કાચિંડો – પરાગ ત્રિવેદી
વૃક્ષની નીચે
નેતાસભા, ઉપર
કાચિંડો સ્તબ્ધ.
– પરાગ ત્રિવેદી
સત્તર જ અક્ષરમાં કવિતા ધારે તો કેટલું બધું કહી શકે છે! નહીં?!
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
હાઈકુ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
વૃક્ષની નીચે
નેતાસભા, ઉપર
કાચિંડો સ્તબ્ધ.
– પરાગ ત્રિવેદી
સત્તર જ અક્ષરમાં કવિતા ધારે તો કેટલું બધું કહી શકે છે! નહીં?!
હાથ ઝાલીને
અંધારનો, ઊતર્યો
ઘરમાં ચંદ્ર.
અમાસી રાતે
અંધારું ટોળે વળી
આગિયા શોધે.
જળ જીવંત
પનિહારીના સ્પર્શે
તળાવકાંઠે.
નિર્જન પથ
યુગોથી ચાલ્યા કરે
એકલપંડે.
બંધ બારણે
આવીને પાછા જાય
જૂના ચપ્પલ.
પવન દોડ્યો
બજારે છત્રી લેવા
વરસાદમાં.
છત્રી ઓઢીને
વગર વરસાદે
દંપતી ભીંજે.
– ગુરુદેવ પ્રજાપતિ ‘ફોરમ’
લયસ્તરોના આંગણે કવિના હાઇકુસંગ્રહ ‘શાશ્વત સુખ’નું સહૃદય સ્વાગત.
સંગ્રહમાંથી ગમી ગયેલ કેટલાક હાઇકુ આપની સમક્ષ રજૂ કરીએ છીએ. પહેલા હાઇકુ વિશે બે’ક શબ્દો: રોજબરોજની કોઠે પડી ગયેલી ઘટનાઓ, જેની આપણે નોંધ લેવાનું પણ છોડી દીધું હોય, એને દર સવારે પુષ્પની પાંદડી પર પ્રગટ થતા ઝાકળની કુમાશ અને તાજગી દઈ નવોન્મેષ કરાવી આપણી સમક્ષ રજૂ કરે એ કવિતા. રાતના અંધારામાં ચાંદની બારીમાંથી ઘરમાં પ્રવેશે એ એટલું સાહજિક અને કાયમી હોય છે, કે ભાગ્યે જ કોઈ એના પર ધ્યાન આપતું હોય છે. આવી સાવ જ હાંસિયામાં ધકેલાઈ ગયેલ ઘટનાને હાઇલાઇટ કરી નવો ઓપ આપે એ જ સારી કવિતા. જુઓ, કવિ શું કહે છે તે… કોઈનો હાથ પકડીને કોઈ ઘરમાં ઊતરી આવતું ન હોય એ રીતે કવિ ચાંદનીને નહીં, સાક્ષાત્ ચંદ્રને અંધારાનો હાથ પકડીને ઘરમાં ઊતરતો જુએ છે. આટલો સજીવ સજીવારોપણ અલંકાર ઓછો જ પ્રયોજાયેલ જોવા મળે છે.
પંખી ચાંચથી
પડ્યો સૂર્ય દરિયે
જળ સોનેરી
પર્વતે હસ્યો
સૂર્ય: પડધે અબ્ધિ
જળ સોનેરી
સાગરે ડૂબે
તોયે કરે સૂરજ
જળ સોનેરી
– રવીન્દ્ર પારેખ
બહુ જાણીતો ન હોવા છતાં ટ્રાઇકુ સાવ નવો પ્રકાર પણ નથી. એના વિશે ખાસ આધારભૂત માહિતી નથી પણ વિન્સ પેઇજ નામના એક કવિએ સહુથી પહેલાં આ પ્રકાર પર હાથ અજમાવ્યો હોવાનું ગૂગલદેવતા (allpoetry.com) કહી રહ્યા છે.
ગુજરાતી કાવ્યક્ષેત્રે આ કાવ્યપ્રકારની પહેલ કરી છે કવિશ્રી રવીન્દ્ર પારેખે. કવિના કહેવા મુજબ આ કાવ્યપ્રકારના અલ્પ અંગ્રેજી ખેડાણથી અનભિજ્ઞ એમણે સ્વતંત્રપણે આ કાવ્યપ્રકારનું સર્જન કર્યું છે. દાવો એટલા માટે સાચો જણાય છે કે અંગ્રેજી ટ્રાઇકુ મહામુશ્કેલીએ પણ માંડ હાથ લાગે છે. ટ્રાઇકુ વિશે થોડું કવિશ્રી રવીન્દ્ર પારેખના પોતાના શબ્દોમાં-
આમ ટ્રાઇકુ ત્રણ હાઇકુનો સમૂહ માત્ર છે. જે હાઇકુ માટે અનિવાર્ય છે તે ટ્રાઇકુ માટે પણ છે જ, તે ઉપરાંત એની વિશેષ શરત એટલી છે કે ત્રણે હાઇકુ એક જ પરિવેશ પર રચાય છે. અહીં આકાશ, સાગર અને પર્વત જે રીતે દૃષ્ટિગોચર થાય છે તે હાઇકુમાં પ્રવેશ્યાં છે. એમાં બીજી મહત્વની શરત એ છે કે એક પદાર્થ કે તત્વ ત્રણે હાઇકુમાં સામાન્ય રહે છે. અહીં એ સૂર્ય છે. એક નજરમાં સમાતી પ્રકૃતિ ટ્રાઇકુનો વિષય થઈ શકે છે. એની ત્રીજી શરત એ છે કે ત્રણે હાઇકુ પરિણામ તો એક જ આપે, એટલે છેલ્લી પંક્તિ ત્રણેમાં એક જ રહે તે અનિવાર્ય છે.
સવાર
ઊંચકી લીધો
સૂર્યને દરિયેથી
ત્યારે સળગ્યો !
*
સાંજ
ઉતારી દીધો
સૂર્યને દરિયામાં
ત્યારે હોલાયો !
– રવીન્દ્ર પારેખ
રોજ જ નજરે ચડતી ઘટના કવિના ચશ્માંથી જોવામાં આવે તો કેવી નવતર દેખાય છે! પાણી અને સૂર્યની તેજસ્વિતાનો આટલા ઓછા શબ્દોમાં આટલો મજાનો પ્રયોગ ભાગ્યે જ થયો હશે..
રાત અંધારી:
તેજ-તરાપે તરે
નગરી નાની.
*
સૂકેલી ડાળે
પોપટ બેઠો: પાન
ચોગમ લીલાં.
*
અંધારે ગાતાં
જાય ઝરણાં: વ્હેતું
તારકતેજ.
*
ગીત આકાશે:
પંખીની પાંખમાંથી
ફૂટે પરોઢ.
*
ઊગે સોનેરી
ચાંદ: સૂરજ થાય
રૂપેરી રાતો!
– સ્નેહરશ્મિ
સત્તર અક્ષરની નાનકડી અંજલિમાં આખો સાગર સમાવી લેવાની કળા એટલે હાઈકુ. ત્રણ નાનકડી પંક્તિમાં સ્નેહરશ્મિ જેવા સબળ કવિ આખેઆખું ચિત્ર કુશળ ચિતારા પેઠે દોરી બતાવે છે. હાઈકુની કવિતા એની ચિત્રાત્મક્તામાં જ સમાઈ હોય છે.
વૃક્ષ લીલેરું
શોભતું વધુ, પર્ણ
પીળાં બે થકી
પંથે કંટક;
વગડો મ્હેકે- કેમ
પ્હોંચવું ઘરે?
જ્યોત દીવડે
ડોલે; હલે પ્રકાશ;
સ્થિર અંધારું
તડકો પડે,
પાન ખરે; ડાળીઓ
હસે નિસ્તેજ
કોટિ આગિયા
પ્રકાશ મેળવવા
ચાંદાને ગોતે
ડાયરી ભરી
લીટાથી : સરવાળો
માંડ્યો તો શૂન્ય
– ઉષા મોદી
જીવનમાં વચ્ચે વચ્ચે નાનું-મોટું દુઃખ ન આવે તો સુખની કિંમત શી રીતે સમજાય?
જીવનનો રાહ મુસીબતોથી ભર્યો પડ્યો છે ને પ્રલોભનોનો પાર નથી, મંઝિલે પહોંચવું શી રીતે?
અંધારું શાશ્વત છે, સનાતન છે એટલે એ સ્થિર છે. પ્રકાશ હંગામી છે એટલે ચંચળ છે.
ઉનાળાનો તાપ પ્રકૃતિને નિર્વસ્ત્ર કરે ત્યારે ઝાડ પણ બોખા મોઢે હસતું હોય એમ નિસ્તેજ ભાસે છે.
આકાશમાં તારા ભલે કરોડો હોય, અમાસની રાતે ચાંદાની ગેરહાજરીમાં પ્રકાશ પાથરી શકતા નથી.
જીવનની ડાયરીમાં ગમે એટલું લખ-ભૂંસ કરતા રહીએ, સરવાળો તો અંતે શૂન્ય છે.
કેવો સુંદર
પતંગ ઊઠે આભે
ઝૂપડાંમાંથી
-કોબાયાશી ઇસા
(અનુ. વિવેક મનહર ટેલર)
ગરીબના ઝૂંપડામાંથી ઊઠીને ઊંચા આકાશને આંબવા મથતો રંગીન પતંગ એ આખરે તો ગરીબોના રંગીન સ્વપ્નાં જ છે. ઉમાશંકરની વિખ્યાત પંક્તિઓ યાદ આવ્યા વિના ન રહે: ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મકણી ન લાધશે.
How beautifully
That kite soars up to the sky
From the beggar’s hut.
– Kobayashi Issa
ટ્રેનની સાથે
શરૂ થૈ મુસાફરી
મારા મનની
*
ટ્રેનમાં છું ને
વિચારો ઘરના જ –
ઘરમાં જ છું.
*
ટ્રેન કહે, “હો
ખેડવી બીજી દિશા”,
પાટો બદલ.
*
સ્મરણ તારું
સફરમાં સાથે જ.
એની ટિકિટ ?
*
એવુંય બને
હૈયું સ્ટેશન વિના
ઊતરી પડે
*
ક્યાં પહોંચાશે
શી ખબર ? જિંદગી
ટ્રેન થોડી છે !
*
પાટાનો સાથ
છોડ્યો ને ટ્રેન તો
રઝળી પડી !
*
દોડતી ટ્રેન
થાકે નૈ, એમાં બેસી
થાકે છે લોકો
*
ટ્રેનની બંધ
બારી વિચારે… ઘણાં
દૃશ્યો ગુમાવ્યાં.
– કિરણસિંહ ચૌહાણ
વિવિધસૂત્રી વિચારો એક જ ગઝલમાં લખવાને ગઝલકાર ટેવાયેલા હોય છે. ભાગ્યે જ કોઈ ગઝલ મુસલસલ હોવાની. આવામાં એક લબ્ધપ્રતિષ્ઠ ગઝલકાર હાઈકુ જેવા સૂક્ષ્મ પ્રકારને હાથમાં લે અને એ પણ વિષય નક્કી કરીને તો કેવું! કિરણસિંહ ટ્રેન વિષયક હાઈકુઓની ટ્રેન દોડાવે છે એ વાત પોતે જેટલી રોચક છે એથી વધુ આ હાઈકુઓમાંથી ઊભરી આવતી કવિતાઓ વધુ રોચક અને રોમાંચક છે. બધા જ હાઈકુ આસ્વાદ્ય થયા છે…
પાનખરે આ
પતંગિયું બેપગું….
વસંતો વેરે
અંધકારની
ત્રેવડ નહીં કે એ
દીવો બુઝાવે….
તડકો વંડી
વહેરે છે ને છાંયો
પડખે ઊંઘે….
‘વિરહી’ શ્વાસો
મૂકે ત્યાં થઈ જાતો
વાયુ ભડથું !
ખિસકોલીના
રુંવાં ઉપર રમે
સુંવાળો સૂર્ય….!
હું જ છબિમાં
હું જ છબિની બહાર
કયો હું સાચો ?
જીવતર છે
બાક્સ ખોખું, શ્વાસો
દિવાસળીઓ
મનીઓર્ડર
લૈને વૃદ્ધાએ લીધાં
રોકડાં આંસુ….
-રમેશ પારેખ
મોરપિચ્છમાં
રંગ ભર્યા છે : વચ્ચે
કોની આંખ ?
– મુરલી ઠાકુર
સત્તર અક્ષરમાં કેવી મજાની વાત ? રંગ અને આંખ – આ બે શબ્દ અહીં જે અનુભૂતિ ઊભી કરી શક્યા છે એ સાચે જ શબ્દાતીત છે… વળી આમ જુઓ તો સત્તર અક્ષર અને ત્રણ પંક્તિનું હાઈકુ અને આમ જુઓ તો નખશિખ માત્રામેળ છંદમાં…
સાચું ! સૌ લખે
એક જ મૃત્યુકાવ્ય,
હુ છું અનેક.
– યૌસુનારી ફાટ્સોનાબી
(અનુ. વિવેક મનહર ટેલર)
મોટાભાગના ઝેન-માસ્ટર એક જ મૃત્યુકાવ્ય લખી ગયા છે. પણ ફાટ્સોનાબીએ હજારથી વધુ મૃત્યુકાવ્ય લખ્યા છે. એ સ્થૂળ સંદર્ભ બાજુએ મૂકીને આ હાઇકુ જોવા જેવું છે. આ ખરેખર કવિતાની વાત છે કે જિંદગીની? કવિ કદાચ કહે છે કે બધા એક જ જિંદગી જીવીને મરી જાય છે પણ હું એક માણસ નથી, હું અનેક માણસ છું. હું એક માસ્ટર નથી, હું અનેક માસ્ટર છું માટે હું એક નહીં, અનેક જિંદગી જીવી શક્યો છું.
તક્ષક, લીધું
સઘળું પણ ભૂલ્યો
બારીમાં ચાંદ
– રિઓકાન
આ હાઈકુની પાછળ એક કથા છે:
એક રાત્રે રિઓકાનની મઢુલીમાં ચોર ઘૂસી આવ્યો. રિઓકાન ઊંધમાંથી ઉઠ્યા ત્યારે બિચારો મઢુલીમાંથી કશું ન મળવાને કારણે નાસીપાસ થઈને જવાની તૈયારીમાં હતો. રિઓકાને એને રોક્યો, ‘તું આટલે દૂરથી મારે ધરે આવ્યો છે. તને ખાલી હાથ ન જવા દેવાય. એમ કર, મારા કપડા મારા તરફથી ભેટ તરીકે લઈ જા.’ ચોર બાપડાની તો આંખો આશ્ચર્યથી ફાટી ગઈ. એણે કપડા લીધા અને જલદીથી ભાગી છૂટ્યો. રિયોકાન નગ્ન શરીરે ખૂણે બેઠા બેઠા બારીમાંનો પૂર્ણ-ચંદ્ર જોતા ગણગણ્યા, ‘કાશ, હું એ બિચારાને આ ખૂબસૂરત ચાંદ આપી શકત.’
ઝેન એ સઘળું(everything) અને કશુંય નહીં(nothing) બન્નેને એક જ સરખા આનંદ સાથે માણવાની કળા છે.
ટપકે નેવાં
આજે તો અવકાશે
છલકે નેવાં
રાત પડે ને
સામે ઘેર જવાને
સરકે નેવાં
કોણ આવતું
આજ આંખની જેવાં
ફરકે નેવાં
અષાઢ-રાતે
કણું બનીને આંખે
ખટકે નેવાં
પાંખ-પાંખમાં
મૌન ધ્રૂજતું ભીનું
ધબકે નેવાં
– મનોજ ખંડેરિયા
અનન્ય કહી શકાય એવી આ રચનાને આપણે શું કહીશું?
હાઈકુ શ્રેણી? ગઝલ? કે પછી ત્રિપદી ?
અહીં ગઝલનો છંદ યથાર્થ પ્રયોજાયો છે, નેવાં રદીફ અને ટપકે-છલકે-સરકે-ફરકે-ખટકે-ધબકે જેવા કાફિયા પણ સફળતાપૂર્વક પ્રયોજાયા છે. શેરિયત જળવાય રહે છે પણ ઉલા મિસરા અને સાની મિસરા એમ ગઝલમાં બે પંક્તિઓ મળીને એક શેર બને એ રચના અહીં નજરે ચડતી નથી. અહીં ત્રિપદીની માફક ત્રણ પંક્તિઓની સંરચના નજરે ચડે છે પણ કવિતાનો ઘાટ વળી હાઈકુનો થયો છે.
આને ત્રિપદી હાઈકુ ગઝલ કહીશું? કે પછી રંગ-રૂપની પળોજણ છોડીને કવિતાને જ મનભર માણીશું?
ઘાટ ઘડાયો
મારો, તારા હેતની
રૂ હથોડીએ.
– ચંદ્રેશ ઠાકોર
હાઈકુના સત્તર અક્ષર ભલભલા ચમરબંધના પાણી ઉતારી નાંખે છે. મિશિગનના ચંદ્રેશ ઠાકોરે એમના મિત્રની બોટમાં સરોવરની સફર કરાવતા કરાવતા આ હાઈકુ સંભળાવ્યું અને તરત જ મોબાઇલમાં સાચવી લેવું પડ્યું… ઘાટ તો હથોડીથી જ ઘડાય પણ અહીં જે ચમત્કૃતિ છે એ હેતની હથોડીથી ઘાટ ઘડાવાની છે અને કાવ્ય ચરમસીમાએ પહોંચે છે એ હથોડીના રૂના હોવાની વાતથી… હેતની હથોડી તો રૂ જેવી જ હોય ને!!
ખરેલું પાન
ડાળે પાછું ફર્યું ?
પતંગિયું
– અનામી
*
છિદ્રો વિનાની વાંસળી
વગાડવી ખૂબ મુશ્કેલ છે.
– અનામી
*
કશુંય ન હોવાપણાની ભાષાને
બટકાં ભરવાથી ચેતજો :
તમારા દાંત ભાંગી જશે.
એને આખેઆખી ગળી જાઓ…
– મિત્સુહિરો
આજે મારા ગમતા ત્રણ ઝેન-કાવ્યો. પહેલું આશ્ચર્યની અનુભતિનું કાવ્ય છે. બીજું અનુભવનો નિચોડ. છેલ્લું ચેતનાના રસ્તા પરની આવશ્યક શિખામણ.
પનિહારીના
પગલે, ફાટફાટ
કૂવાનું પાણી.
– ધનસુખલાલ પારેખ
કોઈ મને પૂછે કે કોઈ અસીમ સૌંદર્યવતી સ્ત્રીનું અભૂતપૂર્વ વર્ણન કરવા માટે કેટલા લાંબા કાવ્યની જરૂર પડે તો હું કહું, માત્ર સત્તર અક્ષરની !!!
મારું જીવન
સરળ સીધી લીટી –
તું પ્રશ્નાવલિ
સત્તર અક્ષરમાં પોતાની અનુભૂતીનું અત્તર નાંખીને કવયિત્રી લાવ્યા છે એમનો નવો હાઈકુસંગ્રહ ‘અત્તર-અક્ષર’, જે જાન્યુઆરીની 25મી પ્રકાશિત થયો હતો. આ સંગ્રહને એમણે આ પ્રકારનાં કુલ 206 હાઈકુથી શણગાર્યો છે. એમાનાં થોડા હાઈકુ તમે એમની વેબસાઈટ પર પણ માણી શકો છો. કવયિત્રીને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ…
કવિ
(સદગત પ્રિયકાન્તની સ્મૃતિમાં)
લોહીવ્હેણમાં
ઊછળે નાયાગરા,
કીકીમાં કાવ્ય.
* * *
શબ્દ
મૌન, તારો તાગ લેવા
શબ્દ થઈ દઉં કાળજળમાં
. ડૂબકી.
– ઉમાશંકર જોશી
ઉમાશંકર માત્ર દીર્ઘ કાવ્ય જ લખતા એમ કહીએ તો એમની કવિપ્રતિભાને હાડોહાડ અન્યાય થાય. લઘુકાવ્યો, મુક્તક અને કવચિત્ હાઈકુમાં પણ એમની કલમ ખૂબ છટાદાર ચાલી છે.
***
સાથે કવિના જીવનના બે યાદગાર પ્રસંગો મમળાવીએ:
એક વાર મુબઈમાં બસમાં જતો હતો. આગલી બેઠક ઉપરના વૃદ્ધે મને બોલાવ્યો. મારા એક વખતના અર્થશાસ્ત્રના પ્રોફેસર ! વંદન કર્યાં. આશ્ચર્ય વ્યક્ત કર્યું કે ભલો મને ઓળખ્યો. ‘કેમ ન ઓળખું?’ પછી કહે, ‘તારે પોતાનો કાવ્યસંગ્રહ પાઠ્યપુસ્તક તરીકે ભણવાનો આવ્યો હતો ને?’ ઉમાશંકરે સમજાવ્યું કે બી.એ.ના છેલ્લા બે વર્ષો તો એ અર્થશાસ્ત્રના વિદ્યાર્થી હતા એટલે એમનો સંગ્રહ બીજા વિદ્યાર્થીઓને ભણવાનો થયો હતો, પોતાને નહીં. પણ પ્રોફેસર માન્યા નહીં. કવિ કહે છે, એક કથા (લીજેન્ડ) તરીકે કોઈ કવિને પોતાનો જ કાવ્યસંગ્રહ ભણવાનો આવે તો કેવું ? – એ કૌતુક એવું મનગમતું છે કે એનો નાશ કરવાનો કવિને પોતાને પણ કશો હોવો જોઈએ નહિ !
કવિ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે કામ કરતા હતા ત્યારે મજાની બીના બની. કવિ કહે છે, અમારા કર્મચારી બંધુઓ એકવાર હડતાળ ઉપર ઊતરેલા ને મારી તરફ આવી રહ્યા હતા. આગળ ચાલતા નાયકનો સૂત્રોચ્ચાર ગાજતો હતો : ‘ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ…’ આખું મંડળ એકઅવાજે ત્યાં બોલતું હત્યું: ‘જાગશે !’
***
આજે આ ઉમાશંકર વિશેષ સપ્તાહ પૂર્ણ થાય છે પણ ઉમાશંકરના કાવ્યોનો રસથાળ આખા વર્ષ દરમિયાન પીરસાતો રહેશે…
પલળવાનાં
સ્વપ્નમાં, કોરી રહી
ગઈ જિંદગી.
– માધુરી મ. દેશપાંડે
છ શબ્દોનાં બિંદુમાં આખ્ખો સિંધુ ! જાણે કોઈ લાં…બી જિંદગીની ટૂંકીટચ વાર્તા હોય એવું નથી લાગતું?!
જૂનું તો થયું
દેવળ જૂનું; એમાં
તારું શું ગયું ?
દિલમાં દીવો
કરો રે દીવો કરો;
રાડો ન પાડ.
બ્રહ્મ લટકાં
કરે બ્રહ્મ પાસે; તું
ચાડી ન કર.
આ તન રંગ
પતંગ સરીખો; તો
ઊડ, રાજી થા.
તરણાં ઓથે
ડુંગર કો ન દેખે;
સાલ્લાં આંધળાં.
વ્રજ વહાલું રે
વૈકુંઠ નહિ આવું;
મેં ક્યાં બોલાવ્યો ?
ઊભા રહો તો
કહું એક વાત; હું
નવરો નથી.
પ્રેમની પીડા
તે કોને કહીએ ? ભૈ
કોઈને નહીં.
મને લાગી રે
કટારી પ્રેમની; હા
કાટ ખાધેલી.
જાગીને જોઉં
જગત દીસે નહિ;
પાછો સૂઈ જા.
-ચંદ્રકાંત ટોપીવાળા
(‘પરબ’ ફેબ્રુઆરી 2010માંથી)
આપણા બહુશ્રુત ભક્તિપદોની હાઈકુના સ્વરૂપે હળવી ઠેકડી કરવાનો આ પ્રયોગ મને તો બહુ જ ગમી ગયો. કવિતામાં બધુ ગંભીર જ હોવું જોઈએ એવો તો કોઈ નિયમ નથી, છતાંય કેટલાય કવિઓ કારણ વગર ગંભીર રહેવાની કોશિશ કર્યા કરે છે. કવિએ આ પ્રયોગથી એ બધા ‘ચહેરા-ભારે’ (માથા-ભારે જેવું ચહેરા-ભારે) કવિઓને ‘ટોપી’ પહેરાવવાની કોશિશ કરી છે એવું લાગે છે 🙂
ક્ષિતિજે સૂર્ય,
અહીં ઓસનાં અંગે
રંગ અપૂર્વ.
*
અર્ધ સોણલું
અર્ધ જાગૃતિ મળ્યાં
બાહુ બાહુમાં.
*
વરસે મેહ,
ભીનાં નળિયા નીચે
તરસ્યો નેહ.
*
વિદાય લેતું
અંધારું, તૃણ પર
આંસુને મેલી.
-રાજેન્દ્ર શાહ
રાજેન્દ્ર કેશવલાલ શાહ (જન્મ: 28-01-1913, કપડવણજ ) માત્ર સાડાસત્તર વર્ષની ઉંમરે અસહકારની લડત બદલ જેલભેગા થયા હતા. સ્વાતંત્ર્ય સંગ્રામના ગીતોના કારણે જ કવિતા ભણી આકર્ષાયા. અનુગાંધીયુગના પ્રભાવશાળી કવિ. એમની કવિતાઓમાં અધ્યાત્મ, પ્રકૃતિ અને રમ્ય કલ્પનોની તાજગીનો હૃદયંગમ નવોન્મેષ થતો પ્રતીત થાય છે. એમના કાવ્યો લયની લીલાથી, નવીન કથનરીતિથી અને જીવનમર્મના નિરૂપણથી ધ્યાનાકર્ષક બન્યાં છે. ‘રામવૃંદાવની’ તખલ્લુસથી ગઝલો પણ લખી.
કાવ્યસંગ્રહ: ‘ધ્વનિ’, ‘આંદોલન’, ‘ઉદ્ ગીતિ’, ‘શ્રુતિ’, ‘મધ્યમા’, ‘શાંત કોલાહલ’, ‘ચિત્રણા’ ‘વિષાદને સાદ’, ‘પત્રલેખા’, ‘ક્ષણ જે ચિરંતન’, ‘દક્ષિણા’, ‘પ્રસંગ સપ્તક’, ‘પંચપર્વા’, ‘કિંજલ્કિની’, ‘વિભાવન’.
બકતી હોડ
કલગી કૂકડાની
ઉષાની સામે
*
વાટ ભૂલ્યાની
ચમકી આંખ – દૂર
ભાંભરી ગાય.
*
આંગણે ભૂખી
અનાથ બાળા : દાણા
ચકલી ચણે
*
પોયણી વચ્ચે
તરે હંસલો : ચન્દ્ર
ચઢ્યો હિલ્લોળે.
***
ઊડી ગયું કો
પંખી કૂજતું : રવ
હજીયે નભે
– સ્નેહરશ્મિ
અડકું તને
પાંપણની કોરથી
ભરમેળામાં
– પન્ના નાયક
ભરબપોરે
તડકો ઓઢી સૂતું
ખેતર શાંત !
* * *
ઘોર અંધારી
રાત, તો યે સપનાં
રંગબેરંગી !
પરાગ ત્રિવેદી
ઝાપટું વર્ષી
શમ્યું, વેરાયો ચંદ્ર
ભીના ઘાસમાં.
વ્હેરાય થડ :
ડાળે માળા બાંધતાં
પંખી કૂજતાં.
હિમશિખરે
ગયો હંસલો વેરી
પીંછાં રંગીન.
દેવદર્શને
ગયો મંદિરે : જુએ
વેણીનાં ફૂલ !
– સ્નેહરશ્મિ
17 અક્ષરની નાનીશી રત્નકણિકા સમાન આ હાઈકુઓ અર્થવૈભવમાં પાછા પડતા નથી. દરેક હાઈકુ આગવુ અને અસરકારક શબ્દચિત્ર રચી આપે છે.