એ રીતે બધી વાતે સમાધાન બનીશું,
જ્યાં ગાંઠ પડે ત્યાં અમે નાદાન બનીશું.
વિવેક ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for July, 2012

(બોલાવ મા) – અહમદ મકરાણી

આભને તું સાવ નીચું લાવ મા,
પાંખને તું આટલી ફેલાવ મા.
પાર મારાથી ગયો છું નીકળી,
સાદ દઈને તું મને બોલાવ મા.

– અહમદ મકરાણી

કોશિશ પર તારી ભરોસો છે કે તું કંઈ પણ કરી જઈશ. પણ આજે મારો વારો છે. સમયનો તકાજો છે. નીકળી જવું – ને નીકળવામાંથી પણ નીકળી જવું – એ જ એક રસ્તો છે. હવે આ વિદાયની આમન્યા રહેવા દે. સાદ કરવાનું રહેવા દે.

Comments (10)

ખુદા મળે-શૂન્ય પાલનપુરી

હરદમ તને જ યાદ કરું, એ દશા મળે,
એવું દરદ ન આપ કે જેની દવા મળે.

સોંપી દઉં ખુદાઈ બધી એના હાથમાં,
દુનિયામાં ભૂલથી જો કોઈ બાવફા મળે.

ઝંઝા સમે ગયો તે ગયો, કૈં પતો નથી,
દેજો અમારી યાદ અગર નાખુદા મળે.

સૌથી પ્રથમ ગુનાની કરી જેણે કલ્પના,
સાચો અદલ તો એ જ કે એને સજા મળે.

કાઠું થયું હૃદય તો જીવનની મજા ગઈ,
એ પણ રહી ન આશ કે જખ્મો નવા મળે.

રાખો નિગાહ શૂન્યના પ્રત્યેક ધામ પર,
સંભવ છે ત્યાં જ કોઇપણ રૂપે ખુદા મળે.

– શૂન્ય પાલનપુરી

Comments (13)

મુક્તિ – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ.નગીનદાસ પારેખ

વૈરાગ્યસાધને મુક્તિ, સે આમાર નય.

અસંખ્ય બન્ધન-માઝે મહાનન્દમય
લભિબ મુક્તિર સ્વાદ. એઇ વસુધાર
મૃત્તિકાર પાત્રખાનિ ભરિ વારમ્વાર
તોમાર અમૃત ઢાલિ દિબે અવિરત
નાનાવર્ણગંધમય. પ્રદીપેર મતો
સમસ્ત સંસાર મોર લક્ષ વર્તિકાય
જ્વાલાયે તુલિબે આલો તોમારિ શિખાય
તોમાર મન્દિર-માઝે.

ઇન્દ્રિયેર દ્વાર
રુદ્ધ કરિ યોગાસન,સે નહે આમાર.
યે-કિછુ આનન્દ આછે દ્રશ્યે ગન્ધે ગાને
તોમાર આનન્દ રબે તાર માઝખાને.

મોહ મોર મુક્તિ રૂપે ઉઠિબે જ્વલિયા,
પ્રેમ મોર ભક્તિ રૂપે રહિબે ફલિયા.

 

વૈરાગ્યની સાધના દ્વારા મળતી મુક્તિ મારે માટે નથી.

અસંખ્ય બંધનોમાં જ હું તો મહાનંદમય
મુક્તિનો સ્વાદ પ્રાપ્ત કરીશ.
આ વસુધાના માટીના પાત્રને વારે વારે
નાના વર્ણગંધમય તારું અમૃત
તું અવિરત રેડતો રહેશે.
પ્રદીપની પેઠે મારો સમસ્ત સંસાર
લાખ્ખો વાટોએ
તારી શિખાથી તારા મંદિરમાં
દીવા પેટાવી દેશે.

 

ઇન્દ્રિયોના દ્વાર રૂંધીને યોગાસન જમાવવું
એ મારું કામ નથી.
દ્રશ્યમાં, ગંધમાં, ગીતમાં
જે કાંઈ આનંદ રહેલો છે,
તેમાં તારો આનંદ વ્યાપી રહેશે.

મારો મોહ મુક્તિરૂપે સળગી ઊઠશે,
મારો પ્રેમ ભક્તિરૂપે ફલિત થશે.

-રવીન્દ્રનાથ ઠાકુર – અનુ.-નગીનદાસ પારેખ.

 

અત્યંત ક્રાંતિકારી વાત છે – જરાક સૂક્ષ્મતાથી તપાસશો તો રજનીશના ચર્ચાસ્પદ વિધાન ‘સંભોગથી સમાધિ સુધી’ નો ધ્વનિ પ્રતિપાદિત થાય છે ! કોઈ દમનની વાત નથી,કોઈ અકુદરતી ત્યાગના માયાવી મૃગ પાછળની દોટની વાત નથી. વિશ્વમાં જ વિશ્વાત્માના દર્શનની વાત છે….સર્જનમાં જ સર્જકની ઝાંખી કરવાની વાત છે. સર્જન અને સર્જક જુદા નથી,માત્ર આપણી દ્રષ્ટિ સીમિત હોવાથી તે દર્શન આપણને સહજ નથી – આ ધ્વનિ છે……

Comments (6)

ગઝલ – વિવેક કાણે ‘સહજ’

અસત્ય કેવું અધિકૃત કરીને સ્થાપે છે
એ વાત વાતમાં તારો હવાલો આપે છે

બધું જે શુભ છે, એ સમજી લો દેન એની છે
અને અશુભ બધું મારા-તમારા પાપે છે

હવે તો તાજું ગઝલમાં કશુંક લઈ આવો
હજીય ઘરને જલાવીને કોઈ તાપે છે

કલમ, ને શાહી, ને ખડિયા ને કાગળો મારા
પરંતુ શબ્દ ‘સહજ’ એમના પ્રતાપે છે.

– વિવેક કાણે ‘સહજ’

ખાલી ચાર જ શેરની ગઝલ પણ ચારેચાર શેર જાણે મકાનના ચાર પાયા… એકેય હલાવી ન શકાય એવા નક્કર… આજે મોટા ભાગના ગઝલકારો (મારા સહિત) સારા શેરની વચ્ચે ફસાઈ ગયેલા એક-બે નબળા શેર કાઢી-કાપી શકતા નથી પણ વિવેક કાણેની આ ખાસિયત છે કે એ કશું નબળું ચલાવી લેતા નથી…

Comments (11)

મોર સાથે રમતી કન્યા – વિદ્યાપતિ (અનુવાદ: સુરેશ દલાલ)

આવતી કાલે પાછો આવીશ એવું મને કહીને ગયો
મેં મારા ઘરની બારી પર
ફરી ફરીને લખ્યા કર્યું, બસ લખ્યા કર્યું
આવતી કાલે, આવતી કાલે…
આ શબ્દોથી ઢાંકી દીધી જમીન.
જયારે સવાર ઊગી ત્યારે તો
બધા મને બસ પૂછ્યા કરે :
સખી ! કહેને…એટલું તો કહેને
આવતી કાલ તારી આવશે ક્યારે?
કાલની મેં તો છોડી દીધી તમામ આશા
મારો પ્રિયતમ પાછો નહીં આવ્યો તે નહીં આવ્યો.
વિદ્યાપતિ કહે : સાંભળ સુંદરી : કટુવચન આ, ક્રૂર
અન્ય સ્ત્રીઓએ લલચાવીને એને રાખ્યો દૂર.

– વિદ્યાપતિ (ભાષા: મૈથિલી)
(અનુવાદ: સુરેશ દલાલ)

(સૌજન્ય: ક્રિષ્ણા તારા નામનો આધાર)

ગયા અઠવાડિયે ચૌદમી સદીમાં મૈથિલિ ભાષાના કવિ વિદ્યાપતિની એક રચના આપણે માણી. આજે એમની વિરહરસભરી એક રચનાનો આનંદ લઈએ.  “ઇસ જમીં પે લિખ દૂઁ નામ તેરા, આઅસમાઁ પે લિખ દૂઁ નામ તેરા” જેવા ગીતો આજે આપણે સાંભળીએ છીએ પણ છસો વર્ષ પહેલાંનો આ કવિ તારું નામ લખીને આખી જમીન ઢાંકી દીધી જેવી કલ્પના કરે છે એ જાણીએ ત્યારે કેવું લાગે ! કવિતા પોતે પણ આખી આસ્વાદ્ય છે…

 

 

Comments (9)

ગઝલ – ડૉ. કેતન કારિયા

હવા સ્પર્શ જ્યારે કરે છે ત્વચાને,
ત્વચા જેટલું સુખ મળે છે હવાને !

સખત તાપ, વરસાદ, ઠંડક છતાં પણ,
ગગન ખુદ અડી ક્યાં શક્યું છે ધરાને !

ઘણા સાંભળીને મજા પણ કરે છે,
ન સસ્તી બનાવો તમારી વ્યથાને.

ભલે જિંદગીભર તરસતાં રહે પણ,
અહીં સૌ છલોછલ ભરે છે ઘડાને !

અપેક્ષા કરે લોક દુનિયા હું બદલું,
શરત એમ રાખે ન બદલું પ્રથાને !

બન્યો જ્યારથી હું પિતા દીકરીનો,
નથી ક્યાંય શોધ્યો પછી મેં ખુદાને.

– ડૉ. કેતન કારિયા

પાણીદાર ગઝલ…

Comments (18)

જળબંબોળ – ભગવતીકુમાર શર્મા

મને વીંધતો ચોમાસનો મિજાજ જળબંબોળ;
મુશળધાર પડે સાટકા; રુદિયે ભીના સૉળ.

વીજ-દોરથી આભ-ધરા બંધાયા મુશ્કેટાટ;
મેઘ-ઝરૂખે જળકુંવરીએ માંડી છે ચોપાટ.

કરી સોગઠી ગાંડી, કીધો નભનો નરદમ તોડ;
મને વીંધતો ચોમાસાનો મિજાજ જળબંબોળ.

કુંવરીએ ભીના કાગળના ઠલવ્યા ટપાલથેલા;
મઘમઘ કવિતાના રુદિયેથી ફૂટતા દડદડ રેલા.

જળ-સ્થળની હોંસાતોંસીમાં પળપળ ડામાડોળ;
મને વીંધતો ચોમાસાનો મિજાજ જળબંબોળ.

– ભગવતીકુમાર શર્મા

ચોમાસું ફળે કે ન ફળે, આ ગીત  તો ચોક્કસ ફળે એવું છે. સૂરતને અત્યારે આ જળકુંવરીની ચોપાટની જ જરૂર છે. (આડવાતમાં: જળબંબોળ – ને એનો ભાઈ – જળબંબાકાર બન્ને શબ્દ વિચારી જુઓ. ગુજરાતી ભાષાની બરછટ મીઠાશ આવા મઝાના શબ્દોને આભારી છે. આ શબ્દો ક્યાંથી આવ્યા છે એ શોધતા મળ્યું નથી. તમને ખબર હોય તો જણાવજો. )

Comments (12)

સૂની હવેલી છે – રમેશ પારેખ

હું જ્યાં વસું છું એ એવી સૂની હવેલી છે,
ભીંતોની જેમ હવા સ્તબ્ધ થઈ ઊભેલી છે.

શ્વેત કાગળનું સરોવર અવાક્ ઊભું છે,
બબડતી આંગળી કાંઠા ઉપર ઝૂકેલી છે.

કશું બચ્યું નથી ચારે દિશાના હોવામાં,
તમામ માર્ગને શેરી ગળી ગયેલી છે.

પ્રકાશ એટલે અંધારું માત્ર અંધારું,
આંખમાં દ્રશ્યની અફવા ઊડી રહેલી છે.

નનામો પત્ર લખું છું મને હું એવો કે-
‘તું પીવે છે તે નદીઓ તો ચીતરેલી છે.’

છે,પથ્થરોથી સખત છે આ શાહીનું ટીપું,
પીડાની મૂર્તિઓ કંડારવી ક્યાં સહેલી છે ?

ખબર નથી શું લખાશે બચેલા હિસ્સામાં,
મેં કોરા કાગળે મારી સહી કરેલી છે.

-રમેશ પારેખ

Comments (8)

ગઝલ-ખલીલ ધનતેજવી

તમારા હાથનો એક પ્યાલો પાણી પી ગયેલો છું,
થયું છે શું કે આ લોકો કહે બહેકી ગયેલો છું !

કહી દો મોતને કે ધાકમાં લેવાનું રહેવા દે,
હું એનાથીય અઘરી જિંદગી જીવી ગયેલો છું.

કોઈ આવીને ઓગાળે મને શ્વાસોની ગરમીથી,
કશી ઉષ્મા વિના વર્ષોથી હું થીજી ગયેલો છું.

મને તું ઘર સુધી દોરી જા મારો હાથ ઝાલીને,
ગલીના નાકે ઊભો છું ને ઘર ભૂલી ગયેલો છું.

ખલીલ,ઉપરથી અકબંધ છું,અડીખમ છું, એ સાચું છે,
પણ અંદરથી જુઓ ! ક્યાં ક્યાંથી હું તૂટી ગયેલો છું.

-ખલીલ ધનતેજવી

Comments (9)

યુવાન ગૃહિણી – વિલિયમ કાર્લોસ વિલિયમ્સ (અનુ. વિવેક મનહર ટેલર)

સવારે દસ વાગ્યે યુવા ગૃહિણી
તેના પતિના ઘર પછીતેની લાકડાની દીવાલો વચ્ચે
પાતળા ગાઉનમાં આંટા મારી રાહી છે.
હું મારી ગાડીમાં એકલો પસાર થાઉં છું.

અને ફરી તે વાડ પાસે આવે છે
બરફવાળા અને માછલીવાળાને બૂમ પાડવા માટે, અને ઊભી રહે છે
શરમાતી, અંતર્વસ્ત્રહીન, માથાના
ખુલ્લા વાળને અંદર દબાવતી, અને હું એને સરખાવું છું
ખરી ગયેલા પાંદડા સાથે.

મારી ગાડીના નીરવ પૈડા
તડતડ અવાજ સાથે દોડી રહ્યા છે
સૂકા પાંદડા પરથી અને હું નમું છું અને સ્મિત આપતો પસાર થઈ જાઉં છું.

– વિલિયમ કાર્લોસ વિલિયમ્સ
(અનુ. વિવેક મનહર ટેલર)

પહેલી નજરે સાવ સાદું દેખાતું આ દૃશ્ય જરા હળવા હાથેથી ઉઘાડીએ ત્યાં જ દામ્પત્યજીવનની ખરી ભાતો ઉપસી આવે છે. ‘તેના પતિના ઘર’ શબ્દ પ્રયોગ જ આંચકાની શરૂઆત કરે છે. જે ઘરમાં લગ્ન કરીને ગૃહિણી આવી છે એ ઘર હજી એનું થયું નથી. ગૃહિણી હજી યુવાન છે એનો અર્થ એ કે લગ્નજીવનને હજી ઝાઝા વર્ષો પણ નથી થયા. શરૂઆતનું દામ્પત્યજીવન તો બાકી પ્રેમના વાવાઝોડા જેવું મદમસ્ત હોવું જોઈએ… પણ એક જ શબદનો પ્રયોગ તમામ શક્યતાઓનો છેદ ઊદાડી વાચકને શરૂઆતમાં જ સ્તબ્ધ કરી દે છે.

કાવ્યનાયક ત્યાંથી ગાડીમાં એકલો પસાર થાય છે. ગૃહિણી એના વાડામાં અને નાયક એની ગાડીમાં – બંને પોતપોતાની રીતે કેદમાં છે.

ગૃહિણી ફેરિયાઓને બૂમ પાડવાના બહાને વાડની નજીક સરે છે. એ શરમાય છે. વિખરાઈ ગયેલી લટોને સરખી કરે છે. નાયક એની સરખામણી ખરેલા પાંદડા સાથે કરે છે. ખરેલું પાંદડું ક્ષણિક ચારિત્ર્ય સ્ખલન તરફ સંકેત કરે છે. જેમ પહેલા ફકરામાં husband’s house શબ્દપ્રયોગ તેમ અહીં uncorseted શબ્દ આંચકો આપે છે. (corset આપણી સંસ્કૃતિ માટે નવું અંતર્વસ્ત્ર છે. પાશ્ચાત્ય સ્ત્રીઓ પોતાના નિતંબ અને સ્તનના ઉભારને વધુ આકર્ષક ઘાટ આપવા માટે ખાસ પ્રકારનું કડક અંતર્વસ્ત્ર કસીને પહેરે છે. અહીં કાવ્યનાયિકાને આ કડક, કસાયેલું અંતર્વસ્ત્ર પહેર્યું નથી એ એના પતિના પ્રભાવ અને પ્રભુત્વમાંથી બે ઘડીની મુક્તિ સૂચવે છે.)

કાવ્યાંતે અવાજ કર્યા વિના સરી જતી ગાડીના વિરોધાભાસમાં કચડાતા સૂકા પાંદડાના અવાજને મૂકીને કવિ આપણને સરી જતા અટકાવે છે. એકવાર કાવ્યનાયિકાની સરખામણી પાંદડા સાથે કર્યા બાદ તરત જ કવિ નાયકની ગાડી નીચે કચડાતા પાંદડાનો નિર્દેશ સાયાસ કરે છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ પ્રમાણે એ નમે છે કેમકે બંને જણ એક-મેકને ઓળખતા નથી પણ એ સ્મિત આપીને પસાર થાય છે… આ સ્મિત બંનેજણ વચ્ચે જન્મેલા ક્ષણિક આકસ્મિક sexual tensionને ઈંગિત કરે છે અને ખરેલા પાંદડાને પોતાની ગાડી તળે કચડીને નાયક એકીસાથે આ તણાવનું નિર્મૂલન પણ કરતો જાય છે.

*

At ten A.M. the young housewife
moves about in negligee behind
the wooden walls of her husband’s house.
I pass solitary in my car.

Then again she comes to the curb
to call the ice-man, fish-man, and stands
shy, uncorseted, tucking in
stray ends of hair, and I compare her
to a fallen leaf.

The noiseless wheels of my car
rush with a crackling sound over
dried leaves as I bow and pass smiling.

– William Carlos Williams

Comments (21)

(મારો તમામ સંકોચ) – વિદ્યાપતિ (અનુ. વિવેક મનહર ટેલર)

ક્ષણાર્ધમાં તો મારો તમામ સંકોચ હવા થઈ ગયો,
જે ઘડીએ એણે મને અનાવૃત્તા કરી દીધી;
પણ એનું પોતાનું શરીર જ મારો નવો પોશાક બની ગયું.
જે રીતે મધમાખી કમળપત્ર પર દુર્નિર્ધાર્ય ઊડ્યા કરે છે
એમ જ એ મારી ઉપર રાત્રિ દરમિયાન મંડરાતો રહ્યો.

સાચું છે, પ્રણયદેવતા કદી અચકાતા નથી !
એ મુક્ત છે અને પક્ષીની જેમ દૃઢનિશ્ચયી છે-
એ વાદળો તરફ ઊડવા, જેને એ ચાહે છે.
છતાં મને એ જે પાગલ પ્રયુક્તિઓ કરે છે એ યાદ છે,
મારું હૃદય બળબળતી ઇચ્છાઓથી વિક્ષુબ્ધ છે
છતાં ભર્યું પડ્યું છે ડરથી !

– વિદ્યાપતિ
(અનુ. વિવેક મનહર ટેલર)

બિહારના મધુબની જિલ્લાના બિષ્પી ગામમાં ચૌદમી-પંદરમી સદીમાં થઈ ગયેલા મૈથિલિના કોકિલ તરીકે જાણીતા વિદ્યાપતિની કવિતાઓ દૈહિક પ્રેમના આંચળમાં છુપાવીને ઐહિક પ્રેમ ઉજાગર કરે છે. રાધા-કૃષ્ણના શારીરિક પ્રેમની એમની કવિતાઓ આજે પણ ઉત્તમ પ્રણયકાવ્યો ગણાય છે…

આ કવિતા વાંચો… સાતસો-આઠસો વર્ષ પહેલાંના કોઈ કવિએ લખી હોય એવું સહેજે લાગે છે?!

Comments (10)

જળઘાત -સંજુ વાળા

પાણીને પરસેવો અથવા જળને આવ્યાં
ઝળઝળિયાંની ખબર પડે શી રીતે ?
તાણ ઘૂમરી તરફડિયાં તલસાટ તૂટામણ
ચગડોળાતું શું શું એના ચિત્તે ?

પડે કાંકરી ધ્રુસાંગ, પડઘે ગિરિ કંદરા ગાજે
લયવલયમાં જળઝાંઝરિયાં ઝીણું ઝીણું લાજે
સમથળ માથાબૂડ ભર્યા ભરપૂર ઓરડે
જળ રઘવાયું પટકે શિર પછીતે
તાણ ઘૂમરી તરફડિયાં તલસાટ તૂટામણ
ચગડોળાતું શું શું એના ચિત્તે?

જળમાથે ઝૂકેલી ડાળી લળે; જળ છળે ફરી…
એક થવાને ઝૂઝે શાપિત યક્ષ અને જળપરી
જળઘાત લઈ જન્મેલું જળ, પળી પાવળે
વહેંચાઈ, વેચાય નજીવાં વિત્તે
તાણ ઘૂમરી તરફડિયાં તલસાટ તૂટામણ
ચગડોળાતું શું શું એના ચિત્તે?

– સંજુ વાળા

જળની કવિતા તમે હાથમાં લો અને તમારી આંખ-કાન-મન સામે જળનો ખળખળાટ ખળખળાટ ખળખળાટ કરી દે એ કવિ સાચો… આ ગીત વાંચીએ… જળનો ઘુઘવાટ નજરે પણ ચડે છે, કાને પણ સંભળાય છે અને ભીંજાતા હોવાની સાહજિક અનુભૂતિ પણ થાય છે…

તાણ ઘૂમરી તરફડિયાં તલસાટ તૂટામણ ચગડોળાતું – એક શ્વાસે વાંચી જુઓ તો…
ડાળી લળે જળ છળે જળપરી જળઘાત જળ પળી પાવળે – જળનો ‘ળ’ સંભળાયો?

ઇન્દ્રિયોને અડી શકે એ કવિતા…

Comments (12)

ચરખો – શાહ હુસેન – અનુ. હરીન્દ્ર દવે

ચરખો ચાલે ને મારાં નયણાં ઝરે
પાસેનું ધુમ્મસ થઇ ધૂંધળું દેખાય
ઓલી આઘેની સૂની વાટ લોચન ઠરે.

ચરખાનો તાર વારે વારે તૂટે છે
મારે નયણે અખંડ વહે ધાર,
ચરખે આવે છે જાદુ-પાતળું સૂતર
મારાં આંસુનો એકધારો તાર.

આજકાલ આવવાનો વાયદો વ્હાલાનો
હવે વીતી ગઈ આખી બારમાસી,
આંગણાથી સીમ સુધી લંબાતી વાટે
મારો પથરાયો જીવ આ ઉદાસી.

કોટડીમાં એક તો દીવો નથી ને
વળી પ્રીતમ પણ ઢૂંકડો ન ક્યાંય
મોતની હવા આ ધીરે-ધીરે સમેટે
મારા જીવનની રહીસહી ઝાંય.

-શાહ હુસેન

શાહ હુસેન પંદરમી સદીના પંજાબી સૂફી સંત-કવિ હતા. તેઓ ‘કાફી’ શૈલીના જનક ગણાય છે. આબિદા પરવીન,નુસરત ફતેહ અલી ખાન અને નૂરજહાન એ તેઓને વિસ્તૃત રીતે ગાયા છે.
સૂફી પંથ પ્રિયતમ સાથે એકત્વ પામવાના ઝૂરાપાને વાચા આપતો પંથ છે. વિરહ વેદના એટલી તીવ્ર હોય છે કે ભાષા-વ્યાકરણ ઈત્યાદિની ગુલામી વગર સીધું હૃદયથી જ કવિનું ગાન નીકળે છે. પ્રતીકો સરળ હોય છે પણ ગૂઢાર્થ અદભૂત હોય છે. અહી ચરખો એટલે ભૌતિક જીવન. નયણાં એટલે આંતરચક્ષુ જેઓને પિયા-મિલન સિવાય કશું જ ખપતું નથી. જીવન અંત તરફ ધસી રહ્યું છે પણ સાક્ષાત્કાર છેટો ને છેટો જ રહી ગયો છે…..

Comments (5)

કબીર – ભજન

તોકો પીવ મિલેંગે ઘૂંઘટ કા પટ ખોલ રે.
ઘટઘટ સેં વહ સાંઇ રમંતા કટુક વચન મત બોલ રે.

ધન જોબન કો ગરબ ન કીજૈ જૂથ પચરંગ ચોલ રે.
સુન્ન મહલ મેં દિયના બારિ લે આસ સોં મત ડોલ રે.

જોગ જુગત સોં રંગ મહલ મેં પિય પાયો અનમોલ રે,
કહૈ કબીર આનંદ ભયો હૈ બાજત અનહદ ઢોલ રે.

-કબીર

ઘૂંઘટનો પડદો ખોલી નાખ,તને પ્રિયતમ મળશે ! સર્વત્ર એ જ સાંઇ-પ્રિયતમ રમી રહ્યો છે,માટે તું કડવા વેણ ન બોલ.

આ ધન-દોલત,આ યુવાની નો તું લગીરે ગર્વ ન કરીશ, કારણકે આ પંચતત્વનું પચરંગી ખોળિયું અનિત્ય અને નાશવંત છે. તું આત્મજ્ઞાનની સાધના દ્વારા શૂન્ય-મહેલ [ બ્રહ્માંડ ] માં જ્યોતિર્મય બ્રહ્મનો દીપક પ્રગટાવી લે અને બીજી ભૌતિક તૃષ્ણાથી તું વિચલિત ન થા.

કબીર કહે છે કે મેં તો બ્રહ્માંડરૂપી રંગમહલમાં યોગસાધનાથી બ્રહ્મ-સાક્ષાત્કાર અનુભવ્યો છે,અને તે ક્ષણે દિવ્ય આનંદની અનુભૂતિ થાય છે….આનંદની અનાહત દુંદુભિ ગાજી ઉઠે છે….

 

‘…….ઘૂંઘટ કા પટ ખોલ રે…’ – આ પંક્તિ મારી અતિપ્રિય પંક્તિ છે. ઈશારો એ તરફ છે કે આપણે જન્મથી આજ સુધીમાં એટલી બધી – એટલી બધી !!! – માન્યતાઓ,પૂર્વગ્રહો,જડ ધારણાઓ, સંકુચિત મનોવૃત્તિઓ ઇત્યાદિના અજગર-ભરડામાં ગ્રસ્ત થઇ ચૂક્યા હોઈએ છીએ કે આપણે હાથમાં આવેલા કોહિનૂરને ઠીકરું સમજી ફગાવી દઈએ છીએ. જડબેસલાક conditioning નાં આપણે સૌ શિકાર છીએ. હૃદયની વાતો તો બહુ કરીએ છીએ પરંતુ હૃદયની વાત કદી સંભાળતા નથી…મગજ આપણાં અસ્તિત્વનો સંપૂર્ણ કબજો જમાવીને બેઠું છે. ઇન્દ્રિયો વડે આપણને ઇન્દ્રીયાતીતને પામવું છે ! આપણે માત્ર આપણી memory ને કોરાણે મૂકી પ્રત્યેક ક્ષણને એક ફ્રેશ અનુભવ તરીકે જીવી શકીએ તો મગજની ગુલામીમાંથી મુક્તિ મળે…અને તે અવસ્થા તે innocence …..

Comments (7)

(ઉસ્તાદ) – જયશ્રી ભક્ત

તારી સાથે વાત કરવી
નથી ગમતી
આજ-કાલ.
‘કેમ છે?’
એવું તું પૂછી લઈશ તો ?

હું શું જવાબ આપું?

હું ગમે એ કહું,
પણ મારા અવાજની ધ્રુજારીમાં
જે મારે નથી કહેવું
એ તું સાંભળી જ લઈશ
એટલે જ હું કશું બોલતી નથી..

પણ તુંય હવે ઉસ્તાદ થઈ ગયો છે.
કશું પૂછતો જ નથી
બસ, મારો હાથ પકડી લે છે,
અને કહે છે –
મારી આંખો માં જો..!

– જયશ્રી ભક્ત

સારી કવિતા ક્યારે કઈ જગ્યાએથી મળી આવે એ કહેવું અશક્ય હોય છે. શબ્દ અને સંગીતની દિવસ-રાત આરાધના કરતાં કરતાં ટહુકો.કોમની સંચાલિકા જયશ્રી અચાનક જ આ કવિતા મને મેલમાં મોકલે છે અને હું તાત્ક્ષણિક જવાબ આપું છું કે આ હું લયસ્તરો માટે રાખી શકું? બરાબર બે અઠવાડિયા પછી એ સંમતિ આપે છે…

સાવ સરળ કવિતા પણ કેવી મર્મવેધક ! દરિયાના મોજાંની જેમ પ્રેમમાં લાગણીઓ અને મન-મેળ પણ આવ-જા અને ભરતી-ઓટને અનુસરતા હોય છે. ભીતરની અવઢવ વ્યક્ત કરી પ્રિયજનને તકલીફ ના પહોંચાડે એ સાચો પ્રેમ અને એ શબ્દાતીત અવઢવને સામે ચાલીને સમજી-વાંચી લે એ વળી સાચા પ્રેમની જ ઉત્કટતા…

મને તો કવિતામાં વચ્ચે વચ્ચે આવતી ખાલી જગ્યા પણ સતત બોલતી હોય એમ લાગી…

Comments (68)

તરસતો ગયો છું – ડૉ. મનોજ જોષી ‘મન’

તરસતો ગયો છું, કણસતો ગયો છું,
હું અંદરથી એમ જ વિકસતો ગયો છું.

સતત જાણી જોઈ લપસતો ગયો છું,
તમારા તરફ એમ ખસતો ગયો છું.

બધા કારણો શોધવામાં રહ્યા, બસ !
હું જ્યાં પણ ગયો ત્યાં અમસ્તો ગયો છું.

વિચારો બનીને તપ્યો, ઓગળ્યો હું,
પછી શબ્દ થઈને ઉપસતો ગયો છું.

હવે ભોગવીશું પરિણામ બંને,
તમે ગાંઠ વાળી, હું કસતો ગયો છું !

– ડૉ. મનોજ જોષી ‘મન’

Comments (24)

મૃત્યુ – જયંત પાઠક

જે જાણે તે જાણેઃ
મૃત્યુ એટલે કાચબો
ધીમે ધીમે ચાલીને એ હંમેશાં
સસલાને હરાવે છે.

મૃત્યુ એટલે સોનાનું પતરું
એ કાટથી ખવાતું નથી;
લખેલા અક્ષર
કદી ભુંસાતા નથી.

મૃત્યુ એટલે ફૂલ પર
ગણગણતો ભમરો નહિ;
મૃત્યુ એટલે મધમાખી
મૂંગીમૂંગી જે રચે મધપૂડો.

મૃત્યુ એટલે એક અજાણ્યું ઈંડું
ફૂટ્યા વગર એના ગર્ભને
પામી શકાતો નથી.

– જયંત પાઠક

મૃત્યુ વિશે વિશ્વમાં હજારો કવિતા લખાઈ હશે. અ કવિતાની જેમ જ દરેક કવિતા પોતાની રીતે વિશિષ્ટ હોવાની. જેના વિશે આપણે સીધું જાણી શકવાના જ નથી એના વિશે મનોરમ્ય કલ્પનાઓ કર્યે રાખ્યે જ છૂટકો. આ કવિતા ધીમે ધીમે વાંચો અને મૃત્યુનો અહેસાસ કરો…

Comments (8)

મારી છેલ્લી કવિતા – મેન્યુએલ બંડેરા

મારી છેલ્લી કવિતા એવી હજો

જે નાજુક, સરળ અને પ્રયોજનમુક્ત વાત કરતી
ધગધગતી હોય આંસુરહીત ડુસકા જેવી
એમા હોય લગભગ સુવાસમુક્ત ફૂલોનું સૌંદર્ય
જેની જ્વાળાની પવિત્રતામાં ઉજ્જ્વળતમ હીરાઓ ભસ્મ થઈ જાય
આવેશ એમા હોય આત્મહત્યાનો જે પોતાની જાતને ખલાસ કરી નાખે કશાય ખુલાસા વિના.

– મેન્યુએલ બંડેરા
(અનુ. ધવલ શાહ)

છેલ્લી કવિતાની વાત છે. પણ એ શ્રેષ્ઠ કવિતાની વાત બનીને આવે છે. છેલ્લા બોલે કવિને છગ્ગો જ મારવો છે 🙂 શ્રેષ્ઠ કવિતાના લક્ષણ કવિએ જે રીતે વર્ણવ્યા છે એ અદભૂત છે. નાજુક, સરળ અને પ્રયોજનમુક્ત કવિતામાં કવિને આસુંરહીત ડુસકાની ધગધગતી આગ ભરવી છે. ઉપરથી સુવાસમુક્ત એટલે કે પવિત્રતમ ફૂલોનું સૌંદર્ય ભરવું છે. એમાં એવી જ્વાળા ભરવી છે કે જેમા ચળકતી વાસના બધી ભસ્મ થઈ જાય. અને એ કવિતા લખાવી જોઈએ આવેશની એવી ચરમસીમાએ જે આત્મહત્યાની ક્ષણે જ આવે છે. આવેશ જે બધી આસક્તિને ઉસેટી નાખે છે. કવિતામાંથી કવિની આપોઆપ બાદબાકી થઈ જાય એનાથી વધારે કવિતાની ચરમસીમા શું હોઈ શકે ?  

Comments (4)

હું મારી આસપાસ – હરિકૃષ્ણ પાઠક

હું મારી આસપાસ દીવાલો ચણ્યા કરું ;
ને બારણાં ને બારીઓ પછી ગણ્યા કરું.

શબ્દો સકળ છે એક વ્યર્થ અર્થથી ભર્યા ;
એ જાણતો છતાંય વાતમાં વણ્યા કરું.

સ્વપ્નો નિહાળવાની ટેવ તો રહી નથી;
જાગું છું એમ વ્હેમથી ત્વચા ખણ્યા કરું.

આ રાત ને દિવસ બધુંય એક છે છતાં
પાડીને એના ભેદ કાળને ગણ્યા કરું.

આશાનાં ફૂલ કોક સવારે ખરી પડે,
તો રાત નો ઉજાગરો કદી લણ્યા કરું.

-હરિકૃષ્ણ પાઠક

Comments (6)

જિન્દગી-મકરંદ દવે

જિન્દગી તો ધુમ્મસનો પડદો નિગૂઢ,
અને જિન્દગી તો સૂરજનું બિંબ.

આંસુના દરિયાની આંખો લૂછે છે અહીં
સોનેરી હાસ નો કિનારો,
ઊંચા અવિનાશને ઘાટે ગમે છે મને
દુનિયાનો ડૂબતો ઉતારો ;
જિન્દગી તો જંગલમાં કુન્તાનું હેત
અને જિન્દગી તો હિંસક હિડિંબ.

કાદવની ઝંખના ને ઝંખનાની આગમાં
ઊગે કમલ શુચિ અંગે ,
ઘેરા તમસની વેદના તો તેજના
ઊછળે તરંગે તરંગે ;
જિન્દગી તો રગરગમાં કડવો નિતાર
ને શીળી મહેકભર્યો નિંબ

જિન્દગી તો ધુમ્મસનો પડદો નિગૂઢ
અને જિન્દગી તો સૂરજનું બિંબ.

[ નિંબ = લીમડો; લીંબડાનું ઝાડ.]

-મકરંદ દવે

કસાયેલી કલમ અને ચિંતન-સમૃદ્ધ ચિત્તમાંથી જ આવો ઝંકાર નીકળી શકે…

Comments (4)

ગીત – પુષ્પા વ્યાસ

રાંધણિયામાં મોહન મળિયા,
હળવે હળવે હરજી હળિયા !
જીવનભર જે દળણાં દળિયાં,
રાંધણિયામાં કેવાં ફળિયાં !

માળા કે ના મંતર જપિયા,
અગનિ સાખે અંતર ધરિયાં,
અંતર ધરતાં અંતર ટળિયાં,
એમ નિરંતર અંતર મળિયાં !

અંતરગુહમાં જંતર બજિયાં,
સુરતા વાધી સુધબુધ તજિયાં,
ઉભયે કોણે કોને ભજિયાં,
પાર ન એનો કોઈ સમજિયાં.

રાંધણિયામાં રસ ને રસિયા,
સકલ પદારથમાં એ વસિયા –
રાંધી રાંધી જો કુછ રખિયાં,
કઈ હાથોંસે ઉસને ચખિયાં !

– પુષ્પા વ્યાસ

(કવિતા (દ્વિમાસિક- સંપાદક શ્રી સુરેશ દલાલ)ના અંક 267ની સમીક્ષા કરવાનું મારે ભાગે આવ્યું. આખા અંકમાંથી આ કવિતા ઉપર મેં પસંદગીનો કળશ ઢોળ્યો જે અંક 268માં છપાયો. આ સમીક્ષાનો એક ભાગ આપ સહુ માટે)

કોઈ પણ કવિતા વાંચી જવા કરતાં એના વિશે બે વાત લખવાનું કાર્ય મને હંમેશા આકર્ષતું આવ્યું છે. કવિતા ગમે એટલી સુંદર કેમ ન હોય, એના વિશે લખવાની ફરજ જ્યાં સુધી ન પડે, ત્યાં સુધી તમે એને એક-બે કે બહુ બહુ તો ત્રણવાર વાંચીને, એનો આનંદ અનુભવીને, આત્મસાત્ કરીને આગળ જ નીકળી જવાના. પણ કવિતા વિશે જો થોડું લખવાનું હોય તો તમારે એ કવિતાને અલગ-અલગ બધા આયામથી અને વારંવાર જોવાની જરૂર પડે છે – કવિતાનો છંદ-લય, પ્રાસની ગુંથણી, કલ્પન વૈવિધ્ય, ભાષાકર્મ, ભાવસૃષ્ટિ, પ્રત્યાયનક્ષમતા, કેન્દ્રવર્તી વિચાર અને એ વિચારની માવજત, કવિતામાંથી નિષ્પન્ન થતો નિર્ભેળ આનંદ તથા શાતા અને સરવાળે કવિતાનું કાવ્યત્ત્વ. કવિતામાં પ્રવેશવાનો આ સૌથી અસરકારક ઉપાય છે.
“કવિતા” અંક નં. 267ની મારી ગમતી કોઈ એક કવિતા વિશે લખવાનું કામ મારા ભાગે આવ્યું ત્યારે આ વિચારે જ મને ઉત્તેજિત કર્યો. બધી કવિતાઓમાંથી અવારનવાર પસાર થયા પછી મારી પસંદગીનો કળશ પુષ્પા વ્યાસની ગીતરચના પર ઊતર્યો.

મથાળે નામ ન લખ્યું હોય તો કવિવર રાજેન્દ્ર શુક્લની રચના હોવાનો ભાસ થઈ શકે. ટૂંકી બહેરનું આ ગીત મુખડું અને બંધના પારંપારિક ચીલાથી થોડું હટીને ચાલે છે. દરેક પંક્તિ સાથે આવતો અંત્યાનુપ્રાસ, મોટાભાગની પંક્તિઓમાં અવાર-નવાર ડોકિયું કરતા આંતર્પ્રાસ તથા વર્ણાનુપ્રાસ આ ગીતને લયમાધુર્યથી છલક છલક છલકાવે છે.

આમ તો આ વાત લગ્ન કરીને સાસરે આવેલ પત્ની અને એના પતિ વચ્ચેના પ્રેમની છે. આ વાત ઈશ્વર વિશે પણ હોઈ શકે. પણ પતિ કે પરમેશ્વર કે પછી પતિ એ જ પરમેશ્વર એ તો ભાવકે નક્કી કરવાનું. રસોડું અહીં કેન્દ્રસ્થાને છે કેમકે શયનકક્ષ ભલે સંસારચક્રમાં કેન્દ્રસ્થાને કેમ બિરાજતો ન હોય, કુશળ સ્ત્રી જાણે છે કે A way to man’s heart begins from his tummy! (પુરુષના હૈયા તરફનો રસ્તો એના ઉદરથી શરૂ થાય છે). કર્મને જીવનનું કેન્દ્ર બનાવનારને કોઈ માળા કે જંતર-મંતરની જરૂર પડતી નથી. એનું કર્મ એ જ એની ખરી પૂજા. એ જ એનું સાચું તપ. અંતરના શ્લેષની રમત પણ આ ગીતમાં સરસ થઈ છે. જે ઘડીએ અંતર પૂરેપૂરું સમર્પિત થાય એ ઘડીએ અંતર પૂરેપૂરું ટળી જાય છે. સોનેટની જેમ જ આ આખા ગીતની ખરી મજા એની આખરી બે પંક્તિઓમાં છે જ્યાં પ્રેમ, સમર્પણ અને ભક્તિ એની ચરમસીમાએ પહોંચે છે…

Comments (8)

ગઝલ – પ્રણય જામનગરી

સમજી નહીં સમજાય એવી ચાલ હોય છે,
એ આપણા, આ મનને કદી ખ્યાલ હોય છે !

મૂંગા રહીને સાંભળે તેઓ સુખી રહે,
અહીં તો બધાના સ્કંધ પર વૈતાલ હોય છે.

માણી નથી શકતા કદી; એ સ્હેજ આજને,
ઘૂમરાતી જેના મન મહીં ગઈ કાલ હોય છે.

વેરાનમાંય વસ્તી એ ઊભી કરી શકે,
આ શબ્દ પણ સાચે અહીં કમાલ હોય છે.

સહેલાઈથી એ પણ નથી ઊકલી જતો અહીં,
ને સાવ નાનો આમ તો સવાલ હોય છે.

સહેલાઈથી ઓળંગવી મુશ્કેલ છે અહીં,
આ પંથમાં લાખો, ‘પ્રણય’ દીવાલ હોય છે.

– પ્રણય જામનગરી

બધા જ શેર પાણીદાર…

Comments (5)

ગઝલ – અરુણ દેશાણી

ફળિયું-ગલી-નિશાદ-થીજેલી પીળી પળો,
ઓછપ-હવેલી-દ્વાર-અભાવોની સાંકળો.

દિવસો-વિહંગ-નીલ ગગન પાંખ-ફડફડાટ,
દિવસો-દીવાલ-બિંબ-નર્યા ખાલી મૃગજળો.

પીંછા-અજંપો-સાંજ-પ્રતીક્ષા-અવાક્ લય,
ટહુકો-મરણ-હથેળી-રેખા સ્વપ્ન વાદળો.

રૂમાલનાં પતંગિયાં-વરસાદનાં સ્મરણ,
ફૂલોના પ્રેમપત્ર ઉપર બાઝે ઝાકળો.

રેતી-વમળ-વહાણ-કિનારાની… સ્તબ્ધતા,
લિખિતંગ અટકળોથી લખાયેલા કાગળો.

– અરુણ દેશાણી

ભાવનગરના કવિ અરુણ દેશાણીનું આજે દેહ-નિધન થયું. પણ કવિ કદી મરતો નથી. એ જે એક્ષર કાગળ પર પાડે છે એ એને અ-ક્ષર કરી મૂકે છે… શબ્દ-ગુચ્છોની વચ્ચે મૂકેલા ‘ડેશ’ વડે આખી ગઝલમાં એક નિઃસ્તબ્ધતાનો ભાવ ઘુંટાતો અનુભવાય છે. બે શબ્દોની વચ્ચેના આ ડેશ જાણે આપણા ખાલીપાનો આકાર ન હોય એમ ભોંકાય છે… આખી ગઝલ વાંચીએ ત્યારે મન ભારઝલ્લું બની રહે છે… બધા જ શેર આપણી શૂન્યતા અને અવાકતાને ચાબખા મારતા હોય એવું અનુભવાય છે…

લયસ્તરો ટીમ તરફથી કવિશ્રીને હાર્દિક શબ્દાજંલિ !

Comments (5)

માતૃભાષા – પન્ના નાયક

આપણને
જે ભાષામાં સપનાં આવે

આપણી માતૃભાષા.
મને
હજીય ફિલાડેલ્ફીઆમાં
સપનાં
ગુજરાતીમાં આવે છે.
પણ
મારી આસપાસના
ગુજરાતીઓ
ઉમાશંકરની છબિ જોઈને
સતત પૂછ્યા કરે છે :
‘આ કોની છબિ છે ?’

અને
મારું સપનું નંદવાઈ જાય છે.
(સપનાંનાં હૈયાંને નંદવામાં વાર શી?)

– પન્ના નાયક

આટલા વરસ અમેરિકામાં રહીને  અમને તો ભાઈ સબટાઈટલવાળા સપનાંની આદત પડી ગઈ છે. ઓરીજીનલ સપનાં કેવા હતા એ તો કોઈ વાર સપનામાં જોવા મળે તો ખરું 🙂

Comments (5)

રાહ જોઉં છું – પ્રફુલ્લ રાવલ

હું તો તૈયાર જ બેઠો છું
બારણું ખખડે એટલી જ વાર
મારું પોટલું ઉપાડીને જ ચાલવા માંડીશ,
મારી જાતે જ.

મારે ક્યાં કોઈની રાહ જોવાની છે ?
ક્યાં કોઈ આંખમાં આંજીને બેઠું છે
મારી પ્રતીક્ષાનું કાજળ ?

વળી મેં તો ક્યારનોય મારા તરફનો ભાવ
ઓછો કરી નાખ્યો છે,
વાદળ તો ક્યારનું વિખરાઈ ગયું છે,
હવે તો માત્ર હું જ છું,

પણ કોઈ ખખડાવતું નથી બારણું,
મારું પોટલું હું આઘું કરી શકતો નથી
ને નથી તસુયે ખસી શકતો હું.

– પ્રફુલ્લ રાવલ

આત્મખોજની યાત્રા એ ન નીકળવાના બહાનાઓ અનેકવિધ છે….. મગજ અત્યંત ચાલક અંગ છે. મગજની ચાલ સમજવી અને સમજીને પછી તેને અતિક્રમવી તે પ્રજ્ઞા….

Comments (6)

ગીત – મુકેશ જોષી

એને મૂળમાંથી ઝાડવું ઉખાડવું હતું,
મારે માળામાં બુલબુલને પાળવું હતું.

પંખી બનીને એ ઊડી જો હોત તો
જીવતરની ફેર કરત માગણી
બત્તીના થાંભલેથી બલ્બ ઊડી જાય એમ
ઊડી ગઈ ઓચિંતી લાગણી.
એને સૂરજથી જળને દઝાડવું હતું,
મારે પાણીને બર્ફમાં સુવાડવું હતું.

એક એક કિરણોને જીવ જેમ સાચવું
તોય તૂટી જાય રોજ સાંજ,
એક દિવસ સ્વરપેટી જાતે ઉઘાડી,
તો અંદર તૂટેલો અવાજ.
એને મૃગજળથી સપનું પલાળવું હતું
મારે સપનાનું ફૂલ ત્યાં ઉગાડવું હતું.

– મુકેશ જોષી

 

કલાપીની અમર પંક્તિ યાદ આવે છે …..’સાકી જે શરાબ મુજને દીધો,દિલદારને દીધો નહીં; સાકી જે નશો મુજને ચઢ્યો, દિલદાર ને ચઢ્યો નહીં……. ‘

Comments (6)