મને છાતીમાં દુઃખતું હોય ને માથું દુઃખે તમને
ખુદાએ આપી છે મારાથી ઊંચી વેદના તમને
ભરત વિંઝુડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for પદ

પદ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




વ્હાલેશરીનું પદ (કીધાં કીધાં કીધાં…) – હરીશ મીનાશ્રુ

કીધાં કીધાં કીધાં વ્રજમાં વિપરીત કૌતક કીધાં રે
એકલડા વહાલેશરીને અબળાએ લૂંટી લીધા રે

દહીંદૂધનાં માટ ઠાલવી ઠાલાં શિ૨ ૫૨ ધાર્યાં રે
મહી ઊભરાયાં હોય એહવાં કપટ કરી શણગાર્યાં રે
કંચવાની કસ કસી, તસોતસ મદનમનો૨થ ભીડી રે
મહિયા૨ણ રણઝણતી હરિનો મદ હણવાને હીંડી રે

સાધે સાધે સાધે લલના લાગ લીલાનો સાધે રે
ભરવાડાના ભાણેજડાને ગો૨સગ્રાસ ન લાધે રે

મૃગનયણી મોહનને અવળી દાણ માંગતી વળગી રે
૨ઢ લીધી તે રઢિયાળાંથી ક્ષણુ ન રેહેતી અળગી રે
વેણુસોતાં અધ૨ વળી પદરેણુસોતાં તળિયાં રે
ચુંબન ને આલિંગનસોતાં પિયુ માગ્યા પાતળિયા રે

પીધા પીધા પીધા તે રસ અરસપરસના પીધા રે
લેહ થકી લંપટ તે દાણ અનોપમ લીધાં દીધાં રે

– હરીશ મીનાશ્રુ

કવિએ લખેલ વહાલેશરીનાં બાર પદોમાંનું આ દસમા ક્રમનું પદ. ગીતનો ઉપાડ નરસિંહ મહેતાના જાણીતા પદ ‘હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે’ની યાદ અપાવે છે. નરસિંહ ‘કીધું કીધું કીધું’ના ત્રણવારના પુનરાવર્તન સાથે ‘કાંઈક કામણ કીધું’ની વાત માંડે છે, ત્યાંથી સહેજ આગળ વધીને કવિ સમર્પણનું સાવ અવળું જ ગણિત માંડે છે. વ્રજમાં આજે વિપરીત કૌતુક થયું હોવાની વાતને ત્રેવડાવીને અધોરેખિત કરી દીધા બાદ કવિ રહસ્યસ્ફોટ કરતાં કહે છે કે અબળા નારીએ વહાલેશરી કૃષ્ણ ભગવાનને જ લૂંટી લીધા છે. રાધાકૃષ્ણ અને ગોપીકૃષ્ણના પ્રેમની વાતો તો હજારોવાર કહેવાઈ ચૂકી છે, પણ ખરું કવિકર્મ જ એ જે ચવાઈને ચુથ્થો થઈ ગયેલી વાતમાં પણ સાવ અનૂઠો દૃષ્ટિકોણ શોધી શકે. સાક્ષાત્ ઈશ્વરને લૂંટી લેનારને કવિ ‘અબળા’ કહીને સંબોધે છે એ સમર્થ વિરોધાભાસ પણ તુર્ત જ સ્પર્શી જાય એવો છે.

…અને જીવનભર પોતાને લૂંટતા રહેનાર કાનાને લૂંટી લેવા માટેનો ગોપીનો કીમિયો તો જુઓ. માટલામાંથી દહીંદૂધ ખાલી કરી દઈ ખાલી માટલાંને દહીં ઊભરાતું હોય એમ એણે શણગાર્યાં છે. આટલું ઓછું હોય એમ કંચુકીની કસો તાણીને સ્તનોના ઉભારને વધુ આકર્ષક બનાવ્યો છે. ઈશ્વરનું ગુમાન હણવામાં આજે એ કોઈ કચાશ છોડનાર નથી. કંચવા અને કસ સાથે કસી અને તસોતસની વર્ણસગાઈમાં કવિએ મદન-મદ-મહિયારણ તથા હરિ-હણવા-હીંડીની વર્ણસગાઈઓ ઉમેરી પદને ઓર આસ્વાદ્ય બનાવ્યું છે. જો કે સમગ્ર રચનામાં આવી વર્ણસગાઈનું સંગીત આપણને સતત રણઝણતું સંભળાયે રાખે છે – લલના-લાગ-લીલા, ભરવાડા-ભાણેજડા, રઢ-રઢિયાળાં, વેણુંસોતાં-પદરેણુસોતાં, રસ-અરસપરસ વિ.

કાનજીનું મન ગોરસ પામવા તરફ છે અને મહિયારણનું મન લીલા કામવા તરફ છે. કહાન માંગે એ પહેલાં એ જ સામે ચાલીને દાણ માંગીને અવળી પ્રથા અજમાવે છે. યેનકેન પ્રકારે પણ એ કાનાથી એક ક્ષણ પણ અળગી રહેવા તૈયાર નથી. કૃષ્ણના ઓષ્ઠને ચૂમતી વાંસળી અને પગને ચૂમતી ધૂળ- ઈશ્વરની અખિલાઈને પોતાના ચુંબન-આલિંગનમાં સમાવી લેવા તરસતી-તડપતી ગોપી અરસપરસના રસ પીને અને અનુપમ દાણ લઈ-દઈને જ તૃપ્ત થાય છે. સામે સ્વયં પરમેશ્વર કેમ ન હોય, પ્રેમ અને યુદ્ધમાં તો બધું જ વ્યાજબી ગણાય, ખરું ને?

Comments (3)

લાજ ન રહીએ – અખો

લાજુ લાજ ન રહીએ, સહી એ
.             ઐસા લાગ ગયા ન આવે રે!
નીડર હોકર જે જઈ લાગે,
.             સો શામ અનેરા પાવે રે!
.                             લાજુ, લાજ ન રહીએ!

ગલે બાંહાંકા સુખ જયુનૂં નહીં દેખ્યા,
.             સો બાહાર ફરે બુધ્યહીણી રે,
ચતુરપણાં મૂરખ હોય નીમડ્યા,
.             જો તું વાત ન સમજી ઝીણી રે
.                             લાજુ, લાજ ન રહીએ!

બારે માસ રહે ઘૂંઘરટી,
.             મન જાણે હું જાગી રે,
જાગણ તેરા નીંદ સરીખા,
.             જો તું સાથી કંઠ ન લાગી રે!
.                             લાજુ, લાજ ન રહીએ!

ચલે સહિજ મેં હરતી ફરતી
.             લેવે લ્હાવા – પણ લૂખી રે,
આછા અંગ દેખાવે લોકા
.             પણ ભોગ બીના તું ભૂખી રે!
.                             લાજુ, લાજ ન રહીએ!

લટકા લાલાલનકા લ્હાવા,
.             લીના નહિ જશ નારે રે,
સો ભૂલી ભામ્યની મહાભૂંડી,
.             કહ્યા બહોત સુનારે રે!
.                             લાજુ, લાજ ન રહીએ!

– અખો

અખાને આપણ્રે એના ચાબખા ફટકારતા છપ્પાઓ વડે જ ઓળખીએ છીએ, પણ અખા પાસેથી એ સિવાય પણ ઘણી કવિતાઓ મળે છે. અખો ક્રમશઃ અદ્વૈતવાદી બન્યો હતો અને જીવ-શિવ એકાકારની માન્યતા ધરાવતો હતો. તત્કાલિન ‘લાજુ’ સંબોધન આપણને પ્રવતમાન ‘લાજો’ની યાદ અપાવે છે. સખી રે (સહી એ)ને સંબોધીને અખો કહે છે કે બહુ લાજશરમમાં રહેવાની જરૂર નથી. આવો લાગ (મનુષ્ય તરીકેનો જન્મ) ગયો તો ફરી મળશે નહીં, એટલે ડર મૂકીને જે ગળે લાગી એકાકાર થઈ જશે એ જ અનેરા શ્યામને પામી શકશે.

જેણે આલિંગનનું સુખ નથી જોયું, એ બુદ્ધિહીન સમા બહાર આંટા માર્યા કરે છે. ઝીણી વાત અર્થાત્ સૂક્ષ્મ જ્ઞાન- બ્રહ્મનું જ્ઞાન ન સમજનાર કહેવાતાં ચતુર પણ ખરેખર મૂરખ છે. જ્ઞાન અને અજ્ઞાન, જીવ અને શિવને જે સમજતાં નથી, એનું જીવન ઘૂંઘરટી (ઊંઘરેટી) અવસ્થા છે, જે જાગવા છતાં ઊંઘ્યા બરાબર છે.

જ્ઞાની હોવું અને જ્ઞાનનો અનુભવ હોવો – એ બે અલગ વાત છે. જ્ઞાની થઈ ફરવું એ દેહનો આછોપાતળો દેખાડો કરવાથી વિશેષ કંઈ નથી. ભોગ (પ્રત્યક્ષ જ્ઞાનાનુભવ) વિનાનો જ્ઞાની ભૂખ્યો જ ગણાય. લાલનના લટકાનો લહાવો લેવાનો જશ પ્રાપ્ત ન થયો હોય એ ભૂંડી ભામિની (જીવ) ભૂલો પડેલો જીવે છે. આમ, અખા સુનાર (સોની)એ થોડામાં બહુ વધારે કહી દીધું છે. જ્ઞાનને ગળે લાગવા માટે લાજનો (અજ્ઞાનનો, મોહનો, અહમનો) ઘુંઘટ હટાવવો જ પડે… (કબીર યાદ આવે: ઘુંઘટ કે પટ ખોલ, તોહે પિયા મિલેંગે)

Comments (9)

ચાકર રાખોજી – મીરાંબાઈ

મ્હાંને ચાકર રાખોજી,
.         ગિરધારી લાલ, મ્હાંને ચાકર રાખોજી!

ચાકર રહસું, બાગ લગાસૂં,
.         નિત ઊઠ દર્શન પાસૂં;
વૃંદાવન કી કુંજ – ગલનમેં
.         ગોવિંદા – લીલા ગાસૂં રે !
.                                   મ્હાંને ચાકર રાખોજી!

ચાકરી મેં તો દરસન પાઊં,
.         સુમરિન પાઊં ખરચી;
ભાવ–ભગતિ જાગીરી પાઊં,
.         તીનોં બાતાં સરસી રે !
.                                   મ્હાંને ચાકર રાખોજી!

મોર મુકુટ પીતામ્બર સોહે,
.         ગલે બૈજંતી માલા;
વૃન્દાવનમાં ધેનુ ચરાવે,
.         મોહન મૂરલીવાલા રે!
.                                   મ્હાંને ચાકર રાખોજી!

ઊંચે ઊંચે મહલ બનાઊં
.         બિચ બિચ રાખુ બારી;
સાંવરિયા કે દરસન પાઊં
.         પહિર કસુમ્બી સારી રે !
.                                   મ્હાંને ચાકર રાખોજી!

જોગી આયા જોગ કરનકો,
.         તપ કરને સંન્યાસી;
હરિભજન કો સાધુ આયે
.         વૃન્દાવનકે વાસી રે !
.                                   મ્હાંને ચાકર રાખોજી!

મીરાં કે પ્રભુ ગહિર ગંભીરા,
.         હૃદે રહોજી ધીરા;
આધી રાત પ્રભુ દરસન દીજો
.         પ્રેમનદીને તીરા રે!
.                                   મ્હાંને ચાકર રાખોજી!

– મીરાંબાઈ

મિશ્ર ગુજરાતી-રજસ્થાની (મારૂ ગુર્જર) ભાષામાં મીરાંબાઈના પ્રેમલક્ષણા ભક્તિનાં પદો છે..ક એના દિલના તળિયેથી કોઈપણ આયાસ વિના ઉદભવ્યાં હોવાથી આટઆટલા વર્ષોનાં વહાણાં વાઈ જવા છતાંય આપણને મંત્રમુગ્ધ કરતાં રહે છે. એની વાણીમાં અંતરની સચ્ચાઈ અને સર્વાંગ સમર્પિતતા સિવાય બીજું કશું નહીં જડે.

કૃષ્ણને શેઠ તરીકે એ કલ્પે છે એટલે ગિરધારી સાથે ‘લાલ’નો તડકો લગાવે છે. ગિરધારીલાલના ચાકર બનવાની અરજી લઈ મીરાં આપણી સમક્ષ આવે છે. ચાકર બનવા પાછળની એની મંશા તો જુઓ… ચાકર બનશે તો એ બાગનું ધ્યાન રાખશે, કૃષ્ણ રોજ સવારે બાગમાં તો આવશે જ એટલે રોજ ઊઠીને એના દર્શન કરવા મળશે. આ દર્શન એનો પગાર, નામસ્મરણ ખર્ચી; અને ભાવભક્તિ એની જાગીર. પ્રેમનદીના કિનારે અડધી રાત્રે ગહન-ગંભીર શ્રી કૃષ્ણના દર્શન થાય એટલે મીરાંને મન તો ભયો-ભયો…

Comments (7)

होली पिया बिणा लागाँ री खारी – मीराँबाई

होली पिया बिणा लागाँ री खारी।

सूनो गाँव देस सब सूनो, सूनी सेज अटारी।
सूनो बिरहन पिव विण डोलाँ, तज गया पीव पियारी।
विरहा दुःख मारी।

देस बिदेसा णा जावाँ म्हारो अणेशा भारी।
गणताँ गणताँ घिस गयाँ रेखाँ, आँगरियाँ री सारी।
आयाँ णा री मुरारी।

बाज्यो झाँझ मृदंग मुरलिया बाज्याँ कर इकतारी।
आया बसन्त पिया घर णाँरी, म्हारी पीडा भारी।
स्याम मण क्याँरी बिसारी।

ठाडो अरज कराँ गिरधारी, राख्याँ लाज हमारी।
मीराँ के प्रभु मिलव्यो माधो, जनम-जनम री क्वाँरी।
मण लागी दरसण तारी।

– मीराँबाई

મીરાંબાઈના અમર પદોમાં હોળીગીતો પણ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. હોળીના બહાને શ્યામ-સાંવરાને મનાવવાનું-ખીજાવાનું-લાડ લડાવવાનું એ ચૂકતાં નથી. પિયા વિના એમને હોળી અકારી લાગે છે. ગામ, દેશ, સેજ, અટારી- બધું જ પ્રિયતમ વિના સૂનું છે. પિયુના ત્યજી જવાથી સૂની પડેલી વિરહણને વિરહનું દુઃખ ભારી થઈ પડ્યું છે. પ્રિયજનને શોધવા એ ઘર છોડીને દેશ-વિદેશ પણ જઈ શકે એમ નથી કેમકે એને અંદેશો રહે છે કે ક્યાંક હું ઘર બહાર નીકળી એવામાં એ આવીને ચાલ્યો ગયો તો? એ તો બસ, મુરારીની પ્રતીક્ષામાં આંગળીના વેઢે દિવસો ગણી રહી છે અને ગણતાં-ગણતાં બધા વેઢા પણ ઘસાઈ ગયા છે હવે તો! પ્રતીક્ષાની કેવી પરાકાષ્ઠા! કેવી ઉત્કૃષ્ટ કવિતા! ઝાંઝ-મૃદંગ-વાંસળી-એકતારો વાગી રહ્યા છે, કેમ કે વસંત ઋતુ આવી ચડી છે. પણ શ્યામ તો એને વિસરી બેઠો છે. આવતો જ નથી એટલે મીરાંબાઈ અરજ કરતાં કહે છે કે પ્રભુ! મારી લાજ રાખો. તારા દર્શનની આશામાં હું જનમ જનમથી કુંવારી છું…

Comments (5)

સૂફીનામા : ૦૭ : જો તુમ તોડો, પિયા! – મીરાંબાઈ

જો તુમ તોડો, પિયા! મૈં નહિ તોડું,
તો સોં પ્રીત તોડ, મૈં! કૌન સંગ જોડું?

તુમ ભયે તરુવર, મૈં ભઈ પંખિયા,
તુમ ભયે સરોવર, મૈં તેરી મછિયા.

તુમ ભયે ગિરિવર, મૈં ભઈ મોરા,
તુમ ભયે ચંદા, મૈં ભઈ ચકોરા.

તુમ ભયે મોતી હમ ભયે ધાગા;
તુમ ભયે સોના, હમ ભયે સોહાગા.

મીરાં કહે: પ્રભુ! વ્રજ કે વાસી!
તુમ મેરે ઠાકુર, મૈં તેરી દાસી.

– મીરાં

ઈસ્લામિક રહસ્યવાદ તસવ્વુફ તરીકે ઓળખાય છે. અરબી ભાષામાં તસવ્વુફ એટલે ઊનના વસ્ત્રો પહેરવાં. એ જમાનામાં મુસ્લિમ દરવેશો ઊનના વસ્ત્રો પહેરતાં હતાં એ પરથી આ શબ્દ ઊતરી આવ્યો હોઈ શકે. ઓગણીસમી સદીના પ્રારંભમાં પાશ્ચાત્ય જગતે તસવ્વુફને ‘સૂફી’ નામથી ઓળખવાનું શરૂ કર્યું. સૂફી શબ્દ ‘સૂફ’ પરથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ પણ ઊન થાય છે. સૂફીવાદનો ઇતિહાસ મહંમદ પયગંબર સુધી લંબાયેલો છે, પણ આજે જેને આપણે ખરા અર્થમાં સૂફીવાદ કહીએ છીએ એની શરૂઆત સાતમી-આઠમી સદીમાં થઈ હતી. મુસ્લિમોએ જેને સૂફીવાદ કહ્યો, એ આપણી સંસ્કૃતિમાં પ્રેમલક્ષણા ભક્તિના નામે સદીઓથી પ્રચલિત હતો જ. આપણે ત્યાં શ્રીમદ્ ભાગવતમાં પણ કૃષ્ણ તરફની ગોપીઓની આસક્તિ પ્રકટ થઈ જ છે. નરસિંહના પ્રભાતિયાંઓ અને મીરાંના પદોમાં પણ આ પ્રેમલક્ષણા ભક્તિ જોવા મળે છે. ઈસ્લામિક સૂફીવાદથી સાવ અણજાણ આપણી ભોમકા પરના ભક્તકવિઓએ પણ ઈશ્વરને પોતાની માશૂકા-માશૂક ગણીને, પોતાની જાત એને અર્પણ કરી દેવાની તત્પરતામાં જીવનનું સાફલ્ય સમજ્યું હતું.

મીરાંબાઈનું આ લોકપ્રિય પદ લતા મંગેશકરે અમર કરી દીધું છે, પણ એ બાદ કરતાં કવિતાની દૃષ્ટિએ એને મૂલવીએ તો આ રચના આત્મસમર્પણની શ્રેષ્ઠતમ કવિતાઓમાંની એક છે.

Comments (1)

ખૂબસૂરત સાંવરા – દયારામ

એક ખૂબસૂરત ગબરુ ગુલઝાર સાંવરા !
તારીફ ક્યા કરું ઉસકી ? હે સબ ભાંત સે ભલા !

ઈસ નગર કી ડગર મેં મેરા ચિત્ત ચૂરા ચલા,
કહતી થી સબ આલમ યે હય નંદ કો લલા.

દેખી મુઝે નિધા કર તબસોં એ દુ:ખ ફેલા,
ચિતવન મેં કછૂ ટોના, કોઈ કછુ કલા.

અનંગ આગ લગી વે તન જાત હય જલા,
જીય જાયગા જરૂર સૈંયા ! સજન નહિ મિલા.

બૂઝતી જો મેં ઐસા, દર્દ બિરહ હય બલા,
તો મેં ઉસી પલક જાય પકરતી પલા.

મિલાઓ કોઈ મહેબૂબ ! દુસરી ન હય સલા,
દયા કે પ્રીતમ બિના મરુંગી મેં કાટકે ગલા.

– દયારામ

ઘણા ગુજરાતી કવિઓ વ્રજભાષામાં નોંધપાત્ર કામ કરી ગયા છે. દયારામ એમાંના એક. એમનું આ પદ ખૂબ જાણીતું છે. બધી રીત બધાથી નોખા સાંવરિયાની પ્રીતિ દયારામ ગોપીભાવે કરે છે. નંદના લાલાએ એક જ નજરમાં કવિના ચિત્ત પર ન જાણે શું જાદુ-ટોણો કર્યો છે કે હવે અંગ-અંગમાં જો સાજન નહીં મળે તો જીવ જાય એ હદે કામની આગ પ્રજ્વળે છે. કોઈ કવિને એના પ્રીતમ પ્રેમી સાથે હવે મેળવી આપો, નહિંતર ગળું કાપીને મરવું પડશે…

Comments (3)

(મારો તમામ સંકોચ) – વિદ્યાપતિ (અનુ. વિવેક મનહર ટેલર)

ક્ષણાર્ધમાં તો મારો તમામ સંકોચ હવા થઈ ગયો,
જે ઘડીએ એણે મને અનાવૃત્તા કરી દીધી;
પણ એનું પોતાનું શરીર જ મારો નવો પોશાક બની ગયું.
જે રીતે મધમાખી કમળપત્ર પર દુર્નિર્ધાર્ય ઊડ્યા કરે છે
એમ જ એ મારી ઉપર રાત્રિ દરમિયાન મંડરાતો રહ્યો.

સાચું છે, પ્રણયદેવતા કદી અચકાતા નથી !
એ મુક્ત છે અને પક્ષીની જેમ દૃઢનિશ્ચયી છે-
એ વાદળો તરફ ઊડવા, જેને એ ચાહે છે.
છતાં મને એ જે પાગલ પ્રયુક્તિઓ કરે છે એ યાદ છે,
મારું હૃદય બળબળતી ઇચ્છાઓથી વિક્ષુબ્ધ છે
છતાં ભર્યું પડ્યું છે ડરથી !

– વિદ્યાપતિ
(અનુ. વિવેક મનહર ટેલર)

બિહારના મધુબની જિલ્લાના બિષ્પી ગામમાં ચૌદમી-પંદરમી સદીમાં થઈ ગયેલા મૈથિલિના કોકિલ તરીકે જાણીતા વિદ્યાપતિની કવિતાઓ દૈહિક પ્રેમના આંચળમાં છુપાવીને ઐહિક પ્રેમ ઉજાગર કરે છે. રાધા-કૃષ્ણના શારીરિક પ્રેમની એમની કવિતાઓ આજે પણ ઉત્તમ પ્રણયકાવ્યો ગણાય છે…

આ કવિતા વાંચો… સાતસો-આઠસો વર્ષ પહેલાંના કોઈ કવિએ લખી હોય એવું સહેજે લાગે છે?!

Comments (10)