મહોબત છેડ એવા સૂર કે તડપી ઉઠે બેઉ
નયન દીપકને ઝંખે છે ને હૈયું મલ્હાર માગે છે
– અમર પાલનપુરી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for May, 2012

દુ:ખની ધરતીના અમે છોડવા – ભનુભાઈ વ્યાસ ‘સ્વપ્નસ્થ’

દુ:ખની ધરતીના અમે છોડવા,
સુખ કાજ તાકીએ અંકાશ;
પવન લહરે લાગીએ ડોલવા;
સુખના કેવા આભાસ ?     દુ:ખની 0

લીલાં લીલાં અમારાં પાંદડાં,
જોઈને મરકીએ મન માંહ્ય,
ઝૂમીએ ધરીને માથે ફૂલડાં,
સપનાં કે સુરભિ સદાય !   દુ:ખની 0

ધરતી છોડીને કોણ કદી ક્યાં ગયાં
ઉપર ઊંચે આકાશ ?
સુખ તે સદાનાં કોને સાંપડ્યા ?
આ તે કેવા વિશ્વાસ ?         દુ:ખની 0

નિતની વિપત કરી વેગળી
માનવી શી વિધ સરજ્યે જાય ?
જાગે જગાડે નવી જિન્દગી
સુખની ભારે નવાઈ !        દુ:ખની 0

– ભનુભાઈ વ્યાસ ‘સ્વપ્નસ્થ’

દુ:ખની ધરતીના અમે છોડવા એટલે કે આપણે, મનુષ્યો.  મનુષ્યનાં ઘડતર અને વિકાસમાં દુ:ખનું યોગદાન મહત્તમ હોય છે.  દુ:ખની ઘટમાળમાંથી પણ મનુષ્ય  સુખ મેળવવાનાં રસ્તા આખરે શોધી જ લે છે.  મનુષ્યની લીલપરૂપી તાજગી, ફુલડારૂપી આનંદ અને સુંગધિત સપનાંઓનો મૂલાધાર છે, દુ:ખની ધરતી.   દુ:ખ મનુષ્યને સુખની આશા અને એના આવવાની શ્રદ્ધા આપે છે.  સુખનો સાચો આધાર દુ:ખ જ છે…

Comments (2)

રાત્રીની આંખોમાં – સુધીર દેસાઈ

મડદાંઓ તરી રહે
રાત્રીની કૂવા જેવી આંખોમાં.

વહી જતો પ્રવાહ સ્થિર થઈ જાય
એમ સામે સ્થિર થઈ જાય રાત્રી.

મૂળાક્ષરો જેવી આ મૃત આંખોમાં
છુપાયેલ અનેક દુનિયાઓ
ઉકેલી નથી શકતો હું એમને.

ક્યારેક પટપટાવી કોઈ આંખ
ઊભો કરે ભ્રમ.
થંભી જાય મારો શ્વાસ.
ને દોડી જાઉં અંદર.

અરીસામાં જોઉં
કૂવા જેવી મારી આંખો
ને એમાં તરી રહેલા મડદાંઓ
હું થઈ જાઉં
સ્થિર.

– સુધીર દેસાઈ

રાત્રી તો વાંક નથી. એ તો પોતાની આંખોનું જ પ્રતિબિંબ છે.

Comments (3)

છપ્પા : અક્ષર અંગ – ધીરુ પરીખ

એક હસ્તને એવું ચેન, કાગળ દેખી પકડે પેન;
પેન મહીંથી દદડે શાહી, એને અક્ષર ગણતો ચાહી;
ટીપાં એમ સૌ ટોળે વળે, પછી હસ્તને આખો ગળે.

અક્ષરનો ત્યાં ઢગલો થયો, હસ્ત પછી માતેલો ભયો;
એમ વધુ એ લખતો જાય, લખતો લખતો લેખક થાય;
લેખક થાતાં લબકે પેન, અક્ષરટીપે ચડતું ઘેન.

– ધીરુ પરીખ

આધુનિક છપ્પાનું નિશાન છે લેભાગુ લેખકો.

Comments (15)

સખી – મુકેશ જોષી

હે સખી ! તારા વિનાની જિંદગી હું શું કરું ?
ધૂળમાં હું શું ઉમેરીને ફરી કંકુ કરું.

આસમાની ઓસરીમાં વાદળો રહેતાં નથી,
માછલી વિષે પૂછ્યું તો જળ કશું કહેતાં નથી.
સૂર્યની સાથે સંબંધોમાં બહુ ઝાંખપ પડી,
ને, હવા ભૂલી ગઈ ખુશબૂ તણી બારાખડી.
સૂર્યની સામે જ ઝાકળ શી રીતે ભેગું કરું ?

જોઈ લે ઓઢું ઉદાસીનો દુપટ્ટો આજ પણ,
આંખના ઘરથી અલગ રહેવા ગઈ છે સાંજ પણ.
સાચવેલા તારલા ટપટપ ખરે છે એટલા,
હું અને આકાશ બંને સાવ મૂંગાં એકલાં,
એક ખોબા આભને હું કઈ તરફ વ્હેતું કરું .

– મુકેશ જોષી

Comments (11)

કોનો વાંક ? – મકરંદ દવે

કોનો ગણવો વાંક ?
પોતપોતાનો મારગ જ્યારે
લેતો આજ વળાંક.

આજ આ છેડે નીરખી રહીશ
મૂરતિ તવ મધુર,
કોઈ ઝીણેરા તારલા જેવી
સરતી દૂર-સુદૂર;
શૂન્યમાં સૌ સરતાં ભલે
ભણતો જઈશ આંક-
કોનો ગણવો વાંક ?

વળતી નજર વીણતી જશે
કોઈ વિલાયાં ફૂલ,
ખીલતાંને હું ખોજવા કેરી
કરીશ નહીં ભૂલ;
પૂરતી મારે પાંખડી સૂકી
રહી સહી જે રાંક-
કોનો ગણવો વાંક ?

અચ્છા, તારે મારગ હસો
નિત વસંતની લીલા,
પગ ચીરીને ચાહશે મને
પેલા ખડક ખીલા;
મુખ બનીને મ્હોરશે ત્યારે
કાળજે એવું કાંક !-
કોનો ગણવો વાંક ?

– મકરંદ દવે

……અંતે તો એકલા જ ચાલવાનું છે……..

Comments (5)

ગઝલ – મોના નાયક ‘ઊર્મિ’

પ્રથમ ખૂલ્લી આંખે એ સપના ગણે છે,
પછી સ્વપ્નમાં આવી ચૂંટી ખણે છે.

આ માણસ અજાયબ ને અવળુ ભણે છે,
ફસલને નહીં, વાવણીને લણે છે.

નથી હોશ એને કે ગૂંગળાઈ જાશે…
એ બારી વિનાની ઈમારત ચણે છે.

વચન આપીને પણ ક્યાં આવે છે એ, સૈં !
છતાંયે સતત પગરવો રણઝણે છે.

વિના કારણે પહેલા વિખરાઈ જાશે,
પછી એ સમેટીને ખુદને વણે છે.

ગજબનું નગર છે, ગજબના છે માણસ,
જે અંતરનાં સગપણને વળગણ ગણે છે!

લખે છે, ભૂંસે છે, ફરીથી લખે છે…
આ રીતે એ મનનાં તમસને હણે છે.

ઘડીભરમાં સ્થાપે, ઘડીમાં ઊથાપે,
સતત મારી ઊર્મિઓ સમરાંગણે છે.

– મોના નાયક ‘ઊર્મિ’

લયસ્તરોના સહસંપાદિકા મોના નાયક તથા એના જીવનસાથી ચેતનને સફળ દામ્પત્યજીવનના સોળ પગલાં પૂર્ણ કરવા બદલ લયસ્તરો તરફથી હાર્દિક અભિનંદન !

લગભગ બધા જ શેર સરસ થયા છે પણ મને મનનું તમસ હણવાની વાત અને પગરવના રણઝણવાની વાત વધુ ગમી ગઈ…

Comments (34)

હતી – લક્ષ્મી ડોબરિયા

એક ઝીણી ક્ષણ મને વાગી હતી !
મેં મુલાયમ વેદના માંગી હતી !

હાથતાળી આપશે નો’તી ખબર
મેં સમયની ચાલને તાગી હતી !

આંગળી મેં શબ્દની પકડી અને
રેશમી સંવેદના જાગી હતી !

મેં વિષાદી સાંજને ચાહી જરા
તો ઉદાસી રીસમાં ભાગી હતી !

લાલસા તેં હૂંફની રાખી અને
મેં અપેક્ષા સ્નેહની ત્યાગી હતી !

એટલે સપનાં ફરી આવ્યા નહીં
પાછલી આ રાત વૈરાગી હતી !

લાગણી થૈ ગઈ હરણ, ને એ પછી
પ્યાસ મૃગજળની મને લાગી હતી !

– લક્ષ્મી ડોબરિયા

એક મજાની ગઝલ, મારી જરાય નોંક-ઝોંક વિના !

Comments (8)

નથી જો લાગણી તો શું થયું? – હિમાંશુ ભટ્ટ

નથી જો લાગણી તો શું થયું ? વ્યવહાર રહેવા દો.
હૃદયના ખાલીપાનો કોક તો ઉપચાર રહેવા દો !

સદા વર્તુળમાં બેસીને તમે શોધો છો ખૂણાઓ,
કશું ખોયા કરો છો આપ વારંવાર, રહેવા દો.

બધાની શક્યતાઓમાં છૂપેલી અલ્પતાઓ છે,
હંમેશા માન્યતાઓથી તમે તકરાર રહેવા દો.

તમન્નાઓ જુઓ દેખાય છે ઝાલર બની આંખે,
અને સંભળાય છે બસ એક-બે ધબકાર, રહેવા દો.

નિખાલસ સ્મિત હોઠો પર ને આંખે હેતનું કાજળ,
તમારા એજ છે કામણ સખી, શણગાર રહેવા દો.

સફળતા જો ગગન ચૂમે ને રહેવું હો આ ધરતી પર,
જીગર પર કોકનો હરદમ તમે ઉપકાર રહેવા દો.

હિમાંશુ ભટ્ટ

હિમાંશુભાઈની કેટલીક ગમતી ગઝલોમાંની મારી એક પ્રિય ગઝલ.  બધા શેર ખૂબ જ ગહન અને સુંદર થયા છે… એક તરફ સખીનાં શણગારવાળા શેર પર આપોઆપ આફિન થઈ જવાય છે તો બીજી તરફ સફળતાથી છકી ન જવાય એ માટેની કવિની સલાહ પણ પરાણે ગમી જાય એવી છે.   લગભગ ચારેક વર્ષ પહેલા આ ગઝલ હિમાંશુભાઈએ એમના કાવ્યપઠન સાથે ગાગરમાં સાગરની બીજી વર્ષગાંઠની ઉજવણી વખતે મોકલાવી હતી… એ જરૂરથી સાંભળશો. (હવે બીજી નવી નક્કોર ગઝલો મોકલવાનો સમય થઈ ગયો છે, હિમાંશુભાઈ! 🙂 )  કવિનાં સ્વમુખે એમની જ ગઝલનું કાવ્યપઠન સાંભળવું, એ પણ એક ખૂબ જ મજાનો લ્હાવો છે.  આની સાથે મને એમની એક ગઝલનો અમર થવાને સર્જાયેલો મારો એક ખૂબ જ પ્રિય શેર યાદ આવે છે – ન હો જો કશું તો, અભાવો નડે છે, મળે જો બધું તો, સ્વભાવો નડે છે.

Comments (10)

અડધો ઊંઘે… – મનહર મોદી

અડધો ઊંઘે અડધો જાગે;
એ માણસ મારામાં લાગે.

એક જ વિચારો કાયમ આવે,
એકાદોયે કાંટો વાગે.

આ પડછાયો તે પડછાયો,
અહીંથી ત્યાંથી ક્યાં ક્યાં ભાગે!

બાર બગાસાં મારી મૂડી,
ગણું નહીં તો કેવું લાગે?

આ ઘર તે ઘર ઘરમાંયે ઘર,
માણસ માણસ માણસ લાગે.

એક મીંડું અંદર બેઠું છે,
એ આખી દુનિયાને તાગે.

હું ક્યાં? હું ક્યાં? શબ્દ પૂછે છે,
અર્થો કહે છે: આગે આગે.

– મનહર મોદી

પોતાની જાતના તદ્દન બરછટ વર્ણનથી ગઝલની શરૂઆત થાય છે. જાગૃતિ અને નિદ્રાના મિશ્રણ તરીકે પોતાની ઓળખ કરાવીને પછી કવિ પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે: એકાદ કાંટો વાગે તો મન હવે પુરું જાગી ઊઠે. પડછાયો તો બધે પડવાનો જ છે. એનાથી ભાગવાની કોઈ જરૂર (કે ફાયદો) નથી. બાર બગાસાં… જગતને સમજતા આવતા જતા આવતા કંટાળાની વાત છે કે પછી ‘બાર બગાસાં’ જેવો મનમોજી પ્રયોગ કરવાની લાલચ કવિ જતી નથી કરી શકતા? 🙂  એક તરફ ઘર ને માણસથી ઘેરાવાની વાત છે તો બીજા શેરમાં શૂન્યની શક્તિની વાત છે. અર્થ કવિને એમના શબ્દને ઊંચાને ઊંચા મુકામ સુધી લઈ જવા ઉશ્કેરે છે એ કલ્પના જ એકદમ મઝાની છે.

Comments (3)

પ્રાર્થના – સર્વેશ્વરદયાલ સક્સેના

નહીં નહીં પ્રભુ તારી પાસે
શક્તિ નહીં માંગું.

પ્રાપ્ત કરીશ એને મરીને વિખરાઈને
આજે નહીં તો કાલે આવીશ મુક્ત થઈને

કચડાઈ પણ જાઉં તો શરમ શાની
પડતા પહાડને રોકીશ
શરણે નહીં આવું
નહીં નહીં પ્રભુ તારી પાસે
શક્તિ નહીં માગું.

ક્યારે માગી છે સુગંધ તારી પાસે સુગંધહીન ફૂલે
ક્યારે માગી એ કોમળતા તીક્ષ્ણ કાંટાએ
તેં જે આપ્યું, આપ્યું,
હવે જે છે, મારું છે.
સૂઈ જા તું, વ્યથાની રાત હવે હું જ જાગીશ
નહીં નહીં પ્રભુ તારી પાસે
શક્તિ નહીં માંગું.

– સર્વેશ્વરદયાલ સક્સેના
(અનુ. સુશીલા દલાલ)

પ્રાર્થના એ પ્રભુ પાસે મદદ માંગવાની અરજી બની જતી હોય છે. એ પોતાની જાતને -અને એ રીતે- ઈશ્વરને માન આપવાની રસમ બનવી જોઈએ.

Comments (9)

વેદનાનાં વારિ – દિલીપ પરીખ

સ્નેહના સાગરમાં હું એથી જ ડામાડોળ છું,
તેં દીધેલી વેદનાનાં વારિથી તરબોળ છું !

આભને ધરતી જેના વિસ્તારને ઓછાં પડે,
હું પ્રચંડ એવા પ્રણયના વેગનો વંટોળ છું !

આમ મારો ચહેરો ફિક્કો ફિક્કો દેખાતો ભલે,
લાગણીની ક્ષણ મહીં નીરખો તો રાતોચોળ છું !

પ્રેમમાં તું તો સભર છે ઊર્મિની ઉષ્મા વડે,
શું કરું કે લાગણીમાં હું જ ટાઢોબોળ છું !

– દિલીપ પરીખ

સૌ ભાવકોને આ ગઝલના ગુણ-દોષની મુક્ત મને ચર્ચા કરવા આમંત્રણ છે.

છેલ્લા શેરનું આત્મનિરીક્ષણ ધ્યાન ખેંચે તેવું છે – પ્રેમ અનુભવવા માટેની એક અનિવાર્ય પૂર્વશરતની વાત છે. પહેલો શેર મને બહુ ન ગમ્યો-શબ્દોની રમત લાગી.

Comments (8)

એક ઘા – કલાપી

તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો,
છૂટ્યો તે ને અરર ! પડી ફાળ હૈયા મહીં તો
રે રે ! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.

મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ થી આ,
પાણી છાંટ્યું દિલ ધડકતે ત્હોય ઊઠી શક્યું ના;
ક્યાંથી ઊઠે ? જખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો !
ક્યાંથી ઊઠે ? હૃદય કુમળું છેક તેનું અહોહો !

આહા ! કિન્તુ કળ ઊતરી ને આંખ તો ઊઘડી એ,
મૃત્યુ થાશે ? જીવ ઊગરશે ? કોણ જાણી શકે એ ?
જીવ્યું, આહા ! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,
આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરી ને.

રે રે ! કિન્તુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,
આવે ત્હોયે ડરી ડરી અને ઈચ્છતું ઊડવાને;
રે રે ! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે,
લાગ્યા ઘાને વિસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે.

– કલાપી

રાજકવિએ તેઓના સમગ્ર જીવનમાં માત્ર આ ગીતની અંતિમ બે પંક્તિઓ જ લખી હોતે તોપણ હું તેઓનો આજીવન ઋણી રહેતે…. રહીમનો દોહો છે –

રહિમન ધાગા પ્રેમ કા , મત તોડ઼ો ચટકાય ।
ટૂટે સે ફિર ન જુડ઼ે, જુડે઼ ગાંઠ પડ઼ જાએ।।

Comments (7)

આપના હાથમાંથી – ભરત ભટ્ટ ‘તરલ’

આપના હાથમાંથી વછૂટી ગયો છું,
હું અરીસો નથી તોય ફૂટી ગયો છું.

મેં ઉલેચ્યો મને રોજ મારી ભીતરથી,
ને હું મારી જ અંદરથી ખૂટી ગયો છું.

હું અડાબીડ છું, વાંસવનમાં ઉઝરડો,
ક્યાંક બટકી ગયો, ક્યાંક તૂટી ગયો છું.

મેં મને આંતર્યો છે સખત ભીડ વચ્ચે,
ફક્ત મારાપણું સાવ લૂંટી ગયો છું.

જીવ ચાલ્યો ગયો છે મને પ્રશ્ન મૂકી,
કઈ જનમટીપમાંથી હું છૂટી ગયો છું.

– ભરત ભટ્ટ ‘તરલ’

Comments (6)

વરસાદ આવ્યો – કિસન સોસા

હું સમંદરમાં હતો ને ઝૂમતો વરસાદ આવ્યો,
પાણીના હોઠોએ પાણી ચૂમતો વરસાદ આવ્યો.

વાછટે ખૂણે ખૂણે શોધી વળ્યો અમને ધરા પર,
ને પછી દેમાર દરિયે ઢૂંઢતો વરસાદ આવ્યો.

છાતીથી ઊઠી વરાળો, આંખમાં ગોરંભ છાયો,
ડમરીની માફક ભીતરથી ઘૂમતો વરસાદ આવ્યો.

ઉમ્રની વેરાન દિશામાં ચઢી આવી ઘટાઓ,
સેંકડો ભમરાને ટોળે ગુંજતો વરસાદ આવ્યો.

આંખને ઓળખ રહી વરસાદની જન્માંતરોથી,
જ્યાં ગયો, મારું પગેરું સૂંઘતો વરસાદ આવ્યો.

– કિસન સોસા

પાણી પર વરસાદ વરસે એ કલ્પનને પાણીના હોઠોએ પાણી ચૂમતો વરસાદ આવ્યો તરીકે કવિ મૂર્ત કરે ત્યારે શબ્દની શક્તિ આગળ અને કવિની કલ્પના સામે શિશ નમાવવાનું મન થઈ જાય… બધા જ શેર મજાના થયા છે પણ છાતીમાંથી ઊઠતી વેદનાની વરાળ, આંખમાં ઘેરાતા વ્યથાના વાદળ અને આંસુના ઊભરી આવતા ઘોડાપૂરવાળો શેર કલ્પન નવું ન હોવા છતાં કવિની અભૂતપૂર્વ માવજતના કારણે ઠેઠ ભીતર સુધી સ્પર્શી જાય છે…

Comments (4)

આ મનપાંચમના મેળામાં – રમેશ પારેખ

આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે,
કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.

અહીં પયગંબરની જીભ જુઓ, વેચાય છે બબ્બે પૈસામાં,
ને લોકો બબ્બે પૈસાની ઔકાત લઈને આવ્યા છે.

કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા,
કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે.

કોઈ ઝરમર ઝરમર છાંયડીઓ, કોઈ ઉભડક ઉભડક લાગણીઓ,
કોઈ ફાળ, તો કોઈ તંબુની નિરાંત લઈને આવ્યા છે.

કોઈ લા.ઠા., ચિનુ, આદિલજી બુલેટિન જેવું બોલે છે:
અહીંયા સૌ માણસો હોવાનો આઘાત લઈને આવ્યા છે.

કોઈ ચશ્માં જેવી આંખોથી વાંચે છે છાપાં વાચાનાં,
ને કોઈ અભણ હોઠો જેવી વિસાત લઈને આવ્યા છે.

કોઈ લાવ્યા ખિસ્સું અજવાળું, કોઈ લાવ્યા મૂઠી પતંગિયાં,
કોઈ લીલીસૂકી આંખોની મિરાત લઈને આવ્યા છે.

કોઈ ધસમસતા ખાલી ચહેરે, કોઈ ભરચક શ્વાસે ઊમટતા,
કોઈ અધકચરા, કોઈ અડોસરા ઝઝબાત લઈને આવ્યા છે.

આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવુ લાવ્યો તું ય, રમેશ,
સૌના ખભે સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યા છે.

– રમેશ પારેખ

આજે લયનાં રાજવી કવિ શ્રી રમેશ પારેખની પુણ્યતિથિએ લયસ્તરો તરફથી એમની જ એક  ખૂબ જ લોકપ્રિય ગઝલ દ્વારા શ્રદ્ધાંજલિ…

સંગીત : ઉદય મઝુમદાર
સ્વર : ઉદય મઝુમદાર અને રેખા ત્રિવેદી
આલ્બમ : હસ્તાક્ષર

[audio:http://urmisaagar.com/saagar/audio/aa-manpaancham-na-Ramesh-Parekh.mp3]

આજે ર.પા.ના ગીતની પોસ્ટ મૂકતી વખતે ચકાસ્યું તો ખ્યાલ આવ્યો કે ર.પા. બ્રાંડની આ ગઝલ લયસ્તરોનાં ખજાનામાં હજી સુધી ઉમેરાઈ જ નહોતી…  ત્રણ વર્ષ પહેલા ટહુકો.કૉમ પર  આ ગઝલની પોસ્ટ પર વિવેકે આનો આસ્વાદ કોમેંટમાં એક વાચકનાં પ્રત્યુતરરૂપે કરાવેલો… આજે કોમેંટમાં વાચકોની ચર્ચા અને વિવેકનો એ આસ્વાદ વાંચવાની ફરી મજા આવી અને એને અહીં મૂકવાની લાલચ હું રોકી ના શકી.

વિવેક દ્વારા આસ્વાદ:

મેળો એટલે માનવસ્વભાવનો ‘મેગ્નિફાઈંગ વ્યુ’. મનુષ્ય જીવનના તમામ ભાતીગળ રંગો એક જ સ્થળે જ્યાં જોવા મળે એ મેળો. ર.પા. જ્યારે મેળા પર ગઝલ લખે ત્યારે સ્વાભાવિકરીતે જ એમાં મનુષ્યજીવનના તમામ નાનાવિધ રંગો પણ ઉપસવાના જ. અને આ તો પાછો ‘મનપાંચમ’નો મેળો. (નવા શબ્દો ‘કોઈન’ કરવા એ પણ શ્રેષ્ઠતમ કવિકર્મ જ સ્તો!)… આ ગઝલમાં ર.પા.એ મેળાની પૃષ્ઠ્ભૂમિ પર મનુષ્યજીવનના પચરંગીપણાને શબ્દોમાં આબાદ ઝીલ્યું છે. ( એ છે કવિની સ-ભાનતા!)

નકારાત્મક અને સકારાત્મક બંને રંગો આપણા જીવનમાં વારાફરતી ઉપસતા જ રહે છે. પણ કળામાં હંમેશા કાળો રંગ વધુ સ્થાન પામે છે. આપણે પણ સુખ ક્ષણિક અને દુઃખ ચિરંજીવી હોવાનું શું નથી અનુભવતા?

કોઈ સપનું લઈને આવ્યા છે તો કોઈ રાત લઈને… સપનું આમ તો રાતનો જ એક ભાગ નથી? પણ કવિ પોતાની રીતે ખૂબ સ્પષ્ટ છે. સપનું એટલે રગોનો મેળાવડો, આશા અને જિજિવિષા… જ્યારે રાતનો રંગ તો અંધારો, કાળો હોય છે…

બીજા શેરમાં કવિ અદભુત વાત લઈને આવે છે, એવી વાસ્તવિક્તા જે પચાવવી ઘણાને અઘરી થઈ પડે. ગૌતમ, મહંમદ, ગાંધી, ઈસુ, મહાવીર- કંઈ કેટલાય પયગંબરો આવ્યા અને ગયા. એમના મહાન-જીવનમૂલ્યોને સાચી રીતે સમજવાને બદલે એમના આદર્શોને આપણે આપણા વેપારનું સાધન બનાવી દીધું. દીવાલ પર કે શો-કેસમાં ચિત્રો, મૂર્તિઓ, પ્રાણીના માથાંઓ જેવા શૉ-પીસની લગોલગ જ ભગવાનની જાત-જાતની મૂર્તિઓ, ચિત્રો… ઈશ્વર આપણા માટે ભજવાનું સાધન ઓછું અને દેખાડવાનું વધારે છે. સત્ય આપણા માટે પ્રદર્શનનું વધારે અને અમલનું નહિવત્ મૂલ્ય ધરાવે છે… પયગંબરોના ઉપદેશને વેચી ખાનાર લોકોની ઔકાત કદાચ બે પૈસા આંકી એ પણ શું વધારે નથી?

ફુગ્ગો અને દોરો…. કવિ મેળામાં આગળ વધે છે પણ આ કયા ફુગ્ગા અને દોરાની વાત છે? આ આપણા આયખાની વાત છે કે આપણા તકલાદી વ્યક્તિત્વની? જીવનમાં માણસ કેટકેટલીવાર પોતે તૂટે છે અને અન્યોને તૂતતાં જુએ છે? ક્યારેક આ ફૂટવું ફુગ્ગા જેવું ધમાકાસભર હોય છે તો ક્યારેક દોરા જેવું સાવ શાંત… અને મેળાની ભીડની વચ્ચે પણ એકલા હોય એવા માણસો શું અહીં ઓછા છે? મારી દૃષ્ટિએ આ જીવનની બહુવિધતાનું સકારાત્મક ચિત્રણ છે…

આમ તો દરેક શેર આગળ વધારી શકાય… પણ મારે જે કહેવું છે તે એ કે એક જ કવિતામાં કોઈને નકારાત્મક રંગ વધુ ભાસે તો કોઈને સકારાત્મક પણ લાગી શકે… ગ્લાસ કોઈને અડધો ખાલી લાગે તો કોઈને અડધો ભરેલો… કવિતામાં મેળા જેવી જ અલગ-અલગ અર્થચ્છાયાઓ ઉપસે એજ તો કવિની કુશળતા છે ને !

Comments (12)

નીકળીએ – રમેશ પારેખ

ચક્રની જેમ ચાલી ચાલી ચાલી નીકળીએ,
ભર્યા ઘરમાંથે અમે ખાલી ખાલી નીકળીએ.

એમ તો કોઈથી મુઠ્ઠીમાં બંધ નહીં થઈએ
પકડવા જાવ તો પાડેલી તાળી નીકળીએ

દ્વાર ખખડાવીએ છીએ, તો દ્વાર ખોલી જુઓ
અમે કદાચ તમારી ખુશાલી નીકળીએ.

આ ભીડમાંથી નીકળવું સહેલું ક્યાં છે, રમેશ
અમે મરણનો મૃદુ હાથ ઝાલી નીકળીએ.

– રમેશ પારેખ

મુઠ્ઠી અને તાલી. બે શબ્દોએ મને વિચારતો કરી દીધો. કેટલાક માણસો તાલી જેવા હોય છે અને કેટલાક મુઠ્ઠી જેવા. એક પકડ્યા પકડાય નહીં,બીજાને ખોલતાય ખુલવાનું નસીબ થાય નહીં. કદાચ એવા, મુઠ્ઠી જેવા, માણસો માટે જ કવિએ દરવાજો ખોલી જોવાની વાત લખી છે.

Comments (6)

ચાંદની – સ્કિપવિથ કનેલ

ઝૂરીઝૂરીને થાક્યો છું,
બેહોશ છું પ્રેમમાં;
મારા માથા પર ચાંદની
પડી છે
તલવારની જેમ.

– સ્કિપવિથ કનેલ
(અનુ.સુરેશ દલાલ)

અમેરિકન કવિતામાં ‘ઈમેજીસ્મ’ના એક પુરસ્કર્તા કવિની નાનકડી કાવ્ય-છબી. સાદી અને સીધી રજૂઆત, અને ધારદાર સચોટ વર્ણન ‘ઈમેજીસ્મ’ના લક્ષણો છે.

Comments (6)

-મળશે ત્યારે – જગદીશ જોષી

તમને ટપાલમાં કાગળ નહીં,
ફૂલો મોકલવાનું મન થાય છે.
અને….જયારે તમને ફૂલો મળશે
ત્યારે એ કરમાઈ ગયાં હશે…..
અત્યારે
તમારા વિનાની
મારી સાંજની જેમ.

– જગદીશ જોષી

Comments (8)

અંધકાર – સુરેશ જોષી

આજે હું તારા અંધકાર સાથે બોલીશ.
તારા હોઠની કૂણી કૂંપળ વચ્ચેનો આછો કૂણો અંધકાર.
તારા કેશકલાપનો કુટિલ સંદિગ્ધ અંધકાર.
તારા ચિબુક પરના તલમાં અંધકારનું પૂર્ણવિરામ.
તારી શિરાઓના અરણ્યમાં લપાયેલા અંધકારને
હું કામોન્મત્ત શર્દૂલની ગર્જનાથી પડકારીશ;
તારા હૃદયના અવાવરુ કૃપણ ઊંડાણમાં વસતા જરઠ અંધકારને
હું ઘુવડની આંખમાં મુક્ત કરી દઈશ;
તારી આંખમાં થીજી ગયેલા અંધકારને
હું મારા મૌનના ચકમક જોડે ઘસીને સળગાવી દઈશ;
વ્રુક્ષ ની શાખામાં ઓતપ્રોત અંધકારનો અન્વય
તારાં ચરણોને શીખવીશ.
આજે હું અંધકાર થઈને તને ભેદીશ.

– સુરેશ જોષી

અહીં ગુહ્ય સાથે લડાઈની વાત છે. સામે પક્ષે માશૂકા પણ હોઈ શકે,પોતાની જાત પણ હોઈ શકે. અંધકાર એટલે અજાણ્યો પ્રદેશ… જ્ઞાનનો અભાવ આજ સુધી ભય પ્રેરતો હતો. અંધકારનો ડર લાગતો હતો. હવે આ ભયને અતિક્રમવા સિવાય કોઈ ઉપાય નથી. તે હું કઈ રીતે કરીશ ? – તેનું વર્ણન શી અદભૂત છટાથી થયું છે અહીં !
‘આજે હું અંધકાર થઈને તને ભેદીશ……’

Comments (2)

જીવ હું – જગદીશ વ્યાસ

ઝળહળ થતા ગગન તળે ઝાકળનો જીવ હું,
ચળકી લઉં અનંતે તેજે પળનો જીવ હું.

ખુલ્લાપણું છે લોહીમાં મારા સમુદ્રનું,
તોડી પહાડ બ્હાર પડું જળનો જીવ હું.

મારાં ખરી પડેલ પીળાં પાન શું ગણું ?
ફૂટી રહેલી હર પળે કૂંપળનો જીવ હું.

થોડાંક બીજ હાથમાં છે કલ્પવૃક્ષનાં,
બેઠો છું એના છાંયડે અટકળનો જીવ હું.

આ જળ પ્રશાંતનું હશે મારું સગું કશુંક,
ખેંચાઈ આવ્યો છું જે ગંગાજળનો જીવ હું !

જગદીશ નામે ઓળખાયું ખોળિયું ફકત,
બાકી હતો ક્યાં કાળ અને સ્થળનો જીવ હું ?

– જગદીશ વ્યાસ

આ ગઝલ લખી ત્યારે આ કવિને પોતાને કેન્સર થયું છે એની જાણ હશે કે કેમ એની મને જાણ નથી પણ આ ગઝલના શેરોમાં મૃત્યુનો અહેસાસ હચમચાવી દે એ રીતે વહી આવ્યો છે. કદાચ આવનાર અંતની અપ્રત્યક્ષ અનુભૂતિ થઈ જતી હશે ? ગગન અને ઝાકળ, અનંત અને પળને juxtapose કરીને કવિએ કમાલ મત્લા આપ્યો છે. કવિએ પોતાના મૃત્યુના દોઢ મહિના પૂર્વે પોતાની આઠ વર્ષની દીકરીને સંબોધીને લખેલી ગઝલ તથા મૃત્યુ વિષયક શેરો પણ આ સાથે વાંચવા જેવા છે.

Comments (5)

ગઝલ – ઉર્વીશ વસાવડા

શબ્દ મધ્યે સ્વર્ગ છે, સમજાય તો,
એ જ એનો અર્થ છે, સમજાય તો.

પ્રશ્ન છે તો ઉત્તરો એના હશે,
સાવ સીધો તર્ક છે, સમજાય તો.

કોઈ ના બોલે છતાં સહુ સાંભળે,
એ જ સાચું પર્વ છે, સમજાય તો.

માનવી ને માનવી ગણવો ફકત,
એ ખરેખર ધર્મ છે, સમજાય તો.

અ કલમ પર છે નિયંત્રણ કોકનું,
ને મને એ ગર્વ છે, સમજાય તો.

પુષ્પને સ્પશર્યા વિના પણ પામીએ,
દોસ્ત ઉત્તમ અર્ક છે, સમજાય તો.

– ઉર્વીશ વસાવડા

બધા જ શેર ખૂબ જ મજાના એવી આ ગઝલ ઘણી ઊંડી વાતો કરી જાય છે, સમજાય તો…

Comments (8)

ફળ ના મૂકે – મણિલાલ હ. પટેલ

જીવ વગર એ જળ ના મૂકે,
કાળ કુંવારી પળ ના મૂકે.

માટીમાંથી સાદ ઊઠે છે,
કણબી અમથું હળ ના મૂકે.

એને પણ માયા લાગે છે,
ફોગટમાં ઝાકળ ના મૂકે.

ફૂલકૂંપળમાં ખૂલે છે એ,
અવર કશીએ કળ ના મૂકે.

વૃક્ષ થવાનું વ્હાલું લાગે,
ખાલીખમ એ ફળ ના મૂકે.

ક્રૂર ઘાતકી પ્રીત કાય-ની :
બળે દોરડી વળ ના મૂકે.

– મણિલાલ હ. પટેલ

ટૂંકી બહેરની પણ અર્થગંભીર ગઝલ…

Comments (10)

પથ્થર – ફૂયુહિકા કિટાગાવા – અનુ. જગદીશ જોષી

પથ્થર ઠંડોગાર છે;
એ ખરબચડો,ખૂણાળો અને કઠોર.

પણ નદીના વ્હેણમાં
એણે ગોળ થયે જ છૂટકો,
વહી જાતાં વર્ષોમાં
બીજાઓ સાથે અથડાતાં-કુટાતાં,
એવું નથી કે પથ્થરને ઉષ્માળો ન જ હોય.
તમે જો એને હૃદયને ગજવે-છાતીસરસો-રાખો તો
તે હૂંફાળો થશે જ, થશે.

માત્ર એટલું જ, કે એની ટાઢીબોળ જડતાને ખંખેરવા મથતાં
તમારે ધરપત રાખવી પડે.

-ફૂયુહિકા કિટાગાવા [ જાપાન ]

Comments (6)

આપણી જ વાત – જગદીશ જોષી

વાતને ઝરૂખે એક ઝૂરે છે લાગણી
…..આપણી !

એક એક પળ હવે પીગળીને પ્હાડ થાય
આપણી જ વાત હવે આપણી જ વાડ થાય
વાયરાને સંગ તોયે રાતરાણી એકલી
એકલી ઝૂરે છે અભાગણી.

હોઠો આ શબ્દોના પડછાયા પાથરે
સમણાંએ લંબાવ્યું આંખોને સાથરે
આગિયાની પાંખ પરે બેઠો સૂરજ : એની
રગરગમાં મારગની માગણી.

– જગદીશ જોષી

કોઈ શબ્દો જડતા જ નથી આ કાવ્યની ટિપ્પણ લખવા માટે……..

Comments (1)

રોનક થઈ ગઈ – હેમેન શાહ

સોબત વાદળ માફક થઈ ગઈ,
માંડ મળ્યાં ત્યાં ચકમક થઈ ગઈ.

કોણ ટહુક્યું ભર બપ્પોરે ?
રસ્તે રસ્તે ઠંડક થઈ ગઈ.

બારી ખોલી – મેઘધનુષ ત્યાં !
શું અણધારી આવક થઈ ગઈ.

જે ક્ષણને મેં ધુત્કારી’તી,
એ તો ભાગ્યવિધાયક થઈ ગઈ.

બત્તી ઉઘડી, હસ્યા ફુવારા,
અને નગરમાં રોનક થઈ ગઈ.

જૂનાં સ્મરણો પાછાં આવ્યાં,
મન વચ્ચોવચ બેઠક થઈ ગઈ.

– હેમેન શાહ

એક મજાની 10/10 ગઝલ !

 

Comments (9)

પથ્થર થરથર ધ્રૂજે – નિરંજન ભગત

પથ્થર થરથર ધ્રૂજે !
હાથ હરખથી જુઠ્ઠા ને જડ, પથ્થરની ત્યાં કોણ વેદના બૂઝે ?

અનાચાર આચરનારી કો અબળા પર, ભાગોળે,
એક ગામના ડાહ્યાજન સૌ ન્યાય નિરાંતે તોળે;
‘આ કુલટાને પથ્થર મારી, મારી નાખો !’ એમ કિલોલે કૂજે !

એક આદમી સાવ ઓલિયો વહી રહ્યો’તો વાટે,
સુણી ચુકાદો ચમક્યો, થંભ્યો, ઉરના કોઈ ઉચાટે;
હાથ અને પથ્થર બંનેને જોઈ એનું દિલ દયાથી દૂઝે !

આ દુનિયાના શાણાઓ ના દુનિયાદારી જાણે,
ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યો ટેવ પ્રમાણે :
‘ જેણે પાપ કર્યું ના એકે
તે પથ્થર પહેલો ફેંકે !’
એકે એકે અલોપ પેલા સજ્જન, જ્યારે શું કરવું ના સૂઝે !
અબળા રહી ને રહ્યો ઓલિયો, એનું કવિજન ગીત હજીયે ગુંજે !

– નિરંજન ભગત

સાવ જાણીતી કથાને કવિએ આપેલું સુંદર કાવ્ય-સ્વરૂપ… આ ગીત વાંચીને મને તો રાજેશ ખન્નાની ‘રોટી’ ફિલ્મનું આ ગીત યાદ આવ્યું… 🙂

Comments (12)

આવશે ! – પ્રકાશ ચૌહાણ ‘જલાલ’

ભેગાં કરીશ બોર તો એ કામ આવશે !
ક્યારેક તો આ ઝૂંપડીએ રામ આવશે !

મારી આ બરબાદી વિશે એણે પૂછ્યું નહીં !
એને હતો એ ડર કે એનું નામ આવશે !

દુર્ભાગ્યનો નિયમ સદા અવળો જ હોય છે !
તું ‘એમ જા’ કહીશ ને એ આમ આવશે !

મારી કથા તો આપમેળે થઈ હતી શરૂ !
લાગે છે તારા હાથથી અંજામ આવશે !

ખોળો ગઝલનો તો કદી ખાલી નહીં રહે !
આદિલ, ચિનુ, મરીઝ ને બેફામ આવશે !

– પ્રકાશ ચૌહાણ ‘જલાલ’

પહેલી જ નજરે ગમી જાય એવી પણ બીજી નજરે ? ત્રીજી નજરે ? વધુ ને વધુ ગમી જાય એવી ગઝલ…

Comments (13)

મુઠ્ઠીમાં – કિસ્મત કુરેશી

લલાટે લેખ છઠ્ઠીના અને તકદીર મુઠ્ઠીમાં,
જીવન જીવી જવાની છે તો છે તદબીર મુઠ્ઠીમાં.

અગર લાગે છે, તો ખોબો જ એમાં કામ લાગે છે,
નથી ઝિલાતાં કોઈથી નયનના નીર મુઠ્ઠીમાં.

હશે કાં આટલી મોટી તે કિંમત બંધ મુઠ્ઠીની?
ખૂલી જ્યાં, જોયું તો ન્હોતું કશું યે હીર મુઠ્ઠીમાં.

કરી જો લાલ આંખોને, અને મુઠ્ઠી ઊગામી જો,
પછી તારે નહીં લેવી પડે શમશીર મુઠ્ઠીમાં.

નજુમીએ કહ્યું તો યે નથી કિસ્મત મળી અમને,
હથેળીમાં જ અંકિત છે હજુ જાગીર મુઠ્ઠીમાં.

– કિસ્મત કુરેશી

હાથ જો મુઠ્ઠી થઈ જાય તો કિસ્મતને પકડવાનું કામ સહેલું છે.

Comments (8)

કયાં છે – જાતુષ જોશી

ક્ષણોનો સવાર ક્યાં છે? ક્ષણ મારમાર ક્યાં છે?
ક્ષણક્ષણને વીંધતું એ શર ધારદાર ક્યાં છે?

એ આંખથી જ બોલે ને આંખ ભેદ ખોલે;
ધેઘૂર રિક્ત આંખે એકે વિચાર ક્યાં છે?

અસ્તિત્વ ઝળહળળ છે, અસ્તિત્વ રણઝણણ છે;
અસ્તિત્વ ઝરમરરનો એ સૂત્રધાર ક્યાં છે?

આરોહ પણ નથી ને અવરોહ પણ નથી ત્યાં;
એના મિજાજના જો કોઈ પ્રકાર ક્યાં છે?

ક્યારેક ‘હા’ કહે ને ક્યારેક ‘ના’ કહે પણ,
‘હા’માં ‘હકાર’ ક્યાં છે? ‘ના’માં ‘નકાર’ ક્યાં છે?

– જાતુષ જોશી

માણસની ખરી લડાઈ સમય સાથે છે. બીજા શેરમાં ‘ધેઘૂર રિક્ત આંખ’ પ્રયોગ તીણો ખાલીપો છોડી જાય એટલો સશક્ત છે. ત્રીજો શેર જીંદગીને ઉજવે છે. પણ એમાં ય સૂત્રધાર (પોતાની જાત?)ની શોધ તો બાકી જ છે. છેલ્લો શેર વાંચતા જ મરીઝના બે અમર શેર ‘મન દઈને મરીઝ એ હવે…’ અને ‘ક્યાં કહું આપની હા હોવી જોઈએ…’ તરત જ યાદ આવી જાય છે.

Comments (9)