કોને દઈએ આળ?
થાય તે બધું કરનારો તો આખર પેલો કાળ!
– કિરીટ ગોસ્વામી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for August, 2006

પત્થરનો ઇશ્વર – કૃષ્ણ દવે

મંદિર ભીતર છપ્પન છપ્પન ભોગ લગાવી,
આ પત્થરનો ઇશ્વર શાના જલસા મારે?
ને મંદિરની બહાર ભભુક્યા કરતી,
આ જઠરોની જ્વાળા,
કોઇ ન ઠારે? કોઇ ન ઠારે?    

સોનાના હિંડોળા હો, કે હો મખમલના ગાદીતકિયા,
પત્થરની આંખોને તે કંઇ નીંદર આવે?
અરે જુઓ આ મખમલ જેવા બાળકને,
પાષાણ પથારીમાંયે કેવાં
જાતજાતનાં સપનાં આવે?
ભલે પછી એ દોડ્યે રાખે,
આખું જીવતર આ ખાંડાની ધારે ધારે.
એવે ટાણે પુષ્પોના નાજુક સથવારે,
આ પત્થરનો ઇશ્વર શાના જલસા મારે?

લજ્જા શેરી વચ્ચે આવી સ્વયં વસ્ત્રની ખોજ કરે છે,
ને વસ્ત્રોના હરનારા બેઠાબેઠા કેવી મોજ કરે છે.
અને કાળ પણ આ ઘટનાનું પુનરાવર્તન રોજ કરે છે.
એવે ટાણે લીલાંપીળાં, લાલગુલાબી,
વસ્ત્રોની જૂઠી ભરમારે,
આ પત્થરનો ઇશ્વર શાના જલસા મારે?

જ્યાં બાળક પહેલા સ્તનપાને, દૂધ નહીં પણ દુઃખ પીએ છે,
જ્યાં જીવન ડગલે ને પગલે,
મધમાખીશા ડંખ જીવે છે,
અને વલોવી ઇચ્છાઓને,
બાળી બાળી જાત સીવે છે.
એવે ટાણે પંચામૃતની મીઠી ધારે,
આ પત્થરનો ઇશ્વર શાના જલસા મારે?

– કૃષ્ણ દવે

આ કાવ્યમાં પત્થરની મૂર્તિને સ્વાર્થી લાલસાઓમાં ભજી ભજીને પત્થર જેવા થઇ ગયેલા- ઇશ્વરનો અંશ મનાતા – આપણા આત્માને સંબોધન છે. મગરની ચામડી જેવી થઇ ગયેલી આપણી સંવેદનશીલતા ઉપર કવિનો આ તીવ્ર આક્રોશ છે. આપણે ક્યારે આપણી અંદર રહેલા પત્થરના એ ઇશ્વરને તજીને આ રડતા ઇશ્વરને સાંભળીશું?

Comments (3)

છેવટે – મુકુલ ચોકસી

એક  ઠંડી   નજરથી   થીજે  છે
જે ન થીજ્યાં’તાં હિમપ્રપાતોમાં
સાત  સાગર  તરી જનારા પણ
છેવટે     લાંગર્યા    અખાતોમાં

– મુકુલ ચોકસી

Comments (2)

આઈ લવ યુ, પપ્પા !

પ્રિય પપ્પા,

તમે આમ અચાનક અને આટલા જલ્દી અમને છોડીને ચાલ્યા જશો એવી આશા તો અમને ક્યાંથી હોય ? ફક્ત બે મિનિટ… મૃત્યુને ગળે લગાડવાની આટલી ઉતાવળ ? મારા હાથમાં પસાર થયેલી એ બે મિનિટ, થોડા શ્વાસ અને મોનિટર પર ઝબકેલા થોડા ધબકારા… એડ્રીનાલિન, એટ્રોપીન, ઈંટ્રાકાર્ડિયાક ઈંજેક્શન, કૃત્રિમ શ્વાસ અને હૃદયનું પમ્પીંગ… એક ડૉક્ટરને ખબર હતી કે આ બધી કસરત વ્યર્થ હતી કેમકે જે શરીર પર એ મહેનત કરી રહ્યો છે એમાંથી ચેતન તો ક્યારનું ય વહી ગયું છે પણ એક પુત્ર જાણે એ બે મિનિટના શ્વાસમાંથી એક આખી જિંદગી ખેંચી આણવા મથતો હતો…

મૃત્યુ મારે માટે કોઈ મોટી ઘટના નથી. સિવીલ હૉસ્પિટલથી શરૂ કરીને આજદિન લગી કંઈ કેટલાય લોકોને મરતા જોયા છે અને કેટલાંય લોકોએ તો આ હાથમાં જ દમ તોડ્યો છે. મને તો પૂરેપૂરો વિશ્વાસ હતો કે કોઈપણ સગાનું મૃત્યુ મને લગીરે વિચલિત નહીં કરી શકે. અને આ ત્રણ દિવસોમાં હું વર્ત્યો પણ એમ જ. ત્રેવીસમીના એ ગોઝારા દિવસે પણ મેં પપ્પાના મૃત્યુના ગણતરીના કલાકોમાં જ બે દર્દી, જે મારી જ સારવાર લેવા ઈચ્છતા હતા એમને હૉસ્પિટલમાં દાખલ પણ કર્યા. કોઈપણ સગાને કે મમ્મી કે વૈશાલીને પણ રડવા ઉપર મનાઈ ફરમાવી. છૂટક-છૂટક રૂદનને બાદ કરતાં આખો પ્રસંગ કોરો રહે એની ખાસ કાળજી રાખી. કદાચ મારી સ્વસ્થતા લોકો માટે આશ્ચર્ય પણ હતી…

…શૂન્ય ધબકારા…શૂન્ય શ્વાસ અને આંખોની પહોળી થઈ ગયેલી કીકી… સવારે અગિયાર વાગ્યે એક ડૉક્ટરે એક દીકરાને સમજાવી દીધું કે હવે આ શરીર ફક્ત શરીર જ છે. સૌથી પહેલો ફોન મેં મારા ચક્ષુરોગ નિષ્ણાંત મિત્ર નીરવને કર્યો, ‘પપ્પા નથી રહ્યાં, ચક્ષુદાનની વ્યવસ્થા કર.’ અને ત્યારબાદ બીજો ફોન કર્યો મારી બહેનને…

ઘરની બહાર ચાલવા માટે નીકળેલો માણસ આંટા મારતા મારતા ઘરની બહાર જ ફસડાઈ પડે અને મચેલી બૂમરાણની સીડી પર દોડીને એક તબીબ-પુત્ર એની નાડી ગણતરીની ક્ષણોમાં તપાસે અને અનિવાર્ય મૃત્યુને પોતાના ખોળામાં શ્વસતું નીરખે એનાથી વધુ કરૂણ ક્ષણ એક પુત્રના જીવનમાં બીજી કઈ હોય શકે ? થોડો સમય તો આપવો હતો…. થોડી કોશિશને તો આપવો હતો થોડો અવકાશ… પણ તમને તો સામો તમારી પાસે કંઈ માંગે તે પહેલાં જ આપી દેવાની આદત પડી ગઈ હતી ને ! પણ જીવનનો એ શિરસ્તો મોત સાથે પણ નીભાવવાનો ?!

વધુ આગળ વાંચો…

Comments (13)

ઝાકળનું હોવું – દિલીપ મોદી

આ નસેનસમાં સળગતી પળનું હોવું
હોવું જાણે ‘તું’ વગરના સ્થળનું હોવું

મન મૂકીને શી ખબર ક્યારે વરસશે ?
મૌન તારા હોઠ પર વાદળનું હોવું

આંખ જો દેખી કે વાંચી ના શકે તો –
અર્થ શો છે ? હાથમાં કાગળનું હોવું

થાય છે રોજ જ કતલ વિશ્વાસની ને
લાગતું બસ ચોતરફ મૃગજળનું હોવું

તારું હોવું ભીંજવી દે છે મને જો
તારું હોવું એટલે ઝાકળનું હોવું

કેમ ખેંચાતું જતું અસ્તિત્વ મારું ?
એ તરફ નક્કી જ કોઈ બળનું હોવું

‘હોવું’ છે કે વ્હેમ છે હોવાપણાનો,
હોવું -ના હોવું; હશે અટકળનું હોવું

-દિલીપ મોદી

Comments (7)

સમજી લઈએ – ઓજસ પાલનપુરી

એવી  આ  બધી  માયાને  સમજી લઈએ
પહેલાં પ્રથમ આ દુનિયાને સમજી લઈએ
ઈશ્વર  એ  પછી  સહેજમાં  સમજાઈ જશે
એકવાર   અમો   પોતાને  સમજી લઈએ

– ઓજસ પાલનપુરી

Comments (4)

પન્નીને પહતાય તો કે’ટો ની – ડો. રઇશ મનીયાર

પન્નીને પહતાય તો કે’ટો ની.
વાહણ જો અથડાય તો કે’ટો ની.

અમના તો કે’ટો છે કે પાંપણ પર ઊંચકી લેમ.
પછી માથે ચડી જાય તો કે’ટો ની.

અમના તો પ્યાર જાણે રેહમની ડોરી.
એના પર લૂગડાં હૂકવાય તો કે’ટો ની.

”એની આંખોના આભમાં પંખીના ટોળાં…”
પછી ડોળા દેખાય તો કે’ટો ની.

હમ, ટુમ ઔર ટન્હાઇ, બધું ઠીક મારા ભાઇ
પછી પોયરાં અડ્ડાય તો કે’ટો ની.

– ડો. રઇશ મનીયાર

Comments (17)

ગઝલમાં ગીતા – જ્યોતીન્દ્ર દવે

મજહબ મયદાન ક્રુરુક્ષેત્રે, મળ્યા પાંડવ કૌરવ.
જમા થઇ શું કર્યું તેણે? બિરાદર બોલ તું સંજય!

નિહાળી ચશ્મથી લશ્કર, કંઇ દુશ્મનનું દુર્યોધન
જઇ ઉસ્તાદ પાસે લફ્ઝ કહ્યા તે સુણ દોસ્તેમન!

બિરાદર દોસ્ત ને ચાચા, ઊભા જો! જંગમાં સામા,
કરીને કત્લ હું તેની, બનું કાફિર, ન એ લાજિમ.

ન ઉમ્મિદ પાદશાહતની, ન ખ્વાહિશ છે ચમનની યે
કરું શું પાદશાહતને, ચમનને ! અય રફિકે મન!

ધરી ઊમ્મિદ જે ખાતિર જિગરના પાદશાહતની.
ઊભા તે જંગમાં મૌજુદ ગુમાવા જાન દૌલતને.

લથડતા જો કદમ મારા, બદન માંહી ન તાકત છે;
ન છૂટે તીર હાથોથી, જમીં પર જો પડે ગાંડીવ!

– જ્યોતીન્દ્ર દવે

જ્યોતીન્દ્ર દવે હાસ્ય લેખો માટે પ્રસિદ્ધ છે, પણ તેમણે થોડી કવિતાઓ પણ લખેલી છે . તે ઘણા નહીં જાણતા હોય. જો તે આ ક્ષેત્રમાં પડ્યા હોત તો, તે પણ તેમણે સર કરી નાંખ્યું હોત, તે ઊપરની ગઝલ પરથી જોઇ શકશો.
જે લેખમાં આ ગઝલ તેમણે મૂકી છે તે ધર્મનિરપેક્ષતા પ્રસારવાનો ઉદ્દેશ્ય પણ સર કરે છે. જેમણે આખો લેખ વાંચવો હોય તે તેમનું પુસ્તક ખરીદીને વાંચે !!!

Comments (9)

કોણ? નો જવાબ – શામળ ભટ્ટ

મહીથી મોટું દાન, અણુથી લોભી નાનો;
પવનથી પહેલું મન, વિવેક દેવોથી દાનો;
ચન્દ્રથી નિર્મળ ક્ષમા, ક્રોધ અગ્નિથી તાતો;
દૂધથી ઉજળો યશ, અમલ મદીરાથી માતો;
છે તેજ તરિણિથી નેત્રનું, ગરજ સાકરથી ગળી;
શામળ કહે ઉત્તર લખ્યો, પહોંચી તેની મન રળી. 

તૃણથી જાચક તુચ્છ, મણિથી સદ્-ગુણ મોંઘો;
સ્વર્ણથી શોભે સપૂત, ગરીબ કુશકાથી સોંઘો;
કીર્તિ બરાસથી બહેક, કપૂત કાજળથી કાળો;
સૂમ લોહથી કઠણ, અજ્ઞ બાલકથી બાળો;
દુર્વચન વીંછીથી વેદના, મિષ્ટ વાણી સહુથી ગળી;
છે કલંક મેલું મેશથી, પહોંચી તેની મન રળી. 

– શામળ ભટ્ટ

Comments

અઘરો મુકામ

અત્યંત ખેદને લાગણી સાથે જણાવવાનું કે વિવેકના પિતા શ્રી મનહરભાઈ ટેલરનું સૂરત ખાતે આજે નિધન થયું છે. પ્રભુ એમના આત્માને શાંતિ આપે. બહુ ઓછા લોકો ચોખ્ખા દિલ અને ઉન્નત મસ્તક સાથે જીવવાનો દાવો કરી શકે છે, મનહરકાકા એમાંથી એક હતાં. વિશાળ વાંચન અને વિશાળ હ્રદયનો એમનામાં સંગમ થયો હતો. જીવનના આ અઘરા મુકામે પ્રભુ એમના બધા કુટુંબીજનોના હ્રદયને શાતા આપે એવી પ્રાર્થના.

Comments (14)

એક પ્રશ્નગીત – રમેશ પારેખ

દરિયામાં હોય એને મોતી કહેવાય છે, તો આંખોમાં હોય તેને શું?
                        અમે પૂછ્યું : લે બોલ, હવે તું.

પંખીવછોઇ કોઇ એકલી જગાને તમે માળો કહેશો કે બખોલ?
જોવાતી હોય કોઇ આવ્યાની વાટ ત્યારે ભણકારા વાગે કે ઢોલ ?
બોલો સુજાણ, ઊગ્યું મારામાં ઝાડવું કે ઝાડવામાં ઊગી છું હું?
                        અમે પૂછ્યું : લે બોલ, હવે તું.

ઊંચી ઘોડી ને એનો ઊંચો અસવાર: એના મારગ મોટા કે કોલ મોટા?
દરિયો તરવાની હોડ માંડે તો દરિયાનું પાણી જીતે કે પરપોટા?
સૂરજ ન હોય તેવી રીતે ઝીંકાય છે એ તડકાઓ હોય છે કે લૂ?
                         અમે પૂછ્યું : લે બોલ, હવે તું.

– રમેશ પારેખ 

વિરહીણી નારીની મનોવ્યથાને પ્રશ્નોના રૂપમાં બહુ સુંદર રીતે કવિએ અહીં વ્યક્ત કરી છે. ઝાડ પર ચઢીને પ્રિયતમની રાહ જોતી નારીના હૈયામાં ઊઠેલી આગ, અને પરપોટા જેવા મનોરથોએ દરિયો તરવાની બકેલી હોડ, માળાનો ભેંકાર ખાલીપો અને ઊંચી ઘૉડી પર બેસતા ‘એ’ અસવાર ના આવ્યાના સતત ભણકારા –
આ બધામાંથી નિખરી આવતું શબ્દચિત્ર જ્યારે સુંદર કંઠે, ભાવમય લયમાં સાંભળવા મળે છે ત્યારે આપણે પણ આ વિરહ વ્યથાના સહભાગી થઇ જઇએ છીએ.

Comments (4)

કોણ ? – શામળ ભટ્ટ

કોણ પૃથ્વીથી પ્રૌઢ ? કોણ અણુથી પણ નાનો?
કોણ પવનથી પહેલ? કોણ દેવોથી દાનો?
કોણ ઇન્દુથી વિમળ? કોણ અગ્નિથી તાતો?
પયથી ઉજ્જ્વળ કોણ? કોણ મદિરાથી માતો?
વળી કવણ તેજ તરણિ થકી? કોણ શર્કરાથી ગળી?
કવિ શામળ કહે ઉત્તર લખો, તો તો પહોંચે મન રળી.

કવણ તરણથી તુચ્છ? કવણ મણિથી મોંઘો?
સ્વર્ગથી શોભે કવણ? કવણ કુશકાથી સોંઘો?
કવણ બરાસથી બહેક? કવણ કાજળથી કાળો?
કવણ લોહથી કઠણ? કવણ બાળકથી બાળો?
વળી કવણ વીંછીથી વેદના? કવણ સર્વથી છે ગળી?
શામળ મેલું શું મેશથી? કહો તો પહોંચે મન રળી.

– શામળ ભટ્ટ

ચાતુરી ભરી રચના માટે જાણીતા મધ્ય યુગના આ આખ્યાનકારના પ્રશ્નોના  જવાબ શોધી રાખજો, અને તેના તેમણે આપેલ ઉત્તર સાથે કાલે સરખાવી જોજો !

 

Comments

એક સુંવાળી નદી – સુરેશ દલાલ

સદી સદીથી વહી રહી છે
                         એક સુંવાળી નદી
                         એક હૂંફાળી નદી.

નરસૈંયાનાં     વેણ    વ્હેણમાં      વહ્યા      કરે
મીરાંબાઈના    નેણ     ઝરમર       ઝર્યા    કરે
રસિકવલ્લભ   દયારામની   તરી રહી    ગરબી.

પ્રેમાનંદનાં  આખ્યાનો  ને અખાની  ધખતી  વાણી
દલપત-નર્મદ અર્વાચીનની ક્ષિતિજ ઉઘાડે શાણી
કાન્ત, કલાપી, ઠાકોરની તો  વાત નિરાળી, નરવી.

ન્હાનાલાલની   નૌકા   કેવી   લાડકોડથી     તરે
ધ્વનિ  અને  છંદોલયના   અહીં ટહુકાઓ તરવરે
ખડિંગ   દઈને  બરફના પંખી ઊડતાં  કદી કદી.

સિંજારવ  ને   પરિક્રમા   ને   બારીબહારનો પંથ
વિના   ભોમિકા   વસુધા કેરી યાત્રા  અહીં અનંત
લયને  રસ્તે  પ્રિયકાંત ને   મણિલાલ,   રાવજી.

ઓડિસ્યસનું   હલ્લેસું ને બૂમ કાગળમાં   કોરા
એક પલકમાં તૂટી ગયા અહીં તર્ક તણા કૈં દોરા
ફૂટપટ્ટીથી  મપાય   નહીં કદી દરિયાની ભરતી.

મેઘાણીના   યુગમેઘમાં ચમકે   વીજળી   સૂર
સ્વપ્નપ્રયાણે પશ્વિમ: કોડિયાં નહીં રવિથી દૂર
સતત, અચાનક, મૌન, આગમન, અટકળ કરો હજી.

– સુરેશ દલાલ

ગુજરાતી કવિતાના ઈતિહાસના સિમાચિહ્નોને સુરેશ દલાલ સરસ રીતે એક સુંવાળી, હુંફાળી નદી તરીકે અહીં રજૂ કર્યા છે. આ રચના પચ્ચીસ-ત્રીસ વર્ષ પહેલાંની છે એટલે ત્યાં સુધીની જ વાત એમાં છે. ગુજરાતી કવિતાના પાયા સમા કાવ્યસંગ્રહો અને રચનાઓ એમણે અહીં ઉલ્લેખ કર્યો છે તેમાંથી તમે કેટલી ઓળખી શકો છો ? જે સંદર્ભો તમે પકડી શકો એ નીચે કોમેંટમાં જણાવશો. શરૂઆત હું જ પહેલી કોમેંટથી કરું છું.  

Comments (3)

વાર તો લાગે જ ને ! – ઉદયન ઠક્કર

દૃશ્યથી ધીમા સ્વરોને, લાબું અંતર પાર કરતાં વાર તો લાગે જ ને !
આ ગઝલ વંચાઈ ગઈ પણ આંસુઓને કાને પડતા વાર તો લાગે જ ને !

રીસમાં ભીનાં થઈ બિડાઈ ગયેલાં નેણ એનાં, એમ તો ક્યાંથી ખૂલે ?
બોજ ઝાકળનો લઈને પાંખડીઓને ઉઘડતાં, વાર તો લાગે જ ને !

પાંખડીઓને વકાસી, સૂર્યની સામે કમળ જોયા કરે છે ક્યારનું,
ફેરવી લે મોં તિમિરથી એને અજવાળું સમજતાં વાર તો લાગે જ ને !

ઊછળી-ઊછળીને ફોરાં, વારે વારે દઈ ટકોરા, બ્હાર બોલાવી રહ્યાં,
ડોકિયું કાઢીને કૂંપણ એમ કહેતી, હસતાં હસતાં : વાર તો લાગે જ ને !

હા, એ કહેતા તો હતા કે વાડીનું રખવાળું કરવા ટાંકણે આવી જઈશ,
એક એક પતંગિયાની પાંખમાં રંગોળી પૂરતાં વાર તો લાગે જ ને !

– ઉદયન ઠક્કર

આ ગઝલ વાંચતા અનાયાસ જ જગજીતસિંહે ગાયેલી ગઝલ प्यार का पहला खत लिखने में वक्त तो लगता है યાદ આવી ગઈ. જોકે આ ગઝલનો મિજાજ અને કલ્પનો તદ્દન અલગ છે.

છેલ્લા શેરમાં કવિએ ભગવાને આપેલા વચન – ‘ધર્મની ગ્લાનિ અને અધર્મનો ઉદય થશે ત્યારે હું આવીશ’- વિષે અલગ રીતે વાત કરી છે. હજુ ભગવાન દેખાતા નથી એનું કારણ અહીં કવિ આપે છે. આ નખશીખ કવિતાની છે. અહીં તો પતંગિયાની પાંખ રંગવાનું કામ જગતનો ઉદ્ધાર કરવા જેટલું જ (કે કદાચ વધારે) જરૂરી છે !

Comments (5)

ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે – ૨

ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે,
જુલિયસ સીઝરની પીઠનું ખંજર તલાશ કર.

અગાઉ આ શેર મુકુલ ચોક્સીનો છે એમ યાદદાસ્તના સહારે લખાઈ ગયું ત્યારે ધવલે આ ભૂલ તરફ અંગુલિનિર્દેશ કરી કહ્યું કે એ હેમેન શાહનો છે. એ ભૂલ આજે સુધારી લઉં છું અને ધવલે જ જોરપૂર્વક યાદ કરાવેલા હેમેન શાહના શેરથી જ મિત્રતા વિશે ગુજરાતી ગઝલોમાં લખાયેલ સુંદર શેરોની દ્વિતીય શૃંખલાની શરૂઆત કરું છું:

-તો દોસ્ત! હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,
લે, મૂક હથેળીમાં મખમલ, બહુ એકલવાયું લાગે છે.

અને મુકુલ ચોક્સીની એક જાનદાર ગઝલના બે શાનદાર શેર પણ સાથે જ આસ્વાદીએ:

જીરવી શકાશે પૂર્ણ ઉપેક્ષાનો ભાવ દોસ્ત,
પણ જીરવી ના શકાશે અધૂરો લગાવ દોસ્ત.
તાજા કલમમાં એ જ કે તારા ગયા પછી,
બનતો નથી આ શહેરમાં એકે બનાવ દોસ્ત.

શ્યામ સાધુ દિવસની જેમ આથમી જતા મિત્રોની વચ્ચે મૃત્યુ જ સાચું મિત્ર છે એ શોધી લાવે છે:

દિવસો જ દોસ્ત જેમ અહીં આથમી ગયા
સૂરજની જેમ નહીં તો અમે પણ ઊભા હતા.

જિંદગીના બોજને ઊંચકી લીધો,
હા, મરણ સાચું સહોદર નીકળ્યું !

જલન માતરી સુખ અને દુઃખ-બધું મિત્રોમાં વહેંચી લેવામાં માને છે :

હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાંખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે.

કોની દુઆ ફળી કે સમય મિત્ર થૈ ગયો,
જ્યાં જ્યાં કદમ ધરું છું હું ત્યાં ત્યાં બહાર છે.

‘સૈફ’ પાલનપુરી ગઝલના પરંપરાગત રંગમાં મિત્રોને બિરદાવે છે:

દોસ્તોની મ્હેર કે સંખ્યા વધી ગઈ જખ્મની,
દુશ્મનોનું એ પછી વર્તુલ નાનું થઈ ગયું.

‘નઝીર’ પણ કંઈક આવી જ વાત લઈને આવે છે:

મારી સામે કેમ જુએ છે મિત્રો શંકાશીલ બની
જ્યારથી હસવા લાગ્યો છું બસ ત્યારથી આ મુંઝારો છે.

વફાદારી વિષે મિત્રોની તો હું કહી નથી શક્તો,
મને તો એમ લાગે છે ભરોસાથી સુરક્ષિત છું.

પણ ‘પતીલ’ ગાંધીચીંધ્યા માર્ગે મિત્રોની બુરાઈના બદલામાં પણ માત્ર એમનું ભલું જ ઈચ્છે છે. મિત્રતાનો સાચો અર્થ શું આ જ નથી?

અગર ખંજર જિગરમાં છો તમે આ ભોંકનારા,
દુઆ માંગી રહ્યો છું હું સદા હકમાં તમારા.

સુરેન ઠાકર ‘મેહુલ’ પણ મિત્રોને જખમ બતાવવામાં માનતા નથી. સાથે પસાર કરેલી ક્ષણોને બાળી એ કાજળ કાલવે છે:

મને ઓ દોસ્ત તારી જેમ શબ્દોની નજર લાગે
જખમ દેખાડવા ચાહું તો મારી જિંદગી લાજે.

દોસ્ત, સહિયારી ક્ષણોને રાતભએ બાળી અને
રોજ કાજળ કાલવ્યું છે એ જ લખવાનું તને.

‘મરીઝ’ એક તરફ તો મિત્રોની મહેફિલમાં સરી જતા સમયને જાળવવાનું કહે છે તો બીજી તરફ મુલાકાતો ઓછી રાખીને દોસ્તીનું પોત જાળવવાની તકેદારી રાખે છે.

સમય વિતાવો નહિ દુશ્મનોની ચર્ચામાં,
કે દોસ્તોનું મિલન આ ફરી મળે ન મળે.

સંભવની વાત છે કે નભી જાય દોસ્તી,
ઓ દોસ્ત, આપણી જો મુલાકાત કમ રહે.

મિત્રો ખુદાપરસ્ત મળે છે બધા ‘મરીઝ’,
સોંપે છે દુઃખના કાળમાં પરવરદિગારને.

રમેશ પારેખ મિત્રતાના સારા-નરસા બંને પાસા વચ્ચે સમતુલન જાળવીને ચાલે છે:

જળ ને ઝળઝળિયાંનો ભેદ સમજ્યાં નહીં,
એવા તમને, નમસ્કાર છે, દોસ્તો.

દોસ્તની છાતીઓનું નામ બારમાસી વસંત,
હમેશા ત્યાં જ અમારો પડાવ વરણાગી.

અમસ્થું મેં કહ્યું કે, મિત્ર ! છું અરીસો ફક્ત હું
પરંતુ દોસ્ત નિરખી મને કાં થરથરી ગયો ?

ન હોત પ્રેમ તો શું હોત ? છાલ જાડી હોત ?
હું હોત વૃક્ષ ને હે મિત્ર, તું કુહાડી હોત.

જીવની સન્મુખ મેં સ્થાપી દીધો,
મેં તને સાષ્ટાંગ આલાપી દીધો
મિત્રદક્ષિણામાં જમણા હાથનો-
અંગૂઠો કાપી તને આપી દીધો.

વધુ આગળ વાંચો…

Comments (13)

સાંજ – કિરીટ ગોસ્વામી

સાંજ પડી મનગમતી
મોરપિચ્છ-શી ઝંખાઓ કૈં ભીતર રમતી-ભમતી !

સાંજ પડે ને સાજન ! તમને ઝંખે આખું ઘર…
ઘરમાં તો બસ, હું, દર્પણ ને સપનાંઓ સુંદર…

વત્તા થોડી આશાઓની દીપમાળ ટમટમતી !
-સાંજ પડી મનગમતી ….

તમને ઓઢુ-પ્હેરું સાજન ! કોડ કરું કૈં એવા…
સાંજ પડે ને હરખે-હરખે લાગું ખુદમાં વ્હેવા…

પ્રેમ-કિરણ ફૂટે તે પળને કહીં દઉં – ના આથમતી !
સાંજ પડી મનગમતી ….

-કિરીટ ગોસ્વામી

Comments (7)

મુક્તક – રઈશ મનીઆર

હવાના હાટ પવનની દુકાન રાખે છે
અહીંના લોક વતનની દુકાન રાખે છે
કે હુલ્લડોની જે અફવા અહીં ઉડાવે છે
ગલીના નાકે કફનની દુકાન રાખે છે

– રઈશ મનીઆર

Comments (3)

પળ બે પળ – કૃષ્ણ દવે

મારી પાસે ઢગલો રેતી, તારી પાસે ખોબો જળ,
ચાલને રમીએ પળ બે પળ.

હું રહેવાસી પત્થરનો, ને તારું સરનામું ઝાકળ,
ચાલને રમીએ પળ બે પળ.

થોડી ઉઘડે મારી ઇચ્છા. થોડી ઉઘડે તારી પણ.
હું અહીંથી આકાશ મોકલું. તું પીંછાથી લખ સગપણ.
આજ અચાનક દૂર દૂરથી, આવીને ટહૂકે અંજળ.
ચાલને રમીએ પળ બે પળ.

રમતાં પહેલાં ચાલ તને હું, આપી દઉં થોડી સમજણ.
રમતાં રમતાં ભુલી જવાનું, દેશ વેશ સરનામું પણ.
બુંદબુંદમાં ભળી જવાનું. વહી જવાનું ખળ ખળ ખળ.
ચાલને રમીએ પળ બે પળ.

– કૃષ્ણ દવે

આ કાવ્યમાં ઇશ્વર સાથે સખા ભાવને બહુ જ સુંદર રીતે કવિએ વ્યક્ત કર્યો છે. બાળકને કોઇ ગુરુતા કે લઘુતા ગ્રંથી નથી હોતી. તેને પોતાની ચીજનું બહુ જ ગૌરવ હોય છે. પણ આ તો આધેડ વયના બાળકની કવિતા છે. કવિ સારી રીતે જાણે છે કે તે જેને પોતાનો ઢગલો કહે છે , તે તો રેતીનો- શુષ્ક છે. તેના સખા પાસે તો નાનો ખોબો જ છે – પણ છે પાણીનો- જીવનનો ! આકાશનો સંદર્ભ આપીને કવિ પોતાના ખાલીપણાને વ્યક્ત કરે છે અને પોતાના અમાપ ઓરતાને પણ દર્શાવે છે.
અને જુઓ તો ખરા .. મોટા ભા થઇને રમવાની શરતો પણ સાવ બાળકની જેમ પોતે જ નક્કી કરે છે.પણ તેમાં પણ ઇશ્વર સાથે એકાકાર થઇ જવાની ભાવના કેવી સરસ રીતે વ્યક્ત કરી છે?

Comments (8)

કવિતાને પરણતા કવિને – દીપક ત્રિવેદી

લ્યો કરો શબ્દનો વેધ….
ઉપાડો કલમ તીરની માફક રે !
ઉપાડો કલમ તીરની જેમ…
ઉડાડો જળની ઊભી છાલક રે!

આમ જુઓ તો કન્યા ઊભી
સરવરપાળે રોતી જી!
આંખોમાંથી શબ્દ નામનાં
પલ પલ મોતી ખોતી જી!
– લ્યો કરો…

ધરી ભુજાઓ છેક…
ઉઠાવો શબ્દ નામનો પાવક રે!
– લ્યો કરો…

સ્મરણ-શ્વાસના દરિયા વચ્ચે
છોરી તો ડગ માંડે હો!
છોરીને લઇ જાઓ પરણી
કૌવત જેના કાંડે હો!
– લ્યો કરો…

મરો-જીવો કાં કહો…
કવિતા એક રહી મન ભાવક રે!
– લ્યો કરો…

 – દીપક ત્રિવેદી

Comments (2)

સુદામા નું દ્વારિકા ગમન – પ્રેમાનન્દ

ઋષિ સુદામો સાંચર્યા, વોળાવી વળ્યો પરિવાર;
ત્યાગી વેરાગી વિપ્રને છે ભક્તનો શણગાર.

ભાલ તિલક ને માળા કંઠે, ‘રામ’ ભણતો જાય;
મૂછ- કૂછની જાળ વાધી, કદરૂપ દીસે કાય.

પવન-ઝપટથી ભસ્મ ઊડે, જાણે ધૂમ્ર કોટાકોટ;
થાયે ફટક ફટક ખાસડાં, ઊડે ધૂળ ગોટાગોટ.

ઉપાન–રેણૂએ અભ્ર છાયો, શું સૈન્ય મોટું જાય!
જે પથિક મારગમાં મળે તે જોઇ વિસ્મે થાય.

કૌપીન જીરણ વસ્ત્રનું, વનકૂળ છે પરિધાન;
ભાગ્ય-ભાનુ ઉદે થયો, કરશે કૃષ્ણજી આપ સમાન.

– પ્રેમાનન્દ ( કડવું પાંચ – સુદામા ચરિત )

સુદામા દ્વારિકા ના પંથે નીકળે છે તેનું વર્ણન. જે જમાનામાં કથા, આખ્યાનો, ભવાઇ જેવાં જૂજ મનોરંજનો જ પ્રજા પાસે હતાં તે જમાનામાં, માણના ટકોરા સાથે પ્રેમાનન્દ જાતે આ આખ્યાન કરતા હશે, ત્યારે કથારસ કેવો જામતો હશે, તે આ રચના પરથી કલ્પી શકાય છે.

Comments (4)

સુરતની વ્યથાનો પડઘો

તાપી નથી, આ દ્રૌપદીની સાડી છે,
દુઃશાસકો(-નો)એ હાથે ખેંચી કાઢી છે;
ભીષ્મીકરણ આ બબ્બે બંધોનું કરી,
સૂરત સુરતની પાણીમાં ડૂબાડી છે.

ચારે તરફ પાણી જ પાણી, કાચું સોનું વરસે છે,
એક બુંદ પાણી માટે તો પણ લોક આજે તરસે છે;
વરસાદ પર કાબૂ કરવાને બંધ બબ્બે બાંધ્યા છે,
પણ બંધ આંખોના લીધે પાણીમાં સુરત કણસે છે.

ડૉ. વિવેક મનહર ટેલર

પાણી માટે, પાણીમાં, તરસે હવે.
બંધ તોડી, આંખ મુજ ,વરસે હવે.
આપણે બાંધ્યા’તા જળ-છૂટા થયા,
વ્હેણ માં ચેતન તું કાં, કણસે હવે ?

ચેતન ફ્રેમવાલા

Comments (4)

ચંદ્ર – ઉદયન ઠક્કર

ઘૂઘવાટોથી ન આવ્યો હાથમાં
કેવો ઝિલાઈ ગયો, નિરાંતમાં

નેણ તો એનાંય ઝરમરતાં હશે
ચાંદ નીતરતો હશે, વરસાદમાં

ઊજળો ધંધો તો સોમાલાલનો!
વેચે રોકડમાં ને લે ઉધારમાં

આ અમાસો તો હવે કોઠે પડી
અમને મોટો લાડવો દેખાડ મા!

આ સળગવું, આખરે, શું ચીજ છે?
ચાંદ પૂછે કોડિયાને, કાનમાં

– ઉદયન ઠક્કર

ચંદ્ર વિષે ઘણી રચનાઓ છે પણ ચંદ્રની ઉધારનો ઘંધો કરતા સોમાલાલ તરીકે વાત તો અહીં જ જોવા મળશે ! પહેલા શેરમાં ચંદ્રનું પ્રતિબિંબ ઘૂઘવતા પાણીમાં પડતું નથી પણ શાંત પાણીમાં સુપેરે ઝીલાય છે એ વાત બહુ નાજુક રીતે કરી છે. આટલો મોટો ચાંદો થયો પણ આખરે એ તો બાપકમાઈનો જ પ્રકાશ વાપરે છે. જાતે બળવાનો અર્થ તો એણે પણ આપકમાઈથી પ્રકાશતા કોડિયાને જ પૂછવો પડે.

Comments (3)

દે વરદાન એટલું -ઉમાશંકર જોશી

સ્વતંત્રતા, દે વરદાન એટલું :
ન હીન સંકલ્પ હજો કદી મન;
હૈયું કદીયે ન હજો હતાશ;
ને ઊર્ધ્વજ્વાલે અમ સર્વ કર્મ
રહો સદા પ્રજ્વલી, ના અધોમુખ;
વાણી ન નિષ્કારણ હો કઠોર;
રૂંધાય દૃષ્ટિ નહિ મોહધુમ્મસે;
ને આંખમાંના અમી ના સૂકાય;
ન ભોમકા ગાય વસૂકી શી હો !
વાણિજ્યમાં વાસ વસંત લક્ષ્મી,
તે ના નિમંત્રે નિજ નાશ સ્વાર્થથી.

સ્ત્રીઓ વટાવે નિજ સ્ત્રીત્વ ના કદી,
બને યુવાનો ન અકાલ વૃદ્ધ,
વિલાય ના શૈશવનાં શુચિ સ્મિતો;
ધુરા વહે જે જનતાની અગ્રીણો,
તે પંગતે હો સહુથી ય છેલ્લા;
ને બ્રાહ્મણો- સૌમ્ય વિચારકો, તે
સત્તા તણા રે ન પુરોહિતો બને.

અને થઈને કવિ, માગું એટલું
ના તું અમારા કવિવૃંદને કદી
ઝૂલંત તારે કર પીંજરાના
બનાવજે પોપટ- ચાટુ બોલતા.
સ્વતંત્રતા, દે વરદાન આટલું.

-ઉમાશંકર જોશી  

ગાંધીયુગના આ મહાકવિએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે કે પછી સ્વતંત્રતા પછીના ભારતનું આવું દર્શન કરેલું. સ્વાતંત્ર્યદિને આપણે આ દર્શનને યાદ કરીએ.

આજે જ્યારે આપણો દેશ હરણફાળે પ્રગતિ કરી રહ્યો છે અને વિશ્વસત્તા બનવા હોડ બકી રહ્યો છે ત્યારે આપણે વિચારવું પડે તેમ છે કે આ સ્વપ્નની દિશામાં આપણે કેટલા આગળ વધ્યા છીએ.
સાંપ્રત સમાજ અને રાજકારણ અને બધાજ ક્ષેત્રો આથી સાવ ઊંધી જ દિશામાં જતા હોય તેમ નથી લાગતું?

Comments (5)

શું વળે ! – શિવજી રૂખડા

વાત બીજે વાળવાથી શું વળે !
ને હકીકત ખાળવાથી શું વળે !

આપણે તો આપણે, બસ આપણે
જાત બીંબે ઢાળવાથી શું વળે !

ફક્ત કિરણ એક ઝીલી ના શક્યા
સૂર્ય આખો ચાળવાથી શું વળે !

દોસ્ત, ઇચ્છાવન બહુ ઘેઘૂર છે
ડાળખી ફંગોળવાથી શું વળે !

આપણો વિસ્તાર છે ફળિયા લગી
ગામને ઢંઢોળવાથી શું વળે !

આંખ છે ખુલ્લી અને ઝોલે ચડ્યા
દીપ ઝળહળ બાળવાથી શું વળે !

-શિવજી રૂખડા

કેટલીક કૃતિઓને શબ્દોના આધારની જરૂર નથી હોતી….

Comments (3)

આ તે શા તુજ હાલ, સુરત…. – કવિ નર્મદ

આ તે શા તુજ હાલ, સુરત સોનાની મૂરત,
થયા પૂરા બેહાલ, સુરત તુજ રડતી સૂરત !
અરે હસી હસીને રડી, ચડી ચડી પડી તું બાંકી;
દીપી કુંદનમાં જડી, પડી રે કથીરે ઝાંખી.

સત્તર સત્તાવીસ, સનેમાં રેલ જણાઈ;
બીજી મોટી તેહ, જાણ છોત્તેરે ભાઈ.
એની સાથ વંટોળ, દશા બેઠી બહુ રાસી;
દૈવ કોપનું ચિહ્ન, સુરત તું થઈ નિરાસી.
સુડતાળો રે કાળ, સત્તર એકાણું;
સત્તાણુંમાં રેલ, બળ્યું મારું આ ગાણું.
સાઠો બીજો કાળ, ચારમાં સન અઢારે;
બારે મોટી આગ, એકવીસે પણ ભારે.
બાવીસમાં વળી રેલ, આગ મોટી સડતીસે;
એ જ વરસમાં રેલ, ખરાબી થઈ અતીસે.
દસેક બીજી આગ, ઉપરનીથી જો નાની;
તોપણ બહુ નુક્શાન, વાત જાયે નહીં માની.

વાંક નથી કંઈ તુજ, વાંક તો દશા તણો રે;
અસમાની આફત, તેથી આ રોળ બન્યો રે.
તાપી દક્ષિણ તટ, સુરત મુજ ઘાયલ ભૂમિ;
મને ઘણું અભિમાન, ભોંય મેં તારી ચૂમી.

કવિ નર્મદાશંકર લાલશંકર

12 નવેમ્બર 1865ના રોજ નર્મદે લખેલ આ લબ્ધપ્રતિષ્ઠ કાવ્યનો એક અંશ લગભગ દોઢસો વર્ષ પછી પણ આજે એટલો જ પ્રસ્તુત લાગે છે. કાવ્ય પરથી એટલું તરત જ સમજી શકાય છે કે સુરત સતત કુદરતી આપત્તિઓના હાથે પીંખાતું જ આવ્યું છે. આવા નષ્ટ-ધ્વસ્ત થઈ ગયેલા સુરતના એક સુરક્ષિત ખૂણામાં બેસીને હું આ લખી રહ્યો છું ત્યારે થતાં આંગળીઓના કંપન ઈચ્છું છું કે આપને ન હચમચાવે. મહારાષ્ટ્રમાંથી પૂર્વસૂચના વગર અધધધ પાણી છોડાતા ઉકાઈ ડેમ છલકાઈ ગયો… સુરત માટે જો કે પૂર એ નવી વાત નથી. શાસકોની વ્યવહારદક્ષતાના પ્રતાપે દર વર્ષે ઉકાઈ બંધ છેક છલકાવાની અણીએ ન આવે ત્યાં સુધી પાણી છોડાતું નથી અને એ સમજ બહારની ફિલસૂફીના કારણે લગભગ દર વર્ષે સુરતમાં નાનું-મોટું પૂર આવે જ છે. બંધની સપાટી ભયજનક સ્તરની નજદીક પહોંચતી હોય ત્યાં સુધી શાહમૃગની પેઠે માથું નાસમજણની રેતમાં ખોસીને બેસી રહેતી સરકારને શું કહેવું? અને માણસ હોય તો એક ઠોકરમાંથી શીખી લે એવી આશા પણ રાખીએ…. આ તો સરકાર છે!!!

ઉકાઈ બંધ છેક છલકાવાની પરિસ્થિતિએ આવી ઊભો ત્યારે પૂનમની નજીક આવી ઊભેલો સાગર કેટલું પાણી સમાવી શકશે એનો કશો ય પૂર્વવિચાર કર્યા વિના આજદિન સુધી ન છોડાયેલી માત્રામાં પાણી છોડવામાં આવ્યું… ચોવીસ કલાકથીયે ઓછા સમયમાં આખું સુરત જળબંબાકાર થઈ ગયું. છેલ્લા બસો વર્ષની સૌથી મોટી રેલમાંથી સુરત અત્યારે પસાર થઈ રહ્યું છે. મોટાભાગના વિસ્તારોમાંથી પાણી ઊતરી ગયાં છે. પણ આજે જ્યારે રાંદેર મિત્રોના ઘરે મદદ પહોંચાડવા હું નીકળ્યો ત્યારે રસ્તામાં લક્ઝરી બસો, ગાડીઓ, રીક્ષાઓના આડા પડેલા વિરૂપ આકારો જોઈ ધ્રુજી જવાયું. મરેલા જાનવર રસ્તાની વચ્ચોવચ્ચ પડ્યાં છે. લાઈટના તૂટેલા થાંભલા, ડૂબેલા ટ્રાંસફોર્મરો અને કાદવના એક-એક ફૂટ જેટલા થર- આ શહેરને તો પડી-પડીને ઊભા થવાની ટેવ છે પણ આ આખરે કોનું પાપ કોના માથે?

Comments (4)

નથી – કરસનદાસ લુહાર

તારી ઊંચાઈ કોઈ દિ’ માપી શક્યો નથી,
ને એટલે હું તુજમહીં વ્યાપી શક્યો નથી;
મારી નજરમાં છે હજુ યે મારી મૂર્તિઓ,
તેથી તને હું ક્યાંય પણ સ્થાપી શક્યો નથી.

– કરસનદાસ લુહાર 

Comments (4)

ઘેરો થયો ગુલાલ -જવાહર બક્ષી

આંખોનો ભેદ આખરે ખુલ્લો થઇ ગયો.
બોલ્યા વિના જ હું બધે પડઘો થઇ ગયો.

આ એ જ અંધકાર છે કે જેનો ડર હતો.
આંખોને ખોલતાં જ એ તડકો થઇ ગયો.

જળને તો માત્ર જાણ છે, તૃપ્તિ થવા વિષે.
મૃગજળને પૂછ કેમ હું તરસ્યો થઇ ગયો.

તારી કૃપાથી તો થયો કેવળ બરફનો પહાડ
મારી તરસના તાપથી દરિયો થઇ ગયો.

મસ્તી વધી ગઇ તો વિરક્તિ થઇ ગઇ
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઇ ગયો.

-જવાહર બક્ષી

જ્યારે જીવન જીવવાની એક ચોક્કસ દ્રષ્ટિ પ્રાપ્ત થાય અને જીવન તે પ્રમાણે જીવી શકો,ત્યારે મસ્તી કેવી હોય તે સ્થિતિને વર્ણવતી અને મને ઘણી જ ગમતી જવાહર બક્ષીની આ ગઝલ તમને પણ ગમશે. 

Comments (5)

ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ – ભાગ્યેશ જહા

ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ એની વેદનાની વાતોનું શું?
કાંટાંથી છોલાતી લાગણી ને સપનાંઓ ઊંઘ છતાં જાગવાનું શું?

સુવાસે પડઘાતું આખું આકાશ
છતાં ખાલીપો ખખડે ચોપાસ.
ઉપવનના વાયરાની લે છે કોઈ નોંધ?
કોણ વીણે છે એકલી સુવાસ?
વાયરો કહે તેમ ઉડવાનું આમ તેમ વાયરાનું ઠેકાણું શું? – ઉંચકી સુગંધ……

ધારો કે ફૂલ કોઈ ચૂંટે ને સાચવે,
ને આપે ને સુંઘે તો સારું.
ધારો કે એક’દીની જિંદગીમાં મળવાનું,
થોડું રખાય તોય સારું.
પણ ઉપવનમાં ઝૂરવાની હોય જો સજા, તો મળવાના ખ્વાબોનું શું? – ઉંચકી સુગંધ……

– ભાગ્યેશ જહા

ભાગ્યેશ જહા ગુજરાત સરકારમાં સેક્રેટરી ના ઉચ્ચ પદે વિરાજવા છતાં અંતરથી કવિ છે. સરકારી વાતાવરણના રણમાં ખીલેલા ગુલાબ જેવા આ સંવેદનશીલ હૃદયની, કાંટા વચ્ચે ઝુરાતી વેદનાનું ગીત જ્યારે સોલી કાપડીયાના સુરીલા અવાજમાં સાંભળવાનું થાય છે ત્યારે એકલતા ની લાગણી ચિત્તને ઘેરી વળે છે.
મૂષક દોડમાં વ્યસ્ત આપણા જીવનમાં, જેને જોયા પણ ન હોય, કે જેમની છબી પણ ન નિહાળી હોય તેવા  સમસંવેદનશીલ મિત્રો હજારો માઇલ દૂર હોવા છતાં જ્યારે ‘નેટ’ ઉપર મળી જાય છે, ત્યારે આ ગીતની મીઠાશ અને તેમાંથી ટપકતી લાગણીની ભીનાશ આપણી આંખના  ખૂણાને ભીના કરી નાંખે છે.

 

Comments (10)

હરિ ૐ – અંબાલાલ પટેલ

રમું હું તુજમાં, ભમું હું તુજમાં,
પ્રભુ આંનંદુ તુજ આનંદમાં.
તુજ તેજ તરંગ ઝીલી જીવવા,
જનમ્યો જગમાં તુજમાં શમવા.

સઢ કીશ્તી તણા ભવ સાગરમાં,
કુમકુમ વરણે પૂલ નાંગરવા,
તરી પાર જવા, તુજ રૂપ થવા,
લખું મંત્ર નવા ઉર ઉજ્જ્વળવા.

સચરાચર તું પ્રભુ એકજ તું.
નીરખું જ્યાં જ્યાં ત્યાં પ્રભુ તું.
તું રૂપ સહુ, સહુ રૂપ જ તું.
પછી હું થી જુદો પ્રભુ ક્યાં લગી તું.

મુજ હું પ્રભુ એમ તું રૂપ થતાં,
જડ ભીષણ ભેદી દિવાલ જતાં,
જગ લોપ થયું. મુજ હું ય ગયું. 
તુજ સત્ ચિત આનંદ રૂપ રહ્યું.

ભરી ભર્ગ વરેણ્ય તું ૐ બન્યો.
તુજ આદ્ય ધ્વનિ પ્રભુ ૐ સુણ્યો.
એ ૐ મહીં સ્વર સોહમ્ ના,
ઝીલતાં મુજ હું ગળી ૐ થતાં,

હરિ ૐ સુણું હરિ ૐ ભણું,
હરિ ૐ રટે સ્થુળ સુક્ષ્મ અણું
હરિ ૐ વિભુ ૐ પ્રભુ ૐ નમું
રટી ૐ, હરિ ૐ, હરિ ૐ વિરમું

– અંબાલાલ પટેલ

બહુ જાણીતા નહીં તેવા આ સાધક કવિનું એક જ પુસ્તક ‘ વેણુના નાદ’ અમારા ઘરમાં હતું. અમે ભાઇ બહેનો નાના હતા ત્યારે સોનેરી મુખપૃષ્ટ વાળા તે પુસ્તકને અમે બહુ આદરથી જોતા. તેમની સ્તુતિઓ અને ગરબા અમારા કુટુંબોમાં વારંવાર ગવાતા. અમારા ઘરમાં આ સ્તુતિ હજુ પણ ગવાય છે. માત્ર સ્મૃતિ પરથી આ સ્તુતિ લખી છે.

Comments (4)

બંદર છો દૂર છે – સુંદરજી બેટાઇ

અલ્લાબેલી, અલ્લાબેલી,
જાવું જરૂર છે,
બંદર છો દૂર છે.
બેલી તારો, બેલી તારો
બેલી તારો તું જ છે.
બંદર છો દૂર છે!

ફંગોળે તોફાની તીખાતા વાયરા,
મૂંઝાયે અંતરના હોયે જે કાયરા;
તારા હૈયામાં જો સાચી સબૂર છે,
છોને એ દૂર છે!

આકાશી નૌકાને વીજ દેતી કાટકા,
તારી નૌકાનેય દેતી એ ઝાટકા;
મધદરિયો મસ્તીમાં છોને ચકચૂર છે;
બંદર છો દૂર છે.

આંખોના દીવા બુઝાયે આ રાતડી,
ધડકે ને ધડકે જે છોટેરી છાતડી;
તારી છાતીમાં, જૂદેરું કો શૂર છે.
છોને એ દૂર છે!

અલ્લાબેલી, અલ્લાબેલી,
જાવું જરૂર છે,
બંદર છો દૂર છે.
બેલી તારો, બેલી તારો
બેલી તારો તું જ છે.
બંદર છો દૂર છે!

– સુંદરજી બેટાઇ

Comments

શહેરમાં પધાર્યા તાપી માત !

રૂડું   સૂરત   સરખું   શહેર,   જગરેલે  કાઢ્યું  ઝેર,
કંઈક     દહાડાનું     વેર,    એણે     લીધું    છે.

ઘણું   કીધું છે  નુકશાન,  સૌનાં  ઉતાર્યા છે માન,
એ    તો   કરતી  આવી  તાન,   દુ:ખ   દીઘું છે.

ફરતી   ફરતી  ઠામેઠામ,  સૌએ મૂકી મનની હામ,
કાંઠા   ઉપરના   ગામ,   ઘસડી    લાવી     છે.

બીજે   દહાડે   મંગળવાર, માએ રસ્તા રોક્યા બાર,
જોવા    નીકળ્યા   અમલદાર,    હારી   બેઠા  છે.

જ્યાં જ્યાં જઈએ ત્યાં પાણી, દુનિયા કરી ધૂળધાણી,
જાણે   સૂરત   લેશે   તાણી,    ભય    લાગે   છે.

આજે જ કોઈએ આ પંક્તિઓ તાપીના પાણી સામે હારી ગયેલા સુરતની હાલત જોઈને લખી હોય એવી લાગે છે. પણ ખરેખર આ પંક્તિઓ સો વરસ કરતા પણ જૂની છે. આ કૃપાશંકર વ્યાસે 1883માં લખેલી ગરબી ‘શહેરમાં પધાર્યા તાપી માત!’માંથી લીધી છે.

સવાસો વર્ષના સમય પછી અને બે-બે બંધ બાંધેલ હોવા છતાં આજે પણ પરિસ્થિતિ એની એજ છે એ પણ જોવા જેવી વાત છે.  કાલ સુધીમાં ધીમે ધીમે પાણી ઉતરશે એવી વાત છે. આ તો માત્ર શક્યતાની જ વાત છે અને વળી સામે વધુ વરસાદની આગાહી છે. સુરતમાં મારા ઘરમાં બેથી ચાર ફૂટ પાણી ભરાયા છે એવા સમાચાર મળ્યા છે. (અત્યારે ત્યાં કોઈ રહેતું નથી) હવે સુરતમાં કોઈ ફોન લાગતા નથી. માત્ર સમાચાર પરથી પરિસ્થિતિનો અંદાજ મેળવવાની કોશિશ કરું છું પણ આ તો કોઈ રીતે મગજમાં ના ઉતરે એવી વાત છે.

Comments (2)

ઝાલ સુરતનો હાથ, ભગવાન !

આજે સુરતના માથે મોટી આફત આવી પડી છે. અતિવૃષ્ટિને કારણે તાપી છલકાય ગઈ છે. એક બાજુથી ઊકાઈ બંધમાંથી વધુને વધુ પાણી છોડ્યા વગર છૂટકો નથી જ્યારે બીજી બાજુ ભરતીને કારણે દરિયો પાણી લેતો નથી. મોટા ભાગના શહેરમાં ઓછાવત્તા પ્રમાણમાં પાણી ફરી વળ્યું છે. 1968ની રેલથી પણ વધારે પાણી શહેરમાં આવી જશે એવો ડર છે. આટલે દૂરથી કાંઈ કરી ન શકવાનો ખેદ થાય છે. વિવેકને ત્યાં ફોન લાગતો નથી પરંતુ એ શહેરના જે ભાગમાં છે ત્યાં પાણી ભરાયા નથી.

સુરત શહેરને બધાની શુભેચ્છાઓની જરૂર છે. કહે છે કે મંગળવારનો દિવસ નીકળી જાય તો પછી પાણી ઓસરી જશે. આશા રાખીએ કે ‘સોનાની મૂરત’ આ આફતમાંથી ઓછામાં ઓછા નુકશાન સાથે બહાર આવે.

1938ની સાલમાં સૂરતમાં બળેવના દિવસે જ એક હોનારતમાં હોડી નદીમાં ડૂબી જવાથી 80 જણાએ જાન ગુમાવેલા એ હોનારત હજુ ઘણા યાદ કરે છે. આ બળેવે તો આખું શહેર જ ડૂબવા બેઠું છે. સુરતને ભગવાન જ બચાવી શકે એમ છે. સુરતનો હાથ ઝાલ, ભગવાન !

તા.ક. : વિવેકે મોકલેલા સુરતના ફોટા અહીં છે.

Comments (3)

હું હજી પણ ત્યાં જ ઊભો છું – શોભિત દેસાઈ

મને ખુદને જ મળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું
ને વરસાદે પલળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું

હતો જે આપણો સંબંધ એના ભગ્ન અવશેષો
શિશુ માફક ચગળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું

તને આગળ ને આગળ હું હજી જોયા કરું અથવા
પ્રયાસોમાં કથળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું

ચણાયા કાકલૂદી પર થરતી જ્યોતના કિસ્સા
દીવાની જેમ બળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું

નગરનાં માણસો જે એ બધાં છે મીણના પૂતળાં
અને એમાં પીગળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું

– શોભિત દેસાઈ

ચોધાર વરસતા વિષાદથી પલળેલી આ ગઝલમાં કવિ એક પછી એક શેરમાં જ્યારે ‘હું હજી પણ ત્યાં જ ઊભો છું’ ઘૂંટે છે ત્યારે હ્રદય પર ચાસ પાડતા હોય એવી લાગણી થઈ આવે છે. પોતાની લાચારીની વાત કવિ તદ્દન નિર્દયતાથી કરે છે. અહીં કોઈ ફરિયાદ નથી, કોઈ કારણ નથી, કોઈ આરો નથી કે કોઈ સહાનુભૂતિ નથી. છે તો માત્ર પલળવા, ચગળવા, કથળવા, બળવા ને છેલ્લે પીગળવાની વાત છે. મીણના પૂતળાઓને આનાથી વધારે કોઈ હક નથી.

Comments (3)

ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે….

કવિતાનો વણલખ્યો નિયમ છે કે એમાં દર્દ વધુ અને ખુશી ઓછી જ હોય છે. મિત્રતાને લગતા શેર વાંચીએ ત્યારે પણ આમ જ થતું હોવાનું અનુભવાય છે. પણ કેટલાક એવા પણ કવિ છે જેમનો મૈત્રીમાં વિશ્વાસ કાયમ રહ્યો છે.

ગની દહીંવાલાના એવા જ એક સુંદર શેરથી શ્રીગણેશ કરીએ:

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી,
મને હથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.

ચિનુ મોદી ‘ઈર્શાદ’નો પણ મિત્રમાં વિશ્વાસ હજી અકબંધ છે:

દોસ્ત ! તારા દિલ સુધી પ્હોંચ્યા પછી
સ્વર્ગમાં પણ ક્યાં હવે જાવું હતું ?

પથ્થરો પોલા નીકળશે શી ખબર ?
મિત્ર સહુ બોદા નીકળશે શી ખબર?
એમની આંખો ભીંજાઈ’તી ખરી,
આંસુઓ કોરા નીકળશે શી ખબર?

મરીઝ મિત્રતાના કાવ્યનિરૂપણના રૂઢિગત ભાવથી પ્રભાવિત છે:

રહી ગઈ મુજ દોસ્તોની આબરૂ,
મેં મુસીબતમાં મદદ માંગી નહીં.

ફરીથી દોસ્તી કરવી નથી મગર પૂછું,
તમારી સાથે હતી મારી દોસ્તી કે નહિ.

હમદર્દ બની જાય, જરા સાથમાં આવે,
આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે.

જઈને વતનમાં એટલું જોયું અમે ‘મરીઝ’,
મોટા બની ગયા છે બધા બાળપણના દોસ્ત.

કૈલાસ પંડિત પણ આ જ સૂરમાં સૂર પુરાવે છે:

ઘણું સારું થયું, આવ્યા નહીં મિત્રો મને મળવા
અજાણે આમ હાલતની, ઘણાએ લાજ રાખી છે.

જ્યારે શોભિત દેસાઈ એના મિત્રને હજી પણ ‘મીસ’ કરે છે;

એક વખત મિત્ર બેસતો’તો અહીં,
ભાર વર્તાય એનો સ્કંધોને.

મનોજ ખંડેરિયા મિત્રતાના સ્વાંગ સચીને આવનારથી એટલા ત્રસ્ત છે કે પોતાની જાત સુધી પણ બેળેબેળે પહોંચી શકે છે:

બુકાની બાંધીને ફરનારાનું આ તો છે નગર, મિત્રો !
મને ખુદને જ મળવામાં ઘણી તકલીફ પહોંચી છે.

વધુ આગળ વાંચો…

Comments (20)

પદ – નાથજી ગોપાળજી

(રાગ રામગ્રી)

વારંવાર વિચારતાં, અવગુણ એ મોટો;
કૃપણપણું જે આદરે, તેહનો ભવ ખોટો.               વારંવાર. ૧

સાથે તે હ જ આવશે, સુધારે વરશે;
જો વેળાં નહિ વાવરે, પછતાવો કરશે.                 વારંવાર. ૨

ધરણીનું ધરણી તળે, પરહાથી કે ચઢશે;
વણીક કને જો મૂકશો, દેવાળે પડશે.                    વારંવાર. ૩

ઘર માંહે સાંચ્યું હશે તે, ત્યમજ રહેશે;
જમકીંકર તે પંથમાં, ધિકદિક તાં કહેશે.               વારંવાર.  ૪

પાપ કરી એકઠો કરે, અધર્મનો માલ;
વહુજી પુઠે ન મોકલે, એક રતી કે વાલ.               વારંવા ર. ૫

ભાઈ મોકલશે નહિ, મોકલે ન કો પુત્ર;
પુત્રી મોકલશે નહિ, મોકલે નહિ મિત્ર.                  વારંવાર. ૬

… … … … … … … … … …
રજની થોડી વેશ બહુ, વાહશે ત્યાં વહાણું.            વારંવાર. ૭

લોભે લાગ્યો પ્રાણીઓ, હા દૈવ હા દૈવ;
માતાપિતા ગુરુ ઉપરે, મને દયા તે નૈવ.              વારંવાર. ૮

ધન તેડ્યું, ધર્મ છાંડીયો, માથે લીધો ભાર;
સાથે કો આવે નહિ, ચાલવું ન્યરધાર.                  વારંવાર. ૯

શંબલ સાથેનું કરો, દુસ્તર છે વાટ;
ઓળખીતો ત્યાંહા કો નથી, ત્યાંહા નથી તે હાટ.     વારંવાર.૧૦

ઉધારે મળશે નહિ, મારગ છે દૂર;
વળોટીઓ ત્યાં કો નથી, શબદ ઓ કેસુર.             વારંવાર. ૧૧

દાસપન કો રાખે નહીં, એક વીરજી સાહાય;
તેહેને સંતોખ્યાતણો, કાંઈ કરો ઉપાય.                વારંવાર. ૧૨

શી અભિલાષા જનની, અથવા શી પરની;
નાથજીને આશા ઘણી, એક લક્ષ્મીવરની.           વારંવાર. ૧૩

કવિ નાથજી ગોપાળજી વિશે જે છૂટક અને તૂટક માહિતી મળે છે એ પરથી એમ જણાય છે કે તેઓ ઈ.સ. 1630 થી 1710ની આસપાસના સમયગાળામાં થઈ ગયા હશે. અણહીલપુર પાટણના રહેવાસી અને જ્ઞાતે વડનગરા પટણી નાગર. 15 કડવાં (733 કડીઓ) ના ‘ચંડીપાઠ’ અને 35 કડવાં (1776 કડીઓ)ના ‘કાશીખંડ’ જેવા કાવ્યો ઉપરાંત થોડાં પદ મળી આવ્યાં છે જે અહીં પ્રસ્તુત છે. 300-400 વર્ષ પૂર્વેના ગુજરાતી સાહિત્ય વિશે આછો ખ્યાલ આ પદો પરથી મળી રહે છે. ‘રાત થોડી ને વેશ ઝાઝા’ કહેવત આ પદમાંથી મળી આવી છે એમ જાણીએ તો આશ્ચર્ય ન થાય? લોભીની અહીંની ગતિથી પરલોક સુધીની અવગતિ આ પદોમાં સુંદર રીતે વણી લેવાઈ છે.

(કૃપણપણું= લોભ,  વાવરે=વાપરવું, જમકિંકર= યમદૂત, ધિકદિક= ધિક્કારવાચક ઉદગાર, દૈવ= નસીબ, નૈવ= જેમ નહીં, ન્યરધાર=નિરાધાર, શંબલ=ભાથું, પાથેય, સંતોખ્યાતણો=સંતોષ આપવા તણો)

Comments (1)

પોસ્ટમોર્ટમનો રિપોર્ટ – સર્વેશ્વરદયાલ સક્સેના

ગોળી ખાઈને
એકને મોઢેથી નીકળ્યું-
‘રામ’

બીજાના મોઢેથી નીકળ્યું-
‘માઓ’

પણ
ત્રીજાના મોઢેથી નીક્ળ્યું-
‘બટાટા’

પોસ્ટમોર્ટમનો રિપોર્ટ છે
કે પહેલાં બેનાં પેટ
ભરેલાં હતાં.

– સર્વેશ્વરદયાલ સક્સેના 
(અનુ.-સુશીલા દલાલ) 

આ ગોળી જેવી કવિતા સીધી હ્રદય પર વાગે છે. જોવાની વાત એ છે કે એ વખતે આપણા મોઢામાંથી શું નીકળે છે?

Comments (2)

અર્ઘ્ય- સ્નેહરશ્મિ

(શિખરિણી)
કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો,
રૂપાળાં, ઓજસ્વી, સુરભિ ઝરતાં, હાસ્ય કરતાં,
સજેલાં વા રંગે પુલકિત ઉષા સાન્ધ્ય નભના,
વિખેરી તે માર્ગે તુજ હૃદય આહ્ લાદ ભરતે.

કદી મારી પાસે ઝગમગ થતા હોત હીરલા,
પ્રભાવન્તા, દૈવી, ત્રણ ભુવનના દીપ સરખા,
કરીને ઉમંગે તુજ પથ મહીં રોશની સદા,
ધરી દેતે સર્વે હરખ થકી તારે ચરણ હું.

પરંતુ ભિખારી મુજ ગરીબ પાસે નહીં કશું
– મીઠાં સ્વપ્નાં હૈયે- મુજ ધન- અને થોડી કવિતા !
હું તો વેરું એ સૌ તુજ પથ મહીં વ્હાલ ધરીને,
જરા ધીમે ધીમે પગ તું ધરજે – છે મૃદુલ એ !

– સ્નેહરશ્મિ

Comments (1)

મારા અંતરના અંતરમાં – જયંતિલાલ આચાર્ય

મારા અંતરના અંતરમાં વિરાજેલા દેવ હે !
ધરવી શી મારે તમને અંજલી જો?

મારા હૃદીયાના તારે તારે ગાનો ઝંકારતાં,
ધરવી શી ગીતો કેરી અંજલી જો?

મારા નયનોની કીકી કેરાં નૂર છો જો,
ત્યારે શીદને અંધારે અમને અથડાવા દ્યો છો દેવ?
ક્યારે અજવાળે અમને દોરશો જો?

મારા કર્ણોની શ્રુતિ કેરા સૂર છો જો,
ત્યારે શીદને કોલાહલમાંથી ઉગારી લ્યો ના દેવ?
ક્યારે અનાહત નાદે પ્રેરશો જો?

મારા મુખની વાણીના રસ, રૂપ છો જો,
ત્યારે શીદને આ વૈખરીમાં વિખરાવા દ્યો છો દેવ?
ક્યારે નીરવમાં સંચારશો જો?

મારા મનની નૌકાના તમે ધ્રુવ છો જો,
ત્યારે શીદને ભમાવી મારી ભટકાવા દ્યો છો દેવ?
ક્યારે ગહનમાં હંકારશો જો?

જાગો ! જાગો ! સૂતેલા દેવ!
જગવો ! જીવન ઘોર.
આ મંગળ ઘડીએ આવો મ્હાલતા જો!

– જયંતિલાલ આચાર્ય

સદ્ ગત શ્રી જયંતિલાલ આચાર્ય મારા પિતાશ્રીના મિત્ર હતા. તે જમાનામાં અમારા સમાજમાં શાંતિનિકેતન જઇ ગુરૂદેવ ટાગોર પાસે ભણ્યા હોય તેવી તે વિરલ વ્યક્તિ હતા. અમદાવાદની લબ્ધ પ્રતિષ્ઠીત ‘શ્રેયસ’ શાળામાં ગુજરાતીના આ શિક્ષકે કોઇ પુસ્તક પ્રસિધ્ધ કર્યું ન હતું. પણ તેમની આ સ્તુતિ અમારા ઘરમાં અવારનવાર ગવાતી.

આપણી અંદર જ રહેલા, આપણા કણ કણને સંચાલતા, પણ સૂતા પડીને રહેલા, તત્વને જગાડવાનું આ આવાહન મને સૌથી વધી ગમતી સ્તુતિ છે.

Comments (1)

નૂરે ગઝલ -‘શૂન્ય’ પાલનપુરી

આંખડી છેડે સરગમ, હૃદય તાલ દે, અંતરો ગાય પંચમના સૂરે ગઝલ;
દર્દ અંગડાઇ લે, પ્રેમ ઝૂમી ઊઠે, રૂપ ઝણકાવે પાયલ ને સ્ફુરે ગઝલ.

દૃશ્ય સર્જાય મોંઘું મિલનનું અને સાથિયા ચાંદ-સૂરજના પૂરે ગઝલ;
દોર ગોઝારો જામે વિરહનો અને રાતના ઘોર સન્નાટે ઝૂરે ગઝલ.

ઊર્મિઓને કશું ક્યાંય બંધન નથી,લાગણી મુક્ત છે સ્થળ અને કાળથી;
બુલબુલોએ રચી ગુલશનોમાં અને આમ્ર-કુંજોમાં ગાઇ મયૂરે ગઝલ.

બે ધડકતા દિલોની કહાણી બને, રંગ ભીની કરુણાની લ્હાણી બને,
પ્રેમ ને રૂપની દિવ્ય વાણી બને, તો જ પહોંચી શકે દૂર દૂરે ગઝલ.

દેહના કોડિયે, પ્રાણની વાટને, લોહીમાં ભીંજવીને જો બાળી શકો,
તો જ પ્રગટી શકે દર્દની મ્હેફિલે, દિલને રોશન કરે એવું નૂરે ગઝલ.

જન્મ-મૃત્યુ છે, મત્લા ને મક્તા ઉભય, શ્વાસના કાફિયા, જિંદગીનો વિષય ;
રંગ લૌકિક છે પણ અલૌકિક લય , ગાય છે ‘ શૂન્ય’ ખુદની હજૂરે ગઝલ.

-‘શૂન્ય’ પાલનપુરી

આ રચના શ્રી મનહર ઉધાસે બહુ જ ભાવવાહી સ્વરાંકનમાં અને તેમના મધુર અવાજમાં ગાઇ છે. ગઝલ રૂપાળી કેમ લાગે છે તેનું આવું સુંદર બયાન ‘શૂન્ય’ જ આપી શકે.

બહારથી રૂપાળી દેખાતી ગઝલના મૂળમાં ‘સપનાં’ અને ‘શૂળ’ હોય છે તેની પ્રતીતિ આપણને આ ગઝલ વાંચતાં અને સાંભળતાં થાય છે.

રસિક જનોને માહિતી કે ‘શૂન્ય’ ની રચનાઓ બજારમાં આજ સુધી અપ્રાપ્ય હતી, પણ ‘મુસાફિર’ પાલનપુરીએ તેમના પાંચ સંગ્રહોમાંથી વીણી વીણીને રચનાઓ ભેગી કરી છે અને ‘શબ્દલોક પ્રકાશન’ ની સહાયતાથી આ વર્ષે એક પુસ્તકમાં પ્રકાશિત કરી છે, જેનું નામ છે – ‘દરબાર શૂન્યનો’

Comments (4)

એ જિંદગી – ઉશનસ્

આ તરફ ઉન્મત્ત ધ્વજ ફરકાવતું સરઘસ જતું;
-ના તે નહીં,
એ તરફથી ડાઘુજન ગમગીન ચહેરે આવતું;
– તે યે નહીં.
રસ્તા વિશે એ બે ય ધારા જ્યાં મળે,
તે મેદની છે જિંદગી.

ભરતી વિષે ઉભરાય ખાડી, ખાંજણો યે આકળી;
-ના તે નહીં,
ને ઓટમાં એ હાડપિંજરની ગણી લો પાંસળી યે પાંસળી,
– તે યે નહીં
ઓટ ને ભરતી ઉભય સંધાય જે ક્ષણ;
તે સમુંદર જિંદગી.

ફૂલના જેવું વસંતલ સ્મિત ખીલે જે શૈશવે;
-ના તે નહીં,
ને અષાઢી મેઘ જેવી આંખડી સંતત રુવે,
– તે યે નહીં..
હર આહ કૈં મલકી જતી, હર સ્મિત ભરતું ડૂસકું
તે સંધિક્ષણ છે જિંદગી.
 

-ઉશનસ્   

Comments (5)

સાજન મારો સપનાં જોતો, હું સાજનને જોતી – મૂકેશ જોષી

સાજન મારો સપનાં જોતો, હું સાજનને જોતી
બટન ટાંકવા બેઠી’તી પણ ટાંક્યુ ઝીણું મોતી…

મોતીમાંથી દદડી પડતું અજવાળાનું ઝરણું
મેં સાજનને પુછ્યું તારા સપનાંઓને પરણું ?
એણે એના સપનાંમાંથી ચાંદો કાઢ્યો ગોતી..
                                      સાજન મારો…

સૂક્કી મારી સાંજને ઝાલી ગુલાબજળમાં બોળી
ખટમીઠ્ઠા સ્પર્શોની પુરી અંગો પર રંગોળી
સૂરજની ના હોઉ ! એવી રોમે રોમે જ્યોતિ…
                                     સાજન મારો…

– મૂકેશ જોષી

પ્રથમ વરસાદ જેવું તાજું આ ગીત દીલને એક જ ક્ષણમાં લીલુંછમ કરી દે છે. બટન ટાંકવા બેઠી’તી પણ ટાંક્યુ ઝીણું મોતી…એ એક જ પંક્તિ મન પર કબજો કરી લેવા માટે પૂરતી છે !

Comments (3)