ત્વચા પર રાતે મોકો શોધું છું હું ચોરની માફક
અને આ સ્પર્શ જાણે ભૂખ્યા આદમખોરની માફક
શોભિત દેસાઈ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for February, 2009

ગઝલ – પંકજ વખારિયા

મળી છે પાંખ પરંતુ ગગન નથી એથી,
ખરી રહ્યાં છે પીંછા ઊડ્ડયન નથી એથી.

તમન્ના હોય છતાં કંઈ જ થઈ નથી શક્તું,
પડી રહ્યા છે પતંગો પવન નથી એથી.

પડી છે સંપદા ભીતરમાં પણ, ધરા ઉજ્જડ
નથી ખણકતા ખજાના ખનન નથી એથી.

ઉડાઉ હાથે વ્યથા કેમ ખર્ચી નાંખે છે ?
પસીનો પાડી કમાયેલું ધન નથી એથી ?

હજીયે ધસમસી આવે છે આંખમાં પાણી
હજી આ દર્દનું અમને વ્યસન નથી એથી.

-પંકજ વખારિયા

પંકજ વખારિયા સુરતના ભંડકિયામાં સંતાઈ રહેલ એક અદભુત પ્રતિભા છે. વિશિષ્ટ કલ્પનોનો શિસ્ત પ્રયોગ અને અરૂઢ પ્રતીકોનો અનૂઠો ઉપયોગ એ પંકજની ગઝલોની ખાસિયત છે. સંસારમાં રહીને સંસારથી થોડો વેગળો ચાલતો આ કવિ ‘બાઝાર સે ગુઝરા હૂઁ, ખરીદદાર નહીં હૂઁ ‘ જેવી ફાકા-મસ્તી સાથે જીવે છે. ગઝલ ઓછી લખે છે પણ દરેકેદરેક શેર પર એક આખી ગઝલ જેટલી મહેનત કરે છે. છંદની સફાઈ પર જેટલું ધ્યાન આપે છે એટલું જ શેરમાંથી ઉપસી આવતી કવિતા પર પણ ધ્યાન આપે છે. અહીં આ પાંચ શેરમાંથી કોઈ એક પસંદ કરવો હોય તો અઘરું પડી જાય એમ નથી લાગતું ?

Comments (18)

ભીડથી ભીતર સુધી (ભાગ:૨) – મહેશ દાવડકર

મહેશની કવિતામાં કેન્દ્રગામી ગતિનું વલણ તરત વર્તાશે. એની યાત્રા બહુધા ભીતર સુધી જવાની યાત્રા છે. પ્રણયોર્મિને અહીં જૂજ જ અવકાશ છે. હળવા કલ્પનો ક્યારેક સ્પર્શી જાય છે પણ ભીતરનો વલોપાત અને સંજિદા અંદરુની તપાસ એ એમના પ્રધાન કાકુ છે. ભીડથી ભીતર સુધીની આ યાત્રા સતત ગુંગળામણની યાત્રા છે, એકલતા અને એકાંતના અંધારા ફંફોસવાની યાત્રા છે… કવિની વેદના માત્ર એના સ્વ પર જ હુમલો કરી શકે છે, સામાને ઠેસ પહોંચાડવાનો હુમલાખોર ભાવ કે જાત સિવાયનાની સામેની રાવ અહીં ક્યાંય જોવા મળતા નથી. આ ગઝલોમાં ક્યાંય દરવાજો નથી… આ ગઝલો પારદર્શક છે… આ ગઝલો ચોતરફ પથરાયેલી છે… જે તરફથી ઈચ્છા થાય, પધારો !

ચોતરફ એ છે ગમે ત્યાંથી પ્રવેશો,
ક્યાંય પણ હોતો નથી ઝાંપો હવામાં.

ગઝલ આ વાંચશે જ્યારે સ્મરણ તારું તને થાશે,
કે હમણાં આ ગઝલ લખતાં મને હું યાદ આવું છું.

પાછળ આવે છે એ સ્હેજ વિસામો પામે,
વૃક્ષ સમી કૈં ક્ષણ વાવીને આગળ જઈએ.

આગળ વધવામાં જાત જ આડી આવે છે,
જાત જરા અળગી રાખીને આગળ જઈએ.

તું કહે છે સ્વપ્ન થઈ આવીશ પણ,
ઊંઘમાંથી ત્યારે જાગી જાઉં તો ?

ઊડે પતંગિયા શા વિચારો અહીં-તહીં,
હળવે રહીને એને જો પકડી શકાય તો !

દ્વાર નથી એકે દેખાતું અંધારામાં,
કોઈ પાડો રે… બાકોરું અંધારામાં.

તારી લીટી કરું હું લાંબી લે,
મારી લીટી ભલે ને નાની થઈ.

સારું થયું કે એની નજર મારા પર પડી,
આવી ગયો હું જાણે અચાનક પ્રકાશમાં.

હું ઘટના જોઉં, સપના જોઉં ને જોઉં તને કાયમ,
મને ક્યાં હું કદી જોઉં છું, છે આરોપ મારા પર.

પારદર્શક લગાવ રાખું છું,
વાયુ જેવો સ્વભાવ રાખું છું.

જીવું છું એવું લાગે એથી તો,
રોજ થોડો તનાવ રાખું છું.

બે હાથ જોડતું પછી ચાલ્યું ગયું તિમિર,
આવીને કોઈ શ્વાસમાં દીવો કરી ગયું.

આભ જેવું વિસ્તરે છે જે સતત,
એને રસ્તા કે દિશાઓ કૈ નથી.

જળ રહે તો એની ગણના થાય છે,
જળ વગર ખાલી કિનારો કૈં નથી.

માત્ર ગતિથી ક્યાંય પહોંચાતું નથી,
ક્યાંક અધવચ્ચે પણ અટકવું પડે.

આગ અંદરની આ પાણીથી કદી બુઝાય નહિ,
આગ આ પ્રગટાવવામાં લોહીનું પાણી થયું.

-મહેશ દાવડકર

Comments (17)

અભ્યાસ – ગીતા પરીખ

અભ્યાસ કક્કા સમ જિંદગીનો
આરંભ કીધો ‘અ’ થકી અહો મેં,
અંતે પહોંચી ‘જ્ઞ’ સુધી છતાંયે,
રહી ખરા જીવનથી જ ‘અજ્ઞ’ !

– ગીતા પરીખ

આખી જિંદગી ભારે અભ્યાસમાં રચ્યા પચ્યા રહેતા લોકો ખરા જીવનને ચૂકી જાય છે. મુકુલભાઈનો યાદગાર શેર છે: હાથમાં રાખ્યા જીવનભર પેન ને પોથી સજનવા / પણ લખી અંતે જીવનની જોડણી ખોટી સજનવા !

Comments (8)

સોરઠા – ઉદયન ઠક્કર

જોગી બેઠો આસને, જાગ્રત કરવા પ્રાણ
એમાં થઈ મોકાણ : ઊલટાનો પગ સૂઈ ગયો

*

છેટો તું બે વેંતથી, જોવા ભાવી સાચ
જોશી, હાથ ન વાંચ, વાંચ અમારું બાવડું

*

લખચોરાશી ચૂકવી લીધેલું આ પાત્ર,
ભરશે એમાં માત્ર પાણી તું સુધરાઈનું ?

*

કાળી, મીઠી ને કડક : કૉફી છે કે આંખ ?
છાંટો એમાં નાખ, શેડકઢા કો સ્વપ્નનો

– ઉદયન ઠક્કર

બે લીટીમાં નટખટ  ફિલસૂફીને વણી લેતા રમતિયાળ સોરઠા તરત જ ગમી જાય એવા છે.  સૂક્ષ્મ વિનોદદ્રષ્ટિ અને શબ્દોનો ચબરાક ઉપયોગ એક ક્ષણમાં જ સ્મિત-વિજય કરી લે છે.

Comments (15)

અમર હોય જાણે – આદિલ મન્સૂરી

સંબંધોય કારણ વગર હોય જાણે,
આ માણસ બીજાઓથી પર હોય જાણે.

ઉદાસી લઇને ફરે એમ પાગલ,
રહસ્યોની એને ખબર હોય જાણે.

મકાનોમાં લોકો પુરાઇ ગયા છે,
કે માણસને માણસનો ડર હોય જાણે.

હવે એમ વેરાન ફાવી ગયું છે,
ખરેખર આ મારું જ ઘર હોય જાણે.

પવન શુષ્ક પર્ણો હઠાવી જુએ છે,
વસંતોની અહીંયા કબર હોય જાણે.

કરે એમ પૃથ્વી ઉપર કામનાઓ,
બધા માનવીઓ અમર હોય જાણે.

ક્ષિતિજરેખ પર અર્ધડૂબેલ સૂરજ,
કોઇની ઢળેલી નજર હોય જાણે.

– આદિલ મન્સૂરી

કોમળ શબ્દોમાં કવિએ બહુ ઊંડા સત્યો છૂપાવ્યા છે.  કરે એમ પૃથ્વી પર કામનાઓ મારો પ્રિય શે’ર છે. ભગવાન બુદ્ધે કહેલું કે મૃત્યુની આંખમાં જોઈને જીવે એ જ જિંદગીને સમજી શકે. આજે આપણે બધા સામૂહિક રીતે એ વાત ભૂલી ગયા છીએ જાણે.

ગઝલ મોકલવા માટે આભાર, તાહા મન્સૂરી.

Comments (17)

ભીડથી ભીતર સુધી (ભાગ:૧) – મહેશ દાવડકર

સુરતના અંતર્મુખ કવિ, સિદ્ધહસ્ત ચિત્રકાર અને શિક્ષક  શ્રી મહેશ દાવડકરના પ્રથમ ગઝલસંગ્રહ ‘ભીડથી ભીતર સુધી’નો લોકાર્પણ સમારોહ આજે સુરત ખાતે થઈ રહ્યો છે ત્યારે આજે જ ઇન્ટરનેટના સશક્ત માધ્યમ વડે અને કવિના પૂર્વાનુમોદન સાથે આ ગઝલસંગ્રહનો લોકાર્પણ વિધિ વિશ્વગુર્જરીના આંગણે કરતા ‘લયસ્તરો’ સહર્ષ ગર્વ અનુભવે છે…

Mahesh Dawadkar _Bheed thi bhitar sudhi
(આવરણ ચિત્ર : શ્રી મહેશ દાવડકર)

મહેશ દાવડકરના આ ગઝલસંગ્રહમાંથી પસાર થતી વખતે કવિનો પોતાની જાત સાથેનો સતત સંઘર્ષ નજરે ચડે છે. ક્યાંક આ સંઘર્ષ વેદનાસિક્ત છે તો ક્યાંક અસ્તિત્વના અંકોડા ઉકલવાના હેતૂપૂર્ણ… અહીં અંધારામાંથી અજવાળામાં જવાની મથામણ છે. ભીડની વચ્ચેની એકલતા અને એકલતા વચ્ચેની ભીડ પણ કવિ સમજે છે. સરળ ભાષામાં લખાયેલી આ ગઝલો ભાવકને સપાટી પરથી ઊંડાણમાં લઈ જાય છે… કવિને ‘લયસ્તરો’ તરફથી હાર્દિક શુભકામનાઓ…

એક ટીપું આંસુનું દરિયા સમું યે હોય છે,
દોસ્ત ! એને પાર કરવાનું ઘણું મુશ્કેલ છે.

નજરને સ્હેજ બદલી નાખવી પડશે,
બધું તો ક્યાં અહીં બદલાય છે, સાલ્લું !

ફર્ક એને શો પડે, હો પાનખર કે હો વસંત,
જે ખરેલા પર્ણનું એકાંત લઈ જીવ્યા કરે !

વરસાદ જ્યારે પડતો ચશ્માંના કાચ ઉપર,
અશ્રુને મળતો પડદો ચશ્માંના કાચ ઉપર.

હું અટકી-અટકીને એથી તો ચાલું,
રહે છે પાછા વળવામાં સરળતા.

ગૂંચવાતી દોર જેવા આપણે,
બેઉ છેડા કઈ રીતે ભેગા થશે ?

ભલે નક્કર હશે એકાંત તો પણ,
આ એકલતા ધીમેથી ઘર કરે છે.

ખુદથી જ્યારે અલગ થવાયું છે,
નભ સમું વિસ્તરી જવાયું છે.

જિંદગીના આ અકળ તખ્તા પર,
મૃત્યુ પણ ક્યાંક ગોઠવાયું છે.

એ રીતે ના આપ તું આધાર કે,
ભાર વરતાયા કરે આધારમાં.

તું વહી શક્શે નહીં તો છેવટે અટકી જશે,
ને થશે ખાબોચિયું : એ છે અટકવાની સજા.

તું ગઝલ લખવા વિશે પૂછે તો કહી દઉં ટૂંકમાં,
ભીતરે જળ ને ઉપરથી એ છે સળગવાની સજા.

આવે ખુશી કે અશ્રુ બન્નેથી થઈએ અળગા,
એમાં ભળી જશું ત્યાં લગ ભેદભાવ રહેશે.

કદી દિવસે કદી રાતે પ્રવેશે ચોર ઈચ્છાના,
ને આંખોમાંથી ધીરે-ધીરે ચોરી જાય છે નીંદર.

નયનના ઉંબરે અશ્રુઓની ભીનાશ હર રાતે,
જરી પાંપણ સુધી આવીને લપસી જાય છે નીંદર.

સૂના મંદિરનો ગુંબજ હો એવું મારું ભીતર છે,
તું ઝાલર જેવું રણકી જા સનમ થોડી ક્ષણો માટે.

પાણી સાથે આપણો કેવો સંબંધ હોય છે ?
કૈં વમળ ભીતર ને જળ આંખોમાં દેખાયા કરે.

લાગણીની ખીણમાં ભેખડ સમો,
હું પડ્યો’તો ક્યાંક પડઘાયા વગર.

આવ, તડકો તને નહીં લાગે,
વૃક્ષ જેવી જ છાંય છે ભીતર.

થયો છું વ્યક્ત આજે પૂરે-પૂરો,
તને શક હોય તો લઈ લે તલાશી.

-મહેશ દાવડકર

સુરતમાં જીવનભારતી શાળાના રંગભવનમાં તા. 23-02-2009ના રોજ સાંજે સાડા આઠ વાગ્યે શ્રી મહેશ દાવડકરના પ્રથમ સ્વતંત્ર ગઝલ સંગ્રહનું વિમોચન અને લોકાર્પણ વિધિ થશે જેમાં રસિકજનોને પધારવા હાર્દિક આમંત્રણ છે…

…આ પ્રસંગે યોજાયેલા કવિસંમેલનમાં મહેશ દાવડકર, પંકજ વખારિયા, વૈશાલી પટેલ, કિરણકુમાર ચૌહાણ, વિવેક ટેલર, શકીલ સૈયદ, ડૉ. હરીશ ઠક્કર, ગૌરાંગ ઠાકર અને એષા દાદાવાલા ભાગ લેશે…

Comments (25)

ગઝલ – રાજેન્દ્ર શુક્લ

તું વહે વંશીને સૂર આ જ્યારથી,
આળખું હું તને ગઝલ-આકારથી.

આવ સામે હવે તું મને ભેટવા,
ડગ ન એકે ભરું હું હવે દ્વારથી.

પોત પાંખું થતાં જ્યોત ઝળહળ થઈ,
પાર પણ પરવર્યું પારના પારથી.

લક્ષવિણ લક્ષવિધ મોજ આ ઊછળે,
ધાર જુદી ક્યહાં આદ્ય આધારથી.

લૂમઝૂમે લચી લીધ ઝૂલી નર્યું,
ડાળ ખરતી અહો, ડાળના ભારથી !

-રાજેન્દ્ર શુક્લ

કવિ ગઝલ સાથે આદિથી અનાદિ સુધીનો તાર કેવો સહજતાથી આલેખે છે. સૃષ્ટિના સર્જનહારની સાથે પોતાના સર્જનની વાત હળવેથી સાંકળીને કવિ હળવેથી ગઝલ ઊઘાડી આપે છે. તું જે ઘડીથી વાંસળીના સૂર બનીને વહી રહ્યો છે એ જ ઘડીથી હું તને ગઝલ સ્વરૂપે અલેખી રહ્યો છું!

ગાલગાના ચાર આવર્તનોના કારણે સરસ મૌશિકી જન્માવતી આ ગઝલ ધીમેધીમે મમળાવીએ… ખાસ કરીને મને દીવો હોલવાવાનો થાય ત્યારે વધુ ઝબકારા મારેની વાતવાળો શેર વધુ સ્પર્શી ગયો જાણે કે અંત પોતે આ અંતનો આરો જોઈ કંઈક સમજી જતો હોય એમ ઘડીભર ચાલી નીકળતો ન હોય…

(વંશી=બંસી, વાંસળી; આળખવું=આલેખવું, અડવું; પાર=અંત, સીમા, ઊંડો મર્મ, કાંઠો; પરવરવું=ચાલી નીકળવું)

Comments (12)

ગઝલ – દિવ્યા મોદી

Divya Modi_Em na bolo tame gamta nathi
(દિવ્યા મોદીની એક અક્ષુણ્ણ ગઝલ, એના જ હસ્તાક્ષરોમાં લયસ્તરો માટે)

એમ ના બોલો તમે ગમતા નથી,
માત્ર તમને ચાહું એ ક્ષમતા નથી.

જિંદગીમાં આટલું હાર્યા પછી,
જીતવા માટે કદી રમતા નથી.

ભીડમાં એકાંત વહાલું લાગતું,
બસ હવે તો કોઈની મમતા નથી.

એક ઝંઝાવાતમાં તૂટી ગયા,
લાગણીના ઘર હવે બનતા નથી.

આંસુમાં પણ એટલી તાકાત છે,
હા, ભલે એને નદી ગણતા નથી.

જ્યારથી માણસને ઓળખતા થયા,
પથ્થરોના દેવને નમતા નથી.

– દિવ્યા મોદી

આ ગઝલ આવી સરસ, સામે તમે… હું નડું વચ્ચે તો એ કોને ગમે?

Comments (28)

~ – કાજલ ઓઝા – વૈદ્ય

મૃગજળમાં જાળ નાખ્યા કરવાથી,
માછલાં ન મળે…
આંસુ વાવવાથી,
મોતી ન ઊગે…
અને
ઝાકળ ભેગી કર્યે,
ઘડા ન ભરાય…

…આવાં અનેક સત્યો સંબંધની
શરૂઆતમાં સમજાતાં હોત તો ?

– કાજલ ઓઝા- વૈદ્ય

કાજલ ઓઝા-વૈદ્યને સફળ નવલકથાકાર તરીકે ઓળખતો ન હોય એવો ગુજરાતી સાહિત્યરસિક મળવો દોહ્યલો છે પણ કવિ તરીકે ઓળખતા હોય એવા લોકો પણ જૂજ જ હશે. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘શેષયાત્રા’ જોઈ એક આશ્ચર્યનો આંચકો લાગ્યો અને પછી સંગ્રહમાંથી પસાર થતી વખતે સતત એ આંચકાઓનું પુનરાવર્તન થતું રહ્યું. સંગ્રહમાં વર્ણવેલી એમની આપવીતી અને એમની કવિતાઓ- બધું જ નિયત ઘરેડની બહારનું છે. આ પાનાંઓમાંથી પસાર થાવ ત્યારે ક્યાંક દઝાતું હોવાનો અનવરુદ્ધ અહેસાસ થયા વિના નહીં રહે. પ્રથમ નજરે અછાંદસ ભાસતી મોટાભાગની કૃતિઓ આઝાદ નઝમની જેમ પોતીકો લય ધરાવે છે જે આજકાલ બહુધા જોવા મળતું નથી… અહીં કોઈ કૃતિને શીર્ષક અપાયું નથી એ પણ જવલ્લે જોવા મળતી બીના છે… સ્ત્રી હોવા છતાં એમણે જાતીયવૃત્તિઓ પર ક્યાંય ઢાંકપિછોડો કરવાની કોશિશ કરી નથી અને એ જ રીતે પોતાની જાતને ઓગાળવાની પણ કોશિશ કરી નથી. અહીં તમામ કૃતિમાં સર્જકની સતત હાજરીનો એકધારો અહેસાસ અને નિરાવૃત્ત બેબાક સંવેદનાની તીખ્ખી ધાર કવિતાની અલગ જ જાતની ‘ફ્લેવર’ સર્જે છે !

Comments (28)

વસંતગઝલ – રમેશ પારેખ

છાપરાં રાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે
માર્ગ મદમાતા થયા ગુલમ્હોર મ્હોર્યા એટલે

આંખની તો વાત ના પૂછો કે એને શું થયું
દૃશ્ય સૌ ગાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે

બાંધી ના બંધાઈ કંચુકીમાં એની પોટલી
વક્ષ ચડિયાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે

વાયુ અણિયાળો થયો તેની ય ના પરવા કરી
મન ઉઝરડાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે

આ ગલીમાં, ઓ ગલીમાં, આ ઘરે, ઓ મેડીએ
જીવ વહેરાતા થયા ગુલમ્હોર મ્હોર્યા એટલે

શબ્દકોશો ને શરીરકોષોની પેલે પારનાં –
પર્વ ઉજવાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે

કઈ તરફ રહેવું અમારે, કઈ તરફ વહેવું, રમેશ ?
ભાન ડહોળાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે

– રમેશ પારેખ

વસંતના આવવાની છટા તો દરેકે નિહાળી છે પણ માણસે-માણસે એની અનુભૂતિ ભિન્ન અને અભિવ્યક્તિ અલગ. આખું વર્ષ લીલાં પાંદડાં વેંઢાર્યા કરતો ગુલમહોર વસંત આવતાં જ નવી ચામડી પહેરવાનું આદરે છે અને ફાગણ આવતા સુધીમાં તો આખો લાલઘુમ્મ થઈ જાય છે… ગુલમહોરના મહોરવાની આ ઘટનાની નોંધ તો ગમે એટલો યંત્રવત્ માણસ પણ બેધ્યાનપણેય અચૂક લેતો હશે. ર.પા. લાલ-કેસરી રંગથી લચી પડતી આ ઘટનાને સાત શેરમાં સાત અલગ-અલગ રંગોથી મૂલવે છે. ઝાડ હેઠળ ઢંકાઈ જતા છાપરાંનો તોર જ માત્ર થોડો બદલાય છે, ફૂલ ખરીખરીને રસ્તા પણ તો આ ઋતુમાં જીવતા થઈ ઊઠે છે ! જ્યારે શબ્દકોશ અને શરીરકોષની સીમા વળોટીને આપણે પર્વ ઉજવીએ છીએ ત્યારે જીવન નંદનવન બને છે અને આ તરફ કે પેલી તરફ રહેવાનું ભાન ભૂલાઈ જતાં સાથે વહી નીકળવાનું સોપાન સિદ્ધ થાય છે!

Comments (6)

મુક્તક – દિલીપ મોદી

હું રડ્યો  છું રેશમી  જઝબાત પર
ને હસ્યો  છું  કારમા  આઘાત પર
આમ હું જીવી લઈશ હે, જિંદગી !
મેં લખ્યું  છે નામ ઝંઝાવત પર !

– દિલીપ મોદી

Comments (8)

થાય છે – પન્ના નાયક

યુદ્ધમાં
એક બાળકને હણીને
સૈનિક
એને ઊંચકીને જુએ છે –
ધરતી પરથી પાક ઉતાર્યા હોય
એવા ખેડૂતના સંતોષની મુદ્રાથી !
મને થાય છે
કે
આ બાળકે સૈનિક જ થવાનું હોય
તો બહેતર છે
કે
અહીંયા જ એનો અંત આવે !

– પન્ના નાયક

દૈવનો દરેક અંશ સમય સાથે ‘મોટો’ અને ‘સમજદાર’ થઈ જાય છે એ આપણી મોટી તકલીફ છે. દેવ થવું આપણા હાથમાં નથી. પણ માણસ થવું તો જરૂર આપણા હાથની વાત છે.

Comments (6)

મારી ધરપકડ કરો ! – મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

સાક્ષાત્ છું ઝનૂન, મારી ધરપકડ કરો !
મારું કર્યું મેં ખૂન, મારી ધરપકડ કરો !

ના, કોઈથી ઊતરતા હોવું ગુનો નથી, પણ-
હું છું સ્વયમ્ થી ન્યૂન, મારી ધરપકડ કરો !

લીધેલ શ્વાસ તરત જ ઉચ્છવાસ થઈ ઢળે ત્યાં
છે જીવવાની ધૂન, મારી ધરપકડ કરો !

આ ખાટકીને ઠંડી ક્યાંથી પડે, જમાદાર !
આ ધાબળા, આ ઊન, મારી ધરપકડ કરો !

જે ખીણમાં વસું છું, એ ખીણની દીવાલે,
મેં ચીતર્યું બલૂન, મારી ધરપકડ કરો !

– મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

કોઈ ગઝલ ચિત્કાર લઈને આવે છે. આ એવી ગઝલ છે. બરછટ પીંછીના ઘેરા લસરકાઓથી કવિ છૂટા છવાયા ચિત્રો દોરી આપે છે. ટૂટેલા કાચના ટૂકડાઓ જેવા એક એક શે’રમાં તમને પોતાની જાતનું (ટૂટેલું) પ્રતિબિંબ દેખાય તો આ ગઝલ સમજાયલી ગણવી.

ગઝલમાં બહુ ઝીણી વાતો કરી છે : પોતાની નજરમાંથી પડી જવાથી મોટો ગુનો (અને સજા) બીજી કોઈ નથી. એક પછી એક અપરાધ કર્યા પછી જાડી થઈ ગયેલી ચામડીની વાત ખાટકી અને ઊન દ્વારા કરી છે. અને સ્વતંત્રતાનું સપનું જોવાના ગુનાની વાત બલૂન ચિતરવાથી કરી છે.

Comments (6)

ઝાકળ વચ્ચે – કુલદીપ કારિયા ‘સારસ’

રોજ સવારે તારું ગાવું કોયલ ટહુકે ઝાકળ વચ્ચે,
એક હૃદય ત્યાં એવું જાણે ફૂલો મહેકે ઝાકળ વચ્ચે.

એક હવાનું ઝોકું આવ્યું, સામે જોઈ તેં સ્મિત કર્યું, ને
ઝોકું પણ અવઢવમાં પડ્યું, અહીંયા રહું કે ઝાકળ વચ્ચે ?

મસ્તીમાં હું બેઠો હોઉં ને ત્યાં જ અચાનક કોઈ આવીને
સરનામું જો તારું પૂછે, હું કહી દઉં કે ઝાકળ વચ્ચે.

મેં કહ્યું કે પ્રેમ કરું છું ને પૂછ્યું તું પ્રેમ કરે છે ?
એણે પૂછ્યું, આનો ઉત્તર અહીંયા દઉં કે ઝાકળ વચ્ચે ?

ફૂલો, ડાળી, પર્ણો કહે છે તારા સ્પર્શમાં એવો જાદુ,
વસંતને પણ વસંત ફૂટે, તું જો અડકે ઝાકળ વચ્ચે.

કુલદીપ કારિયા ‘સારસ’

ગુલાબની મસૃણ પાંખડી પર રાતના છેલ્લા પહોરમાં જામતા ઝાકળબુંદ જેવી ભીની ભીની તરોતાજા ગઝલ રાજકોટના કવિ કુલદીપ કારિયા તરફથી… ઝાકળના દરબારમાં કોયલના ટહુકો એટલે ભીનાશમાં મીઠાશનું હળવાશથી ભળવું. ઠંડી હવાની એક લહેરખી પ્રિયતમાના વદન પર એક સ્મિતની લહેરખી બનીને લહેરાઈ ત્યારે હવાને પણ વિમાસણ થઈ જાય કે ક્યાં રહેવું વધારે સારું છે, આ સૌંદર્યસામ્રાજ્ઞી કને કે પછી ઝાકળ પાસે? વિરોધાભાસ ઇંગિત કરતા ‘કે’ના કાફિયા પાંચ શેરની આ ગઝલમાં સળંગ ત્રણ-ત્રણવાર વપરાયા હોવા છતાં ગઝલ પકડ ગુમાવતી નથી એ કવિની વિશેષતા છે.

Comments (16)

વેલેન્ટાઈન-વિશેષ :૩: પ્રેમબંધન – રાબિયા (અનુ. હિમાંશી શેલત)

ફરી એક વાર જકડાઈ છું એના પ્રેમની સાંકળે.
બંધનમુક્ત થવાનો મરણિયો પ્રયાસ
નિષ્ફળ, વ્યર્થ !
વણકેળવ્યા તોખાર જેવી હું
જાણતી નહોતી કે ખેંચતાણથી તો
મુશ્કેટાટ થાય ફાંસો !
અદૃશ્ય કાંઠાળો દરિયો
એટલે પ્રેમ.
તરીને શેં પાર જવાય, ભલા ?
પારંગત થવું પ્રેમમાં એટલે
અણગમતી વસ્તુઓને વહાલી કરવી,
કુરૂપને સુંદર પેંખવું,
પીવાનું છે ઝેર;
સમજીને કંઈક મધમીઠું ને ગળચટું…

– રાબિયા
(અનુ. હિમાંશી શેલત)

ઈરાકની મહાન કવયિત્રી રાબિયાની પ્રેમની વ્યાખ્યા કરતી આ કવિતા દરેક શબ્દ પર અટકી વિચારવા પ્રેરે છે. કવિતાની શરૂઆત ‘ફરી’ અને ‘એકવાર’ થી થાય છે જે ભાવકનું ભૂતકાળની વાતો સાથેનું અનુસંધાન નિમિષમાત્રમાં જોડી દે છે. ના, આ કંઈ પહેલીવારના મુગ્ધ પ્રેમની વાત તો નથી જ. આ વાત છે પુખ્ત પ્રણયની, પ્રણયભગ્નતાની અને પ્રણયવિવશતાની… પ્રેમ સાચો હોય તો એ તૂટતો કે છૂટતો નથી. એકવાર પ્રણયભંગ થયા હોવા છતાં કવિ પોતાની નિર્માલ્યતાની અને પ્રેમની સર્વોપરિતાની વાત કરતાં સ્વીકારે છે કે ફરી-એકવાર-જકડાઈ-છું-એના-પ્રેમની-સાંકળે. મનુષ્યની પ્રકૃતિ છે કે એ હાર સ્વીકારી શક્તો નથી. એ હારે ત્યારે બમણું રમે છે. પ્રેમની સાંકળમાંથી એકવાર કે એકથી વધુ વાર છૂટી ગયા પછી ફરી જકડાવું કવિને ગમતું નથી એટલે એ છૂટવા માટે મરણિયાં વલખાં મારે છે…

…આટલું બસ! આજ રીતે બાકીના આખા કાવ્યને આસ્વાદવાનું કાવ્ય’પ્રેમી’ઓ પર છોડી દઈ વીરમું…

Comments (11)

વેલેન્ટાઈન-વિશેષ :૨: તું – રેઇનર મારિયા રિલ્કે (અનુ. મહેશ દવે)

મારી આંખો ફોડી નાંખો : છતાંય હું જોઈ શકીશ;
મારા કાનને ભોગળ વાસી દો : છતાંય હું સાંભળી શકીશ,
તું હોય ત્યાં પગ વગર પણ હું ચાલી આવીશ
અને જીભ વગર પણ તારા અસ્તિત્વને સાદ દઈશ.
મારા હાથ કાપી નાખો :
મારા હૃદયની ઝંખનામાં
મુઠ્ઠીની જેમ તને જકડી રાખીશ,
હૃદયને બંધ કરી દો ને મારું ચિત્ત તારા ધબકાર કરશે,
અને મારા ચિત્તને બાળી મૂકશો
તો મારા લોહીમાં તું વહેતી રહેશે.

– રેઇનર મારિયા રિલ્કે
(અનુ. મહેશ દવે)

જર્મનીના મશહુર કવિ રિલ્કેની નાની છતાં બળુકી રચના. પ્રેમના ઉત્કટ ભાવને તીવ્રતાથી રજૂ કરતી આ કૃતિ ‘મારા’થી શરૂ થઈ ‘તું’ પર સમાપ્ત થાય છે. સફળ પ્રેમની લાં…બીલચ્ચ યાત્રા પણ હકીકતમાં તો ‘હું’થી ‘તું’ સુધીની જ છે ને ! આંખ-કાન-જીભ-હાથપગના રૂપમાં કવિ દૃષ્ટિ-શ્રુતિ-વાચા-સ્પર્શ એમ એક પછી એક ઈન્દ્રિયને ન્યોછાવર કરવાનું આહ્વાન આપે છે. ઈંદ્રિયાતીત થયા પછી હૃદય અને આખરે જો ચિત્તનો પણ નાશ કરવામાં આવે તોય કવિ મુસ્તાક છે પોતાના પ્રેમ પર કે મારા લોહીમાં તો તું વહેતી જ રહેશે… આ જ તો પ્રેમ છે!

Comments (5)

વેલેન્ટાઈન-વિશેષ :૧: જોડણી – કેરોલિન વેલ્સ (અનુ.: સૌરભ પારડીવાલા)

જ્યારે વીનસે કહ્યું,’ “ના” ની જોડણી મને લખી બતાવ.’
નને કાનો ‘ના’ ડેન કામદેવે હર્ષથી લખ્યું.
અને પોતાની સફળતા પર હસ્યો.
‘અરે બાળક’, વીનસે ધીમેથી હસતાં કહ્યું:
‘અમે સ્ત્રીઓ આમ જોડણી કરતાં નથી.
અમારી જોડણી આ છે : હને કાનો “હા.” ‘

– કેરોલિન વેલ્સ
અનુ. સૌરભ પારડીવાલા

લયસ્તરો તરફથી સહુ વાચકમિત્રોને વેલેન્ટાઈન ડે પર ગુલાબી શુભકામનાઓ… આજે આ ખાસ દિવસે દર આઠ કલાકે એક એમ કુલ ત્રણ અલગ-અલગ ભાષાના વિદેશી પ્રણય-કાવ્યોનું બિલિપત્ર આપને ખાસ ઉપહાર સ્વરૂપે મળતું રહેશે…

સ્ત્રી અને પુરુષની પ્રણયની વ્યાખ્યા અને વિભાવના સાવ અલગ હોય છે. ક્યાંક વાંચ્યું હતું, ‘A woman gives her body to get love while a man gives love to get body.’ લગભગ આ જ વાત અમેરિકન કવિ કેવી સચોટ રીતે લઈ આવે છે! પુરુષની ‘ના’ માત્ર ‘ના’ જ હોય છે જ્યારે પ્રેમમાં સ્ત્રીની તો ‘ના’ પણ ‘હા’ હોય છે…

Comments (10)

મુસાફરીના વિઘન – અનિલ જોશી

(નદીમાં બરફના ટુકડા તરતા જોઈને પનિહારી ગાય છે.)

સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ.
ડેલી ઉઘાડ…
મારું બેડું ઉતાર…
કાળ ચોઘડિયે સુધબુધ મેં ખોઈ
સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ.

પહેલાં તો એકધારી વહેતી’તી ગંગા ને પાણીનો રજવાડી ઠાઠ
ઓણસાલ નદીયું નજરાઈ ગઈ એવી કે પાણીમાં પડી મડાગાંઠ
મરચાં ને લીં બુ કોઈ નદીએ જઈ બાંધો
પાણીમાં હોય નહીં બખિયા કે સાંધો
ડાકલા બેસાડીને ભૂવા ધુણાવો કે પાણીને સીવી ગયું કોઈ
સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ.

જાણતલ જોશીડા ઘાટે પધાર્યા ને ટીપણું કાઢીને વદ્યા વાણી
જળની જન્મોતરીમાં બરફ નડે છે ને બરફની કુંડળીમાં પાણી.
હવે નદીયુંની જાતરામાં નડતર બરફ
હવે પાણી પણ કાઢતું નથી એક હરફ
તમે ફળિયામાં સાદડી બેસાડીને પૂછો કે આંખ્યું મેં ક્યાં જઈ ધોઈ ?
સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ.

-અનિલ જોશી

સંબંધમાં ગાંઠ પડી જાય ત્યારે માણસ સુધબુધ ખોઈ બેસે છે.  પણ કવિતા ત્યાં નથી. કવિતા તો જન્મે છે બરફના ટુકડાને પાણીમાં પડેલી ગાંઠ ગણવાની સાવ અનૂઠી વાતના કલ્પનથી ! યુગયુગોથી બેઉ કાંઠે વહેતી ગંગા કયા કારણોસર નજરાઈ ગઈ છે એ પર્યાવરણના અસમતુલનની પંચાતમાં કવિ પડતા નથી. કવિને નિસબત છે પનિહારીના માધ્યમ વડે નદીપ્રેમ અને નદીના સૂકાવાની વેદના અને હિમાલયના પીગળવાની વ્યથા વ્યક્ત કરવામાં. અને વ્યથા રજૂ કરવા માટે કોઈ પોતાનું તો હોવું જોઈએ ને? એટલે જ કવિ ‘સૈ’ને સંબોધીને કાવ્યનો ઉઘાડ કરે છે અને આખા ગીતને બોલચાલનું ગીત બનાવી ભાવકના હૃદયને સીધું સ્પર્શવામાં સફળ રહે છે…

Comments (10)

(અછાંદસ) કિરણસિંહ ચૌહાણ

દર સોમવારે વહેલી સવારે
હું કાચીપાકી ઊંઘમાં હોઉં ત્યારે
પપ્પા મને લાં…બી પપ્પી કરીને
નોકરીએ નીકળી જાય છે
તે છે…ક
શનિવારે પાછા આવે.
હું પપ્પા કરતાંય વધારે
શનિવારની રાહ જોઉં છું
કારણ કે પપ્પા તો નાસ્તો લાવે, રમકડાં લાવે
પણ શનિવાર તો
મારા પપ્પાને લઈ આવે છે !

– કિરણસિંહ ચૌહાણ

આજે એક નાનકડું અછાંદસ ઝાઝી લપ્પન છપ્પન કર્યા વગર. વાત એક નાના બાળકની જેને એના પપ્પા માત્ર ‘હોરિઝન્ટલી’ વધતો જુએ છે, ‘વર્ટિકલી’ નહીં કારણકે બાળક ઊઠે એ પહેલા કામે નીકળી જતા પપ્પા બાળક ઊંઘે એ પછી જ ઘરે પાછા ફરે છે…

Comments (18)

બા – મૂકેશ જોશી

બા એકલાં જીવે                
                             બા સાવ એકલાં જીવે
એકલતાનાં વર્ષો એને ટીપે ટીપે પીવે  
                                  બા સાવ એકલાં જીવે

બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું
રસગુલ્લાની ચાસણી જેવું વ્હાલ નીતરતું વ્હેતું
દોડાદોડી પકડા-પકાડી સહુ પકડાઇ જાતાં
ભાઇ-ભગિની ભેળાં બેસી સુખનો હિંચકો ખાતા
સુખડીમાં ઘી રેડી રેડી બા સહુને ખવડાવે
ઊડવાનું બળ આપી પાછી ઊડવાનું શિખડાવે
સુખનો સૂરજ છાનો માનો જલતો બાના દીવે
                                                    બા સાવ એકલાં જીવે

કાળ કુહાડી ફરી કપાયાં વેકેશનનાં ઝાડ
કોઇ હવે પંખી ના ફરકે ચણવા માટે લાડ
સુનકાર ને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરતા
બાના જીવતરની છત પરથી ઘણા પોપડાં ખરતાં
સુખડીનો પાયો દાઝેલો શેમાં એ ઘી રેડે
બાએ સહુનાં સપનાં તેડયાં: કોણ બાને તેડે
ફાટેલા સાળુડા સાથે કૈંક નિસાસા સીવે
                                                  બા સાવ એકલાં જીવે

કમ સે કમ કો ટપાલ આવે તાકે આંખો રોજ
નીચું ઘાલી જાય ટપાલી ખાલી થાતો હોજ
દાદાજીના ફોટા સામે કંઇક સવાલો પૂછે
ફ્રેમ થયેલા દાદા એની આંખો ક્યાંથી લૂછે
શબરીજીને ફળી ગયાં એ બોર અને એ નામ
બાનાં આસુ બોર બોર પણ ના ફરકે એ રામ
જીવતરથી ગભરાવી મૂકી મોતથી જે ના બીવે
                                              બા સાવ એકલાં જીવે

– મૂકેશ જોશી

ઉત્તરાવસ્થાની વ્યથાને ધાર કાઢીને રજૂ કરતું ગીત.

Comments (21)

નાટક – શેખાદમ આબુવાલા

કોઈ   હસી  ગયો  અને  કોઈ  રડી  ગયો
કોઈ  પડી  ગયો  અને  કોઈ  ચડી ગયો
થૈ  આંખ બન્ધ  ઓઢ્યું કફન  એટલે થયું
નાટક  હતું  મઝાનું  ને  પડદો  પડી ગયો

-શેખાદમ આબુવાલા

Comments (6)

વાંક શું ગણવા ? -અશરફ ડબાવાલા

અમારી દુર્દશા માટે તમારા વાંક શું ગણવા ?
છળે શ્વાસો જ અમને તો હવાના વાંક શું ગણવા ?

અમે શ્રદ્ધા ગુમાવીને પછી રસ્તે જ બેસી ગ્યા,
તમારા તીર્થ કે એની ધજાના વાંક શું ગણવા ?

ઊણપ ઉપચારમાં લાગે જગતનો એ જ નિયમ છે,
દરદની ઓથ લૈ લે તું, દવાના વાંક શું ગણવા ?

મને મારી જ હદ છે કેટલી એની ખબર ક્યાં છે
અને એમાં વળી તારી ગજાના વાંક શું ગણવા ?

અમે આ મોરના પીંછાથી આગળ જૈ નથી શકતા,
તો એમાં મોર કે એની કળાના વાંક શું ગણવા ?

-અશરફ ડબાવાલા

દુનિયાની સામે આંગળી ચીંધવાને બદલે પોતાની અંદર જોવાનું શીખવવા મથતી ગઝલ.

(ગઝલ મોકલવા માટે આભાર, તાહા મન્સૂરી)

Comments (14)

આસિમ વિશેષ : ૬ : કટકે કટકે – આસિમ રાંદેરી

Aasim_Randeri2

રૂપ સિતમથી લેશ ન અટકે,
પ્રેમ   ભલેને   માથું   પટકે !

આપ   જ  મારું    દૃષ્ટિ-બિન્દુ,
હોય ભ્રમર તે જ્યાં ત્યાં ભટકે.

પ્રેમ-નગરના ન્યાય નિરાળા,
નિર્દોષો   પણ   ફાંસી   લટકે.

બચપણ,  યૌવન, વૃદ્ધાવસ્થા,
જીવન   પણ   છે  કટકે કટકે.

રૂપના ફંદા ડગલે ડગલે,
દિલ-પંખેરું ક્યાંથી છટકે?

પાપ નહીં હું પ્રેમ કરું છું,
ના મારો ફિટકારને ફટકે.

એ જ મુસાફિર જગમાં સાચો,
જેની પાછળ મંઝિલ ભટકે.

દીપ પતંગને કોઈ ન રોકે,
પ્રીત અમારી સૌને ખટકે.

નજરોના આવેશને રોકો,
તૂટી જશે દિલ એક જ ઝટકે.

ઊંધ અમારી વેરણ થઈ છે,
નેણ અભાગી ક્યાંથી મટકે?

એ ઝુલ્ફો ને એનાં જાદૂ :
એક્ એક્ લટમાં સો દિલ લટકે.

એક્ એક્ શે’રમાં કહેતો રહ્યો છું,
પ્રેમ-ક્હાણી કટકે કટકે.

પ્રેમનો મહિમા ગાતાં રહેવું,
જ્યાં લગી ‘આસિમ’ શ્વાસ ન અટકે.

– આસિમ રાંદેરી

વીસ વર્ષ પહેલાની વાત છે. આસિમસાહેબનો મને કોઈ પરિચય નહીં. એક મુશાયરામાં એમને પહેલવહેલા જોયા. એમની ઉમ્મર એ વખતે પંચ્યાસી વર્ષ હશે. સૂટ, ટાઈમાં એકદમ અપટૂડેટ દેખાવ. ને એમનો બુલંદ અવાજ. જ્યારે એમના અવાજમાં એક્ એક્ લટમાં સો દિલ લટકે પંક્તિ સાંભળી ત્યારે જીંદગીમાં પહેલી વખત ખ્યાલ આવ્યો કે ‘રોમાંટિક’ માણસ કોને કહેવાય !

આ ગઝલનો મારો સૌથી પ્રિય શેર -જે મેં નહીં નહીં તો હજાર વાર ટાંક્યો હશે- આ છે  : એ જ મુસાફિર જગમાં સાચો, જેની પાછળ મંઝિલ ભટકે. મંઝિલને પરાસ્ત કરવાની વાત તો બધા કરે છે, પણ અહીં કવિ એનાથી બહુ ઊંચી વાત કરે છે –  મંઝિલ ખુદ તમારી પાછળ ભટકે તો જ તમારી લગન સાચી ! છેલ્લા બે શે’રમાં એમણે કવિ તરીકે પોતાની  કેફિયત રજૂ કરી દીધી છે. આસિમ માટે કવિતા પ્રેમને ગાવાનું સાધન માત્ર હતી. કવિતાને માત્ર પ્રેમ સુધી સિમિત કરી દેવી એ વાત આજે લોકોને ગળે નહીં ઊતરે. પણ આસિમે જે અદાથી અને જે સચ્ચાઈથી પ્રેમને ગાયો છે એનું ખરું મહત્વ છે.

આ ‘આસિમ’ બંદાને હજાર સલામ !

(આસિમ =પવિત્ર, સદગુણી)

Comments (11)

આસિમ વિશેષ : ૫ : પરિચય – આસિમ રાંદેરી

Aasim_Leela

ખરેખર ભાગ્યશાળી છું કે મારા એવા મિત્રો છે,
મુહબ્બતના, નિખાલસતાના જે જીવંત ચિત્રો છે.

સદા, એ મારા મિત્રોની મેં સાચી લાગણી જોઈ,
દુઃખી થાયે છે પોતે પણ મને આજે દુઃખી જોઈ.

નિહાળી અવદશા મારી દિલાસા આપતા રે’ છે,
અને ‘લીલા’ની ચાહતના ખુલાસા માંગતા રે’ છે !

ઘણી વેળા એ પૂછે છે, ‘તને શું છે પરેશાની ?
જીવનમાં તારા નીરસતા, નજરમાં તારી વેરાની ?

ભલા એવી મુહબ્બતમાં તને શું હાથ આવે છે ?
કે મુખમાં નામ ‘લીલા’નું નિસાસા સાથ આવે છે !

આ ‘લીલા’ કોણ છે, એની હકીકત તો કહે અમને,
છે કેવી બેવફા કે જે ભુલાવી દે છે પ્રીતમને !

હવે એ ક્યાં રહે છે, કોની સાથે છે જીવન એનું,
હવે કોની નજર અજવાળતું રે’છે વદન એનું ?!’

* * *

સુણો ઓ દોસ્તો મારા હું તમને ઓળખાણ આપું,
છે મારી જિન્દગી ‘લીલા’માં હું એનું પ્રમાણ આપું.

વસે છે મારી આંખોમાં રહે છે મારા અંતરમાં,
વધુ છે સ્થાન એનું મારાથી, મારા મુકદ્દરમાં.

નયન બિડાય છે ત્યારે અનોખું તેજ આવે છે,
સદા નીંદર મહીં સ્વપ્નું બનીને એ જ આવે છે.

ગુલાબી એ વદનથી કલ્પના રંગાઈ જાયે છે,
એ જ્યારે પ્રેરણા દે છે કવન સર્જાઈ જાયે છે.

ભુલાવી દે મને એવી પરાઈ થઈ નથી શક્તી,
કદી એનાથી એવી બેવફાઈ થઈ નથી શક્તી.

મુહબ્બત તો સફળ થઈ છે, ભલે સંસાર દુઃખમય છે,
હું એનો છું, એ મારી છે, અમારો આ પરિચય છે.

કહું છું એક પંક્તિ એને અંતરમાં લખી લેશો,
પરિચય મળશે ‘લીલા’નો, મને જો ઓળખી લેશો.

– આસિમ રાંદેરી

વ્યક્તિ-કાવ્યોનું ખેડાણ આપણે ત્યાં જૂજ થયેલું જ જોવા મળે છે. કલાપીના કાવ્યોમાં વ્યક્ત થતો શોભના અને રમા સાથેનો વાસ્તવિક પ્રણય-ત્રિકોણ કે રમેશ પારેખની છૂટીછવાયી સોનલ આના ઉદાહરણ છે. પણ આસિમ રાંદેરીએ ‘લીલા’ સાથે સાધેલો-બાંધેલો નાતો न भूतो, न भविष्यति જેવો છે. ખુદ આસિમસાહેબ જણવે છે કે ‘લીલા’કાવ્યોની પ્રેરણા એમણે કલાપીની ‘શોભના’ અને અખ્તર શીરાનીની ‘સલમા’માંથી લીધી છે. જો કે ‘લીલા’  એમને ક્યાંથી મળી અને એ વાસ્તવિક પાત્ર હતી કે માત્ર કલ્પના એ જાણવાનો ન તો આપણને અધિકાર છે, ન જરૂરિયાત. સાચા ભાવક માટે તો એ સ્થૂળ કૌતુક પણ નથી કેમકે એને તો નિસ્બત હોવાની ‘લીલા’ના અન્વયે આપણને પ્રાપ્ત થયેલા કાવ્યો સાથે. ‘લીલા’કાવ્યો એ આસિમ રાંદેરીની ઓળખ બની રહ્યા એ જ એમની સાચી ઉપલબ્ધિ. કવિસંમેલનમાં લોકો એમને જોઈને ‘લીલા…લીલા…’ની બૂમો પાડે એ દૃશ્ય ગુજરાતી સાહિત્યે અવારનવાર જોયું છે અને આવું બહુમાન બીજા કોઈ કવિએ કદી મેળવ્યું નથી એ વાતનું પણ એ સાક્ષી છે !

‘લીલા’ની ફરતે ફરતા રહેતા અગણિત કાવ્યો નિતાંત કથાકાવ્ય રચે છે જે લગભગ સાડાસાત દાયકા જેટલા પ્રદીર્ઘ સમયકાળમાં ટુકડે ટુકડે લખાયા હોવાથી એ સળંગ ન હોવા છતાં એકસૂત્રી ભાસે છે એ આસિમસાહેબની નકારી ન શકાય એવી સિદ્ધિ છે. અહીં  ‘લીલા’ સાથેના પ્રથમ મિલનથી શરૂ કરી પ્રેમના અંકુરણ, કોલેજના દિવસો, પ્રેયસીની વર્ષગાંઠ, પ્રણયભંગ, પ્રેયસીના અન્ય સાથેના લગ્ન, એની કંકોતરી, વર્ષો પછીનું પુનઃમિલન અને એમ પ્રણયના જીવનકાળમાં ઉપસ્થિત થતા તમામ પ્રસંગો નઝમ-ગઝલ સ્વરૂપે પ્રકટ થાય છે.ક્યારેક ઘટનાતત્ત્વમાંથી કાવ્યસત્ત્વ ખરી પડતું પણ જણાય છતાં ઉત્કટ, એકધારા અને અવિનાશી પ્રેમની ગુલાબી અનુભૂતિ ક્યાંય મોળી પડતી નથી… કવિએ લીલાને એટલી બખૂબી ચિતરી છે કે ભાવક આ પાત્રને વાસ્તવિક માન્યા વિના રહે જ નહીં અને સાહિત્ય જ્યારે તાદૃશીકરણની આવી કળાને સિદ્ધ કરી બતાવે ત્યારે જ સાર્થક થાય છે…

‘લીલા’નું રહસ્ય અકબંધ રાખી વિદાય લેનાર જનાબ આસિમસાહેબ પોતે લીલાનો પરિચય કરાવે તે કેવો હોય એ આ નઝમના સ્વરૂપમાં જ માણીએ…

Comments (6)

આસિમ વિશેષ : ૪ : તાપીનો કિનારો તો નથી ! – આસિમ રાંદેરી

Aasim Randeri

એક ભ્રમણા છે, હકીકતમાં સહારો તો નથી,
જેને સમજો છો કિનારો એ કિનારો તો નથી !

એક પણ ફૂલમાં અણસાર તમારો તો નથી,
ભાસ કેવળ છે બહારોનો, બહારો તો નથી !

એ ખજાનો છે ગગન કેરો, અમારો તો નથી,
એક પણ એમાં મુકદ્દરનો સિતારો તો નથી.

કેમ અચરજથી જગત તાકી રહ્યું મારું વદન ?
સ્હેજ જોજો ! કોઈ પડછાયો તમારો તો નથી !

દિલના અંધારમાં આ ચાંદની ક્યાંથી ખીલી ?
ચંદ્રમુખ ! એ મહીં ઓછાયો તમારો તો નથી ?

મુજને દુનિયા ય હવે તારો દીવાનો કે’ છે,
એને સંમત તારી આંખોનો ઇશારો તો નથી ?

મુજને મઝધાર, ઓ મોજાંઓ ફરી લઈ ચાલો,
મારો હેતુ, મારી મંઝિલ આ કિનારો તો નથી !

હુંય માનું છું નથી ક્યાંય ‘એ’ દુનિયામાં નથી,
પણ વિચારો તો બધે છે, ન વિચારો તો નથી !

માત્ર મિત્રોનું નહિ, દુનિયાનું દરદ છે એમાં,
કોઈનો મારી મોહબ્બતમાં ઈજારો તો નથી !

પ્રેમ-પત્રો એ હરીફોના ભલે વાંચો; તમે,
એમાં જોજો મારી ગઝલોનો ઉતારો તો નથી ?

લાખ આકર્ષણો મુંબઈમાં ભલે હો ‘આસિમ!’
મારી ‘લીલા’, મારી ‘તાપી’નો કિનારો તો નથી.

– આસિમ રાંદેરી

આસિમ રાંદેરી પ્રણય અને વિરહના કવિ હતા. પણ એમના પ્રણયમાં મરીઝની ઉદાસીની કાલિમા કે ઘાયલની રક્તરંજિત ખુમારી નહોતી. એમના પ્રણયમાં સૌહાર્દતા, ઋજુતા અને ધીરજનો અખૂટ અસ્ખલિત ધોધ વહેતો નજર આવે છે. મૃદુ લાગણીઓનો જે પુદગલ એમની રચનાઓમાં નજરે ચડે છે એ સાનંદાશ્ચર્ય જન્માવે છે. લગભગ પંચોતેર વર્ષ જેટલા લાંબા એમના સર્જનકાળ દરમિયાન આ આખી દુનિયા ધરમૂળથી બદલાઈ ગઈ પણ એમના પ્રણયનો રંગ એવોને એવો ચિરયુવાન જ રહ્યો ! ચકરડાવાળા ટેલિફોન અને  ઓપરેટરયુક્ત ટેલિકોમ સેવાથી માંડીને પામ-ટોપ જેવા મોબાઈલ ફોન સુધી દુનિયા આ વર્ષોમાં વિકસી ગઈ. ભારત દેશ ગુલામીમાંથી આઝાદ થયો અને આર્થિક મહાસત્તા બનવા લગોલગ પહોંચી ગયો  પણ આસિમ સાહેબની પ્રણયભક્તિમાં મીનમેખ ફરક ન આવ્યો, એ ધ્રુવતારકની પેઠે એ જ રીતે અને એ જ જગ્યાએ ઝળહળતી રહી…

Comments (11)

આસિમ વિશેષ : ૩ : કૉલેજ જતાં – આસિમ રાંદેરી

Aasim_leela_college

યુવાની મુહબ્બતના દમ લઈ રહી છે,
મને દિલની ધડકન ખબર દઈ રહી છે,
પ્રણય-રૂપના રંગ જોવાને માટે
બધાની નજર એ તરફ થઇ રહી છે.
.                  જુઓ ‘લીલા’ કોલેજમાં જઇ રહી છે

કમલ જેવા કરમાં એ પુસ્તક ઉઠાવી,
પ્રણય-ઉર્મિઓ મનની મનમાં શમાવી,
મનોભાવ મુખ પર ન દેખાય તેથી
અદાથી જરા ડોક નીચી નમાવી,
.                  મને અવનવી પ્રેરણા દઈ રહી છે ! જુઓ ‘લીલા’…

છે લાલિત્યમાં જે લચકતી લલિતા,
ગતિ એવી, જાણે સરકતી સરિતા,
કલાથી વિભૂષિત કલાકાર માટે;
કવિતા જ સુંદર બનીને કવિતા
.                  પ્રભુની પ્રભાની ઝલક દઈ રહી છે ! જુઓ ‘લીલા’…

ન સુરમો, ન કાજલ, ન પાવડર, ન લાલી,
છતાં એની રંગત છે સૌમાં નિરાલી !
બધી ફેશનેબલ સખીઓની વચ્ચે
છે સાદાઈમાં એની જાહોજલાલી !
.                  શું ખાદીની સાડી મજા દઈ રહી છે ! જુઓ ‘લીલા’…

સરળથી ય એની સરળ છે સરળતા,
નથી શબ્દ સમજાવવા કોઈ મળતા,
લખું તોય લખતાં ના કાંઈ લખાયે
શમી જાય છે ભાવ હૈયે ઊછળતા !
.                  અજબ મારા મનની દશા થઇ રહી છે ! જુઓ ‘લીલા’…

કરે છે એ જાણે-અજાણે જો દૃષ્ટિ,
નિહાળું છું એમાં પરમ પ્રેમ-સૃષ્ટિ !
મધુરો, મનોરમ્ય મલકાટ એનો
છે કળીઓની ઝરમર, છે પુષ્પોની વૃષ્ટિ !
.                  નજરથી પ્રણય-ગોઠડી થઈ રહી છે ! જુઓ ‘લીલા’…

ભલા ! કોણ જાણે કે કોને રીઝવવા ?
અને કોના દિલની કળીને ખિલવવા ?
રે ! દરરોજ બેચાર સખીઓની સાથે;
એ જાયે છે ભણવા કે ઊઠાં ભણવવા ?
.                  ન સમજાય તેવી કલા થઇ રહી છે ! જુઓ ‘લીલા’…

કોઈ કે’છે : જાયે છે ચિત્રો ચીતરવા,
કહે છે કોઈ, જ્ઞાન-ભંડાર ભરવા !
કોઈ કેમ સમજે આ બાબતને ‘આસિમ’ ?
અધૂરા પ્રણય-પાઠ ને પૂર્ણ કરવા
.                  એ દરરોજ ભણતરના શ્રમ લઈ રહી છે ! જુઓ ‘લીલા’…

– આસિમ રાંદેરી

આખું નામ મહેમુદમિયાં મહંમદ ઇમામ સૂબેદાર. જન્મ: ૧૫ -૦૮-૧૯૦૪: રાંદેર (સુરત) ખાતે; મૃત્યુ: ૦૫-૦૨-૨૦૦૯: રાંદેર (સુરત) ખાતે. મેટ્રિક સુધીનો અભ્યાસ.  ઇસ્ટ આફ્રિકામાં પત્રકારત્વ કર્યા પછી મુંબઈમાં સૅલ્સમેન અને પછી તો દેશ-દેશાવરમાં સતત ફરતા રહ્યા. આયખાનો ખાસ્સો એવો ભાગ અમેરિકામાં ગુજાર્યા પછી અંતભાગે સુરતમાં સુબેદાર સ્ટ્રીટ, રાંદેર ખાતેના એમનાઘરે જ રહ્યા. ચોળાયેલા કફની-પાયજામા, દિવસો સુધી શેવ ન કરેલો ચહેરો, તૂટેલી ચપ્પલ અને ખાદીનો બગલથેલો લઈને ફરતા ‘કવિ’ની શિકલ એમણે આમૂલ ફેરવી નાંખી. ઘરડે ઘડપણ પણ સદા વ્યવસ્થિત રીતે ટ્રીમ કરેલી દાઢી, અસ્ત્રી-ટાઈટ કપડાં, સૂટ-બૂટ અને ટાઈ સાથે જ જોવા મળતા આસિમ રાંદેરી શાયર ભલે પરંપરાનારહ્યા, માણસ એકવીસમી સદીના થઈને જીવ્યા…

આ ‘આખી’ રચના લયસ્તરોના વાચકો માટે…  અને ઑડિયો: ટહુકો.કોમ)

(કાવ્ય સંગ્રહો: ‘લીલા’ (૧૯૬૩), ‘શણગાર’ (૧૯૭૮), ‘તાપી તીરે’ (૨૦૦૧))

Comments (15)

આસિમ વિશેષ : ૨ : કંકોતરી – આસિમ રાંદેરી

Aasim_kankotari

(કંકોતરી મળી…                          ….શ્રી આસિમ રાંદેરી)

મારી એ કલ્પના હતી, વીસરી મને,
કિન્તુ એ માત્ર ભ્રમ હતો થૈ ખાતરી મને,
ભૂલી વફાની રીત, ન ભૂલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને !
.                  સુંદર ના કેમ હોય, કે સુંદર પ્રસંગ છે,
.                  કંકોતરીમાં રૂપ છે, શોભા છે, રંગ છે !

કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ,
જાણે ગુલાબી એના વદનના જવાબ સમ,
રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ,
જાણે કે પ્રેમ-કાવ્યોની કોઇ કિતાબ સમ !
.                  જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી,
.                  શિરનામું મારૂ કીધું છે ખુદ એના હાથથી.

છે એને ખાતરી કે હું આવું નહીં કદી,
મારી ઉપર સભાને હસાવું નહીં કદી,
દીધેલ કૉલ યાદ અપાવું નહીં કદી,
મુજ હાજરીથી એને લજાવું નહીં કદી,
.                  દુઃખ છે હજાર, તો ય હજી એ જ ટેક છે,
.                  કંકોતરી નથી, આ અમસ્તો વિવેક છે !

કંકોતરીથી એટલું પુરવાર થાય છે,
નિષ્ફળ બને છે પ્રેમ તો વે’વાર થાય છે-
જ્યારે ઉઘાડી રીતે ન કંઈ પ્યાર થાય છે,
ત્યારે પ્રસંગ જોઈ સદાચાર થાય છે.
.                  ગંભીર છે આ વાત કોઈ મશ્કરી નથી,
.                  તકદીરનું લખાણ છે, કંકોતરી નથી !

કાગળનો એક કટકો છે જોવામાં એમ તો,
ભરપૂર છે એ પ્રેમની ભાષામાં એમ તો,
સુંદર, સળંગ રમ્ય છે શોભામાં એમ તો,
છે ફૂલસમ એ હલકો લિફાફામાં એમ તો,
.                  કોમળ વદનમાં એના, ભલે છે હજાર રૂપ,
.                  મારા જીવન ઉપર તો બરાબર છે ભારરૂપ !

એને ભલેને પ્રેમથી જોયા નહીં કરું,
વાચન કરીને દિલ મહીં ચીરા નહીં કરું,
સંયમમાં હું રહીશ, બળાપા નહીં કરું,
આવેશમાં એ ‘ફૂલ’ ના કટકા નહીં કરું.
.                  આ આખરી ઇજન છે હૃદયની સલામ દઉં,
.                  ‘લીલા’ના પ્રેમ-પત્રમાં એને મુકામ દઉં.

‘આસિમ’ ! હવે એ વાત ગઈ, રંગ પણ ગયો,
તાપી તટે થતો જે હતો સંગ પણ ગયો,
આંખોની છેડછાડ ગઈ વ્યંગ પણ ગયો,
મેળાપની એ રીત ગઈ ઢંગ પણ ગયો.
.                  હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું,
.                  એ પારકી બની જશે, હું એનો એ જ છું !

-આસિમ રાંદેરી

જનાબ આસિમ રાંદેરીની આ રચનાના કેટલાક અંતરાઓને પોતાનો અવાજ આપીને મનહર ઉધાસે ખૂબ લોકપ્રિય બનાવી દીધી છે પણ આ નઝમ આજે પહેલવહેલીવાર આખેઆખી ઇન્ટરનેટ ઉપર ખાસ લયસ્તરોના વાચકો માટે અને આસિમસાહેબને શબ્દાંજલિના ભાગ સ્વરૂપે…

પ્રિયતમાની કંકોતરી મળતા જે લાગણી કવિ અનુભવે છે એ એમની ભીની-ભીની સંવેદનાનું દ્યોતક છે અને આ આખા પ્રસંગને જે રીતે એ મૂલવે છે અને જે જે આયામથી જુએ છે એ કાબિલે-સલામ છે. નઝમના દરેક અંતરાના અંતે જેમ સૉનેટમાં એમ અહીં કવિ એવી ચોટ ઉપસાવે છે કે ‘લીલા’ જો સાચે હોત અને એણે એના લગ્ન પહેલાં આ નઝમ વાંચી હોત તો એ કવિ સાથે જ લગ્ન કરી લેત !

(ઑડિયો : ટહુકો)

Comments (18)

આસિમ વિશેષ: ૧ : ચર્ચામાં નથી હોતી – આસિમ રાંદેરી

Aasim_Randeri
(૦૯-૧૧-૧૯૬૧ના રોજ શ્રી આસિમ રાંદેરીના હસ્તાક્ષરવાળો શ્રી મદને દોરેલ સ્કેચ)

પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી.
મઝા જે હોય છે ચૂપમાં તે ચર્ચામાં નથી હોતી.

દયામાં પણ નથી હોતી, દિલાસામાં નથી હોતી,
કહે છે જેને શાંતિ દિલની, દુનિયામાં નથી હોતી.

ગુલાબી આંખની રંગીની શીશામાં નથી હોતી,
નજરમાં હોય છે મસ્તી તે મદીરામાં નથી હોતી.

મજા ક્યારેક એવી હોયે છે ‘ના’માં પણ,
અનુભવ છે કે એવી સેંકડો ‘હા’માં નથી હોતી.

જઈને તૂર ઉપર એમણે સાબિત કરી દીધું;
કે આદમ જેટલી હિંમત ફરિશ્તામાં નથી હોતી.

તમારી આ યુવાનીની બહારો શી બહારો છે !
બહારો એટલી સુંદર બગીચામાં નથી હોતી.

અરે આ તો ચમન છે, પણ યદિ વેરાન જંગલ હો,
કહો જ્યાં જ્યાં તમે હો છો મજા શામાં નથી હોતી ?

મોહબ્બત થાય છે પણ થઈ જતાં બહુ વાર લાગે છે,
મોહબ્બત ચીજ છે એવી જે રસ્તામાં નથી હોતી.

ગઝલ એવીય વાંચી છે અમે ‘લીલા’ની આંખોમાં.
અલૌકિક-રંગમય જે કોઇ ભાષામાં નથી હોતી.

અનુભવ એ પણ ‘આસીમ’ મેં કરી જોયો છે જીવનમાં,
જે ઊર્મિ હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી.

-આસિમ રાંદેરી

ગુજરાતી કવિતાના ઈતિહાસમાં કદાચ સૌથી લાંબું આયુષ્ય ભોગવનાર કવિ જનાબ આસિમ રાંદેરી (જન્મ: ૧૫-૦૮-૧૯૦૪) ૧૦૪ વર્ષની ઊંમરે ગઈકાલે (નિધન: ૦૫-૦૨-૨૦૦૯) એમના રાંદેર, સુરત ખાતેના મુકામે જન્નતનશીન થયા… લયસ્તરો તરફથી એમને શબ્દભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ…

અસ્તુ !

Comments (14)

કેમ છો ? – ચિનુ મોદી

                                               કેમ છો ? સારું છે ?
દર્પણમાં જોએલા ચહેરાને રોજ રોજ
આમ  જ  પૂછવાનું  કામ  મારું  છે ?
કેમ છો ? સારું છે ?

અંકિત  પગલાંની  છાપ  દેખાતી  હોય
અને મારગનું નામ ? તો કહે: કાંઈ નહીં,
દુણાતી   લાગણીના   દરવાનો   સાત
અને દરવાજે કામ ? તો કહે: કાંઈ નહીં;
દરિયો  ઉલેચવાને  આવ્યાં  પારેવડાં
ને  કાંઠે  પૂછે   કે   પાણી  ખારું  છે ?
કેમ છો ? સારું છે ?

પાણીમાં   જુઓ   તો   દર્પણ  દેખાય
અને  દર્પણમાં  જુઓ  તો  કોઈ નહીં,
‘કોઈ નહીં’ કહેતામાં ઝરમર વરસાદ
અને  ઝરમરમાં  જુઓ તો કોઈ નહીં;
કરમાતાં   ફૂલ  જેમ ખરતાં  બે  આંસુઓ
ને   આંખો  પૂછે  કે  પાણી  તારું છે ?
કેમ છો ? સારું છે ?

– ચિનુ મોદી

કવિ એવી અવસ્થાની વાત કરે છે કે જ્યાં કોઈ ખરો રસ્તો કે ખરી લાગણી બતાવે નહીં, ને કામ લાગે એવો સહારો પણ આપે નહીં અને પૂછે રાખે ‘કેમ છો ? સારું છે ?’ અંદરનો ખાલીપો જોઈને આંખ ભરાઈ આવે ત્યારે પોતાને એવો સવાલ થાય, આ આસું ખરેખર મારાં છે ? – આ ખાલીપાની ચરમસિમા છે. પણ આ બધા અર્થવિસ્તાર કોરે મૂકી ગીતને ખાલી બે વાર મોટેથી વાંચી જુઓ – ગીતની ખરી મઝા તો એમા છે !

Comments (8)

નોંધ ના લીધી – નીરવ વ્યાસ

ન રસ્તાની, ન દુનિયાની કશાની નોંધ ના લીધી,
અમે નીકળ્યાં ઘરેથી તો હવાની નોંધ ના લીધી!

અમારા  હાથ  સમજ્યા છે, સદાયે હાથની ભાષા,
દુઆ ના સાંભળી કે બદ્-દુઆની નોંધ ના લીધી.

કશોયે  અર્થ  તેથી  ના સર્યો મહેફિલમાં રોકાઇ;
તમે સાકીને ના જોયો, સુરાની નોંધ ના લીધી!

શરૂમાં એમ લાગ્યું, હોય  જાણે  ગુપ્ત  સમજૂતી;
બધાયે એકસરખી આયનાની નોંધ ના લીધી.

કસબ સમજી શક્યું બાળક, તો એની નોંધ લીધી મેં;
સભામાં  બેસનારા  ખેરખાંની  નોંધ ના લીધી.

– નીરવ વ્યાસ

એક સ્પર્શમાં જે સહારો અને તાકાત હોય છે એ દુઆમાં નથી હોતા. માણસો દુનિયામાં બધાની નોંધ લે છે પણ એક આયનાની – કે જે દરેકને પોતાની જાતથી સન્મુખ કરાવે છે – નોંધ લેતા બધા કતરાય છે. ને છેલ્લો શેર પણ સરસ થયો છે.

(ગઝલ મોકલવા માટે આભાર, તાહા મન્સૂરી)

Comments (7)

ગઝલ – હિમલ પંડ્યા ‘પાર્થ’

અટકશે ક્યાં જઈને આ જમાનો, કો’ક તો બોલો,
વખત આથી ય શું ભારે થવાનો, કો’ક તો બોલો.

જનમ આ માનવી કેરો મળ્યો વરદાનરૂપે કે –
ખુદાએ લાગ ગોત્યો છે સજાનો ? કો’ક તો બોલો.

હૃદયની લાગણીઓ, પ્રેમ ને વિશ્વાસ – સંબંધો,
થશે અંજામ શું આખર બધાનો ? કો’ક તો બોલો.

બધું ભૂલી જવું છે દોસ્ત મારે, બોલ શું કરવું ?
અનુભવ છે અહીં કોને નશાનો, કો’ક તો બોલો.

હજારો વેદનાઓ મેં છુપાવી છે હૃદય માંહે,
મળે ક્યો આદમી આવા ગજાનો, કો’ક તો બોલો.

અનોખી આપણી મહેફિલ અને અંદાજ નોખો છે,
મળ્યો છે માંડ આ મોકો મજાનો, કો’ક તો બોલો.

અમે તો “પાર્થ” હૈયું ઠાલવી બેઠાં ગઝલરૂપે,
ન રાખો આજ કોઈ ભેદ છાનો, કો’ક તો બોલો.

હિમલ પંડ્યા ‘પાર્થ’

પરદા પાછળ રહીને સૃષ્ટિનો સતત દોરી-સંચાર કરતા રહેતા અને મનુષ્યને મર્કટની જેમ નચવતા રહેતા ઈશ્વરને કવિઓએ જ્યારે જ્યારે લાગ મળ્યો છે ત્યારે આડે હાથે લીધો છે. મનુષ્ય જન્મ એ શું કોઈ વરદાન છે કે પછી ઈશ્વરની સજા કરવાની કોઈ રીત છે એમ કવિ કહે છે ત્યારે દુબારા…દુબારા સ્વગત્ જ કહેવાઈ જાય છે…

Comments (10)