દૃશ્યનો દરબાર સૂનો થઈ ગયો,
આરસી તૂટી અને વેરાઈ ગઈ.
– રાહુલ શ્રીમાળી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for April, 2011

દેવું નહીં – જયન્ત પાઠક

કોઈને ના આપવું, લેવું નહીં,
મારે નામ દાન કે દેવું નહીં.

મૌન મારું – શાપ કહો વરદાન કહો,
એ પૂછે ના ત્યાં સુધી કહેવું નહીં.

છું સરોવર – બંધિયાર ભલે રહ્યો,
લુપ્ત થાવા રેતમાં વ્હેવું નહીં.

એવું તો ક્યાંથી બને આ લોકમાં,
ચાહવું ને દર્દને સ્હેવું નહીં !!

મૃત્યુથી યે આ અનુભવ આકરો,
જીવું, ને લાગે જીવ્યા જેવું નહીં.

– જયન્ત પાઠક

ઉત્તમ કહી શકાય એવા પાંચ શેર… ઊર્મિકાવ્યો, સૉનેટ અને ગીતનો કવિ ગઝલ ખેડે ત્યારે છંદ તરફ દુરાગ્રહી નજરે ન જોઈએ તો આવી શેરિયતભરી કવિતા જન્મે જે નખશીખ ગઝલકારોને પણ જવલ્લે જ હાંસલ હોય છે !

Comments (8)

લગ્ન ગીત – મનોહર ત્રિવેદી

ઊડી ઊડી રે એક ચરકલડી ઊડી, એની પછવાડે ઊડ્યું આ આંગણું –
એનાં હરિયાળાં આ પગલાંની ભાત્યે તો આજ લગી રાખ્યું રળિયામણું

સીમમાંથી આવેલી કિરણોની પોટલીને
ખોલે હળવેથી મોંસૂઝણે
વ્હેલી સવાર કદી કલરવમાં ન્હાય :
કદી ઘરને ઘેર્યું’તું એનાં રૂસણે
દિવસો તો ઊગે ને ઝાંખા થૈ જાય : પડે ઝાંખું ના એક્કે સંભારણું
ઊડી ઊડી રે એક ચરકલડી ઊડી, એની પછવાડે ઊડ્યું આ આંગણું

પંખી કહેતાં જ હોય આંખ સામે દીકરી
ને હોય એક તુલસીનો ક્યારો
પાદરની ગોધૂલિવેળા છે દીકરી
કે વ્હેતિયાણ સરિતા-કિનારો
દીવો ઝાલીને અહીં માડીના વેશમાં સૂનું ઝૂરે છે હવે બારણું
ઊડી ઊડી રે એક ચરકલડી ઊડી, એની પછવાડે ઊડ્યું આ આંગણું

-મનોહર ત્રિવેદી

વહાલસોયી દીકરી સાસરે જાય એટલે પિયરની તો જાણે કે બધી ખુશી જ ઊડી જાય… માત્ર સંભારણાં જ રહી જાય, બસ!

Comments (7)

મુક્તક – રમેશ પારેખ

ચીંધીને આંગળી તરસો હરણને દોડતું રાખે,
દિશાઓ રેતી રેતી થઈને રણને દોડતું રાખે;
બરફની કેડીએ નીકળે છે સૂરજ શોધવા જળને,
બીજું છે કોણ જે એના કિરણને દોડતું રાખે.

– રમેશ પારેખ

ર.પા.નું આ મુક્તક વાંચીને મને રઈશભાઈની ગઝલ યાદ આવી ગઈ… કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે.

Comments (5)

ઝેન કાવ્યો – અનુ. કિશોર શાહ

ખરેલું પાન
ડાળે પાછું ફર્યું ?
પતંગિયું

– અનામી

*

છિદ્રો વિનાની વાંસળી
વગાડવી ખૂબ મુશ્કેલ છે.

– અનામી

*

કશુંય ન હોવાપણાની ભાષાને
બટકાં ભરવાથી ચેતજો :
તમારા દાંત ભાંગી જશે.
એને આખેઆખી ગળી જાઓ…

– મિત્સુહિરો

આજે મારા ગમતા ત્રણ ઝેન-કાવ્યો. પહેલું આશ્ચર્યની અનુભતિનું કાવ્ય છે. બીજું અનુભવનો નિચોડ. છેલ્લું ચેતનાના રસ્તા પરની આવશ્યક શિખામણ.

Comments (5)

મીઠા લાગ્યા તે મને – પ્રભુલાલ દ્વિવેદી

મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા,
જોતી’તી વ્હાલાની વાટ રે : અલબેલા કાજે ઉજાગરો.

પગલે પગલે એના ભણકારા વાગતા,
અંતરમાં અમથા ઉચાટ રે : અલબેલા કાજે ઉજાગરો.

બાંધી મેં હોડ આજ નીંદરડી સાથ ત્યાં,
વેરણ હીંચોળાખાટ રે : અલબેલા કાજે ઉજાગરો.

ઘેરાતી આંખડીને દીધાં સોગન મેં,
મટકું માર્યું તો તારી વાત રે : અલબેલા કાજે ઉજાગરો.

આજના તે જાગરણે આતમા જગાડિયો,
(જાણે) ઊભી હું ગંગાને ઘાટ રે : અલબેલા કાજે ઉજાગરો.

– પ્રભુલાલ દ્વિવેદી

ગુજરાતી રંગભૂમિનું યાદગાર ગીત. શબ્દોમાં લોકગીત જેટલી મીઠાશ અને સાદગી છે. સાંભળવું હોય તો માવજીભાઈની પરબે એનું વિંટેજ રેકોર્ડિંગ પણ તૈયાર છે.

Comments (10)

હુરત આવી ચઈડુ છે અમેરિકામાં…

બે પાક્કા હુરતીઓ રઈશ મનીઆર અને વિવેક ટેલર તથા એક અમેરિકન હુરતી મોના નાયક અમેરિકાના ચારેય ખૂણા ધમરોળવા આવી રહ્યા છે… શું આપ ગુજરાતી છો ? શું આપને આપની ભાષા માટે પ્રેમ છે ? તો, આ કાર્યક્રમમાં આપની હાજરી અનિવાર્ય છે… અમે આપની અને આપના મિત્રોની રાહ જોઈશું…

ડેટ્રોઇટ

01/05 (રવિવાર): સાંજે ચાર વાગ્યે

સમન્વય પ્રસ્તુતિ સાહિત્ય સંધ્યા, સાંજે ચાર વાગ્યે @ Costick Center, 28600 Eleven Mile Road, Farmington Mills, MI

[734-620-2233, 734-306-1180, 248-7608005]

*

શિકાગો

07/05 (શનિવાર): સાંજે 6 વાગ્યે

શિકાગો આર્ટ સર્કલ દ્વારા આયોજિત કાર્યક્મ, સાંજે 6 વાગ્યે. Elk Grove Village High School Auditorium, 500 West Elk Grove Blvd., Elk Grove Village, IL 60007

[(847) 803-9560, 757-6342, 566-2009, 490-0600]

*

ન્યુ જર્સી

14/05 (શનિવાર): બપોરે બરાબર ૨:૩૦ વાગ્યે

ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા આયોજિત મહેફિલે ગઝલ, બપોરે બરાબર ૨:૩૦ વાગ્યે @ Ramada Inn, 999 Route 1 South, North Brunswick, NJ 08902

[973-628-8269, 973-812-0565, 973-633-9348, 732-968-0867, 718-706-1715, 205-824-5349, 781-983-4941, 973-471-5344]

*

સાન ફ્રાંસિસ્કો

21/05 (શનિવાર): સાંજે 5.30 વાગ્યે

Desi Aericans of Gujarati Language Origin DAGLO (ડગલો) પ્રસ્તુત કરે છે “શબ્દોના રસ્તે”, સાંજે 5.30 વાગ્યે. Shreemaya Krishnadham ( Shreenathji Haveli ), 25 Corning Avenue, Milpitas, CA 95035

[408-410-2372, 408-607-4979, 408-425-9640 ]

*

લોસ એન્જેલિસ

22/05 (રવિવાર): કાર્યક્રમ (લોસ એન્જેલિસ)

Comments (9)

ન રહી – જવાહર બક્ષી

સભાનતાની ક્ષિતિજોમાં…. વેદના ન રહી
હવે તો વાત રહી ગઈ છે વારતા ન રહી

નિકટ થવાનું રહ્યું નહિ કે દૂરતા ન રહી
તને મળ્યા પછી તો કોઈ શક્યતા ન રહી

બધાની લાગણી છે ભીંતની તિરાડ સુધી
ઉઘાડું ઘર થયું તો કોઈ આવજા ન રહી

અજાણ્યો સ્પર્શ વિખૂટો પડી જીવી ન શક્યો
નગરથી દૂર જઈને હવા, હવા ન રહી

રહી રહીને વિખરાઈ ગઈ તમામ ક્ષણો
નિરાંત થઈ કે સમયની કોઈ સભા ન રહી

વિચારતો જ રહ્યો તારી વાતનો વિસ્તાર
હું મારું નામ લખું એટલી જગા ન રહી

– જવાહર બક્ષી

સરળ લાગતા એક-એક શેર છેતરામણા છે…ભારોભાર ઊંડાણ છે.

Comments (12)

ગઝલ – ભરત વિંઝુડા

પંખીઓના ટોળામાં ભળીએ હવે
કેમ ઓળખશે પછી પિંકી દવે !

એક પડછાયો પડ્યો ધરતી ઉપર
ને ચડી શકતો નથી તે ઝાડવે !

ને નદી આવીને ખળખળતી મળે
તોય દરિયો એની સામે ઘૂઘવે !

એક જણનું મૌન આખા ગામને
કોઈ અઘરા કાવ્ય માફક મૂંઝવે !

એક પલ્લામાં મૂક્યાં છે શ્રી ગણેશ
તારી વીંટી મૂકી સામા ત્રાજવે !

– ભરત વિંઝુડા

પડકારરૂપ કાફિયાના પોતે વણાયેલી એક મદમસ્ત હમરદીફ-હમકાફિયા ગઝલ ! ત્રાજવાંમાં તોલવાનું પ્રતીક આપણે ત્યાં જાણીતું છે. શિબિ રાજા એક હોલાને બાજથી બચાવવા માટે પોતાનું માંસ કાપી-કાપીને ત્રાજવે મૂકે છે… કૃષ્ણને તુલસીપત્રથી તોલવાની વાત પણ જાણીતી છે… ભરત વિંઝુડા પણ પ્રેમને ઈશ્વરથી ઊંચો સ્થાપિત કરે છે…

Comments (19)

ગઝલ – વિહંગ વ્યાસ

આંખનો શું અર્થ છે બીજો પ્રતીક્ષાથી વિશેષ,
છેવટે એવી સમજ પણ શું છે છલનાથી વિશેષ!

કોણ ત્યાં ખીલ્યું અટારીમાં સજી સોળે કળા,
ચિત્તમાં આવી છે ભરતી આજ દરિયાથી વિશેષ.

આમ તો ત્યારે જ સાવધ થઈ જવા જેવું હતું,
એમણે દીધું બધું જ્યારે અપેક્ષાથી વિશેષ.

ક્યાં ગયા સારા નઠારા આજ એ સઘળા પ્રસંગ,
કૈં નથી જે જોઉ છું તે એક અફવાથી વિશેષ.

એ હકીકત છે કે અમૃત થઇ ગયેલું ઝેરનું,
ને ઇલમમાં તો કશું નહોતુ ભરોસાથી વિશેષ.

-વિહંગ વ્યાસ

શીઘ્ર પ્રત્યાયનક્ષમતાવાળી મજાની ગઝલ…

Comments (22)

વ્યંગ-તઝમીન – નિર્મિશ ઠાકર

(મૂળ શે’ર)

કુંડાળામાં ફરવા લાગ્યો
હું ય ભમરડા જેવો નીકળ્યો

– કૈલાસ પંડિત

કવિનું આત્મચિંતન

શબ્દ હવાડે તરવા લાગ્યો
અર્થ બચારો મરવા લાગ્યો
કાવ્ય છતાં હું કરવા લાગ્યો
કુંડાળામાં ફરવા લાગ્યો
હું ય ભમરડા જેવો નીકળ્યો

* * *

(મૂળ શે’ર)

હાથ ખુલ્લા રાખવાથી કાંઈ ના વળશે અહીં
મૂઠ્ઠીઓ વાળો, ઉછાળો, મૂઠ્ઠીથી વાતો કરો

– કૈલાસ પંડિત

ભયંકર કાવ્યપઠનની ક્ષણોમાં…

જીવતો એકેય શ્રોતા શોધતાં મળશે અહીં ?
આ કવિની થઈ કૃપા તો લાશ કૈં ઢળશે અહીં
“લાગ છે !”  કહી કૈં કવિઓ આવીને ભળશે અહીં
હાથ ખુલ્લા રાખવાથી કાંઈ ના વળશે અહીં
મૂઠ્ઠીઓ વાળો, ઉછાળો, મૂઠ્ઠીથી વાતો કરો

* * *

(મૂળ શે’ર)

મૃગજળનું માન રાખવા પાછો ફર્યો છું હું
નહિતર તો ઘાટ ઘાટના પાણી પીધાં છે મેં

– કૈલાસ પંડિત

લેખક દ્વારા વિવેચકને માન (?)

ખાલી ગણે છે એ મને, જોકે ભર્યો છું હું
એનાં વમળથી હું ડરું ? સામો તર્યો છું હું
એ પાનખરના યત્નથી ક્યારે ખર્યો છું હું
મૃગજળનું માન રાખવા પાછો ફર્યો છું હું
નહિતર તો ઘાટ ઘાટના પાણી પીધાં છે મેં

– નિર્મિશ ઠાકર

મૂળ શે’રની આગળ ત્રણ પંક્તિ ઉમેરીને એના અર્થમાં આબાદ ‘ઉમેરો’ કર્યો છે. બધા તઝમીનમાં કવિએ પોતાના ‘જાતભાઈઓ’ (એટલે કે કવિઓ)ની જ ફીરકી ઉતારી છે. પોતાના પર હસી શકવું એ સૌથી અઘરું હાસ્ય છે.

Comments (6)

અવસાનસંદેશ – નર્મદ

નવ કરશો કોઈ શોક રસિકડાં, નવ કરશો કોઈ શોક,
યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી. રસિકડાં…

પ્રેમી અંશને રુદન આવશે શઠ હરખાશે મનથી. રસિકડાં…
મર્મ ન સમજે બકે શંખ શઠ, વાંકું ભણે બહુ પણથી. રસિકડાં…

એક પીડમાં બીજી ચીડથી, જળશે જીવ અગનથી. રસિકડાં…
હતો દૂખિયો થયો સુખિયો, સમજો છૂટ્યો રણથી. રસિકડાં…

મુઓ હું તમે પણ વળી મરશો મુક્ત થશો જગતથી. રસિકડાં…
હરિકૃપાથી મમ લેખચિત્રથી, જીવતો છઉં હું દમથી. રસિકડાં…

વીર સત્ય ને રસિક ટેકીપણું, અરિ પણ ગાશે દિલથી. રસિકડાં…
જુદાઈ દુ:ખ તે નથી જ જવાનું, જાયે માત્ર મરણથી. રસિકડાં…

મરણ પ્રેમીને ખચિત મોડું છે, દુ:ખ વધે જ રુદનથી. રસિકડાં…
જગતનીમ છે જનમ મરણનો દ્રઢ રહેજો હિંમતથી. રસિકડાં…

મને વિસારી રામ સમરજો, સુખી થશો એ લતથી. રસિકડાં…

– નર્મદ

દોઢસો વર્ષ પહેલાનો નર્મદ એના સમયથી સવાસો વર્ષ આગળ હતો. ગુજરાતી ભાષાના બધા પહેલા કામ (પહેલો કોશ, પહેલી આત્મકથા, પહેલું વ્યાકરણ) એણે ઝપાટાભેર પતાવી દીધેલા. એ જમાનાથી એટલો તો આગળ હતો કે પોતાના ગયા પછી જગતે એને કઈ રીતે સંભારવો (કે વિસરવો) એ પણ એણે જાતે જ લખી નાખેલું ! ‘વીર સત્ય અને રસિક ટેકીપણું’ તો નર્મદના આખા જીવનનું પાંચ શબ્દમાં અદભૂત વર્ણન છે.

Comments (6)

અમે – હરજીવન દાફડા

ન જાણ્યો દોડવાનો અર્થ, કેવળ દોડવા લાગ્યા,
ભટકતા કાફલા સાથે સ્વયંને જોડવા લાગ્યા.

ઘણા જન્મો પછી ભાડે મળ્યું’તું એક સારું ઘર,
અમે એમાંય ચારેકોર ખીલા ખોડવા લાગ્યા.

નિખાલસ એક ચેહરો કેટલુંય કરગર્યો તોયે,
અમે એના ઉપર રંગીન મહોરાં ચોડવા લાગ્યા.

છુપાવી ના શક્યા કોઈ રીતે વિક્લાંગ માનસને,
અકારણ આંખ સામેના અરીસા ફોડવા લાગ્યા.

– હરજીવન દાફડા

પહેલો શેર મારો પ્રિય છે. આખી ગઝલ હાથ લાગી એટલે તરત આ ગમતનો ગુલાલ !

Comments (19)

અ-ગતિ – રઘુવીર ચૌધરી

હું હજી મધદરિયે ગયો નથી.
મારો તો તટવાસી સ્વભાવ
કદીયે ઊંડો ઊતર્યો નથી,
અને તેથી
આખા દરિયાનો ભાર
મેં હજી ઝીલ્યો નથી.

તર્કનાં લંગર નાખીને
હજાર વાર ચીપકી રહ્યો છું
અ-ગતિને.
વિષાદને વચગાળો માનીને
સહેલાઈથી સુખી રહ્યો છું.

અનાગતને ભાવી કમાણી માની
કરજ વધારી આંનદનું
વિષાદના સાતત્યની આડે આવું છું
અને ગાવા લાગું છું ગીત
ગાગરમાં સાગરનું.

– રઘુવીર ચૌધરી

તટસ્થ આત્મનિરીક્ષણ !

Comments (9)

અપેક્ષિતતાની ગઝલ – ઘનશ્યામ ત્રિવેદી

શક્યતાઓ આટલી બસ એમ સરજાતી રહે,
હું જરા કોશિશ કરું ને તુંય સમજાતી રહે.

આંગણાનાં સોળ ચોમાસાં વળી પાવન બને,
મેઘલી મોસમ મહીં તું સ્હેજ શરમાતી રહે.

ઝરમરે આ ચાંદની કે તું ઝરે છે, શું ખબર ?
આગિયાની ટોળકીમાં અટકળો થાતી રહે.

વાયદાઓ સાવ પોકળ નીકળે એવું બને,
ભાવના- સંભાવનામાં જાત અટવાતી રહે.

ચાહના અંતિમ સમયની સાવ થોડી છે મને,
શૂન્યતામાં હું સરું ને તું ગઝલ ગાતી રહે.

– ઘનશ્યામ ત્રિવેદી

અપેક્ષાની બાદબાકી એ જ સાચો પ્રેમ…  અને એ જ ખરી ગઝલ !

(થોડા દિવસો પહેલાં ભાવનગરની શુશુવિહાર સંસ્થાની વાત કરી. એ સંસ્થાના નીરક્ષીર સંગ્રહમાંથી આ ગઝલ)

Comments (24)

મના – વેણીભાઈ પુરોહિત

રે નયણાં !
મત વરસો,મત વરસો :
રે નયણાં !
વરસીને શું કરશો ?
રે નયણાં ! મત વરસો,મત વરસો.

આનંદી અશ્રુ નહિ ઝીલે
ગરજુ જગત અદેખું :
તો દર્દીલાં ખારાં જલનું
ક્યાંથી થાશે લેખું ?
રે નયણાં ! મત વરસો,મત વરસો.

મીઠાં જલની તરસી દુનિયા,
ખારાં છો ક્યાં ખરશો ?
દુનિયાદારીના દરિયામાં
અમથાં ડૂબી મારશો.
રે નયણાં ! મત વરસો,મત વરસો.

કોઈ નથી એ જલનું પ્યાસી,
ક્યાં જઈને કરગરશો ?
રે નયણાં ! મત વરસો,મત વરસો.

– વેણીભાઈ પુરોહિત

આ કવિના કાવ્યમાં હંમેશ એક અજબની મીઠાશ ભરી હોય છે. ‘તારી આંખનો અફીણી….’થી ગુજરાતીઓના હૈયે વસેલાં વેણીભાઈ સાદા શબ્દો પાસેથી જે અદભૂત કામ લે છે તે કળા ગુજરાતીમાં મરીઝ અને ગનીચાચા જેવા અમુક જ સિદ્ધહસ્ત શાયરો હસ્તગત કરી શક્યા છે.

*

( આ કવિતા વાંચીએ અને એમની જ ‘નયણાં’ કવિતા અને સુરેશ જોષીએ એ કવિતાનો કરાવેલો અદભુત રસાસ્વાદ યાદ ન આવે એવું બને ?)

Comments (12)

ક્યાં રહ્યાં છે માણસો – કૈલાસ પંડિત

વાતમાં ડૂબી ગયા છે માણસો,
કામમાં બહુ કામમાં છે માણસો.

એ મળે તો આમ, નહિ તો ના મળે,
ફોનના નંબર સમા છે માણસો.

એક જે કહેવાય એવા એક મા,
એટલા જોવા મળ્યા છે માણસો.

ફૂલ કાગળના થયા તો શું થયું,
માણસો યે ક્યાં રહ્યા છે માણસો.

ભીંત તો સારી હતી કહેવું પડ્યું,
ભીંતથી આગળ વધ્યા છે માણસો.

ઘર, ગલી, શેરી, જતા જોઈ રહી,
કોઈને લઈ નીકળ્યા છે માણસો.

– કૈલાસ પંડિત

ફોનના નંબર સમા માણસ- ની વાતમાં મને તો સાચે જ મજા આવી ગઈ.  ફોનની જેમ જ signal full હોય તો connection તરત મળી જાય, પણ ક્યારેક connection મળે તો યે કાં તો call-waiting પર ring જ વાગ્યા કરે અથવા તો answering machine પર ચાલી જાય અથવા તો પછી signal busy જ આવ્યા કરે… શું થાય, કામમાં બહુ કામમાં છે માણસો… 🙂

Comments (8)

મુક્તક – વેણીભાઈ પુરોહિત

ગફલતી છું આદમી હું, ગમ નથી એનો મને
હું જ મારૂં છું રુદન ને હું જ મુજ રણહાક છું !
આટલી કાપી મજલ ને આટલું સમજી શક્યો,
હું જ મારો છું વિસામો, હું જ મારો થાક છું !

– વેણીભાઈ પુરોહિત

Comments (7)

ઝાંઝવાને રોજ પંપાળ્યા કરું – બકુલ રાવળ

વાદળાં અષાઢનાં ભાળ્યાં કરું
ઝાંઝવાને રોજ પંપાળ્યા કરું

સંકટો હું ઘર મહીં ઊભાં કરું
બારસાખે ગણપતિ સ્થાપ્યા કરું

ખોરડું તો સાવ ખાલી થઈ ગયું
પોપડાઓ દાનમાં આપ્યા કરું

હું દિગંબર થઈ ફરું મનમાં અને
વસ્ત્રથી તનને ફક્ત ઢાંક્યા કરું

બારણાને આગળા ભીડી દીધા
ઉંબર પર સાથિયા પાડ્યા કરું

ઝાડવાં ભાગોળના વાઢી દીધા
આંગણામાં લીમડા વાવ્યા કરું

આંકડા ઘડિયાળના મારાં ચરણ
કાળનો કાંટો બની વાગ્યા કરું

– બકુલ રાવલ

માણસનો સૌથી મોટો દુશ્મન એ પોતે જ હોય છે.

Comments (9)

કોણ છે ? – હનીફ સાહિલ

બંધ દરવાજાની ભીતર કોણ છે ?
હું જો બાહર છું તો અંદર કોણ છે ?

લાવ ચાખી જોઈએ ખારાશને
તું નદી છે તો સમંદર કોણ છે ?

કે સમયની રેત પર લિપિ લખી
આ પવન પૂછે નિરક્ષર કોણ છે ?

કોઈએ કંડારેલા પથ્થરને હું
રોજ પૂછું છું કે ઈશ્વર કોણ છે ?

કોણ વરસાવે છે પ્રશ્નોની ઝડી
ને રહે છે અનુત્તર, કોણ છે ?

– હનીફ સાહિલ

જવાબ ભલે ન એકેય આપતો. સવાલો મારા દિલને બેસુમાર દે.

Comments (13)

ગઝલ – ધ્વનિલ પારેખ

સોળે સજ્યા શણગાર પર તું હે ગઝલ, થઈ જા પ્રગટ
આ શબ્દના આધાર પર તું હે ગઝલ, થઈ જા પ્રગટ.

કાયમ કિરણની કામના કરતા રહો, સારું નથી;
આજે સકલ અંધાર પર તું હે ગઝલ, થઈ જા પ્રગટ.

વીંધી શકાતું હોય છે જ્યાં મત્સ્યને પળવારમાં,
ગાંડીવના ટંકાર પર તું હે ગઝલ, થઈ જા પ્રગટ.

વરસાદ વરસી જાય તો એ ભોંય ફાડી પ્રગટે પણ,
આ વીજના ચમકાર પર તું હે ગઝલ, થઈ જા પ્રગટ.

આકાશરૂપી મંચ પર નર્તન હવા કરતી રહે,
રણકાર પર, ઝણકાર પર તું હે ગઝલ, થઈ જા પ્રગટ.

– ધ્વનિલ પારેખ

કવિની ખુમારી છે… ગઝલ પાસે યાચના નહીં, માંગણી કરે છે બાકી સંવેદનાનો વરસાદ પડે તો તો ગઝલ પ્રગટ થવાની જ છે…

Comments (13)

ગઝલ – મધુમતી મહેતા

સંત કહે સહુ આવણજાવણ ભજ ગોપાલમ્
રામ ભજો કે બાળો રાવણ ભજ ગોપાલમ્

છાપ તિલક ના સમજ્યા કારણ ભજ ગોપાલમ્
લોટ જરીક ઝાઝું છે ચાળણ ભજ ગોપાલમ્

ડગલે પગલે ડાંટ ડરામણ ભજ ગોપાલમ્
સમજ અધૂરી શીખ સવા મણ ભજ ગોપાલમ્

કુબ્જા આંખે આંજે આંજણ ભજ ગોપાલમ્
અંધા ઉપર કરવા કામણ ભજ ગોપાલમ્

નાચ ન જાણે ટેઢું આંગણ ભજ ગોપાલમ્
કહેત કબીરા છોડ કુટામણ ભજ ગોપાલમ્

હાથ ન ધરીએ ઝોળી આપણ ભજ ગોપાલમ્
દાતો દરિયો મુઠ્ઠી માગણ ભજ ગોપાલમ્

ગદા, ચક્ર ક્યાં કરતા ધારણ ભજ ગોપાલમ્
ઊંધું ઘાલી ઊંઘે નારણ ભજ ગોપાલમ્

– મધુમતી મહેતા

અખાના છપ્પા યાદ આવી જાય એવી મજેદાર મત્લા ગઝલ…

Comments (15)

મુક્તક – પ્રફુલ્લા વોરા

ઝાકળ જેવું જીવે માણસ,
અજવાળાથી બીવે માણસ.
જીવતર આખું દોડી દોડી
ખાલીપાને પીવે માણસ.

– પ્રફુલ્લા વોરા

ભાવનગરની શિશુવિહાર સંસ્થા અનેક રચનાત્મક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે. ત્રીસેક વર્ષોથી નિયમિત યોજાતી કવિઓની ‘બુધસભા’ અને દોઢેક દાયકાથી દર વર્ષે યોજાતું કવયિત્રીસંમેલન (આ ઘટના તો કદાચ એકમાત્ર હશે!) એમની નોંધપાત્ર પ્રવૃત્તિઓ છે. બુધસભાના કવિઓની રચનાઓનો વાર્ષિક સંગ્રહ ‘નીરક્ષીર’ અને કવયિત્રીસંમેલનની રચનાઓનો વાર્ષિક સંગ્રહ ‘જ્હાન્વી સ્મૃતિ’ના નામે દોઢ દાયકાથી પ્રગટ થાય છે… આ સંગ્રહમાંથી એક નાનકડું પુષ્પ…

Comments (13)

હાઈકુ – ધનસુખલાલ પારેખ

પનિહારીના
પગલે, ફાટફાટ
કૂવાનું પાણી.

– ધનસુખલાલ પારેખ

કોઈ મને પૂછે કે કોઈ અસીમ સૌંદર્યવતી સ્ત્રીનું અભૂતપૂર્વ વર્ણન કરવા માટે કેટલા લાંબા કાવ્યની જરૂર પડે તો હું કહું, માત્ર સત્તર અક્ષરની !!!

Comments (17)

હું પહેલો મળી જઈશ – જવાહર બક્ષી

ભલે હમણાં તો હું થાકેલી પાંપણમાં ઢળી જઈશ,
કોઈ દી તો પરોઢી સ્વપ્નની જેમ જ ફળી જઈશ.

નહીં જીવવું પડે ભ્રમના ચહેરાઓની આડશમાં,
હરણનાં શિંગડાંઓ તોડીને હું નીકળી જઈશ.

સમયનો બાદશાહ ! ક્યારેક બિનવારસી મરી જાશે,
સવારે ખૂલશે દરવાજા, ને હું પહેલો મળી જઈશ.

પછી અંધારિયો ગઢ કાંગરા સાથે તૂટી પડશે,
કોઈ વેળા હું સૂરજનાં ટકોરા સાંભળી જઈશ.

– જવાહર બક્ષી

માત્ર ચાર શેરોમાં કદાચ ચાર વેદો જેટલો સંદેશ કવિએ ઠાંસી ઠાંસીને ભર્યો છે.  પરોઢી સ્વપ્નની જેમ ફળવાની આશા લઈને થાકેલી પાંપણમાં ઢળવું એ ખરી જાગૃતિ.  બીજો શેર ખૂબ જ ગહન છે… હરીન્દ્રભાઈ દવેનાં શબ્દોમાં કહું તો; “ભ્રમની સૃષ્ટિમાં જીવવું – એટલે જ થાકની સૃષ્ટિમાં જીવવું.  આપણે ભ્રમનાં ચહેરાઓ વચ્ચે જીવીને થાકી જતાં હોઈએ છીએ.  જીવવાનો થાક ક્યારેય કોઈને લાગ્યો નથી, પણ જીવવાના અભિનયનો થાક લાગે છે. અને આપણે થોડી જ ક્ષણોમાં જીવીએ છીએ, બાકીને ક્ષણોમાં અભિનય જ કરીએ છીએ.  આ ભ્રમના ચહેરાઓની વચ્ચેથી નીકળવા માટે હરણનાં શિંગડાઓ તોડવા પડે છે.  હરણનો સંબંધ મૃગજળ જોડે છે તો સુવર્ણમૃગ જોડે પણ છે અને આ છલનાની સૃષ્ટિ શિંગડા જેવી નક્કર લાગે તો પણ એ શિંગડા વચ્ચેનાં પોલાણ જેવી પોકળ છે.”  અહીં તારાપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ? કહેતાં કવિ આપણને કહી દે છે કે એ સૌથી પહેલા મળશે, જો સમયથી પર રહીને એમને મળી શકાય તો.  સૂરજનાં ટકોરા સાંભળવાની વાત એટલે કે તમસો મા જયોતિર્ગમય…

Comments (8)

અંધારું – પુરુરાજ જોષી

અજવાળું
ઘોંધાટ કરે છે
અંધારું તો પવનલહરના સ્પર્શે
મંદ, મધુર સુરાવલિ છેડતું
વાયોલિન!

અંધારામાં
મઘમઘતી માટી
અંધારાથી
સંગોપિતા પૃથ્વી
પુનર્જન્મની કરે પ્રતિક્ષા…

અંધારું
જળની પાટી પર
પવને પાડ્યા અક્ષર
ભૂંસે,
ગૂંથે
શિશુઓની બીડેલ આંખમાં
સ્વપ્નો.
યુવકો માટે રચતું
વસંતોત્સવ અંધારું
ને વિરહદગ્ધ હ્રદયો માટે
પાથરતું
અનંત અંધ સુરંગ.

– પુરુરાજ જોષી

અંધારાનો એક બીજો રંગ !

Comments (12)

એકલો – નિરંજન ભગત

હું એકલો છું મુજ ગેહ માંહી,
આ દેહ માંહી!
મુજ બંધ દ્વાર,
ને બહાર
ઊભો ઘન અંધકાર
કહે, ‘મને તું હ્રદયે જ ધાર!’
ઊભો વળી ચંચલ ત્યાં પ્રકાશ
કહે, ‘મને લે નિજ બાહુપાશ!’
હલત ન હાથ,
ન દ્વાર ખોલ્યું;
ને હૈયું ત્યાં તો સહસા જ બોલ્યું:
‘ના, સ્નેહસંધિ
આવો રચીને ઉભયે જ, સાથ!
ને ત્યાં લગી રહ્યાં છો પ્રવેશબંધી

મુજ ગેહ માંહી!’
હું એકલો છું મુજ દેહ માંહી!

– નિરંજન ભગત

પ્રકાશ કે અંધકાર બન્નેમાંથી કોઈને પણ એકલા સ્વીકારવાની કવિની તૈયારી નથી. બન્ને સાથે મળીને આવે તો જ વાત બને. અને જુઓ, જે નિર્ણય મન કરી શક્યું નહીં, એ હ્રદય એક જ ક્ષણમાં કરી લે છે.

Comments (13)

થાકી જશે ત્યારે ? – રમેશ પારેખ

ઊભાં રહીને ક્ષિતિજોનાં ચરણ થાકી જશે ત્યારે ?
વિહગ થઈ ઘૂમતું વાતાવરણ થાકી જશે ત્યારે ?

કિનારાની તરસ, સુક્કી નીરવતામાં વહ્યા કરશે
પરંતુ શું થશે જળનું, ઝરણ થાકી જશે ત્યારે ?

તમારા સ્પર્શની લીલાશમાં ખોવાયાં-ખોવાયાં
હરણ થઈને ફર્યાં કરતા સ્મરણ થાકી જશે ત્યારે ?

ઊંટો પડછાયે-પડછાયે મૂકી નીકળી ગયા,પાછળ
દિશા વચ્ચે ઘૂમરીઓ ખાતું રણ થાકી જશે ત્યારે ?

મને આપ્યા કરે બળતાં સતત જંગલ ઉદાસીનાં
પરંતુ હાંફતું પગનું સરણ થાકી જશે ત્યારે ?

હવે શ્રદ્ધા નથી રહી કોઈ સંભવમાં મને કોઈ
તમે જે નામ લો તે નામ પણ થાકી જશે ત્યારે ?

– રમેશ પારેખ

આમ તો મારી પાસે આમાંના એકપણ પ્રશ્નનો જવાબ નથી,પરંતુ છેલ્લો પ્રશ્ન રાતોની ઊંઘ હરામ કરી દે તેવો છે…..

Comments (22)

ગઝલ – આદિલ મન્સૂરી

નક્ષત્રો, ગ્રહો, ચાંદ, સિતારાઓ ફરે છે
દરવેશની તસ્બીહના મણકાઓ ફરે છે

હોડી તો અચળ સ્થિર ઊભી પાણીની વચ્ચે
નદીઓ ને સમુદ્રો ને કિનારાઓ ફરે છે

ચાખડીઓયે છોડી ગયા દશરથા કુંવર તો
દસ માથાં લઈ લંકાના રાજાઓ ફરે છે

યાત્રીના પગો માર્ગમાં ખોડાઈ ગયા ને
ચોમેર હવે એકલા રસ્તાઓ ફરે છે

હા, સ્પર્શ તો ફૂલોથીયે કોમળ હતો આદિલ
રગરગમાં પછી કેમ આ કાંટાઓ ફરે છે

– આદિલ મન્સૂરી

ત્યાગી શકે એ જ રાજા, બાકી દસ માથાંનો ગર્વ કદી રાજ કરી ન શકે…

Comments (6)

કેમ સમજાયો ! – હરજીવન દાફડા

કોઈને આમ સમજાયો, કોઈને તેમ સમજાયો,
અઢી અક્ષર હતા તોયે ન પૂરો પ્રેમ સમજાયો.

જીવનનો દાખલો કોનો હશે સાચો, ખબર ક્યાં છે ?
ગણી નાખ્યો હતો સૌએ સ્વયંને જેમ સમજાયો.

સદીઓથી ખીલા ફરતે હજી ચક્કર લગાવો છો,
ભલા માણસ ગતિનો અર્થ તમને એમ સમજાયો ?

તમે આનંદને જોતા રહ્યા અવસાદની આંખે,
અમંગળ પત્ર વાંચ્યો મેં તો કુશળક્ષેમ સમજાયો.

યુગોની યાતનામાંથી નીકળતાં વાર ના લાગી,
એ ખડકી ખોલવાનો ભેદ અમને કેમ સમજાયો !

-હરજીવન દાફડા

હરજીવન દાફડાની આ ગઝલ અસ્મિતા પર્વ, મહુવા ખાતેના કવિસંમેલનના જીવંત પ્રસારણ સ્વરૂપે ટી.વી. પર સાંભળી હતી ત્યારે ખીલા ફરતા ચક્કર લગાવવાની વાતવાળો શેર કાગળ પર ટાંકવા મજબૂર થઈ ગયો હતો. ગઝલના પહેલા ત્રણ શેર પહેલી નજરે જ ગમી જાય એવા મજાના થયા છે પણ આખરી બે શેરમાં કવિ એના સાચા સ્વરૂપે પ્રગટ થાય છે. કુશળક્ષેમવાળો શેર વાંચતા જ ‘युधिष्ठिर को कोई दुर्जन नहीं मिला और दुर्योधन को कोई सज्जन नहीं मिला’વાળો પાઠ યાદ આવી જાય છે. અને આખરી શેર જેટલો ધીમેથી ખુલે છે એટલો જ વધુ અર્થગહન બન્યો છે. આંખની આગળ એષણાના પડળ બાઝી ગયા હોય કે સંબંધના ‘અમે’ને ‘હું’ની બંધ ખડકી નડતી હોય યા મુક્તિનો માર્ગ મોહ-માયાએ ગોપિત કરી દીધો હોય ત્યારે જીવનમાં યાતના સિવાય શું બચે છે? અને આ બંધ બારીઓ એકવાર ખોલી નાંખો તો પછી….?

Comments (12)