ક્યાંક તારા સ્પર્શથી જીવંત થઈ ગઈ છે શિલા,
ક્યાંક પથરાઓ ડૂબ્યા છે એક તારા સ્પર્શથી.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for January, 2021

ગાંધીજીને – જયન્ત પાઠક

વિપત્તિદરિયે જ્યારે ગઈ’તી ગરકી ધરા,
શ્રદ્ધા ગૈ સરકી સૌની પ્રયત્નો સર્વના વૃથા
ત્યારે બાપુ તમે હાથે સમુદ્ધારાર્થ એકલા
મહાવરાહ શા મંડ્યા; પ્રસારી સ્નેહની કલા;
તમે વિલાયલી ભ્રાતૃભાવની દિવ્ય ઔષધિ
જિવાડી અગ્નિને અંકે તમે પ્રહલાદ શા રહ્યા
રામ રામ રટી, શ્રદ્ધા ઘટી ના ઊલટી વધી
સત્યને પરમાત્મામાં, મહાજ્વાલાથી ના દહ્યા.

સાંપડ્યું શૈત્ય જ્વાલાને, વૈરને પ્રેમ સાંપડ્યો,
કપાઈ પાપની પાંખો, દુર્ગ દૌરાત્મ્યનો પડ્યો,
તમારે પગલે પગલે ધરિત્રી અંધકારથી
માંડતી ડગ જ્યોતિમાં, ઐક્યમાં ભિન્નભાવથી.

ગયા ગાંધી તમે ના, ના. તમે તો નવજીવન
ક્લેશથી ક્લાન્ત સૃષ્ટિનું રસાયણ સનાતન.

– જયન્ત પાઠક

ભારતવર્ષ જ્યારે અંગ્રેજોની ગુલામીના દરિયામાં ડૂબી ગયો હતો, સૌની શ્રદ્ધાએ જવાબ દઈ દીધો હતો, અને સર્વ પ્રયત્નો વૃથા સાબિત થઈ ગયા હતા, તેવામાં સહુનો એકસમાન ઉદ્ધાર કરવા માટે ગાંધીબાપુએ વરાહાવતારની પેઠે ધરતીને પોતાના માથે ઊંચકીને સપાટી પર લઈ આણવાનો ભેખ ધાર્યો. સ્નેહ, ભ્રાતૃભાવ, રામનામ અને સત્યને પુનર્જીવિત કરી બાપુ આપત્તિઓની મહાજ્વાલાઓની વચ્ચે પ્રહ્લાદની જેમ દાઝ્યા વિના અવિચળ રહ્યા. પરિણામે ઓસરી ગયેલ શ્રદ્ધા પરત આવી.

અગ્નિને શાતા મળી, વેરના બદલામાં પ્રેમ અને પાપના સ્થાને પુણ્યનો આવિર્ભાવ થયો. દુર્જનતાનો કિલ્લો ધ્વસ્ત થયો. અનેકતામાં એકતા સ્થપાઈ અને સમગ્ર ધરતીએ तमसो मा ज्योतिर्गमयનો સાક્ષાત્કાર કર્યો.

શું ગાંધીજી આપણે વચ્ચેથી ચાલ્યા ગયા? શું એમનું નિધન થયું છે? કવિ નકારને બેવડાવીને ગાંધીજીની શાશ્વત ઉપસ્થિતિને અધોરેખિત કરે છે. ના, ના. બાપુ! તમે તો નવજીવન છો. કલહક્લેશથી થાકી ગયેલી ધરતી માટેનું સનાતન રસાયણ છો.

Comments (7)

રખમાબાઈની ઉક્તિ – ઉદયન ઠક્કર

નોટિસ મળી હતી મને મોટા વકીલની,
‘મારા અસીલ સાથે તમારા થયા છે લગ્ન,
તેડાવ્યા તે છતાંય તમે આવતાં નથી.
અઠવાડિયામાં એના ઘરે જો જશો નહીં,
માંડીશું લગ્ન-ભોગવટાનો મુકદ્દમો!’

એના જવાબમાં મેં લખ્યું કે ‘મહાશયો,
અગિયાર વર્ષની હું હતી ત્યારે જે થયું,
એને કહો છો લગ્ન તમે?
હું હા કે ના કહી શકું એવી એ વય હતી?’

મારે ભણી ગણી હજી ડોક્ટર થવું હતું,
કહેવાતો મારો વર- હતું ભીખાજી એનું નામ-
શાળા અધૂરી મૂકીને ઊઠી ગયો હતો.
પંકાયલો હતો બધે બત્રીસલક્ષણો!
જ્યાં હું જતી ને આવતી તે- પ્રાર્થનાસમાજ –
નારી ય માનવી તો છે, સ્વીકારતો હતો.

અખબારમાં મેં લેખ લખ્યો ગુપ્ત નામથી,
‘હિંદુ પુરુષને છૂટ છે,બીજી-ત્રીજી કરે,
નારીને લગ્નભંગનો અધિકાર પણ નહીં?
પતિના મર્યા પછી ય તે પરણી નહીં શકે,
જેને કહો છો લગ્ન તમે,જન્મટીપ છે.’

મારા ‘ધણી’એ કેસ કર્યો, હાઇકોર્ટમાં*

નિર્ણય ત્વરાથી આપી દીધો ન્યાયમૂર્તિએ,
‘ઇચ્છાવિરુદ્ધ નારીને ઘસડી જવી ઘરે,
વાદી શું માને છે? એ બળદ છે? કે અશ્વ છે?
વાદીની માગણીને ફગાવી દઉં છું હું!’

હો-હા થઈ ગઈ બધે હિંદુ સમાજમાં,
મહાજનમાં ભાટિયા મળ્યા,મંદિરમાં વાણિયા,
તંત્રીએ અગ્રલેખ લખ્યો ‘કેસરી’માં કે
‘અંગ્રેજી શીખી છોકરી એનો પ્રતાપ છે!
ખતરામાં હિંદુ ધર્મ…’ ‘મરાઠા’એ પણ લખ્યું,
‘પતિએ પરણવા કેટલું લેણું લીધું હશે,
પાછી રકમ એ,વ્યાજસહિત, કોણ આપશે?’
અખબારો લોકમાન્ય તિલકનાં હતાં આ બે,
એ વાત,સાચી હોવા છતાં,કોણ માનશે?

કહેવાતો મારો વર ગયો જીતી અપીલમાં,
એના ઘરે જવાનું કહ્યું છે અદાલતે.

ના જાઉં તોય કેદ છે, ને જાઉં તોય કેદ. **

– ઉદયન ઠક્કર

*ભીખાજી વિ. રખમાબાઈ, મુંબઈ હાઇકોર્ટ,૧૮૮૫
**રખમાબાઈએ કારાવાસમાં જવું ન પડ્યું. અમુક રકમ લઈને પતિએ લગ્નનો કબજો જતો કર્યો.

********

સુરતમાં રખમાબાઈ હૉસ્પિટલનો રુક્કો દાયકાઓ સુધી ચાલ્યો હોવાના અમે સાક્ષી છીએ… સમય સાથે તાલમેળ મેળવવામાં નિષ્ફળ જતાં આજે એ હૉસ્પિટલની હાલત બહુ સારી નથી રહી. એમની જીવનકથા વર્ણવતી આ કવિતા આજે માણીએ… બંને દિશા અને દશામાં નસીબમાં કેદ જ છે એમ સૂચવતી આખરી પંક્તિ આખી વાતને કવિતાના સ્તર પર લઈ જાય છે… છંદ હોય પણ પ્રાસ ન મેળવાયા હોય એવા આ કાવ્યપ્રકારને અંગ્રેજીમાં blank verse કહે છે, ગુજરાતીમાં શું કહીશું?

ડૉ. રખમાબાઈ રાઉત. જન્મ ૧૮૬૪ની સાલમાં મુંબઈમાં. મા વિધવા હતી, જેણે રખમાબાઈના લગ્ન ૧૧ વર્ષની વયે કરાવી દીધાં. જોકે આણું વાળવામાં આવ્યું નહોતું એટલે તેઓ માતા સાથે જ રહ્યાં હતાં. ૧૮૮૭ની સાલમાં એમના પતિ દાદાજી ભીકાજીએ લગ્નના હક માટે કૉર્ટ કેસ કર્યો. દોઢસો વર્ષ પહેલાંના ભારતમાં પુરુષ પત્નીને ત્યજી દે, છૂટાછેડા આપે કે એકાધિક સ્ત્રીઓને ભોગવે એ વાત સામાન્ય હતી, પરંતુ રખમાબાઈ કદાચ પ્રથમ ભારતીય પરિણીતા હતાં, જેમણે છૂટાછેડા માટે અદાલતમાં લડી લેવાનું નક્કી કર્યું. એમની દલીલ હતી કે લગ્નસમયે પોતાની વય બહુ નાની હોવાથી, પોતાના જીવન બાબતમાં નિર્ણય લેવા માટે પોતે પુખ્ત જ નહોતાં અને આમ, મરજી વિરુદ્ધ કરાવી દેવાયેલાં લગ્ન નામંજૂર કરવા. સમગ્ર ભારતીય સમાજમાં હાહાકાર મચી ગયો. થૂ-થૂ થઈ રહ્યું. લોકમાન્ય ટિળક જેવા મોટા સમાજવાદી નેતાએ એમના વિરુદ્ધ પોતાના અખબારમાં લાંબી ઝુંબેશ ચલાવી હતી. એમના મતે રખમાબાઈનું આ વલણ ‘હિન્દુ પરંપરા વિરુદ્ધનો ડાઘ’ હતું. ટિળકે તો ત્યાં સુધી લખી નાંખ્યું કે રખમાબાઈ જેવી સ્ત્રીઓ સાથે ‘ચોર, ધુતારા અને હત્યારા’ જેવો વ્યવહાર કરવો જોઈએ.

અદાલતે રખમાબાઈની વાતને અવગણીને એમને પતિગૃહગમન અથવા છ મહિનાનો જેલવાસો એમ બે વિકલ્પ આપ્યા. રખમાબાઈ છ મહિનાની કેદ માટે તૈયાર થઈ ગયાં, પણ પરાણે કરાવાયેલ લગ્ન એમને માન્ય નહોતાં. પોતાની વિરુદ્ધ ચુકાદો આવ્યો હોવા છતાં એમણે લડાઈ મૂકી નહીં. એમણે ક્વિન વિક્ટોરિયાને પત્ર લખ્યો. ઇંગ્લૅન્ડનાં રાણીએ અદાલતના ચુકાદાને રદબાતલ કર્યો. આ પછી રખમાબાઈના પતિ અદાલતમાંથી મુકદ્દમો પાછો ખેંચવા અને અદાલતની બહાર નાણાં લઈને સમાધાન કરવા તૈયાર થયા હતા. રખમાબાઈએ કદી બીજા લગ્ન ન કર્યાં.

આ મુકદ્દમો સીમાચિહ્ન બન્યો. એના કારણે ભારતમાં કન્યાની લગ્ન માટેની વય નક્કી કરતો કાયદો ‘એજ ઑફ કન્સેન્ટ ઍક્ટ ૧૮૯૧’ પસાર થયો, જે મુજબ લગ્ન માટે કન્યાની વય ૧૦થી વધારીને ૧૨ કરાઈ. આજે આ વાત મોટી નહીં લાગે પણ વૈજ્ઞાનિક દૃષ્ટિએ દસ વર્ષની છોકરીને લગ્ન અને સેક્સની ફરજ પડાય અને બાર વર્ષની છોકરીને એમાંથી પસાર થવાનું થાય એ બહુ મોટો ક્રાંતિકારી ફેરફાર ગણાય.

છૂટાછેડા પછી ૧૮૮૯માં તેઓ લંડન સ્કૂલ ઑફ મેડિસિન ફૉર વિમેનમાં દાખલ થયાં. ૧૮૯૪માં સ્નાતક થયાં. એ સમયે લંડન સ્કૂલ ઑફ મેડિસિનમાં પણ મહિલાઓને MDનો અભ્યાસ કરવાની છૂટ નહોતી. રખમાબાઈએ પરદેશમાં પણ આવા પક્ષપાતી કાયદા સામે પણ અવાજ ઊઠાવ્યો. અને બ્રસેલ્સમાંથી MDની ડિગ્રી મેળવી હતી. આમ, રખમાબાઈ MD ડિગ્રી મેળવનારાં અને પ્રેક્ટિસ કરનારાં પ્રથમ ભારતીય મહિલા તબીબ બન્યાં હતાં. શરૂમાં મુંબઈની કામા હૉસ્પિટલમાં કામ કર્યા બાદ તેઓ સુરત સ્થાયી થયાં અને ૩૫ વર્ષ સુધી તબીબી સેવા બજાવી.

(માહિતીસ્ત્રોત: બીબીસી ગુજરાતી)

એક નાનકડો સુધારો:
બીબીસી ગુજરાતી ભલે રખમાબાઈને આ માન આપે પણ હકીકતમાં કાદમ્બિની ગાંગુલી અને આનંદીબાઈ ગોપાલરાવ જોશી MDની ડિગ્રી મેળવી પ્રેક્ટિસ કરનાર ભારતના પ્રથમ મહિલા તબીબો હતાં.
(હકીકતદોષ બાબત ધ્યાન દોરવા બદલ કવિમિત્ર શ્રી મકરંદ મુસળેનો આભાર…)

Comments (14)

(યાદ પણ નથી) – ગુણવંત ઠક્કર ‘ધીરજ’

પાંખોને એ વિશે હવે ફરિયાદ પણ નથી,
ઊડી શકું હું એટલો આઝાદ પણ નથી.

કોરા હૃદયમાં ભીનો એ અવસાદ પણ નથી,
વરસોથી મારી આંખમાં વરસાદ પણ નથી.

મતભેદ પણ નથી અને વિખવાદ પણ નથી,
બન્નેની વચ્ચે એટલે સંવાદ પણ નથી.

મારી મથામણોની એ બહુ મોટી જીત છે,
આબાદ ના થયો તો હું બરબાદ પણ નથી.

લોકો છે, એ તો તાકશે પથ્થર કે આંગળી,
તારી દિવાનગી કોઈ અપવાદ પણ નથી.

ટોળાંની સાથે ચાલતાં ટોળું બની ગયો,
ક્યાં પહોંચવા કરું છું સફર, યાદ પણ નથી.

– ગુણવંત ઠક્કર ‘ધીરજ’

ગુલામીની પણ ધીમે ધીમે આદત પડતી જાય છે. સમય સાથે બંધન પણ કોઠે પડી જાય એ માનસિકતા કવિએ મત્લામાં બખૂબી રજૂ કરી છે. બરાબર એ જ રીતે આખરી શેરમાં પણ કવિએ કુશળ મનોચિકિત્સકની જેમ આપણી માનસિકતા બરાબર પકડી બતાવી છે. ટોળાંમાં ભળી જવાની આપણી કુ-ટેવ અને ટોળાંશાહીમાં ગુમ થવાથી તતી લક્ષ્યચૂક પર એમણે આબાદ નિશાન સાધ્યું છે. આ ટોળાંમાં હવે તો સોશ્યલ મિડિયાને પણ ઉમેરી શકાય. હોંશિયારમાં હોંશિયાર આમાંથી છટકી શકતો નથી ને માણસ કરવાનાં કામ ભૂલી જાય છે. મત્લા અને આખરી શેરની વચ્ચેની આખી ગઝલ તો સ્વયંસિદ્ધ છે જ.

Comments (6)

યાદ નથી….- હરીન્દ્ર દવે

વાદળ વાવ્યાં ને ઊગ્યો અઢળક વરસાદ
પછી રાત કે બપોર હતી, યાદ નથી;
કાળા ડિબાંગ જેવા આકાશે ચળકી એ
રૂપેરી કોર હતી, યાદ નથી!

ચૈતરની રાતમાં આ તારી જુદાઈ
જાણે અગની પ્રગટે ને ઝાળ ક્યાંય ના;
લૂ-દાઝી લ્હેરખીમાં જઈ બેઠું મન ક્યાંક
તોયે દેખાય ડાળ ક્યાંય ના;
અમથા તો સાબદા ન થાય અહીં કોઈ
જરા અમથી ટકોર હતી, યાદ નથી.

પળમાં વરણાગી ને પળમાં વેરાગી
–સાવ સીધાં ચઢાણ, ઢાળ ક્યાંય ના,
બોરડીના જંગલમાં ભટકું છું રોજ, છતાં
પૂછો તો મારી ભાળ ક્યાંય ના,
આમ તો સવાર-સાંજ સરખાં ને તોય
વેળા આથમણે પ્હોર હતી, યાદ નથી.

હરીન્દ્ર દવે

 

કવિ સામે આખું જગત છે, પણ કવિને એનું ભાન નથી. અન્યમનસ્ક અવસ્થાએ ભટક્યા કરે છે….ખોળિયે માત્ર શ્વાસ ચાલે છે, માંહ્યલો ક્યાંક નોખે જ છે….

Comments (2)

दिन आया, और गया – નામદેવ ઢસાળ [ મૂળ મરાઠી, અનુ – દિલીપ ચિત્રે ]

जिस रस्ते से आये थे हम
उस रस्ते पर आना नहीं था
थोड़ी दूर चले हम और अँधेरे से मानूस हुये
सुनसान-सी एक हवा थी, सारा शहर बयां करती थी
झूठ के इक माहौल में एक तलाश थी हमको
दर्द की जड़ देखें

कल ही की तो बात है अँधेरे,
सरसराते थे लाखों पत्तों की तरह
और आज तमाम अन्दर का जहां बेदार हुआ
मुद्दत बाद इस कोरी ज़मीं पर
बारिश पड़ने लगी है

जीते रहे जैसे दिन आया
बन्द किया दिन जैसे गया वो!

– નામદેવ ઢસાળ [ મૂળ મરાઠી, અનુ – દિલીપ ચિત્રે ]

અનુભૂતિની વાત કરે છે કવિ…. કાવ્યની ચાવી અંતિમ પંક્તિઓમાં છે. માહોલ સચ્ચાઈનો નથી, દર્દ સ્થાયીભાવસમ છે, તેની જડ જડતી નથી. સમયનું ચક્ર ફરે છે, આખું આંતરવિશ્વ ઝળહળી ઉઠે છે….. – ત્યારે કવિ ઉદગારે છે કે – ” બસ આમ ક્ષણોમાં જીવતા રહ્યા….”

impermanence……choicelessness……

Comments (2)

સ્પર્શવિલાસ…! – વીરુ પુરોહિત

હજારો અળસિયાં નીકળી જમીનથી જાણે,
ફૂલોની જાજમે આળોટી રહી સુખ માણે!
હતી લજામણી; પણ સ્પર્શસુખે ખૂલી’તી,
હું એ ઉન્માદી અવસ્થામાં ભાન ભૂલી’તી..
.              તેં મને જ્યારે પ્રથમ ચૂમી’તી!

નદીમાં છું અને મત્સ્યો કરે છે ગલગલિયાં,
કે મારી ભીતરે શિશુઓ કરે છે છબછબિયાં !?
ફરે છે બેઉ હથેળીનાં મૃદુ પોલાણે –
ફફડતું ચકલીનું બચ્ચું કે હૃદય; તું જાણે!
.              આવી અસમંજસે હું ઊભી’તી…
.              તેં મને જ્યારે પ્રથમ ચૂમી’તી!

મને તો થાય છે અંગૂરનાં ઝૂમખાં શી લચું;
કહે તો સ્પર્શ પર તારા, હું મહાકાવ્ય રચું !
‘કુમારસંભવમ્’ પેટારે પૂરી તાળું દે!
બધા ભૂલી જશે ‘વસંતવિલાસ’ ફાગુને!
.              હું એવા તોરમાં વળુંભી’તી…
.              તેં મને જ્યારે પ્રથમ ચૂમી’તી!

નથી વાળી શકાતું મનને બીજી કોઈ વાતે;
સ્મરું છું એ ક્ષણો હું જ્યારે મુગ્ધ એકાંતે –
ઊઠી રહી છે તારી મ્હેક મારાં અંગોથી,
‘ને સતત ભીતરે ઘેરૈયા રમે રંગોથી !
.              હું પછી ઉત્સવ બની ચૂકી’તી…
.              તેં મને જ્યારે પ્રથમ ચૂમી’તી!

– વીરુ પુરોહિત

આ કવિતા વાંચવી શરૂ કરી અને શરીરમાં કંપકપી શરૂ થઈ તે કવિતા વાંચી લીધા બાદ પણ ક્યાંય સુધી ચાલુ જ રહી… માય ગૉડ! ઉમાશંકરના ‘ક્યાં છે કવિતા’ સવાલનો શાશ્વત ઉત્તર બની શકે એવી અદભુત કવિતા… આવી ઉમદા કવિતા આજકાલ તો ભાગ્યે જ વાંચવા મળે છે… કવિને સાદર સાષ્ટાંગ વંદન!

કવિતામાં વચ્ચે ‘વસંતવિલાસ’ નામના અતિપ્રસિદ્ધ ફાગુકાવ્યની વાત આવે છે, એના પરથી કવિએ સ્પર્શવિલાસ શીર્ષક યથોચિત પ્રયોજ્યું છે.

પ્રથમ ચુંબનની અનુભૂતિના સેંકડો કાવ્ય આપણે માણ્યાં હશે, પણ આ તમામમાં સર્વોપરિ સિદ્ધ થાય એવું સર્વાંગસંપૂર્ણ કાવ્ય છે. પ્રિયતમે પ્રથમવાર કથકને ચૂમી લીધી છે એનો નશો કડીએ-કડીએ શબ્દે-શબ્દે છલકાય છે. સાવ અળસિયાં જેવા તુચ્છ જીવથી શરૂ થતી અભિવ્યક્તિ ક્યાં-ક્યાં જઈને ઉત્સવની કક્ષાએ પહોંચે છે એ ખાસ જોવા જેવું છે. એકીસાથે હજારો અળસિયાંઓને જમીનમાંથી નીકળીને આળોટતાં જેમણે જોયાં હોય એ જ આ અનુભૂતિ સમજી શકે. ક્યારના જમીનની અંદર સંતાઈ રહેલાં હજારો અળસિયાં અચાનક બહાર આવીને ફૂલોની રેશમી જાજમ પર આળોટી રહ્યાં છે. મતલબ એવો પ્રબળ, આકસ્મિક અને અભૂતપૂર્વ રોમાંચ થયો છે, જે ઉત્તેજનાની સાથોસાથ મખમલી અહેસાસ પણ દઈ રહ્યો છે. બીજું પ્રતીક છે લજામણીનું. લજામણી તો અડતાવેંત બીડાઈ જાય… પણ ચુંબનસ્પર્શે આ લજામણી ઉન્માદી અવસ્થાના કારણે જાતિગત ભાન ભૂલી, સ્ત્રીસહજ શરમાઈ-સંકોચઈ જવાના બદલે ખૂલી-ખીલી ઊઠે છે. વાહ!

સવિસ્તાર આસ્વાદ માટે ક્લિક કરો: http://tahuko.com/?p=19424

Comments (3)

બોરિંગ – થિઓડોર સી શર્મન (અનુ. વિવેક મનહર ટેલર)

લખતાવેંત,
આ વાક્ય મારા કાબૂ બહાર નીકળી જાય છે.
હું પોતે પણ આવતીકાલે એનો આનો આ મતલબ નહીં કાઢી શકું.
તમે તો નિશ્ચિતપણે જ એનો જે છે એ મતલબ નહીં કાઢી શકો.
મારું કાવ્ય વાંચવું બંધ કરો, તમે એને બરબાદ કરી રહ્યા છો.
આ મેં લખ્યું છે.

– થિઓડોર સી શર્મન
(અનુ. વિવેક મનહર ટેલર)

અભિવ્યક્તિ આપણી અનિવાર્ય આવશ્યકતા છે. ઈન્દ્રિયગમ્ય હોય કે ઇન્દ્રીયાતીત, મનુષ્ય એના અનુભવો અને મનોભાવોને હૂબહૂ વ્યક્ત કરવાની મથામણ પ્રારંભથી કરતો આવ્યો છે. એબરક્રોમ્બીએ કહ્યું હતું, Expression is an art. અભિવ્યક્તિ એક કળા છે. પણ દુનિયાની કોઈ ભાષા પાસે વિચારોનું સુવાંગ આલેખન કરે એવી લિપિ જ નથી. દરેક ભાષા પાસે પોતાના સ્વર-વ્યંજન છે પણ એવા કોઈ સંયોજન નથી, જે મનુષ્યને સંપૂર્ણતયા express કરી શકે. મનમાં આવતા વિચારો જેવા કાગળ ઉપર ઉતાર્યા નથી કે આપના કાબૂ બહાર ગયા નથી. જે વિચારીને આપણે એને કાગળ પર આલેખ્યા હતા, એ જ વિચારોનો એવો ને એવો અર્થ આપણે પોતે પણ એકવાર લખી લીધા પછી કાઢી શકતા નથી. તો અન્ય તો નહીં જ કાઢી શકે એ વાત સુનિશ્ચિત છે. થિઓડોર સી શર્મન નામના સાવ અજાણ્યા કવિ આ વાત બહુ ઓછા શબ્દોમાં કેવી ધાર કાઢીને કરે છે એ જુઓ!

*

Boring

Written,
this sentence exits my control.
Even I will not make it mean the same thing tomorrow.
You are definitely not making it mean the same thing.
Stop reading my poem, you are ruining it.
I wrote this.

– Theodore C Sherman

Comments (2)

નીકળી ગયો – કિરણસિંહ ચૌહાણ

કાંઈ પણ કીધા વગર નીકળી ગયો,
શબ્દ; ખોલીને અધર, નીકળી ગયો.

હોઉઁ છું હાજર છતાં નડતો નથી,
હું બધેથી માપસર નીકળી ગયો.

એની આંખોમાં ઘણી વાતો હતી,
મૂકીને ખાલી કવર, નીકળી ગયો.

રોજ આવી તો ઘરોબો થઈ ગયો,
આફતો પ્રત્યેનો ડર નીકળી ગયો.

સોંપીને બીજા પ્રહરને કામકાજ,
રાતનો પહેલો પ્રહર નીકળી ગયો.

આપણી યારી તો નીચે રહી ગઈ,
તું હવે એથી ઉપર નીકળી ગયો.

મૂર્તિની લાચાર હાલત જોઈને,
હું કશું માંગ્યા વગર નીકળી ગયો.

– કિરણસિંહ ચૌહાણ

કિરણસિંહ ચૌહાણ એમનો ત્રીજો સંગ્રહ ‘દરજ્જો’ લઈને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. નવા સંગ્રહમાં કવિએ ટૂંકી બહરની ગઝલો પર સવિશેષ કામ કર્યું છે અને ભાષામાં રોજિંદી બોલચાલનો કાકુ પણ આબાદ ઝીલ્યો છે… આલા દરજ્જાની રચનાઓ ધરાવતા ‘દરજ્જો’નું સહૃદય સ્વાગત. સંગ્રહમાં પ્રકાશિત રચનાઓમાંથી કેટલીક આપણે અગાઉ લયસ્તરો પર માણી ચૂક્યાં છીએ. આજે માણીએ એક નવી ગઝલ.

Comments (11)

(તું મને મળજે) – પરબતકુમાર નાયી ‘દર્દ’

વિસામો થઈ આ કપરી જિંદગીમાં બે ઘડી ફળજે,
ચરણને થાક લાગે એ સમયમાં તું મને મળજે !

કદી સૂરજ થવાનો ફંદ લઈ ફેરામાં ના પડતો,
જગતના કો’ક ખૂણે ટમટમીને ધૂળમાં ભળજે !

ચમનમાં રોજ ફરનારા, તને એક વાત કહેવી છે,
ભ્રમરના ગુંજનો વચ્ચે કળીની ચીસ સાંભળજે !

શરત એક જ છે દુનિયાની: અહીં જીવંત દેખાવું.
ભલે અંતિમ દશા આવે છતાં, પણ સ્હેજ સળવળજે !

નથી કિસ્સો હું તારી જિંદગીનો એ ખબર છે પણ,
લખે તારી કથા તો હાંસિયામાં ક્યાંક સાંકળજે !

– પરબતકુમાર નાયી ‘દર્દ’

સુંદર મજાની ગઝલ. સરળ. સહજ. સંતર્પક. છેલ્લો શેર હાંસિલે-ગઝલ. પ્રેમકથામાં પોતે હાંસિયામાં મૂકી દેવાયેલ છે એ બાબતની કથકને સુપેરે જાણ છે એટલે પોતે પ્રિયજનની કથામાં ક્યાંય નથી એની જાણ હોવા છતાં પ્રિયજન પોતાને કમ સે કમ હાંસિયામાંય સાંકળી લે તો ભયો ભયોની જે આરત શેરમાંથી ચીસ બનીને ઊઠે છે, એ આપણને ભીતર ક્યાંક સ્પર્શી જાય છે!

Comments (34)

વતનથી વિદાય થતાં – જયન્ત પાઠક

(શાર્દૂલવિક્રીડિત)

એ મૂક્યું વન, એ મૂક્યાં જન, ઘણે વર્ષે મળ્યાં જે ક્ષણ,
મૂક્યાં ડુંગર ને નદી, વતનનાં એ કોતરો, ખેતર;
આંખો બે રહી ભાળતી વળી વળી પાછી, ભીડ્યું એ ઘર
વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઢાર, છોડ્યું ધણ.

કેડી આગળ જાય, પાય અવળા, કેમે કરી ઊપડે;
આંખો જાય ભરાઈ વાટ તરુની કાંટાળી ડાળી નડે;
હૈયું ઉઝરડાય રક્તટશિયા ફૂટે ધીમેથી ઝમે
આઘે વેકુરથી નદીની હજીયે આ આંગળીઓ રમે.

ચાલો જીવ, જવાનું આગળ, નહીં આ કાળના વ્હેણમાં
પાછા ઉપરવાસ શક્ય વહવું, પાણી લૂછો નેણમાં;
ભારો લૈ ભૂતનો શિરે વણપૂછ્યે શા વેઠિયા ચાલવું
સાથે શ્વાન, પૂરી થતાં હદ હવે એનેય પાછા જવું.

આઘે ખેતર જોઉં બે કર કરી ઊંચા મને વારતી –
એ મારી ભ્રમણા? રિસાળ શિશુને બોલાવતી બા હતી?!

– જયન્ત પાઠક

જીવન ઘણીવાર વતન મૂકાવે છે. પણ ઘણા લોકો માટે તન ભલે વતન છોડે, મન વતનમાં જ રહી જતું હોય છે. જયન્ત પાઠકની કવિતાઓમાં પણ વ(ત)ન –વન અને વતન- પ્રીતિ ધ્યાનાર્હ છે. વન વતન લાગે અને વતન વન લાગે એ હદે બંને એમના જીવન અને કવનમાં રસ્યાંબસ્યાં છે. વરસો પછી વતન આવીને ઘર વેચી દઈ વતનથી વિદાય થતી વેળા કવિને થતી અનુભૂતિનું આ સૉનેટ છે.

વિગતવાર આસ્વાદ માટે અહીં ક્લિક કરો: http://tahuko.com/?p=19407

Comments (3)

ચૂકી ગઈ – બિનીતા

દરિયો જોવામાં નદી ચૂકી ગઈ,
એક ક્ષણમાં હું સદી ચૂકી ગઈ.

એક સરખી એની ચાહત તો મળી,
હું કદી પામી, કદી ચૂકી ગઈ.

ફિલસૂફીને હાંકવામાં હું સદા,
સત-અસત, નેકી-બદી ચૂકી ગઈ.

કહેવા જેવું હોય તે કીધું જ છે,
બોલવામાં ક્યા કદી ચૂકી ગઈ?

કૃષ્ણને પહેલાથી કહેવાનું હતું,
એ જ બાબત દ્રૌપદી ચૂકી ગઈ.

– બિનીતા

આપણી પાસે તથાગત જેવી all-encompassing દૃષ્ટિ નથી. આપણે એક જોવા જઈએ ત્યાં તેર ચૂકી જવાય છે. દરિયાની વિશાળતા જોવામાં ક્યારેક નદીને જોવાનું રહી જાય છે. સાની મિસરામાં કવયિત્રી વિશાળતાના આયામોની ઉલટાસૂલટી કરે છે. કદને સામસામે મૂકીએ તો દરિયો સદી જેવો વિશાળ છે અને એની સાપેક્ષે નદી ક્ષણ જેવી નાનકી. પણ કવયિત્રી એક તરફ વિશાળતા જોવા જતાં અલ્પતા તરફ ધ્યાન આપવાનું રહી ગયું હોવાનો એકરાર કરે છે તો બીજી તરફ અલ્પતા તરફ ધ્યાન હોવાથી વિશાળતા હાથમાંથી સરકી ગઈ હોવાની વાત કરે છે. થોડું અસંગત લાગે પણ આ જ તો કવિતાની મજા છે. મોટાને જોવામાં નાનાને જોવાનું ચૂકી જવાય એ વાત હકીકતમાં ક્ષણમાં સદી ચૂકવા જેવી જ છે. દરિયો મોટો પણ ખારો. વૃકોદર. અગણિત નદીઓની મીઠાશ પી જાય. નદી નાની પણ મીઠી. પોતાની જાત આખી આપી દે દરિયાને પણ બદલામાં કશું માંગે પણ નહીં. જીવનમાં નાની-નાની વસ્તુઓ પર ધ્યાન નહીં આપીએ તો ક્ષણમાં સદી ગુમાવવાનો વારો આવી શકેની વાત કરતો, અને જરા અવળા હાથે કાન પકડાવતો આ મત્લા મને તો ખૂબ ગમી ગયો. આપનું શું કહેવું છે?

બાકીના શેર પણ મનનીય. સરવાળે આખી ગઝલ આસ્વાદ્ય.

Comments (12)

પતંગાયણ – રમેશ પારેખ

એક છોકરો પતંગ લઈ દોડ્યો રે… દોડ્યો રે… દોડ્યો રે…
ઘેર ફિરકીઓ પડી રહી જેમતેમ
ક્યાંક કોઈએ પૂછયું કે, અલ્યા આમ કેમ?
વાદળી હવામાં ભાન છૂટ્યાં તે હાથ રહે કેમનો કરીને સંકોડ્યો રે ?

છુટ્ટા પતંગે ઊતરાણ કર્યાં રે એક છોકરીના ખમતીધર ખોરડે
છોકરીએ લાગલો જ ઝૂંટ્યો ને લૂંટ્યો ને સંતાડ્યો અંદરના ઓરડે

પતંગની સંતામણે જાણે પૂનમ થઈ,
પડછાયા સંકેલતીક ભીંત્યું ઊડી ગઈ

છોકરીની કાંચળીમાં ગલગલિયાં સીંચાણાં, ઊગી ગઈ પાંખોની જોડ્યો રે.
એક છોકરો પતંગ લઈ દોડ્યો રે…

પોતાના ઈંડાને સેવતી ટીટોડી જેમ છોકરીએ સેવ્યો પતંગ
માણસ ચાલે તો પડે પગલાંઓ એમ આ ય છોકરી ચાલે તો પડે રંગ

સાત રંગની ચાંદની વરસે ઝરમર બાણ,
માહે પલળે ગામનાં બે જણની ઊતરાણ

છોકરાએ રુંવે રુંવે કન્ના બાંધ્યા ને દોર છોકરીએ ઢીલ દઈ છોડ્યો રે.
એક છોકરો પતંગ લઈ દોડ્યો રે…

– રમેશ પારેખ

લયસ્તરોના સહુ કવિમિત્રો અને ભાવકમિત્રોને સુરક્ષિત મકરસંક્રાંતિના રંગભર્યાં વધામણાં…

ફક્ત होली के दिन दिल खिल जाते है એવું હોતું નથી. ઉત્તરાયણમાં કંઈ કેટલાય કનકવા પોતપોતાનું ધાબું શોધી લેતા હોય છે. હવા આકાશનો વાદળી રંગ પહેરીને વહેતી નજરે ચડે એવા રંગીન વાતાવરણનો કેફ જ એવો છે કે ફિરકી ઘરે એમની એમ પડી રહે ને છોકરો પતંગ જેવું હૈયું હાથમાં લઈને હડી કાઢે. પતંગપર્વ અનંગપર્વ બની રહે ત્યારે ભાન પતંગ બનીને હવામાં ઊડી જાય અને હાથ કે જાત સંકોડ્યા સંકોડાતા નથી.

છૂટ્ટું મૂકેલું પતંગ જેવું હૈયું છોકરીના ખમતીધર ખોરડે જઈ ઊતરાણ કરે છે. અહીં ઊતરાણમાં છૂપાયેલ શ્લેષ ચૂકવા જેવો નથી. ઉતરાણ પર્વ અને પતંગનું ઊતરાણ –બંનેને કવિએ બખૂબી સાંકળ્યાં છે. ‘ખમતીધર’ શબ્દ પણ કવિએ સાયાસ પ્રયોજ્યો છે. પતંગ કહો કે હૈયું, બંને ખૂબ નાજુક છે પણ સામે પ્રિયપાત્રનું હૃદય બંનેને ઝીલી-ઝાલી શકે એવું ખમતીધર છે. છોકરી તરત જ વાદળી હવાની પાંખે સવાર થઈ પોતાને ત્યાં આવી ઉતરેલ ગુલાબી અવસરને ઝૂંટવીને-લૂંટીને પોતાના હૃદયની અંદર સંતાડી દે છે. પતંગના સંતાડવામાં આવતાં જ જાણે ધોળે દહાડે પૂનમ થઈ ગઈ અને ભીંતો ઊડી ગઈ. અવસર પડછાયાઓની કાલિમા વગરનો શુભ્ર ખુલ્લો આવકાર બની ગયો. છોકરી રાતોરાત યુવાન થઈ ગઈ. એની કાંચળી ભીતર રતિરાગના ગલગલિયાં થવા માંડ્યા છે અને બે સ્તન એમ વિકાસ પામ્યાં જાણે ઊડવાને બે પાંખોની જોડ ન ફૂટી હોય!

છોકરી આ પતંગને ટીટોડી ઈંડા સેવે એમ જતનપૂર્વક સાચવે છે. પરિણામે હવે એના ડગલે ને પગલે પ્રણયના રંગ વેરાઈ રહ્યા છે. પતંગ તો દિવસે ચગે પણ અહીં તો પ્રણયસ્વીકારનો પૂનમી ચંદ્રોદય થયો છે. સૂર્યના તાપના સ્થાને પ્રીતની ચાંદનીની શીતળતા વ્યાપ્ત થઈ છે. શીતળ ચાંદની કામદેવની બાણવર્ષા ન હોય એમ ઝરમર ઝરમર વરસી રહી છે અને બે જણ સરાબોળ પલળી રહ્યાં છે. રુંવે-રુંવે કોઈએ કન્ના ન બાંધ્યા હોય એમ છોકરાને તીવ્ર રોમાંચ થઈ રહ્યો છે અને છોકરી પણ મન મૂકીને આ પ્રણયપ્લાવનમાં સામિલ થઈ છે… એય મન મૂકીને ઢીલ દઈ રહી છે… પ્રેમ હવે નિરવરોધ છે. તંગ કન્ના અને દોરીની ઢીલ – ઉત્તરાયણના બે અવિનાભૂત વિરોધાભાસને એક કડીમાં સાંકળી લઈને કવિ કવિતાનો પતંગ ઉચ્ચાકાશે પહોંચાડે છે.

Comments (13)

ધુલામઁદિર – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ – નગીનદાસ પારેખ

ભજન પૂજન સાધન આરાધના સમસ્ત થાક પડે.
રુદ્ધદ્વારે દેવાલયેર કેણે કેન આછિસ એારે !
અલ્પકારે લુકિયે આપન-મને
કાહારે તુઈ પૂજિસ સંગોપને,

નયન મેલે દેખ દેખિ તુઈ ચેયે–દેવતા નાઈ ઘરે.

તિનિ ગેછેન યેથાય માટિ ભેડે કરછે ચાષા ચાષ—
પાથર ભેડે કાટછે યેથાય પથ, ખાટછે બારે માસ.

રૌદ્ર જલે આછેન સબાર સાથે,
પણ ધુલા તtહાર લેગેછે દુઈ હાતે—
તૉરિ મતન શુચિ બસન છાડિ આય રે ધુલાર’પરે.

મુક્તિ ? ઓરે, મુક્તિ કોથાય પાબિ, મુક્તિ કોથાય આછે ?
આપનિ પ્રભુ સૃષ્ટિબાંધન પ’રે બાંધા સબાર કાછે.
રાખો રે ધ્યાન, થાકે રે ફુલેર ડાલિ,
છિ ડુક વસ્ત્ર લાગુક ધુલાબાલિ–
કર્મયોગે તાર સાથે ઍકે હયે ધર્મ પડુક ઝરે.

– રવીન્દ્રનાથ ઠાકુર

‘ભજન, પૂજન, સાધન, આરાધના—બધું પડયું રહેવા દે.
તું શું કરવા બારણાં બંધ કરીને દેવાલયના ખૂણામાં પડી રહ્યો છે?
અંધકારમાં છુપાઈને તું એકલો એકલે કોને પૂજી રહ્યો છે ?
આંખ ખોલીને જો તો ખરો,
ઓરડામાં દેવ તો છે નહિ.

તે તો ખેડૂતો જ્યાં માટી ભાંગીને ખેડ કરી રહ્યા છે,
મજૂરો જ્યાં પથ્થર ફોડીને રસ્તો બનાવી રહ્યા છે,
ત્યાં ગયા છે,
અને તડકામાં ને વરસાદમાં બારે માસ તેમની સાથે મહેનત મજૂરી કરે છે.
તેમને બે હાથે ધૂળ લાગી છે.
તેમની પેઠે પવિત્ર વસ્ત્ર કાઢી નાખીને
તું પણ ધરતીની ધૂળમાં ચાલ્યો આવ.

મુક્તિ? અરે મુક્તિ ક્યાં મળવાની હતી,
મુક્તિ છે જ ક્યાં ?
પ્રભુ પોતે જ સૃષ્ટિનાં બંધનથી આપણી સૌની સાથે બંધાયેલા છે.
રહેવા દે તારુ ધ્યાન અને પડી રહેવા દે તારી ફૂલની છાબને.
વસ્ત્ર ફાટે તે ભલે ફાટતાં,
ધૂળ માટી લાગે તો ભલે લાગતી.
તું તારે કર્મચાગમાં તેમની સાથે થઈ જા.
અને માથાને પસીનો પગે ઊતરવા દે.

– અનુ – નગીનદાસ પારેખ

” પ્રભુ પોતે જ સૃષ્ટિનાં બંધનથી આપણી સૌની સાથે બંધાયેલા છે. ” – આ પદ આખા કાવ્યનું હાર્દ છે. વધુ કોઈ ટિપ્પણીની જરૂર જ નથી….

Comments (5)

आत्‍मपरिचय – हरिवंशराय बच्‍चन

मैं जग-जीवन का भार लिए फिरता हूँ,
फिर भी जीवन में प्‍यार लिए फिरता हूँ;
कर दिया किसी ने झंकृत जिनको छूकर
मैं सासों के दो तार लिए फिरता हूँ!

मैं स्‍नेह-सुरा का पान किया करता हूँ,
मैं कभी न जग का ध्‍यान किया करता हूँ,
जग पूछ रहा है उनको, जो जग की गाते,
मैं अपने मन का गान किया करता हूँ!

मैं निज उर के उद्गार लिए फिरता हूँ,
मैं निज उर के उपहार लिए फिरता हूँ;
है यह अपूर्ण संसार ने मुझको भाता
मैं स्‍वप्‍नों का संसार लिए फिरता हूँ!

मैं जला हृदय में अग्नि, दहा करता हूँ,
सुख-दुख दोनों में मग्‍न रहा करता हूँ;
जग भव-सागर तरने को नाव बनाए,
मैं भव मौजों पर मस्‍त बहा करता हूँ!

मैं यौवन का उन्‍माद लिए फिरता हूँ,
उन्‍मादों में अवसाद लए फिरता हूँ,
जो मुझको बाहर हँसा, रुलाती भीतर,
मैं, हाय, किसी की याद लिए फिरता हूँ!

कर यत्‍न मिटे सब, सत्‍य किसी ने जाना?
नादन वहीं है, हाय, जहाँ पर दाना!
फिर मूढ़ न क्‍या जग, जो इस पर भी सीखे?
मैं सीख रहा हूँ, सीखा ज्ञान भूलना!

मैं और, और जग और, कहाँ का नाता,
मैं बना-बना कितने जग रोज़ मिटाता;
जग जिस पृथ्‍वी पर जोड़ा करता वैभव,
मैं प्रति पग से उस पृथ्‍वी को ठुकराता!

मैं निज रोदन में राग लिए फिरता हूँ,
शीतल वाणी में आग लिए फिरता हूँ,
हों जिसपर भूपों के प्रसाद निछावर,
मैं उस खंडर का भाग लिए फिरता हूँ!

मैं रोया, इसको तुम कहते हो गाना,
मैं फूट पड़ा, तुम कहते, छंद बनाना;
क्‍यों कवि कहकर संसार मुझे अपनाए,
मैं दुनिया का हूँ एक नया दीवाना!

मैं दीवानों का एक वेश लिए फिरता हूँ,
मैं मादकता नि:शेष लिए फिरता हूँ;
जिसको सुनकर जग झूम, झुके, लहराए,
मैं मस्‍ती का संदेश लिए फिरता हूँ!

– हरिवंशराय बच्‍चन

કાવ્યનું શીર્ષક જ બધું કહી દે છે….

Comments (4)

સવા શેર : ૦૬ : – રાજેન્દ્ર શુક્લ

શબોરોઝ એની મહકનો મુસલસલ,
અજબ હાલ હો ને અનલહક હો આનક!
– રાજેન્દ્ર શુક્લ

આધ્યાત્મનું મેઘધનુષ કહી શકાય એવી રાજેન્દ્ર શુક્લની બહુખ્યાત ગઝલના સાત શેરમાં કવિએ અલગ-અલગ ભાષા-સંસ્કૃતિની સાત ભક્તપ્રતિભાઓની વાત કરી છે. એ મુસલસલ ગઝલનો આ સાતમો અને આખરી શેર. લગાગાના ચાર આવર્તનવાળી મુત્કારિબ મુસમ્મન સાલિમ બહેરની પોતાની મૌસિકીમાં મહક-અનલહક, મુ-સલ-સલ જેવા અ-મ-સ-લ વગેરે વ્યંજનોના અનુરણનથી અદકેરો ઉમેરો થયો છે.

નવમી સદીમાં બૈજા નગરમાં હુસેનહલ્લાજને ઘેર જન્મેલ મન્સૂર-બિન-હલ્લાજ સૂફી મસ્તરામ હતા. એમનું ‘અનલહક’ –अन अल हक़्क़– હું હક-ખુદા છું/હું સત્ય છું-નું રટણ ભારતીય અદ્વૈત સિદ્ધાંત -अहं ब्रह्मास्मि– ‘હું જ બ્રહ્મ છું’નું સમાનાર્થ ગણી શકાય. અનલહક સૂફીધારાના ચાર તબક્કા છે: શરીયત, તરીકત, મારફત, હકીકત. શરીયતમાં નમાજ, રોજા વિ.નો અમલ કરવાનો. તરીકતમાં પીરનું માર્ગદર્શન પ્રાપ્ત કરવાનું. ત્રીજા તબક્કા મારફતમાં માણસ જ્ઞાની થાય અને અંતિમ ચરણ હકીકત એટલે સત્યની પ્રાપ્તિ અને ખુદને ખુદામાં ફના કરી લેવાની વાત. દ્વૈતભાવ અહીં મટી જાય છે. મન્સૂરની આ પ્રવૃત્તિને ઈસ્લામવિરોધી ગણી એમને અત્યંત ક્રૂરતાપૂર્ણ ત્રાસ અપાયો. અંતે બગદાદના ખલીફા મક્તદિરે એમને શૂળી ઉપર ચડાવી દીધા અને ઈસ્લામના ધારા વિરુદ્ધ એમના શબને દફનના સ્થાને અગ્નિદાહ અપાવ્યો. ભજનસાદૃશ ગઝલના આ આખરી શેરમાં અરબી-ફારસી શબ્દોના સંસ્પર્શ, સૂફી વિચારધારા અને ‘અનલહક’ની ઉપસ્થિતિના કારણે અલગ જ ‘ફ્લેવર’ રચાઈ છે. કવિએ ‘આનન’ અર્થાત્ મુખ શબ્દમાં લુપ્તસપ્તમીનો પ્રયોગ કરીને ‘આનક’ અર્થાત્ ‘મુખમાં’ એવો શબ્દ નિપજાવ્યો છે જે સાર્થક અને સક્ષમ કવિકર્મની સાહેદી પુરાવે છે.

શબોરોઝ યાને કે રાત-દિવસ એની મહેંક અનવરત રેલાતી રહે છે. ઈશ્વર કહો કે અલ્લાહ કહો, ભક્ત કહો કે બંદો કહો; મનુષ્ય સદૈવ સર્જનહારનો સાક્ષાત્કાર ઝંખતો આવ્યો છે. અને ખુદાના બંદાને આ સાક્ષાત્કાર પળેપળ થતો રહે તો જીવનમાં બીજું કંઈ બાકી રહે ખરું?! દિનરાત એ પરમ તત્ત્વની સુગંધ અવિરત અનુભવાતી રહે એવો અજબ હાલ આત્માનો જ્યારે થાય ત્યારે મુખમાં સતત ‘હું જ બ્રહ્મ છું’ની રટણા આપોઆપ રહે અને દિવ્યસમાધિ અને અનિર્વચનીય ઐક્યભાવની અવસ્થા જન્મે.

Comments (9)

(રડી-રડીને) – નિનાદ અધ્યારુ

થોડું હસી-હસીને, થોડું રડી-રડીને,
જોયા કરું છું એના ફોટા અડી-અડીને !

લસરીને ગાલ પરથી સીધ્ધું હૃદયને અડતું,
આંસુય જાય તો ક્યાં આખર દડી-દડીને ?

તું જીવવાનું કહે છે આ વર્તમાનમાં પણ-
ભૂતકાળ બીવડાવે પાછળ પડી-પડીને !

આંસુથી તરબતર છો ? ચિંતા જરા ન કરશો !
સોનું બને છે સુંદર હીરા જડી-જડીને.

માણસ બન્યો તવંગર મૂર્તિ બનાવી તારી,
ઈશ્વર તને મળ્યું શું માણસ ઘડી-ઘડીને ?

તારી નજર હમેશા શિખર ઉપર જરૂરી,
નીચે જરા ન જોતો ઉપર ચડી-ચડીને.

જીવનના છોડ માટે ‘નિનાદ’ ખુશખબર છે:
ખાતર બની ગયા છે સપના સડી-સડીને !

– નિનાદ અધ્યારુ

વાંચતાવેંત સહજ પ્રત્યાયન કરી દે એવી મજાની ગઝલ. બધા જ શેર આસ્વાદ્ય થયા છે.

Comments (24)

તો વાત આગળ વધે-ખલીલ ધનતેજવી

પાળે બેસી કાંકરા નાખે તો વાત આગળ વધે,
સ્થિર જળ કૂંડાળા કંઈ સર્જે તો વાત આગળ વધે!

ટેરવાએ તો ટકોરા ક્યારના વેરી દીધા,
પણ હવે આ બારણું ઊઘડે તો વાત આગળ વધે!

બંને જણને એક સરખી આંચમાં તપવું પડે,
બંને જણમાં આગ જો સળગે તો વાત આગળ વધે!

હોઠ પર મનગમતા ઉત્તર ટાંપીને બેઠા છે પણ,
એ જરા હિંમત કરી પૂછે તો વાત આગળ વધે!

આંગળી ઝાલીને મારી ક્યારના બેઠા છે એ,
હાથને કાંડા સુધી પકડે તો વાત આગળ વધે!

સ્પર્શની તાસીર પણ ફળદ્રુપ હોવી જોઈએ,
બંને બાજુ લોહી જો ઊછળે તો વાત આગળ વધે!

ઝાપટાં શું છે ખલીલ આપણને હેલી જોઈએ,
બંને જણ મન મૂકીને વરસે તો વાત આગળ વધે!

-ખલીલ ધનતેજવી

ખલીલભાઈની ગઝલો એટલે ટકોરાબંધ ગઝલો. સરળ ભાષા અને સીધી વાત… વાંચતાવેંત ગમી જાય અને એમના મોઢે સાંભળૉ તો તો પ્રેમમાં જ પડી જવાય… વાત આગળ વધારવાની વાત કરતી એક ગઝલ આજે મનભર માણીએ…

Comments (4)

આશ્વાસનો ! – મકરન્દ દવે

દુઃખ માટે એકબીજાને અમે આશ્વાસનો દેતા રહ્યા,
ને દુ:ખના દરિયા અમારા શ્વાસ રૂંધી નાખતા વહેતા રહ્યા,
ઉપર, જરા ઉપર, જરા માથું બહાર ભલે ટકે,
પણ દુઃખ જેવા દુઃખને કોઈ ભલા, ભૂંસી શકે ?

હાય, માનવ જિન્દગી પીડા તણા આ પારણે મોટી થતી
પીડા બનીને એક આખી વાટ પથરાઈ જતી;
ને તે છતાં, ને તે છતાં, ને તે છતાં-
પીડા તણા કાચા મસાલાથી જ નૌતમ પામતાં
જે ઘાટ, એવાં મુખ મનોહર કેટલાં નજરે તરે !
આનંદની લહેરી ઉપર લહેરી જ જ્યાં ખેલ્યા કરે.

આશ્વાસનો ! પોલાં, નકામાં, સાવ જૂઠાં,
સત્યથી જે વેગળાં, વિકૃત, વિખૂટાં
આજ છોડો, જીવ મારા, ક્યાંય સુખની શોધમાં
ના, આપણે ફરવું નથી, પણ રાતની સૂમસામ કાળી ગોદમાં
જેમ આ સૃષ્ટિ સમાતી, એમ દુઃખના અંકમાં જઈ પોઢીએ,
કોણ જાણે છે, કદાચ જગાડશે પીડા નવીન પરોઢિયે.

– મકરન્દ દવે

જિબ્રાન યાદ આવી જાય – ‘ some wounds heal with time, some wounds flare with time ‘

જો કે અહીં વાત અલગ છે – પીડાની સ્વીકૃતિની વાત છે, આશ્વાસનોની વ્યર્થતાની વાત છે. સાંઈકવિ સામાન્ય રીતે આકરા શબ્દો નથી પ્રયોજતા, પણ આ કાવ્યમાં તેઓનો પુણ્યપ્રકોપ ફાટ્યો છે…..તદ્દન વાસ્તવવાદી દર્શન…..

Comments (2)

સવા શેર : ૦૫ : મનહર મોદી

આપણે બે એ રીતે ભેગા થયા અગિયાર દરિયા
એક ટીપું લાગણી છે સામટા અગિયાર દરિયા
– મનહર મોદી

કવિએ આમ તો કવિતાને જ બોલવા દેવાનું હોય, પણ પોતાની ગઝલોની એબ્સર્ડિટી અને અથરાઈથી કદાચ એ પોતેય અવગત હતા એટલે સંગ્રહની શરૂઆતમાં કવિએ ‘અગિયાર દરિયા’ બાબતનો ખુલાસો કર્યો છે. લખે છે: ‘હું અને તું એકલાં અર્થાત્ ૧ ૧. હું અને તું નજીક, તદ્દન નજીક, અડોઅડ અર્થાત્ આપણે. ‘આપણે’ આટલાં નજીક હોય તો ‘વાતચીત’ શક્ય બને. આ વાતચીત ઉપરથી સાદીસીધી સરળ, પણ એનો મર્મસંકેત ગહન વિશાળ ઊંડો હોય.’ – દરિયા જેવો, નહીં કવિ? આપણે એમ પણ સમજી શકીએ કે જીવનમાં હંમેશા એક વત્તા એક બે થાય એ જરૂરી નથી. બે જણ એકમેકની અડોઅડ આવી જાય, એકમેકમાં ઉમેરાઈને ઓગળી જવાના બદલે ભેગાં થઈ જાય ત્યારે એક અને એક મળીને અગિયાર બનાવે છે. અને બંનેના મર્મસંકેત દરિયા જેવા ગહન વિશાળ ઊંડા. આટલું સમજીએ ત્યારે પકડાય છે કે અગિયાર દરિયા એકાધિકતાનું, અનંતતાનું પ્રતીક છે. બે જણના આંક એક થાય ત્યારે ગણનાપાત્ર આંકડા વિગલન પામે છે અને શક્યતાઓના દરિયા અફાટ અસીમ બની અર્થાકાશ આંબે છે. ‘બે પંક્તિના શેરમાં સમાઈ જતું ગઝલનું રૂપ દરિયાના દરિયા ઉછાળી શકે છે’ એ ગઝલસ્વરૂપ વિશેની કવિની વિભાવના ખરેખર અગિયાર દરિયામાં સાર્થક થાય છે.

ગઝલનો આ મત્લા પણ લાગે છે વયષ્ટિનો, પણ છે સમષ્ટિનો. પહેલી નજરે કવિ ‘આપણે બે’ વિશે વાત કરતાં હોય એમ અનુભવાય છે, પણ ધ્યાનથી અવલોકતાં કવિ સમગ્ર માનવજાતની વાત કરે છે અને માનવી એટલે જ દરિયો. જેમ દરિયાનો, એમ જ માનવીનો તાગ પણ કેમ મેળવાય? ‘હજારો જિંદગી પૂરી થઈ, પૂરી થતી રહેશે, છતાં પણ માનવીને માનવી સમજાય તો સમજાય.’ અતાગ, અકળ, અસીમ મનુષ્યજીવનમાં નાનાવિધ ઊર્મિઓના મોજાંઓની આવ-જા સતત ચાલુ જ રહે છે. દરિયાની જેમ જ માનવસ્વરૂપ પણ ક્યારેક સૌમ્ય તો ક્યારેક રૌદ્ર, ક્યારેક કિનારાઓમાં સીમિત તો ક્યારેક કાંઠાઓ ધમરોળતું હોય છે. દરિયાની સામે મનુષ્યનું કદ કેટલું? ટીપાં બરાબર જ ને! ટીપાં બરાબર મનુષ્યોની ટીપુંભર લાગણીઓ એકસામટા અગિયાર દરિયાઓ બરાબર છે. ‘બે જણાં દિલથી મળે તો એક મજલિસ છે મરીઝ.’ બે જણ દિલથી ભેગા થાય તો એકે હજારા સમા સિદ્ધ થાય છે. લાગણીનું એક ટીપું અનંતતાને આંબે છે. દરિયા, ટીપું અને લાગણીમાં કોઈને ખારું આંસુ પણ નજરે ચડે તો નવાઈ નહીં. બિંદુમાં સિંધુ કંઈ અમસ્તું જ તો નહીં કહ્યું હોય! દરિયો અહીં સ્થૂળ દરિયો નથી, એ અનંત સંભાવનાઓનું પ્રતીક બની રહે છે. આપણે બેએ એ રીતે ભેગા થવાનું છે કે એક-એકમાંથી અગિયાર મહાસાગર બને. દ્વૈતમાંથી અદ્વૈત અને સીમિતમાંથી અસીમિત થવાના ઓચ્છવનો આ શેર આપણી ભાષાનો શિરમોર શેર છે.

Comments (3)

મીણનાં! – ચંદ્રકાન્ત દત્તાણી

કાળઝાળ સૂરજના તાપ અમને દીધા
ને રુદિયાં દીધાં છે સાવ મીણનાં!…

માણસના આવડા આ મેળા ને તોય અહીં માણસ તો એકલાં ને એકલાં,
તળથી તે ટોચ લગી ડુંગર છે આયખાં ને વેગ, હાય, કીડીના જેટલા;
કાગળની હોડીથી કરવાનાં પાર ધોમ સૂસવતાં રણ હવે કેટલાં ?

મુઠ્ઠી હાડકાંનાં પિંજરને દઈ દીધા
ખાલીપા જોજનવા ખીણના!
કાળઝાળ સૂરજના તાપ અમને દીધા
ને રુદિયાં દીધાં છે સાવ મીણનાં!

પાંદડુંક લીલપના પડછાયે પડછાયે એવું લાગ્યું કે વંન ખોયાં,
ઝાંઝવાનાં વીંઝાતા દરિયે ડૂબીને પછી આંખોનાં ઝળઝળિયાં રોયાં,
જીવતર બીવતર તો બધું ઠીક મારા ભાઈ! અમે મરવાની વાત પર મ્હોયાં.

ચરણોને ચાલવાનું દીધું સરિયામ
અને રસ્તાઓ દઈ દીધા ફીણના!
કાળઝાળ સૂરજના તાપ અમને દીધા
ને રુદિયાં દીધાં છે સાવ મીણનાં!

– ચંદ્રકાન્ત દત્તાણી

નૂતન વર્ષ ૨૦૨૧ સહુ વાચકમિત્રોને ફળદાયી અને સ્વાસ્થ્યપ્રદ નીવડે એવી સ્નેહકામનાઓ…

નવા વર્ષનો પ્રારંભ એક મજાના ગીતથી કરીએ. કોરોનાકાળમાં આ ગીત વધુ પ્રસ્તુત બની રહે છે. મીણનાં હૃદય લઈને સૂરજના કાળઝાળ તાપમાં મુસાફરી કરવાનું નસીબમાં આવ્યું છે એનું આ વેદનાસિક્ત ખુમારીગાન છે. અસંખ્ય મેળાની વચ્ચે પણ માણસ સાવ એકલો જ જીવે છે. આયુષ્ય તળિયાથી ડુંગરની ટોચ સુધીની મુસાફરી સમું છે પણ કમનસીબે ગતિ કીડી જેવી ધીમી સાંપડી છે. રણ પાર કરવા માટે કાગળની હોડી મળી છે અને ભીતર અસીમ અફાટ ખાલીપાથી વિશેષ કંઈ નથી. જીવનમાં તાજગી પાંદડાના પડછાયા જેવી અલ્પ છે અને ઝાંઝવાના દરિયા તરવા માટે સાંપડ્યા છે. જીવન ઝળઝળિયાં થઈ ગયું હોવાથી મૃત્યુ વધુ મોહક ભાસે છે. ફીણના ચીકણા પોચા રસ્તાઓ પર ચરણોએ સરિયામ ચાલ્યે જ રાખવાનું છે. આખા ગીતમાં ઈશ્વરે મનુષ્યોને કરેલ અન્યાય અને સહુના નસીબે આવેલી જીવનવિડંબનાઓને કવિએ આર્તસ્વરે ગાઈ છે પણ આ સૂર ફરિયાદનો ઓછો અને ખુમારીનો વધુ જણાય છે. અશક્યવત્ ભાસતી અવસ્થાઓની ભરમાર વચ્ચે ક્યાંય નમી જવાની વાતનો ઈશારો નથી એ વાત આ ગીતને વધુ આસ્વાદ્ય બનાવે છે.

Comments (10)