સજદામાં પડી જાઉં હું બળ દે ઓ બુઢાપા,
અલ્લાહ તરફ મારી કમર સહેજ ઝૂકી છે.
મરીઝ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for August, 2022

यह आग की बात है – अमृता प्रीतम

 

यह आग की बात है
तूने यह बात सुनाई है
यह ज़िंदगी की वो ही सिगरेट है
जो तूने कभी सुलगाई थी

चिंगारी तूने दे थी
यह दिल सदा जलता रहा
वक़्त कलम पकड़ कर
कोई हिसाब लिखता रहा

चौदह मिनिट हुए हैं
इसका ख़ाता देखो
चौदह साल ही हैं
इस कलम से पूछो

मेरे इस जिस्म में
तेरा साँस चलता रहा
धरती गवाही देगी
धुआं निकलता रहा

उमर की सिगरेट जल गयी
मेरे इश्के की महक
कुछ तेरी साँसों में
कुछ हवा में मिल गयी,

देखो यह आखरी टुकड़ा है
ऊँगलीयों में से छोड़ दो
कही मेरे इश्कुए की आँच
तुम्हारी ऊँगली ना छू ले

ज़िंदगी का अब गम नही
इस आग को संभाल ले
तेरे हाथ की खेर मांगती हूँ
अब और सिगरेट जला ले !!

 – अमृता प्रीतम

 

અમ્રુતાજીનો આજે જન્મદિન….તેઓના નામ સાથે ઘણાંબધાં “ભારતના પ્રથમ” જોડાયેલા છે – જેમ કે ભારતના પ્રથમ મહિલા જેમણે સાહિત્ય અકાદમી પુરસ્કાર જીત્યો, પ્રથમ મહિલા જેના ૧૦૦ થી વધુ પ્રકાશન હોય…..વગેરે. તેઓની કલમની મજબૂતી કોઈ કોમેન્ટની મહોતાજ હોઈ જ ન શકે…

 

કાવ્ય સરળ છે – હ્રદયસ્પર્શી છે…

Comments (2)

કૃષ્ણ – ૧૯૯૨ – કૃષ્ણ દવે

ગોકુળના કૃષ્ણને તો વાંસળીના સૂર, વળી યમુનાનાં પૂર
અને ઉપરથી ગોપીઓ ને રાધા
અહીં મારે તો જીવવાના વાંધા ..

આંખોની પથરાળી ધરતીમાં વૃન્દાવન, ગોવર્ધન, ગોકુળ ક્યાં વાવીએ?
ભાંભરડા દેતી આ ભૂખી ઇચ્છાઓનાં ધણનાં ધણ ક્યાં જઈ ચરાવીએ?
આયખે વલોવાતાં એક એક દ્હાડાને માગી માગીને મેં ખાધા
અહીં મારે તો જીવવાના વાંધા…

પૂરેલાં ચીર એમાં માર્યો શું મીર ?એનું કારણ એ રાજાની રાણી
નજરે ના કેમ ચડી આછેરા જીવતરની માંડેલી આમ ખેંચતાણી
ખેંચાતાં ખેંચાતાં ટાંકા તૂટે ને વળી દોરા ખૂટે
ને તોય કરવાના રોજ રોજ સાંધા?
અહીં મારે તો જીવવાના વાંધા…

ગોકુળનો શ્વાસ લઈ, મથુરાની હાશ લઈ દરિયામાં જાત તેં બચાવી
મેં તો આ પ્હાનીના હણહણતા અશ્વોને ખીલ્લાની વારતા પચાવી
ભાગી ભાગીને હુંય ભાગું કદાચ તોય રસ્તાને પગલાંની બાધા
અહીં મારે તો જીવવાના વાંધા…

– કૃષ્ણ દવે

 

મારા ગમતા કવિ ! કવિત્વના ભાર વગર કવિતા ગાતા કવિ ! તેઓની વાત સીધી અને સ્પષ્ટ અનુભૂતિની નીપજ હોય…. ફરિયાદ હોય તો તે દિલમાંથી બહાર આવી હોય…..

 

યાદ આવે – ” મારાં રામ તમે સીતાજીની તોલે ન આવો “

Comments (2)

ઝરમર – વેણીભાઈ પુરોહિત

શ્રાવણ વરસે સરવડે ને
ઝરમરીયો વરસાદ:
– કાના, આવે તારી યાદ0

વીજ ઝબૂકે વાદળ વચ્ચે
તરવરિયો ઉન્માદ:
– કાના, આવે તારી યાદ0

જમણી આંખ ગઈ મથુરા ને
ડાબી ગઈ ગોકુલમાં,
હૈયું વૃન્દાવન જઈ બેઠું
કુંજગલીના ફૂલમાં.
– કાના, આવે તારી યાદ0

ગોપી થઈ ઘૂમું કે કાના,
બનું યશોદામૈયા ?
કે રાધા થઈ રીઝવું તુજને
હે સત-પત રખવૈયા!
– કાના, આવે તારી યાદ0

તનડુ ડૂબ્યું જઈ જમનામાં
મનડું નામસ્મરણમાં-
સુધબુધ મારી આકુલવ્યાકુલ
તારા પરમ ચરણમાં:
– કાના, આવે તારી યાદ0

– વેણીભાઈ પુરોહિત

રહી રહીને વરસાદ ઝરમર ઝરમર પડતો હોય એ ટાંકણે ભક્તને કહાનજી સિવાય બીજા કોઈની યાદ આવે એ તો સંભવ જ નથી. વાદળમાં અવારનવાર જેમ વીજળી ઝબૂકે એ જ રીતે ભીતરમાં ઉન્માદ તરવરતો રહે છે. એક આંખ મથુરા ભણી જુએ છે ને બીજી ગોકુળ તરફ, ને વળી હૈયું તો વૃંદાવનમાં જઈ ખીલ્યું છે. કાનકુંવર સત્ય અને ભરોસાનો રખેવાળ છે, એને રીઝવવા કાવ્યનાયિકા કયો ભેખ ધારવો એની વિમાસણમાં છે. આંખો અને હૈયાની જેમ જ તન જમુનામાં ડૂબકી લગાવી રહ્યું છે, મન નામસ્મરણમાં અને આકુળવ્યાકુળ સુધબુધ શ્રીહરિના ચરણમાં જઈ બેઠી છે… સાવ સરળ અને સહજ બાનીમાં કૃષ્ણભક્તિની આરત કેવી સ-રસ રીતે ઊઘડી છે એ જોવા જેવું છે…

Comments (6)

વટ્ટનો કટ્ટકો – ચંદ્રશેખર પંડ્યા

કામણ પાથ૨વામાં અવ્વલ ગણાય, એની અણિયાળી મૂછ તણો લટ્ટકો
નજરુંની સાથ મળે નજરું તો મારતો ઈ, વીજળીના તાર સમો ઝટ્ટકો
મારો અરજણીયો વટ્ટનો કટ્ટકો…

હોળીને દા’ડે હું તો બા’નું બનાવી, તને ભેટવાને ચાલી’તી રંગમાં
આવી ધુળેટી તો સાનભાન ભૂલીને, નવરાવી દીધી તેં રંગમાં
ઢીલી પડી છ મારા કમ્મખાની કસ, હવે ભાવિ ભરથા૨ જરા અટ્ટકો
મારો અ૨જણીયો વટ્ટનો કટ્ટકો…

લીલા ને લહેર મળે મૂએ સાસરિયે, હું તો વિસરી જઉં લાડકડું માયકું
દિવસ ને રાત તું જો વરસાવે હેત, પછી વારીવારી જાઉં મારું આયખું
કાંબી ને કડલાંને ચૂલા મહીં નાખ, મને સ્હેજે નથી એનો ચટ્ટકો
મારો અરજણીયો વટ્ટનો કટ્ટકો…

જન્મોના સાથ તણો ક૨શું કરા૨, આજ આવી જા અલબેલા ઠાઠમાં
બંધનનું થઈ જાતું મીઠું બંધાણ, રહે બાંધ્યું એ સ્નેહ તણી ગાંઠમાં
છઠ્ઠીના લેખની સાખે થઈ જોડી, પછી વાલમજી કેમ કરી છટ્ટકો!
મારો અ૨જણીયો વટ્ટનો કટ્ટકો…

– ચંદ્રશેખર પંડ્યા

મનના માણીગરના કામણના અજવાળાં પાથરતી રચના. નાયિકાને મન એનો ભાવિ પતિ અર્જુન વટનો કટકો છે અને એના વખાણ એ મલાવી-મલાવીને કરે છે. લગ્ન થયા નથી એટલે કદાચ વરજીને નામથી બોલાવવાની આઝાદી નાયિકા માણી લે છે. અણિયાળી મૂછને જે રીતે વળ ચડાવીને વધુ આકર્ષક બનાવાય એ રીતે કવિ પ્રાસગુંફણી કરતા ‘ટ’કારને વળ ચડાવીને જે ‘ટ્ટ’કાર સર્જે એનું સંગીત ગીતને વધુ આસ્વાદ્ય બનાવે છે. પહેલા બંધમાં ‘રંગમાં’ સાથે અન્ય કોઈ પ્રાસ પ્રયોજવાના સ્થાને કવિ અર્થફેર કરીને યમકનો આહલાદ કરાવે છે. સરવાળે સહજ અને મજાનું ગીત…

Comments (6)

ફટ્ રે ભૂંડા! – જતીન્દ્ર આચાર્ય

ફટ્ રે ભૂંડા!
સહજ સાથે તરવા આવી ત્યાં તો ખેંચી જળમાં ઊંડા!
.                                                     ફટ્ રે.

જળ અજાણ્યાં, વ્હેણમાં વમળ, વસમી એની ઝીંક,
પૂર હિંદોલે હીંચકા લેતાં હૈયે આવે હીંક,
તોય તારો આ મારગ મૂકી જાતાં લાગે બીક,
કીધાં કેવાં કામણ કૂડાં !
.                                                     ફટ્ રે.

વાહ! ગોરાં દે!
સાત જનમનો સહરા હું તો શાનાં જળની વાતો!
નેહના સાગર નેણાં નીરખ્યા એની ભરતી આ તો;
પરવશ અંગેઅંગ કરીને કીધ મને તણાતો.
નીકળશો શું સાવ કોરાં દે?
વાહ ગોરાં દે!

– જતીન્દ્ર આચાર્ય

પ્રથમ પ્રેમની સહિયારી અનુભૂતિનું યુગલગાન. કવિએ કઈ ઊક્તિ કોની છે એવો કશોય ફોડ પાડ્યો ન હોવા છતાં ઉભય વચ્ચેનો સંવાદ તરત સમજાઈ જાય એવો સહજસાધ્ય થયો છે. નાયિકાની મીઠી ફરિયાદથી ગીતનો ઉપાડ થાય છે. થોડો સહેવાસ માણવા સંગાથ કર્યો એટલામાં નાયક મગર શિકારને જળમાં ઊંડે તાણી જાય એમ નાયકે નાયિકાને પ્રેમમાં સાવ ગરકાવ જ કરી દીધી. પ્રેમની અનુભૂતિ સાવ પહેલવારુકી જ હોવાથી નાયિકા એનાથી સાવ અજાણ છે, અને માર્ગમાં કઈ-કઈ તકલીફોનો સામનો કરવાનો થશે એ વાતથીય તદ્દન અનભિજ્ઞ છે. પ્રેમના હીંચકે પૂરજોશથી હિંચકતાં ડર તો લાગે છે, પણ હીંચકા પરથી ઊતરી જવામાંય બીક લાગે છે. પ્રેમનાં તો કામણ જ એવાં કૂડાં… ખાંડણિયામાં માથું ને દે રામ, બસ!

નાયક વળતા જવાબમાં ફરિયાદને રદિયો આપતાં કહે છે કે વાહ જી વાહ! આપ તો ઊલટા ચોર કોટવાલ કો ડાંટે જેવી વાત કરો છો. હું તો સાત-સાત જનમથી રણ જેવો સુક્કોભઠ્ઠ માણસ… પ્રેમથી સદૈવ વંચિત રહેલ. આ પ્રેમજળ અને એમાં ડૂબાડવાની આખી વાત જ ખોટી છે. આપની પ્રેમસાગર જેવા આંખોને લઈને જ આ ભરતી, આ આવેગ જન્મ્યાં છે. હું આપને શું ડૂબાડું, આપે જ મને અંગેઅંગ પરવશ કરી આ પ્રેમસાગરમાં તણાતો કરી દીધો છે. મને પ્રેમમાં ડૂબાડી દઈને આપ શું સાવ કોરાં નીકળશો? વાહ ગોરાં દે! વાહ!

કેવું મજાનું ગીત!

Comments (9)

મૂંઝારો – વિવેક મનહર ટેલર

*

(બેવડા પ્રાસયુક્ત રચના)

ઉદ્ધવજી! આ છાતીમાં જે થાય મૂંઝારો,
જાવ અને જઈ કાનાની વહીમાંય ઉધારો…

ક્રૂર બડો અક્રૂર તે માંગ્યો કાનકુંવરનો લાગો,
તમે હવે આવીને કહો છો, યાદોને પણ ત્યાગો!
કાયાની માયા તો મેલી, હૈયું શાને માંગો?
ના શામો તો કંઈ નહીં, કિંતુ શાને લ્હાય વધારો?

એને માટે ભલેને દુનિયા આખી હો રાધિકા,
મારે મન તો એની યાદો એ જ અઠેદ્વારિકા;
મહીં મહી નહીં, જાત ભરીને હજુ ટાંગીએ શીકા,
કહો, ફૂટ્યા વિણ જન્મારો ક્યાંક ન એળે જાય, પધારો…

– વિવેક મનહર ટેલર
(૦૪-૦૧-૨૦૨૨)

લયસ્તરોના વાચક-ભાવકવૃંદને જન્માષ્ટમી પર્વના થોડાં મોડાં પણ સુમધુર વધામણાં… ગઈકાલે તો સૉશ્યલ મિડીયાના ખૂણેખૂણા કૃષ્ણરંગે રંગાયેલા હતા એટલે આપણે જરા મોડેથી ઊજવણી કરીએ…

કૃષ્ણના જીવનમાં અક્રૂર અને ઉદ્ધવ -બંનેની નાની પણ બહુ મહત્ત્વની ભૂમિકા હતી. વળી, બંનેની ભૂમિકા અલગ હોવા છતાં એકસ્તરે એકરૂપ પણ થતી જણાય છે. એક કૃષ્ણ માટે તેડું લઈ આવ્યા હતા, તો એક એને ભૂલી જવાનું કહેણ દેવા આવ્યા હતા. બાળકૃષ્ણના પરાક્રમો વધતા જતાં કંસે એને તેડાવવા અક્રૂરને મોકલાવ્યા હતા. અક્રૂર કૃષ્ણને પોતાની સાથે મથુરા લઈ આવ્યા. પાછળથી ગોપીઓ પોતાના વિરહમાં સૂધબૂધ ખોઈ બેઠી હોવાની જાણ થતાં કૃષ્ણએ પોતાને ભૂલી જવાનો સંદેશ આપવા ઉદ્ધવને વૃંદાવન મોકલ્યા, કારણ કે એ પોતે તો કદી પાછા ફરનાર નહોતા. કાયા અક્રૂર તાણી ગયા, માયા-યાદો ઉદ્ધવ લેવા આવ્યા. અહીંથી આગળ…

Comments (17)

તફાવત – દિલીપ જોશી

મારા ને દરિયામાં આટલો જ ફેર છે
દરિયો સુક્કાય તો એ રણ બની જાય
અને મારા સુક્કાવામાં શ્હેર છે!

મોજાં ને મારા વિરહની સમાનતામાં —
— માથાં પછાડવાની ઘટના
આંસુનું ટીપું પણ મોતી થઈ જાય એવા —
— સેવવાં સહસહુને સપનાં
સપનાં ખંખેરું તો દડી પડે દરિયો
ને હોડી હલેસાંઓ ઘેર છે…

પંડ્યથી વધીને કશું ખાનગી નથી
નથી અંગત કશીય મારી લાગણી
મોજાં જોઈને ચાંદ બાવરો બને
હું તો ફૂલોને જોઈ થયો ફાગણી
દરિયાએ પૂરવમાં પ્રગટાવ્યો ખાખરો
ને મારામાં ફાગણની લહેર છે.

– દિલીપ જોશી

સરખામણી કરવા બેસે તો કવિતા કોઈ સરહદને ન ગાંઠે. મારા અને દરિયામાં આટલો જ ફેર છે એમ કહીને કવિ હકીકતે તો પોતાનામાં અને દરિયામાં એક બાબતને બાદ કરતાં કોઈ કરતાં કોઈ ફરક નથી એમ જ કહેવા માંગે છે. દરિયો સૂકાય તો રણ બની જાય અને કવિ સૂકાય તો શહેર બની જાય એ અતિશયોક્તિ અલંકારમાય ખરું પૂછો તો કવિને સરખામણી કરવા કરતાં શહેરની લાગણીશૂન્યતા ઉપર કુઠારાઘાત કરવાની જ નેમ જણાય છે.

દરેકને પોતાનો વિરહ અમૂલ્ય જણાય છે. વિરહમાં વહેતાં આંસુઓ વિરહીજનને મોતી જેવાં કિંમતી જ લાગે. પણ સપનાં આખર સપનાં છે. કોઈ ઈચ્છા ફળીભૂત થવાની શરતે જન્મતી નથી હોતી. વિરહ મિલનમાં પલોટાવાનું સપનું છેવટે તો ખંખેરી નાંખવાનું જ રહે છે. અને વિરહના સાગરમાં તરવા માટે આપણી પાસે કોઈ હોડી- હલેસાં પણ ક્યાં હોય જ છે? એમાં તો ડૂબ્યે જ છૂટકો.

આખરી બંધમાં જો કે કવિનો કેમેરા દરિયો છોડીને ઋતુ અને ફૂલો તરફ વળે છે એ બહુ ઉચિત ન લાગ્યું. વિરહાસિક્ત કવિ પાસે જાત સિવાય એવું કશું નથી જે ખાનગી હોય. કવિની લાગણીઓ પણ સૌ સરાજાહેર છે. સાગર અને શશી વચ્ચેના ગાંડપણનો સેતુ તો સદીઓથી જાણીતો છે. કવિ પણ ફૂલોને જોઈને ફાગણી થઈ જાય છે. પૂર્વમાં સૂર્યોદય થાય એ દિવસના ઉગવાની અને આશાની નિશાની છે. પૂર્વમાંથી ઊંચે ઉઠતો લાલ સૂર્ય કેસૂડાંથી ભર્યાભાદર્યા ખાખરા જેવો છે જેને જોઈને કવિ પણ ફાગણની લહેરખી અનુભવે છે.

સરવાળે મને લાગે છે કે ગીતનો લય અને આંતરિક ભાવ કૈક એવા પ્રબળ થયા છે કે અર્થ અને અર્થઘટનની માયાજાળ પડતી મેલીને એની જ મજા લેવી જોઈએ કારણ કે અર્થ અને અર્થકારણ થી આગળ અહીં કશુંક છે જેના કારણે ગીત વાંચતાવેંત ગમી જાય છે…

Comments (3)

વારતા – ઉદયન ઠક્કર

એક હતી બકરી.નામ એનું અસ્મિતા.
તેજતર્રાર સ્વભાવની.
વાતેવાતે શિંગડાં ભેરવે.
મગદૂર છે કોઇની કે અટકચાળું કરી જાય?

બચરવાળ થઈ પછી અસ્મિતા નરમ પડી ગઈ.
એ ભલી ને એનું ઘર ભલું.
શું પોતાનું નામ, એ પણ ભૂલી ગઈ.

એક દિવસ અસ્મિતા ચરવા ગઈ.
જતાં જતાં ભટુરિયાંને કહેતી ગઈ,
‘ હું સાદ કરું તો જ બારણાં ઉઘાડજો.
મારી બોલાશ ઓળખજો.’
તે જાણતી હતી કે માતાની ભાષા ઓળખનારાં જ
જીવતાં રહે છે આ જંગલમાં.

અસ્મિતા જતી રહે એની જ રાહ જોતું હતું વરુ.
‘હલ્લો, હાઉ ડુ યુ ડુ!’ કરતુંકને આવ્યું.
બોલ્યુંઃ
બારણાં ઉઘાડજો રે એલાં ભટુરિયાં
તમારી મા આવી રે એલાં ભટુરિયાં….

ભટુરિયાંએ બારણાં ઉઘાડી નાખ્યાં.
વુલ્ફ હસ્યું.એના દાંત દેખાયા,
યલો યલો, લોંગ લોંગ.

અસ્મિતા મોડે મોડે પાછી આવી.
એના થાનેલાથી દૂધના ટશિયા ફૂટે.
બોલીઃ

બારણાં ઉઘાડજો રે એલાં ભટુરિયાં
તમારી મા આવી રે એલાં ભટુરિયાં
તમને ખવરાવશે રે એલાં ભટુરિયાં
તમને ધવરાવશે રે એલાં ભટુરિયાં….

પણ હવે કોણ ઉઘાડે બારણાં?

-ઉદયન ઠક્કર

વારતા બકરી અને વરુની છે પણ અભિપ્રેત કંઈક બીજું છે – એક વાચ્યાર્થ તો સ્પષ્ટ છે જ – બકરીનું નામ અસ્મિતા અને વરુ એટલે ભોગવાદી પાશ્ચાત્ય સંસ્ક્રુતિ.

જરા બાજા અર્થમાં જોઈએ તો આપણી તમામ વ્રુત્તિઓ,આવેગો,વાસનાઓને વિવેકબુદ્ધિ નામના બારણાં હેઠળ જગન્નિયંતા દ્વારા સુરક્ષિત રખાઈ છે. વરુ એ છાકટાપણું છે,અનિયંત્રિત ઉન્માદ છે – જો આપણે બારણાં ઉઘાડી સંયમની પાળી તોડી તો વિનાશ મીનમેખ…..

Comments (1)

કોણ – રમેશ પારેખ

સાંજરે
મારાં શ્રમિત લોચનવિહંગો
વૃક્ષ ૫૨ એવી ગીચોગીચ રાત લઈ પાછાં વળે
કે કોઈ ડાળે પાંદડું એકકે ય તે ના ફરફરે
ને બોલકા સૌ છાંયડા પણ રાતભર મૂંગા રહે

પડતી સવારે
એમ કાંઈ પ્રશ્નનું આકાશ પાછું સાંજ સુધી
આંખને વાગ્યા કરે
કે રાતની ચુપકીદીને પણ જાણ ના થઈ એ રીતે
આ કોણ
મારા બંધ ઘરના આંગણે આવ્યું હતું…
આંગળીની છાપ કોની રહી ગઈ છે બારણે…
કોનું મન પાછું વળ્યું સાંકળમાં ખખડાયા વગર?

— રમેશ પારેખ

 

” આવીને આંગળીમાં ટકોરા રહી ગયા,
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે. ”

– યાદ આવી જાય….

કેટલું સુંદર ભાવવિશ્વ રચાયું છે ! માસ્ટરક્લાસ !!!!

 

 

Comments (1)

(સો-સો સલામ પણ) – હરીશ ઠક્કર

‘ગાલિબ,’ ‘મરીઝ,’ ‘શૂન્ય’ને સો-સો સલામ પણ,
કહેવાના બાકી છે હજી મારા કલામ પણ.

થોડીક જીહજૂરી છે, થોડો દમામ પણ;
બેગમનો બાદશાહ છું, એનો ગુલામ પણ.

મારાં બધાંય કામમાં બે જણને હું પૂછું –
એક તો હું પોતે ને બીજો અંદરનો રામ પણ.

તદ્દન સફેદ ક્યાં છે? એ કાળુંડિબાંગ ક્યાં?
જીવન જરાક શ્વેત છે, થોડુંક શ્યામ પણ.

દોડાય તેટલું હજી દોડી લે દિ’ છતાં,
સૂરજ ડૂબે પછી જરૂરી છે મુકામ પણ.

તારા વિચાર આવે તો એનાથી રૂડું શું?
મનમાં સતત વિચાર તો આવે છે આમ પણ.

આ શાયરો તો બાળકો જેવા જ છે બધા,
માંગે છે દાદ ખૂબ, ઉપરથી ઇનામ પણ.

– હરીશ ઠક્કર

કવિની ખુમારી, સ્વ-ભાવ મત્લામાં આબાદ છતા થાય છે. પૂર્વસૂરિઓની મહાનતાના સ્વીકાર સાથે કવિ પોતાની સર્ગશક્તિમાં આત્મવિશ્વાસ પણ જાહેર કરે છે. પ્રમાણમાં સહજ-સાધ્ય રચના. બધા શેર ગમી જાય એવા.

ત્રીજા શેરમાં ભાષાકર્મ થોડું કઠે છે. ઉલા મિસરામાં કવિ પોતે જે કરે છે એ બધાંય કામમાં બે જણને પોતે કામ કરતાં પહેલાં પૂછે છે એમ કહે છે. વ્યાકરણની રીતે સાની મિસરામાં એક તો મને પોતાને અને બીજા અંદરના રામને -આમ આવવું જોઈએ પણ છંદ અને કાફિયા સાચવવા માટે કવિએ આ જગ્યાએ અનિવાર્ય છઠ્ઠી વિભક્તિનો ભોગ લેવો પડ્યો છે એ ટાળવા જેવું.

Comments (8)

માટે જ તો જીવતો છું – ઉદયન ઠક્કર

(ચીની કવિની ડાયરીમાંથી)

સ્ટીલ મિલના ફર્નેસ રૂમમાં મને નાખવામાં આવ્યો ત્યારે મારી વય વીસની હતી.દિવસ આખો કોલસા સવાલો પૂછે અને રાતે શરીર જવાબ દઈ દે. ચાદરની આડશે હું કવિતા લખતો હોઉં અને મારો પડછાયો કફન વણતો હોય.

છઠ્ઠે મહિને મારી હસ્તપ્રતો જપ્ત કરાઈ.સિક્રેટ પુલીસને સમજાય નહિ કે મેં લખ્યું છે શું? મામલો નિષ્ણાતો પાસે ગયો. તે પણ મુંઝાયા.
લોકો કહે છે, તમારી કવિતાઓ સમજાતી નથી.

હું કહું છું, માટે જ તો જીવતો છું.

– ઉદયન ઠક્કર

સંવેદનતંત્ર લકવો મારી જાય એવી ધારદાર રચના. દુનિયાના સેંકડો દેશોમાંથી કવિએ એકમાત્ર ચીન પસંદ કર્યો એનું કારણ શું હોઈ શકે? પ્રખર સામ્યવાદ અને માનવસ્વાતંત્ર્યના મૂલ્યોનો સદંતર હ્રાસ કદાચ. જે હોય તે. સ્ટીલ મિલની ભઠ્ઠીમાં કવિને કૂમળી વયે જોતરી દેવામાં આવ્યા હતા. આખો દિવસ કોલસા સાથે પનારો પાડવાનો અને રાત્રે શરીર જવાબ દઈ દે એ વાતને કવિએ કેવી માર્મિક કાવ્યાત્મક બોલીમાં રજૂ કરી છે! કોઈ જોઈ જાય તો સજા થઈ જવાની ભીતિને લઈને કવિ રાત્રે ચાદરની આડશમાં કવિતાઓ લખતા હોય ત્યારે મૃત્યુ શ્વાસે-શ્વાસે વધુ ને વધુ નજીક આવતું હોવાનું અનુભવતા. છ મહિને વાત બહાર આવી. હસ્તપ્રતો સિક્રેટ પોલીસે જપ્ત કરી લીધી. એમને ન સમજાયું તે નિષ્ણાંતોને મેદાનમાં લવાયા. એમનેય કવિતાઓ ન સમજાઈ. કવિતાનું તો ભઈ, એવું જ હોય ને! ‘ભલે શબ્દો હો જાણીતા, ભલે હો અર્થથી અવગત; કવિતા તે છતાં પણ જ્ઞાનથી સમજાય તો સમજાય.’

કવિ કહે છે કે એની રચનાઓ સત્તાધીશોને સમજાતી નથી, એટલે જ હસ્તપ્રતો જપ્ત થઈ ગયા બાદ પણ તેઓ હજી જીવંત છે. અન્યથા કવિતામાં રહેલ વિરોધ અને વિગ્રહ નજરે પડતાવેંત કવિના પ્રાણ ચીની શાસકોએ ખેંચી લીધા હોત ખોળિયામાંથી.

Comments (12)

કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે… – લોકગીત

કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

મારા બાલુડા હો બાળ, તારા પિતા ગયા પાતાળ,
તારી કોણ લેશે સંભાળ, કરવો કૌરવકુળ સંહાર.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

માતા પહેલે કોઠે કોણ આવી ઊભા હશે રે?
પહેલે કોઠે ગુરૂ દ્રોણ, એને જગમાં જીતે કોણ?
કાઢી કાળવજ્ર્રનું બાણ, લેજો પલમાં એના પ્રાણ.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

માતા બીજે કોઠે કોણ આવી ઊભા હશે રે?
બીજે કોઠે કૃપાચાર્ય, સામા સજ્જ કરી હથિયાર;
મારા કોમળઅંગ કુમાર, તેને ત્યાં જઈ દેજો ઠાર.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

માતા ત્રીજે કોઠે કોણ આવી ઊભા હશે રે?
ત્રીજે કોઠે અશ્વત્થામા, તેને મોત ભમે છે સામા;
એને થાજો કુંવર સામા, એના ત્યાં ઉતારજો જામા.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

માતા ચોથે કોઠે કોણ આવી ઊભા હશે રે?
ચોથે કોઠે કાકો કરણ, એને દેખી ધ્રૂજે ધરણ;
એને આવ્યું માથે મરણ, એના ભાંગજે તું તો ચરણ
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

માતા પાંચમે કોઠે કોણ આવી ઊભા હશે રે?
પાંચમે કોઠે દુર્યોધન પાપી, એને રીસ ઘણેરી વ્યાપી;
એને શિક્ષા સારી આપી, એનું મસ્તક લેજો કાપી.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

માતા છઠ્ઠે કોઠે કોણ આવી ઊભા હશે રે?
છઠ્ઠે કોઠે મામા શલ, એ તો જનમનો છે મલ્લ;
એને ટકવા ન દૈશ પલ, એનું અતિ ઘણું છે બલ.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

માતા સાતમે કોઠે કોણ આવી ઊભા હશે રે?
સાતમે કોઠે જય જયદ્રથ, એ તો લડવૈયો સમરથ;
એનો ભાંગી નાખજે રથ, એને આવજે બથ્થમબથ.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

રક્ષાબંધનના દિવસે આજે લયસ્તરો તરફથી તમામ ભાઈ-બહેનોને અઢળક સ્નેહકામના….

જે તે સમાજમાં લોકગીતો જે તે સમાજના અરીસા જેવા હોય છે. કુંતાએ અભિમન્યુને અમ્મર રાખડી બાંધી એ સમયે અભિમન્યુ દાદીને કોઠાયુદ્ધ વિશે પૂછતો હોય અને દાદી એને એક પછી એક સાતેય કોઠાની માહિતી આપતા હોય એ પ્રકારની વાત આ બહુ જાણીતા લોકગીતમાં વણી લેવામાં આવી છે. પૌત્રના સવાલ અને દાદીના જવાબ વચ્ચે લય જે રીતે હિંડોળાતો રહે છે એ ગીતના સંગીતને વધુ આસ્વાદ્ય બનાવે છે.

કથા તો જ જાણીતી જ છે. ગર્ભવતી સુભદ્રાને શાંતિ પમાડવા માટે ભાઈ શ્રીકૃષ્ણ એને સાત કોઠાના યુદ્ધની વાત સંભળાવે છે. એ જમાનામાં માન્યતા હતી કે ગર્ભમાં રહેલ જીવ બધું સાંભળી શકે છે, અને આજે વિજ્ઞાન પણ ગર્ભસંસ્કારની વાતો સાથે કંઈક અંશે સહમત છે. શ્રીકૃષ્ણ છ કોઠા ભેદવા અને જીતવાની રીત શીખવવા સુધી પહોંચ્યા એવામાં બહેન સુભદ્રાને ઊંઘ આવી ગઈ. સુભદ્રાનો હકાર આવતો બંધ થયો એટલે કૃષ્ણે પૂછ્યું કે ‘બહેન! ઊંઘ આવે છે?’ ત્યારે અંદર રહેલે જીવે કહ્યું, મામા! હું જાગું છું, તમે સંભળાવો. પણ કૃષ્ણ ત્યાં અટકી ગયા એટલે સાતમા કોઠાની વિદ્યા અભિમન્યુને શીખવા મળી નહીં.

રણક્ષેત્રે જવા તૈયાર થયેલ અભિમન્યુને દાદીમા કુંતાએ અમરત્વના આશિષ આપતાં રાખડી બાંધી. રાખડીના પ્રતાપે અને ગર્ભસંસ્કારમાં ચક્રવ્યૂહ ભેદવા-જીતવા અંગે પ્રાપ્ત કરેલ જ્ઞાનને લઈને અભિમન્યુ અજેય યોદ્ધાની જેમ સમરાંગણમાં એક પછી એક મહારથીને માત આપતો એક પછી એક કોઠા ભેદતો આગળ વધતો હતો તેવામાં કૃષ્ણે અભિમન્યુને કહ્યું, ‘બેટા ! ક્ષત્રિય થઈને આપણે આવા દોરા-ધાગાના સહારે લડીએ એ શોભે નહીં. અભિમન્યુ દાદીએ બાંધી આપી હોવાથી પોતે રાખડી તોડી શકે એમ નથી એમ જણાવ્યું ત્યારે શ્રીકૃષ્ણે એને રાખડી કાંડેથી કાઢીને તલવારની સાથે બાંધી દેવા કહ્યું. અભિમન્યુએ રાખડીને તલવાર ઉપર બાંધી દીધી ત્યારે શ્રીકૃષ્ણે ઉંદરનું રૂપ લઈને એ રાખડીની દોરી કાપી નાંખી. અભિમન્યુને પોતાનો આયુષ્યનો તાર કપાઈ ગયેલો અનુભવાયો અને થયું પણ એમ જ. સાતમા કોઠાને ભેદવા જતાં અભિમન્યુ હણાઈ ગયો.

Comments (1)

કદી મૌન થૈને સરી ગયા….- આદિલ મન્સૂરી

કદી મૌન થૈને સરી ગયા કદી શબ્દ થૈને ખરી ગયા
અમે મોસમોના વિકાસમાં જે થઈ શક્યું તે કરી ગયા

અમે જિંદગીનું વિશેષ રણ ગમે તેમ પાર કરી ગયા
કદી ઓસબિન્દુએ જે ડૂબ્યા કદી ઝાંઝવાઓ તરી ગયા

અમે કાળચક્રની સાક્ષીએ ફર્યું તે દિશામાં ફરી ગયા
કદી બાથ ભીડી છે મૃત્યુથી કદી જાતથીયે ડરી ગયા

બધું એકમેકથી સંકલિત બધે દૃષ્ટિનો જ પ્રભાવ છે
તમે મીટ માંડી તો ઓગળ્યા અને ખેસવી તો ઠરી ગયા

અરે તારા સ્પર્શ-સમુદ્રમાં કશી ખોટ એથી ન આવશે
કોઈ સૂના કિનારે ઊભા રહી અમે આચમન જો ભરી ગયા

જુઓ આ તળેટીની ધૂળમાં હવે આડે પડખે પડ્યા છીએ
હતા કાલ છેલ્લા શિખર ઉપર અને આજ પાછા ફરી ગયા

અહીં શબ્દની બધી બાજુએ ઊગી નીકળે નવું ઘાસ તે
ભલા પંડિતોનું ભલું થજો ભલા થૈ બધું જ ચરી ગયા

– આદિલ મન્સૂરી

 

આદિલની લાલાક્ષણિક છટા….સરળ બાની પણ અર્થગાંભીર્ય પૂરું…..

Comments (2)

પુણ્યસ્મરણ – દલપત પઢિયાર

અમને કોની રે સગાયું આજ સાંભરે
ઊંડે તળિયાં તૂટે ને સમદર ઊમટે…
.                      કોની રે સગાયું આજ સાંભરે

કોઈ પાળ્યું રે બંધાવો ઘાટે ઘોડા દોડાવો.
આઘે લ્હેર્યુંને આંબી કોણ ઊઘડે…
.                      કોની રે સગાયું આજ સાંભરે

આજે ખોંખારા ઊગે રે સૂની શેરીએ,
ચલમ-તણખા ઊડે રે જૂની ધૂણીએ;
અમને દાદા દેખાય પેલી ડેલીએ…
.                      કોની રે સગાયું આજ સાંભરે

માડી વાતું રે વાવે આ ઉજ્જ્ડ ઓટલે,
ખરતાં હાલરડાં ઝૂલે રે અદ્ધર ટોડલે;
ઊંચે મોભને મારગ કોણ ઊતરે…
.                      કોની રે સગાયું આજ સાંભરે

કોઈ કૂવા રે ગોડાવો કાંઠે બાગો રોપાવો,
આછા ઓરડિયા લીંપાવો, ઝીણી ખાજલીયું પડાવો;
આજે પરસાળ્યું ઢાળી સૌને પોંખીએ…
અમને સાચી રે સગાયું પાછી સાંભરે.

– દલપત પઢિયાર

સ્મરણ પાસપૉર્ટ-વિઝા વિના વીત્યા મલકની મુલાકાતે મનફાવે ત્યારે આપણને લઈ જઈ શકે છે. ગઈકાલની યાદ આજના ભારને ઘડીભર હળવો પણ કરી દઈ શકે છે અને આજની હળવાશને શ્વાસ પણ ન લઈ શકાય એટલી ભારઝલ્લી પણ કરી દઈ શકે છે. કથકને આજે અચાનક જૂની સગાઈઓ સાંભરી રહી છે. કાવ્યારંભે આ સગપણ કોનાં તેનો ફોડ પાડ્યા વિના કવિ કેવળ એની પ્રબળતાનો અહેસાસ આપણને જમીનનું તળિયું તૂટે અને ભીતરથી સમંદર ઊમટી આવે એ પ્રતીક વડે કરાવે છે. સામાન્યતઃ જમીનનું તળ તૂટે ત્યારે ઝરણું પ્રગટ થતું હોય છે. અહીં કવિ સમંદરને ઊમટી આવતો બતાવીને સ્મરણ કેટલું બળવત્તર છે એની પ્રતીતિ શબ્દના એક લસરકાથી કરી બતાવે છે. ત્સુનામી જેવું આ સ્મૃતિપૂર આજે બધું જ ડૂબાડી દેશે એવી ભીતિથી પ્રેરિત કથક પાળ બંધાવવા કોઈ આગળ આવે એવું આહ્વાન દે છે. કદાચ તે પાળ બાંધીને આ પૂરને રોકી લેવાય. સમુદ્રની લહેરોને આંબીને કોણ પોતાના મનોપટ પર ઊઘડી રહ્યું છે એ જોવા કવિ ઘાટે ઘોડા દોડાવવા કહે છે.

એ જમાનામાં પોતાની આમન્યા જળવાઈ રહે એ માટે ઘરના વડીલ ડેલીએ પ્રવેશે એ પહેલાં ખોંખારો કરી પોતાના આવણાંના એંધાણ દેતા. જ્યાં કદી દાદાની આણ અને શાન વર્તાતી હતી એ સૂની પડેલી શેરીઓમાં ફરી ખોંખારા ઊગી રહ્યા છે. જૂની ધૂણીએ ફેર ચલમના તણખા ઊડતા દેખાઈ રહ્યા છે. દાદાની હારોહાર કવિને પોતાની માડી પણ યાદ આવે છે. મા વિના ઉજ્જડ થઈ ગયેલા ઓટલા પર ફરી વાત અને વાર્તાઓ વવાતી દેખાય છે. પોતાને ઝૂલાવતા હીંચકા અને હાલરડાં ટોડલે ઝૂલી રહ્યાં છે. સ્વર્ગે સિધારેલ મા મોભના માર્ગેથી અવતરણ કરે છે.

પ્રાણપ્રિય સ્વજનોને પોંખવામાં કમી ન રહી જાય એ માટે કવિ કૂવો નહીં, કૂવા ખોદાવવા કહે છે, બાગ નહીં, બાગો રોપાવવા કહે છે. ઓરડાઓમાં આછું લીંપણ કરાવવા અને એમાં ઝીણી ખાજલીઓ પડાવવા કહે છે. કાવ્યાંતે આવતા આ બહુવચન કાવ્યારંભે આવતા સ્મરણસાગરની વિશાળતા સાથે તાલ પૂરાવે છે. કવિકર્મનો આ વિશેષ નોંધવા જેવો છે. આવી નાની-નાની પ્રયુક્તિઓ જ સારી કવિતા અને ઉત્તમ કવિતા વચ્ચેની ભેદરેખા બની રહે છે. લોહીની સગાઈ તે સાચી સગાઈ. કવિ આજના આ પુણ્યસ્મરણને જીવ ભરીને માણી લેવાના મૂડમાં છે. અતીતના આ ઓરડામાં કવિની જેમ આપણને પણ લાંબો સમય પડી રહેવાનું મન થાય એવું આ ગીત પૂરું થયા બાદ પણ આપણા સ્મરણપટલ પર ગુજતું રહે છે…

Comments (8)

લગ્નિલ કન્યાનું ગીત – જયેન્દ્ર શેખડીવાળા

ઝાંખા સોળ વરસના દીવા, પાછળ મેલ્યાં પાદર કૂવા,
અમને લઈને ચાલ્યા રે ભૂવા પરદેશના.

અમને કાજળકાળી રાતે ઝમ્મર ગુલમહોરુંની શાખે
ડંખ્યાં એરુનાં અંધારાં, મારા રાજ્વી!
ઝામણ ઝેર ચડ્યું રે અંગે પાંગત બોલી પડધા સંગે
અમ્મે સાવ થયાં નોંધારાં, મારા રાજવી!
ઝમરખ અજવાળાં રે પીવાં, પાછળ મેલ્યાં પાદર કૂવા,
અમને લઈને ચાલ્યા રે ભૂવા પરદેશના.

આંખે વાદળ ઝૂક્યાં એવાં, ઝરમર ફટ્ટાણાના જેવાં
મેડી સ્હેજ ધરુજી બોલી, મારા રાજવી!
ચૈતર હોય તો વેઠું તડકો, તમે સૂકી વાડનો ભડકો
સૈયર એમ કહે છે ઓલી, મારા રાજવી!
એવાં ઝળહળ જળને પીવા, પાછળ મેલ્યાં પાદર કૂવા,
અમને લઈને ચાલ્યા રે ભૂવા પરદેશના.

– જયેન્દ્ર શેખડીવાળા

સ્વપ્નિલ વિશેષણ પરથી કવિ ‘લગ્નિલ’ જેવો શબ્દ કોઇન કરીને કાવ્યારંભ કરે છે એ જ સૂચવે છે કે જે રચનાનો આપણને સાક્ષાત્કાર થનાર છે એ જરા હટ કે હશે. સોળ વરસની કન્યાને લગ્ન સંદર્ભે થતી અનુભૂતિનું આ ગીત છે. ‘પાછળ મેલ્યા પાદર કૂવા’ એમ અર્ધવાક્યખંડની મદદ માત્રથી કવિ લગ્ન બાદ ગામ છૂટી જવાનું ચિત્ર આબાદ ઊભું કરી બતાવે છે. ઘર પાછળ રહી ગયું હોવાથી જે ઘરમાં સોળ વરસનું આયખું વીત્યું એ સોળ દીવા પણ હવે ઝાંખા દેખાવા માંડ્યા છે. ચાળીસ વરસ પહેલાં ૧૯૮૨માં પ્રગટ થયેલ સંગ્રહમાં સોળ વરસની છોકરીના લગ્નની વાત છે, એટલે સમજી શકાય છે કે આ એવા સમયના લગ્નની વાત છે જ્યાં લગ્નપૂર્વે કન્યાને વરનું મોઢું જોવાય નહીં મળ્યું હોય. હસ્તમેળાપની ઘડીએ અલપઝલપ મોઢું જોવા માત્રથી કન્યા એવી તો વશીભૂત થઈ ગઈ છે કે પરદેશથી આવેલ પતિને એ જંતરમંતર કરી વશીભૂત કરી લેનાર ભૂવો કહી ઓળખાવે છે. માત્ર બે જ પંક્તિમાં કવિ કેટકેટલું કહી બતાવે છે એ સમજવા જેવું છે. સાચું કવિકૌશલ્ય જ આને કહેવાય ને!

આંગણમાં ગુલમહોર ખીલ્યાં છે, મતલબ લગ્ન ઉનાળાની ઋતુમાં લેવાયા હશે. એની શાખે કાજળકાળી રાતે બંધાયેલ શરીરસંબંધની વાત નાયિકા મુખર થવા છતાંય ગરિમાપૂર્ણ રીતે એરુનાં અંધારાં ડંખ્યાં કહીને કરે છે. નાયિકાને અંગાંગમાં પ્રણયપરિતોષનું ઝેર ચડ્યું છે. ‘ઝામણ’ શબ્દ વાંચતાં જ ર.પા.ના ‘રાણી સોનાંદેનું મરશિયું’ કાવ્યમાં નાયિકા પતિને ‘મારા લોહીમાં રમતા ઝામણ નાગ’ કહીને સંબોધે છે એ યાદ આવે. નાયકના જીવનમાં હવે નાયિકા જ કેન્દ્રસ્થાને રહેનાર હોવાથી પાંગત-પડધા નોંધારા થઈ ગયાની લાગણી અનુભવે છે. અંધારી રાતોમાં જીવતરનાં અજવાળાં પીવા નાયિકાએ પિયર ત્યાગ્યું છે.

ગીતમાં અનિવાર્ય અંત્યાનુપ્રાસોપરાંત કવિએ દરેક કડીમાં આંતર્પ્રાસની ગૂંથણી પણ કરી છે, જે ધ્યાનાર્હ છે. ગીતરચનાની ઇબારતના અભ્યાસ માટે ઉપયોગી થઈ રહે એવી મજાની આ કૃતિ છે.

Comments (16)

રોજ – ચિનુ મોદી

મેડીએ ચડીને તમે બેઠેલાં હોવ
.             તમે ઊભેલાં હોવ
.             તમે થીજેલાં હોવ
તમે કંપેલાં પાણીથી બ્હીધેલાં હોવ
અરે, જંપેલાં પાણીમાં ચીતરેલાં હોવ
.             તોય
મારગ પર વ્હાણ રોજ ચાલ્યાં કરે
.             વ્હાણ ચાલ્યાં કરે
.             રોજ ચાલ્યાં કરે.

રોજ શેરીઓ મૂકીને ગામ પોબારા થાય
રોજ ૫૨પોટા ફૂટ્યાના હોબાળા થાય
રોજ હુક્કા છોડીને નેળ નોધારાં થાય
રોજ તડકામાં પૂર અને ઓવારા થાય
.             તોય
મારગ પર વ્હાણ રોજ ચાલ્યા કરે,
વ્હાણ ચાલ્યાં કરે
.             રોજ ચાલ્યા કરે.

ક્યાંક આંગળીઓ દૂઝણી ને વેળા ખલાસ
ક્યાંક સપનાની માંડણી ને ફેરા ખલાસ
ક્યાંક શણગારી ઢીંગલી ને મેળા ખલાસ
ક્યાંક મ્હોરાં ખલાસ, ક્યાંક ચ્હેરા ખલાસ
.             તોય
મારગ પર વ્હાણ રોજ ચાલ્યાં કરે
.             વ્હાણ ચાલ્યાં કરે
.             રોજ ચાલ્યાં કરે

– ચિનુ મોદી

કાવ્યસ્વરૂપ તરીકે ગીત કવિને કેટલો ‘ફ્રી-હેન્ડ’ આપે છે એનો થોડો ખ્યાલ આ રચના પરથી આવે એમ છે. ભાગ્યે જ જોવા મળે એવું નવ-નવ પંક્તિઓમાં પથરાયેલ મુખડું અને ચાર-ચાર પંક્તિના બંધ સાથે ચાર-ચાર પંક્તિની પૂરકપંક્તિઓ. ચિનુ મોદી ભાષા પાસેથી એનો કાન આમળીને ધાર્યું કામ કઢાવી લેનાર કવિઓમાંના એક છે. કવિતાના નાનાવિધ કાવ્યસ્વરૂપોને એમણે જેટલા તાગ્યા છે, એટલા બહુ ઓછા સ્વાતંત્ર્યોત્તર કવિઓએ તાગી જોયા છે.

દુનિયા કોઈના માટે રોકાઈ નથી, ન રોકાશેનો સૂર ગીતમાંથી જન્મે છે, પણ કવિની વાત-માંડણીની જે રીત છે એની ખરી મજા છે. લય એવો પ્રવાહી થયો છે કે ગણગણ્યા વિના ગીત વાંચી જ ન શકાય. ગીત જેને સંબોધીને લખાયું છે એ ‘તમે’ એટલે માન આપીને બોલાવાય એવી કોઈ સ્ત્રીની વાત છે એ ‘બેઠેલાં’ વિ. શબ્દોના માથે મૂકાયેલ અનુસ્વાર પરથી સમજી શકાય છે. ગુજરાતી ભાષામાં અનુસ્વારની કમાલ ન સમજી શકે એ વ્યક્તિ તો આ કરામતથી વંચિત જ રહી જવાનો. ચિનુ મોદીના દર્શન આપણને ત્રીજી પંક્તિમાં થાય છે, જ્યાં સ્થાપિત norms ને ચાતરીને કવિ કાવ્યનાયિકા માટે ‘થીજેલાં’ ક્રિયાપદ પ્રયોજે છે. નાયિકા મેડીએ ચડી છે એનું મહત્ત્વ એના ચાહનારને મન ભલે ગમે એટલું હોય, દુનિયાને શું!. મેડીએ નાયિકા બેઠેલ હોય કે ઊભેલ હોય, કે કંઈપણ સ્થિતિમાં હોય, રસ્તા પરથી પસાર થનારાઓ એની તમામ ક્રિયાઓથી રોજ બેપરવાહ પસાર થતા આવ્યા છે, પસાર થતા રહે છે, પસાર થતા રહેશે. મેડીને ભૂલી જાવ, નાયિકાને પણ ભૂલી જાવ, દુનિયામાં કોઈ પણ ઘટના બને, નાની કે મોટી, દુનિયાને કોઈ ફરક પડતો નથી એ વાતની માંડણી કવિએ ગીતમાં કેવી મજાની રીતે કરી છે એની જ ખરી મજા છે…

Comments (10)

હજી પણ – જવાહર બક્ષી

અને મારી નજરનો ભ્રમ હજી પણ યાદ આવે છે
પછીનો બુદ્ધિ પર સંયમ હજી પણ યાદ આવે છે

મેં જે પહેલા પ્રણય વખતે હવાને ભેટ આપી’તી
આ સન્નાટામાં એ સરગમ હજી પણ યાદ આવે છે

ત્વચાની ઝણઝણાટી પાતળો પર્દો બની થીજે
જો તારા સ્પર્શનું રેશમ હજી પણ યાદ આવે છે

અજબની તાલાવેલી ને કોઈની ચુપકીદી પાછી
ભલે વીતી ગઈ મોસમ હજી પણ યાદ આવે છે

મને સમજણ પડી ન્હોતી ‘ફના’ એ વાત જુદી છે
કહેલું તેં કશું મોઘમ, હજી પણ યાદ આવે છે

– જવાહર બક્ષી

Comments (1)

લાગણી…… – મનોજ ખંડેરિયા

અર્થોની ગૂંચવણ મહીં ગૂંચવાય લાગણી;
શબ્દોને ઘેર આવતાં કરમાય લાગણી.

રસ્તાની જેમ કૈંક વળાંકે વળીવળી,
ફાંટો પડે છે એ સ્થળે ફંટાય લાગણી.

ભીંતે ખૂણામાં જાળું કર્યું છે કોળિયે,
આખાય ઘરની એ મહીં ગૂંચવાય લાગણી.

વાસી દીધી છે કોઈએ ડેલીની ભોગળો,
માથું પછાડી દ્વારે મરી જાય લાગણી.

સમળીની જેમ ચક્કરો કાપ્યાં કરે નભે,
તપતા બપોરે કેટલી અકળાય લાગણી.

ખંડેરના અવાવરુ એકાંતમાં હજી,
પ્રેતોની જેમ ઘૂમતી દેખાય લાગણી.

કાંઠાની જેમ હું તો પડ્યો રહું ઉદાસ થૈ,
સાગરના જળમાં દૂર જુઓ ન્હાય લાગણી.

– મનોજ ખંડેરિયા

Comments