આખ્ખા ઘરમાં માર્યો આંટો,
કોણ મળ્યું, કહું ? હા, સન્નાટો.
ફૂલ જરા એ રીતે ચૂંટો,
મ્હેક ઉપર ના પડે લિસોટો.
જિગર જોષી ‘પ્રેમ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for June, 2024

શબ્દસુમન: હર્ષદ ચંદારાણા : ૦૪ : સરોવર-સ્તવન

*

બુંદ વિના જળ કિમ ભવતિ,
.               વણ મોતી કિમ હંસ
કમળ વિના સરોવર નવ જીવિ,
.               પુત્ર વિના નવ વંશ

વૃક્ષ વિના તટ કહિ પિરિ જીવિ,
.               પર્ણ વિના કિમ ડાળ
પવન વિના નૌકા નવ બઢતિ,
.               વણ પથ્થર નવ પાળ

વિહગ વિના માળો કિમ ભવતિ,
.               વણ કલરવ કિમ વાયુ
પંખ વિના ગગન કિમ કટતિ,
.               વણ પ્રિયજન કિમ આયુ

દેશ્ય વિના આંખો નવ ઠરતિ,
.               હાથ રહે નવ ચૂપ
લહર સંગ લેખન અબ ચલતિ,
.               આલેખું તવ રૂપ

– હર્ષદ ચંદારાણા

કવિના પુણ્યસમરણમાં આજે આ આખરી શબ્દસુમન…

કવિશ્રી હર્ષદ ચંદારાણાએ પ્રયોગો પણ ઘણા કર્યા છે. એક જ વિષય પર એકાધિક રચનાઓથી માંડીને ૧૦૮ શેરોની ગઝલમાળા પણ એમણે રચી છે. પ્રસ્તુત ગીતરચના પણ પ્રયોગની રૂએ અન્ય ગીતરચનાઓથી હટ કે છે. કવિએ પરંપરિત માત્રાગણ વાપરવાના બદલે દોહરા છંદનો વિનિયોગ કર્યો છે, પણ એમાંય ૧૩-૧૧ માત્રાના ચરણ પ્રયોજવાના સ્થાને મોટાભાગની કડીઓમાં ૧૫-૧૧ માત્રાના ચરણ રચ્યા છે. સરવાળે એમ જણાય છે કે દોહરાને મનમાં રાખીને કવિએ નિજ શ્રુતિલયને અનુસરીને આ કાવ્યરચના કરી હોવી જોઈએ. જે હોય તે, આપણને મમમમ સાથે કામ છે કે ટપટપ સાથે?

દોહાકથન કવિતાના કેન્દ્રસ્થાને હોવાથી કવિએ કાવ્યબાની અને કથન પણ એ જ રીતનાં રાખ્યાં છે. સરોરવ અંગેનું આ સ્તવન છે એટલે આઠેય ચરણમાં સરોવરને ધ્યાનમાં રાખીને કાવ્યવિહાર કરવાનો છે. જેમ બુંદ વિના જળ નહીં અને મોતી વિના હંસ નહીં, એમ કમળ વિના સરોવર નહીં અને પુત્ર વિના વંશ નહીં –આ જ પ્રાચીન ગુજરાતી શૈલીમાં આખી રચના હોવાથી એની નોખી ભાત અને અનૂઠો લય નિરવદ્યપણે આસ્વાદ્ય બને છે.

*

Comments (3)

શબ્દસુમન: હર્ષદ ચંદારાણા : ૦૩ : પીડાની ક્રીડાઓ

બધાં જળનો
કૈં બરફ થતો નથી.

મારી પાસે છે પાત્ર
અને છે
એટલું જ કારણ માત્ર
હું જળ ભરું છું
ને બરફ કરું છું

પણ જળ ખૂટતું નથી
કે જળ છૂટતું નથી

બધું જળ
કૈં બરફ થતું નથી

*

ને નથી થતો
બધીય હવાનો વંટોળ
હવાને લાવી લાવી
છાતીની ધમણ ફુલાવી
ફૂંક મારું છું

હવાનાં સાંસાં પડે છે
છતાંય ફૂંક મારું છું
ને અંતે હું હારું છું

પણ નથી થતી
બધીય હવા વંટોળ

*

કે નથી સર્જાતાં
જમીન માત્રમાં જંગલો

કયારેક હળથી
કયારેક પળથી….…ખેડી લઉં

ક્યારેક બીજથી
કયારેક વીજથી…વાવી લઉં

કયારેક પાણીથી
કયારેક વાણીથી…..સીંચી લઉં

ક્યારેક ફળને
કયારેક છળને………વેડી લઉં

હા, નથી સર્જાતાં
જમીન માત્રમાં જંગલો.

*

કેમ બધો અવકાશ
ભરી શકાતો નથી?

બાથ ભરું કે ભરું બાચકો
ખાલી… ખાલી… ખાલી…
.                            રહે ધ્રાસકો.

કેમ બધોય અવકાશ,
કશાથી,
ક્યારેય
ભરી શકાતો નથી?

*

આગ-
હોય છે, દેખાતી નથી
જાતે જ પ્રગટે છે, થાતી નથી
ચૂલો છે ચૂલો; છાતી-
.                            છાતી નથી.

*

કેટલાંક સુખની
.           કવિતા કરવી નથી.
કેટલાંક દુ:ખની
.           કવિતા થઈ શકતી નથી.

– હર્ષદ ચંદારાણા

હર્ષદ ચંદારાણાની કવિતાઓ સામાન્યપ્રવાહથી વિષયવસ્તુની પસંદગી અને માવજતને લઈને અલગ તરી આવે છે. ગઝલ હોય, ગીત હોય કે અછાંદસ- એમની શબ્દપસંદગી અને રૂપકવિન્યાસ તરત જ ઊડીને આંખે વળગે છે. આ અછાંદસ રચના જુઓ. કવિએ રચનાને પંચમહાભૂતના પાંચ ખંડોમાં વહેંચી છે – જળ, વાયુ, પૃથ્વી, આકાશ અને અગ્નિ –એમ પાંચેય ઘટકતત્ત્વની સાપેક્ષે એમણે પીડાની ક્રીડાઓ તાગવાની કોશિશ કરી છે. અછાંદસ રચના હોવા છતાં કવિએ કૃતિમાં મોટાભાગની પંક્તિઓ વચ્ચે જે રીતે પ્રાસગુંફન કર્યું છે એનાથી એક અનૂઠો લય તો સર્જાય જ છે, કૃતિને રોચક પ્ર-વેગ અને પ્રવાહિતા પણ સાંપડે છે.

કરવાની ઇચ્છા હોય એ કરી ન શકાવાની પીડાને કવિએ પાંચેય ઇન્દ્રિયોની ક્રીડાઓ થકી વારાફરતી વ્યક્ત કરી છે. કવિને જળનો બરફ કરવો છે અને ફૂંક મારીને હવાનો વંટોળ કરવો છે. જમીન માત્રને જંગલોથી ભરી દેવી છે અને અવકાશના ખાલીપાને સભર કરવો છે. છાતીમાં જે આગ છે એના કાબૂ બહાર હોવાનીય પીડા છે. ટૂંકમાં, દુન્યવી નજરે જે કામ અશક્ય કે અસાધ્ય લાગે એ બધું કવિને કરવું છે. કાવ્યાંતે કવિ કેટલાંક સુખની કવિતા કરવી નથી અને કેટલાંક દુઃખની કવિતા થઈ શકતી નથી એમ કહીને વાત આટોપી લે છે ત્યારે ખ્યાલ આવે છે કે આ આખી મથામણ, સઘળી પીડા પંચેન્દ્રિયો મારફતે થતી અનુભૂતિને યથાતથ અભિવ્યક્ત ન કરી શકાવા બદલની હોવી જોઈએ.

Comments (3)

શબ્દસુમન: હર્ષદ ચંદારાણા : ૦૨ : અંધાર આછો આછો

*

આછો આછો રે અંધાર
.              ખોલે બંધ રહેલાં દ્વાર

ઝણ–ઝણ ઝણકંતો એકધારો
.              ઝીણો વાગે છે એકતારો
તાણી તંગ કરીને તારો
.              અંધારાનો આ પીંજારો
.              પીંજે જીવને તારે તાર

આછું આછું રે અજવાળું
.              થોડું ગોરું ઝાઝું કાળું
કાબરચિતરું ને ભમરાળું
.              ગૂંથે ઝળઝળિયાંનું જાળું
.              પકડે પૂરવજનમની પાર

– હર્ષદ ચંદારાણા

હર્ષદ ચંદારાણાએ ગઝલની સરખામણીમાં ગીતો બહુ ઓછાં લખ્યાં છે, પણ એમનાં ગીતોમાં પણ વિષયવૈવિધ્ય અને ભાષાક્રીડા અછતા રહેતા નથી. જો કે આજે એમને શબ્દસુમન અર્પવાના ઉપક્રમ નિમિત્તે એવા કોઈ રમતિયાળ ગીત પર પસંદગીનો કળશ ઢોળવાના બદલે મને ગમતું એક ગીત રજૂ કરું છું.

મૃત્યુના કિનારે આવીને જીવનદર્શન પામતા મનુષ્યની અનુભૂતિની આ રચના છે. મૃત્યુ ઢૂકડું આવી ઊભું છે, પણ હજી આંખો બીડાવાને વાર હોવાથી અંધારું ગાઢું નહીં, આછું આછું છે. આ આછા આછા અંધકારંબા હાથે સમજણના કે મુક્તિના દ્વાર ખૂલી રહ્યાં છે. જીવનવાદ્ય એકધારું ઝણઝણ ઝણકી રહ્યું છે. તાર તાણીને તંગ કરીને અંધારાનો પીંજારો જીવને તારે તાર પીંજી રહ્યો છે, મતલબ અંત હવે નિકટમાં જ છે. શરૂમાં આછું આછું અંધારું વર્તાતું હતું, હવે આછું આછું અજવાળું વર્તાઈ રહ્યું છે. અજવાસ છે પણ અંધકારના વર્ચસ્વવાળો. આંખોમાં ઝળઝળિયાનું જાળું બાઝ્યું છે, જેના કારણે આછા અજવાળામાં અસ્પષ્ટપણે પૂર્વજન્મના સંસ્કાર પણ વર્તાય છે,

*

Comments (5)

શબ્દસુમન: હર્ષદ ચંદારાણા : ૦૧ : ગઝલ-પ્રતીક્ષાની

*

પ્રતીક્ષાની કેવી ફસલ નીપજે છે?
અનાયાસ આખી ગઝલ નીપજે છે.

પ્રતીક્ષા કરી જોઈ હોડી બનીને
પરંતુ ન કાંઠો, ન જલ નીપજે છે.

પ્રતીક્ષાનું છે વૃક્ષ એવું કે જેમાં
ન ડાળી, ન પર્ણો, ન ફલ નીપજે છે.

પ્રતીક્ષા કરું છું વસંતોની જ્યારે
પ્રથમ પાનખર પણ અસલ નીપજે છે

હતી આ સરોવરને કોની પ્રતીક્ષા?
ફરી ને ફરીથી કમલ નીપજે છે.

– હર્ષદ ચંદારાણા

હર્ષદ ચંદારાણા એટલે રમેશ પારેખના શબ્દોમાં કહીએ તો ‘પોતાની પ્રતિભાના વેગથી, આંતરિક સામર્થ્યથી પોતાના બાયોડેટાની બહાર સતત વિસ્તરતી રહેતી’ વ્યક્તિ. થોડા દિવસ પહેલાં ૧૬ જુન, ૨૦૨૪ના રોજ કવિશ્રી હર્ષદ ચંદારાણા એમનો અ-ક્ષરદેહ પાછળ છોડીને પરલોક સિધાવ્યા… લયસ્તરો તરફથી એમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ…

કવિને શબ્દાંજલિ નિમિત્તે શરૂઆત પ્રતીક્ષા ઉપર લખાયેલી એક મજાની મુસલસલ ગઝલથી કરીએ. પાંચેય શેર સંતર્પક થયા છે.

*

Comments (9)

(હેમખેમ નથી) – હેમંત પુણેકર

ઓર પાસે અવાય એમ નથી,
તોય અળગા થવાની નેમ નથી.

એની આંખો બીજું જ બોલે છે,
હોઠ બોલે છે પ્રેમબેમ નથી.

કેમ તમને છૂપાવું મારામાં?
હું જ મારામાં હેમખેમ નથી.

મધ્યમાં કઈ રીતે ઊભા રહીએ?
જિંદગી પોતે આમતેમ નથી?

આ જે કંઈ છે એ કેમ છે હેમંત?
અને જે છે જ નહિ એ કેમ નથી?

– હેમંત પુણેકર

ગુજરાતી ગઝલોનો આજકાલ એવો તો લીલો દુકાળ પડ્યો છે કે સારી ગઝલ શોધવી એ ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું દુષ્કર કાર્ય બની ગયું છે. પણ રણમાં મીઠી વીરડી જેવી આ ગઝલ જુઓ. પાંચ જ શેર. ચુસ્ત કાફિયા અને સરળ ભાષામાં કેવી વેધક રજૂઆત! ગાઢમાં ગાઢ આલિંગન પણ કદી શાશ્વત નથી હોતું. ગમે એટલો પ્રેમ હોય, બે જણે આશ્લેષમાંથી અળગાં તો થવું જ પડે એ વાસ્તવિક્તાની સામે કાવ્યનાયકની કેફિયત જુઓ તો જરા. બે જણ એકમેકની એટલી તો નિકટ આવી ગયાં છે કે હવે વધુ નૈકટ્ય સાધવું સંભવ જ નથી, ને એ છતાં એકાકારતાની આ ચરમસીમાએથી પાછા વળવાની બેમાંથી એકેયની તૈયારી પણ નથી. કેવી અદભુત વાત! સરવાળે આખી ગઝલ જ સંતર્પક થઈ છે…

Comments (12)

ભાઈચારો – ઑક્ટાવિયો પાઝ (સ્પેનિશ) (અનુ.: વિવેક મનહર ટેલર)

ક્લૉડિયસ ટૉલેમીને શ્રદ્ધાંજલિ

હું એક મનુષ્ય છું: મારી હયાતિ છે ક્ષણભંગુર
અને રાત છે પ્રલંબ.
પણ હું ઉપર જોઉં છું:
તારાઓ લખી રહ્યા છે.
સમજ્યા વિના જ હું સમજું છું:
હુંય એક લખાણ જ છું
અને આ ક્ષણે
કોઈ મને ઉકલી રહ્યું છે.*

– ઑક્ટાવિયો પાઝ
(અંગ્રેજીમાંથી અનુ.: વિવેક મનહર ટેલર)

વિદેશી ભાષાના અંગ્રેજી અનુવાદોમાંથી ગુજરાતી અનુવાદ તો અનેક કર્યા, પણ પાઝની આ કવિતા મને ઇન્ટરનેટ પર લટાર મારતી વખતે મૂળ સ્પેનિશ ભાષામાં મળી. એનો અંગ્રેજી અનુવાદ શોધવાના સ્થાને મેં આ વખતે ચેટજીપીટી (એ.આઇ.) તથા ગૂગલ ટ્રાન્સલેટને કામે લગાડ્યા અને જાતે જ અંગ્રેજી અનુવાદ તૈયાર કર્યો. આ પછી નેટ પરથી આ જ રચનાના અંગ્રેજી અનુવાદ પણ શોધ્યા. એ.આઇ.ભાઈનો અનુવાદ યોગ્ય લગતાં મેં એને જ સ્વીકારીને એનો ગુજરાતી અનુવાદ કર્યો છે. આગલ જતાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ શું શું કરતબ દેખાડશે એ તો ભવિષ્ય જ કહેશે, પણ હમણાં આ ક્ષણે આ અનુવાદ આપ સહુ માટે…

કવિએ ગ્રીકો-રોમન ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી અને ભૂગોળશાસ્ત્રી ક્લાઉડિયસ ટોલેમીને આ કવિતા વડે શ્રદ્ધાંજલિ આપી છે, જેઓ બ્રહ્માંડના ભૂકેન્દ્રીય મોડેલ પરના તેમના કાર્ય માટે જાણીતા છે. ટોલેમીનું આહ્વાન કરીને, પાઝે ટબૂકડી કવિતાને વ્યાપક ઐતિહાસિક અને દાર્શનિક સંદર્ભમાં રજૂ કરી બતાવી છે. બ્રહ્માંડમાં પોતાનું સ્થાન શું છે એ સમજવાની કોશિશ મનુષ્ય અનાદિકાળથી કરતો આવ્યો છે. માનવી સમજે છે કે વિશાળ સૃષ્ટિના ઉપલક્ષમાં સ્વયંનું સ્થાન ક્ષણભંગુર ટપકાંથી વિશેષ કશું જ નથી. કવિતા અસ્તિત્વવાદ અને અર્થની શોધના વિષયોને સ્પર્શે છે. વક્તા માનવીય સમજણની મર્યાદાઓને સ્વીકારે છે પરંતુ એમ વિચારીને આશ્વાસન મેળવે છે કે એક પોતે એક વિશાળ યોજનાનો જ એક અવિભાજ્ય ભાગ છે, ભલે એ તેને સંપૂર્ણ રીતે સમજી ન શકે. જીવન અને બ્રહ્માંડ વચ્ચેનું આ પરસ્પર જોડાણ –ભાઈચારો- જ આ કવિતાનો કેન્દ્રસ્થ વિચાર છે.

Brotherhood

Homage to Claudius Ptolemy

I am a man: little do I last
I am a man: I last but a moment
and the night is immense.
But I look up:
the stars are writing.
Without understanding, I comprehend:
I am also a script
and at this very moment
someone is spelling me out.

– Octavio Paz (Spanish)
(Eng. Trans.: AI – Chat GPT)

HERMANDAD

Homenaje a Claudio Ptolomeo

Soy hombre: duro poco
y es enorme la noche.
Pero miro hacia arriba:
las estrellas escriben.
Sin entender comprendo:
también soy escritura
y en este mismo instante
alguien me deletrea.

– Octavio Paz (Spanish)

Comments (1)

પ્રથમ વરસાદની વેળા – ઉર્વીશ વસાવડા

ભૂંસાઈ ગ્રીષ્મની પાટી, પ્રથમ વરસાદની વેળા
પછી મહેકી ઊઠી માટી, પ્રથમ વરસાદની વેળા

ફૂટી નીકળી અચાનક કૂંપળો શૈશવની યાદોની
ભીતર જેને હતી દાટી, પ્રથમ વરસાદની વેળા

મળ્યા છે મોતીઓ મબલખ હથેળી જેમણે ખોલી
ખરેખર એ ગયા ખાટી, પ્રથમ વરસાદની વેળા

નર્યા ઉન્માદથી ડોલે બધાંયે વૃક્ષ મસ્તીમાં
કોઈ ભૂરકી ગયું છાંટી, પ્રથમ વરસાદની વેળા

ક્ષણિક ઝબકા૨માં પણ વીજનું નર્તન પ્રથમ દીઠું
પછી માણી ઘરેરાટી, પ્રથમ વરસાદની વેળા

– ઉર્વીશ વસાવડા

આજે વહેલી સવારે પહેલા વરસાદનો સ્વાદ માણવાનું થતાં જ આ ગઝલ સ્મૃતિપટલ પર તરવરી ઊઠી. વરસાદ વિશે આપણે ત્યાં અસંખ્ય કાવ્યો રચાયાં છે, અને લખાતાં પણ રહેશે… દરેકની પોતીકી મજા છે. પણ આખું ચોમાસું એક તરફ અને પ્રથમ વરસાદની વેળા એક તરફ. ઉનાળાથી ભડભડ બળતી સૃષ્ટિમાં પ્રથમ વરસાદની વેળાએ જે જે પરિવર્તનો અનુભવાય છે એને યથોચિત ઝીલી બતાવતી એક સાંગોપાંગ સુંદર ગઝલ આજે માણીએ…

Comments (11)

હીંચકો – મનીષા જોશી

આજે તો બગીચાની
લીલીછમ લોન પર ચાલવાનું
૫ણું નથી ગમતું.
ચમેલીની વેલ પાસેથી ૫સાર થતાં
એની સુગંધ નાકને અડી જાય છે
૫ણ ત્યાંયે વધુ વાર ઊભવું નથી ગમતું.
બેન્ચ પર બેસીને
સમયને મારતા બે નિવૃત્ત વૃદ્ધો
અને એક ખૂણો શોધી લઈ
ગુફતેગૂ કરતા બે પ્રેમીઓ વચ્ચે પણે
ધ્યાન આકર્ષિત કરે છે
તો એકમાત્ર હીંચકો!
પેલી છોકરીના ઊતરી ગયા પછી પણ
ચિચાટિયા અવાજે
ખાલી ખાલી હાલ્યા કરતો એ હીંચકો!
અને હું,
અચાનક જ દોડી જઈને
અત્યંત ઉશ્કેરાટથી
એને હાથથી અટકાવી દઉં છું.

– મનીષા જોશી

હીંચકો પ્રતીક છે અસ્થિર માનસિકતાનું… સતત ગતિમાં રહેવા છતાંય હીંચકો હોય ત્યાંથી આગળ પણ વધી શકતો નથી ને પાછળ પણ જઈ શકતો નથી. હીંચકાનું પ્રતીક લઈને કવયિત્રીએ આવી જ મનોદશા બહુ સ-રસ રીતે અહીં આલેખી છે. કોઈક કારણોસર કાવ્યનાયિકા આજે વ્યથિત છે. ‘આજે તો’થી કવિતાનો ઉપાડ થાય છે, એના પરથી ખ્યાલ આવે છે કે જે ક્રિયાઓની અહીં વાત છે એ રોજબરોજની ક્રિયાઓ છે, પણ આજે હૈયું વ્યગ્ર હોવાના કારણે નથી લોન પર ચાલવાનું મન થતું, કે નથી સુગંધ માણવા ઊભા રહેવાનું મન થતું. નિવૃત્ત વૃદ્ધો કે પ્રવૃત્ત પ્રેમીઓ પણ આજે નાયિકાનું ધ્યાન આકર્ષી શકતા નથી. કોઈક છોકરીના ઉતરી ગયા પછી પણ હીંચકો ચિચાટિયા અવાજે હજીયે ખાલી ખાલી હાલ્યા કરે છે એ નાયિકાને વધુ વિહ્વળ કરે છે. હીંચકો પોતાની જ અસ્થિર માનસિકતાને પ્રતિબિંબિત કરતો હોવાથી નાયિકા એને આજે ખમી શકતી નથી. અચાનક દોડી જઈને અત્યંત ઉશ્કેરાટથી એ એને હાથથી અટકાવી દે છે. ‘અચાનક’ ‘અત્યંત’ અને ‘ઉશ્કેરાટ’ – આ ત્રણ શબ્દોના કારણે કાવ્ય વધુ અસરદાર બન્યું છે.

Comments (7)

કવિતાનો પરિચય – બિલી કોલિન્સ (અનુ.: વિવેક મનહર ટેલર)

હું એમને કહું છું કે એક કવિતા લો
અને એને પ્રકાશ સામે ધરો
રંગીન કાચના ટુકડાની જેમ

અથવા એના છત્તા સાથે કાન માંડી જુઓ.

હું કહું છું કે એક ઉંદરને કવિતામાં નાંખી દો
અને એ કઈ રીતે બહાર આવે છે એ નિહાળતા રહો,

અથવા કવિતાના ઓરડામાં પ્રવેશ કરો
અને બત્તીની ચાંપ શોધવા માટે દીવાલોને ફંફોસો.

હું ઇચ્છું છું કે તેઓ કવિતાની સપાટી ઉપર
વોટર સ્કી કરતાં કરતાં
કિનારા પરના લેખકના નામ તરફ હાથ લહેરાવે.

પરંતુ તેઓ તો બસ આ જ ઇચ્છે છે
કે કવિતાને એક દોરી વડે ખુરશી સાથે બાંધી દેવામાં આવે
અને એને યાતના આપવામાં આવે કબૂલાત કઢાવવા માટે.

તેઓ એને ચાબુક વડે પીટવા માંડે છે
એ શોધવા માટે કે હકીકતમાં એનો અર્થ શો છે.

– બિલી કોલિન્સ
(અનુ.: વિવેક મનહર ટેલર)

કવિતામાંથી અર્થ કાઢવાની કવાયત તો પરાપૂર્વથી ચાલતી આવી છે અને ચાલુ જ રહેવાની છે. મારીમચડીને કવિતામાંથી અર્થ કાઢી તો લઈએ, પણ શું એ અર્થ જ કવિ કે કવિતાનું ખરું લક્ષ્ય હશે એમ કહી શકાય ખરું? કવિતા ઉપર બળાત્કાર કરવાના બદલે કવિતાનો વિશુદ્ધ આનંદ લેતા શીખીએ એ કદાચ વધુ યોગ્ય ન કહેવાય? હકીકતમાં, કવિતામાં અર્થ કરતાં અનુભૂતિનું મહત્ત્વ વધારે છે. ભાષા કરતાં ભાવ વધુ અગત્યનો છે. શબ્દ અર્થનું વાહન બની રહેવાના બદલે કવિહૃદયના સંવેદન ભાવક સાથે સહિયારવાનું ઉપાદાન બની રહે ત્યારે ખરો કાવ્યાનંદ પ્રાપ્ત થાય અને કવિકર્મ સાર્થક થયું ગણાય. બિલી કોલિન્સની આ કવિતા અદભુત પ્રતીકોની મદદથી આપણને આ વાત સફળતાપૂર્વક સમજાવે છે. આ સંદર્ભમાં આ સાથે રાવજી પટેલની “ઠાગા ઠૈયા” કવિતા પણ અવશ્ય વાંચવી જોઈએ.

Introduction to Poetry

I ask them to take a poem
and hold it up to the light
like a color slide

or press an ear against its hive.

I say drop a mouse into a poem
and watch him probe his way out,

or walk inside the poem’s room
and feel the walls for a light switch.

I want them to waterski
across the surface of a poem
waving at the author’s name on the shore.

But all they want to do
is tie the poem to a chair with rope
and torture a confession out of it.

They begin beating it with a hose
to find out what it really means.

– Billy Collins

Comments (8)

(મિજાજ લાવી છે) – ડૉ. પરેશ સોલંકી

લાખ કોશિશ બાદ આવી છે,
સાદગી પણ મિજાજ લાવી છે.

થાક ઊંચાઈ પર બહુ લાગ્યો,
હા, તળેટી ચરણને ફાવી છે.

વેરવિખેર જાત સંકોરી,
છેવટે વસ્ત્રમાં દબાવી છે.

ક્ષણ, સ્મરણ, રટણ તથા વળગણ,
પત્રમાં સૌ વિગત જણાવી છે.

ચાલ, ઈશ્વર બતાવ હયાતીને,
કે મુરત પથ્થરે સજાવી છે.

– ડૉ. પરેશ સોલંકી

લયસ્તરો પર કવિના નવ્યસંગ્રહનું સહૃદય સ્વાગત…

સંગ્રહમાંથી એક સરસ મજાની ગઝલ આપ સહુ માટે રજૂ કરીએ છીએ. એકાદ-બે છંદદોષને બાદ કરતાં આખી ગઝલ મનનીય થઈ છે. સરળ બાનીમાં કવિએ આસ્વાદ્ય શેર આપ્યા છે.

Comments (2)

કંડારવી છે – હાર્દિક વ્યાસ

આંગળીઓ હોઠ ભીંસી વાળવી છે,
હસ્તરેખાઓ નવી કંડારવી છે.

આપણે પહોંચી ગયા સામા કિનારે,
ક્યાં સુધી આ હોડીઓ હંકારવી છે?

આ બધું પામ્યા પછી પળ કઈ હશે?
– એટલી સમજણ પછી વિકસાવવી છે!

એ અગાસી પર જઈ નક્કી કરે છે,
કેટલી કોની પતંગો કાપવી છે?

ભેદ ના હો કોઈ દૃષ્ટિ-દૃશ્યમાં પણ;
એટલી સીમા હજી ઓળંગવી છે!

હું રહું ના હું અને ના તું રહે તું
જાતને એવી રીતે ઓગાળવી છે!

વ્હાલથી છૂટું પડે ઓવારણું તો,
માનથી એની પ્રથાને પાળવી છે…!

– હાર્દિક વ્યાસ

લયસ્તરો પર કવિના નવ્ય ગઝલસંગ્રહ ‘શિખર વહે, ધજા વહે’નું સહૃદય સ્વાગત છે…

પોતે જ પોતાના ભાગ્યવિધાતા હોવાની જાહેરાતથી કવિ ગઝલનો ઉઘાડ કરે છે. પોતાની મરજી મુજબની નવી હસ્તરેખાઓ કંડારવા માટે કવિએ હોઠ ભીંસીને મુઠ્ઠીઓ વાળી છે. હોઠ ભીંસવાની ક્રિયા ઈરાદાની મક્કમતાની પુષ્ટિ કરતી હોવાથી શેરને ઉપકારક નીવડે છે. ઘણીવાર ગંતવ્યસ્થાને પહોંચી ગયા પછી પણ આપણા જીવને જંપ વળતો નથી. આવી પરિસ્થિતિને હોડી અને સામા કિનારાના રૂપકની મદદથી કવિએ સુપેરે ચીતરી બતાવી છે. ‘ઓળંગવી’ એ એક કાફિયાદોષને બાદ કરતાં સરવાળે આખી ગઝલ સરસ થઈ છે,

Comments (6)

હે આંખો! – સંજુ વાળા

દૃશ્યની ઠેસ વાગી? હે આંખો!
તો જગતને જરા ઝીણું ઝાંખો!

ચાખવું હોય તો અમી ચાખો!
અન્ય રસમાં વળી શું રસ દાખો?

ડાળે બેઠાં જ નહિ, તેં ઉડાડ્યાં,
આટલેથી હવે તો બસ રાખો.

એની મરજી હશે તો ઊઘડશે,
એમ સમજીને બારણાં વાખો.

ના મળ્યું આભ, ના મળ્યું ઊડવું;
ભાર વેંઢારવા મળી પાંખો?

એક ખાલી, તો છે સભર બીજો;
છે જીવન-દેરડીમાં ઘટ લાખો.

– સંજુ વાળા

આખેઆખી સંઘેડાઉતાર ગઝલ… એકેએક શેર પાણીદાર.

Comments (3)