અર્થ એકે ક્યાં વસે છે ભીતરે ?
શબ્દને અજવાળવાથી શું હવે ?
હર્ષ બ્રહ્મભટ્ટ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for December, 2011

ગઝલ – રતિલાલ ‘અનિલ’

કોરું હૈયું કૈં જ ભીંજાયું નહીં ?
કેમ તેં વરસાદમાં ગાયું નહીં ?

માટીમાંથી મ્હેક ઊઠે છે ભીની,
સાવ જે છલકાય તે, પાયું નહીં ?

વાયુ ને વરસાદ પાગલ થઈ ગયા,
ભીની મોસમમાં કોઈ ડા’યું નહીં ?

ગાંડી વર્ષાની ઝડી, પાગલ પવન,
તારા હૈયે કૈંજ ભટકાયું નહીં ?

ફૂલ શું, આ લીલું લીલું ઘાસ પણ,
કોણ છે એવું, જે હરખાયું નહીં ?

ભીની મોસમને ભરી લે પ્રાણમાં,
બીજ કરશે શોક : ‘ફણગાયું નહીં !’

રંજ એવો દિલને દેવો ના ઘટે;
પર્વ, લીલું પર્વ ઉજવાયું નહીં.

કાળજે ઘુમરાય છે ભીનો અનિલ,
એટલે શબ્દોથી રહેવાયું નહીં !

– રતિલાલ ‘અનિલ’

આમ તો શિયાળાની મોસમ છે. ઠંડી દિન-બ-દિન વધી રહી છે. પણ ગઈ કાલે એક મજાની વરસાદી ગઝલ મળી ગઈ એટલે આજે પણ એક વરસાદી ગઝલ જ લઈને આવ્યો છું… ક્યારેક ભરશિયાળામાં ભીંજાવાની મજા પણ લઈએ, ખરું ને ?

Comments (7)

ચોમાસાએ… – નીરજ વ્યાસ

ચોમાસાએ ફૂંક્યો મંતર,
કૂંપળ ફૂટે પથ્થર પથ્થર.

હાથ હવાએ લંબાવ્યો ત્યાં,
મ્હેકી ઊઠે આખું અંબર.

ટૌકા વેરી વગડો નાચે,
માથે ઓઢી લીલું છત્તર.

ફૂલો પર ઝાકળ બેસીને
મનભર પીતાં મીઠું અત્તર.

ભીની ભીની ફોરમમાંથી,
શમણાં કોળે સુંદર સુંદર.

– નીરજ વ્યાસ

કોણે કહ્યું કે ગઝલ એટલે પ્રિયતમા સાથે એકાંતમાં કરાતી ગૂફ્તેગૂ ? આ જુઓ… નખશિખ સૌંદર્યરસપ્રચૂર ગઝલ…  એક એક શેરમાંથી નિતાંત પ્રકૃતિ નીતરે છે…

Comments (3)

ગુજરાતી ગઝલમાં ‘મૃત્યુ’ :કડી ૦૪ – વિવેક મનહર ટેલર

અત્યાર સુધીમાં આપણે બેફામ, મનોજ ખંડેરિયા અને ચિનુ મોદી જેવા સિદ્ધહસ્ત કવિઓનાં મૃત્યુ-વિષયક શેરોનું સંકલન માણ્યું… જેમાં એમણે મૃત્યુને ક્યારેક સંતાપ્યુ છે તો ક્યારેક ઉજવ્યું છે, ક્યારેક પ્રકોપ્યું છે તો ક્યારેક શણગાર્યુ છે, ક્યારેક અફસોસ્યું છે તો ક્યારેક અજમાવ્યું છે, ક્યારેક વખોળ્યું છે તો ક્યારેક ગળે વળગાળ્યું છે.  મૃત્યુનાં આવા અવનવાં રંગોનું રસપાન કરાવનાર વિવેકનાં મૃત્યુ-વિષયક વિચારો એની ગઝલનાં શેરોનાં રૂપમાં આજે આપણે જાણીએ…

આજે વિવેકની વેબસાઈટ ‘શબ્દો છે શ્વાસ મારા’ નાં છ વર્ષ પૂરા થાય છે, એ નિમિત્તે વ્હાલા વિવેકને અઢળક શુભેચ્છાઓ…

*

અટ્ક્યું છે દિલ કશેક, તું વિશ્વાસ કર, મરણ !
હું તો પ્રયત્ન અહીંથી જવાનો કરું છું રોજ.

અંતે તો શ્વેત રંગે સૂવાનું થયું,
આજીવન જાનીવાલીપીનારા હતા.

શબ્દ પણ શ્વાસોની જેમ જ આવે છે,
ચુસકી ચુસકી જિંદગી પીવાને, દોસ્ત…

બે પગ ઉપર હું લાશ લઈ આવ્યો છું ફરી,
મિત્રોથી જાન લેવામાં કંઈ થઈ ગયો રકાસ.

પળેપળ બળીને જ જીવ્યો છું, મર્યા બાદ બાળીને કરશો શું ?
મને લઈ જશો ના સ્મશાનમાં, દઈ દેજો દેહ આ દાનમાં.

વરસો રાખે એને ક્ષણમાં છોડે જીવ,
મૃત્યુનો દેહ ઓર રૂપાળો હશે ?

બે-ચાર શ્વાસ સુધીની તકલીફ છે બધી,
આગળ પછી આ રસ્તામાં સીધું ચઢાણ છે.

ડરો નહિ, બુઝાયેલો અંગાર છું હું,
ખભા ચાર તો લાવો આગળ ને અડકો.

ધમપછાડા કરતી મારી જાત એની એ હતી,
તો પછી નિશ્ચેત શાને કાયા આખી ? ગ્યું કશુંક…

હું લાશ થઈ જાઉં તો તરતો થાઉં છું,
ડૂબતો રહું, હું જ્યાં સુધી મરતો નથી.

મોત પણ આવે હવે તો દુઃખ નથી,
જિંદગીને જાણવાની આ ક્ષણે.

..અને એકાદ દિવસે ઊંઘ થોડી લાં…બી થઈ જાશે,
મને ઊઠાડવાને માટે મથશે તું, નહીં ઊઠું.

હાર-તોરા જે છે એ સૌ શ્વાસ માટે છે, શરીર !
મૂલ્ય તારું શૂન્ય છે, ભડ-ભડ બળે તું દાહમાં.

જો શાંત થઈ ગયાં તો પછી કંઈ જ ના બચે,
શ્વાસોની આ ગલીમાં તો રમખાણ સઘળું છે.

અંતર ભલેને જોજનોનું, દૂર છે અંતર શું અમ ?
અંતે થશું ભેળા મહાભૂતોના પંચમ્ દેશમાં.

જીવન સફર છે એક, મુસાફર છે આદમી,
મારા જ ઘરમાં બે ઘડી મારો મુકામ છે.

કહું હું કેમ કે સૌ ઝંખના મારી મરી ચૂકી ?
કબર ચણતાં જ કૂંપળ એક ઊગી આવી પરબારી !

સૈનિક મારા શ્વાસનો બસ, ત્યાં ઢળી પડ્યો,
ખેંચી જરા જો લીધી તેં શબ્દોની એની ઢાલ.

શ્વાસને કહું છું, પકડી રાખ શબ્દને,
એ હશે ને ત્યાં સુધી આ દાવ ચાલશે.

લેવાને પ્રાણ શબ્દ ઉપર પાશ નાંખ, યમ!
ના દેહ કે ના શ્વાસ, બીજું કંઈ નથી અમે.

હજી આંખો નથી મીંચાઈ, ઊગે છે હજીયે પુષ્પ;
કબર પાસેથી તું ગુજરે એ આશામાં જીવે છે લાશ.

– વિવેક મનહર ટેલર

Comments (17)

એક પછી એક – ચિનુ મોદી

એક પછી એક પછી એક પછી એક
કાપ્યા કરી, ખાધા કરી બર્થડેની કેક
                                 એક પછી એક.

મીણમાંથી બત્તી બની, ફીણમાંથી શ્વાસ,
ઊંડા ઊંડા શ્વાસ ભરી ફૂંક મારી ખાસ;
તાળીઓના ગડગડાટ વગાડતું ડેક
                                 એક પછી એક.

શેમ્પેઈનનો કોર્ક ખૂલ્યો ચારેબાજુ ફીણ,
અંધકારે ઓગળતું માણસ નામે મીણ;
પળનું આ તુચ્છ પ્યાદું, આપે મને ચેક 
                                 એક પછી એક.

મ્હોરાંઓની ચાલ ગઈ, રહી ગયાં ખાનાં
અમળાઈ – ચિમળાઈ ફૂલ રડે છાનાં;
‘હવે ફરી નહી રમું’, એવી લેતાં ટેક 
                                  કાપ્યાં કરું
                                  ખાધાં કરું
                                  બર્થડેની કેક
                                  એક પછી એક.

– ચિનુ મોદી

એક પછી એક જતા વર્ષોની સાખે વર્ષગાંઠની કેક ખાતા ખાતા આ ગીત વાંચવા જેવું છે. સમયના ‘ચેક’ સામે કોઈનું ચાલતું નથી. માણસ એવું મઝાનું પ્રાણી છે કે સમય સામેની રમતમાં જ્યારે એક વધારે પ્યાદું (એટલે કે એક વધારે વર્ષ) ખતમ થઈ જાય, ત્યારે એ ‘કેક’ કાપીને એની બેધડક ઊજવણી કરે છે !

Comments (8)

માગણી – હરીન્દ્ર દવે

જે માગતો નથી,
એની જ માગણી પ્રચંડ હોય છે,
જે મેળવતો નથી
એને જ સૌથી વધુ મળે છે;
જે ફરતો નથી
એની જ યાત્રા કબૂલ થાય છે;
જે ભૂલો કરે છે
એની સમક્ષ ક્ષમાનો પારાવાર છે;
જે ઊભો છે
એની જ ગતિનો મહિમા છે.

 

આ કાવ્ય જાણે Lao Tzu લિખિત ‘ Tao Te Ching ‘ નું હોય તેવું લાગે છે !

Comments (8)

ગઝલ- રઇશ મનીઆર

છાતીમાં જેના આગ છે, એને હવા ન દે
રહેવા દે દર્દ દર્દને , ભળતી દવા ન દે

પાણી જે માંગે એને કશું પણ ભલે ન આપ
પાણી જે માંગે એને કદી ઝાંઝવા ન દે

ઇચ્છાની ધુમ્રસેરથી શ્વાસોની છે ગતિ
મરવા ન દે પ્રથમ, એ પછી જીવવા ન દે

કોશિશ ન કર કે ક્ષણક્ષણ ઉપર તારી હો અસર
તું પણ ક્ષણોને ખુદ પર અસર છોડવા ન દે

Comments (11)

ગુજરાતી ગઝલમાં ‘મૃત્યુ’ :કડી ૦૩

ગુજરાતી ગઝલમાં મૃત્યુ વિષયક શેરોનું સંકલન કરવા બેસીએ તો એક આખું પુસ્તક તૈયાર થઈ જાય. બેફામ અને મનોજ ખંડેરિયા પછી આજે આ ત્રીજું સંકલન ચિનુ મોદીનું છે. એક જ વિષય પર અલગ અલગ કવિના અંદાજ-એ-બયાં માણવાની તો મજા છે જ પણ એક જ કવિના એક જ વિષય પરના અલગ અલગ અંદાજ-એ-બયાંની મજા પણ ઓર જ છે…

*

તું નિમંત્રણની જુએ છે વાર ક્યાં ?
તું મરણ છે, હાથમાં તલવાર લે.

ગમે તે ક્ષણે આવતું આ મરણ,
મને સરખેસરખું એ સજવા ન દે.

અંતે નક્કી મોત જ છે,
એ મારગ પર ચાલું હું ?

ભીંત વચ્ચેથી સોંસરું પડશે –
મોતનું સ્હેજ પણ વજન ક્યાં છે ?

મોતને ‘ઈર્શાદ’ ક્યાં પુછાય છે ?
આંતરેલા જીવની આપો વિગત !

મોતની સમજણ ન આવી કામ કૈં,
જ્યાં નિકટ આવ્યું કે થરથરતો રહ્યો.

સ્વર્ગની લાલચ ન આપો, શેખજી !
મોતનો પણ એક મોભો હોય છે.

કોણ, ક્યારે, કેમ આવે જાય છે !
જિંદગી કે મોત ક્યાં સમજાય છે !

શ્વાસ છોડ્યો તો સમય છૂટી ગયો,
તાંતણો કેવો હતો ? તૂટી ગયો.

જીરવી લેવું પડે છે શ્વાસનું ખૂટલપણું
કોણ નક્કી મોતની ફરિયાદ દર જન્મે કરે ?

મોત પણ મારી નથી શક્તું હવે ‘ઈર્શાદ’ને,
એ જીવી શક્તો હવે સંભારણાના નામ પર.

શ્વાસ સાથેની રમતમાં હે મરણ,
સ્હેજ ધીમું ચાલજે, માદરબખત.

દેહ છોડી જીવ મારો ક્યાં જશે ? કોને ખબર ?!
એક પરપોટો પુનઃ પાણી થશે ? કોને ખબર ?!

જીવ પર ભીંસ વધતી ગઈ દેહની –
શ્વાસની આ રમત હોય તો હોય પણ.

જણસ જેમ હું જાળવું દેહ વચ્ચે
અને જીવનું ક્યાંક બીજે વતન છે.

-ચિનુ મોદી ‘ઈર્શાદ’

Comments (8)

અજ્ઞાત સૈનિકની કબર – અબ્દુલ્લા પેસિઉ (અનુ. અનિલ જોશી)

કોઈ અચાનક બહારથી આવીને પૂછે:
‘અહીં ક્યાંય અજ્ઞાત સૈનિકની કબર છે?’
હું એને બેધડક કહી દઉં,
‘સર, તમે કોઈ નદીકિનારે ચાલ્યા જાવ,
કોઈ મસ્જિદની બેન્ચ પર બેસી જાવ,
કોઈપણ ઘરના પડછાયા પાસે ઊભા રહી જાવ,
કોઈપણ ચર્ચના દરવાજા પાસે પગ મૂકો,
કોઈ પર્વતની શિલા ઉપર,
બગીચાના કોઈ વૃક્ષ નીચે,
અરે, મારા દેશની જમીનના કોઈપણ ખૂણે.
ચિંતા કરશો નહીં.
તમે સહેજ નીચે ઝૂકીને
ફૂલોનો બુકે અહીં જ મૂકી દો.’

-અબ્દુલ્લા પેસિઉ (ઇરાક)
(અનુ. અનિલ જોશી)

*

આ કવિતા વાંચીએ અને આપણી અંદરથી એક ચિત્કાર ન ઊઠે તો આપણા મનુષ્યત્વ અંગે શંકા કરવાની છૂટ છે… યુદ્ધ કદી કોઈ સમસ્યાનો ઉકેલ હોતો નથી. પણ મનુષ્યજાતને એના અસ્તિત્ત્વના આરંભથી આ એક સરળ વાત સમજાણી નથી… મારા વિના આ દુનિયા ચાલશે જ નહીં એવું માનનારાઓથી કબ્રસ્તાનો ચિક્કાર ભરેલાં છે…

*

The Unknown Soldier

Whenever an ambassador goes to any country,
he takes with him a wreath of flowers for The Unknown Soldier

And if someday an ambassador comes to my land
and asks me:
‘Where is the grave of The Unknown Soldeir?’
I will tell him:
‘Sir,
On the bank of any stream,
In any place in any mosque,
In the shade of any home,
In the nave of any church,
At the mouth of any cave,
In the mountains – on any rock,
In the gardens – on any treetop,
In my country,
Under any cloud in the sky…
Do not hesitate:
Bow your head
And place your wreath of flowers
anywhere.

– Abdulla Pashew
(Translated by Omid Varzandeh from the Kurdish)

Comments (7)

મૂઢમતે -સુધીર પટેલ

ફિકર છોડી તું થઈ જા ફકીર, મૂઢમતે !
કોણ અહીં બદલી શક્યું લકીર, મૂઢમતે ?

છેક સુધી જાળવજે તું ખમીર, મૂઢમતે !
એ જ પછી આવીને પૂરશે ચીર, મૂઢમતે !

ઉછળતાં મોજાંઓ શમી જશે કાંઠા પર,
દરિયો જોયો ક્યારે પણ અધીર, મૂઢમતે ?

જારી કર હુકમનામું તું તારી જ ઉપર,
રાજા પણ તું ને તું જ છો વજીર, મૂઢમતે !

ભીતર તું ખુદને ખૂબ સજાવી લે ‘સુધીર’,
પ્હેરણ જેમ પડ્યું રહેશે શરીર, મૂઢમતે !

– સુધીર પટેલ

(સૌજન્યઃ ગુર્જર કાવ્ય ધારા)

સાદ્યત સુંદર સુફિયાણી ગઝલ… અહીં મને રાજેશભાઈ વ્યાસનો અમર થવા સર્જાયેલો એક શેર યાદ આવે છેઃ તારું કશું ન હોય તો છોડીને આવ તું, તારું જ બધું હોય તો છોડી બતાવ તું.

Comments (3)

જમીનમાંથી હાથ જોડીને – સુધીર દેસાઈ

જમીનમાંથી હાથ જોડીને જ બહાર આવે છે બી.
ધીમેધીમે નતમસ્તક થઈને
હાથ ફેલાવીને કરે છે પ્રાર્થના.
એક જ જગ્યાએ સ્થિર રહી
ઋષિની માફક કરે છે તપ.

તપ કરતાં કરતાં વીતે છે
એનો સમય.
એક પછી એક.
અને અચાનક પ્રગટી ઊઠે છે ફૂલ
એક દિવસ.
આખાયે વિશ્વને આવરી લે છે એની સુવાસથી
ઈશ્વરની જેમ.

આપણે આ ક્રમ હંમેશા જોઈએ છીએ.
જોઈએ છીએ
માત્ર જોઈએ છીએ
દૃષ્ટિ વિનાની આંખો હોય એમ.

– સુધીર દેસાઈ

આંખ ઉઘાડો તો આપણી ચારે તરફ ચમત્કાર છે… ન તો કોઈ બાબા પાસે જવાની જરૂર છે કે ન તો કોઈ ગુરૂ પાસે !

Comments (10)

આશાસ્પદ કવયિત્રી સ્મિતા પારેખનું દેહાવસાન…

સાલસ સ્વભાવ અને ઋજુ હૃદયના આશાસ્પદ કવયિત્રી તથા વાર્તાકાર શ્રીમતિ સ્મિતા કિશોર પારેખનું આજે મળસ્કે યુવાન વયે અકાળ અવસાન થયું. ‘લયસ્તરો’ એમને હાર્દિક શબ્દાંજલિ પાઠવે છે.  એમની એક ગઝલ આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો.

IMG_4705
(જન્મ: ૩૦-૦૯-૧૯૫૨….    ….મૃત્યુ: ૧૯-૧૨-૨૦૧૧)

નથી તું, છતાં મહેંક તારી ભરી છે,
અહીં રોમરોમે ખીલી ગુલછડી છે.
તને પાંપણે કેદ રાખું છતાંયે
બની આંસુ, તારી હયાતી દડી છે.

***

સાવ કોરો પત્ર તું એકાદ જો,
થૈ શકે તો મૌનનો અનુવાદ જો.

જ્યાં હવામાં સ્હેજ ભીનો સ્પર્શ છે,
ત્યાં તું આવે યાદ વરસો બાદ, જો.

નીંદ વેરણ ને ઉદાસી રાતભર,
તું ન આવે, આવતી લે યાદ, જો.

મેઘ એકે ના અહીં આકાશમાં,
આજ મારા આંસુનો વરસાદ જો.

દિલને એનાથી વધુ શું જોઈએ ?
કે તું આવે, એક દઈ દઉં સાદ, જો.

જિંદગીએ બસ, ઘણું આપ્યું મને,
આ પડાવે કોઈ ના ફરિયાદ જો.

માત્ર છળ છે જિંદગીમાં હર કદમ,
રેશમી આ સ્મિતમાં અવસાદ જો.

– સ્મિતા કિશોર પારેખ

Comments (34)

(ખાલી આકાશ) – મુકેશ જોષી

એક મનગમતો તૂટ્યો સંબંધ હવે હાશ !
શમણાંના કલરવતા,કલબલતા પંખી વિણ,
ખાલી ખાલી ને સાવ ખાલી આકાશ

ભીતરમાં ડોકિયાંઓ કરવાનાં બંધ
હવે દુનિયા જોવાની આંખ બહાર
બહારથી લાગે જે આખા એ આઈનામાં
અંદર તિરાડ આરપાર
જીવતર જીવવાનો હવે કેવો આનંદ
આ જીવનમાં કોઈ નથી ખાસ…. એક….

એકલતાની તો હવે આંગળી પકડી, ને
ખાલીપા સાથે છે દોસ્તી
સુક્કી આ આંખોની નદીઓમાં નાવ અમે
હાંક્યે રાખી છે કોઈ મોજથી
મૃગજળમાં રગદોળી નાખી છે ઈચ્છાઓ
કે લાગે ના કોઈ દિવસ પ્યાસ…. એક….

ઊખડે જો ઝાડવું મૂળિયાં સમેત
પડે ધરતીને હૈયે ચિરાડો
માણસમાંથી એક માણસ ઊખડે ને
તોય નામ કે નિશાન નહીં ખાડો
કૈકેયીનાં દીધાં વરદાન મારે માથે
કે ભોગવવો રણનો વનવાસ… એક….

જરા ધીમે ધીમે ફરી ફરીને એકે એક ફકરો વાંચવા જેવો છે. ઉત્તમ કક્ષાનું indirect statement દરેક ફકરામાંથી જડી આવે છે.

Comments (7)

ગીત – મુકેશ જોષી

કાગળના જેવી ઉધાઈ ગઈ રે, સાવ માણસની જાત
અંદરથી આખી ખવાઈ ગઈ રે, સાવ માણસની જાત

તેજના લિસોટા શો માણસ, ને
માણસ આ અંધારા ચગળે છે કેમ
ચશ્માંની જેમ એને દ્રષ્ટિ ઉતારી
ને આંખોમાં આંજેલો વ્હેમ

કોની તે નજરે નજરાઈ ગઈ રે, સાવ માણસની જાત
અંદરથી આખી ખવાઈ ગઈ રે, સાવ માણસની જાત

ભીતરમાં ભેજ તણા ઢગલાઓ થાય
છતાં માણસને એની દરકાર નહીં ?
હૈયામાં ટળવળતી સારપની વસ્તીને
સાચવવા કોઈ સરકાર નહીં ?

કુદરતની આંખો ડઘાઈ ગઈ રે, સાવ માણસની જાત
અંદરથી આખી ખવાઈ ગઈ રે, સાવ માણસની જાત

 

ભગવાન બુદ્ધની હયાતીમાં, તેઓની પ્રત્યક્ષ હાજરીમાં જ, તેઓના શિષ્યગણમાં બે જૂથો વચ્ચે પ્રચંડ વિવાદ- લગભગ મારામારી સુધીનો ઝઘડો- થયો કે ભગવાનનો ઉપદેશ અમે જે કહીએ છીએ તે જ છે !!!!! ભગવાન એટલા દુઃખી થયા કે તે સર્વને તે જ ક્ષણે ત્યાગીને એકલા ચાલી નીકળ્યા….. માણસ સારો-ઉમદા-શ્રેષ્ઠ હોઈ શકે,બાકી માણસજાત તો……….

Comments (8)

પરમ સખા મૃત્યુ :૦૯: ગુજરાતી ગઝલમાં ‘મૃત્યુ’ :કડી ૦૨

કવિતા કોઈ પણ ભાષાની કેમ ન હોય, મૃત્યુ હંમેશા આકર્ષણનો વિષય બની રહ્યો છે. ગઈ કડીમાં આપણે બેફામના મૃત્યુવિષયક શેરોનું સંકલન માણ્યું. આજે સિદ્ધહસ્ત કવિ મનોજ ખંડેરિયાની કલમે મૃત્યુના નાનાવિધ રંગોનું આચમન કરીએ.. એક જ કલમ એક જ વસ્તુના કેટકેટલા  આયામ જોઈ શકે છે એ વાત વિસ્મિત કરે છે…

 

મરણની હથેળીઓ થઈ જાય ભીની
તને એક પળ પણ વિસારી શકું તો

નીંદરની સાથ જીવ તો ઊડી ગયા પછી
સ્વપ્નોનાં શબ પડી રહ્યાં બિસ્તરની આસપાસ

લંગરો છૂટી ગયાં અને
શ્વાસનાં વ્હાણો સરી ગયાં

મારો અભાવ મોરની માફક ટહુકશે
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઈશ

મનોજ નામની એક નદીના કિનારે
તજે કોઈ પીપળા નીચે બેસી શ્વાસો

હાથમાં આયુ-રેખા તૂટેલા
હું ફરું છું મરણ ઉપાડીને

શ્વાસના ધારદાર ચપ્પુથી
આ હવા મારું હોવું છોલે છે

નજૂમી, ઓળખે છે જેને તું આયુષ્ય-રેખા કહી
અમારે મન રૂપાળો મૃત્યુનો રસ્તો હથેળીમાં

નથી; સ્પષ્ટ આયુષ્ય-રેખા નથી,
હું મુઠ્ઠીમાં મારું મરણ સાચવું

સર્વને આવકારે સમ-ભાવે
ના કહે છે કદી કબર કોને

અંતમાં તેં વિખેરી નાંખીને –
વિશ્વભરમાં કર્યો અનંત મને.

તું અંતિમ ક્ષણે મોક્ષને માગ મા,
મહામોંઘા અવસરનો સોદો ન કર.

શ્વાસ સાથે જ ઉચ્છવાસ દીધા,
મોતની હારોહાર રાખ્યો તેં.

ખબર જો હોત કે આવું રૂપાળું છે તો ના ભાગત,
સતત નાહકનું તેં વાંસે મરણ દઈ અમને દોડાવ્યા.

લાખ રસ્તા ખુલી ગયા જ્યારે
થઈ ગયા બંધ શ્વાસના રસ્તા.

‘મૃત્યુ’ જેવો માત્ર ટૂંકા એક શબ્દે તેં કર્યો,
જિંદગીના કાવ્યનો આસ્વાદ પણ શું ચીજ છે.

જાણું છું મારી માલમતા માંહ્ય છે છતાં,
ખુલ્લો કબાટ છોડીને ચાલ્યો જવાનો ભાવ.

જાણી લો પાછી કોક દિવસ આપવાની છે,
આ જિંદગી તો એની ઉધારી છે પાનબાઈ.

રચી ‘મૃત્યુ’ જેવો શબ્દ સાવ ટૂંકો,
પ્રભુએ જીવનની સમીક્ષા કરી છે.

– મનોજ ખંડેરિયા

Comments (7)

(ભિખારી) – કૈલાસ વાજપેયી (અનુ. નલિની માડગાંવકર)

મેલાંઘેલાં કપડાંવાળો તે
રસ્તાના વળાંક પર
મને રોજ દેખાતો,
હું પણ ક્યારેક ક્યારેક
મારી પાસેના સિક્કાઓ
મૂકતો એની
નાનકડી હથેળીઓમાં
એ દર વખત
આભારવશ ભીની આંખોથી
આકાશ તરફ જોતો
એક દિવસ મેં છંછેડાઈને પૂછ્યું
‘અલ્યા, દેનારો તો હું છું-
અને તું ઊંચે જોઈને
કોને, શું કહે છે?’
‘જે મને આપે છે,
એને તું હજી વધુ આપ’
પીળી આંખોવાળાએ જવાબ આપ્યો.

– કૈલાસ વાજપેયી
(અનુ. નલિની માડગાંવકર)

માખણમાં છરી ઊતરી જાય એમ દિલની આરપાર નીકળી જાય એવી કવિતા… ખરું કહો, કોણ વધુ દાતાર છે?!

Comments (8)

ગઝલ – કિસન સોસા

ન જાણે કેટલી ભીંતોને ભેદી બારણે આવ્યા,
પરંતુ આવી આવી આમ બસ સંભારણે આવ્યા.

કદી ક્યાં ઓઝલે ચૂપચાપ શબ્દોના ગણે આવ્યા !
તરન્નુમની સજેલી પાલખીએ રણઝણે આવ્યા.

ધૂળે ધરબાયેલો સિક્કો ઉજાગર થાય વરસાદે,
તમે એવું જ ઊજળું રૂપ લઈ આ શ્રાવણે આવ્યા.

હવે કેવો ઘડાશે ઘાટ, ઘડશે કોણ, ઘણ જાણે,
અર્થ કંઈ આગમાં થઈ રક્તવરણા એરણે આવ્યા.

પણે છાતી કૂટે પાદર અહીં હલકાય હાલરડું,
ગયુ અર્થી ચઢી કોઈ ને કોઈ પારણે આવ્યા.

– કિસન સોસા

Comments (3)

જંજાળ – શ્વેતલ શરાફ

        માણસને શું જોઈએ ? 

છ ફૂટ જમીનથી શરૂ કરો તો 
ઘર, ખાવાનું ને પહેરવાનું જોઈએ. 

        માન્યું. 

અને પછી એક બે માણસ જોઈએ – પોતાના 
કહેવાય એવા.

         એક બે ચાલે ? કે વધારે ? 

અરે બાપા, બે મળે તો ય ઘણું!
દિવસના છવ્વીસ સ્મિત જોઈએ.

         છવ્વીસ જ કેમ?

અઠવાડિયે કે મહિને ત્રણ-ચાર વાર 
રડવા જોઈએ. 
રડવું આત્મા માટે સારું છે.
સંતોષ થાય એટલું કામ જોઈએ. 
જે થોડા થોડા વખતે થોડું અઘરું
લાગે, મથાવે. 
પણ પાછું માની જાય, 
સહેલું લાગે.

વચ્ચે વચ્ચે દૂર દોડી જવા જોઈએ. 
થાકી ગયા – નાસી ગયા. 
ત્યાંય થાકી ગયા – પાછા આવી ગયા – એવું. 

વખતોવખત 
રીસાવા, મનાવવા, છેડવા,  
કારણ વગર હસવા, આખી 
રાત જાગવા, ઉશ્કેરાવા, 
વરસી પડવા
– ને એવું બધુ ગાંડું
ગાંડું કરવા જોઈએ. 
આવતી કાલ માટે પાંચ – સાત 
આશા જોઈએ. (એ કહેવાની, અને બીજી 
પાંચ-સાત છૂપાવી રાખવાની.)
બસ.

       આટલું જ ?

આટલું જ.

        ને બસ આટલા
        ખાતર 
        આટલી બધી 
        જંજાળ ?

– શ્વેતલ શરાફ

સરળ જીંદગીને અ-સરળ કરી નાખવામાં આપણો જોટો નથી. દોસ્તો, એક હાથ દિલ પર રાખો ને બીજા હાથે ભીની હવાને પ્રેમથી અડકી લો. આ જીંદગીને ફરીથી સરળ કરી દો !

Comments (7)

મારી આસપાસ – ચિંતન શેલત

નખ છું, ઉઝરડા છે આ મારી આસપાસ,
રાતા અભરખા છે આ મારી આસપાસ.

પહોંચી ગયો છું ક્યારનો આ દેશમાં,
હું છું, અરીસા છે આ મારી આસપાસ.

ઘટનાનું હોવું માંગી લેશે શક્યતા,
બૂઠ્ઠા નિઃસાસા છે આ મારી આસપાસ.

હોવું બરફનું, કેટલું સદભાગ્ય છે,
દૃશ્યો થીજેલાં છે આ મારી આસપાસ.

ના એટલે હું નહીં કદી ઉંઘી શકું,
સ્વપ્નો સૂતેલાં છે આ મારી આસપાસ.

-ચિંતન શેલત

નખ, ઉઝરડા અને લોહીલુહાણ રાતા અભરખાથી શરૂ થતી ગઝલ, એક પછી એક ધારદાર શેરમાંથી પસાર થતી છેક સૂતેલા સ્વપ્નાની વચ્ચે ઊભેલી અનિદ્રા સુધી પહોંચે છે ત્યારે એક સૂનકાર પાછળ છોડતી જાય છે.

Comments (11)

અર્થ શો ? – મનોજ ખંડેરિયા

આ બધી તારી સ્મૃતિનો અર્થ શો ?
રિક્તતાની આ ગલીનો અર્થ શો ?

તું જ રસ્તો આમ લંબાવ્યા કરે,
તેં દીધાં ચરણો, ગતિનો અર્થ શો ?

રગરગે અંધાર વ્હેતો દેહમાં,
સ્પર્શની આ ચાંદનીનો અર્થ શો ?

છિદ્ર મારા પાત્રમાં છે કાયમી,
ત્યાં ઝૂકેલી વાદળીનો અર્થ શો ?

આ ઉદાસી આંખમાં અંજાઈ ગઈ,
દોસ્ત, સુરમાની સળીનો અર્થ શો ?

 

રામના બાણની જેમ સોંસરવી ઉતરી ગઈ આ ગઝલ…..

Comments (8)

પરમ સખા મૃત્યુ :૦૮: ગુજરાતી ગઝલમાં ‘મૃત્યુ’ :કડી ૦૧

મૃત્યુ વિષયક ‘અમર’ શેરોનું સંકલન કરવું હોય તો બેફામ પહેલાં યાદ આવે. મક્તાના શેરમાં મૃત્યુને વણી લેવાનો એમનો ઉપક્રમ અભૂતપૂર્વ ગણાય છે. એક જ કવિ મૃત્યુની વાત કરે ત્યારે એના કેટકેટલા આયામ એ ચકાસે છે એ જાણવું હોય તો આ શેર-સંકલનમાંથી પસાર થવું ફરજિયાત છે…

બેફામ તો ય કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

હસી લેજો જરા મારી કબર પર વ્યંગમાં બેફામ,
જગત છોડી ગયો હું એ પછી થઈ છે જગા મારી.

મારા મરણ ઉપર ને રડે આટલાં બધાં ?
બેફામ જિંદગીનાં બધાં દુઃખ વસૂલ છે.

કરી નક્કી ખુદાએ મારે માટે મોતની શિક્ષા.
ગુનાહ બસ એ જ કે હું જિન્દગાની લઈને આવ્યો છું.

જીવન માફક નથી મારું મરણ પણ સંકુચિત બેફામ,
કે હું આ આખી ધરતીને જ સમજું છું કબર મારી.

એમ વીતેલા દિવસને રોજ માગું છું ફરી,
કે જીવન પૂરું થયું છે ને મરણ મળતું નથી.

જીવનની મોકળાશની મૃત્યુથી જાણ થઈ,
ઘર જેટલી વિશાળ કોઈની કબર નથી.

સરકતી જિંદગી, એ પણ વળી નશ્વર જગત પર છે,
હવે સમજાય છે અમને કે આ તો રેતીનું ઘર છે.

જીવનની અગવડો મૃત્યુ પછી પણ એ જ છે બેફામ,
સદા માટે સૂવાનું છે છતાં બિસ્તર નહીં મળશે.

બિચારા એ જ તો મારા મરણની રાહ જોતા’તા,
જનાજો કાઢજો બેફામ દુશ્મનની ગલીમાંથી.

મરણની બાદ પાછું એ જ જીવન માણીએ બેફામ
ખુદા પરવાનગી આપે તો જન્નતમાં જગત કરીએ.

જમાનાની હવા મૃત્યુ પછી પણ એ જ છે બેફામ,
હતાં જે ફૂલ એ ઊડી ગયાં મારી કબર પરથી.

જીવ્યો હું ત્યાં સુધી કાંટા જ વેઠ્યા છે સદા બેફામ,
કબર પર ફૂલ મૂકીને ન કરજો મશ્કરી મારી.

જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઈ માનવ મઝારે છે, કોઈ માનવ મસાણે છે.

કદર બેફામ શું માગું જીવનની એ જગત પાસે,
કે જ્યાંના લોક સૌ કેવળ મરેલાને વખાણે છે.

ફકત એથી જ મેં મારા શ્વાસ અટકાવી દીધા બેફામ,
નથી જન્નતમાં જાવું મારે દુનિયાની હવા થઈને.

કદાચિત્ મોત આવે એ પછી થઈ જાય એ પૂરી,
હજી હમણાં સુધી તો જિંદગી મારી અધૂરી છે.

જીવનને જીવવાની તો કદી નવરાશ પણ નહોતી,
મળ્યો કેવી રીતે બેફામ મરવાનો સમય તમને ?

કબરની સંકડામણ જોઈને બેફામ સમજી લો,
કે જન્નતમાં જવાના પંથ કંઈ પહોળા નથી હોતા.

વિશ્વાસ એવો મોતના રસ્તા ઉપર હતો,
બેફામ આંખ બંધ કરીને જતાં રહ્યાં.

આ ફૂલ, આ ચિરાગ, કબર પર વૃથા નથી,
બેફામ એ જ ગુણ હતા મારા સ્વભાવમાં.

બેફામ જાઉં છું હું નહાઈને સ્વર્ગમાં,
જીવન ભલે ન હોય, મરણ તો પવિત્ર છે.

વણીને શ્વાસ ને ઉચ્છવાસ બેફામ,
અદીઠું એક કફન પેદા કરું છું.

મોત જેમાં ફસાય છે બેફામ,
જિંદગી એવી જાળ લાગે છે.

નથી એ શ્વાસ કે એને સૂંઘી શકું બેફામ,
ન લાવો મારી કબર આસપાસ ફૂલોને.

એક સાથે ચીજ બે બેફામ પકડાઈ નહીં;
મોત આવ્યું હાથમાં તો જિંદગી છૂટી ગઈ.

મોતનીયે બાદ આ દુનિયા તો એની એ જ છે,
હા, ફકત બેફામ રહેવાની જગા બદલાઈ ગઈ.

– બરકત વીરાણી ‘બેફામ’

Comments (16)

પરમ સખા મૃત્યુ :૦૭: મરણ પ્રસંગ – રુમી

Rumi

જ્યારે મારો જનાજો નીકળે
એમ ન વિચારશો
કે હું આ જગતમાં ચાલ્યો ગયો છું

ન આંસુ સારશો
રખે શોક કે અફસોસ કરતા.
હું કોઈ રાક્ષસી ખાઈમાં
નથી પડી રહ્યો.

મારું શબ લઈ જતી વેળા
મારા જવા ઉપર રડશો નહીં
હું જઈ નથી રહ્યો
હું શાશ્વત પ્રેમના મુકામે પહોંચી રહ્યો છું

તમે જ્યારે મને કબરમાં મૂકો
મને અલવિદા ન કહેતા
યાદ રાખજો કે કબર તો
એક પરદો માત્ર છે
એની પેલી તરફ આખી નવી દુનિયા છે

તમે મને કબરમાં ઉતરતો જોયો
હવે મને ઉપર ઉઠતો જુઓ
જ્યારે સૂર્ય કે ચંદ્ર અસ્ત પામે
ત્યારે એ કંઈ  અંત નથી પામતા

જે અંત કે અસ્ત સમાન લાગે છે
એ ખરે તો ઉદય જ લાવે છે
કબર જ્યારે બંધ થાય
ત્યારે આત્માની પાંખો ઉઘડે છે

તમે કદી જોયું છે કે ઘરતી પર પડેલું
બીજ અંકુરિત ન થાય ?
તો પછી શું કામ માનવના નવપલ્લવિત
થવા પર શંકા કરો છો ?

કૂવામાં ગયેલી ડોલ કદી ખાલી
પાછી આવતી જોઈ છે ?
તો આત્મા માટે શું શોક
જે અચૂક પાછો ફરવાનો છે.

છેલ્લી વાર માટે તમારું
મોઢું બંધ થાય
પછી તમારા શબ્દો અને આત્મા
એ જગાના રહેવાસી થઈ જાય છે
જ્યાં સ્થળ કે કાળનું કોઈ બંધન નથી.

– રુમી
(અનુ. ધવલ શાહ)

રુમીની કવિતા શાતા અને વિશ્વાસની કવિતા છે. મરણ માત્ર એક મુકામ છે અને એની આગળ આખો નવો રસ્તો છે એ સૂફી વિચારધારા છે. કવિતા એટલી સરળ છે એને સમજાવવાની કોઈ જરૂર નથી.

કહેવાય છે કે રુમીના શબ્દો જાદૂઈ મીઠાશ છે. આ કવિતામાં મૃત્યુ જેવા વિષયમાં પણ એ જાદૂઈ મીઠાશના દર્શન થયા વગર રહેતા નથી. આખી કવિતા એ પોતે જ પોતાનો જનાજો નીકળતો જોતા હોય એમ લખેલી છે. અને એ રજૂઆત કવિતાને એટલી વધારે ચોટદાર બનાવે છે.

આ અનુવાદ રુમીની કવિતાના નાદેર ખલીલીએ કરેલા અંગ્રેજી અનુવાદના આધારે કરેલો છે.

Comments (4)

પરમ સખા મૃત્યુ :૦૬ : મ્રત્યુ તું એક કવિતા છે – ગુલઝાર

મ્રત્યુ તું એક કવિતા છે
કવિતાનો વાયદો છે, મળશે મને

આથમતા શ્વાસોમાં જ્યારે પીડાઓ પોઢી જાય
ફિક્કો ચાંદો જ્યારે ક્ષિતિજે પહોંચે
દિવસ તો હજુ પાણીમા અને રાત કિનારા પર
ન અંધારુ ન અજવાસ, ન હજુ દિવસ ન હવે રાત

જ્યારે શરીરનો અંત આવે ને આત્મા ઉઘડતો જાય
કવિતાનો વાયદો છે, મળશે મને

– ગુલઝાર
(અનુ. ધવલ શાહ)

આ કવિતા મારી ખૂબ પ્રિય કવિતા છે. આ કવિતા ઘણા જુદા જુદા પ્રસંગે વાંચવામાં આવી ત્યારે,  સમય સાથે,  મારા મનમા એના અર્થવિભાવો બદલાતા ગયા છે. પણ કવિતાનો કેફ હજુ એવોને એવો જ છે.

પહેલી જ લીટી જુઓ તો કવિ સીધી જ મૃત્યુ સાથે વાત કરે છે : મૃત્યુ તુ એક કવિતા છે. અને એ પણ તુંકારાથી !

કવિ મૃત્યુને કવિતા કેમ કહે છે ? અરે ભાઈ, કવિને કઈ વસ્તુ પોતિકી લાગે ? કવિતા જ ને.  કવિતા કવિની ઓળખીતી ચીજ છે. કવિતા પર કવિને વિશ્વાસ છે. કવિ મૃત્યુને કવિતા સાથે સરખાવે છે કારણ કે  મૃત્યુ કવિને ઓળખીતું અને વિસ્વસનીય લાગે છે. જાણે કે પોતાનો ઓળખીતો ‘પર્સનલ ગાઈડ’ જેણે કવિને ચોક્કસ સમયે મળવાનો વાયદો કરેલો છે.

મૃત્યુની ક્ષણનું વર્ણન કવિ બે લીટીમાં આબેહૂબ કરે છે. આથમતા શ્વાસોમાં જ્યારે પીડાઓ પોઢી જાય. મૃત્યુ જીવનનો અંત તો છે એ વાત આપણે એટલી બધી ઘૂંટ્યા કરી છે કે મૃત્યુ બધી પીડાઓનો પણ અંત છે એ વાત આપણે ભૂલી જઈએ છીએ. (પીડાઓના અંતને તો વધાવવાનો જ હોય ને ?!! ) ફીક્કા ચહેરાવાળો ચંદ્ર પક્વફળ જીંદગીનું પ્રતિક છે જે છેક ક્ષિતિજ સુધી આવી પહોંચીં છે ને ડૂબવાની તૈયારીમાં છે.

એના પછીની બે પંક્તિમાં જીવન અને જીવન પછીની અવસ્થાના સંધિકાળની વાત છે. મૃત્યુની ક્ષણે જીંદગી પૂરી થવામાં છે પણ હજુ પૂરી થઈ નથી. અને જીંદગી પછીની અવસ્થા શરૂ થવામાં છે પણ હજુ શરૂ થઈ નથી.

આ સંધિકાળે કવિ મૃત્યુને કવિતારૂપે જુએ છે. મૃત્યુ માણસને જીવનમાંથી હાથ ઝાલીને જીવન પછીની અવસ્થામાં લઈ જશે એવી વાત છે. મૃત્યુ એક ‘પર્સનલ ગાઈડ’ છે જે કવિને તદ્દન નવી જગ્યાની ઓળખાણ કરાવશે.

આ બધુ ચિંતન કવિએ કશુ છ્તું કર્યા વિના તદ્દન સહજ શબ્દોમાં વણી લીધું છે.

ભાગ્યે જ કોઈને એ ખબર નહીં હોય કે આ કવિતા ગુલઝારે ‘આનંદ’ ફિલ્મ માટે લખેલી. ફિલ્મમાં અમિતાભે એટલી જ ભાવવાહી રીતે એને રજુ પણ કરેલી. તો સાંભળો મૂળ કવિતા અમિતાભના અવાજમાં :

Comments (11)

પરમ સખા મૃત્યુ :૦૫: મૃત્યુ સમજમાં આવવું – રમેશ પારેખ

આ થાશે, તે થાશે, શું થાશે ?
થવાનું હશે એ તો થાશે ને પછી એનો ભૂખરો લિસોટો રહી જાશે.

આપણે જ અંધારું બોગદું ને એમાંથી આપણે જ સોંસરવું જાવું;
ગયા વિના અન્ય કોઈ છૂટકારો નહીં, પાછું મન વિશે થાય : સાલું આવું ?
અવળસવળ આમતેમ વાતો સન્નાટો પછી આપણી સોંસરવો યે વાશે.

આપણા ખભા પરથી શ્વાસોનો બોજ કોઈ લઈ લેશે પોતાની કાંધે
એ જ ક્ષણે કોઈ ચીજ, કોઈ વાત, કોઈનો સંબંધ નહીં આપણને બાંધે
જેટલું હયાતી વિશે સોચશોને તમે, મોત એટલું જ તમને સમજાશે.

– રમેશ પારેખ  (તા. ૩૦/૩/૧૯૯૫ ;  કારણ: કવિશ્રી હરીન્દ્ર દવેનું અવસાન)

જેનાં ઉપર કોઈનો કાબુ નથી એવા મૃત્યુને પણ લયનાં આ રાજવીએ ગીતમાં લયબદ્ધરીતે બાંધ્યું છે, અને એ પણ કેવી હળવાશથી !  જે થવાનું હશે એ તો થશે જ- આ સીધી સાદી વાત આપણને સાંભળવા તો ખૂબ જ મળે છે, પરંતુ એમ કહેવું અને એને ખરેખર માનવું એ બેમાં મોટો ફર્ક છે.  મૃત્યુ એમ કેમ સમજાય ?  કવિને મન પોતાની જાત એટલે કે અંધારું બોગદું અને જીવવું એટલે કે એ બોગદામાંથી-પોતાનામાંથી સોંસરવા પસાર થવું.  જીવ્યા વિના તો છૂટકો જ નથી.  અને મૃત્યુ એ બોગદાની સફરનો અંત છે.  અંતમાં તો આપણા શ્વાસોનો બોજ કોઈ બીજાનાં કાંધ પર જ જવાનો છે એટલે આપણે આપણા અસ્તિત્વને જ જો સારી રીતે સમજી શકીએ તો મૃત્યુ એની મેળે જ સમજાઈ જશે.

મને લાગે છે કે માણસને મૃત્યુનાં ભય કરતાં પણ વધુ ભય મૃત્યુ પૂર્વેની વેદનાનો હોય છે.

*

આમ તો મને ‘મૃત્યુની કવિતા’ એ શબ્દોની સાથે જ રાવજી પટેલનું ગીત સૌપ્રથમ તુરત જ યાદ આવે… જેને ધવલ આભાસી મૃત્યુનું ગીત પણ કહે છે.  આ ગીતનાં અર્થનો આગળ લયસ્તરો પર ઘણો વિસ્તાર થયો છે,  આપ સૌ વાચકમિત્રો-કવિમિત્રો દ્રારા પણ… જેને આપ સૌ આજે ફરી મમળાવી અને માણી શકો છો : (કંકુના સૂરજ આથમ્યા) – રાવજી પટેલ

Comments (4)

પરમ સખા મૃત્યુ :૦૪: બધાં મરણ – હરમન હૅસ – અનુ.હરીન્દ્ર દવે

હું બધાં જ મરણ મરી ચૂક્યો છું
અને હું બધાં જ મરણ ફરીથી મરવાનો છું
વૃક્ષમાં હું લાકડાંનું મરણ મરીશ
પથ્થરનું મરણ મરીશ પથ્થરમાં
પૃથ્વીનું મરણ રેતીમાં
પાંદડાનું મરણ ખખડતા ગ્રીષ્મના ઘાસમાં
અને રંક લોહિયાળ મનુષ્યનું મૃત્યુ હું મરીશ.

હું ફરી પાછો જન્મીશ, ફૂલો
વૃક્ષ અને ઘાસ થઈને
માછલી અને હરણ, પંખી અને પતંગિયું
થઈને ફરી પાછો જન્મીશ.
અને પ્રત્યેક સ્વરૂપમાંથી
ઝૂરાપો મને ખેંચશે ઉપરના દાદરને રસ્તે
ઠેઠ અંતિમ યાતના લગી,
મનુષ્યોની યાતના લગી.

એકમેક તરફ વળવા માટે
જયારે ઝંખનાની આક્રમક મુઠ્ઠી
જીવનના બંને ધ્રુવ તરફ જોહુકમી બજાવતી હોય છે
ત્યારે તું થાય છે ધ્રુજતી તંગ પણછ.
તોપણ અનેકવાર, કેટલીયે વાર
તું મને મૃત્યુથી જન્મ લગી શિકારીની જેમ ખેંચી લાવશે,
સર્જનના યાતનાભર્યા રસ્તે, સર્જનના ભવ્ય પંથ પર.

 

હરમન હૅસ બુદ્ધત્વના રંગે રંગાયેલો જીવ હતો. તેણે લખેલું પુસ્તક ‘ સિદ્ધાર્થ ‘ વિશ્વપ્રસિદ્ધ છે. ઉપરોક્ત કાવ્યમાં પણ ભગવાન બુદ્ધના સંદેશની સ્પષ્ટ છાંટ વર્તાય છે.

મૃત્યુ વિષે વાતો ચાલે છે તો એક વાત નિખાલસતાથી કહેવાની ઈચ્છા છે- મને અંગત રીતે મૃત્યુનો અત્યંત ભય લાગે છે-મારાં પોતાના તેમ જ અંગત સ્વજનોના…. મૃત્યુને વધાવવાની,તેને પ્રેમ કરવાની,તેનાથી નિર્લેપ હોવાની….ઇત્યાદિ વાતો મારે માટે પોથીમાંનાં રીંગણાથી વિશેષ કંઈ જ નથી.

Comments (9)

પરમ સખા મૃત્યુ :૦૩: શ્રીમદ્ ભગવદ્ગીતા

મૃત્યુ વિશે ભગવદ્ગીતા જે કહે છે એમાં એક પણ શબ્દ ઉમેર્યા વિના એને એમ જ આત્મસાત્ કરીએ:

 

य एनं वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतम् ।
उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते ॥१९॥

જે આ (આત્મા)ને મારનાર જાણે છે અને જે આને મરાયેલો માને છે, તેઓ બંને નથી સમજતા; કેમકે આ (આત્મા) નથી મારતો કે નથી મરાતો.

न जायते भ्रियते वा कदाचिन्नायं भूत्वा भविता वा न भूय: ।
अजो नित्यः शाश्वतोड्य पुराणो न हन्यते हन्यमाने शरीरे ॥ २०॥

આ (આત્મા) કદી જન્મતો કે મરતો નથી અથવા પૂર્વે ન હતો કે ફરી નહીં હોય, એમ પણ નથી. આ અજન્મા, નિત્ય, શાશ્વત અને પુરાતન છે તેથી શરીર મરાયા છતાં મરાતો નથી.

वासांसि जीर्णानि यथा विहाय नवानि गृहणाति नरोड्पराणि ।
तथा शरीराणि विहाय जीर्णान्यन्यानि संयाति नवानि देही ॥ २२॥

જેમ મનુષ્ય જૂનાં વસ્ત્રો ત્યજી નવાં વસ્ત્રો ધારણ કરે છે તેમ દેહધારી આત્મા જૂનાં શરીરો ત્યજી બીજાં નવાં શરીરો પામે છે.

नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावक: ।
न क्गैनं क्लेदयन्त्यापो न शोषयति मारुत: ॥२३॥

આ (આત્મા)ને શસ્ત્રો છેદતાં નથી, આને અગ્નિ બાળતો નથી, આને પાણી ભીંજવતું નથી અને પવન સૂકવતો નથી.

जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च ।
तस्मादपरिहार्येडर्थे न त्वं शोचितुर्महसि ॥२७॥

કેમકે જન્મેલાનું મૃત્યુ નક્કી છે અને મરેલાનો જન્મ નક્કી છે; માટે ટાળવાને શક્ય એવા આ વિષયમાં તું શોક કરવાને યોગ્ય નથી.

– શ્રીમદ્ ભગવદ્ગીતા (અધ્યાય બીજો, સાંખ્ય યોગ)

Comments (4)

પરમ સખા મૃત્યુ :૦૨: મરણ – ચુનીલાલ મડિયા

મને ન મરવું ગમે છૂટક ટૂંક હફ્તા વડે
મળે મરણ ગાય-ગોકળ સમું, ધીમું–વાવરે
યદા કૃપણ સંપદા અસહ લોભથી – ના ગમે.

અનેક જન જીવતા મરણ-ભાર માથે વહી
ભલે હલચલે જણાય જીવતા, છતાં દીસતા
મરેલ, શબશા અપંગ, જડ, પ્રેત દીદારમાં.

અને મનસમાંય – ઓઢત ભલે ન કો ખાંપણ,
મસાણ તરફે જતા ડગમગંત પંગુ સમા.

ગણું મરણ માહરું જનમસિદ્ધ શું માગણું,
અબાધિત લખેલ તામ્રપતરે જિવાઈ સમું,
ન કાં વસૂલ એ કરું મનગમંત રીતે જ હું –
કરે કરજ કો લેણદાર ચૂકતું તકાદા વડે ?

ચહું જ ઉઘરાવવા મરણ એક હફ્તા વડે;
બિડાય ભવચોપડો, કરજમાં ન કાંધાં ખપે

-ચુનીલાલ મડિયા

મરણ એ જીવનનું એકમાત્ર સનાતન સત્ય હોવા છતાં આપણે સહુ અમર હોઈએ એ જ રીતે જીવીએ છીએ. કવિને ગોકળગાયની જેમ ધીમી ગતિએ આવતું કે કોઈ અતિ કંજૂસ જેમ એની સંપત્તિ અસહ્ય લોભથી વાપરે એમ છૂટક ટૂંકા હપ્તે મળતું મૃત્યુ પસંદ નથી. ઘણા લોકો આજીવન મૃત્યુનો ભાર માથે વેંઢારીને શબવત્ અપંગશા જીવતા હોય છે અને ભલે ખાંપણ ન ઓઢ્યું હોય પણ એમની ગતિ સ્મશાન તરફની જ હોય છે. કવિ મૃત્યુનો જીવન પરનો અબાધિત અધિકાર સમજે છે. માટે જ એક ઘાને બે કટકા જેવું મૃત્યુ ઝંખે છે જેમાં મરણ પૂર્વે કોઈના સહારાની જરૂર ન પડી હો !

Comments (6)

પરમ સખા મૃત્યુ :૦૧: આજ મરી જાઉં તો – મકરંદ દવે

કદાચ આજ મરી જાઉં તો, કહો, શું બને ?
વિચારું છું: કદાચ ઓળખીય જાઉં મને.

વિલુપ્ત થાય અહીં ગાનતાન મૌન મહીં,
અને કદાચ કહીં એ જ ગાનતાન બને.

ગમ્યું છે ખૂબ કહીં જાઉં કોઈ કાન મહીં,
ગમે છે ખૂબ હસીને કહી રહું ગમને.

સહીશ આંસુ રુદન દોસ્ત બધા હું તારાં,
હસી પડે જો જરા વ્યર્થ ઊંચક્યા વજને.

મજાક બે’ક કરી લઉં થતું સ્મશાન મહીં,
વદું પરંતુ વિના પ્રાણ હું ક્યા વદને !

હરેક પળમાં જીવ્યો’તો એ ખૂબ પ્રાણ ભરી,
છતાંય ચાહતો હતો સદા ચિરંતનને.

ચાલો,આ વાત વધારી જવામાં માલ નથી,
તને ખબર છે બધી, મૌનમાં કહી છે તને.

 

મારા પ્રિય કવિની મારા પ્રિય વિષય ઉપરની ગઝલ ઘણા વખતથી અહી મૂકવાની ઈચ્છા હતી. ગમન ખૂબ ગમવું, સ્મશાને મજાક સૂઝ્વી……આ વાતો કવિનું કદ સૂચવે છે-વધુ લખવું વ્યર્થ છે !

મૃત્યુ એટલે અજ્ઞાતમાં ધકેલાવું.

જો મૃત્યુ પર વિશ્લેષણ કરવા બેસું તો ‘વરસોનાં વરસ લાગે….’ , તેથી વધુ ન લખતાં જે વિચારોએ મારા મ્રત્યુ વિશેના ખ્યાલને ઘડ્યો છે તે વિચારો જ આપની સમક્ષ રજૂ કરી દઉં છું-

‘ You would know the secret of death.

But how shall you find it unless you seek it in the heart of life ?

For life and death are one, even as the river and the sea are one.

For what is it to die but to stand naked in the wind and to melt into the Sun ?’

– Kahlil Gibran

‘अव्य्क्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत
अव्यक्त निधनान्येव तत्र का परिदेवना .’ – ભગવદ ગીતા -અધ્યાય ૨ -શ્લોક ૨૮.

‘ હે અર્જુન ! સઘળા પ્રાણીઓ જન્મ પૂર્વે અપ્રગટ હતાં અને માર્યા પછી પણ અપ્રગટ થઇ જનાર છે, કેવળ વચગાળામાં જ પ્રગટ છે, તો આવી સ્થિતિમાં શોક શાનો ? ‘

Comments (8)

લયસ્તરો : સાત વર્ષની સફર

balloon

લયસ્તરો આજે સાત વર્ષ પૂરા કરે છે.

સાત વર્ષની આ સફર માટે હું શું કહી શકું ? ‘લયસ્તરો’ની શરૂઆત કરી ત્યારે મારી પાસે કવિતાનું કોઈ શાસ્ત્રીય જ્ઞાન નહોતું કે ન તો મારી એવી કોઈ ખાસ લાયકાત હતી. વર્ષોનું કવિતાનું ઋણ અદા કરવાનો અને કવિતાના આનંદને વહેંચવાનો વિચાર માત્ર હતો. આજે એ વિચાર આટલો પરિપક્વ થયો છે એ કવિતાની શક્તિનો પૂરાવો છે.

આ અવસરે ‘લયસ્તરો’ની ટીમ – ઊર્મિ, તીર્થેશ, વિવેક અને ધવલ – કવિઓ અને રસિકોનો આભાર માને છે. કવિતાની આ સફરને નવા સોપાન પર લઈ જવાની અમારી હંમેશા વધારે ને વધારે કોશિશ રહેશે.

દર વર્ષે લયસ્તરોની વર્ષગાંઠ કંઈક નવું કરીને ઉજવીએ છીએ. આ વખતે પણ એવી જ ઈચ્છા છે. જો કે આ વખતનો અમારો વિચાર દર વર્ષની ઉજવણીથી જરા જુદો પડે છે.

માણસની આખી જીંદગીમાં એક જ વસ્તુ નિશ્ચિત છે. અને, તમને ગમે કે ન ગમે, એ વસ્તુ છે : મૃત્યુ. અને મઝાની વાત એ છે કે આપણે આખી જીંદગી મૃત્યુથી બને તેટલા દૂર ભાગવામાં વિતાવીએ છીએ. મૃત્યને અમંગળ, અવાંછનિય, અછૂત ગણીને ચાલીએ છીએ. મંગળ પ્રસંગે (દા.ત. સાતમી વર્ષગાંઠે !) એનુ નામ પણ વર્જ્ય  ગણાય છે. રખે કોઈનાથી મૃત્યુનો ઉલ્લેખ થઈ જાય તો મોઢે હાથ કરવાનો રીવાજ છે. આ વખતે અમે આ પ્રથાથી ઊંધા જવાનો વિચાર કર્યો છે.

આવનારા થોડા દિવસોમાં મૃત્યુના વિષયને કેન્દ્રમાં રાખીને લખાયેલી કવિતાઓના માધ્યમથી અમે મૃત્યુ નામની ઘટનાને આભડછેટ વિના, પેમપૂર્વક, વિવેકપૂર્વક ઉકેલવાનો પ્રયત્ન કરીશું. આ અવસરનું નામ રાખ્યું છે : પરમ સખા મૃત્યુ.

આવતી કાલથી તમે પણ જોડાવ ‘લયસ્તરો’ના આંઠમા વર્ષની સફરમાં – પહેલો મુકામ છે : પરમ સખા મૃત્યુ.

Comments (36)

…….અમને દોડાવ્યા – મનોજ ખંડેરિયા

ક્ષિતિજે ઘાસ જેવી લીલી ક્ષણ દઈ અમને દોડાવ્યા;
અમારામાં જ ઈચ્છાનાં હરણ દઈ અમને દોડાવ્યા.

અમે ક્યાં જઈ રહ્યા,ક્યાં પ્હોંચશું,એની ખબર ક્યાં છે,
અમારી ફરતું કાયમ આવરણ દઈ અમને દોડાવ્યા.

દીધું છે એક તો બેકાબૂ મન, ના હાથ રહેનારું,
વળી એમાં સલૂણી સાંભરણ દઈ અમને દોડાવ્યા.

અહીં આ રામગિરિની ટોચ પરથી છેક અલકા લગ,
અષાઢી સાંજનું વાતાવરણ દઈ અમને દોડાવ્યા.

બધાને દોડવા માટે દીધાં સપનાં ને આશાઓ,
અમે કમભાગી કે ના કંઈપણ દઈ અમને દોડાવ્યા.

ખબર જો હોત કે આવું રૂપાળું છે તો ના ભાગત,
સતત નાહકનું તેં વાંસે મરણ દઈ અમને દોડાવ્યા.

ઘસાતા બંને પગ ગોઠણ સુધીના થઈ ગયા પણ તેં –
થયું સારું કવિતાના ચરણ દઈ અમને દોડાવ્યા.

Comments (8)

તું એકલી નથી – વસંત આબાજી ડહાકે (અનુ. જયા મહેતા)

ચંદ્ર
મને અહીં જુએ છે,
તને ત્યાં જોતો હશે…
તું એકલી નથી
એમ મારે કહેવું છે.

– વસંત આબાજી ડહાકે (મરાઠી)
(અનુ. જયા મહેતા)

કવિ ખૂબ જ ઓછા શબ્દોમાં અનૈક્યમાં ઐક્યની વાત કરી શકે છે ! આ કવિતા વાંચતા જ કવિ કાન્તની ગઝલ ‘તને હું જોઉં છું, ચંદા!’ યાદ ન આવે તો જ નવાઈ.

Comments (4)

જીભતર – દિલીપ ઝવેરી

મેલા વરસાદમાં પલળ્યા હો
છાંયડા વિનાના રસ્તે ન હટતા પરસેવાને હડસેલતા હો
લોકલ ટ્રેનની ગરદીમાં છુંદાતા હો
દુર્ગંધમાં અકળાતા હો
જીવવા સાથે લગરીક પણ લગાવ ન રહ્યો હો
અને ચાલવાનું ખૂટે નહીં
ત્યારે સમજાય
ઘર એટલે શું

તમે જેને ઘર સમજો છો
તે મારા માટે કવિતા છે

ઘર તો ક્યારેક જ સજાવેલું હોય
બાકી તો વેરવિખેર

પણ એની એ જ ખુરશીમાં બેસી
એની એ જ રંગની ભીંત સામે જોતાં જોતાં
ફૂંકથી છારી હઠાવી ટાઢી ચાને હોઠે લગાડતાં
જૂના ધાબામાં એકાદ નવો ચહેરો વરતાય
કે મિજાગરે ત્રાંસી બારીની ફાટમાંથી દેખાતી
ઓળખીતી અણગમતી શેરીમાં
અજાણ્યો પવન ફરફરિયાં ઉડાવી જાય
અને એની એ જ રોજની ભૂખ માટે
એની એ જ દાળમાં
એનો એ જ રાઈમેથી લસણનો વઘાર પડે
તોય જીભે નવેસરથી રઘવાટ થાય

એમ જ
કવિતા નવા શબ્દને જીભ પર સળવળતો કરી દે છે.

– દિલીપ ઝવેરી

કવિની કરામત અહીં શીર્ષકથી જ જોવા મળે છે. જીવતરના સ્થાને કવિ જીભતર જેવો શબ્દ ‘કોઇન’ કરે છે જે કવિતા માટેની ઉત્સુક્તા વધારે છે અને કવિ પણ આગળ જતાં નિરાશ નથી કરતાં. ઘરની વ્યાખ્યા નિશ્ચિત કરીને કવિ પછી ઘરની અંદરના નાનાવિધ રોજિંદા ચિત્રોને તાદૃશ કરે છે… પણ આ તો ઘર થયં… કવિનું ઘર તો એની કવિતા જ ! ઘર એટલે એક લગભગ નિશ્ચિત કરી શકાય એવી ઘરેડ. એનું એ જ ભોજન પણ જીભને દર વખતે નવેસરથી ઉત્તેજે છે… એ જ રીતે કવિતા પણ !

Comments (5)

ગઝલ – અશરફ ડબાવાલા

થોડાં થોડાં દૂર તમને રાખવાનો કીમિયો,
હું કરું છું એમ તમને પામવાનો કીમિયો.

પાણી છું હું, પાત્રનો આકાર પણ હું લઈ શકું,
ને વળી ઘરમાં કરું ઘર પામવાનો કીમિયો.

શબ્દવિણ એ જે કહે એમાં સમર્પણ કર બધુ,
તું ન કર સંકેતને આલેખવાનો કીમિયો.

આ તું જે લખ લખ કરે છે એ તો બીજું કંઈ નથી,
છાનાંછપનાં દર્દને વિસ્તારવાનો કીમિયો.

અંતમાં ‘અશરફ’ ! મરણના રૂપમાં કરવો પડે,
શ્વાસના આભાસને ઓળંગવાનો કીમિયો.

– અશરફ ડબાવાલા

દૂરી રાખવાથી જેમ વધુ પામી શકાય એમ શ્વાસના આભાસને ઓળંગવાનો કીમિયો શોધતા શોધતા કદાચ જીવન જીવવાનો કીમિયો જ મળી જાય, એમ પણ બને…

Comments (5)