તમારી આંખડી કાજળ તણો શણગાર માગે છે
આ કેવી રોશની છે કે જે સદા અંધકાર માગે છે
– અમર પાલનપુરી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for October, 2010

અધૂરી વારતા – દલપત ચૌહાણ

માંડી એક વારતા સાવ રે અધૂરી
સાવ રે અધૂરા એના છંદ;
વાયરે બેસીને ક્યાંક ગ્હેક્યો’તો મોરલો
સાવ રે અધૂરા પડછંદ.
માફો ને સાફો ને ગજવેલી આંખોમાં,
રમ્યા કરે છે કંઈક બોલ,
મીઠું મલક્યા ને કૈંક લીધા રિસામણે,
જીવ્યા કર્યું છે કૈંક લોક,
ફળિયાના શ્વાસોની આછેરી પાંખોથી,
શેણે બંધાયો સંબંધ ?
માંડી એક વારતા સાવ રે અધૂરી
સાવ રે અધૂરા એના છંદ;
વાયરે બેસીને ગ્હેક્યો’તો મોરલો
સાવ રે અધૂરા પડછંદ.
પાદરથી દૂરે પેલા આભલાની પાળે,
પદરવની વારતાઓ ડૂબી.
ચાલ્યા તણો સાદ કોણ હવે દેતું ?
ગયા ઢીંગલાંની વાતને ભૂલી.
સ્હેજ ભલે વારતાઓ માંડો અધૂરી,
હૈયું તો બાંધે સંબંધ.
માંડી એક વારતા સાવ રે અધૂરી
સાવ રે અધૂરા એના છંદ;
વાયરે બેસીને ક્યાંક ગ્હેક્યો’તો મોરલો
સાવ રે અધૂરા પડછંદ.

– દલપત ચૌહાણ

[ માફો = ગાડાને ઉપરથી વીંટાળવામાં આવતું કપડું જેથી ગાડામાં બેઠેલી વ્યક્તિ દેખાય નહિ.]

Comments (5)

(પૉસ્ટ ૨૦૦૦ +) આજની ઘડી રળિયામણી…

સખી ! આજની ઘડી રળિયામણી રે,
મારો વહાલોજી આવ્યાની વધામણી જી રે…..સ0

પૂરો પૂરો, સોહાગણ ! સાથિયો રે,
મારે ઘેરે આવે હરિ હાથિયો જી રે…..સ0

સખી ! લીલુડા વાંસ વઢાવીએ રે,
મારા વહાલાજીનો મંડપ રચાવીએ જી રે…..સ0

સખી ! મોતીડે ચોક પુરાવીએ રે,
આપણા નાથને ત્યાં પધરાવીએ જી રે…..સ0

સખી !  જમનાજીના નીર મંગાવીએ રે,
મારા વહાલાજીના ચરણ પખાળીએ જી રે…..સ0

સહુ સખીઓ મળીને વધાવીએ રે,
મારા વહાલાજીને મંગળ ગવરાવીએ જી રે…..સ0

સખી ! રસ આ મીઠડાથી મીઠડો રે,
મહેતા નરસૈંયાનો સ્વામી દીઠડો જી રે…..સ0

– નરસિંહ મહેતા

‘લયસ્તરો’ની અનવરત મુસાફરીમાં આજે એક નવો માઇલ સ્ટૉન ઉમેરાઈ રહ્યો છે… ગયા અઠવાડિયે જ લયસ્તરોએ ૨૦૦૦ પૉસ્ટ પૂરી કરી… પણ કવિશ્રી વિપિન પરીખની કવિતાઓ મૂકવાનું થયું એટલે એ ઉજવણી પડતી મૂકી… આમેય લયસ્તરો પર મૂકાતી દરેક કવિતા પોતે જ એક ઉત્સવ છે, ખરું ને ?

ઇન્ટરનેટ ઉપર ગુજરાતી કાવ્યવિશ્વમાં આ ઘટના પહેલવહેલીવાર આકાર લઈ રહી છે એનો આનંદ છે પણ આ સફરમાં આપ સહુ અમારા હમસફર બનીને સતત સાથે ને સાથે જ રહ્યા છો એનો આનંદ સવિશેષ છે… આજની આ રળિયામણી ઘડી પર આદ્ય કવિ નરસિંહ મહેતાના આ ગીત સિવાય બીજું શું સૂજે ભલા?

ધવલ-વિવેક-ઊર્મિ-તીર્થેશ
(ટીમ લયસ્તરો)

Comments (29)

વૃક્ષકાવ્યો – ધૂની માંડલિયા

માત્ર વૃક્ષો જ નહીં
સાથે
છાંયડો પણ કપાય છે.

*

પલંગ
ઉપર સૂઉં છું
ને
એક વૃક્ષ
સતત ઊડાઊડ કરે છે
મારી આસપાસ
ઉપર-નીચે.

*

ચોમાસું ક્યારે ?
એ જાણવા
વૃક્ષો પંચાંગ નથી જોતાં.

*

દોસ્ત,
ભીંતનું અને વૃક્ષનું
તૂટી પડવું
એકસરખું નથી.

*

વૃક્ષને
જ્યારે પ્રથમ ફળ
બેસે છે ત્યારે
સીમ આખી ઊજવે છે
ઉત્સવ.

– ધૂની માંડલિયા

ધરતીને ભલે આપણે મા ગણતાં હોઈએ, વૃક્ષ આપણી ધોરી નસ છે. કવિની સંવેદનામાં વૃક્ષોના પાંદડા ન ફરકે તો એનું કવિત્વ શંકાશીલ ગણવું. કમનસીબી જોકે એ છે કે વૃક્ષપ્રીતિના કાવ્ય આપણે વૃક્ષમાંથી બનેલા કાગળ પર જ લખવા પડે છે…

Comments (10)

મુક્તક -કૈલાસ પંડિત

એકાદ એવી યાદ તો છોડી જવી હતી,
છુટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી;
વહેતા પવનની જેમ બધું લઇ ગયા તમે,
થોડીઘણી સુગંઘ તો મૂકી જવી હતી !

-કૈલાસ પંડિત

Comments (11)

(સૂર્યનું પુષ્પે ઝિલાતું બિંબ છું) -ચિનુ મોદી ‘ઇર્શાદ’

સૂર્યનું પુષ્પે ઝિલાતું બિંબ છું,
હું દૂભાતું, કોચવાતું બિંબ છું.

તું સપાટી પર મને શોધ્યા ન કર,
પાણીમાં તળિયે લપાતું બિંબ છું.

સાવ સામે ક્યાં જરૂરી હોઉં છું ?
હું અરીસામાં મઢાતું બિંબ છું.

કેમ અટકી જાઉં છું કોને ખબર ?
રાત પડતાં ખોટકાતું બિંબ છું.

કાયમી માયા ગઈ ‘ઇર્શાદ’ની,
તીક્ષ્ણ પળથી ઘસાતું બિંબ છું.

(27/9/2008)

-ચિનુ મોદી ‘ઇર્શાદ’

આજે ચિનુકાકાને ‘વલી’ એવોર્ડ મળવા જઈ રહ્યો છે ત્યારે આજે એમની આ ગઝલ માણીએ…

લયસ્તરોનાં વાચકો માટે ચિનુકાકાનો ખાસ સંદેશ:

‘વલી ‘ ગુજરાતી ગઝલ એવોર્ડ ૨૦૧૦ જયારે ૨૮ મી ઓક્ટોબર નાં રોજ સાંજે ૭ વાગે મને મળવા જઈ રહ્યો છે ત્યારે હું આપ સૌને આમંત્રિત જ નહિ પરંતુ ઇચ્છિત ગણું છું. આપ સૌ ત્યાં હાજરી આપી ને આ એવોર્ડ ને વધુ ગૌરવભેર બનાવશો. સ્થળ – ભાઈકાકા હોલ , લો-ગાર્ડન , અમદાવાદ.

શ્રી ચિનુકાકાને લયસ્તરો.કૉમ, ઊર્મિસાગર.કોમ અને ટહુકો.કૉમ તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ…

Comments (16)

(આખરની તૈયારી) – વિપિન પરીખ

vipin

****

હું તો એનો એ જ છું
હું કોઈ મ્હોરું પહેરતો નથી કારણ કે મને એની જરૂર જ નથી.
આ સઘળા ધર્મમાંથી
મેં એક જ ધર્મ નીભાવ્યો છે.
એ છે માણસાઈ.

મારે જલદી દોડવું છે
કે જરા જેટલો સમય જ રહ્યો છે.
ચૂસકીઓ ભરવામાં હવે ઝડપ રાખવી છે.
મારા દિલમાં કોઈ બોજ નથી
બેદરકારીઓનો કે ભૂલોનો
જે મારાથી થઈ છે કે થતા રહી ગઈ છે.

– વિપિન પરીખ
(અનુ. ધવલ શાહ)

વિપિન પારીખને કાવ્યાંજલીની શ્રેણીમાંનુ  આ આખરી કાવ્ય બહુ ખાસ રચના છે. ફ્રેબ્રુઆરીમાં કવિએ આ રચના એમના મિત્ર અનિલ પરીખને લખીને આપેલી. અનિલભાઈએ આ રચના ખાસ લયસ્તરોના વાંચકો માટે મોકલી છે.

આમ તો કવિએ મૃત્યુ વિશે અઢળક લખ્યું છે. પણ આ કવિતા આપણા કાવ્ય-ઈતિહાસનું એક વિરલ પાનુ છે. આવી જણસ આપણને બધાને માણવા મળે છે એ બહુ મોટી વાત છે.

Comments (16)

એક ટૂંકો પરિચય – વિપિન પરીખ

મૃત્યુ સફેદ હોય છે
ચાદર જેવું

મૃત્યુ ઠંડું હોય છે
બરફ જેવું

મૃત્યુ હુકમનું પાનું છે.
મૃત્યુ શંકરના હાથનું ડમરું છે.
મૃત્યુ બિલાડીના પગ છે.
મૃત્યુ કાલીની જીભથી ટપકે છે લાલલાલ …

– વિપિન પરીખ

પાંચે ઈન્દ્રિયથી મૃત્યુને માપી લેતી વામન પગલા સમાન કવિતા.

Comments (5)

સૂર્યનું છેલ્લું કિરણ – વિપિન પરીખ

હિમાદ્રીએથી સરકી જઈને
પડે પ્રપાતે વળી ડૂબકી દઈ
તરે સરિતે થઈને પ્રફુલ્લ;
ને સૂર્યમુખી ચૂમીને લજાળ
ક્યાંયે જતું શ્યામલ અશ્વ-પીઠે !

– વિપિન પરીખ

વિપિન પરીખની કવિતા અંગે બે મત પ્રચલિત છે. એક વર્ગ એમને કવિ તરીકે માનવા તૈયાર નથી અને બીજો વર્ગ એમની કવિતાઓનો આશિક છે. કવિ પોતે આ વાત સ્વીકારે છે. બહુધા આપણે એમ માનીએ છીએ કે વિપિન પરીખ એટલે ઊર્મિશીલ અછાંદસ કાવ્યોનો શહેનશાહ જે કાવ્યાંતે ધારી ચોટ આપીને ભાવકને જકડી લે છે… એક નજર આ કવિતા ઉપર કરીએ… માત્ર પાંચ જ લીટીના કાવ્યમાં કવિ જૂજ શબ્દોની મદદથી સૂર્યના છેલ્લા કિરણનું કેવું સબળ ચિત્ર નીપજાવી શક્યા છે ! અને છે અછાંદસ પણ એનો લય કેવો પ્રબળ છે!! આ પણ વિપિન પરીખ છે……

Comments (13)

જતાં જતાં – વિપિન પરીખ

સલામ મારા દેશને – મારા દેશની માટીને,
મારા ભેરુઓને
જેમણે મારા શૈશવના ખૂણેખૂણાને આનંદથી કલ્લોલિત કર્યો.

સલામ પેલા ગુલાબના ફૂલને
જેણે મારા આકાશમાં મુલાયમ સ્વપ્નો ગૂંથ્યાં.

સલામ પેલી દર્દભરી કોયલને
જેણે મારા હૃદયને આંબાનું વૃક્ષ બનાવ્યું.

સલામ પેલી કામધેનુને જેણે પોતાની અમીધારાથી
મારા શરીરના કોષોને ધબકતા રાખ્યા.

સલામ મારી માને જેની આંખોએ મને ક્યારેય દૂર ન કર્યો.
અને સલામ શબ્દોને
જેમણે મારા હોઠને સતત ગૂંજતા રાખ્યા.

– વિપિન પરીખ

અછાંદસસમ્રાટ વિપિન પરીખનો ક્ષર દેહ નહીં, માત્ર અ-ક્ષરદેહ હવે આપણી વચ્ચે રહી ગયો છે ત્યારે કવિહૃદયનો યથાર્થ નિચોડ આપતું આ કાવ્ય સહેજે પ્રસ્તુત બની રહે છે. માણસ ખરા હૃદયથી કોને કોને સલામ ભરે છે જાણીએ તો માણસને આખેઆખો સમજી લેવાય… કવિ પણ પોતાનો બાયો-ડેટા આપવામાં પારદર્શક રાજીપો બતાવે છે…

Comments (9)

વિપિન પરીખ હવે નથી.

કવિ વિપિન પરીખ 16 તારીખે મુંબઈમાં અવસાન પામ્યા.  એક વખત અનાયાસ એમનો સંગ્રહ ‘કોફી હાઉસ’ હાથ લાગી ગયો ત્યારથી એમની ઓળખાણ થયેલી. ‘કોફી હાઉસ’માંની એમની સંવેદનશીલ, ચોટદાર અને છંદના ટેકા વિના ટટ્ટાર ઊભી રહેતી કવિતા, એવી દિલ પર વરસી કે એ ઘડીથી એમની સાથે માનસિક ઘરોબો થઈ ગયો.  એમની કવિતામાં જરૂરતથી વધારે એક પણ શબ્દ ન હોય. અને હંમેશા જરૂરતથી થોડી ઓછી નાટકીયતા હોય. અને એક વાર સમજાય તો રાતભર જાગવાની તૈયારી રાખવાની એટલી ધાર હોય. ઉંમરમાં એ સીત્તેરની ઉપર છે (એટલે કે ટેકનીકલી ‘આગલી પેઢીના કવિ’ છે) એવું એમની કવિતામાં કદી દેખાયું નથી. એ રીતે એમની કવિતા સમયને અતિક્ર્મી ગઈ છે.

એમના પોતાના જીવન વિષે ખૂબ જૂજ માહિતી ઉપલબ્ધ છે. એમનું કુટુંબ મૂળ ચીખલીથી. પણ એમનો જન્મ 1930માં મુંબઈમાં. પહેલા મૉડર્ન સ્કૂલ અને પછી વિદ્યાભવનમાં અભ્યાસ. આજીવન વ્યવસાય કૌટુંબિક હાર્ડવેરનો ધંધો. કવિતા મોડી ઉંમરે શરૂ કરી. ત્રણ સંગહો કર્યા: આશંકા (1975), તલાશ (1980) અને કોફી હાઉસ(1998). મારી… તમારી… આપણી વાત… (2003)માં એમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઈ છે. સંગીત અને જ્યોતિષ એમના ખાસ શોખ.  (પૂરક માહિતી માટે આભાર : મહેશ દલાલ)

આજે પ્રસ્તુત છે એમની પ્રસિદ્ધ કવિતા એમના પોતાના હસ્તાક્ષરમાં. આવનારા દિવસોમાં એમની થોડી વધુ કવિતાઓથી એમને યાદ કરીશું.

Scan90002

Comments (16)

મુક્તક -બરકત વિરાણી ‘બેફામ’

દુ:ખ ને સુખ અંતમાં – તાસીરમાં સરખાં નીકળ્યા,
સાર તકદીર ને તદબીરમાં સરખાં નીકળ્યા;
કે મળ્યાં અશ્રુ ને પ્રસ્વેદ ઉભય નીર રૂપે,
સ્વાદ પણ બેયના એ નીરમાં સરખા નીકળ્યાં.

– બરકત વિરાણી ‘બેફામ’

Comments (9)

હો રંગ રસિયા -અવિનાશ વ્યાસ

હો રંગ રસિયા, ક્યાં રમી આવ્યા રાસ જો ?
આ આંખલડી રાતી રે, ઉજાગરો ક્યાં રે કીધો ?

આજ અમે ગ્યા’તા મણિયારાને હાટ જો,
આ ચૂડલિયું રે મૂલવતાં વ્હાણલાં વાઈ ગિયાં.    હો રંગ o

આજ અમે ગ્યા’તાં દોશીડાને હાટ જો,
આ ચૂંદલડી રે મૂલવતાં વ્હાણલાં વાઈ ગિયાં.   હો રંગ o

આજ અમે ગ્યા’તાં મોચીડાને હાટ જો,
આ મોજડિયું રે મૂલવતાં વ્હાણલાં વાઈ ગિયાં.   હો રંગ o

-અવિનાશ વ્યાસ

આજકાલ ચાલી રહેલી આ ગરબા-રાસની મૌસમમાં આજે અવિનાશભાઈનો એક ખૂબ જ લોકપ્રિય રાસ માણીએ… ઉષા મંગેષકર અને હેમુ ગઢવીનાં સ્વરમાં આ રાસ આપ અહીં સાંભળી શકો છો.

Comments (4)

કાળો સૂરજ ધોળો સૂરજ – જગદીશ દવે

કાળો સૂરજ ધોળો સૂરજ
અલપ ઝલપ દેખાતો સૂરજ
કદી ન જોયો રાતો સૂરજ
કદી ન એ મદમાતો સૂરજ

કાર્ડબોર્ડનાં બૉક્સે બેસી
ટાઢ ટાઢ પોકારે સૂરજ
છાપાંઓની વચ્ચે પેસી
શરીરને સંગોપે સૂરજ

‘થ્રો અવે’ના ડબલાંમાંથી
ફૂડ-ડ્રિંક ફંફોસે સૂરજ
થોડું થોડું મળી રહે તો
‘ટેક અવે’ યે કરતો સૂરજ

ભરબપ્પોરે રસ્તા વચ્ચે
બાળક થઈને ભીખે સૂરજ
બેકારીની અઘોર સાંજે
‘મગીંગી’ કરી નાસે સૂરજ

ઑકસ્ફર્ડ સ્ટ્રીટમાં વીલી નજરે
‘વિંડો શોપીંગ’ કરતો સૂરજ
ચોકિયાતોનું ધ્યાન ચૂકવી
‘શોપ લિફ્ટીંગે’ કરતો સૂરજ

ટ્યુબ તણી ગુફાઓ વચ્ચે
ગીતોને પડઘાવે સૂરજ
જતા આવતા લોકો પાસે
પેનીઓ ઉઘરાવે સૂરજ

ગલીકૂચીમાં જઈને છાનો
બે આંસુ ટપકાવે સૂરજ
પાદવિહીન પંગુ એકાકી
સાતે અશ્વો શોધે સૂરજ

– જગદીશ દવે

આ સૂર્ય-મિમાંસા એક રીતે સૂર્ય-સંતાન માણસોની મિમાંસા છે. કવિતા બ્રિટનમાં રચાયેલી છે ને એમાં બહુ સ્વાભાવિક રીતે જ અંગ્રેજી શબ્દો આવે છે. સૂર્ય-સંતાનોની ટેવ-કુટેવોનું બારીક દર્શન કવિતાને બહુ સશક્ત બનાવે છે.સૂર્યનું humanization છેલ્લી પંક્તિઓમાં ચરમ સીમાએ પહોંચે છે.

(ટ્યુબ=લંડનની સબવે, મગીંગ=લૂંટી લેવું)

Comments (5)

સહવાસ – વિપિન પરીખ

હું તને એમ નહીં પૂછું
“તારી આંખમાં આંસુ કેમ છે ?”
માત્ર એટલું જ કહીશ
“આવ, મારી બાજુમાં બેસ !”

– વિપિન પરીખ

વેદનાનું પોસ્ટમોર્ટમ કરવા ન બેસાય. એને તો હૂંફમાં પીગળાવી દેવાની હોય. સ્પર્શમાં ઓગાળી દેવાની હોય. ચાર આંખોની વચ્ચે સન્માનપૂર્વક દફનાવી દેવાની હોય.

Comments (17)

ખામોશી – રઈશ મનીઆર

જિંદગીભર વણી છે ખામોશી,
એક ચાદર બની છે ખામોશી.

કાનમાં તેં કહી છે ખામોશી,
એ જ કાયમ રહી છે ખામોશી.

દ્વાર પર મેં પ્રથમ ટકોરા કર્યા,
ને પછી સેરવી છે ખામોશી.

બેઉ સ્થળનો છે આગવો વૈભવ,
ત્યાં છે કલરવ,અહીં છે ખામોશી.

આપલે થઇ શકે છે વાણીની,
આપણી આપણી છે ખામોશી.

શબ્દ મારા સ્વભાવમાં જ નથી,
એ તો બસ છટપટી છે ખામોશી.

સાંભળ્યા છે અવાજ સૌના ‘રઈશ’
ને પછી જાળવી છે ખામોશી.

– રઈશ મનીઆર

આ ગઝલ વિષે કવિના પોતાના ઉદગારો- “આ ગઝલ હું મુશાયરાઓમાં નથી સંભળાવતો. આ મારી પ્રિય ગઝલોમાંથી એક છે. એક જ ગઝલના અલગ અલગ શેરોનું ભાવવિશ્વ અલગ અલગ હોય છે. ગઝલોમાં એકસૂત્રતાનો ,સાતત્યનો અભાવ હોય છે. આ ગઝલસ્વરૂપની મર્યાદા છે. અન્ય કલાકારોની માફક મારી ગઝલો પણ આ મર્યાદાથી ગ્રસ્ત હોય છે. પરંતુ આ ગઝલ ‘ખામોશી’ આ મર્યાદાથી મુક્ત છે. ‘ખામોશી’ રદીફ આ ગઝલને એક તાંતણે બાંધે છે,એક સળંગ ભાવવિશ્વ ખડું કરે છે. ……અહી મૌન દ્વારા,ખામોશી દ્વારા ઉદાસીના ગૌરવપૂર્ણ સ્વીકારની વાત છે. ….ખામોશીની અનેક ભાવછટાઓ અનાયાસે ગઝલમાં ઊતરી આવી છે.”

Comments (21)

ઉમાશંકર વિશેષ :૧૬: થોડો એક તડકો

UJ with Devika Dhruv
(1966-67માં કોલેજ (SY BA)ના વાર્ષિકોત્સવ નિમિત્તે યોજાયેલ કાવ્યપઠન સ્પર્ધામાં તૃતીય વિજેતા નીવડેલ શ્રીમતિ દેવિકાબેન ધ્રુવનું કવિશ્રી ઉમાશંકર જોશીના વરદ હસ્તે સન્માન)

*

થોડોએક તડકો ઢોળાઈ ગયો આભથી.

કાળાં ભમ્મર હતાં વાદળાં છવાયાં,
છૂપા હતા દૂર દૂર રવિરાયા,
સાંજની ઢળી હતી ઘનઘેરી છાયા,
ઓચિંતી આવી વાયુલહરી કહીંયથી,
થોડોએક તડકો ઢોળાઈ ગયો આભથી.

તરુઓની ડાળીઓએ પડતો એ ઝીલ્યો,
પાંદડાની લીલી કટોરીઓમાં ખીલ્યો.
ઊડતાં પંખીની પાંખ કહે : કો ભરી લ્યો !
કૈંક મારે હૈયે ઝીલ્યો મેં મથી મથી.
થોડોએક તડકો ઢોળાઈ ગયો આભથી.

– ઉમાશંકર જોશી
(તા. 31 ઓગષ્ટ, 1947)

*

કવિ શ્રી ઉમાશંકર જોશીના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીની વધુ એક કડી… બ્લૉગજગતમાં જાણીતા શ્રીમતિ દેવિકાબેન ધ્રુવના આલ્બમમાંથી એક તસ્વીર અને સાથે જ એમણે મોકલાવેલ કવિશ્રીની એમની પસંદગીની એક રચના આજે સાથે સાથે માણીએ…

Comments (13)

એક ચા મંગાવ – નયન દેસાઈ

અફવાથી છાપું ભરવાનું ચાલ, નયન એક ચા મંગાવ
આજ નથી કંઈ બનવાનું ચાલ, નયન એક ચા મંગાવ

એક નદી તરસી હાલતમાં ઉમ્બરલગ આવી શું કામ ?
પંચ નથી કોઈ નીમવાનું ચાલ, નયન એક ચા મંગાવ

હાથ સૂરજનો બારીના સળિયા પાછળ કે, સાંજ પડી
દિનભરના તડકા ભૂલવાનું ચાલ, નયન એક ચા મંગાવ

શહેર છે આખું મૂર્છિત હાલતમાં ગંદી કોઈ નાળીમાં
બોમ્બ ફૂટ્યાવીણ એ ઊઠવાનું ચાલ, નયન એક ચા મંગાવ

આમ સતત પડછાયામાં વહેંચાઈ જવાનો મતલબ બોલ !
કેમ દીવાલોમાં ઊગવાનું ? ચાલ, નયન એક ચા મંગાવ

ક્યાંકથી ચડ્ડી-બનિયનધારીઓનું કોઈ ટોળું આવે
તોય નથી પીડા લૂંટવાનું ચાલ, નયન એક ચા મંગાવ

-નયન હ. દેસાઈ

સંવેદનશીલતાનો અંચળો ફેરીને ફર્યા કરતાં આપણે સહુ બહુધા આપણી આજુબાજુ બનતી ઘટનાઓ પ્રત્યે ભીષ્મની સ્થિતપ્રજ્ઞતા જ સેવતા હોઈએ છીએ. ઘટના કોઈ પણ હોય આપણો પ્રતિભાવ એક-બે દિવસ અને ક્યારેક એક-બે અઠવાડિયા કે જવલ્લે જ મહિનાભર લંબાતો હોય છે… બોફોર્સ કૌભાંડ હોય કે ભોપાલ કાંડ, ઘાસચારાનું ભોપાળું હોય કે ગોધરાનો ટ્રેનકાંડ – આપણે થોડી જ વારમાં સહજ થઈ જતાં હોઈએ છીએ. દુનિયાનું જે થવું હોય એ થાય.. તું તારે ચા મંગાવ ને!

Comments (18)

ગરબો ગરબો – રિષભ મહેતા

ટહુકાનું એક નામ સખીરી ગરબો ગરબો
કરવા જેવું કામ સખીરી ગરબો ગરબો

પરોઢિયાનું સરનામું છે ચહેરા ઉપર
મધરાતે મુકામ સખીરી ગરબો ગરબો

જીવવાનું છે જેમાં પળપળ ઝળહળ ઝળહળ
સૂરજનું એક ગામ સખીરી ગરબો ગરબો

ત્રણ તાળીના લયમાં જડ ને ચેતન ધબકે
ધબકારાનું ધામ સખીરી ગરબો ગરબો

મૈયાની મમતાનો મીઠો રસ છલકાતો
પીવા જેવું જામ સખીરી ગરબો ગરબો

– રિષભ મહેતા

હાલમાં ચાલી રહેલી નવરાત્રિની આપ સૌ મિત્રોને લયસ્તરો તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

Comments (6)

ગઝલ -કિરણસિંહ ચૌહાણ

શ્વાસને નહિ ગણ, બધું સરખું જ છે
એક, બે કે ત્રણ, બધું સરખું જ છે.

એકસરખું જ્યાં સતત જીવાય ત્યાં,
એ યુગો – આ ક્ષણ, બધું સરખું જ છે.

હોય સાહસવૃત્તિ જેના લોહીમાં,
રણ કે સમરાંગણ, બધું સરખું જ છે.

રાહ જોવામાં હવે ક્યાં સાર છે ?
‘ના’ કહો કે ‘પણ…’, બધું સરખું જ છે.

જો ન એની આંખને વાંચી શકે,
લાખ પુસ્તક ભણ, બધું સરખું જ છે.

-કિરણસિંહ ચૌહાણ

Comments (21)

સાંવરિયો વટનો કટકો ! – દીપક ત્રિવેદી

સાંવરિયો વટનો કટકો !
ઘડી-ઘડીમાં રિસાતો-ભીંસાતો એનો લટકો !

ફૂલ ખીલે અધમધ રાતે ને ભરબપ્પોરે કિટ્ટા
અક્ષરને બદલે ચીતરતો આડા અવળા લીટા
મધદરિયે કહેતો: ‘અટકો!’
સાંવરિયો વટનો કટકો !!

નહીં હોડી નહીં હલ્લેસું, નહીં ફૂલપદમણી રાણી !
પાંપણમાં રેડી ચોમાસું વરસે એક કહાણી !!
એ રહે, આંખને ખટકો !
સાંવરિયો વટનો કટકો !!

– દીપક ત્રિવેદી

પોતાના વ્હાલા પણ વટના કટકા જેવા પ્રિતમ સામે આ ગીત મીઠ્ઠી ફરિયાદ છે. (પ્રિયતમાના લટકા ઉપર ઘણા ગીત જોવા મળશે, પણ અહીં ઊંધી જ વાત છે !) અડિયલ સાંવરિયો હંમેશ આડો ચાલે. ઘડી ઘડીમાં એની કમાન છટકે. અડધે રસ્તે કહી દે કે ‘અટકો’. પ્રેમકહાણી અચાનક જ પાંપણમાંથી વરસતા ચોમાસાની કહાણી થઈ જાય. અને આંખમાં વ્હાલા ખટકાની જેમ આ વટના કટકાને જાળવવો પડે. આ બધી મીઠ્ઠી ગડમથલ આ ગીતમાં વણાઈને આવે છે.

Comments (12)

એની સોબતમાં – ભરત વિંઝુડા

લોક અળગી અળગી બાબતમાં મળ્યાં,
તો ય એની એ જ હાલતમાં મળ્યાં.

ઓળખી શકતો નથી હું કોઈને,
શી ખબર, સૌ કઈ મહોબતમાં મળ્યાં.

રંગબેરંગી છે એથી સાચવ્યા,
જે અનુભવ એની સોબતમાં મળ્યાં.

માણસોના ટોળાં ને ટોળાં અહીં,
એક માણસની જરૂરતમાં મળ્યાં.

અન્ય લોકોની ય પણ છે હાજરી,
આમ સૌ છેવટની દાવતમાં મળ્યાં.

– ભરત વિંઝુડા

આપણે બધા ટોળાં ને ટોળાં ભેગા કર્યે રાખીએ છીએ, ને ખરેખર જરૂરત હોય છે માત્ર એક જ માણસની.

Comments (19)

(-) કબીર અનુ. મોહનદાસ પટેલ

એક નિરંતર અંતર નાહીં,
હૌં સબહિનમેં ના મૈં નાહીં.
મોહિ બિલગ બિલગ બિલગાઈલ હો,
એક સમાના કોઈ સમુઝત નાહીં
જાતે જરા મરણ ભ્રમ જઈ હો.
રૈન દિવસ જે તહવા નાહીં,
નારિ પુરુષ સમતાઈ હો.
પઠયે ન જાવોં આને નાહીં આવો
સહજ રહૌ દુનિયાઈ હો,
સુરનર મુનિ જાકે ખોજ પડે હૈ
કછુ કછુ કબીરન પાઈ હો .

– કબીર

એક હું નિરંતર,અંતર મારે નથી,
સઘળાની માહીં હું છું,નહીં તો હું નથી.
સ્વતંત્રતાના ખ્યાલથી પણ સ્વતંત્ર છું.
એક હું સર્વવ્યાપી,કોઈ આ સમજતું નથી
સમજતે તો મોહ અને મૃત્યુનો ભ્રમ ચાલ્યો જતે.
રાત-દિવસ ત્યાં નથી
નર-નારીનો ભેદ નથી
મોકલાવ્યો ક્યાંય જતો નથી,બોલાવ્યો આવતો નથી
દુનિયામાં સહજ રીતે વિહરું છું.
જેને સુર નર મુનિ શોધી રહ્યા છે
કબીર તેને થોડું થોડું પામી રહ્યો છે.

-અનુ.: મોહનદાસ પટેલ

સંત કબીરને સામાન્ય રીતે તેઓના અદભૂત દોહાઓથી સૌ ઓળખે છે,પરંતુ તેઓનું ‘બીજક’ તત્વજ્ઞાનની ખાણ સમું છે. ભાષા થોડી મહેનત કરાવે તેવી હોય છે,પણ અર્ક અદભૂત હોય છે. પ્રસ્તુત કાવ્ય ‘અહં બ્રહ્માસ્મિ’ ના નાદને ઉદઘોષિત કરે છે.

Comments (14)

ગઝલ – લક્ષ્મી ડોબરિયા

કાં અધૂરી છોડ, અથવા…
વાત પૂરી જોડ, અથવા…

ત્યાંથી સમજણ થાય પગભર,
જ્યાંથી આવે મોડ, અથવા…

રીત ને રિવાજમાંથી,
કાઢ નોખા તોડ, અથવા…

નામ કે ઉપનામ માટે,
જિંદગીભર દોડ, અથવા…

છે સખત એ તારવી લૈ,
પળના મોતી ફોડ, અથવા…

હા, લગાવી લે હવે તું,
શૂન્ય માટે હોડ, અથવા…

જે નિયમનો ભાર લાગે,
બે-ધડક એ તોડ, અથવા…

– લક્ષ્મી ડોબરિયા

કેટલીક રદીફ ગઝલ અને ગઝલકારની શક્તિનો પૂરેપૂરો નિચોડ કાઢી લે એવી હોય છે. આ ટૂંકી બહેરની ગઝલ એવી જ એક પરીક્ષા છે.  અથવા જેવી અડધેથી છૂટી જતી રદીફ વાપરવી, નિભાવવી અને એક જ વાક્યમાંથી બે વાક્ય જન્માવવાનો સફળ પ્રયોગ કરવો એ સોયની અણી પર બેસીને કવિતા લખવા જેવું કામ છે. દરેક અથવા પછી એક નહીં લખાયેલું વાક્ય આખેઆખું વાંચી શકાય છે… કવયિત્રીને સો સો સલામ !

Comments (17)

ગઝલ – પંકજ વખારિયા

Pankaj Vakharia_Chhie paraspar sau nirbhar

(‘લયસ્તરો’ માટે ફરી એકવાર પંકજ વખારિયાના હસ્તાક્ષરમાં એક અક્ષુણ્ણ ગઝલ)

*

છીએ પરસ્પર સૌ નિર્ભર,
આપ, અમે ને સચરાચર

ઊઠે શ્વાસો ને સંયોગ
છંદોના પર્ણે મર્મર

શબ્દો સ્વાહા સ્વાહા થાય
કાગળ પ્રગટ્યો વૈશ્વાનર

ઝૂક, બરાબર ઝૂક અને –
સાંભળ કીડીનાં ઝાંઝર

મારો ‘હું’ પોઢી જાશે
તું વિસ્તર ને થા બિસ્તર

– પંકજ વખારિયા

પંકજની ગઝલો અમરપટો લખાઈને આવેલી ગઝલો છે. દરરોજ એક નવો ગઝલકાર ગુજરાતી કાગળ પર ફર્લાંગ ભરવી શરૂ કરે છે પણ મોટાભાગના સમયની ખીણમાં લુપ્ત થઈ જશે. પંકજ આ આખી ભીડમાં એક સુખદ અપવાદ છે. એની ગઝલો લોકો સુધી પહોંચે એ માટે આજે મિત્રોએ એને ધક્કો મારવો પડે છે પણ એટલું નક્કી છે કે આ ગઝલો એકવાર લોકો સુધી પહોંચી જશે પછી એ પંકજ પાસે નહીં આવે… એ લોકોની બની જશે!!

Comments (12)

તું – આકાશ ઠક્કર

ઓગળે ભીંતો પછી દેખાય છે તું
છેવટે તસવીર તારી થાય  છે તું .

જ્યાં મકાનોમાં ઊગે છે કલ્પવૃક્ષો
એ  ગલીને કેમ છોડી જાય છે તું !

દૂર જઈને કેટલે સંતાઈ  શકશે
બાળપણના સ્વપ્નમાં પકડાય છે તું !

કોઈ પણ ક્યાંયે લખે જો નામ મારું
અક્ષરો  વચ્ચે હવે  વંચાય  છે  તું .

છે હવે ‘આકાશ’ જાણે  કોઈ નકશો
આ ઋતુમાં એકલી  બદલાય છે તું .

– આકાશ ઠક્કર

Comments (4)

મુક્તક -રમેશ પારેખ

બધાને આવતો સરખો વિચાર હોઈ શકું,
અગર વિચારના વર્તુળની બહાર હોઈ શકું;
હું કોઈ નક્કી નથી કે મને વિચારી શકો,
જીવું ને જિંદગીમાંથી ફરાર હોઈ શકું !

-રમેશ પારેખ

Comments (8)

સાદ – શૂન્ય પાલનપુરી

પતવાર ને સલામ, સિતારાને રામરામ,
મજધારે જઈ રહ્યો છું, કિનારાને રામરામ.

ખુશ છું કે નાખુદાનું કશું ચાલશે નહીં,
નૌકાને તારનાર ઈજારાને રામરામ.

દિલને દઝાડતો રહ્યો; ભડકી શક્યો નહીં,
નિર્માલ્ય એવા પ્રેમ-તિખારાને રામરામ.

મારો જનાજો છે હવે મારી જ ખાંધ પર,
મૃત્યુ પછીના સર્વ સહારાને રામરામ.

દીધો છે સાદ ‘શૂન્ય’ ગહનતાઓએ મને,
કાંઠે ટહેલવાના ધખારાને રામરામ.

– ‘શૂન્ય’ પાલનપુરી

પરંપરાની ગઝલની પણ પોતાની મઝા છે. શેર ચોટદાર હોય તો કદી જૂનો થતો નથી. છેલ્લા ત્રણ શેર આજે ય એટલા જ નવા લાગે છે.

Comments (11)

વસંત – પાબ્લો નેરુદા (અનુ.સુરેશ જોષી)

પંખી આવી પહોંચ્યું છે
પ્રકાશ આપવા,
એના દરેક ટહુકામાંથી,
જળ જન્મે છે.

અને હવાને ઊખેળતાં જળ અને પ્રકાશ વચ્ચે
હવે વસંતનો પ્રારંભ થઈ ચૂક્યો છે.
હવે બીજને પોતાનાં પાંગરવાનું ભાન થઈ ચૂક્યું છે;
હવે મૂળ પુષ્પદલ પર બિરાજે છે,
આખરે પુષ્પરજના પોપચા ખૂલ્યાં છે.

આ બધું સિદ્ધ કર્યું એક સાદાસીધા પંખીએ
એક લીલી ડાળ પર બેઠાં બેઠાં.

– પાબ્લો નેરુદા ( અનુ. સુરેશ જોષી )

વસંત કુદરતનું એક બળકટ ષડ્યંત્ર છે. ને એ ષડ્યંત્રનો સમાહર્તા છે એક પંખી !

Spring

The bird has come
to bring light to birth.
From every trill of his,
water is born.

And between water and light which unwind the air,
now the spring is inaugurated,
now the seed is aware of its own growing;
the root takes shape in the corolla,
at last the eyelids of the pollen open.

All this accomplished by a simple bird
from his perch on a green branch.

– Pablo Neruda

Comments (6)

ફગાવીને બોજ – રાજેન્દ્ર શાહ

શિર પર ઉપાડીને આટલો આ ભાર જાઉં કહીં ?
કહીં મારું ચિરંતન ધામ ?
પથ શેષ નહિ,યાત્રાનો નહિ વિરામ,
કેડીએ કેડીએ તરુછાયા,વનફલ.
ઝરણ-વિમલ જલ,
ટહુકંત સીમ ભરી ભરી રહું લહી.

જોયું તે ન જોયું કંઈ,સુણ્યું તે ન સુણ્યું કર્યું, એમ
આજ લગી ખોવાયેલું હતું કહીં મન ?
નિરંતર અભાવનું આકુલ આક્રંદ !
નીજી કોલાહલ કંઈ ધીમો
થતા,દૂરનો ય સુણાય રે સૂર ઝીણો,
અમાસને અંધકાર અરુંધતીનું લાવણ્યે સોહાયને તેમ.
રહી રહી મારા પર હું જ હવે હસું.
જતને ધરેલ બોજ
ફગાવીને ખાલીપાની માણી રહું મોજ;
પગને શું ફૂટી જાણે પાંખ !
આકાશની નીલિમાની યે નડે ન ઝાંખ !
અનંત ને અગોચર જાણે નહિ દૂર એક તસુ.

ક્યાંય કશું રહે ન અંતર,
પ્રયાણ આ કેવળ સ્વપન
મનોમન !?
જે હો તે હો.
અવકાશમય બની રહેલને નાદ સંગ નેડો,
આપમેળે બાજી રહે ઝીણેરું જંતર.

– રાજેન્દ્ર શાહ

વાત થોડી બારીક છે- Eckhart Tolle નામક લેખકે તેના પુસ્તક – ‘ Power of Now ‘ માં ‘pain body’ – ‘ દુઃખનું પોટલું ‘ – નો ઉલ્લેખ કર્યો છે. ટૂકમાં કહીએ તો લેખક કહે છે કે આપણે સૌ ભૂતકાળના અનુભવો-ખાસ કરીને દુઃખદ અનુભવો અને પૂર્વગ્રહો-નું એક પોટલું ઊંચકીને આગળ વધતા હોઈએ છીએ જેથી યાત્રા આનંદદાયક રહેતી નથી. અહી કવિ એને ‘ નિરંતર અભાવનું આકુલ ક્રંદન ! ‘ -પંક્તિ સુધીમાં સ્પષ્ટ કરે છે. જેવો નિજ કોલાહલ ધીમો થાય છે કે તરત જ જાણે એક ક્રાંતિ થાય છે…. ‘ અરુંધતી ‘ એ સપ્તર્ષિ તારાજૂથ પાસે આવેલા અત્યંત ઝાંખા તારાનું નામ છે જે અમાસના અંધકારમાં સોહે છે. જયારે કોઈ અંતર જ રહેતું નથી ત્યારે પ્રયાણ કેવું ? – ટૂંકમાં કુંડલિની જાગ્રત થાય પછી તમામ દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે….

Comments (12)

મોહન-પગલાં – કૃષ્ણલાલ શ્રીધરાણી

“જાગો ! ઊઠો ! ભરતભૂમિનાં, રાષ્ટ્રનાં પુત્ર-પુત્રી !
જાલીમોના નખ ઉઝરડે લોહી વ્હેતી ધરિત્રી.”
માતા માટે જીવન ત્યજતાં જંગલી પ્રાણી-પક્ષી,
વર્ષા-વીજે શરીર ઘસતા ડુંગરા ભૂમિ રક્ષી.”

ગાજી ઊઠે અખિલ નભમાં મેઘનો જેમ નાદ,
સાતે સિંધુ ઉપર ફફડે કોઈ તોફાન સાદ,
એવાં એનાં રણ-રમણ-આહલેક નાં ગાન ગાજ્યાં,
ચૌટે, ચોરે, પુર, નગરમાં, ગામડે, લોક જાગ્યાં.

બિડાયેલા કમલદલમાં જેમ વર્ષે તુષાર,
મૃત્યુબીડ્યાં નયનકમલે અમૃતી છંટકાર;
એવા એના જન સકળનાં દુઃખથી આર્ત્ત નેને,
દૈવી દીપ્તિ અકળ પ્રગટી, લોક ઉત્સાહ વ્હેણે !

લોઢામાંથી ધન પ્રગટતું પારસી સ્પર્શ થાતાં !
માટીમાંથી અમર વચને, માનવી ઊભરાતા !

– કૃષ્ણલાલ શ્રીધરાણી

16 સપ્ટેમ્બર 2010ના રોજથી કવિશ્રી કૃષ્ણલાલ શ્રીધરાણીનું જન્મશતાબ્દી વર્ષ શરૂ થયું… કવિશ્રીને લયસ્તરો તરફથી સ્મરણાંજલિ આપવાની સાથોસાથ આજે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે એ મહામાનવને પણ હૃદયપૂર્વક સ્મરી લઈએ…

Comments (11)

ગઝલ – અનિલ ચાવડા

જ્યારથી એ જણ કશાની શોધમાં છે,
ત્યારથી આખું જગત વિરોધમાં છે.

ચાહું છું એને વધારે તીવ્રતાથી,
વ્યક્તિ જે જે મારી પ્રત્યે ક્રોધમાં છે.

માનવી ને પહાડ વચ્ચે ફેર શો છે?
એક આંસુમાં છે, બીજો ધોધમાં છે.

હોય છે માણસ પ્રમાણે સત્ય નોખાં,
મારું એ મારી કથાના બોધમાં છે.

કૂંપળો તો છેવટે ઊગી જ જાશે,
સેંકડો પથ્થર ભલે અવરોધમાં છે.

-અનિલ ચાવડા

ગઝલનું સૌથી મોટું સુખ એની શીઘ્ર પ્રત્યાયનક્ષમતા છે. કવિતા ઘણુંખરું દુર્બોધ હોય છે અને એમાં ઊંડે ઉતરવાની જરૂર પડતી હોય છે-મહીં પડ્યા તે મહાસુખ પામેની જેમ! પરંતુ મોટાભાગની ગઝલ શીરાની પેઠે ગળે ઉતરી જતી હોય છે.  ક્યારેક ગઝલની આ ઉપરછલ્લી સરળતા છેતરામણી હોય છે. છીપના બે ભાગ જેવા શેરના બે મિસરા સાચવીને ન ખોલીએ તો વચ્ચેનું મોતી ચૂકી પણ જવાય…  અનિલની આવી જ એક મોતીદાર ગઝલસહેજ સાચવીને ખોલીએ…

Comments (35)