શબ્દસુમન: હર્ષદ ચંદારાણા : ૦૪ : સરોવર-સ્તવન
*
બુંદ વિના જળ કિમ ભવતિ,
. વણ મોતી કિમ હંસ
કમળ વિના સરોવર નવ જીવિ,
. પુત્ર વિના નવ વંશ
વૃક્ષ વિના તટ કહિ પિરિ જીવિ,
. પર્ણ વિના કિમ ડાળ
પવન વિના નૌકા નવ બઢતિ,
. વણ પથ્થર નવ પાળ
વિહગ વિના માળો કિમ ભવતિ,
. વણ કલરવ કિમ વાયુ
પંખ વિના ગગન કિમ કટતિ,
. વણ પ્રિયજન કિમ આયુ
દેશ્ય વિના આંખો નવ ઠરતિ,
. હાથ રહે નવ ચૂપ
લહર સંગ લેખન અબ ચલતિ,
. આલેખું તવ રૂપ
– હર્ષદ ચંદારાણા
કવિના પુણ્યસમરણમાં આજે આ આખરી શબ્દસુમન…
કવિશ્રી હર્ષદ ચંદારાણાએ પ્રયોગો પણ ઘણા કર્યા છે. એક જ વિષય પર એકાધિક રચનાઓથી માંડીને ૧૦૮ શેરોની ગઝલમાળા પણ એમણે રચી છે. પ્રસ્તુત ગીતરચના પણ પ્રયોગની રૂએ અન્ય ગીતરચનાઓથી હટ કે છે. કવિએ પરંપરિત માત્રાગણ વાપરવાના બદલે દોહરા છંદનો વિનિયોગ કર્યો છે, પણ એમાંય ૧૩-૧૧ માત્રાના ચરણ પ્રયોજવાના સ્થાને મોટાભાગની કડીઓમાં ૧૫-૧૧ માત્રાના ચરણ રચ્યા છે. સરવાળે એમ જણાય છે કે દોહરાને મનમાં રાખીને કવિએ નિજ શ્રુતિલયને અનુસરીને આ કાવ્યરચના કરી હોવી જોઈએ. જે હોય તે, આપણને મમમમ સાથે કામ છે કે ટપટપ સાથે?
દોહાકથન કવિતાના કેન્દ્રસ્થાને હોવાથી કવિએ કાવ્યબાની અને કથન પણ એ જ રીતનાં રાખ્યાં છે. સરોરવ અંગેનું આ સ્તવન છે એટલે આઠેય ચરણમાં સરોવરને ધ્યાનમાં રાખીને કાવ્યવિહાર કરવાનો છે. જેમ બુંદ વિના જળ નહીં અને મોતી વિના હંસ નહીં, એમ કમળ વિના સરોવર નહીં અને પુત્ર વિના વંશ નહીં –આ જ પ્રાચીન ગુજરાતી શૈલીમાં આખી રચના હોવાથી એની નોખી ભાત અને અનૂઠો લય નિરવદ્યપણે આસ્વાદ્ય બને છે.