રમેશ, ભાગ જલદી ભાગ, કોરા કાગળમાં
સમયનું ઝેર ચડ્યું છે, ઉતારવું પડશે.
રમેશ પારેખ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for અછાંદસ

અછાંદસ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




શૂન્યતા – માલા કાપડિયા

મને મારો જ ડર લાગે
એટલી બધી શૂન્યતા
શા માટે
ફેલાઇ હશે અવકાશમાં?

ઉદાસ શિર
ઢાળી શકાય કોઇના
ખભા ઉપર
એવો એક
સંબંધ પણ નથી ?

અને
આથી જ
એકલવાયી સાંજે
અરીસામાં
મારા જ ખભા પર
માથું ઢાળી
હું
રડી લઉં છું.

– માલા કાપડિયા

એક સઘન અભિવ્યક્તિ……..

Comments (8)

નાનપણમાં – રમેશ પારેખ

નાનપણમાં બોરાં વીણવા જતા.
કાતરા પણ વીણતા.
કો’કની વાડીમાં ઘૂસી ચીભડાં ચોરતા.
ટેટા પાડતા.
બધા ભાઇબંધોપોતાનાં ખિસ્સામાંથી
ઢગલી કરતા ને ભાગ પાડતા-
-આ ભાગ ટીંકુનો.
-આ ભાગ દીપુનો.
-આ ભાગ ભનિયાનો, કનિયાનો…
છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા-
‘આ ભાગ ભગવાનનો !’

સૌ પોતપોતાની ઢગલી
ખિસ્સામાં ભરતા,
ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી
રમવા દોડી જતા.

ભગવાન રાતે આવે, છાનામાના
ને પોતાનો ભાગ ખાઇ જાય-એમ અમે કહેતા.

પછી મોટા થયા.
બે હાથે ઘણું ય ભેગું કર્યું ;
ભાગ પાડ્યા-ઘરના, ઘરવખરીના,
ગાય, ભેંસ, બકરીના.
અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો ?

રબીશ ! ભગવાનનો ભાગ ?
ભગવાન તે વળી કઇ ચીજ છે ?

સુખ, ઉમંગ, સપનાં, સગાઇ, પ્રેમ-
હાથમાં ઘણું ઘણું આવ્યું…

અચાનક ગઇ કાલે ભગવાન આવ્યા;
કહે : લાવ, મારો ભાગ…

મેં પાનખરની ડાળી જેવા
મારા બે હાથ જોયા- ઉજ્જ્ડ.
એકાદ સુકું તરણું યે નહીં.
શેના ભાગ પાડું ભગવાન સાથે ?
આંખમાં ઝળઝળિયાં આવ્યાં,
તે અડધાં ઝળઝળિયાં આપ્યાં ભગવાનને.

વાહ !- કહી ભગવાન મને અડ્યા,
ખભે હાથ મૂક્યો,
મારી ઉજ્જ્ડતાને પંપાળી,
મારા ખાલીપાને ભરી દીધો અજાણ્યા મંત્રથી.

તેણે પૂછ્યું : ‘કેટલા વરસનો થયો તું’
‘પચાસનો’ હું બોલ્યો
’અચ્છા…’ ભગવાન બોલ્યા : ‘૧૦૦ માંથી
અડધાં તો તેં ખરચી નાખ્યાં…
હવે લાવ મારો ભાગ !’
ને મેં બાકીનાં પચાસ વરસ
ટપ્પ દઇને મૂકી દીધાં ભગવાનના હાથમાં !
ભગવાન છાનામાના રાતે એનો ભાગ ખાય.

હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું અહીં.
જોઉં છું રાહ-
કે ક્યારે રાત પડે
ને ક્યારે આવે છાનામાના ભગવાન
ને ક્યારે આરોગે ભાગ બનેલા મને
ને ક્યારે હું ભગવાનનાં મોંમાં ઓગળતો ઓગળતો…

– રમેશ પારેખ

શું આલેખન છે !!!! અદભૂત !!

Comments (11)

ઢીંચણ પર માખી બેઠીને… – રાવજી પટેલ

ઢીંચણ પર માખી બેઠીને
મને રડવું આવ્યુંઃ
હે… તું કેટલા બધાં વર્ષો પછી પાછી આવી?
મારા ઢીંચણ કૂવાના ડોડલા જેવા સૂકાભઠ.
એનીપર કોઈનોય સ્પર્શ થતો ન’તો.
ચરામાં દર્ભ ઊગતો, સુકઈ જતો,
તૃણ તૃણ થઈ ઊડી જતો.
ઝાડ પર બાચકો પોપટો બેસતા અને ખરી જતા
પણ મારા ઢીંચણ તો સાવા ઊંડી વાવ જેવા ખાલી ખાલી.

આજે ઢીંચણ પર દિવાળી બેઠી છે!
મને થાય છેઃ
ચોકની માટીમાં રગડપગડ આળોટું
પણ
હે… તું કેટલા બધાં વર્ષો પછી પાછી આવી?
આજે કામ બામ નથી કરવું,
માખી ઊડી જશે તે પછી હું
મારા ઢીંચણને ચબ્બકચબ્બક ધાવીશ.
બગીચામાંથી સૂર્યમૂખીનું ફૂલ ચૂંટીને
એના પર મૂકીશ.

આ પૃથ્વી પરની
એક માખીને પણ
મારો ઢીંચણ મીઠો લાગે
પછી મને કેમ રડવું ન આવે?

– રાવજી પટેલ

કવિના ઘૂંટણ ખાલી ખાલી, એના પર એક માખી બેસે તેમા કવિ આખા પાણી પાણી ! હસી લો, ભાઈ, હસી લો… રોજ રોજ કંઈ માખી પરની કવિતા જોવા મળે છે? બિચારી માખીને કવિતામાં ‘એક્સટ્રા’નો રોલ પણ ભાગ્યે મળે છે અને અહીં તો ‘હિરોઈન’નો રોલ મળી ગયો છે… હસી લો !

હસવાનું પતે એટલે વિચારી જુઓ… માણસ એવો તે કેવો સૂક્કોભટ થઈ જતો હશે કે એક માખીનું બેસવું ય એને વ્હાલું લાગે ? માણસ એવો તે કેવો તરછોડાયો હશે કે એક માખીના બેસવામાં એને આલિંગનનો આનંદ આવી જાય?

આવી કવિતાઓ લખતો એટલે રાવજી રાવજી હતો. કવિ હોવા અને કવિતા જીવવામાં કેટલો ફરક છે એ આવી કવિતા વાંચતા અનુભવી શકાય છે.

Comments (5)

ઇન્દ્રિયોપનિષદ – જગદીશ જોષી

આદિમાનવને જ્યારે ભાષા નહોતી ફૂટી
ત્યારે એ કેટલો બધો સુખી હશે !
શબ્દો સ્પર્શને બુઠ્ઠો કરી મૂકે છે.

– જગદીશ જોષી

કવિની એક લાંબી-લચક કવિતામાંથી માત્ર ત્રણ જ પંક્તિઓ આજે આપ સહુ માટે…

ત્રણ જ પંક્તિમાં સંબંધનો મહાવેદ જાણે !

Comments (10)

પ્રિય…ને, – જયા મહેતા

તમે મને તમને પ્રેમ કરતાં શીખવ્યું છે,
તમે મારા દિવસોને આનંદથી ભરી દીધા છે.
તમે મારા આંગણામાં પારિજાત ઉછેર્યો છે,
તમે મારી રાત્રીઓને મઘમઘતી કરી છે.

તમે મારા ડૂબુંડૂબું થતા વહાણને ઉગાર્યું છે,
તમે કિનારાને કિનારો હોવાની સાર્થકતા બક્ષી છે.
તમે ઘુવડની આંખને પ્રકાશનું માહાત્મ્ય સમજાવ્યું છે,
તમે મારા ખંડમાં અજવાળું પાથર્યું છે.

તમે મને તૃણથી તરુવર સુધી વહેતી હવાની ઝાંખી કરાવી છે.
તમે મારી બધી થોરકાંટાળી વાડને તોડી છે.
તમે મને સાઇરન અને મંદિરના ઘંટનો ભેદ સમજાવ્યો છે,
તમે મને તમને પ્રેમ કરતાં શીખવ્યું છે.

તમે મને દુનિયાને પ્રેમ કરતાં શીખવ્યું છે.

– જયા મહેતા

ચૌદમી પંક્તિ ઉમેરી હોય તો મુક્ત-સૉનેટ કહેવાનું મન થાય એવું મજાનું કાવ્ય. પહેલી બાર પંક્તિમાં તો કવિતા એક પ્રેમીનું બીજા સામેનું કબૂલાતનામું જ બની રહે છે. તમે મારા જીવનમાં આ ને તે અને પેલું અને ઓલું અને વગેરે વગેરે બનીને આવ્યા છો… પણ કવિતાનો ખરો પંચ એની આખરી પંક્તિમાં છે.. જે કોઈ એકની મહત્તા અને મહત્વ સમજી-સ્વાકારી કોઈ એકને સાચા અર્થમાં પ્રેમ કરી શકે એ સમસ્ત વિશ્વને ચાહતાં શીખી જાય છે…

Comments (6)

મધુર આશીર્વાદ – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ- ઉમાશંકર જોશી

આ જીવનમાં હું સુંદરના મધુર આશીર્વાદ
પામ્યો છું.
મનુષ્યના પ્રીતિપાત્રમાં એની સુધાનો
આસ્વાદ પામું છું.
દુ:સહ દુઃખના દિવસે
મને
અક્ષત અને અપરાજિત આત્માની ઓળખ
થઈ છે.
પાસે આવી રહેલા મૃત્યુની છાયાનો
જે દિવસે અનુભવ કર્યો છે તે દિવસે
ભયને હાથે દુર્બળ પરાજય થયો નથી,
શ્રેષ્ઠ પુરુષોના સ્પર્શથી હું વંચિત થયો નથી.
તેઓની અમૃતવાણી
હૃદયમાં મેં સંચિત કરી છે.
જીવન-વિધાતા તરફથી મને જીવનમાં
જે અનુકૂળતાઓ સાંપડી છે
તેની
સ્મરણલિપિ
કૃતજ્ઞમનથી
મેં આંકી રાખી છે.

– રવીન્દ્રનાથ ઠાકુર – અનુ- ઉમાશંકર જોશી

ગુરુદેવની આ પ્રાર્થના સાથે આપને નવવર્ષને વધાવીએ……….

Comments (3)

પ્રતિજ્ઞા – રવીન્દ્રનાથ ઠાકુર અનુ-નગીનદાસ પારેખ

હું તાપસ નહિ થાઉં , નહિ થાઉં ,નહિ થાઉં ,
જેને જે કહેવું હોય તે કહે.
જો તપસ્વિની ન મળે તો હું જરૂર તાપસ નહિ થાઉં.
મેં
કઠિન પ્રતિજ્ઞા કરી છે કે જો બકુલ વન ન મળે,
જો મન જેવું મન જીતવા ન પામું,
તો હું તાપસ નહિ થાઉં ,નહિ થાઉં ,
જો તે તપસ્વિની ન મળે તો.

હું ઘર છોડીને બહાર નહિ જાઉં, હું ઘર નહિ છોડું,
ઉદાસીન સંન્યાસી થઈને બહાર નહિ જાઉં.
જો ઘરની બહાર કોઈ જ વિશ્વને લોભાવનારું હાસ્ય ન હસે.
મધુર વાયુથી ચંચલ એવું નીલાંચલ જો ન ઊડે,
કંકણ અને નૂપુર જો રુમઝુમ ન વાગે,
જો તપસ્વિની ન મળે તો,
હું તાપસ નહિ થાઉં , નહિ થાઉં ,નહિ થાઉં.

તારા સમ, હું તાપસ નહિ થાઉં.
જો એ તપને જોરે નવીન હૃદયમાં
જો હું નવું વિશ્વ રચી ન શકું,
જો હું વીણાના તાર ઝંકારીને કોઈના મર્મના દ્વાર તોડીને,
કોઈ નવીન આંખનો ઇશારો ન સમજી લઉં,
જો તપસ્વિની ન મળે તો હું તાપસ નહિ થાઉં , નહિ થાઉં.

– રવીન્દ્રનાથ ઠાકુર અનુ-નગીનદાસ પારેખ

…………..ઉનકો ખુદા મિલે, હૈ ખુદા કી જિન્હેં તલાશ; મુઝકો તો બસ ઇક ઝલક મેરે દિલદાર કી મિલે…….. ઈશ્વર પ્રત્યે તો જો અદમ્ય પ્રીત હોય તો હોય, ન હોય તો તેને જાત ઉપર ઠોકી ન બેસાડાય . પ્રેમતત્વમાં શ્રદ્ધા રાખવી ઘટે, કદાચ ઐહિક પ્રેમ જ અલૌકિક પ્રેમ તરફ દોરી જશે ……

Comments (4)

દીકરાને……- સિતાંશુ યશશ્ચંદ્ર

તારે માટે હું એક પહાડ
પથરાળ કેડી ને કેટલીક બીજી તકલીફોવાળો
ઊંચો પણ ઈચ્છે તો ઓળંગી શકાય એવો.

કરાડો પર ખીલા ફટકાવી
મોકાની તરાડો પર પંજા ભરાવી
બે પાંચ જનાવરને કડિયાળી ફટકાવી ઊંચે ચઢતાં તો
કૌવતભર્યાં બને તારાં બાવડાં ને જાંઘ.

એ જ પહાડોનાં વનોમાં
તારા તનને પુષ્ટ કરતાં
ઝૂકેલી ડાળીઓનાં ફળ, ઊંચા મધપૂડાનાં મધ ને વેગીલાં
પણ ન્હોર વિનાનાં પ્રાણીઓનાં માંસ
તારે માટે જ તો છે.

ને પછી નિરાંતના રાતવાસો કરવા સાફ અણધારેલી ગુફા.
ને ફરી પરોઢે કરડી કરાડો

પહાડ ચઢી, ઓળખી, ઊતરી, ઓળંગી આગળ વધે તું
પુષ્ટ અને પહોંચેલો,
સુવાંગ તારી માલિકીની બનવાની છે એ આઘેની જમીંમાં,
ત્યારે,
પાછળ,
ટાઢા ધુમ્મસની ધીમે ધીમે ઢંકાતી જતી
અને વધતા જતા અંતરને કારણે જાણે સતત સંકોચાતી જતી,
ગિરિમાળાને
જરી અડકજે અટક્યા વિના
સૂરજ-હૂંફાળી તારી સોનેરી નજરથી……

– સિતાંશુ યશશ્ચંદ્ર

કાવ્યનું શીર્ષક કાવ્યને ખોલી આપતી કૂંચી છે. પહેલાં જે પિતા પુત્રને પહાડ જેવો લાગતો, તે સમય જતાં ધીમે ધીમે સંકોચાતી જતી, પાછળ રહી જતી ગિરિમાળાનો એક અંશ સમ ભાસે છે. એક સૂક્ષ્મ વેદના ઊઠે છે ગર્વિત/વ્યથિત પિતાને હૈયે અને કહે છે -‘ જરી અડકજે અટક્યા વિના , સૂરજ-હૂંફાળી તારી સોનેરી નજરથી…… ‘ – અને સમયનું ચક્ર ફરતું રહેશે…..એ પુત્ર પણ કદીક પિતા બનશે ……

Comments (10)

ચાલ – જગદીપ સ્માર્ત

અનંત અક્ષાંશથી શૂન્ય રેખાંશ તરફ
ગતિ કરતા સૂર્યને ડૂબી જવા દે…….
પછી ફાનસના અજવાળામાં
કૃષ્ણપક્ષી અંધારી રાતે,
અગાશીમાં
આપણે કઠેરો બનીને ઊભા રહીશું.
તે જ વખતે મકાની ભીંતમાંથી,
એક પીપળાનું પાન
ચોક્કસ બહાર આવશે જ.
જેને વાંચીશું આપણે બન્ને મળીને એક જ આંખે.
ક્યાંક તારી કે મારી
સંવેદનાઓથી વંચિત
એ પીળું પડીને બાવળ બની જાય,
તે પહેલાં-
ચાલ,
એને કર્ણિકાર બનાવી કાનમાં પહેરી લઈએ.

– જગદીપ સ્માર્ત

પીંછીથી કવિતા લખતા આ વિરાટ વ્યક્તિત્વએ કદીમદી પેન પણ ચલાવી છે. સુરતના સપૂત એવા આ ચિત્રકારે અકાળે ચિરવિદાય લીધી તે પહેલા મારા સદભાગ્યે મને તેમની સાથે બે વખત થોડો સમય સાથે ગાળવાનો લ્હાવો મળ્યો હતો. નખશિખ સરળતાની મૂર્તિ એવા જગદીપભાઈના વ્યક્તિત્વમાંથી છલકાતી કરુણા એટલી ટૂંકી મુલાકાતોમાં પણ અનુભવી શકાઈ હતી. એક મિત્રએ અનાયાસે જ આ કવિતા મોકલી અને આ કવિતામાં છલકાતું તેમનું વ્યક્તિત્વ તેઓની સર્વતોમુખી ઊંડી કલાસૂઝનો આછેરો ખ્યાલ આપે છે.

Comments (8)

સમસ્યા – જયશ્રી ભક્ત

હવે થાકી ગઈ છું
તારી સાથે લડીને..
જાત સાથે લડીને..

નથી જીતવું
હથિયાર હેઠાં મૂકી દેવા છે
કંઈ જ સાબિત નથી કરવું
કંઈ જ નથી જોઈતું…
કંઈ જ નહીં… હા… હા, કંઈ જ નહીં

બસ, આ મેદાન છોડી દેવું છે!

પણ,
અભિમન્યુ
અને
મારી સમસ્યા
એક જ છે…

– જયશ્રી ભક્ત

સાચી અને સારી કવિતા હંમેશા બહુ ઓછા અને બહુ સરળ શબ્દો પહેરીને આવે છે. “સમસ્યા” નામના ઉંબરા પર પગ મૂકીને આપણે આ કવિતાના ઘરમાં પ્રવેશીએ છીએ એટલે આપણે તૈયાર છીએ કે કોઈક ઘેરા રંગ સાથે આપણો ભેટો થનાર છે પણ એ રંગ કેટલો ઘેરો ને ઘાટો હોઈ શકે એ તો કવિતામાં પ્રવેશ્યા પછી જ ખબર પડે.

કવિતાનો ઉપાડ ‘હવે’થી થાય છે. આ એક જ શબ્દમાં અત્યારપર્યંતની તમામ નિષ્ફળ કોશિશોનો નિચોડ આવી જાય છે. પ્રથમ પંક્તિથી સાબિત થઈ જાય છે કે આ એક ‘હવે’ થાકેલી સ્ત્રીની એકોક્તિ છે. તારી સાથે લડીને… જાત સાથે લડીને… અહીં કવયિત્રી ક્યાંય “હું’ આવવા દેતા નથી એ વાતની સમજણની ક્ષિતિજ પર “તારી” અને “જાત” એકાકાર થઈ જતા અનુભવાય છે. પછીની પંક્તિઓમાં જિંદગીનો થાક, હાર અને નિરાશા સતત દ્વિગુણિત થતા રહે છે. નાની અમથી કવિતાની પાંચ પંક્તિમાં ચાર-ચાર વાર પુનરુક્તિ પામતા ‘કંઈ જ’ની ધાર આપણા અહેસાસને આરપાર ચીરી નાંખે છે… હજી સુધી કવયિત્રીનો હું કવિતાથી દૂરનો દૂર જ રહ્યો છે જેનો પ્રવેશ આખી કવિતામાં છેલ્લેથી બીજી પંક્તિમાં માત્ર એકવાર થાય છે.

કવિતાના ભાગ પાડી નાંખતી ખાલી જગ્યાઓ પણ ખૂબ બોલકી લાગે છે. જે વાત કવયિત્રી શબ્દોમાં નથી કરતાં એ “બિટ્વિન ધ લાઇન્સ” વંચાતું રહે છે. કવયિત્રીનો આ વિશેષ એમની અગાઉની રચનામાં પણ નજરે ચડે છે.

સમસ્યા કઈ છે એ તો આપણે સહુ જાણીએ જ છીએ… મારે તો કવિતાની technical achievement વિશે જ વાત કરવી હતી… હું તો આને ચૌદ પંક્તિનું મુક્ત-સૉનેટ કહેવા લલચાઈ રહ્યો છું.

અને હા, ટહુકો.કોમની સફળ સંચાલિકા જયશ્રીને આજે જન્મદિવસની વધાઈ આપવાનું તે કેમ ભૂલાય? જન્મદિન મુબારક હો, જયશ્રી !

Comments (36)

મધપૂડા – મનીષા જોષી

મોટાં ઘટાદાર વૃક્ષો
અને તેના પર લટકતા વજનદાર મધપૂડા.
મધ ચૂસતી મધમાખીઓનાં પુષ્ટ શરીર જોઈને
ઊંઘમાં પણ મારા ચહેરા પર સ્મિત ફરી વળે છે.
ખાતરી કરીને ચોખ્ખું મધ ખરીદતી કોઈ ગૃહિણીની જેમ
હું અદમ્ય સંતોષ અનુભવું છું.
સુખ, અસહ્ય સુખ. નથી સહન થતું હવે.
મધપૂડા પર ફેંકાતા પથ્થર
મારી પીઠ પર વાગે છે.
મધમાખીઓના ડંખ
મારા શરીરે ઊઠી આવે છે.
વૃક્ષો વચ્ચે છંછેડાઈને આમતેમ ઊડાઊડ કરતી
મધમાખીઓનો ગણગણાટ
મારા રૂમમાં પ્રસરે છે.
પગ સાથે અથડાતા
સુકાઈ ગયેલા મધપૂડાને
હું ઘરમાં સજાવટ માટે મૂકેલા
સુગરીના કલાત્મક,ખાલી માળાની બાજુમાં ગોઠવી દઉં છું.
મધમાખીઓ વિનાનો આ મધપૂડો પહેલીવાર સ્પષ્ટ દેખાય છે.
તેની અંદરનાં ભર્યાં ભર્યાં પોલાણ હું જોઈ રહું છું.
કોઈ ખાલી ઘરમાં બારી-બારણાંનો ભેદ ક્યાં હોય?
મારી નજર સોંસરવી પસાર થઇ જાય છે.
સુખ ઊડતું રહે છે, મધમાખીની જેમ.
એક થી બીજા મધપૂડા પર.

-મનીષા જોષી

તૃષ્ણા-desire ની વાતને થોડા અઘરા રૂપકથી રજૂ કરી છે . જીવન કદાચ રંગહીન છે – આપણી તૃષ્ણાના રંગને તે માત્ર પરાવર્તિત કરે છે અને આપણે એ પ્રતિબિંબને જીવનનો પોતીકો રંગ સમજી બેસીએ છીએ . વિપરીત સંજોગો એ પથ્થર રૂપી ખલેલ છે . મધમાખીઓ ઊડી જાય છે અને ખાલી મધપૂડો સ્પષ્ટ નજરે ચડે છે . ‘ ભર્યાં ભર્યાં પોલણ ‘ – કદાચ વક્રોક્તિ પણ હોઈ શકે પરંતુ કદાચ તે સુખ-દુઃખ થી પર એવી અવસ્થા પણ ઈંગિત કરતું રૂપક હોઈ શકે .

Comments (4)

મર્યાદાઓ – હોર્હે લૂઈસ બોર્હેસ (અનુ. વિવેક મનહર ટેલર)

મરીઝની એક પંક્તિ જે હું ફરી યાદ નથી કરવાનો,
એક નજીકની જ શેરી જે હવે મારા ચરણ માટે છે વર્જ્ય,
એક અરીસો જેણે બસ, છેલ્લી જ વાર મને જોયો,
એક દરવાજો જે મેં બંધ કરી દીધો પ્રલયના દિવસ સુધી,
મારા પુસ્તકાલયમાંના પુસ્તકો (જે મારી સામે જ પડ્યા છે)
એમાંના કેટલાક હું હવે ક્યારેય ઊઘાડવાનો જ નથી.
આ ઉનાળે મેં પચાસ પૂરાં કર્યાં;
મૃત્યુ અનવરત મને કોરી રહ્યું છે.

– હોર્હે લૂઈસ બોર્હેસ (સ્પેનિશ)
અનુ. વિવેક મનહર ટેલર

*

વનપ્રવેશ – જીવનની પચાસ વસંત પૂરી કરી એકા’વન’માં પ્રવેશવાની ઘડી ઘણા લોકો માટે યુ-ટર્ન બની રહે છે. જેટલાં ગયાં એટલાં હવે બાકી નથીનો નક્કર અહેસાસ ભલભલાને ધ્રુજાવી દે છે. મરણ ઢૂંકડું ભાસે એટલે સ્મરણ ઝાંખા પડવા માંડે ને ચરણ થાકવા માંડે… મર્યાદાઓ નજરે ચડવા માંડે…

*
Limits

There is a line in Verlaine I shall not recall again,
There is a street close by forbidden to my feet,
There’s a mirror that’s seen me for the very last time,
There is a door that I have locked till the end of the world.
Among the books in my library (I have them before me)
There are some that I shall never open now.
This summer I complete my fiftieth year;
Death is gnawing at me ceaselessly.

-Jorge Luis Borges
(English trans. Julio Platero Haedo)

(Verlaine- જાણીતા ફ્રેન્ચ કવિ)

*

આ કવિતાના ઉપસંહારમાં કવિ લખે છે કે,

“A man sets himself the task of portraying the world. Through the years he peoples a space with images of provinces, kingdoms, mountains, bays, ships, islands, fishes, rooms, instruments, stars, horses, and people. Shortly before his death, he discovers that that patient labyrinth of lines traces the image of his face.”

Comments (6)

શોકગીત – અજ્ઞાત (ચીન) (અનુ. વિવેક મનહર ટેલર)

તકિયા ઉપર ગાલને ગાલ અડાડીને,
પ્રેમ કરવાનું આપણે વચન આપ્યું હતું જ્યાં સુધી લીલા પર્વતોનું પતન ન થાય,

અને લોઢું નદી પર તરવા ન માંડે,
અને ગંગા નદી જાતે સુકાઈ ન જાય;

પ્રેમ કરવાનો જ્યાં સુધી સપ્તર્ષિ દિવસે ન ઊગે
અને ધ્રુવતારક દક્ષિણમાં ચાલ્યો ન જાય.

આપણે વચન આપ્યું હતું અમર પ્રેમનું જ્યાં સુધી સૂર્ય
મધરાત્રે આકાશ બાળી ન મૂકે.

– અજ્ઞાત (ચીન)
અનુ. વિવેક મનહર ટેલર

*

લગભગ ચૌદસો – પંદરસો વર્ષ પહેલાં ચીનના કોઈક કવિએ લખેલ આ શોક-ગીત ક્રૌંચવધ જોઈ વાલ્મિકીના હૃદયમાં જેવો ચિત્કાર જાગ્યો હતો એવો ચિત્કાર આપણી ભીતર જગાડે છે. પ્રેમમાં સંભોગની કોઈક અંતરંગ પળોમાં બંને પ્રેમી આકાશકુસુમવત્ પ્રતિકો વડે વચન આપે છે અને છૂટા પડે છે… જેણે દિલથી પ્રેમ કર્યો છે એ પ્રેમી માટે તો વિયોગની આ પળો હજી પણ પ્રેમની ઉત્કટતા જેટલી જ પીડાદાયક છે…

*

Cheek to cheek on our pillows,
we promised to love until green mountains fall,

and iron floats on the river,
and the Yellow River itself runs dry;

to love till Orion rises in the day
and the north star wanders south.

We promised undying love until the sun
at midnight burns the sky.

by Anonymous
(Chinese T’sang Dynasty)

(Yellow River = એશિયાની બીજા નંબરની મોટી નદી)

Comments (4)

શું છે ત્યાં આજે, જ્યાં વૃક્ષ હતું… – ઉમાશંકર જોશી

શું છે ત્યાં આજે,
જ્યાં વૃક્ષ હતું
એક વાર ?
અવકાશ શૂન્ય ?
હવા પારદર્શક ?
ના.

ચાલ્યો સીધો જાઉં.
ઓ ભટકાયો – એવું મનને
ભાસે કાંઈ સઘન, માર્ગમાં.

પેલું આવે શરગતિએ કો વિહંગ….
એ ય તે
ખમચાયું ક્ષણ શૂન્યવચાળે
ડાળે જાણે બેઠું ?
બેઠું-ના-બેઠું જાણે
ને વૃક્ષ-આકૃતિ અંકિત કરતું ગયું શૂન્યમાં.

વિશ્વ કોઈ મુજ,
નીડ બનીને
ઝૂલ્યા કરશે હવે ચિરંતન
એ આકૃતિની લઘુ હથેળીમાં.

– ઉમાશંકર જોશી

જમીન અને સ્મૃતિ – બંને પર અડિંગો જમાવી બેઠેલ કોઈ વૃક્ષ અચાનક કપાઈ જાય ત્યારે ? કવિ મજાનાં સંવેદન-ચિત્રો દોરી આપે છે. વસ્તુ શૂન્ય થઈ શકે પણ સ્મૃતિ ?

અને આ શું માત્ર વૃક્ષચ્છેદન પછીના સંવેદનની જ વાત છે કે કોઈ સંબંધવિચ્છેદની પણ ?

Comments (4)

મુક્તિ – – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ-રમણલાલ સોની

મુક્તિ ક્યાં છે, અને હું મુક્તિ કોને કહું છું એ
મને પૂછશો મા .
હું કંઈ સાધક નથી, હું ગુરુ નથી,
હું કવિ છું .
ધરતીની ખૂબ નજીક છું, આ કિનારાના નૌકાના ઘાટ પર !
સામે પ્રાણની નદી ભરતીઓટ કરતી અંધારું અને અજવાળું,
સારું અને ખોટું, વહી જવા જેવું કંઈ કેટલુંયે,
અને લાભહાનિ તથા રુદાનહાસ્યના કંઈ કેટલાયે ઢગલે ઢગલા લઈને
નિત્ય વહી રહી છે-
એક કાંઠો ભાંગીને બીજો કાંઠો ઊભો કરે છે ;
એ જ પ્રવાહની ઉપર ઉષા લાલ લાલ બની જાય છે .
અને ચંદ્રમાના પ્રકાશની રેખા માતાની આંગળીના જેવી પડે છે;
અંધારી રાતે બધા તારા ધ્યાનમંત્રનો જપ કરે છે;
આથમતો સૂરજ લાલ ઉત્તરીય પસવારીને ચાલ્યો જાય છે;
એ તરંગમાં માધવી-મંજરી માધુર્યની છબી વહાવે છે,
અને પંખીઓ પોતાનાં ગીત ઢોળે છે .

એ તરંગના નૃત્યના છંદમાં જયારે ચિત્ત આ વિશ્વપ્રવાહમાં
પોતાના સંગીતની સાથે વિચિત્ર ભંગિમાં નૃત્ય કરે છે,
ત્યારે
એ છંદમાં મારું બંધન છે,
મારી મુક્તિ પણ એમાં જ છે .
હું કશું રાખવા ઈચ્છતો નથી, કે કશાને વળગી રહેવા ચાહતો નથી;
હું તો વિરહ-મિલનની ગ્રંથિને ખોલી નાખીને,
નૌકાના સઢને ભાગેડુ પવનમાં ચડાવીને
સૌની સાથે વહેતો રહેવા ચાહું છું .

હે મહાપથિક, તારી દશે દિશાઓ ખુલ્લી છે .
તારે નથી મંદિર,
નથી સ્વર્ગધામ;
કે નથી અંતિમ પરિણામ .
તારે પગલે પગલે તીર્થધામ છે .
તારી સાથે ચાલી ચાલીને હું મુક્તિ પામું છું,
ચાલવાની સંપદમાં,
ચંચલના નૃત્યમાં અને ચંચલના ગાનમાં,
ચંચલના સર્વ કાંઈ ભૂલી જનારા દાનમાં-
અંધકારમાં પ્રકાશમાં,
સર્જનના પ્રત્યેક પર્વમાં
અને પ્રલયની પ્રત્યેક ક્ષણમાં .

– રવીન્દ્રનાથ ઠાકુર – અનુ-રમણલાલ સોની

જરા ધૈર્યથી એકથી વધુ વાર વાંચવું પડે તેવું કાવ્ય છે … મૂળભૂત ધ્વનિ મુક્તિના વિચારમાંથી મુક્ત થવાનો છે …. જેને જે. કૃષ્ણમૂર્તિ ‘ total freedom ‘ કહે છે તે મુક્તિની વાત છે . જીવનસરિતાના અસ્ખલિત પ્રવાહને એકાત્મ થતા જ બંધન અને મુક્તિનું દ્વન્દ્વ જ રહેતું નથી .

Comments (9)

(કાવ્ય) – રાજેશ પંડ્યા

પવન કવિતા લખે છે
પહાડના પથ્થર પર.

પથ્થર કવિતા લખે છે
નદીનાં જળ પર.

જળ કવિતા લખે છે
લીલા લીલા ઘાસ પર.

ઘાસ કવિતા લખે છે
ઝાકળનાં ટીપાં પર.

અને ઝાકળ કવિતા લખે છે
આપણાં જીવન પર.

– રાજેશ પંડ્યા

ઉત્તમ કવિતામાં સરળતા હંમેશા છેતરામણી હોય છે. એક કલ્પનથી શરૂ થઈ બીજા પર ને બીજા પરથી ત્રીજા-ચોથા એમ લસરતી આ સાવ બાળમંદિરના બાળકો માટેના જોડકણાં જેવી દસ પંક્તિઓ સહેજ વિચારો તો કેવા મજાનાં અને અર્થગંભીર પાંચ દૃશ્યો દોરી આપે છે…!

Comments (7)

મધ્યવર્ગીય ગાર્ગી – ઇન્દિરા સંત

એક પથ્થર દુઃખનો.
એક પથ્થર કાળનો.
એક પથ્થર ત્યાગનો.
વાત્સલ્યના થર ઘાટ માટે વાપરવાના.
આવો સુરેખ ચૂલો ઘરે ઘરે હોય.
ઘર સંભાળનારી… ઘર સાચવનારી.
તેનું જ નામ ગૃહસ્વામિની… ગૃહલક્ષ્મી. ઘરધણિયાણી
આમ ઘરબારથી વીંટલાયેલી. બંધાયેલી.
ઘર આખામાં ફરતી ભમરડાની જેમ.
ઓતપ્રોત અને અતૃપ્ત.

ક્યાંક ક્યાંક કે ઘણુંખરું ઘરમાં જ સિઝાતી
વાનગીઓની ફરસી વરાળ બહાર ફેલાય છે.
દૂર દૂર પ્રસરે છે અને કોઈક તે સ્વાદિષ્ટ વરાળનાં વાક્યો
બનાવે છે,
મથાળાં બાંધે છે :
આધિનિક સ્વતંત્ર સ્ત્રી. સ્ત્રીનો વિકાસ.
પ્રગતિપથ પર સ્ત્રીની હિલચાલ. વગેર વગેરે.
કાનને મનને વાક્યો મીઠાં લાગે.
આંકડાઓની પ્રગતિ તો સૂર્ય સુધી પહોંચે.
સાંજે થાકેલી હારેલી જમણાડાબા હાથમાં
પર્સ પડીકાં ને ઝોળી સંભાળતી ઘરે પાછી આવતી તે.
તે ગાર્ગી. મધ્યવર્ગી તે
પેલાં મથાળાંની માલિક
પર્સના હોદ્દાની સાથે જ સંભાળીને આણેલાં પેલાં
વાક્યોનાં લાકડાં ચૂલામાં મૂકે છે,
બહુ જલ્દી ચા કરવા માટે.
ચાના નશામાં જ પાંખો સંકેલી લેવી જોઈએ.

અને પછી કૂકર. પછી રોટલી. પછી વઘાર.
મોટાંનાનાં સૌનાં મન સાચવવાનાં. નોકરોની જડતા
કેટલાયે દોર ઘટ્ટ જકડી રાખનારા.
બધું જ કંટાળા ભરેલું. સીઝવનાર પણ તે જ.
અને સીઝનાર પણ તે જ.

– ઇન્દિરા સંત (મરાઠી)
(અનુ. જયા મહેતા)

ગાર્ગી નામ કાને પડતાં જ આપણા મનોચક્ષુ સમક્ષ ભરી રાજ્યસભામાં ભલભલા વિદ્વાનોનું ગુમાન ઉતારી દેતી વિદૂષી આવી ઊભે છે. અહીં કાવ્યનાયિકા ગાર્ગી આજના મધ્યમવર્ગની સ્ત્રીની પ્રતિનિધિ છે.

ત્રણ પથ્થર મૂકીને છાણ-માટીના ગારાથી એને ઘાટ આપી તૈયાર થતા ચૂલાથી શરૂ થઈ કવિતા કેરિયર-વુમન સુધી જઈ ફરી ચૂલા અને રસોઈ સુધી પહોંચે છે ત્યારે આપણી અંદર કશુંક હચમચી જતું અનુભવાય છે.

આ ગાર્ગી એના સંસારમાં ઓતપ્રોત થઈ ભલે જીવતી હોય, અતૃપ્ત છે. મોટા ભાગે ઘરની ચાર દીવાલો વચ્ચે જ સ્ત્રીનું જીવન પૂરું થાય છે. ક્યાંક આ “ફરસી વરાળ” બહાર પણ ફેલાય છે અને અખબારોમાં મોટા મથાળાં આવે છે કે આજની સ્ત્રી પુરુષ-સમોવડી બની ચૂકી છે. સૂર્યને આંબી જાય એવા સ્ત્રીઓની પ્રગતિના આંકડા અંતે તો ચૂલો અને ઘરની જવાબદારીઓમાં જ સિઝાઈ જતા હોય છે. સ્ત્રી સ્ત્રી જ રહે છે. એની સાચી પ્રગતિ ન એ ગાર્ગીના સમયમાં થઈ હતી, ન આજની આ ગાર્ગીના સમયમાં…

Comments (8)

તમે – અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

તમે હાથમાં હાથ લીધો. મેં જોયું. મારા હાથમાં બેડી.
તમે હસ્યા. અવાજના ખીલા મારા શરીરમાં ખોડાઈ ગયા.
તમે માથે હાથ મૂક્યો. કાંટાળો તાજ રક્તથી રંગાઈ ગયો.
તમે જતાં જતાં કહેતા ગયા : તું ઈશુ નથી.

તમે હાથ મિલાવ્યો. મારા હાથમાં પારિજાત.
તમે હસ્યા. ધરતી પર વર્ષાનાં છાંટણાં, મારે અંગે રોમાંચ.
તમે માથે હાથ મૂક્યો. આંખ સામે અદભુત દૃશ્યો
ખૂલતાં ને ખૂલતાં ચાલ્યાં.
જતાં જતાં તમે કહેતા ગયા :
હું ઈશુ નથી.

– અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

જીવનના બે અંતિમ. એક દુઃખથી છલોછલ અને એક ખુશીથી ઉભરાતો. માથે દુઃખ પડે ત્યારે આપણે આપણાથી વધુ દુઃખી આ સંસારમાં અવર કોઈ નથી એવું જ માની બેસીએ છીએ અને સામાને દુઃખનું કારણ. વળી ખુશ હોઈએ ત્યારે જેના કારણે જીવનમાં ખુશી આવી હોવાનું અનુભવીએ એ આપણને ભગવાન જેવો લાગે છે…

પણ સત્ય તો એ છે કે ન કોઈ વ્યક્તિ, ન કોઈ સંજોગ કે ન કોઈ બનાવ પણ આપણું મન પોતે જ આપણા દુઃખ-સુખનું ખરું કારણ છે…

Comments (3)

~ – ક્વાસિમોદો (અનુ. નલિન રાવળ)

…હું તને જાણું છું, તારામાં ખોવાઈ ગયો છું,
તારાં સ્તનોના ઉભારમાં નિખરી રહેલું સૌંદર્ય
તારા નિતંબોમાં ફેલાયેલું સૌંદર્ય,
તારા માદક દેહમાં લચી પડેલું સૌંદર્ય
તારા સુકુમાર ચરણોની દસ અંગુલીઓ
અને તારા દેહની રેખાએ રેખામાં ઝંકૃત થઈ
વહી રહેલું સૌંદર્ય.
પણ રહે, તને હું સ્વીકારીશ તો
તું પણ શબ્દ બની જઈશ – વ્યથા બની જઈશ.

– ક્વાસિમોદો (ઈટાલી)
(અનુ. નલિન રાવળ)

માણવા અને પામવા વચ્ચેનો ફરક સમજી લેવાય તો જિંદગીની અડધોઅડધ તકલીફ ઓછી ન થઈ જાય ? ગુણવંત શાહ યાદ આવે છે: “એક માણસ બે ભૂરી ભૂરી આંખોના પ્રેમમાં પડ્યો અને પછી આખા શરીરને પરણવાની ભૂલ કરી બેઠો”

Comments (5)

ખાલી ખુરશી – રવીન્દ્રનાથ ઠાકુર

જનહીન બપોરની વેળાએ તડકાનો તાપ ધખે છે,
ખાલી ખુરસી તરફ જોઉં છું,
ત્યાં સાન્ત્વનાનો લેશ પણ નથી.
તેના હૃદયમાં ભરેલી હતાશાની ભાષા
જાણે હાહાકાર કરે છે.
કરુણાથી ભરેલી શૂન્યતાની વાણી ઊઠે છે
તેનો મર્મ પકડતો નથી.
માલિક ગુમાવેલો કૂતરો જેમ કરુણ દ્રષ્ટિએ જુએ છે,
તેમ અબૂઝ મનની વ્યથા હાય હાય કરે છે;
શું થયું, કેમ થયું, કંઈ સમજતી નથી.
દિનરાત વ્યર્થ આંખે ચારેકોર શોધે છે.
ખુરસીની ભાષા જાણે એથીય કરુણ અને કાતર છે.
શૂન્યતાની મૂક વ્યથા પ્રિયહીન ઘરને વ્યાપી વળે છે.

-રવીન્દ્રનાથ ઠાકુર – અનુ- નગીનદાસ પારેખ

આ કાવ્ય ગુરુદેવે પોતાના દીર્ઘ આયુષ્યના અંતિમ વર્ષે લખ્યું હતું . આ કાવ્યના બે થી ત્રણ અર્થઘટન શક્ય છે . ઘૂંટાયેલી વેદના તો સ્પષ્ટ છે જ… શેની વેદના છે – કોની વિદાય આટલી વસમી છે તે બાહ્યજગતના સંદર્ભે પણ સમજી શકાય તેમ જ આંતર્જગતના સંદર્ભે પણ….

Comments (5)

નજર – સારા ટિસડેઇલ (અનુ. જયા મહેતા)

સ્ટીફને મને ચુંબન કર્યું વસંતમાં
રૉબિને પાનખરમાં
પણ કોલિને ફક્ત જોયું મારી સામે
અને ચુંબન ક્યારેય ન કર્યું.

સ્ટીફનનું ચુંબન રમૂજમાં ખોવાઈ ગયું

રૉબિનનું ખોવાઈ ગયું રમતમાં.
પણ કોલિનની આંખોનું ચુંબન
રાતદિવસ મારો પીછો કરે છે.

– સારા ટિસડેઇલ
(અનુ. જયા મહેતા)

પ્રેમનું સંવેદન તો પૂર્વ હોય કે પશ્ચિમ, સરખું જ હોવાનું… કેવી મજાની વાત અને કેટલી ઓછી પંક્તિઓ !

Comments (8)

પ્રેમ – જયા પ્રભા (અનુ. સુરેશ દલાલ)

કિનારા પરની રેતીમાં
ખોવાઈ ગયેલી વીંટી જેવો
છે પ્રેમ.

મળશે એની આશામાં ને આશામાં
તમે શોધ્યા જ કરો
વીંટી કેમેય કરી મળતી નથી.

આશા મરતી નથી.
જીવનની આસપાસ કંટાળો

પથરાય છે રેતીની જેમ.

– જયા પ્રભા (તેલુગુ)
(અનુ. સુરેશ દલાલ)

પ્રેમ નામની લાગણી પર તો ગ્રંથોના ગ્રંથો લખાઈ ચૂક્યા છે ને લખાતા રહેશે. પણ ક્યારેક વાસ્તવિક્તાને અડતી આવી અભિવ્યક્તિ જડી જાય છે…

Comments (7)

ગધેડીના – રમેશ પારેખ

યુધ્ધો, યાતનાશિબિરો, હોનારતો
હાહાકારો
હોસ્પિટલના દોઝખમાં ઓગળતાં મનુષ્યો
ભૂખમરો
મોત……..
આ બધું ગધેડીના ઈશ્વરનું સર્જન છે?
હશે.
આ પ્રશ્નનો જવાબ મને આવડતો નથી.
કેમકે આ તો અભ્યાસક્ર્મની બહારનો સવાલ છે!

શ્રીમદ ભાગવત આખેઆખું ચાવી જનાર ભૂખી ગાય
બીજે દિવસે કતલખાને હડસેલાય
એ ગાય, જેણે ગોકુળ, મથુરા, વૃન્દાવન અને
શ્રી કૃષ્ણ સહિતનું જ્ઞાન પચાવ્યું,
તેને દૂધ નહીં આપવાના ગુના સબબ
કતલખાનાને દરવાજે કેમ ઊભા રહેવું પડે છે?
– આ પ્રશ્નનો જવાબ પણ મને નથી આવડતો.

હું અભણ છું
મારા કપાળમાં અંધારુ લખનાર ઈશ્વરને
ગધેડીનો ના કહું તો શું કરું?

પરંતુ બાળક, ફૂલ, તુષાર, સવાર, ગીત, પંખી
અને માતા
આટલી વસ્તુનો સર્જક ઈશ્વર છે
તેની મને ખબર છે…….

આ ખબરની સાક્ષીએ
હું શંકાનો લાભ આપીને
સર્જકને કહું છું ઈશ્વર.

હું ઈશ્વરને માફ નહિ કરું
પણ સર્જક્ને ઈશ્વર કહું છું
માટે ઈશ્વરને તેના ગુનાઓની માફી આપું છું!

– રમેશ પારેખ

Comments (14)

(પૈસો) – હેનરી મિલર (અનુ. વિવેક મનહર ટેલર)

પૈસામાં ચાલવું રાત્રિની ભીડમાં થઈને,
પૈસા વડે રક્ષાવું, પૈસા વડે જ સૂવું, ઝાંખા પડવું
પૈસા વડે,
ટોળું પોતે જ પૈસો,
શ્વાસ પૈસો,
નાનામાં નાનો કોઈ એક પદાર્થ પણ ક્યાંય એવો નહીં જે પૈસો ન હોય,
પૈસો, પૈસો જ સર્વત્ર અને તોય અપૂરતો,
અને પછી પૈસાનો અભાવ,
અથવા થોડો પૈસો અથવા ઓછો કે વધુ પૈસો,
પણ પૈસો, હંમેશા પૈસો,
અને જો તમારી પાસે પૈસો છે અથવા નથી.

એ પૈસો જ છે જેની ગણના છે
અને પૈસો જ બનાવે છે પૈસાને,
પણ શું છે જે બનાવે છે પૈસાને પૈસો ?

– હેનરી મિલર
(અનુ. વિવેક મનહર ટેલર)

*

‘ધન’નો અર્થ તો વેદાંતકાળથી જ સ્પષ્ટ હતો. એ જમાનામાં ધનનો અર્થ થતો હતો દોડ અથવા દોડસ્પર્ધાના વિજેતાને મળતો પુરસ્કાર. આમ, એ સમયથી જ ‘દોડવું’ એ ધન સાથે જોડાઈ ગયું હતું અને ત્યારથી દેશ ભલે કોઈ પણ હોય, સંસ્કૃતિ ભલે કોઈ પણ હોય અને સમય પણ ભલે કોઈ પણ હોય, માણસ ધનની પાછળ દોડતો જ રહ્યો છે… કવિ કાવ્યાંતે એક મહત્ત્વનો પ્રશ્ન પૂછે છે કે કઈ વસ્તુ છે જે પૈસાને પૈસો બનાવે છે?

*

To walk in money through the night crowd,
protected by money, lulled by money, dulled
by money,
the crowd itself a money,
the breath money,
no least single object anywhere that is not money,
money, money everywhere and still not enough,
and then no money,
or a little money or less money or more money,
but money, always money,
and if you have money or you don’t have money.

It is the money that counts
and money makes money,
but what makes money make money?

– Henry Miller

Comments (3)

અતિથિગૃહ – રૂમી (અનુ. વિવેક મનહર ટેલર)

આ મનુષ્ય હોવું એ એક અતિથિગૃહ છે.
દરેક સવારે એક નવું આગમન.

એક આનંદ, એક હતાશા, એક હલકટાઈ,
કેટલીક ક્ષણિક જાગૃતિ
આવે એક અણધાર્યા મુલાકાતી તરીકે.

સર્વનું સ્વાગત કરો અને મનોરંજન પણ!
ભલે તેઓ દુઃખોનું એક ટોળું કેમ ન હોય,
જે હિંસાપૂર્વક તમારા ઘરના
રાચરચીલાંને પણ સાફ કરી નાંખે,
છતાં પણ, દરેક મહેમાનની સન્માનપૂર્વક સરભરા કરો.
એ કદાચ તમને સાફ કરતા હોય
કોઈક નવા આનંદ માટે.

ઘેરો વિચાર, શરમ, દ્વેષ,
મળો એમને દરવાજે સસ્મિત
અને આવકારો એમને ભીતર.

જે કોઈ આવે એમના આભારી બનો,
કારણ કે દરેકને મોકલવામાં આવ્યા છે
એક માર્ગદર્શક તરીકે પેલે પારથી.

– રૂમી
(અનુ. વિવેક મનહર ટેલર)

*

આ કવિતા માટે એક લેટિન વાક્યપ્રયોગથી વિશેષ કશું મનમાં આવતું નથી: res ipsa loquitur (It speaks for itself) (એ સ્વયંસ્પષ્ટ છે)

*

This being human is a guest house.
Every morning a new arrival.

A joy, a depression, a meanness,
some momentary awareness comes
as an unexpected visitor.

Welcome and entertain them all!
Even if they’re a crowd of sorrows,
who violently sweep your house
empty of its furniture,
still, treat each guest honorably.
He may be clearing you out
for some new delight.

The dark thought, the shame, the malice,
meet them at the door laughing,
and invite them in.

Be grateful for whoever comes,
because each has been sent
as a guide from beyond.

– Rumi
(English Translation by Coleman Barks)

Comments (10)

બંદી – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ- નગીનદાસ પારેખ

‘ બંદી, કોણે બાંધ્યો છે તને,
આટલી સખ્ત રીતે ?’

‘ માલિકે મને વજ્ર જેવા સખ્ત
બંધનથી બાંધ્યો છે.
મનમાં મારે હતું-
સૌ કરતાં હું મોટો થઈશ.
રાજાનું ધન મેં મારા ઘરમાં
ભેગું કર્યું હતું.
ઊંઘ આવતાં માલિકની પથારી પાથરી
હું સૂઈ ગયો હતો.
જાગીને જોઉં છું તો સ્વ-સંચિત ભંડારમાં
હું બંધાયેલો છું.’

‘ ઓ બંદી, વજ્ર જેવું બાંધણ કોણે ઘડ્યું છે ?’

‘ મેં પોતે જ બહુ જતનપૂર્વક
એ ઘડ્યું છે.
મેં ધાર્યું હતું કે મારો પ્રતાપ
જગતને ગ્રસશે,
હું એકલો જ સ્વાધીન રહીશ,
બધા જ દાસ થશે.
એટલે મેં રાત-દિવસ લોઢાની સાંકળ ઘડી હતી-
-કેટલી આગ,કેટલા ઘા તેનું કંઈ ઠેકાણું નથી.
ઘડવાનું જયારે પૂરું થયું ત્યારે જોઉં છું-
તો
મારી એ સખ્ત અને કઠોર સાંકળે
મને જ બંદી બનાવ્યો છે.’

-રવીન્દ્રનાથ ઠાકુર
અનુ- નગીનદાસ પારેખ

અહીં લૌકિક બંધનની વાત નથી. આપણે પોતે જ્ન્મપશ્ચાત આપણી પોતાની જાતને – જેને આપણે ‘મન’ કહીએ છીએ – અસંખ્ય જડ પૂર્વગ્રહો અને અર્ધદગ્ધ જાણકારીઓ [ જેને આપણે ‘જ્ઞાન’ કહીએ છીએ ] વડે રચાતી નાગચૂડમાં જકડાઈ જવા દઈએ છીએ. આ નાગચૂડમાં સંપૂર્ણપણે ગ્રસ્ત થયા બાદ આપણે વિવિધ ધર્મ-સંપ્રદાય-માર્ગ-ગુરુ-ફિલોસોફી ઈત્યાદીમાં આ નાગચૂડમાંથી મુક્ત થવાનો માર્ગ શોધીએ છીએ જેને કારણે આપણને ગ્રસ્ત કરનાર નાગચૂડનો માત્ર પ્રકાર બદલાય છે – real freedom , સાચી મુક્તિ જોજનો દૂરની જોજનો દૂર જ રહે છે. વળી આ બધા તરફડીયાને લીધે આપણે સાચા માર્ગથી વધુને વધુ અળગા થતા જઈએ છીએ. પછી આત્મવંચનાનો ભયાનક તબક્કો આવે છે. અંતે બચે છે માત્ર huge Ego……

Comments (5)

આવ મારી પાસે – એન વિલ્કિન્સન (અનુ. અપૂર્વ કોઠારી)

આવ મારી પાસે
સ્વેચ્છાપૂર્વક નીચે પડતી
વિશાળ સાગરમાં ખોવાઈ જવા
સરિતા જેમ નહીં..
પણ આવ મારી પાસે
જેમ કિનારે આવે છે ભરતી
ખાલી અખાતને છલકાવી દેવા
શ્વેત નીરવતાથી;
ધરતી અને સાગર કામક્રીડા કરતાં.

– એન વિલ્કિન્સન
(અનુ. અપૂર્વ કોઠારી)

પ્રણયની ઉત્કટતાની બળવત્તર અભિવ્યક્તિનું કાવ્ય… પ્રેમ સમર્પણ નહીં, છલોછલ છલકાઈ જવાનું નામ છે…

Comments (10)

કદ – માર્જોરી પાઈઝર (અનુ. જયા મહેતા)

તમારા વક્ષ પર માથું મૂકીને સૂઈ જાઉં છું
અને તમારા હાથ મારી ફરતા વીંટળાયેલા ત્યારે
હું નાની થઈ જાઉં છું અને સુરક્ષિત
મારા પ્રિયતમ દ્વારા.

મારા વક્ષ પર માથું મૂકીને તમે સૂઓ છો
અને મારા હાથ તમારી ફરતા વીંટળાયેલા, ત્યારે
હું મને બહુ સબળ અનુભવું છું, સુરક્ષા કરતી
મારા પ્રિયતમની.

– માર્જોરી પાઈઝર
(અનુ. જયા મહેતા)

વીજળીના ચમકારની જેમ શરૂ થયા પહેલાં જ પૂરી થઈ જતી આ કવિતા આપણા અંતઃકરણમાં કેવો પ્રેમલિસોટો છોડી જાય છે…

Comments (10)

(સાક્ષી) – માર્કસ આર્જેન્ટેરિયસ (અનુ. વિવેક મનહર ટેલર)

છાતી છાતી સાથે આલિંગનબદ્ધ,
સ્તન સાથે સ્તન,
અધર દબાયા છે મીઠા અધર સાથે,
અને એન્ટિગનીની ત્વચાને મારી ત્વચા બનાવીને
હું રહું છું મૌન
બીજી બધી ક્રિયાઓ પરત્વે
જે સૌ માટે આ દીવો બન્યો છે સાક્ષી.

– માર્કસ આર્જેન્ટેરિયસ
(અનુ. વિવેક મનહર ટેલર)

*
ગઈ કાલે આપણે આ કવિતાનું એક ભાષાંતર માણ્યું જ્યાં એન્ટિગનીનો ઉલ્લેખ સમજણના પ્રદેશની જરા બહાર રહી ગયો હોય એમ લાગતું હતું. પ્રસ્તુત ભાષાંતરમાં વાત થોડી સ્પષ્ટ થતી લાગે છે. બે હજાર વર્ષ પહેલાંના પુરુષપ્રધાન ગ્રીસમાં એન્ટિગનીએ એકલા હાથે પોતાના ભાઈઓની દફનવિધિ માટે જે રીતે કમર કસી હતી એ એની તાકાતનો અહેસાસ કરાવે છે… અહીં રતિક્રીડામાં સ્ત્રી-પુરુષનું સર્જાતું મૂક સાયુજ્ય એની હાજરીની તાકાતનો અહેસાસ કરાવે છે…

*

Leaning chest to chest,
breast to breast,
pressing lips on sweet lips,
and taking Antigone’s skin to my skin,
I keep silent
about the other things,
to which the lamp is registered as witness.
– Marcus Argentarius
(Greece)

Comments (3)

(સાક્ષી) – માર્કસ આર્જેન્ટેરિયસ (અનુ. રાજેશ વ્યાસ ‘મિસ્કીન’)

એના નિર્વસ્ત્ર ભરાવદાર સ્તન
પડ્યાં છે મારી છાતી પર
ને એના અધરો પુરાયા છે મારા અધરો વચ્ચે.

મારી સૌંદર્યવતી એન્ટિગની સાથે
સૂતો છું હું સંપૂર્ણ સુખમાં
નથી કોઈ આવરણ અમારી વચ્ચે.

આગળ કશું નહીં કહું,
એનું સાક્ષી તો છે માત્ર ઝાંખું ફાનસ.

– માર્કસ આર્જેન્ટેરિયસ
(અનુ. રાજેશ વ્યાસ ‘મિસ્કીન’)

સમજી શકાય છે કે આ કામક્રીડા સફળતાથી પૂર્ણ થયા બાદની સ્વગતોક્તિ છે. સમ-ભોગ પછીના સંપૂર્ણ સુખમાં બે દેહ અદ્વૈત અનુભવે છે પણ કવિ વિગતે કશી વાત ન કરીને આપણા રસભાવની કસોટી કરતાં હોય એમ આગળની વાર્તા ફાનસના ‘ઝાંખા’ પ્રકાશના હાથમાં છોડી દે છે…

થીબ્સના રાજા ઇડિપસના એની પોતાની માતા જોકાસ્ટા સાથેના લગ્નથી જન્મેલ અનૌરસ પુત્રી એ એન્ટિગની. એન્ટિગનીનો શાબ્દિક અર્થ ‘પુરુષ વિરોધી’ કે ‘વીર્યવિરોધી’ પણ થાય છે. મૃત્યુ પામેલા બે ભાઈઓને થીબ્સમાં જ દફન થવા મળે એ માટે એન્ટિગની લડી હતી. જો કે પ્રસ્તુત કવિતામાં એનો રેફરન્સ સમજવો મારા માટે દોહ્યલું થઈ પડ્યું છે…

Her perfect naked breast
upon my breast,
her lips between my lips,

I lay in perfect bliss
with lovely Antigone,
nothing caught between us.

I will not tell the rest
Only the lamp bore witness.

– Marcus Argentarius
(Greece)

Comments (8)

આત્મની આરામગાહે – મકરંદ દવે

તમે જેને ચાહો છો એ કદી તમને ન ચાહે
તમે જેને કહો છો ચાલ, તે ના’વે તમારા એક રાહે
જિન્દગી સસ્તી નથી
ને એ મળી તમને અમસ્તીયે નથી
વેડફો શાને નિરર્થક આંસુ ને નિ:શ્વાસ ને આઘાત આહે !
તમે આગે ચલો !
આગ છોને અંતરે છૂપી જલો
પણ જિન્દગીમાં સ્મિત ભરીને બળ ધરી પંથે પળો.

આજ જે તમને ન ચાહે
છો ન આવે એક રાહે
એ જ જો દીવો હશે સાચો હ્રદે
તો આપ મેળે આવશે દોડી પથે.

ને જિન્દગીમાં જો નહીં તો-
ના હવે એ વેડફો નિ:શ્વાસ ને આઘાત આહે-
રાખજો વિશ્વાસ કે એ આવશે આખર નકી
ઉજ્જવળ તમારા આત્મની આરામગાહે .

-મકરંદ દવે

આ કાવ્ય વિષે ટિપ્પણ લખવા જેટલા સશક્ત શબ્દો મારી પાસે છે જ નહીં…….

Comments (10)

ગેઈશા ગીત ~ અનામી (અનુ. જયા મહેતા)

આજની રાતે એકલી સૂતી છું ત્યારે
હું મારી આંસુની પથારી પર છું
ઊંડા સમુદ્ર પર
તરછોડાયેલી હોડીની જેમ.

-અનામી
(અનુ. જયા મહેતા)

જાપાનમાં વારાંગનાને ગેઈશા કહેવામાં આવે છે. માત્ર ચાર જ નાનકડી લીટીમાં એક વારાંગનાના આખા જીવનનું કેવું આબેહૂબ ચિત્ર! વારાંગનાની પાસે પોતાની જાત સાથે વાત કરી શકે એવું એકાંત ક્યાંથી હોય? એકાદ ભૂલીભટકી રાતે ગ્રાહક ન હોય એવી ક્ષણે એને મહેસૂસ થાય છે કે એ આંસુની પથારી પર સૂતી છે… વિશાળ ગહન સંસારમાં એનાથી વધુ તરછોડાયેલ બીજું કોણ હોઈ શકે?

Comments (9)

મૃત્યુફળ – ઉમાશંકર જોશી

મારે બારણે એક ઝાડ સુકાઈ રહ્યું છે.
હું ચિત્રકાર નથી તેનો અફસોસ મને આટલો કદી ન હતો
નર્યું રેખાઓનું માળખું છે એ.

એને ચરણેથી એને જોઉં છું.
પીધું લીધું દીધું તે બધુંય જાણે ખંખેરીને ઊભું ન હો !

અટારીથી રાત્રિઓના આછા ઘેરા ઉજાસમાં ઝાંખી લઉં છું,
વ્યક્તિત્વની ભિન્નભિન્ન અદાઓ એની:

મૌન ગૌરવ, બરછટ શુષ્કતા, મમતા આ ધરતીની…
શાખા બાહુ વચ્ચે એણે છાતી સરસું ઝાલી રાખ્યું છે જાણે
મૃત્યુફળ.

– ઉમાશંકર જોશી

હું ચિત્રકાર નથી એવી કેફિયત આપીને કવિ સૂકાતા વૃક્ષનું સર્વાંગસંપૂર્ણ ચિત્ર બખૂબી દોરી આપે છે. કવિ હરીન્દ્ર દવે આ કવિતા વિશે શું કહે છે એ જુઓ:

કવિ કયા વૃક્ષની વાત કરે છે અને કયા ફળની વાત કરે કરે ? આ સંસ્કૃતિની કથા છે ? આ મૂલ્યોની વાત છે ? આ જીવનની ઝંખવાતી જતી દીપ્તિની વ્યથા છે ?

– તમે એનો કોઈ પણ અર્થ કાઢી શકો, પણ છેલ્લા શબ્દ આગળ કંપી ગયા પછી પ્રથમ પંક્તિના ક્રિયાપદ ‘રહ્યું છે’ પર આશ્વાસનની નજર મંડાઈ રહી છે. કદાચ આ વિરક્ત સ્થિતિમાંથી કોઈક નવી વસંત આવશે અને એમાં કદાચ સુકાઈ રહ્યું છે એ વૃક્ષ મહોરી પણ ઊઠે – એના શાખા-બાહુઓ વિસ્તરી ઊઠે, એને ભીંસી રાખેલું મૃત્યુફળ સરી પણ પડે – પણ કદાચ જ…!

Comments (11)

વ્યાખ્યા -એરિક ફ્રાઇડ

કુત્તો
જે મરણ પામે છે
અને જે જાણે છે
કે એ મરણ પામે છે
કુત્તાની માફક.

અને જે કહી શકે
કે એ જાણે છે
કે જે કુત્તાની માફક
મરે છે
એ માણસ છે.

-એરિક ફ્રાઇડ (જર્મની)
(અનુ. હરીન્દ્ર દવે)

आहारनिद्राभयमैथुनं च सामान्यमेतत् पशुभिर्नराणाम् । (આહાર, નિદ્રા, ભય, મિથુન આ બધું મનુષ્યો અને પ્રાણીઓમાં સરખું જ છે.) ફક્ત વિચારશક્તિ જ બંનેમાં ભેદ પાડે છે. પ્રાણી જાણે છે કે એ પ્રાણી તરીકે જ જન્મ્યા છે, એમ જ જીવે છે અને એમ જ મૃત્યુ પામે છે. પણ માણસ?

માણસ જન્મે તો છે માણસ સ્વરૂપે પણ માણસ થઈ રહેવું અને માણસની મોતે મરવું બહુ જ દોહ્યલું છે. રેટ-રેસમાં જીવતા આપણે બધા મહદાંશે કૂતરાની મોતે જ મરીએ છીએ…

Comments (6)

વિરહ – હીરાબહેન પાઠક

દયિત, તું નિર્દય !
પૂછું તને, મને આમ નોધાર,

મૂકીને જવામાં શો જડ્યો સાર ?
તું વદીશ ‘વિધિના એ લેખ’ !

હા ! વિધિના એ લેખ !
વજ્ર સજડ મારી જીવિત પે મેખ

ઊખડે ન કષ્ટ ક્લિષ્ટ રેખ
કાયકારાગાર તોડ્યે

છૂટે નવ છેક.
લહું આજ, પ્રિય !

વારંવાર ગ્લાનિરંગે,
લવ્યું નાહીં જે જે પૂર્વ તુજ સંગે

તુંજને વરીને હું ન વિરહને વરી ?
વિરહ, મારે પ્રેમનો પર્યાય.

– હીરાબહેન પાઠક

વાત વિરહની છે પણ સાવ સીધીસાદી નથી. કવિતામાંઉતરવું શરૂ કરીએ એટલે થોડીવારમાં જ  સમજાઈ જાય કે અહીં પતિ પત્નીને કાયમ માટે છોડી પ્રભુસદનમાં જઈ વસ્યો છે જ્યાં બંનેનું મિલન પત્નીની કાયાનું કારાગાર તૂટે એ પછી જ હવે શક્ય છે.

કવિતાના પહેલા ત્રણ શબ્દ જ આ સંબંધ વિશેનું આખું મહાકાવ્ય લખી આપે છે… વહાલાના સંબોધન પછીનો તુંકારો અને તરત જ નિર્દયી હોવાનો ઉપાલંભ બંને વચ્ચેનો સ્નેહતંતુ તાદૃશ કરી દે છે. આ છે શબ્દની શક્તિ!

અકાળે પતિનું મૃત્યુ એ ભલે વિધિના લેખ કેમ ન હોય પણ ભાર્યાના જીવતર પર તો એ વજ્રની મેખ સમા જડાઈ ગયા છે. પતિની હયાતિમાં જે પ્રેમાલાપ શબ્દોમાં મૂકાવો જોઈતો હતો પણ મૂકી શકાયો નહીં, એ અણકથ શબ્દો પત્નીને હવે વિરહરૂપી પ્રેમ બનીને પીડે છે.

આ જ કવયિત્રીએ સ્વર્ગવાસી પતિને સંબોધીને લખેલા પુસ્તકમાંનું આ કાવ્ય -મિલનની સાથ- પણ જોઈ જવા જેવું છે.

(દયિત=પતિ, વહાલું; લહું= લખું; લવ્યું= કહ્યું )

Comments (5)

પ્રેમ પછી પ્રેમ – ડેરેક વૉલ્કોટ (અનુ. વિવેક મનહર ટેલર)

સમય આવશે
જ્યારે, ઉત્તેજના સાથે,
તમે તમારી જાતને આવતી આવકારશો
તમારા પોતાના દરવાજે, તમારા પોતાના અરીસામાં,
અને બંને જણ સ્મિત કરશે પરસ્પરના આવકાર પર,

અને કહો, અહીં બેસો. આરોગો.
તમે ફરીથી આગંતુકને ચાહશો જે તમારી જ જાત હતો.
દારૂ પીરસો. રોટી આપો. પાછું આપો તમારું હૃદય
તમારા હૃદયને જ, આગંતુકને જેણે તમને ચાહ્યો છે

તમારું આખું જીવન, જેને તમે અવગણ્યો છે
બીજા માટે, જે તમને જાણે છે દિલથી.
અભરાઈ પરથી પ્રેમપત્રો ઉતારો,

ફોટોગ્રાફ્સ, વિહ્વળ નોંધો,
ઉતરડી નાંખો તમારું પોતાનું પ્રતિબિંબ અરીસામાંથી.
બેસો. તમારી જિંદગીને ઉજવો.

-ડેરેક વૉલ્કોટ
(અનુ. વિવેક મનહર ટેલર)

*
જીવનની દોડમાં ને અન્યોને ચાહવાની હોડમાં આપણે મોટાભાગે જાતને ચાહવાનું ભૂલી જતાં હોઈએ છીએ. અને જે જાતને નથી ચાહી શકતો એ અન્યને શી રીતે ચાહી શકે? પણ ક્યારેક એવો સમય જરૂર આવે છે જ્યારે તમારી પોતાની જાત તમને આગંતુક બનીને તમારા ઘરના દરવાજે, તમારા અરીસામાં મળે છે. એને આવકારો. એને ચાહો. અભરાઈ પરથી જૂની યાદો, જૂના સંબંધો ઉતારી દઈ, જે આભાસી જિંદગી તમે જીવતા આવ્યા છો એને જીવનના અરીસામાંથી ઉતરડી નાંખો અને તમારું પોતાનું હોવું ઉજવો…

વાઇન અને બ્રેડના સંદર્ભ ઇસુ ખ્રિસ્તને આ કવિતા સાથે સાંકળી કવિતાને આધ્યાત્મનો રંગ પણ આપે છે… દરવાજો, અરીસો અને પ્રેમને એ સંદર્ભમાં પણ જોઈ શકાય.

આ કાવ્ય અને ટિપ્પણી તૈયાર કર્યા પછી ધ્યાન ગયું કે આ કવિતાનો અનુવાદ તો ધવલે પણ લયસ્તરો પર મૂક્યો છે. આ સાથે જ ધવલનો અનુવાદ અને એની લાક્ષણિક ટિપ્પણીનો પણ લાભ લો: https://layastaro.com/?p=7076

*

Love after Love

The time will come
when, with elation,
you will greet yourself arriving
at your own door, in your own mirror,
and each will smile at the other’s welcome,

and say, sit here. Eat.
You will love again the stranger who was your self.
Give wine. Give bread. Give back your heart
to itself, to the stranger who has loved you

all your life, whom you ignored
for another, who knows you by heart.
Take down the love letters from the bookshelf,

the photographs, the desperate notes,
peel your own image from the mirror.
Sit. Feast on your life.

– Derek Walcott

Comments (10)

દિલ ભલા, આપણે એને ભૂલી જઈશું – એમિલી ડિકિન્સન

દિલ ભલા, આપણે એને ભૂલી જઈશું,
તું અને હું, આજ રાત્રે!
તું ભૂલી જજે એણે આપેલી ઉષ્મા,
હું ભૂલી જઈશ પ્રકાશ !

જ્યારે તું પરવારી લે, મહેરબાની કરી કહેજે મને,
ત્યારે હું મારા વિચારોને ધૂંધળા કરી દઈશ.
જલ્દી કર! રખેને તું પાછળ પડી જાય
ને હું એને યાદ કરી બેસું.

-એમિલી ડિકિન્સન
(અનુ. વિવેક મનહર ટેલર)

*
આજે વેલેન્ટાઇન ડે પર એક અનોખું પ્રેમકાવ્ય. કહે છે કે પ્રેમની ખરી તાકાતનો અંદાજ વિરહમાં મળે છે, મિલનમાં નહીં. પ્રેમભગ્ન થયા પછી નાયિકા પોતાના હૃદય સાથે સંવાદ સાધે છે અને બેવફા પ્રેમીને ભૂલી જવાનું નક્કી કરે છે. પણ ભૂલવાની પ્રક્રિયા કેટલી તો વસમી છે કે નાયિકા પહેલી ચાર લીટીમાં જ ત્રણ-ત્રણ વાર ‘ભૂલી’ શબ્દ દોહરાવે છે.

અને મજા તો ત્યાં છે જ્યારે નાયિકા હૃદયને મીઠો ઉપાલંભ આપે છે કે એને ભૂલવામાં જલ્દી કરજે. નાહક તું ધીમું પડશે અને હું એને યાદ કરી બેસીશ. કેવી વિવશતા ! કેવી મજાની પ્રેમની દિવાનગી હશે, કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો.

Heart, we will forget him

Heart, we will forget him,
You and I, tonight!
You must forget the warmth he gave,
I will forget the light.

When you have done pray tell me,
Then I, my thoughts, will dim.
Haste! ‘lest while you’re lagging
I may remember him!

– Emily Dickinson

Comments (19)

રૂપકો – સિલ્વિયા પ્લાથ

હું નવ અક્ષરનું એક ઉખાણું છું,
હાથી, ભારેખમ ઘર,
બે વેલ પર ઉપર તડબૂચ.
ઓહ લાલચટ્ટાક ફળ, હાથીદાંત, ઉમદા સાગ!
આથો ચડતો જાય છે લોટ ઉભરાતો જાય છે.
બટવામાં કડકડતી નોટો ઉમેરાતી જાય છે.
હું એક સાધન, એક રંગમંચ, એક ગાભણી ગાય.
ખાધા છે મેં ભારોભાર લીલા સફરજન,
ચડી ગઈ છું ગાડીમાં હવે ઉતરાય એમ નથી.

– સિલ્વિયા પ્લાથ
(અનુ. ધવલ શાહ)

સિલ્વિયા પ્લાથના અવસાનને ગઈકાલે પચાસ વર્ષ થયા. એમની કવિતાઓ એ જમનામા વંચાતી’તી એનાથી ક્યાંય વધારે આજે વંચાય છે. એમનું આખું જીવન ઉતાર ચડાવમાં ગયું. ડીપ્રેશન સાથેની જીવનભરની લડત છેવટે આત્મહત્યામાં પરિણામી. એમના જીવન વિશે વાત ફરી ક્યારેક કરીશું, આજે આ બહુ પ્રખ્યાત કવિતાની વાત કરીએ.

કવિતા એક ઉખાણા તરીકે લખી છે. આખી વાત માત્ર રૂપકોની મદદથી કરી છે. એટલે કવિતાનું નામ પણ રૂપકો જ રાખ્યું છે. નામથી પણ કવિતાના વિષય વિશે કોઈ સંકેત મળતો નથી. એટલે પહેલી વાર આ કવિતા વાંચો અને કશી પિચ ન પડે તો ચિંતા ન કરતા 🙂

આખી કવિતા પ્રસૃતિ દરમ્યાન કવયિત્રીની અકળામણ વિશે છે. નવ અક્ષર એ પ્રસુતિના નવ મહિનાનું પ્રતિક છે. કવયિત્રીએ કવિતામાં રૂપકો પણ ગણીને નવ વાપર્યા છે. પહેલા કવયિત્રી પોતાની અવસ્થા માટે હાથી, ભારેખમ ઘર અને (રમૂજમાં) બે વેલ (જેવા પગ) ઉપર તડબૂચ (જેવું પેટ) રૂપકો વાપરે છે. પણ પછીની લીટીમાં ખરી અકળામણ આવે છે. પ્રસૃતિ પછી દુનિયાની નજરમાં સ્ત્રીની કિંમત ઘટતી જાય છે, અને એના પેટમાં રહેલા બાળકની કિંમત વધતી જાય છે. ક્યારેક તો સ્ત્રી કરતા બાળકને જ વધુ મહત્વ અપાતું જાય છે. કવયિત્રી એ વાતને અજબ બખૂબીથી કરે છે. એ તો (ફળને બદલે)  ફળની અંદરના લાલચટ્ટાક ભાગ, (હાથીને બદલે) હાથીદાંત અને (આખા  ઘરને બદલે એમાં વપરાયેલા) ઉમદા લાકડાના વખાણ કરે છે.

પ્રસૃતિ આગળ વધતી જાય છે. આથો આવતા લોટની જેમ એ ઉભરાતી જાય છે. કવયિત્રી પોતાની જાતને બટવા સાથે સરખાવે છે જેનું કામ માત્ર અંદરની નોટોને સાચવવા જેટલું જ રહ્યું છે. પોતાની જાત કવિને માત્ર (સંતાન પ્રાપ્તિના) એક સાધન, (કલાકારોને આધાર આપતા) રંગમંચ કે ગાભણી ગાય (કે જેના વછેરામાં જ લોકોને રસ છે) જેવી લાગે છે. આદમ-ઈવે એક સફરજન ખાધેલું. જ્યારે કવયિત્રીએ તો ભારોભાર સફરજન ખાધા છે. લાલ સફરજન પ્રેમનું પ્રતિક છે. કવિ એને ઉલટાવીને લીલા સફરજનની વાત કરી છે.  છેલ્લી લીટીમાં કવયિત્રીની અકળામણ ચરમસીમાએ પહોંચે છે. આ મારતી ગાડીમાંથી હવે ઊતરી પણ શકાય એમ નથી. એટલે કે પ્રસૃતિ પછી જીંદગી હંમેશાને માટે બદલાઈ જવાની છે.

માતૃત્વના એક જુદા જ પાસાની વાત અહીં છે. કવિતા તો સશક્ત છે જ. પણ આવા વિચારને પ્રમાણિક રીતે પ્રગટ કરવો એ પણ બહુ મોટી વાત છે. હવે ફરી એક વાર કવિતા વાંચી જુઓ.

Comments (10)

તડકાનો ટુકડો – યોગેશ જોષી

સૂરજ
આથમી ગયો –
સમેટી લઈ
તડકો
અને બધુંય અજવાળું…

સવારે
બારીમાંથી આવેલા
તડકાનો ટુકડો
રહી ગયો
મારી રૂમમાં…

બસ,
હવે એ ઓઢીને
હું સૂઈ જઈશ…

– યોગેશ જોષી

અછાંદસ કવિતાઓનો ફાલ ફાટી નીકળ્યો છે. થોડુંઘણું ગુજરાતી આવડતું હોય એ બધા અછાંદસ કવિતાઓ ઢસડવા માંડે છે પણ અછાંદસ એટલે કે મુક્ત કાવ્ય કવિતાનો સહુથી વિકટ પ્રકાર છે. ઉત્તમ અછાંદસ એ ગણાય જેમાંથી તમે એક શબ્દની પણ બાદબાકી કરી ન શકો.

આ જુઓ… સાવ નાનકડું પણ કેવું બળકટ અછાંદસ ! એક શબ્દ પણ આમાંથી બાદ તો કરી જુઓ..! તડકો અહીં ઉજાસ અને ઉષ્મા – બંનેનું પ્રતીક છે. આપણા બધાનાં જીવનમાં આવું બનતું હોય છે. કોઈ સૂરજની જેમ પ્રવેશીને આપણા જીવતરના આખા આકાશને ઝળાંહળાં કરી મૂકે છે અને પછી ચાલ્યું જાય ત્યારે ? એના સ્મરણનું અજવાળું અને હૂંફ જ જીવતરના ઓરડામાં વ્યાપી ગયેલા અંધકારને દૂર કરવામાં કામ આવતા હોય છે !

Comments (15)

તે રહેતી હતી વણકચડાયેલા રસ્તાઓ વચ્ચે – વિલિયમ વર્ડ્સવર્થ (અનુ. વિવેક મનહર ટેલર)

તે રહેતી હતી વણકચડાયેલા રસ્તાઓ વચ્ચે
હિમાલયના ઝરણાંઓની પાસે.
એક નોકરાણી જેને વખાણનારું ત્યાં કોઈ નહોતું
અને ચાહનારું તો જવલ્લે જ.

શેવાળિયા પથ્થર તળેનું એક જાંબુડી ફૂલ
આંખોથી અડધું ઓઝલ !
– તારા જેવું શુભ્ર, જ્યારે એક જ
ચમકતો હોય આકાશમાં.
એ ગુમનામ જ જીવી, અને બહુ ઓછાં જાણી શક્યાં
કે લ્યુસી ક્યારે હયાત ન રહી;
પણ એ એની કબરમાં છે, અને, આહ
મને પડેલો ફરક !

-વિલિયમ વર્ડ્સવર્થ
(અનુ. વિવેક મનહર ટેલર)

*
ગુજરાતી સાહિત્યમાં જેમ રમેશ પારેખની ‘સોનલ’, આસિમ રાંદેરીની ‘લીલા’, એમ અંગ્રેજી સાહિત્યમાં વર્ડ્સવર્થની ‘લ્યુસી’… લ્યુસી કોઈ જીવિત વ્યક્તિ હતી કે કાલ્પનિક, એ આપણી કલ્પનાનો વિષય છે. વર્ડ્સવર્થે લ્યુસી ઉપર કુલ માત્ર પાંચ જ કાવ્યો લખ્યાં છે પણ આ કાવ્યોએ ખૂબ વિશદ ચર્ચા જગાવી છે.

એક લગભગ ગુમનામ નોકરાણી જે અકાળે અવસાન પામી એના ન હોવાથી દુનિયાને શો ફરક પડે ? શેવાળછાયા પથ્થરો તળે જેમ નાનકડું રંગીન ફૂલ ઢંકાઈ જાય એમ દુનિયાની ઉપાધિઓ તળે આ છોકરીનું અસ્તિત્વ લગભગ વણપ્રીછ્યું જ રહ્યું. એના ન હોવાથી કવિને જે ફરક પડ્યો એ જ કદાચ એના આખાય જીવતરનું સાર્થક્ય !

આ કવિતા વિશે વિષદ ચર્ચા આપ અહીં માણી શકો છો.

*

She dwelt among the untrodden ways
Beside the springs of Dove,
A Maid whom there were none to praise
And very few to love.

A violet by a mosy stone
Half hidden from the eye!
– Fair as a star, when only one
Is shining in the sky.
She lived unknown, and few could know
When Lucy ceased to be;
But she is in her grave, and, oh,
The difference to me!

– William Wordsworth

Comments (11)

અને – હેમેન શાહ

ધોમધખતા ઉનાળામાં ઊભેલાં વૃક્ષો
એકાએક
બંદગી માટે ઊઠેલા હાથ બની જાય છે.
આકાશ કોઈની ઉદાસ આંખ તો નથી ને ?
તડકો ભીંસે છે.. ચોમેરથી.

ત્યાં ટપ… ટપ…
આદિવાસી સ્ત્રીની પીઠ જેવો પથ્થર
હમણાં જ ભીનો થયો.
નદીનો વિષાદ ધોવાતો જાય છે
ધીમે ધીમે.

એક તાજું ફુટેલું તરણું
માથું ઊંચકે છે,
અને
નમી પડે છે આખું ચોમાસું.

– હેમેન શાહ

વર્ણનમાં કવિની બારીકી જુઓ. કવિ છેલ્લી ચાર લીટી ચોમાસું-વર્ષા-નવજીવન બધાને એક સાથે સાંકળી લે છે.

Comments (8)

ઘર-બંદર – લિન શિલ્ડર – અનુ. જગદીશ જોષી

અમારા સંબંધ માટે લોકોને કૌતુક છે.
લોકોનું કહેવું છે-તેઓ માને છે-કે સંબંધ સુંવાળો હશે.
હું પણ માનું છું સુંવાળો છે,
જોકે જાણવું મુશ્કેલ છે,ક્યારેય મેં એ રીતે
વિચાર્યું નથી.

કેન્ડલલાઈટમાં ડીનર
અને ફક્કડ શરાબથી
કામ ચાલે છે
પણ,
નાંગરવા વિશે, ને
મારાં મૂળિયાં ઊખડી ન જવા પામે એ વિશે
બેફિકર થવા
મારે ક્યારેક ક્યારેક
મથામણ તો કરવી જ પડે છે.

-લિન શિલ્ડર – અનુ. જગદીશ જોષી

બહુ જ સૂક્ષ્મ ઈશારો છે…. ધ્યાનપૂર્વક બે-ત્રણ વાર વાંચતા તે સમજાય છે…. નાયિકા સ્વ ને છોડવા નથી માંગતી…. પણ તે તેનું conscious decision છે. આ નિર્ણયને વળગી રહેતા તે પ્રેમની મસ્તી માણી નથી શકતી. સ્વ ને છોડવાની કોશિશ કરવી પડે છે,સહજ રીતે તે છૂટતું નથી ….અર્થાત સંબંધ હજુ તે ઊંડાણ સુધી પહોચ્યા નથી . હજુ તે કેન્ડલ લાઈટ ડીનર અને ફક્કડ શરાબના સ્તર ઉપર જ છે.

Comments (4)

સાગરતટે… – વાડીલાલ ડગલી

નીચે હલેસાંનો ખળભળાટ,
ઊંચે બે પાંખોનો ફફડાટ.
બેય તરે,
બેય કરે,
નીલ મૌનનો મલપતો ઝંકાર
પવનના ઢાળ પરે
બેય સરે
ક્ષિતિજના ક્ષુધાતુર અંતરપટે.

– વાડીલાલ ડગલી

શ્રી સુરેશ દલાલના શબ્દોમાં આ કાવ્ય:

આ કાવ્ય કવિની પ્રતિભાનો પરિચય એટલી હદે આપે છે કે આ કાવ્યના સંદર્ભમાં જ કવિ વાડીભાઈને પૂરેપૂરા પામી શકીએ.

હલેસાં અને પંખીને અડખેપડખે મૂકીને કવિએ પોતાની દૃષ્ટિના વ્યાપમાં ધરતી અને આકાશને સમાવી દીધાં છે. પંખી આકાશ-સમુદ્રની હોડી છે તો હોડી એ સમુદ્રનું પંખી છે. હલેસાં અને પાંખોના ખળખળાટ અને ફફડાટની વચ્ચે કવિને તો સંભળાય છે કેવળ મૌનનો ઝંકાર. પણ આ મૌનને પણ એનો રંગ છે. અને એટલે જ કવિ કહે છે: “નીલ મૌનનો મલપતો ઝંકાર”. અમૂર્ત પવનને કવિએ મૂર્ત કર્યો છે “પવનના ઢાળ પરે” કહીને.

Comments (4)

શોધી શકું તો – અબુ બક અલ-તુર્તુશી (અનુ. સોનેરુ)

ચંદરવા લક્ષ જ્યોતિ તણા આભે રચાતા
ને વ્યોમની વાટ પર હું મીટ માંડું.
તારલો તવ ચિત્તે વસ્યો હશે જે, બસ, તેને શોધી શકું તો.

મુસાફર આ ખલ્કના ને એ મુલ્કના રુકે જે મારે મુકામે,
ખોજતો હું એકાદને જેહના શ્વાસે પીધી સુગંધ તારી,
મુજ પરિમલ મહીં ગંધ એ જરીક સીંચી શકું તો.

વાયરા સૂસવે દિશાઓ વીંધતા,
ને વદન પર લહેરખી એક ઝીલવા હું મથું,
એ લહરપટ પર શબ્દ તારો વાંચી શકું તો.

પથપથે ભમંતો-ઘૂમંતો હું નિરુદ્દેશે,
કો ગાનમાં ગુંજશે નામ તારું એ જ આશે;
ચોતરફ ચહેરા બધા નીરખી લઉં,
તવ નૂરને લોચન મહીં અલ્પ આંજી શકું તો.

– અબુ બક્ર અલ-તુર્તુશી (અનુસર્જન: સોનેરુ)

*

અગિયારમી-બારમી સદીમાં થઈ ગયેલા અબુ બક્રને આપણે વિશ્વ-પ્રવાસી તરીકે પણ ઓળખીએ છીએ. અહીં એની એક બીજી ઓળખાણ આપણી સમક્ષ ખુલે છે. સમય કોઈ પણ હોય, પાત્ર કોઈ પણ હોય, સંસ્કૃતિ કોઈ પણ હોય, પ્રેમ હંમેશા જિંદગીની તીવ્રતમ અનુભૂતિ અને ઉચ્ચતમ ઉપલબ્ધિ જ બની રહ્યો છે.  વાત પ્રિયતમાની હોય કે અલ્લાહની ઇબાદતની હોય, પ્રેમની તરસ એની એ જ રહે છે… કબીર-મીરા-નરસિંહની સમર્પણભાવના અહીં વર્તાય છે…

*

Absence

Every night I scan
the heavens with my eyes
seeking the star
that you are contemplating.

I question travellers
from the four corners of the earth
hoping to meet one
who has breathed your fragrance.

When the wind blows
I make sure it blows in my face
the breeze might bring me
new of you.

I wander over roads
without aim, without purpose.
Perhaps a song
will sound your name.

Secretly I study
every face I see
hoping against hope
to glimpse a trace of your beauty.

-Abu Bakr Al-Turtushi
Eng trans.: Cola Franzen

Comments (4)

દૈવી કીમિયાગર – શ્રી અરવિંદ – અનુ-હરીન્દ્ર દવે

આ જગતની ઘટનાઓનો પ્રશાંત આત્માથી સામનો કરું છું;
એ સૌમાં સંભળાય છે તારા પદધ્વનિ : તારાં અદ્રશ્ય ચરણો
મારી સન્મુખ ગતિ કરે છે નિયતિના માર્ગો પર . જીવનનું આખું
પ્રચંડ પ્રમેય એ તું સંપૂર્ણ.

મારા મનની નીરવતામાં કોઈ જોખમ વિક્ષેપ નહિ કરી શકે;
મારાં કાર્યો તારાં છે; હું તારાં કાર્યો કરું છું,પસાર થઈ જાઉં છું;
નિષ્ફળતા તારા અમર્ત્ય બાહુ પર આશ્રય લે છે
વિજય એટલે ધન્યતાના દર્પણમાં પ્રતિબિંબિત થતો તારો માર્ગ.

માનવ-પ્રારબ્ધ સાથેના આ કઠોર સંઘર્ષમાં
મારા અંતરમાંનું તારું સ્મિત સર્જે છે મારી સઘળી શક્તિ;
સમય-સર્પની મંદ સરકતી ગતિની ખેવના વિના
તારી મારામાંની શક્તિ રચે છે એનું ભગીરથ આલય.

કોઈ તાકાત મારા આત્માને હણી ન શકે: એ તારામાં જીવે છે.
તારું અસ્તિત્વ એ મારી અમરતા.

-શ્રી અરવિંદ – અનુ.-હરીન્દ્ર દવે

વીસમી સદી અત્યંત સદભાગી હતી કે જેણે આ ઋષિધ્વનિ સાંભળ્યો….. પ્રત્યેક પંક્તિ ઉપનિષદની યાદ અપાવે છે …. ‘વિજય એટલે ધન્યતાના દર્પણમાં પ્રતિબિંબિત થતો તારો માર્ગ….’ – અદભૂત !! મહર્ષિ અરવિંદને વાંચવા માટે પૂરતો સમય કાઢવો પડે અને એક ઉત્તમ કક્ષાની dictionary સાથે રાખવી પડે . તેઓ ગ્રીક અને લેટિન ભાષાના પ્રખર વિદ્વાન હતા કે જે ભાષાના જાણકારો વિશ્વમાં આંગળીના વેઢે ગણી શકાય ! વળી સંસ્કૃત અને અંગ્રેજીના professor, એટલે ભાષાઓ તો તેઓની પ્રેમિકાઓ હતી …. ઘણીવાર તો તેઓનું એક વાક્ય એક-એક પાના જેટલું લાંબુ હોય ! પરંતુ ધીરજપૂર્વક વાંચતા એક અનેરું-અનન્ય ઊંડાણ માણવા મળે… તેઓએ મહાત્મા ગાંધી અને અહિંસાના ગાંધીજીના ખ્યાલ ઉપર લખેલો લેખ એક ઉત્તમ constructive criticism નો નમૂનો છે.

Comments (4)

મારું સરનામું – અમૃતા પ્રીતમ (અનુ. નૂતન જાની)

આજે મેં મારા ઘરનો નંબર
અને રસ્તા પરના નામનું પાટિયું ભૂંસી કાઢ્યું.
મેં બધા જ રસ્તાઓ પરના પાટીના થાંભલાઓ કાઢી નાખ્યા
તેમ છતાંય તારે મને શોધવી હોય તો,
પ્રત્યેક દેશના, પ્રત્યેક શહેરના
પ્રત્યેક રસ્તા પરના
પ્રત્યેક ઘરનો દરવાજો ખખડાવ.

આ શાપ છે અને વરદાન પણ,
જ્યાં તારું અને મોકળાશનું મિલન થશે,
એ જ મારું ઘર સમજજે.

– અમૃતા પ્રીતમ (અનુ. નૂતન જાની)

માણસ જન્મે એ ઘડીથી જ એના ચહેરા પર મહોરાં ચોંટવા શરૂ થઈ જાય છે. જિંદગીની મુસાફરીમાં એક પછી એક એટલા બધા મહોરાંઓ આપણા ચહેરા પર ચોંટી જતા હોય છે કે આપણે આપણી જાત સુધીનો રસ્તો પણ ભૂલી જતા હોઈએ છીએ. બધા જ મહોરાંઓ ઉતરડીને ફેંકી દઈએ, બધા જ સરનામાંઓનો નાશ કરી નાઅંખીએ એ ઘડી આત્મસાક્ષાત્કારની ઘડી છે… એ ઘડીએ આપણને આપણા ગ્લોબલ હોવાની જાણ થાય છે.

Comments (8)

યાત્રા – યોગેશ જોષી

મન થયું,
નિરુદ્દેશે
લાવ,
ફરી આવું થોડું –
પહાડો – નદીઓ – સૂર્ય – ચંદ્ર – તારા
ગ્રહો – ઉપગ્રહો – નક્ષત્રો સુધી…

મારાં ટેરવાં
ફરતાં રહ્યાં
તારી હથેળીમાં…

– યોગેશ જોષી

સાચી યાત્રા એ લોક-પરલોકભ્રમણ નથી, સાચી યાત્રા છે પ્રેમ. સ્પર્શ. સહેવાસ.

Comments (7)

મૌનનો પડઘો : ૦૬: કુદરતી સર્જનશક્તિ – લાઓઝી

NM-CJ044Sb

ખીણનો આત્મા કદી ખૂટતો નથી.
આને કહે છે “તળહીન સ્ત્રી”.
તળહીન સ્ત્રીનો દરવાજો:
આને કહે છે “બ્રહ્માંડનું ઉદગમસ્થાન”.
રેશમી ! જાણે કે એનું અસ્તિત્વ છે.
એને વાપરવામાં, આરામથી.

– લાઓઝી

આ તે કવિતા કે કોયડો ?

ધ્યાનથી પસાર થઈએ તો પુરુષવાદી સમાજ વિરુદ્ધનો સૂર અહીં સંભળાય છે. કંફ્યુસિયસ, એરિસ્ટોટલ જેવાઓએ પુરુષને જ સૃષ્ટિનો આધાર ગણ્યો હતો એવા સમયે ઇસુના ત્રણસો વર્ષ પૂર્વે સ્ત્રીની કુદરતી સર્જનશક્તિને સલામ કરતી આવી કવિતા મળી આવે એ મોટી વાત છે. ખીણની ફળદ્રુપતા જે કદી ખૂટતી નથી અને જેની સમૃદ્ધિનું કોઈ તળિયું હાથ આવતું નથી એનો આકાર સ્ત્રીયોનિ જેવો છે જેને કવિ બ્રહ્માંડનાઅ ઉદગમસ્થાન સાથે સરખાવે છે. પણ કવિ ‘હેન્ડલ વીથ કેર’ જેવી ચેતવણી આપે છે. સ્ત્રીનું જાણે કે એનું અસ્તિત્વ જ ન હોય એવી રેશમી મુલાયમતાથી અને આરામથી ઉપયોગ અને ઉપભોગ કરો તો એનો આત્મા અખૂટ છે… એ આપતી જ રહેશે… આપતી જ રહેશે…

Comments (11)

મૌનનો પડઘો : ૦૫: મૂલ્યોનો ઉથલો – લાઓઝી

144597_full_1024x662

આકાશ તળે, પાણીથી વધુ કોમળ અને વધુ ઇચ્છાનુવર્તી બીજું કશું નથી.
અને તોય જ્યારે એ નક્કર, સખત પદાર્થો પર આક્રમણ કરે છે,
એમાનું કોઈ એની સામે જીતી શકતું નથી.
કારણ તેઓ પાસે એને ખસેડી શકે એવું કશું નથી.
એ જે સાનુકૂળતા તાકાત સામે જીતી જાય છે;
એ જે કોમળતા સખ્તાઇ સામે જીતી જાય છે,
એ વાત સામાજીક વિશ્વમાં કોઈ પણ સમજી શકવામાં નિષ્ફળ રહે છે.
કોઈ પણ એનો મહાવરો કરી શકતું નથી.
માટે જ સાધુઓએ કહ્યું છે,
સ્થિતિની અપૂર્ણતાનો સ્વીકાર કરો.
સાચું પ્રવચન એ વિરુદ્ધોને પલટાવવા જેવું છે.

-લાઓઝી
(અનુ. વિવેક મનહર ટેલર)

ઝેન વિચારધારા આપણી રુઢિગત વિચારધારાથી સાવ અલગ છતાં નકરી સચ્ચાઈભરી છે. કોઈ પણ સખત પદાર્થ સામે પાણી વિરોધ કર્યા વિના ઝૂકી જાય છે પરિણામે એ જીતી જાય છે. પાણીને જે રંગમાં મેળવો, એ રંગે રંગાઈ જાય છે, જે પાત્રમાં ભરો એનો આકાર લઈ લે છે. પાણી વિરોધ નથી, સમર્પણ છે માટે એ અજેય છે. આ કોમન સેન્સ છે પણ લોકો સમજી શકતા નથી. જીવનમાં જે અપૂર્ણતા છે એનો સ્વીકાર કરી લેવો એ પોતે અપૂર્ણતાથી મુક્તિ મેળવવા બરાબર છે. આપણી જિંદગી પૂર્ણતાની પ્રાપ્તિ પાછળ દોડવામાં પૂરી થઈ જાય છે. સ્થિતિનો યથાતથ સ્વીકાર એ જ ખરી પૂર્ણતા છે. આપણા પ્રવચનો, ધર્મ, ઉપદેશ એ વિરોધી વસ્તુઓને સાચું સાબિત કરવા જેવા છે.

નિરપેક્ષ સંપૂર્ણ તાટસ્થ્ય એ ઝેન વિચારધારાનો પ્રાણ છે, જો સમજી શકાય તો !

Comments (4)

મૌનનો પડઘો : ૦૪: ઓળખ – ફોયાન

422713565_86dc47287b

આ એના જેવું છે કે તમારી આંખ
જે બધું જ જોઈ શકે છે
પણ પોતાને જોઈ શકતી નથી.
આવું જ છે તમારું મન પણ.
એનો પ્રકાશ બધું જ ભેદી વળે છે
અને બધાંને ગળી જાય છે,
પણ તો એ પોતાને જ કેમ ઓળખી શકતું નથી?

– ફોયાન
(અનુ.વિવેક મનહર ટેલર)

ઝેન વિચારધારા એટલે પોતાની જાતથી અલગ થવાની કળા. બધા જ ધર્મમાં આ કરો અને આ ન કરોનો બોધ પ્રવર્તે છે જ્યારે ઝેન વિચારધારા એટલે કશું પણ ન કરવાની વિશુદ્ધ નિર્લેપતા. જ્યારે તમે બધું છોડી દો છો ત્યારે જ પ્રકાશ પ્રાપ્ત થાય છે. તમારી આંખ જે બધું જ જોઈ શકે છે પણ પોતાને જોઈ શકતી નથી.  મનનું પણ એવું જ અને એવું જ તમારી જાતનું. તમે તમારાથી અલગ થાવ તો જ તમે તમારી સચી જાતને જોઈ-ઓળખી શક્શો.  આ detachment from self એ જ ઝેન વિચારધારા છે…

Comments (7)