આ ચહેરાઓને આપોઆપ છળતા જોઈને આજે,
જુઓ, કેવી અદાથી આયના નિર્ભ્રાન્ત થઈ ચાલ્યા !
– મુકુલ ચોક્સી

કૃષ્ણ – ૧૯૯૨ – કૃષ્ણ દવે

ગોકુળના કૃષ્ણને તો વાંસળીના સૂર, વળી યમુનાનાં પૂર
અને ઉપરથી ગોપીઓ ને રાધા
અહીં મારે તો જીવવાના વાંધા ..

આંખોની પથરાળી ધરતીમાં વૃન્દાવન, ગોવર્ધન, ગોકુળ ક્યાં વાવીએ?
ભાંભરડા દેતી આ ભૂખી ઇચ્છાઓનાં ધણનાં ધણ ક્યાં જઈ ચરાવીએ?
આયખે વલોવાતાં એક એક દ્હાડાને માગી માગીને મેં ખાધા
અહીં મારે તો જીવવાના વાંધા…

પૂરેલાં ચીર એમાં માર્યો શું મીર ?એનું કારણ એ રાજાની રાણી
નજરે ના કેમ ચડી આછેરા જીવતરની માંડેલી આમ ખેંચતાણી
ખેંચાતાં ખેંચાતાં ટાંકા તૂટે ને વળી દોરા ખૂટે
ને તોય કરવાના રોજ રોજ સાંધા?
અહીં મારે તો જીવવાના વાંધા…

ગોકુળનો શ્વાસ લઈ, મથુરાની હાશ લઈ દરિયામાં જાત તેં બચાવી
મેં તો આ પ્હાનીના હણહણતા અશ્વોને ખીલ્લાની વારતા પચાવી
ભાગી ભાગીને હુંય ભાગું કદાચ તોય રસ્તાને પગલાંની બાધા
અહીં મારે તો જીવવાના વાંધા…

– કૃષ્ણ દવે

 

મારા ગમતા કવિ ! કવિત્વના ભાર વગર કવિતા ગાતા કવિ ! તેઓની વાત સીધી અને સ્પષ્ટ અનુભૂતિની નીપજ હોય…. ફરિયાદ હોય તો તે દિલમાંથી બહાર આવી હોય…..

 

યાદ આવે – ” મારાં રામ તમે સીતાજીની તોલે ન આવો “

2 Comments »

  1. Dhaval said,

    August 31, 2022 @ 10:04 PM

    Nice !!

  2. pragnajuvyas said,

    September 1, 2022 @ 12:22 AM

    ભાગી ભાગીને હુંય ભાગું કદાચ તોય રસ્તાને પગલાંની બાધા
    અહીં મારે તો જીવવાના વાંધા…
    વાહ્
    કવિ શ્રી કૃષ્ણ દવે ના ગીતો. કવિતાઓ મને ગમે છે.
    વારંવાર સાંભળવા તેમજ વાંચવા ખૂબ ગમે છે.
    ડૉ તીર્થેશજીનો સ રસ આસ્વાદ ધન્યવાદ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment