હેરખડી નાની-કહો એક નાનકડો
સ્વપ્ન-દાબડો,
(સ્વપ્ન થજો ના સફળ બધાં અહીંયા જ)
– અહો એ વસુધાનો રસરિદ્ધિભર્યો બસ સ્વપ્ન-સાજ!-

વઘુ લોભ મને ના
બાળકનાં કંઈ અનંત આશ-ચમકતાં નેનાં
લઈ જઈશ હું સાથે
ખુલ્લા બે ખાલી હાથે
ખુલ્લા બે ‘ખાલી’ હાથે ?

– ઉમાશંકર જોશી

જવાનો સમય આવી ગયો છે. સવાલ છેઃ સાથે શું લઈ જવું? સિકંદર ખાલી હાથે ગયેલો. પોતાની સંપત્તિમાંથી કશું સાથે નહોતો લઈ જઈ શકેલો. કવિ પણ ખાલી હાથે જ જવાનું મુકરર કરે છે. પણ શહેનશાહ અને કવિમાં એક ફરક છે – કવિ ખાલી હાથ સાથે પણ પોતિકી બધી ય સંપત્તિ સાથે લઇ જવા સમર્થ છે. કારણ કે કવિની સંપત્તિ જ અલગ જાતની છે. કવિની સંપત્તિનું મોહક વર્ણન વાંચીને તમને પણ એક વાર મરવા તૈયાર થઈ જાવાનું મન ન થઈ જાય તો પૈસા પાછા !

(તસ્વીર સૌજન્યઃ વેલરી એવરેટ)

Comments (7)

ભીંત ઉપર – રાધિકા પટેલ

મને ભીંત જરા પણ પસંદ નથી;
કારણ કે મને આકાશ ગમે છે..!!
હું કઈ કીડી નથી કે ચાલ્યા કરું – હારબંધ.
હું ગરોળી પણ નથી કે રાહ જોયા કરું.
હું ફેંકી દઉં મારા કપાળનો સૂરજ આ ભીંત પર તો-
ક્ષણમાં રાખ
બધુંય.
મારે ભીંત પર ટકોરા પાડવાની જરૂર નથી;
હું મારા અવાજથી ખેરવી શકું છું-
ફક્ત પોપડી જ નહિ-રંગ, રેતી, ઈંટ અને સિમેન્ટ સુધ્ધાં..!!
હું મારા નખથી ખોતરી શકું છું – એમાં બારી અને દરવાજો.
પાણી બતાવું એને તો તરવા લાગે-એ.
કે પછી કેશ વડે ઝાટકી નાખું-આખું ચોમાસું એના પર…!!
હું એક દરિયો ચીતરી શકું છું એના પર – નજર ફેરવીને.
મારી આંગળીના ટેરવેથી હું ઉગાડી શકું છું, બગીચો-ભીંત પર.
મને ફૂંક મારી એમાંથી પંખી ઉડાડતા આવડે છે..!!
જો હું એના પર હથેળી ફેરવું…
પ્રેમથી….
તો, છૂટી જાય એનું-
ભીંતપણું..!
સારું છે કે મેં હજુ સુધી એને ચૂમી નથી-
નહીંતર….!!
હું બીજું ઘણુંય કરી શકું છું.
મારામાં હજુય મોજુદ છે-
મારુ પીપળાપણું…!!

– રાધિકા પટેલ

કલ્પનોની તાજગી અને નાવીન્યસભર રજૂઆત એ નવા સર્જકો તરફથી મળતું મોટામાં મોટું સુખ છે. ફેસબુક જેવા સોશ્યલ મિડિયા પરથી સારા સર્જકો સતત મળતા રહે છે. રાધિકા પટેલનું નામ કદાચ આવી યાદીમાં ઊમેરી શકાય.

ભીંત સ્થિરતાનું, વિભાજનનું, જડતાનું પ્રતીક છે એટલે જ કાવ્યનાયિકાને ભીંત જરા પણ પસંદ નથી. ‘જરા પણ’ વચ્ચે ઊમેરીને નાપસંદગીને જે રીતે દૃઢતાપૂર્વક કવયિત્રી પ્રગટ કરે છે એની પણ મજા છે. આકાશ એને પસંદ છે કેમકે આકાશ ગતિશીલતા, ખુલ્લાપણા અને સજીવતાનું પ્રતીક છે. આકાશમાં અવકાશ છે. આરપાર જઈ-જોઈ શકાય છે. ભીંત પર કતારબંધ કે રાહબંધ જીવન વ્યતિત કરતાં કીડી-ગરોળી હોવાનો પણ નાયિકાને સાફ ઈન્કાર છે. હનુમાનને પોતાની તાકાત યાદ કરાવવા માટે જાંબુવાનની જરૂર હતી પણ નાયિકા જાત વિશે સ્પષ્ટ છે. ગુસ્સાથી, અવાજથી, નખથી, વાળ ઝાટકતાં ઊડતાં પાણીથી નાયિકા ભીંતને હતી-ન હતી કરી દેવા સક્ષમ છે. ભીંત પર બગીચો ઊગાડી, પંખી વસાવી એ નિર્જીવમાં પણ પ્રાણ પૂરી શકે છે. અને સુપેરે માહિતગાર છે પોતાના પ્રેમની તાકાતથી પણ કે પ્રેમભર્યા એક સ્પર્શ માત્રથી ભીંતનું ભીંતત્ત્વ જ ખતમ થઈ જશે અને કશું જ કારગત ન નીવડે તો પીપળાની જેમ પોતાને ભીંત ફાડીને ઊગી નીકળતાય આવડે છે…

સરવાળે કોઈપણ પરિસ્થિતિમાં હાર ન માનવાનો, ગુસ્સાથી લઈને પ્રેમ સુધી અને અવાજથી લઈને સ્પર્શ સુધી, ચુંબનથી માંડીને મૂળિયાં નાંખીને ચીરી નાખવા સુધી – યેનકેન પ્રકારે ભીંત જેવા જડ સંબંધોમાં પણ પ્રાણ પૂરી શકવાનો સ્ત્રીગત જુસ્સો અને આત્મવિશ્વાસ આ કવિતાનો સાચો પ્રાણ છે… ભીંત તો માત્ર પ્રતીક છે.

Comments (11)

યાદી – અશ્વિની ધોંગડે

ચોખા પાંચ કિલો
ઘઉં દસ કિલો
ખાંડ દસ કિલો
ગોળ બે કિલો

દિવસે દિવસે ભાવ ભડકે બળે છે
યાદીમાં થોડી કાપકૂપ કરવી પડશે.

મગની દાળ ત્રણ કિલો
તુવેર દાળ બે કિલો

વીજળીનું બિલ ભરવાનું છે
એલ.આઇ.સી.નો ચેક લખવાનો છે.

સાબુના લાટા બે
જીરુ સો ગ્રામ
રાઇ એક કિલો

કેટલા વર્ષો સુધી કર્યા કરવાની
એની એ જ યાદી

કંટાળો એક કિલો
ત્રાસ બે કિલો

– અશ્વિની ધોંગડે

એક ગૃહિણી ખરીદીની યાદી લખતી જાય છે. અને સાથે મન વિચાર કરતું જાય છે. વર્ષોનો ક્રમ છે. રોજનું રુટિન છે. વર્ષોથી એકસરખી યાદી છે. હવે છેલ્લે છેલ્લે માત્ર બે ચીજ ઉમેરાયેલી છેઃ કંટાળો અને ત્રાસ.

જીવનની ક્રૂર ઘરેડનું કડવુંવખ ચિત્ર.

Comments (6)

અજાણ્યો નાગરિક -ડબ્લ્યુ. એચ. ઑડેન (અનુ.: વિવેક મનહર ટેલર)

(જે.એસ./07એમ378
આ આરસનું સ્થાપત્ય
રાજ્યસરકાર વડે ઊભું કરાયું છે)

એના વિશે અંકશાસ્ત્રના ખાતા દ્વારા તપાસમાં જણાયું છે કે
એની સામે કોઈ અધિકૃત ફરિયાદ નહોતી,
અને એના વર્તન વિશેના બધા જ અહેવાલો સહમત છે એ વાતે
કે, એક જૂનવાણી શબ્દના આધુનિક સંદર્ભમાં,
એ એક સંત હતો,
કેમકે એણે જે બધું કર્યું, એણે સમાજની સેવા જ કરી.
એ નિવૃત્ત થયો ત્યાં સુધીમાં, એક યુદ્ધને બાદ કરતાં,
એ ફેક્ટરીમાં કામ કરતો હતો અને કદી છૂટો કરવામાં આવ્યો નહોતો,
પણ સંતોષ્યા હતા, ફજ મોટર્સ ઇન્ક.ના માલિકોને.
એ એની દૃષ્ટિએ બદમાશ કે વિચિત્ર નહોતો,
કેમ કે એના યુનિયને રિપોર્ટ કર્યો છે કે એણે બધું કર્જ ચૂકવી દીધું હતું,
(એના યુનિયન વિશેનો અમારો રિપોર્ટ કહે છે કે એ યોગ્ય હતું)
અને અમારા સામાજિક મનોવિજ્ઞાન કાર્યકર્તાઓ શોધ્યું હતું કે
એ એના સાથીઓમાં પ્રિય હતો અને એને શરાબ ગમતો હતો.
અખબારોને ખાતરી છે કે એ રોજ અખબાર ખરીદતો હતો
અને જાહેરખબરો વિષયક એના પ્રતિભાવો દરેક રીતે સામાન્ય હતા.
એના નામ પર લેવાયેલી પોલિસી સાબિત કરે છે કે એણે પૂર્ણપણે વીમો ઉતરાવ્યો હતો,
અને એનું આરોગ્ય-પત્રક સૂચવે છે કે એ એકવાર હૉસ્પિટલમાં દાખલ થયો હતો પણ સારો થઈને છોડી ગયો હતો.
બંને સંશોધન તથા ઉચ્ચ-સ્તરીય જીવન નિર્માતાઓ જાહેર કરે છે કે
એ હપ્તા પદ્ધતિના ફાયદાઓથી સંપૂર્ણપણે વાકેફ હતો
અને આધુનિક માનવીને આવશ્યક તમામ ચીજો એની પાસે હતી,
મોબાઇલ, રેડિયો, કાર અને રેફ્રિજરેટર.
અમારા જાહેર મંતવ્યના સંશોધકો એ વાતે સંતુષ્ટ છે
કે એ સમસામયિક ઘટનાઓ અંગે યોગ્ય અભિપ્રાયો ધરાવતો હતો;
જ્યારે શાંતિ હોય, એ શાંતિના પક્ષમાં રહેતો; યુદ્ધ થાય ત્યારે એ માટે જતો.
એ પરિણીત હતો અને વસ્તીમાં પાંચ બાળકોનો એણે ઉમેરો કર્યો હતો,
જે વિશે અમારા સુપ્રજનનશાસ્ત્રી કહે છે કે એની પેઢીના મા-બાપ માટે યોગ્ય આંકડો હતો.
અને અમારા શિક્ષકો કહે છે કે એ કદી એમના શિક્ષણ અંગે દખલ કરતો નહોતો.
શું એ આઝાદ હતો? શું એ ખુશ હતો? પ્રશ્ન જ અસંગત છે:
જો કંઈક ખોટું હોત, તો અમે ચોક્કસ એ વિશે સાંભળ્યું જ હોત.

-ડબ્લ્યુ. એચ. ઑડેન
(અનુ.: વિવેક મનહર ટેલર)

સત્તાધીશો-રાજકારણીઓની નજરે સામાન્ય નાગરિકની હકીકતમાં શી કિંમત છે એ બતાવતું, છરીની જેમ સીધું જ કલેજાની આરપાર નીકળી જતું કાવ્ય…

Comments (5)

ઈર્શાદગઢ : ૦૩ : અછાંદસ : મારું મૃત્યુ – ચિનુ મોદી

OLYMPUS DIGITAL CAMERA

મારું મૃત્યુ એ નાનીસૂની ઘટના નહીં હોય,
મિત્રો.

અનેક રસ્તાઓ
તમારે એકમાર્ગી બનાવવા પડશે.
અનેક શહેરી વિસ્તારોને
સાઇલન્સ ઝોન ડિક્લેર કરવા પડશે.
વિચારોથી ધમધમતા
અનેક મસ્તિષ્કોમાં
તમારે કરફ્યુ નાખવો પડશે.
મારું મૃત્યુ એ નાનીસૂની ઘટના નહીં હોય,
મિત્રો.

પહેલાં તો તમારે
મારું નવું ડેસ્ટિનેશન શોધી કાઢવું પડશે,
મારું નવું સરનામું
તાર-ટપાલ અને આંગળિયા સર્વિસવાળાને
લખાવી દેવું પડશે.
મારા ફોન-ફેક્સ નંબર જાણવા પડશે.
ઇ-મેઇલ એડ્રેસ મેળવવું પડશે.
મારું મૃત્યુ એ નાનીસૂની ઘટના નથી
મિત્રો.

તમારે નવાં રેલવે સ્ટેશન,
એરપોર્ટ્સ
પૉર્ટ્સ
અને એક્સપ્રેસ હાઇવેઝની
ફેસિલિટિઝ ઊભી કરવી પડશે.
મારું મૃત્યુ એ નાનીસૂની ઘટના નથી
મિત્રો.

મારા નિશ્ચેતન પડેલા દેહને
બાળવા,
દાટવા
કે પાણીમાં પધરાવવાના
વિચાર ન કરશો.
થોડી વારે એ હવાનો હિસ્સો થશે.
મર્યા પછી જીવની માફક જ
દેહ છૂ થઈ જવાનો કિસ્સો
મશહૂર કિસ્સો બનશે.
મારું મૃત્યુ નાનીસૂની ઘટના નથી
મિત્રો.

– ચિનુ મોદી

૨૦૦૯ની સાલમાં ચિનુ મોદી આ અછાંદસ લખી ગયા એ જાણે છેલ્લી ગુડબાય કહેવા માટે જ ન લખ્યું હોય! દેહદાન કરવાનો વિચાર શું એ વખતથી એમના મનમાં ચાલતો હશે? કવિનું મૃત્યુ આમેય નાનીસૂની ઘટના નથી હોતી. કવિ કોઈપણ દેશ-કાળમાં સંસ્કૃતિના સાચા પ્રહરી હોય છે. સિકંદર યુદ્ધમાં પોતાના સૈનિકોને ખાસ આદેશ આપે છે કે આખા નગરને બાળી નાખજો, બધું લૂંટી લેજો પણ કવિઓને કોઈ પણ પ્રકારનું નુકશાન ન કરશો કેમ કે કવિ જ સમાજનો ખરો આત્મા છે.

Comments (1)

પ્રતિક્ષા – પ્રીતિ સેનગુપ્તા

ચોકમાં ચણ નાખીને બેસી રહું છું
મારા બોલાવ્યાથી જ
પંખી આવી નથી જતું.
એ આવે છે એની જ મરજીથી

ફૂલો મધુના ભારથી લચી પડે તો શું?
મન થશે ત્યારે જ
ફરફરતુ
પતંગિયુ આવશે.

રસ્તામાં ખાબોચિયામાં
છબછબિયા કરવાનું મન નથી થતું હવે.
ભેજની શેવાળથી છવાયેલા કાચ પર
નામ લખી દેવાનું તોફાન નથી સૂઝતું હવે

અવરજવર તો રહી
ને ધૂળિયાં પગલાંયે ઘણા પડ્યા
પણ કોઇનાયે પદક્ષેપથી
શલ્યાનો ઉધ્ધાર નથી થયો હજી.

જાણ છું
જે પંખી ના આવે તેને માટે
ચણ નાખીને બેસી રહેવું,
જે પતંગિયુ ભમ્યા કરે તેના માટે
ફૂલોએ સાજ સજવા
જેનો સ્પર્શ થવાનો નથી
એ સુવર્ણમણિની આશામાં તપોમગ્ન રહેવું
તે તો છે
અપાત્રને કરેલું પ્રેમનું દાન…

– પ્રીતિ સેનગુપ્તા

મુદ્દાની વાત કરે છે કવયિત્રી ! માણસ જે કંઈ પણ કરે છે તે સ્વ-હેતુથી કરે છે.

Comments (6)

એક કાવ્ય – બાબુ સુથાર

હું કવિતા નથી લખતો.
હું તો મારી ઇન્દ્રિયો પર લાગેલા લૂણને માત્ર સાફ કરતો હોઉં છું.
હું મારી ભાષાના કેટલાક શબ્દોનું
આયુષ્ય વધારવાનું કામ કરતો હોઉં છું.
મને સામાજીક વાસ્તવિક્તા શું છે
એની ખબર નથી.
મને રૂપાન્તર નામની બલાની પણ ખબર નથી.
મને ‘પદાવલી’, ‘કલ્પન’ જેવા શબ્દો
‘ખમીસ’ અને ‘ચડ્ડી’ કરતાં ઉપયોગી નથી લાગતા.
હું છંદમાં કવિતા નથી કરતો.
પણ હું છંદશાસ્ત્ર જાણું છું.
એ શાસ્ત્રના જ્ઞાનના આધારે
હું એટલું કહી શકું કે
છંદને ધૂપેલની જેમ માથામાં નાખી શકાય નહીં.
એનો કાંસકાની જેમ માથું ઓળવા માટે પણ ઉપયોગ કરી શકાય નહીં.
સાચું પૂછો તો મને છંદ કરતાં ઊલિયું વધારે મહત્વનું લાગે છે.
કેમ કે એનાથી હું આખી રાત દરમિયાન
મારી જીભ પર ભેગો થયેલો કચરો
દૂર કરી શકતો હોઉં છું.

– બાબુ સુથાર

પાંડિત્યપૂર્ણ અલંકૃત ભાષાના બદલે ઘણીવાર કવિતા “મૈં જિસે ઓઢતા બિછાતા હૂં”ના ન્યાયે ઘરેલુ બોલચાલની ભાષામાં વધુ અસરદાર અનુભવાય છે. કવિતામાં નકાર પણ ઘણીવાર બળવત્તર હકારની ભાષા બની રહે છે. અહીં કવિ ઘરેલુ ભાષા અને નકાર -બંને હાથમાં લઈને ચાલે છે. રચનાનું શીર્ષક ‘એક કાવ્ય’ છે પણ રચના શરૂ થાય છે, ‘હું કવિતા નથી લખતો’ના નકારથી. કવિતાના કર્તવ્યથી કવિ પરિચિત છે. કવિતા ઇન્દ્રિયોની સફાઈ કરે છે. એરિસ્ટોટલની પરિભાષામાં કવિતા catharsisનું- અર્થાત્ લાગણીઓના વિરેચન અને શુદ્ધિકરણનું કામ કરે છે, ભાષાને જીવાડવાનું કામ કરે છે અને સામાજીક નિસ્બત પણ રાખે છે. કવિ શરૂમાં કહે છે કે હું કવિતા નથી લખતો પણ પછી કહે છે કે હું છંદમાં કવિતા નથી કરતો. ના ના કરતે પ્યાર તુમ્હીં સે કર બૈઠે! કવિતાના અગત્યના અંગો જેવા કે રૂપાન્તર, પદાવલી, કલ્પન વગેરેનો માત્ર નામોલ્લેખ કરીને છોડી દીધા પછીની અડધોઅડધ કવિતા છંદશાસ્ત્ર વિશે છે. કવિ ભલે છંદમાં કવિતા નથી કરતા પણ ‘એક કાવ્ય’માં અડધાથી વધુ ભાગ છંદને ચરણે સોંપીને હકીકતમાં છંદનો જ મહિમા કરાયો છે. છંદશાસ્ત્રના અભ્યાસુ હોવા છતાં કવિ છંદમાં કવિતા નથી કરતા એ બાબત છંદ શીખ્યા વિના જ અછાંદસનો મહિમા કરનારાઓ માટે સ્પૉટલાઇટ જેવી છે. કવિતાની સાથોસાથ રોજિંદી જિંદગીને સતત જક્સ્ટાપૉઝ કરીને, કવિતાને સતત ઉતારી પાડવાનો કીમિયો કરીને પણ સરવાળે તો કવિને ‘એક કાવ્ય’ જ સિદ્ધ કરવું છે…

Comments (8)

સ્ટેપ્લર – અનિલ ચાવડા

ચમકતું સ્ટીલ જેવું
લાલ પટ્ટીવાળું
લાગણીદાર પીનો પોતાની ભીતર સમાવી રાખતું
ને
વિખરાયેલા સંબંધોના કાગળોને સ્ટેપલ કરતું
એક સ્ટેપ્લર હતું મારી પાસે
નકામા ને ખોટી રીતે સ્ટેપલ થઈ ગયેલા સંબંધોને
ઉખાડવા માટેનો અણીદાર ભાગ પણ હતો તેમાં
હમણાથી એ ભાગ થોડો વધારે પડતો વળી ગયો છે
કંઈ પણ ખોટી રીતે સ્ટેપલ થઈ જાય તો ઉખાડી નથી શકાતું
પીન પણ બરોબર નથી લાગતી કાગળોમાં
સંબંધો વિખેરાઈ જાય છે
ફાટી પણ જાય છે
ક્યારેક હાથમાં વાગી જાય તો લોહીઝાણ થઈ જાય છે આંગળી
બહુ મથ્યો તેને રિપેર કરવા
પણ ન થયું તે ન જ થયું
છેવટે દુકાને ગયો, રિપેર કરાવવા
દુકાનદાર કહે,
‘સ્ટેપ્લર તે કંઈ રિપેર કરાવવાનું હોય? બદલી નાખવાનું હોય!’
પણ એ સ્ટેપ્લર મારી છાતીમાં છે
અને હું એને બદલી નથી શકતો.

– અનિલ ચાવડા

ધારદાર……

Comments (11)

છે ? – કરસનદાસ માણેક

છે પ્રજા
.         સત્તાય છે
.         પણ ક્યાં
.         પ્રજાસત્તાક છે ?

– કરસનદાસ માણેક

સોંસરવો ઉતરી જાય પણ પરાણે સહન કરવો જ પડે એવો પાયાનો પ્રશ્ન. દેશને પ્રજાસત્તાક જાહેર થયાને ૬૮ વર્ષ થયાં… બીજા ૬૮ વીતશે એ પછી પણ આ પ્રશ્ન બદલાય એવું હાલ તો જણાતું નથી…

Comments (3)

The Shadow –Walter de la Mare – અનુ. – દેવિકા ધ્રુવ

સૂરજના છેલ્લાં કિરણો ઢળે,
ને જગત આખું યે
રાતના દરિયામાં ડૂબે;
ત્યારે ઉપર ઊંચે એક મોટો,
ગોળ ચંદ્ર તરે છે.
એના ઉછીના લીધેલા તેજથી,
પથરા,ઘાસ, તરણું,
ઝીણામાં ઝીણું તણખલું
નજરમાં આવે તે સઘળું,
ચમકાવી ધૂએ છે.
ધીરા પગલે હું,
શ્વેત,ચોક્ખી દિવાલ પાસે જાઉં છું.
જ્યાં મારો એક અંગત સંગ
રાહ જોતો ઉભો હોય છે.
એક અનુચર….
શાંત, અક્કડ અને ઉત્તેજક.
હું જે કાંઈ કરું,
બધું જ તે કરે છે!
બિલ્લીથી વધુ ચૂપકીદીથી
મને અનુસરે છે.
મારી ચાલ, અંગભંગ,
આકાર, દેખાવ…
હું વળું કે ફરું,
ભાખોડિયા ભરું કે શિકારીની જેમ ઘૂમું.
બધું જ એ ચાલાકીથી કરે.
ચંદ્રના અજવાળે અને ઘુવડના સંગીત સાથે!
શીશ્શ…હું ધીરો ઈશારો કરું.
આવ, આવ..કોઈ જવાબ ન મળે..
એ અંધ અને મૂંગો છે.
હા, અંધ અને મૂંગો… પડછાયો…
ને જ્યારે હું જઈશ ત્યારે,
આ દિવાલ ખાલી,શૂન્ય,
સફેદ બરફ જેવી રહી જશે!!!!

– દેવિકા ધ્રુવ [ ભાવાનુવાદ ]

* * *

When the last of gloaming’s gone,
When the world is drowned in Night,
Then swims up the great round Moon,
Washing with her borrowed light
Twig, stone, grass-blade — pin-point bright —
Every tiniest thing in sight.
Then, on tiptoe,
Off go I
To a white-washed
Wall near by,
Where, for secret
Company
My small shadow
Waits for me.
Still and stark,
Or stirring — so ,
All I’m doing
He’ll do too.
Quieter than
A cat he mocks
My walks, my gestures,
Clothes and looks.
I twist and turn,
I creep, I prowl,
Likewise does he,
The crafty soul,
The Moon for lamp,
And for music, owl.
” Sst! ” I whisper,
” Shadow, come!”
No answer:
He is blind and dumb.
Blind and dumb,
And when I go,
The wall will stand empty,
White as snow.

– Walter de la Mare

પડછાયાના અસ્તિત્વ માટે આવશ્યક છે પ્રકાશ અને એક સપાટી. પ્રકાશ એટલે સત્ય. સપાટી એટલે દુન્યવી-વ્યવહારુ જીવન. અહીં પ્લેટો વડે વર્ણવાયેલી allegory of cave યાદ આવે છે. વ્યક્તિ જયારે પડછાયાને પડછાયા તરીકે પારખી જશે ત્યારે તેનું દર્શન સ્પષ્ટ થશે.

Comments (3)

તો કહેજો… – દલપત પઢિયાર

એક દિવસ
સોસાયટીના સૌએ ભેગા થઈ
વીજળીના તારને નડતો લીમડો
કાપી નાખ્યો.
તે રાતે
વગડાનાં બધાં ઝાડ
મારી પથારીમાં આવ્યાં હતાં!
મારું એકે મૂળ રાતું થયેલું ન જોતાં
એ બિચારાં પાછાં વળી ગયાં…
હું ઘણી વાર
ઊંઘમાંથી ઝબકી જાઉં છું,
બારણામાં ઝાડનાં પગલાં સંભળાય છે.
મારામાં, મૂળ નાખવા માંડ્યું છે આ ઝાડ !
હું ફરી પાછો
ફણગી જઈશ એવી બીક લાગે છે !
આજે
બીજું ઝાડ કપાયું છે આ વાસમાં
રાત્રે
કોઈ બારણું ખખડાવે
તો કહેજો :
એ અહીં સૂતો જ નથી !

-દલપત પઢિયાર

સિમેન્ટના જંગલની વચ્ચે કેદ મનુષ્યની થીજતી જતી સંવેદનશીલતાની લોહીલુહાણ કરી નાંખે એવી ધારદાર કવિતા. આપણી ભૌતિક સુખસગવડની આડે પ્રકૃતિનું કોઈપણ તત્ત્વ આવે, એને રહેંસી નાંખતા આપણે ઘડીભર પણ વિચારતા નથી. મહોલ્લાના લોકો પાસેથી તો અપેક્ષા ન જ રાખી શકાય પણ પ્રકૃતિ કાવ્યનાયક પાસે સમ-વેદનની આશા રાખે છે. કપાઈ ગયેલું ઝાડ રાતે નાયકના સ્વપ્નમાં આવે છે પણ નાયકે કપાયેલા ઝાડને બચાવવા કોઈ યથાર્થ યત્ન-પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કર્યો જ નથી. ભલે ઝાડ છેદાઈ ગયું પણ નાયકના મૂળમાં કશું કપાયું નથી એટલે એના મૂળિયા લાલ થયા નથી. કવિ એ કુદરતની આખરી આશા છે. આખરી આશા પણ ઠગારી નીવડી છે એટલે કુદરત મૂંગા મોઢે પારોઠના પગલાં ભરે છે. ક્યાંક પોતાનામાં સંવેદનશીલતાના ફણગા ફૂતી આવે એની વળી નાયકને બીક પણ છે એટલે બીજું ઝાડ કપાય છે ત્યારે એ સ્વપ્નમાં પણ એનો સામનો કરવા પણ તૈયાર નથી….

Comments (6)

ओस की बुंदो पर – नेहल

पीली पत्तीओं के रास्तो से हो कर पहुंचे हैं;
उन मौसमो के मकाम पर,
जहां अब तक एक डाल हरी भरी सी है!
फूलों और काँटों से परे,
तितलीओं और भवरों से अलग,
मौसम के बदलते मिज़ाज ठहर गए है वहां!
ढूँढते नहीं वे अब
बहारो के निशान।
डरते नहीं
पतझड़ की तेज हवाओं के
थपेडो से।
हरी भरी डाली झुकी है जिस
निली सी नदी पर
जहां अब पानीओंमें अक्स
बनते-बिगडते नहीं।
समय का फूल;
अब न सूरज की गर्मी से झुलसता है,
न बारिषों में बहता है!
स्फटिक सा रंगहीन फूल
समाये हुए है सारे रंग
अपने अंदर।
सुकून के पाखी
जीते है उसी की
ओस की बुंदो पर।

– नेहल

મનુષ્ય જીવન નું અંતિમ લક્ષ્ય મોક્ષ કે મુક્તિ કે નિર્વાણ કહો એ શબ્દોમાં વ્યક્ત થઈ શકે નહીં. ‘નેતિ નેતિ ‘ દ્વારા એ શું નથી એ જ વર્ણવી શકાય. એ જ રીતે ઉપરોક્ત ઝેન કવિતા દ્વારા ‘સત્ ચિત્ આનંદ ‘ ની સ્થિતિએ પહોંચેલ મન કેવું હોય એ વ્યક્ત કરવાનો પ્રયાસ થયો છે. ‘પીળી પત્તીઓ’ નો સંદર્ભ પાનખર , બધી ૠતુઓ માણ્યા પછીની ૠતુ….હરમાન હેસ ના ‘સિધ્ધાર્થ ‘ની જેમ જીવન ની બધી અનુભૂતિઓ થી પસાર થઈ ને જ મુકત અવસ્થા સમજાય. ‘હરી ભરી ડાળી’ શિશુ સહજ વિસ્મય અને તાજગીભરી નજર થી દુનિયાને, જીવન ને જોવાના સંદર્ભ માટે વપરાયું છે.

મનની મૌસમ એ મુકામ પર આવીને સ્થિર થઈ છે જ્યાં સુખ દુ:ખ ના ફૂલ કાંટા સમાન છે. બાહ્ય આકર્ષણ, ચળકાટ પર ભમતા પતંગિયા અને ભ્રમરવૃત્તિ થી મન આગળ વધી ગયું છે.મન ને હવે વસંત ની પાછળ ભાગતું નથી અને પાનખર ના તોફાનોથી ડરતું નથી, નકારતું નથી. શિશુ સહજ વિસ્મયથી જીવનને નિહાળવા મનનું જળ દર્પણ સ્થિર જોઈએ અથવા એમ કહી શકાય કે જે તે વસ્તુ પરિસ્થિતિઓનું પ્રતિબિંબ વિકૃત કર્યા વગર પાડી શકે.

સમય નિત્ય છે, સ્ફટિક ની જેમ નિર્મળ છે- neutral છે….એમાં બધા રંગો સમાયેલ હોવા છતાં તે તટસ્થ છે. જે વ્યક્તિએ સમયને, કાળને સમજ્યો છે એને જીવનની વિપરીત પરિસ્થિતિઓનો તાપ અસર કરતો નથી. નથી એ વહી જતો સમયના ઝંઝાવાતી વહેણમાં. પાખી..પંખી..મુકત મનનું પ્રતિક છે સુકૂન…શાંતિ….મુક્ત મન જ અનુભવી શકે અને એને પોષતું તત્ત્વ છે સમયનું ઝાકળ…ક્ષણ…જો ક્ષણમાં જીવતા આવડી જાય તો સુકૂન…શાંતિ…મુક્તિ…દુષ્પ્રાપ્ય નથી.

રચના તેમજ રસાસ્વાદ :- ડૉ. નેહલ વૈદ્ય

આ જ કવયિત્રી દ્વારા ચલાવતો સ્વ-રચિત તેમજ અન્ય ગમતી રચનાઓ નો બ્લોગ – www.inmymindinmyheart.com માણવો આપણે ગમશે…

Comments (9)

સાપ્તાહિક કોલમ ~ એક નવી શરૂઆત…

એક નવી શરૂઆત… “ગુજરાત ગાર્ડિયન” દૈનિકમાં દર મંગળવારની પૂર્તિમાં મારી કોલમનો પ્રારંભ… “ગ્લોબલ કવિતા” – અન્ય ભાષાની કવિતાઓનો ગુજરાતી અનુવાદ તથા ટૂંકો આસ્વાદ….

01

જેનીએ ચૂમી લીધો મને

જેનીએ ચૂમી લીધો મને જ્યારે અમે મળ્યા-
જે ખુરશીમાં એ બેઠી હતી એમાંથી ઊછળીને;
કાળ ! ચોર ! તને આદત છે બધી મીઠી વસ્તુઓ
તારી યાદીમાં સમાવી લેવાની, આ પણ નોંધ !
કહેજે કે હું થાકી ગયો છું, કહેજે કે હું દુઃખી છું,
કહેજે કે આરોગ્ય અને સંપત્તિ -બંને મને ચૂકી ગયાં છે,
કહેજે કે હું ઘરડો થઈ રહ્યો છું, પણ ઉમેરજે,
કે જેનીએ ચૂમી લીધો મને.

– જેમ્સ લે હન્ટ
(અનુ. વિવેક મનહર ટેલર)

કવિતાના શબ્દો અને સામાન્ય વાતચીતના શબ્દોમાં તાત્વિક રીતે કંઈ જ ફરક નથી. તો પછી એવું શું હશે જે વાતચીતના શબ્દોને કવિતાની કક્ષાએ લઈ જતું હશે ? જેમ્સ લે હન્ટની આ કવિતા પર નજર નાંખીએ.

પહેલી નજરે જોઈએ તો માણસ પ્રેમમાં પડે ત્યારે સાવ સરળ બાબત પણ કેવી ઉત્તેજના, કેવો ગર્વ જન્માવે છે એનું સર્વાંગસંપૂર્ણ ઉદાહરણ ! એક ચુંબન. સાવ સામાન્ય ઘટના. વિદેશમાં તો બિલકુલ સાહજિક બાબત. પણ ચુંબન કરવાની સામાન્ય પ્રણાલિને ખુરશીમાંથી ઊછળીને ચુંબન કરવામાં આવે છે એમાં જે ‘ઉછળવા’ની ક્રિયા કવિ ઉમેરે છે એ આખી વાતને અસામાન્ય બનાવી દે છે. આગળ જોઈએ તો કવિ સમય સાથે ગુફ્તેગૂ માંડતા નજરે ચડે છે. સમય પર આરોપ છે કે એ બધી મીઠી વાતો પોતાની યાદીમાં સમાવી લેતો હોય છે. ભલભલી યાદોને ચોરી લેતો સમય ઊછળીને કરવામાં આવેલા ચુંબનની આ અનૂઠી ક્ષણ ચૂકી ન જાય એ માટેની કવિની ટકોર વાતને કાવ્યની કક્ષાએ લઈ જાય છે. વાતચીતના શબ્દો કઈ રીતે કાવ્યનું સ્તર આંબી શકે છે એ સમજવા માટે આ કવિતાના શબ્દો અને એની રચના –બંને મદદરૂપ થઈ શકે છે.

લાંબા અંતરાલ પછી કાવ્યનાયક નાયિકા સાથે મુખામુખ થાય છે ત્યારે આનંદના ઉમળકામાં નાયિકા ઊછળીને એને એક ચુંબન ચોડે છે. ઘટના બસ આટલી જ છે. આ ચુંબન, આ સ્નેહાવિર્ભાવ આલિંગન કે પથારી સુધી પણ લંબાતો નથી. પણ ચુંબન પાછળનો જે ઉમળકો છે, જે આવેશ છે એ સ્પર્શી જાય છે. કેમકે કાવ્યનાયક ઊંમરના છેલ્લા પડાવ પર આવી ઊભો છે. સ્વાભાવિક છે કે કાવ્યનાયિકા પણ જરાવસ્થામાં જ છે. નાયક સ્વીકારે છે કે એ થાકી ગયો છે, હારી ગયો છે, દુઃખી પણ ઘણો છે અને તન-મન-ધન, ત્રિવિધ રીતે જીવનમાં નિષ્ફળ ગયો છે. આરોગ્ય કથળ્યું છે. ખિસ્સામાં નિર્ધનતા ભરેલી છે, મનમાં હતાશા. જીવન હારી જતું હોય છે, માણસ હારી જતો હોય છે પણ પ્રેમ ? પ્રેમ કદી હારતો નથી. પ્રેમ જ ખરું પ્રેરકબળ છે જે જીવનની સાંકડી ગલીમાંથી સોંસરા કાઢી આપે છે આપણને.

એક અવસ્થા સુધી માણસ પોતાની સ્થિતિ સામે સતત લડતો રહે છે પણ પછી એક સમયે એ પરિસ્થિતિને સ્વીકારી લેવાની સમ્યક્ અવસ્થા પર આવી ઊભે છે. ગાલિબ યાદ આવી જાય: ‘रंज़ से खूंगर हुआ इंसान तो मिट जाता है रंज़, मुश्किलें मुझ पर पडी इतनी कि आसान हो गई । (માણસ જ્યારે દુખનો આદિ થઈ જાય છે, ત્યારે દુઃખ મટી ગયેલું અનુભવાય છે. મુસીબતોનો બોજ જ્યારે સહનશક્તિની તમામ હદો પાર કરી જાય છે ત્યારે એ મુસીબતો પછી મુસીબત જણાતી નથી.) નાયક પોતાના હારેલ-થાકેલ ઘડપણને સ્વીકારીને નાયિકાની સન્મુખ આવી ઊભે છે કેમકે બધું જ હારી દીધા પછી પણ સ્નેહ પરની શ્રદ્ધા હજી ગત થઈ નથી. સુન્દરમે લખ્યું હતું, ‘જગતની સર્વ કડીમાં સ્નેહની સર્વથી વડી.’ નાયિકાનું ચુંબન સ્નેહની આ સર્વથી વડી કડીની પ્રતીતિ કરાવે છે.

નાયક સમયને જે ઉપાલંભ આપે છે આગળ કહ્યું એમ આ કાવ્યનો પ્રાણ છે. સમય ભલભલા ઘાનું સિદ્ધ ઔષધ છે. સારું-નરસું બધું જ સમય પોતાના પાલવમાં ભેદભાવ વિના સમાવી લે છે. પણ કવિ એને જે ચીમકી આપે છે એની મજા છે. કવિ સમયને કહે છે કે તું તારી ડાયરીમાં બધું જ નોંધી લેજે. મારી બરબાદી, મારો વિનાશ, મારી રોગિષ્ઠાવસ્થા, મારું ઘડપણ – બધું જ પણ હું જ્યારે જેનીને મળ્યો ત્યારે જેનીએ આ ઉંમરે પણ ખુરશીમાંથી ઊછળીને મને જે ચુંબન કર્યું એ નોંધવાનું ભૂલીશ નહીં કેમકે આ ચુંબન, આ સ્નેહ, નાયકની તમામ મોરચે થયેલી હાર પછી પણ નાયકનો સ્નેહપૂર્વક સ્વીકાર એ નાયકની જિંદગીની સાચી ઉપલબ્ધિ છે. આ જીત, આ પ્રાપ્તિ, આ દોલત સંસારની સમસ્ત સંપત્તિ કરતાં વધુ મૂલ્યવાન છે. સ્નેહ જ જીવનનો સાચો અર્થ છે.

રચનાની દૃષ્ટિએ જોઈએ તો અંગ્રેજીમાં જવલ્લે વપરાતા ટ્રોકેઇક મીટર (સ્વરભારવાળો શબ્દાંશ પછી સ્વરભારહીન શબ્દાંશ)નો અહીં પ્રયોગ થયો છે. સામાન્યરીતે અંગ્રેજી કવિતામાં આયેંબિક પેન્ટામીટરનો પ્રયોગ વધુ થાય છે જેમાં લઘુ-ગુરુ એમ સ્વરભારની યોજના જોવા મળે છે પણ અહીં સ્વરભારનો પ્રયોગ આનાથી ઊલટી રીતે –ગુરુ-લઘુ, ગુરુ-લઘુ – થાય છે. જેના કારણે કાવ્યપઠનની પદ્ધતિ પણ બદલાય છે જે અલગ પ્રકારની ફ્લેવર સર્જે છે. મૂળ અંગ્રેજી કવિતામાં અબઅબ-કડકડની પ્રાસરચના પણ પરંપરાથી જરા ઉફરી ચાલે છે. આ કવિતા વિશ્વ સાહિત્યમાં એટલી બધી પ્રસિદ્ધ થઈ છે કે ઢગલાબંધ લોકોએ આની પ્રતિ-કવિતાઓ પણ રચી છે.

એવી વાયકા છે કે ફ્લુની લાંબી બિમારીમાંથી ઊઠીને હન્ટ જ્યારે થોમસ કાર્લાઇલને મળવા જાય છે ત્યારે એની પત્ની જેન વેલ્શ કાર્લાઇલ ખુરશીમાંથી ઉછળીને એને ચૂમે છે. બે દિવસ પછી હન્ટનો નોકર આ કવિતા જેનને આપી જાય છે.
*

Jenny kiss’d me when we met,
Jumping from the chair she sat in;
Time, you thief, who love to get
Sweets into your list, put that in!
Say I’m weary, say I’m sad,
Say that health and wealth have miss’d me,
Say I’m growing old, but add,
Jenny kiss’d me.

– James Henry – Leigh Hunt

Comments (11)

ફ્રાન્સિસ્કા – એઝરા પાઉન્ડ (અનુ. વિવેક મનહર ટેલર)

રાત્રિના અંધકારમાંથી તું બહાર આવી
અને તારા હાથમાં ફૂલો હતાં,
હવે તું લોકોના ગૂંચવાડામાંથી બહાર આવશે,
તારા વિશેના અવાજોના કોલાહલમાંથી.

હું જેણે નિહાળી છે તને આદિમ ચીજો વચ્ચે
ગુસ્સે હતો જ્યારે એ લોકો તારું નામ બોલતા હતા
સામાન્ય જગ્યાઓ પર.
કાશ ! ઠંડાગાર મોજાં મારા માથા પર ફરી વળે,
અને આ દુનિયા મરેલાં પાંદડાની જેમ સૂકાઈ જાય,
અથવા ડૅન્ડિલિઅનની દાંડી પરથી ઊડતા બીજની જેમ ઊડી જાય,
જેથી હું તને ફરીથી મેળવી શકું,
એકલી.

– એઝરા પાઉન્ડ
(અનુ. વિવેક મનહર ટેલર)

*
એક પ્રિયતમા જેની સાથે એકાંતમાં સાવ અંગત ક્ષણો વિતાવી છે એ આજે હવે જીવનમાં નથી રહી. એની જાહેર જિંદગી પર પ્રશ્નો ઊઠી રહ્યા છે, આંગળી ચિંધાઈ રહી છે જે કવિને પસંદ નથી. રાત્રિનો અંધકાર એ બદનામીનો અંધકાર છે. લોકોને જ્યારે ચોરે ને ચૌટે પોતાની પ્રેયસીનું નામ બોલતાં કવિ સાંભળે છે ત્યારે ઈર્ષ્યા અને ગુસ્સો બંને જન્મે છે. મન થાય છે કે કાશ મગજ શાંત થઈ જાય એવી કોઈ ઘટના બને અથવા દુનિયા આખીનો નાશ થઈ જાય જેથી તારી અને મારી વચ્ચે કોઈ બચે જ નહીં અને પોતે પ્રેયસીને પુનઃ મેળવી શકે. છેલ્લી પંક્તિમાં જે ‘એકલી’ શબ્દ એકલો વપરાયો છે એ પ્રેમની પઝેસિવનેસ ઈંગિત કરે છે, જેની પ્રબળતા આપણને “તારા રૂપની પૂનમનો પાગલ એકલો” તરત યાદ કરાવી દે છે…

ફ્રાન્સિસ્કા શીર્ષક કવિએ કેમ વાપર્યું હશે એ એક કોયડો છે. એઝરા પાઉન્ડ ‘ઇમેજીઝમ’ના રસ્તે વળ્યા એ પૂર્વેનું આ કાવ્ય શું તેરમી સદીમાં થઈ ગયેલ ગીડોની પુત્રી ફ્રાન્સિસ્કા, જે પોતાના દિયરના પ્રેમમાં પડી હતી અને પતિના હાથે જેની દિયસ સાથે હત્યા થઈ હતી, જે મહાકવિ દાન્તેની ‘ડિવાઇન કોમેડી’માં પણ એક નાયિકા છે, એને સ્મરીને લખાયું હશે? કોઈ પ્રકાશ પાડી શકશે?

*
Francesca – Ezra Pound

You came in out of the night
And there were flowers in your hands,
Now you will come out of a confusion of people,
Out of a turmoil of speech about you.

I who have seen you amid the primal things
Was angry when they spoke your name
In ordinary places.
I would that the cool waves might flow over my mind,
And that the world should dry as a dead leaf,
Or as a dandelion seed-pod and be swept away,
So that I might find you again,
Alone.

Comments (3)

જળપરી અને દારૂડિયાઓની દંતકથા – પાબ્લો નેરુદા (અનુ. ઉદયન ઠક્કર)

પુરુષો બેઠા હતા
ત્યારે એ અંદર આવી, સાવ નિર્વસ્ત્ર
તેઓ ઢીંચતા હતા: તેમણે થૂંકવા માંડ્યું
એ નદીમાંથી તાજી જ નીકળી હતી, અબુધ-અણજાણ
એ માર્ગ ભૂલેલી જળપરી હતી
અપમાનો વહી ચાલ્યાં એની ચળકતી માંસપેશીઓ પરથી
બિભત્સ રસમાં ડૂબતાં ગયાં એનાં સોનેરી સ્તન
અશ્રુથી અજાણી હોઈ એણે અશ્રુ ન સાર્યાં
વસ્ત્રોથી અજાણી હોઈ એણે વસ્ત્રો નહોતાં પહેર્યાં
તેમણે ખરડી એને, બળેલા બૂચ અને બીડીનાં ઠૂંઠિયાંથી
તેઓ હસીહસીને લોટપોટ થઈ ગયા, પીઠાની ફરસ પર
એ બોલી નહિ કારણ કે એની પાસે વાચા નહોતી
એની આંખોનો રંગ, આઘેઆઘેના પ્રેમ જેવો
એના હસ્તની જોડ, શ્વેત પોખરાજમાંથી ઘડેલી
એના હોઠ ફરક્યા હળવે હળવે, પરવાળાના પ્રકાશમાં
એકાએક નીકળી ગઈ એ બારણાની બહાર
નદીમાં ઊતરતાંવેંત થઈ ગઈ નિર્મળ
વર્ષામાં ચળકતા સ્ફટિક સમી
અને પાછું જોયા વિના એણે તરવા માંડ્યું
તરવા માંડ્યું શૂન્ય તરફ, તરવા માંડ્યું મૃત્યુ તરફ

– પાબ્લો નેરુદા
(અંગ્રેજી પરથી અનુ. ઉદયન ઠક્કર)

કવિશ્રી ઉદયન ઠક્કરના જ શબ્દોમાં આસ્વાદ પણ માણીએ:

પીઠામાં પુરુષો બેઠા હતા ત્યારે એક જળપરી અંદર આવી, ‘સાવ નિર્વસ્ત્ર’- સત્ય ઢાંકપિછોડો ન કરે, એ તો ફરે ઉઘાડેછોગ. ‘તેઓ ઢીંચતા હતા’- ધ વર્લ્ડ ઇઝ નોટ ઇન ઇટ્સ સેન્સિસ, વિશ્વ વિવેકબુદ્ધિ ખોઈ બેઠું છે. ‘તેમણે થૂંકવા માંડ્યું’- મહામાનવ બનવું કપરું છે, પણ મહામાનવને ગાળ આપવી સહેલી છે. દારૂડિયો ઊલટી ન કરે તો બીજું કરેય શું? ‘નદીમાંથી તાજી જ નીકળી હતી’- નદીના તાજા જળ સાથે થૂંકનો વિરોધ ઊડીને આંખે વળગે તેવો છે. ‘માર્ગ ભૂલેલી’- ક્યાં જળપરી અને ક્યાં પીઠું? જળનો જીવ સ્થળ પર આવી ચડ્યો! માર્ગથી ચ્યુત કોણ થયું? જળપરી કે દારૂડિયાઓ? ‘અપમાનો’ ‘બિભત્સ રસ’- જળપરીનો દોષ એટલો જ કે એ સુંદર હતી.’વહી ચાલ્યાં’ ‘ડૂબતાં ગયાં’- પરી જળમાંથી આવી હોવાથી કવિ વહેવું-ડૂબવું ક્રિયાપદો પ્રયોજે છે. દારૂડિયાઓ સ્તન સુધી તો પહોંચ્યા પણ મન સુધી નહિ. ‘માંસપેશીઓના ચળકાટ’થી વધુ તેમને કશું ન દેખાયું કારણ કે તેમને આંખો હતી પણ દ્રષ્ટિ નહોતી.

‘તેમણે ખરડી એને’- પરીના સ્તર સુધી ન પહોંચાયું માટે તેમણે પરીને પોતાના સ્તરે પછાડી. સેડિઝમ- પરપીડનના આનંદથી શરાબીઓ ઝૂમી ઊઠ્યા. જળપરીએ પ્રતિકાર ન કર્યો, મૌન રહી. જળપરી લૌકિક નહિ પણ અલૌકિક હતી એ દર્શાવવા કવિ રહસ્યમય રીતે વર્ણન કરે છે. જળને તળિયે ખીલતા પરવાળાના પ્રકાશમાં એના હોઠ ફરક્યા, હળવે, હળવે.

‘એકાએક નીકળી ગઈ એ’- નીતર્યા નિર્મળ જીવને જગત ઝાઝું ન જાળવી શકે. જોન ઓફ આર્ક ઓગણીસમા વર્ષે ગઈ, ઈસુ ગયા ત્રીસ કે પાંત્રીસે. જળપરી શેનું પ્રતીક છે? નિર્દોષતાનું? પ્રકૃતિનું? સંસ્કૃ તિનું?

-ઉદયન ઠક્કર

Fable of the Mermaid and the Drunks

All those men were there inside,
when she came in completely naked.
They had been drinking: they began to spit.
Newly come from the river, she knew nothing.
She was a mermaid who had lost her way.
The insults flowed down her gleaming flesh.
Obscenities drowned her golden breasts.
Not knowing tears, she didn’t cry tears.
Not knowing clothes, she didn’t have clothes.
They blackened her with burnt corks and cigarette butts,
and rolled around laughing on the tavern floor.
She did not speak because she couldn’t speak.
Her eyes were the color of distant love,
her twin arms were made of white topaz.
Her lips moved, silently, in a coral light,
and suddenly she left by that door.
Entering the river she was cleaned,
shining like a white rock in the rain,
and without looking back she swam again
swam toward emptiness, swam toward death.

– Pablo Neruda

Comments (6)

મન – ચિનુ મોદી

માદરબખત મન, જો તારે હોત તન
અંગે અંગે કાપત તને, ઘાએ ઘાએ
મીઠું ભરત; અરે, ઉગાડત ગૂમડાં
અને પાકવા દઈ પરુ કરત, દદડતા
પરુ પર માખીઓનાં કટક ઉતારત
અને…
પણ, તું તો ઈશ્વર જેવું અદેહી છે,
છટકતો પવન છે. ચાલેલા ચરણનું
ચિહ્ન હોત તો શોધી કાઢત પગેરું
ને તોડી નાખત તારા પગ…
માંસમજ્જાની આ થપ્પીઓની ઓથે
તું ભરાઈ તો બેઠું છે, પણ, ક્ષણોનું
જ્યારે પૂરું થશે રણ, ત્યારે પરી જેવી
પાંખ તને ન ફૂટે, એવો આપીશ શાપ…

– ચિનુ મોદી

કવિતાની શરૂઆત જ ચોંકાવી દે એવી છે. મનને કવિ જે રીતે ગાળ આપીને સંબોધે છે એના પરથી જ ખ્યાલ આવી જાય છે કે આજે મનનું આવી બનવાનું. મન સાથે કવિને શું વાંધો પડ્યો છે, કેમ પડ્યો છે એ તો કવિતામાં અધ્યાહાર જ રહે છે પણ કેટલો વાંધો પડ્યો છે એ તો શબ્દે-શબ્દે ને પંક્તિએ પંક્તિએ ડોકાય છે.

કવિનું ચાલે અને જો મનને શરીર હોત તો કવિ એના પર પોતાની ખીજ શી રીતે કાઢત એનું અદભુત વર્ણન કર્યા પછી અચાનક ‘અને…’ કહીને અટકી જાય છે. ઈશ્વરની સાથે સરખાવીને મનની અદૃશ્યતા અને સર્વોપરિતા – એમ બંનેનો સ્વીકાર કર્યા પછી પણ કવિ હજી મનના ટાંટિયા તોડી નાંખવાની જ ફિરાકમાં છે. અંતે ક્ષણોનું રણ પૂરું થવાની વાત જીવનના અંતને નિર્દિષ્ટ કરે છે. કવિ મનને કદી મનફાવે ત્યાં ને તેમ ઊડી ન શકાય એવો શાપ અંતકાળે આપવાનું નિર્ધારે છે એમાં ગુસ્સો, ખીજ, ચીડ અને અંતે મનનું કંઈ જ બગાડી ન શકવાની નપુંસકતા છતી થાય છે. થાકેલો, હારેલો માણસ શાપ આપવા સિવાય બીજું કરી પણ શું શકે ?

Comments (8)

આજની રાત હું ઉદાસ છું – હરીન્દ્ર દવે

રાત્રિને કહો કે આજે
એની ચમકતી ટીપકીઓવાળી ઓઢણી ઓઢે,
રસ્તાને કહો કે ધીમે ધીમે ઊઘડતા
ફૂલની પાંખડી માફક એ સામો આવે,
વૃક્ષોને કહો કે એના પર્ણોમાં
એ કોઇ અજબની રાગિણી વગાડે.
હવાને કહો કે આજની રાત એ ધીમેથી લહેરાય –

આજની રાત હું ઉદાસ છું
અને મારે સૌને પુલકિત કરે એવું ગીત રચવું છે

બ્રહમાંડમાં બજી રહેલું અલૌકિક સંગીત
મારા કાને ન અથડાય એવું કરો,
મારે તરણાંએ પહેરેલાં ઝાકળનાં
નેપૂર સાંભળવા છે;
મધદરિયે મોજાંને પહેરાવેલા વલય
મારે ઉતારી લેવા છે;
વાદળથી ધરતી સુધી લંબાતા વરસાદના તારને
બે હાથ લંબાવી માપી લેવા છે;

આજની રાત હું ઉદાસ છું
અને મારી ખોવાયેલી પ્રસન્નતા
મારે સર્વત્ર વહેંચાયેલી જોવી છે

મિલના ઊંચા ભૂંગળાને કોઇ ચંદનની
અગરબત્તીમાં પલટાવી દો,
સિમેંટ-કોંક્રિટનાં મકાનોને કોઇ સરુવનમાં
ફેરવી દો;
આંખની કીકીઓને કોઇ ચંદ્ર પર ચિટકાડી દો;
માણસોનાં ટોળાંને કોઇ સાગરની લહેરોમાં
લહેરાવી દો;

આજની રાત હું ઉદાસ છું અને
મારે ખડખડાટ હસી લેવું છે.

– હરીન્દ્ર દવે

કવિ ઉદાસ છે, પણ એણે સૌને પુલકિત કરવા છે,ખડખડાટ હસવું છે….વિરોધાભાસથી વેદના વધુ ઘેરી બને છે. અતિશોયક્તિ અલંકાર કવિના ઉન્માદને ઉત્કૃષ્ટ રીતે રજૂ કરે છે.

Comments (2)

જેલીફિશ – મરિઆન મૂર (અનુ.: વિવેક મનહર ટેલર)

jelly-fish
(કાતિલ સૌંદર્ય….      …જેલીફિશ, શેડ એક્વેરિયમ, શિકાગો, 2011)

*

દૃશ્ય, અદૃશ્ય,
વધઘટ થતું કામણ,
એક સોનેરી પીળા રંગનો નીલમણિ
એનો નિવાસ; તમારો હાથ
નજીક પહોંચે છે, અને
એ ખુલે છે અને
એ બીડાય છે;
તમે ધાર્યું હતું
એને પકડવાનું,
અને એ સંકોચાઈ જાય છે;
તમે પડતો મૂકો છો
તમારો ઈરાદો –
એ ખુલે છે, અને એ
બીડાય છે અને તમે
એને પકડવા જાવ છો-
એની ફરતે વીંટળાયેલી
ભૂરાશ
ડહોળી થઈ જાય છે, અને
એ દૂર સરી જાય છે
તમારાથી.

– મરિઆન મૂર
(અનુ.: વિવેક મનહર ટેલર)

કવિતાને ડુંગળી સાથે સરખાવી શકાય… એક પડ ઉખેડો ને બીજું નીકળે… બીજું ઉખેડો ને ત્રીજું… અને બધા પડ ઉખેડી નાંખો તો હાથમાં જે શૂન્ય આવે એ જ કદાચ કવિતાની સાચી ઉપલબ્ધિ… પડ પછી પડ ઉખેડવાની પ્રક્રિયા જ કદાચ કવિતાનું સાર્થક્ય છે…

જેમ જેલીફિશ દૂધની કોથળીની જેમ સતત આકાર બદલતી રહે છે એમ આ કવિતા પણ વધતા-ઘટતા કદના અનિયમિત વાક્યો, પ્રાસવિહીન, તાલવિહીન, છંદવિહીન છે. એમ કહી શકાય કે કવયિત્રીએ અહીં કવિતાના આકારની મદદથી જેલીફિશની મૂળભૂત પ્રકૃતિને ચિત્રાંકિત કરી છે. તમારા ઈરાદા પણ અહીં જેલીફિશ અને એ રીતે કાવ્યાકાર જેવા જ છે. તમે જેલીફિશને પકડવા આગળ વધો છો, પાછા વળો છો, વળી આગળ વધો છો…

તમે પકડવા જાવ અને એ સંકોચાય છે, તમે પાછા વળો છો અને એ ખુલે છે. તમે વળી પકડવા જાવ છો અને એ પાણીને ડહોળીને તમારી પહોંચની બહાર સરી જાય છે. જેલીફિશનું પ્રતીક લઈને કવયિત્રી હકીકતમાં કવિતા અને એ રીતે તમામ પ્રકારની કળાની જ વાત કરે છે. તમે સાયાસ એને સમજવાની કોશિશ કરશો, એમાંથી કોઈ નિશ્ચિત અર્થ તારવવાની કે નિષ્કર્ષ પામવાની ચેષ્ટા જેમ જેમ કરશો, તેમ તેમ કવિતા અને કળાનું હાર્દ તમારી પહોંચની બહાર સરતું જશે. કળા હકીકતે તો માત્ર અનુભૂતિની વસ્તુ છે…

હવે જેલીફિશને ભૂલી જાવ, કવિતાને પણ ભૂલી જાવ અને સ્ત્રીનો સંદર્ભ મૂકી જુઓ… એ પણ આવી જ અકળ ને !!!

*

A Jellyfish

Visible, invisible,
A fluctuating charm,
An amber-colored amethyst
Inhabits it; your arm
Approaches, and
It opens and
It closes;
You have meant
To catch it,
And it shrivels;
You abandon
Your intent—
It opens, and it
Closes and you
Reach for it—
The blue
Surrounding it
Grows cloudy, and
It floats away
From you.

– Marianne Moore

 

Comments (3)

Suchness – Lao-tzu [ trans.- Dr D T Suzuki ]

The Tao is something vague and undefinable;
How undefinable ! How vague !
Yet in it there is a form.
How vague ! How undefinable !
Yet in it there is a thing.
How obscure ! How deep !
Yet in it there is a substance.
The substance is genuine
And in it sincerity.
From of old until now
Its name never departs,
Whereby it inspects all things.
How do I know all things in their suchness ?
It is because of this.

– Lao-tzu [ trans.- Dr D T Suzuki ]

આ કાવ્યનું ભાષાંતર કરવા જતાં એની ઓરિજિનાલિટી મરી જશે તેથી ભાષાંતર કરવાને બદલે [ અત્યંત અચકાટ સાથે ] તેનો ભાવાનુવાદ થોડીક કૉમેન્ટ્સ સાથે રજૂ કરું છું…..અચકાટનું કારણ એ કે હું ચોક્કસ નથી કે જે હું સમજ્યો છું તે સાચું છે અને વળી એને શબ્દોમાં મૂકવાનું પણ મારુ ગજું નથી. માત્ર એક પ્રયત્ન કરું છું –

વેસ્ટર્ન ફિલૉસોફી અને ઈસ્ટર્ન ફિલૉસોફીમાં મૂળભૂત તફાવત intellect નો છે. વૅસ્ટર્નમાં intellect સિવાય કંઈ જ નથી અને ઈસ્ટર્નમાં direct experience – immediacy of realization મહત્વનું છે. સરળ શબ્દોમાં ઈસ્ટર્ન ફિલૉસોફી intuition – અંત:સ્ફૂરણાકેન્દ્રી છે જયારે વૅસ્ટર્ન conceptualization-analysis-intellectual dissection ઉપર અવલંબિત છે.

તાઓ નું અત્યંત અશુદ્ધ ભાષાંતર Way / Path / Flow છે. તેનું શુદ્ધ ભાષાંતર શક્ય નથી. જીવનમાર્ગ કહી શકાય. તાઓ કહે છે કે જયારે તમારી અનુભૂતિને તમે શબ્દોમાં વર્ણિત કરવાનો પ્રયત્ન કરો છો ત્યારે તે છટકી જાય છે અને ઠાલાં શબ્દો રહી જાય છે. આપણે જયારે અદભૂત સૌંદર્ય અથવા અકલ્પનીય પ્રચંડ ભયની સન્મુખ થઈએ છીએ ત્યારે જે સંપૂર્ણ શબ્દહીન,વિચારહીન,તર્કહીન અવસ્થા અનુભવીએ છીએ તે સાચી અનુભૂતિ. જેવું આપણે તેનું વિશ્લેષણ કરવાનું શરુ કરીએ એટલે વિચારો – ‘મન’ – પ્રવેશે અને ‘મન’ સાથે તેના સંખ્યાહીન પૂર્વગ્રહો અને ધારણાઓ પ્રવેશે અને તે સાથે જ સત્ય નાસી છૂટે છે. આ વાતને કાવ્યાત્મક રીતે કાવ્યના પ્રથમ ચરણમાં [ પ્રથમ 9 લીટીમાં ] કહી છે. નિર્મળ શાંત સરોવરમાં ચંદ્રમાનું પ્રતિબિંબ પડે છે ત્યારે ન તો ચંદ્રને ખબર છે કે તે પ્રતિબિંબિત થઇ રહ્યો છે કે ન તો સરોવરને ખબર છે કે પોતે કોઈને પ્રતિબિંબિત કરી રહ્યું છે. બંને માત્ર પોતપોતાના સ્વધર્મને અનુસરી રહ્યા છે અને તે પણ ‘સ્વધર્મ’ જેવા- કર્તુત્ત્વ ના- કોઈ ખ્યાલ વગર ! આ તાઓ છે. તાઓ ભલે અસ્પષ્ટ અને શબ્દ વડે અવર્ણનીય હોય, તે અનુભવી શકાય છે, ચોક્કસ અનુભવી શકાય છે, માત્ર શરત એટલી છે કે સરોવરના કિનારે સાક્ષીભાવે બેસવાનું છે અને ‘મન’ ને દેશનિકાલ કરવાનું છે.

કાવ્યના બીજા ચરણમાં [અંતિમ 5 લીટીમાં ] વિચારબીજ થોડું ગહન બને છે. સરળ ભાષામાં તેને રજૂ કરવું મારી તાકાત બહારનું કામ છે, પરંતુ વાત અત્યંત મહત્વની છે. અહીં ભાષાની [ communication ની ] મર્યાદાની વાત છે. Name એટલે મૂળ તત્વ. શુદ્ધ તત્વ. ઉદાહરણ તરીકે પ્રેમ. એવું મૂળ તત્વ કે જેનું નામ લેતા જ એક સમગ્ર વૈશ્વિક ભાવ – [ પ્લેટો ની ભાષામાં Ideal Form ] અભિપ્રેત થાય છે. એ મૂળ તત્વ અને તેનું નામ પડતા જ આપણી અંદર અનુભવાતી અનૂભૂતિ અવિભાજ્ય છે. આમ મૂળ તત્વો અનાદિકાળથી જડબેસલાક અને નિત્યસત્ય છે. જયારે આપણે, આપણી ભાષા [ કોઈપણ સ્વરૂપમાં – in any form of communication ] તે તત્વને વર્ણવવામાં અસમર્થ થઈ જાય છે ત્યારે મૂંઝવણો અને ગેરસમજોનો પર નથી રહેતો. આથી જ હું પ્રત્યેક વસ્તુ ને તેની ‘suchness’ [ તથતા – અર્થાત મૂળભૂત સ્વરૂપમાં ] માં કઈ રીતે જાણી શકું ? – ત્યારે કે જયારે પ્રચલિત ભાષામાંથી કોઈપણ મૂળ તત્વના સાચા નામને ઓળખીને તે દ્વારા તે મૂળતત્વની અનુભૂતિ કરી શકું ત્યારે. આ માટે ‘નેતિ નેતિ ‘ નો માર્ગ શ્રેષ્ઠ છે જેમાં વ્યક્તિ ભાષાના[expressions ના ] આવરણો દૂર કરતી કરતી અંતે મૂળ તત્વ સુધી પહોંચી શકે છે જ્યાં ‘શૂન્યતા’ છે….. Emptiness છે….. અર્થાત કોઈપણ ‘મન’ નો કલબલાટ નથી, વ્યાખ્યાઓ નથી,પૂર્વધારણાઓ નથી, માત્ર મૂળ તત્વ છે કે જે અસ્તિત્વથી ભિન્ન નથી. Direct experience છે.

હું મારી મર્યાદા માટે ખેદસહિત સભાન છું, ખૂબ જ અસ્પષ્ટ રીતે હું રજૂઆત કરી શક્યો છું. સૌના સૂચનોની રાહ જોઇશ……

Comments (3)

ન્યાય-દંડ – રવીન્દ્રનાથ ઠાકુર [ અનુ – નગીનદાસ પારેખ ]

તારો ન્યાયનો દંડ પ્રત્યેકના હાથમાં
તેં પોતે અર્પણ કરેલો છે.
પ્રત્યેકની ઉપર હે રાજાધિરાજ !,
તેં શાસનભાર નાખેલો છે.
એ તારા મોટા સન્માનને, એ તારા કઠણ કાર્યને,
તને નમસ્કાર કરીને વિનયપૂર્વક શિરોધાર્ય કરું;
તારા કાર્યમાં કદી કોઈથી ન ડરું.

હે રુદ્ર ! ક્ષમા જ્યાં ક્ષીણ દુર્બળતા ગણાય
ત્યાં હું તારા આદેશથી નિષ્ઠુર થઈ શકું.
તારા ઇશારાથી મારી જીભ પર સત્યવાકય
તીક્ષ્ણ ખડ્ગની પેઠે ઝળહળી ઊઠે.
તારા ન્યાયાસન ઉપર પોતાનું સ્થાન લઈને તારું માન રાખું.

અન્યાય જે કરે છે,
અને અન્યાય જે સહે છે,
તેને તારી ઘૃણા ઘાસની પેઠે બાળી નાખે છે.

– રવીન્દ્રનાથ ઠાકુર [ અનુ – નગીનદાસ પારેખ ]

ગુરુદેવ જાણે કે વાચકની પરીક્ષા લે છે ! સત અને અસતની લડાઈ માનવજાત જેટલી જૂની છે. ઘણીવાર અન્યાયનો ભોગ બનનાર વ્યક્તિ અથવા વ્યક્તિ-સમૂહ હિંમતભેર અન્યાયનો સામનો કરવાને બદલે એ કામ પ્રારબ્ધ ઉપર છોડી દે છે – ‘ આતતાયીને સજા ઉપરવાળો કરશે ‘ – એમ મન મનાવે છે. કાવ્યના પ્રથમ અર્ધમાં કવિ એ માનસિકતા સામે લાલબત્તી ધરે છે.

ક્ષમા કોણ આપી શકે ? – જયારે સત્યમાર્ગી એવી શક્તિશાળી પરિસ્થિતિમાં હોય કે જ્યાંથી એકીઝાટકે તે આતતાયીનો વધ કરી શકે તેમ હોય, ત્યારે જો એ આતતાયીને ક્ષમા આપવાનો નિર્ણય કરે તો તે સાચી ક્ષમા. બાકી ગૅસચૅમ્બરના ઊંબરે ઊભેલો લાચાર યહૂદી કહે કે -‘ હું હિટલરને ક્ષમા આપું છું ‘ – તો તે આત્મવંચનાથી વિશેષ કંઈ જ નથી. આથી જ સન્માર્ગીઓનું અનિવાર્ય કર્તવ્ય છે કે સંગઠિત થઈને આતતાયીનો વધ કરવો.

અંતિમ ચરણમાં સંદેશ તો સ્પષ્ટ છે કિન્તુ ઈશ્વરને ઘૃણાના કર્તા તરીકે આલેખ્યો છે. ઈશ્વરની પરિક્લ્પનામાં તેને સ્નેહ-ઘૃણાથી પર કલ્પવામાં આવે છે. આ ગુત્થી હું સુલઝાવી શકતો નથી.

Comments

થ્રી ઓડેસ્ટ વર્ડસ – વિસલાવા ઝિમબોર્સ્કા

હું જ્યારે ‘ભવિષ્ય’ શબ્દ બોલું છું,
ત્યારે એ જ ક્ષણે બોલાયા બાદ
એ ભૂતકાળ થઇ જાય છે.

હું જ્યારે ‘મૌન’ શબ્દ બોલું છું,
એ જ વખતે એ તૂટી જાય છે.

હું જ્યારે ‘નથિંગ’ શબ્દ બોલું છું,
ત્યારે હું કશુંક એવું બનાવી બેસું છું,
જે અનસ્તિત્વની પકડની બહાર છે.

– વિસલાવા ઝિમબોર્સ્કા [ પૉલૅન્ડની નૉબેલ વિજેતા કવયિત્રી ]

Three Oddest Words

When I pronounce the word Future,
the first syllable already belongs to the past.

When I pronounce the word Silence,
I destroy it.

When I pronounce the word Nothing,
I make something no nonbeing can hold.

– Wislawa Szymborska

 

 

જ્યાં શબ્દની\વિચારની સરહદ પૂરી થાય છે ત્યાંથી સત્યની શરૂઆત થાય છે.

Comments (4)

સજા – રીના (અનુ. વિવેક મનહર ટેલર)


તે
કંઈ પણ
થઈ શકતું હતું…
અવળા વહેણ પર
સંભાવનાઓનો પુલ
હવાના ખભા પર
કદાચ બનાવી પણ લઉં….!!!!!

પણ…
પણ હવે જવા દો ને…
કેટલાક અહેસાસોને
શબ્દોની સજા ન દેવી જોઈએ !!!!!

– રીના
(અનુ. વિવેક મનહર ટેલર)

કેટલીક કવિતાઓ ઠે..ઠ ભીતરથી નાભિ વલોવાઈને આવતી હોય છે. આ એમાંની એક છે. કોઈ જાતનો લવારો નહીં, એક પણ વધારાનો શબ્દ નહીં.

એકાક્ષરી શબ્દોથી શરૂ થઈ કાવ્ય કદમાં અને ભાવમાં -બંને રીતે સપ્રમાણ વિસ્તરે છે. જીવનમાં ઘણા દોરાહા એવા આવે છે જેના પર પસાર થયા બાદ જ અહેસાસ થાય છે કે આ કે તે – કંઈ પણ શક્ય હતું. પણ road not taken તરફ – અવળા વહેણમાં ઉપરવાસ જવું કંઈ દર વખતે શક્ય નથી હોતું, પછી મનમાં ભલેને કંઈના કંઈ હવાઈ કિલ્લાઓ આપણે કેમ બાંધી ન લઈએ.

કવિતા આ એક જ બંધમાં પૂરી થઈ શકી હોત. પણ બીજો બંધ કવિતાને નવતર ઊંચાઈ બક્ષે છે. પણ કહીને અટક્યા પછી કવયિત્રી આગળ તો વધે છે પણ એટલું કહેવા જ કે કેટલાક અહેસાસ આઝાદ જ સારા… એ અહેસાસોને શબ્દોમાં કેદ કરવામાં અહેસાસ પોતે કદાચ મરી પરવારે છે…

*

ये
वो
कुछ भी….
हो सकता था…!!
उल्टे बहाव पे
इम्काँ का पूल
हवा के खँभों पर
अगर बना भी लूँ…..!!!!!

पर…
पर अब जाने भी दो…..
कुछ एहसासात को
लफ़्ज़ों की सज़ा नहीं देते !!!!!

रीना

Comments (11)

મારી કબર પાસે – મેરી એલિઝાબેથ ફ્રે (અનુ. વિવેક મનહર ટેલર)

મારી કબર પાસે ઊભા રહીને ડૂસકાં ન ભરીશ
હું ત્યાં નથી. હું ઊંઘી નથી ગઈ.
હું પવનો છું હજાર જે સુસવાય છે.
હું હીરાકણીઓ છું બરફ પર ચળકતી.
હું પક્વ દાણા પરનો સૂર્યપ્રકાશ છું.
હું પાનખરનો સૌમ્ય વરસાદ છું.
તમે જ્યારે જાગશો સવારની ચુપકીદીમાં,
શાંત પક્ષીઓના ઝુંડને વર્તુળાકાર ઉડાનમાં
ઉંચકનાર પરોઢપક્ષી છું હું.
હું રાતે ચમકનાર મૃદુ તારાઓ છું.
મારી કબર પાસે ઊભા રહીને રડીશ નહીં
હું ત્યાં નથી. હું મરી નથી.

– મેરી એલિઝાબેથ ફ્રે (૧૯૦૫-૨૦૦૪)
(અનુ. વિવેક મનહર ટેલર)

ખ્રિસ્તી અંતિમવિધિઓમાં કદાચ સહુથી વધારે વાર વાંચવામાં આવેલી આ કવિતાના સર્જક વિશે પણ એકમત નથી. એક પારિવારિક મિત્રને એની માતાના અવસાન પર દિલાસો આપવા માટે મેરી એલિઝાબેથ ફ્રેએ 1932માં આ કવિતા લખી હોવાનું માનવામાં આવે છે. આ કવિતાના એકાધિક સ્વરૂપો પણ ઉપલબ્ધ છે. કવયિત્રીની રચનાઓમાંથી આ એક જ કવિતા બચવા પામી છે. કદાચ કવયિત્રીએ લખેલી આ એકમાત્ર જ કવિતા પણ હોઈ શકે.

*

Do Not Stand At My Grave And Weep

Do not stand at my grave and weep
I am not there. I do not sleep.
I am a thousand winds that blow.
I am the diamond glints on snow.
I am the sunlight on ripened grain.
I am the gentle autumn rain.
When you awaken in the morning’s hush
I am the swift uplifting rush
Of quiet birds in circled flight.
I am the soft stars that shine at night.
Do not stand at my grave and cry;
I am not there. I did not die.

– Mary Elizabeth Frye

(Poem courtesy: Poonam Ganatra)

Comments (9)

(-) – લાભશંકર ઠાકર

ગાંધી બાપુને હું મારી ઊંઘમાં લઈ જાઉં છું દોરીને પેન્સિલથી.
એમના પગ દોરું ત્યાં તો ચાલવા માંડે.
‘બાપુ ઊભા રહો. હજી મને પૂરા દોરવા તો દો.’
બાપુ કહે : ‘ચાલતા ચાલતા દોર.’
બોલો ચાલતા ચાલતા કંઈ દોરી શકાય ? એ તો
અટકતા જ નથી મારી ઊંઘમાં.
હું પેન્સિલની અણી અડાડું ત્યાં તો આગળ ને આગળ.
અટકે તો પૂરેપૂરા દોરું ને !

– લાભશંકર ઠાકર

અંગ્રેજી કે અન્ય ભાષાઓની કવિતાઓના અનુવાદ તો આપણે અવારનવાર લયસ્તરો પર માણતા જ રહીએ છીએ. આજે જરા ઊલટું કામ કરીએ. આજે આપણી ભાષાની કવિતાનો અંગ્રેજી અનુવાદ માણીએ.

લા.ઠા.ની કવિતાઓ સહજમાં સમજાઈ જાય તો જ આશ્ચર્ય. સરળ લાગતી આ કવિતામાં ગાંધીબાપુની ગતિશીલતાનું જે ચિત્રણ કવિએ ઉપસાવ્યું છે એ કાબિલે-દાદ છે.

In my sleep I take Gandhi Bapu along, drawing him with a pencil.
The moment I draw his feet, they start walking.
‘Bapu, stop. Let me finish drawing you.’
Bapu says, ‘Draw as you walk.’
Tell me, is it possible for anyone to draw while walking ?
But he simply refuses to stop
Walking in my sleep.
The moment I touch him with the pencil point, he surges ahead.
How will I finish drawing him if he doesn’t stop ?

– Labhshankar Thakar
(English Translation : unknown) (source: Sameepe 36)

Comments (7)

પથ્થરો તળે – સિતાંશુ યશશ્ચન્દ્ર

શું હશે પથ્થરો તળે ? હીરા, શું હશે
પથ્થરો તળે ? પાણી. પાણી ? – હશે પથ્થરો તળે.
ક્યાં ? હશે પથ્થરો તળે.
હશે ?
શું હશે પથ્થરો તળે ? લાવા, હીરા હશે પથ્થરો તળે પાણી.
સિન્દૂરિયા લેપ કર્યા અને રેડ્યું તેલ. ના ? ઝરિયાના
પહેરાવ્યા અને ઘીનાં કમળ. તો ? ગર્ભાગારમાં સ્થાપ્યું
રૂઢિચુસ્ત લિંગ અને સતત ઠંડા પાણીની ધાર.
હવે ? શું થશે ? હશે હવે પથ્થરો તળે. હશે કે ? હશે હવે.
પથ્થરો ફંગોળ્યા છે ન સમજાતા આકાશમાં. તો ?
ક્યાંક ચાર પગ અને તીર. ક્યાંક સાત માણસો
અને સ્ત્રી. ક્યાંક પારધિ. ક્યાંક એકમેકને
તાકતાં પણ હરફ ના બોલતા ચન્દ્રનું અને
તારાનું હરણ. પોતપોતાના રાહુ અને પારધિના
ખ્યાલમાં ખોવાયેલાં.
ક્યાંક આ ક્યારેય સ્થિર ન રહી શકતા તોતિંગમાં ધ્રુવ.
જાઓ જાઓ.
ના સમજાતા આકાશમાં ના સમજાતા પથ્થરો
ફંગોળ્યા અણસમજુએ
ના સમજાતા પથ્થરોને નામ આપ્યાં ને પથ્થરો
પણ તેજ ને પથ્થરો પર જીવન ને પથ્થરો પર પાણી.
ખળખળખળ – શું હશે પથ્થરો તળે ? પથ્થરોમાં
શું હશે ? શું હશે પથ્થરો ?

– સિતાંશુ યશશ્ચન્દ્ર

કવિતાની શરૂઆતમાં પથ્થરોનો ઢગલો આપણી આંખ સામે આવે છે. આ પથ્થરોની નીચે શું હશે ? કંઈક હશે? હશે… પ્રશ્નાર્થચિહ્ન, અલ્પવિરામ અને પૂર્ણવિરામની મદદથી એક જ વાતને અલગ અલગ રંગોમાં આપણી સામે રજૂ કરે છે. પથ્થર પછી ઈશ્વરનું સ્વરૂપ ધારણ કરે છે અને આખરે વિશાળ બ્રહ્માંડનું. સપ્તર્ષિ, રોહિણી, મૃગશીર્ષ, પારધિ, ધ્રુવ – એમ અલગ અલગ તારામંડળના ટેકે કવિ ન સમજાતા આકાશની ન સમજાતી સૃષ્ટિમાં આપણને લઈ જઈને પાછાં પ્રશ્નોના પથ્થરો મારીને સાવ છુટ્ટા મૂકી દે છે.

પથ્થર, ઈશ્વર, આકાશ, તારામંડળ- આ બધાને ઉપરતળે કરીને નીચે ‘શું હશે?’નું કુતૂહલ, ‘હશે?’ ની અનિશ્ચિતતા અને ‘હશે હવે’ની નફિકરાઈ પ્રદર્શિત કરીને અંતે તો કવિ અસ્તિત્ત્વનો વણઉકલ્યો પ્રશ્ન જ તાગવા મથી રહ્યા હોય એમ લાગે છે.

Comments (5)

કબૂલાત – કુસુમાગ્રજ (અનુ.: સુરેશ દલાલ)

હું છું
શબ્દલંપટ –
શબ્દની વારાંગના
ઝરૂખામાં ઊભી રહીને
ઇશારા કરે છે મને,
કોઈ પણ દાહક રસાયણમાં
પીગળી જય છે મારો બધોયે પ્રતિકાર
અને હું જાઉં છું
તે બહિષ્કૃત દરવાજા તોડીને
સીધો અંદર
અર્થનો હિસાબ કર્યા વિના.

– કુસુમાગ્રજ
(અનુ.: સુરેશ દલાલ)

વારાંગનાને ત્યાં જનાર વિષયલંપટ વ્યક્તિ પણ સમાજના બંધનો અને તિરસ્કારથી અભિગત હોય છે. એટલે બહિષ્કૃત દરવાજાની પેલે પાર જતાં પહેલાં એ એકવાર વિચર તો કરવાનો જ. પણ બારીમાંથી વેશ્યા દ્વારા કરાતો ઇશારો સંકોચના રહ્યાસહ્યા દરવાજા તોડાવી નાંખે છે. સહજસામાજિક આ ચિત્રની સમાંતરે જ કવિ કવિની માનસિક્તાનું રેખાંકન કરે છે. શબ્દ કવિને હંમેશા લલચાવે છે. કવિતાનું આમંત્રણ ભલભલા વિશ્વામિત્રનું તપોભંગ કરી દે છે. શબ્દ એના નવતર આકાર સાથે કવિની સામે આવી ઊભે છે ત્યારે કોઈ બંધન, મર્યાદા કવિને રોકી શકતી નથી. આ એ સંવનન છે જ્યાં અર્થનો હિસાબ જ શક્ય નથી. “અર્થ”ના બંને અર્થ અહીં ધ્યાનમાં લેવાના છે – ‘નાણું’ અને ‘મતલબ’. કેમકે કવિતામાં પણ અર્થ કરતાં અનુભૂતિનું જ મહત્ત્વ છે.

Comments (9)

What will you do, God, when I die? – Rainer Maria Rilke

What will you do, God, when I die?
When I, your pitcher, broken, lie?
When I, your drink, go stale or dry?
I am your garb, the trade you ply,
you lose your meaning, losing me.

Homeless without me, you will be
robbed of your welcome, warm and sweet.
I am your sandals: your tired feet
will wander bare for want of me.

Your mighty cloak will fall away.
Your glance that on my cheek was laid
and pillowed warm, will seek, dismayed,
the comforts that I offered once —
to lie, as sunset colors fade
in the cold lap of alien stones.

What will you do, God? I am afraid.

— Rainer Maria Rilke

શું કરશે તું, પ્રભુ ! મારા મૃત્યુ બાદ ?
તારી સુરાહી સમાન હું જ્યારે ભાંગીને વેરાયેલો હોઈશ ?
મારારૂપી તારી મદિરા જ્યારે વાસી-બેસ્વાદ થઈ જશે ?
હું તારું રોજીંદુ પહેરણ છું,
મને ગુમાવતાં તું તારો અર્થ ગુમાવી બેસે છે.

મારા વગરનો બેઘર તું ગુમાવી બેસશે
મધુરું ઉમળકાભેર સ્વાગત
પગરખાં છું હું તારા, મારા વિના
કલાન્ત નગ્ન ચરણો તારા ભટકતા રહેશે.

ભવ્ય ડગલો ઉતરી જશે તારો,
કરુણાસભર દ્રષ્ટિપાત તારો કે જે મારા ગાલ પર
રમતો રહેતો, તે શોધતો ફરશે એ ઉષ્મા
જે તેને નિત્ય હું ધરતો-
તે દ્રષ્ટિપાત, સૂર્યાસ્તની અદભૂત રંગસભા બરખાસ્ત થતાં,
અફળાતો રહેશે કાળમીંઢ ખડકોના ઉષ્માહીન ખોળામાં.

શું કરીશ તું, પ્રભુ ? ચિંતિત છું હું…..

આ વાત મને બહુ જ ગમી. અત્યંત હિંમતપૂર્વક કવિએ ઈશ્વરના અસ્તિત્વ અંગે મૂળભૂત પ્રશ્ન ઊભો કર્યો છે. શું ઈશ્વર માનવમનના એક ભ્રામક સર્જનથી વિશેષ કંઈ જ નથી ? ઉત્તર દરેકનો પોતીકો હોઈ શકે. અંગત રીતે હું તો દ્રઢપણે માનું છું કે માનવ ઈશ્વરનું સંતાન નથી, ઈશ્વર માનવનું સંતાન છે.I think, therefore I am. – Rene Descartes

Comments (4)

તારે ખાતર – રાબિયા

‘ઓ મારા પ્રભુ,
જો હું તને નરકની બીકે ભજતી હોઉં
તો મને નરકમાં બાળી મૂકજે,
જો હું તને સ્વર્ગની આશાએ ભજતી હોઉં
તો મને એમાંથી બાકાત રાખજે,
પણ જો હું તારે ખાતર જ તને ભજતી હોઉં
તો
તારૂ અનંત સૌંદર્ય મારાથી છુપાવીશ નહીં.’

– રાબિયા [ આઠમી સદીની અરબસ્તાની સૂફી સંત ]

એક વાર મિર્ઝા ગાલિબએ શુક્રવારની નમાઝથી પાછા ફરતા બિરાદરોને જોઇને કટાક્ષ કરેલો – ‘ હો ચુકી અલ્લાહ સે સૌદેબાઝી !!! ‘

Comments (8)

ફરી પાછું વૃક્ષ – સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા

જૂના સમયના એ તપખીરિયા થડને
હવે તો ઠીક ઠીક વરસોથી વહેરી, છોલી, ઘાટઘૂટ આપી
ઘરમાં વાપરવાનું ફર્નિચર બનાવી લીધું હતું.
ઉતાવળે જમવા બેસવાનું ટેબલ અને ખુરશીઓ, હમણાંનાં સંબંધીઓને
અને ઉપરીઓને કાગળ લખવાનું મેજ, રોજ સાવ તાજા સમાચારો
સંભળાવતા રેડિયોને મૂકવાનું સ્ટૅન્ડ – કૈં કેટલાયે કામની વસ્તુઓ
બનાવી લીધી હતી
જૂના સમયના એ તપખીરિયા થડમાંથી.

કંઈ કોઈ ઝંઝાવાત નહોતો થયો. ના કોઈ વીજકડાકા.
યાદે નથી આવતું કેવું હતું એ વૃક્ષ, – વૃક્ષ?!
રમૂજ થાય ને માનીયે ના શકાય આજે તો મારાથી
કે આ ટેબલ, ખુરશીઓ, મેજ સ્ટૅન્ડ, બૂક શેલ્ફ, અભેરાઈઓ આ બધું
વળી જૂના સમયનું વૃક્ષ હતું! મારાથી તો આજે
કદાચ માનીયે ના શકાય ને હસવું આવે.
ક્યારેક જોકે થાક્યા આવી, બરાબર જમી, હિતેચ્છુની ભેટ રૂપે આવતા
જનકલ્યાણનો નવો અંક વાંચતાં વાંચતાં ક્યારેક, જોકે, જાણે કે
ભ્રમણા થાય
કે
આ બારણા કનેની ખુરશીના હાથામાંથી જાંબલી રંગનું ફૂલ ખીલ્યું,
કે આ ભાષણોની નોંધના કાગળોથી છવાયલા મેજના ખાનામાં
ખાટા સવાદનું મીઠું ફળ ઝૂલ્યું,
કે આ જનકલ્યાણ અને અખંડ આનંદની ફાઈલોવાળા શેલ્ફ પરથી
અચાનક એક રાતું પંખી ઊડ્યું ને લીલી કૂંપળ ફૂટી,
કે આ રોજ પહેરવાનાં કપડાં ગડી કરીને મૂકવા બનાવેલા ખાનામાં
અણધારી વસંતનો માદક સુગંધી રસ ઝર્યો.
ને પછી વળી જરા હસવું આવે, અને રમૂજ થાય, ને યાદ આવે
કે જૂના સમયના એ તપખીરિયા થડને
હવે તો ઠીક ઠીક વરસોથી વહેરી, છોલી, ઘાટઘૂટ આપી
ઘરમાં વાપરવાનું ફર્નિચર બનાવી લીધું છે.

– સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા

બારીક ઈશારો છે – બ્રહ્માંડમાં મૂળતત્વ એક જ છે તે શક્તિ [ energy ] અને દ્રશ્ય તમામ matter એનું જ સ્વરૂપ છે. જે આજે વૃક્ષ છે, તે કાલે ફર્નીચરનું લાકડું છે, તે જ કાલે બળતણનું લાકડું છે, તે જ અગ્નિ છે, તે જ શક્તિ છે, પ્રકાશ છે, કિરણ છે, ધુમ્રસેર છે……સમયાવકાશે તે એક સમગ્ર વર્તુળ ફરીને ફરી વૃક્ષ બને છે અને આ ચક્ર નિરંતર ચાલતું રહે છે. Nietzsche જેને ‘ eternal recurrence ‘ કહે છે તે આ વર્તુળ. જયારે આ વાત એકદમ દિલથી સમજાય, આત્મસાત થાય, માંહ્યલે વણાઈ જાય ત્યારે કોઈ attachments ટકતા નથી. Desire નું છદ્મસ્વરૂપ ત્યારે સમજાય છે. ચૂલાના અગ્નિમાં સૂર્ય અને સૂર્યમાં ચૂલાનો અગ્નિ દ્રષ્ટિગોચર થાય છે…..

Comments (2)

never be for or against – Sen-t’san

The Perfect Way is only difficult
for those who pick and choose;
Do not like, do not dislike;
all will then be clear.
Make a hairbreadth difference,
and Heaven and Earth are set apart;
If you want the truth to stand clear before you,
never be for or against.
The struggle between “for” and “against”
is the mind’s worst disease.

– Sen-t’san [ eighth century Chinese zen master ]

સરળ ઈંગ્લીશ છે તેથી અનુવાદ નથી કર્યો. આ કાવ્ય મૂકવાનું ખાસ પ્રયોજન એ કે ઝેનગુરુની વાત તો સાચી, પણ વ્યવહારનું શું !!?? રોજબરોજની જીંદગીમાં આ ફિલોસોફી કેટલીક applicable !!?? વ્યવહારમાં તો પ્રત્યેક ક્ષણે પક્ષ લેવો પડે છે ! કાયમ મારું અંગત મંતવ્ય લખ્યા કરું એના કરતા આ વખતે એવું કરીએ કે સૌ ભાવકો પોતપોતાના મંતવ્યો આપે તો કેવું ? સૌને હાર્દિક આમંત્રણ છે કે પોતપોતાના વિચારો પ્રગટ કરે…..

Comments (3)

જબ ભી ઘર સે બાહર જાઓ – નિદા ફાઝલી

જબ ભી ઘર સે બાહર જાઓ
તો કોશિશ કરો… જલદી લૌટ આઓ
જો કઈ દિન ઘર સે ગાયબ રહ કર
વાપસ આતા હૈ
વહ જિંદગીભર પછતાતા હૈ
ઘર…. અપની જગહ છોડકર ચલા જતા હૈ.

– નિદા ફાઝલી

બારીક ઈશારો છે……ઘરની જગ્યાએ સંબંધ, અનુશાસન, તક, તપસ્યા ઈત્યાદી મૂકી જુઓ…..

Comments (4)

બસ – કૃષ્ણ દવે

પંચાણુ ટકા સળગી ગયેલી બસે અંતિમ શ્વાસ લેતા પ્હેલા કહ્યું

યાદ છે તમને ?
રોડ ઉપર બાંધેલી છાપરીવાળા બસસ્ટેન્ડે બેઠા બેઠા તો તમે દસ વાર પૂછી લેતા “બસ ક્યારે આવશે ? બસ ક્યારે આવશે ? “ અને હું આવું ત્યારે હોંશે હોંશે ગોઠવાઈ જતા બારી પાસે અને નાની નાની હથેળીઓ બહાર કાઢીને “આવજો, આવજો” થી ભરી મૂકતાં આખી સીમને.

યાદ છે તમને ?
બ્લૂ ચડ્ડી અને સફેદ શર્ટ પહેરી ,નાનકડું દફ્તર લટકાવી તમે ઊભા રહેતા ગામના વડલા નીચે મારી રાહ જોતાં ,અને હું આવું એટલે કૂદી પડતાં મારી સીટ પર જાણે માનો ખોળો ખૂંદતા હોવ ને એ રીતે

યાદ છે તમને ?
હટાણું કરવા ગયેલા બાપુને લઈને,મોતિયો ઉતરાવવા ગયેલી માને લઈને, ભાણેજ સાથે પિયર રહેવા આવતી બહેનને લઈને, નિશાળે ભણવા ગયેલી દીકરીને લઈને, તમારી પેઢી દર પેઢીએ મૂકેલા વિશ્વાસને લઈને રોજ સાંજે હું જ તો પાછી આવતી હતી તમારા ગામમાં .

મને સળગાવતા પ્હેલા તમારા હાથ કંપી તો ઉઠ્યા જ હશે ,

પણ ! ! !

તમને માણસમાંથી ટોળું બનાવી નાખતા એ લોકોને એટલું તો પૂછી જો જો ,
તમે ક્યારે’ય બસમાં બેઠાં છો ખરાં ?

– કૃષ્ણ દવે

કવિતા એ કળા છે અને કળાને હંમેશા સામાજીક નિસ્બત હોય જ એ જરૂરી નથી. પણ તોય ઇતિહાસ સાક્ષી છે કે સામાજીક નિસ્બત વધતે-ઓછે અંશે કવિતાને સમાંતર જ વહી છે. કવિતાની ટાઇમ-લાઇન તપાસીએ ત્યારે સમાજની સાચી નાડ પણ ઝલાતી હોય છે. કૃષ્ણ દવે અન્ય કવિઓની સરખામણીમાં એમની સામાજીક નિસ્બતના કારણે નોખા તરી આવે છે. કળાત્મક કવિતાઓની અડોઅડ એમના લખાણમાં સમાજ તરફની જવાબદારી ન ચૂકવાની ચિવટાઈ મેં સતત જોઈ છે. પ્રસ્તુત રચના વારે-તહેવારે હિંસક સ્વરૂપ ધારણ કરી બેસતા પાટીદારોના આંદોલનના ગાલ પર એક ચમચમતો તમાચો છે. આપણે માણસ ક્યારે બનીશું ? ક્યારેય બનીશું ખરા ?

Comments (13)

પ્રદક્ષિણા – મનીષા જોષી

જ્યારે જ્યારે મંદિરમાં જઉં છું ત્યારે
કોઈ અજ્ઞાત ભય મને ઘેરી વળે છે,
મને લાગે છે કે બધા જ દેવોનાં
બધાં જ વાહનો મને મારવા આવી રહ્યાં છે,
વાઘ, નાગ, કાચબો, ગરૂડ, માછલું….
પૂજારી ત્રિકાળજ્ઞાનીની જેમ મને જોઈને હસે છે.
પ્રસાદમાં ચપટી સિંદૂર આપે છે.
હૂં મૂંગી, અવાક્ થઈ જાઉં છું,
મંદિરની દીવાલોના પ્રાચીન, શાંત પથ્થરો
જાણે કે કોઈ ઊંચા પર્વત પરથી ગબડતાં
ભારેખમ પથરાઓ હોય એમ મારી તરફ ધસી આવતા
લાગે છે.

હું જીવ બચાવતી દોડું છું.
મંદિરની દીવાલો ફરતી પ્રદક્ષિણા કરું છું.
મંદિરના લીસા આરસપ્હાણમાં મને ઠેસ વાગે છે,
હું પડી જઉં છું, માથું ઝૂકી જાય છે મૂર્તિ આગળ.
અને પેલા ગબડતા પથરાઓ નીચે છુંદાઈ જઉં છું
હું પણ એક પથ્થર બની જઉં છું, નવા જન્મમાં.
મને કોઈ પણ એક આકાર આપી દેવામાં આવે છે.
હવનની કૂંડીનો, શંકરના લિંગનો, કળશનો
ઘંટારવનો, સ્તોત્રનો, આરતીની થાળીનો, ધૂપનો,
પગલાંનો, પુરાણનો, દક્ષિણાનો,
હું મંદિરની બહાર જ નથી નીકળી શકતી.

– મનીષા જોષી

ઈશ્વરની સંકલ્પનામાંથી મુક્ત થઈશું ત્યારે તો આપણી સાચી ખોજ શરૂ થશે…..

Comments (8)

ત્યારથી – વિપિન પરીખ

પીંજરામાં ગાતાં ગાતાં પંખીએ
એક દિવસ
આકાશને જોયું
અને ત્યારથી
એના દુઃખની શરૂઆત થઈ.

– વિપિન પરીખ

એકસાથે કેટલા બધા અર્થ !! Desire is the root cause of all misery ! [ Bertrand Russel once quipped – ‘ I do not desire life without desire ‘ ! ]

Comments (5)

યાચના – ચન્દ્રકાન્ત ધલ

ખાવાનું આપતી વખતે
પાંજરાના પોપટે મને કહ્યું:
‘તમે મને ખાવા-પીવાનું આપો છો
એ બરાબર છે
પણ
મારી પાંખો કાપી આપોને
મને એનો
બહુ
ભાર લાગે છે.’

– ચન્દ્રકાન્ત ધલ

એક જ લીટીની કવિતા પણ જાણે કોઈ આપણી છાતીમાં તીક્ષ્ણ કટારી હુલાવી ન દેતું હોય એવી ટીસ કાયમ માટે મૂકી જાય એવી.

Comments (4)

કંસારા બજાર – મનીષા જોષી

માંડવીની કંસારા બજારમાંથી પસાર થવાનું
મને ગમે છે.
‘ચિ. મનીષાના જન્મ પ્રસંગે’
આ શબ્દો મમ્મીએ
અહીંથી ખરીદેલા વાસણો પર કોતરાવ્યા હતા.
વર્ષો વીત્યાં.
મારા હાથ-પગની ચામડી બદલાતી રહી
અને એ વાસણો પણ, ઘરના સભ્યો જેવાં જ,
વપરાઈને ઘસાઈને
વધુ ને વધુ પોતાનાં બનતાં ગયાં
એ વાસણોની તિરાડને રેણ કરાવવા
હું અહીં કંસારા બજારમાં આવું છું ત્યારે
સાથે સાથે સંધાઈ જાય છે
મારાં છૂટાં છવાયાં વર્ષો પણ.
ગોબા પડેલા, ટીપાઈ રહેલાં વાસણોના અવાજ
કાનમાં ભરી લઈ, હું અહીંથી પાછી જઉં છું ત્યારે
ખૂબ સંતોષથી જઉં છું.
આ વાસણો જ્યાંથી લીધાં હતાં
એ દુકાન કઈ, એ દુકાનદાર કોણ
કાંઈ ખબર નથી, છતાં
આ બજારના ચિરકાલીન અવાજ વચ્ચેથી
હું ચૂપચાપ પસાર થતી હોઉં છું ત્યારે
સતત એમ લાગ્યા કરે છે કે
હું અને આ અવાજ ક્યારેય મરતા નથી.
નવાં નવાં દંપતી અહીં આવે છે.
મારા માટે નવું નામ પસંદ કરીને
વાસણો પર કોતરાવીને
મને તેમના ઘરે લઈ જાય છે.
હું જીવું છું વાસણોનું આયુષ્ય
અથવા તો, બેસી રહું છું.
માંડવીની કંસારા બજારમાં
જુદી જુદી વાસણોની દુકાનોનાં પગથિયાં પર.
ધરાઈ જઉં છું
બત્રીસ પકવાન ભરેલી થાળીથી,
મૂંઝાઈ જઉં છું
એક ખાલી વાટકીથી.
વાસણો ઠાલાં ને વાસણો ભરેલાં,
તાકે છે મારી સામે
તત્ત્વવિદની જેમ ત્યાં જ, અચાનક
કોઈ વાસણ ઘરમાં માંડણી પરથી પડે છે
ને તેનો અવાજ આખા ઘરમાં રણકી ઊઠે છે.
હું એવી અસ્વસ્થ થઈ જાઉં છું
જાણે કોઈ જીવ લેવા આવ્યું હોય.
વાસણો અને જીવન વચ્ચે
હાથવ્હેંત જેટલું છેટું,
ને વ્હેંત, કંસારા બજારની લાંબી સાંકડી ગલી જેવી
ક્યાંથી શરૂ થાય ને ક્યાં પૂરી થાય
એ સમજાય તે પહેલાં
વ્હેંતના વેઢા
વખતની વખારમાં
કંઈક ગણતા થઈ જાય,
કંસારા બજારનો અવાજ
ક્યારેય સમૂળગો શાંત નથી થતો.
બજાર બંધ હોય ત્યારે
તાળા મારેલી દુકાનોની અંદર
નવાંનકોર વાસણો ચળકતાં હોય છે.
ને એ ચળકાટમાં બોલતા હોય છે
નવાં નવાં જીવન
થાળી વાટકા અને ગ્લાસથી સભર થઈ ઊઠતાં
ને એંઠાં રહેતાં જીવન
હું જીવ્યા કરું છું
ગઈ કાલથી
પરમ દિવસથી
તે ‘દિ થી.

– મનીષા જોષી

વાસણ-જીવન-વહેતા સમય સાથે વહેતી જીવનધારા……..  અદભૂત રૂપક સાથે અનેરું ભાવવિશ્વ સર્જ્યું છે કવયિત્રીએ  ! કોઇપણ સમજૂતી લખવાને બદલે માત્ર આખું કાવ્ય બે-ત્રણવાર ધીરેથી વાંચવાની વિનંતિ કરું છું-આપોઆપ દિલની અંદર એક મસ્ત સ્પંદન પેદા કરી દેશે આ કાવ્ય…..

Comments (6)

પાંચમી દીવાલ – રીના માણેક

બારણા પરના
દરેક ટકોરે
ધડકવા લાગે છે હૃદય
ભરડો લે છે
.                 કોઈ અજાણ્યો ભય
વધુ
.          ઘેરી થાય છે
.                    એકલતા…

થાય છે –
જાણે ક્યાંક
.           ચણાતી જાય છે
.                    ઈંટ પર ઈંટ…

ન કોઈ દરવાજો
ન ટકોરા
ને તોય
.            પ્રતીક્ષા –

કોઈ આવે
અને
તોડી નાખે
.            આ પાંચમી દીવાલ.

– રીના માણેક

કવિતાનો ઉઘાડ બારણા અને ટકોરાઓથી થાય છે. પણ દરેક ટકોરે ભય અને એકલતા ઘેરી વળે છે. પરિણામે એક એવી દીવાલ ચણાતી જાય છે જ્યાં કોઈ બારણાં નથી ને કોઈ ટકોરા પણ નથી, માત્ર પ્રતીક્ષા છે કે કોઈ ક્યાંકથી આવે અને આ એકલતા તોડી નાંખે. પણ જીવનમાં શું આ બનતું હોય છે ખરું?

 

Comments (4)

લા.ઠા. સાથે – ૦૬ (લઘરો) – લાભશંકર ઠાકર

ઓગળી ગયેલા
બરફ જેવા શબ્દોને
– આમ સરી જતા જોઈને
નિષ્પલક બનેલા
ભાઈ લઘરા !
જરા ઊંચું જો
આ હિમાલય પણ આવતી કાલે ઓગળી જવાનો છે.
અને સરી જવાનો છે સમુદ્ર તરફ.
છતાં એ પણ હશે.
તું પણ હશે
શબ્દો પણ હશે
શબ્દોની સ્મૃતિ પણ હશે,
હશે, ઓગળવાની ક્રિયા પણ હશે.
કેમ કે…
ભાઈ લઘરા ! ઊંઘી ગયો એટલી વારમાં ?

– લાભશંકર ઠાકર

ર.પા.ની સોનલ અને આસિમની લીલાની જેમ લા.ઠા.ની કવિતામાં અવારનવાર “લઘરો” દેખા દેતો રહે છે. એમના એક સંગ્રહનું તો નામ જ “લઘરો” છે. આ લઘરા વિશે કવિ પોતે કહે છે, “તીવ્ર તાદાત્મ્યથી આત્મસાત્ કરેલા પરંપરિત જીવન અને કવન-ના ‘નેગેશન’માંથી લઘરો જન્મ્યો છે. જીવન અને કવનના ‘આરણ-કારણ’ના ચિંતનમાં લઘરો અટવાય છે. લઘરાના નામ-કરણમાં જ ઉપહાસ, વિડંબના, હાસ્ય છે. આ હાસ્ય કોઈ સામાજિક, રાજકીય, નૈતિક ‘સેટાયર’ નથી. અહીં ‘અન્ય’નો ઉપહાસ નથી. અહીં ઉપહાસ છે ‘સ્વ’-નો. સેટાયર કહેવો હોય તો અહીં મેટાફિઝિકલ સેટાયર છે. અહીં હ્યુમર છે, પણ તે કરુણથી અભિન્ન, ઇનસેપરેબલ છે. તેથી આ હ્યુમર તે ‘બ્લેક’ હ્યુમર છે. મનુષ્યજીવન-ના નામે તથા આજ લગીના મનુષ્યના કવનના નામે જે કંઈ આત્મસાત્ થયેલી આત્મ-પ્રતીતીઓ છે તે લઘરવઘર છે, દોદળી છે, આભાસી છે. એને ધારણ કરનારો ‘લઘરો’ છે. લઘરો Abstraction છે. લઘરો વ્યક્તિવિશેષ નથી. લઘરો સ્થલ-કાલસાપેક્ષ નથી. લઘરો Clown છે. Metaphysical comicality of clownનાં રૂપોનો અહીં આવિષ્કાર છે”

Comments (4)

લા.ઠા. સાથે – ૦૫ – કાવ્યકંડુ

અને છતાં કાવ્યકંડુ
કાવ્યકંડુ ન હોત તો ચામડીનું ખરજવું
હોત એમ કોઈ મનોવૈજ્ઞાનિક સિદ્ધ કરે
અને કવિ કાવ્યસંગ્રહ પ્રસિદ્ધ કરે
અને એને કોઈ પારિતોષિક આપે
તો આવો ભેદ-ભાવ શા માટે ?
હું કહું છું તો પછી ખરજવું કેમ સિદ્ધિ નહીં ? એની કેમ પ્રસિદ્ધિ નહીં ?
એનો કેમ પુરસ્કાર નહીં ?
કાવ્યનો પુરસ્કાર અને ખરજવાનો તિરસ્કાર ?
ક્રાન્તદૃષ્ટિ કપાઈ ગઈ છે મારા કાવ્યપુરુષની.
અને છતાં જોયું ને આ પત્રના શરીર પર ફરી વળી છે સાદ્યંત
કાવ્યખૂજલી ? આ વલૂરમાં કોઈ અનન્ય મીઠાશ આવે છે આ ક્ષણે.
સૂધબૂધ પણ વલુરાય છે ઘેનમાં. મારા શબ્દેશબ્દ પર બ્રહ્માની
આંગળીઓના વધેલા નખ એકધારા રમમાણ છે.

– લાભશંકર ઠાકર

‘નવનીત સમર્પણ’ના તે સમયના તંત્રી શ્રી ઘનશ્યામ દેસાઈને પત્ર લખતા લખતા જે કંઈ આ રચાયું એના વિશે કવિ પોતે જે કહે છે એ એમની કાવ્યપ્રક્રિયા સમજવામાં મદદરૂપ છે. લા.ઠા. કહે છે, “Verbal Gameનું મોટામાં મોટું સુખ એ એકલાં એકલાં રમી શકાય છે, તે છે. એટલે ક્યારેક ક્યારેક એનું ખેંચાણ તીવ્રતાથી પણ થાય છે. કાવ્યની રચના પ્રક્રિયાના સંદર્ભમાં મારો અનુભવ કંઈક આ પ્રમાણે છે. ‘મૂડ’ હોય તો હું ‘વર્બલ ગેઇમ’ રમું છું. શા માટે ? એવી ચૈતસિક રુચિ (એપ્ટિટ્યુડ) છે. થોડા શબ્દો કે પંક્તિથી રમત આરંભાય. આ રમત કેવી કેવી આકૃતિઓ ધારણ કરશે ? રમત પૂરી થશે કે અપૂર્ણ રહેશે ? કંઈ કશી જાણ નથી હોતી. રમત શરૂ થતાં શબ્દો, પંક્તિઓ, લય રમતનાં નિયમો રચાતાં જાય છે અને હું એ નિયમોને વશ થતો જાઉં છું.

“કાવ્યવૃત્તિ તો થવાની. એ કેવળ ખેલકૂદ છે કે કોઈ ગંભીર પ્રવૃત્તિ છે ? ગંભીર એટલે ઊંડી. ઊંડાણમાં શું છે ? કદાચ કંઈ નથી. કદાચ કંઈ છે. કંઈ છે તો એને પામવાથી શું? ન પામવાથી શું ? અને આમ વિચારવાથી તો કશુંક જામે છે તે જામવાથી પણ શું ? પ્રશ્નોની અસંખ્ય હારમાળા અને અંત (અલબત્ત જીવનના) સુધી કોઈ ઉત્તર ન મળવો એવી સળંગ પ્રક્રિયા જેવું આ કાવ્ય -”

(કંડુ = ખરજવું)

Comments (4)

લા.ઠા. સાથે – ૦૩ – કાવ્ય – લાભશંકર ઠાકર

આ બધું જે નિશ્ચિત દિશાને ચીંધે છે
એ અવિરત એકધારું આરપાર પોતાને જ વીંધે છે.
તો છોડી દે ને.
શું છોડી દઉં ? કાવ્ય છોડીને ફાવ્યમાં પડું ?
કશુંય છૂટતું નથી.
અંદર ને અંદર એકધારો અતિશય ગૂંગળાયા કરું છું.
.                                   પણ ઇંડું ફૂટતું નથી.
‘છૂટતું નથી’ – ના પ્રાસમાં ‘ફૂટતું નથી’ આવ્યું;
.                     ને ‘આવ્યું’ના પ્રાસમાં દાતણને વાવ્યું
આમ અગડં બગડં ઊછળવા છતાં યે
.                          આ ‘કાવ્ય કરવાનું’ છૂટતું નથી
કાં તો એ એવું પાત્ર છે મદ્યવું જે કદિ ખૂટતું નથી.
કાચનું છે, આમ ગબડી જાય છે હાથમાંથી, પણ ફૂટતું નથી.
કાં તો એ એવું ગાત્ર છે સમયનું વજનદાર જે કદી તૂટતું નથી.

– લાભશંકર ઠાકર

કવિના “ટોળાં અવાજ ઘોંઘાટ” સંગ્રહમાંના ‘ક્યારેક એવું બને છે કે જાણે કંઈ બનતું નથી’ શીર્ષકવાળા દીર્ઘકાવ્યનો અંતભાગ અહીં રજૂ કરું છું. આખું કાવ્ય કાવ્યસર્જનપ્રક્રિયા સાથે સંકળાયેલું છે.

લા.ઠા.ની કવિતામાં સીધો અર્થ શોધવા જઈએ તો ઊંધે મોંએ પટકાવાની પૂરેપૂરી ખાતરી છે. કવિ કોઈ ઇમેજમાં બંધાવા માંગતા નથી. કવિ તરીકે એમણે શરૂઆત કરી છંદોબદ્ધ કાવ્યોથી. પહેલા સંગ્રહ ‘વહી જતી પાછળ રમ્યઘોષા’નું નામ પણ છંદમાં. પણ તરત જ કવિ છંદના બંધન તોડી-ફોડીને આગળ વધી ગયા. અછાંદસમાં પણ કવિ સતત પોતાની રીત-ભાતને તોડતા-ફોડતા જ રહ્યા. એટલે જ લા.ઠા.ને માણવા હોય તો એમના શબ્દોની પેલેપાર જઈને એમને મળવું પડે. શબ્દો જે કહે છે એ તો સંભળવાનું જ છે પણ શબ્દોની ગોઠવણીમાં રહેલો ધ્વનિ ખાસ સાંભળવાનો છે. અને આ બંને જગ્યાએ લા.ઠા.ને મળી લો પછી આખી કૃતિમાંથી જે વ્યંજના સરવાળે ઊભી થાય છે એને પણ ધ્યાનમાં લેવાની. આમ, આ ત્રણેય સ્તરે ભાવક સાબદો હોય તો જ કાવ્યપદારથ સાંપડશે. ક્યારેક કશુંય હાથમાં નહીં આવે અને માત્ર એક અનુભૂતિ જ ભાવકની ભીતરે સર્જાય. આ નકરી નિર્વસ્ત્ર અનુભૂતિ પણ લા.ઠા.ની કવિતા જસ્તો.

Comments (4)

લા.ઠા. સાથે: 2 : અવાજ ને… – લાભશંકર ઠાકર

અવાજને ખોદી શકાતો નથી
ને ઊંચકી શકાતું નથી મૌન.
હે વિપ્લવખોર મિત્રો !
આપણી રઝળતી ખોપરીઓને
આપણે દાટી શકતા નથી
અને આપણી ભૂખરી ચિંતાઓને
આપણે સાંધી શકતા નથી.
તો
સફેદ હંસ જેવાં આપણાં સપનાંઓને
તરતાં મૂકવા માટે
ક્યાં સુધી કાલાવાલા કરીશું
આ ઊષરભૂમિની કાંટાળી વાડને ?
આપણી આંખોની ઝાંખાશનો લાભ લઈ
વૃક્ષોએ ઊડવા માંડ્યું છે તે ખરું
પણ એય શું સાચું નથી
કે આંખો આપીને આપણને છેતરવામાં આવ્યા છે ?
વાગીશ્વરીના નેત્રસરોવરમાંથી
ખોબોક પાણી પી
ફરી કામે વળગતા
થાકી ગયેલા મિત્રો !
સાચે જ
અવાજને ખોદી શકાતો નથી
ને ઊંચકી શકાતું નથી મૌન.

– લાભશંકર ઠાકર

પરંપરાગત કવિતામા માણસની સિધ્ધિઓ અને શક્તિઓનું ગાન હોય છે. અહી એનાથી અલગ, માણસની અપૂર્ણતા અને સીમાઓના સ્વીકારનું ગાન છે. પોતાની ઈચ્છાઓ, ચિંતાઓ, સપનાઓ, ઇન્દ્રિયો – કશા પર આપણો કાબૂ નથી. કવિ પોતાના સાહિત્યકાર મિત્રોને યાદ કરાવે છે કે શબ્દ કે મૌન પર પણ આપણો કાબૂ નથી. આ આત્મવંચનાની નહી, આત્મદર્શનની કવિતા છે.

Comments

તળમાં ઊતર્યું તળાવ – રમણીક અગ્રાવત

તળાવ વચ્ચે ખોડાઈ તરસ, આજુબાજુ ઉજ્જડ,
વાવંટોળે ઊડે ભડકા, બાવળ ચોકી સજ્જડ.
દેરીએ વધેરી સૂનકાર પળેપળ,
ખાંખાંખોળા કરતી એકલવાયી પગદંડી પર,
રઝળે નકરી અદૃશ્ય ભૂતાવળ.
ડઘાઈ ગયેલા પીપળે બચ્યાં છે માંડ
ગણીને બે-ત્રણ પાંદ.
મૂળે બાઝ્યાં ઊધઈનાં વરવાં પોડાં
જાણે ચોંટ્યાં સૂકાં ખરજવાં.
કીડીઓનાં દળકટક કરે કૂચકદમ અરતેફરતે.
બૂઢાં ગામની છાતીમાં મૂંઝારા જેવું
ના હલે કે ના ચલે તળાવ.

– રમણીક અગ્રાવત

સ્વરૂપની દૃષ્ટિએ આમ તો આ કાવ્ય અછાંદસ છે પણ પહેલી બે પંક્તિ પ્રાસસહિત ગીતના ચાલમાં ચાલે છે એ જોતાં જ ઉમાશંકર જોશીનું ‘એક પંખીને કંઈક…’ કાવ્ય યાદ આવી જાય જેમાં પહેલી પંક્તિ છંદમાં લખીને કવિએ અછાંદસ કાવ્ય સિદ્ધ કર્યું છે.

સ્વરૂપને બાજુએ રાખીને કવિતા પર નજર માંડીએ તો તરત સમજાય છે કે કવિએ સાવ અનૂઠી રીતે દુષ્કાળગ્રસ્ત ઉનાળાનું વર્ણન કર્યું છે. તળાવની વચ્ચે પાણી નથી, તરસ છે અને બાવળની સજ્જડ ચોકી તો જાણે આપણી છાતી જ ભીંસતી હોય એવી અનુભવાય છે. અવ્વાવરુ પીપળાની ઉપર પાંદડા નથી બચ્યાં તો નીચે મૂળમાં પણ ઉધઈના પોડાં બાઝ્યાં છે. ગામમાં પણ કોઈ બચ્યું નથી એટલે કવિ ગામને બૂઢું કહે છે… સલામ, કવિ!

Comments (4)

આત્મવંચના – બ્રહ્મોત્રી મોહંતી (ભાષા: ઉડિયા) (અનુવાદ: જયા મહેતા)

આપણાં લગ્ન પહેલા તમે કોઈને પ્રેમ કર્યો હોય
અને એની સ્મૃતિ હજીયે સળગતી હોય
અથવા
મારી આત્મીયતા છતાંયે
કોઈ આવો ઉન્મત્ત મોહ
મેઘધનુષ રચતો હોય તમારા હૃદયમાં
તોયે
એ કારણે હું દુઃખી નથી થતી
મારી ફક્ત એક જ વિનંતી છે –
એ વાત છૂપી રાખજો
તમારામાં મને વિશ્વાસ છે તે અતૂટ રહેવા દેજો
(નકામું કુતૂહલ એટલે મૃત્યુ.)

હીરામોતી નીલમની આ સોનેરી દુનિયાની
હું રાણી છું.
માંદી માનસિકતા, વિકૃત ફેંસલા, નકામી શંકાઓથી
મારે શા માટે મારા શાંત અને નિ:શંક મનમાં આગ લગાડવી?
તમે મને ખૂબ ચાહો છો –
કોઈએય કદી આટલી તીવ્રતાથી પ્રેમ કર્યો છે?

ભયાનક પાપ આચર્યા પછી
મધરાતે ઘરે પાછા આવો ત્યારે
કહેજો મને કે તમે બેઠાં હતા
‘રામાયણ’ સંભાળતા.

– બ્રહ્મોત્રી મોહંતી (ભાષા: ઉડિયા) (અનુવાદ: જયા મહેતા)

આત્મવંચના……..માત્ર સ્ત્રીની જ આ હાલત હોય છે એવું નથી……લગ્ન એક એવું મકાન છે જેમાં માત્ર Entry જ છે, Exit છે જ નહીં. divorce એ Exit નથી. એ destruction છે. પ્રેમને લગ્ન સાથે કોઈ અનિવાર્ય સંબંધ નથી અને લગ્નને પ્રેમ સાથે પણ નથી.

Comments (7)