આજ ભલેને તારી હોડી
મજલ કાપતી થોડી થોડી,
યત્ન હશે તો વહેલી મોડી,
એ જ ઊતરશે પાર,
ખલાસી! માર હલેસાં માર.
ગની દહીંવાલા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for November, 2006

એવું ગજું ક્યાં છે? -અહમદ ‘ ગુલ’

ગહનતા ઘાવની માપી શકું, એવું ગજું ક્યાં છે?
વળી હર ઝખ્મ પંપાળી શકું, એવું ગજું ક્યાં છે?

સતત ઝરતી રહે છે લૂ, છતાં પણ ચાલવું તો છે,
ઘડીભર છાંયડો પામી શકું, એવું ગજું ક્યાં છે?

પડી છે વીજળી માળા ઉપર એની ખબર છે પણ,
તણખલાંઓ હવે લાવી શકું, એવું ગજું ક્યાં છે?

અમારી દુર્દશાની વાત હર મહફીલમાં ચર્ચાઇ,
જરા હું આયનો ઝાંખી શકું, એવું ગજું ક્યાં છે?

ઘણી લાંબી બની ગઇ છે હવે ઝખ્મો તણી યાદી,
બધાં નામો ભલા વાંચી શકું , એવું ગજું ક્યાં છે?

હવે એકાંતની ઝાલી જ લીધી આંગળીઓ ગુલ
ફરીથી ભીડમાં ચાલી શકું, એવું ગજું ક્યાં છે?

અહમદ ગુલ

બહુ જ સૌમ્ય વાણી વાળા આ શાયર ત્રીસ વર્ષથી બ્રિટનના
બાટલી શહેરમાં રહે છે.
બ્રિટનમાં
ગુજરાતી રાઇટર્સ ક્લબના તેઓ સ્થાપક છે.
પમરાટ અને મૌન પડઘાયા કરે તેમના કાવ્ય સંગ્રહો .

Comments (2)

મીણબત્તી – પ્રીતમ લખલાણી

દેવળના
એક ખૂણે
મીણબતીને બળતી જોઇ!

ઇસુએ પૂછ્યું,
’શું તને આમ
એકલું બળવું-પીગળવું ગમે છે?’

મીણબતી બોલી,
‘બળવા – પીગળવાનો આનંદ !
ભલા તમે દેવતાઓ શું જાણો???’

પ્રીતમ લખલાણી

મૂળ ઘાટકોપરના રહેવાસી અને કોમ્પ્યુટર ક્ષેત્રના આ નિષ્ણાત, 26 વર્ષથી અમેરીકાના રોચેસ્ટર શહેરમાં રહે છે.
તેમના કાવ્ય સંગ્રહો- ગોધૂલિ, દમક, સંકેત, એક્વેરીયમમાં દરિયો

Comments (6)

મુક્તક – અજય પુરોહિત

પંખીની  આંખથી  હું અજાણ છું
છતાં અર્જુનની હું ઓળખાણ છું
મને  કોલંબસે   આંખમાં  પૂર્યો
હું ટાપું શોધતું  કોઈ વહાણ  છું.

–  અજય પુરોહિત

Comments (2)

મુક્તક – જવાહર બક્ષી

પહોંચી  ન  શકું એટલા  એ દૂર નથી
પણ સાવ નિકટ આવવા આતુર નથી
શ્વાસોમાં  સમાઉં તો  મને એ રોકી લે
વહી  જાઉં હવામાં તો  એ મંજૂર નથી

– જવાહર બક્ષી

Comments (2)

રણમાં મલ્હાર… – હરિશ્ચન્દ્ર જોશી

કોણ ભીનો આપે આધાર
છેડીને રણમાં મલ્હાર ?

કોણ હુલાવે શબ્દકટાર
બન્ને બાજુ કાઢી ધાર ?

ડોળીમાં શ્લથ સૂરજ લઈ
સાંજ નીકળે બની કહાર.

આખી રાત રડ્યું કોઈ –
ઝાકળ ઝાકળ ઊગી સવાર.

લોહી સોંસરું ધિરકિટ ધિર
લયનું લશ્કર થયું પસાર.

બીનવારસી આંખ પડી
સપનાં ફરતાં અંદર-બ્હાર.

– હરિશ્ચંદ્ર જોશી

હરિશ્ચંદ્ર જોશી (31-08-1948) બોટાદમાં પ્રાધ્યાપક છે અને સારા ગાયક પણ. ગીત પણ સારા લખે અને ગઝલના પિંડને પણ સ-રસ રીતે બાંધી જાણે.રણની બળતી કોરાશમાં મલ્હારની ભીનાશ લઈને આવતા આ કવિ સાંજને સૂરજને ડોલીમાં લઈ જતા કહાર તરીકેના નવોન્મેષી કલ્પનથી સ્પર્શે છે. અને લયના લશ્કરના લોહીમાંથી પસાર થવાની વાત કદાચ આ આખી ગઝલનો શિરમોર શેર બની રહે છે.

Comments (8)

અમે ન્યાલ થઈ ગયા – ‘અદમ’ ટંકારવી

લઈને તમારું નામ, અમે ન્યાલ થઈ ગયા,
દ્વિધા મટી તમામ, અમે ન્યાલ થઈ ગયા.

શોધીને એક મુકામ, અમે ન્યાલ થઈ ગયા,
છોડીને દોડધામ, અમે ન્યાલ થઈ ગયા.

ડહાપણને રામ રામ, અમે ન્યાલ થઈ ગયા,
દીવાનગી સલામ ! અમે ન્યાલ થઈ ગયા.

યુગયુગની તરસનો હવે અંત આવશે,
તેઓ ધરે છે જામ, અમે ન્યાલ થઈ ગયા.

છેવટનાં બંધનોથીય મુક્તિ મળી ગઈ,
ના કોઈ નામઠામ, અમે ન્યાલ થઈ ગયા.

છે ઓર સાદગીમાં હવે ઠાઠ આપણો,
ત્યાગીને સૌ દમામ, અમે ન્યાલ થઈ ગયા.

સોંપી હવે તો દિલની મતા એમને અદમ,
માંગી લીધો વિરામ, અમે ન્યાલ થઈ ગયા.

-‘અદમટંકારવી

Comments (3)

કોઈ ચાલ્યું ગયું – રમેશ પારેખ

ખંડમાં આંખ છતની વરસતી રહી કોઈ ચાલ્યું ગયું;
શૂન્યતા ખાલી ખીંટીને ડસતી રહી કોઈ ચાલ્યું ગયું.

છાપરું શ્વાસ રૂંધી ધીમાં ધીમાં પગલાંઓ ગણતું રહ્યું,
ભીંત ભયભીત થઈને કણસતી રહી કોઈ ચાલ્યું ગયું.

બારીએ બારીએ ઘરના ટુકડાઓ બેસીને જોતા રહ્યા,
સાંકળો બારણે હાથ ઘસતી રહી કોઈ ચાલ્યું ગયું.

બેક પગલાંનો સંગાથ આપીને પડછાયા ભાંગી પડ્યા,
શેરીનાકામાં બત્તીઓ ભસતી રહી કોઈ ચાલ્યું ગયું.

– રમેશ પારેખ

પ્રિયજનનું જવું – જતા રહેવું – એટલે કે નકરા વિષાદનું ખાબકવું. પ્રિયજનના ગયા પછી ઘર એટલું ખાલી ખાલી લાગે છે કે ખુદ પોતાની હાજરી પણ ભૂલાઈ જાય છે. વિષાદ અહીં ખાલી ઘરના માધ્યમથી જ રજૂ થાય છે. ડસતી ખીંટીઓ, ભયભીત ભીંતો, ભાંગી પડેલા પડછાયા અને ભસતી બત્તીઓથી માત્ર આંઠ લીટીમાં કવિ વિષાદનું એવું ઘેરું પોત રચે છે જેની અસર મનમાંથી જવાનું નામ જ લેતી નથી.  કોઈ દરવાજો ખોલીને જાય પછી દરવાજા પરની સાંકળ થોડી વાર હાલ્યા કરે એ વાતને કવિ કેવી અલગ રીતે રજૂ કરે છે એ તો જુઓ – સાંકળો બારણે હાથ ઘસતી રહી કોઈ ચાલ્યું ગયું !

Comments (6)

મશહૂર છું – ‘રૂસ્વા’ મઝલુમી

રંગ છું હું, રોશની છું, નૂર છું;
માનવીના રૂપમાં મનસૂર છું.

પાપ પૂણ્યોની સીમાથી દૂર છું,
માફ કર, ફિતરતથી હું મજબૂર છું.

ઘેન આંખોમાં છે ઘેરી આંખનું,
કોણ કે’છે હું નશમાં ચૂર છું?

કૈં નથી તો યે જુઓ શું શું નથી,
હું સ્વયં કુમકુમ છું, સિન્દૂર છું.

ભીંત છે વચ્ચે ફકત અવકાશની,
કેમ માનું તુજ થકી હું દૂર છું?

બંધ મુઠ્ઠી જેવું છે મારું જીવન,
આમ છું ખાલી છતાં ભરપૂર છું.

હું ઇમામુદ્દીન ફક્ત ‘રૂસ્વા’ નથી,
ખૂબ છું બદનામ, પણ મશહૂર છું.

‘રૂસ્વા’ મઝલુમી

Comments (6)

લયસ્તરોની બીજી વર્ષગાંઠ – પ્રતિક્ષા છે આપના પ્રતિભાવોની…

૪ ડિસેમ્બર, ૨૦૦૪… થી ૪ ડિસેમ્બર, ૨૦૦૬…. લયસ્તરોની યાત્રા શરૂ થયાના બે વર્ષ…

લોહીમાં સુરતની ગલીઓ લઈને અમેરિકામાં સ્થાયી થઈ ગયેલા એક ગુજરાતીને બે વર્ષ પહેલાં પિત્ઝામાં રોટલીના દર્શન થયા હોય એમ મા ગુર્જરીનો સાદ સંભળાયો. વેબ-લોગના વધતા જતા વ્યાપ અને વિન્ડૉઝ-એક્ષ.પી.માં વૈશ્વિક ભાષાઓના પ્રયોગની ઉપલબ્ધિએ એક એવી દિશાના દરવાજા ખોલ્યા ને ‘લયસ્તરો’ની શરૂઆત થઈ. ધવલ શાહની એક નાનકડી રમત, જે શરૂમાં માત્ર શોખ હતી, ધીમે-ધીમે એક પ્રતિબદ્ધતામાં પલટાઈ ગઈ. અનિયમિત પૉસ્ટ કાળક્રમે અઠવાડિયે પાંચ કવિતાની જવાબદારી બની ગઈ… લયસ્તરો પરની પ્રથમ પોસ્ટ કદાચ ગુજરાતી વાચકો માટે યુગપરિવર્તનનો – સાહિત્યના કૉમ્પ્યુટરીકરણનો સંદેશ લઈને ઊગી હતી…

વધુ આગળ વાંચો…

Comments (11)

રૂપજીવિનીની ગઝલ – જવાહર બક્ષી

એક અણસારનો પડદો છે ને ઘર ખુલ્લું છે
રોજ બત્તીનો સમય છે અને અંધારું છે.

ભૂખરાં વાદળો સાથે કરો તારા-મૈત્રી
ક્યાં કોઇ ખાસ પ્રતીક્ષામાં ભીંજાવાનું છે

ખીણમાં રોજ ગબડવાનું છે ખુલ્લી આંખે
ને ફરી ટોચ સુધી એકલા ચડવાનું છે

કોઇ પછડાટ નહીં, વ્હાણ નહીં, ફીણ નહીં
સંગે-મરમરની લહેરોમાં તણાવાનું છે

આ નગરમાં તો સંબંધોના ધૂમાડા જ ખપે
અહીંયાં ઊર્મિ તો અગરબત્તીનું અજવાળું છે.

જવાહર બક્ષી

સ્ત્રી પુરુષ વચ્ચેના પ્રેમ, આકર્ષણ અને આવેગોની ઘણી રચનાઓ વિશ્વભરના સાહિત્યમાં લખાઇ છે, અને લખાતી રહેશે. પણ માનવ જીવનના આ મૂળભૂત આવેગનું જે કદરૂપું રૂપ દરેક સમાજમાં ઉપસ્યા વગર નથી રહ્યું, તેવી રૂપજીવિનીની સંસ્થા બહુ ઓછી આલેખિત થઇ છે.

લાલ બત્તી હોય પણ દિલમાં તો અંધારું હોય; કોઇ પ્રિય પાત્રની પ્રતીક્ષા નહીં પણ ઉદાસીના પ્રતિક જેવા ભૂખરા વાદળોને કોઇ ભાવ વિહોણી આંખે જોયા કરવાનું હોય ;  કોઇ શીતળ જળમાં  તણાતા હોય તેવો પ્રેમનો અનુભવ નહીં પણ જડ સંગેમરમરની લહેરમાં તણાવાનો અનુભવ; અગરબત્તીની સુગંધ નહીં પણ તેના અજવાળા જેવી  ઉર્મિ …..

આધિભૌતિક બાબતના ઉદ્ ગાતા એવા જવાહર જ્યારે આ વાત લઇને આવે છે ત્યારે તે અભાગિણી નારીનું આક્રંદ,  વ્યથા અને ખાલીપો આપણને પણ ઉદાસ અને આક્રોશિત કરી દે છે.

Comments (2)

હોવાપણાનો ભાર હવે ઉપડે નહીં – અનિલ જોશી

આશ્ચર્ય એ જ વાતનું મનમાં રહ્યા કરે,
ખાલીપણાનું ભાન કોઈને નડે નહીં.

વનમાં, ભૂલીને ભાન, રઝળતા પ્રવાસને,
ઊડતાં ઝીણાં પતંગિયા નજરે ચડે નહીં.

દૃશ્યોની પાર જાઉં છું ક્યારેક ટહેલવા,
આંખો મીંચાઈ જાય પછી ઊઘડે નહીં.

મારી લથડતી ચાલના કારણમાં એટલું,
હોવાપણાનો ભાર હવે ઉપડે નહીં.

રસ્તામાં કોઈ ફૂલ શા માણસ મળ્યા હશે,
નહીંતર ‘અનિલ’ આટલો મોડો પડે નહીં.

– અનિલ જોશી

અસ્તિત્વના ભારને સમજવા મથતો આ ગઝલનો પ્રથમ શેર મારો પ્રિય શેર છે. ખાલીપણાનું ભાન કોઈને નડે નહીં  –  એ આજનો પાયાનો  પ્રશ્ન છે.  છેલ્લા  શેરમાં કવિએ પોતાના નામ  સાથે  શ્લેષ કરીને સરસ વાત કરી છે.

Comments (3)

દુનિયા ભરમાવા ભોળી રે… – ભોજો

દુનિયા ભરમાવા ભોળી રે, ચાલ્યો બાવો ભભૂતિ ચોળી રે. ( ટેક )
દોરા ધાગા ને ચિઠ્ઠી કરે, બાવો આપે ગુણકારી ગોળી રે;
નિત્ય નિત્ય દર્શન નિયમ ધરીને, આવે તરિયા તણી ટોળી રે;
માઈ માઈ કરી માન દિયે, પણ હૈયે કામનાની હોળી રે.
ચેલા-ચેલીને ભેળાં કરી, બાવો ખાય ખીર ખાંડ ને પોળી રે;
ભોજો ભગત કહે ભવસાગરમાં બાવે માર્યાં બોળી રે.

-ભોજા ભક્ત

જેમ ધીરાની કાફી અને અખાના છપ્પા એમ ભોજા ભગતના ચાબખા પ્રખ્યાત છે. ભોજા ભગત (ઈ.સ. ૧૭૮૫ થી ૧૮૫૦) અનુભવી જ્ઞાનમાર્ગી કવિ હતા. એમના ચાબખામાં એમનો આગવો અવાજ વેધક વાણીમાં સંભળાય છે. પોણા બસો જેટલા પદો, ચાબખાઓ, આખ્યાન જેવી એમની રચનાઓમાં સદગુરુમહિમા, સંસારનું મિથ્યાપણું, ઢોંગીઓ પર પ્રહાર અને અભેદાનુભવનો આનંદ એવા જ્ઞાનમાર્ગી ધારાના વિષયોનું અસરકારક નિરૂપણ થયેલું જોવા મળે છે.

(તરિયા = સ્ત્રીઓ)

Comments (3)

મન વગર – ચિનુ મોદી ‘ઈર્શાદ’

તું મને મળતી ખરી પણ મન વગર,
ઝાંઝવા બનતાં સરોવર જળ વગર.

શૂન્ય મારું મન થયું છે એટલું,
કે હવે ખડ ખડ હસું છું ભય વગર.

જ્યાં જઉં છું ત્યાં મને સામી મળે
ભીંત પણ ચાલી શકે છે પગ વગર.

દૂર તારાથી થતો હું જાઉં છું
એમ લાગે છે, હવે છું ઘર વગર.

સૂર્ય સ્પર્શે ઓસ તો ઊડી ગયું
હું તને મળતો રહ્યો કારણ વગર.

-ચિનુ મોદી ‘ઈર્શાદ’

મહેસાણાના વિજાપુરના વતની અમદાવાદ નિવાસી ચિનુ મોદી ‘ઈર્શાદ’ (જન્મ: ૩૦-૦૯-૧૯૩૯)નો ગુજરાતી ગઝલના નવોન્મેષમાં અમૂલ્ય ફાળો છે. ગઝલને બીબાઢાળ બનતી અટકાવનાર સજાગ પ્રહરીઓમાં એ મોખરે આવે. મજાના ગીત, નાટક અને સોનેટ પણ લખે. ઉર્દૂમાં પણ ગઝલો લખે પરંતુ બે ભાષા પરની હથોટી કદી સીમા વળોટતી ન ભાસે એ એમની સિદ્ધહસ્તતા. ચીલાચાલુ રદીફ-કાફિયાથી દૂર રહી આડંબરી ભાષાથી હટીને લપસણા વિશેષણોમાં લપસ્યા વિના પુનરાવર્તન અને પુનરોક્તિના ભયસ્થાનોથી અળગા ચાલતા ચિનુ મોદીની ગઝલો એ ગુજરાતી ભાષાની સવારની ચા સમી તાજગી છે. એમના જ શબ્દોમાં કહીએ તો, ” ગઝલ એ હું આત્મકથાની અવેજીમાં લખું છું એટલું જ નહીં, ગઝલના રદીફ-કાફિયા મારે માટે શ્વાસ અને ઉચ્છવાસ જેટલા જ સહજ અને અ-નિવાર્ય બન્યા છે. હજી પણ પ્રત્યેક ગઝલ શરૂ થાય ત્યારે કાબો લૂંટી જશે એવો ડર લાગે છે. ગઝલથી વધારે છેતરામણું સ્વરૂપ ન સોનેટ છે, ન ખંડકાવ્ય છે. અ-છાંદસ, ગીત અને ગઝલ મને સૌથી છેતરામણાં કાવ્ય સ્વરૂપ લાગ્યાં છે.”

કાવ્યસંગ્રહ: ‘ઊર્ણનાભ’, ‘ક્ષણોના મહેલમાં’, ‘દર્પણની ગલીમાં’, ‘ઈર્શાદગઢ’, ‘બાહુક’, ‘અફવા’, ‘ઈનાયત’. શ્રેષ્ઠ ગઝલોનો સંગ્રહ: ‘પર્વતને નામે પથ્થર’.

Comments (5)

છોડીએ – હેમેન શાહ

મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ
કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ.

રોજ વિઘ્નો પાર કરતાં દોડવાનું છોડીએ,
પાતળી સરસાઈથી આ જીતવાનું છોડીએ.

પ્રેમના પ્રકરણ વિષે કંઈ બોલવાનું છોડીએ,
ચોપડીમાં એક વચ્ચે કોરું પાનું છોડીએ.

આવશે,જે આવવાનું છે, એ પાસે ખુદ-બ-ખુદ
અહીં કે ત્યાં, આજે કે કાલે, શોધવાનું છોડીએ.

મ્હેકની ભાષા સમજીએ, જેટલી સમજાય તે,
કિંતુ પાટક પથ્થરોને પૂછવાનું છોડીએ.

હોય જો તાકાત તો બે-ત્રણ હલેસાં મારીએ
જળને વ્હેવાની ૨સમ શિખવાડવાનું છોડીએ.

કંઠમાં શોભે તો શોભે, માત્ર પોતાનો અવાજ
પારકી રૂપાળી કંઠી બાંધવાનું છોડીએ.

કોઈ દુર્ગમ પથ ઉપર તૂટેલી ભેખડ કાં બનો ?
છોડીએ તો એક સીમાચિહ્ન નાનું છોડીએ !

– હેમેન શાહ

જીવનને સહજ અને સરળ કરી નાખવાની સલાહ ગઝલરૂપે. આપણે આપણી જાતને નડ્યા કરીએ એવી આદતોમાંથી આપણે છૂટીએ અને જીવનને અંતરથી માણીએ. (ધવલ)

કાશ…..શાયરની વાતો અમલ કરવી સ્હેલ હોત…..(તીર્થેશ)

Comments (8)

Heaven of Freedom – રવીન્દ્રનાથ ઠાકુર

જ્યાં રહે મન નિર્ભય અને
શિર ઉન્નત ને 
હો જ્ઞાન મુક્ત,

જ્યાં સંકુચિત મનોવૃત્તિથી
નથી જગત વિભાજિત
અને સત્યના ઊંડાણેથી
થતા શબ્દ ઉદ્ ભવિત,

જ્યાં સત્યની શોધ
સદા અવિરત, અસ્ખલિત,

જ્યાં તર્કનો શુધ્ધ નિર્ઝર
ન સુકાતો રૂઢિના રણે
અને સદા વિસ્તરતા વિચાર અને
કર્મના ગગને અનુસરે
મન તારા પગલે,

હે, નાથ!
જગવ મુજ દેશને
એ મુક્તિના સ્વર્ગે.

રવીન્દ્રનાથ ઠાકુર

ભાષાંતર – શૈલેશ પારેખ

Where the mind is without fear,
and the head is held high.

Where knowledge is free.

Where the world has not broken up
Into small fragments
by narrow domestic walls.

Where words come out
from the depth of truth.

Where tireless striving stretches
Its arms towards perfection.

Where the clear stream of reason
Hasn’t lost its way,
Into dreary, desert sand of dead habit.

Where the mind is led forward by Thee
Into ever-widening thought and action.

Into that heaven of freedom, O, father!
Let my country awake.

Ravindranath Tagore

ભારતને આઝાદ થયે સાઠ વર્ષ પુરા થશે.
આમાંની કેટલી આઝાદી દેશવાસીઓ પામ્યા?

Comments (1)

ઝરૂખો – સૈફ પાલનપુરી

શાંત ઝરૂખે વાટ નિરખતી
રૂપની રાણી જોઇ હતી
મેં એક શહજાદી જોઇ હતી……

એના હાથની મહેંદી હસતી’તી,
એની આંખનું કાજળ હસતું’તુ,
એક નાનું સરખું ઉપવન જાણે
મોસમ જોઇ મલકતું’તુ.
એના સ્મિતમાં સો સો ગીત હતાં,
એની ચુપકીદી સંગીત હતી,
એને પડછાયાની હતી લગન,
એને પગરવ સાથે પ્રીત હતી.
એણે આંખના આસોપાલવથી,
એક સ્વપ્નમહલ શણગાર્યો’તો,
જરા નજરને નીચી રાખીને,
એણે સમયને રોકી રાખ્યો’તો.
એ મોજાં જેમ ઉછળતી’તી,
ને પવનની જેમ લહરાતી’તી,
કોઇ હસીન સામે આવે તો ,
બહુ પ્યારભર્યું શરમાતી’તી.
તેને યૌવનની આશિષ હતી,
એને સર્વ કળાઓ સિધ્ધ હતી,
એના પ્રેમમાં ભાગીદાર થવા,
ખુદ કુદરત પણ આતુર હતી……

વર્ષો બાદ ફરીથી આજે
એ જ ઝરૂખો જોયો છે.
ત્યાં ગીત નથી, સંગીત નથી;
ત્યાં પગરવ સાથે પ્રીત નથી.
ત્યાં સ્વપ્નાઓના મહેલ નથી,
ને ઊર્મિઓના ખેલ નથી.
બહુ સૂનું સૂનું લાગે છે,
બહુ વસમું વસમું લાગે છે.
એ ન્હોતી મારી પ્રેમિકા,
કે ન્હોતી મારી દુલ્હન,
મેં તો એને માત્ર ઝરૂખે
વાટ નીરખતી જોઇ હતી.
કોણ હતી એ નામ હતું શું ?
એ પણ હું ક્યાં જાણું છું ?
એમ છતાંયે દિલને આજે
વસમું વસમું લાગે છે,
બહુ સૂનું સૂનું લાગે છે…….

– સૈફ પાલનપુરી

કયા ગુજરાતી કલા અને સાહિત્યના પ્રેમીએ ‘સૈફ’ પાલનપુરી ની આ નઝમને શ્રી મનહર ઉધાસના સૂરીલા કંઠે નહીં સાંભળી હોય?

ઘણીવાર આ નઝમ સાંભળીને મને થતું કે આટલા મોટા ગજાના શાયરે, જે વ્યક્તિને પોતે જાણતા પણ નથી, તેને માટે, કેમ આટલું દર્દ ભર્યું ગીત લખ્યું છે? એ સૌ યુવાનોને યુવાવસ્થામાં થતા, એકપક્ષી પ્રેમની અભિવ્યક્તિ માત્ર જ છે, કે તેથી વધારે કાંઇક છે? આ કોઇક ઉપમા તો નથી? ઘણા વિચાર પછી મને આ નઝમનું નીચે મુજબ અર્થઘટન જણાયું છે, જે સાહિત્યપ્રેમીઓની વિચારણા માટે રજુ કરું છું:-

અહીં ઝરુખો એ જિંદગીનું પ્રતિક હોઇ શકે. પહેલો ભાગ જીવનની શરુઆતના ભાગ- બાળપણને વર્ણવે છે. બાળપણની નિર્દોષ સુંદરતાને શાયરે એક નવયૌવના સાથે સરખાવી નથી લાગતી? અને બીજા ભાગમાં જીવનના અંત ભાગનું – વાર્ધક્યના ખાલીપાનું – મ્રુત્યુ સાવ નજીક આવી ગયું હોય તે ઘડીનું – કરુણ વર્ણન નથી લાગતું ?

આ ખાલીપો આપણને પણ સૂના સૂના નથી કરી નાંખતો ?

Comments (7)

બાળદિન વિશેષ : ૩ : ખદુક, ઘોડા, ખદુક ! – રમણલાલ સોની

ખદુક, ઘોડા, ખદુક !
ખદુક, ઘોડા, ખદુક !

ઘોડો મારો સાતપાંખાળો ઊડતો ચાલે કેવો,
કેડી નહિ ત્યાં કેડી પાડે જળજંગલમાં એવો !
ખદુક, ઘોડા, ખદુક ! ખદુક, ઘોડા, ખદુક !

એક કહેતામાં અમદાવાદ ને બે કહેતામાં બમ્બઈ,
ત્રણ કહેતામાં ઘેરે પાછો આવે ખબરું લઈ !
ખદુક, ઘોડા, ખદુક ! ખદુક, ઘોડા, ખદુક !

માગે એ ના ખાવું પીવું, માગે એ ના ચારો,
હુકમ કરો ને કરો સવારી, પળનો નહીં ઉધારો !
ખદુક, ઘોડા, ખદુક ! ખદુક, ઘોડા, ખદુક !

જાય ટપી એ ખેતરપાદર, જાય ટપી એ ડુંગર,
માન ઘણું અસવાર તણું જે રાજાનો છે કુંવર !
ખદુક, ઘોડા, ખદુક ! ખદુક, ઘોડા, ખદુક !

ઓળખી લો આ ઘોડાને, ને ઓળખી લો અસવાર,
જાઓ ઊપડી દેશ જીતવા, આજે છે દિત વાર !
ખદુક, ઘોડા, ખદુક ! ખદુક, ઘોડા, ખદુક !

-રમણલાલ સોની

Comments (2)

બાળદિન વિશેષ : ૨ : બેન અને ચાંદો – સુન્દરમ્

બેન       બેઠી    ગોખમાં,
ચાંદો     આવ્યો   ચૉકમાં.

બેની    લાવી   પાથરણું,
ચાંદો   લાવ્યો   ચાંદરણું.

પાથરણા  પર   ચાંદરણું,
ને ચાંદરણાં પર   પારણું.

ચાંદો      બેઠો    પારણે,
બેની      બેઠી    બારણે.

બેને      ગાયા    હાલા,
ચાંદાને  લાગ્યા  વ્હાલા.

બેનનો  હાલો પૂરો થયો,
ચાંદો રમતાં ઊંઘી ગયો.

– સુન્દરમ્

Comments (1)

બાળદિન વિશેષ : ૧ : ચપટી વગાડતાં આવડી ગઈ – રમેશ પારેખ

ચૌદ નવેમ્બર… જવાહરલાલ નહેરૂનો જન્મદિવસ એટલે બાળદિન. લયસ્તરો પર મોટેરાઓની કવિતા જ વાંચી-વાંચીને થાકી ગયા હોવ તો લ્યો! થોડો પોરો ખાઈ લ્યો… આજના દિવસે એક નહીં, ત્રણ-ત્રણ મજાના બાળગીતો રજૂ કરીએ છીએ… વાંચીને જો મજા પડે તો કહેજો… અવારનવાર બાળકોના ગીતો પણ લાવતા રહીશું… પણ આ ગીત મનમાં ને મનમાં વાંચવાની નોટ્ટા છે… બાળકોને જો આ ગીત ગાઈને ના સંભળાવો તો આપ સૌની કિટ્ટા…. કિઈઈઈઈટ્ટા..!

બા, મને ચપટી વગાડતાં આવડી ગઈ.

મારી ચપટી વાગે છે પટ પટ પટ,
જાણે ફૂટે બંદૂકડી ફટ ફટ ફટ,
પેલી બિલ્લી ભાગે છે ઝટ ઝટ ઝટ.
બા, મને બિલ્લી ભગાડતાં આવડી ગઈ.

તું કપડાં ધુએ ભલે ધબ્બ ધબ્બ ધબ્બ,
હું પાણીમાં નહીં કરું છબ્બ છબ્બ છબ્બ,
મારી ચપટી ભીંજાઈ જાય ડબ્બ ડબ્બ ડબ્બ.
બા, મને મુન્ની રમાડતાં આવડી ગઈ.

બા, મને ચપટી વગાડતાં આવડી ગઈ.

-રમેશ પારેખ

Comments (7)

ત્વચા પર – બકુલેશ દેસાઈ

અલગતા જુઓ વસ્ત્ર જેવી તમારી,
અમે છુંદણા થૈ જડાયાં ત્વચા પર.

તમારું સ્મરણ થૈ જતાં માત્રમાં તો,
શીળા સ્પર્શની છે બળતરા ત્વચા પર.

સડોસડ પડે દ્રશ્યના ચાબખા ને-
વીતી જિંદગીના ઉઝરડા ત્વચા પર!

મુલાયમપણાના ગયા સર્પ સરકી…
હવે તો કરચલીની ભાષા ત્વચા પર.

નિકટતા અહીં તો ઘડી બે ઘડીની !
દિવસરાત પ્રસ્વેદી છલના ત્વચા પર.

– બકુલેશ દેસાઈ

વાત વિરહની છે, એ રજૂ કરી છે ત્વચાના માધ્યમથી. કવિએ અલગ ભાત પાડતા કેટલા સચોટ શબ્દ પ્રયોગો વાપર્યા છે એ જુઓ – દ્રશ્યના ચાબખા, કરચલીની ભાષા, પ્રસ્વેદી છલના … વાંચતા અનાયાસ  જ ર.પા.ની ગઝલ હસ્તાયણ યાદ આવી જાય છે.

Comments (1)

ગઝલ – ઉદયન ઠક્કર

એકનું, કે શૂન્યનું, કે આઠડાનું
ઓલિયાને કામ કેવું આંકડાનું ?

આ જગાએ કેમ શીતળ થાય રસ્તો ?
રહી ગયું છે ચિહ્ન જૂના છાંયડાનું ? 

પાનખર વીતી છતાં ખરતાં રહે છે
પાંદડાને લાગી આવ્યું પાંદડાનું. 

રૂપિયાને રાત-દિવસ સાચવે જે
શું કહીશું એને? પાકીટ ચામડાનું ?

રેતી, કપચી, કાચ, ચૂનો, ઈંટ, આરસ
એક દિવસ કામ પડશે લાકડાનું 

ક્યાં કવિતા ! ક્યાં મુ જેડો કચ્છી માડુ !
કોકિલાએ ઘર વસાવ્યું કાગડાનું. 

-ઉદયન ઠક્કર

લયસ્તરો સાથે જોડાયો ત્યારથી લગભગ રોજની બે થી ત્રણ ગઝલો સરેરાશ વાંચવાનો નિત્યક્રમ સ્થપાયો એ લયસ્તરોમાં જોડાવાની સૌથી મહામૂલી ફળશ્રુતિ. ઢગલાબંધ સામયિકો અને પુસ્તકોની નિયમિત લટાર લેવાની યુવાનીના ચઢતા દિવસોની આદત ફરીથી પુનર્જીવિત થઈ એ અર્થમાં લયસ્તરોએ મને નવયૌવન બક્ષ્યું. આટલા બધા વાંચનમાં વાંચતા જ સર્વશ્રેષ્ઠ લાગેલી કોઈ ગઝલ મારે પસંદ કરવાની હોય તો ઉદયન ઠક્કરની આ ગઝલ પર હું  પસંદગી ઉતારું. પાંદડાને પાંદડાનું લાગી આવે? કલ્પના જ કેટલી રોચક અને દુર્લભ છે! ભૂતકાળની કોઈ શીળી યાદ વર્તમાનના આકરા રસ્તાને પણ શીતળતા બક્ષે છે…કેવી સરસ વાત કહી દીધી! રૂપિયાને આપણેચામડાના પાકીટમાં જ સાચવીએ છીએ, પણ અહીં ચામડાનું પાકીટ શબ્દ શું શબ્દશઃ પાકીટ માટે વપરાયો છે? પાકીટની જેમ આખી જિંદગી રૂપિયાને સાચવવામાં જ કાઢતા ચામડાના દેહધારીઓ પર કેવો વેધક કટાક્ષ છે ! ફક્ત એક પ્રશ્ન ચિહ્ન આખા શેરના અર્થને બદલી નાંખે છે. લાકડાની નિશ્ચિતતાવાળી વાત પણ એટલી જ સુંદર છે. અંતે મક્તામાં કચ્છી ભાષામાં કોયલ કાગડાના માળામાં ઈંડા મૂકે છે એ લોકોક્તિનો અને પોતાના જેવા કચ્છી માણસને ક્યાંથી કવિતા આવડી ગઈ એ વાતની સુંદર હૃદયસ્પર્શી રજૂઆત કરીને ઉદયનભાઈ મેદાન મારીગયા છે એવું નથી લાગતું?

Comments (7)

હો જી – અઝીઝ ટંકારવી

ક્યાં આરો ઓવારો હો જી
ઉતારશું ક્યાં ભારો હો જી

થોડી ઠોકર થોડાં ફૂલો
સપનાનો અણસારો હો જી

પહોંચી જાશો સામે પાળે
સ્હેજ તમે જો ધારો હો જી

આમ સાચવીને શું કરશું?
જળ જેવો જન્મારો હો જી

એ કેડીથી ગુમ થવાનું
વારા ફરતી વારો હો જી

-અઝીઝ ટંકારવી

અઝીઝ ટંકારવીની આ ગઝલ પહેલી નજરના પ્રેમ જેવી અનુભૂતિ છે. સાવ સરળ શબ્દો અને સુંદર ઉપલબ્ધિ. આમ તો બધા જ શેર સુંદર છે પણ જાતને સાચવીને બેસી રહેવાને બદલે વહેતા રહેવાનો અણસાર આપતો ‘આમ સાચવીને શું કરશું? જળ જેવો જન્મારો હો જી ‘ વાળી વાત મને ખૂબ સ્પર્શી ગઈ.

Comments (6)

હાઈકુ – ‘સલિલ’

ઝાકળ ચૂમે
પરોઢનું વદન
તડકો લાલ !

– ‘સલિલ’

Comments

મુક્તક – ‘ચાતક’

ઓળખી શકતા નથી નિજને જ જે
અન્યને એ શી રીતે પરખી શકે ?
જિંદગીથી પણ ડરી મુખ ફેરવે
મોતની સામેય શું નીરખી શકે ?

– ‘ચાતક’

Comments (2)

મિલનની સાથ – હીરા પાઠક

મિલનની સાથ
ગતકાલ કેરો ભારેલો જે ભાર
આક્રન્દરૂપે ફૂટે, વદું વેણ;
‘આ જીવિત ના જોઇએ.’
કંધે દઇ હસ્ત, કરુણાએ કહ્યું:

‘કાચું ફળ બિનપક્વ, ભોંયે તે શું પડે?
દેહાવધિ વિણ શું કે જીવિત ખરી પડે?
સમજીને લેખી ઇષ્ટ, જીવ્યે જવું;
ઇષ્ટ જીવન જીવ્યે જવું,
ન શું એ જ જીવિતનો મર્મ?’

હજુ સુણું – ન- સુણું વેણ.
તમ થાવું અદ્રશ્ય – અલોપ.
મારું રૂદન – અસાહાય્ય લાચારી ,
અને પ્રિય!
મારી આ દુર્ભાગી જલછાયી દૃષ્ટિને
તમ શુભ્રોજ્જ્વલ વસ્ત્રાંતનો
હજીયે ‘છ સ્પર્શ,
એ જ વિરમું હું .

લિખિતંગ
દુર્ભાગી, એકાકી
હું

હીરા પાઠક  ( પરલોકે પત્રમાંથી )

જીવનના ચાલક પરમ તત્વના વિરહના આક્રંદના ઓથારથી ભરેલ આ પત્ર એક વિશિષ્ઠ શૈલીમાં મુમુક્ષુ માનવ જીવની સનાતન વ્યથાને નવી જ અભિવ્યક્તિ આપી જાય છે.

જીવનઝાંખી

Comments (4)

યાચે શું ચિનગારી ? – ન. પ્ર. બુચ

[ ભૈરવી-તીનતાલ ]

યાચે શું ચિનગારી,મહાનર, યાચે શું ચિનગારી ?…..મહાનર.

ચકમક-લોઢું મેલ્ય પડ્યું ને બાકસ લે કર ધારી;
કેરોસીનમાં છાણું બોળી ચેતવ સગડી તારી ……મહાનર.

ના સળગ્યું એક સગડું તેમાં આફત શી છે ભારી?
કાગળના ડૂચા સળગાવી લેને શીત નિવારી …….મહાનર.

ઠંડીમાં જો કાયા થથરે, બંડી લે ઝટ ધારી;
બે-ત્રણ પ્યાલા ચા પી લે કે ઝટ આવે હુંશિયારી……મહાનર.

ન. પ્ર. બુચ

સ્વ. હરિહર પ્રા.ભટ્ટના એક જ દે ચિનગારી નું પ્રતિકાવ્ય. કવિએ આને પ્રત્યુત્તર કાવ્ય કહ્યું છે!

(ટાઇપ કરીને મોકલવા માટે અમદાવાદથી શ્રી.જુગલકિશોર વ્યાસ નો આભાર.)

Comments (4)

શાંત આનંદ – યેહૂદા અમિચાઈ

જ્યાં મેં પ્રેમ કર્યો હતો એ સ્થળ પર હું ઊભો છું.
વરસાદ વરસે છે. વરસાદ મારું ઘર છે.

ઝુરાપાના શબ્દોને હું વિચારું છું; એક દ્રશ્ય
શક્યતાના છેક છેવાડાની ધાર પર ઊભરાય છે.

મને યાદ છે તું હાથ હલાવતી
જાણે કે મારી બારી પરથી ધુમ્મસ લુછતી હોય એમ.

અને તારો ચહેરો જાણે કે મોટો થયેલો
જૂના ઝાંખા ફોટામાંથી.

એક વાર મેં મારી જાત અને બીજાઓ સાથે
ભયંકર ખોટું કર્યું હતું.

પણ દુનિયા સુંદર રીતે નિર્માણ થયેલી છે સારું કરવા માટે
અને વિસામા માટે; બગીચાના બાંકડા જેવી.

અને જીવનમાં મોડેમોડે મને જાણ થઈ
શાંત આનંદની,
કોઈ ગંભીર રોગ બહુ મોડેમોડે ઓળખાયો હોય એમ.

હવે જરીક અમથો સમય રહ્યો છે શાંત આનંદ માટે.

યેહૂદા અમિચાઈ

હીબ્રુ કવિનું આ કાવ્ય સુરેશ દલાલે અનુવાદિત કરેલું છે. આ મારા અત્યંત પ્રિય કાવ્યોમાંથી એક છે. બહુ થોડા કાવ્યોમાં એવી તાકાત હોય છે કે જીવનને એક નવો દ્રષ્ટિકોણ આપી શકે. આ કાવ્ય એમાંથી એક છે. બહુ મોડું થઈ જાય એ પહેલા આપણે આપણો પોતાનો શાંત આનંદ શોધવો જ રહ્યો.

Comments (5)

તો ? – ચિનુ મોદી

શ્વાસમાં છલકાય છાની ગંધ તો ?
ને બધે ચર્ચાય આ સંબંધ તો ?

કંઠથી છટક્યો ટહુકો મોરનો
ડાળ પરથી જો મળે અકબંધ તો ?

આંખમાંથી આંસુઓ લૂછો નહીં
તૂટશે પે….લો ઋણાનુબંધ તો ?

લાગણીભીના અવાજો ક્યાં ગયા ?
પૂછશે મારા વિશેનો અંધ તો ?

હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને
કોક દરવાજો કરી દે બંધ તો ?

– ચિનુ મોદી “ઇર્શાદ”

Comments (3)

તેં પણ – રમેશ પારેખ

બન્યો બનાવ અને નીરખ્યા કર્યું તેં પણ
હું તારા હાથમાંથી છટકેલું કાચનું વાસણ.

અણીને વખતે મદદગાર થઈ પડી કેવી
આપણા વચ્ચે છટકબારીઓ સમી સમજણ.

તું બગીચાનો કોઈ બાંકડો નથી, સોનલ
ખરી ગ્યાં ફૂલ છતાં તારી ના ઝૂકી પાંપણ ?

જખમની જેવું હતું એક સ્વપ્ન આપણને
એને પંપાળતાં રહ્યાં’તાં આપણે બે જણ.

રહી ગઈ છે અમસ્થી જ બારીઓ ખુલ્લી
રમેશ, બંધ ઘરને હોય ના કશું વળગણ.

રમેશ પારેખ

Comments (5)

આવ સજનવા – દિલીપ રાવળ

મને થવું તરબોળ હવે તો ભીની ભીની રાતો લઈને, આવ સજનવા;
                               તું વરસાદી વાતો લઈને આવ સજનવા.

ચૈતર ટાઢો ડામ બનીને અંગ અંગને બાળે,
પરસેવે હું રેબઝેબ ને ગામ બધુંયે ભાળે,
રોમરોમમાં ગીત મૂકીશું તું અષાઢને ગાતો લઈને, આવ સજનવા;
                               તું વરસાદી વાતો લઈને આવ સજનવા…

આવ આપણા સંબંધોને નામ આપશું થોડાં,
પળ પળ વીતી જાય વાલમા, પછી પડીશું મોડાં,
તોડ્યો જે ના તૂટે એવો એક અજાયબ નાતો લઈને, આવ સજનવા;
                               તું વરસાદી વાતો લઈને આવ સજનવા…

હૈયું રહેશે હાથ નહિ ને હાથ તમારે હાથે,
મળશું ભીના કૉલ આપશું વાદળ ઘેરી રાતે,
મસ્તીમાં ચકચૂર બનીશું જા, મોસમ મદમાતો લઈને, આવ સજનવા;
                               તું વરસાદી વાતો લઈને આવ સજનવા…

– દિલીપ રાવળ 

પાણીથી ભીંજાવું એ પ્રેમથી ભીંજાવાનું એક પગથિયું જ હોય એમ અહીં કવિએ વરસાદને ગાયો છે.  ચૈતર ટાઢો ડામ બનીને અંગ અંગને બાળે, / પરસેવે હું રેબઝેબ ને ગામ બધુંયે ભાળે, / રોમરોમમાં ગીત મૂકીશું તું અષાઢને ગાતો લઈને, આવ સજનવા; – પંક્તિઓ બહુ જ સરસ બની છે. ચૈત્રની ગરમીને ટાઢા ડામ જેવી કહીને બહુ સુંદર અસર ઉપજાવી છે. આ સાથે આગળ રજુ કરેલા પ્રેમ-ભીના ‘વરસાદી’ ગીતો પણ માણો – 1, 2 અને 3 .

Comments (8)

તરણા ઓથે ડુંગર રે – ધીરો

તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઇ દેખે નહીં;
અજાજૂથ માંહે રે, સમરથ ગાજે સહી.

સિંહ અજામાં કરે ગર્જના, કસ્તુરી મૃગરાજન્ ,
તલને ઓથે જેમ તેલ રહ્યું છે, કાષ્ઠમાં હુતાશન;
દધિ ઓથે ધૃત જ રે, વસ્તુ એમ છૂપી રહી.
તરણા ઓથે ડુંગર રે….

કોને કહું ને કોણ સાંભળશે? અગમ ખેલ અપાર,
અગમ કેરી ગમ નહીં રે, વાણી ન પહોંચે વિસ્તાર;
એક દેશ એવો રે, બુધ્ધિ થાકી રહે તહીં.
તરણા ઓથે ડુંગર રે….

મનપવનની ગતિ ન પહોંચે, છે અવિનાશી અખંડ,
રહ્યો સચરાચર ભર્યો બ્રહ્મપૂરણ, જેણે રચ્યાં બ્રહ્માંડ;
ઠામ નહીં કો ઠાલો રે, એક અણુમાત્ર કહીં;
તરણા ઓથે ડુંગર રે….

સદ્ ગુરુજીએ કૃપા કરી ત્યારે, આપ થયા પ્રકાશ;
શાં શાં દોડી સાધન સાધે? પોતે પોતાની પાસ;
દાસ ‘ધીરો’ કહે છે રે, જ્યાં જોઉં ત્યાં તું હિ તું હિ.
તરણા ઓથે ડુંગર રે….

ધીરો

Comments (6)