પગમાં છે બૂટ એ ભલે શહેરોની દેન છે,
ફૂલ, ઘાસ, માટીથી હજી પાની છે તરબતર.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for રાવજી પટેલ

રાવજી પટેલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




મિસ જૂલિયટીનું પ્રણયગીત – રાવજી પટેલ

(હો રાજ રે હું તો તળાવપાણી ગૈતી – એ ઢાળમાં ગાવા માટે)

મારા રળજી રે અમોને કૂવે પાણી મોકલ્યાં,
અમારે ન’તું જવું ને તોય તમે ધક્કેલ્યાં!
કાળજકૂણા કાંટા વાગ્યા…

મારા રળજી રે અમારી પરવાળાની પાની,
દેડકો જોઈ ગયો ઉઘાડી– તીતીઘોડે પાડી તાલી,
કાળજકૂણા કાંટા વાગ્યા…

મારા રળજી રે કાંટા છાનામાના વાગ્યા
નબળા મેળ વગરના પાક્યા –
કાળજકૂણા કાંટા વાગ્યા..

મારા રળજી રે તમે જૈ રશિયે તાર કરાવો (કે)
ઝટઝટ ચાંદલિયો મંગાવો, મારી પાનડિયો ઢંકાવો,
કાળજકાંટા અમને વાગ્યા…

મારા રળજી રે તમારો હોઠ તણો શો હધડો,
પોપટ-પેટ કપાવી લાવો-નાજુક પાની પર બંધાવો,
કાળજકૂણા કાંટા વાગ્યા…

મારા રળજી રે વચમાં મંદિરના શ્રીજીએ
મારી પાનીને પંપાળી – ઓય મા પાંપણથી પંપાળી
કાળજકાંટા અમને વાગ્યા…

મારા રળજી રે અમારે ન’તું જવું ને તોયે તમે ધક્કેલ્યાં
કૂવે પાણી ભરવા ઠેલ્યાં – અમને કાળજ કાંટા વાગ્યા.

– રાવજી પટેલ

આપણાં લોકગીતો કદાચ વિષયવૈવિધ્યની બાબતમાં આધુનિક ગીતોની સરખામણીએ વધુ સમૃદ્ધ હતાં. સેંકડો પ્રકારનાં વ્યંગકાવ્યો આપણને લોકગીતોમાંથી મળી આવે છે, પણ આધુનિક ગીતોમાં વ્યંગકટાક્ષ કાવ્યોનું પ્રમાણ સદાકાળ જૂજ જ રહ્યું છે. ‘કંકુના સૂરજ’ જેવું અમર શોકગીત આપનાર રાવજીએ કેવું મજાનું વ્યંગકાવ્ય આપ્યું છે એ જુઓ. એક તો કવિએ નાયિકાનું ના અંગ્રેજી પસંદ કર્યું છે અને એય જૂલિયટના સ્થાને જૂલિયટિ રાખ્યું છે. અંગ્રેજ બાઈને કૂવે પાણી ભરવા જવાનું કોઈ કહે તો એને કેમ ગમે? પણ એણે નહોતું જવું તોય કથકે જબરદસ્તી મોકલતાં પોતાને હૈયામાં કાંટા ભોંકાયાની પીડા થઈ હોવાની ફરિયાદથી ગીતનો ઉપાડ થાય છે. નાયિકા મારા રાવજીના સ્થાને રળજીનો તળપદો ટહુકો કરે છે એય નોંધવા જેવું. પોતે ઊઘાડા પગે પાણી ભરવા ગઈ અને લોકોએ એની ઉઘાડી પાની જોઈને ખિખિયાટા કર્યા એના કારણે આ શૂળ પાક પર ચડ્યું. 1959ની સાલમાં રશિયાનું લ્યુના-2 અવકાશયાન ચંદ્ર પર ઉતર્યું હતું એ સમાચારનો ગરમાટો ગીતમાં પણ આવ્યો છે. નાયિકા નાયકને રશિયા તાર કરીને પોતાની ઉઘાડી પાનીઓ ઢાંકવા ચાંદો મંગાવવા કહે છે. ખરી મજા તો સાક્ષાત્ શ્રીજીએ પણ નાયિકાની પાનીને પાંપણથી પંપાળવામાં મના ન રાખી એમાં છે.

‘મારા રળજી રે તમારો હોઠ તણો શો હધડો’ – આ પંક્તિમાં હધડો એટલે શું એ સમજતા દમ નીકળી ગયો. તળપદી બોલીમાંય ક્યાંય આવો શબ્દ વપરાતો જણાતો નથી. રાવજીના આ ગીત તથા એની જ ‘અશ્રુઘર’ નવલકથામાં આ શબ્દ પ્રયોજાયો છે, પણ એનો અર્થ ક્યાંય મળતો નથી. ‘ધડો’ શબ્દનું ‘હધડો’ કરાયું હોય એમ પણ બને. રાવજીના મનમાં કયો અર્થ હશે એ તો રાવજી જ જાણે, પણ આપણને એટલું સમજાય છે કે નાયિકાને પાણી ભરવા નહોતું જવું પણ રાવજીના હોઠનો લાંક જ કંઈ એવો હતો કે નાયિકાને જવું પડ્યું. કોઈ જાણતલ વ્યક્તિ આ કોયડાનો ઉકેલ આણવામાં મદદ કરશે તો આનંદ.

Comments (3)

ઢોલિયે – રાવજી પટેલ

અમે અજાણ્યા ક્યાં લગ રહેશું?
કહો તમારા ઘરમાં?
કહો તમારા ઘરમાંથી વળી
તબો-તમાકુ પંડ ઊઠીને ક્યારે લેશું?
દખણાદી પરસાળ ઢોલિયો ઢળ્યો,
ક્યારનો પડ્યો પડ્યો હું
જતાં-આવતાં ઘરના માણસ ભાળું;
બોલ તારા સુણી માંહ્યથી
પાંપણ વાસી
અમો ખોલિયે દુવાર આડું!
જોઉં જોઉં તો બે જ મનેખે
લહલહ ડોલ્યે જતો ડાયરો!
કોણ કસુંબા ઘોળે ?
ઘૂંટે કોણ ઘેનનાં ફૂલ?
હથેલી માદક લહરી-શી રવરવતી –
દિન થઈ ગ્યો શૂલ…
હમણાં હડી આવશે પ્હોર –
રાતના ઘોડા ગોરી,
સાગઢોલિયે પાંખ ફૂટશે;
કમાડ પર ચોડેલી ચકલી
સમણું થઈ ઘરમાં ફડફડશે.

જુઓ પણે પરસાળ સૂંઘતો ચાંદો.
અમને ઘડીવાર તો ગંધ ઊંઘની આલો,
આલો શ્વાસ તમારો ઓઢું, જંપું.
અંધકારથી પડખાંનો આ-વેગ
હવે તો બાંધો
ઢળ્યે ઢોલિયે…

– રાવજી પટેલ

રાવજીની કવિતામાંથી મૃત્યુની હારોહાર અદમ્ય જાતીય વૃત્તિનો અણસારો પણ સતત મળતો રહે છે. કદાચ કાચી વયે ટીબીની, એ સમયની અસાધ્ય બિમારીના કારણે થયેલી શરીરની પાયમાલી સામે આદિમ વૃત્તિનો રોક્યો રોકી ન શકાય એવો હણહણાટ આ માટે જવાબદાર હશે.

સાસરામાં પોતીકાપણું ન અનુભવવાની ફરિયાદથી શરૂ થતી રચના રતિક્રીડાની આરત અને તડપ સુધી પહોંચે છે. ઢોલિયામાં પડ્યે-પડ્યે એ સાસરિયાંવની ગતિવિધિનો મૂક પ્રેક્ષક બનતો પડી રહ્યો છે, પણ ભીતરથી પત્નીનો અવાજ આવતો સુણીને એ પાંપણ બીડીને દરવાજો હળવેથી ખોલે છે. દરવાજો ખોલવાની ચેષ્ટા પત્નીના દુર્લભ દર્શનની તાલાવેલી સૂચવે છે, પણ દરવાજાની પેલે પાર એ દર્શન થનાર નથી એની ખાતરી પણ હોવાથી પાંપણ વાસી દઈને પત્નીને એ તાદૃશ પણ કરે છે. બે નાની અમથી ચેષ્ટામાં કવિ કેવી અદભુત રીતે કાવ્ય સિદ્ધ કરે છે! વિરહથી વેદનાસિક્ત દિવસ કાંટાની જેમ ભોંકાઈ રહ્યો છે, રાત ઊતરી આવનાર છે પણ પ્રિયાના કોઈ સગડ નથી. કાવ્યાંતે ‘આવેગ’ના બે ભાગ કરીને કવિએ બે અર્થ નિપજાવીને પણ કમાલ કરી છે.

અને જો જો હં… આ કંઈ અછાંદસ કાવ્ય નથી… ગાગાગાગાના આવર્તનો સાથે કટાવ છંદમાં લખાયેલી આ રચનાનો પ્રવાહી લય રચનાને મોટા અવાજે વાંચશો તો તરત અનુભવી શકાશે…

Comments (8)

ભીડ – રાવજી પટેલ

એકાંતમાં પણ ભીડ કેટલી જામી!

કો’ક મીઠી છોકરી જેવી હવા
મુજને ઘસાતી જાય.
કાંઠા બેઉ છલકાતા.
વધી અંધારની હેલી.
ડગલું ભરાતું માંડ
ત્યાં,
રોમ પણ ઊંચું જરી ના થાય એવો તો
હવાનો પાશ!
આ પુલની પેલી તરફના લોકમાં
થોડું ફરી આવું.
ડગલું ભરાતું માંડ.
રે
એક જણની ભીડનો આવો મને ન્હોતો જરીયે ખ્યાલ!

– રાવજી પટેલ

એકાંત અને પ્રિય વ્યક્તિની યાદનો કેવો અદભુત મહિમા!

પહેલી નજરે અછાંદસ લાગતી આ રચનામાંથી ગાલગાગા અને ગાગાલગાના નિયત આવર્તનોના કારણે મજાનું સંગીત પણ સંભળાય છે…

Comments (4)

ઠાગા ઠૈયા – રાવજી પટેલ

ઠાગા ઠૈયા ભલે કરે રામ !
આપણે તો અલબત-શરબત ઊંચું મેલ્યું.
ભલે મારું નિર્વાણ ઊડી જાય !
ભલે મને મળે નહીં બ્રહ્મનું બટેરું ભરી છાશ.
દોમદામ પેઢીઓની ગીચતાને
મારે નથી શણગાર પ્હેરાવવા,
એની પર ખીજડા છો ઊગ્યાં કરે;
સુગરીઓ ભલે બાંધે ઘર, ભલે સેલ્યૂટ ભર્યા કરે !
આપણે શા ઠાઠ
કવિતાને ઘર શું ને કરવા શા ઘાટ !
કવિતાને મોગરાની ખપે બસ વાસ.
દોમદામ સાહ્યબી મારે મન ફફડતા પડદા –
ફફડતી ભીંત.
મારે મન હંમેશનાં હવડ કમાડ
ઘટમાળ-બટમાળ કશું નહીં,
સાહ્યબીનો ચ્હેરો હવે સૂર્ય નહીં –
સૂર્ય હવે છાણનું અડાયું મારે મન.
મારે મન કવિતાની સાહ્યબીના સૂરજ હજાર.
ઓરડામાં પડેલો આ અંધકાર ઊંચકું હું કેમ?
તમારે કહ્યે મારા નિજત્વને ફેંકી દઉં કેમ?
મને તો ઘણુંય થાય :
નજીક બેસાડી તારા ઘરને હું કવિતાની જેમ
કશો અર્થ દઉ;
તારી શય્યાને કવિતાની ગંધ દઉં.
કિંતુ વ્યર્થ
તમારે તો સાણસીનો કરવો છે અર્થ.
હું તો માત્ર કવિતાઈ રણનો પ્રલંબ પટ
કેવળ વેરાઈ જાણું પ્રણયની જેમ.
પણ તમારે તો દરિયાનો કરવો છે અર્થ.
હું તો માત્ર,
કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર,
હું તો માત્ર
કવિ,
હું તો માત્ર
ઓરડામાં સબડતું આદિ મમી,
હું તો માત્ર
ભૂખથી રિબાતું મારું વલ્લવપુરા ગામ.
હું તો માત્ર
ખાલીબખ નિઃસહાય ૐ
પણ તમારે તો ગણિતનાં મનોયત્ન ગણવાં છે.
મારી પાસે નથી એ ગણિત
મારી પાસે નથી એનો અર્થ
મારી પાસે કવિતાનો નથી કશો નર્થ.

– રાવજી પટેલ

રાવજીને કવિતા સામે બે તકલીફો હતી. એક, એ પૂર્વજોએ બાંધેલા એના ભવ્ય મહાલયોમાંથી બહાર આવતી નથી અને બે, અર્થ જાણે એનું અવિભાજ્ય અંગ ન હોય એમ આખી દુનિયા કવિતામાંથી અર્થ શોધતી રહે છે. એક તરફ રાવજી કવિતાના પરંપરાગત ઢાંચા -ઘાટ અને શૈલી- સામે વિદ્રોહ પોકારી મૌલિકતા ઉપર ભાર મૂકે છે તો બીજી તરફ કવિતામાંથી અર્થ શોધવાની વૃત્તિનો ત્યાગ કરીને અનુભૂતિ તરફ ધ્યાન આપવા એ કહે છે. કવિતાને એની અખિલાઈમાં આસ્વાદવાની છે. એનું અંગ-ગણિત નહીં, એને સંગ અગણિત માણવાનું છે. એની આબોહવામાં બેરોમીટર નહીં, ખાલી ફેફસાં લઈને પ્રવેશવાનું છે, તો જ શ્વાસમાં એનો પ્રાણવાયુ ભરાશે. તત્ત્વજ્ઞાનના પરંપરાગત વિચારો, મૃતઃપ્રાય સંસ્કૃતિના બીબાંઢાળ સંસ્કારો, વ્યવહારુ ભૌતિકવાદના સુનિશ્ચિત માળખાંમાં જે કેદ છે એ બીજું કંઈ પણ હોય, કવિતા નથી. કવિતા જ સાચો વૈભવ, કવિતા જ સાચો પ્રકાશ, કવિતા જ સાચું ઘર. શૈય્યા અને ભૂખના અંગત નિત્ય અનુભવોની અર્થધાત્રી એ કવિતા. ભવ્ય ભૂતકાળ નહીં, પણ પ્રવર્તમાન ઠોસ વાસ્તવ સાથેનું નિજત્વની સુગંધસભર અનુસંધાન એ જ જીવનનો સાચો અર્થ, એ જ સાચી કવિતા.

કવિતાનો વિશદ આસ્વાદ આપ અહીં માણી શકશો: http://tahuko.com/?p=18838

Comments (10)

(આંબા પર દીઠું ગુલાબ) – રાવજી પટેલ

સાંભળ તો સખી આંબા પર ફૂટ્યું ગુલાબ
મારી છલકઈ ગઈ આંખોની છાબ.
મેં તો આંબા પર દીઠું ગુલાબ…

સાંભળ તો સખી એક ઝીણેરી મોરલાની ડાળ
નરી ટહુકાની નવીસવી વાડ,
વચ્ચે છાયુંમાયું ચંદનતલાવ,
મેં તો આંબા પર દીઠું ગુલાબ…

સાંભળ તો એક કૂણા કૂણા કાંટાની વાત,
જાણે નાના ગુલાબ એમાં સાત.
મને વાગીને કરતો ઈલાજ.
મેં તો આંબા પર દીઠું ગુલાબ…

સાંભળ તો સખી મેં તો સમણામાં લંબાવ્યો હાથ,
મારી રોળઈ ગઈ રળીઢળી વાત.
મેં તો આંબા પર દીઠું ગુલાબ…

– રાવજી પટેલ

સહજ વિચારધારાથી વિપરિત ચાલીને અસહજને સહજ બનાવી શકે એ જ કવિતા. કવિતા અસંભવનો હાથ ઝાલીને ચાલે તો ખરી, પણ એનો જાદુ જ એવો કે ભલભલું અસંભવ પણ સંભવ લાગે… આંબા પર ગુલાબ ફૂટવાની વાત કવિએ એટલી સહજતાથી કરી છે કે જરા સભાનતા ઓછી હોય તો ભાવકને એવો વિચાર સુદ્ધાં ન આવે કે આંબા પર ગુલાબ ફૂટે? પણ રાવજી આપણને ‘સાંભળ તો સખી’ કહીને એટલો નજદીક લાવી દે છે કે આપણને આંબા પર ગુલાબ ફૂટવાની સહેજે નવાઈ લાગતી નથી. આંબો ઘટાટોપ સાસરાંને ગણીએ તો સાહ્યબો એટલે ગુલાબ એ સહજે સમજી શકાય. અને એને જોતાવેંત નાયિકાની આંખોની આખી છાબ છલકઈ જાય છે… જો જો હંઅઅ… છાબ છલકાઈ નથી જતી, છલકઈ જાય છે… આંખોમાં હરખના આંસુ એ રીતે ઊમટી આવ્યાં છે, કે છલકાઈમાંના કાનાને એ સાથે ઘસડી લઈ ગયાં… છે ને કવિકર્મ!

બહુ નાની વયે વિદાય લઈ જનારે રાવજીને વિદાયનો દિવસ ઢૂંકડો આવે એ પહેલેથી જ સમજાઈ ગયું હતું કે એનો દીવો ઝાઝું ચાલવાનો નથી. ઓલવાતો દીવો વધુ ભભકે એમ એની કવિતાઓમાં અતૃપ્ત રતિરાગ પણ અવારનવાર ઉછાળા મારતો નજરે ચડે છે. નવવધૂ એની સખીને અંતરંગ વાતો કરી રહી છે. મોરલો કદાચ બંને સંદર્ભમાં વપરાયો હોય –આંબાના ઝીણેરા મોર અને સાક્ષાત મોર! સાસરિયાંની ડાળ પર ટહુકાની સીમા વચ્ચે ચંદન સમી શીતળતા બક્ષતો સ્નેહ નાયિકા માણી રહી છે. વાગીને ઈલાજ કરતો કૂણો કૂણો કાંટો સંભોગશૃંગાર તરફ ઇંગિત કરતો જણાય છે, અને સપ્તપદીની પગલે પગલે નાનાં ગુલાબ ફોરી રહ્યાં છે. નાયિકા સુખી સંસારનું સપનું જોતાં-જોતાં અજાણતાં હાથ લંબાવી બેસે છે અને એની રળીઢળી વાત રોળઈ જાય છે… અહીં પણ રતિક્રીડાનો આવેગ ‘રોળાઈ’માંના કાનાને તાણી ગયો છે. રોળાઈ જવાના પણ બંને સંદર્ભ ખુલ્લા રાખીને કવિ વાત પૂરી કરે છે…

Comments (8)

મેશ જોઈ મેં રાતી – રાવજી પટેલ

મેશ જોઈ મેં રાતી
મઘમઘ મેશ જોઈ મેં રાતી
મખમલના જલમાં મધરાતે એક પરી જોઈ ન્હાતી!
મેશ જોઈ મેં રાતી

આંખ ભૂલી ગૈ આંખપણું ને આંગળીઓથી દીઠી.
કમખામાંની રાત ખોલી દઈ હથેલીઓથી પીધી!
શમણાંને છુટ્ટાં મેલીને હીરની દોરી ગાતી
મેશ જોઈ મેં રાતી

પગનું એક હલેસું વાગે મસ્તક લસરક વ્હેતું ;
મોરલીઓનો શ્વાસ ઉપરથી સર્યો જતો’તો સેતુ.
મણિ ચૂસતો નાગ, નાગની ફેણ મને કૈં પાતી!
મેશ જોઈ મેં રાતી

– રાવજી પટેલ

 

ભાવાર્થ પકડાતો નથી. સૌ વાચકોને અભિપ્રાય આપવા આમંત્રણ….

Comments (1)

રમ્ય શાંતિ – રાવજી પટેલ

એક પંખીની પાંખ હલે ખેતર પર મંથર
પવન પણે જો પાળ ઉપર ગોવાળ સરીખો સ્તબ્ધ
ઘાસ અવલોકે !

વૃક્ષ છાંયમાં બળદ ભળી જઈ
લુપ્તકાય વાગોળે….
જાગે સૂર્ય એકલો.

નજર પહોંચે ત્યાં લગી વિચારો જંપ્યા.
તળાવનું પોયણ જલ સ્વપ્નવધૂના પેટ સરીખું હાલે !
પણે ચરાના શાંત ઘાસમાં સારસ જોડું
એકમેક પર ડોક પાથરી સૂતું.
ઉદગાર કાઢી ન શકું
એટલી રમ્ય શાંતિ
ઘડીભર આવી’તી…

– રાવજી પટેલ

અદભૂત શબ્દચિત્ર છે…..પ્રત્યેક શબ્દને કલ્પી જુઓ…..મનોહર સમો બંધાય છે…ખરેખર વિચારો જંપી જશે – સાચું મૌન અનુભવાશે

Comments (1)

ઢીંચણ પર માખી – રાવજી પટેલ

ઢીંચણ પર માખી બેઠીને
મને રડવું આવ્યુંઃ
હે… તું કેટલા બધાં વર્ષો પછી પાછી આવી?
મારા ઢીંચણ કૂવાના ટોડલા જેવા સૂકાભઠ.
એની પર કોઈનોય સ્પર્શ થતો ન’તો.
ચરામાં દર્ભ ઊગતો, સુકઈ જતો,
તૃણ તૃણ થઈ ઊડી જતો.
ઝાડ પર બાચકો પોપટો બેસતા અને ખરી જતા
પણ મારા ઢીંચણ તો સાવા ઊંડી વાવ જેવા ખાલી ખાલી.

આજે ઢીંચણ પર દિવાળી બેઠી છે !
મને થાય છેઃ
ચોકની માટીમાં રગડપગડ આળોટું.
પણ
હે… તું કેટલા બધાં વર્ષો પછી પાછી આવી ?
આજે કામ બામ નથી કરવું,
માખી ઊડી જશે તે પછી હું
મારા ઢીંચણને ચબ્બકચબ્બક ધાવીશ.
બગીચામાંથી સૂર્યમૂખીનું ફૂલ ચૂંટીને
એના પર મૂકીશ.

આ પૃથ્વી પરની
એક માખીને પણ
મારો ઢીંચણ મીઠો લાગે
પછી મને કેમ રડવું ન આવે?

– રાવજી પટેલ

એક તદ્દન સહજ-સામાન્ય ઘટનામાંથી કાવ્ય અને તે પણ આવું અદભૂત કરુણરસનું કાવ્ય માત્ર અને માત્ર રાવજી જ સર્જી શકે… હળવા ઉપાડ સાથે આરંભાતું કાવ્ય આગળ વધે છે તેમ ઘેરા વિષાદનો રંગ પકડે છે અને એક સાચા ‘જૉકર’ ની જેમ હસતા-હસાવતા રડાવી દે છે…..

Comments (3)

ભીડ – રાવજી પટેલ

એકાંતમાં પણ ભીડ જામી કેટલી !

કો’ક મીઠી છોકરી જેવી હવા
મુજને ઘસાતી જાય.
કાંઠા બેઉ છલકાતા.
વધી અંધારાની હેલી.
ડગલું ભરાતું માંડ
ત્યાં,
રોમ પણ ઊંચું જરી ના થાય એવો તો
હવાનો પાશ !
આ પુલની પેલી તરફના લોકમાં
થોડું ફરી આવું.
ડગલું ભરાતું માંડ.
રે
એક જણની ભીડનો આવો મને ન્હોતો જરીયે ખ્યાલ !

– રાવજી પટેલ

નાની ઉંમરે આવજો કરી ન ગયો હોત તો રાવજીએ આપણી ભાષાને કેવી રળિયાત કરી હોત એની કલ્પના જ રોમાંચિત કરી દે છે. પહેલી નજરે અછાંદસ લાગતી આ રચના છંદોબદ્ધ છે. ગાલગાગા-ગાગાલગાના નિયમિત આવર્તનો રચનાને પોતાનો લય આપે છે, જાણે કે હવા આપની ચારેકોર વીંટળાઈને દબાણ વધઘટ ન કરતી હોય! પ્રિયજનનું સ્મરણ આપણા એકાંતને પણ કેવું ખીચોખીચ ભરી દે છે એની પ્રતીતિ કરાવતું મજબૂત કાવ્ય !

Comments (3)

(આભાસી મૃત્યુનું ગીત) – રાવજી પટેલ (Translated by 1. Pradip Khandwala, 2. Dileep Jhaveri)

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો, અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

– રાવજી પટેલ

ગુજરાતી કવિતાના કર્ણફૂલ સમું આ લગ્નગીતના ઢાળમાં મૃત્યુને પોંખતું અમર ગીત આગળ લયસ્તરો પર મૂક્યું હતું અને ભાવકમિત્રોને એનો આસ્વાદ કરાવવાનું કામ આપ્યું હતું અને લગભગ ત્રણ ડઝન વાચકોએ આ ગીતનો પોતપોતાની રીતે આસ્વાદ કરાવ્યો હતો.

બીજા દિવસે સુરેશ દલાલ અને હરીન્દ્ર દવેના આસ્વાદ સાથે મારા વિચારોને સેળભેળ કરીને સવિસ્તાર સમજૂતી રજૂ કરી હતી.

આજે આ અમર કવિતાના બે અંગ્રેજી અનુવાદ આપ સહુ માટે રજૂ કરીએ છીએ:

Swan song

Vermilion suns have set in my eyes…
adorn my nuptial wagon brother, adjust the flame
O breaths on feet are restive, attired in lights !
Vermilion suns have set in my eyes…

Green stallions drowned in yellowed leaves
sank gay kingdoms, sank gay deeds
O I heard such neighing scent !
Vermilion suns have set in my eyes…

A shadow restrains me in the courtyard
holds me half by words, half by anklets
O I am wounded by a live tenderness !
Vermilion suns have set in my eyes…

– Ravji Patel
(Translated by Pradip Khandwala)

*

The Song of Illusive Death

Vermilion suns have set in my eyes
Deck my litter, brother, trim the wick
Oh, the breaths await draped in brilliance
Vermilion suns have set in my eyes

Verdant stallions have drowned in ochre leaves
Vast dominions drowned, drowned joyous deeds
Oh, I have heard the neighing scent
Vermilion suns have set in my eyes

By a shadow I am halted in the square
Held partly by an utterance, partly by anklet
A living tenderness nudges me
Vermilion suns have set in my eyes.

– Ravji Patel
(Translated by Dileep Jhaveri)

Comments (14)

પંખી – રાવજી પટેલ

કદી આંખમાંથી ઊડી જાય પંખી,
કદી આંખ વચ્ચે પડી ન્હાય પંખી.

અટારી નીચે વૃક્ષ ઊગ્યું’તું મનમાં,
વિચારો થઈ આજ અટવાય પંખી.

કરી પાંખ પ્હોળી ઉભય ગાલ ઉપર,
તમારા ચહેરાનું મલકાય પંખી.

નર્યાં ફૂલ વચ્ચે રહી રહીને થાક્યું,
હવે શબ્દ થઈને આ અંકાય પંખી.

પણે ડાળ આંબાની ટહુક્યા કરે છે,
પણે રાત આખી શું વેરાય પંખી.

હજી જીવું છું એનું કારણ છે એક,
હજી શ્વાસમાં એક સંતાય પંખી.

– રાવજી પટેલ

રાવજી પટેલની ગઝલ જૂજ વાંચી છે. આ ગઝલમાં પંખી રૂપક દરેક શેરમાં જુદો અર્થ ધારણ કરે છે – ક્યાંક એ desire છે તો ક્યાંક એક ભ્રમણા છે…..

Comments (9)

ઢીંચણ પર માખી બેઠીને… – રાવજી પટેલ

ઢીંચણ પર માખી બેઠીને
મને રડવું આવ્યુંઃ
હે… તું કેટલા બધાં વર્ષો પછી પાછી આવી?
મારા ઢીંચણ કૂવાના ડોડલા જેવા સૂકાભઠ.
એનીપર કોઈનોય સ્પર્શ થતો ન’તો.
ચરામાં દર્ભ ઊગતો, સુકઈ જતો,
તૃણ તૃણ થઈ ઊડી જતો.
ઝાડ પર બાચકો પોપટો બેસતા અને ખરી જતા
પણ મારા ઢીંચણ તો સાવા ઊંડી વાવ જેવા ખાલી ખાલી.

આજે ઢીંચણ પર દિવાળી બેઠી છે!
મને થાય છેઃ
ચોકની માટીમાં રગડપગડ આળોટું
પણ
હે… તું કેટલા બધાં વર્ષો પછી પાછી આવી?
આજે કામ બામ નથી કરવું,
માખી ઊડી જશે તે પછી હું
મારા ઢીંચણને ચબ્બકચબ્બક ધાવીશ.
બગીચામાંથી સૂર્યમૂખીનું ફૂલ ચૂંટીને
એના પર મૂકીશ.

આ પૃથ્વી પરની
એક માખીને પણ
મારો ઢીંચણ મીઠો લાગે
પછી મને કેમ રડવું ન આવે?

– રાવજી પટેલ

કવિના ઘૂંટણ ખાલી ખાલી, એના પર એક માખી બેસે તેમા કવિ આખા પાણી પાણી ! હસી લો, ભાઈ, હસી લો… રોજ રોજ કંઈ માખી પરની કવિતા જોવા મળે છે? બિચારી માખીને કવિતામાં ‘એક્સટ્રા’નો રોલ પણ ભાગ્યે મળે છે અને અહીં તો ‘હિરોઈન’નો રોલ મળી ગયો છે… હસી લો !

હસવાનું પતે એટલે વિચારી જુઓ… માણસ એવો તે કેવો સૂક્કોભટ થઈ જતો હશે કે એક માખીનું બેસવું ય એને વ્હાલું લાગે ? માણસ એવો તે કેવો તરછોડાયો હશે કે એક માખીના બેસવામાં એને આલિંગનનો આનંદ આવી જાય?

આવી કવિતાઓ લખતો એટલે રાવજી રાવજી હતો. કવિ હોવા અને કવિતા જીવવામાં કેટલો ફરક છે એ આવી કવિતા વાંચતા અનુભવી શકાય છે.

Comments (5)

ભાઈ – રાવજી પટેલ

બપોરી વેળાનું હરિતવરણું ખેતર ચડ્યું
વિચારે એવું કે લસલસ થતો મોલ સઘળો;
અને આ કોસે તો બસ હદ કરી: આંખ મળતાં
ઉલેચ્યાં પાતાળો પુનરપિ, હવે તે ટપકતો
રહ્યો ભીંતે, બેઠું વિહગ જઈ ત્યાં, સીમ નીરખી
કરે છે ગીતોનું સ્મરણ. કરું હું કાન સરવા.
ચડ્યો ઝોકે એવો બળદ પણ, બીજો મુજ સમો
રહ્યો આ વાગોળી. લચકઈ પડ્યાં લોચન મહીં
પછી તો ડૂંડાઓ, હરખ નવ માયો હૃદયમાં.
ફરી આવું થોડું ચલ મન, જરી ખેતર વિષે.
જતાં રોડું વાગ્યું, ચરણ લથડ્યો, આંખ ફરકી,
અહીં આ ક્યારીમાં ખડખડ હસ્યો ભાઈ મુજનો !

-રાવજી પટેલ

જો બારના બદલે ચૌદ પંક્તિઓ હોત તો આ ઊર્મિકાવ્ય ચોક્કસ જ સારા સૉનેટની પંક્તિમાં સ્થાન પામી શક્યું હોત. રાવજીની કવિતાઓમાં ગામડું જીવી ઊઠે છે. ખેતર વિચારે ચડી જાય એવા મજાના કલ્પનથી ઉઠાવ પામતું આ કાવ્ય ટપકતી આંખની જે ટપકી રહેલા કોસની વાત કરી આગળ આવનાર કરુણતાની એંધાણી આપતું અંતે અકાળે અવસાન પામેલા ભાઈની યાદ આવતાં જે રીતે ભાવકને વેદનાની ચરમસીમાએ લઈ જાય છે એ જોતાં શિખરિણી છંદ સાર્થક પ્રયોજાયો હોય એમ લાગે છે.

Comments (3)

એક મધ્યરાત્રે – રાવજી પટેલ

અરે, આ ઓચિંતું, થઈ જ ગયું શું સ્હેજ પરસે !
પથારી ખીલી ગૈ, કુસુમ ટહુક્યાં કૈં રુધિરમાં !
ઝમે અંગુલિનાં શિખર લયમાં, ને નયનમાં
હજારો પૂર્ણિમા પ્રકટ થઈ ગૈ શી પલકમાં !
અને આ હૈયાની ઉષર ધરતીમાં પરિમલ્યા
નર્યા દૂર્વાંકુરો ફર ફર થતા સ્હેજ ચમક્યું
સૂતેલી પત્નીનું શરીર; ઝબક્યો હુંય; પરખી.
જરા મેં પંપાળી પ્રથમ. ઉર મારુંય છલક્યું.
વીતેલાં વર્ષોમાં કદીય પણ ચાહી નવ તને.
સ્તનોના પુષ્પોમાં શરમ છૂપવીને રડી પડ્યો.

– રાવજી પટેલ

નાની વયે અવસાન પામેલા રાવજી પટેલની ટીબીની બિમારીના કારણે જન્મેલી કમજોરીને કવિતાનો ભાગ ન ગણીએ તો પણ એટલું સમજી શકાય છે કે પ્રણયાભિવ્યક્તિની ગેરહાજરી મોટાભાગના સંબંધોના કરમાવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. પણ વધુ અગત્યનું એ છે કે શરમ ત્યજી શકાય તો સંબંધની આવી ઉષર જમીનમાં પણ પુષ્પ ખીલી શકે છે.

(પરસે= સ્પર્શે, ઉષર = ઉજ્જડ, દૂર્વાંકુર= કાળા ને કુમળા ઝીણા ઘાસનો ફણગો)

Comments (14)

તા. ૧૫-૧૧-૬૩ – રાવજી પટેલ

દેહમાં પુરાયેલું અસ્તિત્વ આ
ગમતું નથી.
મને કોઈ રાવજીથી ઓળખે
એયે હવે ગમતું નથી.
સ્વપ્નપરીઓના સુવાસિત દેશને
પરીઓ બધી ઊંચકી ગઈ !
ને જાતને સમજાવતો હું થઇ ગયો.
રે, શું થયું ?
હું કશી દીવાલોમાં અટવાઉં છું,
ઇસ્ત્રી કરેલા શબ્દને હું ગોઠવું છું
કોઈ કાનોમાં,
કોઈ કાનોમાં ધખધખ થતું સીસું
તો કોઈમાં એવું પ્રવાહી રેડવું મારે પડે
કે
જીભ પર પાણી વળે
ને આંખ એની મુજને તાક્યા કરે.
આમ હું તો મધ સમો મીઠો બનું
ને યુદ્ધના વિચાર શો ધિક્કારવા લાયક બનું.
લાચાર છું.
આ શહેરમાં-હોટેલમાં-સરિયામ રસ્તે-
કોઈ સાથે -ટ્રેનમાં-પરગામમાં
આ સભ્યતાની કુંવરી [!]ને સાચવ્યા કરવી.
હું મુરબ્બી !
કોઈ પેઢીના હિસાબી ચોપડા જેવો નર્યો જુઠ્ઠો !
સહુ સામે મને-સાચા મને-બતલાવવાનો તો
વખત મળતો નથી;
હું મને જડતો નથી.
મારે કૂદવું છે વાછડાની જેમ
કોઈને ખટકું નહિ એવો
પવનની લ્હેરખી જેવો
ફરું;
હું ચગું વંટોળીયાની જેમ
કે
મારા પતનને કોઈ જાણે ના.
સ્કૂલમાંથી ઘર તરફ વળતા મનસ્વી બાળ જેવું –
અજાણ્યા માનવીને જોઈ હસતું,
પોલીસનો ડંડો જરી ખેંચી પછી
ચડ્ડી ચડાવી ભાગતું,
સિગરેટનાં ઠૂંઠા ,નકામી બાટલીના બૂચ વીણી
ટ્રાફિકને સમજ્યા વગર જોતું
હવામાં જેમ ફુગ્ગો જાય એવું જાય ઘરમાં-
વર્તવું છે.
પરંતુ આજ હું બાળક બની શકતો નથી
હું મિત્ર કેરા હાથને દાબી નથી શકતો;
પછી તો –

દેહમાં પુરાયેલા આ અસ્તિત્વનાં સર્પને
હું ભેળવી શકતો નથી સહુમાં;
ફૂલની ફોરમ સમો એ તે બને ?!
ચોવીસમી આ પારદર્શક કાંચળી ઉતારતાં
એને હવે પકડું
નહિ તો…..

– રાવજી પટેલ

એકસાથે કેટલી બધી વાતો કવિ કહી દે છે ! પ્રથમ ચાર લીટીઓ જ કવિનાં મૂડની છડી પોકારી દે છે. પ્રથમ ચાર લીટી જ એક સ્વતંત્ર કાવ્ય છે. દરેક કાનની કવિ પાસેથી પોતાની આગવી માંગણી છે. વળી આ શિષ્ટાચાર કદીમદીનો નથી-બધેજ ઠેકાણે આ સભ્યતાની કુંવરીને સાચવવાની છે !! આ કૃત્રિમતાને અંતે હું કેવો – ‘ કોઈ પેઢીના હિસાબી ચોપડા જેવો નર્યો જુઠ્ઠો ! ‘ …….. શબ્દો જાણે ચાબખાની જેમ વાગે છે ! ત્યારબાદ કાવ્ય વળાંક લે છે અને અંતિમ ચરણમાં ફરી પાછું આત્મદર્શન અને એક વિડંબના……

Comments (11)

(મારું દુઃખ) – રાવજી પટેલ

મારું દુઃખ ચકલીઓ મૂંગી છે તે છે.
આગલી કવિતામાં
મારા જીવનનાં
દસ વર્ષ વહી ગયાં; અને
હું આંસુમાં,ઓગળી ગયેલી ચકલીઓ જેવો
ફરીવાર થઈ ગયો.
મારા હાથ
બોબડાની જીભ જેવા.
ભીંત પર હલ્યા કરતા પડછાયા જેવો
ઘરમાં વસું
એના કરતા મંદિરનો ઘંટ હોત તોય સારું,
કેટલાય કાનને હું જગાડત…..

– રાવજી પટેલ

આ કવિ માટે મને ખાસ પક્ષપાત છે. એની કોઈપણ કવિતા દિલમાં જડાઈ જાય છે.

પ્રથમ વાંચને સરળ લગતી આ કવિતામાં ઈંગિતોની ભરમાર છે. કવિના ચિત્કારો બહેરા કાનોએ અથડાય છે. કવિ તરીકેનું અસ્તિત્વ નિરર્થક ભાસે છે. જીવનનાં દસ વર્ષોનો નીચોડ એક કવિતામાં ઠાલવ્યા પછીની કવિની સ્થિતિ ઘેરી નિરાશાની દ્યોતક છે . છેલ્લા પંક્તિઓમાં માનવજાત પ્રત્યેની નિરાશા છલકે છે – કહે છે -‘ ….કેટલાય કાનોને હું જગાડત….’ – કમ સે કમ કાનોને તો જગાડી શકતે ! માંહ્યલાને જગાડવો તો અસંભવ ભાસે છે ! આ જ ચિત્કાર દુષ્યંતકુમારની કવિતાઓમાં ઠેર ઠેર સાંપડે છે.

Comments (8)

યાદગાર ગીતો :૨૨: આભાસી મૃત્યુનું ગીત – રાવજી પટેલ

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો, અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

– રાવજી પટેલ

સંગીત : અજીત શેઠ
સ્વર :  ભૂપિંદર

[audio:http://urmisaagar.com/saagar/audio/Mari-Aankhe-Kankuna-suraj-Aathamya-Bhupinder.mp3]

‘શબ્દ એટલે નવરાત્રિનો ગરબો’ એમ લખનાર રાવજી પટેલ (જન્મ: ૧૫-૧૧-૧૯૩૯, મૃત્યુ: ૧૦-૦૮-૧૯૬૮)નો જન્મ ડાકોર પાસે વલ્લવપુર ગામમાં. પ્રાથમિક શિક્ષણ ડાકોરમાં ને એ પછી અમદાવાદમાં માધ્યમિક શિક્ષણ અને આર્ટસ કોલેજના બે વર્ષ. આર્થિક સંકડામણને લીધે નાની વયે નોકરી શરૂ કરી દીધી. એમની પ્રતિભાને કોઈ બરાબર ઓળખે એ પહેલા તો એ ક્ષયનો ભોગ બન્યા અને 28 વર્ષે  અવસાન પામ્યા. એમનો એકમાત્ર સંગ્રહ ‘અંગત’ એમના મૃત્યુના બે વર્ષ પછી પ્રગટ થયો.

આ ગીતનું આમ તો કોઈ નામ નથી. પણ મને પોતાને ગીતનું ‘અનઓફિશિયલ’ નામ – આભાસી મૃત્યુનું ગીત – બહુ ગમે છે એટલે મેં એ અહીં વાપર્યું છે.  લગ્નગીતનો ફરમો અને લગ્ન સંબંધિત શબ્દો-કલ્પનો (કંકુ, વે’લ, શગ, ઘોડો, ઝાંઝર) ને લઈને મૃત્યુ(ના આભાસ)નું ગીત લખવાનું કામ કોઈ માથાફરેલ કવિ જ કરે. આ ગીત ઉપર વિવેકે વાંચકોને પોતાનો અભિપ્રાય આપવા માટે આમંત્રણ આપેલું ત્યારે વાંચકોએ અભૂતપૂર્વ પ્રતિભાવથી આ ગીતને વધાવી લીધેલું. એ પછી વિવેકે પોતાની શૈલીમાં આ ગીતનો પરિચય આપેલો એનાથી વધારે મારે ખાસ કાંઈ લખવાનું હોય નહીં.

Comments (11)

(કંકુના સૂરજ આથમ્યા) – રાવજી પટેલ (ઉત્તરાર્ધ)

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો, અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

– રાવજી પટેલ
(જન્મ: ૧૫-૧૧-૧૯૩૯, મૃત્યુ: ૧૦-૦૮-૧૯૬૮)

‘લયસ્તરો’ પર પહેલીવાર ગયા અઠવાડિયે નવા પ્રયોગ તરીકે કવિતાનો આસ્વાદ તૈયાર આપવાના બદલે વાચકોને આ કાવ્યનો આસ્વાદ કરાવવા માટે ઇજન અપાયું હતું જેના સુંદર પ્રતિસાદ બદલ સહુ મિત્રોનો આભાર…

રાવજી પટેલનું આ અમર કાવ્ય અમરગઢમાં જીંથરીના રુગ્ણાલયના ખાટલે મૃત્યુને ઢૂંકડું આવી ઊભું જોઈને લખાયું છે. અહીં લય લોકગીતનો છે પણ ભાવ છે શોકગીતનો. મૃત્યુની સાક્ષાત્ અનુભૂતિ તો કદાચ અકળ છે પણ એ આંખ સામે આવીને ઊભું હોય ત્યારે જે સંવેદના થાય એનો મૃત્યુના સાક્ષાત્કાર સમો લવચિક છતાં બળકટ ચિતાર ચિત્કાર કર્યા વિના કવિએ અહીં આપ્યો છે. આ ગીતને રાવજીએ કોઈ શીર્ષક આપ્યું નથી પણ આપણે સહુ એને ‘આભાસી મૃત્યુના ગીત’ તરીકે ઓળખીએ છીએ. ઉમાશંકર જોશીએ આ રચનાને ‘રાવજીનું હંસગીત’ કહી વધાવ્યું હતું.

સુરેશ દલાલ, હરીન્દ્ર દવે જેવા ખ્યાતનામ કવિઓ અને થોડી મારી સમજણની ભેળસેળ કરીને આ ગીત ફરીથી માણીએ:

સમજાય એવું છે કે કાવ્યનાયક કવિ પોતે જ છે. એ ગૃહસ્થ છે, જુવાન છે અને આંખ સામે અડીખમ મૃત્યુ છે. આવા માણસના શ્વાસ સમેટાવાના હોય ત્યારે પહેલો વિચાર પત્નીનો, એના સૌભાગ્યનો જ આવે. સૌભાગ્ય સામે વૈધવ્ય જીતતું દેખાય ત્યારે સૌભાગ્યના પ્રતીક જેવો- કંકુના સૂરજ જેવો ચાંદલો પોતાની સગી આંખે- આથમતી આંખે દેખાય છે. ‘આથમ્યા…’ પછીનાં ત્રણ ટપકાં એ આંસુના ચિહ્ન હોઈ શકે છે અથવા કંઈક કહેવું છે અને કહેવાતું નથી એની વ્યથાના સંકેત પણ…

લગ્નગીતના લયમાં ફોરતું આ મૃત્યુગીત લગ્નની તૈયારીની જેમ જ પોતાના મૃત્યુના સામૈયાની તૈયારી કરે છે. વીરાને વે’લ શણગારવાનું અને રામણદીવડાની શગ (જ્યોત) સંકોરવાનું આહ્વાન આપી કવિ વેદનાને વલૂરે છે. લોકગીત કે લગ્નગીતમાં સામાન્યરીતે પંક્તિના અંતે આવતો ‘રે’ અહીં પદારંભે વપરાયો છે. દુઃખની વાત હોય ત્યારે આપણે ‘રે..રે… આ શું થઈ ગયું?’ કહીએ, શું એ અહીં કવિને અભિપ્રેત હશે? સૂરજ આથમે ત્યારે અંધારું થાય પણ દેહ આથમે ત્યારે શ્વાસ અજવાળાં પહેરીને ઊભા રહે છે. પાસે બળતા દીવાનું અજવાળું? ક્ષરલોકના અંધારેથી નીકળીને અક્ષરલોકના અજવાળાંની યાત્રા? तमसो मा ज्योतिर्गमय ?

પીળો રંગ રોગનો રંગ છે. પાનખરનો રંગ છે. લીલો રંગ તાજગીનો, વસંતનો, યૌવનનો રંગ છે. ઘોડો પ્રતીક છે શક્તિનો, તાકાતનો, સવીર્યતાનો. બેલગામ યૌવનના ઘોડા એક પીળા પાંદડામાં જ્યારે ડૂબી જાય છે ત્યારે માત્ર કવિ કે કાવ્યનાયક જ નહીં એની સાથે યૌવનના અગણિત સપનાંઓ, અલકાતાં-મલકાતાં રાજ-કાજ બધું જ ડૂબે છે. આનંદમાં હોઈએ ત્યારે આપણે ક્યારેક શબ્દોને બેવડાવીને બોલીએ છીએ.. અલક-મલકની વાતો… કવિ અહીં દુઃખના પ્રસંગે અલકાતાં સાથે મલકાતાં અને રાજ સાથે કાજનો માત્ર પ્રાસ નથી બેસાડતા, દુઃખની દ્વિરુક્તિ પણ કરે છે… હણહણતી સુવાસમાં ઘોડા સાથે હનહણવાનો સંદર્ભ તરત પકડાઈ જાય છે પણ જ્યાં ‘હણહણતી’ સુવાસને ‘સાંભળવા’ની વાત આવે છે ત્યાં દૃશ્ય, શ્રાવ્ય અને ઘ્રાણ સંસ્કારોનો ઇન્દ્રિયવ્યત્યય થયેલો અનુભવાય છે.  સુવાસ નિરાકાર છે. હવે તો દેહનો પણ કોઈ આકાર રહેવાનો નથી… કરેલા કર્મ જ પ્રિયજનને સુવાસરૂપે સંભળાતા રહેશે !

દીકરીને વિદાય કરતી વખતે મા-બાપ કહે છે, ‘તારા પતિનો પડછાયો થઈ રહેજે સદાયે સાથે…’ યુવાન પતિને મરતાં અટકાવવા કોણ સહુથી વધુ ઝંખે? પત્ની જ સ્તો ! સત્યવાનની સાવિત્રી જ ને ! અને પત્ની કેવી રીતે રોકવા મથે છે ? ડૂમો ભરેલા ગળેથી અડધોપડધો બોલ માંડ નીકળે છે.. ડગલું ભરવા ઊંચકેલ પગ આગળ વધે એ પહેલાં આઘાતથી અટકી જાય છે એટલે ઝાંઝર પણ અડધું જ બોલે છે.  ઘા જોરથી થાય તો એની વેદના ક્ષણજીવી રહે પણ હળવા ઘા ચિરંજીવી બની રહે છે. નાયક મૃત્યુનો સાક્ષાત્કાર કરવા તો જઈ રહ્યો છે પણ આવી સજીવ હળવાશ એને હજી પણ અટકાવી રહી છે… સ-જીવી હળવાશમાં કદાચ, બે જીવ-સોતી પત્નીના ભાવિમાં ઝળુંબતા વૈધવ્યની વેદનાનોય સંકેત હોય. રાવજીના મૃત્યુ સમયે, એમની પત્ની એવી અવસ્થામાં હતીય ખરી.

વ્યથાને હદમાં રહીને તો સૌ કોઈ શબ્દમાં કંડારે છે; ક્યારેક અનહદ વ્યથાનું પૂર શબ્દોના અર્થના સીમાડાને તોડીને ફેલાઈ જતું હોય છે. પાંપણ ભીની કર્યા વિના ક્યારેય વાંચી ન શકાય એવા આ કાવ્યમાં એવું બન્યું છે!

Comments (18)

(કંકુના સૂરજ આથમ્યા) – રાવજી પટેલ

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો, અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

– રાવજી પટેલ

દર વખતે કવિતા સાથે અમે ટૂંકનોંધ આપીએ એના બદલે આ વખતે થોડો અલગ ચીલો ચાતરીએ. આ કવિતાનો આસ્વાદ આ વખતે દરેક વાચક મિત્ર પોતપોતાની રીતે કરાવે તો કેવું ?

કવિતામાં દૃશ્ય શબ્દ કરતાંય ક્યારેક અદૃશ્ય શબ્દનો મહિમા વધુ હોય છે અને એટલે જ એક જ કવિતા અલગ અલગ ભાવકને અલગ અલગ અનુભૂતિ કરાવી શકે કે એક જ ભાવકને અલગ અલગ સમયે પણ અલગ અલગ અનુભૂતિ કરાવી શકે એમ બને. અમરગઢના જીંથરીના રુગ્ણાલયમાં 29 વર્ષની કૂમળી વયે ક્ષરદેહ ત્યાગનાર રાવજી પટેલની આ કવિતા મૃત્યુને ઢૂંકડા જોતા માનવીની આત્મવ્યથા સમી છે…

તમે સહુ આ કવિતાને કેવી રીતે અનુભવો છે એ આજે તમારી જ કલમે સાંભળીએ…  પ્રતિભાવ આપવા તૈયાર છો ને?

Comments (39)

ગીત – રાવજી પટેલ

તમે રે તિલક રાજા રામના,
અમે વગડાનાં ચંદન કાષ્ઠ રે,
તમારી મશે ના અમે સોહિયાં –

કેવાં કેવાં દ:ખ સાજણ તમે રે સહ્યાં !
‘કહો ને સાજણ દ:ખ કેવા સહ્યાં!’
તમે રે ઊંચેરા ઘરના ટોડલા !
અમે લજવાતી પાછલી રવેશ રે,
તમારી મશે ના અમે સોહિયાં –

કેવાં કેવાં દ:ખ સાજણ તમે રે સહ્યાં ?
‘કહો ને સાજણ દ:ખ કેવાં સહ્યાં ?’
તમે રે અખશર થઈને ઊકલ્યા !
અમે પડતલ મૂંઝારા ઝીણી છીપના,
તમારી મશે ના અમે સોહિયાં –
કહો ને કહો ને દ:ખ કેવાં પડ્યાં ?

– રાવજી પટેલ

રાવજી પટેલના ગીતનો ભાવ ‘તું મહેલો કી શહેજાદી, મૈં ગલીયોં કા બંજારા’ ગીત જેવો છે. આપણા બંનેની પરિસ્થિતિ એટલી અલગ છે કે તારી સાથે હું કદી સારો લાગુ જ નહીં, એટલી વાતમાંથી કેટલા દુ:ખ ઊભા થયા એવી સીધી વાત છે. ગીતને કવિએ એટલા મધુરા શબ્દો અને કલ્પનોથી સજાવ્યું છે કે એક વારમાં જ મન પર પૂરો કબજો જમાવી દે છે.

Comments (2)

શબ્દોત્સવ – ૨: અછાંદસ: એક બપોરે – રાવજી પટેલ

મારા ખેતરના શેઢેથી
‘લ્યા ઊડી ગઈ સારસી !
મા,
ઢોચકીમાં છાશ પાછી રેડી દે.
રોટલાને બાંધી દે.
આ ચલમની તમાકુમાં કસ નથી;
ઠારી દે આ તાપણીમાં
ભારવેલો અગની
મને મહુડીની છાંય તળે
પડી રહેવા દે.
ભલે આખું આભ રેલી જાય,
ગળા સમું ઘાસ ઊગી જાય,
એલે એઈ
બળદને હળે હવે જોતરીશ નંઈ…
મારા ખેતરને શેઢેથી –

-રાવજી પટેલ

ખેડા જિલ્લાના વલ્લવપુરા ગામના વતની રાવજી પટેલ (જન્મ: 15-11-1939, મૃત્યુ: 10-08-1968) આયખાનો ત્રીસીનો આંકડો વતાવે એ પહેલા જ આ સારસીની પેઠે ઊડી નીકળ્યા. ક્ષયરોગની બિમારીમાં થયેલું અકાળ અવસાન આપણા સાહિત્યનો એક ગરવો અવાજ સમયથી પહેલાં છિનવી ગયું. કૃષિજીવન અને ગ્રામ્યપરિવેશ એમની કવિતાનો આત્મા. એ નિજત્વથી ભર્યો ભર્યો કવિ છે. એની સર્જકતાને કશું ગતાનુગતિક, કશું રૂઢ ખપતું નથી. અહીં આ કવિતામાં બહુ ઓછા વાક્યોમાં ગામડાના ખેતરનું ચિત્ર તાદ્દશ રચાય છે. ઉત્કટ પ્રેમના પ્રતીક રૂપ સારસીના એકાએક ઊડી ગયા બાદ નાયકની નકારાત્મક પદાવલિઓ ખેતર સમા જીવનના ખાલીપાના અર્થને અને એમાં કશું પણ ઉગાડી શકવાની ઈચ્છા અને શક્યતાઓને ઉજાગર કરે છે.

મરણોત્તર કાવ્યસંગ્રહ: ‘અંગત’.

Comments (5)

ગીત – રાવજી પટેલ

આપણને જોઈ
     પેલા બગીચામાં લીલોતરી સળવળે.
આપણને જોઈ
     પેલાં પતંગિયા હજીયે તે ઊડ્યા કરે !
આપણને જોઈ
     પેલી ડાળીઓ પ્હેરી લે છે ફૂલ-મોડ.
આપણને જોઈ
     પેલા ઝૂમાં આણી સારસની એક જોડ !
આપણને જોઈ
     પેલાં છોકરાંઓ વર-વહુ બન્યા કરે.
આપણને જોઈ
     પેલાં ઘરડાંને ચપોચપ દાંત ફૂટે !

– રાવજી પટેલ

સામાન્ય રીતે કવિતામાં પ્રેમીઓ પ્રકૃતિમાંથી પ્રેરણા લેતા હોય એવી વાત આવે છે. જ્યારે અહીં તો કવિએ એવા મુસ્તાક પ્રેમની વાત કરી છે જેના પરથી ખુદ પ્રકૃતિ (અને બીજા ઘણાં) પ્રેરણા મેળવે છે. ‘આપણને જોઈ, પેલાં છોકરાંઓ વર-વહુ બન્યા કરે.’ એ પંક્તિથી કવિ તદ્દન સહજ રીતે જ પ્રસન્ન દામ્પત્યનું દીલને અડકી જાય એવું ચિત્ર દોરી આપે છે.

(મોડ=લગ્ન વગેરે શુભ પ્રસંગે પહેરાતો માથાનો શણગાર)

Comments

આભાસી મૃત્યુનું ગીત -રાવજી પટેલ

મારે આંખે કંકુના સૂરજ આથમ્યા…
મારી વે’લ શંગારો વીરા,
શગને સંકોરો રે
અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !
મારે આંખે કંકુના સૂરજ આથમ્યા…

પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા,
ડૂબ્યાં અલકાતાં રાજ,
ડૂબ્યાં મલકાતાં કાજ,
રે હણહણતી મેં સાંભળી સુવાસ !
મારે આંખે કંકુના સૂરજ આથમ્યા…

મને રોકે પંછાયો એક ચોકમાં,
અડધા બોલે ઝાલ્યો,
અડધો ઝાંઝરેથી ઝાલ્યો;
મને વાગે સજીવી હળવાશ !

-રાવજી પટેલ

Comments (5)