હળવેથી અહીં પધારો, ઇતિહાસ સૂઈ રહ્યો છે,
સૂતાનું તો વિચારો! ઇતિહાસ સૂઈ રહ્યો છે.
ભડ ભડ બળી રહ્યો છે દેશ આખો વાતવાતે
બચવાનો ક્યાં છે આરો? ઇતિહાસ સૂઈ રહ્યો છે.
- વિવેક મનહર ટેલર
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for કાવ્યપ્રકાર
કાવ્યપ્રકાર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
ના, ના, એ પિત્તળ દૈત્યની માકફ નહીં ગ્રીક ગાથાના,
જે ભૂમિથી ભૂમિ પલાણી ઊભો વિજયી પગ લઈ,
અહીં આપણા સૂર્યાસ્તી સાગર-ધોયા દ્વારે ઊભશે
એક શક્તિશાળી સ્ત્રી મશાલ એક લઈ, કે જેની જ્યોતમાં
છે કેદ વીજળી, ને છે નિર્વાસિતોની મા એનું નામ.
ને એના દીવાદાંડી જેવા હાથથી ચમકી રહ્યો
એક વિશ્વવ્યાપી આવકારો; નમ્ર આંખો દે હુકમ
એ જોડિયા શહેરો વચેના વાયુ-જોડ્યા બારાંને,
*
ચૌદ પંક્તિની એક નાની અમથી કવિતા ક્યારેક વિશ્વની અજાયબીઓમાંની એક ગણાતી ત્રીસ માળ ઊંચી પ્રતિમાનો આખેઆખો સંદર્ભ જ બદલી નાંખે એ શક્ય ખરું? પહેલી નજરે તો અશક્ય જ લાગે પણ અમેરિકાના ન્યૂયૉર્ક બંદર પર હાથમાં મશાલ લઈને ૧૮૮૬ની સાલથી ખડે પગે ઊભી રહેલ ૩૦૫ ફૂટ ઊંચી લોહ-તાંબાની પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી’નો આખેઆખો મતલબ એક કવિતાએ બદલી નાંખ્યો. પ્રતિમા ભેટ આપનાર અને લેનાર બંને માટે આ પ્રતિમા ‘આઝાદી’ અને ‘આંતરરાષ્ટ્રીય પ્રજાસત્તાકવાદ’ની અર્થચ્છાયા ધરાવતી હતી પણ અહીં પ્રસ્તુત એમા લેઝારસના સૉનેટ અને એમાં આવતી પંક્તિ – Mother of Exiles: નિર્વાસિતોની મા-એ લેડી લિબર્ટીના હોવાનો સમુચો અર્થ જ બદલી નાંખ્યો. લિબર્ટી સદૈવ આવકારો આપતી મા બની ગઈ દુનિયાભરના નિર્વાસિતો માટે, એક આશાનું કિરણ બની ગઈ તમામ તરછોડાયેલાઓ માટે…
રચનાનું શીર્ષક ‘ધ ન્યૂ કોલોસસ’ અને પ્રથમ બે પંક્તિ ગ્રીક ઇતિહાસ સાથે આપણું અનુસંધાન કરે છે. ઈ.પૂ. ૨૮૦માં કેરીઝ ઑફ લિન્ડોસે (Chares of Lindos) ગ્રીક સૂર્યદેવતા હેલિઓઝની લગભગ ૧૦૮ ફૂટ ઊંચી કાંસાની પ્રતિમા ગ્રીસના રહોડ્સ ટાપુ પર બનાવી હતી. આ પ્રતિમા ‘કોલોસસ ઑફ રહોડ્સ’ તરીકે જાણીતી થઈ. એ પ્રતિમા વિજયનો ગર્વટંકાર હતી, આ પ્રતિમા પ્રેમનો વિશ્વાવકાર છે…
આજે જ્યારે એકતરફ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા આવવા ઇચ્છતા પરદેશીઓ માટેના વિઝાના કાયદાઓ વધુને વધુ કડક બનાવી રહ્યા છે, અને બીજી તરફ અમેરિકામાં વર્ષોથી સ્થાયી નિર્વાસિતોના નિષ્કાસિત થવાનો ડર તલવારની માફક માથે તોળી રહ્યા છે ત્યારે ‘વિશ્વવ્યાપી આવકાર’ની વાત કરતી એમા લેઝારસની આ કવિતા અને એમાંની ‘નિર્વાસિતોની મા’ વધુને વધુ પ્રસંગોચિત અને અર્થપૂર્ણ બની ગયાં છે.
*
The New Colossus
Not like the brazen giant of Greek fame,
With conquering limbs astride from land to land;
Here at our sea-washed, sunset gates shall stand
A mighty woman with a torch, whose flame
Is the imprisoned lightning, and her name
Mother of Exiles. From her beacon-hand
Glows world-wide welcome; her mild eyes command
The air-bridged harbor that twin cities frame.
“Keep, ancient lands, your storied pomp!” cries she
With silent lips. “Give me your tired, your poor,
Your huddled masses yearning to breathe free,
The wretched refuse of your teeming shore.
Send these, the homeless, tempest-tossed to me,
I lift my lamp beside the golden door!”
ખરબચડું લોહી થતું રુંવાટીદાર
એવું ચોમાસું ચાર ચાર નેણનું
ધોધમાર પીંછાંનો પડતો વરસાદ
ગામ આખ્ખું તણાઈ જતું વેણનું
છાતીની ઘુમ્મરીમાં ઘૂમી ઘૂમીને ક્યાંક ખોવાતી જાત મને યાદ છે:
ખોવાતી જાત તને યાદ છે?
સૂરજ વિનાના અને છાંયડા વિનાના
ધોમ તડકા સુસવાટે હવે રાતના
લોચનની ભાષામાં ઘટના કહેવાય
અને જીવતરની ભાષામાં યાતના
આવેલું સમણું પણ અવસર થઈ જાય એવા દિવસોની વાત મને યાદ છે:
એવા દિવસોની વાત તને યાદ છે?
– રમેશ પારેખ
કોઈપણ શબ્દ વાપરું આ ગીત ઉપર બે વાતો લખવા તો તે વામણા જ પડવાના…..આ ગીતને તો મમળાવ્યા જ કરવું એ જ એનો ખરો રસાસ્વાદ…..
એક ઘરડી સ્ત્રી પકડી
લે છે તમારી બાંય
અને સાથે ચાલવા માંડે છે.
એને એક પચાસ પૈસાનો સિક્કો જોઈએ છે.
એ કહે છે એ તમને લઈ જશે
અશ્વનાળ મંદિર પર.
તમે એ ક્યારનું જોઈ ચૂક્યા છો.
તે લંગડાતી સાથે જ આવે છે
અને તમારા ખમીસ પરની એની પકડ ચુસ્ત કરે છે.
એ તમને નહીં જવા દે.
તમને ખબર છે આ ઘરડી સ્ત્રીઓ કેવી હોય છે.
તેઓ તમને ઝોડની જેમ વળગી રહે છે.
તમે પાછા ફરો છો અને એનો સામનો કરો છો
કાયમી નિવેડો લાવવાની દૃઢતા સાથે.
તમારે આ નૌટંકી ખતમ કરવી છે.
જ્યારે તમે એને કહેતી સાંભળો છો,
‘બીજું તો શું કરી શકવાની એક ઘરડી સ્ત્રી
આવી મનહૂસ ટેકરીઓ પર?’
તમે સીધું આકાશ તરફ જુઓ છો.
સાફ એ ગોળીઓના કાણાંઓમાંથી
જે તેણી પાસે છે આંખોના બદલે,
અને જેમ તમે જોતાં રહો છો
એ તડ જે એની આંખોની આસપાસ શરૂ થાય છે
એની ત્વચાની બહાર ફેલાઈ જાય છે.
અને ટેકરીઓ તરડાય છે.
અને મંદિરો તરડાય છે.
અને આકાશ ભાંગી પડે છે
વિશાળ કાચના ખણકાર સાથે
એ અતૂટ બેવડ વૃદ્ધાની આસપાસ
જે એકલી ઊભી છે.
અને તમને ઘટીને રહી જાવ છો
નાનું નિર્માલ્ય પરચૂરણ થઈને
એના હાથમાંનું.
– અરુણ કોલાટકર
(અનુ. વિવેક મનહર ટેલર)
*
ભીખ અને ભિખારી –વિશ્વભરના જનમાનસ માટે વણઉકેલ્યો કોયડો. આ સમસ્યાનો કોઈ ઉકેલ ખરો? ભીખ આપીને આપણે ભિખારીની સમસ્યા દૂર કરીએ છીએ કે વધારીએ છીએ? અને ભીખ ન આપીને આપણે આ સમસ્યાને નેસ્તનાબૂદ કરવામાં સહાયભૂત થઈએ છીએ? રસ્તે ભટકાઈ ગયેલા ભિખારીને બે પૈસા આપીને કોઈ એનું દળદળ ફિટવી શકનાર નથી પણ તોય ભિખારીને બે પૈસા આપીને લાખ રૂપિયાનું ‘પુણ્ય’ કમાવા માંગનાર અમીર ભિખારીઓનો તોટો નથી.
ભિખારણ જ્યારે ભીખ માંગે છે ત્યારે નાયકને પોતે આ ટેકરીઓ જેવો ઊંચો લાગ્યો હતો. પણ જ્યારે ‘વાસ્તવ’ સાથે પનારો પડે છે ત્યારે નાયકને તરત જ સમજાય છે કે એ હકીકતમાં કેટલો ‘વામણો’ છે! નાયકના વિશ્વમાં પ્રલય સર્જાય છે પણ વૃદ્ધા અડીખમ ઊભી રહે છે. સૃષ્ટિ ધ્રુજી ઊઠે છે, તમે ધ્રુજી ઊઠો છો પણ એ ધ્રુજતી નથી. પહાડીઓના પથ્થરોની વચ્ચે જીવતો આ ઉદાસીન દુઃખી ગરીબ એકલ આત્મા હકીકતમાં તો સમયના માર્ગ પર જીવનનિર્વાહ અને અસ્તિત્વના સામર્થ્યની પરાકાષ્ઠાનું પ્રતીક છે… ભિખારી હોવા છતાં એની સમક્ષ આપણું મૂલ્ય ઘટીને કોડી બરાબર અનુભવાય છે…
*
An Old Woman
An old woman grabs
hold of your sleeve
and tags along.
She wants a fifty paise coin.
She says she will take you
to the horseshoe shrine.
You’ve seen it already.
She hobbles along anyway
and tightens her grip on your shirt.
She won’t let you go.
You know how these old women are.
They stick to you like a burr.
You turn around and face her
with an air of finality.
You want to end the farce.
When you hear her say,
‘What else can an old woman do
on hills as wretched as these?’
You look right at the sky.
Clean through the bullet holes
she has for her eyes,
And as you look on
the cracks that begin around her eyes
spread beyond her skin.
And the hills crack.
And the temples crack.
And the sky falls
with a plateglass clatter
around the shatterproof crone
who stands alone.
And you are reduced
To so much small change
In her hand.
January 12, 2018 at 12:30 AM by વિવેક · Filed under કૃષ્ણ દવે, ગીત
ઢેફું સમજીને તમે ફેંકી દ્યો ધૂળમાં કે સોનાના ત્રાજવેથી તોલો
અમને શું ફેર પડે બોલો ?
આંગળીયું પકડી ક્યાં આવ્યા’તા કોઈની તે ભૂલા પડવાથી હવે ડરીએ ?
મારગ ને પગલાંને મોજ પડી જાય એમ આપણે તો આપણામાં ફરીએ
લ્હેરખીને જોઈ ઘણાં ભોગળ ભીડે ને વળી કોઈ કહે બારીયું તો ખોલો
અમને શું ફેર પડે બોલો ?
વગડે વેરાન હારે વાતું મંડાણી ને મન થયું ઊગ્યા તો ઊગ્યા
આપણે ક્યાં માળીને કરગરવા ગ્યા’તા ભાઈ, ટોચ લગી પૂગ્યા તો પૂગ્યા
ડાળીયું પર ઝૂલે છે આખું આકાશ એમાં પોપટ બેસે કે વળી હોલો !
અમને શું ફેર પડે બોલો ?
આપણે ક્યાં પરપોટા ભેગા કરવા’તા તે કાંઠે જઈ માથાં પછાડીએ ?
એકાદો મરજીવો મૂળ લગી પ્હોંચે ને તો જ અમે બારણું ઉઘાડીએ
બાકી તો ઝાંઝવાને કરવતથી વેરો કે રંધા મારીને તમે છોલો!
અમને શું ફેર પડે બોલો ?
– કૃષ્ણ દવે
ક્ષેત્ર કોઈ પણ હોય, નવોદિતોનો પ્રવેશ સતત ચાલુ જ રહેવાનો અને એક તરફ નવોદિતોને પોતાનું મહત્ત્વ સાબિત કરવાની ચાહ હોય તો બીજી તરફ જૂના જોગીઓ નવા નિશાળિયાંઓને નીચા ઊતારી પાડવાની એકેય તક જતી કરવા તૈયાર નથી હોતા… પણ જે ભીતરના સત્વથી સુપેરે પરિચિત હોય છે એને દુનિયાના ત્રાજવાના માપતોલથી કોઈ ફરક પડતો નથી. દુનિયા એને સોનાના ત્રાજવે તોલે કે ઢેફુ ગણીને ફેંકી દે, એ હરફન-મૌલા નિજાનંદમાં જ મસ્ત રહેવાનો. એ કોઈ ગોદફાધરની આંગળી પકડીને આવ્યો નથે એટલે એને રાહ ભૂલવાનો ડર નથી. ભલે એને જોઈને કોઈ દરવાજા વાખી દે કે કોઈ બારી ખોલીને આવકારે. એ તો એવી છીપ છે જે કોઈ મરજીવો એના તળ સુધી પહોંચે તો જ પોતાનું મોતી ધરે…
January 11, 2018 at 12:30 AM by વિવેક · Filed under અનિલ ચાવડા, ગઝલ
ક્યારે હસવું ક્યારે રડવું એ બધુંયે ફિક્સ છે,
જિંદગી તો કોઈ ભેજાએ લખી કોમિક્સ છે.
બહુ વધુ ચાહતનો ડેટા રાખવામાં રિસ્ક છે,
આપણામાં માત્ર એક જ હાર્ટ છે ક્યાં ડિસ્ક છે
મેં કરી વરસાદના સંગીતની વ્યાખ્યા, કહું?
વર્ષા : ઈશ્વરના રુદનનું કુદરતી રિમિક્સ છે.
કોઈ ગમતું જણ કહે સામેથી ચાહુ છું તને,
જિંદગીની મેચ અંદર આ તમારી સિક્સ છે!
મેં અલગ થાવા વિશે કારણ પૂછ્યું તો એ કહે,
‘પ્લીઝ! ચર્ચા માટેના બીજા ઘણા ટોપિક્સ છે.
સાંભળ્યું છે કોક દિ’ મનને ય ખાંસી થાય છે,
થાય તો ઉપચારમાં કહેજો ગઝલની વિક્સ છે.
આમ કહી કહીને મને બાળ્યા કરો નૈં સૌ હવે,
‘રાખમાંથી થઈ જશે બેઠો અનિલ ફિનિક્સ છે.’
– અનિલ ચાવડા
ભાષા વહેતી નદી જેવી છે… એક બાજુ એ સતત વહેતી રહે છે તો બીજી તરફ જે કંઈ નાળાં-વેકળા એમાં ભળે એ તમામને ખુદમાં સમાવીને આગળ વધે છે… અંગ્રેજી ભાષા આપણી ભાષાના સમાંતરે ચલણમાં આવી પરિણામે અંગ્રેજી શબ્દોનો પ્રયોગ પણ વધતો ગયો… ફળસ્વરૂપ આવી મજાની ગુજલિશ ગઝલો…
ગઈ રાત્રે જ્યારે હું સૂતો હતો મેં સપનું જોયું – ધન્ય માયા!-
કે એક ફુવારો ફૂટ્યો છે
મારા હૃદયમાં.
મેં કહ્યું: કઈ ખાનગી નીકમાં થઈને,
હે પાણી, તું મારા સુધી આવ્યું છે,
નવજીવનનું ઝરણું લઈને જે મેં ક્યારેય પીધું નથી?
ગઈ રાત્રે જ્યારે હું સૂતો હતો મેં સપનું જોયું – ધન્ય માયા!-
કે એક મધપૂડો છે મારા હૃદયમાં;
અને સોનેરી મધમાખીઓ
એમાં બનાવી રહી છે,
જૂની કડવાશ વાપરીને,
સફેદ મીણ અને મીઠું મધ.
ગઈ રાત્રે જ્યારે હું સૂતો હતો મેં સપનું જોયું – ધન્ય માયા!-
કે એક બળતો સૂર્ય પ્રકાશતો હતો
મારા હૃદયમાં.
એ બળતો હતો કેમકે એ ફેલાવતો હતો
ગરમી રાતા ચૂલાની જેમ,
અને એ સૂર્ય હતો કેમકે એ પ્રકાશતો હતો
અને મને રડાવ્યો પણ.
ગઈ રાત્રે જ્યારે હું સૂતો હતો મેં સપનું જોયું – ધન્ય માયા!-
કે એ ઈશ્વર હતા
મારા હૃદયમાં.
– એન્ટૉનિયો મકાડો
(અનુ. વિવેક મનહર ટેલર)
*
મૂળ આ કવિતા સ્પેનિશ ભાષામાં છે, જેનો રૉબર્ટ બ્લાયે કરેલો અનુવાદ સૌથી વધુ લોકપ્રિય થયો છે પણ અર્માન્ડ એફ. બેકરનો અનુવાદ મૂળ કવિતાની વધુ નજીક છે. ¡bendita ilusiónનો અનુવાદ બ્લાય marvelous error (અદભુત ભૂલ) કરે છે જ્યારે સાચો અનુવાદ Blessed illusion (ધન્ય માયા) થાય છે. સ્પેનિશ ‘ઇલ્યુઝન’ આ કાવ્યના સંદર્ભમાં ‘આભાસ’ કે ‘ભ્રાંતિ’ કરતાં સંસ્કૃત ‘માયા’ સાથે વધુ સુસંગત છે. આભાસનો સંબંધ પાર્થિવતા સાથે વધુ છે, માયાનો ઇંદ્રિયોના ખેલ, છેતરામણી સાથે વધુ છે. માયા આપણી સામાન્ય સમજથી એટલી પરે છે કે આપણે ધન્ય! ધન્ય! પોકારી ઊઠીએ છીએ. આગળ Fontana શબ્દ આવે છે જેનો સંબંધ સ્પેનિશ fontanería યાને પ્લમ્બિંગ અને fontanero યાને પ્લમ્બર સાથે વધુ છે એટલે ફૉન્ટાનાનો અનુવાદ ફુવારો થાય પણ બ્લાય એનો અનુવાદ ‘Spring- ઝરણું’ કરે છે. કવિતામાં આગળ જતાં પાણીની ‘નીક’નો ઉલ્લેખ છે જે પ્લમ્બિંગ સાથે વધુ તાલમેલ ધરાવે છે, ઝરણાં સાથે નહીં. અનુવાદ જોકે અનુસર્જન છે એટલે મૂળ કવિતાથી અલગ પડે એમાં કંઈ ખોટું નથી પણ મૂળ ભાવ બદલાઈ જાય એ તો ઇચ્છનીય નથી જ. ઇન્ટરનેટ પર આ કવિતાના ૪-૫ અંગ્રેજી અનુવાદો ઉપલબ્ધ છે, બધામાં કંઈને કંઈ વિસંગતિ જોવા મળે છે એટલે એ તમામ અનુવાદો અને ‘ગૂગલ ટ્રાન્સલેટ’ની મદદ લઈ નવો જ અંગ્રેજી અનુવાદ કરી એનો ગુજરાતી તરજૂમો અહીં રજૂ કર્યો છે.
ચારેય અંતરામાં નાયકના હૃદયની ભીતરની જ વાત છે. ચારેય સપનાં હૃદય સાથે સંકળાયેલાં છે. જાગૃતિમાં પ્રતીતિ થાય છે કે સપનામાં જે કંઈ હૃદયમાં હતું એ ઈશ્વર જ હતો. નિષ્ફળતા અને પુરુષાર્થ –બંને જિંદગીના અનિવાર્ય પાસાં છે. ગઈકાલ અને આવતીકાલ વચ્ચેના આ માર્ગ પર સપનાં, પરિશ્રમ અને શ્રદ્ધાના સથવારે આપણે મોક્ષ તરફ ગતિ કરવાની છે. તમે જ તમારા પોતાના સ્ત્રોત છો. તમારા જ હૃદયમાં જીવનજળ છે, તમારા જ ફુવારામાંથી પીઓ, તમારી જ ભૂલોમાંથી શીખો, તમારા જ શાશ્વત પ્રકાશથી જીવન અજવાળો, ઈશ્વર પણ તમારી ભીતર જ છે. એને ઓળખો. મળો, કહો, अहं ब्रह्मास्मि। ‘તું તારા દિલનો દીવો થા ને…’
*
Last night when I was sleeping
Last night when I was sleeping
I dreamt – blessed illusion!-
that a fountain flowed
inside my heart.
I said: by which hidden ditch,
Oh water, you come to me,
with spring of new life
that I have never drunk?
Last night when I was sleeping
I dreamt – blessed illusion!-
that I had a beehive
inside my heart;
and the golden bees
were manufacturing in it,
using old bitterness,
white wax and sweet honey.
Last night when I was sleeping
I dreamt – blessed illusion!-
that a burning sun shone
inside my heart.
It was burning because it radiated
heat like a red hearth,
and it was sun because it illuminated
and also made me cry.
Last night when I was sleeping
I dreamt – blessed illusion!-
that it was God I had
inside my heart.
પ્રિય ડેફોડિલ્સ, અમે રડીએ એ જોઈ
ઝટ જવાની તમારી દોડ;
કેમકે આ ચડતા સૂર્યનું ભ્રમણ
હજીય પામ્યું ના એની બપોર.
થોભો, અટકો,
જ્યાં લગ આ દિવસ ઉતાવળો
દોડે પણ
આંબે ન કમ સે કમ સાંધ્ય-ગીત;
ને, સાથે જ પ્રાર્થનામાં જાતને પ્રોઈ,
આપણ સાથે જ જઈશું રે મીત.
તમારી પેઠે જ નથી ઝાઝો સમય
ને છે ટૂંકી અમારીયે વસંત;
તમારી જેમ જ ઝડપી છે વૃદ્ધિ
ને ઝડપી અમારોયે અંત.
અમેય મરીએ
સમય તમારો, કે કંઈ પણ મરે જે રીતે,
ઉનાળુ વૃષ્ટિ
પેઠે અમે પણ સૂકાઈ જઈએ ત્વરિત;
કે પછી પ્રભાતી ઝાકળના મોતીની જેમ જ
જડીએ ન ક્યારેય ખચીત.
– રૉબર્ટ હેરિક
(અનુ. વિવેક મનહર ટેલર)
*
સુખી થવાની સૌથી અગત્યની રીત કઈ? તો કે આજમાં જીવો. ભૂતકાળના પડછાયા અને ભવિષ્યકાળના અંદેશા માણસના તકિયા પરથી ઊંઘ ચોરી લે છે. જે માણસ થઈ ગયેલા સૂર્યોદય અને આવનારા સૂર્યાસ્તની વચ્ચેની ધૂપછાંવનો જીવ છે એ જ સુખી છે. ‘આજની વાતો આજ કરે ને કાલની વાતો કાલ’ (મકરંદ દવે) કરનારને ઊંઘવા માટે કદી ગોળી લેવી પડતી નથી. ઇસુ પહેલાં એટલે આજથી લગભગ એકવીસસો વર્ષ પહેલાં થઈ ગયેલ લેટિન કવિ હોરસ એના સંગ્રહ ‘ઑડ્સ’ની એક કવિતામાં Carpe Diem (કાર્પે ડિએમ), અર્થાત્ ‘આજમાં જીવી લો’, ‘આજને ચૂંટી લો’ કહે છે.
આ કવિતા વહી જતી ક્ષણમાં સ્નાન કરી લેવાની કવિતા છે. સમયનો સ્વ-ભાવ છે કે એ રહે નહીં, વહે. આપણું જીવન સમયના આ ‘રહે’ અને ‘વહે’ની વચ્ચેના કૌંસમાં છે. જેમ વિદ્યા વાપરવાથી વધે છે એમ સમયના સોનાની કિંમત પણ વાપરો એમ વધે છે. ડેફોડિલના ફૂલના અલ્પ આયુષ્યને રૂપક બનાવીને કવિ મજાની કાર્પે ડિએમ કવિતા આપણને આપે છે. આજમાં જીવી લો… કલ હો ન હો…
*
To Daffodils
Fair Daffodils, we weep to see
You haste away so soon;
As yet the early-rising sun
Has not attain’d his noon.
Stay, stay,
Until the hasting day
Has run
But to the even-song;
And, having pray’d together, we
Will go with you along.
We have short time to stay, as you,
We have as short a spring;
As quick a growth to meet decay,
As you, or anything.
We die
As your hours do, and dry
Away,
Like to the summer’s rain;
Or as the pearls of morning’s dew,
Ne’er to be found again.
આપણે ક્યાં કંઈ બીજું કંઈ માગ્યું હતું?
માત્ર મોસમ મ્હેકતી યાચી હતી.
– રાહુલ શ્રીમાળી
ગાલિબને નવ સંતાન થયાં. એક પણ પુખ્ત વય સુધી પહોંચી ના શક્યું. મા-બાપના કલેજા પર કેવી આરી ચાલી હશે!? આવી જ વાત આ મજેદાર ગઝલનો મત્લા આપણી સામે લઈ આવે છે. શબ્દ કળા કરે તો એક જ શબ્દમાંથી નિતનવા અર્થ જન્મી શકે એ વાત પણ કવિએ કેવા મજાના અંદાજમાં રજૂ કરી છે! તરસ તીવ્ર થાય તો જ પાણીની ખરી કિંમત સમજાઈ શકે. ચાતક જ વરસાદના ટીપાનો ખરો મોલ કહી શકે. જિંદગીભર ઝાંઝવાની પાછળ દોડનાર જ સાચી સફળતા સમજી શકે. આખરી શેર પણ સરળ અને મજાનો થયો છે પણ હાંસિલે-ગઝલ શેર તો રાતવાળો થયો છે. કો’કની વાલમ વેરીની યાદમાં રાતના થતા ઉજાગરાને કવિ રાત પણ પોતાની જેમ જ જાગે છે એમ કહીને અદભુત કવિકર્મ કરે છે…
પ્રથમ ગઝલસંગ્રહ “રાતવાસાના નગરમાં”નું લયસ્તરોના આંગણે સહૃદય સ્વાગત છે…
ઘડી દુઃખ, ઘડી સુખ, ઘડી સુખના સપનાં ને અંખ ખુલતામાં રોમેરોમ પ્રજાળતી વાસ્તવિક્તાની આગ… કોના વાંકે? મુખડામાં બધા જ આળનો ટોપલો કાળના માથે ચડાવીને કવિ આગળ વધે છે પણ બીજા અંતરામાં ચોર પકડમાં આવે છે. મન ક્યારેક ત્યાગી તો ક્યારેક બાળકની જેમ બધી જ વસ્તુ માટે તીવ્ર અનુરાગી બની જાય છે. આ બધું જ માયા છે એ જાણવા છતાં મન ત્યાગી-ત્યજી શકતું નથી… ચોર પકડાઈ ગયો છે એટલે શરૂનો પ્રશ્ન કાવ્યાંતે પહોંચતા ઉદગાર ચિહ્નમાં પરિવર્તિત થઈ જાય છે…
આગલા શેરના અનુસંધાનમાં પછીનો શેર લખાયો છે, અને પ્રત્યેક શેર પાછા સ્વતંત્રરીતે પણ મજબૂત છે !! અભિસારિકા એટલે સંકેતને અનુસરી રાત્રિએ પોતાના પ્રેમીને મળવા જનારી સ્ત્રી. જાણે કે આગલા શેરનો સંકેત સમજીને આખી ગઝલ આગળ વધે છે !!
December 26, 2017 at 2:42 AM by તીર્થેશ · Filed under અનિલ ચાવડા, ગીત
ચોપાસે પીડાની સણસણતી વીંઝાતી ગોફણ છે ગોફણ છે ગોફણ છે,
આયખાનું પંખી તો ડાળી પર ટહુકાતું તો પણ છે તો પણ છે તો પણ છે.
આંખો તો મનદુઃખનાં મેલાંમસ વસ્ત્રોને
કીકીઓના વાસણમાં ભીંજવે,
ધોઈને ચોખ્ખાચણાક કરી છેવટ એ
પાંપણની આંગળીથી નીચવે;
એમાં શું ખોટું હું આંખોને કહી દઉં તું ધોબણ છે ધોબણ છે ધોબણ છે,
આયખાનું પંખી તો ડાળી પર ટહુકાતું તો પણ છે તો પણ છે તો પણ છે.
કોની તે ઝંખનામાં વરસોથી ટળવળતાં
મારાં બધીર સાવ ટેરવાં,
વીંટી જો હોય તો એ પ્હેરી પણ લઈએ
પણ કેમ કરી સ્પર્શોને પ્હેરવા?
પથ્થર પર ઢીંચણિયે ચાલવામાં છોલાયા ગોઠણ છે ગોઠણ છે ગોઠણ છે,
આયખાનું પંખી તો ડાળી પર ટહુકાતું તો પણ છે તો પણ છે તો પણ છે.
કવિ પોતે આ ગીત વિશે જે કહે છે એ સાંભળીએ: “એક ગૃહિણીનું / ઘરની રાણીનું ગીત આપને ગમી જશે. મંગાવેલી ચીજ પતિ ન લાવે. પત્ની કોપભવનમાં જાય. રીસભર્યો પતિ વસ્તુ લીધા વગર ઘરમાં પગ ન મૂકવાની પ્રતિજ્ઞા કરી જવા નીકળે અને નગરના ટ્રાફિકમાં પતિના જાનનું જોખમ જોતી પત્ની જે ચિંતા અનુભવે તેનું ગીત….”
પણ આવું કશું ન વિચારીએ તો પણ સાવ નવી ફ્લેવરનું આ ગીત એમ જ આખું આસ્વાદ્ય બન્યું છે. હરણાંહઠ શબ્દપ્રયોગ ચાર ચાંદ લગાવી દે છે…
December 21, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જિગર ફરાદીવાલા
બધું જાણ્યા પછી પણ તું મને સમજાવવા આવે?
ગજબ છે નહિ કે ઉત્તર ખુદ સવાલો પૂછવા આવે?!
તને બસ એ જ કહેવું છે કે બહુ નાજુક સ્થિતિમાં છું,
તને કહેતો નથી કે તું મને સંભાળવા આવે !
અને અંતે ખુમારી આંસુની અકબંધ રહી ગઈ દોસ્ત,
થયેલું એક ક્ષણ એવું કે તું એ લૂછવા આવે.
હું મારું સ્તર સહજતાથી સ્વીકારી લેવા રાજી છું,
છતાં તું છે કે તારું સ્તર ગળે ઉતરાવવા આવે.
હું દોડીને તને વળગી પડું એવી સમજ ઝંખું,
નથી એવો નિયમ કે તું જ કાયમ ભેટવા આવે.
– જિગર ફરાદીવાલા
તાજેતરમાં જ વડોદરા ખાતે યોજાયેલ ગઝલ સેમિનાર અને કવિસંમેલનમાં ઉપસ્થિત એક અંકોડાદાર મૂંછવાળા નવયુવાને પ્રશ્ન પૂછ્યો કે ગઝલમાં દાદનું મહત્વ શું? શું દાદ ગઝલની ગુણવત્તાનો માપદંડ ગણી શકાય? શું ગઝલ મુશાયરામાં સફળ થવી જ જોઈએ? મેં જવાબ આપ્યો કે મુશાયરામાં ઘણીવાર વિફળ જવા છતાં અને ફેસબુક, વૉટ્સએપ નહોતાં તોય મરીઝ ટકી ગયા એનું કારણ એની ગઝલમાં રહેલું સત્વ છે. દાદના સહારે જીવતી ગઝલો તો આજે છે ને કાલે નથી. તમારી ગઝલમાં કવિતા હશે તો સમય એને કદી ભૂંસી નહીં શકે.
પછી કવિસંમેલનમાં એણે આગવી શૈલીમાં ગઝલ રજૂ કરી ત્યારે હું વિચારમાં પડી ગયો. કાર્યક્રમ પત્યા પછી હું એને શોધવા નીકળ્યો ને એને પકડીને મેં કહ્યું, તારે દાદની ચિંતા કરવાની જરૂર નથી. તારી ગઝલો દાદની મહોતાજ નથી. એ સમયની એરણ પર ટકી રહેવા માટે સર્જાઈ છે… મારી વાત પર શંકા હોય તો આ સંઘેડાઉતાર ગઝલ પર જરા નજર નાંખી લ્યો…
હું ખડખડાટ
હસી શકતો હોઉં
અને
ઘસઘસાટ ઊંઘી શકતો હોઉં
મને ભૂખ
અને થાક
અને પ્યાસ
લાગી શકતાં હોય
મહારોગ
કે
દેવું ન હોય
મારું પોતાનું એક ઘર હોય અને
એની નીચે મારાં સ્વજનો સાથે હું મારી દાલ ~ રોટી ખાઈ શકતો હોઉં
વ્હીસ્કીનો એક પેગ લઈને
શનિવારની સાંજે
મને ગમતા મારા મિત્ર કે મિત્રો સાથે બેસીને
પ્રધાનમંત્રી દેવ ગૌડાને ગાળો બોલી શકતો હોઉં
તો
થૅંક યૂ, ગૉડ ! મારી યોગ્યતા કરતાં તે મને ઘણું વધારે આપી દીધું છે!
અને જીવનના છેલ્લા દિવસ સુધી બસ આટલું રહી શકે તો..
મરતી વખતે હું કહીશ.. લહેર પડી ગઈ, યાર !
– ચંદ્રકાંત બક્ષી
ચંદ્રકાંત બક્ષી સિંહ જેવો માણસ હતો. જીવનના રસને પીવામાં એમણે કોઈ કચાશ છોડી નહોતી. આવા માણસને કોઇ પૂછે કે સંપૂર્ણ જીવન એટલે શું? – તો આવો જવાબ મળે.
મોટી મોટી વાતો કરવાથી મોટી જીંદગી બનતી નથી. બધી નાની નાની વાતો બહુ જતનથી ભેગી કરવાથી જ એક મોટી જીંદગી બને છે.
(ચોખવટ: આ લખાણ બક્ષીસાહેબનું છે. પણ એમણે એ કવિતા તરીકે નહોતું લખ્યું. ‘બક્ષીનામા’ના એક લેખમાં આ વાત લખેલી. મને એમાં 100 ટકા કવિતા દેખાઇ એટલે એને કવિતા તરીકે રજૂ કરી છે. વાચકો આટલી ગુસ્તાખી ચલાવી લેશે એવી આશા રાખું છું. મારું માનવું છે કે જો બક્ષીબાબુને મેં આવું કર્યું છે એવી ખબર પડે તો એ ચોક્કસ એક ગાળ આપે અને પછી કહે, “જા તું ય કરી લે લહેર !” )
જર્મન કવયિત્રી એલ્ઝ લાસ્કર-શુલર (૧૧-૦૨-૧૮૬૯થી ૨૨-૦૧-૧૯૪૫) અભિવ્યક્તિવાદ (એક્સ્પ્રેશનિઝમ)ના રાણી ગણાય છે. લોકો એમને ‘ઇઝરાઈલની શ્યામ હંસિણી’ અને ‘આધુનિક જર્મનીની સર્વશ્રેષ્ઠ ગીતકાર’ પણ કહે છે. કવયિત્રી. લેખિકા. ચિત્રકાર. એમના લેખન કે ચિત્રણ –બંને નિહાયત મૌલિક હતા એટલે કોઈની સાથે એમની સરખામણી જ શક્ય નથી.
પ્રસ્તુત રચના કોઈપણ ભોગે પ્રેમીને સંપૂર્ણ પામવા માટેની તડપ અને સરવાળે સાંપડતી નિષ્ફળતાનું ગાન છે. પ્રેયસી પોતાનું સર્વસ્વ સોંપી દે છે. એની ઉપર પોતાની જાત ન્યોછાવર કરી દે છે. પોતાની આશાઓ રોપે છે. પોતાની શક્યતાઓ ફંફોસે છે. પણ પ્રેમીજનના બીડાઈ ગયેલા હોઠ ખોલાવી શકતી નથી, એના ઠંડા પ્રતિભાવો અટકાવી શકતી નથી અને એના હૃદયની ભીતર જઈ શકતી નથી.
*
To the Barbarian
I cover your face
With my body and soul at night.
I plant cedars and almond trees
On the steppe of your body.
Tirelessly I search your chest
For Pharaoh’s golden treasures.
But your lips are heavy,
My miracles cannot redeem them.
Why won’t you lift your snowy skies
From my soul –
Your diamond dreams
Are cutting my veins.
I am Joseph wearing a sweet belt
Around my gaudy skin.
You are delighted by my sea shell’s
Frightened sound.
But your heart no longer
Lets the sea come in.
– Else Lasker-Schuler
(Eng. Trans.: Johannes Beilharz)
December 15, 2017 at 12:26 AM by વિવેક · Filed under અછાંદસ, કપિલા મહેતા
મારી આંખોમાંથી
બહાર ધસી આવતા આંસુઓ
ત્યાં જ અટકો.
પાછા આંખની બખોલમાં લપાઈ જાઓ.
તમે ક્યાં અષાઢનાં મેઘબિંદુ છો?
અહીં કોઈ ચાતક તમને આવકારશે નહીં
તમે ક્યાં સ્વાતિ નક્ષત્રનું જળબિન્દુ છો?
અહીં કોઈ છીપલા મોતી બનાવશે નહીં
તમે ક્યાં હળધરની આંખનો વિસામો છો?
કોઈ રોપાઓને તમારી જરૂર નથી
એટલે જ કહું છુ:
મારી આંખનાં આંસુઓ,
પાછા આંખની બખોલમાં લપાઈ જાઓ.
– કપિલા મહેતા
સ્ત્રીઓ જે રીતે જીવનની વાસ્તવિક્તાને એકદમ સહજભાવે વ્યક્ત કરી શકતી હોય છે એ રીતે પુરુષો ભાગ્યે જ કરી શકતા હશે. પ્રસ્તુત રચના નિરાશાની પરાકાષ્ઠાનું એવું જ સહજગાન છે…
સહેલો ક્યાં છે સતરંગી દુનિયાનો ત્યાગ ?
કંઈક તો આકર્ષણ હોવાનું ભગવામાં.
એની સામે કાયમ સાચુ રહેવું છે
દુનિયા સામે છો ને દંભી પડદામાં.
તેથી અમને લગની લાગી ગઝલોની
આપ રહ્યા છો હરદમ એના મત્લામાં
– શબનમ ખોજા
વડોદરા ખાતે તાજી અને કસાયેલી કલમોના સહિયારા સાહિત્યીક સંમેલનમાં ગઝલો વિશેની પ્રશ્નોત્તરી કદાચ કવિજીવનનું શ્રેષ્ઠ પાનું હતું. તાજી કલમોની રજૂઆત પણ સ્પર્શી ગઈ પણ બુરખો વીંટાળેલા નમણા ચહેરા સાથે એક છોકરી મંચ પર આવી ત્યારે એની બૉડી-લેન્ગ્વેજમાંથી ટપકતો આત્મવિશ્વાસ સભાગૃહને રજૂઆત કરતાંય પહેલાં સ્પર્શી ગયો. અત્યંત મીઠા સ્વરે એણે જે ભાવવાહી ઢબે અને પૂર્ણ અદબથી પઠન કર્યું એ કદાચ આખા કવિસંમેલનની સૌથી અગત્યની કડી હતી. એણે બધા કવિઓમાં સૌથી વધુ દાદ મેળવી. એણે સૌથી વધુ દાદ કેમ મેળવી એની જુબાની તો આ ગઝલના દરેક શેર પાસેથી જ મળી રહેશે… લયસ્તરો પર સ્વાગત છે, કવયિત્રી… સ્નેહકામનાઓ…
કાકાએ સીંચ્યું, કાકાએ સીંચ્યું ને મારા મામાએ ચડાવ્યું રે સૈ
વીરાએ આંગણ બેડું ફોડિયું રે
સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી
ગુજરાતી લોકગીતોમાં સૌથી વધુ પ્રસિદ્ધ ગીતોમાંથી એક. બહેનોને પોતાની વિતકને કહેવા માટે બહુ ઓછા રસ્તા હતા એમાથી એક રસ્તો તે લોકગીત. એટલે દીકરીઓની પીડાઓના અનેક લોકગીતો છે. કેટલી દીકરીઓની પીડાથી ભેગી થાય ત્યારે આવું એક ગીત બનતું હશે?
વાત સોનલ ગરાસણીના અપહરણની છે. સોનલને છોડાવવા દાદાએ લૂંટારાઓને દીધેલાં ‘ધોળુડાં ધણ’ (ગાયો), કાકાએ દીધેલાં ‘કાળુડાં ખાડું’ (ભેંસો), વીરાએ દીધેલાં ‘ધમળાં વછેરાં’ ને મામાએ દીધેલાં ‘વેલ્યું ને માફા’ (ગાડાં) ફોગટ ગયાં. પણ સ્વામીએ શું કર્યું? કશું આપવાને બદલે પોતાનું માથું જ હોડમાં મૂક્યું. ત્યારે જઇને સોનલ લૂંટારાઓના હાથમાંથી તાબડતોબ છૂટી!
પહેલી નજરે અપહરણની કથામાં પતિ-પત્નીના નૈકટ્ય઼ની વાત કેટલી નાજુક રીતે વણાયેલી છે એ જોવાનું રખે ચૂકતા… બીજા બધા તો કશું ને કશું આપશે પણ પોતાનો માણસ તો જાન જ કાઢીને આપશે !!
કેવું મજાનું ગીત…. કોણ જાણે કોણે લખ્યું હશે પણ વરસોથી આપણા સમાજમાં આ ગીત ગવાતું આવ્યું છે અને ગીતનો લય તો જાણે કે આપણા લોહીમાં ઓતપ્રોત થઈ ગયો હોય એમ પોતીકો લાગે… લોકગીતોની આ જ મજા છે… કડવી વાત પણ એવી મીઠાશથી કહી દેવાની કે સાંભળનારને માઠુ ન લાગે…
December 9, 2017 at 3:00 AM by ઊર્મિ · Filed under ગીત, લોકગીત
લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યાં જો !
ફૂલ કેરે દડુલિયે સીતાએ વેર વાળ્યાં જો !
રામ ! તમારે બોલડીએ હું પરઘેર બેસવા જઈશ જો !
તમે જશો જો પરઘેર બેસવા, હું વાતુડિયો થઈશ જો !
રામ ! તમારે બોલડીએ હું પરઘેર દળવા જઈશ જો !
તમે જશો જો પરઘેર દળવા, હું ઘંટુલો થઈશ જો !
રામ ! તમારે બોલડીએ હું પરઘેર ખાંડવા જઈશ જો !
તમે જશો જો પરઘેર ખાંડવા, હું સાંબેલું થઈશ જો !
રામ ! તમારે બોલડીએ હું જળમાં માછલી થઈશ જો !
તમે થશો જો જળમાં માછલી, હું જળમોજું થઈશ જો !
રામ ! તમારે બોલડીએ હું આકાશ વીજળી થઈશ જો !
તમે થશો જો આકાશ વીજળી, હું મેહુલિયો થઈશ જો !
રામ ! તમારે બોલડીએ હું બળીને ઢગલી થઈશ જો !
તમે થશો જો બળીને ઢગલી, હું ભભૂતિયો થઈશ જો !
રામ-સીતાનાં પ્રસન્ન દાંપત્યજીવનની ઝાંખી કરાવતું લોકગીત. રાધકૃષ્ણની પ્રણયમસ્તીનાં ગીતો તો ખૂબ જોવા મળે છે, પરંતુ રામસીતાનાં પ્રેમને-સંબંધને હળવાશથી-મસ્તીથી રજૂ કરતા ગીતો જવલ્લે જ જોવા મળે છે. લવિંગની નાનકડી નાજુક લાકડી વડે રામનું સીતાને મારવું અને પછી એનાથીયે નાજુક એવા ફુલનાં દડાથી સીતાનું વેર વાળવું- કેવી નાજુક કલ્પના! રિસાયેલી પત્નિ કોઈ ને કોઈ બહાને પતિથી દૂર જવા માંગે છે, પરંતુ પતિ ગમે તે રીતે એની સાથે જ રહેવા માંગે છે- સાવ સામાન્ય પતિ-પત્નિ જેવી જ નોકઝોંક! પરંતુ છેલ્લે સીતાની બળીને ઢગલો થવાની વાત આવનારી અગ્નિપરીક્ષાની ઝાંખી કરાવી જાય છે…
December 7, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગીત, લોકગીત
આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો
ખળખળતી નદિયું રે, સાહેલી, મારા સપનામાં રે
આજ રે સપનામાં મેં તો ઘમ્મર વલોણું દીઠું જો
દહીં-દૂધના વાટકા રે, સાહેલી, મારા સપનામાં રે
આજ રે સપનામાં મેં તો લવિંગ લાકડી દીઠી જો
ઢીંગલાં ને પોતિયાં રે, સાહેલી, મારા સપનામાં રે
આજ રે સપનામાં મેં તો જટાળો જોગી દીઠો જો
સોનાની થાળી રે, સાહેલી, મારા સપનામાં રે
આજ રે સપનામાં મેં તો પારસપીપળો દીઠો જો
તુળસીનો ક્યારો રે, સાહેલી, મારા સપનામાં રે
આજ રે સપનામાં મેં તો ગુલાબી ગોટો દીઠો જો
ફૂલડિયાંની ફોર્યું રે, સાહેલી, મારા સપનામાં રે
ડોલતો ડુંગર ઈ તો અમારો સસરો જો
ખળખળતી નદીએ રે સાસુજી મારાં ના’તાં’તાં રે
ઘમ્મર વલોણું ઈ તો અમારો જેઠ જો
દહીં દૂધના વાટકા રે જેઠાણી મારાં જમતાં’તાં રે
લવિંગ લાકડી ઈ તો અમારો દેર જો
ઢીંગલે ને પોતિયે રે દેરાણી મારાં રમતાં’તાં રે
જટાળો જોગી ઈ તો અમારો નણદોઈ જો
સોનાની થાળીએ રે નણદી મારાં ખાતાં’તાં રે
પારસ પીપળો ઈ તો અમારો ગોર જો
તુળસીનો ક્યારો રે ગોરાણી મારાં પૂજતાં’તાં રે
ગુલાબી ગોટો ઈ તો અમારો પરણ્યો જો
ફૂલડિયાંની ફોર્યું, સાહેલી, મારી ચૂંદડીમાં રે
લયસ્તરોની તેરમી વર્ષગાંઠ અને ૪૦૦૦ પૉસ્ટની બેવડી ખુશાલીની ઉજવણી નિમિત્તે આજે આ જાણીતું લોકગીત… ગીતના પૂર્વાર્ધમાં જે રૂપકો જોડાયેલાં છે એનો જવાબ ગીતના ઉત્તરાર્ધમાં જ મજાની રીતે જડી આવે છે…
*
આપણે ત્યાં એક સાહજિક સાર્વત્રિક માન્યતા એવી છે કે લોકગીત એટલે લોકોના મોઢે ગવાતા ગીત… લોકોએ રચેલા અને લોકો દ્વારા મુખોપમુખ પેઢી દર પેઢી વહેતું રહેલું પદ્યસાહિત્ય. પણ એ જાણીને નવાઈ લાગશે કે ‘લોકગીત’ નામાભિધાન તો છેક ઈ.સ. ૧૯૦૫ની સાલમાં રણજીતભાઈ વાવાભાઈએ પ્રથમ ગુજરાતી સાહિત્ય પરિષદમાં અંગ્રેજી કાવ્યપ્રકાર Folk-song પરથી કર્યું હતું. કોઈપણ ભાષામાં બોલાતા શબ્દનું આયુષ્ય લખાતા શબ્દ કરતાં સેંકડો-હજારો વર્ષ વધારે જ હોવાનું. આપણે ત્યાં સમાજમાં ચલણી આવા ગીતો પહેલાં કંઠસ્થ મુખપાટીના ગીતો કે દેશજ ગીતો તરીકે ઓળખાતાં. પણ હવે લોકગીત શબ્દ સર્વસ્વીકૃત થઈ ગયો છે. આમ, જેનો કોઈ નિશ્ચિત રચનાકાર ન હોય અને જે સમાજના લોકોમાં મુખોપમુખ ચાલતું આવ્યું હોય અથવા પુરાતન હસ્તપ્રતોમાંથી જડી આવ્યું હોય એ લોકગીત એમ કહી શકાય.
લોથલમાંથી મળી આવેલા અવશેષો પરથી સમજી શકાય છે કે આપણે ત્યાં વેદસાહિત્ય અસ્તિત્વમાં આવ્યું એ પહેલાંથી દેશજ સાહિત્ય અસ્તિત્વમાં આવ્યું હશે. શરૂઆતનું આ સંસ્કૃત સાહિત્ય ક્રમશઃ પ્રાકૃત ભાષામાં, પછી અપભ્રંશ ભાષા અને એમ શિષ્ટ ભાષામાં પલટાતું ગયું.
લોકગીતના ‘ઉપાડ’ કે શરૂઆતને ગીતનું ‘થડ’ કહે છે. મધ્યભાગને ‘પેટાળ’ કહે છે જેમાં સંવાદ, સંઘર્ષ કે આપત્તિનું નિરુપણ કરી મૂલ કથાતંતુના વેગને અંતિમ લક્ષ્યગામી બનાવાય છે. અને લોકગીતનું સમાપન એટલે ‘પીચ્છ’ કે ‘છેડો’.
બાળી ઝાળીને ઘરે આવિયાં રે લોલ
હવે માડી મંદીરિયે મોકળાશ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ
આ ભવનો ઓશિયાળો હું થયો રે લોલ
હવે માડી દેજો દોટાદોટ જો
આ સહુનો ઓશિયાળો હું થયો રે લોલ
આમ તો આ એક સરળ લોકગીત છે, પણ વાત સમાજના અતલ ઊંડાણ સુધી વ્યાપેલા સડાની છે. રામે જેમ ધોબીવેણ સાંભળી સતીને ત્યાગ્યા હતા તેમ અહીં પણ કંઈક એવી જ વાત છે… હું તો મારા સંપર્કમાં આવતી તમામ દીકરીઓને એક જ હ્રદયપૂર્વકની અપીલ કરું છું કે જ્યાં સામ પક્ષ દ્વારા સમજીવિચારીને તમારું હેતુપૂર્વકનું અપમાન થાય ત્યાં એક ક્ષણ પણ ટકશો નહીં….દુનિયા બહુ વિશાળ છે અને જીવન અત્યંત સુંદર છે. ઝેરીલા વેણ બોલનારા છો ઝેર ખાતા… આપણે તો રસના ઘૂંટડા જ ભરવા.
મોટા સાહેબે તાગ જ લીધા, પાણીનો ના’વે પાર
સાબ, મઢ્યમ [ ગોરી મેડમ ] બે દરિયો ડોળે,પાણીનો ના’વે તાગ
હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ…….
વૈતરણા જહાજ, જે વીજળી અથવા હાજી કાસમની વીજળી તરીકે જાણીતું હતું, કારણ કે જહાજ વીજળીના ગોળાઓ વડે પ્રકાશિત હતું, તેની અંતિમ સફરની આ અમર ગાથા છે.
એ. જે. શેફર્ડ અને કુાં, મુંબઈની માલિકીનું આ જહાજ હતું. આ જહાજ ૮ ડિસેમ્બર ૧૮૮૮ ના રોજ ગુજરાતના સૌરાષ્ટ્ર નજીક વાવાઝોડાંમાં માંડવીથી મુંબઈ જતી વખતે ખોવાઈ ગયું હતું. વૈતરણા માંડવી બંદર પર ગુરૂવાર, ૮ નવેમ્બર ૧૮૮૮ ના રોજ બપોરે લાંગર્યું હતું અને ૫૨૦ પ્રવાસીઓને લઈને દ્વારકા માટે રવાના થયું. દ્વારકા પહોંચ્યા બાદ વધુ પ્રવાસીઓ લીધા બાદ સંખ્યા ૭૦૩ પર પહોંચી. તે પોરબંદર માટે રવાના થયું. લોકવાયકા મુજબ, પોરબંદર બંદરના સંચાલક લેલીએ કપ્તાનને સમુદ્રમાં સફર કરવાની ના પાડી હતી [ પણ પછી થયેલા સંશોધનો મુજબ આ વાત ખોટી હતી.]. ખરાબ હવામાનને કારણે જહાજ પોરબંદર પર રોકાયું નહી અને સીધું મુંબઈ જવા રવાના થયું. સાંજ પડતાં તે માંગરોળના દરિયા કિનારે દેખાયું હતું અને કેટલાંક લોકોએ તેને માધવપુર (ઘેડ) નજીક ભારે તોફાનમાં તૂટેલું દેખાયું હોવાનો દાવો કર્યો હતો. બીજા દિવસે જહાજને ખોવાયેલું જાહેર કરવામાં આવ્યું હતું
આ દુર્ઘટનામાં ૭૪૦થી વધુ લોકો ખોવાઈ ગયા હતા. આ ઘટનાને કારણે ઘણાં દરિયાઈ કાવ્યો અને લોકગીતો રચાયા છે.
હું ઘણો નાનો હતો ત્યારે આ ગીત કોઈક સામાયિકમાં વાંચેલું [ ઘણું કરીને જનક્લ્યાણમાં ] અને ત્યારથી એ સ્મૃતિપટ પરથી કદી ભૂંસાયું નથી….
ઋષિકેશ પછી
ગંગા હજીય લીલી છે.
કાચની ક્ષિતિજ
ટેકરીઓમાં તૂટી જાય છે.
અમે સ્ફટિક ઉપર ચાલીએ છીએ.
ઉપર અને નીચે
શાંતિની મહાન ખાડીઓ.
ભૂરા અવકાશમાં
સફેદ પથ્થરોમાં, કાળા વાદળોમાં.
તેં કહ્યું’તું:
. ये देश स्त्रोतों से भरपूर है।
એ રાત્રે મેં મારા હાથ તારા સ્તનોમાં ધોઈ લીધા હતા.
-ઑક્તાવિયો પાઝ
(અનુ.: વિવેક મનહર ટેલર)
પાણી આજે (અને હંમેશાથી) આધ્યાત્મિકતાની ચાવી રહ્યું છે. જેમ આપણે હિંદુઓ ગંગાને પવિત્ર ગણીએ છીએ અને એને મોક્ષનો દરવાજો ગણીએ છીએ, એમ મોટાભાગના ધર્મોએ વિશ્વ આખામાં જળાશયો સાથે આધ્યાત્મિક અર્થચ્છાયાઓ સાંકળી છે.
આખી રચના સ્પેનિશ ભાષામાં છે પણ કવિએ સહેતુક એક પંક્તિ -‘ Le pays est plein de sources ’-ને ફ્રેન્ચ ભાષામાં લખીને અલગ તારવી છે. આ પંક્તિનો મતલબ છે, આ દેશ સ્ત્રોતોથી, ઝરણાંઓથી ભરપૂર છે. આ વાક્ય આખી કવિતાને, બે ધ્રુવોને એકબિંદુએ લઈ આવે છે, એ અર્થમાં આ કવિતા આખા પૂર્વાર્ધ અને એક પંક્તિના ઉત્તરાર્ધ વચ્ચેનો મિજાગરો છે. અને એટલે જ કવિએ અલગ ભાષા વાપરીને સચેત કવિકર્મની સાહેદી આપી છે.
કવિ કહે છે કે એ રાત્રે એમણે પોતાના હાથ તેણીના સ્તનોમાં ધોઈ નાખ્યા હતા. વાત તો સંભોગની જ છે પણ કવિ આ સંભોગને ગંગાની પવિત્રતા અને મેક્સિકોની ખાડીની મહાનતાની કક્ષાએ લઈ જાય છે. માનવ શરીરને કવિ એના શુદ્ધ સ્વરૂપમાં જુએ છે. પ્રેયસીના સ્તનમર્દનને ગંગાસ્નાન દરમિયાન પોતાની તમામ મલિનતાઓને ધોવા સાથે સરખાવીને પાઝ એક જ પંક્તિમાં સાવ સાદી લાગતી કવિતાને એવરેસ્ટની ઊંચાઈએ લઈ જાય છે.
The Key of Water
After Rishikesh
the Ganges is still green.
The glass horizon
breaks among the peaks.
We walk upon crystals.
Above and below
great gulfs of calm.
In the blue spaces
white rocks, black clouds.
You said:
. Le pays est plein de sources.
That night I washed my hands in your breasts.
ઉંમરનું નાકું આવી લાગ્યું છે. આ ગાડું જૂનું થયું છે પણ ન થવાનું થયું છે. પાકટ વયે અજાણ્યા માર્ગની કેડી સાંપડી છે ને આતમરામ નામનો બળદ ખખડધજ ડમણિયાંને ઝીણી ને મધુરી ઘંટડી સાથે આ નવા મારગ પર ખેંચી લઈ જઈ રહ્યો છે… આ અણજાણ્યા મલકમાં સૂરજ ઊગી ચૂક્યો છે, અજવાળું જ અજવાળું છે. આધ્યાત્મની ઊંડી શેરીઓ જ્યારે સાદ કરીને બોલાવતી હોય ત્યારે ફકીરમાં-ગુરુમાં ખોવાઈ જવાનું હોય, એમને અર્ધ્ય આપવાનું હોય… આમ કરીએ તો ઝાકળમાં પણ વાવાઝોડું નજરે ચડે… યશોદાને મુખમાં બ્રહ્માંડ નહોતું દેખાયું? ‘હું’થી અળગાં થઈને મર્મજ્ઞાનમાં ભળવાનું છે, મનખાને માંજવાનો છે કેમકે પલકારો પામવાની ઘડી આવી ઊભી છે… વીજળીના ઝબકારે મોતીડાં પરોવવાનાં છે…
આધ્યાત્મની વાત બાજુએ મૂકીએ તો પણ ગીત એના લય અને મોટાભાગની પંક્તિઓમાં જોવા મળતી વર્ણસગાઈના આંતર્લયના કારણે વધુ આસ્વાદ્ય બન્યું છે.
ધોરી – બળદ
ડમણું – ગાડું
ખલકો – ફકીરનો ઝભ્ભો, કાયા
ભેદ – મર્મજ્ઞાન; એકત્વરૂપમાં પરિણત પુદ્ગલપિંડ (સ્થૂલ શરીર)નો વિભાગ થવો તે. પુદ્ગલ સ્પર્શ, રસ ગંધ અને વર્ણવાળા હોય છે તથા તે શબ્દ, બંધ, સુક્ષ્મત્વ, રથૂલત્વ, સંસ્થાન, ભેદ, અંધકાર, છાયા, આતપ અને ઉદ્યોતવાળા પણ છે. ભેદના પાંચ પ્રકાર છે: ઔત્કરિક, ચોર્ણિક, ખંડ, પ્રતર અને અનુતર. (ભગ્વદ્ગોમંડલમાંથી સાભાર)
અંઘોળ – સ્નાન
ભળકડું – ભડભાખળું, પ્રાતઃકાળ
November 30, 2017 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, પન્ના નાયક
આપણે
જિંદગી આખી
દીવાનખાનાની
વાતો કર્યા કરી…!
થાય છે –
એકાદવાર
એકાદ રાત તો
બેડરૂમની…
– પન્ના નાયક
સાવ નાની અમથી બે જ લીટીની, સૉરી, દોઢ જ લીટીની કવિતા પણ આપણી સંવેદનાની આરપાર છરી હુલાવી જાય એવી. સ્ત્રીની કલમ છે. સ્ત્રીના જાતિગત સંસ્કાર એને સંબંધને મારા-તારાની પૌરુષી નજરે મૂલવવાને બદલે ‘આપણે’થી જ જોતાં શીખવે છે એટલે કવિતાની શરૂઆત ‘આપણે’થી થાય છે. જીવન આખું દીવાનખાનાની-દુનિયાની વાતોમાં જ વેડફાઈ ગયું. દીવાનખાનું પ્રતિક છે જાહેર વાતોનું જ્યારે બેડરૂમ અંગત વાતોનું પ્રતિક છે. કામસૂત્ર-ખજૂરાહોનો આ દેશ હોવા છતાં આપણે બેડરૂમમાં જઈએ છીએ ત્યારે ખિસ્સામાં ડ્રોઇંગરૂમ લઈ જવાનું ચૂકતા નથી પણ આપણા ડ્રોઇંગરૂમમાં બેડરૂમ ભૂલેચૂકે પણ આવી શકતો નથી. ‘આખી જિંદગી’ની અડોઅડ ‘એકાદ રાત’ મૂકીને કવયિત્રી કટાક્ષ બેવડાવે છે.
પહેલું વાક્ય આશ્ચર્યચિહ્ન સાથે સમાપ્ત થાય છે. આખી જિંદગી દુન્યવી બાબતોમાં સહિયારી વેડફી દીધી હોવાની પ્રતીતિના પેટથી જન્મેલું આશ્ચર્ય છે આ. પણ એ વાક્યમાં પુરુષનું પ્રાધાન્ય છે એટલે એ વાક્યને પૂરા થવાનુઉં સુખ તો સાંપડ્યુ છે જ્યારે બીજું વાક્ય સ્ત્રીની લાગણીનું – ન જેવી માંગણીનું વાક્ય છે એટલે એ સહજ રીતે કાવ્યાંતે અધૂરું છૂટી ગયું છે…
જેમ કે હું ઘણીવાર શતરંજ ખેલનાર લોકોને જોઉં છું
મારી આંખ એક પ્યાદાને અનુસરે છે
જે થોડો થોડો કરીને એનો માર્ગ શોધે છે
અને સફળ થાય છે સમયસર આખરી પંક્તિ સુધી પહોંચવામાં.
એ એવી ઉત્કંઠાથી કિનારી સુધી ધસી જાય છે
કે તમને લાગે છે કે અહીં નક્કી શરૂ થશે
એની ખુશીઓ અને એના પુરસ્કારો.
એને રસ્તામાં ઘણી મુશ્કેલીઓ મળે છે.
કૂચ કરનારાઓએ એના તરફ તીરછા ભાલા ઊછાળ્યા;
કિલ્લેબંધીઓએ એમના વિસ્તીર્ણ પડખાં લઈ એના પર
હુમલો કર્યો; પોતાના બે ચોકઠાંઓમાં
ઝડપી ઘોડેસ્વારોએ કુશળતાપૂર્વક
એને આગળ વધતું અટકાવવા પ્રયાસ કર્યો
અને આમ અને તેમ એકાદ જોખમી ખૂણામાં
દુશ્મનોની છાવણીમાંથી મોકલાયેલું
એક પ્યાદું એના રસ્તામાં ઉભરી આવે છે.
પણ એ બધા જ ખતરાઓ પાર કરી લે છે
અને એ સફળ થાય છે સમયસર આખરી પંક્તિ સુધી પહોંચવામાં.
કેવો વિજયી થઈને એ ત્યાં સમયસર પહોંચી જાય છે,
એ દુર્જય આખરી પંક્તિ સુધી;
કેવો આતુરતાપૂર્વક એ પોતાના જ મૃત્યુ પાસે પહોંચે છે!
કેમકે અહીં પ્યાદું નાશ પામશે
અને એની બધી તકલીફો બસ, આના માટે જ હતી.
એ આવ્યું હતું શતરંજના નર્કાગારમાં પડીને
કબરમાંથી પુનર્જીવિત કરવા માટે
એ રાણીને, જે આપણને બચાવી લેશે.
શતરંજના નિયમ મુજબ પ્યાદું જ્યારે સામી તરફની આખરી પંક્તિ સુધી પહોંચવામાં સફળ થઈ જાય છે ત્યારે એની ટીમના કોઈપણ સેનાની – રાણી, ઊંટ, ઘોડો કે હાથી પુનર્જીવન પામે છે. આ સેનાનીઓને પુનર્જીવિત કરવા માટે પ્યાદું શહીદ થઈ જાય છે. પહેલી નજરે જે એનો વિજય દેખાય છે, એ હકીકતે તો એનું મૃત્યુ છે. અને મૃત્યુ સુધી પહોંચવાનું, આખરી પંક્તિ સુધી પહોંચવાનું, સમયસર પહોંચવાનું અને એનીય પાછી તાલાવેલી-આતુરતાપૂર્વક! એના મગજમાં એ ઠસાવી દેવામાં આવ્યું છે કે એ પોતે ભલે નરક ભેગો થઈ જાય પણ એની કુરબાની એળે જવાની નથી. એની શહીદીના પરિપાકરૂપે રાણી નવજીવન પામશે અને એ સૌનો ઉદ્ધાર કરશે. જિંદગીની શતરંજના સેનાનીઓ હંમેશા પ્યાદાંઓના ભોગે જ આગળ વધતાં જોવા મળશે. સૈનિકને હંમેશા ખુવાર થવા માટેની તાલિમ અપાય છે અને સેનાપતિને વ્યૂહરચનાની.
The Pawn
As I often watch people playing chess
my eye follows one Pawn
that little by little finds his way
and manages to reach the last line in time.
He goes to the edge with such eagerness
that you reckon here surely will start
his enjoyments and his rewards.
He finds many hardships on the way.
Marchers hurl slanted lances at him;
the fortresses strike at him with their wide
flanks; within two of their squares
speedy horsemen artfully
seek to stop him from advancing
and here and there in a cornering menace
a pawn emerges on his path
sent from the enemy camp.
But he is saved from all perils
and he manages to reach the last line in time.
How triumphantly he gets there in time,
to the formidable last line;
how eagerly he approaches his own death !
For here the Pawn will perish
and all his pains were only for this.
He came to fall in the Hades of chess
to resurrect from the grave
the queen who will save us.
લગભગ પચ્ચીસસો વર્ષ પહેલાં ગ્રીક ફિલસૂફે કહ્યું હતું, ‘change is the only constant.’ આ અફર સાર્વત્રિક નિયમથી ગુજરાતી કવિતા પણ કેમ બચી શકે? સમયની સાથે-સાથે મહાકાવ્ય, ખંડકાવ્ય, આખ્યાનકાવ્ય, સૉનેટ અને દોહા -જેવા કાવ્યપ્રકારો ક્રમશઃ લુપ્ત થઈ જઈ રહ્યાં છે. સંજુ વાળા દોહાની વિસરાતી જતી પ્રણાલિનો હાથ ઝાલીને દોસ્તીના દોહા લઈને આવ્યા છે. એક-એક દોહા ખૂબ ધીમે ધીમે મમળાવવા લાયક…
માત્ર હંગામો મચવવો, હેતુ એ મારો નથી,
મારી કોશિશ છે કે આ સૂરત બદલવી જોઈએ.
મારી છાતીમાં નહીં તો તારી છાતીમાં, ભલે;
ક્યાંક હો એ આગ, પણ આગ જલવી જોઈએ.
– દુષ્યન્તકુમાર
(અનુ. ઉશનસ્)
દુષ્યન્તકુમારની આ ગઝલ હકીકતમાં ગુજરાતી અનુવાદની મહોતાજ નથી કેમકે આપણી રગોમાં ગુજરાતી જો રક્તકણ બની વહે છે તો હિંદી શ્વેતકણ બનીને. પણ સાક્ષાત્ યુગપુરુષ ઉશનસ્ જેવા પરંપરાના કવિ ગઝલની ચેતનાથી સરાબોળ ભીંજાઈને આ રચનાનો અનુવાદ કરે ત્યારે અનુવાદની ગુણવત્તા કરતાં એનું ઐતિહાસિક મહત્ત્વ વધી જાય છે. ગઝલ તો સ્વયંસ્પષ્ટ જ છે પણ ઉશનસનો અનુવાદ આપણા માટે વધારાના પુરસ્કાર સમો છે…
हो गई है पीर पर्वत-सी पिघलनी चाहिए,
इस हिमालय से कोई गंगा निकलनी चाहिए।
आज यह दीवार, परदों की तरह हिलने लगी,
शर्त लेकिन थी कि ये बुनियाद हिलनी चाहिए।
हर सड़क पर, हर गली में, हर नगर, हर गाँव में,
हाथ लहराते हुए हर लाश चलनी चाहिए।
सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं,
सारी कोशिश है कि ये सूरत बदलनी चाहिए।
मेरे सीने में नहीं तो तेरे सीने में सही,
हो कहीं भी आग, लेकिन आग जलनी चाहिए।
“તને લાગે છે કે હું મરી ગયું છું?”
સફરજનના ઝાડે કહ્યું,
“કેમકે મારી કને એકે પાંદડું નથી બતાવવા માટે-
કેમકે હું છું ઝૂકેલ,
ને મારી ડાળો છે તૂટેલ,
અને શુષ્ક ભૂખરી શેવાળ મારા પર ફાલે!
પણ તોય મારા થડ અને ડાળમાં હું છું જીવંત;
આવતા મેની કૂંપળ
મેં ગોપવી છે ભીતર-
પણ મને દયા આવે છે મારા મૂળ નજીકના ઘાસની, જેનો આવી ઊભો છે અંત”
“તને લાગે છે કે હું મરી ગયું છું?,”
ઝડપી ઘાસે કહ્યું,
“કેમકે હું થઈ ગયું છું ધડ-પત્તા વગર!
પણ આ ભૂમિગત
હું છું સહી સલામત
ઓઢીને બરફના જાડો ધાબળો માથા પર
હું બિલકુલ જીવંત છું, ફૂટવાને તૈયાર,
વસંત આ વર્ષની જ્યારે
નર્તંતી આવશે ત્યારે-
પણ મને આ ડાળ ને મૂળ વિનાના ફૂલની આવે છે દયા અપાર.”
“તને લાગે છે કે હું મરી ગયું છું?,”
એક મૃદુ અવાજે કહ્યું,
“કેમકે ન ડાળ-ન મૂળ, કાંઈ ન મારી કને.
હું કદી મર્યું જ નહોતું,
પણ સંતાઈ રહ્યું’તું
એક દળદાર બીમાં જેને વાવ્યું તું પવને.
શિયાળાના લાંબા કલાકોમાં મેં પ્રતીક્ષા કરી છે ધૈર્યથી
તમે મને જોશો ફરી-
હું તમારા પર હસીશ વળી,
સેંકડો ફૂલોની આંખથી.
– એડિથ મટિલ્ડા થોમસ
(અનુ. વિવેક મનહર ટેલર)
*
સતત હિમવર્ષાના કારણે બધું મૃતપ્રાય ભાસે છે. સૃષ્ટિ સમગ્ર પ્રગાઢ નિદ્રામાં છે અને કવયિત્રી આ નિદ્રામાં સફરજનના ઝાડ, ઘાસ અને ફૂલને પ્રલાપ કરતાં સાંભળે છે. વાત ઊંઘમાં થઈ રહી છે પણ વાત જાગૃતિની છે. રાતના કાળા રંગના પોતથી કવયિત્રી જિંદગીની ચાંદનીનું મજાનું ચિત્ર દોરી આપે છે. મૃત્યુ બાહ્ય શરીર માત્ર છે, જીવન ભીતરની ચેતના છે. પ્રથમ પંક્તિમાં આવતા પ્રશ્નથી લઈને આખાય ઘટનાચક્રમાં સતત પુનરુક્તિ નજરે ચડે છે. એક જ સવાલ દરેક અંતરાની શરૂઆતમાં પુનરાવર્તિત કરીને કવયિત્રી સામાની ખાતરીની ખાતરી આપે છે અને પછી એનું નિરસન કરે છે. સામાને તો એમ જ છે કે આ મરી પરવાર્યું છે. કવયિત્રીને સફરજનનું ઝાડ, ઝાડને ઘાસ અને ઘાસને ફૂલ મરી પરવાર્યા હોવાની પતીજ છે એટલે એ દરેક એકમેકની દયા ખાય છે પણ દરેક પોતે જાણે છે કે પોતાની અંદરની ચેતના મરી પરવારી નથી. આ સામાના મૃત્યુની ખાતરી, સામા પર દયા, અને સ્વકીય ચેતનાની પુનર્જાગૃતિની ખાતરીનું પુનરાવર્તન આ કવિતાનો આત્મા છે.
*
Talking in their sleep
“You think I am dead,”
The apple tree said,
“Because I have never a leaf to show—
Because I stoop,
And my branches droop,
And the dull gray mosses over me grow!
But I’m still alive in trunk and shoot;
The buds of next May
I fold away—
But I pity the withered grass at my root.”
“You think I am dead,”
The quick grass said,
“Because I have parted with stem and blade!
But under the ground
I am safe and sound
With the snow’s thick blanket over me laid.
I’m all alive, and ready to shoot,
Should the spring of the year
Come dancing here—
But I pity the flower without branch or root.”
“You think I am dead,”
A soft voice said,
“Because not a branch or root I own.
I never have died,
But close I hide
In a plumy seed that the wind has sown.
Patient I wait through the long winter hours;
You will see me again—
I shall laugh at you then,
Out of the eyes of a hundred flowers.”
લ્યો, કાગડો હોવાનો એનો કાર્યક્રમ પૂરો થયો
હવે આ રાષ્ટ્રગીત ગાવ” ‘કાગડો મરી ગયો’…
રમેશ, આમ કાગડાની જેમ તું કરાંજ મા
You.. stop… stop… stop… now કાગડો મરી ગયો
– રમેશ પારેખ
રમેશ પારેખની આ રચના ખાસી પ્રસિદ્ધ થઈ છે. પહેલી નજરે એ સામાન્ય સ્તરની લાગે પણ બીજી નજરે જોતાં જ એમાં કવિની તિર્યક દૃષ્ટિ અને ભારોભાર વ્યંગ સમજાય છે. કાગડો. મહેમાન આવવાના શુકન અને કાગવાસ – આ બે ક્રિયાઓને બાદ કરતાં એવી કોઈ ઘટના નથી જેની સાથે આપણે કાગડાને સાંકળ્યો હોય. એનો કાળો રંગ, કર્કશ અવાજ અને જમાત જમાવીને મડદાં ચૂંથવાની વૃત્તિને કારણે કાગડો આપણે ત્યાં હંમેશા અપ્રિય પક્ષી જ બની રહ્યો છે. પણ રમેશ પારેખે એ આ ગઝલમાં કાગડાની વાત જ કરી નથી. અહીં કાગડો મરી ગયોના નિમિત્તે આપણી કાગવૃત્તિને નિશાન બનાવીને કવિ એક-એક શેરમાં ભારોભાર વ્યંગ કરે છે…
अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत।
अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना॥ 2.28॥
All created beings are unmanifest in their beginning, manifest in their interim state, and unmanifest again when they are annihilated. So what need is there for lamentation?
આ પૂનમ કેરો ચાંદ ઊગ્યો ને તળેટીઓને લાગ્યો એવો ભય હે રે
કે થીજેલી ભરતી જેવાં આ શિખરોનો સળવળશે કે શું લય હે રે
થીર માનીને અમે ટોચ પર પ્રભુનાં મંદિર ચણ્યાં હતાં રે
નદીઓના આ છેડાને તો અડગ પ્હાણના ગણ્યા હતા રે
હવે જોયું ને થાય
થાય કે હેલારે ઊંચકાયેલાં છલક્યાં જ જાણજો પય હે રે
મોજાં જેવા પહાડમાંથી પહાડ જેવાં મોજાં જો પ્રગટી પડશે તો?
તૂટે કળશ કમાડ ને ગર્ભાગાર છેક આને જડશે તો?
અધ્ધર અટકી રહેલા ધસમસ આકારોનો બદલાશે નિશ્ચય હે રે
પછી ઘૂઘવ્યા પહાડ-સાગર, ડૂબ્યાં કૂપ તળાવ નદી હો
ડૂબ્યો દરિયો ડૂબી ધરતી ડૂબી વીસેવીસ સદી હો
પીતપર્ણ શો ખર્યો ચંદ્ર
રે
પીતપર્ણ શો ખર્યો ચંદ્ર
આ પીતપર્ણ પર પોઢેલા એ, સાંભળજો, નવજાત શિશુનો
સ્મિતકલરવ અક્ષય હે રે
તૂટ, તૂટ, તૂટ,
તારા ઠંડા ભૂખરા ખડકો પર, ઓ સાગર!
ને હું ઇચ્છું છું કે મારી જીભ ઉચ્ચારે
વિચાર જે ઊઠે છે મારા માનસપટ પર.
ઓહ, સારું છે કે પેલો માછીમારનો દીકરો
બૂમ પાડીને રમી રહ્યો છે બહેનની સાથે;
ઓહ, સારું છે કે ખારવો પેલો
ગાઈ રહ્યો છે ખાડીમાં હોડીના માથે.
અને આ આલિશાન જહાજો જઈ રહ્યાં છે
પોતપોતાના સ્વર્ગમાં ટેકરીની ઓથે.
અરે પરંતુ! અલોપ થયેલા હાથનો સ્પર્શ
અને ધ્વનિ એ અવાજનો જે થીજી ગયો છે!
તૂટ, તૂટ, તૂટ
જઈને તારી કરાડના પગ પર, ઓ સાગર!
પણ એ દિવસ જે મરી ચૂક્યો છે એની કૃપા
ફરી કદી પણ નહીં વરસશે મારા પર.
– આલ્ફ્રેડ, લૉર્ડ ટેનિસન
(અનુ. વિવેક મનહર ટેલર)
*
વિક્ટોરિયન યુગના રાજકવિ, અને જીવતેજીવ દંતકથા સમાન બહુમાન પામનાર ટેનિસનના પરમમિત્ર આર્થર હેન્રી હેલમ, જે માત્ર 22 વર્ષની કાચી વયે અવસાન પામ્યા એની યાદમાં જ લખાયેલ આ રચના ઉત્તમ શોકગીત છે.સરળ ભાષા, ઓછામાં ઓછા શબ્દો, હૃદયને સીધેસીધી સ્પર્શી જતી બાનીના તાણા સાથે સજીવ ચિત્રો, પ્રગાઢ સંવેદના, ગમગીન સંગીત અને અભિવ્યક્તિની સચ્ચાઈના વાણાથી વણાયેલ આ ગીતનું પોત આપણા દરેકની અનુભૂતિને ઢાંકી શકે એવું હોવાથી એ સમયાતીત બની રહે છે.
પોતાની વેદના એ પોતાની જ હોઈ શકે. વેદનાનો ‘સ્વ’ કદી ‘સર્વ’ બનતો નથી. સમય એક જ છે પણ બધાની પાસે પોતપોતાની ઘડિયાળ છે અને બધાનો સમય પોતપોતાની ઘડિયાળનેજ વશવર્તી ચાલે છે. આપણી જિંદગી થીજી ગઈ હોય ત્યારે પણ દુનિયાની ઘડિયાળના કાંટા અટકતા નથી. કોઈના જવાથી કાળની ગતિ અટકવાની નથી. માછીમારના છોકરાઓ રમવાનું કે ખારવાઓ હોડી હંકારવાનું કે જહાજો ખેપ ખેડવાનું છોડવાના નથી. દરિયાના મોજાં તો પહેલાં પણ કિનારા પરના પથ્થરો પર માથાં પટકી પટકીને તૂટતાં જ હતાં અને પછી પણ તૂટતાં જ રહેશે. સૃષ્ટિનું સત્ય તો એનું એ જ રહે છે, માત્ર આપણા દુઃખના ચશ્માંમાંથી દૃશ્ય બદલાયેલા નજરે ચડે છે, બસ!
*
Break, Break, Break
Break, break, break,
On thy cold gray stones, O Sea!
And I would that my tongue could utter
The thoughts that arise in me.
O, well for the fisherman’s boy,
That he shouts with his sister at play!
O, well for the sailor lad,
That he sings in his boat on the bay!
And the stately ships go on
To their haven under the hill;
But O for the touch of a vanish’d hand,
And the sound of a voice that is still!
Break, break, break
At the foot of thy crags, O Sea!
But the tender grace of a day that is dead
Will never come back to me.