January 31, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગીત, જોગી જસદણવાળા, જોરુભા ગીડા, ભક્તિપદ
કિયો પદારથ લાધ્યો સાંઈ! કિયો ફૂંકીયો મંતર?
આધી એક ઘડીમાં ભીતર બાજે ઝીણું જંતર…
પરથમ ફૂંક લગાવ્યા ભેળા ગોખ થયા ઝળહળતા,
બીજી ફૂંકે હરિવર મારા હૈયે આવી મળતા.
ફેર કશો ના રહે સમયનો, પળ હો કે મનવંતર…
આધી એક ઘડીમાં ભીતર બાજે ઝીણું જંતર…
નુરત સુરતમાં મટી મૂળથી યુગ યુગન કી ફેરી,
અનહત નાદ ભયો જોગંદર, પાવન જીવની દેરી.
સાત જનમના પડદા પડતાં ઓરું લાગે અંતર…
આધી એક ઘડીમાં ભીતર બાજે ઝીણું જંતર…
– જોરુભા ગીડા
કવિનું મૂળ નામ જોરુભા ગીડા. ગામ જસદણ. કવિએ નામ અને અટકના પહેલા અક્ષર અને ગામનું નામ સાંકળી લઈને જોગી જસદણવાળા તરીકે આગવી ઓળખ ઊભી કરી… પણ પછી અચાનક આધ્યાત્મના રસ્તે વળી ગયા અને હવે તેઓ પોતાને પૂજ્ય બાપુ તરીકે ઓળખાવે છે…
ગુરુ બિન જ્ઞાન નહીં, હે સાધો… સાચી વાત છે. સાચા ગુરુ અને સાચો ગુરુમંત્ર જેને સાંપડે એનું જીવતર તો અડધી ઘડીમાં આશિખાનખ બદલાઈ જાય. ભીતરના ગોખલા ઝળહળવા માંડે અને હૈયે હરિનો વાસ અનુભવાય એ ઘડીએ એક પળ અને એક મન્વંતર વચ્ચેનો ભેદ પણ ભૂંસાઈ જાય છે. નુરત-સુરત આધ્યાત્મની પરિભાષામાં સામાન્યરીતે એકસાથે પ્રયોજાતા જોવા મળે છે. બહુ ઊંડી વ્યાખ્યાઓમાં ન જઈએ તો કદાચ એમ કહી શકાય કે ખુલ્લી આંખે ધ્યાન ધરવું તે નૂરત અને બંધ આંખે દર્શન કરવા તે સુરત. પરમેશ્વર સાથે સુરતા લાગી જાય તો ચોર્યાસી લાખ ફેરાની આવનજાવન ટળી જાય… સાત જનમોના આવરણ હટી જાય ત્યારે જીવ અને શિવ વચ્ચેનું અંતર પણ નાબૂદ થઈ જાય… સરવાળે, આધ્યાત્મિક રચનાઓની પંગતમાં અલગ સ્થાન મેળવી શકે એવી રચના…
(મન્વંતર = એક મનુની કારકિર્દીનો સમય; 306,720,000 વર્ષ; સુરત = બ્રહ્મ સાથે એકતાર થવું તે; નૂરત=પ્રકાશ; અનહત નાદ= પ્રણવનાદ, યોગીઓને સંભળાતો અંતર્નાદ)
Permalink
January 30, 2025 at 11:29 AM by વિવેક · Filed under અછાંદસ, રમણીક અગ્રાવત
આખા દેશમાંથી
હૃદય સુધી કોઈ પહોંચ્યું હોય તો
ત્રણ ગોળીઓ જ.
– રમણીક અગ્રાવત
ગાંધીજીના હૃદયમાં ઉતરી ગયેલી ત્રણ ગોળીઓની જેમ વાંચતાવેંત આપણા હૃદયમાં ઉતરી જતી ત્રણ નાની-નાની પંક્તિઓ અને ચિરકાળ માટે અસર મૂકી જાય એવા કેવળ એક જ વાક્યની આ કવિતા માટે વધુ કશું જ કહેવાની જરૂર નથી… બે મિનિટનું મૌન રાખીએ અને સ્વયંને અવલોકીએ…
Permalink
January 25, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગીત, બાબુ નાયક

માંડ ચડી મોભારે મેં તો ગળે ગાળિયો નાખ્યો રે;
જીવતરના જંતરનો તંતુ, હાય! અસૂરો ભાખ્યો રે.
પડ્યા પટારે પાનેતરના
સળ હજુ ના ભાંગ્યા રે;
કેસરિયાળાં કાંડાં અમને
અડવાં અડવાં લાગ્યાં રે.
બોરડિયાં આંસુડાં કેવાં, દલડે દરિયો દાખ્યો રે;
માંડ ચડી મોભારે મેં તો ગળે ગાળિયો નાખ્યો રે.
મેંદલડીની ભાત્યુંમાં હું
અધરાઈ અટવાઈ રે;
મોડબંધણાં છૂટ્યાં આજે
વેલડ શું વીંટળાઈ રે?
હડફ કરીને ઊતરી હેઠી, મોભાનો રંગ રાખ્યો રે;
માંડ ચડી મોભારે મેં તો ગળે ગાળિયો નાખ્યો રે.
– બાબુ નાયક
લયસ્તરો પર કવિના સંગ્રહ ‘ઝાકળભીનો સૂરજ’નું હૃદયપૂર્વક સ્વાગત…
દકિયાનૂસી વિષયોમાં કેદ ગીતકવિતાને ક્યારેક આવા અલગ વિષયોનું આકાશ સાંપડતું જોવામાં આવે તો કેવી રાહત થાય! ઘર આખાની છત જેના આધારે ટકી હોય એ મોભારા પર જ દોરડું બાંધીને નવપરિણીતા આત્મહત્યા કરવા માટે તૈયાર થઈ છે એ વિરોધાભાસ ગીતના પ્રારંભને વધુ ધારદાર બનાવે છે. જીવનયંત્રનો તાર અસૂરો વાગી રહ્યો છે. કેમ એ તો નાયિકા કહેતી નથી. કવિતા આમેય જવાબ આપવા બંધાયેલી નથી હોતી. પણ કડવી વાસ્તવિક્તા એ છે કે પટારામાં જે પાનેતર મૂકાયું છે એના સળ હજી પૂરા ભંગાયા નથી, મતલબ દામ્પત્યજીવનનું આકાશ હજી મધ્યાહ્નનો પ્રકાશ જોવાથી વંચિત છે. કાંડેથી મહેંદીનો રંગ પણ હજી ઊડ્યો નથી, તોય એ અડવાં લાગવા માંડ્યાં છે. દરિયા જેવું દુઃખ બોર જેવાં આંસુઓમાં ટપકી રહ્યું છે.
આત્મહત્યાનું વિજ્ઞાન એમ કહે છે કે આવેશમાં આવીને જીવ લેવા તૈયાર થયેલ વ્યક્તિ આવેશની એક પળ કોઈક રીતે જીરવી જાય તો એ કદાચ આત્મહત્યા કરવાનું માંડી વાળે. અણી ચૂક્યો વરસો જીવે. અહીં પણ કંઈક એવી જ પરિસ્થિતિ છે. મેંદીની ભાત અને માથેથી તાજેતરમાં જ છોડેલ મોડ વેલની જેમ વીંટળાઈ વળતાં આપઘાતનો વિચાર ત્યાગીને નવોઢા મોભાનો રંગ રાખતી હડફ કરતીકને નીચે ઉતરી આવે છે.
કરુણતા અને લાચારીની આસપાસ ગૂંથાયેલ આ રચના એના હેપ્પી એન્ડિંગના કારણે કદાચ વધુ હૃદયંગમ થઈ છે.
Permalink
January 24, 2025 at 12:19 PM by વિવેક · Filed under ગીત, નીતિન વડગામા
પાંદડાંએ ડાળખીને પૂછ્યું’તું કાનમાં:
બોલ, હવે કેટલુંક રહેવાનું જીવતરના જર્જર મકાનમાં?
એક દિ’ અમેય કૂણાં પગલાં પાડીને
તારી કૂખનેય કેવી ઉજાળી’તી?
કેટલીય આંખ્યુંમાં ટાઢક ઉગાડવાને
લીલપવરણી જાત બાળી’તી.
પાંદડાંએ કામણ કીધું’તું વેરાનમાં.
પાંદડાંએ ડાળખીને પૂછ્યું’તું કાનમાં.
નસમાં પીળાશ આજ વ્હેતી દેખીને અમે
ઉકેલ્યું આયખાનું પાનું,
પંખીની જેમ હાથ અમને પણ લાગ્યું છે
હળવેથી ઊડવાનું બ્હાનું.
પાંદડાંએ સમજાવી દીધું’તું સાનમાં.
પાંદડાંએ ડાળખીને પૂછ્યું’તું કાનમાં.
– નીતિન વડગામા
કહે છે કે કવિતા કહે ઓછું અને છૂપાવે વધુ. મુખરતાને કાવ્યાનુભૂતિમાં વ્યવધાન ગણવામાં આવી છે, પણ આ ગીત જુઓ… કવિએ કશું જ મોઘમ રાખ્યા વિના જે કહેવું છે એ પાંદડાને પ્રતીક બનાવી સીધેસીધું જ કહ્યું છે. પરંતુ પ્રવાહી લય અને સુસ્પષ્ટ બયાનીના કારણે કેવો અલગ જ ઊઠાવ આવ્યો છે! સીધી બાત, નો બકવાસનું પણ આગવું સૌંદર્ય છે, ખરું ને! ટૂંકમાં કહી શકાય કે તમામ સ્થાપિત નિયમોને ચાતરીને આગળ વધી જાય એ કવિતા…
Permalink
January 23, 2025 at 11:20 AM by વિવેક · Filed under અછાંદસ, રવીન્દ્ર પારેખ
વાત તો આટલી જ હતી
કે આપણે મળીએ
પણ ન મળ્યાં
વચ્ચે કેટલાં બધાં ફૂલો ખીલ્યાં
કેટલાં બધાંએ
એ
એકબીજાને આપ્યાં
કેટલું બધું પાણી હેતની જેમ વહ્યું
ને
કેટલાં બધાંએ એકબીજાને પાયું
કેટલાં બધાંએ એકબીજાનાં સપનાં જોયાં
ને એકબીજાને બતાવ્યાં
કેટલાં બધાંએ આશ્લેષમાં લઈ એકબીજાનું આકાશ ભર્યું
સૂર્ય એક જ હતો
પણ દરેકના સૂર્યોએ એકબીજાને હૂંફ આપી
ચંદ્ર પણ એકબીજાને
ચાંદની આપતો રહ્યો
કેટલી બધી ઋતુઓ એકબીજા વચ્ચે બદલાઈ
આટલું બધું થયું
વચ્ચે
પણ આપણે ન મળ્યાં
એક પણ વાર…
– રવીન્દ્ર પારેખ
કવિતાના શીર્ષક ‘ક્ષિતિજ’ પરથી ખ્યાલ આવે કે આકાશ અને ધરતીની જેમ ક્ષિતિજે ભેગા થયેલ ભાસતા પણ સદાકાળ એકબીજાથી અળગા જ રહેવાનું જેમના ભાગ્યમાં નિર્માયું હશે એવા બે પ્રિયજનની આ વાત છે. રચના તો સાવ સરળ છે, પણ જે મજા છે એ વાતની પ્રસ્તુતિ અને માવજતમાં છે. પ્રકૃતિના અહર્નિશ ફર્યે રાખતા ઋતુચક્રમાંથી જ કવિએ કેટલાક ઘટકત્ત્વોની પસંદગી કરી છે પણ નદીનું પાણી હેતની જેમ વહી જાય કે એકમેકને આશ્લેષમાં લઈ એકબીજાનું આકાશ ભરવાની વાત જેવી ભાષાની અનૂઠી સારવારના કારણે રચનામાં કાવ્યત્વ ઘટ્ટ બન્યું છે. સરવાળે, વાંચવા બેસીએ તો અડધી મિનિટથીય ઓછા સમયમાં વંચાઈ જાય પણ વાંચી લીધા બાદ અડધો દિવસ ચિત્તતંત્રમાં રણઝણ થયે રાખે એવી છે આ કવિતા…
Permalink
January 18, 2025 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, પ્રીતિ સેનગુપ્તા
અજાણ્યા શહેરના સ્ટેશન પર
નિયત સ્થળે જતા જનપ્રવાહની વચ્ચે
એકલી અટવાતી હોઉં:
નવી જગ્યાના નકશાની ગલીઓ પર
અચોક્કસ આંગળી ફેરવી
રસ્તો શોધવા મથતી હોઉં;
ભાંગ્યાતૂટયા ફ્રેન્ચ કે સ્પેનિશમાં
સમજાવવા – સમજવાની
ચેષ્ટા કરતી હોઉં :
મિત્રોની વચમાં–
જાણીતી ગલીઓમાં–
રોજિંદી ભાષામાં–
મારી પોતાની સાથે પણ–
કોઈ વાર
આવા ભાવ થાય છે.
– પ્રીતિ સેનગુપ્તા
અજાણ્યા સ્થળે અજાણ્યા લોકો વચ્ચે અજાણી ભાષાના કારણે પ્રવાસી જે અસમંજસ અને લાચારીની અવસ્થા અનુભવે એ સમજી શકાય એમ છે. આસપાસનો સમસ્ત જનપ્રવાહ નિયત દિશામાં પાણીના રેલાની જેમ સડસડાટ વહેતો હોય પણ નક્શા પર ગોથાં ખાતી ‘અચોક્કસ’ આંગળીઓની જેમ આપણે અટવાતા હોઈએ અને કોઈ વાર્તાલાપ કામ ન આવે ત્યારે જે પારાવાર પરવશતા અનુભવાય એ આપણે સહુએ જીવનના કોઈને કોઈ તબક્કે અનુભવી જ છે. પણ કવયિત્રીનું નિશાન તો સાવ અલગ જ છે. જાણીતા લોકો, જાણીતા સ્થળો અને જાણીતી ભાષા હોવા છતાં ક્યારેક આપણને કશું જ જાણીતું ન હોવાનો ભાસ થઈ આવતો હોય છે. ઘણીવાર તો આપણે સ્વયંને પણ ઓળખી શકતાં નથી, સ્વયં સાથે સંવાદ પણ સાધી શકતા નથી… સર્વસામાન્ય પર્યટન અનુભૂતિના મિષે કવયિત્રીએ ‘આઇડેન્ટિટી ક્રાઇસિસ’ને કેવી અદભુત વાચા આપી છે!
(મોબાઇલ અને ગૂગલ મેપ હાથવગાં થયાં એ પહેલાંની, લગભગ ચાળીસેક વર્ષ પહેલાંની આ રચના છે, એટલે નક્શાનો સંદર્ભ એ રીતે સમજવો!)
Permalink
January 17, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ગૌરાંગ ઠાકર
આપ અજવાળાં અમને પહેરાવો,
દૂર રહીને સૂરજ ન બતલાવો.
કોઈ બોલે નહીં તો બોલાવો,
એમને એમનામાં લઈ આવો.
કોઈ વેળા તો કોઈને એમ જ,
કોઈ કારણ વગર મળી આવો.
એકલા ટોચ પર શું કરશો, યાર?
એક બે જણને પણ ઉપર લાવો.
આપણા જેવું કોઈ છે જ નહીં,
એમ લાગે તો કૈંક બદલાવો.
એક કેવળ હૂંફાળું સ્મિત દઈ,
દુશ્મનાવટને થોડી શરમાવો.
આપ નિષ્પક્ષ છો તો એમ કરો,
કોઈ એકાદ યુદ્ધ અટકાવો.
– ગૌરાંગ ઠાકર
મેઘધનુષ જેવા સપ્તરંગી સાત શેર! દૂરનું ડહાપણ કવિને મંજૂર નથી. ડહાપણ આપવું જ છે? તો આવો, અને પ્રત્યક્ષજ્ઞાન કરાવો, અન્યથા દૂર રહીને સૂરજ બતાવી આંગળી ચીંધ્યાનું પુણ્ય કમાવાનું માંડી વાળો. પોતાના જીવનમાં કોઈ અર્થહીન ચંચુપાત ન કરે એ બાબતે તો કવિ સાબદા છે જ, પણ સાથોસાથ એ સામી વ્યક્તિ તરફ સમ-વેદના પણ એવી જ ધરાવે છે. કોઈ બોલતું ન હોય તો એમને સામે જઈને બોલાવવા કવિ આહ્વાન આપે છે. આખરે તો સમ-વાદ જ સ્વયંનો સાક્ષાત્કાર કરવાની ખરી કૂચી છે ને! ત્રીજો શેર વાંચતાવેંત નિરંજન ભગતનું ‘લાવો તમારો હાથ, મેળવીએ’ કાવ્ય યાદ આવ્યા વિના રહેતું નથી. એકલપંડે ઉન્નતિનું શિખર આંબવાના બદલે અન્યોને પણ પ્રગતિ સાધવામાં મદદ કરવાની અપીલ પણ સ્પર્શી જાય એવી છે. આપણે દુનિયામાં એકમાત્ર અને અનન્ય હોવાનો સુપિરિયારિટી કોમ્પ્લેક્ષ મનમાં ઘર કરી જાય ત્યારે કોઈ પણ ભોગે પગ ધરતી ઉપર જ રાખવાની શીખ તો સૌ કોઈએ ગાંઠે બાંધી રાખવા જેવી છે.
Permalink
January 16, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જગદીપ નાણાવટી
આંસુમાં ખારાપણું ઓછું પડ્યું,
ખુદ મને મારાપણું ઓછું પડ્યું.
કંઈક તો ખૂટતું હતું તસ્વીરમાં,
શી ખબર તારાપણું ઓછું પડ્યું.
ઓટ શ્રધ્ધામાં હતી મારી જ, કે
તસ્બીનું પારાપણું ઓછું પડ્યું?
એમ ખંજર પીઠ પસવારે નહીં…
ક્યાંક તો સારાપણું ઓછું પડ્યું!
એક ચોથો જણ જનાજે ના જડ્યો,
આખરે યારાપણું ઓછું પડ્યું…
– જગદીપ નાણાવટી
ગુજરાતી કાવ્યાકાશમાં તબીબ કવિઓનો તોટો નથી. જેતપુરના ડૉ. જગદીપ નાણાવટી પણ એમ.ડી. મેડિસીનની પદવી ધરાવે છે અને મારા પ્રિય કવિઓમાંના એક છે. એ મને પ્રિય છે પણ એ કારણે નહીં કે અમે બંને સમાન તબીબી લાયકાત ધરાવીએ છીએ, એ કારણે કે એમની પાસે જે મૌલિકતાનો ચમકારો છે એ બહુ ઓછા કવિઓ પાસે જોવા મળે છે. કલ્પન-નાવીન્ય અને અરુઢ વાતોથી શેરની માંડણી કરવાની એમની પાસે કદાચ જન્મજાત આવડત છે. વર્ષોથી એ રોજ મને ગઝલો મોકલે છે અને હું દિલથી વાંચું છું. એમની મોટાભાગની ગઝલોના મોટાભાગના શેર પહેલ પાડ્યા વિનાના સાચા હીરા જેવા હોય છે. થોડું વિશેષ કવિકર્મ, થોડી કવાયત, થોડો વ્યાયામ અને થોડી ધીરજ ધરવામાં આવે તો કવિ અગ્રિમ હરોળમાં સ્થાન અંકે કરી શકે એમ મને કાયમ અનુભવાયું છે. પણ કવિએ કદાચ બાળાશંકરને વધુ પડતા ગંભીરતાથી લઈ લીધા છે- ‘નિજાનંદે રહેજે બાલ, મસ્તીમાં મજા લેજે!’
Permalink
January 11, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, દિનેશ કાનાણી

સાવ ટૂંકા પગારમાં જીવ્યા,
તોય કાયમ હકારમાં જીવ્યા.
ડગલે પગલે ઝૂકી ગયા જે લોક,
એ બધાયે ઉધારમાં જીવ્યા.
માત્ર પંખી ઊડે ગગનમાં બસ,
માણસો તો કતારમાં જીવ્યા.
રાત જેવી આ જિંદગી છે પણ,
ફૂલ જેવું સવારમાં જીવ્યા.
લીધું દીધું કરી કરી કાયમ,
મનની ઊંડી વખારમાં જીવ્યા.
– દિનેશ કાનાણી
લયસ્તરોના આંગણે કવિના નવા સંગ્રહ ‘ઋણાનુબંધ’ને હાર્દિક આવકાર…
અટપટી ભાષા અને અચંબિત કરનાર રૂપકોની ભરમાર વિના, સાવ સહજ-સાધ્ય ભાષામાં લખાતી સારી ગઝલોની યાદી કરવા બેસીએ તો આ ગઝ્લને અવશ્ય એમાં સ્થાન આપવું પડે. સરળ બાનીમાં આલેખાયેલ પાંચેય શેર ધ્યાનાર્હ થયા છે.
Permalink
January 10, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સંજુ વાળા

પ્રવાહમય છે સમય, આવશે—જશે, જોજે!
પ્રતીતિરૂપે દીવાલોય ઝૂમશે, જોજે!
કળીની જેમ એ હસ્તી ઉઘાડશે, જોજે!
પછીથી એમાં તને તું જ ભાળશે, જોજે!
કદી એ સ્થિતિએ તું મીટ માંડશે, જોજે!
જ્યાં આપમેળે બધું ગાશે—વાગશે, જોજે!
સરળતાથી જ બધે એ હા—ના નથી કહેતાં
જવાબ દેશે તે પહેલાં થકાવશે, જોજે!
પિયાવો રામ-રસાયણનો માંડી બેઠા છે
તું ત્યાં જશે તો જરૂર પિવડાવશે, જોજે!
અસર ને આડઅસર જાણી પાડજે અક્ષર
નહીં તો એ જ તને બહુ ડરાવશે, જોજે!
પ્રતીકો—કલ્પનોનાં જાળાં ક્યાં જરૂરી છે?
ગઝલ તો ભાવ—ભૂખી છે, નચાવશે, જોજે!
– સંજુ વાળા
લયસ્તરો પર ‘કંઈક/કશુંક/અથવા તો…’ની સંવર્ધિત આવૃત્તિને સહૃદય આવકાર…
ગઝલની રદીફ આમ તો સાવ ટૂંકી ને ટચરક છે, પણ દરેક શેરના ભાવવિશ્વ માટે એ પોષક સિદ્ધ થાય છે. આમ તો આખી ગઝલ સ્વયંસિદ્ધ છે, પણ બીજા શેરમાં અહમ્ બ્રહ્માસ્મિની આહલેક સાંભળવાનુંચૂકાય નહીં એ જોજો… (જોજે!)
Permalink
January 9, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, નીતિન વડગામા

અગમ-નિગમના એ અણસારે ક્યાંનો ક્યાં હું જઈ બેઠો છું!
અલખધણીના એક વિચારે ક્યાંનો ક્યાં હું જઈ બેઠો છું!
હોય ભલે ના સન્મુખ તોયે ડગલુંયે ક્યાં દૂર થયા છે?
ભીનાભીના કૈં ભણકારે ક્યાંનો ક્યાં હું જઈ બેઠો છું!
એક શબદ ઉચ્ચારે નહીં ને મૌન રહી સઘળું કહી દેતા,
આંખોના એકાદ ઈશારે ક્યાંનો ક્યાં હું જઈ બેઠો છું!
આગ બધી અંદરની આપોઆપ જ અહીં ઓગળવા લાગી,
વરસાદી હૈયાની ધારે ક્યાંનો ક્યાં હું જઈ બેઠો છું!
આમ જુઓ તો સાવ અકિંચન, સ્થાવર-જંગમ કાંઈ નથી પણ,
શબ્દોના વામન અવતારે, ક્યાંનો ક્યાં હું જઈ બેઠો છું!
– નીતિન વડગામા
લયસ્તરો પર કવિના તરોતાજા ગઝલસંગ્રહ ‘એકાકાર’નું સહૃદય સ્વાગત છે…
આમ તો આખી ગઝલ જ સંઘેડાઉતાર થઈ છે પણ છેલ્લો શેર મને ગઝલ વાંચી લીધા પછી પણ પકડી જ રાખે છે. સરસ્વતીના અકિંચન સાધક પાસે નથી કોઈ સ્થાવર મિલકત કે નથી કોઈ જંગમ ખજાનો. પણ દારિદ્રયના આ સહજ સ્વીકાર પછી કવિ જે વાત કરે છે એ શેરને નવી જ ઊંચાઈએ લઈ જાય છે. નિજના ગુંજામાં વામન ભાસતા શબ્દો સિવાય કશું જ ન હોવાની કેફિયત અવતાર શબ્દ સાથે જ ત્રણેય લોકને આંબી લે એવું વિરાટકાય સ્વરૂપ ધારે છે. વિષ્ણુના વામન અવતારનો કેવો અસરદાર વિનિયોગ કવિએ કરી બતાવ્યો! શબ્દબ્રહ્મમાં અપાર આસ્થા હોય એ જ કહી શકે કે શબ્દોના સથવારે પોતે ક્યાંના ક્યાં જઈ બેઠા છે, ખરું ને!
Permalink
January 4, 2025 at 11:30 AM by વિવેક · Filed under ગઝલ, ભરત વિંઝુડા

આપણે પાસે અને અળગાય દેખાતા નથી,
જે જુએ છે એમને સંબંધ સમજાતા નથી.
લાગણીઓ, ભાવ, ઉષ્મા, પ્રેમ ને સંવેદનો,
ક્યાંય વેચાતાં નથી, એથી ખરીદાતાં નથી.
એમણે આંખોમાં આંસુ આવવા દીધાં નહીં,
એમ કહીને કે કદી દરિયાઓ છલકાતા નથી.
શબ્દના કંઈ અર્થ, એમ જ અર્થ વર્તનનાય છે,
હોય છે સામે અને બે હાથ જોડાતા નથી..
ભીતરે પહાડો ને ખીણો છે ને ત્યાં પડઘાય છે,
હોઠ પર આવી અને કંઈ શબ્દ પડઘાતા નથી.
– ભરત વિંઝુડા
લયસ્તરો પર આજે ફરી એકવાર જાણીતા ગઝલકારના નૂતન ગઝલસંગ્રહને હૃદયપૂર્વક આવકારીએ… સંગ્રહમાંથી એક ગઝલ આપ સહુ માટે રજૂ કરીએ છીએ… ઘણાખરા લગ્નજીવનમાં અને એ સિવાયના સંબંધોમાંય બે જણ એકબીજાની સાથે રહેવા છતાં નદીના બે કિનારાની જેમ આજીવન અલગ રહી જીવન વિતાવી લેતાં હોય છે. જોનારને આવા સંબંધ સમજાય એ જરૂરી નથી, પણ હકીકત તો આ જ હોવાની કે –
છે હાથ હાથમાં છતાં કોસોની દૂરી છે,
મજબૂરી સાથે રહેવાની વચ્ચે ઢબૂરી છે.
Permalink
January 3, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, લલિત ત્રિવેદી

ચલ ઓઘડિયા અપને ગાંવ, બહુત ગઈ ને થોડી રઈ
મેલી દે ચમડી કી છાંવ, બહુત ગઈ ને થોડી રઈ!
ગોત વિનાની બહોત ગઈ… રૂઈ કબી ના જ્યોત ભઈ
તરસ્વતીમાં ડૂબી નાવ, બહુત ગઈ ને થોડી રઈ!
ભસમીગર! તારા સથવારા…… શણગારા સંગે અંગારા
પર અપને ધાગોં કે પાંવ, બહુત ગઈ ને થોડી રઈ!
વોહી રાઈ વોહી તનજાઈ… એમાં ઝાંખો પાંખો સાંઈ
ઈ જ સબર ને ઈ જ પડાવ, બહુત ગઈ ને થોડી રઈ!
અનાજ બા’રા હાલ્યા સગડગ, ભાયગથી થાવાને ફારગ
વચમાં રઢિયાળા દેખાવ, બહુત ગઈ ને થોડી રઈ!
એ કેસરિયા રાણીવાસા, ને આ ભસ્મીલ લલિતદાસા
હાંવ રે લલિત હાંવ રે હાંવ, બહુત ગઈ ને થોડી રઈ!
– લલિત ત્રિવેદી
લયસ્તરો પર કવિના નવ્ય ગઝલસંગ્રહનું સહૃદય સ્વાગત… કવિની ભાષા પ્રવર્તમાન ગઝલપ્રવાહથી સાવ નોખી છે. રાજેન્દ્ર શુક્લ, હરીશ મીનાશ્રુ જેવા જૂજ કવિઓ જ ગઝલમાં આ પ્રકારની નોખી બાનીનું સંવર્ધન કરીને મનનીય ગઝલો આપી શક્યા છે.
વયના એક મુકામ ઉપર આવીને માણસને સમજાય છે કે જેટલાં ગયાં, એટલાં હવે બાકી રહ્યાં નથી… આવી કોઈક પળે થતી સ્વાનુભૂતિની આ રચના છે. ઓઘડ એટલે અણઘડ, ભોટ, બોથડ. કવિ સ્વયંને અણઘડ કહીને પોતાને ગામ પરત જવાનું કહે છે. જેટલી ગઈ એટલી જિંદગી હવે બચી ન હોવાથી આટલા વરસ જેમાં રહ્યા, એ ચામડીની છાંવ છોડીને ઈશ્વરના ધામમાં પાછા ફરવાની તૈયારી કરવાનો સમય હવે ઢૂંકડો આવી ઊભો છે. બીજો શેર તો હાંસિલે-ગઝલ થયો છે. આજે આવા દમદાર શેર કેટલાકવિ લખી શકે છે, કહો તો! જીવનભર સરસ્વતીના બદલે જીવન તરસ્વતીમાં, તરસમાં જ ડૂબેલું રહ્યું હોવાથી જે પરમતત્ત્વની ગોત કરવાની હતી એ ન કરી, ને રૂ જેવું જીવતર કદી જ્યોત થઈ ઝળહળી ન શક્યું… સરસ્વતી પરથી તરસ્વતી જેવો શબ્દ કોઈન કરીને કવિએ ઉમદા કવિકર્મસામર્થ્યની સાહેદી પૂરી બતાવી છે.
Permalink
January 2, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગીત, રક્ષા શુકલ

આવ, ઉનાળો રોજ ઊજવીએ.
તને જોઈ ઊછરેલા એ ગુલમ્હોરી ઘેલાં વંન ગજવીએ,
આવ, ઉનાળો રોજ ઊજવીએ.
પણે ઝૂલતા ગરમાળેથી ચપટી અમથું કેસર લઈ મુઠ્ઠીમાં ભરીએ,
પંચાગે સૂતેલા ફાગણ સાથે ફોરમ-ફોરમ રમતાં કરાર કરીએ.
સૂરજનાં કિરણો પર તારી આંગળિયેથી સરતી શીતળ રાત ચીતરીએ,
ખટ્ટમીઠ્ઠી કેરીના સ્વાદે આવ, સરીને સાકર લઈને પાછા ફરીએ.
માટીમાંથી ઠીબ બની પથરાળા જળને ચાલ, રિઝવીએ,
આવ, ઉનાળો રોજ ઊજવીએ.
ભરબપ્પોરે છાના પગલે લૂ આવી ઘૂમરાતી ઘરની વચ્ચે ગાજે,
ત્યારે તું આવી આંખોથી અમી ભરેલી ઝીણીઝીણી ઝરમર પાજે.
લીલા વનના અડવાણા એ પડછાયાનાં પગલાં જો હાંફીને દાજે,
લંબાવી ત્યાં હાથ બાથમાં બળબળતા પડછાયા તેડી લઈશું આજે.
પાણીપોચાં વાદળ ઓઢી તડકે આપ્યા ઘાવ રુઝવીએ,
આવ, ઉનાળો રોજ ઊજવીએ.
– રક્ષા શુક્લ
લયસ્તરો પર કવયિત્રીના ગીતસંગ્રહ ‘વાલામુઈ વેળા’નું સહૃદય સ્વાગત… કેટલાંક ગીતો અગાઉના સંગ્રહમાંથી અહીં પુનર્મુદ્રિત કરાયાં છે, પણ આપણને તો કવિતાના આનંદ સાથે મતલબ છે… સંગ્રહમાંથી એક ગીત માણીએ… ઉનાળો તો વર્ષમાં એકવાર આવે, પણ પ્રિયજનનો તાપ એટલે તો જાણે ગરમાળામાંથી જડતું કેસર અને ગુલમહોરની જેમ રંગે-કદે ફૂલેલાં-ફાલેલાં ઘેલાં વન… એટલે ઉનાળો રોજેરોજનો હોય એવી ઝંખના ન થાય તો જ નવાઈ… ઉનાળાની ઋતુના નાનાવિધ કલ્પનોને બારમાસી પોત આપીને માણવાનાં છે એ યાદ રહે…
Permalink