તુજ દર્દ જોઈએ છે મગર આટલું નહિ,
થોડી કચાશ કર, મને પૂરી દવા ન દે.
મરીઝ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for March, 2012

દુઃખ અને સુખ – બુદ્ધદેવ દાસગુપ્તા

હું તને એક વાઘની વાર્તા કહીશ:
આ વાઘને આખી રાત
તારા પડખાની સુગંધમાં સૂઈ રહેવું છે.

હું તને એક નાગની કથા કહીશ:
આ નાગને પ્રત્યેક પળે
તારા સ્તનના વર્તુળને વીંટળાતા વીંટળાતા
વિસ્મયભર્યો પ્રવાસ કરવો છે !
અને તને એની કથા કહેવી છે
કે આ એક એવો પ્રવાસ છે
કે એ ક્યાંય પણ લઈ જાય
અને પછી પાછા વળવાનો રસ્તો રહેતો નથી.

હું તને એક મગરની વાર્તા કહીશ:
આ મગર
તને ઉપલા હોઠોથી ખેંચશે
અને અંદર ને અંદર ડૂબશે
ઊંડા ઊંડા પાણીમાં
ઠેઠ ઊંડા ઊંડા પાણીમાં
આ બધી જીવનભરનાં સુખદુઃખની વાતો
કહેવી છે આંસુથી.

– બુદ્ધદેવ દાસગુપ્તા

વાર્તાની શૈલીમાં કહેવાયેલું આ કાવ્ય પ્રેમ અને વાસનાના પ્રતીક લઈને શું કહેવા માંગે છે? કવિતાનું શીર્ષક વળી દુઃખ અને સુખ છે (સુખ અને દુઃખ નહીં!)

વાઘ, નાગ અને મગર – એક ચોપગું, એક સરિસૃપ અને એક જળચર. એક સદાનો ભૂખ્યો, એક લીલી લિસ્સી વાસના અને એક આળસુ અકરાંતિયો… આ બધા પ્રાણીઓ આપણા લોહીમાં જ છે… આ બધા પ્રાણીઓ આપણે જ છીએ… આ બધા પ્રાણીઓ આપણી વાસનાભૂખના જ પ્રતીક છે… આપણી અંદરની અતૃપ્ત ઇચ્છાઓ, આપણી અંદરનું મિથ્યાભિમાન, આપણી લાલચ… આપણી આદિમ વૃત્તિઓની કથા એક એવો પ્રવાસ છે જે આપણને આપણી જાણ બહાર ક્યાંય લઈ જાય છે અને ત્યાંથી પરત આવવાનો કોઈ ઉપાય પણ નથી…

Comments (13)

ઘેરૈયા – પ્રહલાદ પારેખ

(શિખરિણી છંદ- આંશિક શેક્સપિયરિઅન શૈલી)

*

અમે તો ઘેરૈયા : ગગન મહીં જે રંગ ઊડતા,
અને જે રંગો આ અવનિપટ રંગીન કરતા,
અમારાં છંટાયે ઉર સકલ એ રંગ થકી, ને
અમે યે રંગાઈ અવનિનભ જેવા બની જતા.

મહા ઘેરૈયો કો વિધવિધ લઈ રંગ ઘૂમતો,
ઘડી પૂર્વે છાંટે, ઘડીક ભરતો પશ્ચિમ દિશા;
કદી આખે આભે ઘનદળ મહીં રંગ પૂરતો,
કદી સાતે રંગો લઈ ગગનમાં ચાપ કરતો.

અસીમે તેના એ ફરી ફરી બધા રંગ ઊડતા :
ઋતુ છંટાતી, સૌ દિન-રજનિ એ રંગ ધરતાં;
અને ઊઠે રંગો તૃણ, કુસુમ, પર્ણે, ફળ મહીં;
વળી આવી આવી અમ સકલ ભાવે સરી જતા.

અમે ઘેરૈયા સૌ બહુ બહુ ઘૂમી શોધ કરતા :
કહીં ઘેરૈયો એ ? કહીં છૂપવિયો રંગનિધિ આ ?

– પ્રહલાદ પારેખ

હોળીમાં રંગ લઈને નીકળતા ઘેરૈયા હવે તો આપણી લોકસંસ્કૃતિનો ભૂતકાળ બનવા આવ્યા છે. ગામડાંઓમાં હજી આ પ્રથા ચાલુ હોય તોય ઘણું. હોળીના ઘેરૈયાની અડોઅડ સૃષ્ટિના ઘેરૈયાને મૂકીને સરળ પણ મજાનું સૉનેટ રંગે છે…

Comments (4)

મુક્તક – સગીર

ફૂલ તુજ કિસ્મતના ગીતો ગાઉં છું,
મારી હાલતની દયા હું ખાઉં છું.
તું મરીને થાય છે અત્તર, અને-
હું મરીને રાખ કેવળ થાઉં છું.

– સગીર

Comments (8)

જ્ઞાનપિપૂડી – મેરી ઓલિવર

વગાડતા રહ્યા છે અનુભવીઓ
એમની જ્ઞાનપિપૂડીઃ સજીવ નથી હરેક ચીજવસ્તુ.
હું કહું છું
મને જંપવા દો.
તમારું ડહાપણ તમને મુબારક.

સાંકેતિક વાતો મેં કરી છે આછેરાં વાદળો સાથે.
જ્યારે એ ગભરાતાં
પાછળ પડી જવાના ડરે.
હું ચીમકી આપતોઃ પગ જરા ઉપાડો.
આભારસહજ એ બોલતાં
ઉપાડીએ છીએ, ઉપાડીએ છીએ.

વાછરડી, માછલી, ચમેલી
કોઈ વિવાદ નહીં, મૃત્યુ એમનું
નિશ્ચિંત છે.

પણ, પાણીનું શું? પાણી
ખુદ જીવંત ખરું ?
દરિયાના પેટાળમાં તો
જીવતા ઘૂમે છે કંઈ કેટલાએ જીવ. એવા
જીવનદાતાના ધબકારા પર, અરે,
ચોકડી કેમ પડાય?

વિચારમાં મગ્ન, કિનારે પથરાયેલી રેતી પર
બેઠો છું હાથમાં
એક કોડી, બે ચાર છીપલાં, અબરખનો ટુકડો
અને કાંકરી મિશ્રિત રેતી લઈને.

એ સઘળા, હાલ પૂરતા, ગાઢ નીંદરમાં છે …

– મેરી ઓલિવર
(અનુવાદ – ચંદ્રેશ ઠાકોર)

(કાવ્યનો આસ્વાદ પણ ચંદ્રેશ ઠાકોરના જ શબ્દોમાં)

મેરી ઓલિવર કુદરતમય કવિ છે. એ પ્રથમ કવિ છે કે પ્રથમ કુદરતના ચાહક છે એ એક રસપ્રદ સવાલ છે. કુદરતનું સૌંદર્ય, એની કરામત, એનું રહસ્ય એમની ઘણી કવિતાઓમાં તરબતર હોય છે.

કવયિત્રી, બહુ સરળતાથી, અસ્તિત્વ-જીવ-ચેતનના ગૂઢ વિષયમાં વાચકને ઊંડે લઈ જાય છે. પણ, એની બળવાખોર શરુઆત જુઓ. કહેવાતા જ્ઞાનીઓએ બાંધી લીધેલી અસ્તિત્વની સીમીત વ્યાખ્યા એમને મંજૂર નથી. અને, કહેવાતા જ્ઞાનીઓને એ પડકાર ફેંકે છે તમારા ચીલાચાલુ જ્ઞાનથી મારા વિચારવિશ્વને ડહોળવાનું માંડી વાળો. પણ, એ પડકાર કરીને એ અટકતા નથી. પડકારના ટેકારૂપ દલીલો હાજર છે.

હાથી-ઘોડા, મરઘા-બતકા, કળીઓ-ફૂલ, જરૂર, હાલતા-ચાલતા-ખીલતા-મુરઝાતા જીવનના સામાન્ય નિયમોને આનુસંગિક અસ્તિત્વ ભોગવે છે અને એનો અંત પામે છે. પણ, કવયિત્રીને સતાવે છે વાદળ અને પાણી જેવા સત્વો અને તત્વો. એમને સજીવ કેમ ના લેખાય? એમનો સમજુ જીવ વાદળો જોડે વાર્તાલાપ પણ કરે છે, કો’ક જીવંત વ્યક્તિ સાથે કરતા હોય એમ. અને પાણી? એક મૂળભૂત સવાલ કવયિત્રીના મનમાં ઉદ્ભવે છે – અગણિત જીવોમાં હયાતીનો ધબકાર રેડનાર ખુદ પાણીને નિર્જીવ કેમ ગણાય? એ સવાલમાં જ એમનો જવાબ છે.

વાદળ અને પાણીમાં ગતિ હોય છે. કે, જીવંતપણાની સાબીતીરૂપ, ગતિનો અણસાર તો જરૂર હોય છે. એટલે, કવયિત્રી બે ડગ આગળ માંડે છે. લોકગણત્રીએ સાવ સ્થગિત રેતી અને કાંકરા કે અબરખ કે છીપલાં — એમનું શું? કવિસમજ નિર્ણય પર ઉતરે છે દેખાવ પુરતા જ એ બધા સ્થગિત છે. દેખીતી નિર્જીવતા માત્ર એમની શયનાધીનતા છે. રખે ને લોક હલનચલનના અભાવને કારણે એમની યોગ્ય કિંમત ના આંકે એ કવયિત્રીનો અજંપો છે. કવિદૃષ્ટિની એ પરાકાષ્ટા છે!

અને એક વિચારકની રુએ, પુછ્યા વગર પણ એક સવાલ કવયિત્રી ઉભો કરે છે – કાંકરા-છીપલાં અને એમના જેવા એમના, જીવંત, સમકક્ષી સહયોગીઓની “ગાઢ નીંદર” એ કોઈ અમરત્વનું સ્વરૂપ હશે?

Comments (6)

વિચારણામાં – નીતિન વડગામા

કોઈ આવીને ઊભું છે આંગણામાં,
થાય છે મારું રૂપાંતર બારણામાં.

સ્હેજ પણ એના સગડ ક્યાં સાંપડે છે ?
શ્વાસ પણ ખર્ચાય કેવળ ધારણામાં.

એટલે અંદર અજંપો ઊછરે છે,
કૈંક ખૂટે છે હજી પણ આપણામાં.

વય વધે છે, સૂર્ય પણ માથે ચડે છે
ને બધાં પોઢી રહ્યાં છે પારણામાં.

એક ક્ષણ બાળી અને ધરબી દીધી છે,
તો ય એ ઊગ્યા કરે સંભારણાંમાં

સાંજ સઘળી ડૂબતી જાયે છતાંયે,
મન હજી પણ વ્યસ્ત છે વિચારણામાં

-નીતિન વડગામા

 

સરળ શબ્દો,ગૂઢ અર્થો…..

Comments (6)

ગીત – મુકેશ જોશી

મને તમારા સખીપણાના હજુય કેમ અભરખા
હજુય થાતું તાજાં તાજાં ગુલાબ ઊગે સરખાં.

હજી તમારા રમતિયાળ એ નદીપણામાં
મારી આખી જનમકુંડળી વહેતી
મૃગજળના ક્યારાઓ વચ્ચે કેમે કરવી
સ્મરણો વાવી ગુલાબજળની ખેતી
તમે આંખથી વાદળ છાંટો, હું ધારું કે બરખા….મને….

નથી સળગતો દીવો આ તો સૂરજ છે ને
સૂરજને હું કેમ કરીને ઠારું
કેટકેટલી માછલીઓ તરફડતી જીવે
આંખ વચાળે દરિયાથીયે ખારું
તમે બનો મંદિર, અહમનાં કાઢું હુંય પગરખાં….મને….

-મુકેશ જોશી

ખૂબી દ્રશ્યની નથી,ખૂબી નજરોની છે…..

Comments (9)

સહશયન – મનીષા જોષી

કોઈ જાદુઈ જનાવર જેવું શરીર છે તારું
એક અંગ તૂટે અને સો નવાં અંગ જન્મે.
શયનખંડની છતમાં દેખાતી
તારાં નિતનવાં અંગોની સહસ્ત્ર રાશિઓ વચ્ચેથી
હું શોધું છું પ્રેમની રાશિને.
શનયખંડની દીવાલો પર શરીર ઘસતો હોય ત્યારે
તું અદ્દલ લુચ્ચા શિયાળ જેવો લાગે છે.
ભૂખ્યું રીંછ જેમ, સમુદ્રનાં મોજાંઓ સાથે ઊછળતી
માછલીને પાણી વચ્ચેથી અઘ્ધર ઝીલીને ખાઈ જાય
એમ તું મને ચૂમે છે.
ક્યારેક તારા શરીર પર શાહુડી જેવાં કાંટા ઊગે છે
તો કયારેક તું સૂર્ય થઈને ઊગે છે મારાં સ્તનો વચ્ચે
અને સોનેરી બનાવી દે છે મારી ત્વચાને.
શયનખંડમાં પથરાયેલી આપણા ભીના અવાજોની
આર્દ્રતા પર તું રાત બનીને છવાઈ જાય છે
અને શયનખંડ પર એક બાજ પક્ષી
પાંખો ફફડાવતું બેસી રહે છે.
પણ આજે બ્રહ્માંડનું અંધારું ચોમેર ફરી વળ્યું છે.
તું અને રાત હવે ઓળખાતાં નથી,
બાજ પણ અટવાઈ ગયો છે ક્યાંક,
નથી આવી શકતો પોતાના માળા તરફ.
એ વફાદાર પક્ષી જો નહીં આવે તો
કોણ કરશે રખેવાળી
આપણા શયનખંડની ?

– મનીષા જોષી

સ્ત્રીઓની લાચારી અને પુરુષોની બળજબરી સમાજ વ્યવસ્થાના આરંભથી કવિતાનો વિષય બનતી આવી છે. મનીષા જોષી આપણી અંદર ઘરકા પડે એવો તીણો અવાજ લઈને અહીં આવ્યા છે. કહે છે કે પુરુષ સેક્સ પામવા માટે પ્રેમ કરે છે અને સ્ત્રી પ્રેમ પામવા માટે સેક્સ ધરે છે. પણ મોટા ભાગે જાદુઈ જનાવર જેવો પુરુષ અલગ અલગ રૂપે અલગ અલગ સમયે સ્ત્રીનો શિકાર કરે છે પણ એના આ હજારો રૂપમાં પ્રેમનું રૂપ ક્યાંય નજરે ચડતું નથી….

Comments (38)

ગઝલ – ભાર્ગવ ઠાકર

હૃદયની આરપાર છે,
સ્મરણ આ ધારદાર છે.

નહીં રૂઝાય ઘાવ આ,
અતીતનો પ્રહાર છે.

આ દેહ કાયમી નથી,
આ શ્વાસ પણ ઉધાર છે.

તમે કહો સુગંધ પણ,
એ પુષ્પનો પ્રચાર છે.

કદી જતાવતો નથી,
હા, પ્રેમ બેશુમાર છે.

-ભાર્ગવ ઠાકર.

નાની બહેરમાં કામ કરવું એ આમે દોરી પર ચાલવા બરાબર છે અને એમાંય લગાલગાના આવર્તન લઈને ગઝલ લખવી એ તો વળી હાથમાં વાંસ પકડ્યા વિના ચાલવા બરાબર છે. બહુ ઓછા કવિ આ નાજુક સમતુલન જાળવીને ઉત્તમ ગઝલ આપી શક્યા છે.  રાજકોટના ભાર્ગવ ઠાકર પ્રસ્તુત ગઝલમાં આ કામ સુપેરે કરી શક્યા છે…માણીએ એક શાનદાર, જાનદાર અને ધારદાર ગઝલ !

 

Comments (12)

ગઝલ – એસ.એસ.રાહી

ધારો તો હું ફકીર છું, ધારો તો પીર છું,
બંનેની શક્યતા છે હું એવો અમીર છું.

મારી ત્વચા વડે જ બધું સાંભળું છું હું,
અફવા છે એવી લોકમાં કે હું બધીર છું.

એકાંત કેવું હોય છે પૂછો મને તમે,
હું તો સમયની જેલનો જૂનો અસીર છું.

ધારું તો ફેરવી શકું મારું નસીબ હું,
શોધી શકે ન કોઈ હું એવી લકીર છું.

એમાંથી એકને તમે ચાહી શકો પ્રિયે,
શાયરનું રક્ત છું અને થીજેલું નીર છું.

દેખાય કેમ આંખ કબૂતરની વૃક્ષ પર,
હું તો કમાનમાં જ ફસાયેલું તીર છું.

શતરંજની રમત મને ભારે પડી ગઈ,
જ્યારે કહ્યું મેં એમને કે હું વજીર છું.

– એસ.એસ.રાહી

 

Comments (9)

તારી દૂરતા – મુકુલ ચોકસી

ને તારી દૂરતા ફરતે પછી જો દેરી બને,
તો એ મિલનથી હજારો ગણી રૂપેરી બને;
વેરાન ચર્ચોમાં જે રીતે પાદરીઓ વગર
ઈસુની હાજરી જ્યાદા પ્રબળ ને ઘેરી બને.

– મુકુલ ચોકસી

Comments (12)

ટહુકાનું તોરણ – મકરંદ દવે

પંખીના ટહુકાનું તોરણ બાંધે છે કોઈ
ઊગતી પરોઢને બારણે,
આ તેજની સવારી કોને કારણે ?

નાનકડા માળામાં પોઢેલા કંઠ, તારે
આભના સંબંધનો સૂર,
એકાદો તાર જરા ઢીલો પડે તો થાય
આખું બ્રહ્માંડ ચૂરચૂર;
એવી ગૂંથેલ અહી સાચની સગાઇ
એક તારાથી પંખીને પારણે,
આ તેજની સવારી કોને કારણે ?

પંખીના ટહુકાની પ્યાલીમાં પીઉં આજ
ઊગતા સૂરજની લાલી,
કોણ જાણે કેમ એવું સારું લાગે છે, મારે
અંગ અંગ ખેલતી ખુશાલી;
આદિ-અનાદિનો ઝૂલે આનંદ કોઈ
ભૂલ્યા-ભુલાયા સંભારણે,
આ તેજની સવારી કોને કારણે ?

-મકરંદ દવે

એક ઉત્તમ ઊર્મિકાવ્ય ……

Comments (8)

કબીર – અનુ.-પિનાકિન ત્રિવેદી-રણધીર ઉપાધ્યાય

લાલી મેરે લાલકી જિત દેખોં તિત લાલ,
લાલી દેખન મૈં ગઇ મૈ ભી હો ગઇ લાલ.

ઉલટિ સમાના આપ મેં પ્રગટી જોતિ અનંત,
સાહબ સેવક એક સંગ ખેલેં સદા બસંત.

જોગી હુઆ ઝલક લગી મિટિ ગયા એંચાતાન,
ઉલટિ સમાના આપ મેં હૂઆ બ્રહ્મ સમાન.

સુરતિ સમાની નિરતિ મેં અજપા માહી જાપ,
લેખ સમાના અલખમેં આપા માહીં આપ.

જો જન બિરહી નામ કે સદા મગન મનમાંહિં,
જ્યોં દરપન કી સુંદરી કિનહૂં પકડી નાહિં.

ચીંટી ચાવલ લૈ ચલી બિચમેં મિલ ગઈ દાર,
કહ કબીર દોઉં ના મિલૈ એક લે દૂજી ડાર.

-કબીર

૧- મારા પ્રભુની લીલા એવી છે કે હું જ્યાં જોઉં ત્યાં મને લાલ[ તેની લીલા જ ] જ દેખાય છે. આ લાલીને હું જોવા ગઇ તો હું પોતે લાલ થઈ ગઈ……

૨- બહાર ભટકતો એવો હું ઊલટો ફરીને-અંતર્મુખ થઈને સ્વ-રૂપમાં સમાઈ ગયો એટલે અનંતની દિવ્ય જ્યોતિ પ્રગટ થઈ. પછી સ્વામી અને સેવક સદાયે સાથે જ વસંત ખેલતા થઈ ગયા.

૩- પરમ તત્વની ઝાંખી માત્રથી બધીય ખેંચતાણ ટળી ગઈ. મારું અસ્તિત્વ [ અહમ ] ઓગળી ગયું એટલે અહમ પણ બ્રહ્મરૂપ થઈ ગયું.

૪- સુરતિ [ આત્મા ] નિરતિમાં [ આનંદ-સ્વરૂપ પરમાત્મા ] સમાઈ ગઈ અને સ્થૂળ જાપ અંતરમાં ચાલ્યા કરતા અખંડ જપમાં વિલીન થઈ ગયા. લક્ષ્યમાં આવતું દ્રશ્ય અલખમાં સમાઈ ગયું અને દ્વૈતની ભ્રમણા તૂટી અને અદ્વૈત સિદ્ધ થઈ ગયું.

૫- પ્રભુ-વિયોગમાં તડપતા સર્વકોઈ સદાયે અંતર્મુખ થઈને મનમાં જ તલ્લીન રહે છે. દર્પણમાં દેખાતી સુંદરીને જેમ કોઈ પકડી નથી શકતું તેમ આવા વિરહીને કોઈ પામી નથી શકતું.

૬- કીડી [ જીવ ] ચોખાનો દાણો [ આત્મતત્ત્વ ] લઈને ચાલી નીકળી. રસ્તામાં એને દાળનો દાણો [ રંગીન સંસાર ] મળી ગયો. કબીર કહે છે કે બંનેને એક સાથે રખાય તેમ નથી. એટલે એક લેવું હોય તો બીજું મૂકી દેવું પડે.

Comments (11)

ગઝલ – તોફાની ત્રિપુટી

સ્થાન એનું છે હજીયે આગવું,
સાવ સૂના આંગણામાં ઝાડવું.

એ સહજતાથી થયું મારું પતન,
બાળકોનું આંબલીને પાડવું.

એ હશે સંકેત કે બીજું કશું ?
ડાયરીનું એ જ પાનું ફાડવું.

આ નગરની સ્તબ્ધતા નીરવ નથી –
સાંભળો, સંભળાય છે એ હાંફવું?

– તોફાની ત્રિપુટી
(તાહા મન્સૂરી, સૌરભ પંડ્યા, ચિંતન શેલત)

ફેસબુક પર ત્રોફાની ત્રિપુટીના નામે તોફાન મચાવતા આ ત્રણ બિન્દાસ્ત કવિઓએ સહિયારું સર્જન કરવાનો શિરસ્તો રાખ્યો છે. એમની કેટલીક રચનાઓમાંની તરત ગમી ગયેલી એક ગઝલ લયસ્તરોના વાચકો માટે…

Comments (15)

મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે – વિવેક મનહર ટેલર

શ્વાસ કરતાં પણ વધુ વિશ્વાસ છે,
મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે.

ઘા સમય જે રૂઝવી શક્તો નથી,
તું એ રૂઝવે છે, મને અહેસાસ છે.

કેવા ઝઘડા આપણે કરતા હતા,
યાદ કરવામાંય શો ઉલ્લાસ છે !

બાળપણની મામૂલી ઘટનાઓ, દોસ્ત !
આપણા જીવનનો સાચો ક્યાસ છે.

વીતી, વીતે , વીતશે તારા વગર
એ પળો જીવન નથી, ઉપહાસ છે.

હાસ્ય ભેગાં થઈ કરે છે જાગરણ,
તકલીફોના કાયમી ઉપવાસ છે.

એ ખભો નહિ હોય તો નહિ ચાલશે,
એ ખભો ક્યાં છે ? એ મારો શ્વાસ છે.

– વિવેક મનહર ટેલર
(૦૭-૦૮-૨૦૧૧)

એમ તો આખી ગઝલ મિત્ર અને મિત્રતાને ખૂબ જ ઊંચાઈ બક્ષે છે, પરંતુ અંગતરીતે બીજો શેર અને એનો અહેસાસ મારા હૃદયની ઘણી જ નજદીક છે.

આજે પ્રિય વિવેકને એના જન્મદિવસે અઢળક અઢળક હાર્દિક શુભેચ્છાઓ… એની ઘણી ગમતી ગઝલોમાંની ખૂબ જ ગમતી આ ગઝલથી વધુ ખાસ ભેટ આજે એને માટે બીજી કોઈ હોઈ શકે ખરી ?  વ્હાલા મિત્ર, તારી આ ગઝલ તને જ અર્પણ.  એ ખભો નહિ હોય તો નહિ જ ચાલશે, એટલે જ તારી મૂંછોનાં ખેતરમાં બગલાઓ થોડા ધીમે ધીમે બેસે એવી શુભકામનાઓ.  🙂

Comments (32)

અનહદમાં હળવું હળવું – ચંદ્રકાન્ત શેઠ

હદમાં લાગે ભાર ભાર, અનહદમાં હળવું હળવું
ભયમાં સઘળું ભાર ભાર, નિર્ભયમાં હળવું હળવું ! –

બૂડે છે જે ભાર ભાર ને ઊડે છે જે હળવું;
બંધ થાય ત્યાં ભાર ભાર, ખૂલવામાં હળવું હળવું ! –

અડિયલ – એનો ભાર ભાર, અલગારી – એનું હળવું;
અક્કડ – એનો ભાર ભાર, ફક્કડનું હળવું હળવું ! –

સૂતાં લાગે ભાર ભાર, પણ હરતાં ફરતાં હળવું;
અંધારામાં ભાર ભાર, અજવાળે હળવું હળવું ! –

લેતાં લાગે ભાર ભાર, પણ દેતાં હળવું હળવું;
‘હું’ની અંદર ભાર ભાર, ‘હું’ – બહાર હળવું હળવું ! –

– ચંદ્રકાન્ત શેઠ

ગણગણ્યા વિના વાંચી જ ન શકાય એવું લોકગીતની ઢબનું પ્રથમ દૃષ્ટિએ સાવ હળવું હળવું પણ ગૂઢાર્થમાં ભારે ભારે એવું મસ્ત મજાનું ગીત… એકવાર ગણગણી લો પછી ફરીથી વાંચો અને જુઓ, એના અર્થનાં આકાશ કેવાં ઊઘડે છે !

Comments (4)

ધસી જજે ! – મેરી ઓલિવર

તું યુવાન છે.
એટલે તને બધી જ ખબર છે.
ભલે તું હોડીમાં કૂદી પડ અને હંકારવા માંડ.
પણ પહેલા જરા મને સાંભળ.
ધમાલ વિના, અચકાટ વિના કે શંકા વિના.
સાંભળ. હું વાત કરું છું સીધી તારા આત્મા સાથે.

પાણીમાંથી હલેસા લઈ લે, જરા તારા બાવડાઓને આરામ કરવા દે.
અને તારા હૈયાને, ને હૈયામાંની જરાઅમથી બુદ્ધિને પણ આરામ કરવા દે.
ને મારી વાત સાંભળ.

પ્રેમ વિના જીવન શક્ય છે.
પણ એનું મૂલ્ય કાણી પાઈ કે ફાટેલાં જૂતાં જેટલું ય નથી.
એની કિંમત નવ દિવસથી કોહવાતી કૂતરાની લાશ જેટલી પણ નથી.

જ્યારે તને માઈલો દૂરથી
તીણા ખડકોની ફરતે અમળાતા ને અફળાતા
અદીઠ જળનો ઘૂઘવાટ સંભળાય,
જ્યારે ભીનું ધુમ્મસ આવીને તારા ચહેરાને અડકી લે,
જ્યારે આગળ આવી રહેલા ખાબકતા ને ખળભળતા
જબરજસ્ત જળપ્રપાતનો
તને ખ્યાલ આવી જાય –

ધસી જજે,
જિંદગી બચાવવા માટે એ જ દિશામાં ધસી જજે.

– મેરી ઓલિવર
(અનુવાદ -ધવલ શાહ)

જીવનમાં પ્રેમ હંમેશ બહુ મોટા જોખમ સાથે આવે છે. એક માણસ પર ઓવારી જવું એ આખી જીંદગી દાવ પર મૂકવાથી કમ જોખમ નથી. પ્રેમમાં ડગલે ને પગલે તકલીફો, અડચણો, ને કપરા ચડાણો છે. તો પછી કરવું શું ? પ્રેમની શોધ ચાલુ રાખવી કે એ રસ્તાથી દૂર જ રહેવું ? આ પ્રશ્નનો જવાબ આ કવિતા છે.

આખી કવિતા નવી પેઢીને – યુવાનને – સંબોધીને છે. કવિ શરૂઆત હળવી કરે છે. તું યુવાન છે એટલે તને બધી જ ખબર છે કહીને હળવો વ્યંગ કરે છે. પણ સાથે જ દિલ ખોલીને, જીંદગી શરૂ કરવાની ઉતાવળમાંથી બે ઘડી કાઢીને, પોતાની વાત સાંભળવાનું કહે છે.

પછી તરત કવિ મુદ્દાની વાત પર આવે છે : પ્રેમ વિના જીવન શક્ય તો છે પણ એ તદ્દન નકામું જીવન છે. અહીં કોઈ દાખલા દલીલ નથી. અહીં શંકાને કોઈ સ્થાન નથી. અહીં કોઈ અડધી પડધી વાત નથી. કવિ સ્વયંપ્રકાશિત સત્ય કહેતા હોય એટલી દ્રઢતાથી આ વાત કહે છે. પ્રેમ વિનાના જીવનથી કવિને એટલી તો સૂગ છે કે એને એ નવ દિવસથી કોહવાતી કૂતરાની લાશ સાથે સરખાવે છે !

હોડી જીવનનું પ્રતિક છે. તો પ્રેમનું પ્રતિક શું રાખવું ? –  કવિ એના માટે જબરજસ્ત મોટા ધોધનું પ્રતિક પસંદ કરે છે. હોડી લઈને આવા ધોધમાં જવું એ મોટામાં મોટું જોખમ ગણાય.

છેલ્લી બે પંક્તિમાં કવિએ કમાલ કરી છે. જબરજસ્ત ધોધ – એટલે કે પ્રેમ – નું વર્ણન કર્યા પછી એ સલાહ શું આપે છે ? – પાછા ફરવાની ? – ના. સાવચેતી રાખવાની ? – ના. વિચાર કરવાની ? – ના. એ તો સલાહ આપે છે ધોધની દિશામાં બને તેટલી ઝડપથી ધસી જવાની ! અને એ દિશામાં જવાનું કારણ ? – કારણ કે જીંદગીને બચાવવાનો આ એક જ રસ્તો છે !

જીંદગી બચાવવાનો એક જ રસ્તો છે -પ્રેમ. આ અર્થહીન જીવનમાં આશાનું એક જ કિરણ છે – એ છે પ્રેમ.

(મૂળ અંગ્રેજી કવિતા નીચે મૂકી છે.)

Comments (12)

પવનની ઉતાવળ– ભાનુપ્રસાદ પંડ્યા

મારે હવે ઉપડવું જોઈએ –
હથેળીમાં ફૂલ લઈને એકલાં
હળુ હળુ ફરે છે સોડમદે,
પતંગિયાની પાંખનું
પટોળું પહેરીને ઊભાં ઊભાં
મલકે છે પ્રભાતકુંવરી.
પર્ણોની સિતાર હજી પડી સાવ ચૂપ ?
ગતિહીન દીસે પેલા દેવળનાં
ધજા અને ધૂપ ?
પાલવમાં ઢાંકી રાખ્યું
ચલાવી લેવાય કેમ
છડેચોક નીસરતું રાતુંચોળ રૂપ ?
રસ્તામાં ગંધને
ભમરા ગમાડતા જવા છે,
જળના છોરું રમાડતાં જવાં છે,
વગડાની વાટે ક્યાંક
બેસી પડી છે ઓલી ધૂળની ડોશી
એને બાવડું ઝાલીને બેઠી કરવી છે –
અડસઠ તીરથ ભેગી કરવી છે  !

– ભાનુપ્રસાદ પંડ્યા

પવનને ઉપડવું છે. ઉતાવળમાં ઉપડવું છે. એણે પર્ણોની સૂની પડેલી સિતારને ઝણકાવવાની છે, ઘજા ને ધૂપને ‘ગલીપચી’ કરવાની છે, પાલવને ઉડાડીને એક ઝલકની ચોરી કરવાની છે, ભમરાને સુગંધની દોરીથી બાંધી લેવાના છે ને – સૌથી મઝાની વાત – ધૂળ-ડોશીને અડસઠ તીરથની યાત્રા કરાવવાની છે. વાત સામાન્ય છે પણ કલ્પનો એવા તો મનમોહક છે કે કાવ્ય પૂરું થતા સુધી હોઠ પર મલકાટ આવી જ જાય છે. આ મલકાટ જ કવિ-ગીરીનો  વિજય છે :-) 

Comments (10)

પરિપ્રશ્ન – રાજેન્દ્ર શુકલ

કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે ?
મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે ?

ઋતુઓના રંગ શું છે, ફૂલોની ગંધ શું છે ?
લગની,લગાવ,લહરો- આ હાવભાવ શું છે ?

લયને ખબર નથી કૈં, આકાર પણ અવાચક,
શું છે રમત પવનની, ડાળીનો દાવ શું છે ?

પર્વતને ઊંચકું પણ પાંપણ ન ઊંચકાતી,
આ ઘેન જેવું શું છે, આ કારી ઘાવ શું છે ?

પાણીની વચ્ચે પ્રજળે, કજળે કળીકળીમાં,
એનો ઈલાજ શું છે, આનો બચાવ શું છે ?

ચિંતા નથી કશી પણ નમણા નજૂમી, કહી દે,
હમણાં હથેળી માંહે આ ધૂપછાંવ શું છે ?

ફંગોળી જોઉં શબ્દો ને મૌનને ફગાવું-
નીરખી શકું જો શું છે હોવું, અભાવ શું છે ?

હર શ્વાસ જ્યાં જઈને ઉચ્છવાસને મળે છે,
સ્થળ જેવું યે નથી તો ઝળહળ પડાવ શું છે ?

-રાજેન્દ્ર શુકલ

સરળ લાગતી આ ગઝલના શેર ભારે અર્થગંભીર છે. માત્ર બે શેરની વાત કરું છું-

પહેલા શેરમાં સમયની વાત છે. અનાદિ એવં અનંત એવા સમયની સાપેક્ષે કવિ પોતાના અસ્તિત્વને મૂલવે છે. હું એક સાક્ષી છું જે સમયની આવન-જાવન જોઈ રહ્યો છું કે પછી સમય સાક્ષી છે અને……?!

‘ચિંતા નથી કશી પણ નમણા નજૂમી, કહી દે,……’ – નજૂમી એટલે જ્યોતિષ-ભવિષ્યવેત્તા. પ્રિયતમા માટે ‘નમણા નજૂમી’ વિશેષણ પ્રયોજી કવિએ કમાલ કરી છે ! પોતાનું ભવિષ્ય જેના હાથમાં છે એવી નમણી નાયિકાને કવિ કહે છે- ભવિષ્યની મને કશી ચિંતા નથી, પણ વર્તમાનમાં હું જે તડકો-છાંયડો અનુભવી રહ્યો છું તે શું છે ?! ……શું નાજુક ઈશારો છે !
છેલ્લેથી બીજો શેર પણ અત્યંત ઉમદા છે.

Comments (15)

કોણ છે તું ? – યેવસ બોનેફોય અનુ.- કંચન પારેખ

જો, તેં વટાવેલા બધાયે માર્ગ
હવે બંધ થઇ ગયા છે.
ભટકવાનો સંતોષ પણ હવે
તારી પાસેથી છિનવાઈ ગયો છે,
તારા પગ નીચેની ધરતી
તારાં આગળ ન વધતાં પગલાંનો
માત્ર પડઘો જ છે !

તું જ્યાં આવ્યો છે ત્યાંની
પ્રગાઢ શાંતિને
તું શા માટે
નિરર્થક બબડાટથી
દટાઈ જવા દે છે ?

સ્મૃતિના ઉદ્યાનને
પેલો એકલવાયો અગ્નિ
નીરખી રહ્યો છે.
અને તું,
પડછાયામાં પડેલી છાયા જેવો…..
ક્યાં છે રે, તું ?
કોણ છે તું ?

 

– યેવસ બોનેફોય અનુ.- કંચન પારેખ

 

અદભૂત ઊંડાણ ધરાવતું આ કાવ્ય ઘણાબધાં પડળો ધરાવે છે – માણસ જેને ધ્યેય માનતો હતો-ગંતવ્ય માનતો હતો તે વ્યર્થ સાબિત થયું છે. ઘણીવાર માનવી આખી જિંદગી ઠાલી પ્રવૃત્તિઓ પાછળ છૂપાઈને કાઢી નાખવા માંગતો હોય છે કે જેથી અસ્તિત્વના પ્રશ્નો કનડે નહીં. વ્યર્થ ભટકવામાં fulfilment માનતો હોય છે. પરંતુ માનવીની કોઈ કારી ફાવતી નથી.વાદળો પાછળ સૂર્ય સર્વદા છૂપાયેલો રહી શકતો નથી.

બોલવું એટલે શું ?- કોઈકે કહ્યું છે – ‘ We are full of opinions, we have not even a single thought.’ ત્યારે જ બોલવું કે જયારે આપણાં શબ્દો મૌનને અતિક્રમી શકે. એ સિવાયનું બધું નિરર્થક બબડાટ.

જેને આપણે આપણું મન-મગજ-ચિત્ત વગેરે કહીએ છીએ તે જન્મ પછીના સ્મૃતિઓના એક સંગ્રહથી વિશેષ કશું જ નથી. જ્યાં સુધી આપણે આપણી સ્મૃતિઓને કોરાણે નહીં મુકીએ ત્યાં સુધી ખરા અર્થમાં ‘અનુભવ-experience’ શક્ય નથી. કવિ કહે છે – સત્યનો અગ્નિ આ સ્મૃતિઓના ઉદ્યાનને ભસ્મીભૂત કરી તને ખરા અર્થમાં મુક્ત કરી શકે તેમ છે…..જરૂર છે માત્ર તારા આવાહનની !

જ્યાં સુધી તું આ હકીકત નહીં સમજે ત્યાં સુધી તું આત્મજ્ઞાનને તો ભૂલી જ જા….

Comments (6)

એક સવારે – રવીન્દ્રનાથ ટાગોર (અનુ. દક્ષા વ્યાસ)

એક સવારે
આવી ફૂલોના ઉદ્યાનમાં
એક અંધકન્યા
અર્પણ કરવા ફૂલમાળા મને
વીટેલી કમલપત્રમાં

ધારણ કરી તેને
મેં મુજ કંઠે
અને
ધસી આવ્યાં આંસુ
મારી આંખોમાં.
ચૂમી લીધી મેં તેને
કહ્યું,
“તું અંધ છો
તેમ જ આ ફૂલોય તે.
ક્યાં ખબર છે તને
કેટલો સુંદર છે
આ ઉપહાર તારો.”

– રવીન્દ્રનાથ ટાગોર
(અનુ. દક્ષા વ્યાસ)

પુષ્પ પોતાની સુંદરતાને કદી જોઈ શકતું નથી. તેનો આનંદ તેના સાહજિક સમર્પણમાં જ હોય છે. પોતે કયા રૂપ-રંગના ફૂલોનો અર્ધ્ય ઈશ્વરને ચડાવી રહી છે તેનાથી અનભિજ્ઞ એવી એક અંધકન્યા ફૂલોના ઉદ્યાનમાં-જ્યાં ફૂલોનો કોઈ તોટો જ નથી- નાનકડી ફૂલમાળ લઈને આવે છે ત્યારે કોઈ સાગરમાં લોટો રેડવા આવતું હોય એવું લાગે પણ ઈશ્વરની નજરથી એનો આ નિઃસ્વાર્થ પ્રેમ અને સમર્પણની ભાવના શી રીતે છૂપી રહી શકે? આ પ્રેમને ઈશ્વર સાનંદાશ્રુ ચૂમે ને આલિંગે નહીં તો જ નવાઈ…

Comments (8)

ઓળખ – ભગવતીકુમાર શર્મા

જીવી જવાય છે હવે માત્ર સરનામામાં :
મળી શકીશ હું તમને
ફાઇવ સેવન ટુ ડબલ નૉટ સિક્સ
ઉપર,
અથવા શોધી કાઢજો મને
ટેલિફોન ડિરેક્ટરીમાંથી.
અજાણ્યા પૉસ્ટમેન અને ટેલિફોન-ઑપરેટર
મારા આત્મીય જનો;
હાજર હોઈશ
હું મારા ફ્લેટના બારણા પરની
નેઈમ-પ્લેટમાં,
મારા હોવા-ન હોવાનો સંકેત આપશે
‘ઇન’ અને ‘આઉટ’ના શબ્દો.
કોતરાઈ ચૂક્યો છું હું
લેટરહેડ અને રબર સ્ટેમ્પોમાં,
છતાંયે હું તમને યાદ ન રહું તો-
આ રહ્યું મારું વિઝિટંગ કાર્ડ;
તાજું જ છપાવ્યું છે !

-ભગવતીકુમાર શર્મા

આજે અત્યાધુનિક ઉપકરણોના પ્રતાપે જ્યારે દુનિયા સાવ નાનકડી થઈ ગઈ છે ત્યારે સંબંધો પણ કેવા સંકોચાઈ ગયા છે એ વિશેનો તીવ્ર કટાક્ષ. આજનો માણસ રૂબરૂમાં ક્યાંય મળતો નથી. એ મળે છે સરનામામાં, ટેલિફોન નંબર, ડિરેક્ટરી, નેઈમ પ્લેટ, લેટરહેડ અને રબર સ્ટેમ્પોમાં…

કવિ એક તરફ પોતાનો ટેલિફોન નંબર આપે છે અને પછી તરત જ પોતાને ડિરેક્ટરીમાંથી શોધી કાઢવા કહે છે. કેમ? કેમ કે કવિને આજના સંબંધની ઉષ્માના ઊંડાણની જાણ છે… કવિને ખાતરી છે કે ટેલિફોન નંબર પણ યાદ રાખી શકે એવો સંબંધ હવે ક્યાંય રહ્યો નથી…

Comments (8)

સંગીતને – રેનર મારિયા રિલ્કે

સંગીત: શીલ્પોનો શ્વાસોચ્છવાસ. કદાચ:
ચિત્રોનું મૌન. જ્યાં તું બોલે બધી ભાષાઓ
શમી જાય. તું હૈયાના લય પર ટેકવેલી એક ક્ષણ.

કોના માટેની લાગણી?  તું લાગણીનું રૂપાંતર,
પણ શેમાં?: સાંભળી શકાય એવી પ્રકૃતિમાં.
તું એક આગંતુક: સંગીત. તું અમારા હૈયામાંથી
વિકસેલો કોમળ ખૂણો. અમારી અંદરનો સૌથી અવાવરૂ ખૂણો,
જે ઊંચે ઊડીને, બહાર ધસી આવે છે,
– મહાભિનિષ્ક્રમણ.
જ્યારે અંતરતમ બિઁદુ આવીને ઊભું રહે છે
બહાર, બરાબર પડખે જ, વાતાવરણની
બીજી બાજુ થઈને:
નિર્મળ,
અનંત,
જેમાં હવે આપણાથી ન વસી શકાય.

– રેનર મારિયા રિલ્કે
(અનુવાદ: ધવલ શાહ)

સંગીતની વ્યાખ્યા શું? આ સવાલ પર તો સદીઓથી ચિંતન ચાલે છે. મોટા મોટા ચિંતકો અને ફિલસૂફોની વચ્ચે આ નાની કવિતાને પણ આ મહાપ્રશ્નનો જવાબ આપવાની કોશિશ કરવી છે.

પહેલા જ ફકરામાં કવિ સંગીતની ચાર અદભૂત વ્યાખ્યાઓ આપે છે: શીલ્પોનો શ્વાસોચ્છવાસ, ચિત્રોનું મૌન, ભાષાઓ શમી જાય પછીની ભાષા અને હૈયાના લય પર ટેકવેલી ક્ષણ. અહીં જ કાવ્યનો અંત થયો હોત તો પણ કાવ્ય સંપૂર્ણ બનત. પણ આ સામાન્ય કવિતા નથી અને રિલ્કે સામાન્ય કવિ નથી એટલે કવિતા આગળ ચાલે છે.

સંગીતને કવિ લાગણીનું સાંભળી શકાય એવી પ્રકૃતિમાં રૂપાંતર અને હૈયામાં વિકસેલો કોમળ ખૂણો કહે છે. અને સંગીતના બહાર આવવાની ઘટનાને કવિ મહાભિનિષ્ક્રમણ (holy departure) સાથે સરખાવે છે.  સંગીત જાણે બહાર આવે ત્યારે એ બધા સાંસારિક બંધનોને તોડીને જ આવે છે. કેટલી ઉમદા કલ્પના !

સંગીત – હ્રદયનું અંતરતમ બિંદુ – જ્યારે બહાર આવે ત્યારે તેને કવિ વાતાવરણની બીજી બાજુ કહે છે. જાણે અત્યાર સુધી હતુ એ બધું જ એક ક્ષણમાં બદલાઈ ગયું. આ વિશ્વ હવે નિર્મળ અને અનંત, સ્વર્ગસમ, જેમાં સામાન્ય જીવોને રહેવું પણ શક્ય નથી.

( મૂળ કવિતા તો જર્મન છે. આ અનુવાદ અંગ્રેજીના આધારે કર્યો છે જે નીચે મૂક્યો છે.)

Comments (16)

વરસે ફોરાં – ગુલામ મોહમ્મદ શેખ

વરસે ફોરાં, આજ ફરી પાછાં વરસે ફોરાં,
આજ પ્રિયે ! પાછાં વરસે ફોરાં,
જેમ વિદાયની વેળ ઝમ્યાં’તાં નેણ તારાં બે શામળાં ગોરાં !
આજ ફરી પાછાં વરસે ફોરાં.

કંઠને ભીડી બાથ તારા હાથ વળગ્યા’તા, ભોળી !
ને પગ નીચેની ધૂળમાં કેવી બેઠી હતી તું નેણવાં ઢોળી !
સૌરભભીની રેણ ને આપણા ભીંજતાં’તાં બેય કાળજે-કોરાં !

ઢળું ઢળું તારી પાંપણો જેવી આખરી ટીપું ખાળતાં ચૂકી,
નખરાળી ત્યાં એક સૂકી લટ ઉપરથી જાણે ઝીલવા ઝૂકી !
મૌનનાં ગાણાં ગાઈ થાકેલા હોઠ તારા જ્યાં ઊઘડ્યા કે
મેં હળવે કેવા પી લીધા’તા વેણ-કટોરા !
આજ ફરી પાછાં વરસે ફોરાં.

મનને મારે ખોરડે આજેય ચૂવતી જાણે આંખડી તારી,
(ને) ધીમે ધીમે જાણે વચલી વેળની ધૂળ ધોવાતી જાય અકારી;
આપણો મેળ એ નેણને નાતે
વેણ ઠાલાં શીદ વાપરી કે’વું − આવજો ઓરાં !

− ગુલામ મોહમ્મદ શેખ

વરસે ફોરાં. વરસે આંખ. વિદાયટાણાની વાત. શબ્દ-સુકા હોઠ. તાજા ફોરાં-સમ વેણ. ને નેણનો નાતો. – આ ગીતનું ભાવવિશ્વ જ એટલું મીઠું છે કે પરાણે ગમી જાય.

Comments (7)

એકલતા – જગદીશ જોષી

એકલતા હોય છે બરફ જેવી

નહીં બોલાયેલા હરફ જેવી
તમે જેવું રાખો છો વર્તન
                                       – મારા તરફ
                                             – એના જેવી
એકલતા –
મને પૂછશો નહીં એકલતાનો અર્થ :
અર્થ તો શબ્દને હોય છે….
….મારે માટે તમે શબ્દ નથી
મારે માટે તમે છો
                તમે નહીં બોલાયેલો હરફ
એકલતા હંમેશા હોય છે-
                                     …..બરફ.
મારી પળેપળનાં દહન, વમળનાં વન… એકલતા !
.
 – જગદીશ જોષી
.
 .
અહીં aloneness ની વાત નથી, lonliness ની વાત છે.

Comments (9)

ખાલી રહ્યું – હરિકૃષ્ણ પાઠક

માર્ગમાં રાખી મને ઊભો જરી,
માર્ગ પૂછી કોણ આ ચાલી ગયું !

પૂરનાં પાણી ગયાં; જોતો રહ્યો:
લેશ મન હળવું નહીં – ખાલી થયું.

ડાળ પર પંખી નહીં બેઠું છતાં
પાંદડું એકેક કાં હાલી ગયું ?

બંધ બારી-બારણાં તાકી રહ્યાં,
આંગણે આવેલ કો ચાલી ગયું.

મૌન એવું મર્મને ડંખી ગયું –
કે ભર્યું એકાંત પણ ખાલી રહ્યું !

-હરિકૃષ્ણ પાઠક

Comments (6)

અંતર મમ વિકસિત કરો

અંતર મમ વિકસિત કરો, અંતરતર હે-
નિર્મલ કરો, ઉજ્જવલ કરો, સુંદર કરો હે.

જાગ્રત કરો, ઉદ્યત કરો, નિર્ભય કરો હે,
મંગલ કરો, નિરલસ નિઃસંશય કરો હે.

યુક્ત કરો હે સબાર સંગે, મુક્ત કરો હે બંધ,
સંચાર કરો સકલ કર્મે શાંત તોમાર છંદ.

ચરણપદ્મે મમ ચિત્ત નિઃસ્પંદિત કરો હે,
નંદિત કરો, નંદિત કરો, નંદિત કરો હે.

– રવીન્દ્રનાથ ટાગોર

રવીન્દ્રનાથની પ્રાર્થનાનો આ અનુવાદ આપણામાંથી મોટાભાગનાએ અનેકવાર સાંભળ્યો હશે. કવિશ્રી સુરેશ દલાલ આ કવિતાને ભગવદ ગીતા સમકક્ષ મૂકે છે.

પ્રસ્તુત કવિતામાં એક પણ શબ્દ ધ્યાન બહાર રાખી શકાય એવો નથી. એકે-એક શબ્દ પર પૂરતું ધ્યાન આપીને વિચારીએ તો જ આ કવિતા કમળ બનીને ભીતર ખુલે. મને જે પંક્તિ સવિશેષ સ્પર્શી ગઈ એ છે, યુક્ત કરો હે સબાર સંગે, મુક્ત કરો હે બંધ.  મને બધાની સાથે જોડો અને મારા બધા બંધનો તોડો… અહીં ‘બધા’ શબ્દ ખૂબ અગત્યનો છે… કવિ ઈશ્વરને પ્રાર્થના કરે છે કે મને સગપણ-લાગણી-સંબંધ અને પૈસા-દરજ્જાની ગણતરી કર્યા વિના સર્વની સાથે સમ્યકભાવે જોડો… હું હું ન રહું, બધામાં ભળી જાઉં.. મારા અને તારા વચ્ચે કોઈ અંતર ન રહે… પણ કવિતાનો ઉત્તમ ભાગ તો બધા બંધનોથી મુક્ત કરોની પ્રાર્થનામાં છે.  બધાની સાથે જોડાઈને પણ બધાથી મુક્ત કરો..  આ વિચાર કલાકો સુધી આપણને અટકાવી દે એવો ગહન છે…

 

Comments (6)

ગઝલ – મોના નાયક ‘ઊર્મિ’

આજનો અંધાર જો, રળિયાત છે !
આપણી વચ્ચે શું કોઈ વાત છે?

ક્યાં ગયો લય, જે હતો હર શબ્દમાં?
દિલમાં મારા એ જ ઉલ્કાપાત છે.

એ ધધખતું રણ લઈને આવશે,
એ સ્મરણ છે, એ જ એની જાત છે.

એટલું સહેલું નથી, જીવન તો એક
યુદ્ધ છે, ને એના કોઠા સાત છે.

કેમ તું ચર્ચાય છે, હોવાપણું?
તું નથી ને તોયે તું સાક્ષાત છે.

ક્યાં લગી એ પાળશે નિઃસ્તબ્ધતા ?
‘ઊર્મિ’ની તાસીર ઝંઝાવાત છે.

-મોના નાયક ‘ઊર્મિ’

લયસ્તરોની સહસંપાદિકા અને આશાસ્પદ કવયિત્રી મોનાની એક તરોતાજા ‘ઊર્મિ’સભર ગઝલ… સરળ ભાષા, સહજ બોધ અને ત્વરિત પ્રત્યાયનશીલતા – કોઈ પણ ઉત્તમ ગઝલના આ બધા ઘરેણાં યોગ્ય રીતે પહેરીને આવેલી આ દુલ્હનને આવકારીએ…

Comments (22)

ગઝલ – ‘સાદિક’ મન્સૂરી

જીંદગી અર્પી છે એણે માણવા જેવી મને,
તે છતાં લાગે છે એ તો ઝાંઝવા જેવી મને.

દર્દ પળ માટે મને આપ્યું છે એણે પ્યારથી,
લાગી એ દ્રષ્ટિ  કૃપાની મહાલ્વા જેવી મને.

જીંદગીભર આપણાઓએ દુ:ખો આપ્યા છતાં
લાગી સુખ-સોગાત સૌને આપવા જેવી મને.

પ્રેમની વાણી થકી જીતાય છે દુનિયા બધી,
વાત લાગી સત્ય ગાંઠે બાંધવા જેવી મને.

સત્ય કેરી લાગણીને ચાહતોમાં ફેરવી
એ હૃદય-ચક્ષુમાં લાગે આંજવા જેવી મને.

કોણ જાણે દિલ ન લાગે કેમ આ દુનિયા મહીં,
લાગતી દુનિયા નથી બસ લાગવા જેવી મને.

જૂઠ ને પ્રપંચને દુનિયા વરી છે આજકાલ,
લાગે આ દુનિયા તો ‘સાદિક’ ત્યાગવા જેવી મને.

– ‘સાદિક’ મન્સૂરી

પ્રેમની વાણી અને હૃદય-ચક્ષુવાળો શેર જરા વધુ ગમી ગયા…

Comments (3)