પ્રશ્નો ઘણા વિકટ છે,
રસ્તો છતાં નિકટ છે.

દેખાય તે બધુંયે-
ભાવિની ચોખવટ છે.
અંકિત ત્રિવેદી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for November, 2022

આત્મબળ – ‘ગની‘ દહીંવાળા

આત્મબળ જીવન-સફરમાં જ્યારે રક્ષક હોય છે,
માર્ગસૂચક યાતના, સંકટ સહાયક હોય છે.

લઈ જનારી લક્ષ્ય પર શ્રદ્ધા જ બેશક હોય છે,
માત્ર આશંકા, પથિકના પગમાં કંટક હોય છે.

જ્યારથી અંતરની ભાષા વાંચતા શીખ્યો છું હું,
જેનું પુસ્તક જોઉં છું. મારું કથાનક હોય છે.

જીવવા ખાતર જગે જે જિંદગી જીવી ગયો,
એની જીવન-વારતાનું મોત શીર્ષક હોય છે.

કાર્યના આરંભ જેવો અંત પણ રંગીન હો.
જે રીતે સંધા-ઉષાના રંગ મોહક હોય છે.

તું એ વર્ષા છે કે એકાએક જે વરસી પડે,
મુજ તૃષા એવી જે બારે માસ ચાતક હોય છે.

આમ જનતાના હૃશ્યમાં જઈને લાવે પ્રેરણા, *
હે ‘ગની !’ એવા કવિનું કાવ્ય પ્રેરક હોય છે.

(* સ્વ. મેઘાણી આ મુશાયરામાં પ્રમુખ હતા એમના પ્રતિ ઇશારો છે.)

 

– ‘ગની‘ દહીંવાળા

મત્લા અને મક્તાએ મન મોહી લીધું…. આજે જ કોઈ મિત્ર સાથે વાત થતી હતી કે જે કોઈપણ કાવ્ય હોય કે ફિલોસોફી હોય – જનસામાન્યને સ્પર્શે જ નહીં, તો એનું શું મૂલ્ય…. ? અમુક રચના જરૂર કઠિન હોઈ શકે,પણ પ્રયત્ન તો એ જ રહેવો જોઇએ કે જનસામાન્ય સુધી કળા/જ્ઞાન પહોંચે….

Comments (2)

યાદ છે? (દીર્ઘ ગઝલ) – મુકુલ ચોકસી

આપણી વચ્ચે ક્ષણિક ઘટના બનેલી, યાદ છે?
કિન્તુ એ સદીઓની સદીઓ વિસ્તરેલી, યાદ છે?

પ્રેમ નામે એક વસાહત મેં રચેલી, યાદ છે?
જેમાં તારી સાથે કેવળ હું વસેલી, યાદ છે?

તારી સાથે રાત અગાશીમાં વીતેલી, યાદ છે?
ચાંદની ચાહતમાં ઘૂંટીને પીધેલી, યાદ છે?

તે હવા આપી તો હું કેવી છકેલી, યાદ છે?
આભમાં ઊડતા પતંગો શી ચગેલી, યાદ છે?

તારી વીંટી તેં મને આપી દીધેલી, યાદ છે?
સોનાથી નહીં, તારે પરસેવે મઢેલી, યાદ છે?

ફોન તૂટ્યો તોય અપસેટ નહીં થયેલી, યાદ છે?
મેં બધી તસ્વીરો દિલમાં સંઘરેલી, યાદ છે?

જિંદગીમાંથી મને કાઢી મૂકેલી, યાદ છે?
તોય સપનાઓમાં તારા હું બચેલી, યાદ છે?

બહારથી મજબૂત કિલ્લો હું બનેલી, યાદ છે?
કિન્તુ આખેઆખી અંદરથી તૂટેલી, યાદ છે?

રોજ સાંજે જઈ નદી કાંઠે ઊભેલી, યાદ છે?
ડૂબતા સૂરજને જોઈ બહુ રડેલી, યાદ છે?

એ ઘડી વીતી ગઈ પહેલી ને છેલ્લી, યાદ છે?
હું ફરી છલકાઈ ખુશીઓથી ભરેલી, યાદ છે?

મારા ઉપનામોથી શરમાઈ ગયા’તા ફૂલ સૌ,
રાતરાણી, જૂઈ, જાસૂદ ને ચમેલી, યાદ છે?

હાથ ઝાલી હાથમાં જયારે નીકળતાં આપણે,
ધૂમ આખી શેરીમાં કેવી મચેલી, યાદ છે?

હોળી, દિવાળી અને ઊતરાણ તો બહાના હતાં,
આપણે તકલીફને પણ ઉજવેલી યાદ છે?

દૂર મારે તારાથી નહોતું જવું ને! એટલે,,,
ખાસ જાણીજોઈને મોડી ઊઠેલી, યાદ છે?

આપણે નહીં હોઈએ તો સાવ મૂરઝાઈ જતાં,
એ બગીચો, એ જ ખૂણો, એ જ વેલી, યાદ છે?

તારી આ દાઢી વધેલી એ તો સૌ જાણે જ છે…
મારી પણ થોડી ઘણી આંખો સૂઝેલી, યાદ છે?

– મુકુલ ચોકસી

ગઈ કાલે આપણે કવિએ વર્ષો પૂર્વે લખેલી ગઝલ માણી. એ ગઝલના વિષયવસ્તુ દીકરીએ ભજવવાના નાટકમાં કામ લેવાના હેતુથી કવિપિતાએ પાંત્રીસ શેરની નવી દીર્ઘ ગઝલ લખી નાંખી. મૂળ ગઝલ પુરુષની ઉક્તિ હતી, આ ગઝલ એક સ્ત્રી વડે રચાતા સંવાદનો એકતરફી આલેખ છે. દરેક સવાલની સાથે સામેથી જવાબમાં હકાર ઊઠતો સંભળાયા વિના રહેતો નથી. પાંત્રીસ શેરની દીર્ઘ રચનામાંથી સોળ શેર લયસ્તરોના ભાવકો માટે રજૂ કરીએ છીએ… આખરી શેર મૂળ ગઝલની જ પ્રતિકૃતિ છે, કેવળ સર્જકોદ્ગાર બદલાયા છે.

Comments (11)

(—યાદ છે?) – મુકુલ ચોક્સી

તૂટતી જોવી હતી મારી હવેલી? —યાદ છે?
કે પછી અમથી જ તેં ચિઠ્ઠી લખેલી? —યાદ છે?

તારી એકલતાની સરહદ વિસ્તરેલી —યાદ છે?
એક દી એ મારી ગઝલોને અડેલી —યાદ છે?

વાત, જે કેવળ પ્રતિબિમ્બને કરાતી હોય છે,
એ જ વાતો તેં બીજા કોને કરેલી? —યાદ છે?

મારી આ દાઢી વધેલી એ તો સૌ જાણે જ છે,
તારી પણ થોડી ઘણી આંખો સૂઝેલી —યાદ છે?

– મુકુલ ચોક્સી

ગયા અઠવાડિયે આપણે ‘યાદ છે? રદીફવાળી ગઝલ વાંચી. વરસો પહેલાં મુકુલ ચોકસીએ આ જ રદીફ અને પ્રશ્ન સાથે આ જ રીતે લખેલી એકતરફી સંવાદ ગઝલ લખી હતી એ પણ સાથોસાથ માણીએ. ચાર જ શેરની આ દાયકાઓ જૂની ગઝલ પૂર્વ મુકુલ ચોકસીની પિછાન છે. આજે આ મુકુલ ચોકસી ક્યાં મળશે એ કોઈને યાદ છે? કહેજો તો…

Comments (7)

(નોખો છે) – નેહા પુરોહિત

આ તરફનો હકાર નોખો છે,
એ તરફનો નકાર નોખો છે.

એય બાવન ને સાતમાં રમતો,
એ છતાં ગીતકાર નોખો છે.

આજ નોખી તરસને માણી મેં,
આજનો ઓડકાર નોખો છે.

એટલેથી પડે નહીં પડઘો,
એટલે ઉંહકાર નોખો છે.

કેમ મારી ગતિ થતી જ નથી?
કેમ, આ ઓમકાર નોખો છે?

– નેહા પુરોહિત

મત્લાના ‘આ’ અને ‘એ’ને બાદ કરીએ, તો બાકીના ચારેય શેરના બંને મિસરાની શરૂઆત સમાન શબ્દો – એ-એ, આજ-આજ, એટલે-એટલે, કેમ-કેમ -થી થઈ છે. શબ્દોની આ નાનકડી રમત ટૂંકી બહેરની ગઝલમાં કવિરમણાનો અવકાશ ઓર ઘટાડીને કવિકર્મ વધુ મુશ્કેલ બનાવે છે, પણ સર્જક બહુ ઓછા શબ્દોમાં જાતને વ્યકત કરવાનો પડકાર સુપેરે ઝીલી લઈને સંઘેડાઉતાર ગઝલ આપી શક્યાં છે એનો આનંદ. ‘એટલે’ની પુનરુક્તિમાં યમક અલંકાર ચૂકવા જેવો નથી. સર્જકે એટલેથી પડઘો નહીં પડે એમ કહ્યું છે. અહીં એટલેથી એટલે એટલા અંતરથી એમ અર્થબોધ થાય છે, પણ આ અંતર વધુ છે કે ઓછું એ બાબતે ફોડ પાડવામાં આવ્યો નથી. બહુ નજીકથી બોલવામાં આવે કે બહુ દૂરથી બોલવામાં આવે – આ બંને અવસ્થામાં કહેલી વાતનો પડઘો-પ્રતિસાદ સાંપડતો નથી એટલે નોખો ઉંહકાર સાંપડે છે. સરળ સહજ મત્લા પછીના બધા જ શેર ખાસ્સા અર્થગહન છે..

Comments (17)

કાગળના કોડિયાનો… – રવીન્દ્ર પારેખ

કાગળના કોડિયાનો લીધો અવતાર,
પછી દાઝ્યાથી દૂર કેમ રહીએ?
ખોળિયાએ પહેર્યું જ્યાં પંખેરી નામ,
પછી ટહુકાથી દૂર કેમ રહીએ?

ઉકલેલા ઊન જેવું જીવતર ખૂલે ને
એનો છેડો ભીંજાય સૂકી રાખમાં,
પાણી લઈ સૂરજને ધોવાનું ભોળું
વરદાન મળે બળતા વૈશાખમાં.
બળવું જો કાજળની હોડી થઈ જાય,
ત્યારે દરિયાથી દૂર કેમ રહીએ?
કાગળના કોડિયાનો….

શ્વાસોની સળીયુંને ભેગી મેલીને
કોઈ બાંધે છે હૈયામાં માળો,
ઝાડવાને ફૂટે જેમ લીલેરું ઘેન,
એમ યાતનાને રંગ ફૂટે કાળો.
ઘરને રે મોભ ચડી બોલે કાળાશ,
ત્યારે મરવાથી દૂર કેમ રહીએ?
કાગળના કોડિયાનો…

– રવીન્દ્ર પારેખ

પ્રારબ્ધ પણ રૂઠ્યું છે અને કર્મ પણ ઊંધા પડે છે….જાયે તો જાયે કહાં…..સમઝેગા, કૌન યહાં, દર્દભરે દિલકી ઝૂબાં….

કવિને ૭૬મા વરસની ઘણી શુભેચ્છાઓ….

Comments (5)

ઝડપભેર વીતી જતી વસંત – મહેમૂદ દરવીશ (અરબી) (અનુ.: વિવેક મનહર ટેલર)

‘વસંત બહુ ઝડપભેર પસાર થઈ ગઈ
મનમાંથી ઊડી ગયેલા
વિચારની જેમ’
ચિંતાતુર કવિએ કહ્યું

શરૂઆતમાં, એના લયથી એ ખુશ થયો
એટલે એ એક-એક પંક્તિ કરતોક આગળ વધ્યો
એ આશામાં કે સ્વરૂપ સ્વયં પ્રગટ થશે

એણે કહ્યું, ‘અલગ પ્રકારની તૂકબંદી
મને ગાવામાં મદદ કરશે
જેથી કરીને મારું હૃદય શાંત રહે અને ક્ષિતિજ સાફ’

વસંત અમારી પાસેથી પસાર થઈ ગઈ છે.
એણે કોઈની રાહ જોઈ નહીં
ન તો ભરવાડની આંકડીએ અમારા માટે રાહ જોઈ
ન તો તુલસીએ

એણે ગાયું, અને કોઈ અર્થ ન મળ્યો
અને હર્ષવિભોર થઈ ગયો
એવા ગીતના લયથી જે પોતાનો માર્ગ ભૂલી ગયું હતું

એણે કહ્યું, ‘કદાચ અર્થનો જન્મ
સંયોગથી થયો છે
અને કદાચ આ બેચેની જ મારી વસંત છે.’

– મહેમૂદ દરવીશ (અરબી)
(અંગ્રેજી પરથી અનુવાદ: વિવેક મનહર ટેલર)

ઝડપભેર પસાર થઈ જતી વસંતનું પ્રતીક લઈને પેલેસ્ટાઇની કવિ મહેમૂદ દરવીશ કાવ્યસર્જન અને કવિના આંતર્મનની એક પરત હળવેથી ખોલી આપે છે. કાવ્યસર્જનની પળે મનમાં ઝબકતા વીજળીના ચમકારા જેવા વિચારની મદદથી કવિતાનું મોતી પરોવી ન લેવાય તો કાગળ ઉપર કેવળ અંધકાર જ રેલાશે. સર્જનસમયે કોઈ પણ સર્જક આવ્યો વિચાર છટકી ન જાય એ બાબતે ચિંતાતુર અવશ્ય હોવાનો. પહેલી પંક્તિની માંડણી કવિને ખુશ કરે છે. જેમ જેમ કવિતા આગળ વધતી જાય તેમ તેમ કવિને આશા બંધાતી જાય છે કે કાવ્યસ્વરૂપ આપોઆપ પ્રગટ થશે. મનમાં આવેલ વિચાર સૉનેટમાં ઢળશે કે ગીત-ગઝલ-અછાંદસની વિધામાં પ્ર-ગતિ કરશે એવું કાવ્યલેખનના પ્રારંભે ઘણીવાર કવિમનમાં સ્પષ્ટ હોતું નથી. સમર્થ સર્જકના મનમાં ઉદભવેલા વિચાર સ્વયં કાવ્યાકાર નક્કી કરતા હોય છે. સર્જન સમયે અગાઉ ન ખેડેલી કેડી ઉપર ચાલનાર કવિને સંતોષ અને શાતા અપેક્ષિત હોય છે. સમય, ઋતુ અને વિચાર કોઈની પ્રતીક્ષા કરતાં નથી. માર્ગભૂલ્યું સ્વજન જડી આવે ત્યારે જે રીતે હર્ષવિભોર થઈ જવાય એ જ આનંદ સર્જન આપે છે. અર્થની કડાકૂટ વિવેચકો માટે, કવિને તો સર્જનના નિર્ભેળ આનંદ સાથે જ લેવાદેવા હોય ને! કવિતા મૂળે તો ભાવવહન કરવાનું ઉપાદાન છે, એમાંથી અર્થ નીપજે તો એ તો કેવળ સંયોગ જ. પુષ્પ વસંતમાં ખીલે એમ ખરી કવિતા બેચેનીમાં જ જન્મે છે..

A spring passing quickly

‘The spring has passed quickly
like a thought
that has flown from the mind’
said the anxious poet

In the beginning, its rhythm pleased him
so he went on line by line
hoping the form would burst forth

He said: ‘A different rhyme
would help me to sing
so my heart would be untroubled and the horizon clear’

The spring has passed us by
It waited for no one
The shepherd’s crook did not wait for us
nor did the basil

He sang, and found no meaning
and was enraptured
by the rhythm of a song that had lost its way

He said: ‘Perhaps meaning is born
by chance
and perhaps my spring is this unease.’

Mahmoud Darwish (Arabic)
(Eng. Trans.: Catherine Cobham)

Comments (9)

(યાદ છે?) – રમેશ પટેલ ‘ક્ષ’

એક દરિયો આંખમાં ભરતા રહેલા – યાદ છે?
સ્વપ્ન લઈ એમાં પછી તરતા રહેલા – યાદ છે?

સંસ્મરણનાં દૃશ્ય પણ જાણે મજાનાં ચિત્ર થઈ,
આ નીલા આકાશમાં સરતાં રહેલાં – યાદ છે ?

સાવ નીરવ મૌન વચ્ચે ઓગળેલા શબ્દના,
અર્થ કેવા આ નયન કરતાં રહેલાં -યાદ છે?

પર્ણ પર ઝાકળ નિહાળી એ ક્ષણેાની યાદમાં,
અશ્રુઓ ચોધાર ત્યાં ખરતાં રહેલાં -યાદ છે?

સ્તબ્ધ ને નિઃશબ્દ પળના કારમા એકાન્તમાં,
શ્વાસ લઈને પણ સતત મરતા રહેલા – યાદ છે?

– રમેશ પટેલ ‘ક્ષ’

‘યાદ છે?’ જેવી સંવાદાત્મક રદીફ કવિએ કેવી બખૂબી નિભાવી જાણી છે એ જુઓ… બધા જ શેર સ-રસ થયા છે પણ શ્વાસ લઈને પણ સતત મરતા રહેવાના અહેસાસને ઉજાગર કરતો અંતિમ શેર તો હાંસિલ-એ-ગઝલ છે!

Comments (7)

(જોકે) – ભાર્ગવ ઠાકર

ઓછો નથી શિખરનો એને લગાવ જોકે,
વહેવું, છે માત્ર વહેવું એનો સ્વભાવ જોકે.

ચીતર્યું છે સ્મિત ચહેરે, શણગાર બહુ સજ્યા છે,
પહેર્યો છે રોમેરોમે મારો અભાવ જોકે.

ઝબકીને ઝીણું ઝીણું નક્કર તમસની વચ્ચે,
પાડે છે આગિયાઓ અઢળક પ્રભાવ જોકે.

છે તર્ક સાવ જુદા મનના અને મતિના,
બન્નેની સાથે મારો છે રખરખાવ જોકે.

ગભરાઈને વમળથી, કૂદી ગયો ખલાસી,
પ્હોંચી ગઈ કિનારે, એ રિક્ત નાવ જોકે.

– ભાર્ગવ ઠાકર

બીજો શેર જુઓ. શરૂઆત સામી વ્યક્તિએ પોતાના ચહેરા પર સ્મિત ચીતર્યું હોવાની વાતથી વાતનો પ્રારંભ થાય છે. ચીતર્યું છે, મતલબ એ બનાવટી છે, અંદરથી પ્રગટ્યું નથી. શણગાર પણ બહુ સજવામાં આવ્યા છે. પોતે ખુશ નથી પણ ખુશ હોવાની પ્રતીતિ આસપાસના લોકોને જબરદસ્તી કરાવવા માંગતી સ્ત્રીને કવિ આબાદ ચાક્ષુષ કરાવી શક્યા છે. સ્મિત ભલે ચીતરેલું છે, પણ નાયિકાનું ચિત્ર જીવંત છે. કથક જાણે છે કે પોતાનો અભાવ રોમેરોમે પહેરેલી આ સ્ત્રી પ્રણયભંગ કે પ્રણયવૈફલ્યને લઈને કેટલી તકલીફમાં છે! પણ ખરું જોઈએ તો નાયિકાની તકલીફ નાયક તંતોતંત સમજી શક્યો છે એ જ પ્રેમનું ખરું સાફલ્ય ન ગણાય? ત્રીજો અને ચોથો શેર પણ અફલાતૂન થયા છે. છેલ્લો શેર પણ સરસ થયો છે. મત્લા મને નબળો લાગ્યો એટલું બાદ કરીને મજાની ગઝલ…

Comments (7)

किसी को दे के दिल कोई…..- ગાલિબ

किसी को दे के दिल कोई नवा-संज-ए-फ़ुग़ाँ क्यूँ हो

न हो जब दिल ही सीने में तो फिर मुँह में ज़बाँ क्यू हो

જયારે દિલ કોઈને આપી જ દીધું છે, ત્યારે કોઈ શા માટે ચિત્કાર કરે !? સીનામાં દિલ જ નથી તો મ્હોમાં [ ચિત્કાર કરવા માટે ] જબાન કેમ છે ??? – મતલબ, જો દિલ કોઈને આપી જ દીધું છે તો હવે કાગારોળ શા માટે ??

वो अपनी ख़ू न छोड़ेंगे हम अपनी वज़्अ क्यूँ छोड़ें
सुबुक-सर बन के क्या पूछें कि हम से सरगिराँ क्यूँ हो

જો એ પોતાની આદતો ન છોડે તો હું મારા તૌર-તરીકા શીદને છોડી દઉં ? એ મારી સાથે આટલા ઘમંડથી કેમ વર્તે છે તે પૂછવા જેટલા મારે શા માટે એટલા નીચા નમવું ? [ અહીં જાણે ગાલિબ જાતને જ ઉપદેશ આપે છે…જે વ્યર્થ છે તે ગાલિબ પોતે પણ જાણે છે….બાકી ગાલિબની નજર સનમની નાનામાં નાની હરકત પર તકાયેલી જ છે ]

किया ग़म-ख़्वार ने रुस्वा लगे आग इस मोहब्बत को
न लावे ताब जो ग़म की वो मेरा राज़-दाँ क्यूँ हो

સનમે મને જલીલ કર્યો-આગ લાગે એવી મહોબ્બ્તને !! મારા દુઃખનું શમન કરવાની તાકાત જે ન લાવી શકે, તે મારી હમરાઝ કઈ રીતે હોઈ જ શકે ???

 

वफ़ा कैसी कहाँ का इश्क़ जब सर फोड़ना ठहरा
तो फिर ऐ संग-दिल तेरा ही संग-ए-आस्ताँ क्यूँ हो

કેવી વફા અને ક્યાંનો પ્રેમ !!! – જો મારે પથ્થરે માથું કૂટવાનું જ છે, તો હે પથ્થરદિલ સનમ, તો તે પથ્થર તારી જ ચોખટનો હોવો જોઈએ – એવું શું માટે ??? – અર્થાત – પ્રેમની અને વફાની અને એવી બધી વાતો છોડો….અંતિમ સત્ય એ જ છે કે મારે પથ્થરે માથું ફૂટવું એ જ મારુ ભાગ્ય છે. તો હું કોઈપણ પથ્થરે માથું ફૂટી લઈશ….એ પથ્થર તારી ચોખટનો જ પથ્થર હોય, અને હું તારી ચોખટે જ માથું કૂટીને જાન દઈ દઉં એવું કઈ અનિવાર્ય તો નથી જ ને ?? અહીં પણ ગાલિબની લાક્ષણિક વક્રોક્તિ છે..ગાલિબ કહેવા એમ માંગે છે કે ચોક્કસ જ હું તારી ચોખટ પર જ માથું ફોડવાનો છું…..

क़फ़स में मुझ से रूदाद-ए-चमन कहते न डर हमदम
गिरी है जिस पे कल बिजली वो मेरा आशियाँ क्यूँ हो

પાંજરામાં કેદ એવા મારી આગળ ઉપવનની વાતો કરતાં ડર નહીં મારા મિત્ર……મને ખબર છે કે ગઈકાલે વીજળી પડી છે, પણ એવું જરૂરી નથી કે તે મારા માળા/ઘર પર જ પડી હોય…. – આ અત્યંત મજબૂત શેર છે – અહીં એવું રૂપક લેવાયું છે કે એક પંખી પિંજરે કેદ છે, એનું મિત્ર બીજું પંખી એને મળવા આવે છે. કેદ પંખીને ખબર છે કે ગઈકાલે બગીચામાં વીજળી પડી છે અને મારુ ઘર ઉજડી ગયું છે તેવી શક્યતા પૂરેપૂરી છે. આગંતુક પંખીને હકીકત ખબર છે કે કેદ પંખીનો માળો બરબાદ થઇ ગયો છે, પણ આ વાત કહેતા એની જીભ ઉપાડતી નથી. કેદ પંખી સમજી જાય છે અને આ શેર કહે છે !!! આ શેરને ઘણી રીતે મૂલવી શકાય – મારું અંગત અર્થઘટન એવું છે કે અહીં ગાલિબ એ વાત સ્પષ્ટ કરે છે કે આપણે ઘણી વાતો અંદરથી સુપેરે જાણતા જ હોઈએ છીએ પણ આપણે તે વાસ્તવિકતા સ્વીકારી નથી શકતા….પલાયનવાદ અપનાવીએ છીએ…શાહમૃગવૃત્તિ અપનાવીએ છીએ…. આ સિવાયના પણ અર્થઘટનો છે….

ये कह सकते हो हम दिल में नहीं हैं पर ये बतलाओ
कि जब दिल में तुम्हीं तुम हो तो आँखों से निहाँ क्यूँ हो

તમે તો એમ કહી શકો છો કે હું તમારા દિલમાં નથી [ એટલે મારુ તમારી આંખોની સામે હોવું-ન હોવું એક સમાન છે,કબૂલ.] પણ મને એક વાત સમજાવો – મારી તો આખી વાત જ ઊંધી છે-મારા તો દિલમાં તમે અને માત્ર તમે જ છો, તો પછી તમે મારી નાંખોથી હરહમેંશ ઓઝલ જ કેમ હો છો ??? – એક હસીન ફરિયાદ છે અહીં….

ग़लत है जज़्ब-ए-दिल का शिकवा देखो जुर्म किस का है
न खींचो गर तुम अपने को कशाकश दरमियाँ क्यूँ हो

મારા દિલની દીવાનગી સામેની તમારી ફરિયાદ ખોટ્ટી છે, કોનો કસૂર છે તે તો જુઓ !! તમે તમારી જાતને અળગી ન કરો તો આપણી વચ્ચે કોઈ ખેંચતાણ બાકી રહેતી જ નથી……મતલબ, તમે પણ એટલા જ કસૂરવાર છો !

ये फ़ित्ना आदमी की ख़ाना-वीरानी को क्या कम है
हुए तुम दोस्त जिस के दुश्मन उस का आसमाँ क्यूँ हो

આ ઉપદ્રવ/ઉત્પાત આદમીના ઘરની બરબાદી માટે શું ઓછો છે ?? તમે જેના દોસ્ત હો એની બરબાદી માટે કોઈ આસમાની આફતની જરૂર રહેતી જ નથી…..

यही है आज़माना तो सताना किस को कहते हैं
अदू के हो लिए जब तुम तो मेरा इम्तिहाँ क्यूँ हो

જો આ ઈમ્તિહાન છે, તો સતાવવું/પીડવું શું છે [ એ વળી કંઈ અલગ છે ??? ] ???? જયારે તમે અન્યના થઇ જ ચૂક્યા છો, તો મારો ઈમ્તિહાન શીદને લો છો ???? – આ પણ જોરદાર શેર છે….

कहा तुम ने कि क्यूँ हो ग़ैर के मिलने में रुस्वाई
बजा कहते हो सच कहते हो फिर कहियो कि हाँ क्यूँ हो

મારા હરીફ એવા તમારા અન્ય આશિકને મળવામાં વળી શું વાંધો ? – તમે એવું કહો છો. વ્યાજબી કહો છો, સાચું કહો છો, ફરીથી કહો કે – હા ભાઈ, એમાં શું વાંધો ?? – અહીં ગાલિબ કારમો કટાક્ષ કરે છે…..

निकाला चाहता है काम क्या ता’नों से तू ‘ग़ालिब’
तिरे बे-मेहर कहने से वो तुझ पर मेहरबाँ क्यूँ हो

તું ટોણાંઓથી કામ થઈ જશે એવી વ્યર્થ આશા રાખી બેઠો છે ગાલિબ……તું એને બેરહમ/લાગણીહીન કહે છે અને વળી એની જ પાસેથી લાગણીની/રહમની ઉમ્મીદ રાખે છે !!! તારા આવા ટોણાંઓની અથવા તો તારાં તારીફના ફૂલોની – બે માંથી કશાની પણ એના પર કોઈ અસર થવાની નથી.

– ગાલિબ

આ ગઝલ બહુ જ ઉમદા રીતે એક કલાકાર – શૈલી કપૂરે ગાઈ છે👇🏻👇🏻

 

Comments (2)

હજી ય તને યાદ કરું હોં… – મુકેશ જોષી

હજી ય તને યાદ કરું હોં

એક સવારે જૂઈના ફૂલોનો ખોબો ભરીને તું આવી હતી
મને કહ્યું હતું: એક વેણી ગૂંથી આપો
પહેલીવાર તેં વેણી બનાવતાં શીખવ્યું.
પહેલીવાર વેણી પહેરાવતાં તેં શીખવ્યું.

એક સાંજે ગુલાબી રંગની નેઇલપોલિશ લઈને તું આવી હતી
મને કહ્યું હતું મારા નખ રંગી આપો
પહેલીવાર ગુલાબી રંગ ધારીને જોયો
પહેલીવાર રંગકામ તેં શીખવ્યું

એક ઢળતી બપોરે મમ્મી બ્હાર ગયાં હતાં ને તું આવી હતી.
હાથ ઝાલીને મને રસોડામાં લઈ ગઈ હતી
તારી મનપસંદ કોલ્ડ કોફી બનાવડાવી હતી
પહેલીવાર તે કૉફી ચાખીને સો માર્ક્સ આપ્યા હતા

હજીય તને યાદ કરું હોં
બગીચામાં એકલો બેઠો હોઉં ત્યારે ..
જૂઈના સૂકાઈ ગયેલા ઝાડ સામે જોઈને
કોઈ ખાલી થઈને ફેંકાઈ ગયેલી નેઇલપોલિશની બોટલ જોઈને …
કોઈ યુગલને કોફી પીતા જોઉં ત્યારે

હવે ઘરમાં હવા સિવાય કોઈની અવરજવર નથી

– મુકેશ જોષી

……..શું બોલવું….?

Comments (3)

(ડૂબતી નૈયાને શણગારી હતી) – રઈશ મનીઆર

એ જ જહેમત ઉમ્રભર જારી હતી,
ડૂબતી નૈયાને શણગારી હતી.

જાત છો ને સાવ અલગારી હતી,
દિલમાં ભરચક એક અલમારી હતી.

જે છબી મનમાં અમે ધારી હતી,
એ તો બસ એની અદાકારી હતી.

ખાલીપો અંદરનો છૂપો રાખવા,
જામની ઉપર મીનાકારી હતી.

કૈંક વેળા ખુદને છાનો રાખવા,
મેં જ મારી પીઠ પસવારી હતી.

વેદના તો ભીંસ થઈ વળગી ગઈ,
રહી ખુશી અળગી, કે સન્નારી હતી!

યશના ભાગીદાર પણ હું ને પ્રભુ,
થઈ ફજેતી એય સહિયારી હતી.

કોઈ તૈયારી જ કરવાની ન’તી,
અંત માટે એવી તૈયારી હતી.

– રઈશ મનીઆર

ગઝલ કાવ્યપ્રકારની ખરી મજા એની હળવાશ છે. સૉનેટ, ખંડકાવ્યો વગેરે કાવ્યપ્રકારો બહુધા એવા તો ભારઝલ્લા બની જતાં હોય છે કે ક્યારેક તો ભાવકને પરસેવો પણ પડાવે. ગઝલની બીજી મજા બે પંક્તિના લાઘવમાં પૂરી થઈ જતી વાતની છે. ગીત, અછાંદસ જેવા કાવ્યપ્રકાર માણવા માટે આખા વાંચવા જરૂરી છે. આજે આખી દુનિયા ટેસ્ટમેચમાંથી ટ્વેન્ટી- ટ્વેન્ટીની પ્રકૃતિ ધરાવતી થઈ ગઈ હોવાથી લોકોનો એટેન્શન સ્પાન સાવ સંકોચાઈ ગયો છે. આવામાં બે પંક્તિમાં વાત પૂરી કરી દેતી ગઝલ સૌથી લોકપ્રિય કાવ્યપ્રકાર ન બને તો જ નવાઈ. જો કે શીરાની જેમ ગળે ઉતરી જતી સહજ સરળ ભાષા અને ગાગરમાં સાગર સમાવી રજૂ કરવાની ગઝલની આવડત સામે સૌથી મોટું ભયસ્થાન ભરતીના શેર અથવા તૂકબંધી છે. ગુજરાતી ભાષામાં હાલ કાર્યરત ગઝલકારોની સંખ્યા ગણવા બેસીએ તો આંકડો હજારને પાર કરી જાય તોય નવાઈ નહીં. ગઝલ અથવા ગઝલ કહીને માથે મરાતી અકવિતાનું ત્સુનામી આજે ચારે તરફ ફરી વળ્યું છે ત્યારે સારી રચના શોધવી એ ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું દુષ્કર થઈ પડ્યું છે.

પ્રસ્તુત રચના આવા સમયમાં દીવાદાંડીનું કામ કરે એવી છે. ગઝલ વિશે કંઈ વિશેષ કહેવા જેવું નથી. સાદ્યંત સુંદર રચના. એક-એક શેર પાણીદાર. અર્થગંભીરા ગઝલ… એને એમ જ મમળાવીએ…

Comments (11)

ચાડિયો – ભરત વિંઝુડા

૦૧.

ચાડિયાના
હાથમાં
બંદૂક રાખી નથી
કારણ કે
એને પંખી ઓળખતાં નથી.
પંખી માટે
ખેતરમાં
ચાડિયો જ કાફી છે.
કારણ કે
પંખી
માણસને ઓળખે છે
અને ચાડિયો
માણસ જેવો લાગે છે.

*

૦૨.

જે મૂર્તિ ન બની શક્યાં
તે બન્યાં
બાવલાં.
અને
જે બાવલાં ન બની શક્યાં
તે બની ગયા
ચાડિયા.

– ભરત વિંઝુડા

લયસ્તરો પર કવિના નૂતન કાવ્યસંગ્રહ ‘સ્ટ્રીટ લાઇટ’નું સહૃદય સ્વાગત…

સંગ્રહમાંથી ‘ચાડિયા’ કાવ્યગુચ્છમાંથી બે નાનકડા કાવ્ય આપ સહુને માટે…

Comments (4)

(ઘરઝુરાપો) – બાબુ સુથાર

કોણ જાણે આવું કેમ થાય છે?
પડો ફૂટેલી ભોંયમાં પગનો અંગૂઠો બૂડે
એમ આખું ડીલ બૂડી રહ્યું છે કશાકમાં
કેફ ચડે
એમ
ગામ આખું સ્મૃતિએ ચડ્યું છેઃ
ગોધૂલિવેળા થઈ છે,
ગાયો આંચળને ઘૂઘરીની જેમ
લણકાવતી આવી રહી છે,
જોડે મોહનકાકાની ભેંસને પાડી ધાવી રહી છે,
એના બચ બચ અવાજમાં ગંગાનદી
એની દૂંટીમાં જાતરાળુઓ મૂકી ગયેલા
એ મેલ ધોઈ રહી છે.
ફળિયાની વચોવચ નિર્વસ્ત્ર બનીને
નાહી રહી છે ચકલીઓ,
એમને જોઈને મણિમાસી કહે છેઃ
પડાળ પરથી ડોડા ઉતારવા પડશે,
માવઠું સીમને ડેલે સાંકળ ખખડાવી રહ્યું છે.
કૂવામાં ધબ્બ દઈને પછડાતા ઘડા
પાણી સાથે અફવાઓની આપલે કરી રહ્યા છે,
નહિ તો પાણીને ક્યાંથી ખબર હોય
કે મંછીને આજકાલ મણિયા સાથે બનતું નથી
અને જોડેના ગામમાં આંબા પર બેસે એમ
ઠાઠડી પર મોર ફૂટી નીકળ્યો હતો.
દૂર દૂર રાવણહથ્થાના તારે તારે
ભાઈબહેન મોસાળે જઈ રહ્યાં છે.
સ્મૃતિએ ચડેલું ગામ
અને
આથમણે ઊગેલી શુક્રની તારલી
એકાએક
મારી જીભને ટેરવે
રમવા માંડે છે
અડકોદડકો
દહીં દડૂકો.
બાએ હમણાં જ દાળમાં વઘાર કર્યો લાગે છે,
નહિ તો આખું ફિલાડેલ્ફિયા
આમ એકાએક હિંગથી તરબોળ ન લાગે.

– બાબુ સુથાર

નાનકડા ચેપબુક જેવા કાવ્યસંગ્રહ ‘ઘરઝુરાપો’માં કવિએ અછાંદસ કાવ્યોના ગુચ્છોને ચાર વિભાગ (ઊથલા)માં વહેંચીને શીર્ષકના સ્થાને માત્ર ક્રમાંક આપીને રજૂ કર્યા છે. સંગ્રહમાં કુલ એકતાળીસ કાવ્ય અને તમામનો વિષય એક જ–ઘરઝુરાપો. પણ નવાઈ એ લાગે કે એક જ વિષય પર આટલા કાવ્યો લખ્યા હોવા છતાં આખા સંગ્રહમાં એકવિધતા કે પુનરાવર્તનનો બોજ અનુભવ્યા વિના ભાવક સહૃદયતાથી જોડાઈ શકે છે. સંગ્રહમાંથી એક કાવ્ય અહીં રજૂ કર્યું છે.

‘કોણ જાણે કેમ આવું થાય છે’ની અસમંજસથી કાવ્યારંભ થાય છે, એટલે અહીં જે જે થઈ રહ્યું છે એના આપણે કેવળ સાક્ષી બનવાનું છે એટલું નક્કી થઈ જાય છે. આમ થાય છે તો કેમ થાય છે એવો સવાલ કોઈએ કરવાનો થતો નથી, કેમકે કારણ તો સર્જકને પણ ક્યાં ખબર છે?

ફિલાડેલ્ફિયામાં રહેતા કવિના સ્મૃતિપટ પર અચાનક એમનું ગામ આખું આવી ચડ્યું છે, અથવા એમ કહો કે કવિ આખેઆખા ગામની સ્મૃતિઓમાં ડૂબી ગયા છે. એક પછી એક કલ્પન સાવ અલગ જ તરેહથી રજૂ કરીને કવિ બાહોશ ચિત્રકારની માફક ગામનું ચિત્ર આબાદ ઊભું કરી બતાવે છે. આ સુવાંગ ચિત્રને વિવેચનની આડખીલી માર્યા વિના એમ જ માણીએ… કાવ્યાંતે થતો હિંગનો વઘાર તમારા નાકને પણ તરબોળ ન કરી દે તો કહેજો…

Comments (12)

ઝૂલતો પુલ !!! – કૃષ્ણ દવે

*

અમથો નથી હું કાંઈ તૂટ્યો!
જર્જર થઈ ગ્યો’તો મારો દેહ તે છતાયે મને ટિકિટે ટિકિટે લૂંટયો.
અમથો નથી હું કાંઈ તૂટ્યો!

નહિતર આ છાતી પર રમતા ને ઝૂલતા ઈ પગલાંને મારે શું વેર?
કાટ ખાઈ-ખાઈને હું કાકલૂદી કરતો, પણ સાંભળે તો શેનું અંધેર?
ઉપરથી રંગરૂપ બદલ્યે શું થાય, જેનો ભીતરનો શ્વાસ હોય ખૂટ્યો?
અમથો નથી હું કાંઈ તૂટ્યો!

સૌને આવે છે એમ મારે પણ આવેલી પોતાની એક્સપાયરી ડેઇટ,
આજે સમજાયું, તમે કરતાં હતા ને આવા ગોઝારા દિવસનો વેઇટ?
મચ્છુના પાણીને પૂછો જરાક જીવ બધ્ધાનો કઈ રીતે છૂટ્યો?
અમથો નથી હું કાંઈ તૂટ્યો!

– કૃષ્ણ દવે

ત્રીસ ઑક્ટોબર, ૨૦૨૨ના રોજ મોરબીમાં મચ્છુ નદીની ઉપરમો ઝૂલતો પુલ તૂટી પડ્યો અને ૧૩૫ નિર્દોષ જિંદગી એમના કુટુંબીજનોની આંખમાં આંસુના ટીપાં અને દિલમાં મટી ન શકે એવો જખમ બનીને રહી ગઈ. મરામ્મતના હેતુથી બંધ કરાયેલ પુલ યોગ્ય મરામત કરાયા વગર જ ખુલ્લો મૂકી દેવાયો. પુલની ક્ષમતા સોએક લોકો જેટલી મર્યાદિત હતી, પણ ભાવવધારા સથેની ટિકિટ વહેંચતી ઓરેવા કંપનીની પુલપ્રવેશસંખ્યાનિયંત્રણ કરાવવાની કોઈ તૈયારી નહોતી. કંપનીને કેવળ આવકમાં રસ હતો. ભારત દેશમાં થાય છે, એ એ જ રીતે આ દુર્ઘટનામાં પણ કોઈનો વાળ વાંકો થવાનો નથી. કમિટિ બેસશે, તપાસ થશે, દોષિતોના નામ જાહેર થશે, શરૂમાં નાની-મોટી જેલની સજા પણ થશે, પરંતુ અંતે તમામ દોષિતો બીજો ગુનો આચરવાની રાહ જોતાં મુક્ત થઈ ફરતાં થઈ જશે. ઝૂલતા પુલ પર અમર્યાદિત સંખ્યામાં ધસારો કરનાર અને પુલને હીંચકો ગણી ઝૂલે ચડવનાર નાગરિકોનોય આમાં પૂરો વાંક ખરો જ, પણ કાયદાનું જબરદસ્તી પાલન ન કરાવો તો કાયદા ઘોળી જવું એ ભારતીયોની મૂળેથી જ ફિતરત છે.

ભીની આંખે ઝૂલતા પુલ પર થયેલી હોનારતનું આ ગીત ગણગણીએ…

*

Comments (6)

ઓહો! – ચંદ્રશેખર પંડ્યા

સડસઠની તું ડોશી થઈ, હું ઓગણોતેરનો ડોહો
તેમ છતાં બંનેનો ઠસ્સો, લોકો કહેતાં ‘ઓહો!’

બજાર વચ્ચે જઈએ, છોરા ટીકી ટીકી ઝાંખે
ભમરીનું દ૨ ભૂલભૂલમાં ભાડે લીધું માખે
યૌવનનું મહેરામણ છોડી, ડોહી ૫૨ કાં મોહો!
સડસઠની તું ડોશી થઈ, હું ઓગણોતેરનો ડોહો

પંજાબી પહેરે તું જ્યારે, હૈડું હાય હડિપ્પા!
ટૉપ-પલાઝો સાથે શોભે, મલમલના દુપટ્ટા
ચૂડીદા૨માં ચમકો એવાં, સાડીમાં પણ સોહો
સડસઠની તું ડોશી થઈ, હું ઓગણોતેરનો ડોહો

એકમેક ૫૨ શ્રદ્ધા ને વિશ્વાસે ગાડાં દોડે
મતભેદો તો થાય છતાં, મનભેદ ચડે ના ઘોડે
શંકાની તો ઐસીતૈસી, થાય કદી ના ઘોહો
સડસઠની તું ડોશી થઈ, હું ઓગણોતેરનો ડોહો

– ચંદ્રશેખર પંડ્યા

મુખડું વાંચતાં જ મોહી પડાય એવું ગીત. ઓગણાસિત્તેર વર્ષની વયે પોતાને ડોહો કહેતો પતિ પત્નીને ડોહી કહી શકતો નથી, એ જોયું? સંસારની ખરાખરીની ખબર ગીતની પહેલી પંક્તિમાં જ પડી જાય છે, ખરું ને? 😉

વય સાથે બંનેનો ઠસ્સો પણ એવો વધ્યો છે કે બજારમાં નીકળે તો છોકરાઓ જુવાન છોકરીઓને તાકવાને બદલે બે ઘડી એમને જોઈ રહે છે. હજી આ વયે પણ કોઈપણ કોઈપણ પ્રકારનો વેશપરિધાન કરવામાં આ લોકોને કોઈ છોછ નથી, ઊલટું દરેક વેશભૂષામાં તેઓ દીપી ઊઠે છે. હૈડું હાય હડિપ્પાનો લય તો કમાલનો થયો છે. વાહ કવિ! પણ આ બધું તો ઉપલક છે. દેખાવ, વસ્ત્રભૂષા – આ બધું તો બાહ્ય સમ્રુદ્ધિ. સાચી મિલકત તો માંહ્યલો છે. પરસ્પર શ્રદ્ધા અને વિશ્વાસ હોવા ઘટે. મતભેદ ભલે લાખ થાય પણ મનભેદ એકેય ન થાય ત્યારે ભીતરી સૌંદર્ય બહાર છલકે છે. શંકા જ્યાં સુધી સંબંધમાં ગોટાળા ઊભા ન કરે ત્યાં સુધી જિંદગી હાય હડિપ્પા જ રહેવાની…

Comments (5)

પરિવાર પરિચય – મધુસૂદન પટેલ ‘મધુ’

જો ભૈ
લગન એટલે જલસાનો સેલ્લો દાડો નહીં
જલસાની શરૂઆત
અન ભૈ
નશીબમાં બધ્ધુ જ લશેલુ ના હોય
થોડુ આપડય લખવું પડ(અ)
આ તો તુ મારો હગ્ગો ભૈબંધ સ(અ) ન(અ)એટલે તન કહુ સુ.
માર લગનની પેલ્લી રાતે પેલ્લુ વાક્ય મુ આવુ બોલેલો:
ગ્લાસન(અ) ગોળી માર ન(અ) તુ ઑમ આય.
હનીમૂન પસ(અ) મનાઈશુ, અત્તારે મારી વાત હોંભળ
મુ હાવ દેશી મોંણહ
પ્યોર GJ 2
મારી મા એક નંબરની જૂઠ્ઠી
મારો બાપ ઈનો ગુરુ
અન(અ) મારી બુનની તો વાત જ જવા દે
એક દાડો અમે ભૈબુન લેસન કરતોં’તોં
મારી માએ મોટેથી ઓડકાર ખાધો
મારા બાપા મુસો ઉપર પોંણી વાળા હાથ ફેરવત(અ) ફેરવત(અ) બોલ્યા :
આજ તો તારી માએ કૉય ખવડાયુ(સ) કૉય ખવડાયુ સ(અ)!
પેટ ફાટુફાટુ થાય સ(અ)
આટલુ હોંભળતોં જ મારી બુન મારા પૅલા રહોડામ પૅઠી
અન(અ) બીજી જ સેકન્ડે રોવા બેઠી
રોત(અ) રોત(અ) મન(અ) કે ભૈ,
તુ ખઈ લે, મન(અ) પેટમાં દુઃખ સ(અ)
મારી બુનના પેટમાં દુખાવાની switch મારી માએ પાડી’તી
આટલું બોલીન(અ) મુ ઊભો થ્યો
ગ્લાસ ઉઠાઈન કીધુ: લે, આ તુ પી જા
મન(અ) દૂધ નહી ભાવતુ
અન(અ) પિયર સૂટયાની પેલ્લી રાતે પેલ્લી વાર એ બોલી:
જાને હાળા જૂઠ્ઠા.

– મધુસૂદન પટેલ ‘મધુ’

કવિતા કરવા ઉપરાંત કવિનું બીજું એક કામ તે ભાષાની જાળવણીનું. દુનિયાની કોઈપણ ભાષામાં સાહિત્યકાર ભાષાનો સર્વોચ્ચ પ્રહરી હોય છે. પ્રસ્તુત રચનામાં કવિએ કવિતા કરવા ઉપરાંત મહેસાણાની તળપદી ભાષાને જાળવવાનું કામ પણ બખૂબી કર્યું છે, એ નોંધવા જેવું છે.

બે ભાઈબંધ વાતો કરવા બેઠા છે. પહેલો બીજાને પોતાના તાજા લગ્ન વિશે વાત કરતાં કહે છે કે લગ્ન એ જીવનના જલસાનો અંત નહીં, પણ પ્રારંભ છે હકીકતે તો. સાથે શિખામણ પણ ચોપડી આપે છે કે બધી વાતે નસીબ પર આધાર ન રખાય, ક્યારેક એ બાબતે સ્વાશ્રયી પણ બનવું રહ્યું. સુહાગરાતે નાયક પત્ની સાથે વાતચીતની શરૂઆત પરિવાર પરિચય આપવાથી કરે છે. પત્નીને કહે છે કે, (કઢેલા દૂધના) ગ્લાસને અને હનીમૂનને ગોળી માર અને પાસે આવ. કહે છે કે પોતે સાવ દેશી માણસ છે. પ્યોર GJ 2 યાનિ કે મહેસાણિયા તરીકે પોતાને ઓળખાવવાની નાયકની રીત પણ GJ 2 ના લક્ષણોને સુપેરે હાઇલાઇટ કરી આપે છે.

પોતાનો પરિચય આપી દીધા બાદ નાયકનું સ્ટિઅરિંગ પરિવાર તરફ ફરે છે. કહે છે કે મારી મા એક નંબરની જૂઠ્ઠી છે અને બાપ તો એનોય બાપ છે. અને બહેન પણ કંઈ કમ નથી. એક દિવસ બે ભાઈ-બહેન હૉમવર્ક કરતાં હતાં ત્યારે મા ઓડકાર ખાઈને પોતાનું પેટ ભરાયું હોવાની જાહેરાત કરે છે, તો સામા પક્ષે બાપ પણ પાણીવાળા હાથે મૂંછ લૂંછતાં નાયકને કહે છે કે આજે તો તારી માએ હદબહારનું ખવડાવ્યું છે. સાંભળીને બહેન રસોડામાં પેઠી અને રસોડામાં એકાદ વ્યક્તિને થઈ રહે એટલું જમવાનું માંડ બચ્યું હોવાથી રડતાં-રડતાં પોતાને પેટમાં દુઃખતું હોવાથી ભાઈને જમી લેવા કહે છે. બહેનના પેટમાં દુઃખાવાની સ્વીચ પોતાની માએ પાડી હોવાનું કહી કવિ ઘરમાં પ્રવર્તતી દારૂણ ગરીબી પત્ની આગળ જાહેર કરે છે. માનો ઓડકારેય જૂઠ્ઠો અને બાપનું ફાટફાટ પેટ પણ જૂઠ્ઠું અને બહેનના પેટનો દુઃખાવોય ખોટો. હકીકતે ઘરમાં કોઈ જમ્યું જ નથી અને કુળદીપક નાયક માટે બધા બલિદાન આપી રહ્યા હતા. આ વાત કરી લીધા પછી નાયક પોતાને દૂધ ભાવતું ન હોવાથી પત્નીને દૂધનો ગ્લાસ પી જવા કહે છે. સુહાગરાત છે, પણ બેઉ જણને થઈ રહે એટલું દૂધ પણ ઘરમાં નથી. પત્ની પણ મૂર્ખ નથી. પતિને જાને હાળા જૂઠ્ઠા કહીને એ પતિની ગરીબાઈનો સ્વીકાર કરે છે.

રચનામાં ભાષાની મોજ તો છે જ પણ સાથે કવિતા પણ બળકટ થઈ હોવાથી મોજ બેવડાતી અનુભવાય છે. વાહ કવિ!

Comments (12)