મૂળ શબ્દ ઊપન્યો કે તણખો કીઘો અફાળી,
કંઈયે હતું નહીં ત્યાં દીધું બધું ઉજાળી.
-રાજેન્દ્ર શુક્લ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for વેણીભાઈ પુરોહિત

વેણીભાઈ પુરોહિત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




આપણામાંથી કોક તો જાગે – વેણીભાઈ પુરોહિત

આપણામાંથી કોક તો જાગે-
કોક તો જાગે!
કોક તો જાગે આપણામાંથી!

હાય જમાને
ઢેઢફજેતી ઢીંચતાં ઢીંચી,
ઘેનસમંદર ઘૂઘવે-
એનાં ઘોર ઊંડાણો
કોક તો તાગે-
આપણામાંથી કોક તો જાગે!

હાય જમાને
ઝેરને પીધાં વેરને પીધાં
આધીનનાં અંધેરને પીધાં
કૈંક કડાયાં કેરનાં પીધાં
આજ જમાનો અંતરાશે
એક ઘૂંટડો માગે-
સાચ-ખમીરનો ઘૂંટડો માગે:
આપણામાંથી કોક તો જાગે!

બાપદાદાની બાંધેલ ડેલી
એક ફળીબંધ હોય હવેલી
ગામની ચંત્યા ગોંદરે મેલી
એ…ય નિરાંતે લીમડા હેઠે
ઢોલિયા ઢાળી-
સહુ સૂતાં હોય એમ કાં લાગે?
આપણામાંથી કોક તો જાગે!

સોડ તાણી સહુ આપણે સૂતાં
આપ ઓશિકે આપણાં જૂતાં
ઘોર અંધારાં આભથી ચૂતાં-
ઘોર અંધારી રાત જેવી
ઘનઘોર તવારીખ સોરવા લાગે-
આપણામાંથી કોક તો જાગે !

આમથી આવે ક્રોડ કોલાહલ
તેમથી વ્હેતાં લોહી છલોછલ
તોય ઊભાં જે માનવી મોસલ-
આપરખાં, વગડાઉ ને એવાં
ધ્યાનબ્હેરાંનાં લમણાંમાં
મર લાઠિયું વાગે !
આપણામાંથી કોક તો જાગે!

એક દિ’ એવી સાંજ પડી’તી,
લોક-કલેજે ઝાંઝ અડી’તી,
શબ જેવી વચમાં જ પડી’તી-
એ જ ગુલામી,
એ જ ગોઝારી,
મૂરછા છાંડી મ્હોરવા માગે!
આપણામાંથી કોક તો જાગે!

કોઈ જાગે કે કોઈ ના જાગે
કોઈ શું જાગે?
તું જ જાગ્યો તો તું જ જા આગે-
આપણામાંથી તું જ જા આગે…!

– વેણીભાઈ પુરોહિત

ગઈકાલે આપણે જાગવા વિશે એક ગઝલ જોઈ. આજે જોઈએ જાગવા માટેની હાકલ દેતું એક ગીત. વળી, આજે તો પ્રજાસત્તાક દિન પણ છે. એટલે આ ગીત માટે આજના દિવસથી વધુ ઉપયુક્ત સમય તો બીજો કયો હોઈ શકે? જમાનાની ફિતરત પહેલાં પણ આ જ હતી અને આજે પણ આ જ છે. નિષ્ક્રિય થઈ રાહ જુઓ અને આશા રાખો કે કોઈક ભડવીર તો આળસ ખંખેરીને જાગશે, આગળ આવશે અને ધાર્યાં કામ પૂરાં કરશે. આમ તો ગીતકવિતા ઊર્મિપ્રવણ કાવ્યપ્રકાર હોવાથી એમાં લાઘવ અપેક્ષિત હોય, પણ કવિહૃદયનો ઉકળાટ ટૂંકામાં પતે એવો નથી. આખરે આખી વાતનો નિચોડ તો એ જ છે કે કોઈ જાગે કે ન જાગે, તું જાગી ગયો છે તો તું જ આગળ વધ. બીજાની રાહ જોવામાંને જોવામાં દુનિયા અટકી ગઈ છે. આમ તો ચુસ્ત પ્રાસવાળી ત્રણ ટૂંકી પંક્તિઓની દ્રુત ગતિ અને પછી બે કે ત્રણ ટુકડામાં વિભાજિત પૂરકપંક્તિની વિલંબિત ગતિ એવી સંરચના કવિએ દરેક બંધ માટે સુનિશ્ચિત કરી છે, પણ પહેલો બંધ આ નિયોજનાને અનુસરતો નથી, ગીતકવિતા કવિને સ્વરૂપ બાબતે જે આઝાદી આપે છે, એનો આ રચના પરથી ખ્યાલ આવે છે.

Comments (3)

પ્રેરણાપુંજ : ૧૦ : મુક્તકો

પ્રેરણાપુંજ – રાહ ચીંધતી કવિતાઓની શ્રેણીમાં આજે આ આખરી કડી…

ઘણીવાર આખી કવિતા ઉપરાંત નાની-નાની કાવ્યકણિકાઓ પણ હૈયામાં કાયમી મુકામ કરી જતી હોય છે અને ટાણેટાંકણે આ કણિકાઓ સ્મરણપટ પર આપોઆપ ઉપસી આવતી હોય છે. જીવનના અલગ-અલગ વળાંકો પર, મનોદશાના અલગ-અલગ પડાવો પર આવી અલગ-અલગ કાવ્યકણિકાઓ આપોઆપ આગળ આવીને આપણો હાથ ઝાલી લેતી હોય છે, અને આવો હૂંફાળો સાથ મળ્યા બાદ આગળ ડગ માંડવાનું થોડું આસાન બની રહેતું હોય છે. અહીં જે મુક્તકો હું આપ સહુ સાથે સહિયારી રહ્યો છું, એ બધાએ ડગલેપગલે વફાદાર પ્રેમિકાની જેમ મારો સાથ નિભાવ્યો છે. આમ તો માબાપે આપેલ જીવન પ્રમાણમાં ખાસ્સું સરસ જ રહ્યું છે, પણ નાનીમોટી તકલીફો અને ઘણુંખરું પેટ ચોળીને ઊભાં કરેલ શૂળ ઈમાનદારીથી મને હંફાવવાની કોશિશ કરતાં આવ્યાં છે. આવા દરેક કપરા સમયમાં આ કવિતાઓએ મને ફરીફરીને બેઠો કર્યો છે. હજારોવાર આ પંક્તિઓને મોટેમોટેથી મેં મનમાં લલકારી છે. (ધવલે શેખાદમનું ‘અમને નાંખો જિંદગીની આગમાં’ મુક્તક પૉસ્ટ કરી દીધું છે એટલે એનું પુનરાવર્તન કરતો નથી.)

આવી જ કોઈ કવિતાઓ આપના માટે ‘પ્રેરણાપુંજ – રાહ ચીંધતી કવિતાઓ’ બની હોય તો કમેન્ટ વિભાગમાં જરૂર સહિયારજો.

*

અફસોસને આસન કદી જો આપશું,
જે રહ્યું થોડુંય તે લૂંટી જાશે;
જો ગુમાવ્યાની ગણત્રીમાં પડયા,
ફૂલ ઊઘડતુંય એ ચૂંટી જશે.
– મકરંદ દવે

કોક દિન ઇદ અને કોક દિન રોજા
ઊછળે ને પડે નીચે જિંદગીનાં મોજાં.
– મકરંદ દવે

ઉરની સાંકલડી શેરીના પંથ વિશાળ રચાવો,
હૈયાનાં ઝરણાં નાનાને સાગર જેવું બનાવો.
– સુન્દરમ્

નથી ઇચ્છા કે કિનારા થઈને પડ્યા રહીશું,
નાનું તોયે ઝરણું થઈને વહેતા રહીશું.
– ?

જીવવું છે, ઝૂરવું છે, ઝૂઝવું છે, જાનેમન !
થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી.
બાજ થઈને ઘૂમવું અંદાજની ઊંચાઈ પર,
ઇશ્ક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી
– વેણીભાઈ પુરોહિત

હાથની રેખા પ્રમાણે ચાલનારા છે ઘણા,
ચાલ તારાઓની બદલે એ જ શક્તિમાન છે.
– શેખાદમ આબુવાલા

મને એ નાખુદા પર છે ખુદા કરતાં વધુ શ્રદ્ધા,
કિનારો જોઈ જે પાછો વળી જાયે સમંદરમાં.
– શૂન્ય પાલનપુરી

કદમ અસ્થિર હો એને કદી રસ્તો જડતો નથી,
અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી;
તમારા મનને જીતી લો તો હું માનું. ‘સિકંદર છો’,
નહીંતર દિગ્વિજય ઉચ્ચારવામાં શ્રમ નથી પડતો.
– શૂન્ય પાલનપુરી

ઝુલ્ફ કેરા વાળ સમ છે ભાગ્યની ગૂંચો બધી,
માત્ર એને યત્ન કેરી કાંસકી ઓળી શકે.
– શૂન્ય પાલનપુરી

જિંદગી જીવવાની ફિલસૂફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં, આખરી સમજી લીધી.
– મરીઝ

જિગર પર જુલ્મે કે રહેમત, ઘટે જે તે કરી જોજો,
તમારા મ્હેલના મહેમાનની સામું ફરી જોજો;
કટોરા ઝેરના પીતાં કરું છું એ વફાદારી,
કસોટી જો ગમે કરવી, બીજું પ્યાલું ધરી જોજો.
– કપિલરાય ઠક્કર ‘મજનૂ’

ફરીથી વિશ્વને જોવા મળે પુરુષાર્થની સિદ્ધિ,
ફરીથી ભાગ્યરેખાઓ બધી ગૂંચવાઈ જાવા દ્યો.
– ‘દિલહર’ સંઘવી

સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી,
ચણાયેલી ઇમારત એના નક્શામાં નથી હોતી.
– બરકત વિરાણી ‘બેફામ’

મને મળી નિષ્ફળતા અનેક,
તેથી થયો સફળ કૈંક હું જિંદગીમાં
– ઉમાશંકર જોશી

Comments (6)

ઝરમર – વેણીભાઈ પુરોહિત

શ્રાવણ વરસે સરવડે ને
ઝરમરીયો વરસાદ:
– કાના, આવે તારી યાદ0

વીજ ઝબૂકે વાદળ વચ્ચે
તરવરિયો ઉન્માદ:
– કાના, આવે તારી યાદ0

જમણી આંખ ગઈ મથુરા ને
ડાબી ગઈ ગોકુલમાં,
હૈયું વૃન્દાવન જઈ બેઠું
કુંજગલીના ફૂલમાં.
– કાના, આવે તારી યાદ0

ગોપી થઈ ઘૂમું કે કાના,
બનું યશોદામૈયા ?
કે રાધા થઈ રીઝવું તુજને
હે સત-પત રખવૈયા!
– કાના, આવે તારી યાદ0

તનડુ ડૂબ્યું જઈ જમનામાં
મનડું નામસ્મરણમાં-
સુધબુધ મારી આકુલવ્યાકુલ
તારા પરમ ચરણમાં:
– કાના, આવે તારી યાદ0

– વેણીભાઈ પુરોહિત

રહી રહીને વરસાદ ઝરમર ઝરમર પડતો હોય એ ટાંકણે ભક્તને કહાનજી સિવાય બીજા કોઈની યાદ આવે એ તો સંભવ જ નથી. વાદળમાં અવારનવાર જેમ વીજળી ઝબૂકે એ જ રીતે ભીતરમાં ઉન્માદ તરવરતો રહે છે. એક આંખ મથુરા ભણી જુએ છે ને બીજી ગોકુળ તરફ, ને વળી હૈયું તો વૃંદાવનમાં જઈ ખીલ્યું છે. કાનકુંવર સત્ય અને ભરોસાનો રખેવાળ છે, એને રીઝવવા કાવ્યનાયિકા કયો ભેખ ધારવો એની વિમાસણમાં છે. આંખો અને હૈયાની જેમ જ તન જમુનામાં ડૂબકી લગાવી રહ્યું છે, મન નામસ્મરણમાં અને આકુળવ્યાકુળ સુધબુધ શ્રીહરિના ચરણમાં જઈ બેઠી છે… સાવ સરળ અને સહજ બાનીમાં કૃષ્ણભક્તિની આરત કેવી સ-રસ રીતે ઊઘડી છે એ જોવા જેવું છે…

Comments (6)

પ્યારનો પારો – વેણીભાઈ પુરોહિત

જીવનના મુસાફર શોધે છે રસ્તામાં ઉતારો શા માટે?
મુજ પ્યારની રંગત ઝંખે છે એનો અણસારો શા માટે?

આ આંખ ભટકતાં થાકી ગઈ, આ પ્રેમનો પોરો ખાવો છે,
કોઈ દિલની સરાઈ છોડીને ગલીઓમાં ગુજારો શા માટે?

છે ચાહતની બલિહારી અજબ, હું એક જ ઉત્તર શોધું છું,
કે આંખોથી સત્કાર કરો ને મુખથી નકારો શા માટે?

હું ઠપકો દઉં છું રોજ, હૃદયને રોજ દિલાસો આપું છું,
કે તુંય પકડવા દોડે છે એ પ્યારનો પારો શા માટે?

સપનાનું રેશમ જાય બળીને આશાની મુરઝાય કળી,
કોઈ લીલાછમ ખેતરને ખોળે ગમનો અંગારો શા માટે?

જ્યાં જોગ નથી, જ્યાં ભોગ નથી, સુખદુઃખના જ્યાં સંજોગ નથી,
જ્યાં પ્યાર કર્યાનું પાપ નથી, એવો જન્મારો શા માટે?

હું મોતનું જીવન જીવું છું, બિસ્મિલની બોલી બોલું છું,
ને શબ જેવા આ દિલમાં યા રબ! આ ધબકારો શા માટે?

– વેણીભાઈ પુરોહિત

વેણીભાઈને ગીત-કવિ તરીકે હું પીછણતો. આવી સરસ ગઝલ વાંચીને મજા આવી ગઈ. દરેક શેર મજબૂત. પરંપરાગત કલ્પનો પણ વાત ક્રાંતિકારી. છેલ્લેથી બીજો શેર જુઓ….. વળી ‘પ્યારનો પારો’ કલ્પન પણ કેટલું બંધબેસતું છે !!

Comments (3)

સાંજ તો પડવા દો – વેણીભાઈ પુરોહિત

હજી આ કોકરવરણો તડકો છે
સાંજ તો પડવા દો
હજી આ સૂર્ય બુઝાતો ભડકો છે
દિવસને ઢળવા દો…

હજી ક્યાં પંખી આવ્યા તરુવર પર ?
અને કયાં દીપક પણ પ્રગટ્યા ઘર ઘર ?
હજી ના મનડું બેઠું મહુવર પર
દેવ મંદિરે નોબત સંગે
ઝાલર મધુર વગડવા દો…
સાંજ તો પડવા દો
દિવસને ઢળવા દો.

હજી ક્યાં દુનિયાદારી થાકી છે ?
હવાની રૂખ બદલવી બાકી છે
હજી આ કિરણોમાં કરડાકી છે !
ગમતીલી ગોરજને ઊંચે
અંગેઅંગ મરડવા દો !
સાંજ તો પડવા દો :
દિવસને ઢળવા દો :

હજી આ ધરતી લગરીક ઊની છે,
ગગનની મખમલ તારક સૂની છે,
સાંજ તો શોખીન ને સમજુની છે:
કનક કિરણને નભવાદળમાં
અદભૂત રંગ રગડવા દો
સાંજ તો પડવા દો.
દિવસને ઢળવા દો.

– વેણીભાઈ પુરોહિત

બપોર આથમ્યા પછી પણ સાંજ પડતા પેહલાના સમયની વાત… સૂર્યનો તાપ જરા આછો થયો છે પણ સાંજજે હજી રંગોળી પૂરવી શરૂ કરી નથી. પંખીઓ હજી ઘરે પરત નથી ફર્યાં. દીવા સળગવાને વાર છે. હજી દુનિયા એની રોજનીશીથી થાકી નથી. ધરતીનો ગરમાટો ખુલ્લા પગને હજી અડે એવો છે. આકાશમાં તારાઓ ઊગી આવવાને હજી વાર છે. મંદિરમાં ઝાલર-આરતી શરૂ થાય, ઘેર પરત ફરતી ગાયોના ટોળાંની મસ્તીથી આભે ચડેલી ગોરજ આળસ મરડી મસ્તી કરે, સૂર્યકિરણો પશ્ચિમના આકાશને રંગોથી રગડોળી દે એ પછી વાત… જો કે કઈ વાત કરવાની છે એ આખી વાત અધ્યાહાર રાખીને કવિએ એક અદભુત ચિત્ર દોરી આપ્યું છે…

Comments (6)

પી જવાનું હોય છે – વેણીભાઈ પુરોહિત

જિંદગીની દડમજલ થોડી અધૂરી રાખવી,
ચાલવું સાબિત કદમ, થોડી સબૂરી રાખવી.

જીવવું છે, ઝૂરવું છે, ઝૂઝવું છે, જાનેમન !
થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી.

જોઈ લેવું આપણે, જોનારને પણ છૂટ છે,
આંખને આકાશના જેવી જ ભૂરી રાખવી.

ભાનભૂલી વેદનાઓને વલૂરી નાખવી,
જ્વાલા ભલે ભડકી જતી, દિલમાં ઢબૂરી રાખવી.

જામમાં રેડાય તેને પી જવાનું હોય છે,
ઘૂંટડે ને ઘૂંટડે તાસીર તૂરી રાખવી.

કેફીઓના કાફલા વચ્ચે જ જીવી જાણવું,
થોડુંક રહેવું ઘેનમાં, થોડીક ઘૂરી રાખવી.

ઝંખનાઓ જાગતી બેઠી રહે છે રાતદિન,
જાગરણની એ સજાને ખુદને પૂરી રાખવી.

એમના દરબારમાં તો છે શિરસ્તો ઔર કંઈ,
ફૂંક સૂરીલી અને બંસી બસૂરી રાખવી.

બાજ થઈને ઘૂમવું અંદાજની ઊંચાઈ પર,
ઇશ્ક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી

– વેણીભાઈ પુરોહિત

કબરમાંથી મડદાંને બેઠી કરી દે એવી ખુમારીવાળી ગઝલ. થોડી અદાઓ ફાંકડી અને બાજ-બુલબુલવાળા બે શેર તો કોલેજકાળમાં અમે જ્યાં ને ત્યાં ફટકારતા.

આ ગઝલ 2007માં ટહુકો ડૉટ કોમ પર વાંચી હતી ત્યારે હે પ્રતિભાવ મેં આપ્યો હતો એ આજે કવિમિત્ર નિનાદ અધ્યારુએ શોધી કાઢીને મને મોકલ્યો, જે અહીં ઉમેરવાની લાલચ જતી નથી કરી શકતો: “આ ગઝલના બે શેર જ મને ખબર હતા અને એ બંને મારા ઓલટાઈમ ફેવરીટ રહ્યા છે. મુક્તકની જેમ હું એ બે શેર સાથે જ લલકારતો રહું છું અને જ્યારે અંદરથી ઢીલાશ અનુભવું છું ત્યારે મોટેથી અંદર જ લલકારું છું અને પુનર્ચેતના પામું છું. વાત ઈશ્કની છે પણ ગઝલનો અંદાજ-એ-બયાઁ એટલો પ્રબળ છે કે મડદામાં જાન લાવી દે. પણ એ બીજો બીજો શેર ક્યાં ગયો?

જીવવું છે, ઝૂરવું છે, ઝૂઝવું છે, જાનેમન !
થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી

બાજ થઈને ઘૂમવું અંદાજની ઊંચાઈ પર,
ઈશ્ક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી.”

***

* ફિતૂરી – બળવાખોરી
* ઘૂરી = આવેશ, ઊભરો, જુસ્સો

Comments (11)

સાંવરિયા – વેણીભાઇ પુરોહિત

સાંવરિયા, કાહે હોત નઠોર ?
ઠાકુર, મૈં ઠુમરી હું તેરી
કજરી હૂં ચિતચોર…
સાંવરિયા, કાહે હોત નઠોર ?

સાવન કી બેચૈન બદરિયાં
બરસત ભોલીભાલી :
ગોકુલ કી મૈં કોરી ગ્વાલિન
ભીતર આંખ ભિગા લી :
કરજવા મોર : કરજવા તોર-
સાંવરિયા, કાહે હોત નઠોર ?

નંદકુંવર, મૈં જમુના ભઈ ના
ભઈ ના મધુરી બંસી :
દહી-મક્ખન કી મિઠાસ લે કર
કહાં છિપે યદુવંશી ?
ઇત ઉત ઢૂંઢત નૈન-ચકોર:
સાંવરિયા, કાહે હોત નઠોર ?

આપ હી દાવ લગા કર બેઠી,
જિયરા ભયા જુઆરી :
લગન અગન મેં લેત હિચકિયાં
ગિરધારી…! ગિરધારી…!
બિલખતી રતિયા : ભટકત ભોર
સાંવરિયા, કાહે હોત નઠોર ?

– વેણીભાઈ પુરોહિત

ગુજરાતી કવિ વ્રજભાષામાં ગીત લખે અને એ પણ આવું મધમીઠું ?! એલચીવાળું મીઠું પાન જેમ ધીમે ધીમે મમળાવીએ એમ વધુ સ્વાદ આપે એમ જ આ ગીત હળવી હલકથી વારંવાર ગાવાથી વધુ ને વધુ સ્વર્ગાનંદ આપશે એની ગેરંટી…

Comments (1)

અટકળ બની ગઈ જિંદગી ! – વેણીભાઈ પુરોહિત

આ તરફ એની મુરાદો, મુજ ઇરાદો ઓ તરફ…
બેઉ બોજા ખેંચતાં કાવડ બની ગઈ જિંદગી !

હમસફરની આશમાં ખેડી સફર વેરાનમાં,
ફક્ત શ્વાસોચ્છ્વાસની અટકળ બની ગઈ જિંદગી !

સ્મિતનું બહાનું શોધતું મારું રુદન રઝળી પડ્યું,
હાસ્ય ને રુદનની ભૂતાવળ બની ગઈ જિંદગી !

વિશ્વમાં કો સાવકું સરનામું લઈ આવી પડ્યો !
કાળની અબજો અજીઠી પળ, બની ગઈ જિંદગી !

ફૂલને કાંટાની કુદરત છે, અરે તેથી જ તો –
ગુલછડીના ખ્યાલમાં બાવળ બની ગઈ જિંદગી !

દિલ ન’તું પણ વાંસનું જંગલ હતું, ઝંઝાનિલો !
આપ આવ્યા ? હાય ! દાવાનળ બની ગઈ જિંદગી !

– વેણીભા પુરોહિત

મત્લા વિનાની છતાં જાનદાર ગઝલ…  ગીતકવિ વેણીભાઈને માન્ય ગઝલકાર તરીકે પ્રસ્થાપિત કરી શકે એવી !

 

Comments (7)

દીવાદાંડીઓ – યામામોતો તારો [ જાપાન ] – અનુ-વેણીભાઈ પુરોહિત

દીવાદાંડીઓ કવિઓ જેવી લાગે છે:
જ્યાં જ્યાં જોખમનો ભય –
ત્યાં બન્નેની સાબદી નજર.

પવનના ઉદરમાં જ આકાર લેતું તોફાન
અથવા તો
ફૂંફાડાબંધ આવી રહેલું
મહાસાગરનું મોજું….

કવિઓ દીવાદાંડીઓ જેવા લાગે છે :
વેદનાની અનુભૂતિ આત્મસાત કરીને
તેઓ પોતાનું એકાંત ઊભું કરે છે,
કારણકે બન્નેના ભર્ગ-વરણ્યને
હમ્મેશાં દૂર દૂરનો ફાસલો હારી જાય છે.
તેમનું ભીતર
કોઈ પણ અંધકાર કરતાં વધુ અતલ હોય છે.

 

સ્ટાલિન પોતાના સેનાપતિઓને કહેતો કે – ‘શત્રુપક્ષનો એક સેનાપતિ છટકી જશે તે ચાલશે પણ શત્રુપક્ષનો એકપણ કવિ છટકવો ન જોઈએ.’ !!!

Comments (5)

મના – વેણીભાઈ પુરોહિત

રે નયણાં !
મત વરસો,મત વરસો :
રે નયણાં !
વરસીને શું કરશો ?
રે નયણાં ! મત વરસો,મત વરસો.

આનંદી અશ્રુ નહિ ઝીલે
ગરજુ જગત અદેખું :
તો દર્દીલાં ખારાં જલનું
ક્યાંથી થાશે લેખું ?
રે નયણાં ! મત વરસો,મત વરસો.

મીઠાં જલની તરસી દુનિયા,
ખારાં છો ક્યાં ખરશો ?
દુનિયાદારીના દરિયામાં
અમથાં ડૂબી મારશો.
રે નયણાં ! મત વરસો,મત વરસો.

કોઈ નથી એ જલનું પ્યાસી,
ક્યાં જઈને કરગરશો ?
રે નયણાં ! મત વરસો,મત વરસો.

– વેણીભાઈ પુરોહિત

આ કવિના કાવ્યમાં હંમેશ એક અજબની મીઠાશ ભરી હોય છે. ‘તારી આંખનો અફીણી….’થી ગુજરાતીઓના હૈયે વસેલાં વેણીભાઈ સાદા શબ્દો પાસેથી જે અદભૂત કામ લે છે તે કળા ગુજરાતીમાં મરીઝ અને ગનીચાચા જેવા અમુક જ સિદ્ધહસ્ત શાયરો હસ્તગત કરી શક્યા છે.

*

( આ કવિતા વાંચીએ અને એમની જ ‘નયણાં’ કવિતા અને સુરેશ જોષીએ એ કવિતાનો કરાવેલો અદભુત રસાસ્વાદ યાદ ન આવે એવું બને ?)

Comments (12)

મુક્તક – વેણીભાઈ પુરોહિત

ગફલતી છું આદમી હું, ગમ નથી એનો મને
હું જ મારૂં છું રુદન ને હું જ મુજ રણહાક છું !
આટલી કાપી મજલ ને આટલું સમજી શક્યો,
હું જ મારો છું વિસામો, હું જ મારો થાક છું !

– વેણીભાઈ પુરોહિત

Comments (7)

યાદગાર ગીતો :૧૦: પાનીને પગરસ્તે – વેણીભાઈ પુરોહિત

તારી આંખનો અફીણી,
તારા બોલનો બંધાણી,
તારા રૂપની પૂનમનો પાગલ એકલો.

આજ પીઉં દર્શનનું અમરત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો :
તારી મસ્તીનો મતવાલો આશક એકલો.

પાંખોની પડખે જ પરબડી, આંખો જુએ પિયાવો,
અદલબદલ તન-મનની મોસમ, ચાતકનો ચકરાવો :
તારા રંગનગરનો રસિયો નાગર એકલો.

રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની બીતી,
પ્રીતવાવડી સદા છલકતી, જાય જિન્દગી પીતી :
તારાં હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો.

ઠરી ગયા કામણના દીપક, નવાં નૂરનો નાતો,
ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતો :
તારી પાનીને પગરસ્તે ચાલું એકલો.

– વેણીભાઈ પુરોહિત
(જન્મ: ૦૧-૦૨-૧૯૧૬, મૃત્યુ: ૦૩-૦૧-૧૯૮૦)

ફિલ્મઃ દિવાદાંડી (૧૯૫૦)
સંગીતકારઃ અજીત મર્ચન્ટ
સ્વરઃ દિલીપ ધોળકિયા

[audio:http://urmisaagar.com/saagar/audio/Tari-Aankh-No-Afini-Dilip-Dholakia.mp3]

સ્વર: સોલી કાપડિયા

[audio:http://urmisaagar.com/saagar/audio/Taari-aankhno-afini-SoliKapadia.mp3]

જામખંભાળિયામાં જન્મેલા વેણીભાઈ માધ્યમિક શિક્ષણ સુધી જ ભણ્યા પણ કવિતાઓ એવી કરી કે ગુજરાતીઓના દિલ ડોલાવી મૂક્યા. વ્યવસાયે પત્રકાર. બેતાળીસના હિંદ છોડો આંદોલનના કારણે કારાવાસ પણ વેઠ્યો. મજબૂત લય અને ભાવની નજાકત એમની કવિતાની લાક્ષણિક્તા. ઉમાશંકર જોશી એમને ‘બંદો બદામી’ કહેતા. (કાવ્યસંગ્રહો: ‘સિંજારવ’, ‘ગુલઝારે શાયરી’, ‘દીપ્તિ’, ‘આચમન’)

વેણીભાઈનું યાદગાર ગીત મારે પસંદ કરવું હોય તો ‘ઊનાં રે પાણીનાં અદભુત માછલાં‘ સિવાય કશું યાદ ન આવે પણ એમનું લોકપ્રિય ગીત પસંદ કરવું હોય તો? ગુજરાતી ગીતોના સર્વકાલીન ટોપ ટેનમાં સર્વકાલીન અવ્વલ દરજ્જો અંકે કરે એવું ગીત ‘તારી આંખનો અફીણી’ સિવાય બીજું કયું હોઈ શકે?

કવિએ અહીં એવી તે શી કમાલ કરી છે કે આ ગીતનો આશિક ન હોય એવો ગુજરાતી મળવો દોહ્યલો થઈ પડે?! આ કમાલ શું લયની છે કે ગીતમાં અનવરુદ્ધ વહેતા ભાવાવેગની છે? કે પછી પ્રણયોર્મિનો અનનુભૂત કેફ કારણભૂત છે?  અર્થનું ઊંડાણ ભાવક-શ્રોતાને સ્પર્શી જાય છે કે પછી આ નરી સંગીત અને ગાયકીની જ સિદ્ધિ છે? મારે જો કારણ આપવાનું થાય તો હું આ ગીતની લોકપ્રિયતાનું ખરું શ્રેય ‘એકલો’ શબ્દના પ્રયોજનને આપું કેમકે પ્રેમ ગમે એટલી સાર્વત્રિક ઘટના કેમ ન હોય, એની અનુભૂતિ કેવળ ‘એકલા’ની જ હોય છે… કવિએ આ ગીત વાંચતા-સાંભળતા દરેક ગુજરાતીને એકલો શબ્દ વાપરીને એના પોતીકા પ્રેમની વિલક્ષણ તસ્વીર ચાક્ષુષ કરી આપી છે એ કદાચ આ ગીતની સફળતાનું ખરું કારણ છે..

ઇન્ટરનેટ ઉપર આ ગીતના છ બંધ પણ ઉપલબ્ધ છે, પરંતુ કવિના કાવ્યસંગ્રહ “દીપ્તિ”માં આ ગીત આ મુજબ છે. એટલે લયસ્તરોના વાચકમિત્રો માટે આ રચના કવિના સંગ્રહમાં છપાયા મુજબ રજૂ કરીએ છીએ….

Comments (14)

અલબેલો અંધાર – વેણીભાઈ પુરોહિત

એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો,
તમરાંની ત્રમત્રમ વાણીમાં કંઈ પાયલનો ઝંકાર હતો.

એ રાત હતી ખામોશ, અને માટીનું અત્તર લાવી’તી,
મેડીમાં દીપક જલતો’તો એ દીપક નહિ પણ પ્યાર હતો.

જલ વરસીને થાકેલ ગગનમાં સુસ્ત ગુલાબી રમતી’તી
ધરતીનો પટ મસ્તાન, મુલાયમ, શીતલ ને કુંજાર હતો.

ખૂટે તે કેમ વિખૂટો રસ્તો, એકલદોકલ રાહીનો ?
નાદાન તમન્ના હસતી’તી ને તડપનનો તહેવાર હતો.

જ્યાં કોઈ વસી જ શકે નહિ, પણ જ્યાં અવરનવર સંગ્રામ થતા,
બે સરહદની વચ્ચેનો ટુકડો એવો આ અવતાર હતો.

આ દિલ પોતાને ડંખી ડંખી હાય રે ચટકા ભરતું’તું,
એ ચુંબનથી ચંદરવો આખો કેવો બુટ્ટાદાર હતો !

માસૂમ હવાના મિસરાઓમાં કેફી ઉદાસી છાઈ હતી,
કુદરતની અદા, કુદરતનીઅદબ, કુદરતનો કારોબાર હતો.

ઊર્મિનું કબૂતર બેઠું’તું નિજ ગભરુ દર્દ છુપાવીને,
આંખોમાં જીવન સ્વપ્ન હતાં, પાંખોમાં જીવનભાર હતો.

ભરતીને ઓટ કિનારે ભમતાં, પણ હું તો મઝધાર હતો,
મન ભીનું ભીનું જલતું’તું, એ આતશનો આધાર હતો.

– વેણીભાઈ પુરોહિત

વેણીભાઈની એક ઊર્મિશીલ રચના. બે સરહદની વચ્ચેનો ટુકડો અને ઊર્મિનું કબૂતરવાળા બે શેર નાનપણથી મારી જીભે ચડી ગયેલા એ કારણોસર આ ગઝલ તરફ એક ખાસ કહી શકાય એવો પક્ષપાત હું અનુભવું છું…

Comments (3)

૨૬-૧-૧૯૫૦ – વેણીભાઈ પુરોહિત

અમાવસ્યા નથી, પૂનમ નથી, રજની રૂપાળી છે,
ગુલામીને પ્રજળતી જ્યોતની આજે દિવાળી છે.

હજી એ યાદ છે જુલ્મો ને ઝિન્દાબાદ જખ્મો છે,
સિતમની સેંકડો ગોળી કલેજામાં રમાડી છે.

શહીદીની અને એ ઈન્કિલાબીની કથા વાંચો:
કથાઓ લાલ છે, એની વ્યથાઓ ક્રૂર છે, કાળી છે.

જુઓ ગાંધીની હત્યા પણ શહીદીના મુગટમાં છે,
બધી ગમખ્વાર ગાથાઓ સગી આંખે નિહાળી છે.

ઠરી જઈને પ્રગટ થાનાર દીવડાઓ શહીદો છે,
અને એ દીપમાળાએ બધી આલમ ઉજાળી છે.

નથી હીરા, નથી મોતી, નથી રાજા, નથી રાણી :
અમારા તાજમાં વનકેસરીની કેશવાળી છે.

અમારા દિલના તખ્તા પર અને દિલ્હીના તખ્તા પર
બિરાજે છે સદા ભારત, જમાનો ભાગ્યશાળી છે.

હજારો વાતમાંથી વાત એક જ યાદ રાખી લે :
કે એકએક બચ્ચો દેશના ગુલશનનો માળી છે.

કે સત્તાવન થી સુડતાલીસ – ! કતલની રાત ગાળી છે,
અને ઈતિહાસમાં આજે દિવાળીની દિવાળી છે.

– વેણીભાઈ પુરોહિત

ઘણા વખતથી શોધતો હતો એ ગઝલ આજે બરાબર મોકાના સમયે મળી ગઈ ! ઓગણસાઠ વર્ષ પહેલા પ્રજાનો મિજાજ કેવો હશે એ આ ગઝલમાં દેખાઈ આવે છે – એક તરફ છે લોહી વહાવીને આઝાદી મેળવી એનું ગૌરવ અને બીજી તરફ છે નવી શરૂઆતનો નશો. આજનો દિવસ દુનિયાના ઈતિહાસમાં સૌથી અનોખા દેશને ઊજવી લેવાનો દિવસ છે…બધાને ભારત મુબારક !

Comments (11)

દશા અને દિશા – વેણીભાઈ પુરોહિત

દશા પર દાઝનારા ને દશા પર દૂઝનારાઓ,
નથી હોતા ખુમારીથી જીવનમાં ઝૂઝનારાઓ.

દિશા જાણ્યા વિનાના છે દશાથી ધ્રુજનારાઓ !
કહી દો   એમને  કે,  હે દશાના  પૂજનારાઓ !

દશા તો છે સડક જેવી, સડક ચાલી નથી શકતી,
સડકને  ખૂંદનારાને  સડક  ઝાલી નથી શકતી.

– વેણીભાઈ પુરોહિત

પ્રારબ્ધને ઠોકર મારી પુરુષાર્થ પર આધાર રાખી જીવો. પવનથી ધ્રુજતા તણખલાની જેમ નહીં, ખુમારીથી ઉડતા બાજની માફક જીવો !

Comments (4)

નયણાં – વેણીભાઈ પુરોહિત (લયસ્તરો પર ૧૦૦૦મી પોસ્ટ)

ઊનાં રે પાણીનાં અદભુત માછલાં –
એમાં આસમાની ભેજ,
એમાં આતમાનાં તેજ :
સાચાં તોયે કાચાં જાણે કાચનાં બે કાચલાં :
ઊનાં રે પાણીનાં અદભુત માછલાં.

સાતે રે સમદર એના પેટમાં,
છાની વડવાનલની આગ,
અને પોતે છીછરાં અતાગ :
સપનાં આળોટે એમાં છોરું થઈને ચાગલાં :
ઊનાં રે પાણીનાં અદભુત માછલાં.

જલના દીવા ને જલમાં ઝળહળે,
કોઈ દિન રંગ ને વિલાસ,
કોઈ દિન પ્રભુ ! તારી પ્યાસ,
ઝેર ને અમરત એમાં આગલાં ને પાછલાં :
ઊનાં રે પાણીનાં અદભુત માછલાં.

-વેણીભાઇ પુરોહિત

વિરોધમૂલક પ્રતીકોથી સાદૃશ્યના સ્થાપવી એ કવિતાનો અગત્યનો ગુણધર્મ છે અને અહીં એ સુપેરે પાર પડાયો છે. પહેલી પંક્તિથી શરૂ થતો વિરોધાભાસ પંક્તિએ પંક્તિએ વધતો જઈ અંતે ચરમસીમાએ પહોંચી વાચકને કાવ્યરસપાનના સંતોષની અનુભૂતિથી તરબોળ કરી દે છે. માછલાં શબ્દપ્રયોગ ‘આંખ’ને અનુલક્ષીને કર્યો છે એ શીર્ષકમાં સાવ ખુલ્લેખુલ્લું ન કહી દીધું હોત તો પણ સમજાત જ.પણ ઊનાં પાણીનાં? કવિતાના પહેલા શબ્દથી જ વિરોધ ઊભો થાય છે. માછલાં કદી ઊનાં પાણીમાં ન રહે અને ઊનાં પાણીમાં રહે તે તો અદભુત જ હોવાનાં.

જ્યાં તેજ હોય ત્યાંથી ભેજ ઊડી જ જાય. પણ આ દેખીતા વિરોધાભાસી તત્ત્વો આંખમાં એકસાથે રહે છે. જેમ આંખનું તેજ, એમ જ આર્દ્રતા પણ સજીવતાની નિશાની છે. અને આસમાની શબ્દ નાનકડી આંખમાં રહેલી આકાશતુલ્ય અપરિમેય વિસ્તૃતિનું જાણે સૂચન કરે છે. આંખની આકારલઘુતા સામે આસમાનની વ્યાપક વિશાળતાનો એક બીજો વિરોધ અહીં સમાંતરે ફરીથી સ્થાપિત થાય છે. વળી આંખથી દૃષ્ટિગોચર થતી સૃષ્ટિ જેમ સાચી તોય અંતે તો નશ્વર છે, એમ જ આંખ પણ કાચના કાચલાં જેવી જ ક્ષણભંગુરતા નથી ધરાવતી?

‘આસમાની ભેજ’ની વ્યાપક્તાને સમાંતર સાત સમન્દરની ઊંડી વિશાળતાની વાત કવિ કરે છે ત્યારે એક બીજો વિરોધ અનાયાસ કાવ્યમાં ઉપકારકરીતે ઉમેરાઈ જાય છે. ‘એના પેટમાં’ એટલે? સમુદ્રના પેટમાં રહેતાં માછલાંના પેટમાં વળી સાતે સમુદ્ર? આ છે વાચ્યાર્થની ચમત્કૃતિ. આ નાની આંખમાંથી ટપકતું વેદના કે હર્ષનું એક અશ્રુ સાત સમુદ્ર કરતાં વધુ પ્રલયંકર છે એનું અહીં સૂચન નથી? હવે બીજો વિરોધાભાસ… પાણીમાં જ પાણી વડે પ્રક્ટેલો અગ્નિ પ્રજળે છે. બીજા અગ્નિને પાણીથી ઠારી શકો પણ પાણીમાં પાણીથી પ્રક્ટેલા અગ્નિને? આવી ન બૂઝાતી વેદનાના ધખારાથી ભરેલી આંખ છીછરી હોવા છતાં અતાગ છે. કેવી વિરોધી સાદૃશ્યના! જે છીછરું છે એ જ અતાગ છે. આમ જુઓ તો સાત સમંદર એના પેટમાં અને આમ જુઓ તો?!વળી વાસ્તવિક્તાની આંચ લાગતાં જે વિલાઈ જાય એ ચાગલા છોરુ જેવા સપનાં આ ઊંડી વિશાળતા અને પ્રચ્છન્ન દાહકતાના ખોળે જ લાડ કરતાં, વિશ્રમ્ભપૂર્વક રમે છે એ વળી કેવો વિરોધાભાસ! અહીં ચાગલાં શબ્દના ત્રણેય અર્થ- મૂર્ખતા, નિર્દોષતા અને લાડકવાયાપણું કવિતામાં એકસાથે ઉપસી આવી કાવ્યને ઉપકારક થઈ પડે છે.

અન્તે આ ભેજ અને તેજની જ વાતને અત્યંત સમર્થ કલ્પનથી મૂર્ત કરી છે: જલના દીવા! જલનો ભેજ અને જલનું તેજ ભેગાં મળીને દીવા પ્રગટ્યા છે. ભેજ અને તેજની વિરોધ દ્વારા ક્રમશઃ સિદ્ધ થતી અભિન્નતા એ જ આ કાવ્યની વિશિષ્ટતા છે. પ્રથમ કડીમાં બંને જુદા હતાં, બીજી કડીમાં સાગર અને વડવાનલ રૂપે નજીક આવ્યાં અને ત્રીજી કડીમાં આંખમાં સધાતી એની અભિન્નતા દીપ પ્રકટાવે છે. આ રીતે આંખની સ-તેજ આર્દ્રતા મૂર્ત થઈ છે. અંતે પરંપરાગત ભક્તિની વાત મૂકીને કવિ છેલ્લી પંક્તિમાં ફરીથી વિરોધમૂલક સાદૃશ્યનાનું તીર આબાદ તાકે છે. ઝેર અને અમૃતના રૂપમાં કવિ ભેજ અને તેજનું બીજું રૂપાંતર જાણે કરે છે. જે વિશાળ છે, પૂર્ણ છે તે પોતાનામાં પરસ્પરવિરોધી અંશોનો સમન્વય સિદ્ધ કરીને અખંડ બને છે. કહો કે વિરોધને ગાળી નાંખવાની વિશાળતા એનામાં છે. આંખ ઝેર જીરવે છે અને અમી પણ વરસાવે છે એ હિસાબે એ આપણામાં રહેલું શિવતત્ત્વ છે. ઝેર અને અમૃત ‘આગલાં’ અને ‘પાછલાં’ છે એટલે કે એક જ વસ્તુની એ બે બાજુ છે, જુદી જુદી વસ્તુ નથી.

(શ્રી સુરેશ જોષી કૃત ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’ના આધારે)

Comments (27)

નયણાં -વેણીભાઇ પુરોહિત

ઊનાં રે પાણીનાં અદભુત માછલાં –
એમાં આસમાની ભેજ,
એમાં આતમાનાં તેજ :
સાચાં તોયે કાચાં જાણે કાચનાં બે કાચલાં :
ઊનાં રે પાણીનાં અદભુત માછલાં.

સાતે રે સમદર એના પેટમાં,
છાની વડવાનલની આગ,
અને પોતે છીછરાં અતાગ :
સપનાં આળોટે એમાં છોરું થઈને ચાગલાં :
ઊનાં રે પાણીનાં અદભુત માછલાં.

જલના દીવા ને જલમાં ઝળહળે,
કોઈ દિન રંગ ને વિલાસ,
કોઈ દિન પ્રભુ ! તારી પ્યાસ,
ઝેર ને અમરત એમાં આગલાં ને પાછલાં :
ઊનાં રે પાણીનાં અદભુત માછલાં.

-વેણીભાઇ પુરોહિત

Comments (3)

રાત ગુજારી નાખો ! – વેણીભાઈ પુરોહિત

જીવનમાં હોય દિવસ ને રાત
રાત ગુજારી નાખો.
અદબ અલગારી રાખો.

નીરવતા મનમાં, નયનોમાં કરે પિશાચી પ્યાર,
અંધકારનો પાગલ હાથી, ઘસે આર ને પાર :
જરા હુશિયારી રાખો – રાત ગુજારી નાખો.

ભલે કલેજું કૂણું, એના વજ્જર હો નિરધાર
ફાગણમાં ડોલર-કેસૂડાં, મસ્ત ચટાકેદાર :
ચટાકેદારી રાખો – રાત ગુજારી નાખો.

શિલ્પી ચાહે છે પ્રતિમાને, પણ પૂજે હથિયાર
રાત કહે જે સપનાં તેને દિન આપે આકાર
ધરમને ધારી રાખો – રાત ગુજારી નાખો.

વનની વાટે મજલ દિવસના, રણની વાટે રાત,
માલિકનો રસ્તો છે બંદા ! માલિકની જ મિરાત
સફરને જારી રાખો – રાત ગુજારી નાખો.

-વેણીભાઈ પુરોહિત

Comments (2)