સાવ ઓરડે એકલવાયો છબી મૌનની દોરું
ત્યાં જ કરી ‘ચી…’ ચકલીએ પાડ્યું એમાં બાકોરું
– અનિલ ચાવડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for May, 2010

ઘણી તકલીફ પ્હોંચી છે – મનોજ ખંડેરિયા

બીબાના ઢાળે ઢળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે,
બરફ માફક પીગળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

ચરણ પીગળી રહ્યાં છે, મેળવું ક્યાંથી કદમ મારાં,
સમયની સાથ ભળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

અગર ભૂલો પડ્યો હું હોત ને દુઃખ થાત એ કરતાં,
ચરણને પાછા વળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

બુકાની બાંધી ફરનારાનું આ તો નગર, મિત્રો !
મને ખુદને જ મળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

હવા જેવા સરળ, આવી ગયા છે બ્હાર આજે પણ,
આ શબ્દોને નીકળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

– મનોજ ખંડેરિયા

અડચણોને ગાઈ લેવી … તકલીફોને સજાવી લેવી… પણ ગઝલનો (ને જીગરનો) મિજાજ તો બરકરાર જ રાખવો !

Comments (23)

ગુજરાતી ગઝલમાં લાશનું તરવું

જીવતો માણસ સંજોગો ખરાબ હોય તો નદી-સાગરમાં ડૂબી જાય છે પણ એની લાશ થોડા દિવસ પછી એ જ પાણી પર તરતી મળી આવે છે. પ્રકૃતિની આ કશું પણ ન સંઘરવાની વૃત્તિ ગુજરાતી ગઝલકારોની નજરે અવારનવાર ચડતી રહી છે. આજે થોડા શેર આ વિષય પર…

બરકત વિરાણી ‘બેફામ’ને લાશના તરવાની આ ઘટના ક્યાંક ખૂબ ઊંડે સ્પર્શી ગઈ લાગે છે. એમની ગઝલોમાં આ વાત અલગ-અલગ સ્વરૂપે અવારનવાર જોવા મળે છે.

હું ડૂબી જઈશ તો પહોંચાડશે એ લાશને કાંઠે
રહેલો છે કોઈ એવોય તારણહાર મારામાં.

જીવતાં જે ભરોસો હતો ઈશ પર, એ મર્યા બાદ બેફામ સાચો પડ્યો,
જાત મારી ભલેને તરાવી નહીં, લાશ મારી પરંતુ તરાવી દીધી.

ખૂબી તો એ કે ડૂબી જાવ તો લઈ જાય છે કાંઠે,
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી.

નહિંતર આવી રીતે તો તરે નહીં લાશ દરિયામાં,
મને લાગે છે કે એણે કિનારે તમને જોયાં છે.

– બરકત વિરાણી ‘બેફામ’

જરા મોડું થયું પણ આખરે એની દયા ઊતરી,
અમસ્તી લાશ કંઈ દરિયા ઉપર તરતી નથી હોતી.
-મરીઝ

સંજોગોના પાલવમાં છે બધું, દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે એક લાશ તરીને આવે છે
– સૈફ પાલનપુરી

ગરકાવ થઇ શકી નહીં ગઝલોના સાગરે
ઊર્મિની લાશ એમાં ડુબાડી શકી નથી
– હીના મોદી

બુદબુદા રૂપે પ્રકટ થઈ ડુબનારાની વ્યથા,
ઠેસ દિલને, બુદ્ધિને પેગામ એવો દઈ ગઈ,
કેવા હલકા છે જુઓ, સાગરના પાણી, શું કહું ?
જીવતો ડૂબી ગયો ને લાશ તરતી થઈ ગઈ !!
– જલન માતરી

ડૂબ્યો નથી, ‘અમર’ને ડૂબાડ્યો છે કોઈએ,
નહિંતર કાં એની લાશને તરવાનું મન થયું?!
-અમર પાલનપુરી

ઘણાં રોજ ડુબી મરે છે છતાં કયાંય પત્તો નથી,
હંમેશાં અહીં લાશ અંતે તરે એ જરૂરી નથી.
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

લાશ કહે છે તરતાં તરતાં,
હાશ હવે ફાવ્યું પાણીમાં.
-મકરંદ મુસળે

હું લાશ થઈ જાઉં તો તરતો થાઉં છું,
ડૂબતો રહું, હું જ્યાં સુધી મરતો નથી.
– વિવેક મનહર ટેલર

શબ પણ તરી શકે છે નદીની ઉપર તો દોસ્ત !
સામા પ્રવાહે તરવું એ છે જિંદગી ખરી.
– વિવેક મનહર ટેલર

Comments (23)

ગઝલ – પંકજ વખારિયા

Pankaj Vakharia_Zanzat tamam padti muki bes thodi vaar
(પંકજ વખારિયાના હસ્તાક્ષરમાં ‘લયસ્તરો’ માટે એક અપ્રગટ કૃતિ)

*

ઝંઝટ તમામ પડતી મૂકી, બેસ થોડીવાર
સાંભળ ભીતરનો સાદ જરી, બેસ થોડીવાર

લોલક સમી છે મનની ગતિ બેસ, થોડીવાર
જંપી જા મધ્યે, છોડ અતિ, બેસ થોડીવાર

જોવાં- ન જોવાં જેવું ઘણું જોયું બસ હવે
જોઈ લે ખુદને આંખ મીંચી, બેસ થોડીવાર

અસ્તિત્વ તારું ડૂબી રહ્યું અંધકારમાં
અંતરમાં એક દીવો કરી, બેસ થોડીવાર

ત્યારે સમસ્ત વિશ્વમાં ઓગળશે તારો ‘હું’
સર્વત્ર રહેશે ‘એક તૂ હિ’, બેસ થોડીવાર

– પંકજ વખારિયા

નવી પેઢીના ગઝલકારોમાં કદાચ પંકજ મારો પ્રિયતર કવિ છે.  એની ગઝલોમાં સપાટી પર રમતો શેર શોધી કાઢવાનું કામ દોહ્યલું છે.  બેસ થોડીવાર જેવી મજાની રદીફ એણે પાંચેય શેરમાં બખૂબી નિભાવી બતાવી છે…

Comments (16)

ગઝલ – જવાહર બક્ષી

દૂરતા કોઈ વખત મોંઘી પડી,
પણ નિકટતા તો સતત મોંઘી પડી.

જીવવા જેવું જ જીવાયું નહીં,
જીવવાની આવડત મોંઘી પડી.

મ્હેંક તારા શહેરમાં સારી હતી,
શ્વાસમાં ગઈ કે તરત મોંઘી પડી.

આમ તો ઘરમાં કશું નહોતું છતાં.
બહાર રહેવાની શરત મોંઘી પડી.

શક્યતાઓમાં સતત સળગ્યા કર્યો,
શબ્દ સાથેની રમત મોંઘી પડી.

-જવાહર બક્ષી

સંબંધમાં અંતર તો ક્યારેક જ તકલીફદાયક હોય છે પણ સાથે રહેવું તો ક્ષણેક્ષણ અગ્નિપરીક્ષા જેવું છે…

Comments (11)

ગઝલ – અલ્પેશ કળસરિયા

શું વ્હાલું, શું દવલું ? વ્હાલા !
સઘળું અહીં તો નવલું, વ્હાલા !

ભભૂત લગાવી બેઠાં સાધુ,
પ્હેર્યું અલખનું ઝભલું, વ્હાલા !

ઘાસ ક્ષણોનું ખાઈ રહ્યું છે,
રિક્ત સમયનું સસલું, વ્હાલા !

જાત-ઇયળને ચણી જવાનું,
એકલતાનું ચકલું, વ્હાલા !

ઘેંટા-બકરાં જેવા આપણ,
ડગલાં પાછળ ડગલું, વ્હાલા !

માનસપટની રેતમાં રખડે,
એક અટૂલું પગલું, વ્હાલા !

– અલ્પેશ કળસરિયા
૯૪૨૭૫૧૧૫૭૩

વાંચતા જ વહાલી લગે એવી મજાની ગઝલ… ખાલીપાનું સસલું ક્ષણોના ઘાસને ખાઈ રહ્યું હોવાનું કલ્પન સવિશેષ સ્પર્શી જાય એવું છે. આપણી ગાડરિયાપ્રવાહની માનસિક્તા પણ સુપેરે ઉપસી આવી છે… પણ આ બધા જ શેરોની ભીડમાંથી જે મારા માનસપટ પર કાયમ માટે અંકાઈ જવાનો છે એ શેર તો આખરી છે… રેતીમાં પડતાં પગલાં તો ભૂંસાઈ જવા જ સર્જાયા હોય છે પણ એકાદ સ્મરણ તો અમીટ છાપ મૂકી જ જતું હોય છે…

Comments (17)

એક પાંદડું – ડેવિડ ઈગ્નાતો

એક પાંદડું પડી રહ્યું ડાળ પર
ઉદાસી કે આશાનો કોઈ સૂર નહીં
એક પાંદડું પડી રહ્યું ડાળ પર
અને કોઈ અસુખ નહીં.
એક પાંદડું : કેવળ પાંદડું
હવામાં, અને એકલતા કે મૃત્યુ વિશેની
કોઈ વાત નહીં. એક પાંદડું અને એ પોતાને ખર્ચી નાખે છે.
ઝૂલીને હળવેથી લહરમાં.

-ડેવિડ ઈગ્નાતો
(અનુ. સુરેશ દલાલ)

એક પછી એક અનાવશ્યક આવરણો દૂર કરીને આપણી છેક પોતાની અંદર સુધી જઈએ તો આપણું ‘હોવાપણું’ પણ ચોક્કસ આ પાંદડા જેવી જ અવસ્થામાં મળે.

હોવું એટલે કે being એટલે કે સરળતા. થવું એટલે કે becoming એટલે કે સંકુલતા.

અત્યારની ક્ષણથી આગળ ન જવું અને અત્યારની ક્ષણથી પાછળ પણ ન પડવું – બસ ઝૂલી લેવું લહેરમાં, આ ક્ષણમાં – એ જ જિંદગી !

Comments (9)

(પત્તાંનો મહેલ) – અદમ ટંકારવી

એના પાયામાં પડી બારાખડી
ચોસલાંથી શબ્દોનાં ભીંતો ચણી

એક તત્સમ બારણું પ્રવેશનું
સાત ક્રિયાપદની બારી ઊઘડી

ભોંયતળિયે પાથર્યાં વિરામચિહ્ન
ને અનુસ્વારોનાં નળિયાં છાપરે

ગોખમાં આઠે વિભક્તિ ગોઠવી
ભાવવાચક નામ મૂક્યું ઉંબરે

થઇ ધજા ફરક્યું ત્યાં સર્વનામ તું
ટોડલે નામોના દીવા ઝળહળ્યા

સાથિયા કેવળપ્રયોગી આંગણે
રેશમી પડદા વિશેષણના હલ્યા

જ્યાં અનુભૂતિનો સુસવાટો થયો
ત્યાં જ આ પત્તાંનો મહેલ ઊડી ગયો

– અદમ ટંકારવી

બહુ કાળજીથી રચેલો નક્શીદાર શબ્દ-મહેલ પણ એક જ અનુભૂતિના પ્રભાવની સામે કાંઈ નથી. અનુભૂતિ હંમેશા શબ્દરમતથી ચડી જ જાય છે. કવિ અહીં ભાષાના વિવિધ તત્વોને બહુ મઝાની રીતે સાંકળી લીધા છે.

Comments (15)

નથી શકતો – ઘાયલ

ઋષિ વાળી શકે છે એમ મન વાળી નથી શકતો,
કરુણતાને ગીતાના શ્લોકમાં ઢાળી નથી શકતો.
કહે છે મોત જેને એ અસલમાં છે જબરજસ્તી,
હરિઈચ્છા કહી એને હું પંપાળી નથી શકતો.

– ઘાયલ

Comments (12)

ગઝલ – આકાશ ઠક્કર

ઊગી ગયું  છે  હાથમાં  તે  ઘાસ  છે
ઝાંખી  થયેલી  મેંદીનો  ઇતિહાસ  છે .

સૂના  પડ્યાં  છે  ટેરવે  વસતાં નગર
લકવો  પડેલાં  સ્પર્શ  તો ચોપાસ  છે .

ભગવી   ધજાને  ફરફરાવે  એ   રીતે
જાણે પવન પણ લઇ રહ્યો સન્યાસ છે .

ઈશ્વર ,  તને  જોયા પછી  સમજાયું છે
બન્ને  તરફ   સરખો   વિરોધાભાસ  છે .

પાંખો મળી  પણ  જાત માણસની મળી
‘આકાશ’માં  પણ  ધરતીનો સહવાસ છે

– આકાશ ઠક્કર

Comments (11)

પળનું પરબીડિયું… – ગૌરવ ગટોરવાળા (ભાગ -૨)

ગયા અઠવાડિયે પ્રજ્ઞાચક્ષુ ગૌરવ ગટોરવાળાના પ્રથમ સંગ્રહના વિમોચન નિમિત્તે મેં આપેલ ટિપ્પણીનો અડધો ભાગ આપણે અહીં જોયો. હવેએ પ્રવચનનો બાકીનો ભાગ માણીએ:

*

Gaurav

*

એવું કહીએ કે કવિ માત્ર પ્રેમની જ વાતો કરે છે તો એ પણ સાચું નથી. કવિ કેટલાક ચિંતનાત્મક શેરો પણ લઈ આવે છે:

આદત સફરની એવી પડી’તી કે શું કહું ?
રસ્તો પૂરો થયો છતાં હું ચાલતો રહ્યો.

ફૂલ સાથે રહી કંઈ ફરક ના પડ્યો,
કંટકો સાવ એવા ને એવા રહ્યા.

પાણીને બદલે ઝાંઝવામાં ફેરવું છું નાવ,
ડૂબી જવાની એટલે ચિંતા નથી હવે.

તેં પરિચય કરાવ્યો ભીતરનો મને,
તારો હે રિક્તતા ! ખૂબ આભાર છે.

ચિંતનાત્મક શેર ક્યારેક ઉપરથી ખૂબ સાદા દેખાતા હોય છે પણ એમની આ છેતરામણી સાદગીની પાછળનું સાચું સૌંદર્ય ચૂકી જવાય તો સરવાળે ભાવકને જ નુક્શાન થાય છે. એક ઉદાહરણ જોઈએ:

હે પ્રભુ, આ તો યંત્ર છે કોઈ,
તેં બનાવેલો માનવી ક્યાં છે ?

– આ શેર ઉપરથી કેટલો સરળ લાગે છે! પણ સહેજ વિચારતાં માલુમ પડે છે કે કવિએ એક નાની બહેરના શેરની બે જ પંક્તિમાં કેટલી મોટી વાત કરી દીધી છે ! છીપ ધીમેથી ઊઘડે અને અંદરથી મોતી જડે એવો છે આ શેર. ફરી સાંભળીએ:

હે પ્રભુ, આ તો યંત્ર છે કોઈ,
તેં બનાવેલો માનવી ક્યાં છે ?

એવો જ એક અદભુત શેર આ સંગ્રહમાંથી મળી આવે છે. ગુજરાતી સાહિત્યના ચિરસ્મરણીય શેરોની યાદીમાં આસાનીથી સમાવિષ્ટ થઈ શકે એવો. જુઓ:

ક્યારનો મંજિલ ઉપર પહોંચી ગયો હોત,
હર કદમ પર મુજને આ રસ્તા નડે છે.

કવિ શબ્દો વડે મજાનું ચિત્ર પણ ખડું કરી શકે છે. સૌંદર્ય અને પ્રકૃતિને પણ કવિ એટલા જ વહાલથી અડે છે:

સ્પર્શવી છે સુગંધને ‘ગૌરવ’,
પણ પવન જેવી આંગળી ક્યાં છે ?

આ કવિ શબ્દ અને મૌનની વચ્ચેના એકાંતને પણ અડકી શકે છે. એ મૌનની તાકાત પણ જાણે છે અને શબ્દોના વિસ્ફોટથી પણ પરિચિત છે. જુઓ:

શબ્દ ફાટે છે ક્યારેક એવી રીતે,
મૌનમાં પણ તિરાડો પડી જાય છે.

હોઠના ઘરમાં પ્રવેશી ચુપકીદી,
ને બિચારો શબ્દ બેઘર થઈ ગયો.

– આ થઈ ગૌરવની ગઝલો વિશે થોડી વાત. એની ગઝલોમાં કેટલું સત્વ છે એ જોયું. હવે એની ગઝલો ક્યાં નબળી પડે છે એ પણ જોઈ લઈએ. ગૌરવના સંગ્રહમાંથી પસાર થતી વખતે બે વસ્તુ મને સતત ખટકી. એક તો છંદના નાવીન્યનો અભાવ અને બીજું કાફિયાની સજ્જતાની કમી. ગઝલની હવે પછીની ગઝલો પાસેથી છંદબાહુલ્ય અને ચુસ્ત કાફિયાની અપેક્ષા રાખી શકાય…

સરવાળે ગૌરવની ગઝલો  ઊર્મિપ્રધાન છે અને ઉજળું ભવિષ્ય ધરાવે છે… આંખની કમી એની ગઝલોને ક્યાંય નડી નથી, ઊલટી એની સંવેદનાને એના કારણે વધુ ધાર મળી હોય એમ જણાય છે.

ગૌરવને ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

(‘પળનું પરબીડિયું’  કિંમત ૬૦ રૂ., સાંનિધ્ય પ્રકાશન, ૧૦૦, શાંતિકુંજ સોસાયટી, પાલનપુર જકાતનાકા, સુરત–૯)

કિરણસિંહ ચૌહાણના સાંનિધ્ય પ્રકાશનની આકર્ષક યોજના અને આ કાર્યક્રમનો ટૂંકસાર આપ અહીં માણી શકો છો.

Comments (8)

વહાલ વાવવાની વાત (ભાગ:૨) – ગૌરાંગ ઠાકર

નવમી મેના રોજ ગૌરાંગ ઠાકરના બીજા ગઝલસંગ્રહ- વહાલ વાવી જોઈએ-ના e-વિમોચન (e-મોચન)માં આપણે જોડાયા. આજે એ સંગ્રહના ઉત્તરાર્ધના કેટલાક શાનદાર-જાનદાર શેર મમળાવીએ:

પવન તો બાગથી ખુશબૂ લઈને જઈ રહ્યો છે,
અને આ ફૂલથી પાછળ જવાય એવું નથી.

એ બધું છોડીને બેઠો છે અહીં.
એટલે તો સર્વગ્રાહી થાય છે.

મારું સઘળું એ ધ્યાન લઈ બેઠા,
જાણે ઈશ્વરનું સ્થાન લઈ બેઠા !

માત્ર સરનામું એમણે દીધું,
ને અમે ત્યાં મકાન લઈ બેઠા.

ધોવાણ કે પુરાણ બંને ગતિથી થાય,
કાંઠે ઊભા રહો પછી સમજાઈ જાય છે.

પ્રેમની પળનો વિલય હોતો નથી,
ફક્ત આપણને સમય હોતો નથી.

હવે આ સદનની સજાવટ બહુ થઈ,
જે ભીતરમાં ખૂલે તે બારી બનાવું.

વરસ્યા વિનાનાં વાદળો જોઈને થયું એમ,
ડૂમાથી અહીં ઓગળી આંસુ ન થવાયું.

કમ સે કમ એવું તો ના બોલો હવે,
મારી સાથે બોલવા જેવું નથી.

તારા સુધી જવા મને પરવાનગી હતી,
કારણ કે મારી યોગ્યતા દીવાનગી હતી.

જળથી વરાળ થઈ પછી વાદળ બનાય છે
મારામાં શું થયા પછી માણસ બનાય છે ?

મનની તરસ વિશે તમે એને પૂછો નહીં,
દરરોજ હોડી લઈને એ મૃગકળમાં જાય છે.

પર્વતની છાતી જોઈને ઝરણાંને મેં કહ્યું,
તારા ગયાનાં સળ, તને ક્યાંથી ખબર પડે ?

એક તો આજે પવનમાં છત ગઈ,
ને ઉપરથી ઝીણું દળવાનું થયું.

દર્પણમાં રોજ જોઉં તો કૈં પણ થતું નથી,
તમને મળીને કેટલો બદલાઈ જાઉં છું.

મન મુજબ જીવ્યા પછી એવું થયું,
મન વગરના થઈ જવાનું મન થયું.

હું કશું પણ મેળવીને શું કરું ?
હોય છે આનંદ બસ, તલસાટમાં.

બધા ફૂલોનું ઝાકળ પાછું આપે,
નહીં તો સૂર્ય રાજીનામું આપે.

Comments (19)

ગઝલ – ગની દહીંવાલા

લે કાળ ! તને સંતોષ થશે, હું તારે ઈશારે ચાલું છું,
જીવનની સફર પૂરી કરવા તલવારની ધારે ચાલું છું.

ચોમેરથી થપ્પડ મારે છે તોફાનનાં ધસમસતાં મોજાં,
લોકોની નજર તો નીરખે છે, હું શાંત કિનારે ચાલું છું.

ફૂટીને રડે છે મુજ હાલત પર મારા પગનાં છાલાંઓ,
કંટકથી ભર્યા પંથે આંખો મીંચીને જ્યારે ચાલું છું.

છે નામનો ગૃહસ્થાશ્રમ પણ ઠરવાનો વિસામો ક્યાંય નથી,
જ્યાં થાક જીવનને લાગે છે, હું તેમ વધારે ચાલું છું.

થાકીને ઢળી જ્યાં દેહ પડે, બસ ત્યાં જ હશે મંઝિલ મારી,
એથી જ હું નિજને થકવું છું, બસ એ જ વિચારે ચાલું છું.

સંકટ ને વિપદના સંજોગો ! વંટોળ ને આંધીનાં દૃષ્યો !
સોગંદથી કહેજો હું તમથી ગભરાઈને ક્યારે ચાલું છું ?

ઓ સૂરજ, ચંદ્ર, સિતારાઓ ! ઓ આકાશે ફરનારાઓ !
આ ધરતી પર ચાલી તો જુઓ, જ્યાં સાંજ સવારે ચાલું છું !

વ્હેતી આ સરિતા જીવનની, સુખ–દુઃખ એના બે કાંઠાઓ,
લઈ જાય છે મારું ભાગ્ય ‘ગની’, હું એક કિનારે ચાલું છું.

-ગની દહીંવાલા

‘હૈ તો હૈ’ ફેમ દિપ્તી મિશ્રના સંગ્રહની પ્રસ્તાવનામાં કાલે એક મજાની વાત વાંચી. એ કહે છે કે જીવનના ઋણમૂલક (-)ને જેમ જેમ ઊભી લીટીથી કાપતી ગઈ એમ એમ ધનમૂલક (+) થતું ગયું… નકારાત્મકતાને સકારાત્મક્તામાં ફેરવવાની આ વાત કેવી મજાની છે! આ આખી ગઝલ આજ વાતનો પડઘો નથી?!

Comments (10)

ગોરખ આયા ! – રાજેન્દ્ર શુક્લ

આંગન આંગન અલખ જગાયા, ગોરખ આયા,
જાગો રે જનનીના જાયા, ગોરખ આયા !

ભીતર આકે ધૂમ મચાયા, ગોરખ આયા,
આદિ શબદ મિરદંગ બજાયા, ગોરખ આયા !

જટાજૂટ જાગી ઝટકાયા, ગોરખ આયા,
નજર સધી, અરૂ બિખરી માયા, ગોરખ આયા !

નાભિકંવરકી ખૂલી પાંખુરી ધીરે ધીરે,
ભોર ભઈ, ભૈરવસૂર ગાયા, ગોરખ આયા !

એક ઘરીમેં રૂક્યો સાંસ કે અટક્યો ચરખો,
કરમધરમની સિમટી કાયા, ગોરખ આયા !

ગગન ઘટામેં એક કરાકો, બિજરી હુલસી,
ઘિર આયી ગિરનારી છાયા, ગોરખ આયા !

લગી લેહ, લેલીન હુએ અબ ખો ગઈ ખલકત,
બિન માંગે મુગતાફર પાયા, ગોરખ આયા !

– રાજેન્દ્ર શુક્લ

બે દિવસ પર મૂકેલી કવિશ્રીની ચેત મછંદર ગઝલની સાથેની આ યુગ્મ-ગઝલ આજે મૂકવાની લાલચ છોડી શકતો નથી. ‘ગોરખ આયા’ એટલે ચેતનાનો ચમકરો થવાની ઘટના. ચેતનાની ક્ષણનું આવું સબળ વર્ણન કવિશ્રીના ઘૂંટાયેલા અંતરનાદની સાહેદી પૂરે છે.

ગોરખ-મછંદરની કથા વાંચવાની ઈચ્છા થાય તો એ અહીં મૂકી છે. ( દિનકર જોશીના પુસ્તક ગ્લિમ્પસીસ ઓફ ઈન્ડિયન હિસ્ટરીમાંથી)

(અલખ=પરમેશ્વર, અરૂ=અને, કરાકો=કડાકો, લેહ=લગની, ખલકત=આદત, સૃષ્ટિ)

Comments (7)

એક ઉઝરડે – અમર પાલનપુરી

ઈર્ષ્યા જ્યારે આળસ મરડે,
ખાર તો શું, ખુદ ફૂલો કરડે.

ધોઇ નાખ્યા હાથ સ્વજનથી,
કોણ હવે શત્રુમાં ખરડે ?

ભૂલ્યા કેમ ભુલાશે મિત્રો ?
ઘાવ હજુ તાજા છે બરડે !

ઊંડા ઘા તો કૈંક સહ્યા, પણ –
જાન ગયો છે એક ઉઝરડે.

મેરુનો મહિમા ગાનારા,
અંજાયા છે એક ભમરડે !

કહેશે કોણ ઝવેરી તમને ?
ફેંકી દીધાં રત્ન ઉકરડે !

રાખ્યું નામ अमर એથી શું?
કોને છોડ્યો મોતના ભરડે ?

– અમર પાલનપુરી

અમર પાલનપુરીને હજુ પણ ઘણા લોકો એક ઉઝરડે શેરથી ઓળખે છે.  બીજો શેર પણ એટલો જ પ્રખ્યાત છે.  પરંપરાગત શૈલી છતાં ગઝલ આજે ય આકર્ષક લાગે છે.

Comments (18)

ચેત મછંદર ! – રાજેન્દ્ર શુક્લ

ના કોઈ બારું, ના કોઇ બંદર, ચેત મછંદર,
આપે તરવો આપ-સમંદર, ચેત મછંદર !

નિરખે તું તે તો છે નિંદર, ચેત મછંદર,
ચેતવ ધૂણો ધીખી અંદર, ચેત મછંદર !

કામરૂપણી દુનિયા દાખે રૂપ અપારા,
સુપના લગ લાગે અતિ સુંદર, ચેત મછંદર !

સૂન શિખરની આગે આગે શિખર આપણું,
છોડ છટકણા કાળની કંદર, ચેત મછંદર !

સાંસ અરૂ ઉસાંસ ચલાકર દેખો આગે,
અહાલેક ! આયા જોગંદર, ચેત મછંદર !

દેખ દિખાવા સબ ઢરતા હે ધૂરકી ઢેરી,
ઢરતા સૂરજ, ઢરતા ચંદર, ચેત મછંદર !

ચડો ચાખડી, પવનપાવડી, જયગિરનારી,
ક્યા હે મેરુ ક્યા હે મંદર, ચેત મછંદર !

– રાજેન્દ્ર શુક્લ

સ્થૂળને ઓળંગી જવાની સલાહ કવિ પોતાની લાક્ષણિક શૈલીમાં આપે એની મઝા જ કંઈ ઓર છે. જીવનની મરિચિકાઓની ચેતવણી આપીને  કવિ ‘આપ-સમંદર’ને તરવાનો સીધો રસ્તો બતાવે છે.

(ધૂણો=અગ્નિકુંડ, અપારા=અપાર, સૂન=શૂન્ય, કંદર=ગુફા, અરૂ=અને, ઉસાંસ=ઉચ્છવાસ, અહાલેક= ઈશ્વરના નામનો પોકાર, ધૂરકી ઢેરી=ધૂળની ઢગલી, ઘાસની ઢગલી, પવનપાવડી= આકાશમાં ઊડી શકાય એવી જાદુઈ પાવડી, પવન જેવી ઉતાવળી દોડ )

Comments (17)

પળનું પરબીડિયું… – ગૌરવ ગટોરવાળા (ભાગ -૧)

કાનજીભાઈ દેસાઈ સમાજ શિક્ષણ ભવન હૉલ, સુરત ખાતે આજે સવારે શ્રી કિરણસિંહ ચૌહાણના ‘સાંનિધ્ય પ્રકાશન’ના શ્રીગણેશ પ્રજ્ઞાચક્ષુ ગૌરવ ગટોરવાળાના પ્રથમ ગઝલ સંગ્રહના વિમોચન સાથે થયા હતા. આ પ્રસંગે કિરણસિંહ ચૌહાણે પોતાની સંસ્થાની કેફિયત આપી હતી. રઈશ મનીઆરે કવિપ્રતિભાનો પરિચય અને બે ગઝલોનું પઠન કર્યું હતું અને ગૌરવે પોતાની જીવનયાત્રા અને ગઝલયાત્રાને મંત્રમુગ્ધ કરી દેતી શૈલીમાં વ્યક્ત કરી હતી.  આ પ્રસંગે મેં સંગ્રહની સમીક્ષા કરી હતી જે અક્ષરશઃ નીચે સમાવિષ્ટ છે:

P5166019_thumb
(ગૌરવ ગટોરવાળાની કથા અને વ્યથા એમના જ મુખે)

*

પળનું પરબીડિયું – સમીક્ષા: વિવેક ટેલર

P5166004
(સંગ્રહની મીમાંસા….                                  …વિવેક મનહર ટેલર)

ગઝલના ગામમાં મારી પોતાની કોઈ ઓળખ છે કે નહીં હજી તો એય હું જાણતો નથી અને ગૌરવના ગઝલસંગ્રહ વિશે ટિપ્પણી આપવા જેવું કામ માથે આવી પડ્યું. પણ મિત્ર કિરણસિંહના અનુરોધની અવગણના પણ શી રીતે કરી શકું? ગૌરવને આ પૂર્વે એક જ વાર એક કવિસંમેલનમાં સાંભળવાનું થયું છે પણ રૂબરૂ મુલાકાત કદી થઈ નથી એટલે આ કવિને હું પહેલવહેલીવાર એની ગઝલોની ગલીઓમાં મળી રહ્યો છું એમ કહું તો અતિશયોક્તિ નથી.

સંગ્રહની ચોપ્પન ગઝલોમાંથી આ ટિપ્પણીના બહાને અવારનવાર પસાર થવાનું થયું અને સાચું કહું તો મજા આવી. આ કવિ માત્ર સ્પર્શ અને શ્રુતિના સહારે આ વિશ્વને જુએ છે. એ અવાજને અડી શકે છે અને રંગોને જોઈ શકે છે એની પ્રતીતિ આ સંગ્રહના પાનેપાને થતી રહે છે. એની આંખોની સામે અંધારું છે પણ એના દિલમાં ઊર્મિઓનું અજવાળું છે. એના પગ નીચેનો રસ્તો રણમાં દિશાહીન થઈ જનારા મુસાફર જેવો વિકટ છે પણ એની પાસે સંવેદનાના ઊંટ છે જે એને કવિતાના રણદ્વીપ સુધી ખેંચી લાવ્યા છે. સરવાળે આ સંગ્રહમાંથી પસાર થઈએ ત્યારે કવિ આપણને ગઝલિયતના સમ્યક્ દર્શન કરાવવામાં સફળ રહે છે.

ગૌરવની ગઝલોનો આ પહેલો આલેખ છે. બાળક જ્યારે પ્રથમવાર ચાલવાની કોશિશ કરે ત્યારે એ પડે-આથડે જરૂર છે, ગૌરવની ગઝલોમાં પણ બાળકના પહેલા પગલા જેવી અસ્થિરતા કવચિત્ નજરે ચડે છે પણ જે મુખ્ય વસ્તુ એની ગઝલોમાં નજરે ચડે છે એ છે એની સૌંદર્ય-દૃષ્ટિ. એની ગઝલોમાં પરંપરાના પ્રતીકો છે પણ એ પ્રતીકોને નવો જ ઓપ આપતા કલ્પનોની તાજગી છે. એની ગઝલોમાં હવે પછીના પગલાંમાં આવનારી મક્કમતા નજરે ચડે છે.

આ કવિ પોતાની હદોથી વાકેફ છે. એટલે જ કહે છે:

હદને વટાવવાનો તો પ્રશ્ન જ થતો નથી,
મારી હદોનું થાય જુઓ વિસ્તરણ સતત.

કવિ પ્રજ્ઞાચક્ષુથી કામ લે છે. પ્ર એટલે વિશેષ અને જ્ઞા એટલે જાણવું. પ્રજ્ઞાચક્ષુ એટલે બુદ્ધિરૂપી કે જ્ઞાનરૂપી નેત્રથી જોનાર. આ માણસ કેવો પ્રજ્ઞાચક્ષુ છે એ એના આ શેરો પરથી જાણી શકાય છે :

ફૂલની સૌરભને ‘ગૌરવ’ સ્પર્શવા,
આંગળીના ટેરવાંનું કામ શું ?

જુઓ, ગઝલના શેરોમાં એની દૃષ્ટિ કેવી ખુલી છે!:

ખંજન ભરેલા ગાલના આ કેનવાસ પર,
આંસુનું ચિત્ર દોરતા પહેલાં વિચાર કર.

આંખો અને સ્વપ્નોને લગતા કેટલાક શેર માણીએ:

સ્વપ્ન થઈને આવ યા આંસુ થઈને આવ તું,
કોઈપણ રીતે ભરી જા મારી આંખો ખાલીખમ.

ઊંઘ વચ્ચે જ તૂટી ગઈ એટલે,
સ્વપ્ન મારા ફરીથી અધૂરા રહ્યા.

તારી પાંપણનો નરમ તકિયો કરી,
તારી આંખોમાં જ ઊંઘી લેવું છે.

કેટલાયે તૂટી ગયા શમણાં
તોય આંખો હજી ક્યાં ખૂલી છે ?

– આ કવિ જેમ આંખના શેર વધુ કહે છે એમ જ આંસુ પણ એની ગઝલોમાં અવારનવાર નજરે ચડે છે:

ધોઈ લઉં છું રોજ આંસુથી ખૂણાઓ આંખના,
તે છતાં અવશેષ ખંડિત સ્વપ્નનાં રહી જાય છે.

આંખને પણ થાક લાગ્યો પણ અલગ રીતે જરા,
તેથી પરસેવાને બદલે આંસુના ટીપા પડ્યા.

ખરખરો કરવાને આવ્યા આંસુઓ,
કોઈ ઇચ્છા પામી લાગે છે મરણ.

ક્યાંક નવસર્જન થયું આંસુ થકી,
ક્યાંક સર્જાયેલું ભૂંસાઈ ગયું.

આંસુ અટક્યું છે નયનના ઉંબરે કેમ?
એને નક્કી કોઈ મર્યાદા નડે છે.

ગૌરવ નવયુવાન કવિ છે, અપરિણિત છે અને ગઝલ જેવા પ્રણયોર્મિના સાગરને અડે છે એટલે સાહજિક પ્રણયોદ્ગાર પણ એમની ગઝલોમાં આવવાનો જ. પ્રેમની નજાકતના કેટલાક અશ્આર જોઈએ:

જ્યારથી મોતી જડાયું છે તમારા નામનું,
ત્યારથી આ જિંદગીનો હાર ઝગમગ થાય છે.

મેં મને મારામાં શોધ્યો બહુ વખત,
પણ પછી જાણ્યું હું તારામાં હતો.

મહેકી ઊઠ્યું છે આજ બગીચાનું રોમ-રોમ,
લાગે છે કોઈ ફૂલને ચૂમી ગયો પવન.

તેં ટકોરા કર્યા તો જાણ્યું કે
દિલને પણ હોય બારણાં જેવું.

અને પ્રણયરસથી તરબતર આ શેર જુઓ, એનું કલ્પન જુઓ, એની તાજગી અને કવિની મસ્તી જુઓ:

તારી અદામાં ઊઠતા વમળોને જોઈને,
ક્યારેક થાય છે કે તને હું નદી કહું.

એક બીજો પ્રણયરસનો શેર:

જાણ પણ ના થઈ મને કે કોઈ પર,
આટલો અધિકાર મારો થઈ ગયો.

રેતીઓ થઈ ગઈ કમળ ને થઈ ગયું મૃગજળ તળાવ,
દિલના ઉજ્જડ રણમાં જ્યારે આપના પગલા પડ્યા.

અને દોસ્તો, જ્યાં પ્રણય આવે ત્યાં પ્રણયભંગ પણ આવે. મિલન આવે ત્યાં જુદાઈ પણ આવે. વસ્લની પાછળ પાછળ સ્મરણ પણ આવે જ. અને પ્રણયપ્રચૂર શેર કરતાં પ્રણયભગ્ન હૈયાને ચીસો હંમેશા વધુ આસ્વાદ્ય જ હોવાની. કેટલાક શેર જોઈએ:

તારા પર મારો ભલે કંઈ હક્ક નથી,
પણ હજી પણ મારું છે તારું સ્મરણ.

પ્રતીક્ષા ઉપર ગાલિબની કક્ષાનો કહી શકાય એવો આ શેર જુઓ:

જિંદગી પૂરી થવા આવી હવે,
ક્યાં છે તારી યાદનો છેડો ? બતાવ.

કોઈ પર્વત જેવું ભારેખમ નથી તારું સ્મરણ,
તોય ભારણ દિલ ઉપર વર્તાય છે એકાંતમાં.

(બાકીની સમીક્ષા આવતા શનિવારે…..)

***

P5166014_thumb
(કવિપ્રતિભાનો પરિચય…                           …રઈશ મનીઆર)

*

P5165980
(‘સાંનિધ્ય પ્રકાશન’ના શ્રીગણેશ…                 …કિરણસિંહ ચૌહાણ)

*

P5166011
(પળનું પરબીડિયું…..                                 ….વિમોચન વિધિની પળો)

Comments (25)

એકલો દરિયો – સુરેશ દલાલ

આટઆટલી પથરાઈ છે રેતી તોયે સાવ એકલો દરિયો;
મોજાંઓની માયા અહીંયાં વહેતી તોયે સાવ એકલો દરિયો !

બપોરના સૂરજમાં એની એકલતા અમળાય
અને રાતના અંધારું થઈ એકલતા સંભળાય.
રંગરંગની માછલીઓ ને મોતી તોયે સાવ એકલો દરિયો !
મોજાંઓની માયા અહીંયાં વહેતી તોયે સાવ એકલો દરિયો !

પંખીની છાયામાં દરિયો કણસે ખારું ખારું,
તરડાયેલા તરંગથી હું ચહેરાને કંડારું.
ઝીણીઝીણી જાળ નજરની જોતી : મારો સાવ એકલો દરિયો
મોજાંઓની માયા અહીંયાં વહેતી તોયે સાવ એકલો દરિયો.

-સુરેશ દલાલ

ભાગ્યે જ કોઈ કવિએ એકલતા વિષે નહિ લખ્યું હોય….પરંતુ શું ખરેખર એકલતા એ મૂળભૂત સનાતન સત્ય નથી ? એકલતાની પીડાને સાવ નકારી તો ન શકાય પરંતુ જરાક વધુ વિચારતા બુદ્ધની વાત સામે આવ્યા વગર રહેતી નથી- do not be alone to learn but learn to be alone. અત્યંત સમીપનું સ્વજન પણ એક અલાયદું અસ્તિત્વ જ છે-ભલે વીણાના સઘળા તાર એક લયમાં કંપન કરી જીવનને ધન્ય કરતુ સંગીત ઉપજાવતા હોય,પણ પ્રત્યેક તાર શું એકલતાની ફરિયાદ કરતો હશે ? સતત આપણાં મૂળભૂત એકલાપણાના ભાન સાથે જીવનના પ્રવાહોમાં વહેતા રહીએ તો કદાચ જળકમળવત જીવવાનો આદર્શ સાર્થક કરી શકાય. પ્રત્યેક જીવ મૂળભૂત રીતે એકલો જ હોય છે.

Comments (11)

સ્વપ્નમાં – (રશિયન) આન્ના આખ્માતોવા (અનુ. સુરેશ દલાલ)

કાળી, કાયમની જુદાઈ
તારા જેટલી જ તારી સાથે હું સહન કરું છું.
તું રડે છે શા માટે ? એના કરતાં તો મને આપ તારો હાથ,
ફરી પાછું સ્વપ્નમાં આવવાનું વચન આપ.
તું અને હું છીએ ન ખસી શકીએ એવા વેદનાના પ્હાડ….
તું અને હું આ પૃથ્વી પર કદી નહીં મળીએ.
મધરાતે જો તું મોકલી શકે તો મોકલ
તારાઓ મારફત શુભેચ્છા.

-આન્ના આખ્માતોવા (રશિયન)
અનુ. સુરેશ દલાલ

કાળો રંગ અભાવનો રંગ છે. જુદાઈ એટલે જ આપણને કાળી લાગે છે. પહાડ ચસી શક્તા નથી એટલે પહાડની દૃઢતાથી જમાનાએ જેમને અલગ-અલગ જમીનમાં રોપી દીધા છે એવા પ્રેમીઓ પણ જાણે જ છે કે આ જન્મમાં હવે એમનું મિલન શક્ય નથી… તો વિરહની આ કારમી કાળી રાત્રિઓ પસાર કેમ કરવી?  બંનેની વેદના સમાન છે. બંનેનુઆ સ્વપ્ન પણ સમાન છે અને બંનેની જમીન ભલે અલગ હોય, આકાશ અને આકાશમાંના તારા પણ એકસમાન છે…

પ્રણયનું આવું ચરમસીમાદ્યોતક કાવ્ય આ પહેલાં વાંચ્યું હોવાનું સ્મરણ નથી…

Comments (8)

ચિનુ મોદી

આપણા માટે સમજદારી નથી
મારી વાતો સાચી છે, સારી નથી.

વાવના એકાંત વચ્ચે કાંકરી,
પાણી જેવી સાવ નોધારી નથી.

એક બે કિસ્સાથી હું બદનામ છું
મારી આખી રાત ગોઝારી નથી.

સૂર્ય છો ને ઊગ્યો અડધી રાતના!
ઓસના ફૂલોમાં કંપારી નથી.

દોડતા શ્વાસો અટકવા જોઇએ
મારી ઇચ્છા મારી લાચારી નથી.

-ચિનુ મોદી

ચિનુ મોદીની ગઝલોનો પોતીકો જ અવાજ છે. એમના શેર જેટલા સરળ ભાસે છે એટલા જ એ ઊંડા પણ હોય છે.  ચિનુભાઈ ગઝલ નથી લખતા, જિંદગી લખે છે માટે જ એમના શેર દરેકને પોતાની અત્મકથાના પાનાં જેવા લાગે છે. એ સાચી વાત કરે છે અને ચેતવે પણ છે કે આ વાતો સાચી છે એટલે એ સારી હોવાની શક્યતા ઓછી છે. સત્ય તો હંમેશા કાંટાળુ જ હોવાનું અને આ દુર્યોધનોની દુનિયામાં સાચું બોલવું એ સમજદારી પણ તો નથી…

Comments (11)

ગઝલ – જગદીપ ઉપાધ્યાય

વસંતો તણા દિવસોમાં કદી આપણે છોડી મળતા ગુલાબોની વચ્ચે,
ગયો એ જમાનો ! થતી ક્યાં હવે તો કદીયે મુલાકાત ખ્વાબોની વચ્ચે !

નથી હાસ્ય તારા અધર પર અસલ એ, નથી આંસુઓ આંખ વચ્ચે ખરા એ,
ગયું આવડી જીવવાનું મને પણ છુપાવી સંબંધો નકાબોની વચ્ચે !

ગયો આજ ભૂલી જગા એ જ્યાં મળતા, થતું; કાલ ભૂલી તને પણ જવાનો,
ગઈ પસ્તીમાં એ કિતાબો; ખતો કે ફૂલો રાખતા જે કિતાબોની વચ્ચે !

પળો કોઈ વેળા ફરી સાંજની એ અકળ મૌન થઈને અહીંયા વહે છે,
નથી મેં કર્યાં એ સવાલોની વચ્ચે, નથી તેં દીધા એ જવાબોની વચ્ચે.

મજાઓની મારી કથા એમ છે કે ભરું ખાલીપો મિજલસોમાં જઈ હું,
મળ્યાં છે ખબર કે નથી તુંય સુખી કનક, મોતીઓ, કિનખાબોની વચ્ચે.

– જગદીપ ઉપાધ્યાય

લાંબી બહેરની ગઝલો ટૂંકીટચ રદીફ સાથે આલેખવી હંમેશા અઘરું બની રહે છે પણ અહીં લગાગાના આઠ ધ્વન્યાત્મક આવર્તનોથી નિપજતી લયબદ્ધ સુરાવલિઓની આડે પણ કવિ સરસ કવિકર્મ કરી શક્યા છે અને સરવાળે આપણને એક આસ્વાદ્ય ગઝલ મળી છે.  આખી ગઝલમાં ક્યાંય ભારીખમ્મ વાતો નથી કે નથી જોડણીકોશોમાં સંતાઈ રહેલા કલ્પનો… આખી ગઝલ બોલચાલની ભાષાના શબ્દો અને રોજબરોજના પ્રતીકોની મદદથી જ લખાઈ છે પણ બધા જ શેર સોંસરવા ઉતરી જાય એવા સરસ થયા છે…

Comments (7)

પળ આવી – આદિલ મન્સૂરી

ડગલું ભરવાની પળ આવી,
મેરુ ચળવાની પળ આવી.

પાંપણ ઢળવાની પળ આવી,
સપનું ફળવાની પળ આવી.

ઘરખૂણે ખોવાઈ ગયા ત્યાં,
રસ્તે જડવાની પળ આવી.

આંખો બંધ કરીને બેઠા,
મૌન ઊઘડવાની પળ આવી.

મંજિલ ડગલું માંડ હતી ત્યાં,
પાછા વળવાની પળ આવી.

જો પાછાં અંધારાં ઊતર્યાં,
દીવો કરવાની પળ આવી.

દરિયા તો સૂકાઈ ચાલ્યા,
મૃગજળ તરવાની પળ આવી.

છૂટા માંડ પડ્યા ત્યાં આદિલ,
પાછા મળવાની પળ આવી.

– આદિલ મન્સૂરી

એક પળમાં આખી જિંદગીને બદલી નાખવાની તાકાત હોય છે. એ કાવડમાં એકસાથે, ગઈ પળ અને આવનારી પળ , બન્નેને જતનથી ઊંચકીને ફરવાની કળાનું નામ છે જિંદગી.

Comments (9)

માંગી શક્યા નહીં… – રઈશ મનીઆર

હું, તું… હતા ને સામે તો સેના ઊભી હતી.
કેવો હતો સમય અને કેવી ઘડી હતી ?
માંગી શક્યા નહીં કોઈ વરદાન, બાકી તો…
તારો જ રથ હતો અને આ આંગળી હતી…

– રઈશ મનીઆર

Comments (14)

હવે તે સલામતીપૂર્વક મૃત્યુ પામ્યો છે – કાર્લ વેન્ડેલ હાઈન્સ

હવે તે સલામતીપૂર્વક મૃત્યુ પામ્યો છે.
ચાલો તેનાં થોડા વખાણ કરીએ
તેની કીર્તિના સ્મારકો રચીએ
તેને માટે પ્રાર્થનાઓ ગાઈએ.

મૃત્યુ પામેલા વીરો ભારે સગવડ કરી આપે છે.
તેમની જિંદગી પરથી આપણે ઘડી કાઢેલી
મૂર્તિઓને પડકારવા તેઓ કદી ઊભા પણ થઈ શકે ?

અને વળી,
વધારે સારી દુનિયા રચવા કરતાં
સ્મરકો બાંધવાં સહેલાં છે.

તો હવે તે સહીસલામત રીતે મૃત્યુ પામ્યો છે ત્યારે
આપણે નિરાંત જીવેથી
આપણાં સંતાનોને શીખવશું
કે તે કેવો મોટો માણસ હતો … જાણીએ છીએ
કે જે કારણ માટે તે જીવ્યો
તે તો હજીયે એમનું એમ જ છે.
જે સ્વપ્ન માટે તે શહીદ થયો
તે હજીયે સ્વપ્ન જ છે,
મરેલા માણસનું સ્વપ્ન.

– કાર્લ વેન્ડેલ હાઈન્સ
( અનુવાદ : જયા મહેતા)

દરેક પ્રજાને પોતાના શહીદો ખૂબ વહાલા હોય છે. ને સ્મારકો પર ફૂલો ચડાવવામાં કોઈ કરતા કોઈ પાછળ પડતું નથી. પણ એ શહીદી પાછળના મૂળ વિચારને કે એ કાર્યને આગળ વધારવા માટે કોઈ તૈયાર થતું નથી. ‘હવે એ સલામતીપૂર્વક મૃત્યુ પામ્યો છે’ એ પહેલી જ લીટીમાં જ કવિએ એવો ફટકો માર્યો છે કે એની કળ છેલ્લે સુધી વળતી નથી.

વધારે સારી દુનિયા રચવાનું આપણું ગજુ નથી, આપણે તો સ્મારકો જ બાંધી શકીએ એમ છીએ.

Comments (14)

વહાલ વાવવાની વાત (ભાગ:૧) – ગૌરાંગ ઠાકર

કવિનું પગલું વામનના પગલાં સમું હોય છે. વામન ત્રણ પગલાંમાં ત્રણ લોક માપી લે છે તો કવિ પણ પગલે-પગલે એક નવું જ લોક, નવું જ બ્રહ્માંડ આંકતો હોયુ છે. ‘મારા હિસ્સાનો સૂરજ’ પછી ‘વહાલ વાવી જોઈએ’ ગૌરાંગ ઠાકરનું બીજું પગલું છે. અને કવિની ગઝલોનો ગ્રાફ વામનના પગલાંની જેમ અહીં પણ વધુ ઊંચે જતો અને વિસ્તરતો હોવાની પ્રતીતિ થાય છે.

Gaurang Thaker

(કવિશ્રી ગૌરાંગ ઠાકર એમની લાક્ષણિક અદામાં… )

*

આજે સુરત ખાતે સાંજે ગૌરાંગ ઠાકરના આ બીજા ગઝલ સંગ્રહનું વિમોચન થનાર છે પણ એ પહેલાં ખાસ ‘લયસ્તરો’ અને એ દ્વારા નેટ-ગુર્જરીના તમામ વાચકો માટે આ આગોતરું ઇ-વિમોચન આપણે અત્યારે કરી રહ્યા છીએ… કવિશ્રીને આ ખાસ પ્રસંગે ખાસમખાસ અભિનંદન અને અંતઃકરણપૂર્વકની શુભકામનાઓ.

આ સંગ્રહની કેટલીક ગઝલો આપણે ‘લયસ્તરો’ પર આપણે અગાઉ માણી જ ચૂક્યાં છીએ પણ વહાલ આવી જાય એવા કેટલાક શેર આપણી સંવેદનાની વાડ પર વાવી જોઈએ:

બસ બને તો એક દીકરાને મનાવી જોઈએ,
એ રીતે ઘરડાઘરો ખાલી કરાવી જોઈએ.

મારી દીવાનગીને તમે છેતરો નહીં,
વરસાદ મોકલી હવે છત્રી ધરો નહીં.

તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો,
રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી.

ભીતરી આખી સફર પર ચાલવાની છે મજા,
એકલા બસ આપણે એ ભીડનો રસ્તો નથી.

મોભ થઈ માથે સતત રહેતો હતો,
એ જ માણસ ભીંત પર ફોટો થયો.

કોઈને નાનો ગણે તો માનજે,
એટલો તારો અહમ્ મોટો થયો.

અત્તરની પાલખી લઈ, ઊભો હશે પવન, પણ,
તારાથી દોસ્ત કેવળ, બારી સુધી જવાશે ?

દીવાને અમે ટોડલેથી ભીતરે લાવ્યા,
તારાથી હવે થાય તો અંધાર કરી દે.

લ્યો, દીવાની આબરૂ જળવાઈ ગઈ,
દ્વાર પર આવી હવા ફંટાઈ ગઈ.

સોયમાં દોરાને બદલે બા હતી,
ગોદડીમાં હૂંફ પણ સિવાઈ ગઈ.

તારા આ ઉચ્છવાસને સંભાળજે,
ઝાડનો એ પ્રાણવાયુ હોય છે.

તું કલમના હાથથી શોધી શકે,
આડે હાથે જે મૂકાયું હોય છે.

કુકડાની બાંગ થઈ અને ફફડી ગયું જગત,
કેવી રીતે દિવસ જશે સૌને થતું હતું.

આકાશ પછી મેઘધનુષ દોરવા બેસે,
વરસાદ જ્યાં તડકાથી મુલાકાત કરે છે.

જેના પડછાયા વડે છાંયો પડ્યો,
પહેલા એના પર અહીં તડકો પડ્યો.

દીકરા, સાચે જ તું મોટો થયો,
બાપનો આ મહેલ પણ નાનો પડ્યો ?

વાડ તો વેલા તળે ઢંકાઈ ગઈ,
ફૂલ, ડાળી, પાનનો મોભો પડ્યો.

શ્વાસનો ફુગ્ગો લઈ માણસ અહીં,
ટાંકણીના શ્હેરમાં ભૂલો પડ્યો.

દશાને દિશા આપશે, પૂરતું છે,
આ ગઝલો લખી ક્યાં કમાણી કરું છું !

આ કબર શું ફૂલોથી શણગારો,
મ્હેક મૂકી ગયો છે સૂનારો.

સુખની કિંમત માણસે માણસમાં નોખી હોય છે,
ખારવાને માછલી મોતીથી સ્હેજે કમ નથી.

રાત પૂછે આપણી આ દોડ જોઈ,
સૂર્યની શું રાતપાળી જોઈએ ?

જેમ ડાળે વસંત આવે છે,
એમ તારી નજીક આવું છું.

ટોચ માટે પ્રયાસ લાગે છે,
ખીણમાં પણ ઉજાસ લાગે છે.

પર્ણ તાળી પવનને આપે છે,
ઝાડ પર જાણે રાસ લાગે છે.

પાનખરમાં વસંત જેવું કેમ ?
ક્યાંક તું આસપાસ લાગે છે.

vahal vaavi joiye

(પ્રાપ્તિસ્થાન: સાહિત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત-1)

Comments (38)

શ્રી સવા લાગી… – દિવ્યા મોદી

જળની વચ્ચે જગા થવા લાગી,
શું  નદી સાવ તૂટવા લાગી?

ટોચ પર સડસડાટ પ્હોચીને,
આ હવા  કેમ હાંફવા લાગી?

બાગ પણ પાયમાલ લાગે છે,
પાનખરની જરા હવા લાગી.

દ્વાર  જ્યાં બંધ થાય છે કોઈ,
એક બારી ત્યાં ખૂલવા  લાગી.

વાત તારી ઉતારી કાગળમાં,
તો ગઝલને એ શ્રી સવા લાગી.

– દિવ્યા મોદી

પાંચ આંગળી સમાન વળે તો એક મુઠ્ઠીની તાકાત થાય… પાંચ એકસમાન મજબૂત શેર વડે બનેલી એક સફળ-સબળ ગઝલ…

Comments (19)

પીછું – મનોજ ખંડેરિયા

ગગન સાથ લઇ ઊતરે એ ફરકતું
વિહગ-પાંખથી જે ખરી જાય પીછું

ફરકતું પડે ત્યારે ભૂરી હવામાં
ઝીણાં શિલ્પ કૈં કોતરી જાય પીછું

હજી એમાં કલશોર ગૂંજે વિહગનો
સૂનું આંગણું આ ભરી જાય પીછું

હ્રદયમાં વસ્યાં પંખીઓ બ્હાર આવે
કદી આંખમાં જો તરી જાય પીછું

ગગનના અકળ શૂન્યમાં જઇ ડૂબે, જે
વિહગને ખર્યું સાંભરી જાય પીછું

– મનોજ ખંડેરિયા

આધુનિક ગઝલના એક યાદગાર મુકામ જેવી આ ગઝલ હજુ લયસ્તરો મૂકવાની રહી જ ગયેલી.  પીંછું – એ કોમળ પ્રતિક વાપરીને કવિ એક પછી નકશીદાર શેર ઉતારે છે.  બીજો શેર મારો સૌથી પ્રિય છે – હવામાં ગોળગોળ ફરતું પીંછું (યાદના, ગમતા ચહેરાના કે પછી ભાવિના ઈગિંત) ઝીણાં શીલ્પ કોતરતું કોતરતું ઉતરતું જાય એ કલ્પના જ નકરી મધમીઠી છે.

Comments (13)

(માણસ જેવો માણસ છું) -ભગવતીકુમાર શર્મા

કોમળ છું, કાંટાળો છું; માણસ જેવો માણસ છું.
પોચટ છું, પથરાળો છું; માણસ જેવો માણસ છું.

આકાશે અણથક ઊડવું, આ ધરતી પર તરફડવું;
ઘાયલ છું, પાંખાળો છું; માણસ જેવો માણસ છું.

આંખે અશ્રુની ધારા, હોઠે સ્મિતના ઝબકારા;
ખુલ્લો છું, મર્માળો છું, માણસ જેવો માણસ છું.

ધિક્કારું છું હું પળમાં, પ્રેમ કરું છું હું પળમાં,
આશિક છું, કજિયાળો છું; માણસ જેવો માણસ છું.

ચોમાસે પાણી પાણી; ચૈત્રે લૂ ઝરતી વાણી;
ભેજલ છું, તડકાળો છું; માણસ જેવો માણસ છું.

શ્વાસોની મનભર માયા, મૃત્યુની નિશદિન છાયા;
ક્ષણક્ષણનો તરગાળો છું,માણસ જેવો માણસ છું.

-ભગવતીકુમાર શર્મા

કોઈ પણ માણસ સંપૂર્ણ રીતે સારો નથી અને કોઈ પણ માણસ સંપૂર્ણ રીતે ખરાબ નથી. જેમ કોઈ પણ માણસ સંપૂર્ણ રીતે સુખી નથી હોતો અને કોઈ પણ માણસ પૂરેપુરો દુ:ખી નથી હોતો. માણસ એટલે જ અધૂરપ. આ અધૂરપની પણ એક મધુરપ છે.  વિરોધી તત્વો વચ્ચે એ જીવે છે. ક્યારેક એનામાં હિટલર અને ગાંધીજી બંને હોય છે. યુધિષ્ઠિર અને દુર્યોધન સાથે સાથે હોય છે. એ જેટલો કોમળ હોય છે એટલો કઠોર હોય છે. રજનીશજીએ નમસ્કારનો એક અર્થ એવો આપ્યો કે આપણે બે હાથ જોડીએ છીએ એનો અર્થ એવો કે આપણે આપણી વિરોધીવૃત્તિ સાથે, આ વિરોધીવૃત્તિને શમાવીને કોઈકને નમસ્કાર કરીએ છીએ અને સામાની વિરોધીવૃત્તિનો પણ સ્વીકાર કરીએ છીએ.  માણસ એટલે જ દ્વંદ્વ. ક્યારેક એ જીભથી બોલે છે અને ક્યારેક એ જીવથી બોલે. ક્યારેક એ ન પણ બોલે અને ક્યારેક એ ન બોલવાનું પણ બોલે. એ કોમળ છે, કાંટાળો છે, પોચટ છે અને પથરાળો છે. એ ધારે તો મુલાયમ થઈ શકે અને કઠોર અને નઠોર પણ રહી શકે.  આકાશમાં ઊડવાનો એને થાક ન લાગે, પણ ધરતી પર તરફડતો હોય. એને ઘાયલ થતાં વાર નથી લાગતી અને પાંખ સાથે ઊડતાં એને મુશ્કેલી નડતી નથી. સુખ અને દુ:ખ બંને એકી સાથે અનુભવી શકે. આંખમાં આંસુ હોય અને છતાં હોઠ પર સ્મિતનો ઝબકારો હોય.  (-સુરેશ દલાલ)

દિવ્ય-ભાસ્કરમાં સુ.દ. દ્વારા આ ગઝલનો સંપૂર્ણ આસ્વાદ અહીં વાંચી શકો છો…

Comments (16)

પડછાયા – ઉદયન ઠક્કર

સાંજે અમે બે પાછા વળતાં ત્યારે
અમારી પાછળ સૂરજ રહેતો અને આગળ પડછાયા
પડછાયા એકમેકને અડીને ચાલતા
અમે વિચારતા કે આ બે મારા વા’લા પ્રેમમાં લાગે છે
એમની પાછળ જવાથી એમને સંકોચ થતો હશે
એવું અમને લાગેલું, પણ એ અમને ગણકારતા જ નહીં
એમને જોઈને અમે પણ ચૂપચાપ ચાલવું શીખ્યા.
પડછાયાઓ ઐતિહાસિક પાત્રોની જેમ આકર્ષક લાગતા.
આ બે સુંદર પડછાયા એકમેકને મળી આવ્યા
એ અમને વિરલ યોગ જેવું લાગતું.
પડછાયાઓ ઉપરછલ્લી બધી વિગત ભૂંસી નાખતા
અને બે જ બાતમી લઈને રજૂ થતા:

(૧) પ્રેમ કરતો એક પુરુષ (૨ ) પ્રેમ કરતી એક સ્ત્રી

– ઉદયન ઠક્કર

મનમાંથી જરૂર વગરની વિગતોને ભૂંસી નાખો, પ્રેમ ઉપસી આવશે.

Comments (13)

મિત્રને – હરીન્દ્ર દવે

ગાઢ નિદ્રામાંથી મને જગાડી
મારા માટે સજાવેલી ચિતામાં
પોઢી ગયેલા, અય દોસ્ત !
મને તારી નિદ્રાની ઈર્ષ્યા નથી.
મારી જાગૃતિનો રંજ છે.

– હરીન્દ્ર દવે

એક ટચૂકડી કવિતા … એમાં કેટલાય અર્થવિભાવો !

Comments (20)

નકામાં નયનો – ગની દહીંવાળા

રે, આ નયનો કામ ન આવ્યાં !
બે દીવડાઓ નિત્ય પ્રકાશી અંધારા સર્જાવ્યાં !
રે, આ નયનો કામ ન આવ્યાં !

રંગ જગતના માણ્યા કિન્તુ રંગ ન પૂરી જાણ્યો,
ઝાકઝમાળે અંજાઈને સાથ મને પણ તાણ્યો;
આગળ રહીને ઊંધા પાટા જીવતરને બંધાવ્યાં !
રે, આ નયનો કામ ન આવ્યાં !

ચેતન સાથે વાત કરી પણ જડને ન આપી વાચા,
જોઈ પરિચિત વાટ પરંતુ,પંથ ન ચીંધ્યા સાચા,
ઊંડે જઈને તેજ-તિમિરના ભેદ નહીં સમજાવ્યા,
રે, આ નયનો કામ ન આવ્યાં !

જોયાં દૂરનાં અજવાળાં પણ, અંતર-જ્યોત ન જોઈ,
ઉંબર-ઉંબર ભટકીને પણ ધામ ન દીઠું કોઈ;
ભિક્ષુક થઈને દ્રષ્ટિરૂપે હાથ બધે લંબાવ્યા !
રે,આ નયનો કામ ન આવ્યાં !

– ગની દહીંવાળા

ઉત્તમ ભજન-કાવ્ય…..

Comments (10)

એ તે કેવો ગુજરાતી – -ઉમાશંકર જોશી

એ તે કેવો ગુજરાતી
જે હો કેવળ ગુજરાતી ?
હિંદભૂમિના નામે જેની ઊછળે ના છાતી ?
મહારાષ્ટ્ર દ્રવિડ બંગાળ બિહાર – બધે અનુકૂલ.
જ્યાં પગ મૂકે ત્યાંનો થઈને રોપાયે દૃઢમૂલ.
સેવાસુવાસ જેની ખ્યાતિ;
તે જ બસ નખશિખ ગુજરાતી.

ના, ના, તે નહિ ગુજરાતી,
જે હો કેવળ ગુજરાતી.
એ તે કેવો ગુજરાતી,
જે હો કેવળ ગુજરાતી,
ભારતભક્તિ દેશવિદેશ ન જેની ઊભરાતી ?

સાગરપાર આફ્રિકા એડન લંકા સિંગાપુર
મોરિશ્યસ ફિકી ન્યૂઝીલૅન્ડ જાપાન બ્રિટન અતિ દૂર.
કાર્યકૌશલ-આતિથ્ય સુહાતી
બધે ઉર-મઢૂલીઓ ગુજરાતી.

તે નહિ નહીં જ ગુજરાતી,
જે હો કેવળ ગુજરાતી.

એ તે કેવો ગુજરાતી,
હિંદભૂમિના નામે જેની ઊછળે ના છાતી ?
ભારતભક્તિ દેશવિદેશ મ જેની ઊભરાતી,
એ તે કેવો ગુજરાતી ?

– ઉમાશંકર જોશી
(૨૯-૦૪-૧૯૬૦)

અલગ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ એના બે દિવસ પૂર્વે ઉમાશંકર જોશીએ લખેલું કાવ્ય આજે પણ એટલું જ પ્રસ્તુત લાગે છે.  ગુજરાત સ્થપાયું એ પહેલાંથી કવિને વિશ્વગુર્જરીની વ્યાખ્યા અભિપ્રેત હતી. જે કેવળ ગુજરાતી હો એ તે વળી કેવો ગુજરાતી? ખરો ગુજરાતી તો ન કેવળ ભારત પણ વિદેશમાંય ક્યાંય જઈ વસે તો ત્યાંય અનુકૂલન સાધીને દૃઢમૂલતાથી રહી શકે. ખરો ગુજરાતી તો એ જ જેના હૃદયની મઢૂલીઓ કાર્યકુશળતા અને આતિથ્યભાવથી જ શોભતી હોય. સાચો ગુજરાતી તો એ જ જેની છાતી દેશપ્રેમથી છલકાતી હોય…

આજે ગુજરાત સ્થાપના દિને વિશ્વભરના ગુજરાતીઓને એમનું ગુજરાતીપણું વધુ ને વધુ વિસ્તરતું રહે એવી શુભકામનાઓ…

Comments (16)