રણ તો કહેશે : કેટલાં હરણાં ઢળી પડ્યાં !
સપનાં ડૂબ્યાં છે કેટલાં તે ઝાંઝવાને પૂછ
મનોજ ખંડેરિયા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for October, 2022

(અનાડી છે) – હરીશ ઠક્કર

નચાવે જેમ કિસ્મત એમ નાચે તે અનાડી છે,
અમે તો ભાગ્યની રેખા હથેળીમાં રમાડી છે.

મુલાયમ જીભ છે ને ચામડી થોડીક જાડી છે,
મને આ હોંશિયારી જિંદગીએ શીખવાડી છે.

મજા પહેલા મિલનની આપણે કેવી બગાડી છે!
અમે મૂછોને દીધા તાવ, તેં લટને રમાડી છે.

તમારાથી વધારે વહાલી થઈ જાવા એ કરતી’તી,
તમારી ચિઠ્ઠી મેં ચૂમી ભરી, હમણાં જ ફાડી છે.

શરૂઆત આપનાથી થઈ, બસ એનું દુ:ખ રહ્યું અમને,
પછી હરએક વાતે હરકોઈએ ‘ના’ જ પાડી છે.

– હરીશ ઠક્કર

‘તક’લીફ અને ‘તક’દીર –બંનેમાં ‘તક’ શોધી બતાવતા કવિ કિસ્મતના હાથની કઠપૂતળી બનવા તૈયાર ન જ હોય એ સમજી શકાય એમ છે. કવિ તો ભાગ્યરેખાઓને મનમરજી મુજબ રમાડવામાં નિપુણ છે. ભાગ્યની રેખા પ્રમાણે ચાલનારા છે ઘણા, ચાલ તારાઓ ની બદલે એજ શક્તિમાન છે (શેખાદમ ગ્રેટાદમ) જિંદગીના ટાંકણાથી ભલભલાના ઘાટ બદલાઈ જાય છે. જિંદગીની પાઠશાળામાં ભણી લેનારની સંવેદનશીલતા ઓછી થઈ જાય છે અને ચાપલૂસી કરી પોતાનું કામ કઢાવી લેવાની વૃત્તિ સહજ થતી જાય છે એ વાતને કવિએ ગઝલના બીજા મત્લામાં જે સહજ વેધકતાથી રજૂ કરી છે, એ ઉમદા કવિકર્મની સાહેદી પૂરાવે છે. ડૉ. હરીશ ઠક્કરની ગઝલનું સૌથી મોટું સુખ એ કે એમની મોટાભાગની ગઝલો સાદ્યંત આસ્વાદ્ય હોય છે. પ્રસ્તુત રચના એનો જ એક પૂરાવો છે.

Comments (7)

દિવસો જ્યારે વસમા આવે – બાબુલાલ ચાવડા ‘આતુર’

દિવસો જ્યારે વસમા આવે,
હસવા જઈએ, ડૂસકાં આવે.

તૃષ્ણા સૌની નોખી-નોખી,
આંખે પાણી સરખાં આવે.

સુખ આવે તો એકલદોકલ,
દુ:ખનાં ધાડેધાડાં આવે.

દિવસે જેને ભૂલવા મથીએ,
રાતે એનાં સપનાં આવે.

અર્જુન ડગલું એક ભરે ત્યાં,
દસે દિશાથી કાબા આવે.

એરંડાના ઉજ્જડ ગામે,
શોભા માટે કૂંડા આવે.

જાણ્યું નહોતું આ માળામાં,
લખચોર્યાસી મણકા આવે.

લોકો કહેતા, ‘લખતા રહેજો,
અક્ષર એથી સારા આવે.’

– બાબુલાલ ચાવડા ‘આતુર’

સરળ ભાષામાં સહજ-સાધ્ય રચના…

Comments (6)

ઘટઘટમાં – સુરેશ દલાલ 

હ્રદય વલોવાઈ જાય એટલો પ્રેમ હોવો એ ઘટના.
સૂરજ માટે સૂરજમુખીના ઘટઘટમાં છે રટના.

મીરાં ના ઘૂંઘટની પાછળ ગિરિધરનો છે ચહેરો,
નર્યા વ્હાલના વૃંદાવનને અંસુવન જલે ઉછેરો.
ભલો અમારો રઝળપાટ, રે રાજપાટ કપટના,
સૂરજ માટે સૂરજમુખીના ઘટઘટમાં છે રટના.

વણદેખ્યા આ વાંસળીઓના સૂરની સાથે વાતો,
દેખીતી દુનિયાદારીથી જીવ મારો વ્હેરાતો.
અમે સદાના શરણાગતિયા મોરપીંછના મુગટના,
સૂરજ માટે સૂરજમુખીના ઘટઘટમાં છે રટના.

– સુરેશ દલાલ

Comments (1)

(બસ ગમે છે એટલે શંકર મને) – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

જંપવા દેતુ નથી પળભર મને,
કોણ કોરી ખાય છે અંદર મને.

કોણ જાણે કેમ પણ જઉં છું નડી,
હું થવા દેતો નથી પગભર મને.

નામ બીજા પણ ઘણા છે દોસ્તો,
એકલા વાગ્યા નથી પથ્થર મને.

ઝેર ભોળા થાવ તો પીવું પડે,
બસ ગમે છે એટલે શંકર મને.

વસવસો, કે જોઈ ટોળામાં પછી,
તેં ગણી લીધો હશે કાયર મને.

પ્રશ્ન તો મિસ્કીન કેવળ એક છે,
પણ જડ્યા છે કેટલા ઉત્તર મને?

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

Comments (1)

ભેટ – લિ-યંગ લી (અનુ.: વિવેક મનહર ટેલર)

મારી હથેળીમાંથી ધાતુની કરચ ખેંચી કાઢવા માટે
મારા પપ્પાએ ધીમા અવાજમાં એક વાર્તા કહી હતી.
હું બ્લેડ નહીં, એમનો પ્યારો ચહેરો જ જોતો રહી ગયો હતો,.
વાર્તા પૂરી થતાં પહેલાં તો લોઢાની ચીપ, જેનાથી હું
મરી જઈશ એમ મને લાગતું હતું, એ એમણે કાઢી પણ નાંખી હતી.

મને એ વાર્તા તો યાદ નથી,
પણ એમનો અવાજ હજી પણ સંભળાઈ રહ્યો છે, એક કૂવો
ઊંડા પાણીનો, એક પ્રાર્થના.
અને મને એમના હાથ યાદ આવે છે,
મારા ચહેરા ઉપર મૂકાયેલ
સહૃદયતાના બે માપ,
મારા મસ્તક ઉપર એમણે પ્રજ્વલિત કરેલ
અનુશાસનની જ્વાળાઓ.

જો તમે તે બપોરે આવી ચડ્યા હોત
તો તમને લાગ્યું હોત કે તમે એક માણસને
એક છોકરાની હથેળીમાં કંઈક રોપતો જોયો છે,
એક રૂપેરી ચીરો, એક નાનકડી જ્વાળા.
જો તમે એ છોકરાને અનુસર્યા હોત
તો તમે અહીં પહોંચ્યા હોત,
જ્યાં હું મારી પત્નીના જમણા હાથ ઉપર ઝૂકેલ છું.

જુઓ તો, મેં કેટલી કાળજીપૂર્વક એના અંગૂઠાના નખને
ખોતરી કાઢ્યો છે કે એને દુઃખ્યું સુદ્ધાં નહીં.
ને જુઓ, હું કઈ રીતે ફાંસ કાઢી રહ્યો છું તે.
હું સાત વરસનો હતો જ્યારે મારા પિતાજીએ
આ જ રીતે મારો હાથ ઝાલ્યો હતો,
અને એ ટુકડો આંગળીઓમાં પકડીને
મેં કંઈ એમ વિચાર્યું નહોતું કે,
આ ધાતુ મારો જીવ લઈ લેત,
ન તો મેં મારા હૃદયમાં ઊંડે ઉતરનાર એ ધાતુના
નાનકડો હત્યારો કહીને નામસંસ્કાર કર્યા હતા.
વળી, હું મારા ઘા બતાવીને રડ્યોય નહોતો કે,
યમરાજની સવારી અહીં આવી હતી!
મેં તો બસ એ જ કર્યું હતું જે એક બાળક કરે
જ્યારે એને કંઈક સાચવવા માટે અપાયું હોય.
મેં મારા પપ્પાને ચૂમી લીધા હતા.

– લિ-યંગ લી
(અનુ.: વિવેક મનહર ટેલર)

માતાપિતા ઉત્તર તરફ જવાનું કહે અને સંતાન દક્ષિણાયન કરતાં હોય એ દૃશ્ય આપનામાંથી કોઈથી અજાણ્યું નથી. હકીકત એ છે કે માતાપિતા તરફથી સંતાનોને વાણી-વિચાર-વર્તનની જે કંઈ ભેટ સતત મળતી રહે છે, એ જ આગળ જતાં બાળકના વ્યક્તિત્વઘડતરની ઈંટો બની રહે છે. સાચું સંસ્કારસિંચન માબાપના ઉપદેશોથી નહીં, પણ વર્તનથી જ થતું હોય છે. આખરે તો, કૂવામાં હોય એ જ હવાડામાં આવે ને… ઇન્ડોનેશિયન ચાઇનીઝ કવિ લિ-યંગ લીની આ કવિતાનો વિશદ રસાસ્વાદ આપ અહીં માણી શકશો

The Gift

To pull the metal splinter from my palm
my father recited a story in a low voice.
I watched his lovely face and not the blade.
Before the story ended, he’d removed
the iron sliver I thought I’d die from.

I can’t remember the tale,
but hear his voice still, a well
of dark water, a prayer.
And I recall his hands,
two measures of tenderness
he laid against my face,
the flames of discipline
he raised above my head.

Had you entered that afternoon
you would have thought you saw a man
planting something in a boy’s palm,
a silver tear, a tiny flame.
Had you followed that boy
you would have arrived here,
where I bend over my wife’s right hand.

Look how I shave her thumbnail down
so carefully she feels no pain.
Watch as I lift the splinter out.
I was seven when my father
took my hand like this,
and I did not hold that shard
between my fingers and think,
Metal that will bury me,
christen it Little Assassin,
Ore Going Deep for My Heart.
And I did not lift up my wound and cry,
Death visited here!
I did what a child does
when he’s given something to keep.
I kissed my father.

– Li-Young Lee

Comments (4)

(સધ્ધર બની ગયું છે) – ગુણવંત ઠક્કર ‘ધીરજ’

ઠોકર ખમીખમીને નક્કર બની ગયું છે,
હોવાપણુ હવે તો પગભર બની ગયું છે.

દસ વીસ સારી માઠી યાદો બચી ગઈ છે,
બાકી બધું પડીને પાદર બની ગયું છે.

મોભાને લઈને એવો ગંભીર થઈ ગયો કે,
મસ્તી-મજાક, હસવું દુષ્કર બની ગયું છે.

તારી બરાબરીનું દેખાય ના તને કોઈ,
તારી નજરમાં તારું એ સ્તર બની ગયું છે.

સુખમાં જીવી જવાની ચાવી મળી ગઈ પણ,
કોઈ રમકડાં જેવુ જીવતર બની ગયું છે.

કપરા સમયમાં મારી ખૂટવા ન દે એ હિંમત,
‘ધીરજ’નુ ખાતું એવું સધ્ધર બની ગયું છે.

– ગુણવંત ઠક્કર ‘ધીરજ’

લયસ્તરો પર કવિમિત્ર ગુણવંત ઠક્કરના પ્રથમ ગઝલ સંગ્રહ ‘એની તૈયારી નથી’નું સહૃદય સ્વાગત…

સરળ બાનીમાં સહજ, સંતર્પક પણ અર્થગહન રચના…

Comments (3)

સમણાંનું ગીત – પ્રીતમ લખલાણી

આવું છું હું હમણાં…
એમ કહેતાં દૂર દૂર ક્યાં સરી ૨હ્યાં છે સમણાં?

બંધ હોઠમાં ઝૂરે છે બસ અહીંયા એક સવાલ,
આંખ્યું કોરી તોય હાથમાં ભીનો કેમ રૂમાલ?
ખુલ્લા દ્વારે કોઈ ગયાની મનમાં રહી ગઈ ભ્રમણા,
એમ કહેતાં દૂર દૂર ક્યાં સરી ૨હ્યાં છે સમણાં?

સાંજ ઢળ્યે દીવાની સગમાં રાત કરે કલશોર!
રહી રહીને રુદિયે ત્રોફ્યા ટહુકે છે કંઈ મો૨!
ઢળી ઢોલિયે પાંપણ ખૂલતાં લવકારા હો બમણાં,
એમ કહેતાં દૂર દૂર ક્યાં સરી ૨હ્યાં છે સમણાં?
આવું છું હું હમણાં…

– પ્રીતમ લખલાણી

મનનો માણીગર પાસે ન હોય ત્યારે પ્રોષિતભર્તૃકાનો એકમાત્ર સધિયારો એની યાદ અથવા એનાં સપનાં જ બની રહે છે. પણ વિરહસંતપ્ત આંખોમાં ઊંઘ આવે તો શમણાં આવે ને! હમણાં આવું છું કહીને દૂર દૂર સરી રહેલાં શમણાંના પ્રતીકની મદદથી કવિએ જે રીતે અનિદ્રાની વાત કરી છે એ કવિકર્મ સાચે જ ધ્યાનાર્હ છે. રૂમાલ ભીનો પણ આંખ કોરીવાળું કલ્પન પણ સહસા ધ્યાન ખેંચે છે. રૂમાલ ભીનો છે, મતલબ આંસુ તો આંખમાં નિરંતર આવી જ રહ્યાં છે. પણ તે છતાં કવિ આંખો કોરી હોવાની વાત કરે છે એનો સંદર્ભ પ્રિયજન અને/અથવા એના સ્વપ્નો આંખમાં આવતાં ન હોવા સાથે જોડાયેલ અનુભવાય છે.

Comments (6)

શેર – शारिक़ कैफ़ी

झूठ पर उस के भरोसा कर लिया
धूप इतनी थी कि साया कर लिया

– शारिक़ कैफ़ी

બહુ વરસો પહેલાં એલ્વીસ પ્રિસ્લીનું એક મશહૂર ગીત ચિત્રલેખામાં કોઈકે સમજાવેલું – બહુ ચોક્કસ યાદ નથી,થોડો વિગતદોષ હોઈ શકે – પણ અર્ક કંઈક આવો હતો –  “ Honey, you lied when you said you loved me And I had no cause to doubt you. But I’d rather go on hearing your lies, Than go on living without you…. “

સત્યએ પ્રખર તડકો છે – धूप इतनी थी कि साया कर लिया…. – સહન નથી કરવો સત્યનો તાપ, અથવા તો સહન થઈ શકે તેમ નથી એ તાપ… મારે મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું નથી. એટલે …….साया कर लिया…… – જાતને છેતરવું શરુ કરી દીધું. આત્મવંચનાથી વિશેષ સુખ કયું….?

 

શું સત્ય સાથે આંખ મિલાવવી એ જ સાચી રીત છે જીવવાની ? થોડી આત્મવંચનાથી એક નહીં,એકથી વધુ જીવન સુખી થતા હોય તો એમાં વાંધો શું ? જૂઠું બોલવું, અને અસત્ય સામે આંખ આડા કાન કરવા – શું આ બંને એક જ વસ્તુ છે ? જ્યારે ખબર છે કે સામી વ્યક્તિ જૂઠું બોલે જ છે – છતાં એ જાણકારી સાથે એના પર ભરોસો કરવો – એ મારી નબળાઈ નથી ?? આ સમજ હોવા છતાં હું એમ કરું તો એ સારું કે ખરાબ ? યોગ્ય કે અયોગ્ય ? નીતિપૂર્ણ કે અનીતિપૂર્ણ ?? આવી નબળાઈ પંપાળવી સારી કે નાબૂદ કરવી યોગ્ય ગણાય ??  – સવાલ પેચીદા છે, જવાબ સરળ નથી.

 

વળી મારા – धूप इतनी थी कि साया कर लिया – અભિગમની અન્યો ઉપર જે અસર પડે તેની જવાબદારી પણ મારી જ ને ? તે માટે મારી પાસે કોઈ જસ્ટીફિકેશન ખરું !!??

Comments (2)

વાયરે ઊડી વાત – જિતેન્દ્ર કા. વ્યાસ

વાયરે ઊડી વાત-
(કે) સાવ રે! રોયા સાન વનાના
સાવ રે! રોયા ભાન વનાના
.                 ભમરે પાડી ગાલ પે મારા ભાત!
.                                    વાયરે ઊડી વાત.

સીમકૂવેથી જળને ભરી આવતાં આજે જીવડો મારો આકળવિકળ થાય,
બેડલુંયે બળ્યું છલક-છલક! એને ય મારો ગાલ જોવાનું કૌતુક, વાંકું થાય!
સાવ કુંવારી કાય શી મારી ઓઢણી કોરીકટ ભીંજાઈ જાય.
ઘરમાં પેસું ‘કેમ શું બેટા, લપસ્યો તારો પાય કે?’ મને પૂછે ભોળી માત.
.                                                                     વાયરે ઊડી વાત.

સાહેલિયુંયે સાવ વંઠેલી, પૂછતી મને: “સાંભળ્યું અલી કાંઈ?
વગડા વચ્ચે, વાડની ઓથે
કાજળકાળો ભમરો રાતોચોળ થઈ ગ્યો એક ગુલાબી ફૂલને દેતાં સાંઈ!”
પનઘટેથી જલને ભરી આવતાં આજે જલની ઊંડી ઘૂમરીમાં ઘૂમરાઈ!
બેડલું મૂકી, આયના સામે ઊભતાં, પૂછે આયનો મને ‘…………………’
.                                           એય મૂઆને એની શી પંચાત?
.                                                           વાયરે ઊડી વાત.

– જિતેન્દ્ર કા. વ્યાસ

નાની અમથી વાત પણ વાયરાની જેમ બધે ફેલાઈ વળે એ ગામડાગામની સંસ્કૃતિનો અંતરંગ હિસ્સો છે. નાયિકાને એનો જ વલોપાત છે. પ્રેમમાં સાનભાન ભૂલી ગયેલ પ્રેમીએ એના ગાલ ચૂમી લીધાની નિશાની ગામ આખામાં ચર્ચાનો વિષય બની ગઈ છે.

સીમના કૂવેથી પાણી ભરી પરત ફરતાં નાયિકાનો જીવ આકળવિકળ થાય છે. વ્યગ્રતાને લઈને બેડું બરાબર ઝાલી શકાતું નથી એ વાતને કવિએ કેવી કમનીયતાથી રજૂ કરી છે તે જોવા જેવું છે. જાણે નાયિકાના ગાલ પર પડેલી ભાત જોવા વાંકું ન થતું હોય એમ બેડલું વાકું થતાં છલકછલક થઈ રહ્યું છે. સાફસાફ શબ્દોમાં નાયિકા સ્પષ્ટતા કરી કહે છે કે પોતે સાવ કુંવારી છે. પણ જેમ કાયા, તેમ ઓઢણી પણ પ્રેમજળની છાલકોથી સાથે ભીંજાઈ રહ્યા છે. ઘરમાં પૂછતાવેંત ભોળી માને પણ ચિંતા થાય છે, પણ માની નજર ગ્રામજનો જેવી નથી, એ સ્વાભાવિકપણે નિર્મળ નજર છે. જો કે પગ તો નથી લપસ્યોની પૃચ્છામાં કવિએ છૂપાવેલ શ્લેષ ભાવકની ચકોર નજરમાંથી છૂપાઈ શકતો નથી.

સહેલીઓ પણ કંઈ કમ નથી. એય ટોળટિખળ કરવાની તક જતી કરે એમ નથી. કહે છે, કે વગડામાં વાડની ઓથે કાજળકાળો ભમરો એક ફૂલને આલિંગન દેતાં રાતોચોળ થઈ ગયો એ જાણ્યું કે? પ્રેમમાં પડેલ વ્યક્તિને પોતે જ સમગ્ર સંસારનું કેન્દ્રબિંદુ હોવાનું પ્રતીત થતું હોય છે એ વાત આયનો પણ ઉલટતપાસમાં જોતરાતો હોવાની નાયિકાને થતી અનુભૂતિ પરથી સહજ સમજી શકાય છે. આયનો શું પૂછે છે એ વાત અધ્યાહાર રાખીને કવિ ગીતને વધુ આસ્વાદ્ય પણ બનાવી શક્યા છે.

Comments (10)

માડી તારું કંકુ ખર્યું ને- – અવિનાશ વ્યાસ

માડી! તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો,
જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો;
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.

મંદિર સરજાયું ને ઘંટારવ ગાજ્યો,
નભનો ચંદરવો માએ આંખ્યુંમાં આંજ્યો,
દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો;
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.

માવડીની કોટમાં તારાનાં મોતી,
જનનીની આંખ્યુમાં પૂનમની જ્યોતિ,
છડી રે પૂકારી માની મોરલો ટહુક્યો;
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.

માવડીના રથના ઘૂઘરા બોલ્યા,
અજવાળી રાતે માથે અમૃત ઢોળ્યાં;
ગગનનો ગરબો માના ચરણોમાં ઝૂક્યો,
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.

– અવિનાશ વ્યાસ

અવિનાશ વ્યાસ ગુજરાતી સંગીતના આકાશમાં ચિરકાળ સુધી મધ્યાહ્ને રહેનાર સૂરજ છે. ગુજરાતી લોકસંગીતની પરંપરાને રાસ-ગરબાઓ રચીને, સંગીતબદ્ધ કરીને અને સુમધુર કંઠ આપીને ચિરંજીવ બનાવવામાં એમનો સિંહફાળો છે. પદ્મશ્રી અવિનાશભાઈને ગુજરાત સરકારે એક-બે નહીં, પચ્ચીસ-પચ્ચીસ વાર શ્રેષ્ઠ ગીતકાર-સંગીતકારનો પુરસ્કાર આપી નવાજ્યા હતા. પ્રબોધ જોશી લખે છે: ‘ગુજરાતી ગીત-સંગીતના પર્યાય બની ગયેલા અવિનાશ વ્યાસે જે લખ્યું તે મૌલિક લખ્યું. સંગીતમાં પણ આગવી શૈલી દાખવી. એમનાં કેટલાંક ભજન પ્રાચીન ભજનોની શક્તિ દાખવે છે. સરળતાથી વહેતા ઝરણાની જેમ એમને ગીત સ્ફૂરતાં અને સાથે જ લયકારી પણ સધાતી. વિના કષ્ટ, સહજ સ્વરબાંધણી સાથે જ આવેલી આ ગીતરચનાઓથી અવિનાશ વ્યાસે ગુજરાતને ગુંજતું કરી, ગુજરાતનાં ગીતો અને સ્વરોને ભારતમાં જ નહિ, વિદેશમાં પણ એક મોભો આપ્યો છે.’

બહુખ્યાત આ રચના વિશે વિશેષ કશું કહેવાનું હોય નહીં પણ રચનાના ઉદભવ વિશે એક મજાની વાત કહેવી અવશ્ય ગમશે. ‘ગુજરાતી વિશ્વકોશ’ કહે છે: “થવા ઇચ્છતા હતા ક્રિકેટર. કદાચ તેથી જ જીવનના અંત સુધી મુંબઈની કોઈ પણ ટેસ્ટમૅચ જોવાની ચૂક્યા નહોતા. કાંકરિયા ઉપર ક્રિકેટ રમતાં લાલ બૉલ ઊછળ્યો અને સંધ્યાના આથમતા સૂર્યની લાલીમાં ભળી જતો દેખાયો અને પ્રથમ રચના સ્ફુરી ‘મા, તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.’

Comments (6)

ઊઠો ના– – મહેશ જોશી

હવે તેા ઊઠો ના મુજ હૃદયના સુપ્ત ઈસુ હે!
સૂતા રહો વિશ્રંભે, સકલ રસવું સ્પન્દિત હયે:
સ્ત્રવેલા કારુણ્યે વિફલ ઉરના કોમળ પુટે
વસો છાના, છાના; વ્યથિત થઈને આજ ઊઠવા
ચહો છો, કિન્તુ છો જગત વ્યવહારોથી અબૂઝ
હજુ પહેલાં જેવા, સજલ બનતા સદ્ય હૃદયે
અસત્યોને હાથે સત હત થતું જોઈ હજીયે!
હજુયે ચાહો છો જડ જગત ઉદ્ધાર કરવા!

હજુયે ઇચ્છા છે અમૃત અવનીમાં વહવવા?
યદિ ઇચ્છા, આવેા, પ્રભુ, મુકુટ હયાં કંટક તણા
ખીલાઓ તીણા ને ક્રૂસ અહીં ઊભા જુગજૂનાં
નવાં રૂપે, અશ્રુ હજુયે દૃગ માંહે નિધનની –
પછી રોવા. ઊઠો નહીં નહીં હવે હે પરમ સતત્,
છતાંયે જો ઇચ્છા, ઉર ઉર બનો ઉત્સ દ્યુતિના.

– મહેશ જોશી
(૨૩-૦૯-૧૯૩૩ થી ૨૫-૦૧-૨૦૧૮)

જગવ્યવહારથી ગમે એટલું માહિતગાર કેમ ન હોય, કવિહૃદય તો સદૈવ સર્વાનુકંપાથી ભર્યુંભાદર્યું જ હોવાનું. પોતાના હૃદયમાં સૂતેલા રામને-ઇસુને ફરીથી જાગૃત ન થવા કવિ કહે છે. કહે છે, પ્રભુ! આરામથી સૂતા રહો. પહેલાંની જેમ વ્યથિત થઈ ઊઠવાની આ ઘડી નથી, કારણ કે ઈશ્વર દુનિયાના વ્યવહારોથી સાવ અજાણ છે. અસત્યોના હાથે સતને હણાતું જોઈ હજીય ઈશ્વરનું હૃદય ભીનું થઈ જાય છે. જગતનો ઉદ્ધાર કરવાની ચાહના છૂટતી નથી. વાત આમ ઈશ્વરને સંબોધીને છે, પણ સમજાય છે કે કવિ પોતાની અંદર સૂતી અનુકંપાને જ સમજાવી રહ્યા છે. કંઈ કેટલાય અવતારો અને ધર્મગુરુઓ અવનિના પટ પર આવ્યા અને ચાલી ગયા. માનવજાતિના કલ્યાણ માટે એમણે વહાવેલ અમૃત જાણે કે દરિયામાં વહી ગયું. પણ દુનિયાને અમૃતની ભેટ આપવાની ઇચ્છા હજી મરી પરવારી નથી. અહીં આવીને કવિ ઈશ્વરને ચેતવે છે કે જો ફરી અવતાર ધારવાની અને મનુષ્યોને તારવાની ઇચ્છા બાકી રહી ગઈ હોય તો ફરી કાંટાળા મુગટ, ખીલા અને ક્રૂસે ચડવા તૈયાર રહેજો કારણ કે યુગયુગોથી આ સામગ્રી મનુષ્યોએ એમનીએમ સાચવી રાખી છે અને અલગ-અલગ રૂપે તમામ ઉદ્ધારકોને મનુષ્યો એનાથી જ નવાજતા આવ્યા છે. આ દુનિયામાં હવે અવતાર લેવા જેવો નથી એમ વારંવાર કહ્યા પછી આખરે કવિ કહે છે કે જો અવતરવું જ હોય તો એક-એક મનુષ્યના હૈયામાં તેજના ઝરા બનો એ ઉત્તમ.

Comments (6)

હજુ પ્રેમનો પહેલો વળાંક છે – મુકેશ જોષી

તમે પાળેલો મોર કોઈ વાત ના માને
એ વાતમાં મારો કંઈ વાંક છે?
હજુ પ્રેમનો પહેલો વળાંક છે

તમે અત્તરમાં છાંટેલી સાંજ એક ચાહો ને
ચાહો છો ખોલવા કમાડ
તમે સાંકળ ખોલી ને તોય બોલતા નથી
જરા હડસેલો સ્હેજ તો લગાડ
તમે હોઠ ઉપર મૌન તણાં પંખી બેસાડો
ને શબ્દોની ફફડે આ પાંખ છે
હજુ પ્રેમનો પહેલો વળાંક છે

તમે બહુ બહુ તો આંખોમાં ભરતી સંતાડી દો,
દરિયો તો કેમે સંતાય
વાદળમાં નામ તમે મારું લખો છો એ
ચોમાસે ચોખ્ખું વંચાય
તમે જોવાની દૃષ્ટિયે આપી બેઠા
ફકત તમારી પાસે તો આંખ છે

– મુકેશ જોષી

“હજુ પ્રેમનો પહેલો વળાંક છે…..” – હું તો આ પંક્તિએ જ ઘાયલ થઈ ગયો…

 

“જરા હડસેલો સ્હેજ તો લગાડ…..” – કેટલો હસીન ઈશારો !!! દરિયો તો કેમે સંતાય….. – વાહ…..

 

 

Comments (2)

કરું શું ? – હરીશ મીનાશ્રુ

ના ઈંગિત અણસાર- કરું શું ?
મૃગજળ મુશળધાર – કરું શું ?

અવળમુખે જળથળમાં ઝળક્યા
એકાદશ અવતાર, – કરું શું ?

ઈકડમ્ તિકડમ એક ચવની
શું શાં પૈસા ચાર, – કરું શું ?

વજન વિનાની ભાષાને તું
જા, કાયમ વેંઢાર – કરું શું ?

વાણીની પણ વરાળ થૈ ગૈ
તતડે કૈંક વિચાર,– કરું શું ?

ભીંત વગરના ઘરના માથે
છત-છપ્પરના ભાર, -કરું શું ?

ચણીબોર રાતુંચટ, થૂ… થૂ…
ચાખ્યું તો અંગાર, – કરું શું ?

ચપટી રાત ભજવણાં ભારે
અઘરા કૈં કિરદાર, – કરું શું ?

સપનું સમજી સાહ્યો જેને
એ નીકળ્યો સંસાર – કરું શું ?

હકડેઠઠ્ઠ હઠીલી દુનિયા
ભીતરથી ભેંકાર – કરું શું ?

કીડી જેવડો પણ ચટકે તો
શબદ બડો ખૂંખાર, કરું શું ?

– હરીશ મીનાશ્રુ

કવિની રચનાઓમાં ગહનને, એ અગમ્યને પામવાની મથામણ અને શબ્દોનું એમાં ઊણાં ઊતરવું વારંવાર આવે છે. આ રચનામાં પણ એ ભાવ તો છે જ, પણ ટૂંકી બહેરમાં કવિએ જે સિધ્ધ કર્યું છે એ અદ્ભુત છે, આપણને નતમસ્તક કરી મૂકે છે. અહીં જીવનરૂપી શોધ યાત્રાનું મંથન વ્યક્ત થયું છે અને આ શોધ કેવી છે? જેનો કોઈ ઈશારો નથી મળતો કે કઇ દિશામાં પ્રયાણ કરવું? હજુ કેટલું દૂર છે? એનો કોઈ અણસાર મળતો નથી.અને શોધના માર્ગમાં મૃગજળ, ઝાંઝવા મળે છે, માત્ર છળ, જેનું હકીકતમાં અસ્તિત્વ જ નથી એવું જ સામે આવે છે.
“અવળમુખે…” વાળી પંક્તિ મને એ રીતે સમજાય છે કે સૃષ્ટિના ઉદગમ કાળથી ઉત્ક્રાંતિની સાથે સાથે એક એક કરીને જે ભગવાનના દશાવતાર આવ્યા તે હવે કવિથી મુખ ફેરવીને સર્વત્ર વ્યાપી ગયા છે. એ પરમ તત્ત્વ ના હોય એવી કોઈ જગ્યા છે? તો પછી એને શોધવું શી રીતે? જળથળમાં ઝળકનાર એ તત્ત્વને શોધવું વધારે દુર્લભ થઈ ગયું છે.
પછીની પંક્તિઓમાં ભાષાની અધૂરપ ‘વજન વિનાની ભાષા’ અને ‘શું શાં પૈસા ચાર’થી દર્શાવ્યું છે. વિચારોની ઉગ્રતામાં, ગરમીમાં વાણી વરાળ થઈ જાય છે, વાણીમાં વ્યક્ત કરવું દુષ્કર થઈ પડે છે.
પછીની પંક્તિઓમાં મારી અલ્પ સમજ પ્રમાણે એવું લાગે છે કે કવિનું જીવન તો ખૂલ્લી કિતાબ જેવું છે, transparent છે અથવા વિચારોના આદાન-પ્રદાન માટે કોઈ અંતરાયરૂપ દિવાલો નથી પણ એ પૂર્વજોના જ્ઞાનના વારસાનો ભાર કેવી રીતે ઊઠાવી શકે?
‘ચણીબોર’ એટલે ‘desires’ ‘તૃષ્ણાઓ’, રાતીચટ, આકર્ષક, લલચાવનારી પણ ચાખો તો…અંગારની જેમ દઝાડે તેવી. ક્યારેય કોઈની બધી ઈચ્છાઓ પૂરી થતી નથી અને એ અધૂરી ઈચ્છાઓ, તૃષ્ણાઓ માનવીને જીવનભર દઝાડે છે. અને આ જીવન કેવું છે, સાવ ટૂંકું એમાં ‘રાત થોડી ને વેશ ઝાઝા’ની જેમ પાર વિનાના પાત્રો ભજવવાના અને એમાં કેટલાંક તો ભજવવા પણ અઘરાં, કેવી વિટંબણા. આ સંસારને સાધકોએ સપનું કહ્યો છે પણ કવિ એ વાત જરા જુદી રીતે મૂકીને ચમત્કૃતિ સાધે છે. એમણે સપનું જાણીને જ પકડ્યો હતો પણ ગૃહસ્થ જીવન જીવતા પ્રત્યેક મનુષ્યને એક વાર તો સમજાય જ છે કે આપણે સંસારના બંદી બની જઈએ છીએ, ‘બાવાજીની લંગોટી’ની જેમ. પછી એ સપનું ન રહેતાં ન ત્યજી શકાય, ન છૂટી શકાય એવી ભીંસ બની જાય છે. એથી કવિને આસપાસ હઠીલી દુનિયાની ભીડ અકળાવે છે. એવી ભીડ ભરેલી દુનિયાની વચ્ચે ભીતરનો ખાલીપો અસહ્ય થઈ જાય છે. અને છેલ્લી બે લીટીમાં શબદનો મહીમા છે. ‘રામબાણ વાગ્યાં હોય એ જાણે’ એમ શબદ ભલે નાનો હોય પણ એક વાર એનો મર્મ હ્રદયમાં ચટક્યો પછી આખું અસ્તિત્વ એમાં વિલીન થઈ જાય છે. અસ્તુ.

– ડો. નેહલ વૈદ્ય ( inmymindinmyheart.com )

( આ કાવ્યનું ચયન અને ભાવાર્થલેખન ડો નેહલ વૈદ્યનું છે )

Comments (2)

આસપાસ ઊડે છે… – વિનોદ જોશી

આસપાસ ઊડે છે ઊત૨ડી હોય એ જ
.                              ઇચ્છાની ફરી ફરી ફોતરી…

પાંચ-સાત સપનાઓ ઊંચકીને હાંફે છે
.                              જૂનવાણી ઢોલિયાના પાયા,
ખ૨ડાતી ધોધમાર અંધારે એકલી જ
.                              ઓશિયાળી ઊંધમૂંધ કાયા;

પગલાં તો પાછળ ને પાછળ રહી જાય
.                              છતાં પડછાયે જાત હોય જોતરી…

મહેકે ક્યારેક હજી ઓચિંતી
.                              એકવા૨ ફૂટેલી અત્તરની શીશી,
એક બે ટકોરાનો લઈને આધા૨
.                              પછી લખવાની બા૨ણાંપચીશી;

ઢાંકેલી વારતાને વળગેલી ધૂળ
.                              રોજ પાંપણથી લેવાની ખોતરી…

– વિનોદ જોશી

*

પૂરી જો થઈ જશે તો પછી કોણ પૂછશે?
કિંમત છે એટલે કે તું ઇચ્છા અધૂરી છે…

સાચે જ, અધૂરી ઇચ્છાઓથી અળગાં ન થઈ શકવું જ મનુષ્યનો સ્વ-ભાવ છે. જે ઇચ્છાઓ ત્યાગી દેવાની કોશિશ કરી હોય એ જ ફરી ફરીને આપણી આસપાસ મંડરાયે રાખે છે. સપનાં પૂરાં કરવા આપણે દોટ મૂકીએ ત્યાં સુધી તો ઠીક, કદાચ સપનાં સાકાર પણ થઈ જાય. પણ સમસ્યા તો ત્યારે ઊભી થાય છે જ્યારે સપનાં સાકાર કરવાના પ્રયત્નો પડતાં મૂકી આપણે જૂનવાણી ઢોલિયાના પાયાની જેમ એક જ જગ્યાએ ખોડાઈ જઈએ છીએ. આવું થાય ત્યારે અધૂરાં રહી ગયેલાં સપનાંઓનો ભાર વેઠી શકાતો નથી. ઓશિયાળું જીવન આવામાં ધોધમાર અંધારે ખરડાતું હોવાનું જ અનુભવાય છે… પ્રયત્નોના પગલાં પાછળ રહી જાય છે અને જાત પડછાયા સાથે જોતરી દેવાય છે. પણ સ્વપ્નપૂર્તિની સંભાવના તો જાતને જાત સાથે જોડવામાં આવે તો જ હોય ને!

જીવનમાં ક્યારેક કોઈક મઘમઘાટ અનુભવવાનું થયું હોય એ ક્ષણોનો નૉસ્ટાલ્જિયા જ પછી આવા જીવતરનો આધાર બની રહે છે. આખા જીવનની વાર્તા આવા એક-બે પ્રસંગથી જ લખાયેલ હોય છે. સમય જતાં આ વારતા પર પણ ધૂળ બાઝતી જાય છે અને આપણે રોજ-રોજ સપનાંના પાવડાથી એને ખોતરતા રહીએ છીએ… સપનાં ભલે અધૂરાં કેમ ન રહી ગયાં હોય, એને જોવાનું કામ કદી પૂરું થતું નથી.

અધૂરી રહી જતી ઇચ્છાઓના સામર્થ્યનું કેવું મજાનું ગીત!

Comments (2)

ક્યાંક પડ્યો વરસાદ – રાજેન્દ્ર શુક્લ

ક્યાંક પડ્યો વરસાદ,
.                   નદીમાં પૂર આવિયાં;
વહી રહ્યો ઉન્માદ,
.                   નદીમાં પૂર આવિયાં.
છોળ ઊછળે છોળ,
.                   નદીમાં પૂર આવિયાં,
આભલગાં અંઘોળ,
.                   નદીમાં પૂર આવિયાં.
જળને ઝીણે સૂર,
.                   નદીમાં પૂર આવિયાં,
અમે તણાયાં દૂર,
.                   નદીમાં પૂર આવિયાં.
ક્યાં કાંઠો, ક્યાં ગામ,
.                   નદીમાં પૂર આવિયાં,
ભૂલી ગયાં નિજ નામ,
.                   નદીમાં પૂર આવિયાં.

– રાજેન્દ્ર શુક્લ

મુકુલ ચોક્સીના સરસ મજાના શેર સાથે આ ગીત માણવાના શ્રીગણેશ કરીએ:

પૂર માટે માત્ર સ્થાનિક વાદળો પૂરતાં નથી,
કંઈક ઉપરવાસમાં વરસાદ જેવું જોઈએ.

નદીમાં પૂર આવે એના મૂળમાં બહુધા અન્યત્ર ક્યાંક પડેલો વરસાદ જવાબદાર હોય છે. અહીં જે નદીમાં પૂર આવવાની વાત છે, એ સમજી શકાય છે કે પ્રેમની, જીવનની નદી છે. નેહની નદીમાં નીર નહીં, ઉન્માદ વહી રહ્યો હોવાને લઈને છોળની છોળ ઊછળે છે. અંઘોળ ભલે ને આભલગાં હોય, પણ પ્રેમના જળનો સૂર તો સાવ ઝીણેરો જ હોવાનો અને એવા ઝીણા સૂરમાં જ હોવાને તરતું મેલી દઈ દૂર દૂર તણાઈ જવાનું હોય છે. અને એકવાર પ્રેમના પૂરમાં તણાઈ ગયાં, પછી શું કાંઠો, શું ગામ અને શું પોતાનું નામ…

Comments (7)

અભરે ભરાઈ ગયાં – અનિલ જોશી

તમે અણધાર્યા વાદળની જેમ ચડી આવ્યા
ને અભરે ભરાઈ ગયાં આભલાં

અમે વૈશાખી તડકામાં બાવળની હેઠ પડ્યા
પડતર જમીન સમા યાતરી
તમે આવળના ફૂલ સમું એવું જોતા કે જાણે
મળતી ન હોય પીળી ખાતરી.

અમે જૂનો ભરવાડ જેમ ઘેટાં ગણે,
ને એમ દિવસો ગણતા કે હજી કેટલાં?
ને તમે દીધાં સંભારણાના પડદા ઉંચકાય નહીં,
લોચનમાં થાક હતા એટલા.

અમે પીછું ખરે ને તોય સાંભળી શકાય
એવા ફળિયાની એકલતા ભૂરી
તમે ફળિયામાં આવીને એવું બેઠા કે
જાણે રંગોળી કોઈ ગયું પૂરી

તમે અણધાર્યા વાદળની જેમ ચડી આવ્યા
ને અભરે ભરાઈ ગયાં આભલાં

– અનિલ જોશી

જાતની માલીપા વ્યાપ્ત ખાલીપાને અણુએ અણુએ ભરી દેવાના ઓચ્છવનું પ્રણયગીત તે આ. પ્રતીક્ષાની અનવરત ઘડીઓના છેવાડે આવીને ક્યારેક માણસ પુનર્મિલનની તમામ આશાઓ ગુમાવી બેસે છે. સઘળી આરત શૂન્ય થઈ ગઈ હોય એવામાં પ્રિયજન અણધાર્યાં વાદળોની જેમ આવી ચડે ત્યારે વર્ષોથી ખાલીખમ રહેલું આભ કેવું અભરે ભરાઈ જાય! તરસ જેટલી તીવ્રતર હોય, પાણીનું મૂલ્ય એટલું જ વધુ સમજાય, ખરું ને!

પ્રિયજનની અનુપસ્થિતિમાં કથક પોતે વૈશાખની બળતી બપ્પોરે બાવળના પાંખા ઝાડ નીચેની પડતર પ્યાસી ધરતી હોવાનું મહેસૂસ કરે છે, તો સામા પક્ષે પ્રિયજન આવળના પીળા ફૂલ જેવી સંભાવનાઓ બાંધી આપતા હોવાઅનું અનુભવાય છે. જૂનો હોય કે નવો હોય, ભરવાડ ઘેટાં તો ગણવાનો જ. અહીં જૂનો વિશેષણ પ્રતીક્ષા ઘણી લાંબી હોવાની પ્રતીતિ તો કરાવે જ છે, પણ જૂના જમાનાના ભરવાડની વધુ પડતી કાળજી લેવાની ટેવનો સંસ્પર્શ પણ કરાવે છે. મિલન આડે કેટલા દિવસો બચ્યા હશેની ગણતરીમાં જ જીવન વ્યતિત થવા આવ્યું છે. આંખ ખૂલે તો વાસ્તવિકતાના દર્શન થાય પણ રાહ જોઈ જોઈ થાકી ગયેલી આંખો પ્રિયપાત્રના સંભારણાંઓના પડદાં ઊંચકી શકવાને સક્ષમ નથી. એકલતા ભૂરા આકાશ જેવી વિશાળ અને એવી તો નીરવ છે કે પીંછું ખરે તોય સાંભળી શકાય. ખાલીપાના વ્યાપ અને તીવ્રતાને કેવી સરળ ભાષામાં અને કેવી વેધકતાથી કવિએ રજૂ કર્યા છે એ જોવા-સમજવા જેવું છે, આવામાં પ્રિયજનનું આવી ચડવું એ ભૂરા રંગની એકવિધતાના સ્થાને મેઘધનુષી રંગોળી પૂરાઈ ગયેલ અનુભવાય છે. શબરીના બોર રામના હોઠે ચડે એવી ફળશ્રુતિની અનુભૂતિ પ્રિય વ્યક્તિના અણધાર્યા આગમનને લઈને કથકની સાથોસાથ આપણે પણ અનુભવીએ છીએ એ આ ગીતની ખરી સફળતા છે.

Comments (8)

હું માણસ છું કે ? – ચંદ્રકાન્ત શાહ

આમ જગતમાં જીવું છું ને આમ જીવમાં ફફડું છું હું માણસ છું કે?
આમ સ્પંદનો ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?

દરિયા જેવો કાયમ થાવા મર્ત્યલોકમાં નીકળ્યો, નીકળ્યો એક જનમથી બીજે
વાદળઘેલા કોઈ જનમની હજી કનડતી ઇચ્છાઓથી જીવતર લથબથ ભીંજે,
વર્તમાનમાં માણસનો હું વેશ ધરીને ભૂતકાળમાં રઝળું છું હું માણસ છું કે?

આમ ઊર્મિઓ ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?

છાતી અંદર શ્વાસ થઈને કરે ઠકાઠક રોજ રોજનો લાંબો તીણો ખીલ્લો
હું પણ સહુની માફક ચણતો મારી ફરતે એકલતાનો રોજ નવો એક કિલ્લો
ફિલસૂફોનાં ટોળાં વચ્ચે એકલવાયો અવાજ લઈને રખડું છું હું માણસ છું કે?

ભાવભીનો હું ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?
આમ જગતમાં જીવું છું ને આમ જીવમાં ફફડું છું હું માણસ છું કે ?

– ચંદ્રકાન્ત શાહ

એકદમ અલગ તરહનું ગીત…..

“હું પણ સહુની માફક ચણતો મારી ફરતે એકલતાનો રોજ નવો એક કિલ્લો……..” – વાહ !! એકલતાનો રોજ નવો એક કિલ્લો !!

Comments (1)

નથી હોતી – હરીન્દ્ર દવે

હું એને પામું છું એની નિશાની જ્યાં નથી હોતી,
નિહાળું છું હું એક તસવીર ને રેખા નથી હોતી !

જીવનપુસ્તક મહીં આ પ્રેમ પણ અંતિમ વચન ક્યાં છે ?
બધી દીવાનગીના મૂળમાં લયલા નથી હોતી.

ઘણી બેચેન ગાળું છું હું તુજ ઇતબારની ઘડીઓ,
પ્રણય પણ ક્યાં રહે છે જે પળે શંકા નથી હોતી.

એ મંઝિલ ક્યારની ગુજરી ગઈ, બેધ્યાન હમરાહી !
હવે ખેંચાણના કારણમાં સુંદરતા નથી હોતી.

તમારી યાદના રંગીન વનની મ્હેકના સોગંદ,
બહાર આવે છે ઉપવનમાં છતાં શોભા નથી હોતી.

પ્રભુનું પાત્ર કલ્પી લઈને હું આગળ વધારું છું,
વિકસવાની જગા જો મુજ કહાનીમાં નથી હોતી.

કરી સંહારનું સાધન હું અજમાવી લઉં એને,
કદી સર્જનની શક્તિ માંહે જો શ્રદ્ધા નથી હોતી.

– હરીન્દ્ર દવે

લગભગ બધાં જ શેર ખૂબ જ મજબૂત 🙏🏻 – મક્તામાં બહુ મજા ન આવી…

Comments (2)

આસપાસ – સંજુ વાળા

અણબૂઝ કામનાઓ અડાબીડ આસપાસ
ઘેરી વળી છે જુગજૂની પીડ આસપાસ

ઘરમાં હળી ગયેલ અભાવોનાં આક્રમણ
કરકોલે ધીરે-ધીરે બની તીડ આસપાસ

તારી ઉદાસ આંખને જોતાં જ લાગ્યું કે
વેરાન ઊગી નીકળ્યું છે નીડ આસપાસ

શ્યામે કહ્યું કે જૂઈ છે, આદિલ કહે: છે ઘાસ
વાસ્તવમાં આપ છો ને છે ઑર્કિડ આસપાસ

દિલચસ્પ કેવા હોય શરૂઆતના સ્તરે!
વિરમે દરેક ભાવ સખત ચીડ આસપાસ

ગળપણ ગઝલ કે કોફીમાં ઝાઝું હો શું મઝા?
બહુ બોલકાપણું તો કરે ભીડ આસપાસ

– સંજુ વાળા

પૂરી ન થયેલ ઇચ્છાઓ આપણને સહુને યુગો જૂની પીડાનો અહેસાસ કરાવતી ઘેરામાં બાંધી રાખે છે. આપણા સહુનું ધ્યાન વિશેષતર શું પામ્યા કરતાં શુ ન પામ્યા તરફ જ જીવનભર રહે છે. આ અભાવો જે રીતે તીડના ટોળાં ઊભા પાકને કરકોલી ખાય એ રીતે આપની સાથે હળીમળી જઈને આપણને કોતરી ખાયે રાખે છે. શ્યામ સાધુ અને આદિલ મન્સૂરીને સ્મરતો શેર ઓર્કિડ પ્રાસપ્રેરિત હોય એમ વધુ અનુભવાય છે, એ એક શેરને બાદ કરતાં બાકીના પાંચેય શેર અદભુત થયા છે. ગમે એટલી ગમતી કેમ ન હોય, દરેક વસ્તુનો અતિરેક છેવટે તો અણગમામાં જ પરિણમે છે એ વાત છેલ્લા બે શેરમાં સુપેરે પ્રકટ થઈ છે. શરૂઆતમાં દિલચસ્પ લાગતી વાત છેવટે ચીડમાં વિરમે છે અને ગઝલ હોય કે કોફી, ગળપણ વધુ નાંખો તો સાચા ભાવકો એનાથી દૂર જ ભાગશે…

Comments (4)