એ ભીતર જ છે, જે બહાર પ્રગટે છે, જ્યારે હું એમને
ત્યાં ભરતડકામાં ખંતપૂર્વક મધ્યપશ્ચિમી લૉન કાપતા
વિચારું છું. મારી પાસે બચી છે કેવળ કેટલીક નોંધ,
એક વસૂકાઈ ગયેલ કલમ, અને બારીમાં આવતી ડુંગળીના
પુષ્પોની સુગંધની સ્મૃતિ. ચિંતન જ મારું જન્મજાત માધ્યમ છે.
હું ક્યારેય પહોંચતી નથી, બસ ક્ષણિક સંવાદ સાધુ છું સ્વયં
અને અન્યો વચ્ચેની વસ્તુગત સ્થિતિઓ પર. મારો દેશ
મને પ્રેમથી, કાળાંતરે પ્રતિરક્ષિત કરી રહ્યો છે. મારો દેશ જકડી રહ્યો છે
મને ઇચ્છાની પેઠે. અગર આપ અનુરોધ કરશો તો હું આપને દેખાડીશ મારાં
પ્રમાણ, યાને કે મારી જીવંત વ્યાખ્યા. આ રહ્યાં અમે, મારા પિતા
અને હું, ન કોઈ વિરોધ, ન ટકરાવ, બસ, એક નાનકડી ભેટ: જીવનમાં જ્યારે
થોડી ઉપલક આવકનો સમાસ થાય છે, ત્યારે નિષ્પ્રયોજન કપાયેલ પુષ્પો
રસોડાના મેજ પર ઊગી આવે છે. હજીય સંભવ છે. શું હું સાચે જ જીવી રહી છું? શું હું
પુનરીક્ષણનો મારા દેવતા અને ઉદ્ધારક તરીકે અંગીકાર કરું છું?
હા, હું કરું છું, અને હું છું, અને મારા ચીની પિતાના નામ પર, જે હવે ઓજારો સમેટીને
ભીતર લાવી રહ્યા છે, માથે પરિશ્રમનું તેજ, પણ હોઠો પર કાયમી સ્મિત,
શ્રદ્ધાહીન પરંતુ સતર્ક– એ સમયના સંરક્ષણાર્થે, જેમાં હજીય હું કંઈક
બની શકું, આમીન.
ચીનથી અમેરિકા આવીને સ્થાયી થવા છતાં વતન સાથે જોડાઈને જીવતાં પિતા-પુત્રીના સંબંધનું ગણિત દીકરી માંડે છે. ભરતડકે ઘરનું રોજિંદુ કામ કરતાં પિતાને નિહાળતાં નિહાળતાં દીકરીનું અંતસ્તત્વ પ્રગટ થાય છે. એનું વર્તમાન અને ભાવિ બંને અવઢવમાં છે. સિલકમાં કેટલીક નોંધ, રાઇટર્સ બ્લૉકના શરણે જઈ ચડેલ કલમ અને કેટલીક યાદો જ બચ્યાં છે. પણ વતનપ્રેમ અને વતનનાં સંસ્કાર એને નવા દેશ અને સ્વયં- બંને સામે રક્ષણ આપે છે. રહી રહીને પોતાના અસ્તિત્વ અંગે શંકા પણ જન્મે છે, અને પોતાના ભવિષ્ય માટે સતત સતર્ક અને પ્રયત્નશીલ પિતાને જોઈને એનું આપોઆપ નિવારણ પણ થઈ જાય છે.
Looking at My Father
It’s the inside which comes out, as I contemplate
him there half in sunlight, weeding diligently
a Midwestern lawn. On my persons, I have only notes
and a drying pen, the memory of onion blossoms
scenting in a window. Reflection is my native medium.
I am never arriving, only speaking briefly on material
conditions between myself and others. My country
inoculates me lovingly, over time. My country grasps me
like desire. I will show you my credentials, which is to say
my vivid description, if you ask. Here we are, my father
and I, never hostile, a small offering: pointless cut flowers
appear on the kitchen table when one finally arrives
into disposable income. Still possible. Am I living? Do I
accept revision as my godhead and savior?
I do and I am, and in the name of my Chinese father now
dragging the tools back inside, brow shining but always
a grin, faithless except to protect whatever I still have time
to become, Amen.
એક તો આ છંદ પરત્વે ગુજરાતી ગઝલકારોનું વલણ પહેલેથી જ સહેજ ઓરમાયું ને ઉપરથી ‘જીવ્યા કરવાનું’ જેવી અનૂઠી રદીફનો પડકાર ઝીલી ચુસ્ત કાફિયા વડે રચાયેલ દુરસ્ત ગઝલ– એટલે મારે તો પહેલી નજરના પ્રેમમાં પડવા જેવું થયું. ગઝલના પાંચેય શેર સંતર્પક થયા છે.
ઈશ્વરદર્શનની ઝંખના પૂર્ણ થયાનું ભક્તિપદ. જોગીઓ અને સંતોને જે સ્વપ્નમાં પણ નથી આવતા, એ હરિ વ્રજવાસીઓને લાડ લડાવે છે. ‘જોગી રે જંગમ રે સેવડા’વાળી પંક્તિએ મનમાં કુતૂહલ જગાવ્યું તો ગૂગલદેવતાએ મોજ કરાવી દીધી-
જોગી જંગમ સંન્યાસી સેવડા, તપસી ને બ્રહ્મચારી;
તા તે અવિગત્ય અગમ અગોચર, અપરંપાર અપારી. સંતો.
– સત્ કુબેરદાસ
* * *
સંજોગોવશાત્ આજે નરસિંહ મહેતાની ૫૭૦મી હારમાળા જયંતિ પણ છે. કહે છે કે જૂનાગઢના રાજા રા’માંડલિકે દામોદર આવીને હાર પહેરાવશે તો જ મુક્તિ મળશે એમ કહી કારાવાસમાં પૂર્યા હતા. પણ કેદારો તો મહેતાએ ગિરવે મૂક્યો હતો અને એ ગાયા વિના તો ઈશ્વર આવે નહીં. એટલે ભગવાને જાતે જઈ ઉધારી ચૂકવી કેદાર રાગ છોડાવ્યો. નરસૈંયાએ કેદારો ગાયો અને ગળામાં હાર આવી પડ્યો. પરિણામે આજના માગશર સુદ સાતમના દિવસને હારમાળા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે.
November 22, 2025 at 11:11 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષવી પટેલ
છે પ્રયત્નરત સહુ તે છતાં આ સવાર કેમ થતી નથી!
ને યુગો યુગોથી આ રાત છે, એ પસાર કેમ થતી નથી!
કદી તારી ભાવસભર નજર, એ હકાર કેમ થતી નથી?
ને કદી કળાય ઉપેક્ષા જે એ નકાર કેમ થતી નથી?
બધી બારીઓને ઉઘાડી મેં, તે છતાં પ્રવેશી ન ખુશબૂઓ
અને ઘરમાં છે જે હવડ હવા તે ફરાર કેમ થતી નથી?
ખુશી સ્વાંગ બદલીને જે રીતે સદા વેદના બની જાય છે,
કદી રૂપ બદલી, મનોવ્યથા! તું કરાર કેમ થતી નથી?
મને ખ્યાલ છે કે આ જિંદગી એ ગતિનું નામ છે તે છતાં
એ રઝળવું કેમ બની જતી? એ લટાર કેમ થતી નથી?
કૃપા થાય તોય અમુક ઉપર, અને એય થાતી જરાતરા,
એ થતી ન કેમ બધા ઉપર? એ અપાર કેમ થતી નથી?
– હર્ષવી પટેલ
હર્ષવી પટેલ ગુજરાતી ગઝલની તેજસ્વી આજ છે. આપણી ભાષામાં પ્રમાણમાં જૂજ ખેડાયેલ કામિલ છંદમાં એક સરસ મજાની ગઝલ તેઓ લઈ આવ્યાં છે. આખેઆખી રચના જ આસ્વાદ્ય થઈ છે… દરેક શેર હળવેથી હાથમાં લેવા જેવા… મને જો કે ફરાર-કરાર અને લટાર સવિશેષ ગમ્યા.. બધી જ બારીઓ ખોલી નાંખવા છતાં બહારથી ખુશબૂ અંદર ન આવે અને અંદરની હવડ હવા બહાર ન નીકળી જાય એ પરિસ્થિતિ આપણે સહુએ ક્યારેક ને ક્યારેક અનુભવી જ હશે. ખોલવા ને ખૂલવામાં ક્યાંક કોઈક ઉણપ રહી ન ગઈ હોય તો આ બને નહીં. ખુશી અને વ્યથાને સર્જક જે સવાલ કરે છે, એય મજાનો છે. ખુશીને નાનકડી વાતે દુઃખ બની જતાં વાર નથી લાગતી, પણ વ્યથા શા માટે આ જ નિયમ અપનાવીને ખુશીમાં નથી ફેરવાતી? રઝળવું અને લટાર તો ભઈ વાહ!
પથ એવો તો જાય છે સીધો,
પગલું મૂકતાં ઘડીક હું તો બીધો.
આટલી ડોલતી ડાળ, એને પણ એક ના વાંક-વળાંક,
જેમ વહું તેમ હરખભર્યો ચડતો વ્હાલો થાક;
નેન ભરીને નીરખું નદી તેમ તે એને પીધો… પથ0
જલમાં તર્યો, આભમાં ઊડયો, લસર્યો રેશમી ઢાળ,
પગલું ધરું હું જ હવે કે પવન ભરતો ફાળ?
કોઈ અજાણ્યા જનને જાવું? સ્હેજ ઈશારો કીધો!
પથ એવો તો જાય છે સીધો,
પગલું મૂકતાં ઘડીક હું તો બીધો.
– પ્રિયકાન્ત મણિયાર
માથે મુસીબતોના પહાડ તૂટી પડે ત્યારે તો એક જ ઝંખના હોય કે જીવનમાં એકેય મુસીબત જ ન હોય તો કેવું સારું! પણ roses roses all the way તો કોના નસીબમાં હોય? અનવરુદ્ધ શાશ્વત સુખની કામના નામના સિક્કાની બીજી બાજુ એ છે કે જીવન સાવ સીધુંસટ જતું હોય ત્યારેય આપણે વિહવળ થઈ જઈએ છીએ. નજર સામેના માર્ગને વળવળાંક વિનાની ડાળની જેમ એકદમ સીધોસટ જતો જોઈ પગલું મૂકતા પહેલાં કાવ્યનાયક ઘડીભર માટે તો ડરી જાય છે. જીવનપથ વધુ પડતો સ્પષ્ટ, સીધો અને સરળ હોય ત્યારે આ સરળતા પાછળનું સત્ય સમજાતું ન હોવાના કારણે ભય લાગવો સ્વાભાવિક છે.
હશે, પણ ભાગ્યનો અને આ સીધા મળેલા માર્ગનો સ્વીકાર કરી કથક આનંદભર્યા થાકનેય આવકારે છે અને કોઈ પ્રકૃતિપ્રેમી ધરાઈને નદીને જોયા કરે,એ જ રીતે આ પરિસ્થિતિનું આકંઠ સેવન કરે છે. માર્ગ એટલો સરળ છે કે તરવું-ઊડવું-લસરવું બધું જ શક્ય છે. જીવન આ ક્ષણે સંપૂર્ણતયા મુક્ત, હળવું અને તમામ બંધનોથી પર છે. કથકના માર્ગમાં તો કોઈ વળાંક નથી, પણ અંતિમ બે પંક્તિમાં કવિતા નિરાળો વળાંક લે છે. કથકને સવાલ થાય છે કે આ પથ પર સ્વયંની ઇચ્છાશક્તિથી ડગલું ભરી રહ્યો છે કે પછી પવન-નિયતિ એને આગળ ધકેલી રહ્યાં છે? કોઈ અજાણ્યા જનને આ માર્ગ પર જવું હોય તો એને નાયક ઈશારો કરે છે એમ કવિ કહે છે ત્યાં અગમનિગમનો માર્ગ સ્પષ્ટ થાય છે. ઈશ્વર સુધી લઈ જતા માર્ગ પર વધુ નહીં, સ્હેજ ઈશારોય પૂરતો છે. પ્રભુમિલનનો ખરો માર્ગ તો સાવ સીધો અને સરળ જ છે. કર્મકાંડીઓ જ એને મુશ્કેલ ચિતરી ચિતરીને આપણને સદીઓથી ભરમાવતા આવ્યા છે.
ઉષાઓ સન્ધ્યાઓ મધુર બની, કલ્લોલ વિહગો
તણા હાવાં મીઠા, લલિતતર લ્હેરી અનિલની,
બની છે જ્યોત્સ્નાઓ ધવલતર આસ્વાદસભર,
અહો જે જે સુન્દર અધિકતર તે સુન્દર બન્યું!
બને એ તો, કિંતુ અરસ જડ હું આજ લગીનો
દીસું છું પોતાને અધિક ગમવા જેવી મુરતી,
પ્રિયે! આવી તેં ના કદી કરી હશે કોઈ સુકૃતિ.
– સુન્દરમ્
(૨૫ ઓકટો. ૧૯૩૭)
ટી-ટ્વેન્ટી જેવા તાત્ક્ષણિક રોમાંચના પ્રતાપે ગઝલ આજે લોકપ્રિયતાના શિખરે આરુઢ થઈ છે એ સાચું,પણ ખરો અને દીર્ઘાયુષી કાવ્યાનંદ તો આજેય વિગત સમયના કબાટમાં સચવાઈ રહેલ આવા ઉમદા કાવ્યો જ આપી શકે. શિખરિણી છંદમાં લખાયેલ આ ચૌદ પંક્તિઓમાં સુન્દરમે પ્રેમી સ્વયંના અભ્યુદયના સ્વીકાર થકી પ્રેમિકાનું અને પ્રેમનું જે મહિમાગાન કરે છે એની મજા જ અલગ છે. અંધારાનો બુરખો ઓઢેલ વિરાટ ભુવનમાં ચાંદનીનું સહેજ તેજ રેલાતાં જ તમામ તાર-ગ્રહોનું સૌંદર્ય દીપી ઊઠે, એ જ રીતે પ્રિયાની પ્રીતિની દ્યુતિના સ્મરણમાત્રથી અવનવલ આનંદના કિરણોથી કથકની દુનિયા આખી ઝગમગ ઝગમગા થઈ ઊઠે છે. પ્રકૃતિ તો મનહર જ હોય, પણ પ્રિયજનની યાદના પ્રકાશ રેલાવાના લીધે છે એથીય અધિકતર મનોરમ્ય ને મનોગમ્ય અનુભવાય છે.
પણ ઠીક છે આ તો… બને એ તો કહીને કવિ આખાય નવોન્મેષનું પહાડી કદ તલભરનું કરી દઈ નવી જ વાતને ઉચ્ચાકાશે સ્થાપે છે. સુંદર સુંદરતમ બને એમાં કોઈ મોટી વાત નથી… મોટી વાત શેમાં છે? તો કે આજ સુધી જડ કહી શકાય એ હદે જે માણસ નીરસ હતો, એ પણ પ્રિયાની ઉપસ્થિતિના કારણે સ્વયંનેય ગમવા લાગે એમાં… ખરું ને? પોતાનું આ અનન્ય અને અભૂતપૂર્વ પરિવર્તન કેવળ પોતાની પ્રિયાને આભારી છે એમ કહીને કવિ આખી સૃષ્ટિના કાયાકલ્પને ગૌણ ગણાવી પ્રેમની મહત્તા સ્થાપિત કરે છે.
સઘળું જ છે ખોટું અહીંયા તો,
દિવસો બેહદ લાંબા લાંબા,
પવન વળી હદપાર જોરુકો
સૂરજની ગરમી છે તોબા.
વાદળ છે વધુ પડતાં પોચાં,
અનહદ લીલું લીલું ઘાસ,
જમીન છે કે ધૂળના લોચા,
ચાદર વધુ પડતી છે સાફ.
બેસુમાર ચમકીલા તારા,
ચાંદો હદ બહાર છે ઊંચે,
વધુ સરકીલી જળની ધારા,
રેતનું સુક્કાપણુંય ખૂંચે.
પથરા વધુ પડતા છે ભારી,
પીંછા અસીમ અપાર છે હલકાં,
બાળક સૌ અતિશય ઘોંઘાટી,
વધુ પડતાં છે તંગ પગરખાં.
હદથી વધારે ખુશ છે લોકો
ગાઈ રહ્યાં છે ખુશીનાં ગીતો,
જોતાં નથી શું, આ છે ધોકો?
સઘળું છે ખોટું જ અહીં તો,
કેટલાક લોકોને દરેક વાતમાં અને વાતે વાતે વાંકું પડતું હોય છે. દુર્ભાવ જ એમનો ખરો સ્વ-ભાવ! આવા વક્રદર્શીઓના શરીરમાં ઈશ્વર વખાણનું હાડકું મૂકવાનું જ ભૂલી ગયો હોય છે. પ્રસ્તુત રચનામાં હળવા વ્યંગ અને બાળસહજ સરળતાથી આવા ફરિયાદશંકરોની ગહન મનોવૈજ્ઞાનિક અંતર્દૃષ્ટિ આલેખવામાં આવી છે. કવિતાનો વિશદ આસ્વાદ આપ અહીં ક્લિક કરીને મારા ફેસબુક પેજ પરમાણી શકો છો.
Mr. Grumpledump’s Song
Everything’s wrong,
Days are too long,
Sunshine’s too hot,
Wind is too strong.
Clouds are too fluffy,
Grass is too green,
Ground is too dusty,
Sheets are too clean.
Stars are too twinkly,
Moon is too high,
Water’s too drippy,
Sand is too dry.
Rocks are too heavy,
Feathers too light,
Kids are too noisy,
Shoes are too tight.
Folks are too happy,
Singin’ their songs.
Why can’t they see it?
Everything’s wrong!
ત્યાં નાનાં બે કિરણો આવ્યાં રમવા અડકોદડકો,
કહે ટામેટા રાજ્જા, પ્હેરો મીઠ્ઠો મીઠ્ઠો તડકો!
– કૃષ્ણ દવે
બાળકાવ્યો કવિપ્રતિભાના એક પાસાંની આકરી કસોટી છે. ભલભલા મોટા નામ પણ એમાં ગોથાં ખાઈ જાય. એક તો આપણે ત્યાં બાળસાહિત્યનું સર્જન આમેય ગણતરીનું ને નફામાં બહુ ઓછા સર્જકો સારાં બાળકાવ્યો આપી શક્યાં છે. બાળકોની રોજમરોજની જિંદગીની વાતો અને કલ્પનોને બાળકોને સરળતાથી સમજાઈ જાય એવી ભાષા અને વાંચવા જતાં આપોઆપ ગવાઈ જાય એવા પ્રવાહી લય અને પ્રાસાવલિથી મઢવામાં ન આવ્યું હોય એવું બાળગીત કાવ્યતત્ત્વની એરણ પર કદાચ ઉત્તીર્ણ થઈ જાય, પણ બાળકોના હૃદય સુધી પહોંચી શકતું નથી. પ્રસ્તુત બાળગીત ઉત્તમ બાળકાવ્યોની તમામ કસોટીએ ખરું ઉતર્યું છે. આપણે તો એ ગણગણીએ જ, પણ ઓછામાં ઓછા એક બાળકને પણ સંભળાવીએ… બાળદિનની ખરી ઉજવણી એ વિના તો કેમ થશે?
તમે કહો તો પળભર જીવતા ઝાકળ થઈને ગાશું,
તમે કહો તો પગલે પગલે ધૂળ બની પથરાશું;
આવો નહિ તો આપો અમને આવ્યાનો અણસાર,
. વ્હાલમ, આવોને પળવાર!
સાંકળ ભેગી છાતી ખખડે, પ્રગટી ઉઠે પ્રાણ,
પછી અજંપો બાથ ભીડીને રોજ થતો મહેમાન;
આંખ્યું અંતે પથ્થર થાશે, અમે થશું પગથાર…
. વ્હાલમ, આવોને પળવાર!
– પ્રહલાદ જાની ‘તન્હા’
વાંચતાવેંત અસ્તિત્વને અજગરભરડો લઈ ક્યાંય સુધી કેદ રાખે એવું મજાનું ગીત. વાત તો સદીઓ જૂની છે… કાવ્યનાયિકા એના વહાલમને આવવા આર્દ્રસ્વરે વિનવણી કરી રહી છે, પણ ખરી કવિતા વાતની રજૂઆતમાં છે. નાયિકાની માંગ કંઈ બહુ મોટી નથી… મનનો માણીગર જીવનભર માટે કદાચ નહીં જ મળે એ અણગમતી પરિસ્થિતિના સ્વીકાર સાથે એ કેવળ પળવાર માટેનો સાથ ઝંખી રહી છે. કારણ? કારણ કે નાયિકાની આંખોમાં વરસોના વિયોગ અને પ્રતીક્ષાના અંધારા ઘૂંટાયેલ છે અને નાયક જ એના તિમિરઘૂંટ્યાં નયણાંનો ઝબકાર અને તરસમઢ્યા કંઠનો ચિત્કાર છે…
કવિએ દરેક પ્રતીક સમજણપૂર્વક પ્રયોજ્યા છે, અને સમજણપૂર્વક એને ઉકેલીશું તો સુવાંગ સંપૂર્ણ કાવ્યરસની અનુભૂતિ થશે.
સ્મરણથી મોટી કોઈ સંજીવની નથી. સ્મૃતિલોક એવો ઓરડો છે, જેમાં વિગત તમામ બાબતો જીવનભર યથાવત્ રહી શકે છે. જીવનપથ પર અડધેથી સાથ છોડી ગયેલ જીવનસંગિનીને વળાવવા કવિ સ્મશાને આવ્યા છે, પણ પત્નીને સૂવડાવવા માટે જે ચિતા તૈયાર કરાઈ છે એ પૂરી ન થઈ શકેલ સંતાનઝંખનાના સૂકાઈ ગયેલ કાષ્ઠ ખડકીને બનાવાઈ છે. ચિતા ઉપર જે મૃતદેહ મૂકાયો છે, એમાં કવિને પત્ની નહીં, પોતાની જ તમામ શક્તિની અચેત થઈ ગયેલ કાયા દૃષ્ટિગોચર થાય છે. લથડતા પગે પ્રદક્ષિણા કરી, હૈયાનું અડાયું લઈ કવિ ધ્રુજતા અગ્નિથી પત્નીને આખરી સ્પર્શ કરે છે ત્યારે નાનકડી ચિનગારી એમની આંગળીને અડી જાય છે અને અગનજ્વાળાઓ કવિના અંગાંગમાં પ્રસરી વળે છે. જીવનભર સંતાનસુખના નામે ખાલીપો લઈને આથડ્યા બાદ બાકીનું આયખું ચિતાગ્નિમાં શેકાઈને વિચ્છિન્ન થઈ ગયું. પણ તમામ ધધકતી તકલીફોની વચ્ચે પણ પત્નીએ જે અખૂટ ચૈતન્યથી જીવતરને ભરી દીધું હતું, એના પ્રતાપે પળેપળ અને શ્વાસે શ્વાસે એનું સાંનિધ્ય હજીય અનુભવાય છે. ખાલી થઈ ગયેલ જીવનમાં ખાલીપો અનુભવાતો નથી. નિત્ય ગોઠડી માંડતી પત્ની હજીય સતત જોડાજોડ જ હોવાનું પ્રતીત થાય છે.
November 7, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગીત, મણિલાલ હ. પટેલ
સૈ હું તો વગડામાં વહી જાતી કેડી… !
રૂપ મારું વાયરાની લ્હેરખી :
હોય જાણે વાંસળીએ કોક ધૂન છેડી
સૈ હું તો આઘા મલકની કેડી… !
મારગ મેલીને હું તો ફંટાતી ચાલતી
સીમાડે સીમાડે મસ્તીમાં મ્હાલતી
ડુંગરની કેડે વિંટળાઉં અને
ઘાટીલી ટેકરીઓ લે મને તેડી
સૈ હું તો હૈયાં બ્હેલાવતી કેડી… !
કેટલાંય ગામોનાં પાદર બોલાવતાં
સુંવાળા રસ્તાઓ શમણાંમાં આવતા
જાય મારી બલ્લા! જયાં પથ્થરમાં
કોરેલાં હોય બધાં માઢ અને મેડી
સૈ હું તો ભવભવની કેડી… !
– મણિલાલ હ. પટેલ
વગડાની કેડી એટલે રોડ લેસ ટ્રાવેલ્ડ. ખેતર-પાદર વચ્ચેની મુખ્ય કેડીથી એ અલગ તરી આવે. કાવ્યનાયિકા સ્વયંને વગડામાં વહી જતી કેડી કહી ઓળખાવે છે, ત્યારે એનું અલ્લડ અળગાપણું છતું થાય છે. આ કેડી કેવળ પાદરની કેડી નથી, એ આઘા મલકની પણ છે… મતલબ એ ગામના યુવાનોને હાથવગી નથી, અથવા તો આઘા મલકમાં કોઈને એ હૈયાદાન કરી ચૂકી છે. એ ધોરી મારગ મેલીને મસ્તીમાં ફંટાતી ચાલે છે. ગામેગામના યુવાનો એના પર નિછાવર થવા તત્પર છે, પણ એને પથ્થરમાં કોરેલ માઢ-મેડી જેવા ચીલાચાલુ યુવાનોમાં રસ નથી… એ તો ભવોભવ સાથ નિભાવે એવા સુંવાળા રસ્તાઓના શમણાં જુએ છે…
ખરી કવિતા જ એ જે સાંપ્રત સમયના પડઘા ઝીલે… આપણે ભણતાં હતાં ત્યારે ચોમાસુ ચાર મહિનાનું ગણાતું અને વરસાદ પણ પાઠ્યપુસ્તકની શિસ્તનું પાલન કરતો. પણ હવે વારે-તહેવારે સમુદ્રમાં સર્જાતા દબાણોના પ્રતાપે વિદેશોની જેમ આપણે ત્યાં પણ વરસાદ ગમે ત્યારે આવતો થઈ ગયો છે. આ વરસે તો હજી એની બેટિંગ પૂરી થતી નથી. બારમાસી થઈ ગયા જણાતા વરસાદને કવિએ મત્લામાં આબાદ ઝીલી બતાવ્યો છે. વાત તો બારેમાસ રોજેરોજ વરસતા રહી તરબતર રાખતી પ્રિયજનની યાદોની છે, પણ રૂપક તરીકે કવિએ ઋતુરાજની પ્રવર્તમાન પરિસ્થિતિને ખપમાં લીધી છે… દસેક વર્ષ પહેલાં લયસ્તરો પર કવિની જ એક ગઝલ પ્રગટ કરી હતી… એમાં વરસાદ માપસર પડતો ન હોવાની ફરિયાદ હતી. આજના આ બારમાસી વરસાદ સાથે એ વરસાદને પણ સાથોસાથ સરખાવી જોજો.
વાત અને સંવાદ વચ્ચેનો તફાવત પણ કવિએ કેવી હળવાશથી સમજાવ્યો છે! વાત સમ-વાત ન થાય ત્યાં સુધી બધું નકામું. બે જણ વચ્ચે વાત નહીં, સમ-વાદ થાય ત્યારે સાથે હોવું સાર્થક થાય. ચોથો શેર પણ મત્લાની જેમ સ્મૃતિલોકનો જ મહિમા કરે છે.
લઘુકાવ્યની એક આખી અલગ જ દુનિયા છે. ઇમેજિસ્ટ પોએટ એઝરા પાઉન્ડે દોઢ જ પંક્તિમાં અજરામર કાવ્ય આપ્યું -‘ઇન અ સ્ટેશન ઑફ ધ મેટ્રો!’ ગુજરાતી કવિઓય કંઈ પાછા પડે એમ નથી. સુન્દરમે દોઢ જ પંક્તિમાં પ્રેમનો આખેઆખો ઉપનિષદ આપ્યો છે –તને મેં ઝંખી છે… તો રાજેન્દ્ર શાહે પણ બે પંક્તિમાં સંકુચિતતાના ત્યાગનો મહિમા વર્ણવ્યો છે- ઘરને ત્યજી જનારને… લઘુકાવ્ય એટલે જાણે કે હાઇકુ. પીંછીના ઓછામાં ઓછા લસરકે સર્જક આખેઆખું ચિત્ર કે મનોભાવ તાદૃશ કરી બતાવે. પ્રસ્તુત કાવ્ય પણ આવું જ મજાનું લઘુકાવ્ય છે. કોઈપણ પ્રકારની સરખામણી કર્યા વિના જ કહી શકાય કે દોઢ જ પંક્તિમાં કવિએ અલ્ઝાઇમરની બિમારીનું સુવાંગ ચિત્રાંકન સફળતાપૂર્વક કરી બતાવ્યું છે. બાહોશ ફોટોગ્રાફર કોઈ મનહર દૃશ્યને આખેઆખું આબાદ ઝડપી લે એ જ કુશળતાથી દોઢ જ પંક્તિમાં કવિએ બિમારીને ઝીલી બતાવી છે…