બાપ ગઝલ છે, માત ગઝલ છે;
મારી આખી જાત ગઝલ છે
– વિરલ દેસાઈ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for અછાંદસ

અછાંદસ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ડોકટરની પ્રાર્થના – કુંદનિકા કાપડિયા

એ મારી મોટી વિડંબણા છે ભગવાન
કે મારી આજીવિકાનો આધાર લોકોની માંદગી છે.

પણ એ મારું સદભાગ્ય પણ છે
કે લોકોની પીડા દૂર કરવાની
એમની સેવા દ્વારા મારા સ્વાર્થને ક્ષીણ કરવાની
એક ઉત્તમ તક તેં મને આપી છે.
મારા પર આ તેં બહુ મોટી જવાબદારી મૂકી છે.
એ જવાબદારીનું હું ગંભીરતાપૂર્વક પાલન કરી શકું
એવી મને શક્તિ આપજે.

દરદીને હું, મારી આવડતની કસોટીનું સાધન ન ગણું
રોગ-સંશોધન કે પ્રયોગો માટેનું પ્રાણી ન ગણું
કેવળ પૈસા કમાવા માટેનું માધ્યમ ન ગણું
તેને સાજો કરવા સિવાય બીજો કોઈ ઉદ્દેશ ન રાખું
તેનો ઉપચાર કરતાં, તે શ્રીમંત છે કે ગરીબ એ લક્ષમાં ન લઉં
એવી મને સદબુદ્ધિ આપજે.

તેની બધી જ ફરિયાદો હું ચિત્ત દઈને સાંભળું
તનની સાથે તેના મનની તકલીફો પણ ધ્યાનમાં લઉં
નિદાન અને દવા ઉપરાંત
આશા અને આશ્વાસનના બે સ્નેહાળ શબ્દોની પણ
તેને ખૂબ જ જરૂર હોય છે એ ભૂલી ન જાઉં
તેની સાથે સંકળાયેલ સ્વજનોની સ્વાભાવિક ચિંતા
અને તેની આર્થિક સ્થિતિનો પણ ખ્યાલ રાખું
એવી અનુકંપા, ધીરજ, ઉદારતા મને આપજે.

આ વ્યવસાય પૂણ્યનો છે,
પણ તેમા લપસવાપણું પણ ઘણું છે,
તેમાં હું મારી જાતને જાળવી રાખું
ગંભીર નિર્ણય લેવાની કપરી ક્ષણ આવે ત્યારે
વ્યાવસાયિક જવાબદારી, મનુષ્ય તરીકેની નિષ્ઠા
અને દરદીના કુટુંબના વિશ્વાસુ મિત્ર તરીકેની ભૂમિકા વચ્ચે
સમતોલપણું જાળવી શકું
એવાં મને વિવેક અને સ્થિરતા આપજે.

અને આ બધોય વખત
સૌથી મહાન ઉપચારક તો તું જ છે,
સ્વસ્થતાનો સ્ત્રોત તો તારામાંથી જ વહી આવે છે
હું તો માત્ર નિમિત્ત છું –
એ હંમેશા યાદ રાખી શકું, એવી મને શ્રદ્ધા આપજે.

– કુંદનિકા કાપડિયા
(‘પરમ સમીપે’)

જેણે ડોકટરના વ્યવસાયને નજીકથી ન જોયો હોય એના માટે આ પ્રાર્થનાની બારીકી સમજવી અઘરી છે. આજે બદલાતા જતા સમયમાં પણ ડોકટરો સૌથી વધારે વિશ્વાસનીય વ્યવસાયનું સ્થાન ભોગવે છે એનું કારણ છે કે આ વ્યવસાયના પોતમાં જ સેવા વણાયેલી છે. સમય, સમજ કે ધીરજના અભાવે જ્યારે ડોકટરનો ધર્મ વિસરી જવાય છે ત્યારે આ પ્રાર્થના એને તરત યાદ કરાવે છે.

Comments (6)

નદીની છાતી પર – યોસેફ મેકવાન

અને નદીની છાતી પર સૂરજનો હાથ
અને એ હાથમાંથી ફૂટે નગર.
અને એ નગરમાં ઊગે રેતીનું ઝાડ
અને એ રેતીના ઝાડમાં માછલીઓનો માળો
અને એ માછલીઓના માળામાં પરપોટાનાં ઇંડાં
અને એ પરપોટાનાં ઇંડાં ફૂટે ફટાક
અને એ … ય ફટાક્ સટાક્ કિનારા ચાલે બેય…
અને એ કિનારાના પગની પાની પલળે
અને એ પાનીમાંથી પવન ઝરે
અને એ પવનની લબાક્ લબાક્ લબકારા લેતી જીભ
અને એ લબકાર જીભથી પાણી છોલાય કુણાં કુણાં
અને એ કુણાં કુણાં પાણી પર નજર તરે
અને એ નજર તરે તરે ને હોડી થઇ જાય …
અને એ હોડી જાય … સૂનકાર ચિરાય …
અને ત્યાં અંધકાર ઊઘડે ઊઘડે ને બિડાય..
અને એ સમય પીગળતો ….. ગળતો … ળતો જાય
અને એમ નદીની છાતી પર એક નદી ઊગતી જાય …

યોસેફ મેકવાન

દુનિયાની બધી સંસ્કૃતિઓ નદી કિનારે અને નગરોમાં વિકસી છે. સંસ્કૃતિ, માનવ જીવન અને ઉત્ક્રાંતિ આ બધાને વણી લેતી આ રચના બહુ જ વિશિષ્ટ રચના છે. સાવ નવા નક્કોર પ્રતિકો આ વાતને લીટીએ લીટીએ દોહરાવતા જાય છે.

Comments (4)

હવે – કિશોર શાહ

મેં એની પાસે
ગોવર્ધન જેટલું સુખ
અને
ટચલી આંગળી જેટલું દુ:ખ માંગ્યું.
મારા કહેવામાં
કે
એના સમજવામાં
કદાચ ભૂલ થઈ હોય
મેં કહ્યું તેનાથી અવળું જ થયું
હવે
હું નથી ભાર ઉપાડી શકતો
કે
નથી આંગળી કાપી શકતો.

– કિશોર શાહ

Comments (5)

સૂરજના સાત ઘોડા – કમલેશ શાહ

સૂરજના સાતમાંથી છ ઘોડાનાં નામ
સરસ્વતીના ચમચાઓને લાંચ આપીને
ચમન જાણી લાવ્યો છે.

ચિંતા, દુ:ખ, રોગ, એકવિધતા, શૂન્યતા ને કંટાળો.

સરસ્વતી સુધી લાગવગ લગાડવા છતાં
સાતમા ઘોડાનું નામ
ચમનને જાણવા મળ્યું નથી.

સૂરજના એ સાતમા ઘોડાનું નામ
સુખ હશે, એમ માનીને
ચમન જીવ્યે રાખે છે.

– કમલેશ શાહ

કેટલીક કવિતાનો અર્થ દરેક વાંચક માટે અલગ અલગ હોય છે. તમારે મન સૂરજના સાતમા ઘોડાનું નામ શું છે ?

Comments (3)

ઈસુ તથા શ્રી મોહનદાસ ગાંધીને – વિપિન પરીખ

માણસ નામે નબળું પ્રાણી,
એની ઊંઘ એને ઘણી વહાલી !
તમે અચાનક એને ઢંઢોળો તો
ક્રોધથી ગાંડોતૂર થઈ
ક્રોસ ઉપર તમને લટકાવે નહીં તો શું કરે ?
અથવા
હાથમાં જો બંદૂક આવે તો શું તમને જતા કરે ?
તમે તો સર્વજ્ઞાની –
આટલું પણ ન જાણ્યું કે
કાચી ઊંઘમાંથી કોઈને જગાડાય નહીં ?

– વિપિન પરીખ

ઈતિહાસ સાક્ષી છે કે સમય કરતા આગળ અને સમાજ કરતા અલગ હોવાની સજા દરેક મહાપુરુષોએ ભોગવી જ છે. નવી દિશામાં આંગળી ચીંધવાની કિંમત દર વખતે લોહીથી ચૂકવવી પડે એ તો કેવું શરમજનક કહેવાય. પરંતુ જોવાની વાત એ છે કે ક્રોસ કે બંદૂકની ગોળીનો પ્રતિભાવ ઈસુ અને ગાંધીએ એકસરખો જ આપેલો – સંપૂર્ણ ક્ષમા !

Comments (5)

જીવી ગયો હોત – જયન્ત પાઠક

કોઈ નથી-ના આ બંધ ઓરડામાં
આંટા મારતી
મારી એકલતાના કાનમાં
તમે ‘હું છું ને’ એટલું જ બોલ્યાં હોત
તો હું જીવી ગયો હોત;

મરણના મારગે આ ચરણ ઊપડ્યા ત્યારે
તમે માત્ર ‘ઊભા રહો’ એટલું જ કહ્યું હોત
તો હું જીવી ગયો હોત;

મુખ પર ઢંકાયેલી
મૃત્યુની ચાદરને સહેજ આઘી કરીને
તમે માત્ર ‘કેમ છો?’ એટલું જ પૂછ્યું હોત
તો હું જીવી ગયો હોત;

આમ તો કદાચ
મરવા કરતાં જીવવાનું જ સહેલું હતું
પણ… તે મારા હાથમાં નહોતું !

– જયન્ત પાઠક

આ કવિતામાં કવિ જ્યારે ત્રણ નાની માંગણીઓ ગણાવે છે ત્યારે ખ્યાલ આવે છે કે પ્રેમ કેટલી સાદી, નાની ને સરળ વાતો પર ટકેલો હોય છે ! ‘હું છું ને’, ‘ઊભા રહો’ અને ‘કેમ છો?’ આટલી સામાન્ય લાગણીઓ પ્રેમનો પાયો હોય છે. એમ છતાંય આપણે રોજે રોજ પોતાના પ્રેમને ટૂંકો પડતો જોઈએ છીએ.

Comments (2)

પૂર્વજન્મ – પ્રીતમ લખલાણી

બારીએ
પંખીનો ટહુકો સાંભળી
મેજ પર પડેલ
કાગળને
ક્યારેક
પૂર્વજન્મ યાદ આવતો હશે ?!

-પ્રીતમ લખલાણી

અત્યંત ટચૂકડી હોવા છતાં આ રચનામાં કવિએ પ્રકૃતિપ્રેમની લાગણી એવી તીવ્રતાથી વણી લીધી છે કે લોહી અચાનક થીજી જતું જણાય. વૃક્ષમાંથી બનતી ત્રણ વસ્તુઓ બારી, મેજ અને કાગળ સાથે વૃક્ષ પર બેસનાર પંખીને સાંકળીને કવિએ ચમત્કૃતિ સર્જી છે.

Comments (4)

દ્વિધા – જાવેદ અખ્તર

કરોડ ચહેરા
ને એની પાછળ
કરોડ ચહેરા
છે પંથ કે ભીડભાડ કેવળ
ધરા ઉપર દેહ સૌ છવાયા
ચરણ મૂકું ક્યાં અહીં તસુભાર જગ્યા ક્યાં છે?

નિહાળતાં એ વિચાર આવ્યો
કે હમણાં હું જ્યાં છું
શરીર સંકોરી ત્યાં જ રહું હું
કરું શું, કિન્તુ 
મને ખબર છે
હું આમ અટકી ગયો તો

પાછળથી ભીડ જે ઉમટી રહી છે
ચરણ તળે એ મને કચડશે અને રોંદશે એ
હવે જો ચાલું તો
મારા પગમાં જ ભેરવાતાં
કોઇની છાતી
કોઇના બાહુ
કોઇનો ચહેરો

હું ચાલું ત્યારે
જુલમ થશે એ બીજાઓ ઉપર
ને અટકું તો ખુદ
સ્વયમ્ ઉપર હું જુલમ સહું છું

હે અંતરાત્મા ! તને અભિમાન બહુ હતું
તારી ન્યાય બુધ્ધિ ઉપર,ખરું ને?
હવે કહે જોઉં
આજે તારોય શો છે નિર્ણય?

જાવેદ અખ્તર 

અનુવાદ – રઈશ મનીઆર

Comments (2)

શબ્દોત્સવ – ૨: અછાંદસ: એક બપોરે – રાવજી પટેલ

મારા ખેતરના શેઢેથી
‘લ્યા ઊડી ગઈ સારસી !
મા,
ઢોચકીમાં છાશ પાછી રેડી દે.
રોટલાને બાંધી દે.
આ ચલમની તમાકુમાં કસ નથી;
ઠારી દે આ તાપણીમાં
ભારવેલો અગની
મને મહુડીની છાંય તળે
પડી રહેવા દે.
ભલે આખું આભ રેલી જાય,
ગળા સમું ઘાસ ઊગી જાય,
એલે એઈ
બળદને હળે હવે જોતરીશ નંઈ…
મારા ખેતરને શેઢેથી –

-રાવજી પટેલ

ખેડા જિલ્લાના વલ્લવપુરા ગામના વતની રાવજી પટેલ (જન્મ: 15-11-1939, મૃત્યુ: 10-08-1968) આયખાનો ત્રીસીનો આંકડો વતાવે એ પહેલા જ આ સારસીની પેઠે ઊડી નીકળ્યા. ક્ષયરોગની બિમારીમાં થયેલું અકાળ અવસાન આપણા સાહિત્યનો એક ગરવો અવાજ સમયથી પહેલાં છિનવી ગયું. કૃષિજીવન અને ગ્રામ્યપરિવેશ એમની કવિતાનો આત્મા. એ નિજત્વથી ભર્યો ભર્યો કવિ છે. એની સર્જકતાને કશું ગતાનુગતિક, કશું રૂઢ ખપતું નથી. અહીં આ કવિતામાં બહુ ઓછા વાક્યોમાં ગામડાના ખેતરનું ચિત્ર તાદ્દશ રચાય છે. ઉત્કટ પ્રેમના પ્રતીક રૂપ સારસીના એકાએક ઊડી ગયા બાદ નાયકની નકારાત્મક પદાવલિઓ ખેતર સમા જીવનના ખાલીપાના અર્થને અને એમાં કશું પણ ઉગાડી શકવાની ઈચ્છા અને શક્યતાઓને ઉજાગર કરે છે.

મરણોત્તર કાવ્યસંગ્રહ: ‘અંગત’.

Comments (5)

શબ્દોત્સવ – ૨:અછાંદસ: ફરતી ટેકરીઓ ને….રમેશ પારેખ

ફરતી ટેકરીઓ ને વચ્ચોવચ્ચ આપણાં ખેતર, સોનલ…

ખેતર ઉપર કંકુવરણું આભ ઊગે
ને કેટકેટલાં હંસ સમાં ચાંદાનાં ટોળાં ઊડે
ફરફરતી કૈં પવનકોરને લયની ઝાલર બાંધે

ચાસચાસમાં વાંભ વાંભનો કલરવ ઝૂલે

મને થાય કે હમણાં ભૂરી પાંખ સમેટી આભ ઊતરશે
કૂવાના મંડાણ લગી
ને કલબલ કલબલ માનસરોવર પીશે

હમણાં –
કોરાભસ કૂવાથાળે કૈં જળના દીવા થાશે

હમણાં –
ખાડાખૈયા સૂકાં પાનની જેમ તણાતા જાશે

હમણાં –
તરબોળાશે કેડી ત્યારે તરબોળાતી કેમ કરી રોકાશે મારી લાલ પછેડી ?

ત્યાં તો –
ઝળહળ ઝરતો પ્હોર
આભના ઘુમ્મટ પર ચીતરાય
પીળું ઘમરખ બપોરટાણું ધોમ તપે તડકો એવું કે
પડછાયાઓ વેંતવેંત પથ્થરમાં ઊતરી જાય
આંખ અને નભ વચ્ચે અંતરિયાળ ઓગળે
પસાર થાતા એકલદોકલ વનપંખીની કાય

ફરતી ટેકરીઓ ને વચ્ચોવચ્ચ આપણાં ખેતર, સોનલ…

રમેશ પારેખ

Comments

શબ્દોત્સવ – ૨:અછાંદસ: ઘર – ઉદયન ઠકકર

મને તો ગમી ગયું છે આ ઘર
ધરતીને છેવાડે આવેલું.
રાતે નળિયાં નીતરતાં હોય, તારાઓની છાલકે
હાક મારીએ ને સામો સાદ દે, દેવતાઓ
પગ આડોઅવળો પડે તો ગબડી જવાય, અંતરિક્ષમાં
સરનામું હોય:
સ્વર્ગની પાસે.

હા, દુનિયાન નિયમો અહીં લાગુ તો પડે
પણ થોડા થોડા.
રાતે હોવાપણું, આગિયાની જેમ ‘હા-ના’, ‘હા-ના’, કર્યા કરે.

ઝાંપો હડસેલતીક નીકળે કેડી
જેની પર લખ્યું હોય
‘કશેક તરફ’
બારીએ ટમટમે આકાશગંગા
જેની પર લખ્યું હોય
‘કશેય નહિ તરફ’

ઘરમાં રહેતા હોઈએ
તું અને હું.
કહે, કઈ તરફ જઈશું ?

– ઉદયન ઠકકર

મકાન એક ભૌતિક ચીજ છે, જ્યારે ઘર  તો એક અનુભૂતિ છે. ગમતું ઘર સ્વર્ગથી કંઈ કમ નથી હોતું. આવા ઘરમાં પ્રિયજનનો સંગાથ હોય તો માણસ ‘કશેય નહિ તરફ‘ જ જાય ને !

Comments

મીણબત્તી – પ્રીતમ લખલાણી

દેવળના
એક ખૂણે
મીણબતીને બળતી જોઇ!

ઇસુએ પૂછ્યું,
’શું તને આમ
એકલું બળવું-પીગળવું ગમે છે?’

મીણબતી બોલી,
‘બળવા – પીગળવાનો આનંદ !
ભલા તમે દેવતાઓ શું જાણો???’

પ્રીતમ લખલાણી

મૂળ ઘાટકોપરના રહેવાસી અને કોમ્પ્યુટર ક્ષેત્રના આ નિષ્ણાત, 26 વર્ષથી અમેરીકાના રોચેસ્ટર શહેરમાં રહે છે.
તેમના કાવ્ય સંગ્રહો- ગોધૂલિ, દમક, સંકેત, એક્વેરીયમમાં દરિયો

Comments (6)

શાંત આનંદ – યેહૂદા અમિચાઈ

જ્યાં મેં પ્રેમ કર્યો હતો એ સ્થળ પર હું ઊભો છું.
વરસાદ વરસે છે. વરસાદ મારું ઘર છે.

ઝુરાપાના શબ્દોને હું વિચારું છું; એક દ્રશ્ય
શક્યતાના છેક છેવાડાની ધાર પર ઊભરાય છે.

મને યાદ છે તું હાથ હલાવતી
જાણે કે મારી બારી પરથી ધુમ્મસ લુછતી હોય એમ.

અને તારો ચહેરો જાણે કે મોટો થયેલો
જૂના ઝાંખા ફોટામાંથી.

એક વાર મેં મારી જાત અને બીજાઓ સાથે
ભયંકર ખોટું કર્યું હતું.

પણ દુનિયા સુંદર રીતે નિર્માણ થયેલી છે સારું કરવા માટે
અને વિસામા માટે; બગીચાના બાંકડા જેવી.

અને જીવનમાં મોડેમોડે મને જાણ થઈ
શાંત આનંદની,
કોઈ ગંભીર રોગ બહુ મોડેમોડે ઓળખાયો હોય એમ.

હવે જરીક અમથો સમય રહ્યો છે શાંત આનંદ માટે.

યેહૂદા અમિચાઈ

હીબ્રુ કવિનું આ કાવ્ય સુરેશ દલાલે અનુવાદિત કરેલું છે. આ મારા અત્યંત પ્રિય કાવ્યોમાંથી એક છે. બહુ થોડા કાવ્યોમાં એવી તાકાત હોય છે કે જીવનને એક નવો દ્રષ્ટિકોણ આપી શકે. આ કાવ્ય એમાંથી એક છે. બહુ મોડું થઈ જાય એ પહેલા આપણે આપણો પોતાનો શાંત આનંદ શોધવો જ રહ્યો.

Comments (5)

વજનદાર શાંતિ – ગિરીશ ભટ્ટ

એ લોકો શું

– કોઇ નવા ઇસુને
  વધસ્તંભ પર ચડાવી રહ્યા છે?

– કોઇ નવા બુધ્ધ પર
  પથ્થર અને ગાળોનો વરસાદ વરસાવી રહ્યા છે?

– કોઇ નવી મીરાંને
   ઝેરનો પ્યાલો ધરી રહ્યા છે?

– કોઇ નવી રાબિયાની
   જીવતી ત્વચા કોચી રહ્યા છે?

– પુત્રવધૂને જીવતી સળગાવીને
   પછી એની અર્ધબળેલી લાશના
   અગ્નિસંસ્કાર કરી રહ્યા છે?

   મિત્ર, આટલી વજનદાર શાંતિ શા કારણે છે?

– ગિરીશ ભટ્ટ

Comments (1)

તારા વિના – સુરેશ દલાલ

તારા વિના સૂરજ તો ઊગ્યો
પણ આકાશ આથમી ગયું.
તારા વિના ફૂલ તો ખીલ્યાં
પણ આંખો કરમાઈ ગઈ.
તારા વિના ગીત તો સાંભળ્યું
પણ કાન મૂંગા થયા.
તારા વિના…

તારા વિના…
તારા વિના…

જવા દે,
કશું જ કહેવું નથી.

અને કહેવું પણ કોને
તારા વિના ?

– સુરેશ દલાલ

એક સંગાથ છૂટી જાય તો ઘણી વાર આખી જીંદગીમાંથી અર્થ ખૂટી જાય છે. ‘તું’ નથી તો જાણે ‘હું’ જ નથી. અને એની ફરિયાદ કરવા જવું તો જવું પણ ક્યાં ? 

Comments (3)

દીવાલ – હસમુખ પાઠક

તું-હું વચ્ચે
વિરહ દીવાલ.

રોજ શબ્દ-ટકોરા પાડું
તું સાંભળ.

રોજ કાન માંડું,
તને સાંભળવા.

મારા શબ્દ સામે
તારા બોલ મૌનના.

ન તૂટે વિરહ
ન ખૂટે વહાલ.

– હસમુખ પાઠક

વિરહની વ્યથાની અહીં વાત નથી, માત્ર વિરહની હકીકતની વાત છે. વિરહની સામે એક જ સત્યાગ્રહ ચાલી શકે અને એ છે વહાલનો સત્યાગ્રહ. આ વાત અહીં બહુ સરસ રીતે કરી છે. 

Comments (3)

બીક – ભાગ્યેશ જહા

એને
મરણની અસર નથી થતી,
સ્મરણની પણ અસર નથી !
વરસાદમાં પલળે પણ ન ઉચ્ચરે કશું
ઉત્સવ જેવું પણ ન પ્રગટે કશું એનામાં,
આનંદ કે આંસુનું પણ
નથી નામોનિશાન એના ચહેરા પર,
મને બીક છે,
કે
આપણા નગરને ચાર રસ્તે ઊભેલી

પ્રતિમા
ક્યાંક માણસ ન થઈ જાય.

ભાગ્યેશ જહા

Comments (2)

મારો શામળિયો – નીરવ પટેલ

મારા શામળિયે મારી હુંડી પૂરી-
નીકર બબલીના ગવનનું આણું શેં નેંકળત?

ચાવંડાની બાધા ફળી
ને જવાન જોધ ગરાહણી ફાટી પડી …
એની ઠાઠડીને ઓઢાડ્યું રાતું ગવન !

રાતીચોળ ચેહ બળે
ને આકડાના છોડે રાતું ગવન લહેરાય !

બબલીની મા તો જે મલકાય, મારી હાહુ…
બસ, ડાઘુઓની પૂંઠ ફરે કે ધોડું હડડ મસાણે,

મારો ભંગિયાનો ય બેલી ભગવાન !

– નીરવ પટેલ

જેમને એક જાણીતા સમાચાર પત્રના અહેવાલમાં ‘દલિત કવિતાનો આદ્યાક્ષર’ , ‘દલિત કવિતાના મણકાનો મેર‘, ‘જે લખવા ખાતર નથી લખતો નથી – તેવો પૂર્ણ કવિ’  એવાં વિશેષણોથી નવાજવામાં આવ્યા છે; અને જેની કવિતાની સિતાંષુ યશશ્ચન્દ્ર અને સુમન શાહ જેવા લબ્ધ પ્રતિષ્ઠીત સાહિત્યકારોએ મુક્ત કંઠે પ્રશંસા કરી છે તેવા  શ્રી. નીરવ પટેલની આ કવિતા છે. તેમની કવિતા ‘સંસ્કારપૂર્ણ આભિજાત્યને અક્ષુણ્ણ રાખીને’ દલિતોનાં વેદના, વિદ્રોહ અને માનવતાને તેમનાજ શબ્દોમાં વાચા આપે છે.

તેમનો એક માત્ર કાવ્ય સંગ્રહ ‘ બહિષ્કૃત ફૂલો’ તાજેતરમાંજ પ્રસિધ્ધ થયો છે. ઉપરની કવિતા તમને આઘાત આપશે કે તમારી સુષુપ્ત સંવેદનાને ઉજાગર કરશે તેની તો મને ખબર નથી , પણ એ હકીકત છે કે, આ કવિતા વાંચ્યા પછી હું એક કલાક માટે સાવ હતપ્રભ થઇ ગયો હતો.

આ એકવીસમી સદીમાં પણ શામળીયામાં અસીમ શ્રધ્ધા રાખતા આ દલિત લોકોને શામળીયાના મંદિરમાં ઘણી જગ્યાઓએ હજુ પ્રવેશથી વંચિત રાખવામાં આવે છે. આપણે યાદ કરીએ કે, એક માણસ આપણી વચ્ચે હતો, જેનો આત્મા 1914 માં આફ્રિકાથી ભારત આવીને આપણી કહેવાતી મહાન સંસ્કૃતિનાં આવાં વરવાં દ્રષ્યો જોઇ કકળી ઊઠ્યો હતો. અને તેણે તેનો સભ્ય પહેરવેશ ફગાવી એક પોતડી જ ધારણ કરી હતી.

Comments (15)

એકલવાયો – હરીન્દ્ર દવે

મારા એકાંતમાં
ધસી રહી છે એ સભાઓ
– જેમાં હું ગયો નથી.

મારા પુણ્યમાં પ્રબળ
રહ્યાં છે એ પાપો
– જે મેં કર્યાં નથી.

મારી ગતિમાં
જે વળાંકે વળ્યો ન હતો
એ તરફનો ઝોક છે.
નથી આચરી શક્યો
એવા અપરાધોના સિંદૂરથી રચાયો છે
મારી નિર્દોષતાનો અરીસો.

મને એકાંતપ્રિય માનતા મિત્રોને હવે કેમ સમજાવું
કે હું એકલવાયો છું !

– હરીન્દ્ર દવે

આ કવિતામાં કોઈ સંદેશ નથી, માત્ર સચ્ચાઈ છે. જીવનભર લીધેલા નિર્ણયોને કારણે ભલે લોકો તમને બિરદાવ્યા કરે પણ અંતરમન તો જાણતું જ હોય છે કે એ નિર્ણયો ‘લીધેલા’ નહોતાં ‘લેવાય ગયેલા’ હતાં. પગલાં ખોટી દીશામાં ન ઊપડ્યા એમાં મનની શક્તિ કરતા શિથીલતાનો ભાગ વધારે હતો. આવું ખૂબ અંગત અંતરદર્શન ગુજરાતી કવિતામાં ઘણું ઓછું જોવા મળે છે.

Comments (4)

પોસ્ટમોર્ટમનો રિપોર્ટ – સર્વેશ્વરદયાલ સક્સેના

ગોળી ખાઈને
એકને મોઢેથી નીકળ્યું-
‘રામ’

બીજાના મોઢેથી નીકળ્યું-
‘માઓ’

પણ
ત્રીજાના મોઢેથી નીક્ળ્યું-
‘બટાટા’

પોસ્ટમોર્ટમનો રિપોર્ટ છે
કે પહેલાં બેનાં પેટ
ભરેલાં હતાં.

– સર્વેશ્વરદયાલ સક્સેના 
(અનુ.-સુશીલા દલાલ) 

આ ગોળી જેવી કવિતા સીધી હ્રદય પર વાગે છે. જોવાની વાત એ છે કે એ વખતે આપણા મોઢામાંથી શું નીકળે છે?

Comments (2)

એ જિંદગી – ઉશનસ્

આ તરફ ઉન્મત્ત ધ્વજ ફરકાવતું સરઘસ જતું;
-ના તે નહીં,
એ તરફથી ડાઘુજન ગમગીન ચહેરે આવતું;
– તે યે નહીં.
રસ્તા વિશે એ બે ય ધારા જ્યાં મળે,
તે મેદની છે જિંદગી.

ભરતી વિષે ઉભરાય ખાડી, ખાંજણો યે આકળી;
-ના તે નહીં,
ને ઓટમાં એ હાડપિંજરની ગણી લો પાંસળી યે પાંસળી,
– તે યે નહીં
ઓટ ને ભરતી ઉભય સંધાય જે ક્ષણ;
તે સમુંદર જિંદગી.

ફૂલના જેવું વસંતલ સ્મિત ખીલે જે શૈશવે;
-ના તે નહીં,
ને અષાઢી મેઘ જેવી આંખડી સંતત રુવે,
– તે યે નહીં..
હર આહ કૈં મલકી જતી, હર સ્મિત ભરતું ડૂસકું
તે સંધિક્ષણ છે જિંદગી.
 

-ઉશનસ્   

Comments (5)

ટચૂકડી જા X ખ – ઉદયન ઠક્કર

ગુમાઈ છે ગુમાઈ છે ગુમાઈ છે

કોન્વેન્ટ સ્કૂલના કમ્પાઉન્ડમાંથી,
સંચાલકો અને માતા-પિતાની
બેદરકારીને કારણે, પલક મીંચવા-
ઉઘડવા વચ્ચેની કોઈ ક્ષણે… ગુજરાતી
વાંચતી-લખતી એક આખી પેઢી.

ઓળખવા માટે નિશાની: ‘કાનુડાએ
કોની મટુકી ફોડી?’ એમ પૂછો તો
કહેશે, ‘જેક એન્ડ જિલની’

ગોતીને પાછી લાવનાર માટે
ઇનામ એકે નથી. કારણ કે એ
હંમેશને માટે ગુમાઈ ચૂકી છે.

-ઉદયન ઠક્કર
(‘સેલ્લારા’)

ઉદયન ઠક્કર હંમેશ નવા પ્રયોગો કરતા જ રહે છે.આ ‘ટચૂકડી’ કવિતા એમણે લીડિયા સિગુર્નીની વેડફાયેલા સમય વિષેની પંક્તિઓ પરથી પ્રેરણા લઈને લખી છે.

( મૂળ અંગ્રેજી પંક્તિઓ : Lost, yesterday, somewhere between sunrise and sunset, two golden hours, each set with sixty diamond minutes. No reward is offered, for they are gone forever! )

Comments (3)

જીવન રેખ- ઇન્દ્ર શાહ

વિસ્તૃત તટ પરે
એક રેખા
બે બિંદુ મધ્યે પડી
અચેતન, સુપ્ત     

મુગ્ધ હું એના વળાંક પર
શોધી રહું
ચોતરફ
અણદીઠ હસ્ત!

– ઇન્દ્ર શાહ
શ્રી. ઇન્દ્ર શાહ સાથે મારો પરિચય સાવ નવો છે. પણ એમની કવિતાઓમાં મને મારા અંતરનો અવાજ સંભળાય છે.ઉત્ક્રાન્તિના જે તબક્કે માનવ નામના પ્રાણીને પ્રજ્ઞા લાધી, ત્યારથી આ પ્રશ્ન તેને મુંઝવી રહ્યો છે, કે આ જીવે છે તે શું છે? મરણ બાદ જે જતું રહે છે તે શું છે? અને આ પ્રશ્નમાંથી જ માણસે ઇશ્વર નામના કોઇ અસ્તિત્વ કે અનસ્તિત્વની કલ્પના કરી.

ઇન્દ્ર ભાઇ પણ આ જ શોધે છે. જન્મ અને મૃત્યુના બે બિંદુ વચ્ચે જિંદગીની જડ રેખા લાંબી થઇને, સુતી પડી છે. આ રેખા પર મુગ્ધ થયા છતાં કવિને સંતોષ નથી. એમને તો ન દેખાતા, પણ ખરેખર ચેતનાથી સભર હાથની શોધ છે, જેની પાર્શ્વ ભૂમિમાં આ રેખા અંકાયેલી છે. આપણે દરરોજ આપણો હાથ જોઇએ છીએ, પણ તેને જોવાની આ દ્રષ્ટિમાં કેટલું ઉંડાણ ધરબાઇને પડ્યું છે? અછાંદસ હોવા છતાં સુપ્ત અને હસ્ત નો અંત્યાનુપ્રાસ આ રચનાને એક લય અને મધુરતા આપી જાય છે.

Comments (1)

કૂર્માવતાર – પન્ના નાયક

અહીં અમેરિકામાં
નિવૃત્ત થયેલી
વૃદ્ધ થતી જતી વ્યક્તિઓની આંખમાં
એક જ પ્રશ્ન ડોકાયા કરે છે:
-હવે શું ?

ભારત જઈ શકાય એમ નથી
અમેરિકા રહી શકાય તેમ નથી
સંતાનો તો ઊડીને સ્થિર થઈ ગયાં
પોતપોતાના માળામાં

અમે બધા
સિટી વિનાના
સિનિયર સિટીઝન.

અમે છાપાં વાંચીએ
-પણ કેટલાં ?
અમે ટેલિવિઝન જોઈએ
-પણ કેટલું ? ક્યાં લગી ?

સ્થિર થઈ ગયેલો સમય
અસ્થિર કરી મૂકે છે અમને
-અમારા મનને.
સસલાં અને ખિસકોલીની જેમ
દોડતો સમય
અચાનક કાચબો થઈ જાય
ત્યારે
એ અવતારને શું કહેવાય ?

-પન્ના નાયક

Comments (8)

સંપૂર્ણ અર્પણ

આપણે આ ધરતીના હતા એ પહેલાંથી આ ધરતી આપણી હતી.
આપણે આ ધરતીના થયા એના સૈકા પહેલાથી એ આપણી હતી.
આ ધરતી આપણી હતી, મેસેચ્યુસેટ્સમાં અને વર્જીનિયામાં,
પણ આપણે તો હજુ ઈંગ્લેંડના હતા, હજુ માત્ર વસાહતી હતા,
જેણે આપણને ત્યાગી દીધેલા આપણે હજુ તેને જ વળગી રહ્યા’તા,
આપણે એના થવામાં પડેલા હતા જે હવે આપણું હતું જ નહીં,
કોઈ કમી હતી જે આપણને નબળાં બનાવતી હતી
છેવટે ખબર પડી કે કમી તો એ હતી કે
આપણે આપણી જાતને હજુ ધરતીને સંપૂર્ણ અર્પણ કરી ન હતી,
આ અર્પણમાં જ આપણી મુક્તિ સમાય હતી.
જેવી હતી એવી આપણી સંપૂર્ણ જાતને આપણે આ ધરતીને ધરી દીધી
(અર્પણનો દસ્તાવેજ એ ઘણા યુદ્ધનો દસ્તાવેજ બની ગયો)
ધરતી જે પશ્ચિમ તરફ સંદિગ્ધપણે વિસ્તરતી,
છતા હજુ વણકહી, અસુંદર, બિનશણગારેલી,
જેવી એ ધરતી હતી, કે જેવી એ બનવાની હતી.

– રોબર્ટ ફ્રોસ્ટ

રોબર્ટ ફ્રોસ્ટની આ કવિતા દેશભક્તિની કવિતાઓમાં અલગ તરી આવે છે. આમ તો આખી કવિતા અમેરિકાના ઈતિહાસનું પ્રતિબિંબ છે. અમેરિકા ઈંગ્લેંડનું સંસ્થાન હતું અને એમાંથી મુક્તિ મેળવવાની જે લડત ચાલતી હતી એ ત્યારે જ ફળીભૂત થઈ જ્યારે લોકોએ અમેરિકાને પોતાની માતૃભૂમિ તરીકે સ્થાપી અને એના માટે કોઈ પણ બલિદાન આપવાની તૈયારી બતાવી. કવિતાનો બૃહદ અર્થ એવો છે કે સંપૂર્ણ અર્પણ વિના કાંઈ સિદ્ધ થાય નહીં. એ અર્થ કવિતાની ધ્રુવ પંક્તિઓ – Something we were withholding made us weak Until we found out that it was ourselves We were withholding from our land of living – માં સુંદર રીતે કંડારાયો છે. આજે આ કવિતા મૂકવાનું કારણ કે આજે 4થી જુલાઈ, અમેરિકાનો સ્વાતંત્રદિવસ છે. મૂળ કવિતા પણ સાથે નીચે આપી છે.

The Gift Outright

The land was ours before we were the land’s.
She was our land more than a hundred years
Before we were her people. She was ours
In Massachusetts, in Virginia,
But we were England’s, still colonials,
Possessing what we still were unpossessed by,
Possessed by what we now no more possessed.
Something we were withholding made us weak
Until we found out that it was ourselves
We were withholding from our land of living,
And forthwith found salvation in surrender.
Such as we were we gave ourselves outright
(The deed of gift was many deeds of war)
To the land vaguely realizing westward,
But still unstoried, artless, unenhanced,
Such as she was, such as she would become.

Comments (1)

પિંજરું – પન્ના નાયક

લટકતા બટકું રોટલાની લાલચે
પિંજરામાં સપડાઈ ગયેલા
અગણ્ય ઉંદરો
આપણે બહાર – આપણે અંદર.

આ કુટુંબકબીલા ફરજીયાત નોકરી
સમૃદ્ધિને જરૂરિયાત બનાવી
એને પોષવામાં પ્રતિદિન પ્રાપ્ત થતું રંકત્વ
આપણી બહાર જવાની અશક્તિ
આપણી અંદર રહેલી નિરાંત
છતાં (સૃષ્ટિમાં સૂર્ય છે તો ય)
પ્રલંબ રાત્રિના
પાંજરામાં આપણી દોડાદોડી
ઉત્તરથી દક્ષિણ ધ્રુવ લગીની લંબાઈની –
બટક બટક રોટલો ખવાઈ ગયો છે તોય
ને નાનકડું બારણું ખુલ્લું છે તોય
કોઈ બહાર નીકળતું નથી !
આપણે બહાર – આપણે અંદર !

– પન્ના નાયક

આ કવિતાના રૂપકો ને સંદર્ભોમાં ખાસ કશું નવું નથી. આની આ જ વાત કેટલાય કાવ્યોમાં, વાર્તાઓમાં, ફિલ્મોમાં અને ખાસ કરીને, કેટલીય જીંદગીઓમાં, આપણે જોઈ જ ચૂક્યા છે.  અકળામણ એની એ જ છે. સવાલ એનો એજ છે. પણ ઉત્તર ન મળે ત્યાં લગી ફરી ફરી એ સવાલ પૂછે જ છૂટકો.

Comments (7)

છિદ્રો – મૂકેશ વૈદ્ય

મેં એક મૂર્તિ ઘડી
એક વાર એ પર નખશિખ પથરાયેલી તિરાડે
મારું ધ્યાન ખેચ્યું.
હું મૂર્તિની વધારે નજીક ગયો.
નજીકથી જોતાં
અનેકાનેક છિદ્રો મને વિહ્વળ કરવા લાગ્યાં.
એક વાર તો હું
તિરાડ સોંસરવો આરપાર પણ જઈ આવ્યો.
છતાંય
એ અકબંધ હોવાનો મારો દાવો રહ્યો.
કંઈ ક્યાંય સુધી,
અરે એ કકડભૂસ થઈ ચૂક્યા પછી પણ
મારા મસ્તિષ્કમાં, મારી ભૂજાઓમાં
અને શિરાઓમાં વહેતા રક્તમાં
એ મૂર્તિ
હજીયે અકબંધ ઊભી છે.

– મૂકેશ વૈદ્ય

“આ કવિતામાં કઈ વાત છે? (અ) ખંડિત મૂર્તિના પૂજનની વ્યર્થતાની કે (બ) અપૂર્ણને પણ ચાહી ચાહીને પૂર્ણ બનાવી શકાય છે એની. ”
“એ તો તમે જાણો !”
“કદાચ કવિ બન્ને વાત કહેવા માંગે છે. કદાચ જીંદગીમાં આ બન્ને વાત જેટલી અલગ લાગે છે તેટલી ખરેખર છે નહીં એવું કવિ કહેવા માંગતા હોય.”
“એય તમે જાણો ! મને તો બસ કવિતા ગમી એટલે ગમી. એમાંના છિદ્રો અને તિરાડો જોવાનું કામ તમારું, મારું નહીં.”
“???”
“!!!”

Comments (12)

મથુરાદાસ જેરામ – ઉદયન ઠક્કર

મથુરાદાસ જેરામ નામનો એક શખ્સ (ઉંમર વર્ષ ત્રેપન)
સંખ્યાબંધ લોકોની આંખ સામે
ધોળે દહાડે
ઈસ્પિતાલ જેવા જાહેર સ્થળે
મરવાનું અંગત કાર્ય કરી ગયો
એને આજે વરસો થયાં.

હવે સમય પાકી ગયો છે કે
હું એને અંજલી આપું;
એની કરુણભવ્ય ગાથા રચું;
જેથી કેટલાક વધુ માણસો જાણે
કે મથુરાદાસ કોણ હતો, કેવું જીવ્યો.
ભડનો દીકરો હતો એ,
તડ ને ફડ હતો એ,
મને એકંદરે ગમતો.

વધુ આગળ વાંચો…

Comments (5)

તકિયો – પુ.શિ.રેગે

ક્યારે આમ
તકિયા પરની થઈ
ચાંદની, તડકો ?

-પુ.શિ.રેગે
(અનુ. – જયા મહેતા)

Comments

ગીતાંજલી – 67 -રવીન્દ્રનાથ ઠાકુર

તું છે આકાશ મારું અને તું જ મારો માળો.

હે સુંદર, માળામાં
તારો પ્રેમ, મારા આત્માને વીંટાળતો નાદમાં, રંગમાં, સુગંધમાં.

દક્ષિણ હસ્તે, સુવર્ણપાત્રે, સૌંદર્યમાલા ધરી,
પધરામણી ત્યાં પ્રભાતની, દેતી ધરતીને વધામણી.

ત્યાં સંધ્યા પથરાતી મેદનીવિહીન મેદાને,
સાથે લાવતી શીતલ, શાંત સમીર, ભરી એના સુવર્ણકળશે.

પણ જ્યાં આત્મા મુક્ત વિચરતો, તે અનંત આકાશે
દશ દિશા ચમકતી નિષ્કલંક, નિરભ્ર, શુભ્ર, તેજપુંજે.
ન દિવસ, ત્યાં ન રાત, ન રંગ ત્યાં ન આકાર,
અને શબ્દનો સદંતર અભાવ.

-રવીન્દ્રનાથ ઠાકુર
અનુવાદ – શૈલેશ પારેખ

ગીતાંજલીના ગુજરાતીમાં નવ અનુવાદ થયા છે. એમાં સૌથી છેલ્લો શ્રી શૈલેશ પારેખે કરેલો અનુવાદ છે. મૂળ અંગ્રેજી (જે પોતે પણ બંગાળી પરથી અનવાદ છે) પરથી કરેલો આ સરળ અને સહજ અનુવાદ તરત મનમાં વસી ગયો. રવીન્દ્રનાથની આ સનાતન કવિતાઓ આમ પણ કાળ અને ભાષાના બંધનોથી ક્યાંય પર છે. એમાં સંઘરાયેલા અર્થ અને વિસ્મય ધીરે ધીરે ખૂલે છે અને તમારા પોતાના મનની સ્થિતિ પ્રમાણે બદલાય પણ છે.
(નિરભ્ર=વાદળાં વિનાનું)

Comments (1)

આખરની કમાઈ – કુસુમાગ્રજ (અનુ.જયા મહેતા)

મધરાત વિત્યા પછી
શહેરનાં પાંચ પૂતળાં
એક ચોરા પર બેઠાં
અને આંસુ સારવા લાગ્યાં.

જ્યોતિબા બોલ્યા,
છેવટે હું થયો
ફક્ત માળીનો.
શિવાજીરાવ બોલ્યા,
હું ફક્ત મરાઠાનો.
આંબેડકર બોલ્યા,
હું ફક્ત બૌદ્ધોનો.
ટિળક ઉદગાર્યા,
હું ફક્ત ચિત્પાવન બ્રાહ્મણોનો.
ગાંધીએ ગળાનો ડૂમો સંભાળી લીધો
અને તે બોલ્યા,
તોયે તમે નસીબદાર
એક એક જાતજમાત તો
તમારી પાછળ છે.
મારી પાછળ તો
ફક્ત સરકારી કચેરીની દીવાલો !

-કુસુમાગ્રજ
(અનુ. – જયા મહેતા)

આ કાવ્ય વાંચીને દિલમાંથી ચીસ નીકળી જાય છે. હકીકત એ છે કે સિંહણના દૂધ માટે સોનાનું પાત્ર જોઈએ. એજ રીતે ગાંધીજીને અનુસરવા માટે નક્કર આદર્શોવાળી પ્રજા જોઈએ. આપણું એ ગજુ નથી. કોઈ બીજા પર આક્ષેપ નથી, પહેલી આંગળી પોતાની તરફ જ છે. જગતને સુધારવાની ગાંધીજીએ બતાવેલી રીત પોતાની જાતને સુધારવાની હતી. આ રીતથી વધારે સચોટ અને વધારે કઠીન રીત બીજી કોઈ નથી. આ બધા વિચારો એકાદ પળ માટે રહે છે અને પછી પાછા આપણે જેવા હતા એવાને એવા જ ! એટલે જ તો કહ્યું છે,

કાયમ રહી જાય તો પેગંબરી મળે,
દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે.
(મરીઝ)

Comments (3)

સંબંધોનું ઉપનિષદ….. -પ્રણવ ત્રિવેદી

આ દુનિયા જાણે સંબંધોનો દરિયો.

સંબંધો તો પાણીના પરપોટાની જેમ
પ્રગટે અને ફૂટે…

સંબંધો તો ફૂલ થઈને ફોરે..
સંબંધો તો શૂળ થઈને કોરે..

ક્યાંક સંબંધો પર્વત જેવા અવિચળ,
ક્યાંક સંબંધો ઝરણા જેવા ચંચળ…

સંબંધો તો શમણું થઈને સરે…
સંબંધો તો તરણું થઈને તરે…

સંબંધો તો સુર્યમુખીનુ ફૂલ…
સંબંધો તો અગનશિખાનુ શૂળ

ક્યાંક સંબંધો કર્ણના કવચકુંડળનો ભાર,
ક્યાંક સંબંધો યુધિષ્ઠિરના અર્ધસત્યનો ભાર..

સંબંધો તો વૈશાખી બપોરનું આકાશ,
સંબંધો તો ચાતક કંઠની પ્યાસ !

સંબંધો નાના હોય કે પછી હોય મોટા,
સંબંધો તો અભિમન્યુના સાત કોઠાં !

-પ્રણવ ત્રિવેદી

રાજકોટની સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રમાં ડેપ્યુટી મનેજર તરીકે સેવા બજાવતા શ્રી પ્રણવ ત્રિવેદી (18/11/1965) ઘણી સારી કવિતા કરે છે. સાહિત્ય એમનો પ્રથમ પ્રેમ છે અને પરિવાર બીજો ! ઈશ્વરદત્ત સુકોમળ સ્વરના માલિક અને મુશાયરાના સારા સંચાલક. રાજકોટના રેડિયો પર અવારનવાર એમના સ્વરનો કોકિલ ટહૂકતો રહે છે… આપ એમની અન્ય કવિતાઓ એમના પોતાના બ્લોગ પર માણી શકો છો.

Comments (1)

રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૨ : અછાંદસ કાવ્ય

ફૂલનો વિશ્વાસ

ફૂલ કેવળ એ જ વિશ્વાસે ઊગે
કે સૂર્ય સાંખી લેશે મારું ઊગવું
શીશ હું ઉંચકીશ તો આકાશ
બેઅદબી કે ગુનો નહીં ગણે….

ફૂલ કેવળ એ જ વિશ્વાસે ઊગે
કે હું ઝૂલું તો ઝૂલવા દેશે પવન-
ડારા નહીં દ્યે,
બોજ મારી મ્હેકનો તો
સ્હેજ પણ એને નહીં લાગે.

ફૂલ કેવળ એ જ વિશ્વાસે ઊગે
કે પછી હું થાકું ને ટપ દઈને ખરું
તો ધૂળ
એની વ્હાલસોયી ગોદમાં
ક્યારે ય ખરવાની મનાઈ નહીં કરે….

– રમેશ પારેખ

શબ્દસપ્તકની બીજી કડીમાં આજે અછાંદસ કૃતિ આસ્વાદીએ. કવિતાનો એવો કોઈ પ્રકાર નથી જ્યાં ર.પા.એ પગ મૂક્યો હોય અને શબ્દોએ એનો ચરણાભિષેક ન કર્યો હોય. એક ગઝલમાં જાણે આ વાતથી વાકેફ હોય એમ એમણે કહ્યું છે:
‘ઉઠાવું પેન ત્યાં થાતાં પતંગિયાનાં શુકન,
ફૂલોનું નામ લખ્યું – ત્યાં જ અનુકૂળ પવન.’

Comments (7)

કવિનું શબ – મનમોહન નાતુ

શબ આ કવિનું
           બાળશો નહીં રે,
જિંદગીભર એ
           બળતો જ હતો

ફૂલો પણ એ પર
           ચડાવશો નહીં રે,
જિંદગીભર એ
           ખીલતો જ હતો.

– મનમોહન નાતુ
(મૂળ મરાઠી, અનુ.જયા મહેતા)

Comments

એક સંદેશો – રાજેન્દ્રસિંહ રાયજાદા

ભાઈ!
મારું એક કામ કરીશ?
મારે એક સંદેશો પહોંચાડવો છે.

બુદ્ધ મળે તો કહેજે
કે
રાઈ માટે ધેર ધેર ભટકતી ગૌતમીને
આજે વહેલી સવારે
મળી આવ્યું છે
એક નવજાત બાળક
ગામને ઉકરડેથી!

– રાજેન્દ્રસિંહ રાયજાદા

ભગવાન બુદ્ધ મૃત્યુની અનિવાર્યતા સમજાવવા ગૌતમીને જે ઘરમાં કોઈ મૃત્યુ ન થયું હોય એવા ઘરમાંથી રાઈ લઈ આવવા મોકલે છે, એવી કથાની ભૂમિકા પર રચાયેલું કાવ્ય એકી સાથે કેટલાય મર્મસ્થળોને અડકી લે છે. તમે કાંઈ પ્રતિભાવ આપી શકો એ પહેલા જ આ કાવ્ય તમને ગાઢ વિચાર કરવા પર મજબૂર કરી દે છે.

Comments (1)

અવદશા – વિપિન પરીખ

વાવાઝોડું તો પસાર થઈ જશે
સમય પડખું પણ બદલશે
શનિ દશા, રાહુ અન્તર દશા જશે ને
ગુરુ ધીમાં ધીમાં પગલાં પણ મૂકશે પ્રાંગણમાં
વાદળો તો ખસશે આકાશમાંથી
પણ સૂરજના ઊગવામાં હું
શ્રદ્ધા ખોઈ બેસીશ તો?
શાણા માણસો કહે છે:
બધું ઠીક થઈ જશે થોડા સમયમાં,
પણ ત્યાં સુધીમાં
હું હસવાનું ભૂલી જઈશ તો?

-વિપિન પરીખ

Comments (4)

કોઈ વચન પાળતું નથી – સુનીલ ગંગોપાધ્યાય

કોઈ વચન પાળતું નથી. તેત્રીસ વર્ષ વીતી ચૂક્યાં
કોઈ વચન પાળતું નથી.
નાનપણમાં એક વૈષ્ણવ બ્રાહ્મણીએ એનું એક સ્વાગતગીત
એકાએક થંભાવીને કહ્યું હતું,
સુદ બારસને દિવસે બાકીનો અંતરો સંભળાવી જઈશ.
ત્યાર બાદ કેટલીયે ચન્દ્રહીન અમાસ ચાલી ગઈ
પણ એ વૈષ્ણવ બ્રાહ્મણી પાછી ન આવી.
પચીસ વરસથી રાહ જોઉં છું.

મામાના ઘરના નાવિક નાદેરઅલીએ કહ્યું હતું,
દાદાઠાકુર, મોટો થા,
તને હું ત્રણ પ્રહરનું જળાશય જોવા લઈ જઈશ.
ત્યાં કમળના માથા પર સાપ અને ભમરો રમે છે.
નાદેરઅલી, હું હવે કેટલો મોટો થઈશ ?
મારું માથું આ ઘરનું છાપરું ફાડી આકાશને
સ્પર્શ કરશે પછી શું તું મને
ત્રણ પ્રહરનું જળાશય બતાવીશ ?

એકાદ મોંઘી ચોકલેટ કદી ખરીદી શક્યો નથી.
લોલીપોપ દેખાડી દેખાડીને ચૂસતાં હતાં
આર્મીના છોકરાઓ.
ભિખારીની જેમ ચૌધરીના ગેટ પાસે ઊભા રહીને જોયો છે અંદરનો રાસોત્સવ.
અવિરત રંગની છોળો વચ્ચે સુવર્ણ-કંકણ પહેરેલી
ગોરી ગોરી યુવતીઓ
કેટકેટલા આનંદથી હસતી હતી.
મારી તરફ તેઓએ વળીને જોયું ય નથી.
બાપુજી મારા ખભાને સ્પર્શતાં બોલ્યા હતા, જોજે,
એક દિવસ આપણે પણ…
બાપુજી હવે અંધ છે, અમે કંઈ કરતાં કંઈ જોઈ શક્યા નથી.
એ મોંઘી ચોકલેટ. એ લોલીપોપ, એ રાસોત્સવ મને કોઈ પાછા લાવી આપવાના નથી.

છાતી પાસે સુગંધી રુમાલ રાખીને વરુણાએ
કહ્યું હતું,
જે દિવસે મને ખરેખર ચાહીશ
તે દિવસે મારી છાતીમાંથી પણ આવી અત્તરની સુવાસ આવશે.
પ્રેમને માટે મેં જીવને મુઠ્ઠીમાં બાંધ્યો
તોફાની-વકરેલા સાંઢની આંખે લાલ કપડું બાંધ્યું.
આખી દુનિયા ખૂંદી વળી લઈ આવ્યો 108 નીલકમળ
તોપણ વચન પાળ્યું નથી વરુણાએ, હવે
એની છાતીમાં ફક્ત માંસની ગંધ
હવે એ કોઈક અજાણી સ્ત્રી !
કોઈ વચન પાળતું નથી, તેત્રીસ વર્ષ વીતી ચૂક્યાં,
કોઈ વચન પાળતું નથી.

– સુનીલ ગંગોપાધ્યાય
(અનુવાદ – નલિની માડગાંવકર)

સુનીલ ગંગોપાધ્યાયની કવિતાઓમાં જાણે વાર્તા ડોકીયું કરતી હોય એવું લાગે. આવા કાવ્યને માટે કથાકાવ્ય ઉચિત નામ છે. જીવનમાં સપનાની પાછળ દોડવાની અને એમાં પછડાટ ખાવાની વાતને એમણે સરસ રીતે રજૂ કરી છે. આ પહેલા રજૂ કરેલું એમનું જ કથાકાવ્ય ચાની દુકાનમાં પણ જોશો.

Comments

ચાંદની (મોનો-ઈમેજ) -મધુ કોઠારી

(1)
ચાંદની
મારા પર ફેલાઈ
ને હું
બની ગયો બગલો.
હવે પકડ્યા કરું છું
વિચારોની માછલી
આખી રાત

(2)
દમયંતીએ કહ્યું:
‘ઓઢવા માટે વસ્ત્ર
નથી’
નળે તરત જવાબ વાળ્યો:
‘આ ચાંદની ઓઢી લે!’

(3)
ચંદ્ર નામનો
સફેદ કરોળિયો
વણે છે ચળકતી જાળ
તેને કહે છે ચાંદની!

(4)
આ ચાંદની નથી
ફેલાઈ ગયેલી
મારી અસીમ વિરહવેદના છે…

-મધુ કોઠારી

ચાંદની કેન્દ્રીત રુપકડાં શબ્દ-ચિત્રો. જાણે વિચારોની નાની નાની ચૂસકીઓ ભરતા હોઈએ એવી લાગણી જન્માવે છે.

Comments (5)

‘સૂર્યને શિક્ષા કરો’ – લાભશંકર ઠાકર

મૂક
વાતાયન મહીં ઊભી હતી
શ્યામા.
ગાલના અતિ સૂક્ષ્મ છિદ્રોથી પ્રવેશી
લોહીની ઉષ્મા મહીં સૂતેલ આકુલતા નરી
સૂર્ય સંકોરી ગયો.
માધુર્ય જન્માવી ગયો.
ઉન્નત સ્તનોને અંગૂલિનો સ્પર્શ જેવો
એવી સ્મૃતિ શી લોહીમાં થરકી ગઈ!

o

ઉદરમાં
આષાઢનું ઘેઘૂર આખું આભ લૈ
પીંજરામાં ક્લાન્ત ને આકુલ
શ્યામા જો ઉં છું, નતશિર.
‘કોણ છે આ કૃત્યનો કર્તા?’
મૂક શ્યામાના થથરતા હોઠ બે ના ખૂલતા.
આંખમાં માધુર્યનાં શબ ઝૂલતાં.
હું કવિ
તીવ્ર કંઠે ચીસ પાડીને કહું છું:
‘સૂર્યને શિક્ષા કરો.’
કંઠની નાડી બધીએ તંગ ખેંચીને કહું છું:
‘સૂર્યને શિક્ષા કરો.’

– લાભશંકર ઠાકર

Comments (5)

કવિતા – પન્ના નાયક

નાની હતી ત્યારે
હું ડરતી
કે
મારી સાથે રમતો સમય
થાકીને
સૂઇ તો નહીં જાય ને !
આજે
હું ડરું છું
કે
મારી પડખે સૂતેલો સમય
જાગીને
ભાગી તો નહીં જાય ને !

પન્ના નાયક (28-12-1933) નો જન્મ મુંબઈ, વતન સુરત અને લાંબો વસવાટ અમેરિકામાં. સશક્ત કવયિત્રી. વિષાદથી ટપકતાં કાવ્યો, માભોમનો ઝૂરાપો અને માતૃત્વની સ્ત્રીસહજ ઝંખના એમની ભાવવાહી કવિતાઓના ઘરેણાં. કાવ્યસંગ્રહ: ‘વિદેશિની’, વાર્તાસંગ્રહ: ‘ફ્લેમિન્ગો’.

Comments (2)

પ્ર ક ભુ વિ – ઉમાશંકર જોશી

તું રૂપ ઘડે,
તું પ્રભુ.
હું તેના નામ કંઈ કંઈ પાડું,
હું કવિ.
તું રૂપ ઘડે ઘડે ને ભાંગે,
મારાં નામ … રમે રમે ને શમે.

અંતે રહે એક નિરાકાર,
રહે એક અ-શબ્દ નામ:
તું…
હું…
પ્રભુ…કવિ…
પ્ર ક ભુ વિ…

– ઉમાશંકર જોશી

Comments

ભીંત / કાગળ – કમલ વોરા

બે ઊભી લીટી દોરી
બે આડી
વચ્ચોવચ એક ખુલ્લું બારણું દોર્યું
ખુલ્લા બારણામાંથી બહાર જઈ શકાય
ખુલ્લા બારણામાંથી અંદર આવી શકાય
હું બહાર જવા દોડ્યો
તું અંદર આવવા
સફેદ ભીંત સાથે
હું આ તરફથી અથડાયો
તું પેલી તરફ થી

-કમલ વોરા

કવિકર્મની મર્યાદાને સચોટ રીતે વર્ણવતું નાનકડું કાવ્ય. ભાવક અને કવિ બંને કોશિશ તો કરે પણ બંન્નેનુ અર્થમિલન હંમેશ શક્ય થતું નથી. જીવનના રંગો એટલા અનોખા છે કે સમર્થ સર્જકની ભાષા પણ ટાંચી જ પડવાની. આ અકળામણને આંબવાની રમત એ જ સર્જનનો આનંદ છે.

Comments (2)

ઘર – નિરંજન ભગત

ઘર તમે કોને કહો છો?
જ્યાં ટપાલી પત્ર લાવે,
શોધતા વણશોધતા મિત્રો અને મહેમાન જ્યાં આવી ચડે,
ક્યારેક તો આવે પડે,
જેનું બધાને ઠામઠેકાણું તમે આપી શકો
તેને તમે શું ઘર કહો છો?
તો પછી જ્યાં જ્યાં તમે પગથી ઉતારીને પગરખાં,
ભાર-ટોપીનોય-માથેથી ઊતારીને,
અને આ હાથ બે પ્હોળા કરીને ‘હાશ’ ક્હો;
જ્યાં સર્વનાં મુખ જોઈ તમને સ્હેજમાં મલકી ઊઠે
ત્યાં ત્યાં બધે ક્હો તમારું ઘર નથી?
તે ઘર તમે કોને કહો છો?

-નિરંજન ભગત

આ કવિતા અમારે ભણવામા આવતી. કવિને મતે ખરું ઘર ક્યું છે? – એવા પ્રશ્ન પરીક્ષામાં આવતા ! આજે ઘણા વર્ષે અચાનક આ કાવ્ય હાથમાં આવ્યું છે ત્યારે -જીવનના વીસ વધુ વર્ષના અજવાળામાં આ કાવ્ય વાચું છું- તો સમજાય છે કે ભગતસાહેબે કેટલી મોટી વાત કરી છે. ઘર હોવું અને ‘ઘર’ હોવું એ વાતમાં ફરક છે. અને જ્યાં મન મળે એ બધી જગાએ ખરે તો ઘર જ છે. બંને વાતને કવિએ બખૂબી અહીં સમાવી લીધી છે.

Comments

ચાની દુકાનમાં – સુનીલ ગંગોપાધ્યાય

લંડનમાં છે છેલ્લી બેંચનો ડરપોક પરિમલ,
રથિન હવે સાહિત્યક્ષેત્રે એક પરમહંસ.
સાંભળ્યું છે કે દીપુએ તો કાગળનું મોટું કારખાનું ખોલ્યું છે
અને પાંચ ચાના બગીચામાં દસ આની ભાગ છે
એ ઉપરાંત સમય મળે ત્યારે થાય છે દેશસેવક;
અઢી ડઝન વાંદા છૂટ્ટા મૂકી ક્લાસ વેરવિખેર કરી
નાખ્યો તો ગાંડિયા અમલે
તે આજે થયો છે મઝાનો અધ્યાપક.
કેવો ગોરો ગોરો હતો સત્યશરણ
એળે શું કામ પોતાનું ગળું કાપ્યું ચકચકિત છરાથી-
હજીયે એ દ્રશ્ય આવતાં જ કમકમાં આવે છે
દૂર જતો રહેશે એ ખબર હતી, તો પણ આટલો બધો દૂર!
ગલીની ચાની દુકાનમાં હવે બીજું કોઈ નથી
એક વખત અહીંયા અમે બધાં સ્વપ્નોમાં જાગ્યા હતા
એક છોકરીના પ્રેમમાં ડૂબ્યા હતા એકસાથે મળી પાંચેય જણા
આજ તો એ છોકરીનું નામ સુધ્ધાં યાદ નથી.

-સુનીલ ગંગોપાધ્યાય
(અનુ. નલિની માડગાંવકર)

આ કથાકાવ્ય મારું અતિપ્રિય કાવ્ય છે. ઈશ્વરે દોસ્તોની બાબતમાં મને હંમેશા માલામાલ રાખ્યો છે. મને મળ્યા એવા દોસ્તો તો કિસ્મતના ધની માણસને જ મળે. આજે માતૃભૂમિની સાથેસાથે દોસ્તો પણ છૂટી ગયા એ ઘા આ કાવ્યથી તાજો થઈ જાય છે. આ કાવ્ય વાંચતી વખતે કે દીલ ચાહતા હૈ જોતી વખતે એટલે જ આંખનો એક સૂનો ખૂણો ભીનો થઈ જાય છે. આ કાવ્ય અર્પણ છે નિર્બંધ આનંદમાં પસાર થયેલા એ દિવસોની ચિરયુવા યાદોને.

Comments (3)

કવિતા – અમૃતા પ્રીતમ

એક દર્દ હતું-
જે સિગારેટની જેમ
મેં ચૂપચાપ પીધું છે
ફક્ત કેટલાંક ગીત છે-
જે સિગારેટ પરથી મેં
રાખની જેમ ખંખેર્યાં છે !

અમૃતા પ્રીતમ

Comments (3)

…એટલે – વિપિન પરીખ

આકાશ એટલે
નિયત સમયે રોજ હાજર થવાની
ચાંદા અને સૂરજની ઓફીસ.

આકાશ એટલે
જોડણીકોશમાં આપેલા પર્યાય
(ન) ખાલી, શૂન્ય સ્થાન, આભ, ગગન, નભ, વ્યોમ.

-વિપિન પારેખ

શબ્દોના સાચા ( કે સાચા લગાડવા ગમે એવા !) અર્થ શોધવાનું અગત્યનું કામ આ દોડતી ભાગતી જીંદગીમાં આપણે ભૂલી જઈએ છીએ. અને, એટલે જ કાદાચ જીંદગીથી અકારણ થાકી જઈએ છીએ. આપણે આપણી અંદરના બાળકને જીવતો રાખીએ તો એ આપણને (ખરા અર્થમા) જીવતા રાખશે. કલ્પનાની નિ:શુલ્ક પાંખો કેમ આપણે કોરે મૂકી રાખીએ છીએ ?

Comments (2)

હું ચાહું છું – સુન્દરમ

હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની,
ને જે અસુન્દર રહી તેહ સર્વને
મૂકું કરી સુન્દર ચાહી ચાહી.

– સુન્દરમ

એક આંગળીના વેઢે ગણી શકાય એનાથીયે ઓછી પંક્તિઓમાં પ્રેમ અને સુંદરતાના મર્મને અડકી લેવો એ કવિની સિધ્ધી છે. સરખાવો એમની જ અમર રચના – તને મેં ઝંખી છે.

Comments (1)

પગફેરો – એષા દાદાવાળા

દીકરીને અગ્નિદાહ આપ્યો,
તે પહેલા ઈશ્વરને
બે હાથ જોડીને કહ્યું હતું,
સાસરે વળાવતો હોઉં એવી જ રીતે
મારી દીકરીને વિદાય કરું છું,
ધ્યાન રાખીશને એનું?
અને પછી મારામાં અગ્નિદાહ દેવાની તાકત આવી,
લાગ્યું કે ઈશ્વરે વેવાઈપણું સ્વીકારી લીધું…!
એને અગ્નિદાહ આપીને પાછો ફર્યો ત્યારે પત્નીએ
આંગણામાં પાણી મૂક્યું હતું…
નાહી નાખવાનું હવે દીકરીનાં નામનું…!
દીકરી વિનાનું ઘર આજે દસ દિવસનું થયું…
પત્નીની વારેવારે ભરાઈ આવતી આંખો
દીકરીના ડ્રેસિંગટેબલ અને છેલ્લાં દસ દિવસથી
એકદમ વ્યવસ્થિત રહેલાં એનાં વોર્ડરોબ પર ફરી વળે છે…
હું પણ ત્યાં જોઉં છું ને એક
નિસાસો નંખાય જાય છે…
ઈશ્વર, દીકરી સોંપતા પહેલાં તારા વિશે
તપાસ કરાવવાની જરુર હતી,
કન્યાપક્ષના રિવાજોને તારે માન આપવું જોઈએ,
દસ દિવસ થઈ ગયાં…
અને અમારે ત્યાં પગફેરાનો રિવાજ છે…!!!

-એષા દાદાવાળા

એષા દાદાવાળાની રચના ડેથ સર્ટિફિકેટ થોડા વખત પર રજુ કરેલી. એજ સૂરમાં લખાયેલી આ બીજી રચના.

Comments (13)

એક પ્રશ્નપત્ર – ઉદયન ઠક્કર

1. હાથ પરોવો હાથોમાં ને આંગળીઓની વચ્ચે રહેલી ખાલી જગ્યા પૂરો.

2. અને આમ તો તમે ય મારી વાટ જુઓ છો,કેમ, ખરું ને…
‘હા’ કે ‘ના’માં જવાબ આપો.

3. (આવ, હવે તો ભાદરવો વરસાદ થઈને આવ, મને પલળાવ !)
કૌંસમાં લખ્યા પ્રમાણે કરો.

4. નાની પ્યાલી ગટગટ પીને ટાઢા પેટે હાથ ફેરવી હું તો જાણે બેઠો’તો, ત્યાં તમને જોયાં. તમને જોઈ તરસ્યો તરસ્યો તરસ્યો થ્યો છું : રસ-આસ્વાદ કરાવો.

5. શ્વાસોચ્છવાસો કોના માટે? કારણ પૂરાં પાડો.

6. છેકાછેકી બને તેટલી ઓછી કરવી.
(સાફસૂથરો કોરોકટ બસ તને મળ્યો છું)

7. ‘તમને હું ચાહું છું, ચાહીશ.’ કોણે,કયારે,કોને,આવી પંક્તિ(નથી)કહી?

8. હવે ખુલાસો. આ લો મારું નામ લખ્યું કાગળ પર, તેને ચૂમો. નહિતર કેન્સલ વ્હોટ ઈઝ નોટ એપ્લીકેબલ.

– ઉદયન ઠક્કર

Comments (9)

ડેથ સર્ટિફિકેટ…! – એષા દાદાવાળા

પ્રિય દિકરા,
યાદ છે તને?
તું નાની હતી અને આપણે પાના રમતા,
તું હંમેશા જીતી જતી અને હું હંમેશા હારી જતો,
ક્યારેક ક્યારેક જાણી જોઈને પણ,
તું કોઈ પણ હરિફાઈમાં જતી ત્યારે તમામ શિલ્ડ અને સર્ટિફિકેટ,
તું મારા હાથમાં મુકી દેતી,
અને ત્યારે મને તારા બાપ હોવાનો ગર્વ થતો.
મને થતું હું દુનિયાનો સૌથી સુખી બાપ છું.
આપણને કોઈ દુ:ખ હોય કોઈ તકલીફ હોય,
તો એક બાપની હેસિયતથી તારે મને તો કહેવું જોઈતું હતું…
આમ અચાનક,
તારા બાપને આટલી ખરાબ હદે
હરાવીને જીતાતું હશે…મારા દીકરા…?
તારાં બધાં શિલ્ડ અને સર્ટિફિકેટસ
મેં હજી સાચવી રાખ્યાં છે,
પણ એનો અર્થ એ તો નથી ને,
કે તારું ડેથ સર્ટિફિકેટ
પણ મારે જ સાચવવાનું…?!!

-એષા દાદાવાળા

એ.દા.સૂરતની રહેવાસી છે. એની કવિતાઓ ‘કવિતા’ સહિત ઘણા મેગેઝીનોમાં પ્રગટ થઈ છે.

Comments (9)