ઈનકાર એના હોઠ ઉપર ધ્રુજતો હતો
અમને અમારી વાતનો ઉત્તર મળી ગયો.
મનહરલાલ ચોક્સી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for August, 2019

નમાવી છે – પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ

કરી વિદ્રોહ સૌ સામે જરા હિંમત બતાવી છે,
મેં ખોવાયેલી મારી જાતને ખુદથી મળાવી છે.

હવે એવી હું પારંગત બની છું આ વિષયમાં પણ,
રીસાયા બાદ મારી જાતને મેં ખુદ મનાવી છે.

શરત સંગાથની પાળી ને આઝાદી મૂકી ગીરવે,
મેં હસતાં મોઢે મારી મરજીથી પાંખો કપાવી છે.

હવે પાછી વળી મારી તરફ ક્યારેય નહી આવે,
તમારી સાથે મારી સૌ ખુશીઓને વળાવી છે.

થયુ નિદાન કે આંખોમાં ગાંઠો આંસુની થઈ છે,
કોઈ કારણ પૂછે તો મેં ફક્ત પાંપણ નમાવી છે.

– પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ

આમ તો બધા જ શેર સ-રસ થયા છે, પણ આખરી શેરમાં આંખમાં આંસુની ગાંઠોની બિમારી અને એનું કારણ ન કહેવાની કવયિત્રીની રીત તો ભાઈ, વાહ!

Comments (5)

( માદળિયામાં) – લિપિ ઓઝા

બેઠો છે દરબાર ભરી ડર માદળિયામાં!
કેમ પ્રવેશે કોઈ ઈશ્વર માદળિયામાં?

હાથ અડાડું ત્યારે થોડું ભીનું લાગે
કોણ રડે બેસીને અંદર માદળિયામાં?

ડચકાં ખાતા પણ મુઠ્ઠીમાં રાખ્યું સજ્જડ
નક્કી જીવ ભરાયો આખર માદળિયામાં

સંજોગોને માફકસર વેતરવા માટે
શુ લાગે છે,હોય છે કાતર માદળિયામાં?

ભૂખ્યા પેટે રસ્તા ઉપર નીંદર આવે!
છે બેઘરનું આલિશાન ઘર માદળિયામાં

રોજ અકારણ થાય કઠણ એ થોડું-થોડું
બનતા જાય અભરખા પથ્થર માદળિયામાં

ગાંઠ ખુલે તો પાછા એ ભૂતાવળ બનશે
ધરબી દીધા છે ઊંડા ડર માદળિયામાં

નક્કર સોનાના આભૂષણ ફિક્કા પાડે
ચમકે શ્રદ્ધાનાં કૈ જડતર માદળિયામાં

એને પહેરી છાતી છપ્પનની લાગે છે
જાણે સંતાડયા હો બખ્તર માદળિયામાં

– લિપિ ઓઝા

આમ તો ઈશ્વરનું સર્જન જ કદાચ મનુષ્યના ડરમાંથી થયું છે પણ માદળિયાને કેન્દ્રસ્થાને રાખીને લખાયેલી આ ગઝલનો મત્લા ડર અને ઈશ્વરને બહુ સરસ રીતે સામસામે મૂકે છે. ગળામાં બંધાયેલું માદળિયું સાબિતી છે એ વાતની કે મનુષ્યને પોતાની જાતમાં શ્રદ્ધા ઓછી છે અને ભાગ્યમાં વધારે છે. સીધી ભાષામાં કહીએ તો માદળિયું એ ડરનું પ્રતીક છે. અને જે માણસ ડર સાથે જીવે છે એને દુનિયાનો કોઈપણ ઈશ્વર ચાહીનેય મદદ કરી શકતો નથી.  કવયિત્રીએ માદળિયાને લગતી સમાજમાં પ્રવર્તતી તમામ વિભાવનાઓ એક પછી એક શેરમાં બખૂબી ઉજાગર કરી છે, પરિણામે નખશિખ સંઘેડાઉતાર રચના આપણને મળે છે.

Comments (2)

દ્રૌપદી – પ્રતિષ્ઠા પંડ્યા

સમયના પાને પાને
નામ લખ્યાં’તાં સૌનાં
વારાફરતી
ને આ સમય હતો અર્જુનનો.
અડધી રાતે
એની મરજી મુજબ
એ દ્રૌપદીના શરીર પર ફરી વળતો
ગૂંદતો સ્તનો
ફંફોસતો પગ વચ્ચેની જગ્યા
શોધતો પોતાનો અહંકાર
પોતાનો આનંદ એના શરીરમાં.
એ પૂછતો દ્રૌપદીને
કે એને કયો સમય સૌથી વધુ ગમે છે
પાંચ ભાઈઓમાંથી એને સૌથી વધુ કયો ગમે છે?
એ જ્યારે દ્રૌપદીને ચૂમે તો
ત્યારે કોના હોઠનો મલકાટ
એને મન રમે છે?
એની જીભ પર
કોની જીભનો રસસ્ત્રાવ ઝમે છે?
શું કોઈ હથેળીની ખારાશ
એની આસપાસ આજ રાત પણ ભમે છે?
કોઈના શરીરની વાસ
શું આજના ઉન્માદમાંય ભળે છે?
દ્રૌપદી ને મળે ત્યારે શું માત્ર એને જ મળે છે?
એની બંધ આંખ તળે
એ બીજા કોને મળે છે?
અર્જુન દ્રૌપદીને પકડી
ભાઈઓની જૂઠી કરેલી
કેરી પરની છાલ ઉતારતો હોય
એમ એનાં વસ્ત્રો ખેંચે છે
ને બંધ આંખે
ફરી એક વાર
ગોળ
ગોળ
ગોળ
ગોળ
ફરે છે દ્રૌપદી
ને મનમાં તો
કૃષ્ણને સ્મરે છે!

– પ્રતિષ્ઠા પંડ્યા

લયસ્તરો પર કવયિત્રી પ્રતિષ્ઠા પંડ્યાના કાવ્યસંગ્રહ ‘ળળળ’નું હાર્દિક સ્વાગત છે…

કવિતાનો ખરો ચમત્કાર કવિની મૌલિક દૃષ્ટિમાંથી જન્મે છે. વસ્તુ એની એજ હોય, પણ કવિનો નજરિયો એને સાવ નવીન આયામ પ્રદાન કરે છે. પાંચ-પાંચ હજાર વર્ષોથી આપણે મહાભારતને જે નજરે જોતાં આવ્યાં છીએ, એનાથી સાવ અલગ જ દૃષ્ટિકોણથી કવયિત્રી પ્રતિષ્ઠા પંડ્યા આપણને દ્રૌપદી અને અર્જુન વચ્ચેના સંબંધની જે માનવસહજ બારીકીઓથી અવગત કરે છે એ આપણને ચોંકાવી દે છે. અચાનક આપણને થાય કે આવો વિચાર આજ સુધી આપણને કેમ ન આવ્યો? વાત તો સાચી જ છે ને… મહાભારતની મૂળ કથા મુજબ અગ્નિકન્યા દ્રૌપદી એક પાંડવ સાથે એક વર્ષ રહે એ દરમિયાન કેવળ એની જ પત્ની બનીને રહે અને વરસ પતતાં મહિનોમાસ તપશ્ચર્યા કરીને તન-મનથી એનાથી સંપૂર્ણ મુક્ત થયા બાદ જ બીજા પાંડવ સાથે સંપૃક્ત થતી. પણ આ કવિતા છે, ઇતિહાસ કે પુરાણકથા નથી. અહીં સર્જકનો હેતુ અગ્નિકન્યાના સુપરપાવરને ઉજાગર કરવાના બદલે પુરાકથાના પાત્રોને માનવીય અભિગમથી નાણવા-પ્રમાણવાનો છે. દ્રૌપદીનો હાથ ઝાલીને તેઓ સ્ત્રી-પુરુષના સંબંધ અને સમર્પણમાં રહેલી વિસંગતિઓને જ આપણી સમક્ષ મૂકે છે.

એક જ સ્ત્રીને પાંચ પુરુષો વારાફરતી ભોગવતા હોય તો દરેક પુરુષને મનમાં પ્રસ્તુત રચનામાં અર્જુનને આવે છે એવા વિચાર આવવા સ્વાભાવિક છે. માનવીય છે. આપણા પાંચમાંથી દ્રૌપદીને કોણ સૌથી વધુ ગમતું હશે? એને કોનું ચુંબન વધુ પસંદ હશે? એની સાથે સંભોગ કરીએ ત્યારે બંધ પાંપણની ભીતર એ મારા સિવાયના કોઈ ભાઈને જોતી હશે ખરી? આ sibling rivalry કવયિત્રીએ આબાદ શબ્દસ્થ કરી છે. પણ ખરું કાવ્ય તો અંતમાં છે.

બીજા ભાઈઓએ એંઠી કરેલી દ્રૌપદીના વસ્ત્રો અર્જુન ખેંચી ઉતારે છે ત્યારે ગોળ-ગોળ ફરતી દ્રૌપદીના મનમાં કુરુસભાનું એ દૃશ્ય તાદૃશ થઈ ઊઠે છે, જ્યારે ભર કુરુસભામાં દુઃશાસન એના ચીર ઉતારી રહ્યો હતો અને પાંચ પતિઓ સહિતની આખી નિર્વીર્યવાન સભા ખુલ્લી આંખે અંધ બની બેઠી હતી. અર્જુન પતિ હોવા છતાંય પ્રણયકેલિ કરતી વખતે એણે દ્રૌપદીને જે સવાલો કર્યા, એ સમસ્ત સ્ત્રીજાતિનું અપમાન છે. દ્રૌપદીની પાંચ પતિવાળી પરિસ્થિતિ માટે કુંતાની અજ્ઞાનતાથી વિશેષ અર્જુનની નિર્બાલ્યતા જવાબદાર છે. માતાથી અજાણતાં થઈ ગયેલી ભૂલ એ સુધારાવી શક્યો હોત. પણ ત્યાં માતાનો લાડકો દીકરો બની રહેલ અર્જુન આજે પત્નીને જ્યારે સવાલો કરે છે ત્યારે સ્ત્રીને સમજાય છે કે એની પથારીમાં આવેલ પુરુષ પતિ ઓછો છે, અને પુરુષ વધારે છે. એટલે જ અર્જુનના હાથે પ્રણયકેલિના નામે નિરાવૃત્ત કરાતી વખતે એ દુઃશાસનના હાથે પોતાનું પુનઃ ચીરહરણ કરાઈ રહ્યું હોવાનું અનુભવે છે. સ્ત્રીગૌરવહનનના સમયના પુનરાવર્તનની ઘડીએ લાગણીહત દ્રૌપદી એના પરમ સખા શ્રીકૃષ્ણને પુનઃ સ્મરે છે… એ એકના સિવાય સ્ત્રીને સ્ત્રીયોગ્ય સન્માન બીજું કોણ આપી શકે? કાવ્યાંતે ગોળ ગોળ ગોળ ગોળ –એમ ચાર પંક્તિમાં ગોળ શબ્દ ચાર વાર પુનરાવર્તિત કરીને કવયિત્રી વસ્ત્રાહરણની ગતિને ચાક્ષુષ કરી આબાદ કવિકર્મની સાહેદી પુરાવી હૃદયવઢ ઘા કરતી કવિતા સિદ્ધ કરે છે…

Comments (15)

प्रश्न अभिव्यक्ति का है…..- दुष्यंत कुमार

प्रश्न अभिव्यक्ति का है,
मित्र!
किसी मर्मस्पर्शी शब्द से
या क्रिया से,
मेरे भावों, अभावों को भेदो
प्रेरणा दो!

यह जो नीला
ज़हरीला घुँआ भीतर उठ रहा है,
यह जो जैसे मेरी आत्मा का गला घुट रहा है,
यह जो सद्य-जात शिशु सा
कुछ छटपटा रहा है,
यह क्या है?
क्या है मित्र,
मेरे भीतर झाँककर देखो।
छेदो! मर्यादा की इस लौह-चादर को,
मुझे ढँक बैठी जो,
उठने मुस्कराने नहीं देती,
दुनियाँ में आने नहीं देती।

मैं जो समुद्र-सा
सैकड़ों सीपियों को छिपाए बैठा हूँ,
सैकड़ों लाल मोती खपाए बैठा हुँ,
कितना विवश हूँ!
मित्र, मेरे हृदय का यह मंथन
यह सुरों और असुरों का द्वन्द्व
कब चुकेगा?
कब जागेगी शंकर की गरल पान करने वाली करुणा?
कब मुझे हक़ मिलेगा
इस मंथन के फल को प्रगट करने का?

मूक!
असहाय!!
अभिव्यक्ति हीन!!
मैं जो कवि हूँ,
भावों-अभावों के पाटों में पड़ा हुआ
एकाकी दाने-सा
कब तक जीता रहूँगा?
कब तक कमरे के बाहर पड़े हुए गर्दख़ोरे-सा
जीवन का यह क्रम चलेगा?
कब तक ज़िंगदी की गर्द पीता रहूँगा?

प्रश्न अभिव्यक्ति का है मित्र!
ऐसा करो कुछ
जो मेरे मन में कुलबुलाता है
बाहर आ जाए!
भीतर शांति छा जाए!

– दुष्यंत कुमार

સર્જકની આંતરવ્યથા, સર્જનશીલ વ્યક્તિનું મનોમંથન ઉપરોક્ત કવિતામાં સબળ રીતે રજૂ થયાં છે. નવજાત શિશુ જેવું, તાજી કૂંપળ જેવું સર્જન કવિની ભીતર સળવળી રહ્યું છે પણ એની ઉપર કવિની પોતાની મર્યાદાઓ, દુનિયાએ સર્જેલા માપદંડથી જન્મતી મર્યાદાઓ જાણે કે એક લોહની વજનદાર ચાદર બનીને કવિની સર્જનશીલતાને રૂંધતી પડી છે. કવિ પોતાના મિત્રને વિનંતી કરે છે, અહીં મિત્ર એ ભાવક પણ હોઈ શકે, સહ્રદયી વ્યક્તિ હોઈ શકે અથવા કોઈ મર્મસ્પર્શી ઘટના કે પ્રસંગ જે કવિના અંતરાત્માને ઢંઢોળીને અંદર ગૂંગળાઈ રહેલી રચનાને અભિવ્યક્ત કરે. આપણી આસપાસની દુનિયામાં ઘટી રહેલી ઘટનાઓ સર્જકના ભાવજગત પર જુદી રીતે અસર કરતી હોય છે. સત્ય અને અસત્ય, ભલાઈ અને બુરાઇ ની જંગમાં સર્જક કોઈ એકનો પક્ષ લેવાને બદલે એ બંને થી પર થઈ હળાહળ કંઠે ધારણ કરનાર શિવની કરૂણા ધરાવવામાં પોતાની સાર્થકતા ઝંખે છે.
એક મહાન સર્જક એક વિશાળ સાગર જેવો છે જેના પેટાળમાં અનેક કિંમતી રત્નો અને અમૂલ્ય મોતીઓ રૂપી વિચારોનો, સર્જનોનો ખજાનો વણખેડાયેલ, વ્યક્ત થયા વિનાનો પડ્યો છે એને જરૂર છે અભિવ્યક્તિની.

 

– નેહલ

 

સૌજન્ય – ડૉ. નેહલ વૈદ્ય [ inmymindinmyheart.com ]

Comments (2)

માધવની વેદના – ઈન્દિરાબેટીજી

રાધાની વેદના તો દુનિયાએ જાણી પણ માધવની વેદના અજાણી;
હૈયાના ગોખમહી સાચવીને રાખી તે હોઠ ઉપર ક્યારેય ના આણી.

રાધાએ શબ્દોનાં બાણ ઘણાં માર્યાં, પણ માધવ ના ખોલે કંઈ વાણી,
વાંસળીના સ્વરમાં પણ વહેતી ના મૂકે એ, માધવ તો મનના બંધાણી.

માધવની નજરોમાં છાનુંછાનું જોયું ત્યાં ઝાંખી એ મુજને દેખાણી,
ઝળુંઝળું સાવ થતી આંખોમાં વાદળ, ને વાદળમાં વેદનાનાં પાણી.

રાધા રે રાધા આ મૂંગા તે માધવની વેદના છે તુજથી અજાણી,
તારી તે પીડાના કોચલામાં તુજને એ કદીયે ના થોડી સમજાણી?

એકવાર માધવના મનને તું વાંચજે ખૂટશે ના આંખોનાં પાણી;
શ્રાવણી તો શ્રાવણના જળમાં જઈ ડૂબી કે કોણ એને બ્હાર લેશે તાણી?

~ ઈન્દિરાબેટીજી

There is utter loneliness at the top.

Comments (3)

મારું તો કાંઈ નક્કી નંઈ – પારુલ ખખ્ખર

તમે અમારા ગામમાં આવી, નદી કિનારે હરજો-ફરજો, બીજા-ત્રીજાને હળજો-મળજો… મારું તો કાંઈ નક્કી નંઈ.
ગલીના છેડે ઊભા રહીને, એક અમસ્તો સાદ કરીને, રાહ જોઇને આગળ વળજો… મારું તો કાંઈ નક્કી નંઈ.

એક તમારા નામનું દેરું
એને છાંટયો રંગ મેં ગેરું
મુરતને આભડિયો એરું
એ મુરતનું ઝેર ઉતારી, પસ્તાવાની જ્યોત જગાવી, ધીમી આંચે ખુદ ઓગળજો… મારું તો કાંઈ નક્કી નંઈ.

આથમતા સૂરજની સાખે
એ અજવાળે ઝાંખે-પાંખે
મારું ગામ નિસાસો નાંખે
ત્યારે મારું નામ લઈને, હૈયે ઝાઝી હામ લઈને, એને વળગીને ઝળહળજો… મારું તો કાંઈ નક્કી નંઈ.

અંતે કરજો લેખા-જોખા
કેવા રુસણાં , કેવા ધોખા
ભેગા તોયે નોખાં નોખાં
ના મળવાની બાધા રાખે, તોય આંગળી ઝાલી રાખે, એ સથવારા તમને ફળજો… મારું તો કાંઈ નક્કી નંઈ.

-પારુલ ખખ્ખર

લબ્ધપ્રતિષ્ઠ કવિ-વિવેચક શ્રી ઉદયન ઠક્કરની કલમે આ ગીતનો આસ્વાદ:

આ ગીતમાં કાવ્યનાયિકા તેના પ્રિય પાત્રને સંબોધે છે. તુંકારે બોલાવી શકાય એવી આત્મીયતા રહી નથી, માટે ‘તમે’ કહીને સંબોધે છે. પ્રિય પાત્રથી વિખૂટા પડી જવાયું છે- ‘અમારું ગામ’ અને ‘તમારું ગામ’ એક થઈ શક્યાં નથી. એક કાળે નદી કિનારે પ્રણયગોષ્ઠિ થઈ હશે, માટે નાયિકા પ્રિય પાત્રને એ જ સ્થળે જવાનું સૂચવે છે. પરંતુ નાયિકા પોતે તો ત્યાં મળવાની નથી, એનું તો ‘કંઈ નક્કી નથી,’ માટે બીજા- ત્રીજાને હળવા- મળવાનું મહેણું મારે છે. ‘જેને મળવું હોય તેને મળજોને, મારે શું?’- એવા રુસણાનો ભાવ અહીં દેખાય છે.

નાયિકા નાયકને ઘરે નથી બોલાવતી, ગલીના છેડે રોકાવાનું કહે છે, કારણ કે બે વચ્ચે હવે અંતર પડી ગયું છે. ઉર્દૂ ગઝલમાં પ્રેયસીની ગલીનું રૂપક પરંપરાથી ચાલ્યું આવે છે, માટે ‘શેરીના નાકે’ નહિ પણ ‘ગલીના છેડે’ કહે છે. નાયકે સાદ તો કરવાનો છે, પણ ‘અમસ્તો’, કારણ કે નાયિકા પ્રતિસાદ આપવાની નથી.આમ છતાં નાયિકાની ઇચ્છા ખરી કે નાયક રાહ જુએ. રાહ જોયા પછી આગળ ‘વધવાનું’ નથી પણ ‘વળવાનું’ છે, કારણ કે ત્યાંથી બન્નેની જિંદગીમાં વળાંક આવે છે.
નાયિકા માટે નાયકનું નામ દેરા જેટલું પવિત્ર છે.’ગેરુઓ’ એટલે મટિયાળો કે ભગવો રંગ, જે વૈરાગ્યસૂચક છે.’એરું આભડવો’ એટલે સાપ ડસવો. નાયિકા શૃંગારમાંથી વૈરાગ્યમાં સરી પડી, કારણ કે મિલનની વેળાને એરું આભડી ગયો.પ્રિય પાત્રે પોતાની ભૂલનું ઝેર ઉતારવું પડશે, પસ્તાવાની જ્યોત જગાવીને પોતે ઓગળવું પડશે. નાયિકાનું તો કાંઈ નક્કી નઇ, કારણ કે ભૂલ એણે નહોતી કરી. નાયિકા નથી ઇચ્છતી કે પ્રિય પાત્ર એકાએક ખાક થઈ જાય, માટે કહે છે, ‘ધીમી આંચે ખુદ ઓગળજો’- જેથી લાંબા સમય સુધી વિરહાગ્નિ વેઠવો પડે.

પ્રણાલિકા છે કે સૂરજની સાખે સાચું જ બોલાય. આ તો ‘આથમતો સૂરજ’ છે, ‘ઝાંખું-પાંખું’ અજવાળું છે- યુવાની ઢળવામાં છે,ઓરતા આથમવામાં છે.શું ન થઈ શક્યું એ સાંભરીને નાયિકા નિશ્વાસ નાખે છે. નાયિકા કહેતી જાય છે- મને વળગવાનો સમય વીતી ગયો, હવે મારા નામને વળગીને ઝળહળજો! બશીર બદ્રનો શેર સાંભરે છે:

ઉજાલે અપની યાદોં કે હમારે સાથ રહને દો
ન જાને કિસ ગલી મેં જિંદગી કી શામ હો જાયે

નાયિકા કહે છે, જીવનનું સરવૈયું કાઢતાં જણાશે કે રીસામણાં વધુ હતાં અને મનામણાં ઓછાં, દ્રોહ વધુ હતો અને વફાદારી ઓછી. નાયક-નાયિકાનો સંગાથ આંગળી અને નખ જેવો છે- ભેગાં તોય નોખાં. સંબંધ એવો કે પાસે આવવા ન દે, અને દૂર જવા ન દે.નાયિકા કહી દે છે- આવા સથવારા તમને જ મુબારક!

નાયિકા નથી નકારતી કે નથી સ્વીકારતી. ‘મારું તો કાંઈ નક્કી નઇ’ કહીને નાયકને (અને ભાવકને) બે રમણીય શક્યતાઓ વચ્ચે ઝૂલતો રાખે છે.

કવયિત્રીએ આ ગીતનો આકાર કુશળતાથી ઘડ્યો છે.દરેક અંતરામાં અંત્યાનુપ્રાસવાળી ત્રણ પંક્તિ આવે છે, જે અંજની ગીતના છંદમાં છે. ચોથી પંક્તિનું ત્રણ ટુકડામાં વિભાજન થયું છે, જેમાં પહેલા-બીજા ટુકડાના અંત્યાનુપ્રાસ મળે છે.(જેમ કે નામ લઈને/હામ લઈને.) દરેક અંતરાના અંત્યાનુપ્રાસ પછી ‘મારું તો કાંઈ નક્કી નઇ’ પદનું પુનરાવર્તન થાય છે, જે રચનારીતિ ગઝલની રદીફને મળતી આવે છે.

(આસ્વાદ : શ્રી ઉદયન ઠક્કર)

Comments (3)

નિરખને ગગનમાં – નરસિંહ મહેતા

નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો?
‘તે જ હું’, ‘તે જ હું’ શબ્દ બોલે;
શ્યામનાં ચરણમાં ઇચ્છું છું મરણ રે,
અહીંયા કો નથી કૃષ્ણ તોલે!
.                નિરખને ગગનમાંo

શ્યામ-શોભા ઘણી, બુદ્ધિ નવ શકે કળી,
અનંત ઓચ્છવ મહીં પંથ ભૂલી;
જડ અને ચેતન રસ કરી જાણવો
પકડી પ્રેમ સંજીવન મૂળી!
.                નિરખને ગગનમાંo

ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં,
હેમની કોર જ્યાં નીસરે તોલે;
સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે,
સોનાનાં પારણાં માંહી ઝૂલે!
.                નિરખને ગગનમાંo

બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ, જો વળી,
અચળ ઝળકે સદા વિમળ દીવો;
નેત્ર વિણ નિરખવો, રૂપ વિણ પરખવો,
વણ જિહ્વાએ રસ સરસ પીવો!
.                નિરખને ગગનમાંo

અકળ અવિનાશી એ, નવ જાયે કળ્યો,
અરધ-ઊરધની મધ્યે મહાલે;
નરસૈંયાચો સ્વામી સકળ વ્યાપી રહ્યો,
પ્રેમના તંતમાં સંત ઝાલે!
.                નિરખને ગગનમાંo

– નરસિંહ મહેતા

જ્ઞાન અને ભક્તિ -બંનેનું સંમિશ્રણ. ઈશ્વરને શોધવો હોય તો નજર આપોઆપ ઉર્ધ્વગામી થઈ જાય. સાચા દિલથી શોધીએ તો सः अहम નો નાદ સંભળાવા માંડે. નરસિંહ મહેતાનું આ પ્રભાતિયું ઉત્તમ ભક્તિકાવ્ય છે.

Comments (1)

એની ઉદાસી છે – મિલિન્દ ગઢવી

લખ્યું છે બ્રેઈલમાં મારું મરણ, એની ઉદાસી છે,
ઉપરથી હાથ આપ્યા છે અભણ, એની ઉદાસી છે.

સરી ગઈ રાત સાથે ચાંદની પણ આંગળીમાંથી,
ન સચવાયાં હથેળીમાં કિરણ, એની ઉદાસી છે.

લીલાછમ ઘાસમાં વરસાદ વેરાયાની ક્ષણ વચ્ચે,
પગરખાં શોધવા નીકળ્યાં ચરણ, એની ઉદાસી છે.

સ્મરણની શ્વેત કાગળ-નાવ જ્યાં તરવા મૂકી જળમાં,
ચીરાયું વસ્ત્રની માફક ઝરણ, એની ઉદાસી છે.

હું જાણું છું કથા પણ તોય પાછળ દોડવું પડશે,
ફરે છે એક માયાવી હરણ, એની ઉદાસી છે.

– મિલિન્દ ગઢવી

લયસ્તરોના પ્રાંગણમાં મિલિન્દ ગઢવીના પ્રથમ ગઝલસંગ્રહ ‘રાઈજાઈ’નું સહર્ષ સ્વાગત છે.

ઉદાસીનો ઘેરો રંગ કવિતાને હંમેશ વધુ માફક આવ્યો છે. અહીં તો આખી ગઝલ જ ઉદાસીની છે, પણ ભાવકને એ ઉદાસ કરી દેતી નથી એ એની ખાસિયત છે. કવિએ ઉદાસીના નાનાવિધ પહલુઓ બખૂબી રજૂ કર્યા છે. મત્લા વાંચતાવેંત સૌમ્ય જોશીનો મત્લા ‘શું કરું ક્યાંથી ઉકેલું કેવો આ સંબંધ છે; તું લખે છે બ્રેઈલમાં ને હાથ મારો અંધ છે‘ યાદ આવ્યા વિના નહીં રહે. પણ મિલિન્દના મત્લાની ‘ફ્લેવર’ ખાસ્સી અલગ છે. ઉપરવાળાએ જન્મની સાથે જ દરેકનું મરણ લખી નાંખ્યું છે એ માન્યતાની સાથે જિંદગી કેટલી પળની છે એ કોઈ જાણતું નથીની વાસ્તવિક્તા કવિએ અહીં સાંકળી લીધી છે. આ ઉદાસી આ અજ્ઞાનની ઉદાસી છે.

પૈસો હાથમાં ન ટકે એને આપણે ‘આંગળાં જ કાણાં છે’ એમ કહેતાં હોઈએ છીએ. જન સામાન્યને તો ધન કે તક હાથમાંથી સરકી જવાની ઉદાસી હોય છે, પણ કવિની ઉદાસી અલગ છે. કવિને તો રાત, ચાંદ અને ચાંદનીમાં રસ છે. ચાંદનીનું ઐશ્વર્ય જ એનું ધન છે. રાતના કાળા અંધારાની વચ્ચેથી કવિ ચાંદનીના અજવાસને પકડે છે, જે રીતે વેદનાના અંધારા વચ્ચે શબ્દોના અજવાળાંને ઝાલે એમ જ. સમય સરતાં રાત આંગળાંમાંથી સરી ગઈ પણ ચાંદની સુદ્ધાં ટકી ન શકી એનો એને અફસોસ છે.

Comments

પી ગયો છું ઝેર…..- અનિલ ચાવડા

જીવનના સૌ અભાવોએ વગાડ્યો ઢોલ એવો ધમધમાવીને,
ઉદાસી નાચવા લાગી તરત પોતાનાં ઝાંઝર ઝણઝણાવીને.

હવે જો આંખમાંથી લોહીના ટશિયા ન ફૂટે તો બીજું શું થાય?
ઘણાં વર્ષોથી એક તસવીર એ જોયા કરે છે કચકચાવીને.

પ્રવાસે નીકળો, ને માર્ગમાં આવે અચાનક ફૂલનાં ખેતર,
ઘણા જીવનમાં આવે એ જ રીતે, ને જતા રહે મઘમઘાવીને.

અમારા ગામના પુજારી એવું શહેરમાં લેવા શું આવ્યા ‘તા?
મને જોયો બજારે કે તરત ભાગ્યા એ ત્યાંથી રમરમાવીને.

અગર જો છોડવા જઉ તો હૃદયની પોટલી તૂટવાનો ખતરો છે,
મેં મારી દીધી છે સંબંધની એક ગાંઠ એવી કસકસાવીને.

જુએ છે સાવ ઝીણી આંખથી એ મેં ધરેલી ચાની પ્યાલીને,
છે કારણ એ જ કે હું પી ગયો છું ઝેર એનું ગટગટાવીને.

– અનિલ ચાવડા

Comments

કોણ – કૃષ્ણ દવે

કોણ અહીંથી ગયું સ્હેજ મલકાઈને ?
ધૂળમાં એક-બે જોઈ પગલી જરા આંખ નીકળી પડી ત્યાં જ છલકાઈને !
કોણ અહીંથી ગયું સ્હેજ મલકાઈ ને ?

ખેલતું, કૂદતું, શોધતું ગોદને, હૂંફનું બારણું જ્યાં સ્વયમ્ ખુલતું,
પાંપણોમાં પ્રવેશી જતું હોય શું ? આંખ મીંચી જતું ઝૂલતું ઝૂલતું,
કંઠ કોનો હશે ? ગીત કોના હશે ? કોણ પોઢાડતું હોય છે ગાઈને ?
કોણ અહીંથી ગયું સ્હેજ મલકાઈને ?

લ્હેરખીની હથેળી ફરે હેતથી વૃક્ષની ડાળના ગુચ્છશાં પર્ણમાં,
કોણ ગવડાવતું ગીત આ મર્મરી ? કૂંપળોના સ્વરો ગુંજતા કર્ણમાં,
કોણ આવે અને જાય પળમાં વળી, વ્હાલ કરતું રહે આમ લહેરાઈને ?
કોણ અહીંથી ગયું સ્હેજ મલકાઈને ?

માત્ર હુંકારથી ગર્જનોથી ભર્યું જે નહીં સંભવે સિંધુના ક્હેણથી,
સ્હેજ ભીનાશથી, સ્હેજ મીઠાશથી, એ બધું સંભવે બિંદુ ના વેણથી,
કોણ મ્હેકી જતું હોય છે શ્વાસમાં ! કોણ ઉડી જતું હોય રંગાઈને ?
કોણ અહીંથી ગયું સ્હેજ મલકાઈને ?

-કૃષ્ણ દવે

Comments (1)

ઊંડી રજની – નરસિંહરાવ દિવેટિયા

આ શી ઊંડી રજની આજની ભણે ઊંડા ભણકાર!

ઘેરી ગુહા આકાશની રે માંહિ સૂતો ઊંડો અન્ધકાર,
ઊંડા ડૂબ્યા નભતારલા કંઈ ગૂઢ સન્દેશ વ્હેનાર રે;
.                                          આ શી ઊંડી રજની!

શાન્તિપૂર રેલી રહ્યું રે ઊંડું, અદભુત સહુ ઠાર,
એ પૂરને ઝીણું ઝીણું હલાવી છાનો અનિલ રમે સુકુમાર રે;
.                                          આ શી ઊંડી રજની!

ડૂબી ઊંડી એ પૂરમાં રે તરુવરકેરી હાર,
મોહમન્ત્રથી મૂઢ બની એ કાંઈ કરે ન ઉચ્ચાર રે;
.                                          આ શી ઊંડી રજની!

મૂઢ બન્યો એહ મંત્રથી રે, સ્તબ્ધ ઊભો હું આ વાર,
ગૂઢ અસંખ્ય ભેદો કંઈ, કરે ચોગમ ઘોર ઝંકાર રે;
.                                          આ શી ઊંડી રજની!

જાગી ઊઠી એ ઝંકારથી રે અનુભવું દિવ્ય ઓથાર,
ભરાયું ભેદ અસંખ્યથી રે મ્હારું હૃદય ફાટે શતધાર રે!
.                                          આ શી ઊંડી રજની!

ગૂંથાયું એ શતધારથી રે એહ સ્તબ્ધ હૃદય આ ઠાર,
શાન્ત, અદભુત, ઊંડા કંઈ સૂણે ઉચ્ચ ગાનના પુકાર રે.
.                                          આ શી ઊંડી રજની!

– નરસિંહરાવ દિવેટિયા

આ ગીત વાંચીએ તો બ. ક. ઠાકોરનું સૉનેટ ‘ભણકારા’ યાદ આવ્યા વિના ન રહે. ગુજરાતી ભાષાના એ સર્વપ્રથમ સૉનેટમાં બ. ક. ઠાકોરે કાવ્યસર્જનના પિંડમાં કુદરતની રમણીયતાના ભણકારાઓ કેવી રીતે ભાગ ભજવે છે એનો અભૂતપૂર્વ અને તાદૃશ ચિતાર આપ્યો છે. એ સૉનેટમાં પણ ગાઢ રાત્રિ, અંધકાર, એમાં ડૂબી જતી વૃક્ષોની હારમાળા, નદીના પ્રશાંત જળ, હળુ-હળુ વાતો પવન, અને આ નીરવ શાંતિમાં કવિહૃદયમાં ઊઠતા ભણકારા અને અનાયાસ થતું કાવ્યસર્જન – આ વાતો જોવા મળે છે. અહીં આ ગીતમાં પણ એ બધા જ તત્ત્વો નજરે ચડે છે. અલબત્ત, આ કોઈ ઊઠાંતરી નથી. કાવ્યસ્વરૂપ સાવ અલગ છે, કાવ્યબાની પણ સાવ અલગ છે પણ બે અલગ-અલગ કવિની કલમે એકસમાન અનુભૂતિ અવતરે ત્યારે કવિતા કેવાં બે ભિન્ન-સમાન સ્વરૂપ ધારે એ જોવા-સમજવા માટે જ આ સરખામણી છે.

આકાશની ઘેરી ગુફામાં સૂતેલ ગાઢ રાત્રિના ઊંડા અંધકારમાંથી ઊંડા ભણકારા ઊઠે છે. તારાઓ પણ નજરે ન ચડે એવી આ ગાઢ રાત્રિ કંઈક ગૂઢ સંદેશ લઈને આવી છે. સહુ કોઈ ઠાર મરાયા હોય એવી નિઃસ્તબ્ધતા જન્માવતું  શાંતિનું પૂર અદભુત રેલાઈ રહ્યું છે, માત્ર પવન થોડું થોડું આ શાંતિ સાથે રમી લે છે. અંધારામાં લુપ્ત થઈ ગયેલી વૃક્ષોની હારમાળા પણ લેશ માત્ર અવાજ કરતી નથી. કવિ પોતે પણ સ્તબ્ધ અને મંત્રમુગ્ધ ઊભા છે. અંધારું એવું છે કે અસંખ્ય ગૂઢ ભેદ-રહસ્યો ન ભીતર ભર્યા-ભંડાર્યા હોય! આ રહસ્યોના ઝણકારથી અચાનક જાગી ઊઠ્યા હોય એમ કવિ દિવ્ય ઓથાર અનુભવે છે અને એમનું હૃદય જાણે કે સો-સો ધારે ફાટે છે અને દિવ્ય કવિતાનો અવાજ સંભળાઈ રહ્યો છે.

Comments (1)

(સામે જ છે) – રાકેશ હાંસલિયા

એક હૉસ્પિટલ અહીં સામે જ છે,
ઝૂંપડી તો પણ હજુ ખાંસે જ છે.

માંગવા જેવું તું ક્યાં માંગે જ છે,
આપવા જેવું તો એ આપે જ છે.

આમ તો બદલી ગયો છે પારધિ,
તો ય મનમાં જાળ તો નાખે જ છે.

બાળકો, ઝરણાં, પતંગિયાં, પહાડ,
કેટલા ઈશ્વર નજર સામે જ છે.

આભ પાસેથી હવે શું માંગવું ?
મા મને કાયમ દુઆ આપે જ છે.

– રાકેશ હાંસલિયા

લયસ્તરોના આંગણે કવિમિત્ર શ્રી રાકેશ હાંસલિયાના ગઝલસંગ્રહ ‘ક્યારેક ઉત્તર પણ મળે’નું સહૃદય સ્વાગત છે…

નાની અમથી ગઝલ. બધા જ શેર સ્વયંસ્પષ્ટ છે. સરલ સહજ ભાષામાં ગઝલ ઊંડી વાત કરી રહી છે.

Comments (5)

નીતિશાસ્ત્ર – લિન્ડા પાસ્ટન (અનુ. વિવેક મનહર ટેલર)

નીતિશાસ્ત્રના વર્ગમાં ઘણાં બધાં વર્ષો પહેલાં
અમારા શિક્ષક દર પાનખરમાં અમને આ સવાલ પૂછતા:
ન કરે નારાયણ ને કો’ક મ્યુઝિયમમાં આગ ફાટી નીકળે તો
તમે કોને બચાવશો, રેમ્બ્રાંટના ચિત્રને
કે એક ડોશીને જેની જિંદગીમાં આમ પણ ઝાઝાં વર્ષ
હવે બાકી નથી? સખત ખુરશીઓ પર બેચેન થતાં અમે,
કળાકૃતિ કે ઘડપણ બંને માટે તદ્દન બેફિકર,
એક વરસ જિંદગીનો વિકલ્પ પસંદ કરતાં, તો બીજા વરસે કળાનો
અને કાયમ અધકચરા મને. ક્યારેક
એ ડોશી મારા દાદીમાનો ચહેરો ઉછીનો લઈ લેતી
એનું કાયમનું રસોડું પડતું મૂકીને
કોઈક ઠંડાગાર, અર્ધ-કાલ્પનિક મ્યુઝિયમમાં ભટકવા માટે.
એક વર્ષે, હોંશિયારીમાં ને હોંશિયારીમાં, મેં જવાબ આપેલો:
આપણે એ ડોશીને જાતે જ આ નિર્ણય લેવાનું કહીએ તો કેવું?
અમારા શિક્ષકે મારા રિપોર્ટકાર્ડમાં લખેલું કે, લિન્ડા ભાગી રહી છે
જવાબદારીના બોજાઓથી.
આ પાનખરમાં હું એક સાચુકલા મ્યુઝિયમમાં ઊભી છું
એક સાચુકલા રેમ્બ્રાંટ સામે, ડોશી,
અથવા લગભગ ડોશી જેવી જ, હું પોતે. એ ચિત્રમાંની
જમીનના કથ્થઈ રંગો પાનખર કરતાં તો ઠીક,
શિયાળા કરતાંય વધારે ગાઢા છે,
છતાંય ધરતીનું તેજ તો આબાદ છલકે છે
એ કેન્વાસમાંથી. હવે મને સમજાય છે કે એ ડોશી
અને ચિત્ર અને ઋતુ બધાં લગભગ એકસમાન જ છે
અને કશુંય નાના બાળકોથી બચાવી શકાય એમ છે જ નહીં.

– લિન્ડા પાસ્ટન
(અનુ. વિવેક મનહર ટેલર)

Ethics

In ethics class so many years ago
our teacher asked this question every fall:
if there were a fire in a museum
which would you save, a Rembrandt painting
or an old woman who hadn’t many
years left anyhow? Restless on hard chairs
caring little for pictures or old age
we’d opt one year for life, the next for art
and always half-heartedly. Sometimes
the woman borrowed my grandmother’s face
leaving her usual kitchen to wander
some drafty, half imagined museum.
One year, feeling clever, I replied
why not let the woman decide herself?
Linda, the teacher would report, eschews
the burdens of responsibility.
This fall in a real museum I stand
before a real Rembrandt, old woman,
or nearly so, myself. The colors
within this frame are darker than autumn,
darker even than winter — the browns of earth,
though earth’s most radiant elements burn
through the canvas. I know now that woman
and painting and season are almost one
and all beyond saving by children.

– Linda Pastan

Comments

ચશ્મા તડાક્ દઈ તૂટયા – પારુલ ખખ્ખર

અથડાતી-પછડાતી પ્હોંચી પચાસમે ત્યારે ચક્ષુદેવ ત્રુઠ્યાં,
પારુલદેનાં ચશ્મા તડાક્ દઈ તૂટયા.

ઘરડીખખ ફ્રેમને વળગીને બેઠેલા કાચ હતા પેલ્લેથી ઝાંખા
આઘા-ઓરામાં કરે ભેળસેળ, ઉપ્પરથી ચોખ્ખું દેખાડિયાના ફાંકા
દૃશ્યોએ-સત્યોએ ટોળે વળીને એનાં નામનાં છાજિયાં કૂટયાં
પારુલદેનાં ચશ્મા તડાક્ દઈ તૂટયા.

વરસોથી દરવાજા ખખડાવી ખખડાવી દેતાં’તાં સાદ અજવાળાં
અક્કલની ઓથમીર આંખ્યુંએ જાતને વાસીને માર્યાં’તાં તાળાં
ઘટનાની કૂંચીએ ખોલ્યા બે આંટા ત્યાં તાળાનાં તાળવાં ફૂટ્યાં
પારુલદેનાં ચશ્મા તડાક્ દઈ તૂટયા.

લાભ-શુભ ચોઘડિયાં ભેગાં થતાં’તાં એ ક્ષણવંતી વહેલી સવારે
તેજના ત્રાંસા ને સમજણની શરણાયું રમઝટ બોલાવે બજારે
મોંઘા રતનને ઢાંકીને બેઠેલા ઝાળાના લેણદેણ ખૂટયાં
પારુલદેનાં ચશ્મા તડાક્ દઈ તૂટયા.

– પારુલ ખખ્ખર

જીવન જીવવા માટે આપણને કંઈ કેટલાંય ઉપકરણોની આદત પડી જતી હોય છે. ગૂગલ મેપ્સ નહોતા ત્યારે કોઈક નવી જગ્યાએ જવા માટે આપણે પાંચ-દસ જગ્યાએ થોભીને અજાણ્યા લોકો પાસે માર્ગદર્શન લેવું પડતું હતું અને નવી જગ્યાએ પહોંચીએ ત્યારે અવનવા અનુભવજડિત આ યાત્રા જાતને એક જાતની સંતુષ્ટિ આપતી સંપન્ન થતી હતી. મિત્રો કે સ્વજનો સાથે બેઠાં હોય ત્યારે પહેલાં જે ટોળટપ્પાં થતાં હતાં એ મોબાઇલની મહેરબાનીથી લગભગ મરણાસન્ન છે. ઉપકરણો આપણી ધારણા બહાર બહુ ઝડપથી આપણા લોહીમાં વણાઈ જતાં હોય છે. ચશ્મા આવી જ એક વસ્તુ છે. સવારે ઊઠીએ એટલે પહેલું કામ આંખ પર ચશ્મા ચડાવવાનું જ હોય. ચશ્માના કાચમાંથી દુનિયા જોવાની એવી આદત પડી જાય છે કે એના વિનાની દૃષ્ટિની આપણે કલ્પના પણ કરી શકતા નથી. ચશ્મા અચાનક તૂટી જાય અને બીજી જોડી બનાવડાવી ન હોય તો નવા ચશ્મા આવવા સુધીનો સમય આપણો ઘાંઘોવાંઘો વીતે છે…

પણ કવિ પાસે દરેક વસ્તુને જોવા માટે વળી અલગ જ ચશ્મા હોય છે. બિલકુલ અલગ જ પ્રકારના વિષય પર મજાનું હળવું ગીત લઈને પારૂલદે આજે ઉપસ્થિત છે. પચાસની વયે પહોંચ્યાની વેળાએ અચાનક ચશ્મા તૂટી જાય છે ત્યારે કવયિત્રી અકળાઈ જવાના બદલે ચક્ષુદેવ પ્રસન્ન થયા હોવાનું અનુભવે છે.  ચશ્મા સાથે સંકળાયેલી તમામ વિભાવનાઓ કવયિત્રી આલેખે છે પણ એક સવાલ થાય છે. સાચે જ શું આ ચશ્માનું ગીત છે? કે અકુદરતી ઉપકરણોની ગુલામીમાંથી પળભરની આઝાદીના ઓચ્છવનો ગુલાલ છે?!

જો કે એક તબીબ હોવાના નાતે આ ગીતને હું એ રીતે પણ જોઈ શકું કે પારૂલદેને પચાસની નાની વયે મોતિયો આવ્યો હોવો જોઈએ અને મોતિયા ઉતરાવી નાંખ્યા પછીની સાફ દૃષ્ટિ અને ચશ્માની આઝાદીનું આ ગીત છે… 😉

Comments (5)

દે ખબર ! – જિતેન્દ્ર પ્રજાપતિ

ઝાડ પરથી પાંદ જો લીલું ખરે તો દે ખબર,
પાનખર સમ કોઈ આવી છેતરે તો દે ખબર.

શ્વાસની છે આવ-જા? તો વાત આખી છે અલગ;
સાવ અમથું જો હવા કૈં ખોતરે તો દે ખબર.

આજ પણ એ ઉંબરે આવી અને પાછાં ફર્યાં;
જો ફરી વેળા સ્મરણ પાછાં ફરે તો દે ખબર.

એ પછી જળની હકીકત આવશે સામે તરત;
ક્યાંક પણ જો આંખથી છાંટો ખરે તો દે ખબર.

આમ તો એ વાતને માની જશે; છે ખાતરી,
તે છતાં પણ જો ચરણ રકઝક કરે તો દે ખબર.

– જિતેન્દ્ર પ્રજાપતિ

સરળ. સહજ. સંતર્પક.

Comments (2)

એક ચોમાસે – રાજેન્દ્ર શુક્લ

સામા ગામનું સાવ છેવાડું ખોરડું
એવું એક ચોમાસે આંખમાં આવ્યું,
ઉડતાં ઓલ્યાં પંખેરું ને જાણ થઈ
તે ગીત જોડ્યાં ને વન ગજાવ્યું.

વચમાં વ્હેતલ નદી નીરની નમણાઈમાં
નેણ ઝબોળ્યાં,
હૈયે ઊઠ્યાં લ્હેરિયાં એને આભ હિલોળ્યાં,
દૂરને ઓલે ડુંગર ડુંગર નીલમ કોળ્યાં,
જેમ ધરાના સાત જનમનું
હોય કોળામણ સામટું આવ્યું.

કેટલી વેળા,
કેટલી વેળા આભને ભરી આભ ઘેરાયું,
કેટલી વેળા ધોરીએ ધોરીએ ક્યારીએ ક્યારીએ
નીર રેલાયું.
કેટલી વેળા કાળને કાંઠે ઈ જ ખેતર
કેટલું લણ્યું કેટલું વાવ્યું !
ઈ દંનની ઘડી, આજનો દા’ડો,
કોઈ ચોમાસું આંખમાં ના’વ્યું.

સામા ગામનું સાવ છેવાડું ખોરડું
એવું એક ચોમાસે આંખમાં આવ્યું.

– રાજેન્દ્ર શુક્લ

ઘણા વરસો પહેલા આ કાવ્ય કવિના કંઠે સાંભળેલું. અચાનક જડી આવ્યું. ઘણાબધા સ્મરણો જોડાયેલા છે કવિના એક ચોમાસા સાથે….

Comments (2)

છેલ્લું દર્શન – રામનારાયણ વિ. પાઠક ‘શેષ’

ધમાલ ન કરો, – જરાયે નહિ નેન ભીનાં થશો, –
ઘડી બ ઘડી જે મળી – નયનવારિ થંભો જરા, –
કૃતાર્થ થઈ લો, ફરી નહિ મળે જ સૌંદર્ય આ,
સદા જગત જે વડે હતું હસન્તું માંગલ્ય કો!

ધમાલ ન કરો, ધરો બધી સમૃદ્ધિ માંગલ્યની,
ધરો અગરુ દીપ ચંદન ગુલાલ ને કુંકુમ;
ધરો કુસુમ શ્રીફલો ન ફરી જીવને આ થવો
સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો!

ધમાલ ન કરો, ન લો સ્મરણ કાજ ચિહ્ને કશું,
રહ્યું વિકસતું જ અન્ત સુધી જેહ સૌંદર્ય, તે
અખંડ જ ભલે રહ્યું, હૃદયસ્થાન તેનું હવે
ન સંસ્મરણ વા ન કો સ્વજન એ કદી પૂરશે.

મળ્યાં તુજ સમીપે અગ્નિ! તુજ પાસ જૂદાં થિંયેં;
કહે, અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી?

– રામનારાયણ વિ. પાઠક ‘શેષ’

વિયોગમાં સુયોગ શોધતું અ-મર મરણકાવ્ય !

સ્વજનનું મૃત્યુ એટલે હૃદયવિદારકતાની પરાકાષ્ઠા. એમાંય વરસો સુધી સાથ નિભાવનાર જીવનસાથી જિંદગીના પથ પર અચાનક એકલા મૂકીને ચાલી નીકળે એની વેદના તો ભલભલાને હચમચાવી દે છે. જીવનસાથીની વિદાયની આ ઘડીને ઘણા કવિઓએ પોતપોતાની રીતે આલેખી છે. પ્રસ્તુત રચનામાં કવિ રામનારાયણ વિ. પાઠક ‘શેષ’ નો પોતાની જીવનસંગિનીના મૃત્યુને નિહાળવાનો અભિગમ સામાન્ય કરતાં બિલકુલ અલગ જ છે…

કવિતાના વિશદ આસ્વાદ માટે અહીં ક્લિક કરશો જી…

Comments

હાઈકુ – સ્નેહરશ્મિ

રાત અંધારી:
તેજ-તરાપે તરે
નગરી નાની.

*

સૂકેલી ડાળે
પોપટ બેઠો: પાન
ચોગમ લીલાં.

*

અંધારે ગાતાં
જાય ઝરણાં: વ્હેતું
તારકતેજ.

*

ગીત આકાશે:
પંખીની પાંખમાંથી
ફૂટે પરોઢ.

*
ઊગે સોનેરી
ચાંદ: સૂરજ થાય
રૂપેરી રાતો!

– સ્નેહરશ્મિ

સત્તર અક્ષરની નાનકડી અંજલિમાં આખો સાગર સમાવી લેવાની કળા એટલે હાઈકુ. ત્રણ નાનકડી પંક્તિમાં સ્નેહરશ્મિ જેવા સબળ કવિ આખેઆખું ચિત્ર કુશળ ચિતારા પેઠે દોરી બતાવે છે. હાઈકુની કવિતા એની ચિત્રાત્મક્તામાં જ સમાઈ હોય છે.

Comments

ઝાડ દિલાસો વાવે – લક્ષ્મી ડોબરિયા

ઝાડ દિલાસો વાવે
સધિયારો દેવાને બાહુ ડાળ તણાં લંબાવે

પાન સમયસર ખરી પડે ને ખુદનું માન વધારે
કૂંણી કૂંપળ ટાણે આવી ડાળનું હૈયું ઠારે
વાસંતી ને વૈશાખી પળ પોંખી લે સમભાવે
ઝાડ દિલાસો વાવે

ચૈતરની લૂને પણ દઈ દે શીતળતા વરણાગી
તડકાને ઝીલવાની કિંમત ક્યાંય કદી ના માંગી
સ્થિર થઈ વધવાના નુસખા આમ મને સમજાવે
ઝાડ દિલાસો વાવે

નિજના વૈભવને સ્હેજે મોસમના રાગે ઢાળે
વાત-વિસામો સહુનો થાવા મૂળને ઊંડા ગાળે
માળાના ધબકાર સુણી શણગાર એ સોળ સજાવે
ઝાડ દિલાસો વાવે

– લક્ષ્મી ડોબરિયા

પ્રથમ પંક્તિ જ વિચારતાં કરી દે એવી છે. ઝાડને તો કોઈ વાવે અને ઝાડ ઊગે. પણ અહીં તો ઝાડ દિલાસો વાવી રહ્યું છેઅને ચારે દિશાઓમાં લંબાઈ રહેલી ડાળીઓ જાણે કે સધિયારો દેવા માટે ફેલાવેલી બાહુ છે. વૃક્ષના પાન ‘રિટાયર’થવાની ઉંમર થાય પછી પણ ટકી રહેવાની જિદ કદી કરતાં નથી. એ આવનારાંઓ માટે માર્ગ પ્રશસ્ત કરી આપીને પોતાના અસ્તિત્વનું માન વધારે છે. વૃક્ષની ફિલસૂફી ગીતમાં બહુ સુંદર રીતે કવિએ ઉજાગર કરી છે. આપણે એની પાસેથી કંઈ ધડો કદી લઈશું ખરાં?

લયસ્તરોના આંગણે કવયિત્રી લક્ષ્મી ડોબરિયા અને એમના તરોતાજા ગીતસંગ્રહ ‘છાપ અલગ મેં છોડી’નું સહૃદય સ્વાગત છે…

Comments (5)