તમારી આંખડી કાજળ તણો શણગાર માગે છે
આ કેવી રોશની છે કે જે સદા અંધકાર માગે છે
– અમર પાલનપુરી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for અંકિત ત્રિવેદી

અંકિત ત્રિવેદી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




(તકિયા કલામ છે) – અંકિત ત્રિવેદી

સાથે રહ્યો છું તારી, આ તેનો દમામ છે,
આંસુ એ મારી આંખનો તકિયા કલામ છે.

મારી ગલીમાં રોજ એ ભૂલા પડ્યા કરે,
શ્વાસોની આવજાવને દંડવત્ પ્રણામ છે.

પેલો સૂરજ તો સાંજટાણે આથમી જશે,
આંખોમાં તારી ઊગશે એને સલામ છે!

પાંપણમાં ઊંઘ આંજીને ચાલ્યો જઈશ હું,
સપનામાં તારા આવીને, મારે શું કામ છે?

નક્કી જીવનના અંત સુધી નહીં કરી શકું,
હું શબ્દનો કે શબ્દ આ મારો ગુલામ છે.

– અંકિત ત્રિવેદી

ગઝલનો મત્લા વ્યંગ્યોક્તિની પરાકાષ્ઠાએ ઊભો છે. પ્રિયજનની સાથે રહેવાને લઈને શું દબદબો નસીબ થયો, તો કે’ ચોવીસે કલાકનાં આંસુ. શ્વાસોચ્છ્વાસની દેહધાર્મિક ક્રિયાને પણ કવિએ કેવી નજાકતથી શેરમાં વણી લીધી છે! આખી ગઝલ જ મનનીય થઈ છે.

Comments (4)

એ ધારજે – અંકિત ત્રિવેદી

ચાહવાથી જે કશું આગળ હશે એ ધા૨જે,
પામવાથી જે કશું આગળ હશે એ ધારજે.

આપણે પહોંચી ગયાની રાહ જોવે છે સમય,
આવવાથી જે કશું આગળ હશે એ ધારજે.

હીંચકે એમ જ નથી બેસી અને ઝૂલી રહ્યાં,
ચાલવાથી જે કશું આગળ હશે એ ધારજે.

તું ખુમારીને કહી દેજે મને પૂછ્યા વગર,
ધા૨વાથી જે કશું આગળ હશે એ ધારજે.

તું કહે છે રાતભર ઊંઘ્યો નથી એવું નથી,
જાગવાથી જે કશું આગળ હશે એ ધારજે.

– અંકિત ત્રિવેદી

સરળ સહજસાધ્ય ગઝલ… સાદી ભાસતી વાતને આગળ ઉપર ધારવાનું આહ્વાન આપતી રદીફ વાતને વધુ વળ ચડાવી આપે છે…

Comments (5)

ગઝલ – અંકિત ત્રિવેદી

પ્રશ્નો ઘણા વિકટ છે,
રસ્તો છતાં નિકટ છે.

દેખાય તે બધુંયે-
ભાવિની ચોખવટ છે.

થાપે છે થાપ પાંપણ
આંખોય માણભટ છે.

ફોટો પડ્યો પવનનો
કોની ઊડેલ લટ છે ?

છે મંચ પર છતાંયે
નાટક વગરનો નટ છે.

– અંકિત ત્રિવેદી

ઓછા શબ્દોમાં સ-રસ વાત ! જેમ વિચારીએ એમ વધુ ખુલે એવા મનનીય શેર…

Comments (8)

ગઝલ – અંકિત ત્રિવેદી

મણકો છું, પણ હું માળાની બ્હાર ઊભો છું,
સાચ્ચું કહું તો સરવાળાની બ્હાર ઊભો છું.

રંગ ઉછીના સાંજ કનેથી લઈને જીવ્યો,
અંધારાની, અજવાળાની બ્હાર ઊભો છું.

ડાળી ઉપર ફૂલ ખીલ્યાનો અર્થ એટલો,
પાનખરોના વચગાળાની બ્હાર ઊભો છું.

બે પંખીના સૂના ઘરનો કોલાહલ છું,
ટહુકો ક્યાં છે, ક્યાં માળાની બ્હાર ઊભો છું!

ભીડ વચોવચ સૌની સાથે હળીમળીને,
ઊભો છું પણ કૂંડાળાની બ્હાર ઊભો છું.

– અંકિત ત્રિવેદી

ગાડરિયા પ્રવાહથી અલગ ઊભા રહેવાનો મિજાજ… ભલેને મણકો છું પણ માળામાં નથી પરોવાયો. સ્વયંનિર્ભર, પગભર થઈ માળાની બહાર ઊભો છે. જો કે બીજા જ શેરમાં વળી ઉછીનું લેવાની વાત પણ આના વિરોધાભાસમાં નજરે ચડે છે.

Comments (4)

યુવા ગૌરવ : ૨૦૧૧ : અંકિત ત્રિવેદી

*

ડાળ પરથી કોક ચૂંટી લો હવે,
એક ભમરો છો પડે ભૂલો હવે.

ક્યાં સુધી અકબંધ રહેવાના તમે?
કોઈ પણ રીતે ફરી ખુલો હવે.

કોણ દે છે ડંખ આપણને વધુ ?
બોલ, કાંટા કે પછી ફૂલો હવે ?

શહેરનો ઇતિહાસ થઈને રહી ગયા,
ગામનો વડલો અને ઝૂલો હવે.

જાતને સળગાવવી એ શક્ય છે,
કેમનો સળગાવવો ચૂલો હવે ?

-અંકિત ત્રિવેદી

આજે બારમી તારીખે કવિ અંકિત ત્રિવેદીને વર્ષ 2011નો યુવા ગૌરવ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો… આ પ્રસંગે લયસ્તરો તરફથી કવિને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ…

Comments (20)

ત્રણ ત્રિપદી – અંકિત ત્રિવેદી

એકલી અને વૃદ્ધ એ શબરી હતી,
રામ પણ ફંફોસવા, જોવા ગયા,
બસ, પ્રતીક્ષા એની ઘરવખરી હતી.

*

હા,, ઘણા ભાગોમાં વહેંચાયો હતો,
જ્યાં અરીસામાં મને જોવા ગયો,
ત્યાં ફક્ત ભૂતકાળ દેખાયો હતો.

*

સામે જ હોય તોય પણ ખોવાઈ જાય તો ?
આંખોને બંધ એટલે કરવી નથી હવે,
સપનું અનાયાસે ફરી જોવાઈ જાય તો ?

– અંકિત ત્રિવેદી

Comments (7)

ગઝલ – અંકિત ત્રિવેદી

image
(ખાસ લયસ્તરો માટે અંકિત ત્રિવેદીની એક અક્ષુણ્ણ ગઝલ એમના પોતાના હસ્તાક્ષરમાં)

*

દોસ્ત, તું સંભાળજે આવી હવાથી
ખૂબ ગમશે એને તારા ઊડવાથી.

સાથે રહેવાનું ને શું ઝઘડ્યા કરો છો ?
લાગતું ખોટું નથી ને ઝાંઝવાથી !

હું રહું અહીંયા મને વાંધો નથી પણ,
થાક લાગે છે જવા ને આવવાથી.

ગીત જો ગાવું જ હો તો તારું ગાજે,
શું વળે છે માત્ર પડઘા પાડવાથી ?

ફેર ભીંતોની તિરાડોમાં પડે છે,
એક પડછાયાને માણસ ધારવાથી…

– અંકિત ત્રિવેદી

અં.ત્રિ.ની ખુમારીદાર ગઝલ… આપણો આવજ આપણો પોતીકો અવાજ જ હોવો ઘટે… પડઘાનો અવાજ કદી ધારી અસર છોડી શક્તો નથી… જમાનાની હવાથી સંભાળીને ચાલવા ચેતવતી વાત પણ એવી જ સરસ થઈ છે. અને આખરી શેર વળી ખૂબ ધીમેથી ખુલે છે….

Comments (20)

ગઝલ – અંકિત ત્રિવેદી

Ankit Trivedi_darpan nu bimb kaam koi aavshe nahi

(અંકિત ત્રિવેદીના હસ્તાક્ષરમાં એક ગઝલ ‘લયસ્તરો’ માટે)

*

દર્પણનું બિંબ કામ કોઈ આવશે નહીં,
સરનામું પૂછશો નહીં, બતાવશે નહીં

પગલીને મારી ભૂંસવા જ હું મળ્યો તને,
તારી ગલીને એ હવે સજાવશે નહીં.

તું પણ બનીને દોસ્ત છો ને આવતો ખુદા,
તું પણ જરૂર હશે ને ત્યારે આવશે નહીં

લાચાર ક્ષણ હશે અને હસાવતી હશે,
સામે ઊભી હશે અને લખાવશે નહીં.

આ શ્વાસ બ્હાર નીકળીને કહી રહ્યાં મને,
ક્યારેક બ્હાર આવવાનું ફાવશે નહીં.

– અંકિત ત્રિવેદી

જીવનમાં જે આભાસ છે એ કદી કામ લાગતો નથી. ખુલ્લી આંખના સ્વપ્નાં, મૃગજળ પાછળની દોડ કે અરીસાનું બિંબ- વાસ્તવમાં આ કશું ખપ લાગતું નથી એવા નક્કર સંદેશા સાથે ઊઘડતી આ ગઝલ અ.ત્રિ.ના મૂળભૂત મિજાજને સાંગોપાંગ જાળવી રાખે છે. ઈશ્વર અને દોસ્તની સરખામણી કરી બંનેની ઠેકડી ઊડાડતો શેર પણ સરસ થયો છે પણ છેલ્લા બે શેર વધુ ગમી જાય એવા છે…

Comments (16)

ગઝલ – અંકિત ત્રિવેદી

Ankit Trivedi_Etlu aakash felaavi shaku
(એક અક્ષુણ્ણ ગઝલ ખાસ લયસ્તરો માટે અંકિત ત્રિવેદીના પોતાના અક્ષરોમાં)

એટલું આકાશ ફેલાવી શકું
વાદળોને પાંખ પ્હેરાવી શકું.

રેતશીશીમાં સરકતી રેત છું
વાયરાને કેમ સમજાવી શકું ?

જેમ પંખી માળો શોધે સાંજના
એમ તું આવે તો અપનાવી શકું.

હું ઊગાડું છું તને ખુશબૂસભર,
મૂળમાંથી બીજ પ્રગટાવી શકું.

હાથમાં સરનામું છો તારું રહ્યું,
મન ન હો તો ક્યાંથી હું આવી શકું ?

– અંકિત ત્રિવેદી

પંખી માટે સાંજના ટાણે માળાની જે અનિવાર્યતા છે એવી અને એટલી તીવ્રતા ઝંખનામાં આવે તો જ પ્રિયપાત્રને અપનાવવાની વાત લઈ આવતી એક મનભાવન ગઝલ આ સપ્તાહાંત માટે…

Comments (23)

ગઝલ – અંકિત ત્રિવેદી

રેતના  ઘરમાં  રહું  છું, રણ નથી
આંસુમાં  દેખાઉં  છું, દર્પણ  નથી.

તું  સમયની જેમ  ભૂંસાતો  ગયો,
મેં તને  ધાર્યો હતો એ જણ નથી.

મારા પડછાયાનું એ પ્રતિબિંબ છે
સૂર્ય  જેવું આમ તો કંઈપણ નથી.

આપણામાં  કૈંક  તો  બાકી  બચ્યું,
આમ એવું કોઈપણ સગપણ નથી.

ઊજવી  નાખેલ  અવસરનું  કોઈ
બારણા  પર  શોભતું તોરણ નથી.

-અંકિત ત્રિવેદી

સમય જીવનની નોટબુકમાં પડતો રહેતો એવો અક્ષર છે જે સતત ભૂંસાતો રહે છે અને અવિરત ઘૂંટાતો રહે છે. મનુષ્યજાતનું પણ એવું જ નથી? સામા માણસને ઓળખવામાં આખી જિંદગી ખર્ચાઈ જાય અને અંતે જાણ થાય, અરે, આ તો મેં ધાર્યો હતો એનાથી સાવ વિપરીત જ નીકળ્યો ! અંકિત ત્રિવેદીની આ ગઝલનો મને ગમતો અન્ય શેર છે સૂર્યને “પોતાના ” પડછાયાનું પ્રતિબિંબ ધારવાની રોચક કલ્પના. અને છેલ્લો શેર એવો બન્યો છે કે જેટલીવાર એને મમળાવો, વધુ ને વધુ મીઠો અને અર્થગહન લાગે.

જે મિત્રો અંકિત ત્રિવેદીના શેરોની રમઝટ માણવાનું અગાઉ ચૂકી ગયા હોય એમને અહીં કડી-૧ અને કડી-૨ પર ક્લિક્ કરવા ગઝલપૂર્વક આમંત્રણ આપું છું.

Comments (11)

ગઝલ -અંકિત ત્રિવેદી

આખો દિવસ સાથે હતો, સાંજે શમી ગયો,
સૂરજને મારો પડછાયો કેવો ગમી ગયો !

ખાલીપણું તો એકલાથી ના થયું સહન,
પંખી નથી તો ડાળીનો હિસ્સો નમી ગયો.

એવું કિનારાને થયું શું, ના ખબર પડી,
મોજાંની વાતો સાંભળીને સમસમી ગયો.

આ ‘આપ-લે’માં થઈ જતા ખરબચડા હાથમાં,
ખણકાટ પાંચીકાનો ક્યારે આથમી ગયો?

શેરીમાં રમતા છોકરાની જેમ કાફિયો,
કાગળ ઉપર આવી અનાયાસે રમી ગયો.

-અંકિત ત્રિવેદી

Comments (9)

ગઝલપૂર્વક (કડી:૨) – અંકિત ત્રિવેદી

મંચ અને રોમાંચની વચ્ચે તાળીઓની ઘોડાપૂર વહેતી નદીમાં તણાયા વિના પોતાના શબ્દનો નોખો કિનારો બાંધવો એટલું સહેલું નથી. પ્રસિદ્ધિ અને પ્રશંસા ભલભલાને રસ્તામાં જ મારી નાંખે છે. અંકિત ત્રિવેદી મંચની સફળતાને ગળામાં જ અટકાવી દઈને કાવ્યની ગંગાને માથે ધારી-અવતારી શક્યા છે એ એમની સિદ્ધિ. ગયા અઠવાડિયે એમના કેટલાક શેરો માણ્યા પછી આજે એ યાત્રાના બીજા મુકામ પર આવીએ. આપના પ્રતિભાવો અહીં આપીને આપ વિશ્વભરના ગુજરાતીઓ સાથે વહેંચી શકો છો અને ઈચ્છો તો અં.ત્રિ.ને પણ સીધેસીધા મોકલાવી શકો છો: ghazalsamrat@hotmail.com

પડીને એકલો એવું વિચારું,
બધાથી એકલો ક્યારે પડ્યો છું?

આંખમાં આંખો પરોવી એટલામાં,
સૌ ક્ષિતિજો સૂર્ય ઓગાળી ચૂકેલી.

તું હિસાબોની બ્હાર રહેવાનો,
શું કરું હું તને ઉધારીને ?

તું કહે છે કૈંક તો દૂરી કરો,
હું કહું છું આ ગઝલ પૂરી કરો.

તેં કરેલા સૌ ખુલાસાઓની આગળ માત્ર મેં તો,
શેર આ સામો ધર્યો છે, ક્યાં ગઝલ પૂરી કહી છે ?

દ્રશ્યની જો ઘરાકી જામી છે,
હોય જાણે દુકાન આંખોમાં.

આપણાથી કશું ન બોલાયું,
એમનું પણ સ્વમાન આંખોમાં.

કોઈ બીજાનાં હશે માપી જુઓ,
આપણાં આવાં નથી પગલાં કદી.

જે કદી સોંપી દીધેલું કોઈને,
એ હૃદયની વાત જાણું કઈ રીતે?

આ ગઝલ ક્યાં દોસ્તો અમથી લખાય છે?
કેટલીયે સાંજના શ્વાસો રૂંધાય છે !
વધુ આગળ વાંચો…

Comments (10)

ગઝલપૂર્વક (કડી:૧) – અંકિત ત્રિવેદી

ગુજરાતી ભાષાના કોઈપણ મોટા કવિસંમેલન કે સુગમ-સંગીતનો કાર્યક્રમ આપે છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં – દેશમાં કે વિદેશમાં- માણ્યો હશે તો (નંબર વિનાના) ચશ્મા પહેરેલા, ફ્રેન્ચ-કટ દાઢીવાળા એક લબરમૂછિયા, કુંવારા અને ખાસ તો દેખાવડા છોકરાને મંચની મધ્યમાં પલાંઠી વાળીને બંને હાથ ખોળામાં દબાવીને ચીપીચીપીને ભાર વિનાના પણ અણિશુદ્ધ ગુજરાતીના અસ્ખલિત પૂરમાં તણાતો અને તમને સૌને તાણી જતો જરૂર જોયો હશે. કાર્યક્રમનું કેન્દ્રબિંદુ ગમે તે હોય, પણ આ છોકરો તમારા હૃદયના વ્યાસની મધ્યસ્થે અચૂક પોતાની હાજરીનો મીઠો ખીલો ભોંકી જવાનો, જેને તમે બીજા વરસોવરસ લગી નહીં જ ઉખાડી શકો. જી હા! અંકિત ત્રિવેદીની જ વાત થઈ રહી છે. અં.ત્રિ.એ ખૂબ ટૂંકા સમયમાં ગુજરાતી કાવ્યમંચની પરિભાષા સમૂળગી અને એવીપ્રબળતાથી બદલી નાંખી છે કે આજે એ ગુજરાતી મંચનો અનિવાર્ય પર્યાય બની ગયા છે. પણ એ માત્ર મંચનો આદમી નથી, એ સુંદર સંપાદનો પણ કરે છે અને સૌથી વિશેષ પોતાની પોતીકી ઓળખ વિશે પણ સજાગ છે. મંચ અને સંપાદનની બહારની દુનિયામાં પણ એક અં.ત્રિ. છે એવું સાબિત કરવા એ લઈને આવે છે એનો એના જેવો જ કાચોકુંવારો ગઝલસંગ્રહ- ‘ગઝલપૂર્વક’. લગ્ન અને જીવનના બહોળા અનુભવ મેળવ્યા પહેલાંની આ ગઝલો છે, એ ખાસ યાદ રહે. જો આ શાયર મુશાયરાના ઝળાંહળાં અજવાસના અંધારામાં અટવાઈ ન જાય તો એની આવતીકાલ ખૂબ લાં…બી હોવાની… (‘ગઝલપૂર્વક’ની રચનાઓ લયસ્તરો પર મૂકવાની પરવાનગી આપવા બદલ અં.ત્રિ.નો આભાર!)

કૈંક યુગોથી સ્થિર ઊભો છું, રસ્તામાં છું,
હું ક્યાં સાચો પડવાનો છું ? સપનામાં છું.

સાથે રહ્યો છું તારી આ તેનો દમામ છે,
આંસુ એ મારી આંખનો તકિયાકલામ છે.

ચંદ્ર કેવો શાંત પાણી પર તરે છે ?
તું મને પણ એમ ખુલ્લામાં મૂકી જો.

ઘણા યુગોથી ઊભો છું સમયસર એ જ જગ્યા પર,
રદીફ છું તે છતાં પણ કાફિયાનું ધ્યાન રાખું છું.

પીડા તો છે પીડા જેવી ને એના ભાગ્યમાં ડૂમો,
ગઝલમાં આવી તો ટહુકો થઈને કઈ રીતે આવી.

ચારે તરફ નગરમાં બનતું નથી કશું પણ,
છે રાબેતા મુજબનું તેથી જ બીક લાગે.

ક્યાં નદીની જેમ સામે ચાલી મળવાનું કહે છે ?
તું મને કાયમ સપાટી પર ઉછળવાનું કહે છે.

ચૂકવું છું ક્યારનોય વિરહ રોકડો કરી,
તારું મિલન તો ખૂબ નફાખોર હોય છે.

કોઈ બીજાના ફોનનો નંબર લગાડતાં
આવીને મારા ટેરવે જોડાઈ જાય તું.

ખાલીપણું તો એકલાથી ના થયું સહન,
પંખી નથી તો ડાળીનો હિસ્સો નમી ગયો.

વધુ આગળ વાંચો…

Comments (26)

ગઝલ – અંકિત ત્રિવેદી

શક્યતાને આ રીતે સાંધો નહીં,
ઉંબરા પર ઘર તમે બાંધો નહીં.

સાચું પડશે તો મઝા મારી જશે,
સ્વપ્ન જોવામાં કશો વાંધો નહીં.

એટલી ખૂબીથી ચાદરને વણી,
ક્યાંયથી પણ પાતળો બાંધો નહીં.

એમને તો જે હશે તે ચાલશે,
એમના નામે કશું રાંધો નહીં.

આ ગઝલ છે, એની રીતે બોલશે,
કોઈ સાધો, કોઈ આરાધો નહીં.

-અંકિત ત્રિવેદી

આમ તો આખી ગઝલ સારી છે, પણ હું પહેલા શેરથી આગળ નહીં વધું. વાત છે શક્યતાને સાંધવાની અને પ્રતીક છે ઉંબરો. ઉંબરો એ ઘર અને બહારની વચ્ચેનો સાંધો છે. તમે ક્યાં ‘ઘર’ની અંદર રહી શકો છો, ક્યાં ‘બહાર’. ઉંબરા પર-વચ્ચે-રહી શકાતું નથી. ઉંબરો ત્યારે જ ઉદભવે જ્યારે પાછળ ‘ઘર’ અને આગળ ‘બહાર’ હોય! ઉંબરા પર ઘર બાંધવું એટલે જાણે સમસ્યાની આ પાર પણ નહીં અને પેલી પાર પણ નહીં. ઉંબરા પર રહેવાની વાત ગતિહીનતાની વાત છે, સ્થગિતતા, નિર્જીવતાની વાત છે. ઉંબરો થીજી ગયેલી જડતા છે. એને વટાવીને જ તમે અંદર કે બહાર જઈ શકો છો. અંકિત ત્રિવેદીના ‘ગઝલપૂર્વક’ના ઘરમાં પ્રવેશવા માટેનો ઉંબરો છે કદાચ આ શેર… હવે આગળ ગઝલ વાંચીએ……

Comments (44)