એ તારી આંગળીની ખુશબૂની ગુલાબી અસર,
હતી જે પત્રમાં, વૉટ્સ-એપમાં નથી મળતી.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for December, 2016

‘મરીઝ’ સાહેબને સલામ * – હેમેન શાહ

આજે બધે જે વાતની ચકચાર હોય છે,
ભાગ્યે જ કાલે કોઈને દરકાર હોય છે.

નીકળે ન શબ્દ એકે પ્રશંસાનો ભૂલથી,
લોકો જગતના એવા ખબરદાર હોય છે.

સ્વીકારે જેની વાતને મૃત્યુ પછી જગત,
એના જીવનમાં ઓછા તરફદાર હોય છે.

પલટે પલકમાં પોતાનાં આંસુને સ્મિતમાં,
દુનિયામાં કેટલાય કલાકાર હોય છે.

પડછાયો પણ તિમિરમાં નથી સાથ આપતો,
મુશ્કિલ સમયમાં કોણ વફાદાર હોય છે ?

ઊભો રહું છું આયના સામે જ રોજ હું,
એક ન્યાયાધીશ, એક ગુનેગાર હોય છે.

– હેમેન શાહ

મરીઝની જાણીતી ગઝલની જમીન પર કામ કરીને હેમેન શાહ મરીઝની જ બાનીમાં એક-એકથી વધુ ચડિયાતા ચોટદાર શેરની ગઝલ લઈ આવ્યા છે… ધીમે ધીમે મમળાવીએ…

(*બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે)

Comments (6)

પાછાં પધારો પણ – ‘જટિલ’ વ્યાસ

હવે નૌકા તો શું, આગળ નથી વધતા વિચારો પણ,
હતી મઝધાર તું મારી અને સામો કિનારો પણ.

હતા એવાય દિવસો, ઘા કરી જાતો ઈશારો પણ,
હવે ક્યાં ભાન છે, ભોંકાય છે લાખ્ખો કટારો પણ ?

કરું શું રાતની વાતો હવે તારા વિરહમાં હું ?
કે મારા દિલને અજવાળી નથી શકતી સવારો પણ.

હતાં ત્યારે તો રણની રેત પણ ગુલશન બની જાતી,
નથી ત્યારે આ ગુલશનમાં બળી ગઈ છે બહારો પણ.

હતી ત્યારે જીવનની હર ગલીમાં પણ હતી વસ્તી,
હવે લાગે છે ખાલીખમ જગતભરનાં બજારો પણ.

જીવન પ્યારું હતું તો રોમેરોમે દીપ જલતા’તા,
બળી મરવું છે ત્યારે કાં નથી જડતો તિખારો પણ ?

મિલન માટે તો મહેરામણ તરી જાતો ઘડીભરમાં,
હવે પામી નથી શકતો આ આંસુઓનો આરો પણ !

તમે જોયું હશે – કળીઓ મને ખેંચી જતી પાસે,
હવે જોતાં હશો – મોં ફેરવી લે છે મજારો પણ.

મને છોડ્યો તમે છો ને, તમારું દિલ તજી જાશે,
ભલેને લાખ પોકારો, નહીં પામો હુંકારો પણ.

મને આપ્યું તમે, એ તમને પણ મળશે તો શું થાશે ?
વિરહની શૂન્યતા – લાંબા જીવન સાથે પનારો પણ.

‘જટિલ’, મુજ ખાખમાં આજેય થોડી હૂંફ બાકી છે,
હજી એને છે આશા કે તમે પાછાં પધારો પણ.

– જટિલરાય કેશવલાલ વ્યાસ

લગભગ સો વર્ષ પહેલાં રાજકોટના કોટડા સાંગાણીમાં 11-5-1917ના રોજ જન્મેલા, બીએ ભણેલા અને પશ્ચિમ રેલવેમાં ઑડિટર તરીકે સેવા આપનાર આ કવિની ગઝલસ્વરૂપ વિશેની નિસ્બત અહીં સાફ નજરે ચડે છે. લગભગ પચાસ વર્ષ પહેલાં 1967ની સાલમાં ‘નવનીત’માં છપાયેલ આ ગઝલ છંદની ચોકસાઈ, કાફિયા-રદીફની ચુસ્તતા, વિચારોની સફાઈ અને વાંચતા જ યાદ રહી જાય એવી સાફબયાનીવાળા શેરોના કારણે ધ્યાનાર્હ બની રહે છે. વિયોગ અને વિષાદનો ગુણાકાર એ આ ગઝલનો સાચો સરવાળો છે.

Comments (6)

“શબ્દો છે શ્વાસ મારા”ની અગિયારમી વર્ષગાંઠ પર…

લયસ્તરોની સમાંતર ચાલતી મારી પોતાની વેબસાઇટ પર પધારવા આજે આપ સહુ વાચકમિત્રોને નેહનિમંત્રણ…

ગુજરાતી ભાષાની સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોની વેબસાઇટ “શબ્દો છે શ્વાસ મારા” આજે નિયમિત બ્લૉગિંગના અગિયાર વર્ષ પૂરાં કરી બારમા વર્ષમાં પ્રવેશે છે… આ પ્રસંગે મારી આ યાત્રામાં ડગલે ને પગલે સાથ અને પ્રોત્સાહન આપતા રહેનાર સૌ સ્નેહીમિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું. આગળ ઉપર પણ આપ સહુ આ વેબસાઇટની નિયમિત મુલાકાત લેતા રહી ઉત્સાહિત કરતા રહેશો એવી વિનમ્ર અપેક્ષા…

ક્લિક કરો: http://vmtailor.com/archives/4228

બે મિનિટ જેટલો સમય ફાળવીને આપના પ્રતિભાવ વેબસાઇટ ઉપર જ આપશો તો વધુ આનંદ…

આભાર,
વિવેક

Comments (12)

પિંડને પાંખ દીધી – રાજેન્દ્ર શુક્લ

પિંડને પાંખ દીધી અને પાંખને વેગ દઇ વેગથી ગગનગામી કરી,
એ પછી ગગન પણ લઈ લીધું તેં અને ગત બધી જૂગતે પરમગામી કરી !

કેદૂના જે હતા તે કઢાપા ગયા, આખરે આંખ ઊઘડી ગઈ એવું કે –
છો ભરણ આકરા, આકરી બળતરા, દૃષ્ટિ ચોખ્ખી અને દૂરગામી કરી !

કાળના આ પ્રવાહે વહ્યાં તો વહ્યાં, પણ કશે ક્યાંક સચવાઈ એવું રહ્યાં,
સરકતા સરકતા શ્વાસ સંકેલીને, એક ક્ષણ જકડીને જામોકામી કરી ! [જામોકામી = અમર ]

કોઇ કે’તુ ભલે, કંઈ અધુરું ન’તુ , આ બધું તો પ્રથમથી જ પુરું હતું,
ખોદી ખોદી અને તેં જ ખાડા કર્યા, ખોડ પણ તેં કરી, તેં જ ખામી કરી !

ખીંટીએ લટકતી રાખીને રિક્તતા, નીકળ્યા તો ખરા ખેસ ફરકાવતા,
પણ પછી શું થયું કંઈ ખબર ના રહી, કઈ ક્ષણે ખેસની રામનામી કરી !

– રાજેન્દ્ર શુક્લ

ખૂબ બારીક ગૂંથણી છે…..નિમિત્ત કોઈ ભિન્ન છે અને નિયંતા કોઈ ભિન્ન…..મદારી કોઈ ભિન્ન છે, તેની બિન દ્વારા છેડાતાં સૂર પર ડોલતો નાગ ન તો નૃત્ય કરે છે ન તો સંગીત માણે છે…..એ તો ડરે છે અને સ્વરક્ષા કાજે હલતો હોય છે, અને આ સમગ્ર દ્રશ્યને માણતો બાળક કંઇક જુદું જ સાંજે છે. ઘણાબધા પડળો ઊખડશે ત્યારે મૂળતત્વની ઝાંખી સુધ્ધાં થશે.

Comments (4)

બીજું પણ કંઈ ઘણું બધું છે – અનિલ ચાવડા

આંખો ઉપર ચશ્માં ઉપર દ્રશ્યો ઉપર ઘટના ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે;
‘ઘણું બધું છે’ કહી દીધાની ઘણી બધીયે ભ્રમણા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.

આમ જુઓ તો દરેક માણસ હરતી ફરતી સંવેદનની થપ્પી નહીં તો બીજું શું છે?
ડૂમા ઉપર ડૂસકાં ઉપર હીબકાં ઉપર સપનાં ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.

કેટ-કેટલાં નક્ષત્રો છે, ગ્રહો કેટલા, જીવ કેટલા, કેટ-કેટલી ગેલેક્ષી છે?
ફક્ત તમે કે હું જ નથી કંઈ રહેતા આખી દુનિયા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.

કોક દિવસ તો ચૂલો સળગ્યો, દીવો પ્રગટ્યો, જ્યોત ઝળહળી એ વાતોને મહત્ત્વ આપો,
દરેક વખતે ઘર સળગ્યાની વાત ન માંડો તણખા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.

અહીં જ રાજા, અહીં ભીખારી, બુદ્ધ, મનુ, પયંગબર સઘળા અહીંથી ચાલ્યા,
તું કહે કેવળ રસ્તો જેને એ રસ્તાના પગલાં ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.

– અનિલ ચાવડા

કાયમ નવતર કલેવર અને માવજત સાથે સર્જન કરનાર અનિલની આ એક તાજગીસભર રચના….વાતચીતની ભાષામાં આખી રચના છે.

Comments (9)

તમે સાથ આપો… – દિવ્યા મોદી

અમારી સફર ને તમારો તરાપો;
જવું પાર સામે, તમે સાથ આપો!

મુહબ્બતમાં કીધી આ મબલખ કમાણી,
કદી ડૂસકાં તો કદી બસ ઝુરાપો!

અમારા હૃદય પર કરો ના પ્રહારો;
ભલે, ટુકડે-ટુકડે એને કાપો!

નથી કાંચળી કે ઉતારી શકું હું,
ડસે રોજ મનને વિચારોના સાપો!

અમારી ખુશીના બધા સ્પંદનોને,
તમે દર્દની માપપટ્ટીથી માપો!

અમે તો સદા આપની વાત માની,
તમે ના અમારી વિનંતી ઉથાપો!

– દિવ્યા મોદી

કેટલીક રચના ઊઘડતાની સાથે તમને જકડી લે છે. જુઓ આ ગઝલ… મત્લાનો શેર વાંચ્યા પછી આગળ જવાનું મન જ ન થાય. એકદમ સરળ ભાષામાં કેવી મજાની વાત! કાફિયાનો આવો મજબૂત પ્રયોગ સુખદ અનુભૂતિ કરાવે છે. અને આમ જુઓ તો આખી ગઝલ પણ આસ્વાદ્ય છે…

Comments (4)

કપૂરી સુગંધો – પંચમ શુક્લ

મિલન-પળ અધૂરી કદી આવજો ના,
કશી બેસબૂરી કદી આવજો ના.

અમર્યાદ દૂરી કે બેહદ નિકટતા,
કશું બિનજરૂરી કદી આવજો ના.

સૂરજને ન હોયે જરાયે રહેમ તો,
આ રણમાં ખજૂરી કદી આવજો ના.

ન દેતી ગડેડાટ, વર્ષા, ન ભીનપ,
નયનમાં બિજુરી કદી આવજો ના.

ઊડી જો જવાની ઘડીભરમાં હો તો,
સુગંધો કપૂરી કદી આવજો ના.

અડો ત્યાં બિડાતી છૂઈમૂઈની માફક,
પરસમાં ફિતૂરી કદી આવજો ના.

જળેલો ય ગમછો ન પસવારે કોઈ,
તો મીઠી વલૂરી કદી આવજો ના.

છે સ્વપ્નોની પીડા દિવાસ્વપ્નોથી કમ,
અનિદ્રા મધુરી કદી આવજો ના.

પ્રણયની આ ખાટીમીઠી જહાંગીરીમાં,
જૂઠી જીહજૂરી કદી આવજો ના.

છે ધપવાનું ખાંડાની ધારે સુમારે,
કદમ પર કસૂરી કદી આવજો ના.

અહલ્યાની શિલા રહે ના સદાયે,
સદાની નિઠુરી કદી આવજો ના.

– પંચમ શુક્લ

આજે 20:20ના જમાનામાં બહુ ઓછા કવિઓ લાંબી ગઝલ લખવી પસંદ કરે છે પણ પંચમભાઈ રાજેન્દ્ર શુક્લના ભત્રીજા છે… એ લાંબી ગઝલ તો લઈને આવ્યા જ છે, સાથે “કદી આવજો ના” જેવી શરતવાચક નિભાવવી અઘરી પડે એવી રદીફ પણ લાવ્યા છે પણ લગભગ બધા જ શેરમાં કવિએ રદીફ બ-ખૂબી નિભાવી છે અને સરવાળે આપણને મળે છે એક સાદ્યંત સંતર્પક રચના…

*

પરસ : સ્પર્શ
ફિતૂરી: નખરાંબાજી, ઢોંગ
જળેલું: જૂનું, જીર્ણ, ઘસાયેલું
ગમછો: ટુવાલ,શરીર લૂછવાનું કપડું
જહાંગીરી : આપખુદી, જોહુકમી, અમીરી
સુમારે: અટકળે, અંદાજે, હિસાબે
કસૂરી: ભૂલચૂક, ખામી, અપરાધ, દોષ

Comments (5)

યાદગાર મુક્તકો : ૧૨ : ગની દહીંવાળા, મનહર મોદી, સૌમ્ય જોશી, હિતેન આનંદપરા

‘લયસ્તરો’ના બારમી વર્ષગાંઠ નિમિત્તે આદરેલી યાદગાર મુક્તકોની સફરનો આજે આ આખરી પડાવ… આપણી ભાષાના ઘણા બધા માતબર કવિઓના સર્વકાલીન શ્રેષ્ઠ મુક્તકો અમે સમયના અભાવે, વાચનની સીમિતતાના કારણે ચૂકી ગયા જ હોઈશું… પણ ઉજવણી અટકે છે, મુક્તકોનો આસ્વાદ નહીં… સમય-સમય પર એક-એકથી ચડિયાતાં મોતીનો ઝળહળાટ આપણે માણતા રહીશું…

સફરમાં કેટલા દિવસો વીતાવ્યા, કેટલી રાતો !
વિપદને કેવડી વણઝાર કે છેડો ન દેખાતો;
કદી આ કાળ કેરી મંજરીના તાલમાં વાગી,
પરંતુ સર્વ સંજોગોમાં વણઝારો રહ્યો ગાતો !

– ગની દહીંવાળા

છેડો પણ નજરે ન ચડે એવી વિપત્તિઓની વણઝારમાં જીવતરની મંજરી કાળના તાલમાં વાગે કે ન વાગે, વણઝારાનું કામ તો સર્વ સંજોગોમાં ગાવા ને ચાલતા-વધતા રહેવાનું જ છે. ‘ટાઇટનિક’ ફિલ્મના અંતે ડૂબતા જહાજની વચ્ચે પણ સંગીત વગાડવાની પોતાની ફરજને વળગી રહેતા સંગીતકારો યાદ આવી જાય…

દિલ તમોને આપતા આપી દીધું
પામતાં પાછું અમે માપી લીધું;
માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં
ચોતરફથી કેટલું કાપી લીધું !

– મનહર મોદી

મનહર મોદીનું આ મુક્તક આમ તો હઝલના કુળનું છે પણ એ લોકોની જીભે એ રીતે ચડી ગયું છે કે યાદગાર મુક્તકોની મહેફિલ એના વિના અધૂરી જ ગણાય… પાક્કી અમદાવાદી કવિતાનો આ આદર્શ દાખલો છે.

કલમ પકડી કરું છું હું અનોખા પ્રાસની ઈચ્છા,
જગતની સર્વ ઊર્મિના સખત અહેસાસની ઈચ્છા.
પ્રતિભા સ્હેજ ઓછી છે છતાં હું એજ રાખું છું,
હતી જે વ્યાસની ઈચ્છા ને કાલિદાસની ઈચ્છા.

-સૌમ્ય જોશી

કેટલીક રચનામાં કી-વર્ડ નજરબહાર રહી જાય તો કવિતા એનો સાર ગુમાવી બેસે. ‘તારા રૂપની પૂનમની પાગલ એકલો’માં ‘એકલો’ શબ્દ પર ધ્યાન ન આપીએ તો કવિતા સાથેની મુલાકાત ચૂકી જવાય. એ જ રીતે આ મુક્તકમાં ‘સર્વ’ અને ‘સખત’ શબ્દ કી-વર્ડ્સ છે. આ બે શબ્દનો હાથ ઝાલતાં જ મુક્તકની તાકાત અલગ જ અનુભવાશે…

નિયતિ સત્કારવાની હોય છે,
હર ઘડી શણગારવાની હોય છે;
તું બધી ફરિયાદ મૂકી દે હવે,
જિન્દગી સ્વીકારવાની હોય છે.

– હિતેન આનંદપરા

ઉપર ગનીચાચાના મુક્તકમાં જે વાત હતી, એ જ વાત હિતેનભાઈ લઈ આવ્યા છે. જિંદગીને પ્રેમથી સત્કારવા-સ્વીકારવાની પોઝિટિવિટિથી ભર્યું ભર્યું આ મુક્તક જીવનમાં ઉતારી લઈએ તો ફરિયાદ જ નહીં રહે…

Comments (2)

યાદગાર મુક્તકો : ૧૧ : રાજેન્દ્ર શુક્લ, કૈલાસ પંડિત, ભરત વિંઝુડા

હું તો ધરાનું હાસ છું,
હું પુષ્પનો પ્રવાસ છું,
નથી તો ક્યાંય પણ નથી
જુઓ તો આસપાસ છું !

– રાજેન્દ્ર શુક્લ

પુષ્પનું ખીલવું એ જ ધરતીનું સ્મિત છે… કળીમાંથી ખુશબૂ થઈ રેલાવાની પુષ્પની યાત્રા અને ધરતીની પ્રસન્નતા તો સૃષ્ટિમાં ચોકોર આપણી આસપાસ વેરાયેલી છે, જો આપણી પાસે જોવાની નજર હોય તો. ન જોઈ શકો અન્યથા સૃષ્ટિનું સમગ્ર સૌંદર્ય શૂન્ય છે.

 

કોણ ભલાને પૂછે છે ? અહીં કોણ બૂરાને પૂછે છે ?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે ?
અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે ?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે ?

– કૈલાસ પંડિત

સરળ ભાષા અને ચોટદાર અભિવ્યક્તિના કારણે કૈલાસ પંડિતની રચનાઓ તરત જીભે ચડી જતી હોય છે. મનહર ઉધાસે કદાચ આ જ કારણોસર એમની રચનાઓને મહત્તમ અવાજ આપ્યો હશે.

એના ભીતરમાં આગ લાગી છે,
એટલે ઘરમાં આગ લાગી છે !
એને ઠારી શકાય એમ નથી,
છેક બિસ્તરમાં આગ લાગી છે !

-ભરત વિંઝુડા

કોઈ પણ પૂર્વધારણા બાંધ્યા વિના ભરત વિંઝુડા સીધા જ આપણને સંબંધોની સમસ્યાના છેક મૂળ સુધી લઈ જાય છે. સામાન્યરીતે મુક્તક કે ગઝલ રચનામાં મુઠ્ઠી બંધ રાખીને કવિ વાત કરતો હોય છે અને શેર કે મુક્તક પતે ત્યારે બંધ મુઠ્ઠી ખુલતી હોય છે પણ ભરતભાઈ અલગ ચીલો ચાતરે છે. એ ખુલ્લી મુઠ્ઠી લઈને જ સામે આવે છે અને એટલે જ આ મુક્તકમાં આવતી આગ આપણી ભીતર ક્યાંક દઝાડી જાય છે…

Comments (5)

યાદગાર મુક્તકો : ૧૦ : અમૃત ઘાયલ

મુક્તકોની મહેફિલ હોય અને મુક્તકોના રાજા જ હાજર ન હોય તો કેમ ચાલે? બાઅદબ, બામુલાહિજા હોંશિયાર… શહીદ-એ-ગઝલ અમૃત ઘાયલની સવારી આવી પહોંચી છે…

બાજુમાં ગુલ અને નજરમાં બહાર,
હાથમાં જામ, આંખડીમાં ખુમાર;
આવી પહોંચી સવારી ઘાયલની
બાઅદબ, બામુલાહિજા, હુશિયાર…

આંખમાં ખુમાર લઈ આવી પહોંચેલા આ શાયર પોતાની શાયરીની તાકાતથી સુપેરે વાકેફ છે. એ જાણે છે કે કવિતા મડદાને પણ બેઠા કરી શકે છે.

અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું, પાળિયાને બેઠા કરી શકું છું.

તાકાત હોવી અને તાકાતથી માહિતગાર પણ હોવું આ બેવડું સદભાગ્ય તો હનુમાનને પણ હાથ નહોતું. આ માત્ર શાયરના અને શાયરીના જ વશની વાત છે. અને ઘાયલ તો ન માત્ર પોતાની શક્તિથી માહિતગાર છે, એમના પોતાની જિંદગી વિશેના વિચારો પણ સ્પષ્ટ છે…

જીવન જેવું જીવું છું, એવું કાગળ પર ઉતારું છું;
ઉતારું છું, પછી થોડું ઘણું એને મઠારું છું.
તફાવત એ જ છે, તારા અને મારા વિષે, જાહિદ!
વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું.

ભલભલા ચમરબંધીનેય એ સાચું કહેતાં અચકાતા નહીં. સૌરાષ્ટ્ર જ્યારે અલગ રાજ્ય હતું અને ઉછંગરાય ઢેબર મુખ્યમંત્રી હતા મુખ્યમંત્રીશ્રી તથા ધારાસભ્યો સમક્ષ કાવ્યપઠન કરવા જવાનું હતું પણ પૂર્વસંમતિ લેવામાં આવી ન હોવાના કારણે ઘાયલે નકાર પકડાવ્યો. સરકારી નોકર હોવાની ચીમકી આપવામાં આવી ત્યારે ઘાયલે કહ્યું, ‘ભટ્ટ અમૃતલાલ લાલજીભાઈ ભલે સરકારી નોકર હોય, ઘાયલ નથી.’ શ્રી જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા ત્યારે એમના શાસનથી અસંતોષ હોવાના કારણે ઘાયલે એમના મોઢા પર જે મુક્તક સંભળાવ્યા હતા એમાંનું એક:

થોડો ઝાઝો હિસાબ તો આપો,
ખોટો સાચો જવાબ તો આપો
બાગમાં ભાગ છે અમારો પણ
એક વાસી ગુલાબ તો આપો !

– અમૃત ‘ઘાયલ’

Comments (5)

જુઓ મા ગુજરાતીનો દબદબો !

વર્ષોથી ચારે તરફ લોકો ફરિયાદ કરી રહ્યા છે કે ગુજરાતી ભાષા મરવા પડી છે. નવી પેઢી ગુજરાતીને ભૂલી જઈ રહી છે અને આગળ જતા ગુજરાતી ભાષા લુપ્ત થઈ જશે એવું છાસવારે સાંભળવા મળે છે. આ બધા શોકાતુર લોકોને માટે ખાસ આ બે વિડિયો છે. નવી પેઢી મા ગુજરાતીને કેવી અદા અને કેવા દબદબા સાથે સલામ કરી રહી છે એ જોઈને એમના દિલને ટાઢક થશે કે ગુજરાતીનું ભાવિ સુરક્ષિત જ નહીં પણ ઉન્નત છે. ગનીચાચાના શબ્દોને ઊછીના લઈને કહું તો જેને ‘રંક નારની ચૂદડી’ ગણતા હતા તે ગુજરાતી ભાષા અહી ‘રાજરાણીના ચીર સમ’ શોભી રહી છે.

આવા ગીતો બને છે ત્યાં સુધી ગુજરાતી ભાષાના ભવિષ્યની ચિંતા કરવાની છોડીને બીજું કંઈ કામનું કામ કરવું એવી મારી સલાહ છે 🙂

આ ગીત ગુજરાતી ફીલ્મ ‘મિશન મમ્મી’માંથી છે. મા ગુજરાતીનો મહિમા બુલંદ અવાજે ગાતા આ ગીતમાં પાંચ-સાત નહી પણ પુરા સત્તાવીસ ગાયકોએ પોતાનો સુર આપ્યો છે. ગીતના શબ્દો કવિ તુષાર શુક્લના છે અને સંગીત છે નિશીથ મહેતાનું.

 

બીજો વિડીયો અવિનાશ વ્યાસના અમર ગીત ‘કોણ હલાવે લીંબડી’નું cover version છે. એમાં સ્વર છે કીર્તિ સાગઠિયા અને નીસા સાગઠિયાનો. જેટલા પ્રેમ અને જતનથી આ વિડિયો બનાવ્યો એ જોઇને મૂળ ગીત પ્રત્યેનો કલાકારોનો પ્રેમ અને આદર દેખાઈ આવે છે.

Comments (5)

યાદગાર મુક્તકો : ૦૯ : ખલીલ ધનતેજવી, ભગવતીકુમાર શર્મા, વિવેક મનહર ટેલર

વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે
તરણું ઊખડી જાય તો કે’જે મને
જિંદગી તારાથી હું થાક્યો નથી
તું જો થાકી જાય તો કે’જે મને

– ખલીલ ધનતેજવી

જીવનમાં ‘Ego’ રાખીને જીવીશું તો પેલા આંધીના વૃક્ષની જેમ સાવ જળમૂળથી ઉખડી જઈશું… પણ જો તરણા જેવા હળવા બનીશું તો ગમે એટલા સંઘર્ષમય સમયમાંથી પણ સહજતાથી પસાર થઈ જઈને ભારવિહીન જીવનને ભરપૂર માણી શકીશું… જિઁદગી અંતે ભલે થાકી જાય પણ જીવવાનો થાક નહીં લાગે એ રીતે જીવાયેલું જીવન જ સાચા અર્થમાં સાર્થક કહેવાય… કવિતામાં ખુમારી ભારોભાર પિરસવી એ ખલીલભાઈની ખૂબી છે.

સમય કેરી મુઠ્ઠીમાં હું બંધ છું
છું સૂરજ, ઘુવડ શો છતાં અંધ છું
કોઈ કૃષ્ણ રેતીનો ઢગલો કરે
હું જીવું છું કિન્તુ જરાસંધ છું

– ભગવતીકુમાર શર્મા

આ મુક્તક વાંચતાવેંત જ એક ઘોર નિરાશા ઘેરી વળે છે… જે આપણને અંદરથી અકળાવી જાય છે. જરાસંધની સાથે પોતાને સરખાવીને કવિ જણાવી દે છે કે પોતાના જીવનને વરદાન નહીં પરંતુ શાપરૂપ માને છે. જેમ જરાસંધના જીવનનો અંત એના શરીરનાં બે ટુકડા વચ્ચે રેતીનાં ઢગલો કરી શિવલીંગ બનાવવાથી થતો શ્રીકૃષ્ણને ભીમને બતાવેલો… એમ જ કવિ પણ ઈશ્વર પાસે જીવનથી છુટકારો માંગે છે.

હૈયું ભરાઈ આવ્યું, છલકી ઊઠ્યાં છે નેણ,
હું શું કહું? અધરથી પાછાં વળ્યાં છે વેણ;
તારો આ પ્રેમ સાંધે, સંબંધ એવી રીતે-
ટુકડો જડ્યો જડે ન, ક્યાંયે જડે ન રેણ.

-વિવેક મનહર ટેલર

ચિરવિરહ પછી વિરહની બધી ફરિયાદો અને સઘળી વેદનાઓને પળમાં ઓગાળી નાંખતું મધુરું મિલન.. એમ જ માણીશું!

Comments (1)

યાદગાર મુક્તકો : ૦૮ : જલન માતરી, દિલીપ મોદી

આવી ન બર મુરાદ તો શ્રદ્ધા ઊઠી ગઈ,
પાયા ડગી ગયા તો ઈમારત પડી ગઈ;
માનવ રડ્યો તો માપસર આંસુ સરી પડ્યાં,
પથ્થર રડ્યો તો સિંધુ ને ગંગા વહી ગઈ !

– જલન માતરી

માણસનું અને માણસના સ્વભાવનું ખરેખર આવું જ છે. પાયામાં જ પરમ વિશ્વાસ અડગ નથી હોતો એટલે જીવનમાં જરાક વધુ પડતો સંઘર્ષ આવે તો ભગવાન પરની શ્રદ્ધા સાવ સહજતાથી ડગી જાય છે… માપસરનું બધુ કરવા માટે ટેવાયેલા આપણા બઘાની શ્રદ્ધા પણ માપસરની જ હોય છે… પ્રેમ, વિશ્વાસ અને શ્રદ્ધામાં અડગ અને અમાપ થતા આવડી જશે તો જીવન ભયો ભયો… ને ભર્યું ભર્યું…

વીતી ગઈ તે વાતનો ઉલ્લેખ ના કર,
જાગરણની રાતનો ઉલ્લેખ ના કર;
લખ, ભલે લખ, જોઈએ તો રોજ લખ તું,
શબ્દમાં તુજ જાતનો ઉલ્લેખ ના કર.

– દિલીપ મોદી

આ મુક્તક તો કવિએ મારા માટે જ લખ્યું હોય એમ લાગે છે… 🙂 (આખાને આખા મુક્તક સંગ્રહો આપણી ભાષાને આપનાર દિલીપભાઈને મુક્તકોની મહેફિલમાં યાદ ન કરીએ તો કેમ ચાલે?)

Comments (2)

યાદગાર મુક્તકો : ૦૭ : મુકુલ ચોક્સી, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

કિસ્સો કેવો સરસ મઝાનો છે,
બેઉ વ્યક્તિ સુખી થયાનો છે.
પલ્લું તારી તરફ નમ્યાનો તને;
મુજને આનંદ ઊંચે ગયાનો છે !

-મુકુલ ચોકસી

નાની સરખી વાતને કવિએ કેટલી આસાનીથી સમજાવી છે! કાશ, કે એ વાતને એટલી જ આસાનીથી ‘બેઉ વ્યક્તિ’ સમજી શકે તો પલ્લું નમ્યાનાં અને ઊંચે ગયાના આનંદની સીમાઓ એક થઈ જાય…. અને પછી તો જીવન મધુબન હો જાયે…

 

ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે
જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે
મિલાવ હાથ ભલે સાવ મેલોઘેલો છે
હ્રદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

વણકહ્યે કૃષ્ણ-સુદામાની મૈત્રીની ચરમસીમા આલેખતું સુંદર મૈત્રી-મુક્તક… આથી વિશેષ કોઈ પિષ્ટપેષણની જરુરત ખરી?!

Comments (4)

યાદગાર મુક્તકો : ૦૬ : બકુલેશ દેસાઈ, ભગવતીકુમાર શર્મા, શોભિત દેસાઈ, સંદીપ ભાટિયા

રેત છું પણ શીશીમાં ખરતો નથી,
શૂન્યતાને ‘હું’ વડે ભરતો નથી;
મારા પડછાયા કરે છે ઘાવ પણ
હું સમય છું એટલે મરતો નથી.

– ભગવતીકુમાર શર્મા

ખાલીપણાનું એટલે કે શૂન્યતાનું એટલે કે એકલતાનું એટલે કે ન-હોવાપણાનું આ મુક્તક છે.  રેતીનું એક જ કામ તે ખરવું – પણ તે એ કરતો નથી. એકલતાને પોતાની મનગમતી ચીજોથી આસાનીથી ભરી દઈ શકાય – પણ એ ભરતો નથી. પડછાયો તો માત્ર અનુસરવાનું જ કામ કરી શકે – પણ પડછાયાના ઘાથી એ પણ બચી શકતો નથી. ને સૌથી મોટો અફસોસ – આ બધી રિક્તતા વચ્ચે પણ એ મરતો નથી. મરણ તો બહુ સહેલો જવાબ છે, અને સાહેબ, અમારો દાખલો તો એનાથી બહુ વધારે અઘરો છે!

સોંસરો વરસાદ વીંધે ને છતાં કોરાપણું,
શાહીની હેલી બધે ને જાતથી જુદાપણું;
કાગદી હોડી ઉપર હોડી તરાવી શું કરું ?
હુંપણાના ભારથી ડૂબી જશે હોવાપણું.

-બકુલેશ દેસાઈ

ન લખી શકવાની અવસ્થા પર લખાયેલું બેનમૂન મુક્તક. અનુભૂતિનો વરસાદ પણ છતાં કવિ છે કોરા ને કોરા. શાહીની તો રીતસર હેલી છતાં કવિને પોતાનો અવાજ મળતો નથી. પોતાનો અહમ જ પોતાના અસ્તિત્વને ડૂબાડવા બેઠો હોય તો પછી સર્જનની હોડી તરાવવાનો ફાયદો પણ શું છે?

વિસ્મરણમાં છે ઝૂલવાનો સમય,
સર્વ યાદોને ભૂલવાનો સમય.
ખૂબસૂરત પ્રસવ મરણનો અને
હોવાની કેદ ખૂલવાનો સમય.

– શોભિત દેસાઈ

મૃત્યુ જેવા વિષય પર પતંગિયાની પાંખ જેવું નાજુક મુક્તક. મૃત્યુ એટલે ‘વિસ્મરણમાં ઝૂલવું’ અને ‘હોવાની કેદનું ખૂલવું’ – આનાથી વધારે સુંદર વ્યાખ્યા કઇ હોય શકે ?

શ્વસ અનંતોમાં
ઊડ પતંગોમાં
પોઢ ગઝલોમાં
ઊઠ અભંગોમાં

– સંદીપ ભાટિયા

અને છેલ્લે મારું અતિપ્રિય મુકતક. જીવનને સરળ કરી દેવાની અકસીર જડીબુટ્ટી. આંઠ શબ્દોમાં જાણે આખો પ્રસન્ન-ઉપનિષદ. આને સમજાવવાની ગુસ્તાખી કરું તો સમૂળગો પાપમાં જ પડું ને?

Comments (6)

યાદગાર મુક્તકો : ૦૫ : રઈશ મનીયાર

પર્વતમાંયે રસ્તા પડી જાય છે
મૃગજળોને તરી નાવડી જાય છે
હાંફતા હાંફતા હાંફતા એક દિ’
શ્વાસ લેતા પછી આવડી જાય છે.

રઇશનું એક જ મુક્તક પસંદ કરવાનુ હોય તો પછી હું આ મુક્તક જ પસંદ કરું. આ મુક્તકની ધૃવપંક્તિ એ એની ત્રીજી પંક્તિ છે. ‘હાંફતા’ના આવર્તનો એક aural tension ઊભુ કરે છે અને મુક્તકને એની ધાર આપે છે. જીવનની સફરમાં હાંફવું બહુ જરૂરી ચીજ છે. શ્વાસ ફૂલી જાય, મોઢું લાલચોળ થઈ જાય ને આંખોમાં ટશર ફૂટવા પર આવે ત્યાં સુધી હાંફવું જરૂરી છે. હાંફવા વિના કશું હાંસિલ નથી. અને એક વાર હાંફવાની તૈયારી હોય તો પછી કશું અસંભવ નથી. જીવનની ઘણી અઘરી ક્ષણોએ આ મુકતકે છાંયો કરેલો એટલે આ મુક્તક એટલું વધારે પોતિકું લાગે છે. આડવાત: હું પોતે આ મુક્તક વાંચતી વખતે (કવિની માફી માંગીને) છેલ્લા “એક દિ'” ને બદલે ‘હાંફતા’નુ એક વધુ આવર્તન ઉમેરું છું. એ version મને વધુ અસરકારક લાગે છે.

હવાના હાટ પવનની દુકાન રાખે છે
અહીંના લોક વતનની દુકાન રાખે છે
કે હુલ્લડોની જે અફવા અહીં ઉડાવે છે
ગલીના નાકે કફનની દુકાન રાખે છે

રઇશ આમ તો કોમળતાનો કવિ છે. પણ કોઈક વાર આવી કડવી વાસ્તવિકતાને ધારદાર રીતે રજુ કરવાની આવડત પણ રાખે છે.

ચેતજે જીતમાં ય હાર ન હો,
સુખ એ દુઃખનો કોઈ પ્રકાર ન હો;
એવો કોઈ મુગટ બન્યો જ નથી,
જેનો માથે જરા ય ભાર ન હો.

કવિએ બહુ અઘરી વાત બહુ સરળ ભાષામાં કરી છે. દુઃખના ભાર નીચે દબાવાની વાત તો હજીયે સમજી શકાય. પણ સુખના ભાર નીચે દબાયેલાની સ્થિતિ એનાથી પણ વધારે કફોડી હોય છે! (જોકે બીજી રીતે જુઓ તો કવિ ૫૦૦ અને ૧૦૦૦ની નોટોની વાત કરતા હોય એવુ પણ શક્ય છે 🙂 🙂 )

ગઝલમાં જીવનનો મરમ વ્યક્ત કરીએ,
કે સત્યમ્ શિવમ્ સુંદરમ્ વ્યક્ત કરીએ;
આ મત્લાથી મક્તા સુધીની નમાજો,
પઢી લઇ અમે તો ધરમ વ્યક્ત કરીએ.

હિન્દુ-મુસ્લિમની જ નહીં, પણ બધા રૂઢિગત ધર્મની પરંપરાઓને ઓળંગી જઈને એક નવા જ ગઝલ-ધર્મની બંદગી કરવાનું કવિનું કોમળ એલાન. આમીન!

Comments (7)

યાદગાર મુક્તકો : ૦૪ : શેખાદમ આબુવાલા

દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે
મને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે
પ્રદર્શન કાજ ચાહત કેદ છે જેમાં જમાનાથી
મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે

શેખાદમ એટલે મુક્તકોનો રાજા. એના બધા મુક્તકોમાંથી એક જ પસંદ કરવાનું હોય તો ‘તાજમહાલ’ જ પસંદ કરવું પડે. એમા ચમત્કૃતિ પણ છે અને ડંખ પણ છે. બધા જેને પ્રેમના પ્રતિક તરીકે ઓળખે છે એ તો ખરેખર તો પૈસાના જોરનું પ્રતિક છે. આપણે બધા જાણીએ છીએ કે પ્રેમને દેખાડા સાથે સાપ ને નોળીયા જેવો સંબંધ છે છતાં કોણ જાણે કેમ તાજમહાલને આપણે પ્રેમના પ્રતિક તરીક સ્વીકારી લીધો છે?

અમને નાખો જિંદગીની આગમાં
આગને પણ ફેરવીશું બાગમાં
સર કરીશું આખરે સૌ મોરચા
મોતને પણ આવવા દો લાગમાં.

શેખાદમનો આ બીજો રંગ છે. જ્યારે જ્યારે હતાશા ઘેરી વળે છે ત્યારે આ મુક્તક અચૂક રસ્તો બતાવે છે. મોતને પણ લાગમા લેવાની કવિની ખુમારી પર સલામ કરવાનુ મન થાય છે.

કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો
બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો
ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?
ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો.

નવનિર્માણના આંદોલનના સમયમાં શેખાદમે રાજકીય કાવ્યોનો ‘ખુરશી’ નામે એક નાનકડો સંગ્રહ કરેલો. યોગાનુયોગ એ પ્રગટ થયો અને તે જ વખત ઇન્દિરા ગાંધીએ કટોકટી જાહેર કરી. કવિતા અને વાસ્તવિકતા ટકરાઇ. ‘ખુરશી’ના કાવ્યો બહુ વખણાયા અને લોકોની જીભે ચડી ગયા. એમાંનુ સૌથી ધારદાર મુક્તક.

એક પૂછું છું સવાલ
આપજે ઉત્તર કમાલ
પાપ તું કરતો નથી
શા થશે ગંગાના હાલ ?

શેખાદમની મૂળ પ્રકૃતિ મસ્તીની. રમતિયાળ રીતે બહુ મોટી વાત કરી દેવાની આવડત એને કેવી સિદ્ધહસ્ત હતી એનો આ મુક્તક આબાદ નમૂનો છે.

Comments (7)

યાદગાર મુક્તકો : ૦૩ : ચિનુ મોદી ‘ઈર્શાદ’, સૈફ પાલનપુરી

પથ્થરો પોલા નીકળશે શી ખબર ?
મિત્ર સહુ બોદા નીકળશે શી ખબર?
એમની આંખો ભીંજાઈ’તી ખરી,
આંસુઓ કોરા નીકળશે શી ખબર?

– ચિનુ મોદી ‘ઈર્શાદ’

*

કોઈ સ્મિતે સ્મિતે સળગે છે, કોઈ રડીને દિલ બહેલાવે છે
કોઈ ટીપે ટીપે તરસે છે, કોઈ જામ નવા છલકાવે છે
સંજોગોના પાલવમાં છે બધું, દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે એક લાશ તરીને આવે છે

– સૈફ પાલનપુરી

ચિનુ મોદીનું મુક્તક વ્યંજનાની ચરમસીમાએ છે તો સૈફ પાલનપુરીનું મુક્તક વિરોધાભાસની ચરમસીમા ઈંગિત કરે છે. બંને આપણી ભાષાના યાદગાર મુક્તકો… પ્રસંગોપાત મમળાવતા-સંભળાવતા રહેવું પડે એવા..

Comments (6)

યાદગાર મુક્તકો : ૦૨ : મરીઝ, શૂન્ય પાલનપુરી

સુરા રાતે તો શું, વ્હેલી સવારે પી ગયો છું હું,
સમય સંજોગના ગેબી ઈશારે પી ગયો છું હું;
કોઈ વેળા કશી ઓછી મળે તેની શિકાયત શું,
ઘણી વેળા ગજાથી પણ વધારે પી ગયો છું હું.

-મરીઝ

*
શ્વાસના પોકળ તકાદા છે, તને માલમ નથી,
નાઉમેદીના બળાપા છે, તને માલમ નથી;
જિંદગી પર જોર ના ચાલ્યું ફકત એ કારણે,
મોતના આ ધમપછાડા છે, તને માલમ નથી.

– શૂન્ય પાલનપુરી

મુક્તકોની ખરી મજા એમની Res Ipsa Loquitar (it speaks for itself-સ્વયંસ્પષ્ટ) પ્રકૃતિના કારણે છે. ચાર પંક્તિના ખોબામાં મુક્તક વાદળ ભરીને વરસાદ લઈ આવે છે. આજે ગુજરાતી ગઝલના બે ખ્યાતનામ શાયરોની કલમે એક-એક મુક્તકની મજા લઈએ… બંને મુક્તક સ્વયંસિદ્ધ છે…

Comments (5)

યાદગાર મુક્તકો : ૦૧ : રમેશ પારેખ, મુસાફિર પાલનપુરી

જીવની સન્મુખ મેં સ્થાપી દીધો
મેં તને સાષ્ટાંગ આલાપી દીધો
મિત્રદક્ષિણામાં જમણા હાથનો-
અંગૂઠો કાપી તને આપી દીધો.
– રમેશ પારેખ

*
તાંદુલી તત્વ હેમથી ભારે જ થાય છે,
કિંતુ મળે જો લાગણી ત્યારે જ થાય છે.
જ્યાં ત્યાં કદીય હાથ ના લંબાવ, ઓ હૃદય!
મૈત્રીનું મૂલ્ય કૃષ્ણના દ્વારે જ થાય છે.
– મુસાફિર પાલનપુરી

*
મૈત્રીવિષયક બે મુક્તકોથી યાદગાર મુક્તકોની શ્રેણીની શરૂઆત કરીએ…

કાવ્યપ્રકાર તરીકે મુક્તક કંઈ નવો પ્રકાર નથી. સંસ્કૃત, માગધી અને પ્રાકૃત ભાષામાં મૌક્તિક-મોતી-મુક્તક બે હજારથી પણ વધુ વર્ષોથી લખાતાં આવ્યાં છે. ગઝલના છૂટા શેરની જેમ જ મુક્તક પણ સ્વયંસિદ્ધ અને અર્થ બાબતમાં સ્વયંસંપૂર્ણ છે. મોતીની જેમ જ મુક્તક એટલે ગાગરમાં સાગર. બેથી માંડીને ચાર પંક્તિના ટૂંકા વિસ્તારમાં ધૂમકેતુની જેમ અર્થ્લિસોટો ભાવકના હૈયામાં છોડી જવા સક્ષમ હોય એને મુક્તક ગણાય.

મુક્તક શબ્દ મૌક્તિક આને મોતી પરથી ઊતરી આવ્યો હોવાનો એક મત છે મુક્તક શબ્દ ‘મુક્ત’ અટલે કે ‘છૂટું’ પરથી ઉતરી આવ્યો હોવાનો મત વધુ પ્રબળ છે. ઉર્દૂમાં મુક્તકને ‘કત્આ’ કહે છે. અરબી શબ્દ ‘કત્અ’ અર્થાત્ ‘કાપવું’ પરથી આ શબ્દ ઉતરી આવ્યો છે. મુક્તકની પ્રાસરચના અ-અ-બ-અ, અ-બ-ક-બ અથવા અ-અ-અ-અ પણ હોઈ શકે. છંદ બહુધા ગઝલમાં વપરાતા જ પ્રયોજવામાં આવે છે.

 

Comments (8)

યાદગાર મુક્તકો : ૦૦ : બાર – બાર યે દિન આયે…

૧૨   ૧૨   યે દિલ ગાયે…
૧૨   ૧૨   યે દિન આયે…

‘લયસ્તરો.કોમ’ની બારમી વર્ષગાંઠે આ યાત્રામાં સદૈવ અમારી સાથે રહેલા કવિમિત્રો અને વાચકમિત્રોનો ખૂબ ખૂબ આભાર…

દર વર્ષગાંઠ ઉપર કંઈક નવું આપવાની અમારી ઇચ્છાના પરિપાકરૂપે અત્યારસુધી કરેલ ઉજવણીની એક ઝલક :

જે-તે કેટેગરીના નામની ઉપર ક્લિક કરવાથી આપ જે-તે વર્ષની ઉજવણીમાં ફરી એકવાર સામેલ થઈ શકશો… પણ હા, એક શરત છે- આપના પ્રતિભાવ આપવા ભૂલશો નહીં.

  1. 2005 – ~~~
  2. 2006 – શબ્દોત્સવ (7 કાવ્યપ્રકારો) (ગઝલ, ગીત, અછાંદસ, સૉનેટ, હાઇકુ, ભજન, મુક્તક)
  3. 2007 – વિશ્વકવિતા (વિદેશી+ભારતીય)
  4. 2008 – યાદગાર ગઝલો
  5. 2009 – યાદગાર ગીતો
  6. 2010 – અંગત-અંગત (વાચકોની પસંદગીની કવિતા અને આસ્વાદ)
  7. 2011 – પરમ સખા મૃત્યુ (મૃત્યુવિષયક કવિતાઓ)
  8. 2012 – મૌનનો પડઘો (ઝેન કવિતા)
  9. 2013 – સવા-શેર (યાદગાર શેર)
  10. 2014 – बज़्म-ए-उर्दू  (ઉર્દૂ રચનાઓ)
  11. 2015 – मधुशाला (હિંદી કવિતાઓ)
  12. 2016 – યાદગાર મુક્તકો – આવતીકાલથી શરૂ….

Comments (9)

આજે ‘લયસ્તરો’ને બાર વર્ષ પુરા!

layastaro_12

બાર વર્ષ બહુ લાંબો સમય છે. બાર વર્ષમાં તો એક આખી જીંદગી જીવી શકાય.

વર્ષોવર્ષ ગુજરાતી કવિતાને ચાહકો સુધી પહોંચાડવાનુ આ કામ ‘લયસ્તરો’ શરુ કર્યુ ત્યારથી આજ સુધીમાં ગુજરાતી અને ગુજરાતી કવિતા બન્ને ઘણા બદલાયા છે. કવિતા વધારે ને વધારે પ્રસરી રહી છે. ગુજરાતી ભાષાના ભાવિ વિશે ચિંતા સતત ખોટી ઠરી છે. વધુને વધુ ગુજરાતી સાહિત્ય અને કવિતા નેટના માધ્યમથી પ્રસરી રહ્યા છે.આ બધામાં ગુજરાતી કવિતાના સૌથી વિશાળ સંગ્રહ તરીકે ‘લયસ્તરો’ પોતાની ભૂમિકા ભજવી શક્યું છે એ બહુ ગૌરવની વાત છે.

દર વર્ષગાંઠ પર કંઇક નવુ કરવાની પરંપરા આ વખતે પણ આગળ ચલાવવાનો વિચાર છે. આ વખતે મનને ગમી ગયેલા અને દિલમાં વસી ગયેલા મુક્તકો આવનારા દિવસોમાં પ્રસ્તુત કરીશું. તો, આવતી કાલે મળીએ – મુક્તકોના રસથાળ સાથે!

– ધવલ – વિવેક – તીર્થેશ – મોના
ટીમ લયસ્તરો

Comments (51)

પવન – ભગવતીકુમાર શર્મા

વાંસના વનમાં થઇ વાતો પવન,
કૃષ્ણ તણી ફૂંક થઇ ગાતો પવન.

તું મને સ્પર્શી ગઈ એવી રીતે,
ભ્રમ થયો એવો અરે ! આ તો પવન.

શ્વાસ તો તૂટી રહ્યાં છે ક્યારનાં,
ગ્રીષ્મ સાંજે ઠોકરો ખાતો પવન.

કોઇનાં છૂટી ગયાં છે પ્રાણ શું,
કેમ આ કંઇ વેળથી વાતો પવન.

– ભગવતીકુમાર શર્મા

Comments (2)

આદમખોરની માફક – શોભિત દેસાઈ

ત્વચા પર રાતે મોકો શોધું છું હું ચોરની માફક
અને આ સ્પર્શ જાણે ભૂખ્યા આદમખોરની માફક

ક્ષણો આવે, લઈને ઈન્તઝારી, પાછી ચાલી જાય…
સમય વીતે છે બોટાઈ ગયેલા બોરની માફક

નથી હલચલ કોઈ પણ, ખાસ જેને કહી શકાય, એવી…
હવે મન થઈ ગયું છે ગ્રીષ્મની બપ્પોરની માફક

પલાળે છે મને વરસાદના છાંટાય આઘેથી
ઊભો છું ક્યારનો ધરતી ઉપર હું થોરની માફક

અહીંથી ત્યાં, ને ત્યાંથી અહીં, કવિ, બદલી વફાદારી-
ચરે છે ઘાસ લીલુંછમ, હરાયા ઢોરની માફક

– શોભિત દેસાઈ

પાંચમાંથી કયા શેર પર આંગળી મૂકવી એ વિમાસણ થઈ આવે એવી સંઘેડાઉતાર રચના.. મનુષ્યની આદિમવૃત્તિ -સેક્સભૂખ-ને દર્શાવતો આવો ઉત્તમ મત્લા ગુજરાતીમાં જડવો એ જ દુર્લભ ઘટના છે. આદમખોર કાફિયો અદભુત રંગછટા સર્જે છે.

શબરીના બોર જેવી એંઠી પણ અધૂરી જ રહેવા જન્મેલી પ્રતીક્ષા વિશેનો શેર પણ ‘એંઠા’ને બદલે ‘બોટાઈ’ શબ્દના કારણે વિફળ પ્રતીક્ષાની તીવ્રતમ ભાવસ્થિતિ સફળતાપૂર્વક જન્માવે છે.

ઉનાળાની બપોરે ખાલી થઈ જતા રસ્તાઓને શૂન્યમનસ્ક અવસ્થા સાથે સાંકળતો શેર પણ અંદાજ-એ-બયાઁની છટાના કારણે ધ્યાનાર્હ બન્યો છે.

છેલ્લા શેરનો કટાક્ષ તો ભઈ, વાહ !

Comments (5)

ટેવાઈ જાયે છે – અમૃત ઘાયલ

સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઈ જાયે છે,
ગમે તેવું દુ:ખી હો પણ જીવન જીવાઈ જાયે છે.

યુવાનીમાં વિપંથે વૃત્તિઓ દોરાઈ જાયે છે,
વિચારે લાખ કોઈ તોય ઠોકર ખાઈ જાયે છે.

હૃદય આવેશમાં ક્યારેક ઉશ્કેરાઈ જાયે છે,
અને ના બોલવાનું પણ કદી બોલાઈ જાયે છે.

જીવન બદલે તો બદલે, પણ પ્રણયરંગો નહીં બદલે,
હૃદય રંગાઈ જાયે છે તો બસ રંગાઈ જાયે છે.

નથી રહેતી પ્રણયવાતો કદી છાની નથી રહેતી,
હૃદય ગભરાય છે ત્યારે નયન ભીંજાઈ જાયે છે.

જુદાઈમાં વલણ શું પૂછવું અશ્રુ-ઘટાઓનું !
ઘડી ઘેરાઈ આવે છે, ઘડી વિખરાઈ જાયે છે.

જીવનમાં એક એવી આંધી આવે છે પ્રલયકારી,
દીપક હો જેટલા ઉરમાં બધા ઓલાઈ જાયે છે.

મુસીબતના દહાડા એ કસોટીનાં દહાડા છે,
છે પાણી કેટલું કોનાં મહીં જોવાઈ જાયે છે.

જીવન સારું જીગરની આહથી ફૂંકી દઉં ‘ઘાયલ’,
મને મારા ઉપર ક્યારેક એવી ખાઈ જાયે છે.

– અમૃત ઘાયલ

વિન્ટેજ વાઇન !

Comments (3)

ક્યાં જઈ… – ગિરીશ પરમાર ‘રઢુકિયા’

ક્યાં જઈ કરવી કહો ફરિયાદ પણ ?
માપસર વરસ્યો નહીં વરસાદ પણ.

હું તને ભૂલી ગયો છું ક્યારનો,
એમ બોલીને કરું છું યાદ પણ.

કેટલા વર્ષો પછી નજરો મળી,
હોઠ મરક્યા, ના થયો સંવાદ પણ.

સેંકડો પંખી હણાતાં જાય છે,
કોઈએ છેડ્યો નહીં વિવાદ પણ.

છે રઢુ વ્હાલું અમોને, છે જ છે,
એટલું વ્હાલું જ અમદાવાદ પણ.

– ગિરીશ પરમાર ‘રઢુકિયા’

રઢુ ગામના ગિરીશ પરમારે જે કાબેલિયતપૂર્વક “પણ” જેવી સંભાવનાસૂચક રદીફ યથાર્થ વાપરી છે એ સાચે જ કાબિલે-દાદ છે. એક પણ શેરમાં રદીફ લટકી પડી નથી બલકે શેરના અર્થમાં ભાવપૂર્ણ ઉમેરણ કરવામાં સફળ નિવડી છે. વાહ, કવિ!

Comments (8)