વર્ષો પછી મળ્યાં હતાં એ માર્ગમાં, અને-
દૃશ્યો અમારી આંખમાં ઝાંખાં હતાં અનેક.
– અનિલ ચાવડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for June, 2007

તો શું થશે? -હિમાંશુ ભટ્ટ

જીવન જો કરશે કોઈ સવાલો તો શું થશે ?
ગમશે નહીં જો કોઈ જવાબો તો શું થશે ?

રસ્તો કરી અલગ ભલે ચાલી ગયા તમે,
યાદ આવશે જો મારો સહારો તો શું થશે ?

માંગી સફર મળે અને મનગમતો સાથ હો,
આંખોમાં ઘેલછા જો સજાવો તો શું થશે ?

તું તો જગત બનાવી નિરાકાર થઈ ગયો,
ઈશ્વર અમે બનાવ્યા હજારો તો શું થશે ?

મોજાંની રીત છે, તમે લખશો એ ભૂંસશે,
તો યે કિનારે ઘર જો બનાવો તો શું થશે ?

દોડ્યા કર્યું તમે તો ખુશી દોડતી રહી,
લેશો કદી જો ક્યાંક વિસામો તો શું થશે ?

છંદોમાં, કાફિયામાં, રદીફમાં કહું છું જે,
સંકેત જો સમજશે જમાનો તો શું થશે ?

અડધી સફર થઈ નથી, લાગી રહ્યો છે ડર,
ગમશે નહીં જો સામો કિનારો તો શું થશે ?

-હિમાંશુ ભટ્ટ

હિમાંશુ ભટ્ટનું નામ હવે ગુજનેટ-જગત માટે અજાણ્યું નથી. એમની સુંદર સ્વરચિત રચનાઓ આપ એમના પોતાના બ્લૉગ- એક વાર્તાલાપ – પર માણી શકો છો. એમની ગઝલમાં ઈશ્વરના નિરાકાર હોવાની ફરિયાદો સતત સાંભળવા મળે છે. ઊર્મિની અભિવ્યક્તિની તાજગી એ એમની લાક્ષણિક્તા છે. છંદ, કાફિયા અને રદીફના સહારા લઈને કવિ હંમેશા પોતાની વાત કરતો હોય છે, પણ જમાનો એ સમજતો-સાંભળતો નથી. જે દિવસે કવિતાની બે પંક્તિઓની વચ્ચે લખાયેલી કવિની આત્મકથા જમાનો વાંચી શક્શે એ દિવસે  કયામત મચી જશે, એ વાત અહીં કેવી મસૃણતાથી એમણે કરી છે!

Comments (4)

અલવિદા, સુરેશભાઈ !

આજથી લગભગ એક વર્ષ પહેલા સુરેશભાઈ લયસ્તરોમાં જોડાયા હતા અને લયસ્તરોની મહેફીલમાં એ પોતાનો રસ ઉમેરતા રહ્યા હતા. છેલ્લા થોડા વખતથી એ ઉંઝા જોડણીના રંગે રંગાતા જતા’તા એનો તો મને ખ્યાલ હતો. પણ એમનો આ નવો પ્રયોગ એમના માટે કેટલો પ્રિય થઈ ગયો છે એની મને જાણ નહોતી.

આ અઠવાડિયે અચાનક એમણે પત્ર લખીને મને જણાવ્યું કે –

“મને લાગે છે કે જો હવે હું પરંપરાગત જોડણીમાં લખવાનું ચાલુ રાખીશ તો હું ઉંઝા જોડણી તરફના મારા લગાવને અન્યાય કરી રહ્યો છું … બે અલગ જોડણી વપરવાનું મારા માટે મુશ્કેલ છે. એ મારા માટે માનસિક યાતના છે. એટલે હું લયસ્તરોમાંથી તરત જ છૂટો થઈ જવા માગું છું.”

લયસ્તરોમાં લખવાનું સુરેશભાઈ ભલે છોડી શકે પણ કવિતાની રંગત તો એ કદી છોડી શકવાના નથી એ ચોક્કસ વાત છે. અને ગુજરાતી કવિતાના ચાહક તરીકેનો સંબંધ તો કદી ભૂંસાઈ શકવાનો નથી. ન તો હું ભાષાવિદ્ છું કે ન તો મને જોડણીનો મોટો અભ્યાસ છે. એ વિષય પર મારું જ્ઞાન તદ્દન સિમિત છે. આ પરંપરાગત વિ. ઉંઝા જોડણીના વિવાદમાં હું મારી તતૂડી વગાડવાની ગુસ્તાખી કરું તો મૂરખ જ ઠરું. હું તો મને જે ગમે એ રસ્તા પર ચાલુ છું. અને આ ઉંઝા જોડણી હજુ મારી આંખને કે મારા દિલને ગમતી નથી.

જ્યારે જ્યારે હું કોઈ મિત્ર સાથે સહમતિ સાધી શક્તો નથી ત્યારે હું ફ્રેંચ વિચારક વોલ્ટેઈરની આ વાત કહું છું.

I do not agree with what you have to say, but I’ll defend to the death your right to say it.

સુરેશભાઈ, આજે હું તમને પણ એ જ વાત કહું છું. લયસ્તરો તરફથી, હું અને વિવેક બન્ને, તમને સફળતા ઈચ્છીએ છીએ.

Comments (4)

છું – રાજેન્દ્ર શુક્લ

હું તો ધરાનું હાસ છું,
હું પુષ્પનો પ્રવાસ છું,
નથી તો ક્યાંય પણ નથી
જુઓ તો આસપાસ છું !

– રાજેન્દ્ર શુક્લ

Comments (2)

મા-અશોક ચાવડા ‘બેદિલ’

થઈ અજાણી શહેરમાં આવ્યા પછીથી મા,
આઠ આનાની ચબરખીમાં જ મળતી મા.

હાથને ચૂમી ભર્યાનો થઈ ગયો અનુભવ,
સાવ કોરી પાટીમાં જ્યાં સ્હેજ ઘૂંટી મા.

શ્વાસ મારા એમ કૈં અમથા વધ્યા છે ક્યાં ?
રોજ ખરચાતી રહી છે થોડી થોડી મા.

આ વખત વરસો પછી હું જઈ રહ્યો છું ગામ,
આ વખત થાકી જવાનો હું ય શોધી મા.

આજ હું ‘બેદિલ’ રડ્યો ત્યારે થઈ છે જાણ,
ખૂબ ભીંજાતી હતી મારામાં કોરી મા.

-અશોક ચાવડા ‘બેદિલ’

મા વિશે ઘણા લેખકો અને કવિ લખી ચૂક્યા છે અને એવું ઉત્તમ અને એટલું બધું લખી ચૂક્યા છે કે લાગે, હવે મા વિશે વધુ લખવું કદાચ અશક્ય જ છે. પણ મા આજે પણ એક એવી અનુભૂતિ છે આ સંસારની, જેને જેટલા આયામમાં નિહાળો, ઓછા જ પડે. પ્રસ્તુત ગઝલમાં પણ શહેરમાં આવીને (કે અમેરિકા આવીને !) માને ભૂલી જતા હજારો ભારતીય સંતાનોની વાત છે. આઠ આનાના અંતર્દેશીય પત્ર વડે હાથમાંથી પારાની જેમ સરકી ગયેલા પુત્રને પકડવા હવાતિયા મારતી માની વાત જ્યારે પોતાના વધેલા શ્વાસ-વધેલી આવરદા- પાછળ ખરચાઈ ગયેલ માના રોજ-બ-રોજના ત્યાગના અહેસાસ સુધી પહોંચે છે ત્યારે થાય, મા વિશે ગમે તે લખો, ઓછું જ પડવાનું. ઈશ્વર વિશે લખવાનો કદાચ અંત આવી પણ જાય, પરંતુ મા વિશેના લખાણ માટે તો नेति… नेति… જ કહેવું પડે…

Comments (15)

ગીત – મણિલાલ હ. પટેલ

એકલતાઓ એમ વરસતી જાણે કે ચોમાસું
સાંજ પડે જેમ દીવા પ્રગટે એમ પ્રગટતાં આંસુ …

દૂર દેશની માયા ચીંધી લઈ લીધો મેવાડ
વર્ષો ઊંચાં વૃક્ષો આપી છીનવી લીધા પ્હાડ
મારામાંથી મને મૂકીને કોણ વળે છે પાછું … સાંજ પડે જેમ…

કલરવ પીંછાં સીમ ગામડાં યાદ મને છલકાવે
જીવવાની અફવાઓ પંખી શહેરોમાં ફેલાવે
છાતી વચ્ચે ઊમટી પડતું ઇડરિયા ચોમાસું… સાંજ પડે જેમ…

પીળાં પાંદડાં એમ ખરે છે ખરતું જાણે વ્હાલ
સાદ પાડતું કોણ મને એ ? પ્રગટે કેવા ખ્યાલ ?
તિમિરની કેડી પકડીને દૂર કેટલે જાશું ?… સાંજ પડે જેમ…

– મણિલાલ હ. પટેલ

Comments (5)

ગઝલ – એસ. એસ. રાહી

દરિયાને તુચ્છ કહેવા તળિયા સુધી જવું છે
અથવા કોઈ સુખીના નળિયા સુધી જવું છે

સંસારના ભ્રમણની શી છે જરૂર મારે
હું તો પ્રવાસી ઘરનો, ફળિયા સુધી જવું છે

પહોંચીને થડની ટોચે પસ્તાયો છું હું અનહદ
વીતેલ યુગને મળવા મૂળિયાં સુધી જવું છે

એ જન્મટીપનો કેદી પોતે નવલકથા છે
એના હૃદયના બારીક સળિયા સુધી જવું છે

ત્યાં ચેન છે ? મજા છે ? ઉષ્મા છે ? જાણવાને
તારા અકળ નયનના તળિયા સુધી જવું છે

– એસ. એસ. રાહી
પ્રિયાની આંખમાં સદીઓથી કવિઓ ડૂબકી લગાવતા આવ્યા છે. પણ એની પાછળનું સાચું કારણ શું છે શોધવાની રાહીસાહેબની આ રીત સાવ અનોખી છે. (મૂળ નામ : શફક્કત સૈફુદ્દીન વર્ધાવાળા, જન્મ: 28-12-1952, કાવ્યસંગ્રહ: ‘પરવાઝ’, ‘ઘટના’, ‘થાક’).

Comments (2)

એ જ મારે જોવું છે – અનિલ ચાવડા

આ વિચારો ક્યાં મને લઈ જઈ રહ્યા છે પાલખીમાં એ જ મારે જોવું છે
કોણ છે મારા નયનમાં. શ્વાસમાં ને ચામડીમાં એ જ મારે જોવું છે

કોઈ પંખીનું મજાનું ગીત, પીંછું, પાંખનો ફફડાટ અથવા કાંઈ પણ
વૃક્ષમાં છે કે નહીં ? છે તો પછી કઈ ડાળખીમાં એ જ મારે જોવું છે

આવ, મારા આંસુની ઓ તીવ્રતા તું આવ, તારી રાહમાં છું ક્યારનો
કેટલું વ્હેરી શકે છે તું મને આ શારડીમાં એ જ મારે જોવું છે

હું કશું બોલી શકું નૈ, સાંભળી પણ ના શકું, સ્હેજે વિચારી ના શકું
કોણ આ રીતે મને બાંધી ગયું છે લાગણીમાં એ જ મારે જોવું છે

કોઈ બાળક જેમ પાછો જીદ લઈ બેઠો સમય, એક જ રટણ બોલ્યા કરે
‘કૃષ્ણ જમના સોંસરા જે નીકળ્યા’તા છાબડીમાં એ જ મારે જોવું છે.’

-અનિલ ચાવડા

છંદના પ્રચલિત આવર્તનો કરતાં એક કે બે આવર્તન વધુ વાપરીને ગઝલને થોડી લાંબા બહેરની કરીને ધ્યાનાકર્ષક બનાવવું એ પણ એક ખૂબી છે. “ગાલગાગા”ના સામાન્યત: વપરાતા ચાર આવર્તનોમાં બે બીજા ઉમેરી અનિલ ચાવડાએ આ ગઝલને ગેયતાનો અલગ જ થડકો બક્ષ્યો છે. આવી જ અને આ જ છંદમાં એક વધારાનું આવર્તન ઉમેરેલી એમની એક ગઝલ આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો. લાંબી બહેરની આવી ગઝલો લખવાની ‘માસ્ટરી’ જવાહર બક્ષીની કલમમાં પણ જોવા મળે છે. અત્રે પ્રસ્તુત ગઝલ વિશે જો કે એક વાત જરૂર કહીશ, કે બહેર લાંબી કરવાના આયાસ આખી ગઝલમાં એવી રીતે ઓગળી ગયા છે કે આખી કૃતિ ખૂબ જ આસ્વાદ્ય બની રહી છે અને એ જ છે કવિની સાર્થક્તા…

Comments (15)

ચંદ્ર – કુસુમાગ્રજ

એવા અનેક ચંદ્ર
આવી ગયા
ચાંદની આપી ગયા
પણ ચાંદની આપવા માટે
તેમણે માગ્યું હતું મૂલ્ય
મારા આકાશનું.
પણ તારો ચંદ્ર
એટલો આત્મમગ્ન
અને નિ:સ્વાર્થ
કે તેણે મારું
આકાશ તો ઠીક
પણ મારો અંધકાર પણ
માંગ્યો નહીં.

– કુસુમાગ્રજ (અનુ. જયા મહેતા)

Comments (1)

કાવ્યત્રયી – મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

બાપુ

બાપુએ જોયું
આદર્શ ભારતનું સ્વપ્ન
ભારતે બાપુને જ
આદર્શ સપનું બનાવી દીધા !

ફૂલો

સુગંધનુંયે વજન
ન ઊંચકી શક્તાં ફૂલો
સુગંધને પ્રસારી દે છે હવામાં.

મા

ધરતી પણ મા છે ને !
એ લાકડી ઉગામે તોયે
શેરડી રૂપે !

– મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

ભુજમાં રહેતા આ કવિ લઘુકાવ્યો ઉપર મજાની હથોટી ધરાવે છે. આ ત્રણ લઘુકાવ્યમાં કયું ચડિયાતું છે એ નક્કી કરવું દોહ્યલું બની રહે તેમ છે. (જન્મ: 14-05-1951, કાવ્યસંગ્રહ: ‘ઑગન’.)

Comments (2)

ગઝલ – – ગણપત પટેલ “સૌમ્ય”

રોજ ઊઠી કેમ કરવો સામનો?
ચાલ, તોડી નાંખીએ આ આયનો!

ડર નથી વધઘટ થતી પરછાંઈનો,
અર્થ સમજાઈ ગયો ધૂપ-છાંવનો

દોડવું જીવન, અટકવું મોત છે,
ના સમય ફુરસદ અને આરામનો.

જિંદગીથી પર ઘડીભર જીવીએ,
પ્રશ્ન તો કેવળ રહે એક જામનો.

લોકમાં જેના વિશે શંકા હતી,
સૌમ્યમાણસ નીકળ્યો એ કામનો.

ગણપત પટેલ “સૌમ્ય”

નાની-નાની પંક્તિઓમાં અને સરળ મજાના શબ્દોમાં મસમોટી વાત કહી જાય એ કવિતા. સૌમ્ય ઉપનામ ધરાવતા આ કવિની શબ્દાવલિઓ પણ એવી જ સૌમ્ય છે અને તરત હૃદયના ઊંડાણ સુધી ટકોરા મારી આવે એવી મજાની છે. આ માણસ સાચે નીકળ્યો કામનો !

ટાઈપસૌજન્ય: સાગરિકા પટેલ

Comments (4)

જોઈએ – શૂન્ય પાલનપુરી

મોતની તાકાત શી મારી શકે?
જિંદગી તારો ઈશારો જોઈએ
જેટલે ઊંચે જવું હો માનવી
તેટલા ઉન્નત વિચારો જોઈએ

– શૂન્ય પાલનપુરી

Comments (3)

વળતાં… – રમેશ પારેખ

ઘણી      ઝડપથી       ઘેરે    પાછા    વળવાનું    છે,
ડૂબી જતો આ સૂરજ કહે છે : હવે અલ્પ ઝળહળવાનું છે.

જલદી     ડાંફો    ભરીભરીને     રસ્તો    ટૂંકો    કરીએ,
પવન    લહરમાં    તરતાંતરતાં   એમ જ પાછા ફરીએ,
પછી   સમયનો   ટેકો  લઈને સુખશય્યામાં  ઢળવાનું છે.

રાત્રિ   મૂકશે    હાથ   હળુકથી    થાકેલા    લોહી  પર,
અંધારું   પણ    પર્વ    ઊજવશે  સઘળાં  ગાત્રો ભીતર,
પછી   ઊંઘમાં  એ  રજવાડી  સ્વરૂપ  પાછું મળવાનું છે.

– રમેશ પારેખ

પરમ સખા મૃત્યુની અહીં વાત છે. ર.પા.ના શબ્દોનો જાદૂ અહીં જુઓ. મૃત્યુની ઘડીની વાત કેવી અદભુત રીતે કરી છે – રાત્રિ મૂકશે હાથ હળુકથી થાકેલા લોહી પર ! આગળ રજૂ કરેલી આ જ વિષય પરની કવિતાઓ પણ સાથે જોશો… મૃત્યુ ન કહો – હરીન્દ્ર દવે, મરતા માણસની ગઝલ – ઉદયન ઠક્કર અને શોભિત દેસાઈનું મુક્તક.

Comments (3)

ગઝલ – વંચિત કુકમાવાલા

દૃશ્ય જેવાં દૃશ્યને ફોડી શકે તો ચાલ તું!
દૂર સન્નાટા સુધી દોડી શકે તો ચાલ તું!

કોઈ બાળક જેમ આળોટે અકારણ ધૂળમાં,
શ્વાસ તારા એમ રગદોળી શકે તો ચાલ તું!

વસ્ત્ર પાદર પર ઉતારી નાખવા તો ઠીક છે,
ઘર, ગલી ને ગામ તરછોડી શકે તો ચાલ તું!

મૌન ક્યાં છે મૌન, તિરાડો પડે છે હોઠ પર,
છેક અંદર ચીસને તોડી શકે તો ચાલ તું!

અંત ‘વંચિત’ અંત સામે આ ઊભો છે, લે હવે,
જીવવાની ઘેલછા છોડી શકે તો ચાલ તું!

-વંચિત કુકમાવાલા

ભુજના કુકમા ગામમાં જન્મેલા વંચિત કુકમાવાલાની આ ગઝલ કવિની સાથે ચાલી નીકળવાના પડકારના કારણે વધુ આસ્વાદ્ય બની રહી છે. બાળકના અકારણ ધૂળમાં આળોટવાની વાત અને વસ્ત્રને પાદર પર છોડી નીકળવાની વાત વધુ ગમી ગઈ. (જન્મ: 12-04-1955, કાવ્યસંગ્રહ: “એક આંખમાં સન્નાટો”)

ટાઈપસૌજન્ય: સાગરિકા પટેલ, વેરાવળ

Comments (3)

ગઝલ- ગિરીશ મકવાણા

તારા ગયાના કેટલા મીનિંગ થઈ શકે ?
ઝળહળતો હોય સૂર્ય  ને ઇવનિંગ થઈ શકે.

ત્રાટકતી હોય વેદનાની વીજળી સદા,
કાગળમાં શબ્દ તારથી અર્થિંગ  થઈ શકે.

સ્કૂટરની બેકસીટથી ડોકાઈ જાય તે,
ખાલીપો ફ્રંટ-ગ્લાસથી ફીલિંગ થઈ શકે.

એનાલિસિસ ફૂલનું કરતું રહ્યા પછી,
ક્યાંથી લીલેરી મ્હેંકનો સ્પેલિંગ થઈ શકે?

ઑગાળી તારી યાદનો  આઈસ હાથમાં,
હોવાના હંસથી પછી સ્વિમિંગ થઈ શકે.

-ગિરીશ મકવાણા

ગુજલીશ ગઝલોનું પણ એક પોતીકું વિશ્વ છે. અદમ ટંકારવીએ  ‘કોઈન’ કરેલા આ પ્રકાર પર ઘણા કવિઓએ હાથ અજમાવી જોયો છે. ગિરીશ મકવાણાની આ ગઝલ વાંચતાની સાથે ગમી જાય એવી ફાઈન છે. ખાલીપો પાછળની સીટ પરથી ફ્રંટ-મિરરમાં ડોકાવાની વાત વાંચતાની સાથે ગમી જાય એવી છે.

Comments (3)

પ્રેમ અને કવિતા – અખિલ શાહ

ગઈકાલે,
મારી
ખૂબ મહેનતથી લખેલી
બધી
છંદોબદ્ધ
પ્રેમ-કવિતાઓ,
અઘરા શબ્દોની
ચિતા સળગાવીને
સતી થઈ ગઈ છે.

બીજું કાંઈ થયું
નથી,
મને પ્રેમ થયો છે.

– અખિલ શાહ

પ્રેમ કરવો અને પ્રેમ-કવિતાઓ લખવી એ અલગ બાબત છે. પ્રેમના પહેલા પગરવે પ્રેમ-કવિતા પરનો પ્રેમ ભાગી છૂટે એમ પણ બને ! પ્રેમની અનુભૂતિના પગલે અઘરા શબ્દો અને ક્લિષ્ટ છંદોમાં રાચતી કવિતા ખરી પડે એ વાત મને તો તદ્દન સાચી જ લાગે છે, તમને શું લાગે છે ? વળી, અઘરા શબ્દો અને ક્લિષ્ટ છંદો ખરી પડે પછી જે બાકી રહે એ જ શું ખરેખર કવિતા નથી ?

Comments (9)

નહીં આવે – જલન માતરી

દુઃખી થાવાને માટે કોઇ ધરતી પર નહીં આવે;
હવે સદીઓ જશે ને કોઇ પયગમ્બર નહીં આવે.

છે મસ્તીખોર, કિંતુ દિલનો છે પથ્થર, નહીં આવે;
સરિતાને કદી ઘરઆંગણે સાગર નહીં આવે.

ચમનને આંખમાં લઇને નીકળશો જો ચમનમાંથી,
નહીં આવે નજરમાં જંગલો, પાધર નહીં આવે.

અનુભવ પરથી દુનિયાના, તું જો મળશે કયામતમાં,
તને જોઇ ધ્રુજારી આવશે, આદર નહીં આવે.

દુઃખો આવ્યાં છે હમણાં તો ફકત બેચાર સંખ્યામાં,
ભલા શી ખાતરી કે એ પછી લશ્કર નહીં આવે.

હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે.

આ બળવાખોર ગઝલો છોડ લખવાનું ‘જલન’ નહીંતર,
લખીને રાખજે અંજામ તુજ સુંદર નહીં આવે.

કરીને માફ સ્નેહીઓ ઉઠાવો એક બાબત પર,
’જલન’ની લાશ ઊંચકવા અહીં ઇશ્વર નહીં આવે.

– ‘જલન’ માતરી

મૂળ નામ અલવી જલાલુદ્દીન સઆદુદ્દીન – ખુમારી અને ખુદ્દારીથી ભરેલી ગઝલોના સર્જક, મુશાયરોમાં હુકમના પત્તા જેવા. આ ગઝલ શ્રી. મનહર ઉધાસે તેમના મધુર સૂરમાં ગાયેલી છે.

Comments (5)

ભુલી જવાનો હું જ – કૈલાસ પંડિત

ભુલી જવાનો હું જ, એ કહેતા હતા મને,
એવું કહીને  એજ તો ભુલી ગયા મને.

પૂછ્યું નથી શું કોઇએ, મારા વિશે કશું?
તારા વિશે તો કેટલું પૂછે બધા મને!

ખોબો ભરીને ક્યાંયથી, પીવા મળ્યું નહિ,
દરિયો મળ્યો છે આમ તો, ડૂબી જવા મને.

થાકી ગયો તો ખૂબ કે ચાલી શકત ન હું,
સારું થયું કે લોક સહુ ઊંચકી ગયા મને.

કૈલાસ પંડિત

શ્રી. મનહર ઉધાસે બહુ જ સરસ સ્વરરચનામાં આ ગઝલ ગાઇ છે.

Comments (1)

લાગે છે મને – ચિનુ મોદી

લાગણીની બીક લાગે છે મને
વાત એ પણ ઠીક લાગે છે મને
પાણીમાં ચહેરાને જોયો એ પછી
દર્પણો દાંભીક લાગે છે મને !

– ચિનુ મોદી

Comments (1)

સત્ય – કનૈયાલાલ સેઠિયા

રસ્તો
પગનો
શિષ્ય છે.

જેઓ
ગણે છે
એને ગુરુ
એમને

નથી
મળતો
મુકામ !

– કનૈયાલાલ સેઠિયા
(અનુ. કિશોર શાહ)

તેર શબ્દોમાં તો કવિએ આખી જીંદગી ચાલે એટલું ભાથું ભરી દીધું છે ! એક રીતે જુવો તો આ કવિતાનો બૃહત અર્થ રોબર્ટ ફ્રોસ્ટની વિખ્યાત કવિતા The Road Not Taken ને મળતો આવે છે. એ કાવ્ય પણ જોવાનું ચૂકશો નહીં.

Comments (4)

પારિજાત છીએ – ભગવતીકુમાર શર્મા

અમે તો તત્ત્વની સાથેના તાલ્લુકાત છીએ,
અમે અમારાપણા અંગે અલ્પજ્ઞાત છીએ.

અમે સુગંધનો સોના પે દ્રષ્ટિપાત છીએ,
ધરો જો મૂર્તિને ચરણે તો પારિજાત છીએ.

ફળે જો સ્વપ્ન તો ઝળહળ અમે પ્રભાત છીએ,
તૂટે જો સ્વપ્ન તો ફૂલોનો અશ્રુપાત છીએ.

અમે ફલાણા ફલાણા નથી, ફલાણા નથી,
અમે તો જે છીએ તેવા જ જન્મજાત છીએ !

છે વ્યર્થ શોધ અમારી સળંગ હસ્તીની,
અમે આ વિશ્વમાં કેવળ પ્રસંગોપાત્ત છીએ.

સમુદ્રમોજું ધસે ત્યાં સુધી તો ક્ષેમકુશળ,
અમે તો રેત પે ચીતરેલી રમ્ય ભાત છીએ !

યમુના હો કે હો દરિયો થઈ જશે રસ્તો,
અમે પ્રભુનાં ચરણ પરનો પક્ષપાત છીએ.

-ભગવતીકુમાર શર્મા

ઈશ્વરના ચરણ પરનો પક્ષપાત હોવાની જેને શ્રદ્ધા છે એને કોઈ દરિયો કે નદી માર્ગ આપવાનું ચૂકતી નથી… કેવી સુંદર રજૂઆત! ભગવતીભાઈની આ ગઝલ એમની શિરમોર ગઝલોમાંની એક છે. પોતાના હોવા અંગેના અલગ-અલગ કલ્પનો લઈને આવતા દરેક શેર વારંવાર મમળાવવાનું મન થાય એવા સ્વાદિષ્ટ બન્યા છે. ( સુરતી કવિની ગઝલને વખાણવી હોય તો ‘સ્વાદિષ્ટ’થી વધારે મૂલ્યવાન બીજો કયો શબ્દ હોઈ શકે અને પાછો વખાણનાર પણ સુરતી જ હોય ત્યારે તો…. !)

Comments (4)

તડકાનું નામ – મહેન્દ્ર જોશી

હું તો માછલીની આંખોમાં ખરતાં રે આંસુનું ખારું તે ઝાડવું,
છાંયે બેસીને હવે તડકાનું નામ નથી તડકો રે પાડવું.

મોતીની જેમ જરા સાચવીએ છીપમાં પરપોટા જેવી આ જાતને,
સૂરજનું કાળઝાળ બળવું તો ઠીક હવે જોવી છે ઘેરાતી રાતને.
અમથાં રે મોજાંના ભણકારા સાંભળી વાસેલું દ્વાર શે ઉઘાડવું?
છાંયે બેસીને હવે તડકાનું નામ નથી તડકો રે પાડવું.

જળમાં ભીંજાઉં તો જળમાંથી કેમ હવે અળગી થઈ જાઈ છે ભીનાશ રે?
આંખોને શાપ કૈં એવા રે લાગતા કે ઝાડમાંથી જાય છે લીલાશ રે!
ભૂલા પડેલ કોઈ પંખીને કેમ હવે આંસુનું વન આ ચીંધાડવું,
છાંયે બેસીને હવે તડકાનું નામ નથી તડકો રે પાડવું.

-મહેન્દ્ર જોશી

કેટલીક કવિતા એવી હોય છે કે પહેલીવાર વાંચો ત્યારે માત્ર અડે અને ફરી-ફરીને વાંચો તો એમાંથી નવા-નવા અર્થના આકાશ ઊઘડતા રહે. કેટલાક કાવ્ય એવાં હોય છે જે વાંચતાની સાથે અડી તો જાય જ, સમજાઈ પણ જાય. અને કેટલીક કવિતા વળી એવી હોય છે કે પહેલી નજરનાં પ્રેમ સમી અડી તો તરત જ જાય પણ પછી સમય સાથે જેમ પ્રેમના, એમ એ કવિતાના અર્થ પણ જેટલીવાર વાંચો, બદલાતા લાગે. મહેન્દ્ર જોશીનું આ ગીત આ ત્રીજા પ્રકારની કવિતાના સ-રસ ઉદાહરણ તરીક ગણી શકાય… વાંચો… મમળાવો અને ગાઓ…

ટાઈપસૌજન્ય: સાગરિકા પટેલ, વેરાવળ.

Comments (1)

મારે માણસ નથી બનવું – નીરવ પટેલ

જંતુ બનીને જીવવું ક્બૂલ છે-
મારે માણસ નથી બનવું.

મારે ઓછામાં ઓછી ઇન્દ્રિયો ચાલશે-
હું અમીબા બનીને જીવીશ.

મારે નથી જોઇતી પાંખો –
મારે આકાશ નથી આંબવું.

હું પેટે ઢસડાઇશ-
સાપ ગરોળી થઇને.

ભલે ફંગોળાઉં આકાશે-
ઘાસ કે રજકણ બનીને.

અરે, હું ક્રુઝોના ટાપુ પર-
ફ્રાઇડે બનીને જીવીશ.

પણ મારે માણસ નથી બનવું.
મારે અસ્પૃશ્ય માણસ નથી બનવું.
મારે હિન્દુ માણસ નથી બનવું.
મારે મુસ્લિમ માણસ નથી બનવું.

નીરવ પટેલ

દલિતોની વેદનાને વાચા આપતી નીરવ પટેલની દરેક રચનામાં સામ્પ્રત સમાજ વ્યવસ્થા પર તીવ્ર આક્રોશ હોય છે.

Comments (2)

એને તમે શું કહેશો ? – પન્ના નાયક

તરફડાટ એટલે ? –
તમે કહેશો,
જલની બહાર આણેલા
કોઈ મીનને પૂછી જુઓ !

પણ ઘૂઘવતા ઉદધિના ભીતર
જે
કોરું કોરું તરફડે,
એને તમે શું કહેશો ?

– પન્ના નાયક

જે પાણી વિના તરફડે એ માછલાને તમે પાણીથી છાનું રાખો પણ જે માછલી આખા ભરેલા સાગર વચ્ચે તરફડતી હોય એનો તો વળી શો ઉપાય કરવો ? ભરેલા ભંડાર વચ્ચે અંદરની તડપતા મનની વાત અહીં બહુ ધારદાર રીતે કરી છે. આ વાંચીને તરત એકલતાના ઉપનિષદ જેવું મુકુલ ચોકસીનું આ મુક્તક યાદ આવી ગયું.

જેને ખાલીપો લાગે છે પળભર
તેઓ ગમતું કશુંક અડી લે છે
જે ભયાનક રીતે અટૂલા છે
તે તો ટોળામાં પણ રડી લે છે.

Comments (2)

ડરતો નથી હું – સુધીર દવે

દેખી કબરને ડરતો નથી હું.
શ્વાસો મરણના ગણતો નથી હું.

સાથી છે અંતે મૃત્યુની નગ્નતા,
વસ્ત્રો સમયના વણતો નથી હું.

ઇંટોની સાથે છે ભાઇબંધી,
ખોટી દિવાલો ચણતો નથી હું.

મારું ગગનને આપી દીધું છે,
પાંખો કપાવી ઉડતો નથી હું.

દર્પણથી આખું ઘર ઝળહળે છે,
ચ્હેરો બતાવી નડતો નથી હું.

દરિયાની સાથે દોસ્તી નિભાવી,
મરજીવા માફક તરતો નથી હું.

કાદવના ઘરમાં રહીને કમળવત્
ભમરાનું ગુંજન હણતો નથી હું.

લોકો ભલેને સીગરેટ ફૂંકે,
બંસી મહીં ધુમ્ર ભરતો નથી હું.

દુનિયા ભલે હો શતરંજનો ખેલ,
પાનાં છુપાવી છળતો નથી હું.

-સુધીર દવે

સપ્ટેમ્બર – 2006

ડલાસમાં રહેતા સુધીરભાઇ, કવિ હોવા ઉપરાંત સારા બંસીવાદક પણ છે, તે છેલ્લેથી બીજા શેરમાં જણાઇ આવે છે !

Comments (2)

ચાલી નીકળો – ઉમેશ ઉપાધ્યાય

અણગમતો આવાસ ત્યજીને, ચાલી નીકળો
જીવ્યાનો આભાસ ત્યજીને, ચાલી નીકળો
ક્યાં લગ રહેશું આ રીતે મોહતાજ હવાના ?
ચાલો અહીંથી શ્વાસ ત્યજીને, ચાલી નીકળો

– ઉમેશ ઉપાધ્યાય

Comments (2)

શબ્દ રામરોટી છે – રાજેન્દ્ર શુક્લ

રાતદિન ભરી બખિયા ઝીણું ઝીણું ઓટી છે,
પામવા પરા-કાષ્ઠા, પ્યાસને પળોટી છે.

કોણ કો’ક કેતું’તું કે બડી કસોટી છે,
આ મૂકું લો ખિસ્સામાં, ક્ષણ ફકત લખોટી છે!

લાખ પૂછશો તો યે એ કશું ન કહેવાના,
જેણે એક વેળા પણ વેદના વળોટી છે!

એક પળ નહીં લાગે, હાલશું ખખેરીને,
મોજમાં જરા અમથી જાત આ રજોટી છે!

ઘૂઘરા પગે ઘમકે, આભની અહાલેકે,
શ્વાસની ખભે કાવડ, શબ્દ રામરોટી છે!

– રાજેન્દ્ર શુક્લ
(‘ઘિર આયી ગિરનારી છાયા’)

૨ જૂને અમદાવાદમાં ગુજરાતી ભાષાના ઉત્કૃષ્ટ સર્જક – કવિવર રાજેન્દ્ર શુક્લને ગુજરાતી સાહિત્યનું સર્વોચ્ચ સન્માન – રણજિતરામ સુવર્ણચંદ્રક – પ્રદાન કરવામાં આવ્યો. ગયા વર્ષે નરસિંહ મહેતા પુરસ્કાર એમને અર્પણ થયેલો. આ પ્રસંગે શબ્દના આ પરમ ઉપાસકની એક ગઝલ આજે માણીએ.

આ ગઝલ માટે પંચમ શુક્લ લખે છે : ૧૯૮૦ માં દાહોદની નવજીવન આર્ટસ કોલેજમાંથી રાજેન્દ્ર શુક્લ (સંસ્કૃતના પ્રાધ્યાપક) અને એમના પત્ની નયના જાની (અંગ્રેજીના પ્રાધ્યાપક, ગોલ્ડ મેડલીસ્ટ) સાંપ્રત શિક્ષણ પ્રણાલીને તિલાંજલી આપી, પોતાનાં પુત્રો ધૈવત અને જાજવલ્યને શાળાનાં શિક્ષણને બદલે ઘરે પોતીકાં શિક્ષણની વિભાવના સાથે માત્ર કલમને ખોળે બેસે છે કદાચ એ અરસામાં લખાયેલી આ ગઝલ છે.

Comments (7)

ગઝલ – લક્ષ્મી ડોબરિયા

છીપ મોતીની કણસ મેં સાચવી છે,
બંધ મુઠ્ઠીમાં જણસ મેં સાચવી છે.

ઝાંઝવા દોડ્યા હતા મીટાવવા પણ,
સાત દરિયાની તરસ મેં સાચવી છે.

ફૂલ, કુંપળ, પાંદડા તે સાચવ્યા ને,
પાનખર વરસોવરસ મેં સાચવી છે.

લાલપીળા રંગ ઘોળીને નજરમાં,
સાંજની પીડા સરસ મેં સાચવી છે.

કલમ, કાગળ અને એકાંત જેવી,
બસ, અમાનત આઠદસ મેં સાચવી છે.

લક્ષ્મી ડોબરિયા

ટાઈપસૌજન્ય : સાગરિકા પટેલ, વેરાવળ

Comments (1)

લઘુકાવ્ય – હરીશ દવે

રક્તિમ પીળું,
કેસરિયાળું,
બિન વાદળ નભ,
નીરવ, સ્તબ્ધ !
જો ! સૂર્ય અસ્ત !

-હરીશ દવે

હરીશ દવે નામ નેટ-ગુજરાતીઓ માટે નવું નથી. મધુસંચય, અનામિકા, અનુભાવિકા, અનુપમા જેવા ચાર-ચાર અલગ પ્રકારના બ્લૉગ નિયમિતપણે એકલા હાથે ચલાવે છે. ‘મુક્તપંચિકા’ નામે તાન્કા જેવો ભાસતો કાવ્યપ્રકાર એમણે પ્રચલિત કરવાની કોશિશ કરી છે. આજ મુક્તપંચિકા લઘુકાવ્યના નામે ગુજરાતી ભાષાના એક જમાનાના સૌથી વધુ પ્રતિષ્ઠિત ગણાતા ‘કુમાર’ માસિકના મે-2007ના અંકમાં પ્રસિદ્ધ થઈ છે. હરીશભાઈને લયસ્તરો ટીમ તરફથી હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ…

Comments (7)

આપણી વચ્ચે – સુરેશ દલાલ

આપણી વચ્ચે કાંઈ નથી ને આમ જુઓ તો જોજન છે.
તું કોઈ ખુલાસો આપ નહીં તને મૌનના સોગંદ છે.

સમજું છું એથી તો જોને
ચૂપ રહેવાની વાત કરું છું
ધુમ્મસ જેવા દિવસોની હું
ઘોર અંધારી રાત કરું છું

વાસંતી આ હવા છતાંયે સાવ ઉદાસી મોસમ છે.
આપણી વચ્ચે કાંઈ નથી ને આમ જુઓ તો જોજન છે.

હવે વિસામો લેવાનો પણ
થાક ચડ્યો છે
આપણો આ સંબંધ
આપણને ખૂબ નડ્યો છે.

આમ જુઓ તો ખુલ્લેઆમ છે ને આ જુઓ તો મોઘમ છે.
તું કોઈ ખુલાસો આપ નહીં તને મૌનના સોગંદ છે.

-સુરેશ દલાલ

Comments (2)