ગણતા રહો સિતારા તમે ઇંતેજારમાં
આદમ તમારે જાગવું છે રાતભર હજી
– શેખાદમ આબુવાલા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for રણધીર ઉપાધ્યાય

રણધીર ઉપાધ્યાય શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




કબીર – અનુ.-પિનાકિન ત્રિવેદી-રણધીર ઉપાધ્યાય

લાલી મેરે લાલકી જિત દેખોં તિત લાલ,
લાલી દેખન મૈં ગઇ મૈ ભી હો ગઇ લાલ.

ઉલટિ સમાના આપ મેં પ્રગટી જોતિ અનંત,
સાહબ સેવક એક સંગ ખેલેં સદા બસંત.

જોગી હુઆ ઝલક લગી મિટિ ગયા એંચાતાન,
ઉલટિ સમાના આપ મેં હૂઆ બ્રહ્મ સમાન.

સુરતિ સમાની નિરતિ મેં અજપા માહી જાપ,
લેખ સમાના અલખમેં આપા માહીં આપ.

જો જન બિરહી નામ કે સદા મગન મનમાંહિં,
જ્યોં દરપન કી સુંદરી કિનહૂં પકડી નાહિં.

ચીંટી ચાવલ લૈ ચલી બિચમેં મિલ ગઈ દાર,
કહ કબીર દોઉં ના મિલૈ એક લે દૂજી ડાર.

-કબીર

૧- મારા પ્રભુની લીલા એવી છે કે હું જ્યાં જોઉં ત્યાં મને લાલ[ તેની લીલા જ ] જ દેખાય છે. આ લાલીને હું જોવા ગઇ તો હું પોતે લાલ થઈ ગઈ……

૨- બહાર ભટકતો એવો હું ઊલટો ફરીને-અંતર્મુખ થઈને સ્વ-રૂપમાં સમાઈ ગયો એટલે અનંતની દિવ્ય જ્યોતિ પ્રગટ થઈ. પછી સ્વામી અને સેવક સદાયે સાથે જ વસંત ખેલતા થઈ ગયા.

૩- પરમ તત્વની ઝાંખી માત્રથી બધીય ખેંચતાણ ટળી ગઈ. મારું અસ્તિત્વ [ અહમ ] ઓગળી ગયું એટલે અહમ પણ બ્રહ્મરૂપ થઈ ગયું.

૪- સુરતિ [ આત્મા ] નિરતિમાં [ આનંદ-સ્વરૂપ પરમાત્મા ] સમાઈ ગઈ અને સ્થૂળ જાપ અંતરમાં ચાલ્યા કરતા અખંડ જપમાં વિલીન થઈ ગયા. લક્ષ્યમાં આવતું દ્રશ્ય અલખમાં સમાઈ ગયું અને દ્વૈતની ભ્રમણા તૂટી અને અદ્વૈત સિદ્ધ થઈ ગયું.

૫- પ્રભુ-વિયોગમાં તડપતા સર્વકોઈ સદાયે અંતર્મુખ થઈને મનમાં જ તલ્લીન રહે છે. દર્પણમાં દેખાતી સુંદરીને જેમ કોઈ પકડી નથી શકતું તેમ આવા વિરહીને કોઈ પામી નથી શકતું.

૬- કીડી [ જીવ ] ચોખાનો દાણો [ આત્મતત્ત્વ ] લઈને ચાલી નીકળી. રસ્તામાં એને દાળનો દાણો [ રંગીન સંસાર ] મળી ગયો. કબીર કહે છે કે બંનેને એક સાથે રખાય તેમ નથી. એટલે એક લેવું હોય તો બીજું મૂકી દેવું પડે.

Comments (11)

કબીર – અનુ. પિનાકિન ત્રિવેદી / રણધીર ઉપાધ્યાય

યહ તો ઘર હૈ પ્રેમકા ખાલાકા ઘર નાહિં,
સીસ ઉતારૈ ભુઇ ધરૈ તબ પૈઠે ઘર માહિં.

પ્રેમ પિયાલા જો પીયૈ સીસ દચ્છિના દેય,
લોભી સીસ ન દે સકે નામ પ્રેમ કા લેય.

છિનહિં ચઢૈ છિન ઉતરૈ સોં તો પ્રેમ ન હોય,
અઘટ પ્રેમ પિંજર બસૈ પ્રેમ કહાવૈ સોય.

જબ મૈં થા તબ ગુરુ નહીં અબ ગુરુ હૈં હમ નાહિં,
પ્રેમ ગલી અતિ સાંકરી તામેં દો ન સમાહિં.

જા ઘટ પ્રેમ ન સંચરે સો ઘટ જાન મસાન,
જૈસે ખાલ લોહારકી સાંસ લેત બીનું પ્રાન.

ઉઠા બગૂલા પ્રેમકા તિનકા ઉડા અકાસ,
તિનકા તિનકાસે મિલા તિનકા તિન કે પાસ.

કબિરા પ્યાલા પ્રેમકા અંતર લિયા લગાય,
રોમ રોમ મેં રમિ રહા ઔર અમલ ક્યા ખાય.

 

આ તો પ્રેમનું ઘર છે નહિ કે માસીનું ઘર. અહીં તો માથું ઉતારી ભોંયે ધરે તેને જ પ્રવેશ મળે.

પ્રેમનો પ્યાલો પીનાર દક્ષિણામાં મસ્તક ઉતારી દે છે. લોભી માત્ર પ્રેમનું નામ લઇ શકે છે-એ મસ્તક ક્યાંથી ઉતારી આપે ?

ઘડીમાં ચડે અને ઘડીમાં ઊતરી જાય તેને કંઈ પ્રેમ ન કહેવાય. પ્રેમ તો એ જ કહેવાય જે દેહ પિંજરમાં વસવા છતાંએ સ્થૂળના આધાર વિનાનો હોય છે.

જ્યાં સુધી ‘હું'[અહંકાર] હતો ત્યાં સુધી ગુરુ [પરમાત્મા] ન હતા અને હવે ગુરુ જ છે,’હું’ નથી. આ પ્રેમની ગલી તો અત્યંત સાંકડી છે,એમાં બે ન સમાય.

એ જીવન સ્મશાનવત છે જેમાં પ્રેમનો સંચાર નથી થયો. શ્વાસ તો લુહારની ધમણ પણ લે છે, પણ તેમાં પ્રાણ ક્યા છે ?

પ્રેમનો વંટોળ જાગ્યો. માનવમાં રહેલું પ્રેમરૂપી તરણું બ્રહ્માંડમાં ઉઠ્યું. તે પ્રભુપ્રેમ રૂપી તરણાને મળ્યું. આમ પ્રભુનો પ્રેમ જે માનવમાં રહ્યો હતો તે પાછો પ્રભુ પાસે પહોંચ્યો. [ અર્થાત, ઘણીવાર માનવ ઈશ્વરની લીલાને સમજી નથી શકતો અને વંટોળિયાને આફતરૂપ ગણે છે. હકીકતમાં તે ઈશ્વરની અસીમ કૃપા જ વેશ બદલીને કાર્ય કરતી હોય છે.]

કબીરના હૈયાએ પ્રેમનો પ્યાલો પીધો છે,તેને હવે બીજા નશાની શી જરૂર ?

Comments (2)