એક રઝળતી ક્ષણ મને વળગી પડી,
છે ટચૂકડી તોય બહુ અઘરી પડી.

બંધ આંખોમાં મેં કર્યું ડોકિયું,
ઊંઘ જે કાચી હતી, વણસી પડી.
બિનિતા પુરોહિત

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for January, 2026

ક્રોમળ – સ્નેહલ જોષી

આવું તે કોણ હોય કોમળ,
તાજા કપાસમાંથી ફૂટ્યું હો રૂ કે પછી વરસ્યાં વિનાનું કોઈ વાદળ!

અડકો તો લાગે કે હમણાં કરમાઈ જશે
જાણે લજામણીનો છોડ,
દૃષ્ટિ પડતાં જ એના ધબકારા જાણે
એક સામટી મૂકી દે છે દોટ!
ગાલને હથેળી પર એ રીતે ટેકવ્યા, પાંદડી પર બેઠું હો ઝાકળ!

એને તો એની કંઈ પરવાય નંઈ
એ તો એના જ હોય સાત સૂરમાં,
ક્યારેક વિચારોના વંટોળે હોય
અને ક્યારેક હો કલ્પનના પૂરમાં.
હળવેથી કાન પાસે હોઠને લઈ જાવ અને કહેવાનું એટલું કે સાંભળ-
આવું તે કોણ હોય કોમળ!

– સ્નેહલ જોષી

કવિતા કંઈ દર વખતે મોટી મોટી વાત જ કરે એ જરૂરી નથી. કવિતા માનવસંબંધોની આંટીઘૂંટી સમજવા-ઉકેલવામાં મદદ કરે એય આવશ્યક નથી. ક્યારેક એક સાવ નાનકડો વિચારતંતુ લંબાઈને કાવ્યમાળા બની જાય એમ પણ બને. પોતાની ચાહનાથી પાણીમાંના કમળ પેઠે જે સાવ જ અનભિજ્ઞ છે, એવી નાયિકાને નાયક બસ એટલું જ કહેવા માંગે છે કે સમસ્ત સંસારમાં એનાથી કોમળ બીજું કોઈ નથી. બસ, આ એક તાંતણા પર કવિતાના મોતી પરોવીને કવિએ પ્રસ્તુત કર્યાં છે. વાત નવી નથી, પણ રજૂઆતની નજાકત એને મજેદાર બનાવે છે. ગીત નિઃશંકપણે સહેજ કાચું લાગે, પણ ગીતની છેલ્લી કડીને અધૂરી રાખી જે રીતે ધ્રુવ પંક્તિ સાથે બાંધી દઈ વાત પૂરી કરી બતાવી છે એ સવિશેષ ગમી જાય છે.

Comments (18)

માત્ર શું રાજઘાટે? – ઉશનસ્

(ખંડ મંદાક્રાન્તા)

રે હે ગાંધી! જગતહિતચિંતાતણી રુદ્ર આંધી
જે હૈયામાં જીવનભર બંધાઈ કેમે ન બાંધી
તેની હાવાં ચણી દીધી અમે રાજઘાટે સમાધિ!
શોચું: તારું દહન અહીં આ માત્ર શું રાજઘાટે?
ના ચોકે કે પુરજનપદોની પૃથુ રાજવાટે?
હાટેઘાટે ચણી દીધી અમે સ્મારકે શિલ્પમૂર્તિ!
– લાગે આખે વદન કરુણા ને પદે કૂચસ્ફૂર્તિ—
ને એ રીતે હૃદયથકી ઉત્સારીને બ્હાર કાઢી;
હા, ત્યાં આડી
ને હ્યાં ઊભી
તારી યાદી તણી ચણી અમે સ્મારકોમાં સમાધિ.
કેવી સ્હેલી સરલ ભૂલવા કેરી આ રીત, ગાંધી!

– ઉશનસ્
(૨૦-૧૧-૫૮)

આજે ત્રીસ જાન્યુઆરી. ગાંધીનિર્વાણ દિન. આજે આપણા દેશમાં અને જનમાનસમાં ગાંધીજીનું શું સ્થાન છે એ આપણે સહુ જાણીએ છીએ. પણ આ કવિતા તો આજથી સડસઠ વર્ષ પહેલાં ગાંધીજીની હત્યાને હજી તો દસ જ વરસ થયાં હતાં એ અરસામાં લખાઈ છે. સમજી શકાય છે કે ‘ગરજ સરી કે વૈદ વેરી’ના ન્યાયે આપણા સમાજે આઝાદી મળી ગયા બાદ તરત જ આઝાદીના કર્ણધારોને વિસારે પાડી દેવાનું ભગીરથ કાર્ય આદરી દીધું હશે. જેના હૈયામાં બાંધી બંધાઈ ન શકે એવી દુનિયાના હિતની ચિંતાની ઉગ્ર આંધી આજીવન ફૂંકાતી હતી, એને આપણે રાજઘાટ પર સમાધિ ચણી બાંધી લીધી. દેશના તમામ શહેરો અને ગામોની વિશાળ રાજવાટ પર ગાંધીવિચારોની જે આગ સતત સળગતી રહેવી જોઈતી હતી, એને રાજઘાટ પર શરીર બાળીને આપણે ભૂલી ગયા. બાપુના સદગુણો જેમ કે કરુણા અને ઉત્સાહને જીવનમાં ઉતારી જીવંત રાખવાના બદલે ચોરે ને ચૌટે આપણે એને તાદૃશ કરતી ઉમદા મૂર્તિઓ ઊભી કરી, અને એ ગુણોને હૃદયમાંથી વિદારી નાંખ્યા. જે યાદોને હૈયામાં કાયમ માટે તરોતાજા રાખવાની હતી એને આપણે પથ્થરોમાં ચણી દઈ પથ્થર બનાવી દીધી… ભૂલી જવા માટેનો કેવો સરળ કીમિયો!

Comments (3)

અબોલા – ઉષા ઉપાધ્યાય

તમે કહ્યું ‘રે ચૂપ!’ સજન લો
.                         બંધ હોઠથી ઝરશે ના કોઈ ગીત…

હોઠ બંધ આ નૈન બંધ પણ
.                         અરવ કંઠથી હવા મહીં જે સરતું,
તાતા શબ્દતીરને જે ના ગણતું
.                         રે સાજન! કેમ કરીને રોકીશ મારું ગીત!

રોષ રકત તુજ નૈન રિકત પણ
.                         અરવ કંઠથી હૃદય થકી જે ઝરતું,
રોમ-રોમ મુજ ચંદન થૈ જે ઠરતું
.                         રે સાજન! કેમ કરીને રોકીશ તારું ગીત!

– ઉષા ઉપાધ્યાય

લયસ્તરો પર સર્જકના નૂતન સંગ્રહ ‘તેજનો તરાપો લઈને’નું સહૃદય સ્વાગત છે…

બે વાસણ સાથે ને સાથે જ હોય તો ક્યારેક તો ખખડે જ… કોઈક કારણોસર બે જણ વચ્ચે કંઈક રકઝક થઈ હશે ને પરિણામ સ્વરૂપે પુરુષે સ્ત્રીને ચૂપ થઈ જવાનો આદેશ આપ્યો છે. અને સ્ત્રીએ બદલામાં પોતાના હોઠેથી હવે કોઈ ગીત સરશે નહીંની ખાતરી પણ આપી દીધી છે. જો કે આ ‘ચૂપ’ આદેશાત્મક ઓછો અને પ્રતીકાત્મક વધારે છે, કેમ કે આગળ ‘રે’ ઉમેરાયો છે. સારા સર્જક શબ્દો પાસે કેવી કરામતથી ધાર્યું કામ કઢાવી લે છે એનું આ સબળ દૃષ્ટાંત કહી શકાય. ગીતમાંથી પસાર થતાં ટાગોરનું ભાવવિશ્વ સાદૃશ થતું પણ અનુભવાય છે. એકના એક શબ્દો અને શબ્દસમૂહની પુનરુક્તિ સાથે કેવળ કથનકેન્દ્રમાં પરિવર્તન કરી કવિએ સરસ ગીત નિપજાવ્યું છે. ચૂપ થઈ જવાના ફરમાનને વશ થયાની પ્રતીતિ કરાવવા નાયિકાએ હોઠ સાથે આંખો પણ બીડી દીધી છે. પણ નાયકના તાતા શબ્દતીરને જે ગણનામાં જ લેનાર નથી એ મૌન કંઠના ગાનને સાજન કોઈ કાળે રોકી શકનાર નથીનો વિશ્વાસ પ્રથમ બંધમાં પ્રકટ થાય છે. ખોટુકડો ગુસ્સો દેખાડતા નાયકના હૃદયથી સરીને નાયિકાના રોમેરોમને ચંદનલેપની શીતળતા બક્ષતા ગાનને નાયક કેમેય અટકાવી શકનાર નહીં હોવાનો આત્મશ્રદ્ધાનો રણકો રચનાને વધુ રૂડી બનાવે છે.

Comments (7)

આદિ કવિતા – પ્રજારામ રાવળ

અહીં આ પૃથ્વીના પટ ઉપર કે ફુલ્લ, નમણાં,
નિહાળું છું કૂંળાં કમળ-મુખડાં બાળક તણાં:
કશાં ભોળાં; હસું હસું થતાં, સાવ અમથાં:
સ્મિતાળું જો ભાળે વદન, હસતાં તુર્ત, બમણાં.

ફરું જયાં જયાં, ત્યાં ત્યાં સુભગ શિશુઓ કેરી રમણા:
નચિંતાં કલ્લોલે જગત-રસમાં મગ્ન જ ઘણા.
ન ઑથારો ભારી, હૃદય પર કારી, ગત તણા:
ન આવી ઊભા ર્.હે દંગ પજવતાં ભાવિ સમણાં.

પુરાણો અશ્વત્થ પ્રકટિત નવો આ નિત લહું.
મહોલ્લાસે કાંઈ, ફૂટતી ટીશીઓ નીરખી રહું.
જરી વાયુ-લ્હેરે રણઝણી રહે મોદિત અહો!
નવા ચ્હેરા; રૂડાં સ્મિત—નયનનું આ જગ ચહું.
અનાદિ આકાશે અભિનવ-નવોન્મેષ-સવિતા:
વહે તાજી તાજી પૃથિવી-પટપે આદિ કવિતા.

– પ્રજારામ રાવળ

રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું, “દરેક નવું જન્મતું બાળક એ વાતની સાબિતી છે કે ઈશ્વર હજી માનવથી નિરાશ થયો નથી.” પ્રસ્તુત સૉનેટનું કથનકેન્દ્ર પણ નવા જન્મેલાં બાળકો જ છે. સામાન્યરીતે પચાવવા અઘરાં પડે એવાં સૉનેટોની સરખામણીમાં આ કૃતિ થોડી મુખર લાગે, પણ રજૂઆતની નમણાશ અને કવિકસબના કારણે એ ખાસ્સી હૃદ્ય થઈ છે. કમળના ફૂલ જેવાં નવોદિત શિશુઓ કવિને જ્યાં જાય ત્યાં નજરે ચડે છે, જેઓ કારણ વિના તો હસે જ છે, પણ તમને હસતાં ભાળે તો તો બમણું હાસ્ય વેરે છે. બાળકોને ન આજનો ભય હોય છે, ન ભાવિના સ્વપ્નોની પજવણી. જૂનો પીપળો જ નિત નવો થઈ પ્રકટતો હોય એવાં તાજી કૂંપળ સમા આનંદિત બાળકોના રૂડાં સ્મિતવાળા ચહેરા જ કવિ ચહે છે. અનાદિ આકાશમાં જે રીતે રોજ સવારે એનો એ જ સૂર્ય સાવ નવો, તરોતાજો થઈને ઊગે છે, એ જ રીતે પૃથ્વી પર બાળક નામની આદિ કવિતા રોજેરોજ લખાતી રહે છે.

(સુભગ=સુંદ૨, ૨મણીય; દૃગ=આંખ; અશ્વત્થ=પીપળો; ટીશી=ફણગો, અંકુર; મોદિત=આનંદ પામેલ; નવોન્મેષ=નવી શોધ, નવ્યવિચાર; સવિતા=સૂર્ય)

Comments (4)

(ફોડી લઈશું)- વિકી ત્રિવેદી

આ વર્ષે પણ આગળ જેમ જ ફોડી લઈશું,
તૂટી ગઈ એ જાત ફરીથી જોડી લઈશું.

પાંખો કાપી ચાલી ગઈ છે દુનિયા તો શું,
પાંખો છોડી પગના દમ પર દોડી લઈશું.

આ વખતે તો દરિયાને છળવાનો છે દોસ્ત,
આ વખતે પહેલેથી કાણી હોડી લઈશું.

સસ્તી ને તકલાદી ખુશી ના જોઈએ,
મોંઘી લઈશું છો ને થોડી મોડી લઈશું.

બાંધી લીધા છે નિરાશાએ બંને પગ,
પગ કાપીને ખુદના ખુદને છોડી લઈશું.

– વિકી ત્રિવેદી

લયસ્તરો પર કવિના નૂતન ગઝલસંગ્રહનું સહૃદય સ્વાગત… કવિમિજાજને તાદૃશ કરતી એક ગઝલ માણીએ…

Comments (14)

મજા – સંજુ વાળા

છેક શિખરની મજા,
હોય માણવી એણે જાતે થઈ જાવાનું ધજા..

ક્યાંથી પગલું પહેલું ભરીએ? ગરવા હે શ્રીગણેશ
એ મારગ દેખાડો જેમાં ક્યાંય ના વાગે ઠેસ
અથવા આપો, અંદર અંદર રણઝણવાની રજા…

અણજોયાને જોયું કરવું અણઘડ ઘડવા ઘાટ
ચાલ ના જાણી તોયે માંડી જગજાહેર ચોપાટ
કપાળ જાણી કરવાં તિલ્લક જેવાં જેનાં ગજાં…

ચડવું ’ને ઊતરવું દીધું અણથક દીધી એષ
બેઉ હાથથી ઉલેચો પણ રહે શેષનું શેષ
એવાં અંતરિયાળપણાં, જ્યાં ના છત્તર ના છજાં…

છેક શિખરની મજા,
હોય માણવી એણે જાતે થઈ જાવાનું ધજા.

– સંજુ વાળા

શિખર એટલે ઊંચાઈ, ટોચ… એવું સ્થાન જેની ઉપર એનાથી ઊંચું બીજું કશું જ ન હોય… એક શબ્દમાં કહેવું હોય તો સર્વોચ્ચ! શિખરની ખરી મજા લેવાની રીત કવિ આપણને સમજાવે છે. જીવનમાં સર્વોચ્ચતા, સર્વોપરિતાની ખરી મજા માણવી હોય તો ધજા બનવું પડે… ધજા એટલે વજનહીનતા… સ્વયંને ઓગાળીને હલકા થયા હોઈએ તો જ આછા પવનમાં પણ લહેરાઈ શકાય. કોઈપણ સારા કામની શરૂઆત આપણે ગણેશને સ્મરીને કરીએ છીએ. પહોંચવાનું તો છેક શિખરે છે, પણ એ માટે પહેલું ડગલું તો ભરવું પડશે ને? માર્ગમાં ક્યાંય ઠેસ ન વાગે એવો માર્ગ તો શ્રી ગણેશ જ દેખાડશે ને? અને એ ન થઈ શકે તો બીજો વિકલ્પ ભીતર રણઝણવાની રજા માંગવાનો છે. ક્યાં શિખરે ફરફરીએ, ક્યાં તો ભીતર રણઝણીએ… વચ્ચેનું કશું અધકચરું કેમ ખપે? જીવનમાં ચડાવ ને ઉતાર છે. પાર પાડો પાડો ને તોય થાકે જ નહીં એટલી અપાર ઇચ્છાઓ છે તો સામા પક્ષે બંને હાથે ઉલેચો તોય ઉલેચવો બાકી જ રહે એવો પરવરદિગારનો ખજાનો પણ છે. પછી બાકી શું રહે?

Comments (8)

થઈ ગયું – ચંદ્રેશ મકવાણા

બાવડાનું બળ બિચારું થઈ ગયું,
નાવમાં નખ જેવું બારું થઈ ગયું.

મેં મને મહુડો કર્યો જાહેર ને
ગામ આખ્ખું દારૂ દારૂ થઈ ગયું

એમણે અમથું જ પૂછ્યું, ‘કેમ છો?’
એટલામાં અમને સારું થઈ ગયું

માએ સાર્યાં બે’ક ટીપાં આંસુ ત્યાં
આખ્ખુંયે ઘર ખારું ખારું થઈ ગયું.

હું ગયો ‘નારાજ’ દાંડી પીટવા તો
આ જગત મૂંગું નગારું થઈ ગયું

– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

વિશાળ ટાઇટેનિક જેવા જહાજને ડૂબાડવા માટે એક કાણું જ પૂરતું છે… વાત હોડીની છે કે આપણી હયાતિની એ વિચારવા જેવું… નખ જેવડું બારું થઈ જાય તો નાવને બચાવવા કોઈ કારી કામ લાગતી નથી. બીજો શેર ઠીકઠાક છે, પણ ત્રીજો શેર વાંચો અને મિરઝા ગાલિબ યાદ ન આવે એ કેમ બને?-

उन के देखे से जो आ जाती है मुँह पर रौनक़
वो समझते हैं कि बीमार का हाल अच्छा है

પોસ્ટ વાંચીને જાણીતા કવયિત્રી શબનમ ખોજાએ ફહમી બદાયુનીનો એક શેર મોકલી આપ્યો.. એ પણ અહીં ઉમેરી દઉં-

पूछ लेते वो बस मिज़ाज मिरा
कितना आसान था इलाज मिरा

છેલ્લા બે શેર પણ ખૂબ મજાના થયા છે. સરવાળે મૌજ-એ-દરિયા ગઝલ…

Comments (8)

એ પળ હજી… – વિનોદ જોશી

એ પળ હજી ન ભાળી,
હોઈ શકે એ મેઘધનુષી, હોઈ શકે છે કાળી!

વરસોથી બેઠું પગ વાળી વાદળમાં ચોમાસું,
ઊભી ધાર ન ફાવે એને હોય વરસવું ત્રાંસું;
ખરબચડી આખી આવરદા ખોટુકલી પંપાળી!

ઘાસ રાતભર ખમે હવાના હણહણતા હડદોલા,
પછી સવારે ગણે ઝીણકા ઝાકળના ફરફોલા;
ટહુકા જેવું રોજ કશું ચુપચાપ વીણતો માળી!

– વિનોદ જોશી

રવીન્દ્રનાથ ટાગોરને કોઈએ પ્રશ્ન કર્યો કે તમારી શ્રેષ્ઠ કવિતા કઈ? કવિવરે જવાબ આપ્યો કે મારી શ્રેષ્ઠ કવિતા હજી લખવાની બાકી છે, તેથી જ હું લખતો રહું છું. જીવનમાં દરેક વ્યક્તિને કોઈકને કોઈક વસ્તુની પ્રતીક્ષા હોય છે. પ્રસ્તુત ગીતરચનામાં પણ કાવ્યનાયક આવી જ કોઈક અનાગત પળની સમતોલ પ્રતીક્ષામાં છે. સમતોલ એ રીતે કે કથક એ વાતથી સુપેરે અવગત છે કે અનાગત પળ મેઘધનુષી પણ હોઈ શકે છે અને કાળી પણ. જીવનના ઉભય અંતિમના સમ્યક સ્વીકાર સાથેની આ પ્રતીક્ષા હોવાથી ગીત ચીલાચાલુ પ્રાસાવલિ ન રહેતાં સુમધુર કવિતામાં પરિણમે છે.

જે પળ હજી આવવી બાકી છે એ જો ચોમાસું હોય તો એ ત્રાંસી ધારે જ વરસવુંની ગાંઠ મારી પગ વાળી વાદળમાં બેસી ગયેલ છે. રાત આખી હવાના હડદોલા ખાઈ ખાઈને ઘાસના ડિલે ઝાકળના ફરફોલા ઉપસી આવે છે… ખરબચડી જિંદગીને ખોટેખોટી પંપાળ્યે રાખવાના રંજરંજિત ભૂતનો બોજ ખભે ઊઠાવી વર્તમાન ભાવિ તરફ આંખ માંડી બેઠો છે. ગત-અનાગત વચ્ચે ભીંસાતી આજનો એક શેર યાદ આવે છે-

ગત-અનાગત બેયનો ફાળો હશે,
લોહીઝાણ એથી શું વચગાળો હશે? (વિમટે)

પેલી પળ તો જ્યારે એને ભાવિ લઈને આવશે ત્યારે આવશે… આજનું કામ છે ઘાસ વચ્ચે વેરાયેલ ટહુકા ચુપચાપ વીણતા રહેવું… ખરબચડા જીવનને ટહુકાના સૂરની સુંવાળપથી જ સંવારી શકાય…

Comments (10)

વ્યથા – ભાનુપ્રસાદ ત્રિવેદી

(હરિણી)

મથું મથું છતાં એની એ આ ઉરે ઊઠતી વ્યથા,
રહી રહી ધુમાતાં કાષ્ઠોમાં ધખે અગનિ યથા.
અસહ બનતું આ એકાકીપણું જીરવાય ના.
અવર સથવારો તો એવો સહ્યો વળી જાય ના.

વ્યરથ વ્યવહારોનું દાસત્વ રે કઠતું કટુ,
પણ શરણ લૈ એનું હુંથી છુપાઈ જવા મથું!
ક્ષત ક્ષત સહુ અંગે અંગે અપંગ-શી જિંદગી,
હજીય રહું છું એના આલંબને નિજને ઠગી!

સમજી શકું છું તોયે છોડી શકું નહિ વંચના,
સતત નિજને ખોવાને આ મુકાય પ્રપંચના,
કૃપણ, ખલ હે, કુલ્ટા આવી અચાનક જો મળી-
અનુભવ કરું તો કેવો ફરી ફરી જિંદગી!

દલિત ઉરની લંબાવું ના હવે વધુ આ કથા,
અવશપણું છે, હૈયું યે છે, અને વળી છે વ્યથા!

– ભાનુપ્રસાદ ત્રિવેદી

દુનિયા મેં હમ આયે હૈં તો જીના હી પડેગા, જીવન હૈ અગર જહર તો પીના હી પડેગા… માટી તો એની એ જ છે, પણ હાથોનો કસબ એમાંથી અલગ-અલગ પ્રકારનાં પાત્ર સર્જે છે. પૂરું બળ્યા વિના ધુમાતાં લાકડા પૂરાં બળેય નહીં ને બળતાં બંધ પણ ન થાય એ રીતે વ્યથા અંતરને પૂરું બળવા પણ નથી દેતી અને ઠરવા પણ નથી દેતી. એકાકીપણું પણ સહેવાતું નથી અને બીજા કોઈનો સથવારો પણ સહી શકાતો નથી. દુન્યવી વ્યવહારો વ્યર્થ હોવાનું જ્ઞાન હોવા છતાં કદાચ એના શરણે જવાથી સ્વયંથી છૂપાઈ શકાયએવી ભ્રામક આશામાં દાસ બની એમના શરણે જવું પડે છે. ચારે તરફથી ક્ષતવિક્ષત અપંગ જિંદગીનું આલંબન લઈ મનુષ્ય હજીય જાતને છેતરી રહ્યો છે. દુર્યોધને કહ્યું હતું: ‘जानामि धर्मं न च मे प्रवृत्तिः। जानाम्यधर्मं न च मे निवृत्तिः।‘ જીવનની વંચના અને પ્રપંચનાથી પૂર્ણતયા વાકેફ હોવા છતાં આપણે એનાથી આઝાદ થઈ શકતા નથી એ કેવી વિડંબના! જિંદગી કંજૂસ છે, દુષ્ટ છે, કુલ્ટા છે પણ તોય આપણે ફરી ફરીને એનો અનુભવ કરવો છોડી શકતાં નથી. હૈયું હોય એટલે સંવેદના હોવાની જ અને સંવેદના હોય એટલે વેદના. બધું જ જાણવા છતાંય એનાથી મુક્ત ન થઈ શકવાની લાચારીની કથા પછી કેટલી લંબાવ્યે રાખવી?

Comments (3)

નદીયું તો… – હર્ષદ ચંદારાણા

જોજનના જોજનની ખેપું ખેડું ને
.                તોય નદીયું તો આઘી ને આઘી
.       હો ભાઈ મારા, નદીયું તો આઘી ને આઘી

પાણીનું નામ જેને આપી શકાય
.                એવું કૈં યે નથી મારી સાથમાં
નકશાઓ પાથરું તો ઠેરઠેર નીકળે
.                વાંસવન સુક્કાં આ હાથમાં
એ સળગે કે કેમ એને ઠારું કે
.                સાવ પછી બળતાંને લઉં પાછાં બાંધી
.             હો ભાઈ મારા, નદીયું તો આઘી ને આઘી

વગડાની વાટોમાં, બાવળની કાંટ્યોમાં,
.                સૂસવતા પવનોના રાગે
પડઘાના પહાડોમાં, ખીણોની ત્રાડોમાં,
.                “ખળખળ”ના ભણકારા વાગે
મૃગજળ, જો હોત હું ય ભૂવો ભરાડી
.                     લેત નદીયુંને લાવવાનું સાધી
.           હો ભાઈ મારા, નદીયું તો આઘી ને આઘી

– હર્ષદ ચંદારાણા

ગમે એટલી ખેપ ખેડો, ગમે એટલા હાથપગ હલાવો, પણ ઇચ્છાની નદીઓ કાયમ આઘી ને આઘી જ રહે છે…

Comments (5)

એક સાંજે – અનિલ જોશી

મારી છત્રીનો કાગડો
ક્રાઉક્રાઉક્રાઉ બોલી ઊઠ્યો.
પીપળા જેવો હું
ધ્રૂજી ગયો.
મહેમાન થઈને ચાંદરણું આવ્યું
બેઠું
સરક્યું
ને ચાલ્યું.
હું એકલો પડી ગયો.
હું ખોટો પડું એટલી હદ સુધી
સાચું બોલતો થઈ ગયો.
હવે હું દીવો નથી
પણ દીવો સળગાવતાં ઠરી ગયેલી
દીવાસળીની ટોચ ઉપર પડેલું અંધારું છું.
હવે હું ઈસુ નથી
પણ ક્રૉસ છું
જેના પર માણસજાત
પોતાની તમામ ભૂલો ટિંગાડી શકે છે.

– અનિલ જોશી

શીર્ષક ઘણીવાર કવિતામાં અવિનાભાવી ઘટક બની રહે છે. એઝરા પાઉન્ડની સુખ્યાત કવિતા ‘ઇન અ સ્ટેશન ઑફ ધ મેટ્રો’ શીર્ષક વિના અપૂર્ણ જ રહી જાય. એ જ રીતે આ કવિતામાં પણ શીર્ષક કવિતાનું અવિભાજ્ય અંગ છે. આખી રચનામાં ક્યાંય સાંજનો ઉલ્લેખ નથી, પણ શીર્ષક આપણને કહે છે કે ‘એક સાંજે’ જે થયું છે એની જ આ કવિતા છે. સાંજ સંધિકાળનો સમય છે… અજવાળું-આશાના ગમન અને અંધારું-નિરાશાના આગમનના એંધાણ લઈને આવતી સાંજ સરવાળે વિષાદ અને વિયોગનું પ્રતીક છે. ‘એક સાંજ’ના દોરામાં ભાવ અને પ્રતીકોના મોતી પરોવી કવિએ સ-રસ કાવ્યમાળા રચી છે. કાયમ નહીં, પણ કોઈ એક સાંજે જે થયું એની યાદી કવિ આપે છે. છત્રી નહીં, છત્રીનો કાગડો બોલી ઊઠે છે. ઘરના મોભારે કાગડો બોલે તો મહેમાન આવવાના શુકન થાય, પણ આ તો છત્રીનો કાગડો છે. એટલે મહેમાન પણ અલગ પ્રકારના જ હોવાના ને! છત્રી કાગડો થાય ત્યારે એનો મૂળ હેતુ ગુમાવી બેસે છે, એ વરસાદથી બચાવી શકતી નથી. જીવનના સંદર્ભમાં સ્વયંની લાચાર અને આઉટ-ઓફ-કોન્ટેક્સ્ટ પરિસ્થિતિનું આથી સશક્ત વર્ણન બીજી શી રીતે કરી શકાય? દરેક સંદર્ભને આ રીતે વારાફરતી હળવા હાથે ખોલી શકાય, પણ એ કામ ભાવકક્ષમતા પર છોડી દઈ હું અહીં અટકું…

Comments (7)

ગોપી – ગોપી દેસાઈ

યાદ છે કૃષ્ણ
તું ગોકુળની ગાયો પાછળ ભમતો
ને હું તારી પાછળ.
રાસ તો આજે પણ રમું છું
પણ તારા વગર
વાંસળી નહીં, ડીજેની ધૂન પર

યાદ છે કૃષ્ણ
એક દિવસ બપોરે મેં કહ્યું,
“મારે તારી સાથે રહેવું છે”
તેં કહ્યું કર્મ કર કર્મ
બસ…
વહેલી સવારે ઊઠી
ગાયો દોહી, છાશ વલોવી, માખણ કાઢી…
ક્યારેક ઘી પણ…
છાણાં વીણું, વાસીદુ વાળું,
ચૂલો અને ચાકરી…
કોની?
ઘરવાળો અને છોકરા
તારી જેમ ઓછું છે છડેછડા
જે ગમે એની હારે પ્રેમ કરવાનો
કાંઈ તુક્કો સુઝે તો મન મુજબ
મસ્ત બની નીકળી જવાનું

હવે તો ગોકુળ, વૃંદાવન, મથુરા
બધ્ધે મસ્ત પેકિંગમાં નાના-મોટા ડબ્બામાં
દૂધ, છાશ,માખણ, ઘી બધું મળે છે
મંગાવી લઉં છું
કેટલા વલોણા વલોવ્યા કરું?
ખાલી તારી તારી યાદ ના વલોણા…
એકદમ silent …
વલોણું ફરે પણ અવાજ નહીં
ખાલી આંસુ પડે…
આંસુ પણ એકદમ silent…

યાદ છે કૃષ્ણ
એકવાર યમુનાજીમાં તરવા પડેલી હું
તું મારા કપડાં ચોરી સંતાઈ ગયેલો.
હવે તો Blinkit , Swiggy કરું
દસ મિનિટમાં કપડાં હાજર
તું તારે સંતાઈ રહે કદમ્બની ડાળે
તને ડીક્કો

તું મારું સર્વસ્વ
અને હું માત્ર એકલી અટૂલી ગોપી
સમજાયું મને
“Blood is thicker than water”
હા- પછી ખબર પડી કે
પાંડવો તારા કઝિન્સ હતા
ઇંગ્લિશ તને ક્યાંથી આવડે?
Cousins – પિતરાઈ ભાઈઓ
જીતાડી દીધા કઝિન્સને મહાભારતમાં …
વાહ…વાહ…
સમજાયું મને
“Blood is thicker than…
મારા ગોકુળનાં દૂધ, છાશ, અને માખણ કરતાં…

સારું એટલું કહે
“રાધા કે રુક્મણીના touchમાં છું?”
Reels જોઉં છું એ લોકોની ઇન્સ્ટા પર…
આ ગોકુળની ગોપી હવે આવું બધું બોલે
તને નહીં સમજાય
તને કાંઈ ટપ્પી નહીં પડે
નહીં સમજાય તને
ગોકુળમાં હજી મલ્ટિપ્લેક્સ નથી
ગોકુળ Religious Town છે
– ધાર્મિક ધામ છે
એટલે મથુરા ગઈ હતી
Book My Show પર ટિકિટ બુક કરાવીને ‘લાલો’ જોવાસ્તો…
લે તને ખબર નથી
100 કરોડ ઉપર બિઝનેસ કર્યો
હા નહીં…
તને તો કરોડ શું ? રૂપિયા શું?
કેટલા રૂપિયા કશું ક્યાં ખબર હોય…

ક્યાં છો ડાકોરમાં? કે દ્વારિકામાં?
કે હજુ પાંડવો સાથે India ની Tour જ કરી રહ્યો છું?
ખબર છે વેનેઝુએલાના પ્રેસિડન્ટને ટ્રમ્પ રાત્રે એના ઘરમાંથી ઉપાડી ગયો…
ટ્રમ્પ તેલ લેવા જાય…
હું તો બહુ diet conscious છું
તેલ નો ખપે…
ટ્રમ્પ ની જેમ તું મને ઉપાડી જાને
તારી સાથે રહીશ
કોઈ ડિમાન્ડ નહીં

કેટલાં વલોણાં વલોવ્યાં કરું?
તારી યાદનાં વલોણાં…

– ગોપી દેસાઈ

લયસ્તરો પર આજે જય વસાવડાની ચહેરાપોથી પરથી સીધેસીધું કોપી-પેસ્ટ… જાણીતા અભિનેત્રી અને દિગ્દર્શિકા ગોપી દેસાઈ કવિતા, સારી કવિતા પણ કરી શકે છે એ જાણી-જોઈ સાનંદાશ્ચર્ય થયું. કૃષ્ણ અને ગોપીના સંબંધ વિશે અસંખ્ય કવિઓ અસંખ્ય કવિતા કરી ગયા છે, પણ જે રીતે સર્જકે સમયના બે અંતિમોને નહીં સાંધો-નહીં રેણની કાબેલિયતથી જોડી રચના કરી છે એ સાચે જ કાબિલ-એ-દાદ છે. નિઃશંકપણે રચના થોડી લાંબી થઈ છે, પણ વિશ્વાસ રાખો, સહેજપણ ભારઝલ્લી લાગશે નહીં…

Comments (7)

તને સંબોધી તો… – મનહર મોદી

તને સંબોધી તો પવન સુણીને વાત ગમતી,
રૂમીઝૂમી, થંભી, સહજ ગતિને મંદ કરીને.
વહ્યો, ઓ પાસેના સ્થગિત તરુની ડાળ હલવી,
ભરીને પર્ણોમાં રવ મધુર (તારાં સ્મરણ શો).

પ..ણે પંખી નાનાં ગત-સમયની નીંદ ત્યજીને,
ગજાવે છે માળો અખિલ નભને ઘેરી લઈને.
કળીઓ ખીલીને કુસુમ થઈ, ને ગંધ પ્રસરે,
અને ડાળેડાળે ઉપવન ઝૂલી ફુલ્લ પ્રગટે.

દિશાઓનાં હૈયે ઊછળીઊછળી વ્હાલ ભરતો,
વહાવે છે મોજાં ગરજીગરજી મત્ત ઉદધિ.
નિશા જેવી કાયા રવિકિરણનો સ્પર્શ લહીને,
સૂતેલી ઓચિંતી ઝબકીઝબકી આંખ મસળે.

તને સંબોધી તો ફરીફરી સુણી જાગ્યું જગ આ.
પરંતુ રે તું તો…

– મનહર મોદી

પ્રેમના ચશ્માં આંખે લાગી જાય એટલે સમગ્ર સૃષ્ટિ સુંદર દેખાવા માંડે… જુઓ તો જરા, કવિએ તો કેવળ પોતાની પ્રિયાને સંબોધન જ કર્યું છે, પણ આખી દુનિયામાં લહેરખી ફરી વળી છે. ગમતી વાત સાંભળીને પવન જેવો પવન ક્ષણભર થંભી ગયા પછી સ્થિર થઈ ગયેલ વૃક્ષની ડાળના પાંદડાઓમાં પ્રિયાના સ્મરણ જેવો મધુર રવ ભરી દે છે. પંખી-પુષ્પ-સમુદ્ર-રાત બધુંય જીવંત બની ઊઠે છે. સૂર્યકિરણના પ્રવેશથી દૂર થઈ જતી રાતને રવિકિરણના સ્પર્શે આળસ મરડી આંખ મસળીને ઓચિંતી જાગી જતી રાતની કાયા સાથે સરખાવતું કલ્પન તો અદભુત થયું છે. જે સંબોધનથી આખી દુનિયા ફરી ફરી જાગી જાય છે, એ સંબોધન જેના માટે છે એ પ્રિયા તો… રે રે! રે મૃત્યુ!

Comments (1)

ઝરમર ઝરમર – વર્ષા પ્રજાપતિ

રોજ રહે છે ઝીણું કળતર,
કોણ કરે છે જંતરમંતર?

પર્વત પર્વત વૃક્ષે વૃક્ષે,
વાગે છે તીણું વાજિંતર.

કાંઠેકાંઠા તોડી બેઠી,
હું જ તણાઉં મારી ભીતર.

ફાળ ભરીને ઓળંગું નભ,
ડગલે ડગલાં સાત સમંદર.

દુનિયાદારીની ચાદર પર
હળવેથી મારી છે કાતર.

અંદર બા’રે એક નિરંતર,
‘વર્ષારાણી’ ઝરમર ઝરમર.

– વર્ષા પ્રજાપતિ

ટૂંકી બહરમાં સરસ મજાનું ભરતકામ. એક તો અભિવ્યક્તિ માટેની જગ્યા નાની અને એમાંય મોટાભાગના શેરમાં સર્જકે જંતરમંતર, પર્વત પર્વત, કાંઠેકાંઠા, ડગલેડગલાં જેવા શબ્દયુગ્મો પ્રયોજીને તંગ દોરી પર સમતુલન જાળવવાની વધારાની કસોટી સ્વયં માટે સર્જી છે. મજા એ વાતની છે કે લગભગ બધા જ શેર સાંગોપાંગ સંતર્પક થયા છે. છેલ્લા બે શેરમાં બંને મિસરામાં કાફિયા જળવાયા હોવાથી એ સાની મત્લાની જગ્યા પણ લઈ શક્યા હોત. સર્જકનું તખલ્લુસ ઝરમર હોવાથી મક્તાનો સાની મિસરા તો એમના હસ્તાક્ષર જ જાણે!

Comments (16)

બાધા વાદળની – ડૉ. જગદીપ નાણાવટી

ખાઈ ખાઈને કસમો ખાધી ઝાકળની!
મધદરિયે હોડી હંકારી કાગળની?

મૌન સમી માતા જડશે નહીં ભાષાની,
શબ્દો મીઠી ધારા એના આંચળની.

આંખોના ભીના ફળિયામાં જાવું શું?
દ્વાર ઉપર સાંકળ ભીડી’તી કાજળની.

બંધ અમે બાજી રમતા’તા જીવતરની,
સહેજ હતી ચિંતા ના પત્તાં પાછળની.

ચંદ્ર અમે બબ્બે ક્યાંથી સાંખી લઈએ,
આજ અમે બાધા લીધી’તી વાદળની.

– ડૉ. જગદીપ નાણાવટી

કવિતા પસંદ પડવી-ન પડવી એ ભાવકની જે તે સમયની મનોસ્થિતિ પર અવલંબે છે. એની એ કવિતા ક્યારેક વાંચતાવેંત ખૂબ જ ગમી જાય અને ક્યારેક દીઠી ન ગમે એવું બની શકે. આ ગઝલ પહેલી વાર વાંચી હતી ત્યારે મન મોહી ગયું હતુ. આજેય પહેલા ત્રણ શેર એ જ રીતે મોહે છે, પણ ચોથો શેર થોડો સાધારણ લાગ્યો ને વળી પાંચમો શેર એવો જ સરસ. વાદળની બાધા રાખી આકાશમાંના ચાંદને અદૃશ્ય કરાવી કેવળ ચંદ્રમુખી પ્રિયાને જ નજર સન્મુખ રાખવાની વાત જ કેવી સરસ! અને વાદળની બાધા જેવો અનૂઠો પ્રયોગ તો જગદીપા નાણાવટી જેવા હટ કે ગઝલકાર જ કરી શકે…

Comments (9)

બહુ એકલવાયું લાગે… – વિનોદ જોશી

ઝાડ એકલું અમથું અમથું જાગે,
.                             બહુ એકલવાયું લાગે…

પવન પાંદડું સ્હેજ હલાવી પૂછે ખબર પરોઢે,
બપોર વચ્ચે બખોલનો બંજર ખાલીપો ઓઢે;
બંધ પોપચાં મીઠ્ઠાં શમણાં માગે,
.                             બહુ એકલવાયું લાગે…

દળી દળી અજવાળું સૂરજ દડે ખીણમાં સાંજે,
હડી કાઢતી હવા ડાળ પર બેસી ટહુકા આંજે;
એક લ્હેરખી ઊંડા તળને તાગે,
.                             બહુ એકલવાયું લાગે…

અભણ આગિયા અંધારાને પાડે પછી ઉઝરડા,
અદ્ધર આભે ઝગમગ ઝીણા ફરતા રહે ભમરડા;
રોજ માંહ્યલું જંતર ઝીણું વાગે,
.                             બહુ એકલવાયું લાગે…

– વિનોદ જોશી

૨૦૨૬ની શરૂઆત થઈ ચૂકી છે… લયસ્તરોના તમામ ભાવક અને સર્જકોને નવા વર્ષના અભિનંદન! નવ્યવર્ષનો પ્રારંભ સરસ મજાની ગીતરચનાથી કરીએ…

સમર્થ કવિ કેવળ માનવમનના અતળ ઊંડાણો તાગવા સુધી સીમિત ન રહે, એ તો પ્રકૃતિના તમામ ઘટકતત્ત્વોની અનુભૂતિને આત્મસાત કરે અને પછી સહુ સાથે સહિયારે. પ્રસ્તુત રચનામાં કવિ ઝાડની સંવેદનાના મૂળ સુધી પહોંચે છે. ઝાડની એકલતા અને ચોવીસે કલાક કાર્યરત રહેવાની પ્રકૃતિનો કોઈ જોડ નથી. આ અજોડ વિલક્ષણતાને કેન્દ્રમાં રાખી કવિ એની ફરતે નિસર્ગના નાનાવિધ ઘટકોને કલ્પનસૂત્રોના તાણાવાણાથી બાંધે છે. દિ’ આખો અજવાળું દળીને ખીણમાં દડી જતો સૂરજ, હવા વડે ટહુકાનું આંજન કરવાની ક્રિયા, અભણ આગિયા વડે અંધારાના ડિલે પડતા ઉઝરડા તથા આભમાં ઝબૂક ઝબૂક કરતા તારામાં ભમરડા ફરતા દેખાય વગેરે કલ્પનોની નજાકત અને બારીકી રચનાને વધુ હૃદ્ય બનાવે છે. કવિએ આગિયાને અભણ કહ્યા એ જોયું? ભણેલા હોય એ સીધી લીટીમાં લખે,પણ આગિયા તો સ્વૈરવિહારી… આગિયાના ઉડ્ડયનથી હવામાં અજવાળાના કે લિસોટા પડે એમાં આકાર કે અક્ષર હોતા નથી… કદાચિત આ કારણે કવિએ આગિયાને અભણ કીધા છે… પણ આવા અનૂઠા કલ્પનોને જે રીતે કવિએ વર્ણસગાઈના તાલ સાથે આલેખ્યા છે, એના કારણે સર્જાતું સંગીત ગીતને વધુ આસ્વાદ્ય બનાવે છે.

Comments (12)