બે ઘડીની આ રમતને શું કરું?
શ્વાસ સાથેની મમતને શું કરું?

આખરે તો હારવાનું છે પછી,
મોત સામેની લડતને શું કરું?
હિમલ પંડ્યા ‘પાર્થ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ઉર્વીશ વસાવડા

ઉર્વીશ વસાવડા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




(એ જ વિચારે) – ઉર્વીશ વસાવડા

ક્યારે ઊઘડે એ જ વિચારે,
હું ઊભો છું એનાં દ્વારે.

સાવ એકલું કાં લાગે છે?
ચાલું છું હું સહુની હારે.

જે ખોવાયું અજવાળામાં,
એને શોધું છું અંધારે.

મુઠ્ઠીમાં તો ખાલીપો છે,
દુનિયા છોને કંઈ પણ ધારે.

કોક અકળ હેતુથી મારું,
પરિભ્રમણ ચાલે સંસારે.

– ઉર્વીશ વસાવડા

ટૂંકી બહરમાં સરસ ગઝલ. પાંચેય શેર ઊંડું મનન માંગી લે એવા સરસ મજાના થયા છે.

Comments (4)

(મેઘમુબારક) – ઉર્વીશ વસાવડા

છે આકાશે ઘેરાં વાદળ, મેઘમુબારક
જાણે આભે આંજ્યું કાજળ, મેઘમુબારક

શૈશવના કોમળ હાથોની એ જ ખૂબી છે
હોડી થઈને તરતો કાગળ, મેઘમુબારક

બે પથ્થરની વચ્ચે કાલે કાલે નહોતું કઈ પણ
આજ વહે છે ઝરણું ખળખળ, મેઘમુબારક

મારી જેમ જ ખુશ થાતાં વૃક્ષો-પંખીઓ
હરખ કરું હું એની આગળ, મેઘમુબારક

આભમહેલમાં કેદ થયોતો દરિયો આખો
આજ ખૂલી ગઈ એની સાંકળ, મેઘમુબારક

– ઉર્વીશ વસાવડા

(સ્મરણ: નિતીન વડગામા)

ગઈ કાલે આપને કવિની કલમે “પ્રથમ વરસાદની વેળા” માણી… આજે એમની જ કલમે બીજી એક ગઝલ માણીએ.

વાંચતાવેંત સંવાદ સાધવા માંડે એવી મજાની ભીનીછમ ગઝલ સાથે લયસ્તરોના તમામ કવિમિત્રો તેમજ ભાવકમિત્રોને મેઘમુબારક…

Comments (1)

(પ્રથમ વરસાદની વેળા) – ઉર્વીશ વસાવડા

ભૂંસાઈ ગ્રીષ્મની પાટી, પ્રથમ વરસાદની વેળા
પછી મહેકી ઉઠી માટી, પ્રથમ વરસાદની વેળા

ફૂટી નીકળી અચાનક કૂંપળો શૈશવની યાદોની
ભીતર જેને હતી દાટી, પ્રથમ વરસાદની વેળા

મળ્યાં છે મોતીઓ મબલખ હથેળી જેમણે ખોલી
ખરેખર એ ગયા ખાટી, પ્રથમ વરસાદની વેળા

નર્યા ઉન્માદથી ડોલે બધાયે વૃક્ષ મસ્તીમાં
કોઈ ભૂરકી ગયું છાંટી, પ્રથમ વરસાદની વેળા

ક્ષણિક ઝબકારમાં પણ વીજનું નર્તન પ્રથમ દીઠું
પછી માણી ઘરેરાટી, પ્રથમ વરસાદની વેળા

– ઉર્વીશ વસાવડા

ભલે ચોમાસુ ચાર માસ ચાલે અને મનભર ખાબકતું રહે પણ પ્રથમ વરસાદની તો વાત જ અલગ. ચાર મહિના સુધી ધરતીની પાટી ઉપર ઉકળાટની કલમથી ઉનાળાએ જે કંઈ લખ્યું હોય એ બધું એક જ વરસાદના ડસ્ટરથી સાવ સાફ થઈ જાય… કેવી મજાની વાત! પ્રથમ વરસાદની ભીની હૂંફ જીવનની આપાધાપીમાં હૈયામાં ક્યાંક ઊંડે દાટી દીધેલ બાળપણની યાદોને પુનર્જિવિત કરી દે છે. પહેલા વરસાદને શરીર પર ઝીલી શકે એ જ સાચો અમીર. પહેલા વરસાદના પ્રભાવથી કોઈ બચી શકતું નથી. સૃષ્ટિ સમગ્ર કોઈ ભૂરકી ન છાંટી ગયું હોય એમ નર્યા ઉન્માદમાં નર્તન કરે છે. વિજ્ઞાનશાખાના વિદ્યાર્થી હોવાથી તબીબકવિ પ્રકાશની ગતિ અવાજની ગતિ કરતાં વધુ હોવાની વૈજ્ઞાનિક ઘટનાને પણ ગઝલના આખરી શેરમાં બખૂબી સાંકળી લે છે.

Comments (5)

(હવે વરસાદ આવ્યો છે) – ઉર્વીશ વસાવડા

*

ઘણી લાંબી પ્રતીક્ષા, કાકલૂદી બાદ આવ્યો છે,
ધરાને તૃપ્ત કરવા લે, હવે વરસાદ આવ્યો છે.

ન કોઈ મોર ટહુકા, ના કોઈ પંખી-પતંગિયાઓ,
છતાં પણ બાગમાં કેવો ગજબ ઉન્માદ આવ્યો છે!

ભરોસો છે મને માનવ હજી તારા ઉપર પૂરો
એ સંદેશો ખુદાનો આભથી આબાદ આવ્યો છે.

ખુલા આકાશ નીચે તરબતર થાવું ને ભીંજાવું,
પ્રથમ એ સ્પર્શનો કિસ્સો ફરીથી યાદ આવ્યો છે.

ન ચાલે કંઈ જ પણ તપતા સૂરજનું વાદળો વચ્ચે,
નઝારો આભમાં દિવસો પછી એકાદ આવ્યો છે.

– ઉર્વીશ વસાવડા

લયસ્તરો પર કવિશ્રીના પાંચમા ગઝલસંગ્રહ ‘સમયનો દીવો’નું સહૃદય સ્વાગત…

ઉનાળો લાંબા સમયથી અકળાવી રહ્યો છે અને આગના જંગલમાં એકાદ-બે ટીપાં પાણી જેમ કંઈ કામનાં સિદ્ધ ન થાય એવા છૂટાછવાયાં માવઠાંની નિરર્થકતાને લઈને એક-એક માણસ વાદળ ક્યારે વરસવું શરૂ કરે એની રાહ જોઈ રહ્યો છે. એમાંય આ વખતે તો ચોમાસું પણ લંબાયું છે. વરસાદ જ્યારે પણ આવવો શરૂ થશે ત્યારે દરેક દિલમાંથી જે વાણી નીકળશે એને કવિએ ગઝલની સરવાણીમાં આબાદ ઝડપી છે. ગઝલ સહજ-સાધ્ય હોવાથી ગઝલના વરસાદ અને ભાવકની વચ્ચે અમસ્તું રેઇનકોટ બનીને આડા આવવું નથી… આજે તો બસ, એમ જ ભીંજાઈએ….

Comments (8)

બુઢાપો – નીરેન્દ્રનાથ ચક્રવર્તી (અનુ.: ઉર્વીશ વસાવડા)

સાથીઓ
રાહ ન જોતા મારી,
દિવસ ઢળવા આવ્યો છે,
નીકળી પડો.

મને લાગશે થોડો સમય,
હું તમારી જેટલો નિરાવરોધ નથી.
જો હું ક્યાંક બેસીશ તો પછી
મારા તનમાંથી ફૂટી નીકળશે ડાળખી
અને પગમાંથી ફૂટશે મૂળિયાંઓ.
પછી તમે ચપટી વગાડશો
ને હું તરત નીકળી શકીશ નહીં.

માટે, સાથીઓ, ચાલવા માંડો
મારી રાહ જોયા વગર.
મને મોડું થશે.

– નીરેન્દ્રનાથ ચક્રવર્તી (બંગાળી)
(અંગ્રેજી પરથી ગુજરાતી અનુવાદ: ઉર્વીશ વસાવડા)

લગભગ છએક દાયકાઓ પહેલાં લખાયેલી રચના આજેય જેવી તરોતાજા લાગે છે! શરીરમાંથી ડાળ-મૂળ ફૂટી નીકળવાની અભિવ્યક્તિ આજે પણ આધુનિક લાગે છે. વૃદ્ધાવસ્થાને સહજપણે સ્વીકારી સાથીઓ પર બોજ ન બનવા માંગતા કથકની આ વાત વાંચતાં જ સ્પર્શી જાય છે.

Comments (2)

નિદાન – નીરેન્દ્રનાથ ચક્રવર્તી (અનુ.: ઉર્વીશ વસાવડા)

તેણે હાથ પકડી
નાડી તપાસી બરાબર,
જીભ તપાસી
છાતી અને પીઠ જોઈ સ્ટેથોસ્કૉપથી.
અને માથું ખંજવાળતાં ડૉક્ટર બોલ્યા
તકલીફ તો છે,
પણ આ લક્ષણ દરદના લીધે છે
કે દવાના લીધે કંઈ કહી શકતો નથી.

આગળ જે જે ડૉક્ટરોને
બતાવ્યું હતું તેના કાગળોનો
ઢગલો ઉઠાવતાં મેં પૂછ્યું:
તો પછી?
હાથ ખભ્ભે મૂકીને ડૉક્ટરે કહ્યું:
એક અઠવાડિયા માટે આપણે
બંધ કરીએ બધી દવાઓ?
પછી પાછો લઈ આવજો આને.

અમે આવ્યા રસ્તા પર
ન મળે બસ, ન ટ્રામ કે ન અન્ય વાહન.

બંધ છે બધું
ક્યાંક તોફાન છે એટલે,
એમોનિયાની તીવ્ર ગંધ છે હવામાં
વિસ્ફોટ સંભળાય છે
અને જવાબમાં ધાંય ધાંય અવાજ
લક્ષણો સારાં નથી આ
હું બોલ્યો.

તો દીકરાએ કહ્યું
એ દરદને લીધે છે કે
દવાને લીધે એ ક્યાં નક્કી થાય છે?

– નીરેન્દ્રનાથ ચક્રવર્તી (બંગાળી)
(અંગ્રેજી અનુવાદ પરથી ગુજરાતી અનુવાદ: ઉર્વીશ વસાવડા)

નીરેન્દ્રનાથના બંગાળી કાવ્ય સંગ્રહ ‘ઉલંગા રાજા’ના સુકાન્તા ચૌધરીએ કરેલ અંગ્રેજી અનુવાદ પરથી જૂનાગઢના તબીબ-કવિ શ્રી ઉર્વીશ વસાવડા ‘નાગો રાજા’ સંગ્રહ લઈને આવ્યા છે. એક-એક કવિતા વાંચતાવેંત ઠેઠ ભીતર સ્પર્શી જાય એવી છે.

તબીબ દર્દીપુત્રની બિમારીનું કારણ પકડી શકતો નથી અને પિતાને દવા બંધ કરી જોવા કહે છે, કદાચ દવા જ દર્દનું કારણ હોય તો? એક સાવ સરળ લાગતો વાર્તાલાપ અને અનુભવ અચાનક સૉનેટમાં આવતા વળાંકની જેમ આંચકો આપે એવો મરોડ લે છે. શહેરમાં ક્યાંક તોફાન થયું છે અને તોફાનીઓના બૉમ્બ ધડાકાના જવાબમાં પોલિસ ગોળીઓ છોડી રહી છે. બાપ દીકરાને કહે છે કે આ લક્ષણ સારાં નથી અને દીકરો તબીબે કહ્યું હતું એ જ વાક્ય તોફાનના પરિપ્રેક્ષ્યમાં કહે છે આ તોફાનો બિમારીના લીધે છે કે ખોતા ઈલાજનો પરિપાક છે એ આપણને કોઈને ક્યાં સમજાય છે?

કવિતા આપણા હાથમાં ઊઘાડા જીવંત તાર પકડાવી દે છે… આપણી સંવેદના આંચકો ખાય છે કે કેમ અને કેટલો તે આપણે જોવાનું…

Comments (4)

ગઝલ – ઉર્વીશ વસાવડા

image

ભીતરે બાળક રહી વરસાદનું સ્વાગત કર્યું,
નાવ કાગળની લઈ વરસાદનું સ્વાગત કર્યું.

આ ધરા માફક મહેકતાં છો મને ના આવડે,
તરબતર ભીના થઈ વરસાદનું સ્વાગત કર્યું.

પ્હાડની સંવેદનાઓ આ ક્ષણે સમજાય છે,
કૈંક ઝરણાંએ વહી વરસાદનું સ્વાગત કર્યું.

વૃક્ષ પાસે એ કસબ છે, આપણી પાસે નથી,
સાવ લીલાંછમ થઈ વરસાદનું સ્વાગત કર્યું.

માત્ર આ આકાશને પોષાય એવું આ રીતે,
એમ ધરતીએ કહી વરસાદનું સ્વાગત કર્યું.

– ઉર્વીશ વસાવડા

આમ તો હજી ચોમાસું પડું-પડું કરતુંક હાથતાળી જ દઈ રહ્યું છે પણ તબીબ-કવિમિત્ર ઉર્વીશ વસાવડા એમનો નવતર ગઝલસંગ્રહ “ઝાકળના સૂરજ” લઈ ઉપસ્થિત થયા છે ત્યારે મન દઈને ન આવેલા વરસાદની સાથોસાથ એમના આ સંગ્રહનું આપણે મન દઈને સ્વાગત કરીએ.

Comments (9)

ગઝલ – ઉર્વીશ વસાવડા

ગેં ગેં ફેં ફેં કંઈ ના ચાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે,
આજે નહીં તો તારે કાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે.

યાદ રાખજે, તેં ખાધા છે સમ ગમતીલી મોસમના,
ખુશબૂઓના એક સવાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે.

તારાં ગીતો સાંભળવાને મહેફિલમાં સહુ બેઠાં છે,
લોકોની તાલીના તાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે.

વાત ભલેને હોય વ્યથાની, જીવતરના મેળામાં તો,
ઢોલ નગારાં અને ધમાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે.

એની રીતો સાવ અલગ છે, મોકલશે કોરો કાગળ,
તો પણ એની એક ટપાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે.

– ઉર્વીશ વસાવડા

સરસ મજાની ગઝલ. સરળ ભાષા અને ઊંડી અભિવ્યક્તિ.

Comments (10)

તારાં સ્મરણની વાદળી – ઉર્વીશ વસાવડા

તૂટી નથી જતા એ પ્રભુનો જ પાડ છે
પ્રત્યેક સંબંધોમાં પડેલી તિરાડ છે

તારાં સ્મરણની વાદળી વરસી ગઇ છતાં
આંખોના આભમાં તો હજી ક્યાં ઉઘાડ છે

પ્રસ્તાવનામાં નામ ફક્ત એમનું લખ્યું
મારી કથાનો જોઇ લો કેવો ઉપાડ છે

થાકી ગયા છે સ્કંધ ઉપાડી અતીતને
લાગે છે બોજ એટલો જાણે કે પ્હાડ છે

ભાંગી પડ્યો છું સાવ ને રગરગ પીડા થતી
કારણમાં દોસ્ત ! કાળની ધોબીપછાડ છે

– ઉર્વીશ વસાવડા

Comments (7)

હૃદય ભલા – એમિલિ ડિકિન્સન (અનુ : ઉર્વીશ વસાવડા)

હૃદય ભલા, બે ભેળાં થઈને
એને ભૂલીએ ખાસ.
તું એની આપેલી ઉષ્મા, હું એનો અજવાસ.

જ્યારે તારું કામ પતે ને
દેજે મુજને સાદ,
સંકોરીશ હું વિચાર દીપની શગ
જલ્દી કરજે
સ્હેજ જરા પણ તું પડશે જો પાછળ
તો બસ એ જ પળે
એ આવી જાશે યાદ.

-એમિલિ ડિકિન્સન
(ભાવાનુવાદ: ઉર્વીશ વસાવડા)

*

વેલેન્ટાઇન ડે પર એમિલિ ડિકિન્સનની આ કવિતા રજૂ કરી એનો સાછંદ પદ્યાનુવાદ મોકલાવી આપ્યો એ આજે આપ સહુ માટે…

Comments (5)

ગઝલ – ઉર્વીશ વસાવડા

બધુંય ધ્વસ્ત થશે એ પછીય બચવાનું
કયું એ તત્ત્વ હશે એ જ તો સમજવાનું

પડાવો એક બે એવાય સફરમાં આવે
ગમે કે ના ગમે બે-ચાર પળ અટકવાનું

ઘટિકાયંત્રની રેતી સમી જીવનગાથા
સમયના છિદ્રમાં અટકી પછી સરકવાનું

બધાના ભાગ્યમાં છે આગિયાપણું કેવળ
ન કૈં પ્રકાશ મળે એ રીતે ચળકવાનું

તૂટેલી ભીતના ભીડેલ દ્વાર જેવો હું
ખુલ્યાનો અર્થ નથી તે છતાં ખખડવાનું

– ઉર્વીશ વસાવડા

બધા જ શેર મનનીય… ઘટિકાયંત્ર અને આગિયાના પ્રતીકોનો કેવો સક્ષમ પ્રયોગ !

Comments (10)

ગઝલ – ઉર્વીશ વસાવડા

શબ્દ મધ્યે સ્વર્ગ છે, સમજાય તો,
એ જ એનો અર્થ છે, સમજાય તો.

પ્રશ્ન છે તો ઉત્તરો એના હશે,
સાવ સીધો તર્ક છે, સમજાય તો.

કોઈ ના બોલે છતાં સહુ સાંભળે,
એ જ સાચું પર્વ છે, સમજાય તો.

માનવી ને માનવી ગણવો ફકત,
એ ખરેખર ધર્મ છે, સમજાય તો.

અ કલમ પર છે નિયંત્રણ કોકનું,
ને મને એ ગર્વ છે, સમજાય તો.

પુષ્પને સ્પશર્યા વિના પણ પામીએ,
દોસ્ત ઉત્તમ અર્ક છે, સમજાય તો.

– ઉર્વીશ વસાવડા

બધા જ શેર ખૂબ જ મજાના એવી આ ગઝલ ઘણી ઊંડી વાતો કરી જાય છે, સમજાય તો…

Comments (8)

કવિના મૃત્યુ પર યમરાજાનો આદેશ – ઉર્વીશ વસાવડા

કવિના ગામ મધ્યે જઈ, કવિના પ્રાણ લઈ આવો,
કવન અકબંધ રહેવા દઈ, કવિના પ્રાણ લઈ આવો.

ફૂલોથી પણ વધુ નાજુક કવિનું ઘર છે સમજીને,
સુકોમળ ઓસ જેવા થઈ, કવિના પ્રાણ લઈ આવો.

પડે વિક્ષેપ ના સ્હેજે કવિની ગાઢ નિદ્રામાં,
ચરણને મૌન રહેવા કહી, કવિના પ્રાણ લઈ આવો.

પ્રતીક્ષારત હશે શબ્દો જવા ઘરમાં ગરિમાથી,
અદબથી સાથ એના રહી, કવિના પ્રાણ લઈ આવો.

ખજાનો છે ખરેખર સ્વર્ગ માટે પણ મહામૂલો,
જતનપૂર્વક ને સાવધ રહી, કવિના પ્રાણ લઈ આવો.

કલમ હો હાથમાં તો બે ઘડી દ્વારે ઊભા રહેજો,
રજા મા શારદાની લઈ, કવિના પ્રાણ લઈ આવો.

– ઉર્વીશ વસાવડા

કવિના મૃત્યુ પર સાક્ષાત્ યમરાજા પણ કેવો મલાજો પાળે છે એ કલ્પન કોઈપણ ભાષા, કાળ કે સંસ્કૃતિના કવિની ખરી મહત્તા સ્થાપિત કરે છે.

Comments (13)

ગુજરાતી ગઝલમાં ‘મૃત્યુ’ :કડી ૦૫

મૃત્યુ વિષયક શેરોની ગલીઓમાં ફરી એકવાર થોડા આગળ વધીએ… આ વખતે કોઈ એક કવિ ‘મૃત્યુ’ નામના એક જ વિષય પર અલગ અલગ નજરિયાથી વાત કરે એના બદલે એક જ વિષય પર અલગ અલગ કવિઓ શું કહે છે એનો આસ્વાદ લઈએ…

શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે, ભાન ની સૃષ્ટિની સીમાને પરખવા માટે,
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે, કોઈ મહેફિલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.
– હરીન્દ્ર દવે

મોત તારી કારી નિષ્ફળતા ઘડીભર જોઈ લે,
કેટલા હૈયે સ્મરણ મારા બિછાવી જાઉં છું,
-હરીન્દ્ર દવે

જેવું તને મેં જોયું ત્યાં ભાંગી પડ્યો, મરણ!
મંજિલ મળી તો લાગે છે મોકાનો થાક છે.
– હરીન્દ્ર દવે

એ જ કારણસર રડ્યો ના હું સ્વજનના મોત પર,
ઓ ‘જલન’ જાણે કે મૃત્યુ મારું પોતાનું હતું.
– જલન માતરી

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’ ?
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.
– જલન માતરી

જીવન માટે સદા પ્રત્યેક ક્ષણ સંદેશ આપે છે,
નથી કાયમ અહીં કોઈ – મરણ સંદેશ આપે છે;
જે જન્મે રમ્યતા લઇને એ વિકસે છે પ્રભા થઇને,
ઉષાનું ઊગતું પહેલું કિરણ સંદેશ આપે છે.
– ઇજન ધોરાજવી

બારણે જો દે ટકોરા તો હું ભેટીને મળું
મળતું બિલ્લિપગ, મરણની એ જ તો તકલીફ છે
– પ્રણવ પંડ્યા

અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
હતી ક્યાં ખબર કે મરણ આવશે
– આદિલ મન્સૂરી

મરણ દરેકની સાથે કર્યા કરે રકઝક
બહુ અનુભવી જૂનો ઘરાક લાગે છે.
-આદિલ મન્સૂરી

જીવન થકી જ જણાયું કે અહીં મરણ પણ છે,
થઈ મરણને લીધે જાણ કે હયાતી છે.
– મુકુલ ચોકસી

મારું મરણ ક્યાં એકલું મારું મરણ હતું?
સંસાર, આંખ મીંચી તો નશ્વર બની ગયો!
-શ્યામ સાધુ

માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,
ઝગડો એ હા ને ના નો હતો. કોણ માનશે?
– ‘રૂસવા’

મરણ અહીંથી તને લઈ જવાનું પળભરમાં,
તું બેખબર આ જગતને વિશાલ સમજે છે.
– મરીઝ

મોત તું શું બહાનું શોધે છે?
મારું આખું જીવન બહાનું છે
– મરીઝ

મને એવી રીતે કઝા યાદ આવી,
કોઈ એમ સમજે દવા યાદ આવી.
– મરીઝ

મરણ પછી જે થવાનું છે તેની ટેવ પડે,
હું તેથી મારા જીવનમાં જ આમતેમ રહ્યો.
– મરીઝ

હવે કોઈ રડી લે તો ‘મરીઝ’ ઉપકાર છે એનો,
કોઈને કંઈ નથી નુક્શાન જેવું મારા મરવાથી.
– મરીઝ

આપ ગભરાઈને જતા ન રહો,
આ છે છેવટના શ્વાસ, હાય નથી.
– મરીઝ

તંગ જીવનના મોહથી છું ‘મરીઝ’,
આત્મહત્યા વિના ઉપાય નથી.
– મરીઝ

મરણ હો કે જીવન હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે;
જનાજો જશે તો જશે કાંધે-કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.
– મરીઝ

જીવનના બંધનો હસતા મુખે જેબે વિદાય આપે,
ફકત એ આદમીને હક છે કે આઝાદ થઈ જાએ.
– મરીઝ

મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’,
હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે.
– મરીઝ

કેમ હો જીવનનું ઘડતર જ્યારે હું શીખ્યો ‘મરીઝ’,
વાહ રે કિસ્મત ! કે મૃત્યુનો સમય આવી ગયો.
– મરીઝ

‘મરીઝ’ એની ઉપરથી આપ સમજો કેમ ગુજરી છે,
મરણ આવ્યું તો જાણ્યું જિંદગાની લઈને આવ્યો છું.
– મરીઝ

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.
– મરીઝ

દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું,
મૃત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો લે.
– મરીઝ

જીવનને કોઈ પણ રીતે નિષ્ફળ જવું હતું,
એવામાં કોઈ રોકે તો રોકે ક્યાં લગ મરણ ?
– રવીન્દ્ર પારેખ

આજે મરણનો ભેદ કાં પૂછે છે આ જગત?
પેદા થતાં ન પૂછ્યું કે કાં આવવું પડ્યું?!
– સૈફ પાલનપુરી

હવે તો સૈફ ઇચ્છા છે કે મ્રત્યુ દ્વાર ખખડાવે,
ઘડી ભર તો મને લાગે કોઈના આગમન જેવું
– સૈફ પાલનપુરી

જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી,
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
– ગની દહીંવાલા

જિંદગાનીને દુલ્હનની જેમ શણગારી ‘ગની’,
એને હાથોહાથ સોંપી જેમના ઘરની હતી.
– ગની દહીંવાલા

જિંદગી મૃત્યુની ખાતર જાળવી રાખો ‘ગની’,
આખરી મેહમાનને માટે ઉતારો જોઈએ.
– ગની દહીંવાલા

છોડીને એને ક્યારના ચાલી જતે અમે,
હક છે મરણનો એટલે રાખી છે જિંદગી
-અમર પાલનપુરી

દયા તો શું, હવે સંજીવની પણ કામ નહિ આવે,
જીવનના ભેદને પામી ‘અમર’ હમણાં જ સૂતો છે.
-અમર પાલનપુરી

એ ક્ષણે રંગો હશે, સૌરભ હશે, ઝળહળ હશે,
મૃત્યુ પણ કોઈ નવોઢા જેમ આંગણ આવશે
-ભગવતી કુમાર શર્મા

મને જીવન અને મરણની એટલી ખબર છે,
કબર પર ફૂલો ને ફૂલો પર કબર છે
-જયંત શેઠ (?પાઠક)

ખુલ્લી આંખો જિંદગી છે, બંધ આંખો મોત છે,
પાંપણો વચ્ચેનું અંતર જિંદગાની હોય છે.
– ‘કાબિલ’ ડેડાણવી

પ્રભુ ના સર્વ સર્જનની પ્રતિષ્ઠા જાળવું છું હું,
મરણની લાજ લૂંટીને નથી થાવું અમર મારે
-ઓજસ પાલનપુરી

મારી પાછળ મારી હસ્તી એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ.
-ઓજસ પાલનપુરી

કોણે કહ્યું હતું કે મૃત્યુ થયું છે તારું,
ફરકી રહી છે આજે તારી ધજા હજુ પણ.
– અબ્બાસ રૂપાવાલા ‘રફીક’

તને હું કેમ સમજાવું સફર છે દૂરની ‘અકબર’ ?
ઉતારો છે, તને જે કાયમી રહેઠાણ લાગે છે.
– અકબરઅલી જસદણવાળા

કહે છે મોત જેને એ અસલમાં છે જબરજસ્તી,
હરિ ઇચ્છા કહી એને હું પંપાળી નથી શકતો.
– ઘાયલ

એક પંખી મોત નામે ફાંસવા
જાળ છેલ્લા શ્વાસ કેરી પાથરો
– ડૉ. જગદીપ નાણાવટી

સામે છે મોત તો ય સતત ચાલતી રહે
આ જિંદગી ય ખૂબ નીડર હોવી જોઈએ
– રઈશ મનીઆર

ભલે મોત સામે થયો હો પરાજય,
છતાં જિંદગી ‘બાબુ’ વર્ષો લડી છે.
– બી. કે. રાઠોડ ‘બાબુ’

થોડીક શિકાયત કરવી’તી થોડક ખુલાસા કરવા’તા,
ઓ મોત જરા રોકાઈ જતે – બેચાર મને પણ કામ હતાં.
-સૈફ પાલનપુરી

હવે તો ‘સૈફ’ ઇચ્છા છે કે મૃત્યુ દ્વાર ખખડાવે,
ઘડીભર તો મને લાગે કોઈના આગમન જેવું.
-સૈફ પાલનપુરી

અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં;
સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં.
– શેખાદમ આબુવાલા

બે કદમ વધે છે એ રોજ શ્વાસની સાથે,
મોત પણ સલામત છે, જિંદગીની છાયામાં.
– મનહરલાલ ચોક્સી

જુઓ આ દેહમાં ઉષ્માનો પરપોટો નથી બાકી,
હવે કરશે મનન શું કોઈ કારાવાસ રોકીને ?
– મનહરલાલ ચોક્સી

મોત જો વરસાદ થઈ તૂટી પડે,
તો આ મરવું થાય મુશળધાર પણ !
-રવીન્દ્ર પારેખ

મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,
એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.
-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.
-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

જીવન અર્પણ કરી દીધું, કોઈને એટલા માટે,
મરણ આવે તો એને કહી શકું ‘મિલકત પરાઈ છે’ !
– ‘શૂન્ય’ પાલનપુરી

જમાનો એને મરણ માને તો ભલે માને –
કદમ વળી ગયાં મારાં અસલ મુકામ તરફ.
– ‘શૂન્ય’ પાલનપુરી

છે તમારી જ હયાતિનું એ બીજું પાસું,
મોત આવ્યું તો ભલે, એનો યે પરદો ન કરો!
-ભગવતીકુમાર શર્મા

રમત શ્વાસના સરવાળાની,
મૃત્યુ રાહત વચગાળાની.
-ઉર્વીશ વસાવડા

સ્મરણ રૂપે રહ્યો છું જીવતો હું સર્વના હૈયે,
મને ના શોધશો અહીં, હું કબર નીચે નથી સૂતો.
– ‘દિલહર’ સંઘવી

‘નૂર’ કેવળ શ્વેત ચાદર લઈને દુનિયાથી ગયો,
જિંદગી એણે વિવિધ રંગોથી શણગારી હતી.
‘નૂર’ પોરબંદરી

નથી ભય મોતનો કે મોત કેવળ એક વેળા છે,
જીવનની તો ઘણીવેળા દશા બદલાઈ જાય છે.
-હસનઅલી નામાવટી

Comments (39)

નાનીલુ – ડૉ. એન. ગોપી (અનુ. ઉર્વીશ વસાવડા)

આજે ઉત્તરાયણના દિવસે નાનીલુના નાના નાના પતંગ ચગાવીએ…

*

During revolts
Stones grow wings.
Well, they are aimed
Through tearful eyes !

વિપ્લવ દરમ્યાન ફેંકાતા
પથ્થરોને ફૂટે છે પાંખો
હા ! એ સધાયેલ હોય છે
અશ્રુભીની આંખોથી !

*

When I look
Into crystal clear waters,
Into myself
I seem to journey

જ્યારે જ્યારે
નિહાળું છું નિર્મળ જળને
ત્યારે ત્યારે અનુભૂતિ થાય છે
અંતઃયાત્રાની

*

True
We are climbing the stairs.
But aren’t we moving on
Leaving behind the steps ?

હા એ સાચું છે કે
આપણે સર કરીએ છીએ સોપાન
પણ એમ કરવામાં નીચેનાં
પગથિયાં છૂટી નથી જતાં શું ?

*

What is it doesn’t fly
Like a butterfly
The flower
has its fragrance, hasn’t it ?

પતંગિયા માફક પાંખોને
પ્રસારી ન શકે તો શું થયું ?
પુષ્પ પોતાની
ખુશબૂ તો પ્રસારી જ શકે છે ને !

*

A sentence
Is never complete.
Finished sentence
Stops growing

વાક્ય કદી પણ
પૂર્ણ થતું નથી કારણ
પૂર્ણ થયેલા વાક્યનો
વિકાસ થંભી જાય છે.

– ડૉ. એન. ગોપી
અનુ. ઉર્વીશ વસાવડા

તેલુગુ ભાષામાં ચાર પંક્તિઓનો ‘ગદ્ય’ કાવ્ય પ્રકાર ‘નાનીલુ’ પ્રચલિત છે જેનો શાબ્દિક અર્થ ‘મારું, તમારું અને આપણું’ થાય છે. આ ચાર પંક્તિઓનો કાવ્યપ્રકાર આમ તો આપણા મુક્તક જેવો જ છે જેમાં પ્રથમ બે પંક્તિઓમાં એક ભાવવિશ્વ રચાય છે અને આખરી બે પંક્તિઓમાં એ ભાવ વિશ્વ પરિપૂર્ણતા પામી કાવ્યનો આકાર લે છે. કવિ ઉર્વીશ વસાવડા ‘નાનીલુ’ નામે એક આખો સંગ્રહ આપણી ભાષામાં લઈ આવ્યા છે…

Comments (7)

ગઝલ – ઉર્વીશ વસાવડા

નીર છે ઊંડા પતાળે, વૃક્ષ જીવે કઈ રીતે ?
ને ઉપરથી આભ બાળે, વૃક્ષ જીવે કઈ રીતે ?

બાગ જાણે કે નિભાડો થઈ ગયો બળબળ થતો
પ્રશ્ન છે આવા ઉનાળે, વૃક્ષ જીવે કઈ રીતે ?

આભ બળતું, નીર ઓછાં ને દૂષિત વાતાવરણ
આ પ્રતિકુળતા વચાળે, વૃક્ષ જીવે કઈ રીતે ?

નષ્ટ થઈ જાતી નવી કૂંપળ બધી વિકસ્યા વિના,
પર્ણ સૂકાં ડાળ ડાળે, વૃક્ષ જીવે કઈ રીતે ?

ક્યાંક વર્ષા ભર શિયાળે, ને કશે શ્રાવણ સૂકા,
જો નિયમ કુદરત ન પાળે, વૃક્ષ જીવે કઈ રીતે ?

– ઉર્વીશ વસાવડા

સાદ્યંત વૃક્ષપ્રેમની મુસલસલ ગઝલ… ગઝલ વાંચીએ અને એક વૃક્ષને જીવવાનું બહાનું પણ આપીએ…

Comments (9)

ગઝલ – ઉર્વીશ વસાવડા

Urvish Vasavada - Zankhana sahu kare chhe
(ખાસ લયસ્તરો માટે ઉર્વીશ વસાવડાના હસ્તાક્ષરમાં એમની અક્ષુણ્ણ કૃતિ)

*

ઝંખના સહુ કરે છે સરવરની
ક્યાં તમા કોઈને છે જળચરની.

રાઈ મુઠ્ઠી ન એક આપી શકે
વેદના એ જ તો છે ઘરઘરની.

ક્યાંક તોરણથી આંસુઓ ટપકે
એટલી ફળશ્રુતિ છે અવસરની.

દ્વાર મારું મને મળ્યું આખર
ઠોકરો ખાઈ લાખ દરદરની.

જાત તોડી ધનુષ્યને બદલે
એ કથા આપણા સ્વયંવરની.

-ઉર્વીશ વસાવડા

સરળતા અને હૃદયંગમતા ઉર્વીશ વસાવડાની ગઝલોની ખાસિયત છે. મનુષ્ય આજે જેટલો પરિણામલક્ષી બન્યો છે એ ટલો પહેલાં ક્યારેય નહોતો. આજે સૌને પરિણામમાં રસ છે, માર્ગમાં કોનો કેવો ભોગ લેવાય છે એની કોઈને તમા રહી નથી. સરોવર પર દૃષ્ટિ છે, જળચરની ચિંતા કોણ કરે છે?

ગઝલના બીજા શેરમાં ઉર્વીશભાઈ એમની ખાસિયત મુજબ પુરાકલ્પન લઈ આવે છે. સુજાતા નામની સ્ત્રી એના મૃત પુત્રને લઈને ગૌતમ બુદ્ધ પાસે આવી ભાંગી પડે છે એની આ વાત છે. પુત્ર વિના જીવવું અશક્ય છે કહીને તથાગત પાસે પોતાના પુત્રને પુનર્જીવિત કરવાની જિદ્દ પકડતી માને કેવી રીતે સમજાવવું કે મરી ગયેલ પાછાં નથી આવતાં?! અંતે તથાગત એના પુત્રને એક શરત પર જીવાડવાનું વચન આપે છે કે એક મુઠ્ઠી રાઈ એવા ઘરમાં જઈને લઈ આવ કે જે ઘરમાં કદી કોઈ અવસાન થયું જ ન હોય… પુત્રઘેલી સુજાતાને સાંજના છેડે સત્ય સમજાય છે કે મૃત્યુ એ જીવન સાથે જ ઘડાઈ ગયેલી અનિવાર્ય ઘટના છે…

છેલ્લા શેરમાં ફરીથી સ્વયંવરનું પૌરણિક કથાબીજ. પણ અહીં કવિ સાવ અલગ જ વાત કરે છે. અહીં ધનુષ્ય નથી તૂટતું, શરસંધાન કરનાર પોતે જ તૂટી જાય છે. કેમકે આ અર્જુન-દ્રૌપદી કે રામ-સીતાના સ્વયંવરની વાત નથી. આ વાત છે આજના યુગના ઘર-ઘરના રામાયણ-મહાભારતની. જીવન અને જીવવાની પળોજણો અંતે આપણને જ તોડી નાંખે છે અને આપણા મોટાભાગના દાંપત્યજીવન તૂટેલા ધનુષ્યને બદલે તૂટેલા મનુષ્ય જેવા ખોડંગાતા રહે છે એ જ આપણા સૌની આજની વ્યથાની કથા છે.

Comments (14)

ગઝલ – ઉર્વીશ વસાવડા


(ખાસ ‘લયસ્તરો’ માટે શ્રી ઉર્વીશ વસાવડાએ સ્વહસ્તે લખી મોકલેલ અક્ષુણ્ણ ગઝલ)

શબ્દ ખરવાની કશી ઘટના ઘટી,
હાથ જ્યારે થઈ ગયા કંકાવટી.

મુખવટાને દોષ આપે છે બધા,
હોય છે ચ્હેરા અસલમાં તરકટી.

સાવ સાદી લાગતી આખી કથા,
અંત વેળા નીકળે છે અટપટી.

શ્વાસનું ભાથું હવે ખૂટી ગયું,
જીવ તારે જાતરા કરવી મટી.

આજ લાગે છે કશું અવસર સમું,
આંગણે આવી પીડાઓ સામટી.

-ઉર્વીશ વસાવડા

આ ગઝલ વિશે શું કહીશું? ફક્ત બે જ શબ્દો “અખિલમ્ મધુરમ્” ચાલશે?

Comments (18)

શંકા ન કર -ઉર્વીશ વસાવડા

(ઉર્વીશ વસાવડાએ ખાસ લયસ્તરો માટે સ્વહસ્તે લખી મોકલાવેલ અપ્રગટ ગઝલ)

સૂર્યના ઢળવા વિષે શંકા ન કર
દીપ ઝળહળવા વિષે શંકા ન કર

આ કથાનો અંત બાકી છે હજી
આપણા મળવા વિષે શંકા ન કર

એક પથ્થર આપણે ફેંક્યા પછી
નીર ખળભળવા વિષે શંકા ન કર

છે તિખારો એક ઊંડે ક્યાંક પણ
હીમ ઓગળવા વિષે શંકા ન કર

એ અનાદિકાળથી ગુંજે ભીતર
નાદ સાંભળવા વિષે શંકા ન કર

-ઉર્વીશ વસાવડા

સહજતા એ ઉર્વીશ વસાવડાની ગઝલોની ખાસિયત છે. શેર વાંચતા જ સરલ અને અનુભવતા અતલ લાગે એ એમની વિશેષતા. સાવ નાની અમથી આ ગઝલમાં ક્યાંક ઊંડી વાતો કહેવાઈ ગઈ છે…(લયસ્તરો માટે આ અક્ષુણ્ણ ગઝલ સ્વહસ્તે લખી મોકલવા બદલ ઉર્વીશ વસાવડાનો ખૂબ ખૂબ આભાર!)

Comments (18)

કાચના અસ્તિત્વ પર… – ઉર્વીશ વસાવડા

કાચના અસ્તિત્વ પર પ્રશ્નાર્થ લાગી જાય છે
હાથમાંથી એક પથ્થર જ્યારે ફંગોળાય છે

બંધ મૂઠ્ઠી ખોલવામાં પ્રશ્ન એ સર્જાય છે
હસ્તરેખાની લીપી ક્યાં કોઈને સમજાય છે

કેમ કોઈ સાંભળી શકતું નથી આ શહેરમાં ?
એક પંખી તારસ્વરમાં ગીત કાયમ ગાય છે

આ જગાએ એક ટહુકો સાંભળ્યો તો મે કદી
એ સતત મારા સ્મરણમાં આજે પણ પડઘાય છે

બુદબુદા ફૂટે સપાટી પર બધા દેખી શકે
કોઈને પેટાળના વિસ્ફોટ ક્યાં દેખાય છે.

– ઉર્વીશ વસાવડા

આમ તો ગઝલ આખી સરસ છે. પણ બીજો શેર મને સૌથી ગમ્યો. હસ્તરેખાની લીપીની વાત સરસ રીતે આવી છે. એક બાજુ મુઠ્ઠી ખોલવાની વાત છે જ્યારે બીજી બાજુ ભવિષ્ય વાંચવાની વાત છે ! આગળ વિવેકે ઉર્વીશભાઈના સંગ્રહ ‘ટહુકાના વન’ની સફર કરાવેલી એ પણ આ સાથે જોશો.

આ ગઝલ મોકલવા માટે આભાર, કલ્પન !

Comments (1)

ટહુકાનાં વન – ઉર્વીશ વસાવડા

નરસિંહ મહેતાની ભૂમિમાં જન્મેલા તબીબ કવિ ઉર્વીશ વસાવડા ઊર્મિઓના કવિ છે. વ્યવસાયે રેડિયોજિસ્ટ છે પણ કવિતા વાંચો તો એમ લાગે કે આ માણસ શબ્દોની સોનોગ્રાફી વધુ સારી રીતે કરી જાણે છે અને અર્થના સોંસરવા એક્ષ-રે પાડવામાં તો ખાસ પાવરધો  છે. રણ-ઝાકળ-અરીસો-દરિયો-પીડા જેવા ગઝલના ચવાઈ ગયેલા સિક્કાઓને પણ એ કૈંક નવી જ અને એવી તાજગી સાથે પેશ કરી શકે છે કે એનો ચળકાટ દિલની આંખોને આંજી દે છે. સરળ વાક્યરચના અને વાતચીતમાં વપરાતા રદીફો લઈને આવતી એમની ગઝલો આમ-આદમી સાથે ક્ષણાર્ધમાં તાદાત્મ્ય સાધી લે છે. એમના બીજા ગઝલસંગ્રહ ‘ટહુકાનાં વન’માં ફરતા-ફરતા ગમી ગયેલા થોડા ટહુકાઓ સાંભળીએ:

મને ગમતી પ્રત્યેક ક્ષણ ગઝલમાં લઈને આવ્યો છું,
ઘણી વાતો તમારી પણ ગઝલમાં લઈને આવ્યો છું.
નથી મારી ખૂબી એમાં, લખાવે છે કૃપા એની,
સતત એ વાતની સમજણ ગઝલમાં લઈને આવ્યો છું.

ક્ષણોમાં જીવવાનો રંજ ના રહેશે કદી મનમાં
ક્ષણો શાશ્વત બને એવો કસબ મળશે ગઝલ પાસે.

ઘાવ કોના ? પૂછ ના
પૂછ કોનો છે મલમ

જો સ્વીકારી ના શકે તું સત્યને
તો જરૂરી છે કે તું ઈન્કાર કર

લે કલમ, ને લખ ગઝલ કોઈ નવી
એમ તારી ચેતના વિસ્તાર કર !

રાખજો અકબંધ નાતો ડાળ સાથે ને છતાં
વૃક્ષના મૂળમાં જઈને કેન્દ્રબિંદુ શોધજો.

શ્વાસની સાથે વણાઈ છે જીવનની હર પીડા,
શ્વાસની સાથે જ જીવતરની કથા પૂરી થઈ.

યુગ યુગાંતરથી ઊભો છું એમના દ્વારે છતાં
એમને મળવાનું કારણ શોધવા મથતો રહ્યો.

તું ભલે ઉલ્લેખ ટાળે, નામ તો મારું જ છે
તુજ કથાના હર મથાળે નામ તો મારું જ છે.

કાલ આંખોમાં એ ધસમસ પૂર માફક આવશે
આજ સંભવ છે તું ખાળે, નામ તો મારું જ છે

તુજ સ્મરણનો મ્હેલ સળગ્યાને વીત્યાં વરસો છતાં
કેમ ઊડે છે હજી આ રાખ, હું ના કહી શક્યો.

જે ડૂબ્યું રંજ એનો કરી અર્થ શું
જે બચ્યું એ બધું તારવાનું હતું

જનમ કે મરણ પર નથી કોઈ કાબૂ
બધાં માણસોને ઉભય છેતરે છે

એ સતત સીંચાય છે આંસુ વડે
વેદનાનાં વન તો વિસ્તરતાં રહે

ખુશીઓ બધી ઈશ્વરે મોકલી છે અને સર્વ વિપદાઓ આપી છે એણે
ખુશી હો કે આફત, છે એના દીધેલાં પછી શું જરૂરી દિલાસો અમારે

એક વર્તુળના પ્રવાસી આપણે
આજ છે આરંભ ને આ અંત છે

ધર્મ જુદા એટલા ઈશ્વર જુદા
એમ જે સમજે નહીં એ સંત છે

વેદના એ કાંકરીની કેટલી ઊંડી હશે
કોઈ પનિહારી વગરના જ્યાં સૂના પનઘટ હતા

અમારી જિંદગીમાં શબ્દનો છે માત્ર ફાળો એ
સતત એણે કર્યું છે કામ પીડાઓ સરજવાનું

તને હું મોકલું તો મોકલું સંદેશ શી રીતે
નથી કાગળ, નથી વાદળ, ન જાણું હું, શું લખવાનું

ઊગી આવ્યું તરત મનમાં નિહાળી તાજનાં ચિત્રો
જીવન થોડા વરસ માટે, કબર વરસો સુધી રહેશે.

ગઝલ મારી સુણી તું દાદ આપે, પણ હકીકતમાં
બધાં ભીતરના દર્દો છે તને એ કોણ સમજાવે?

લુપ્ત થયો છું ગૌરવ સાથે
બુંદ હતો ને થયો સમંદર

કોરી પાટી જેવી ધરતી નીરખો તો સમજાશે
ભૂંસાતા ઈશ્વરના અક્ષર, વૃક્ષ પડે છે ત્યારે

એ બધા ટોળાનાં માણસ, આપણે એકાંતનાં
એટલે હો હર જગાએ આપણો ખૂણો અલગ

ગઝલના આ નગરમાં કઈ રીતે આવી ગયો, કહી દઉં
કદી જાણે અજાણે આંગળી પકડી લીધી એની

ખબર ન્હોતી, નીકળશે બાદમાં જન્મોજનમની એ
અમે જે ઓળખાણે, આંગળી પકડી લીધી એની
વધુ આગળ વાંચો…

Comments (6)

આ સમય છે… – ઉર્વીશ વસાવડા

આ સમય છે, ઘાવ પણ આપી શકે,
ને રીઝે સરપાવ પણ આપી શકે.

એક દર્શક જેમ હાજર હોય પણ,
એ અચાનક દાવ પણ આપી શકે.

જે લખે છે યુગ યુગાંતરની કથા,
પત્ર કોરો સાવ પણ આપી શકે.

ઝાંઝવાની પોઠ લઈ આવ્યા પછી,
તપ્ત રણમાં વાવ પણ આપી શકે.

ભરબજારે જાતના લીલામમાં,
સાવ સાચા ભાવ પણ આપી શકે.

– ઉર્વીશ વસાવડા

સમયની મજાની વાત લઈને માંડેલી આ ગઝલ નાની અને ભાવી જાય એવી છે. આજે પરિસ્થિતિ એવી છે કે તમે કદાચિત્ સાચું પણ બોલો તો કોઈ માને નહીં. આવી પરિસ્થિતિમાં શક્ય છે પોતાને વેચવા નીકળેલો કોઈ જણ પોતાનો ભાવ સાચો પણ આપતો હોય… પણ માનશે કોણ? જૂનાગઢના રેડિયોલોજીસ્ટ શબ્દોના એક્ષ-રે અને સોનોગ્રાફી પણ સરસ કરી જાણે છે.

Comments (6)

ગઝલ – ઉર્વીશ વસાવડા

મને ગમતી પ્રત્યેક ક્ષણ ગઝલમાં લઈને આવ્યો છું
ઘણી વાતો તમારી પણ ગઝલમાં લઈને આવ્યો છું

સતત ચાહી છે કુદરતને પૂરી નિષ્ઠાથી જીવનમાં
નદી, પર્વત ને તપતું રણ ગઝલમાં લઈને આવ્યો છું

શિલાલેખો, ગિરિ ગિરનાર, દામોકુંડ, કેદારો
જૂનાગઢની ધરાના કણ ગઝલમાં લઈને આવ્યો છું

સમજપૂર્વક હકીકતને જુદી, આભાસથી પાડી
અરીસામાં પ્રગટતો જણ ગઝલમાં લઈને આવ્યો છું

નથી મારી ખૂબી એમાં, લખાવે છે કૃપા એની
સતત એ વાતની સમજણ ગઝલમાં લઈને આવ્યો છું

ઉર્વીશ વસાવડા

ગુજરાતી સાહિત્યજગતમાં તબીબ-કવિઓની ખોટ નથી. ઉર્વીશ વસાવડા એમની સરળ ભાષામાં જ્યારે ખૂલે છે ત્યારે કળાવા નથી દેતા કે તેઓ એક તબીબ – રેડિયોલોજીસ્ટ છે. જૂનાગઢના વતની હોવાના નાતે એમની ગઝલોમાં ગિરનાર, દામોદર કુંડ, નરસિંહ મહેતાનો કેદારો અને અશોકના શિલાલેખો ખૂબ સહજતાથી વણાઈ જાય છે. સાવ સરળ ભાસતા કાફિયાઓ પાસે પણ એ બેનમૂન કામ લઈ શક્યા છે એ એમની કવિ તરીકેની સાર્થક્તા સૂચવે છે. કાવ્યસંગ્રહ: “પીંછાનું ઘર”. જન્મ: ૧૩-૦૪-૧૯૫૬.

Comments (6)