અને અંતે ખુમારી આંસુની અકબંધ રહી ગઈ દોસ્ત,
થયેલું એક ક્ષણ એવું કે તું એ લૂછવા આવે.
– જિગર ફરાદીવાલા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for May, 2023

આકાશમાં કવિતા – પ્રદીપ ખાંડવાલા

સાંજે
બાલ્કનીમાં બેઠો બેઠો
સૂર્યાસ્તને જોતો હતો
આકાશમાં કશુંક ધૂંધળું જોયું.
વધુ ધ્યાનથી જોયું
અક્ષરના મરોડ જોયા
ચિહ્નવિરામો જોયાં
શબ્દો અને પંક્તિઓ?

એમને ઝાલવા
હાથ લંબાવ્યા
પણ આકાશ સુધી
તે કેમ કરીને પહોંચે ?

બારીકાઈથી જોવા
ચશ્માં પહેર્યાં
દૂરબીન પણ અજમાવ્યું,
મેં જોયું કે ત્યાં શબ્દો હતા
પણ અર્થ ન સમજાયો
શબ્દો વચ્ચે વચ્ચે
શૂન્યો હતા
જે પ્રભાવક લાગ્યા
ઉમદા લાગ્યા
આ તો કાવ્ય જ હોઈ શકે
કોઈ પવિત્ર ભાષામાં.

પછી કાવ્ય બોલ્યું:
મને માણવું હોય તો
ઉપર આવ
આકાશનું પહેલું પગથિયું ચઢ
પછી નિસરણી મળી જશે
શબ્દો તો પ્રાચીન છે
નહીં ઊકલે
પણ અર્થ માણી શકીશ!

– પ્રદીપ ખાંડવાલા

મોનાલિસાનું ચિત્ર જોતી વખતે આપણને ચિત્રકારે વૉટર કલર વાપર્યા હશે કે ઓઇલ કલર, સાદો કેનવાસ પેપર વાપર્યો હશે કે કોઈ બીજો વગેરે વિચાર આવતા નથી. આપણે ચિત્રનો આસ્વાદ કરીએ છીએ ત્યારે ચિત્ર બનાવવામાં કામ લેવાયેલ સાધનો વિશે વિચારતાં નથી. વાદ્યસંગીત કે શાસ્ત્રીય ગાયકી પણ શબ્દોની અનુપસ્થિતિમાં આપણને અકલ્પનીય આનંદનો અનુભવ કરાવી શકે છે. એ જ રીતે કવિતાનું ઉપાદાન સાધન છે પણ સાચી કવિતા એ જ, જે વાંચતી વખતે ભાવકનું ધ્યાન કવિએ પ્રયોજેલા શબ્દો પર ન જતાં ભાવક કવિના ભાવપ્રદેશમાં વિહરણ કરવા માંડે.

પ્રસ્તુત રચનામાં કાવ્યનાયક બાલ્કનીમાં સૂર્યાસ્ત હોવા બેઠા છે. આજના નગરજીવનમાં એક તો મોટાભાગની બાલ્કનીમાંથી સૂર્યાસ્ત કે સૂર્યોદયના દર્શન નહીં થાય અને થતાં હોય તો આપણી પાસે સમય નથી પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધવાનો. પ્રકૃતિ સાથેના ‘કનેક્શન’થી કાવ્યારંભ થાય છે એ વાત સૂચક છે. સૂર્યાસ્ત ટાંકણે આકાશમાં કશુંક અસ્પષ્ટ નજરે ચડે છે. ધ્યાનથી જોતાં કવિને એમાં કોઈક જાતનું લખાણ નજરે ચડે છે. લખાણ ઉકેલવા માટે કવિ શક્ય ઉપાય અજમાવે છે, પણ શબ્દોનો અર્થ સમજાતો નથી. ઊલટું શબ્દો વચ્ચે જે અવકાશ પ્રકૃતિએ છોડ્યો છે એ કવિને વધુ રોચક અને ઉમદા લાગે છે. ખરી વાત છે, ખરી કવિતા હંમેશા બે શબ્દો વચ્ચેની જગ્યા- between the lines- જ રહેલી હોય છે. કવિતા ખુદ કવિતાને પામવાનો રસ્તો પણ સૂચવે છે. એક ડગલું કવિતાની દિશામાં ભરવામાં આવે તો કવિતાને પામવાનો રસ્તો આપોઆપ જડી આવશે. શરત બસ એ જ કે કવિતાને પામવાના નિર્ધાર સાથે પહેલું ડગલું ભરવું પડે. સાચી કવિતા આપોઆપ સમજાઈ જતી હોય છે.

Comments (1)

રામલલ્લા – લલિત ત્રિવેદી

અજવાળ, રામલલ્લા
માણસ લગીના પલ્લા!

શરણાઈ-શા મહોલ્લા
ક્યારે બની ગ્યા હલ્લા!

અભરે ભર્યું છે, વલ્લા
વેરાન, માસાઅલ્લા!

છલકાય સોળવલ્લા
સુખદુ:ખ વલ્લાવલ્લા!

સુલઝી ગયા રે મસલા
ખુદ થૈ ગયા મુસલ્લા!

તો આભડે છે એરુ
અડકું જરા જો દલ્લા!

સામે હઈશ તું ગાયબ
કરશું ગઝલથી હલ્લા!

છે દામાકુંડી અમરત
શબ્દો લગીના પલ્લા!

એવું, ભગત, શુ માંગ્યું?
ભગવાન ગલ્લાંતલ્લાં!

– લલિત ત્રિવેદી

નવા નવા શબ્દો કોઇન કરીને ખપજોગા કાફિયા નિપજાવી લેવાની અને મહત્તમ કાફિયાઓનો કસ કાઢીને કરાતી ગઝલરચના અને મિશ્ર ભાષાઓવાળી બાનીને લઈને કવિ અન્ય ગઝલકારોથી બિલકુલ જુદા પડે છે.

Comments (13)

તમારી આંખમાંથી – બરકત વિરાણી ‘બેફામ’

તમારી આંખમાંથી છો ને છલકાઈ રહ્યો છું હું,
પરંતુ મારા જીવનમાં તો સૂકાઈ રહ્યો છું હું.

હું મસ્તીમાં ઝૂમું છું એમ આઘેથી ન માની લો,
નજીક આવી જુઓ કે ઠોકરો ખાઈ રહ્યો છું હું.

કોઈ ગોતે મને તો પગલે પગલે હું જડી આવું,
કંઈક એ રીતે પગલે પગલે ખોવાઈ રહ્યો છું હું.

બને તેા ઘા નવા મારા ઉપર કરશો નહીં કોઈ,
હજી જૂના પ્રહારોથી જ પીડાઈ રહ્યો છું હું.

છે એ પણ દુ:ખ કે નીકળવું પડયું મારે ફૂલોમાંથી,
છે એ પણ સુખ કે ખુશ્બૂ જેમ ફેલાઈ રહ્યો છું હું.

ભલે બાંધું છું માળા બાગમાં, પણ છે દશા એવી,
તણખલાં એકઠાં કરવામાં પીખાઈ રહ્યો છું હું.

કર્યાં છીદ્રો સિતારાનાં, ગગનમાં તમને જોવાને,
જરા એ તો જુઓ – કયાં કયાંથી ડોકાઈ રહ્યો છું હું.

ખુદા! મારી પ્રગટતાનું છે કારણ ગુપ્તતા તારી,
તું દેખાતો નથી એથી જ દેખાઈ રહ્યો છું હું.

જીવન કર્તવ્ય માટે છે, હૃદય છે ભાવના માટે,
જગતની ને તમારી વચ્ચે વહેંચાઈ રહ્યો છું હું.

અરે આ મારી નિર્જીવતાય ઘરની શોભા જેવી છે,
જુઓ ભીતે છબી રૂપે ટીંગાડાઈ રહ્યો છું હું.

કફનનું આ નવું નક્કોર કપડુ તો જુઓ બેફામ,
જવાને સ્વર્ગમાં કેવો સજાવાઈ રહ્યો છું હું.

– બરકત વિરાણી ‘બેફામ’

અગિયાર શેરની ગઝલ, પણ લગભગ બધા જ શેર દમદાર. કોઈ પોતાને શોધવા નીકળે તો પગલે પગલે પોતાને પામી શકે એ નેમથી પગલે પગલે પોતાની જાતને ખોતા જવાની વાત કરતો શેર તો ઉત્તમ અને ખાસ્સો અર્થગહન છે. આકાશમાં દેખાતા અસંખ્ય તારાઓને પ્રિયજનને જોવા માટે કરેલ છીદ્રોની ઉપમા આપતો શેર તો આધુનિક ગઝલનેય જૂની કહેવડાવે એવો મજાનો થયો છે.

Comments (15)

મોટો પ્રશ્ન – મુકુન્દરાય વિ. પારાશર્ય

એક દિન મહેતાજીએ છોકરાંને પ્રશ્ન કર્યો
‘ઈતિહાસ વિશે પ્રશ્ન ક્યો મોટો છે?’

વાદ કરી છોકરાઓ પ્રશ્નનો વિચાર કરે
મહેતાજીની આંગળીની ચીંધ સહુ માથ ફરે

કુરુક્ષેત્ર? ટ્રોય? તણો ઇતિહાસ ખોટો છે!
ફ્રેંન્ચ રાજ્યક્રાંતિ? એવી ક્રાંતિનોય જોટો છે!

રાજ્યમાં સુધારા? ધારાફેરનો ક્યાં તોટો છે?
વીજળી કે સંચાશોધ? એ તો પ્રશ્ન છોટો છે!

નોખાનોખા ધર્મ પંથ? અરે એમાં ગોટો છે!
‘સિપાઈના બળવા’ના વાંસા ઉપર સોટો છે!

સત્યાગ્રહ? એમાંય તે કૈંકે મેલી દોટો છે!
આવડે ન તો તો ગાલે મહેતાજીની થોંટો છે.

છેલ્લે બાંક, છેલ્લો રાંક છોકરો જવાબ દે,
’સાબ! સાબ! પ્રશ્ન એક રોટલાનો મોટો છે.’

– મુકુન્દરાય વિ. પારાશર્ય

મનહર છંદની મસ્તીમાં ગાવાની મજા પડે એવી આ રચના છે. આપણે ત્યાં હળવા વ્યંગની રચનાઓ આમેય ઓછી જ જોવા મળે છે. ઇતિહાસમાં કયો સવાલ સહુથી મોટો છે એ બાબતે આખો વર્ગ વાદે ચડે છે. કુરુક્ષેત્રથી શરૂ થઈ સત્યાગ્રહ સુધીના પ્રસંગોની ચર્ચા અને સાથોસાથ દરેકને રદિયો દેવાની કથનરીતિ કાવ્યને વધુ મજેદાર બનાવે છે. છેલ્લી બાંક પર બેસેલ એક ગરીબ છોકરો જે જવાબ આપે છે એ જવાબ હળવા હાસ્ય સાથે કાવ્યમાં ગતિ કરતાં આપણા સહુના અવાજને અચાનક ગળગળો બનાવી દે એવો છે.

કોઈ એક સામયિકમાં પ્રકાશિત થયેલું આ કાવ્ય મુંબઈ યુનિવર્સિટીમાં એમ.એ.ના ગુજરાતીના અનસીનના પે૫૨માં પ્રશ્નરૂપે પૂછાયું હતું ત્યારે કવિનું વય માત્ર સોળ વર્ષનું હતું.

Comments (3)

વાત કરવી છે – બાબુલાલ ચાવડા ‘આતુર’

સરોવર કાંઠે બેસીને તરસની વાત કરવી છે,
વરસ જેવા વીતેલા હર દિવસની વાત કરવી છે.

મને છુટ્ટો મૂકી દો તપ્ત રેગિસ્તાનમાં હમણાં,
પછી તમને મળી રેતીના રસની વાત કરવી છે.

કદી સામે મને દુનિયામાં મોકલનાર જો આવે,
જગતમાં ખોઈ છે મેં એ જણસની વાત કરવી છે.

મને મારા હૃદય સાથે મળે જો વાત કરવા તો,
પડી છે બંધ વરસોથી એ નસની વાત કરવી છે.

પ્રતીક્ષામાં છું ‘આતુર’ એટલે હુ અંતવેળાની,
ઘડીભર તેજની સાથે તમસની વાત કરવી છે.

– બાબુલાલ ચાવડા ‘આતુર’

રણમાં રઝળતાં-રઝળતાં તરસની વાત કરવી સહેલી છે. મુસીબતમાં તો ભગવાનને બધા જ યાદ કરવાના. અમીર માણસ માટે ગરીબોની વ્યથા સમજવું દોહ્યલું છે. તૃપ્તિ હાથવગી હોય ત્યારે અતૃપ્તિની વાત કરવી, એ બાબતે સમજ કેળવવી વધુ અઘરી છે. મજાના મત્લા સાથે કવિએ ગઝલનો ઉઘાડ કર્યો છે. સરઓવરના કાંઠે બેસીને કવિ તરસની અને તરસપ્લાવિત એ તમામ દિવસો, જે એક-એક દિવસ વરસ સમાન વીત્યા હતા એની પણ વાત કરવા ઇચ્છે છે. મતલબ લાંબો ચાલેલ વિયોગ હવે પૂરો થયો છે અને પ્રિયજન સાથે મુલાકાત થઈ છે. આ મુલાકાતના કાંઠે બેસીને કવિ વિરહના દિવસો પોતે કેવી કપરી રીતે વિતાવ્યા છે એની વાત પ્રિયજનને કરવા ચહે છે. આખી ગઝલ સ-રસ છે પણ મત્લાની જેમ જ મક્તા પણ અદભુત થયો છે.

Comments (5)

અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’

એક આંસુ કેમ સચવાતું નથી?
ને ખરું દુ:ખ કેમ પકડાતું નથી?

વાદળો ખુદમાં ભરી દરિયો, ઊભાં,
છે જે અંદર કેમ ઉભરાતું નથી?

આટલો વરસાદ આવ્યો તે છતાં,
હૈયું મારું કેમ ભીંજાતુ નથી?

હોય જ્યારે ઘરમાં કંઈ મોટો પ્રસંગ,
એક અંગત કેમ સચવાતું નથી?

હોય જો ખુદમાં જ ઈશ્વર તો પછી,
સત્ય એનું કેમ સમજાતું નથી?

– અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’

ગઝલના પાંચેય શેર ‘કેમ’ પ્રશ્નની ધરી ઉપર ચકરાવો લે છે. સમસ્યાઓ બધી જ ચિરપરિચિત હોવા છતાં રજૂઆતની સહજતામાં અને સરળતામાં કંઈક એવી વિશેષતા છે, જે આપણને દરેક શેર પાસે ઘડીભર અટકી જવા પ્રેરે છે.

Comments (6)

સવા શેર : ૧૧ : ભ્રમ હયાતીનો – વિવેક મનહર ટેલર

જ્યારે ભ્રમ હયાતીનો બુદબુદાનો ભાંગશે,
થઈ જશે હવા હવા, પાણી પાણી થઈ જશે.
– વિવેક મનહર ટેલર

સીદીભાઈને સીદકાં વહાલાંના ન્યાયે સર્જકને તો પોતાનું સમગ્ર સર્જન જ ગમવાનું. પણ મારે જો મારા જ કોઈ શેર વિશે બે’ક શબ્દ લખવાનું હોય તો હું પસંદગીનો કળશ આ શેર પર પહેલાં ઉતારું. પહેલી નજરે તો વાત સાવ સરળ–સહજ જ છે. ब्रह्म सत्य, जगत मिथ्या એમ આપણે સહુ કહીએ તો છીએ, પણ જીવીએ છીએ એ રીતે કે જગત અને જીવન સત્ય હોય અને બ્રહ્મ મિથ્યા હોય. અસ્તિત્ત્વના તકલાદીપણાં કે ક્ષણભંગુરતા વિશે સેંકડો સર્જકો અસંખ્ય વાત કરી ગયા છે. આ શેર એમાં જ એક ઉમેરણ છે. પરપોટાથી વધુ તકલાદી તો શું હોઈ શકે? પાણીના પાતળા પડની કાયાની ભીતર હવા ભરાતાં સર્જાતો પરપોટાનું આયુષ્ય ક્ષણ-બે ક્ષણથી વધુ હોતું નથી. પણ આટલા ટૂંકા આયુષ્યમાં પણ એ પ્રકાશ ઝીલીને એવી તો મજાની મેઘધનુષી છટા સર્જી બતાવે છે કે જોતાંવેંત જોનારનું મન મોહી લે. પરંતુ વાસ્તવિક્તા એ છે કે ગમે એટલો આકર્ષક કેમ ન હોય, પરપોટો થોડી જ વારમાં ફૂટી જાય છે. હવા હવામાં ભળી જાય છે, ને પાણીનું અતિપાતળું પડ પાણીનું ટીપું બની જમીનમાં ભળી જશે. પરપોટો પાણીની ભીતર સર્જાયો હોય, તોય હવા અને પાણીનું ગંતવ્ય તો આ એક જ અને અફર જ રહેવાનું. પરપોટાની હયાતીની મિષે વાત આપણી હયાતીની માંડી છે એ બાબત સ્વયંસ્પષ્ટ છે. મૃત્યુ આવશે એ ઘડીએ હયાતી વિશેનો આપણા ભ્રમનો પરપોટો પરપોટાની જેમ જ ભાંગી જનાર છે, અને પંચભૂતમાંથી બનેલો દેહ પંચભૂતમાં જ પુનઃ ભળી જનાર છે એ જ વાત અહીં કરવામાં આવી છે. પણ પસંદગીનો કળશ આ શેર ઉપર ઢોળ્યો હોવાનું કારણ બીજી પંક્તિમાં પ્રયોજાયેલ બેવડો શ્લેષ અલંકાર છે. જ્યારે બુદબુદાનો પોતાની હયાતી વિશેનો ભ્રમ ભાંગી જશે ત્યારે હવા હવા થઈ જશે અને પાણી પાણી થઈ જશે એ વાતમાં છૂપાયેલ શ્લેષ ઉઘાડીશું તો એક નવો જ સંદર્ભ હાથ આવશે. પ્રથમદર્શી અર્થોપરાંત અહીં બે જાણીતા રૂઢિપ્રયોગો પણ વપરાયા છે. હવા હવા થઈ જવું એટલે અદૃશ્ય થઈ જવું, ગાયબ થઈ જવું. પરપોટો હોય કે આપણી હયાતી, બંને નાશ પામે છે ત્યારે કશું હાથ આવતું નથી. પાણી પાણી થઈ જવું યાને શરમના માર્યા ભીના થઈ જવું. જીવનભર હોવાપણાંનો ખોંખારો ખાતા, પોતાને સૃષ્ટિની ધરી ગણીને જીવનાર માનવીને અંતિમ ઘડીએ સમજાય છે કે પોતાનું અસ્તિત્ત્વ સૃષ્ટિમાં ટપકાં બરાબર પણ નહોતું. જીવનભર જીવનનો પાળ્યે રાખેલ ભ્રમ જે ઘડીએ ભાંગે છે, એ ઘડીએ પાણી પાણી થઈ ન જવાય તો જ નવાઈ.

આ શ્વાસની ચોમેર વીંટળાયો છે ભ્રમ,
છેવટની પળથી પહેલાં શું ભાંગી શકાય?

Comments (1)

સવા શેર : ૧૦ : વાણીનું સમ્યક ઋણ – સંજુ વાળા

વાણીનું સમ્યક ઋણ ના ફેડી શકે, એ થાય હર જન્મે કવિ!
તો હે કવિતા! લાવ આ જન્મે જ સઘળું ચૂકવી દઉં માગણું!
– સંજુ વાળા

કવિતાનું અગત્યનું લક્ષણ છે Paradox. કવિ નિશાન કંઈક સાધતા હોવાનું દેખાય અને નિશાન કંઈ બીજું જ સધાતું હોય એ વિરોધાભાસ કવિતાને ખૂબ માફક આવે છે. વળી, આ કવિની તો આ ખાસિયત છે. સંજુ વાળાની કલમેથી કંઈક સીધુંસટ કે શીરાની જેમ ગળે ઉતરી જાય એવું પ્રાપ્ત ભાગ્યે જ થશે. આ કવિ કવિતાના મર્મને પામી જઈ, કંઈક અલગ અને સાવ મૌલિક કામ કરવાના પથના પ્રવાસી છે. એમની કવિતા પૂરતી ભાવકસજ્જતા માંગી લેતી કવિતા છે. ક્યારેક એમની કવિતા ભાષા અને અર્થની સીમાપાર વિહરતી પણ લાગે, પણ સરવાળે પુરુષાર્થ કર્યા પછી કશું પ્રાપ્ત ન થાય એવો અનુભવ પણ ભાગ્યે જ કરાવે છે.

સૃષ્ટિના તમામ જીવોમાં કેવળ મનુષ્યને જ વાણીનો આશીર્વાદ મળ્યો છે. વાણીનું ઋણ પૂરેપૂરું ન ફેડી શકે એ માણસ જન્મજનમ કવિ થાય છે એવી અંગત માન્યતા ધરાવતા કવિ આ જન્મમાં જ પોતાનું સમગ્ર કવિતાના ચરણમાં સમર્પી દઈ, પોતાની કારયિત્રી પ્રતિભાનો અંશેઅંશ નિચોવી દઈ, સઘળું માગણું ચૂકવી દઈ ભવાટવિના ફેરામાંથી આઝાદ થવાની, મોક્ષપ્રાપ્તિની અભ્યર્થના કરે છે. હવે પ્રશ્ન થશે કે બંને પંક્તિ સીધી હરોળમાં ચાલે છે, તો ઉપર ઇંગિત કર્યો એ વિરોધાભાસ ક્યાં છે? ખમો થોડી વાર, ભઈલા!

એક તરફ કવિ કહે છે કે ભાષાનું સંપૂર્ણ કરજ ચૂકવવામાં નિષ્ફળ થવાની સજા જન્મોજનમ કવિ થવું એ છે, પણ વાસ્તવિક્તા એ છે કે સૂંઠના ગાંગડે કવિ થવાતું નથી. જે માણસ સમાજ પાસેથી શીખેલ ભાષાનો નિચોડ સમગ્રતયા કાઢી શકવાને સમર્થ હોય એ જ તો કવિ બની શકે છે. કવિનો શબ્દ અને લોકવ્યવહારના શબ્દ વચ્ચે આમ જુઓ તો કોઈ તફાવત જ નથી. કવિની ભાષા લોકભાષામાંથી જ જન્મી છે અને અલગ પણ નથી. પણ કવિનો શબ્દ જવાબદારીનો શબ્દ છે. કવિ ભાષાનો પ્રથમ અને સર્વોત્તમ પ્રહરી છે. કવિ કવિતામાં શબ્દ વાપરે છે ત્યારે એમાં એની જિંદગીભરની સમજ અને વિચારને પૂરી સૂઝબૂઝ સાથે વાપરે છે. પરિણામે કવિનો શબ્દ વ્યવહારમાંથી જ આવ્યો હોવા છતાં વ્યવહારથી ઉફરો અને ઊંચો તરી આવે છે. ભાષાનો સો ટકા અર્ક કાઢી શકનાર જ કવિ બને છે એની સામે એ અર્ક અપૂરતો કાઢી શકનારને જ કવિ બનવાની સજા મળતી હોવાની વાત કેવો માર્મિક અને છૂપો વિરોધાભાસ જન્માવે છે.

બીજી પંક્તિમાં કવિતાને સંબોધીને કવિ જનમજનમના કવિફેરામાંથી બચવા માંગતા હોય એમ આ જ જનમમાં સઘળું લેણું અદા કરી દેવાની વાત કરે છે ત્યારે પ્રથમદર્શી ખ્યાલ એ આવે કે કવિ કવિ બનવામાંથી છૂટકારો ઇચ્છે છે. પણ હકીકત એ છે કે કવિ હોવું એ પરમ સૌભાગ્યની વાત છે એનાથી કવિ સુપેરે વાકિફ છે. અને અપ્રગટ વિરોધાભાસ જન્માવીને કવિ એ જ વાતને અધોરેખિત કરે છે કે કવિ બનવાની એકમાત્ર શરત છે ભાષાના ચરણે અને શરણે સંપૂર્ણ સમર્પણ. કશું અડધું-અધૂરું કવિતામાં ચાલી શકે જ નહીં. સમાજ તરફથી આપણને જે ભાષા અને વાણી મળ્યાં છે, એનું દેવું પૂરેપૂરું ચૂકવવું એ દરેકેદરેક કવિની પરમ ફરજ છે.

સમ્યક શબ્દની અર્થચ્છાયા પર પણ એક બીજો લેખ લખી શકાય. પણ એ ફરી ક્યારેક.

Comments (1)

સવા શેર : ૦૯ : પરદો – બરકત વિરાણી ‘બેફામ’

તમે ચહેરા ઉપર પરદો ધર્યો છે,
ને પરદા પર હું ચહેરો ચીતરું છું.
– બરકત વિરાણી ‘બેફામ’

સૌંદર્યાનુરાગિતા કવિતાના પ્રમુખ લક્ષણોમાંનું એક છે. પ્રિયજન, પ્રકૃતિ અને પરમેશ્વરના સૌંદર્યનું ગાન વિશ્વભરની કવિતાને શરૂથી જ ખૂબ માફક આવ્યું છે. જો કે સૌંદર્યની કવિતામાં પણ કવિતાનું સૌંદર્ય તો હોવું જ ઘટે. એ વિના તો રચના સૌંદર્યવર્ણન કરતો નિબંધ બનીને જ રહી જાય. બેફામ આમ તો પરંપરાના શાયર પણ કવિતાને પરંપરા કે આધુનિકતા સાથે કોઈ લેવાદેવા નહીં. આ વાડા તો ઈશ્વર-અલ્લાહ-ગોડની જેમ આપણે આપણી અનુકૂળતા માટે સર્જ્યા છે. બેફામનો આ શેર આધુનિકને પણ જૂનો કહેવડાવે એટલો આધુનિક છે.

બેફામના સમયગાળામાં પરદાપ્રથા હિંદુ સ્ત્રીઓમાંથી હજી ગઈ નહોતી, અને મુસ્લિમ સ્ત્રીઓમાં તો સવાલ જ ઊઠતો નહોતો. અજાણ્યા શખ્સ સામે બુરખો લગભગ ફરજીયાત હતો. નાયકની ઉપસ્થિતિમાં નાયિકાએ પોતાના ચહેરા ઉપર પરદો ધરી દીધો છે. શિસ્ત ગુજરાતીમાં આમ તો ‘પરદો કરવો’ પ્રયોગ ‘પરદો ધરવો’ કરતાં વધુ યોગ્ય ગણાય પણ મુસલમાન કોમનું ગુજરાતી આજે પણ પ્રશિસ્ત ગુજરાતી ધારા સાથે દૂધમાં સાકરની જેમ ભળી શક્યું નથી એટલે કવિએ પ્રયોજેલ ક્રિયાપદને નિર્વાહ્ય ગણીએ. આમેય, કવિતા નિજાનંદ માટેની કળા છે, ગણિતનો પ્રમેય નથી, જેને તબક્કાવાર અને તર્કબદ્ધ રીતે જ ઉકેલવો પડે.

સનમે ચહેરા ઉપર પરદો ધરી દઈને પોતાનું સૌંદર્ય છૂપાવી દીધું છે. પણ નાયકને તો એ સૌંદર્યની જ આરત છે ને! પ્રીતિને આવરણો સાથે સંબંધ કાંઈએ નથી. આવરણ ન હોય તો તો સૌંદર્યના પ્રેમમાં કોઈ પણ પડી શકે. સાચો પ્રેમી તો એ જ જેને દુનિયાભરના આવરણ નડી ન શકે. નાયિકાએ પરદો કરીને ચહેરો ઢાંકી દીધો તો નાયક પરદા ઉપર જ એનો ચહેરો ચીતરી રહ્યો છે. મતલબ, ચર્મચક્ષુ માટે જે સૌંદર્ય પરદાપાછળ ગોપિત છે, એને નાયક મનઃચક્ષુ વડે નિરખી રહ્યો છે, ચાક્ષુષ કરી રહ્યો છે. વાત સામાન્ય છે, પણ કલ્પનાની શક્તિ અને નજાકત –બંનેનું સૌંદર્ય શેરને સવાશેર બનાવે છે. નાયકે પ્રેમ કર્યો છે, પણ પરદો હટાવી લેવાની કે હટાવવાની વિનંતી કે આગ્રહ કરવા જેટલીય ગુસ્તાખી એ કરવા નથી ઇચ્છતો. એ નાયિકની પરદાદારીનું સંપૂર્ણ માન જાળવે છે. અને સાથોસાથ નાયિકાના મુખદર્શનની પોતાની તલબને અંજામ પણ આપે છે.

સૌંદર્યાનુરાગિતાની વાતને કવિએ જે સૌંદર્યથી રજૂ કરી છે એની જ ખરી મજા છે. કેટલાક શેર એવા હોય છે જેની પાસે બે ઘડી થોભવા જેટલી ધીરજ ધરો તો એ પરદો ઊઘાડીને મુખદર્શન અને સુખદર્શન બને આપશે. આ શેર એવો જ એક શેર છે. આવો. થોભો. અને શેર આપોઆપ ઉઘડે એટલી રાહ જુઓ.

Comments (1)

મળવું’તું…. – અનિલ ચાવડા

તમને ખાલી મળવું’તું, ભીતરથી ઝળહળવું’તું;
નસમાં વહેતા શાંત લોહીને ઝરણા જેમ ઉછળવું’તું.

ના ના એવું ખાસ નથી,
પણ છાતી અંદર શ્વાસ નથી;
હમણા હમણાથી આંખોમાં
ટકતું બહુ આકાશ નથી.
આંખો અંદર આભ ભરીને મારે તો વાદળવું’તું.
તમને ખાલી મળવું’તું, ભીતરથી ઝળહળવું’તું.

રુવાંટીઓ ક્યે,”એ ફૂંકે ને
તો જ અમે ફરફરીએ;
એમનેમ મળવાની વાતો
અમે ય થોડા કરીએ?
પાણી અંદર ઢેફું પીગળે એ રીતે પીગળવું’તું.
તમને ખાલી મળવું’તું, ભીતરથી ઝળહળવું’તું.

ઘણી વાર આવ્યો છું મળવા
છેક તમારા ઘર લગ,
મને પૂછ્યા વિણ મને લઈને
ચાલી નીકળે છે પગ,
તમારી જ શેરીમાં પગને પણ જાણે કે વળવું ‘તું,
તમને ખાલી મળવું’તું, ભીતરથી ઝળહળવું’તું.

– અનિલ ચાવડા

આ રચના અનિલભાઇની જ હોઈ શકે…😀 લાક્ષણિક શૈલી…..રમતિયાળ ભાષામાં ગહેરી વાત – ” હમણા હમણાથી આંખોમાં…..ટકતું બહુ આકાશ નથી…..” – વાહ….

Comments (1)

છોકરી – ગ્રેસ – અનુ.- જગદીશ જોષી

આયુષ્ય નકારવાનો અને સ્વીકારવાનો
આ પ્રશ્ન નથી.
રેતીમાંના પાણી માટે તો નાનકડાં ઘર હોય છે.
તે બંધાવાં જોઈએ; પૂરી સમજદારીથી ફરી વાર
તેની રેતી એકઠી કરીને
રાખવી.
હું કેરળમાં હતો ત્યારે એક છોકરી મળી ગઈ.
એ વેળા જૂના ચર્ચનું દુરસ્તીનું કામ
ચાલુ હતું. ઇટાલિયન સંગેમરમ૨ના એક
ટુકડા પાસે તે ઊભી હતી.
ફૂલ તોડો; ઋતુના આવિર્ભાવોમાં ઘણા
સૂક્ષ્મ પલટાની નોંધ લો.
બસ, એટલું જ.
એક દિવસ કોઈ પણ પૂર્વ-એંધાણી આપ્યા વગર
તે મરી ગઈ.
સીધુંસાદું છે આટલું જ!

– ગ્રેસ – અનુ.-જગદીશ જોષી

એક પ્રચલિત ફિલોસોફિકલ થિયરી છે – LIFE IS RANDOM. અર્થાત્ – ન તો જીવનનો કોઈ અર્થ છે ન તો કોઇ હેતુ. જે થાય છે તેનું કોઈ કારણ નથી. આ થિયરી એટલી નિષ્ઠુર છે કે લોકો એને માનવાથી ડરે છે….અને ધર્મ તો તેને લગીરે સ્વીકારવા રાજી ન જ હોય – સ્વાભાવિક છે. બસ, આ કાવ્યને આ થિયરી સંદર્ભે માણો…

Comments (1)

પગલાંની માળા – કવિ દાદ

વીણી વીણીને ભેગાં કરિયાં, સપનાં બધાં સુવાળાં;
.                                નજર ગૂંથે પગલાંની માળા.

બે ચાંચડિયે એક જ તરણું, લઈ ઊડતાં લટકાળાં;
મનડાં અમે એમ ગૂંથ્યાં’તાં જેમ સુઘરીના માળા-
.                                નજર ગૂંથે પગલાંની માળા.

ઈ વાટડીએ વન ઊગ્યાં, જ્યાં હાલ્યાં’તાં પગપાળાં;
વિ’ખાંઈ ગયા છે આજ વિસામા, ગોંદરા નદિયું, ગાળા–
.                                નજર ગૂંથે પગલાંની માળા.

બાંધ્યાં અંગ દિશા ના સૂઝે, કયાં કરવા ઊતારા;
આસારો દઈ ઊડાડી મૂકયાં, વલખે પાંખુવાળાં–
.                                નજર ગૂંથે પગલાંની માળા.

આવનજાવન રહી ન કોઈ, ઊંઘી ગયાં અજવાળાં;
બંધ કરી ઘર બેસી ગયાં છે, સૂનાં ઘરને તાળાં–
.                                નજર ગૂંથે પગલાંની માળા.

મરી ગયાં ‘દાદલ’ મધલાળે, ઊગરવા નહીં આરા;
તાણે તાણે તૂણાઈ ગયાં, જેમ કરોળિયે જાળાં-
.                                નજર ગૂંથે પગલાંની માળા.

– કવિ દાદ

મધુરા સહજીવનની આશાએ એકબંધને બંધાતા યુગલોમાં ઘણાંયને અધવચ્ચે અલગ થવાનો જોગ આવતો હોય છે. કવિ દાદ પાસેથી એક અદભુત રચના આ સંદર્ભે આપણને મળે છે. બે જણ જીવતરના સુંવાળાં સપનાંનાં તણખલાં વીણી-વીણીને સપ્તપદીના પગલાંની માળા ગૂંથે છે એ વાતથી ગીતારંભ થાય છે. શરૂમાં તો સહવાસ એટલો પ્યારો લાગતો હોય છે જાણે બે પંખી સાથે મળીને એક જ તરણું ઊપાડી ઊડે છે. સુઘરી જે કુશળતાથી માળો ગૂંથે છે એ જ કૌશલ્યથી બંને જણ એકમેકના મન એકમેક સાથે ગૂંથે છે. માળા તો બધા પંખીના હોય પણ કળાકૌશલ્યની એરણ પર સુઘરી કદાચ અવ્વલ ક્રમે આવે. કવિતામાં યોજાતાં પ્રતીક કવિતાને ઉપકારક હોય તો જ કવિતા સારીમાંથી ઉત્તમ તરફ ગતિ કરી શકે.

પણ આજે હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. જે રસ્તે બે જણ સંગાથે પગપાળાં ચાલ્યાં હતાં ત્યાં આજે જંગલ-ઝાડી-ઝાંખરાં ઊગી આવ્યાં છે. મતલબ એ માર્ગ હવે અવાવરૂ બની ગયો છે. રસ્તામાં જ્યાં સાથે બેસી બે જણ વિસામો કરતાં હતાં એ નદી-ભાગોળ બધું આજે વીંખાઈ ગયું છે.

પિંજરમાં લાંબો સમય કેદ પંખીને અચાનક આકાશમાં છૂટાં મૂકી દેવામાં આવે તો વરસોથી જકડાઈ ગયેલ પાંખોને લઈને શું કરવું-શું ન કરવુંની સમજ ન પડે એ જ રીતે પ્રેમપિંજરની કેદમાં પોતપોતાના અસ્તિત્ત્વને સંકોરીને જીવવા ટેવાયેલ પ્રેમીજન અચાનક અલગ અને સ્વતંત્ર થઈ જવાની પરિસ્થિતિને અનુકૂળ થવામાં તકલીફ અનુભવે છે. જીવતર સૂનાં પડ્યાં છે. ફરી અજવાળાં થાય એવી આશા ક્યાંય દેખાતી નથી. બંધ ઘરને તાળાં લાગી ગયાં હોય એમ અંધારું જીવન બંધિયાર થઈ ગયું છે. કરોળિયાની જાળમાં જંતુ જે રીતે ફસાઈને મરી જાય એ રીતે બંને જણ પોતે જ ગૂંથેલા જાળાંની લાળમાં સપડાઈને જીવતેજીવ મૃત્યુનો અનુભવ કરી રહ્યાં છે.

કેવું અદભુત ગીત!

Comments (3)

અવસર મૂકું – ચિનુ મેાદી, સરૂપ ધ્રુવ

લાવ, તારો હાથ, એમાં આપણો અવસર મૂકું,
માછલી જળમાંથી કાઢું ને પછી તટ પર મૂકું.

સાપની સામે નિસરણી, તે પછીની ચડઊતર;
ઓસ ફાડીને સૂરજ મૂકું –અને ક્ષણભર મૂકું.

સાવ મારું છે, છતાં સાવ પરબારૂં જ છે,
આંસુ તાજું છે, છતાં હું હોડમાં સરવર મૂકું.

આંખ ભીની થાય ત્યાં તું વ્હાલ રેતીમાં મૂકે,
હું વરસતા મેઘ વચ્ચે ભેાંયને પડતર મૂકું.

સ્હેજ પોરો ખાઈ લઈને હાથના વેઢા ગણું,
હાથમાં ચપટીક ચોખા છે અને ઘરઘર મૂકું.

– ચિનુ મેાદી, સરૂપ ધ્રુવ

સાવ અલગ મિજાજના અને સાવ અલગ ઓળખ ધરાવતા બે બંડખોર સર્જક ભેગા થઈને એક સહિયારી કાવ્યકૃતિ આપે ત્યારે ક્યારેક એવું બને કે સર્જન તો થાય પણ કવિતા મરી પરવારે… પણ દાળ અને ભાત ભેગાં થઈને અનુપમ સંતુષ્ટિ આપે એ રીતે ક્યારેક અનનુભૂત આહ્લાદનું નિમિત્ત બની શકે એવી મજાની કવિતા પણ ભાષાને ભેટ મળી શકે… ખરું ને?

ચિનુ મોદી અને સરૂપ ધ્રુવ. બંને બળવાખોર કવિ તો ખરા જ, સાથે તદ્દન અલગ છેડાના કવિ પણ ખરા. ચિનુ મોદીનો બળવો પરંપરા સામે તો સરૂપ ધ્રુવનો બળવો સમાજ અને રાજકારણ સામે. ઉત્તર અને દક્ષિણ ધ્રુવ જેવા આ બે કવિઓનું આ એક સહિયારું સર્જન છે. પ્રસ્તુત ગઝલના દરેક શેરમાં એક પંક્તિ ચિનુ મોદીની છે અને એક સરૂપ ધ્રુવની. કઈ પંક્તિ કોણે લખી એની પળોજણમાં ન પડતાં રચનાને જ માણીએ.

Comments (6)

(પુષ્પ સુધીની સફર) – દર્શક આચાર્ય

એક સપનાની રહી કેવી અસર,
છેક થઈ ગઈ પુષ્પ સુધીની સફર.

હું તને ક્યાંથી મળું એકાંતમાં,
આપણી વચ્ચે વસે આખું નગર.

જીવવાનો અર્થ આવો થાય છે –
પાર કરવાનો સમુંદર મન વગર.

ચિત્ર નક્કી એમણે દોર્યું હશે,
જિંદગી છે એટલે રંગોસભર.

પુષ્પ માફક આ અહીં ખીલ્યા અમે,
મ્હેંક જેવું કોણ પામે શી ખબર !

– દર્શક આચાર્ય

મહેંકવું પુષ્પનું કામ છે. મહેંક પછી કોના અસ્તિત્ત્વને તરબતર કરે છે અને કોના નહીં, એની પંચાતમાં એ પડતું નથી. આપણે ખીલીએ કે ખૂલીએ તો છીએ પણ આપણો પ્રભાવ ક્યાં સુધી અનેકોના-કોન ઉપર પડે છે એ તરફ આપણું ધ્યાન પ્રતિપળ ચોંટેલું રહે છે. આપણા પુષ્પિત થવાથી કોને કેવો અને કેટલો લાભાલાભ થયો એની પંચાતમાં પડ્યા વિના નિસ્પૃહતાથી ખીલતાં શીખીશું ત્યારે મનુષ્ય હોવું સાર્થક થશે.

Comments (10)