આગળ સદા જવાની સજા ભોગવી અમે,
જોઈ કિનારા વચ્ચે રિબાતી નદી અમે.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for February, 2023

મૂકી દઉં – ભરત વિંઝુડા

તમે કહો તો બધાએ તનાવ મૂકી દઉં,
તમારા ભાવમાં મારો સ્વભાવ મૂકી દઉં.

ઘણુંય પ્રિય, પરમ પ્રિય પણ મને લાગે,
શરાબ જેમ બધું કેમ સાવ મૂકી દઉં.

હશે નસીબમાં એ ત્યાં લઈ જશે આખર,
કિનારા પરથી સમંદરમાં નાવ મૂકી દઉં.

અને પછી હું કરું શું એ પહેલાં વાત કરો,
તમે કહો છો, તમારો લગાવ મૂકી દઉં.

રમતમાં આમ તો જીતી જવાય એવું છે,
પરંતુ થાય છે કે મારો દાવ મૂકી દઉં.

– ભરત વિંઝુડા

લયસ્તરો પર કવિમિત્ર શ્રી ભરત વિંઝુડાના વધુ એક ગઝલસંગ્રહ ‘નજીક જાવ તો’નું સહૃદય સ્વાગત છે…

કવિની સિગ્નેચર-સ્ટાઇલમાં જ લખાયેલ એક સરળ-સહજ પણ સ-રસ રચના આપ સહુ માટે…

Comments (6)

અદાલતનો તિરસ્કાર* – ઉદયન ઠક્કર

(મનહર)

વકીલને વડચકું ભરી કહ્યું ન્યાયાધીશે,
‘અરજીની સાથે અખબાર કેમ આપ્યું છે?
તાણીતૂસી બંધાયેલા નાગાપુગા માણસનું
ચાર કોલમ ભરીને, ચિત્ર જેમાં છાપ્યું છે?’**

વકીલ તો શિયાવિયા થઈ ગયો, ન્યાયાધીશે
કારકૂનને કહ્યું કે ‘અલ્યા, આમ આવ તું!
ચિત્રમાં શું ચીતર્યું છે? ચિત્ર નીચે શું લખ્યું છે?
અદાલતમાં સહુને વાંચી સંભળાવ તું.’

કારકૂન કહે, ‘બધા રસોઈયા ભેગા મળી,
ઉતારતા હોય જેમ બટાકાની છાલને,
ચાર કસાઈઓ અહીં ભેગા મળી ઉતારે છે,
કસોકસ બંધાયેલા માણસની ખાલને.

પચીસ સદી પહેલાં ન્યાયમૂર્તિ સિસેમિસ
લાંચ લેતાં, રાજાજીને હાથે ઝડપાયેલો,
માફ કરો, આગળ વાંચી શકાય એવું નથી,
એનો અંત, નામદાર, આવી રીતે આવેલો.

એની ઉતરડાયેલી ખાલનું બેસણું કરી,
રાજાજીએ ખાસ, મોટી ખુરશી બનાવેલી,
નવા ન્યાયમૂર્તિ એ જ ખુરશીએ બેઠા બેઠા
ચુકાદાઓ આપે એવી રીત અપનાવેલી.’

ન્યાયાધીશ ગાજ્યા,’તેં તો મારું અપમાન કર્યું!’
વકીલ કહે કે ‘કેમ ગાંઠનું ઉમેરો છો?
પચીસ સદી પહેલાં થઈ ગયો સિસેમિસ,
બંધબેસતી પાઘડી શું કામ પહેરો છો?’

ચિત્ર જોઈ ન્યાયાધીશ થઈ ગયા રાતાપીળા,
‘તને ત્રણ મહિનાની કેદ ફટકારું છું!’
અદાલત દંગ, પેલા વકીલેય રાખ્યો રંગ,
‘આપની સજાના શિરપાવને સ્વીકારું છું.’

– ઉદયન ઠક્કર

* ‘અમુક ન્યાયાધીશો ભ્રષ્ટ છે’ એવું કહેનાર વકીલને વરિષ્ઠ અદાલતે ઈ.સ. 2020માં અદાલતના તિરસ્કાર બદલ ગુનેગાર ઠેરવ્યો હતો.
** સંદર્ભ : ‘સિસેમિસની ચામડી ઉતરડવી’, ચિત્રકાર: જેરાર્ડ ડેવિડ

લયસ્તરો પર કવિશ્રી ઉદયન ઠક્કરના કાવ્યસંગ્રહ ‘રાવણહથ્થો’નું સહૃદય સ્વાગત છે. આ સંગ્રહ આજે હાથ આવતા સંગ્રહોથી ઘણી રીતે ભિન્ન તરી આવે છે. મોટાભાગની રચના એકાધિક સંસ્કૃત વૃત્તોમાં રચાઈ છે. આજની કવિતાથી વિપરીત ઘણાં દીર્ઘકાવ્ય અહીં જોવા મળે છે. હળવા વ્યંગનો આશરો લઈને તીખા ચાબખા ફટકારવામાં મદદગાર મનહર છંદ કવિને સવિશેષ પ્રિય છે. ગઝલોને બાદ કરતાં મોટાભાગની રચનાઓમાં કવિએ મુક્તપદ્યને કાવ્યસ્વરૂપ તરીકે પસંદ કર્યું છે. ભારતીય પુરાકથાઓથી લઈને વિદેશી પુરાકથાઓ, ગુજરાતી અને ભારતીય વ્યક્તિવિશેષોથી લઈને વિદેશી વ્યક્તિવિશેષ, પ્રખ્યાત ચિત્રો-પ્રસંગો વગેરેને કેન્દ્રસ્થાને રાખીને કવિએ ગુજરાતી કાવ્યધારાથી સહેજે અને સાવ જ અલગ પડી જતાં બિલકુલ અનૂઠાં કાવ્યો રચ્યાં છે. સંગ્રહમાં સમાવિષ્ટ રચનાઓમાંથી ઘણી રચનાઓ લયસ્તરો પર લાંબા સમયથી ઉપલબ્ધ છે. આજે એક નવી રચના સાથે ઘરોબો કેળવીએ.

પ્રસિદ્ધ ચિત્રકાર જેરાર્ડ ડેવિડના વિખ્યાત ચિત્રયુગ્મ ‘ધ જજમેન્ટ ઑફ કેમ્બિસિસ’ તથા ‘ધ ફ્લેયિંગ ઑફ સિસેમિસ’ પ્રસ્તુત કાવ્યનાં કેન્દ્રબિંદુ અથવા સ્રોત છે. આજથી લગભગ પચ્ચીસસો વર્ષ પૂર્વે પર્શિયાના રાજા કેમ્બિસિસ બીજાએ લાંચ લેતા પકડાયેલ સિસેમિસ નામના ન્યાયાધીશની ચામડી જીવતેજીવ ઉતરડાવીને ન્યાયાધીશ માટેની ખુરશી પર એ મઢાવી દીધી, જેથી દરેક ન્યાયાધીશે એના પર બેસીને જ ન્યાય આપવાનો રહે અને ખોટું કામ કરતાં પહેલાં એ લાખવાર વિચારે. અઢી હજાર વર્ષ વહી ગયાં. સિસેમિસની ખુરશી સમય સાથે નાશ પામી હોય એમ ન્યાયાધીશ કે ન્યાય લાંચ લેતાં કે ખોટું કરતા અચકાતા નથી, કારણ કે હવે એકેય શાસક ભ્રષ્ટાચારવિરોધી રહ્યો નથી. થોડા સમય પહેલાં ન્યાયાધીશોને ભ્રષ્ટ કહેનાર એક વકીલને સુપ્રિમ કોર્ટે સજા ફટકારી એ હકીકતને જેરાર્ડ ડેવિડના ચિત્ર અને એના ઇતિહાસ સાથે સાંકળી લઈને કવિએ કેવી મર્મસ્પર્શી રચના આપી છે!

Comments (6)

બારણાની તૈડમાંથી – પ્રીતમ લખલાણી

બારણાની તૈડમાંથી જોયાં કરું છું કે,
ફળિયે આવીને ઊભું કોણ?
મારામાંથી એ મુંને સપનાના મ્હેલ મહીં,
હેતે લાવીને ઊભું કોણ?

ભમ્મરિયા વાવના હું સીંચું છું પાણી ને,
સીંચાતી જાઉં ઘીમે ઘીમે,
આશના પાતાળેથી ફૂટે સ૨વાણી ને,
હરખાતી જાઉં ઘીમે ઘીમે.
ઊંડા અતાગ કોઈ તળિયેથી આજ,
મને ટોચે લાવીને ઊભું કોણ?
મારામાંથી એ મુંને સપનાના મ્હેલ મહીં,
હેતે લાવીને ઊભું કોણ?

આંખ્યુંમાં ફૂટ્યા છે કેસરિયા કોડ,
સખી સૂરજ શા ઝળહળતા રેલે,
મહેંદીના છોડ જેવા રાતા રે ઓરતામાં,
સાંવરિયો મદમાતો ખેલે.
બળતી હથેળીમાં ભીનેરો હાથ દઈ,
રુદિયે આવીને ઊભું કોણ?
મારામાંથી એ મુંને સપનાના મ્હેલ મહીં,
હેતે લાવીને ઊભું કોણ?

– પ્રીતમ લખલાણી

લયસ્તરોના આંગણે કવિશ્રીના ગીતસંગ્રહ ‘શેરીથી શેઢા સુધી’નું સહૃદય સ્વાગત છે…

પ્રોષિતભર્તૃકાની આંખો કાયમ પિયુના આગમનની પ્રતીક્ષામાં જ રત હોવાની. શક્યતાના બારણાંઓ બંધ હોય તો તિરાડમાંથી આવતો પ્રકાશ સુદ્ધાં આશાનું કામ કરે છે. ફળિયું ખાલી છે પણ કોઈ આવી ઊભું હોવાનો અહેસાસ નાયિકાને પોતાના વાસ્તવથી અળગી કરીને સ્વપ્નમહેલમાં પ્રેમથી લાવી આણે છે. ભમ્મરિયો શબ્દપ્રયોગ આમ તો બહુ ઊંડો અને ચક્કર આવી જાય એવા કૂવા માટે વપરાય છે. વાવ માટે આ પ્રયોગ યથોચિત ગણાય? આપણે તો ભાવ પકડીએ. પાણી સીંચતા-સીંચતા નાયિકાને પોતે સીંચાતી હોવાનું અનુભવાય છે. પિયુમિલનની આશા છેક પાતાળે જઈ પહોંચી હોય એ પરાકાષ્ઠાએ કોઈ બારણે આવી ઊભું હોવાનો ભાસ પાતાળ ફેડીને ફૂટી નીકળતી સરવાણી જેવો હરખ જન્માવે છે. સરવાણી પાતાળથી સપાટીએ આવે એની સાથોસાથ નાયિકા ઊંડા અતાગ તળિયેથી નિજનું પણ ઉર્ધ્વગમન થતું અનુભવે છે. ઊજાગરાને લઈને રાતાં ટશિયાં ફૂટેલી આંખ કેસરિયા કોડ ફૂટ્યા બરાબર લાગે છે અને આંખમાંથી વહેતા હર્ષાશ્રુના રેલા તિરાડમાંથી આવતા પ્રકાશને કારણે સૂરજ જેવા ઝળહળે છે. મહેંદીના છોડ જેવા રાતા ઓરતાની વાત થોડી મૂંઝવે છે. મહેંદીનો છોડ તો લીલો હોય. પિસાઈને હાથ પર લાગ્યા પછી મહેંદી હથેળી પર રતાશ બનીને પથરાય એ વાત અલગ પણ જ્યારે વાત કેવળ છોડની હોય ત્યારે રાતો રંગ રસાસ્વાદ અવરોધતો અનુભવાય છે. સરવાળે ગીત ઘણું સ-રસ થયું છે. વિરહાગ્નિથી બળતી હથેળીમાં મનના માણીગરનો હાથ તમામ બળતરાઓને શાંત કરી દેતો હોય એવો ભીનેરો વર્તાય છે.

Comments (6)

રોજ ઊઠીને દળવું – સંજુ વાળા

રોજ ઝઘડવું, છુટ્ટું પડવું, રડવું, પાછું મળવું,
આ તે કેવું દળણું જેને રોજ ઊઠીને દળવું

કહેવું ને સાંભળવું યાને
બેઉં સમાન્તર પાટા,
બન્ને વચ્ચે ઊગે ઓગળે
સૂસવાટા સન્નાટા.

એ ય ખરું કે દિવસે-રાતે વધવું બળવું ઝળવું
આ તે કેવું દળણું જેને રોજ ઊઠીને દળવું

હું કહું : આ આવું, ત્યારે
તું કહે : ના તેવું
તાણીતૂંસી તાલ મેળવ્યે
સોરાવું ને સ્હેવું

વળી વાતમાં વળાંક આવે લઈ ગાતરનું ગળવું.
રોજ ઝઘડવું, છુટ્ટું પડવું, રડવું, પાછું મળવું

– સંજુ વાળા

 

જિબ્રાન યાદ આવી જાય – ” સાથે ગાજો,નાચજો અને હર્ષથી ઉભરાજો, પણ એકમેક વચ્ચે એક અંતર જરૂર રાખજો ”

– કદાચ સંબંધ કોહવાઈ જવા પાછળ આ જ મુખ્ય કારણ હશે….

Comments (4)

મેલાં વસ્ત્રો – ‘ગની’ દહીંવાલા

આ પ્રકૃતિ જ્યારે એકાંતે મુજ ગુંજનથી પ્રેરાઈ જશે,
લઈ લઈશ નીરવતા હું એની, એ મારી કવિતા ગઈ જશે.

જો જો, આ વિરહ-સંધ્યા મારી એક પર્વ સમી ઉજવાઈ જશે,
નભમંડળ ઝગશે, રજનીનાં મેલાં વસ્ત્રો બદલાઈ જશે.

જીવતાં જીવતાં મરવું પડશે, મરતાં મરતાં જીવાઈ જશે,
આશા જો કદી અમૃત ધરશે, તો ઝેર નિરાશા પાઈ જશે.

પાંપણ ! જો નહીં રોકો આંસુ, તો પોતે પણ ભૂંસાઈ જશે,
અસ્તિત્વ રહે ના કાંઠાનું જ્યારે સરિતા સુકાઈ જશે.

જીવનમાં હજારો સૂરજ મેં જોયા ઊગીને આથમતા,
પ્રત્યેક ઉષાને પૂછ્યું છે, શું આજ દિવસ બદલાઈ જશે ?

ઓ જીવન સાથે રમનારા ! એક દી તારે રડવું પડશે,
નાદાન ! રમકડું આ તારું રમતાં રમતાં ખોવાઈ જશે.

તું છે ને અડગતા છે તારી હું છું ને પ્રયાસો છે મારા,
કાં આંખ ઉઘાડી દઉં તારી, કાં પાંપણ મુજ બીડાઈ જશે.

ઓ આંખ ! અમીવૃષ્ટિ કાજે તે આંખની આશા છોડી દે,
ચાતક ! એ ઠગારાં વાદળ છે, વરસ્યા વિણ જે વિખરાઈ જશે.

ભટકું છું ‘ગની’, દિલને લઈને કે કોઈ રીતે એ શાંત રહે,
ચમકીને ઊઠેલું બાળક છે, છેડાઈ જશે, ચીઢાઈ જશે.

– ગની દહીંવાળા

Comments (1)

પાણી ઝર્યું – સ્નેહી પરમાર

આગથી પ્રગટ્યું, ન વાયુથી ઠર્યું,
કેવું મૌલિક તેજ ફૂદડાને વર્યું!

દીકરીને બાપનું ઘર સાંભર્યું,
ઊભી થઈને કોડિયામાં ઘી ભર્યું.

પૂર્વજોએ લાવીને મૂક્યું હતું,
મેં તો ઊભા થઈને એને પાથર્યું.

એણે શસ્ત્રોની સજાવટ આદરી,
મેંય મારું આંગણું સરખું કર્યું.

એમ મારામાંથી દૂર ચાલ્યાં તમે,
માટમાંથી જે રીતે પાણી ઝર્યું.

સાથ લીધો પથ્થરોએ દેવનો,
લાકડું હળવાશને લીધે તર્યું.

– સ્નેહી પરમાર

લયસ્તરો પર કવિમિત્ર સ્નેહી પરમારના ‘ઊડતું ભાળ્યું અંધારું’ કાવ્યસંગ્રહનું સહૃદય સ્વાગત.

ફૂદાંના તેજસ્વી રંગોમાં કવિને અગનઝાળ દેખાય છે. આ એવી તો પોતિકી ઝાળ છે જે ન તો અગ્નિથી પ્રગટી શકે, ન એને વાયુ ઠારી શકે. બાપ પોતાની જાત પૂરીને, બાળીને ઘરનો દીવડો સળગતો રાખે છે એ વાત બાપ યાદ આવતાં પરિણીત દીકરી વડે કોડિયામાં ઘી ભરવાના રૂપકથી કેવી ઝળહળ થઈ છે! व्यासोच्छिष्टं जगत्सर्वम्ની વાત યાદ અપાવતો શેર થોડો અસ્ફુટ રહી ગયો છે. આપણાં વિચાર-ભાષા-કળા-આવડત આ તમામ આપણાં પૂર્વજો તરફથી આપણને મળ્યું છે, કશું આપણું પોતાનું નથી. કેવળ આપણને મળેલ વારસાને ઊભા થઈને આપણે કઈ રીતે વિસ્તારીએ છીએ એમાં જ આપણી આવડત છતી થાય છે. સામો માણસ લડવાની તૈયારી કરે, એનો સામનો કરવા કવિ સામા આયુધ સજવાને બદલે આંગણું સરખું કરે છે. પ્રેમભર્યો આવકાર જ વિરોધીને જીતવા માટેનું ખરું શસ્ત્ર ગણાય ને!? માટલામાંથી ધીમેધીમે પાણી ઝરવાની વાતને પોતાનામાંથી દૂર ચાલ્યાં ગયેલ પ્રિયા સાથે સંકળી લેતો શેર તો હાંસિલે-ગઝલ છે. છેલ્લો શેર પણ અદભુત.

Comments (5)

ચંદ્ર ૫૨ – રમેશ આચાર્ય

સૂર્યોદયની ચર્ચા થોડી,
કરવી પડશે વહેલી-મોડી.

ધરતી ફાડી અંકુર ફૂટ્યો,
રહેતું સચરાચર કર જોડી.

દરિયાનાં મોજાં મસમોટાં,
લાવે કાંઠે ફૂટી કોડી.

રેતીના કૂબા કૈં પાડી,
સાગરની હદ શિશુએ તોડી.

ચંદ્ર ઉપ૨ આદમ શું કરશે?
રહેશે ગઝલ પહેલાં ખોડી.

– રમેશ આચાર્ય

લયસ્તરો પર કવિશ્રી રમેશ આચાર્યના સંગ્રહ ‘મેં ઇચ્છાઓ સુકાવા મૂકી છે’નું સહૃદય સ્વાગત.

જીવનમાં દુઃખ-મુસીબતોની રાત વધુ પડતી લાંબી થઈ જાય ત્યારે સુખનું સવાર ઊગશે કે કેમ એ વિશે વહેલા-મોડા પણ વાત-વિચાર-પ્રયત્ન કરવા જરૂરી થઈ પડે છે. બીજમાંથી ફૂટતો અંકુર ધરતી ફાડીને બહાર નીકળે એ સંસારનું સૌથી મોટું કૌતુક છે. આ એક એવો ચમત્કાર છે, જેની સામે સચરાચર નમી જાય છે. નામ બડે ઔર દર્શન ખોટેની વાત કહેતો ફૂટી કોડીવાળો શેર પણ મજાનો થયો છે. મોટાઓની અલ્પતાની વાત કર્યા પછી તરત જ નાનાઓની મોટાઈની વાત કરતો શેર પણ આસ્વાદ્ય બન્યો છે. સરવાળે મજાની ગઝલ.

Comments (6)

પાનખર બેઠી – હેમંત પૂણેકર

જોઈ લીધી ખુશી, વ્યથા વેઠી,
તોય ક્યાં જિંદગીની ગડ બેઠી.

ભોંયભેગો ભલે થયો છું હું,
હજી હિમ્મત નથી પડી હેઠી.

સૌના જીવનના પ્રશ્નપત્ર અલગ,
એમાં ચાલે નહીં નકલ બેઠી.

મન છલોછલ છે એની યાદોથી,
એમાં ગમગીની કઈ રીતે પેઠી?

હું જ્યાં બે પાંદડે થયો ન થયો,
ઋતુ બદલાઈ, પાનખર બેઠી.

– હેમંત પૂણેકર

લયસ્તરોના આંગણે કવિમિત્ર હેમંત પૂણેકરના પ્રથમ સંગ્રહ ‘કાગળની નાવ’નું સહૃદય સ્વાગત.

ટૂંકી બહેરની ગઝલની સાંકડી ગલીમાં વેઠી-બેઠી-હેઠી જેવા પડકારભર્યા કાફિયા વાપરીને કવિતાનો પ્રકાશ કરવાનું કામ બાહોશ ગઝલકાર જ કરી શકે. ‘ગાલગા ગાલગાલ ગાગાગા’ મીટરમાં આખરી આવર્તન ‘ગાગાગા’ના સ્થાને ‘ગાલલગા’ પણ લઈ શકાય એ વાતથી તો મોટાભાગના ગઝલકાર વાકેફ હશે જ, પણ આ જ મીટરમાં પહેલા આવર્તનમાં ‘ગાલગા’ના સ્થાને ‘લલગા’ પણ લઈ શકાય એ વાત બહુ ઓછા ગઝલકાર જાણતા હશે. હે.પૂ. ગઝલશાસ્ત્રના ઊંડા અભ્યાસુ અને ખાસ તો ખૂબ જિજ્ઞાસુ કવિ છે, એટલે એમની ગઝલોમાં છંદોની આવી બારીકી જોવા ન મળે તો જ નવાઈ. ગઝલના બીજા તથા આખરી શેરના સાની મિસરાઓ- ‘હજી હિમ્મત નથી પડી હેઠી,’ ‘ઋતુ બદલાઈ, પાનખર બેઠી’–ના પ્રથમ આવર્તનોમાં મીટરનો આ વિકલ્પ કવિએ પ્રયોજ્યો છે. આટલી તકનિકી બાબત જોયા પછી ગઝલપાન સ્વયં જ કરીએ, કેમકે ગઝલ તો આખેઆખી ઉત્તમ જ છે.

Comments (11)

ઝાકળ જેવી એક છોકરી તમને મળવા આવે….. – મુકેશ જોષી

કોઈ સવારે, ફૂલો સાથે વાત કરીને
ઝાકળ જેવી એક છોકરી તમને મળવા આવે
તમે દ્વાર ખોલીને ઊભા હોવ છતાંય
સાંકળ જેવું ધીમે ધીમે તમને એ ખખડાવે
તો, તમે મૂકી દો છાતી ઉપર હાથ,
કશું વિચારો પહેલાં કિયો વિચાર આવે?

ખુલ્લી આંખે સપનું આવે, ગુલાબની પાંદડીએ એનું
નામ લખીને કંઈક જનમથી ઝૂર્યા હો ને
ખરું પૂછો તો ગઈ રાતનાં સપનાંઓનાં પતંગિયાંની
પાંખ ઉપરથી હેઠા પણ ના ઊતર્યા હો ને
તમે હજુ તો પૂછો ‘કોણ તમે’ના કોઈ ઉત્તરમાં
એ ચારેબાજુ હવા સુગંધી આવે

અજવાળું ઊગવાની ખાસ્સી વેળ હોય ને એય
તમારી સામે સૂરજમુખી જેવું ખીલવા લાગે
તમે તમારા મન માંહે સંતાડી રાખ્યો હો એ સૂરજ
ફટાક કરતો એની પાસે ભાગે
તમને એ આંજી દે આછા ઉજાસથી કે
અંધારું કે અજવાળું ના કશું જ તમને ભાવે

તમે હજુ તો મનમાં આંબો વાવો, પહેલાં ડાળ તૂટે ને
કોઈ તમારી કૂંપળ જેવી વાત ફળે ના
તમે પછીથી શોધ આદરો રસ્તાઓમાં ચહેરાઓમાં
છતાંય તમને કોઈ નક્કર ભાળ મળે ના
કોઈ સાંજે તમે એકલા બેઠા હો, ને સવાર જેવી
એક છોકરી તમને જો યાદ આવે!

– મુકેશ જોષી

 

પ્રેમના મહાપર્વએ નાજુક નમણું-શું પ્રેમગીત….ગીતનો ઉપાડ આખા ગીતને અલગ જ ઉંચાઈ આપી દે છે. છેલ્લો અંતરો પણ મનભાવન છે…

Comments (1)

અલંગ (જહાજવાડો) – ચન્દ્રકાન્ત ટોપીવાળા

(ક્રાન્ત શિખરિણી)

જહાજો ક્યાં ક્યાંથી જરઠ ઘરડાં જીર્ણ આવી ઊભેલાં
વીતેલી વેળાનાં જલ છબછબે છીછરા કાદવોમાં
ધ્રૂજે વાંકીચૂકી વિકળ છબીઓ, મ્લાન આ ધૂંધળાશે
હવા ડ્હોળાયેલી કરચલીભર્યાં વાદળો સાવ ફિક્કાં.
પીંખાયેલું રૂ કે ગલ રખડતાં એકલાં આમતેમ?
ઊડે કોરા રેતીકણ? નહિ, ક્ષણો કાળને હાથ ચૂર્ણ!

જહાજો સંભારે સભર દરિયે વ્હેલવહેલા વહેલા
વિલાસોને, મોજે છલકી ઊઠતાં વૈભવો ને મજાને.
નવા રંગે રંગ્યા ચક ચક થતાં માળ ને કૈંક સીડીઓ
ધજાઓ લહેરાતી અરુપુરુ ઊભી કેબીનોની કતારો
પૂલો ને રેસ્ટુરાં ધમધમત થીએટરો કૉફીબારો
સુરા ને સૂરોની રમઝટ, ઝૂમે ટ્વિસ્ટ ને જૅઝનાદો.

જહાજો સ્વપ્નોની તૂટતી નીરખે ભવ્ય જાહોજલાલી!
હથોડા ટીપાતા ધસમસ ધસી આવતો ક્રેઈનફાંસો
ઘૂમે રાતી ચારેગમ અગનને ઓકતી ગૅસજ્વાલા
ઊંડું કાપે પાડે ધડ ધડૂસ કૈં પાટની પાટ ભોંયે
ઉશેટે ડાચાથી ડગડગત બુલ્ડોઝરો જે મળ્યું તે
ટ્રકો તોડ્યું ફોડ્યું સઘળું હડપે ઘૂરકે જાય આવે!

જહાજો ક્યાં? ક્યાં છે ક્ષિતિજ ભરી દેતી જહાજોની હસ્તી?
અહીં ભંગારોના ઢગઢગ ઊભા થાય ધીમેક ખાલી
ધગે ભઠ્ઠા વેરે અસહ તણખા અગ્નિના ભાંડ ભાંડે
નર્યા લાવા જેવો રસ ખદખદે ઊકળે લાલચોળ
નીકોમાં રેડાતા વહી વહી ઠરી વ્હાર ઠેલાઈ ત્યાં તો
નવી તાજ્જેતાજી ચક ચક જુઓ આવતી સ્ટીલ-પ્લેટો !

જહાજો ! યાત્રાઓ અગણિત તમે દીધી છે જોજનોની
હજારો યાત્રીને, નિતનિત નવાં બંદરો દાખવ્યાં છે!
અજાણ્યાં દૃશ્યોને નિકટ ધરીને દૂર કીધાં અદૃશ્ય
તરંગોની છોળે લખલૂટ કરાવી તમે સ્હેલગાહો!
તમે યાત્રા આજે ખુદ શરૂ કરી, જીર્ણતાને વટાવી
વટાવી ભંગારો ચક ચક નવા બંદરે નાંગર્યાં છો!

– ચન્દ્રકાન્ત ટોપીવાળા

ભાવનગર જિલ્લામાં દરિયાકાંઠે આવેલ અલંગ વિશ્વના નક્શામાં અલગ જ સ્થાન ધરાવે છે. અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ દુનિયામાં સૌથી મોટો જહાજવાડો ગણાય છે. ચલણમાં ન હોય એવા દુનિયાભરના જહાજો તૂટવા માટે અહીં આવે છે. અલંગના જહાજવાડા ઉપર આવી કવિતા આપણી ભાષામાં તો દીવો લઈને શોધો તોય નહીં જડે.

અલંગના જહાજવાડામાં ક્યાંક્યાંથી જૂનાં જીર્ણ થયેલાં જહાજો આવી ઊભાં છે. કાંઠાના છીછરા કાદવમાં વીતેલી વેળાઓ છબછબી રહી છે. હાલકડોલક પાણીમાં જહાજોની છબી વિકળ થઈ રહી છે અને સમગ્ર વાતાવરણ આ વિનાશના નિરાશ સૂરમાં પોતાનો સૂર પૂરાવતું હોય એમ હવા અને ડહોળાયેલી લાગે છે, વાદળો સાવ ફિક્કાં લાગે છે. હવામાં પીંખાયેલ રૂ ઊડી રહ્યું છે કે સીગલ પક્ષીઓ એ કળવું અઘરું થઈ પડ્યું છે. કોરી રેતીના કણ નહીં, જાણે કાળને હાથે ચૂર્ણ થઈ ગયેલી ક્ષણો ધૂંધળી હવામાં ઊડી રહ્યા છે.

જહાજવાડે તૂટવા આવેલ જહાજોને પોતાના પહેલવહેલા વિલાસોથી લઈને આજદિન પર્યંતની સફરના નાનાવિધ મુકામો સાંભરે છે. રેસ્ટુરાં અને જૅઝનાદો જેવા ભાષાપ્રયોગ થોડા કઠે ખરા, પણ સરવાળે જહાજો પોતાના તૂટતાં સ્વપ્નોની જાહોજલાલી બિરખતાં હોવાનું દૃશ્ય સુપેરે ઉપસી આવ્યું છે. હથોદા ટિપાઈ રહ્યા છે, ક્રેઇન ફાંસો બનીને ગળાં ઝાલે છે, ગૅસજ્વાળાઓ અગન ઓકતી બધું સ્વાહા કરી રહી છે, પાટની પાટ ભોંયભેગી થઈ રહી છે અને જે બચી જાય છે એને ડગડગત ચાલતા બુલડોઝરો કોળિયો કરી રહ્યાં છે. છેવટે બધો ભંગાર એકધારી આવજા કરી રહેલી ટ્રકોમાં લાદી અન્યત્ર મોકલી દેવાય છે.

ક્ષિતિજોને ભરી-ઢાંકી દેતાં જહાજોની હસ્તી નસ્ત પામી રહી છે. ભંગારના ઢગલા ખડકાઈ રહ્યા છે. અને અગ્નિની ભઠ્ઠીઓમાં એને પીગળાવવામાં આવતાં ચકચકાટ કરતી સ્ટીલની પ્લેટો બની રહી છે. સુન્દરમ્ નું ‘ઘણ ઉઠાવ’ સૉનેટ યાદ આવે. નવસર્જન કરવું હોય તો જૂની વસ્તુઓને તોડીને હટાવવી જ રહી.

કાવ્યાંતે કવિ તૂટી ગયેલાં-તૂટી રહેલાં જહાજોને સંબોધીને આશ્વાસન આપતાં કહે છે કે, તમે અગણિત યાત્રાઓ કરીને અગણિત યાત્રીઓને મુસાફરીઓ કરાવી છે, મંઝિલભેગા કર્યા છે. અત્યાર સુધીની યાત્રાઓ તમે અન્ય લોકો માટે કરી, પણ હવે આ જહાજવાડામાં તમારી ખુદની યાત્રાની શરૂઆત થઈ છે. જીર્ણતાને અને ભંગારોને વટાવી અગ્નિમાં તપીને તમારો આજે નવોન્મેષ થઈ રહ્યો છે અને તમે તમારી ગઈકાલ છોડીને તમારી આવતીકાલ તરફની યાત્રા પ્રારંભવા માટે ચકચક થઈને નવા બંદરે નાંગર્યા છો… કવિની દૃષ્ટિ સામાન્ય માણસોની દૃષ્ટિથી કેવી અલગ અને અદભુત હોય છે એ વાત આપણને સમજાય છે.

Comments (14)

એ જ વાત – ચન્દા રાવળ

બસ,
.        એ જ વાત ના છેડો.
શીદને ચાહું, શી વિધ ચાહું, કેમ સહું તમ ચેડો.
.       એ જ વાત ના છેડો
.     માધવ
.       એ જ વાત ના છેડો.

કદમ્બ-વૃક્ષે પાન ફૂટતાં
.       જમુના જલમાં લ્હેરો.
મધુવનની વાટે પથરાતો
.       પ્રણય, પ્રિયા તમ ઘેરો.
.       ક્યાંય નહીં ત્યાં કેડો.
બેય નયનમાં રોપ્યા તમને, ઊગ્યો મબલક નેડો!

વળી વળીને પૂછો શાને?
.       હોઠ મરકતા લાગે.
જાણે ફૂલ ઊપર કો’ ભમરો
.       ડંખ દિયે અનુરાગે.
.       મુજને ના છંછેડો.
બેઉ ઓષ્ઠમાં ગોપ્યા તમને; ગુંજ્યો મનનો મેડો.

.       બસ, એ જ વાત ના છેડો.
બેઉ નજરમાં પ્રોવી અમને હ્રદયદુવારે તેડો,
.       માધવ, હૃદયદુવારે તેડો!

– ચન્દા રાવળ

કોઈને ચાહવાનાં તે કંઈ કારણ હોતાં હશે? પ્રેમ એટલે તો બસ, પ્રેમ… એમ પૂછીને થાય નહીં પ્રેમ, ખરું ને? પણ આ જુઓ, નટખટ માધવ મુરારી તો ગોપી પાસે પોતાને ચાહવાનાં કારણ જાણવા પૃચ્છા કરી રહ્યો છે. પણ ગોપીય કંઈ જાય એમ થોડી છે? માધવની વહાલી કંઈ જેવી તેવી હોય? જવાબતલબી કરી રહેલ કાનાને ગોપી શું કહે છે તે જાણવા જેવું છે. માધવ મુરારીએ તો પૂછી લીધું કે ગોપી એને શા માટે ચાહે છે, કઈ રીતે ચાહે છે. પણ ગોપી એકદમ સ્પષ્ટ છે – કેરી ખાવ, ઝાડ શા માટે ગણવાં? એ માધવને કહે છે, કે બસ, આ એક જ જ વાત છેડશો નહીં. કદમ્બ વૃક્ષ પર પાન ફૂટે અને જમુનાના જળમાં લહેરો ઊઠે એમ મધુવનની વાટે પથરાયેલ માધવના અસીમ અફાટ પ્રેમે એને ચારે તરફથી એવો ઘેરો ઘાલ્યો છે કે ભાગી છૂટવાનો કોઈ કેડો જ બચતો નથી. નજરોમાં કેવળ માધવ જ સમાયો હોય ત્યાં મબલખ સ્નેહ ન ઊગે તો જ નવાઈ. પણ કૃષ્ણ તો હતા જ ટિખળી. મંદમંદ મરકતાં એ વળી-વળીને નિષિદ્ધ પ્રશ્ન કરે છે ત્યારે ભમરો ફૂલને પ્રેમથી ડંખે એવો આહ્લાદ ગોપી અનુભવે છે. બેઉ નયનમાં કેવળ માધવને જ સ્થાન આપ્યા બાદ હવે બેઉ અધર પર પણ એનું જ સ્થાન હોવાની જાહેરાત ગોપી કરે છે. રાત-દિ ગોપીના હોઠે માધવનું જ નામ હોવાને લઈને મનનો મેડો ગુંજારવથી ભરાઈ ઊઠ્યો છે. સામા સવાલ કરવાના બદલે માધવ પણ પોતાને નજરોમાં પ્રોવીને પોતાના હૃદયમાં સ્થાન આપે એ જ ગોપીની અભ્યર્થના છે. સરવાળે, સહજ ભાષા અને પ્રવાહી લયને લઈને મનમાં લાંબા સમય સુધી રણઝણ્યા કરે એવું મધુરું સ્નેહગીત…

પ્રાસ સાચવવા કવયિત્રીએ ‘ચેડાં’ શબ્દ સાથે ચેડાં કરીને ‘ચેડો’ શબ્દ ન વાપર્યો હોત તો રચના વધુ આસ્વાદ્ય બની હોત.

Comments (5)

એ તારે ઘર આવ્યો તેડે – ઉશનસ્

એ તારે ઘર આવ્યો તેડે, ચાહીને તવ યાર,
અભાગણી, જોજે પાછી તું રાખે બંધ દુવાર;

આ પળ તારે ભાયગ,
જે આવે છે કોક જ વાર,
જેને કા૨ણ જોગીજતીઓ
લે છે લખ અવતાર;
શું શોચે છે? આંગણ આવ્યાં વરી લે, દૈ વરમાળ.      એ૦

એ પોતે તવ આંગણ આવ્યો,
પછી શું ઘર ને બ્હાર?
એહની સંગે નીકળી પડવા
તું છે કે તૈયાર?
પ્હેર્યે વસને, વણશણગારે, વણહુંપદને ભાર?      એ૦

જરીય મોં ફેરવીને પાછી
જોઈશ મા તું અતીતે,
એ છોડ્યું તે છોડ્યું,
જોડવું મન જો મનના મીતે;
ખુલ્લું એમ જ ઘર મૂકી જા, જા નવલે સંસાર.      એ૦

છતછાપરુંયે આડશ અમથી
આડશ ભીંત-કમાડ,
સૌ સોંસરવી નીકળી જા તું,
ઠેકી જા સૌ વાડ;
તક છે છેલ્લી, મળી કે મળશે, નીકળી જા નિજ પાર.      એ૦

– ઉશનસ્

સાક્ષાત્ ઈશ્વર અભાગણીને તેડવા એના ઘરે ચાહીને આવ્યો હોવાથી કવિ એને દ્વાર બંધ ન રાખવા તાકીદ કરે છે. જીવનમાં ક્યારેક જ આવતી આ પળ પામવા જોગીઓ અને જતિઓ લાખ-લાખ અવતાર લે છે અને આવામાં નાયિકાને વિચારમગ્ન જોઈ કવિ વળી એને ચીમકી દેતા કહે છે કે આંગણે આવેલ પ્રભુને વરમાળ આપીને એની સાથે લગ્ન કરી લે. ઈશ્વર આંગણે પધારે ત્યારે અંદર-બહાર બધું એકસમાન થઈ જાય છે. આપણે એ વિચારવાનું છે કે પહેર્યે કપડે, કોઈ પણ જાતના સાજશણગાર વિના અને હુંપદનો ભાર ત્યજીને આપણે એની સાથે નીકળી પડવા તૈયાર છીએ કે કેમ? મનમીત સાથે નવલો સંસાર માંડતી વખતે નથી અતીત તરફ મોં ફેરવીને જરાય જોવાની જરૂર કે નથી ઘર વાખવાની કોઈ આવશ્યકતા. ભૂત અને વર્તમાન –ઉભયને છોડીને ભાવિના પંથે ચાલી નીકળવાનું છે. છત-છાપરાં-ભીંત-કમાડ –આ તમામ આ ક્ષણે આડશ સમા લાગશે. જીવનને બાંધી રાખતી તમામ પળોજણોની વાડ ઠેકીને ખુદની પણ પાર નીકળી જવાનું છે, કેમકે આજે જે આ તક જીવનમાં આવી છે, એ આખરી તક છે.

સૉનેટ અને ઊર્મિકાવ્યોના સ્વામી ગીતનો હાથ ઝાલે છે ત્યારે મકરંદ કે હરીન્દ્ર દવે જેવી મુલાયમતાના સ્થાને તળ ગુજરાતની ખરબચડી બાની અછતી રહેતી નથી. પણ ઉત્તમ કવિના હાથમાં કાવ્યસ્વરૂપની માવજત થોડી બરછટ થાય તોય કાવ્યતત્ત્વ તો નિરવદ્ય જ રહે છે એની પ્રતીતિ અહીં થયા વિના રહેતી નથી.

Comments (4)

કઈ કૂંચી, કઈ કળ… – યોગેશ પંડ્યા

બ્હાર ઓલ્યો ધોધમાર મેઘરવો વરસે ને
અંદર બરકે છે મારો સાયબો.

આડઝૂડ વીંઝાતી ઝડીઓમાં ઓગળી એવું ભીંજાય મારું તન,
જાણે કે ફાટફાટ દરિયા ફાટ્યા કે પછી ફાટ્યું છે આખું ગગન;
ઊભી જ્યાં નેવાંની હેઠ્ય હું તો સ્હેજવાર આરપાર મારું ગવન!
બ્હાર ઊભી ખુદ હું થઈ ગઈ વરસાદ અને
અંદર મરકે છે મારો સાયબો!

કોરી થાવાને હું તો નાવણિયે ગઈ પણ સાંકળ દેવાનું ગઈ ભૂલી,
હળવેથી સાયબાએ ઝીલી, ’ને શરમાઈ સાયબાની બાંહોમાં ઝૂલી;
સાનભાન ખોયું ને ખબર્યું ના રહી, કઈ કૂંચીથી કઈ કળ ખૂલી?
બ્હારના કમાડ આડાં હળવે દીધાં ને હવે-
અંદર ફરકે છે મારો સાયબો.

– યોગેશ પંડ્યા

વાદળ અને વહાલના બેવડા વરસાદમાં ભીંજાતી નાયિકાની મજાની સંભોગશૃંગાર રચના. બહાર મેઘ ધોધમાર વરસી રહ્યો અને ઘર ભીતરથી સાહ્યબો અવાજ દઈ રહ્યો છે. બહાર વરસાદ અને ભીતરથી વર સાદ! નાયિકા ધોધમાર વરસાદમાં ઘરબહાર કેમ નીકળી છે એનો ફોડ કવિએ પાડ્યો નથી. જરૂરી પણ નથી. આડઝૂડ વીંઝાતી વરસાદની ઝડીઓમાં નાયિકાનું તન એવું ઓગળી ગયું છે કે એ ખુદ વરસાદ બની ગઈ છે… આ વરસાદમાં પછી સાહ્યબો પણ મનભર નહાઈ લે છે. શરીર લૂછી કોરી થવા નાયિકા નાવણિયામાં તો પ્રવેશી પણ સાંકળ દેવાનું ભૂલી ગઈ. સાહ્યબો અંદર પ્રવેશી એને ઝાલે ને ઝૂલાવે છે ત્યારે સાનભાન સ્વાભાવિકપણે જ હાથ રહેતાં નથી. કઈ કૂંચીથી કઈ કળ ખૂલીનો સંભોગશૃંગાર ‘અંદર ફરકે છે મારો સાયબો’ પંક્તિમાં રતિસુખની ચરમસીમાએ પહોંચે છે, અને વહાલની આ હેલીમાં આપણને પણ ભીંજાયા હોવાની અનુભૂતિ થયા વિના રહેતી નથી.

Comments (8)

કામ આવી છે – વિકી ત્રિવેદી

નથી તારું ગજું કિંતુ હિમાયત કામ આવી છે,
કહું જો સ્પષ્ટ શબ્દોમાં: ખુશામત કામ આવી છે.

વધારાનું કદી પણ ના ખપે, આદત હતી મારી,
અભાવોમાં મને મારી એ આદત કામ આવી છે.

ભલા નિષ્ફળ મહોબ્બતને નકામી કઈ રીતે કહેવી?
ઘણાયે શેર લખવા આ મહોબ્બત કામ આવી છે.

નહિતર તો પ્રસિદ્ધિની હવામાં ઊડતો હોતે,
મને ધરતી ઉપર રહેવા બગાવત કામ આવી છે.

જીવન એકેક કરતાં તૂટતાં જોવામાં વીતી ગ્યું,
મને સ્વપ્નોની આ મોટી વસાહત કામ આવી છે.

બીજી વેળા જવું કે નહિ સગાઓના ઘરે પાછું,
એ નક્કી કરવા માટે તો શરારત કામ આવી છે.

આ જંગલરાજમાં જો જીવવું છે તો તું સક્ષમ થા,
અહીં કોને કદી કોઈ અદાલત કામ આવી છે?

સતત જો પ્રેમ મળતે તો ‘વિકી’ આગળ નહીં જાતે,
મને આગળ જવા લોકોની નફરત કામ આવી છે.

– વિકી ત્રિવેદી

નોખા મિજાજના નોખા કવિની ગઝલ.

Comments (3)

નામ રણનું – કોટક ધાર્મિક ‘ગોપાલ’

નામ રણનું ભલે નદી રાખો
નહિ છીપાવે તરસ, લખી રાખો.

જાતને આયનો બનાવીને
જાતની સામે બે ઘડી રાખો.

આંસુઓ શાયરીને આપી દ્યો,
આંખમાં ફક્ત શાયરી રાખો.

એની મરજી એ આવે ના આવે
આપણે બોર તો વીણી રાખો.

– કોટક ધાર્મિક ‘ગોપાલ’

ચાર જ શેર, ટૂંકી બહેર અને સંઘેડાઉતાર રચના. સરળ ભાષામાં અર્થગહન મનનીય અભિવ્યક્તિ. આંખમાં ફક્ત શાયરી રાખોવાળો શેર તો દિલને સ્પર્શી ગયો. છેલ્લા શેરમાં કાફિયાદોષ નિવારી શકાયો હોત તો વધુ સારું થાત.

Comments (17)