ફરીથી સ્થિર થઈ જાશે જળ સરોવરનાં,
ફરીથી આપણાં પથ્થરને ફેંકતાં રહીએ.
-જવાહર બક્ષી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for October, 2011

અમે – જયન્ત વસોયા

પળ ખુશીની ક્યાં નકારી છે અમે,
આંસુની ઇજ્જત વધારી છે અમે.

હું ફસાયો છું ભલે મઝધારમાં;
કૈંકની નૌકા ઉગારી છે અમે.

ફૂલ આપે, કંટકો આપે કદી;
હર અદા એની સ્વીકારી છે અમે.

ઉમ્રભર જો સાથ આપો તો કહું;
કેટલી વાતો વિચારી છે અમે.

જાણી બૂઝી એમને જીતાડવા;
બાજી ખુદની પણ સુધારી છે અમે.

શક્ય છે કોઠું કદી દેશે ગઝલ;
જિંદગીને બહુ મઠારી છે અમે.

-જયન્ત વસોયા

Comments (13)

કવિતા વિશે ત્રણ રચનાઓ – જયન્ત પાઠક

(૧)
મારી પોથીનાં પાનાંમાં છે
મેં લખેલી કવિતા; ને
એનાં વચવચ્ચેનાં કોરાં પાનાંમાં છે
મેં નહીં લખેલી કવિતા – જે
વાંચશો તો
મારી લખેલી કવિતાને વધુ પામશો;
કદાચ તમને એમ પણ થાય
કે
મેં લખેલી કવિતા ન લખી હોત તો સારું
મેં નહીં લખેલી કવિતા લખી હોત તો સારું.

(૨)
કવિતા !
એકલા કવિથી એ ક્યાં પૂરી લખાય છે !
ભાવક એને સુધારીને વાંચે છે
વાંચીને સુધારે છે
ત્યારે જ તે પૂરી થાય છે !

(૩)
જેણે કાવ્ય કર્યું તેણે કામણ કર્યું !
હવે તમને પેલા પીપૂડીવાળાની પાછળ પાછળ
દોડવામાં ક્ષોભ નથી;
હવે મજા આવે છે – આગળ આગળ
દરિયામાં ડૂબકી દઈને
પાતાળલોકમાં પહોંચી જવાની !

– જયન્ત પાઠક

જેમ ઈશ્વરની, એમ કવિતાની વિભાવનાના મૂળમાં જવાની મથામણ માણસ સતત કરતો રહેવાનો. જેમ ઈશ્વર, એમ કવિતા વિશેનું સત્ય પણ દરેક કવિનું સાવ નોખું હોઈ શકે. એક જ કવિનું કવિતા વિશેનું સત્ય પણ અલગ અલગ સમયે અલગ હોઈ શકે. જયન્ત પાઠકની જ કવિતા વિશેની કવિતા અને કવિતા ન કરવા વિશે કવિતા – બંને આ સાથે ફરીથી માણવા જેવા છે.

Comments (6)

મુક્તક – કિસ્મત કુરેશી

એક કોરે કાળજું ને એક કોરે છે શિલા,
કર્મ એક સરખું કરે છે, જુલ્મી ને શિલ્પી ઉભય;
કિંતુ ધરતી-આભ કેરો છે તફાવત બેઉમાં,
એકનું પથ્થર-હૃદય બીજાનું પથ્થરમાં હૃદય.

– કિસ્મત કુરેશી

Comments (5)

દીવા સંકોર – રશીદ મીર

શમણાનાં કાંટાળા થોર
લીલો પણ ખરબચડો શોર.

છેક હજી છે ટાઢો પ્હોર,
જોયું જાશે ભરબપ્પોર.

અંધકારના તસતસતા,
લીસ્સા, ભીનાં, તીણાં ન્હોર

બેવડ થઈ છે ઝાકળમાં
તડકા ધાર નવી નક્કોર.

ખાંખાંખોળા શોધાશોધ,
સો મણ તેલે તિમિર ઘોર.

‘મીર’ સાંજ આવી પહોંચી,
યાદોના દીવા સંકોર.

– રશીદ મીર

નવીન કલ્પનોથી શોભતી ગઝલ. દિવાળીના દિવસે દીવા સંકોરવાની વાત ખાસ યાદ કરવી ગમે.

બધાને ‘લયસ્તરો’ ટીમ તરફથી દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ !

Comments (7)

મનનો માળો તો મારો નાનો – રઘુવીર ચૌધરી

મનનો માળો તો મારો નાનો ને માનસર
કેમ કરી એમાં સમાવું ?

પાણીને ઢાળ બહુ ફાવે અંધારનો
મેઘધનુ ક્યાંથી બતાવું ?
મુઠ્ઠીની રેખામાં સંતાડું રાગદ્વેષ
હૈયામાં હારની હતાશા,
સપનાંના ખંડેરે કાંટા અભરખાના
લૂલીને ભાનભૂલી ભાષા,
ગાંઠે બાંધેલ મૂળ હીરાને ઘડવામાં
ઝાંખે ઉજાસ કેમ ફાવું ?

લીલા મેદાનોમાં રમવાનું દૂર ગયું
ગલીઓમાં ગામ મેં વસાવ્યું,
વૃત્તિની ભીડ મહીં ભૂલા પડીને
મેં તો પલ્લવનું પારણું ગુમાવ્યું.
ભોળી ભરવાડણ હું વેચું હરિને
દહીં ખાટું કરીને ઘેર લાવું.
મનનો માળો તો મારો નાનો ને માનસર
કેમ કરી એમાં સમાવું ?

Comments (7)

પ્રેમ અને તર્ક – રૂમી – અનુ.વસંત પરીખ

હે પ્રિય !
પ્રેમ એકલો જ તમામ દલીલબાજીને છેદી નાખે છે,
કારણ કે
જયારે દ્વિધા – વિવાદ ને સંકટ સમયે
તું મદદ માટે પોકારી ઉઠે છે,
ત્યારે કેવળ પ્રેમ જ એકલો તને ઉગારે છે.
પ્રેમની સામે મુખરતા થાય છે સ્તબ્ધ !
ત્યાં વાચાળ બનવાનું સાહસ થઈ શકે નહીં.
કારણ કે –
પ્રિયતમને લાગે છે ડર
કે જો આપીશ હું ઉત્તર
તો અંતરનિગૂઢ પ્રેમાનુભૂતિનું મોતી
મોંમાંથી બહાર ફેંકાઈ જશે,
વેડફાઈ જશે.

 

રૂમી કવિ નહોતો-નખશિખ સૂફી હતો……એ જે બોલતો તે કવિતા થઈ જતી ! એણે હજારોની સંખ્યામાં ગદ્ય-પદ્ય રચનાઓ લખી છે. સરળ વાણીમાં ભારોભાર ગૂઢાર્થ સંતાયેલા હોય છે તેની રચનાઓમાં.

દલીલ એટલે reaction . પ્રેમ એટલે pure effortless action.

Comments (5)

અમે પણ – પ્રફુલ્લ નાણાવટી

સભામાં બરોબર ઊભા’તા અમે પણ,
તમારી લગોલગ ઊભા’તા અમે પણ.

નજરથી ઘણા દૂર નીકળી ગયા પણ,
નયનમાં છલોછલ ઊભા’તા અમે પણ.

ડુબાડી એ દેશે કે ઊગરી જવાશે,
તૂટક પર કટોકટ ઊભા’તા અમે પણ.

ગઝલમાં ગજબની હવે ભીડ જામી,
બધાની વચોવચ ઊભા’તા અમે પણ.

હવે ઊભવાની ત્યાં હિંમત નથી રહી,
ફકત ત્યાં મનોમન ઊભા’તા અમે પણ.

– પ્રફુલ્લ નાણાવટી

વાત નાની પણ મજાની ! જાતે ઊભા રહેવાની હિંમત ન થાય એવી જગ્યાએ પણ મનોમન ઊભા રહેવાનો સંતોષ કોણે નહીં લીધો હોય ?!

Comments (9)

ખખડવાની – ડૉ. મનોજ જોષી ‘મન’

ખખડવાની નથી જોતી હવે તો રાહ પણ ડેલી,
અને ફળિયુંય બેઠું છે બધી આશાઓ સંકેલી.

મીંચીને આંખ આ છજ્જુ હવે ચુપચાપ સૂતું છે,
લઈ પાંપણના ખૂણા પર ઘણીએ વાત ભીંજેલી.

હજુ ક્યારેક ઉંબરને સતાવે છે જૂના સ્પર્શો,
‘ઘણી ખમ્મા’ કહીને યાદ કરતો ઠેસ વાગેલી.

કદી પડઘાય છે વાતો અને ગૂંજે કદી કલરવ,
ગુમાવી કાનનો વિશ્વાસ ઊભી છે ભીંત થાકેલી.

ખૂણેખૂણો તપાસે છે આ ખાલી ઘરનો સન્નાટો,
દિવસ જ્યાં આજ સૂતો છે, હતી ત્યાં રાત જાગેલી.

– ડૉ. મનોજ જોષી ‘મન’

મનોજ જોષીની ગઝલોમાંથી પસાર થતી વખતે મને હંમેશા લાગ્યું છે કે આ કવિ હમરદીફ- હમકાફિયા ગઝલમાં કમાલનું કામ કરે છે. આ ગઝલ પર નજર નાંખી તો તરત જણાય કે કવિ કાફિયા પાસે નથી જતા, કાફિયા ખુદ કવિ પાસે આવે છે…

Comments (15)

મુક્તક – જમિયત પંડ્યા

આવતાં આવે છે, એ કૈં વારસે વળતી નથી,
આંગળી સૂજી જતાં કૈં થાંભલો બનતી નથી;
પૂર્વના કાંઈ પુણ્ય હોયે તો મળે છે ઓ જિગર,
માણસાઈ ક્યાંય વેચાતી કદી મળતી નથી.

– જમિયત પંડ્યા

Comments (2)

ચાનક રાખું ને – જયન્ત પાઠક

ચાનક રાખું ને તોય ચૂકું :
ગુરુજી, કેમ પગલું હું નિશ્ચેમાં મૂકું !

ચાખી ચાખીને મેં તો ભોજનીયાં કીધાં
ગળણે ગાળીને સાત પાણીડાં પીધાં
. દૂધનો દાઝેલ, છાસ ફૂંકુ !

અંધારું મૂકી હું ચાલું ઉજાસમાં
પીછો છોડે ન તોય પડછાયો, પાસમાં
. લીલાને સળગાવે સુકું !

છોડું છેડો તો એક, દુજો વીંટાતો
આ પા ઉકેલું દોર એ પા ગુંચાતો
. પડઘા લાંબા ને વેણ ટુકું !

– જયન્ત પાઠક

ગમે તેટલી કાળજી રાખવા છતાં પોતાની અંદરની મર્યાદાને કવિ ઓળંગી શકતા નથી.

Comments (8)

બોગદા – મણિલાલ ગાલા [ કચ્છી કાવ્ય ] – અનુ.-કિશોર શાહ

ધીરેધીરે હું નીકળું છું
એ બળબળતા બોગદામાંથી

અને જાઉં છું ફરી
બીજા લાંબા બોગદામાં
જેમાં અંધારાનો ઠંડો, કાળો છાંયડો હોય છે

મનને ચગદતા મારા પગ તો ચાલવાના છે
અને તે માટે રસ્તાઓના આભાસ ઊભા કરું છું
[એમ કહેવા કે પગ ફરતા રહેશે તો
બોગદા પણ આવતાં રહેશે?]

લાંબુ બોગદું વટાવીને
તેમાંથી નીકળતા બીજા બોગદામાં જવાની ઉતાવળમાં
હું બેસી જાઉં છું
અને મારા પગ નીકળી ચાલ્યા ગયા છે
બચેલી બધી ઇન્દ્રિયોના બળથી
બોગદાને કચડવાના કામમાં
આખો તણાય છે તે કોણ છે ?

મડદલનો બચેલો જીવ શોષવા
પહોંચી આવનાર ચાર ગીધવાળો મુકામ પસાર કરતાં,
ત્યાં ગબડી પડું છું જ્યાં જવાનું ફરમાન નથી.

જે ચીજ શોધવા
હું નીકળ્યો છું
એને જોઇને ત્યાં જ છોડી દઈશ અને
ઝબકતા ભડકાના
અંબારમાં આખો ખૂંપી જઈશ.

 

આખી વાત અતુપ્ત ઈચ્છાઓ-તૃષ્ણાની છે. માનવ એવા ભ્રામક ખ્યાલ સાથે જીવતો હોય છે કે આ એક ઈચ્છા પૂરી થાય પછી નિરાંત….આમ એક પછી એક ‘બોગદા’ માં તે ફસાતો રહે છે. છેવટે મૃત્યુ મ્હોં ફાડીને ઊભેલું ભાળે છે,ત્યારે બહુ મોડું થઇ ગયું હોય છે. મહિમા આ ક્ષણને મનભરીને જીવવાનો છે-માણવાનો છે…..

Comments (5)

दोनों जहान तेरी…. – ફૈઝ અહમદ ફૈઝ – હરીન્દ્ર દવે

બંને જગતને તારી મહોબ્બતમાં હારીને
ક્યાં જઈ રહ્યો કોઈ વિરહરાત્રિ ગુઝારીને.

વેરાન સુરાલય, સુરાહી જામ ખિન્ન છે,
તું ગઈ, પછી રિસાયા દિવસ સૌ વસંતના.

તક આ ગુનાહની અને ચાર જ દિવસ મળી,
જોઈ લીધી છે હામ મેં પરવરદિગારની.

દુનિયાએ તારી યાદથી અળગો કરી દીધો,
તુજથીયે દિલફરેબ છે દુઃખ રોજરોજનાં.

એ ભૂલથી હસી પડ્યા છે આમ આજે ફૈઝ
નાદાન દિલમાં કેવો વલોપાત છે ન પૂછ.

 

दोनों जहान तेरी मोहब्बत मे हार के
वो जा रहा है कोई शबे-ग़म गुज़ार के

वीरां है मैकदा ख़ुमो-साग़र उदास हैं
तुम क्या गये कि रूठ गये दिन बहार के

इक फुर्सते-गुनाह मिली वो भी चार दिन
देखें हैं हमने हौसले परवरदिगार के

दुनियां ने तेरी याद से बेगाना कर दिया
तुम से भी दिलफरेब हैं ग़म रोज़गार के

भूले से मुस्कुरा जो दिये थे वो आज फ़ैज़
मत पूछ वलवले दिले-नकर्दाकार के

 

બેગમ અખ્તરના કંઠે અદભૂત રીતે ગવાયેલી આ ગઝલ સાંભળીને nostalgia માં અનાયાસ જ સરી જવાય છે. ફૈઝ અહમદ ફૈઝનો સમગ્ર કાવ્યસંગ્રહ ‘ सारे सुखन हमारे ‘ હવે ઉપલબ્ધ છે.

Comments (11)

અહીં હું આ કરી રહ્યો છું – લિયોનાર્ડ કોહેન (અનુ. જગદીશ જોષી)

દુનિયાએ જુઠાણું હાંક્યું હોય તો મને ખબર નથી
મેં હાંક્યું છે
દુનિયાએ પ્રેમ સામે કાવતરાં કર્યાં હોય તો મને ખબર નથી
મેં કાવતરાં કર્યાં છે
જુલ્મના વાતાવરણમાં ચેન ક્યાંય નથી
મેં જુલ્મો કર્યાં છે
વાદળના ખીચોખીચ ખડકલા વગર પણ
મેં તો ધિક્કાર કર્યો જ હોત.

સાંભળી લ્યો:
મૃત્યુ જેવું કંઈ ન હોત તો પણ
મેં તો જે કૈં કર્યું… એ જ કર્યું હોત
કોઈ દારૂડિયાની માફક
હકીકતના ઠંડા નળ નીચે
મને નહીં રાખી શકો
એ સર્વસામાન્ય બહાનું મને ખપતું નથી.

રાત્રે પસાર કરી ગયેલા ખાલી ટેલિફોન-બૂથની જેમ,
સિને-ગૃહમાંથી બહાર નીકળતાં-નીકળતાં સંતલસ કરી લેવા માટે,
છેક છેલ્લી પળે યાદ આવી જતાં લૉબીના અરીસાઓ જેમ,
સેંકડોને વિચિત્ર બંધુભાવે સાંકળતી કોઈ નિમ્ફોમેનિઍકની જેમ,
હું પ્રતીક્ષા કરી રહ્યો છું –
તમારામાંનો પ્રત્યેક… એકરાર કરે તેની.

– લ્યૉનાર્ડ કોહેન (કેનેડા)
(અનુ. જગદીશ જોષી)

*

પહેલો પથ્થર એ મારે જેણે પાપ ન કર્યું હોય…

*

What I’m doing here

I do not know if the world has lied
I have lied
I do not know if the world has conspired against love
I have conspired against love
The atmosphere of torture is no comfort
I have tortured
Even without the mushroom cloud
still I would have hated
Listen
I would have done the same things
even if there were no death
I will not be held like a drunkard
under the cold tap of facts
I refuse the universal alibi

Like an empty telephone booth passed at night
and remembered
like mirrors in a movie palace lobby consulted
only on the way out
like a nymphomaniac who binds a thousand
into strange brotherhood
I wait
for each one of you to confess

Comments (5)

મૌન – લતા હિરાણી

હું તને ઝરણ મોકલું
ને તું જવાબમાં મૌન બીડે
હું તને દરિયો મોકલું
ને તું જવાબમાં મૌન બીડે
હું તને પંખી મોકલું
ને તું જવાબમાં મૌન બીડે
હું તને આખું આભ મોકલું
ને તું જવાબમાં મૌન બીડે
જા, હવે બહુ થયું
હું મૌન વહેતું કરું છું
તું મારાં આભ, દરિયો ને પાંખ
પાછાં મોકલ …..

– લતા હિરાણી

વાંચતાની સાથે ભીતરમાં સળવળાટ કરી જાય એવું નાનું પણ બળુકુ અછાંદસ, વિશ્વકવિતાની સમકક્ષ ઊભું રહી શકે એવું !

Comments (12)

આવી ન્હોતી જાણી – અવિનાશ વ્યાસ

આવી ન્હોતી જાણી,              .
પૂનમ, તને આવી ન્હોતી જાણી.

દૂર રે ગગનમાં તારો ગોરો ગોરો ચાંદલો,
એને જોતાં રે વેંત હું લજાણી.
.                                      પૂનમ, તને આવી ન્હોતી જાણી.

તું યે એવી ને તારો ચાંદલિયો એવો,
કરતો અડપલું તો યે મારે સહેવો,
એને વાર જરા મારી દયા આણી.
.                                      પૂનમ, તને આવી ન્હોતી જાણી.

અજવાળી રાતનું કાઢીને બહાનું,
કામ કરે દિલડું દઝાડવાનું છાનું.
.                                તને કોણ કહે રાતની રાણી ?
.                                      પૂનમ, તને આવી ન્હોતી જાણી.

– અવિનાશ વ્યાસ

હમણાં જ નવારાત્રિ પૂરી થઈ.  અને બે દિવસ પહેલા જ શરદપૂનમ પણ ગઈ, જેની આપ સૌને જરા મોડી મોડી શુભકામનાઓ.  જો કે અહીં અમેરિકામાં અમારે તો નવરાત્રિ અને રાસનું એક week-end હજી બાકી છે એટલે થયું કે આજે અવિનાશભાઈને યાદ કરીએ.  કારણ કે અવિનાશભાઈને યાદ કર્યા વગરનાં કોઈ પણ ગુજરાતી ગીત-ગરબા-રાસ અધૂરા જ ગણાય…  અવિનાશભાઈનાં ગીતોની ખાસિયત એ છે કે એને વાંચતા વાંચતા આપણા કાન પણ સળવળવા જ માંડે !

Comments (4)

નિષ્ક્રમણ – રાજેન્દ્ર શુક્લ

rajendra
(ફોટો:જગન મહેતા)

આ વખત તો વેશમાંથી નીકળી ગયો છું હું,
શબ્દના પ્રદેશમાંથી નીકળી ગયો છું હું.

માત્ર મૌન છે સરળ, ન શબ્દની અલંકૃતિ,
એ બધા ય એશમાંથી નીકળી ગયો છું હું.

સાન ભાન ઓગળી જે લેશ કૈં રહ્યું હતું,
લો, હવે એ લેશમાંથી નીકળી ગયો છું હું.

દૃષ્ટિ નિષ્પલક અને હો આંખ આ નિરંજના,
અંજનોની મેશમાંથી નીકળી ગયો છું હું.

વાદ્ય આ વિરાટતાલ વાજતું, ભલે બજે,
એ ઠમક, એ ઠેશમાંથી નીકળી ગયો છું હું.

– રાજેન્દ્ર શુક્લ

કવિશ્રીને જન્મદિવસની શુભકામનાઓ !

Comments (8)

આનંદલોક – કુસુમાગ્રજ

મારા આનંદલોકમાં
ચંદ્ર આથમતો નથી
દરિયો અતળ પ્રેમનો
કદી વાવાઝોડાતો નથી

મારા આનંદલોકમાં
કર્યું વસંતે ઘર
આંબે આંબે ડાળીઓ પર
ફૂટે કોકિલના સ્વર.

સાત રંગોની મહેફિલ
વહે અહીં હવા
અહીં મરણ પણ નાચે
મોરપિચ્છકલાપ લઈને.

– કુસુમાગ્રજ
(અનુ. જયા મહેતા)

દુ:ખને સંઘરવા માટે એક ખૂણો જોઈએ, જ્યારે આનંદને માટે તો આખુ જગત – આનંદલોક – જોઈએ. કવિએ મારા આનંદલોકની વાત કરી છે – પોતાના અંગર આનંદલોકની. દરેકે પોતાનું આનંદલોક રચવાનું હોય છે. એવું આનંદલોક કે જેમાં મૃત્યુ પણ એક ઓચ્છવ બનીને આવે !

Comments (9)

(અધૂરી છે) ગઝલ – રઈશ મનીઆર

જે વ્યથાને અડકે નહીં, એ કલા અધૂરી છે
જે કલમથી ટપકે નહીં, એ વ્યથા અધૂરી છે

પાત્ર પણ વલણ કેવું આત્મઘાતી રાખે છે !
એય ના વિચાર્યું કે વારતા અધૂરી છે

ભક્ત રઝળે અંધારે ને ઝળાંહળાં ઇશ્વર
નીકળી ગયું મુખથી, ‘ દિવ્યતા અધૂરી છે ‘

સૌનું એ જ રડવું છે, જામ કેમ અધૂરો છે ?
સાવ સીધું કારણ છે પાત્રતા અધૂરી છે

બે જણા મળે દિલથી તોય એક મજલિસ છે*
એકલો છું હું આજે ને સભા અધૂરી છે

મૃત્યુ આવવા માંગે આંગણે અતિથિ થઈ
ને હજુ તો જીવનની સરભરા અધૂરી છે

ઠેરઠેર ડૂસકાં છે, ઠેરઠેર ડૂમા છે
ને ‘રઈશ’ જગતભરની સાંત્વના અધૂરી છે                 [ * સ્મરણ : મરીઝ ]

 

ગઈકાલે જ હજી જેનું વિમોચન થયું તે રઈશભાઈના નવાંનક્કોર ગરમ ભજીયા જેવા ગઝલસંગ્રહ – ‘ આમ લખવું કરાવે અલખની સફર ‘ – માંથી લીધેલી એક ઉત્કૃષ્ટ રચના….પહેલો શેર અમર થવા સર્જાયો છે……

Comments (17)

ગઝલ – રઈશ મનીઆર

raeesh maniar title

તરવું કદી ન ફાવ્યું મને, તળ સુધી ગયો
અમૃતની ઝંખનામાં હળાહળ સુધી ગયો

હું દિવ્યતાની શોધમાં દેવળ સુધી ગયો
પ્રત્યેક બંધ દ્વારની સાંકળ સુધી ગયો

મંદિર કે મસ્જીદો સુધી અટકી ગયા સહુ
જિજ્ઞાસાવશ જરાક હું આગળ સુધી ગયો

મારી તરસના સાચા સ્વરૂપને પિછાણવા
હરિયાળી ભોમ છોડી મરૂસ્થળ સુધી ગયો

ભાલાનો તીરકામઠાંનો વારસો હતો
માણસ છતાંય એક દિવસ હળ સુધી ગયો

લોહીનો રંગ લાલ નહીં, કાળો હોય છે
એવી પ્રતીતિ થઈ અને કાગળ સુધી ગયો

આખા જીવનમાં દુઃખની મળી એક પળ ‘રઈશ’
એનો જ પ્રત્યાઘાત પળેપળ સુધી ગયો

 – રઈશ મનીઆર

આપણાં સૌના ચહીતા રઈશભાઈના ત્રીજા ગઝલસંગ્રહ- ‘ આમ લખવું કરાવે અલખની સફર ‘ – નું વિમોચન આજે રાત્રે થશે. નિખાલસ અને પ્રામાણિક વાણીથી તેમણે સદા ગઝલને શોભાવી છે. તેઓ કહે છે – ‘ મેં ગઝલને રચી, ગઝલે મને રચ્યો…’. ટીમ-‘લયસ્તરો’ તરફથી રઈશભાઈને અઢળક શુભેચ્છાઓ…..

પ્રસ્તુત ગઝલ તેઓના આ નવપ્રકાશિત સંગ્રહમાંથી લીધી છે. બીજો અને ત્રીજો શેર તેમની સર્જકતાનો વ્યાપ દર્શાવે છે.

Comments (17)

ગીતાંજલિ – પુષ્પ:૦૪: રવીન્દ્રનાથ ટાગોર (અનુ. વિવેક મનહર ટેલર)

Rabindranath Tagore Poems in English

Life of my life, I shall ever try to keep my body pure, knowing that thy living touch is upon all my limbs.

I shall ever try to keep all untruths out from my thoughts, knowing that thou art that truth which has kindled the light of reason in my mind.

I shall ever try to drive all evils away from my heart and keep my love in flower, knowing that thou hast thy seat in the inmost shrine of my heart.

And it shall be my endeavour to reveal thee in my actions, knowing it is thy power gives me strength to act.

– Ravindranath Tagore

*

હે પ્રાણેશ્વર! હું સદા મારા શરીરને વિશુદ્ધ રાખવા પ્રયત્ન કરીશ કેમકે હું જાણું છું કે મારા અંગાંગમાં તારો જીવંત સ્પર્શ છે.

બધા અસત્યોને મારા વિચારથી પણ બહાર રાખવા હું સદા પ્રયત્નશીલ રહીશ કેમકે હું જાણું છું કે એ તારું જ સત્ય છે જેણે મારા માનસમાં કારણનો પ્રકાશ રેલાવ્યો છે.

હું મારા હૃદયમાંથી તમામ અનિષ્ટને હાંકી કાઢવા હંમેશા મથીશ અને  પુષ્પને ચાહીશ કેમકે હું જાણું છું કે તું મારા હૃદયની અંતરતમ બેઠકમાં વિરાજે છે.

અને એ મારી કોશિશ રહેશે કે મારા તમામ કર્મોમાં તું જ દૃશ્યમાન થાય કેમકે હું જાણું છું કે તારી શક્તિ જ મને ચાલકબળ પૂરું પાડે છે.

-અનુ. વિવેક મનહર ટેલર

*

આપણા જીવનનું સાચું ચેતન ખુદ ઈશ્વર જ છે. આપણા અસ્તિત્વના કણકણમાં એનો વાસ છે. આપણે જે કંઈ પણ કરીએ છીએ એ એનાથી અછતું નથી. માટે જ આપણે આપણા વાણી, વિચાર અને વર્તન- બધાને પરિશુદ્ધ રાખવા જોઈએ. અને આપણા બધા જ કૃત્યોમાં એનો સ્નેહ તરવરી ઊઠે એ માટે આપણે સદૈવ પ્રયત્નશીલ રહેવું જોઈએ…

Comments (7)

ચાલશે – સુનીલ શાહ

અટપટો રસ્તો હશે તો ચાલશે,
ભોમિયો સાચો હશે તો ચાલશે.

જે બતાવે, હોય કેવળ સત્ય તો,
આયનો નાનો હશે તો ચાલશે.

પર્ણ લીલું હોય કે પીળું, ફકત,
ડાળથી નાતો હશે તો ચાલશે.

સહેજપણ હો છાંયડાની શક્યતા,
માર્ગમાં તડકો હશે તો ચાલશે.

મેળવું જો જાત રાખીને અખંડ,
રોટલો અડધો હશે તો ચાલશે.

ખુદને મળવા શું વધારે જોઈએ..?
ઘરનો એક ખૂણો હશે તો ચાલશે.

આખું સરનામું ન આપો, કાંઈ નહિ,
વહાલનો નકશો હશે તો ચાલશે.

– સુનીલ શાહ

સ્વાભિમાનના ભોગે સોનાની લંકા મળે તોય નકામી… રોટલો ભલે અડધો જ હોય પણ જાત તોડ્યા વિનાનો હોવો જોઈએ એ મતલબનો હાંસિલે-ગઝલ ગણી શકાય એવો આ શેર ગૂંઠે બાંધી શકીએ તો ઘણું.

 

Comments (16)

ત્યારે આવજે – શોભિત દેસાઈ

શબ્દથી મન મોકળું થઈ જાય ત્યારે આવજે,
મૌન જયારે તારાથી સહેવાય ત્યારે આવજે.

હમણા તો તું વ્યસ્ત છે પ્રતિબિંબના શૃંગારમાં,
આઈનો જોઈ તને તરડાય ત્યારે આવજે.

તારી માફક સ્વસ્થ રહેવા હું કરીશ કોશિશ જરૂર,
પણ એ કોશિશમાં નયન છલકાય ત્યારે આવજે.

ફક્ત હમણાં કે અહીં પૂરતો નથી સંબંધ આ,
કાળ-સ્થળ તારાથી ઓળંગાય ત્યારે આવજે.

હું નહીં આવી શકું મારા અહમને છોડીને,
મારો ખાલીપો તને સમજાય ત્યારે આવજે.

– શોભિત દેસાઈ

પ્રેમીજનને આવવાનું આહ્વાન કરતી આ ગઝલ મને આજે જ ‘ચહેરાપોથી’ પર વાંચવા મળી… મને લાગ્યું કે જાણે મને પણ આપ સૌની સાથે એને અહીં વહેંચવાનું આહ્વાન મળ્યું ! 🙂

Comments (8)

મુક્તક – મુસાફિર પાલનપુરી

જ્ઞાન થાકી અજ્ઞાન જો લાધ્યું
તેજ તજી અંધારું માગ્યું
દંભ નો લીધો શ્વાસ મેં જયારે
એક તણખલું હસવા લાગ્યું

– મુસાફિર પાલનપુરી

Comments (7)

મનજી – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

અથડાયા-કુટાયા મનજી,
રહ્યા તોય રઘવાયા મનજી.

સમજણ કાયમ હાથવગી પણ,
જ્યાં ને ત્યાં સલવાયા મનજી.

નહીં ઠામ ઠેકાણું તોયે,
પાંચ મહીં પુછાયા મનજી.

દુઃખમાં ડગલે પગલે સાથે,
સુખ જોઈ સંતાયા મનજી.

એ જ વાર કરતાતા તોયે,
લાગ્યું વ્હારે ધાયા મનજી.

રસ ભીતરથી બાહર મૂકી,
ભરમાયા-પસ્તાયા મનજી.

બોજ બધા કહેતા’તા મિસ્કીન
કુંભાર કરતાં ડાહ્યા મનજી.

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

મનજીને મોજ કરાવે એવી મઝાની ગઝલ.

(છેલ્લા શેરમાં (કાચા કાનના) કુંભાર, એનો દીકરા અને ગધેડાની વાર્તાનો સંદર્ભ છે.)

Comments (7)

પીળી છે પાંદડી – રાજેન્દ્ર શાહ

પીળી છે પાંદડી ને કાળવો છ બાજરો
સોહ્ય છે રે ઝાઝો સવારથીય સાંજરો

ઝાકળિયે બેસું હું તોય રે બપોર લાગે
આસો તે માસના અકારા,
આવડા અધિકડા ન વીત્યા વૈશાખના
આંબાની ડાળ ઝૂલનારા;
હું તો
અંજવાળી રાતનો માણું ઉજાગરો
પીળી છે પાંદડી ને કાળવો છ બાજરો.

કોસના તે પાણીના ઢાળિયાનું વ્હેણ મને
લાગે કાલિંદરી જેવું,
આંબલીની છાંય તે કદંબની જણાય મારા
મનનું તોફાન કોને કે’વું ?
મેં તો
દીઠો રાધાની સંગ ખેલતો સાંવરો :
પીળી છે પાંદડી ને કાળવો છ બાજરો.

 

મધમીઠાં શબ્દો મઢ્યું મનોરમ ગીત……આવા સુંદર ગરબાઓ કોણ જાણે ક્યાં ખોવાઈ જાય છે નવરાત્રિની ભીડ-ભાડમાં !

Comments (8)

ગાલિબ – અનુ.- હરીન્દ્ર દવે

જ્યાં સુધી કોઈ જખમનું મુખ ન પ્રગટાવી શકે,
છે વિકટ કે ત્યાં સુધી તુજ વાતનો રસ્તો ખૂલે.

આ જગત મજનુંના દીવાનાપણાની ધૂળ છે,
ક્યાં સુધી લયલાની લટના ખ્યાલમાં કોઈ રહે!

હો ઉદાસી, તો કૃપાનું પાત્ર છલકાતું નથી,
હા, કવચિત્ થઇ દર્દ, કોઈ દિલ મહીં વસ્તી કરે.

હું રહું છું એટલે સાથી, ન નિંદા કર હવે
છેવટે ઉલ્ઝન આ દિલની ક્યાંક જઈને તો ખૂલે.

દિલના જખમોથી ન ખૂલ્યો માર્ગ આદરનો કદી,
શું મળે, બદનામ મુજ ગરેબાંને કરે !

દિલના ટુકડાથી છે કંટકની નસો, ફૂલોની ડાળ,
ક્યાં સુધી, કહો બાગબાની કોઈ જંગલની કરે !

દ્રષ્ટિ નિષ્ફળ દ્રશ્યને ભડકાવનારી ચીજ છે ,
એ નથી તું કે કોઈ તારો તમાશો પણ કરે.

ઈંટ-પથ્થર લાલ મોતીની ઊઘડતી છીપ છે,
ખોટ ક્યાં, દીવાનગીથી ‘ગર કોઈ સોદો કરે !

ઉમ્ર ધીરજની કસોટીના વચનથી મુક્ત ક્યાં ?
ક્યાં હજી ફુરસદ કે તારી ઝંખના કોઈ કરે !

ખૂલવા ઝંખે એ પાગલપણથી પ્રગટે છે કુસુમ,
દર્દ આ એવું નથી, કે કોઈ પેદા ના કરે.

કામ આ દીવાનગીનું છે કે મસ્તક પીટવું
હાથ તૂટી જાય જો, કોઈ પછી તો શું કરે ?

કાવ્ય દીપકની શિખાનું રૂપ તો બહુ દૂર છે,
સૌ પ્રથમ તો, જે દ્રવી ઊઠે હૃદય, પેદા કરે !

 

जब तक दहान-ए-जख्म न पैदा करे कोई,
मुश्किल कि तुजसे राह-ए-सुखन वा करे कोई .-
આ ગઝલનો આ અંશત: અનુવાદ છે. ગાલિબના દીવાનમાં આ ગઝલ આશરે ૨૦૦ થી ૨૧૫ ના ક્રમની વચ્ચે આવે છે. ગાલિબનું નામ પડતાં જ અઘરી ગઝલના વિચારે ગાત્રો થીજી કેમ જાય છે તેનું આ ગઝલ એક ઉત્તમ ઉદાહરણ છે – આ તેની પ્રમાણમાં સરળ ગઝલ છે,વળી સિદ્ધહસ્ત કવિએ એનો પ્રમાણમાં સરળ અનુવાદ કર્યો છે,છતાં દરેક શેર તેમની સાથે કુસ્તી લડવી પડે તેવા છે…..!

એક ઉદાહરણ તરીકે પ્રથમ શેરનું ઊંડાણ જુઓ- જ્યાં સુધી કોઈ જખમનું મુખ પેદા નથી કરતું,ત્યાં સુધી તેને માટે તારી સાથે વાર્તાલાપ [ communication ] નો માર્ગ પ્રસ્થાપિત કરવો અત્યંત અઘરો છે…..અહીં दहान-ए-जख्म – ને ‘એક ન રૂઝાતા ઘા-નાસૂર ‘ ના અર્થમાં લેવાયું છે. શાયર કહે છે- પ્રિયે ! જ્યાં સુધી વ્યક્તિને તારી અતિતીવ્ર તમન્ના ન હોય,ત્યાં સુધી તારી સાથે વાર્તાલાપ અશક્ય છે. અહીં શાયરની કમાલ છે આ શબ્દોના ખૂબીભાર્યા ઉપયોગ માં – ખુલ્લા જખમના હોઠ [ કે જે જખમની આખી વાર્તાના પ્રતિક સમાન હોય છે- તબીબી વિજ્ઞાન પ્રમાણે પણ આ વાત સાચી છે- wound ની edges / margin ઉપરથી મોટાભાગનું નિદાન થઇ જતું હોય છે ] અને વાર્તાલાપ કરનાર હોઠ – આ બે વચ્ચેનું એક સુંદર parallelism ઈંગિત કરાયું છે.

.

Comments (14)

ગીતાંજલિ – પુષ્પ:૦૩: રવીન્દ્રનાથ ટાગોર (અનુ. વિવેક મનહર ટેલર)

Tagore_1

I know not how thou singest, my master! I ever listen in silent amazement.

The light of thy music illumines the world. The life breath of thy music runs from sky to sky. The holy stream of thy music breaks through all stony obstacles and rushes on.

My heart longs to join in thy song, but vainly struggles for a voice. I would speak, but speech breaks not into song, and I cry out baffled. Ah, thou hast made my heart captive in the endless meshes of thy music, my master!

– Ravindranath Tagore

*

મને ખબર નથી નથી, ઓ મારા માલિક ! તું શી રીતે ગાય છે. હું હંમેશા મૂકાશ્ચર્યથી સાંભળતો રહું છું.

તારા સંગીતનું અજવાળું વિશ્વને ઝળાંહળાં કરે છે. તારા સંગીતનો પ્રાણવાયુ આકાશે આકાશમાં વિસ્તરતો રહે છે. તારા સંગીતનું પવિત્ર ઝરણું ભલભલા પત્થર જેવા અવરોધો ભેદીને પણ અનવરત વહેતું રહે છે.

મારું હૃદય તારા ગીતમાં જોડાવા તો ઝંખે છે પણ અવાજ માટે નિરર્થક પ્રયાસ કરે છે. હું બોલવા તો જાઉં છું પણ મારા બોલ ગીતમાં પરિણમતા નથી, અને હું મૂંઝાઈને રડી પડું છું. આહ, મારા માલિક ! તારા સંગીતની અંતહીન જાળમાં તેં મારા હૃદયને બંદી બનાવ્યું છે.

-અનુ. વિવેક મનહર ટેલર

*

ઈશ્વરના સૂરમાં સૂર પુરાવવાની મંશા કોને ન થાય? પણ એના ગીત-સંગીતની રીત કોણ કળી શકે છે? એનું સંગીત આખા વિશ્વને રોશન કરે છે, બ્રહ્માંડમાં પ્રાણવાયુ થઈ રેલાય છે અને ભલભલા પથ્થર જેવા હૈયાને પણ ભેદી રહે છે. એના સૂરમાં તાલ પુરાવવાની વાત તો દૂર રહી, એમ કરવા જતાં આપણને તો અવાજ માટેય ફાંફા મારવા પડે છે. કારણ? કારણ એ જ કે એના અનંતગાનની જાળમાં આપણું અંતઃકરણ સદા માટે કેદ થયું છે…

Comments (7)