આમ જો કહેવા હું બેસું તો યુગો વીતી જશે;
આમ જો તું સાંભળે તો એક ક્ષણની વાત છે.
ભગવતીકુમાર શર્મા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for July, 2009

સાગર અને શશી – કાન્ત (ભાગ-૨)

આજ, મહારાજ ! જલ પર ઉદય જોઈને
ચન્દ્રનો, હૃદયમાં હર્ષ જામે,
સ્નેહઘન, કુસુમવન વિમલ પરિમલ ગહન
નિજ ગગન માંહિ ઉત્કર્ષ પામે;
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !
નવલ રસ ધવલ તવ નેત્ર સામે
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !

જલધિજલદલ ઉપર દામિની દમકતી
યામિની વ્યોમસર માંહી સરતી;
કામિની કોકિલા કેલિ કૂજન કરે
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !
તરલ તરણી સમી સરલ તરતી,
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !

– મણિશંકર રત્નશંકર ભટ્ટ ‘કાન્ત’

(ગઈકાલે આ કાવ્યનું છંદોવિધાન અને ઇતિહાસ જોયા પછી આજે આ કાવ્યનો રસાસ્વાદ શ્રી સુરેશ જોષીએ કરાવેલા વિલક્ષણ અને વિચક્ષણ આસ્વાદના અતિટૂંકસાર સ્વરૂપે માણીએ)

ભરતીએ ચડેલા સમુદ્રના મોજાં જેમ એક પછી એક વધુ ને વધુ નજીક આવીને વધુને વધુ ભીંજવતા જાય એ રીતે અહીં કાવ્યની પંક્તિઓ છલકાતી આવે છે. હૃદયમાં હર્ષ જામેમાં ‘જામે’ ક્રિયાપદ વાપરીને સાગર પરથી થતા ચંદ્રોદય નિરખતાં હૃદયમાં ઉલ્લાસની વધતી જતી માત્રાને કવિએ ખૂબીથી સૂચવી દીધી છે ને ત્રીજી પંક્તિમાં તો ‘સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન’ છોળ કેટલી છલકાય છે !

સાગર ઉપર ચન્દ્રનો ઉદય જોઈને કવિ હૈયું બોલી ઊઠે છે કે જાણે સ્નેહનાં વાદળ ઊમટ્યાં છે. ચારેબાજુ કુસુમોનું વન (વનમાં કુસુમ નહીં, કુસુમોનું જ વન) મહેકી ઊઠ્યું છે; કશી કળી ન શકાય એવી ગહન સુવાસથી મન તરબતર થઈ ઊઠ્યું છે ! પળેપળ વિખેરાતાં ને એ રીતે નિતનવી ભાત સર્જતા વાદળોથી સૂચવાતો કુસુમોનો પુંજ આખા આકાશને ભરી દે છે; શાખાપત્ર કશું દેખાતું નથી. આમ આકારને પળે પળે ઓગાળી નાંખતાં વાદળોમાંથી જ સૂચવાતો કુસુમોનો આકાર અને તેમાંથી વળી નિરાકાર અને તે જ કારણે ગહન એવી વિમલ સુવાસ… સાગર ઉપર ઊગેલો શશી દૃષ્ટિગોચર હતો તે ઇન્દ્રિયવ્યત્યય પામીને હવે ઘ્રાણેન્દ્રિયગોચર થયો. આ રીતે ચન્દ્રના અનુભવમાં કશાક અનનુભૂત તત્ત્વનો પ્રવેશ થયો.

આટલે આવીને કવિનું પુલકિત ચિત્ત કૃતજ્ઞભાવે બોલી ઊઠે છે: પિતા ! કાલના સર્વ સંતાપ શામે ! આપણે મન કાળ એ સૌથી મોટી સીમા. કાળના પિંજરમાં રહેનારને આ અનુભવે એક વિશાળ કાલાતીત અવકાશમાં મૂકી દીધો. આ મુક્તિનો રસ તે કોઈ નવલ જ રસ છે અને એનું ઉદભવસ્થાન વાત્સલ્યમય પિતાના ધવલ નેત્રરૂપે ચન્દ્ર જ છે. આ કૃતાર્થતાથી પુલકિત થઈ કવિ આભાર વ્યક્ત કરતી પંક્તિનું પુનરુચ્ચારણ કરી આનન્દનો પુટ વધુ ઘૂંટે છે.

બીજા ખણ્ડમાં કવિના ચિત્તમાં થયેલી આ વ્યાપ્તિની અસરના સૃષ્ટિમાં થતા પ્રસારને કવિ વર્ણવે છે. સમુદ્રની ઊછળતી ઊર્મિમાળા પર ચાંદનીનું ચમકવું વીજળીના ચમકારા જેવું લાગે છે . સાગરની ગતિ સામે કવિ આકાશમાં પસાર થતી રાત્રિને સરોવરની નિશ્ચલતામાંથી પસાર થતા સમય સાથે સરખાવે છે વળી આ નિશ્ચલતાનું પાત્ર ઉલ્લાસની સભરતાના સાર્થક ઉચ્ચારણ રૂપ કામિની કોકિલાના કૂજનથી છલકાઈ ઊઠે છે. એની સાથે જ કવિ ભવ્ય ભરતીની વાત કરીને ભરતીનો આખો ઊછાળો પૂરો કરે છે. આખી સૃષ્ટિ ઉલ્લાસભરી બની ગઈ છે અને એ છલકાતા ઉલ્લાસના સાગરમાં હળવી શી હોડીની જેમ સૃષ્ટિ તરી રહી છે.  કવિનો આનંદોદગાર અહીં પણ પુનરુક્તિ પામે છે અને એ રીતે જાણે આપણા ચિત્તમાં છલકાઈ છલકાઈને ઊછળ્યા જ કરે છે.

ઉલ્લાસના સાગરમાં સરલ સરી જતી સૃષ્ટિના જેવી અનાયાસ રચાઈ જતી યમક તથા પ્રાસયુક્ત ભાવાનુકૂળ પદાવલિના સ્ત્રોતમાં ભાવકનું ચિત્ત પણ સરલ વહ્યું જાય છે – ગહનતાની દિશામાં.

Comments (26)

સાગર અને શશી – કાન્ત (ભાગ-૧)

આજ, મહારાજ ! જલ પર ઉદય જોઈને
ચન્દ્રનો, હૃદયમાં હર્ષ જામે,
સ્નેહઘન, કુસુમવન વિમલ પરિમલ ગહન
નિજ ગગન માંહિ ઉત્કર્ષ પામે;
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !
નવલ રસ ધવલ તવ નેત્ર સામે
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !

જલધિજલદલ ઉપર દામિની દમકતી
યામિની વ્યોમસર માંહી સરતી;
કામિની કોકિલા કેલિ કૂજન કરે
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !
તરલ તરણી સમી સરલ તરતી,
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !

– મણિશંકર રત્નશંકર ભટ્ટ ‘કાન્ત’

ઝુલણા છંદ અને શંકરાભરણની ચાલમાં ચાલતું આ કાવ્ય ગુજરાતી કાવ્ય-સાહિત્યનું એક સોનેરી પૃષ્ઠ છે ! નરસિંહ મહેતાએ બહુઆયામી રીતે આજ છંદનો વિનિયોગ કરી પ્રભાતિયાં રચ્યા હતાં. કવિ કાન્ત ગોપનાથના દરિયાકિનારે થતા ચંદ્રોદય અને એના કારણે સાગર અને એ રીતે ઉરમાં આવતી -જામતી- ભરતીને આલેખવા એ જ છંદ વાપરે છે ત્યારે સૂર-શ્રુતિના લયાન્વિત આંદોલનો ભાવકને ઝૂમી ઊઠવા મજબૂર કરી દે છે… ‘ગાલગા’ ‘ગાલગા’ના આવર્તનોમાંથી પ્રકટતું સંગીત પોતે સાગરના આવ-જા આવ-જા કરતા ફેનિલ મોજાં સમું દૃશ્ય-શ્રાવ્ય ચિત્ર ઊભું કરવામાં એ રીતે ઉપકારક નીવડે છે કે એમ લાગે કે બીજો કોઈ છંદ આ કાવ્યમાં નભી શક્યો જ ન હોત !

કાવ્ય દ્રુતવિલંબિત લયમાં ચાલે છે.. ક્યારેક લય ઝડપી (સ્નેહઘન કુસુમવન…ગહન) ભાસે છે અને ક્યારેક ધીમો (આજ મહારાજ…હર્ષ જામે) , જાણે સાગરના મોજાંની સાથે તાદાત્મ્ય ન સાધતો હોય!

૧૮૯૭માં કાન્તના કલાપી સાથેના અને ન્હાનાલાલ સાથેના મૈત્રી સંબંધનો આરંભ થયો હતો. થોડાંક વરસ સુધી બન્ને વચ્ચે કવચિત્ મુલાકાત અને કવચિત્ પત્રવ્યવહાર ચાલ્યો. ન્હાનાલાલ એમનાં કાવ્યો કાન્તને મોકલે અને કાન્ત સુધારા સૂચવે તે ન્હાનાલાલ સ્વીકારે, ચર્ચાઓ થાય એમ ઉભયપક્ષે ચાલ્યું. ૧૮૯૮માં કવિ કાન્તે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો. ધર્માન્તરને કારણે જ્યારે સૌએ કાન્તનો ત્યાગ કર્યો હતો ત્યારે ૧૯૦૨માં કાન્તના પત્ની ‘ન્હાની’ની પ્રસૂતિ સમયે ન્હાનાલાલ અને માણેકબહેન ભાવનગર આવીને કાન્તના કુટુંબ સાથે રહ્યાં હતાં. આ સમયે કાન્ત અને ન્હાનાલાલ નાના ગોપનાથ ગયા હતા અને હાથબ બંગલાની અગાસીમાંથી સાગરતટ પર પૂર્ણિમાના ચન્દ્રનું દર્શન કર્યા બાદ પછી કાન્તે ૬/૬/૧૯૦૨નારોજ ‘સાગર અને શશી’ કાવ્ય રચ્યું હતું. અને ન્હાનાલાલે ‘સાગરને’ તથા ‘પુર્નલગ્ન’ કાવ્યો રચ્યાં હતાં.

આજે આ ગીતનું છંદોવિધાન અને ઇતિહાસ જોયા પછી આવતીકાલે આ કાવ્યની મસ્તીનો પણ થોડો સ્વાદ ચાખવા ફરી મળીશું…

Comments (29)

હારને હાર માની નથી – મકરંદ દવે

જિંદગી ભાર માની નથી
ને  નિરાધાર  માની નથી
ધૂળ ખંખેરી ધપતા જતાં
હારને  હાર  માની   નથી

– મકરંદ દવે

Comments (8)

તારા અક્ષરના સમ – મૂકેશ જોશી

જો મારી આંખોનો આટલો ધરમ
તારી ટપાલ રોજ વાંચે ને પૂજે ને ચૂમે ને બસ –
                                                                     – તારા અક્ષરના સમ

તું મારી વાદળી  શાહીમાંથી  વાદળાં કેવાં   ઉડાડતો   હું   જાણતી
અક્ષરની વાછરોટ ઉપરથી વરસે ને અર્થોની નદીઓ બહુ તાણતી

        કેવી પગલાઇ તું પગલાં શણગારતો, હું મારા ભૂંસતી કદમ
                                                                     – તારા અક્ષરના સમ

કાગળને તળિયે તે વાવેલી મ્હેક, વેંત ઉપર તે મેઘધનુષ પાથર્યાં
શબ્દોની વચ્ચેના ચાંદરણે આવી ને શમણાંને અધવચ્ચે આંતર્યા

જેટલા અક્ષર તે કાગળમાં નહીં લખિયા, એટલા મેં લીધા જનમ
                                                                       – તારા અક્ષરના સમ

– મૂકેશ જોશી

સુંવાળા મઘમઘતા ગીતોનો રમેશ પારેખનો વારસો મૂકેશ જોશીએ જાળવ્યો છે – ન માનતા હો તો આ ગીત વાંચીને ચોક્કસ માનતા થઈ જશો !

Comments (15)

બંધ – ઉમર ખૈયામ, અનુ. શૂન્ય પાલનપુરી

ભક્તિ કેરી કાકલૂદી, સ્વાર્થ કેરા જાપ બંધ
શંખનાદો ઝાલરોને બાગના આલાપ બંધ
મેં જરા મોટેથી પૂછ્યો પ્રશ્ન કે હું કોણ છું?
થઈ ગયા ધર્માલયોના દ્વાર આપોઆપ બંધ

– ઉમર ખૈયામ
અનુ. શૂન્ય પાલનપુરી

Comments (9)

પ્રિસ્ક્રિપ્શન – હેમેન શાહ

૧. લોહીની તપાસ કરી મૌલિક વિચારોનું પ્રમાણ કેટલું છે એ જાણી લેવું.
૨. નિરાશાની એક કેપ્સ્યુલ દિવસમાં ચાર વાર લેવી. (નિરાશા ન મળે તો ઉદાસી ચાલશે. દવા એ જ છે ફકત કંપની જુદી છે.)
૩. સપનાંની બે ગોળી સૂતાં પહેલાં લેવી.
૪. આંખમાં રોજ સવારે ઝાકળનાં ટીપાં નાખવાં.
૫. દીવાનગીનાં ચશ્માં પહેરી કામે જવું. (એ મેસર્સ મજનુ એન્ડ રાંઝાને ત્યાં મળે છે.)
૬. પેટમાં બળતરા થતી હોય તો એક પ્યાલો ઠંડું મૃગજળ ધીરે ધીરે પીવું.
૭. યાદ બહુ જલદ દવા છે. પરંતુ ઓછી માત્રામાં અણધારી અસર બતાવી શકે, માટે ચાલુ કામકાજમાં ભેળવીને લેવી.
૮. અઠવાડિયે એક વાર એકસપાયરી ડેટ પછીનું ઈશ્કનું ઈન્જેકશન લેવું.
૯. શબ્દોની પરેજી રાખવી. શબ્દો વધુ પડતા ફાકવાથી કવિતાનું મૃત્યુ પણ થઈ શકે.
૧૦. આટઆટલી દવા કર્યા પછી, પ્રતીક્ષાની એક ટીકડી આયુષ્યભર ચાલુ રાખવી.

સહી
અનરજિસ્ર્ટડ પોએટ્રી પ્રેકટિશ્નર
– હેમેન શાહ

કવિ અહીઁ નવા કવિઓ માટે કવિ કેવી રીતે બનવું એનું પ્રિસ્ક્રિપ્શન લખે છે. (હા, કવિ વ્યવસાયે તબીબ જ છે!) કવિતા કરવાની પ્રવૃત્તિ (કે પ્રકૃતિ) આમ તો બયાન કરવી અધરી છે. પણ અહીઁ આછા વ્યંગના આધારે કવિ ધાર્યા નિશાન સર કરે છે. દિવ્યભાસ્કરમાં સુરેશ દલાલે કવિતાનો આસ્વાદ કરાવેલો એ સાથે જોશો. (એ આસ્વાદનું શીર્ષક એમણે ‘કવિતા એટલે પ્રતિક્ષા’ આપેલું.)

Comments (10)

કાઝાનઝાકીસ – અમૃતા પ્રીતમ

મેં જિંદગીને પ્રેમ કર્યો હતો
પણ જિંદગી એક વેશ્યાની જેમ
મારા ઇશ્ક પર હસતી રહી
અને હું નામુરાદ આશિક
ખ્યાલોમાં અટવાતો રહ્યો…
પણ જ્યારે આ વેશ્યાના હાસ્યને
મેઁ કાગળ પર ઉતાર્યું
ત્યારે પ્રત્યેક અક્ષરના ગળામાંથી એક ચીસ નીકળી
અને ખુદાનુ સિંહાસન કેટલીય વાર સુધી હલતું રહ્યું.

– અમૃતા પ્રીતમ
(અનુ. સુરેશ દલાલ)

કાઝાનઝાકીસ એ ગ્રીક ભાષાના ક્રાંતિકારી સાહિત્યકાર. એમના કાવ્યો, નવલકથાઓ અને નિબંધથી એ જાણીતા. એમણે જિંદગીને છેક છેવાડે જઈને જોયેલી. એમના લખાણો જિંદગીનો પડધો પાડતા. અમૃતા પ્રીતમે પોતાની લાક્ષણિક અદાથી આ મહાન આત્માને અંજલી આપી છે.

Comments (7)

આદમી થઈને – સુધીર પટેલ

રુએ શું આમ આદમી થઈને !
રાખજે હામ, આદમી થઈને.

વાડ ને વાદથી ઉપર ઊઠી,
ફર સરેઆમ આદમી થઈને.

આવકારો બધે મળી રહેશે,
આવજે આમઆદમી થઈને.

આદમી થઈ જીવી જવાનો તું,
આપ પૈગામ આદમી થઈને.

થાય ઈશ્વરને પણ જરા ઈર્ષ્યા
એવું કર કામ આદમી થઈને.

અવતરણ નહિ મળે ફરી ‘સુધીર’
કાઢજે નામ, આદમી થઈને.

– સુધીર પટેલ

‘આદમી હોવું’ પણ કેટલા માનની વાત છે એ વાત આપણે બધા ભૂલી જતા હોઈએ છીએ. આ ગઝલ એ જ વાતને ફરી યાદ કરાવી આપે છે. ‘ઉકેલીને સ્વયંના સળ’ સંગ્રહ મોકલવા માટે સુધીરભાઈનો ખાસ આભાર.

Comments (15)

ગઝલ – દિનકર પથિક

હોય છે ભારોભાર મારામાં,
એક તારો વિચાર મારામાં.

આમ રહીને અજાણ મારાથી,
કોણ મારે લટાર મારામાં ?

પ્રેમ શું છે ? નદીને પૂછ્યું તો
ખળભળી એ ધરાર મારામાં.

મોત ને જીંદગીની વચ્ચેનો ,
જીવવાનો પ્રકાર મારામાં

રોજ જન્મે ને રોજ દફનાવું,
આશ તારી મઝાર મારામાં

દોસ્ત બે અક્ષરો મળ્યા અમને,
થઇ ગઝલ ની બજાર મારામાં.

દિનકર પથિક

(ટાઇપ સૌજન્ય: ડૉ. કલ્પન પટેલ, સુરત)

Comments (11)

પહેલો બરફ – આન્દ્રે વૉઝ્નેસેન્સ્કી

ટેલિફોન-બુથે
એક થીજી રહી છોરી.

ભીના ભીના કોટમાં એ ઢાંકે
આંસુ અને લિપસ્ટિકે
ખરડાયેલો ચહેરો.

બુટ્ટી એના કાને.
હિમ જેવી આંગળીઓ.

પાતળી હથેળીમાં લઈ રહી શ્વાસ.

એકલા અટૂલા એને ઘરે જવું રહ્યું
બરફની લાંબી લાંબી શેરીઓને ઓળંગીને.

હિમ…
પ્હેલી વારનો હિમ…
ટેલિફોનના ઉદગારોનું પ્હેલીવાર હિમ…
થીજેલાં આંસુ એનાં ચળકે છે ગાલે.

માનવ હ્રદયનો પહેલો બરફ !

– આન્દ્રે વૉઝ્નેસેન્સ્કી
(અનુ. સુરેશ દલાલ)

પહેલા પ્રણયના કાવ્યો આપણે બધાએ જોયા છે, આજે જોઈએ પહેલા પ્રણયભંગનું કાવ્ય. બહાર અને અંદરના બરફના વર્ણનથી કવિ પ્રણયભંગના ખાલીપાનું બળકટ ચિત્ર દોરી આપે છે.

Comments (8)

કાફલામાં – મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’

કાંઈ રમ્ય લાગ્યું જતા કાફલામાં
ભળી હું ગયો ચાલતા કાફલામાં
ને વિસ્મય જુઓ ખોજ કરતો’તો જેની-
સતત કાફલો , એ હતા કાફલામાં !

– મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’

Comments (6)

દાખલો ખોટો થયો – અશોકપુરી ગોસ્વામી

સાવ સાદો દાખલો ખોટો થયો,
એક ડાઘો ભૂંસતા મોટો થયો.

જીતવું પણ હારના જેવું હતું.
આપણો જુદો નફો-તોટો થયો.

જન્મ પામ્યા કે જીવન પૂરું થયું,
જળની અંદર જેમ પરપોટો થયો.

ક્યાં બુલંદી કોઈને કાયમ મળી ?
એક તારો એક લિસોટો થયો.

આયનામાં કાલ જે જીવતો હતો,
એ જ માણસ આખરે ફોટો થયો.

– અશોકપુરી ગોસ્વામી

અ.ગો.ની ગઝલમાં હંમેશા વિરક્તીની ઝાંખી થાય છે.  એક ડાઘો ભૂંસતા મોટો થયો – એવી સાદી વાતને કવિ કેવી ધાર કાઢીને કરે છે.  છેલ્લો શેર મારો પ્રિય શેર છે – પ્રતિબિંબના આધારે જીવતો માણસ છેવટે માત્ર ફોટામાં કેદ થઈને રહી જાય છે !

Comments (14)

– થી છેતરાયેલના ઉદગાર – રમેશ પારેખ

મોર એટલે ખોટાડો વરસાદતંત્રનો ખબરી !

એનો ટહુકો ફાળ પાડતો – હમણાં પડશે છાંટા
ગૃહિણીઓ સૂકવેલ લૂગડાં લેવા ખાતી આંટા

છાંટોપાણી કરનારા કાઢે ગલાસ ને શીશો
સામા જણને કહે : ચલો, થોડીક વ્હીસ્કી પીશો ?

થતી એકલા જણની ઉપર રોવાની બળજબરી

મોર એટલો ખોટાડો કે બોલે ઉજ્જડતામાં
ટહુકા એના ભરે ઉઝરડા સાતેસાત ત્વચામાં

વાદળ જોઈ આંખે આવે ઝળઝળિયાંનાં ટાણાં
સૂના મારગ ભોંકાઈ છાતીમાં પાડે કાણાં

હરેક સુક્કો જીવ થૈ જાતો ટળવળ ઝૂરતી શબરી

– રમેશ પારેખ

સત્તરમી મેના રોજ ર.પા.ના દેહાવસાનને ત્રણ વર્ષ થયા એ નિમિત્તે એમની અત્યાર સુધીની અગ્રંથસ્થ રચનાઓનો એક સંગ્રહ ‘કાળ સાચવે પગલાં’ અને એમના પોતાના સ્વરમાંએમની પોતાની કવિતાઓની ઑડિયો MP3 – ‘અપાર રમેશ પારેખ’ – હમણાં જ પ્રગટ થયા. આ સંગ્રહમાંથી પસાર થતાં એક આશ્ચર્ય થયું. આ સંગ્રહમાંની બે રચના, વહાણવટું અને કાઈપો (કવિશ્રીના પોતાના હસ્તાક્ષરમાં) લયસ્તરો પર છે જ !

મોરના ટહુકે વરસાદની મીટ માંડીને બેઠેલા જીવનું આ ગીત આજે મનભર માનીએ… વરસાદ પડે કે ન પડે, ર.પા.ના શબ્દોથી ભીના થઈએ…

Comments (10)

કવિ ડૉટ કોમ

ગુજરાતી બ્લૉગ્સની જ્યારે શરૂઆત થઈ ત્યારે જ ખાતરી હતી કે આવતીકાલે પુસ્તકનો ઉંબરો વળોટીને સાહિત્ય અહીં આવશે જ અને ઇન્ટરનેટ ગુજરાતી સાહિત્યનું નવું સરનામું બની રહેશે… સાહિત્યરસિકો તો લગભગ મચી જ પડ્યા છે પણ પ્રતિષ્ઠિત કવિઓ અને એમના પરિવારજનો પણ હવે આમાંથી બાકાત નથી… વધુ ને વધુ કવિઓ નેટ-ગુર્જરીના સભ્ય બની રહ્યા છે એ જોતાં ‘નવા સરનામાં’વાળી ભવિષ્યવાણી લગીરેય ખોટી પડે એમ લાગતું નથી… નથી માનતા ? આ કવિઓ અને એમની વેબસાઈટ્સનું લિસ્ટ જ જોઈ લ્યો ને !!

– અને હવે દિગ્ગજ કવિઓ પણ આ હરોળમાં જોડાયા છે… ક્યારેક કવિ પોતે પોતાની હયાતીમાં તો ક્યારેક કવિના સંતાનો કે મિત્રો એમના દેહાવસાન બાદ… પણ આ ‘ટ્રેન્ડ’ સૂચક છે આવતીકાલના ઊજળા અજવાળાનો !

(તા.ક.: કોઈ કવિની વેબસાઈટ કે બ્લૉગ આ લિસ્ટમાં સરતચૂકથી રહી ગયું હોય તો જણાવવા વિનંતી)

Comments (30)

બીજું હું કાંઈ ન માગું – બાદરાયણ

આપને તારા અન્તરનો એક તાર
                        બીજું હું કાંઈ ન માગું
સુણજે આટલો આર્ત તણો પોકાર
                        બીજું હું કાંઈ ન માગું .

તૂંબડું મારું પડ્યું નકામું
કોઇ જુએ નહીં એના સામું;
બાંધીશ તારા અંતરનો ત્યાં તાર
                        પછી મારી ધૂન જગાવું.
સુણજે આટલો આર્ત તણો પોકાર
                        બીજું હું કાંઈ ન માગું .

એકતારો મારો ગુંજશે મીઠું
દેખાશે વિશ્વ રહ્યું જે અદીઠું;
ગીતની રેલશે એક અખંડિત ધાર,
                        એમાં થઈ મસ્ત હું રાચું.
આપને તારા અન્તરનો એક તાર
                        બીજું હું કાંઈ ન માગું

– ભાનુશંકર બા. વ્યાસ ‘બાદરાયણ’

અંતરના આર્તસ્વરે કવિ નક્કામા પડી રહેલા તૂંબડા માટે ઈશ્વરના અંતરનો વધુ નહીં, માત્ર એક તાર માંગે છે કેમકે કવિ જાણે છે કે એક તાર જ તૂંબડાને એકતારો બનાવી શકે છે અને એના રણઝણાટથી સૌના આકર્ષણનું પાત્ર થઈ શકાય છે કે આત્મચેતનાવિકાસની પાત્રતા મેળવી શકાય છે…જેવું તૂંબડાનું એવું જ મનખાવતારનુ !!  

Comments (7)

લાગણીના રંગથી – વ્રજેશ મિસ્ત્રી

લાગણીના રંગથી દોરી હતી,
એક સગપણ, જેમ રંગોળી હતી.

પ્રેમભીનો એક છાંયો પામવા,
એષણાઓ કેટલું દોડી હતી !

ના હલેસાં, ના કિનારો, ના દિશા,
ને ‘હયાતી’ નામની હોડી હતી.

વાસ્તવિક્તા ત્યારથી સમજાઈ ગઈ,
આંખ મારી જ્યારથી ચોળી હતી.

તું ગઝલરૂપે મળે એ ભાવથી
મેં કલમને જીવમાં બોળી હતી.

– વ્રજેશ મિસ્ત્રી

જિંદગીની નૌકાને કઈ રીતે હાંકવી એ પ્રશ્નનો ઉત્તર શોધવામાં જ મોટાભાગે જિંદગી પૂરી થઈ જતી હોય છે. આ હોડીને હાંકવા વળી નથી કોઈ હલેસાં કે નથી સામે કોઈ દિશા નજરે ચડતી કે નથી જડતો ક્યાંય કોઈ કિનારો… ઈશ્વરના નામનો સઢ અને શ્રદ્ધાનો પવન જ કદાચ એને પાર લગાવી શકે. ‘મનના માલિક તારી મોજના હલેસે ફાવે ત્યાં એને હંકારી તું જા (સુન્દરમ્)’ કહીને સુકાન એના હાથમાં સોંપી દઈએ એમાં જ કદાચ સાચું શાણપણ રહેલું છે…

Comments (11)

જિંદગી આમ તો – રાહી ઓધારિયા

જિંદગી આમ તો પળોજણ છે,
પણ ન છૂટી શકે એ વળગણ છે.

આ તે અસ્તિત્વ છે કે છે આરસ ?
છે સુંવાળું, છતાંય કઠ્ઠણ છે !

કોઈ રણદ્વીપ જોઈ લ્યો જાણે !
આયખું લીલુંછમ, છતાં રણ છે !

મન રહે છે સતત તણાવોમાં,
રામ એમાં છે, એમાં રાવણ છે !

હાથમાં ક્યાં છે અંત કે આદિ ?
એ જ તો ‘રાહી’ની મથામણ છે.

– રાહી ઓધારિયા

જિંદગીની તડકી-છાંયડીની વાત આમ તો દરેક સહિત્યકારે પોતપોતાની રીતે કરી છે અને કરતા આવે છે એટલે એમાં કશું નવું ન લાગે એ સ્વાભાવિક છે પણ ગઝલ ક્યારેક ખૂબ જાણેલી વાત સાવ એવા પરિવેશમાં રજૂ કરી આપે છે કે વાંચતા જ મોઢેથી ‘વાહ’ નીકળી જાય… ભાવનગરના કવિ પણ આયખાની એ જ યોગો જૂની વાત માંડે છે પણ વાતમાં કંક્ક એવી તાજગી છે કે મન આહ અને વાહ એક સાથે પોકારી ઊઠે છે. વિશાળ રણની વચ્ચેના એક નાનકડા રણદ્વીપ સાથે જિંદગીને કવિ જે લીલપથી સરખાવે છે એ કાબિલે-તારીફ છે…  ‘છે જિંદગીની ઘટમાળ એવી, દુઃખ અધિક, સુખ અલ્પ થકી ભરેલી (નરસિંહરાવ દિવેટિયા)’ યાદ આવ્યા વિના નહીં રહે…

Comments (13)

(એકલો) રાજેશ પંડ્યા

રસ્તામાં
થોડાં ઝાડ આવ્યાં.
થોડાં પહાડ આવ્યાં.

થોડાં પશુ આવ્યાં.
થોડાં પંખી આવ્યાં.

ક્યાંક ઝરણાં આવ્યાં.
ક્યાંક વોકળાં આવ્યાં.

એકાદ નદી આવી.
એકાદ માછલી આવી.

રસ્તામાં
બધું આવ્યું તોય
માણસ ચાલતો રહ્યો
એકલો એકલો.

-રાજેશ પંડ્યા

ગઈકાલે આ કવિની એક નકારાત્મક કવિતા જોઈ, આજે એક સકારાત્મક કવિતા…

એક નાની અમથી કવિતા પણ કેવી ધારદાર ! આપણી ચોકોર સર્જનહારે કેવી મજાની સૃષ્ટિ રચી છે પણ આપણે ‘બાજાર સે ગુજરા હૂઁ, ખરીદદાર નહીં હૂઁ’ જેવી વૃત્તિ સેવીને એકલા જ રહીએ છીએ… થોડાં, ક્યાંક અને એકાદથી ઉપર ઊઠીને કવિ એકબાજુ બધું આવ્યું કહીને શક્યતાઓનો વ્યાપ અનંત કરી દે છે તો બીજી તરફ એકલોની દ્વિરુક્તિ કરીને ચાબખો મારે છે…

Comments (7)

(હજીય) – રાજેશ પંડ્યા

આકાશ
હજીય વાદળી છે.

વૃક્ષો
હજીય લીલાં છે.

પંખી
હજીય ઊડે છે.

નદી
હજીય ભીંજવે છે.

માણસ
હજીય રડે છે.

અહીં
હજીય જીવી શકાશે.

– રાજેશ પંડ્યા

માણસને જીવવાનું એકમાત્ર કારણ આશા છે એ વાત ખૂબ જ ઓછા શબ્દોમાં પણ ખૂબ જ તીવ્રતાથી કવિ કરી શક્યા છે એ કવિતાની સાર્થક્તા…

Comments (13)

અનુભવ – કવિ રાવલ

ઝાડ કરતું નથી પ્રયુક્તિ
ડાળ – ફૂટી હશે અમસ્તી

એક કલ્પન, નશો ને મસ્તી
થાય ઝળહળ જરાક હસ્તી

ચેતનાની ખરી અસર છે
આ નશો ને નશાપરસ્તી

કોણ છે તું કબીર જેવો ?
પૂછ્યું મેં તો કહે: “વિરક્તિ”

જેમ મસ્તી બને અનુભવ
તેમ અનુભવ થયો છે મસ્તી

– કવિ રાવલ

આપણી ભીતર કશુંક ભર્યું પડ્યું હોય તો એને બહાર લાવવા માટે આપણે કોઈ યુક્તિ-પ્રયુક્તિ કરવી પડતી નથી. માંહ્ય હીર હોય તો કથીરને કંચન થતું કોણ રોકી શકે ? ભીતર પાણી હોય અને વેગ હોય તો ઝરણું પથ્થર કોતરીને પણ માર્ગ કરી લે છે અને અવરોધ નડે તોય ઝાડને પણ ડાળ ફૂટી જ નીકળે છે… આખરી શેર પણ આવો જ ભર્યોભાદર્યો થયો છે…

Comments (16)

મૃત્યુ : એક સરરિયલ અનુભવ – સિતાંશુ યશશ્ચંદ્ર

ખરી પછાડી પુચ્છ ઉછાળી દોડ્યા
કાળાડમ્મર ઘોડા ધોળે ખડકાળે રથ જોડ્યા.
ભડક્યા સામી છાતી અડધાં કરું બંધ જ્યાં કમાડ
ધડ ધડ ધડ ધડ આવી સીધા અથડાયા ધાડ
પાંપણ તોડી તોડ્યા ખડકો
ખોપડીઓને ભુક્કે ઊંડે આંખ મહીં જઈ પોઢ્યા.
સેળભેળ ભંગાર પડ્યો ત્યાં ગોળ ગોળ હું ફરું
મારી ને ઘોડાઓની ફાટેલી આંખે લળી ડોકિયાં કરું
અંદરથી ત્યાં
ક્યાં ક્યાં ક્યાં ક્યાં
ખરી પછાડી પુચ્છ ઉછાળી દોડ્યા
ડમ્મર, ધોળા ઘોડા, કાળે ખડકાળે રથ જોડ્યા.

– સિતાંશુ યશશ્ચન્દ્ર

(સિતાંશુભાઈની મોટાભાગની રચના મારી ક્ષમતા બહારની છે એટલે ચંદ્રકાંત શેઠે (કવિતાની ત્રિજ્યામાં) આપેલ સમજૂતીના આધારે સાભાર સંક્ષિપ્ત પ્રયાસ કરું છું)

મૃત્યુનો ‘રિયલ’ અનુભવ – આપણા પોતાના મૃત્યુનો ‘રિયલ(વાસ્તવ)’ અનુભવ શક્ય નથી; ‘સરરિયલ(પરાવાસ્તવ)’  અનુભવ શક્ય છે. વાસ્તવની અપેક્ષાએ જ આ પરાવાસ્તવ અનુભવાતું હોય છે. આ કવિતા સરરિયલના બદલે રિયલ અનુભવની વાત કરતી હોત તો પ્રેતીતિકરતાનો પાયાનો પ્રશ્ન ઊભો થાત !

અહીં મૃત્યુનું બયાન એક તરફ ગતિના પ્રતીક અશ્વ દ્વારા તો બીજી તરફ સ્થગિતતાના પ્રતીક ખડકાળા રથ વડે કરાયું છે. અશ્વ અને રથનું આ જોડાણ ગતિ-સ્થિતિના સંકુલ સંબંધનું, મૃત્યુ -જીવનના નિગૂઢ સંબંધનું દ્યોતક ન ગણાય ? કાળોડમ્મર ઘોડો એ મૃત્યુના ભયાદિ ભાવોનું સૂચન કરે છે.  જે અજ્ઞાત, જે ભયંકર તેને કાળાડમ્મર રંગમાં અવલોકવામાં એક મનોવૈજ્ઞાનિક સત્યનો જ સંચાર વરતાય.  એ કાળાડમ્મર અશ્વની ગતિને ઉઠાવ આપવામાં ખરીનો પછડાટ, પુચ્છનો ઉછાળ જેમ કારણભૂત તેમ રથ, અને તે ય પાછો ખડકાળ, ધોળો, તે ય પણ ઓછો જવાબદાર નહીં !ઘોડા દેખાય એ પહેલાં એના ડાબલા સંભળાય છે. અવાજ દ્વારા અશ્વ એની આક્રમક્તા સાથે આપણા કાવ્યાનુભવના પ્રદેશમાં પ્રવેશે છે.

આપણો અનુભવ છે મૃત્યુને આંખમાં જોવાનો. સેળભેળ ભંગાર, ખોપરીના ભુક્કા અને આંખોના કલ્પનથી મૃત્યુના આકસ્મિક આઘાતનું ઊંડું બળ, ઊંડો પ્રભાવ પામી શકાય છે. મૃત્યુનું આગમન – એની દેમાર દોડ. એ સામે બંધ કમાડરૂપે વ્યક્ત થતો પ્રતિકાઅર; પણ એ ટકવાનો નહીં. ‘ધડ ધડ ધડ ધડ’ ધાડ્ કરતાંકને અથડાતી એ હસ્તી સામે કેમ બચી શકાય?

આપણી ફાટેલી આંખ અને અશ્વની ફાટેલી આંખ વચ્ચે એક ચૈતસિક સાતત્યનો સંબંધ છે જ. મૃત્યુ આ આવ્યું, આ મારામાં પેઠું ને આ… આ સોંસરું વીંધીને ચાલ્યું ! જે દૂર હતું ત્યારે કાળુંડમ્મર – બિહામણું લાગતું હતું તે હવે શ્વેત લાગે છે. રાત(શ્યામ)- દિવસ(ધવલ)ના રૂપ અશ્વમાં ભળી જતાં લાગે. મૃત્યુ એતલે અંત નહીં, ગતિનું સાતત્ય, ચૈતસિક રૂપાંતરનું મૃત્યુ….

Comments (12)

(પર્વ ૧૫૦૦) લોકગીત-વિશેષ :૧૦: દુહા

દુહો કે દોહરો પણ લોકસાહિત્યનો જ એક પ્રકાર છે. દુહો એ એક જાતનો છંદ છે અને સંસ્કૃત કવિતામાં અનુષ્ટુપ છંદને જે અગત્યતા અપાઈ છે કે પ્રાકૃત સાહિત્યમાં ગાથાનું જે મહત્ત્વ છે એવું જ આગવું અને ગરવું સ્થાન મધ્યકાલીન ગુજરાતી લોકસાહિત્યમાં દુહાનું છે. દુહામાં લોકગીતની જેમ જ જિંદગીના અલગ-અલગ પાસાંઓ આવરી લેવાય છે પણ અહીં ચિંતનાત્મક અને ઉપદેશાત્મક અભિવ્યક્તિ વધુ હૃદ્ય બને છે. દુહા ચોટદાર અને માર્મિક હોવાથી એ વધુ આસ્વાદ્ય પણ બને છે. સોરઠના ચારણોએ દુહાની સૌથી વધુ એકનિષ્ઠ ભક્તિ કરી છે…

આભ ઉકેલે ભોં ભખે, વેધનકો  હિય વેધ,
અગોચર ગોચર કરે, દુહો દસમો વેદ.

દુહાને દસમો વેદ કહ્યો છે કેમકે એ અગોચરને પણ ગોચર બનાવી શકે છે. જ્યાં લોકગીતમાં લંબાણના કારણે કાવ્યભાવ પાતળો થઈ જવાની ભીતી રહે છે ત્યાં દુહો એ ગાગરમાં સાગર સમો છે. કવિ મકરન્દ દવે એને દસમું દ્વાર ખોલવાના આધ્યાત્મિક અર્થમાં ઘટાવે છે.

દુહો દસમો વેદ, સમજે તેને સાલે,
વિંયાતલની વેણ્ય, વાંઝણી શું જાણે ?

દસમા વેદ સમા દુહાને તો સમજદાર જ પામી શકે છે. રામબાણ તો વાગ્યા હોય એ જ જાણે. પ્રસુતિની વેદના વાંઝણી સ્ત્રી શી રીતે સમજી શકે ?

લેતાં ફળ જન વૃક્ષથી, કડવાં પાન ત્યજંત;
ત્હોય મહાદ્રુમ સુજનશાં તેને અંક ધરંત. (દ્રુમ=વૃક્ષ, અંક= ખોળો)

લોકો વૃક્ષ પરથી ફળ તોડે છે પણ પાન ત્યાગે છે છતાં વૃક્ષ એને પોતાનો ખોળો આપે છે.

શો ગુણ સુત જન્મ્યા થકી, મૃતથી અવગુણ થાય ?
જો બાપીકી ભોમકા અવર થકી ચંપાય ! (સુત=પુત્ર, અવર = બીજા)

બાપદાદાની ભૂમિ કોઈ બહારનો આવીને રોળવાનો હોય તો એવા કપૂત જેવા દીકરા જન્મવાનો શું ફાયદો? એના કરતાં તો મરેલો સારો કે મરેલા દીકરાથી અવગુણ તો ન થાય.

કુલદીપક થાવું કઠિન, દેશદીપક દુર્લભ;
જગદીપક જગદીશના અંશી કોક અલભ્ય.

કુળદીપક થવું કપરું છે, તેથીય વધું આકરું છે દેશના પ્રકાશ બનવું પણ જગ આખાને અજવાળે એવો તો કોઈક અલભ્ય જ હોય છે !

સિંદોર ચડાવે સગાં, દીવાં ને નાળિયેર દોય,
લોડણ ચડાવે લોઈ, તારી ખાંભી માથે ખીમરા.

– આ વિલાપનો દુહો છે એને મરસિયા કે તુંવેરીના દુહા પણ કહેવાય છે. લોડણ એટલે ખીમરા નામના એક પ્રેમીનું પ્રેમપાત્ર. કાઠિયાવાડમાં લોડણ ખીમરાના દુહા સારા પ્રમાણમાં ગવાય છે.

ચાયે ટાળ્યું શિરામણ ને બીડીએ ટાળ્યો હોકો,
સાસુનું કહ્યું વહુ ન કરે તો કીનો કરવો ધોખો ?

– દુહામાં માત્ર વીરરસ કે શૃંગારરસની જ વાત નથી આવતી. જે કવિતા સમયની સાથે સામયિક ઉથલપાથલને પ્રતિબિંબિત કરવાનું ચૂકે એ કવિતા નથી. દુહામાં ચા-બીડી જેવા વ્યસનો પણ સમય સાથે સાંકલી લેવાયા છે. બીડી ઉપર એક બીજો દુહો-

બીડી જાત કજાત, (પણ) પીધા વણ હાલે નૈ,
બીડી કરાવે બેં મરદ મૂછાળી જાતને.

અને છેલ્લે કાઠિવાડનું સાચું ચિત્ર દોરી આપતો આ દુહો કે ભૂલાય ?-

કાઠિયાવાડમાં કોક દી, ભૂલો પડ ભગવાન,
થાજે મારો મેમાન, તને સરગ ભૂલાવું શામળા. (સરગ=-સ્વર્ગ)

(… આ સાથે પર્વ ૧૫૦૦ની ઉજવણી નિમિત્તે આદરેલ લોકગીત-વિશેષની યાત્રા અહીં અટકાવીએ છીએ… )

Comments (7)

(પર્વ ૧૫૦૦) લોકગીત-વિશેષ :૯: લીલી ઈંઢોણી હીરની રે

લીલી લીલી ઈંઢોણી હીરની રે,
મને પાણી ભર્યાની ઘણી હોંશ રે;
લીલી ઈંઢોણી હીરની રે.

સાંકડી શેરીમાં સસરો સામા મળ્યા રે,
મને લાજ કાઢ્યાની ઘણી હોંશ રે. – લીલીo

સાંકડી શેરીમાં જેઠજી સામા મળ્યા રે,
મને ઝીણું બોલ્યાની ઘણી હોંશ રે. – લીલીo

સાંકડી શેરીમાં જેઠાણી સામા મળ્યા રે,
મને ઠેકડી કર્યાની ઘણી હોંશ રે. – લીલીo

સાંકડી શેરીમાં દેરજી સામા મળ્યા રે,
મને હસ્યા-બોલ્યાની ઘણી હોંશ રે. – લીલીo

સાંકડી શેરીમાં નણદી સામા મળ્યા રે,
મને માથું ગૂંથ્યાની ઘણી હોંશ રે. – લીલીo

સાંકડી શેરીમાં વાલમ સામા મળ્યા રે,
મને મોઢું મલકાવ્યાની હોંશ રે. – લીલીo

સવારે ઊઠવાનું થાય ત્યાંથી સાંજે પથારીભેગા થવાનું થાય એ બે છેડાની વચ્ચે દિવસ જે જે વસ્તુઓ જુએ છે એ તમામ લોકગીતનું વસ્તુ બની રહે છે. જનમ-મરણ-પરણ, પ્રણય-પરિણય, રુસણાં-મનામણાં, વૈધવ્ય, ગરીબી, ખેતી, શ્રમ, યાત્રા, પ્રશસ્તિ, ઋતુચક્ર, પ્રભુભક્તિ – જીવનના બધા જ રંગ લોકગીતોમાં જોવા મળે છે.  પણ જેમ પ્રબળ પ્રવાહી લય લોકગીતનું જમા પાસું છે તેમ એકવિધતા, નિંદા કે પ્રશસ્તિનો અતિરેક અને ગીતમાં અંતરાનો અભાવ એ લોકગીતની ઉધાર બાજુ છે.

પ્રસ્તુત લોકગીતમાં આપણા કુટુંબજીવનની મધુરપ તાજગીપૂર્ણરીતે આલેખાઈ છે. નવોઢાના લાડભર્યા સાહજિક ઉદગારમાં કૌટુંબિક સ્નેહસંબંધનો ઉલ્લાસભાવ અહીં પ્રગટ્યો છે.  માથે રેશમની ઈંઢોણી મૂકી સીમથી પાણી ભરી લાવતી નવપરિણીતાને સાંકડી શેરીમાં ઘરના બધા સભ્ય વારાફરતી સામે મળે ત્યારે એના હૈયમાં ઊઠતા અલગ-અલગ પ્રેમભાવ લોકબોલીમાં અહીં આલેખાયા છે. લોકગીતની લાક્ષણિક શૈલીમાં એક જ પંક્તિના પુનરાવર્તનમાં બે-ત્રણ શબ્દની ફેરબદલીથી નવવધૂની હોંશને રમણીય અનુભૂતિ સાંપડે છે અને આપણી નજર સમક્ષ એ સમયના ગ્રામ્યજીવનનું આખું ચિત્ર તાદૃશ બને છે !

Comments (1)

(પર્વ ૧૫૦૦) લોકગીત-વિશેષ :૮: સૈયર મેંદી લેશું રે

મેંદી લેશું, મેંદી લેશું, મેંદી મોટા ઝાડ,
એક હલાવું ડાળ ત્યારે ડાળાં હલે ચાર,
સૈયર મેંદી લેશું રે.

મારી સાસુએ એમ કહ્યું કે વાસીદાં વાળી મેલ,
મેં ભોળીએ એમ જાણ્યું કે સાવરણી બાળી મેલ,
સૈયર મેંદી લેશું રે.

મારી સાસુએ એમ કહ્યું કે પાણીડાં ભરી મેલ,
મેં ભોળીએ એમ જાણ્યું કે બેડલાં ફોડી મેલ,
સૈયર મેંદી લેશું રે.

મારી સાસુએ એમ કહ્યું કે રોટલા ઘડી મેલ,
મેં ભોળીએ એમ જાણ્યું કે ચૂલો ખોદી મેલ,
સૈયર મેંદી લેશું રે.

મારી સાસુએ એમ કહ્યું કે કોડમાં દીવો મેલ,
મેં ભોળીએ એમ જાણ્યું કે સોડમાં દીવો મેલ,
સૈયર મેંદી લેશું રે.

મેંદી લેશું, મેંદી લેશું, મેંદી મોટા ઝાડ,
એક હલાવું ડાળ ત્યારે ડાળાં હલે ચાર,
સૈયર મેંદી લેશું રે.

આ ગીત અમે નાના હતા ત્યારે એટલું ગાતા, એટલું ગાતા, એટલું ગાતા… કે બસ, પૂછો ન વાત !  ખાસ કરીને અલૂણાં વ્રત વખતે હાથમાં મ્હેંદી મૂકતી વખતે… એમાંયે દરેક પંક્તિનાં છેડે ‘મેલ’ શબ્દનો ઉચ્ચાર તો અમને ખૂબ જ ગમતો.  સાસરે આવેલી સ્ત્રીનાં મનની તરંગી સ્થિતી આ લોકગીતમાં ખૂબ જ સુંદર રીતે આલેખાઈ છે.  મ્હેંદી લેવાની વાત કરતાં કરતાં ઘરમાં પોતે કરેલી મૂર્ખામીની વાત પણ એ કેટલી મજાથી અને ગર્વથી પોતાની સાહેલીને વર્ણવે છે !  🙂

Comments (9)

(પર્વ ૧૫૦૦) લોકગીત-વિશેષ :૭: પાણી ગ્યાં’તાં રે

પાણી ગ્યાં’તાં રે, બેની અમે તળાવનાં રે,
પાળેથી લપસ્યો પગ, બેડાં મારાં નંદવાણાં રે.

ચોરે બેઠા રે બેની, મારા સસરાજી રે,
કેમ કરી ઘરમાં જઈશ? બેડાં મારાં નંદવાણાં રે… પાણી…

લાંબા તાણીશ રે બેની, મારા ઘૂંઘટા રે,
હળવી હળવી જઈશ, બેડાં મારાં નંદવાણાં રે… પાણી…

ડેલીએ બેઠા રે બેની, મારા જેઠજી રે,
કેમ કરી ઘરમાં જઈશ? બેડાં મારાં નંદવાણાં રે… પાણી…

સરડક તાણીશરે બેની, મારા ઘૂંઘટા રે,
હળવી હળવી જઈશ, બેડાં મારાં નંદવાણાં રે… પાણી…

મેડીએ બેઠો રે બેની, મારો પરણ્યો રે,
કેમ કરી ઘરમાં જઈશ? બેડાં મારાં નંદવાણાં રે… પાણી…

આછા તાણીશ રે બેની, મારા ઘૂંઘટા રે,
રૂમઝૂમ કરતી જઈશ, બેડાં મારાં નંદવાણાં રે.

પાણી ગ્યાં’તાં રે, બેની અમે તળાવનાં રે,
પાળેથી લપસ્યો પગ, બેડાં મારાં નંદવાણાં રે.

તળાવે પાણી ભરવા ગયેલી સ્ત્રીનું જરાક જ જો બેડું નંદવાઈ તો એને ઘરમાં કોણ કોણ લોકો વઢશે એની ચિંતા થઈ જતી.  સાસરે ગયેલી દરેક સ્ત્રીનું મન ઘરમાં બધું પોતીકું લાગે એ પહેલા (અને પછી પણ) થોડેવત્તે અંશે આવું જ થોડું થોડું બીકણ બની જાય છે (કમ સે કમ શરૂ શરૂમાં 🙂 )… કે ઘરમાં મારાથી જો આ ફૂટી ગયું કે ફલાણું તૂટી ગયું કે કોકનું મન સાચવવાનું છૂટી ગયું, તો સાસુમા કે જેઠાણીજી શું કહેશે… સસરાજી કે જેઠજી કાંઈક પૂછશે તો શું જવાબ આપીશ… વગેરે જેવી અટકળોમાં અટવાયા કરે છે.  પરંતુ દિવસે બધાના મન સાચવવામાંથી ઊંચી ન આવતી સ્ત્રીને જ્યારે રાતે એનો પતિ પ્રેમથી જરાક જ જો કંઈ પૂછે ત્યારે એ પોતાનું બધું દુખ ભૂલી જાય છે.  હજી આજે પણ ઘણી જગ્યાએ સ્ત્રી માટે ઘરનું આવું વાતાવરણ જોવા મળે જ છે.  મને લાગે છે કે કદાચ આવી સ્ત્રીઓએ જ આવા લોકગીતો બનાવી કાઢ્યા હશે અને સાસરાનાં દુ:ખની વાતોને ગીતમાં ગાઈને ખંખેરી નાંખીને હળવી થઈ ગઈ હશે.  આવા લોકગીતોમાં આપણને જે તે સ્થળ અને સમયની સંસ્કૃતિ અને તેમનાં રોજિંદા જીવનની ઝલકો જોવા મળે છે. 

લોકગીતોની એક વિશેષતા એ છે કે લોકોની જીભે સહજ રીતે ચડી ગયેલાં આ લોકગીતો મોટેભાગે નારીપ્રધાન જ જોવા મળે છે.  કદાચ ખૂબ જ જૂજ લોકગીતો પુરુષપ્રધાન જોવા મળશે (મને તો જો કે કૃષ્ણગીતો સિવાય એકેય યાદ નથી આવતું!).  એનું એક કારણ- પુરુષપ્રધાન સમાજમાં લોકગીતો એ સ્ત્રીઓ માટે પોતાના મન-હૃદયની વાત કંડારવાનું અને કહેવાનું એક સુરક્ષિત સાધન હોઈ શકે… કદાચ…

Comments (4)

(પર્વ ૧૫૦૦) લોકગીત-વિશેષ : ૬: કાનુડો માગ્યો દેને

કાનુડો માગ્યો દેને જશોદા મૈયા
                  કાનુડો માગ્યો દે.

આજની રાત અમે રંગભર રમીએ,
    પરભાતે પાછો માગી લેને જશોદા મૈયા.  …કાનુડો…

તલભાર અમે ઓછો ન કરીએ
             ત્રાજવે તોળી લેને જશોદા મૈયા.   …કાનુડો…

હાથી ઘોડા, માલખજાના
               હાર હૈયાનો લેને જશોદા મૈયા.   …કાનુડો…

કડલાં ને કાંબી અણવટ વીંછિયા
              વેઢ વાંકિયા લેને જશોદા મૈયા.   …કાનુડો…

ગોપીઓ એક રાત માટે કનૈયાને જશોદા માતા પાસેથી ‘ઊછીનો’ લેવા આવે છે. ને તે ય વળી સવારે ‘પૂરેપૂરો’ પાછો તોલીને આપવાની શરતે ! છતાંય જશોદા ન માને તો ગોપીઓની પૂરતી ‘લાંચ’ આપવાની પણ તૈયારી છે 🙂

(કડલાં, કાંબી, અણવટ, વીંછિયા, વેઢ, વાંકિયા = બધા જુદી જુદી જાતના ઘરેણા)

Comments (4)

(પર્વ ૧૫૦૦) લોકગીત-વિશેષ : ૫: ચાંદલિયો

આસો માસો શરદ પૂનમની રાત જો, 
                       ચાંદલિયો ઊગ્યો રે સખી મારા ચોકમાં.

સસરો મારો ઓલ્યા જલમનો બાપ જો, 
                       સાસુ રે ઓલ્યા જલમની માવડી.

જેઠ મારો અષાઢિલો મેઘ જો, 
                       જેઠાણી ઝબૂકે વાદળ વીજળી.

દેર મારો ચાંપલિયાનો છોડ જો,
                       દેરાણી ચાંપલિયા કેરી પાંદડી.

નણંદ મારી વાડી માયલી વેલ્ય જો, 
                       નણદોઈ મારો વાડી માયલો વાંદરો.

પરણ્યો મારો સગી નણંદનો વીર જો,
                       તાણીને બાંધે રે નવરંગ પાઘડી.

શરદ પૂનમનો ચાંદો મનમાં જે આનંદ-ભરતી લાવે છે એ આ ગીતમાં છલકાઈ છે. ગીત ભલે લોકગીત હોય કવિકર્મમાં પાછું પડતું નથી.

Comments (5)

(પર્વ ૧૫૦૦) લોકગીત-વિશેષ : ૪: અચકો મચકો કાં રે અલી ?

તમે કિયા તે ગામનાં ગોરી રાજ
અચકો મચકો કાં રે અલી ?

    અમે નવાનગરના ગોરી રાજ
    અચકો મચકો કાં રે અલી ?

તમે કિયા તે ગામથી આવ્યા રાજ
અચકો મચકો કાં રે અલી ?

    અમે પોરબંદરથી આવ્યા રાજ
    અચકો મચકો કાં રે અલી ?

તમે કેટલી તે બેન કુંવારી રાજ
અચકો મચકો કાં રે અલી ?

     અમે સાતે બેન કુંવારી રાજ
     અચકો મચકો કાં રે અલી ?

તમે કેટલા ભાઈ કુંવારા રાજ
અચકો મચકો કાં રે અલી ?

    અમે સાતે ભાઈ કુંવારા રાજ
    અચકો મચકો કાં રે અલી ?

તમને કઈ કન્યા ગમશે રાજ
અચકો મચકો કાં રે અલી ?

    અમને શામળી કન્યા ગમશે રાજ
    અચકો મચકો કાં રે અલી ?

એ કાળીને શું કરશો રાજ
અચકો મચકો કાં રે અલી ?

    એ કાળી ને કામણગારી રાજ
    અચકો મચકો કાં રે અલી ?

અમે નવાનગરની છોરી રાજ
અચકો મચકો કાં રે અલી ?

ક્ન્યા અને વરપક્ષ વચ્ચે નોકઝોંકના આ ગીતમાં સમય આવે લોકો મનગમતી પંક્તિઓ ઉમેરીને -એને વધારે ‘રસદાર’ બનાવીને- ગાતા હોય છે.

Comments (12)

(પર્વ ૧૫૦૦) લોકગીત-વિશેષ : ૩: મને કેર કાંટો વાગ્યો

હો મને કેર કાંટો વાગ્યો
હો રાજ રે, વાવડીમાં પાણી ભરવા ગ્યાં’તાં
                          મને કેર કાંટો…

હો રાજ રે, વડોદરાના વૈદ તેડાવો
મુને પાટડિયા બંધાવો
મારાં ઓસડિયા કરાવો
                          મને કેર કાંટો…

હો રાજ રે, ધોરાજીના ઢોલિયા મંગાવો
મહીં પાથરણા પથરાવો
આડા પડદા બંધાવો
                          મને કેર કાંટો…

હો રાજ રે, ઘરમાંથી રાંધણિયા કઢાવો
રાંધણિયે ધુમાડા થાય રે
ધુમાડે જીવ મારો જાય રે
                          મને કેર કાંટો…

હો રાજ રે, ઘરમાંથી ઘંટુલા કઢાવો
એ તો ઘમ્મર ઘમ્મર થાય રે
ઘમકારે જીવ મારો જાય રે
                          મને કેર કાંટો…

હો રાજ રે, ઘરમાંથી સાંબેલા કઢાવો
એ તો ધબ્બક ધબ્બક થાય રે
ધબકારે જીવ મારો જાય રે
                          મને કેર કાંટો…

હો રાજ રે, વાવડીમાં પાણી ભરવા ગ્યાં’તાં
મને કેર કાંટો વાગ્યો, મને કેર કાંટો વાગ્યો

આ લોકગીતમાં નાયિકા કાંટો વાગવાના બહાને બળજબરીથી ‘સિક લીવ’ લઈને ઘરના કામકાજમાંથી સરસ મઝાની બારી કાઢે છે. આટલા સરસ બહાના હોય તો સાસુમાના મોઢા પર પણ ચોક્કસ મલકાટ આવી જ જાય !

Comments (6)

(પર્વ ૧૫૦૦) લોકગીત-વિશેષ :૨: આજ રે સપનામાં મેં તો

આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો,
ખળખળતી નદિઉં રે સાહેલી મારા સપનામાં રે.

આજ રે સપનામાં મે તો ઘમ્મર-વલોણું દીઠું જો,
દહીંદૂધના વાટકા રે સાહેલી મારા સપનામાં રે.

આજ રે સપનામાં મેં તો લવિંગ-લાકડી દીઠી જો,
ઢીંગલાં ને પોતિયાં રે સાહેલી મારા સપનામાં રે.

આજ રે સપનામાં મેં તો જટાળો જોગી દીઠો જો,
સોનાની થાળી રે સાહેલી મારા સપનામાં રે.

આજ રે સપનામાં મે તો પારસપીપળો દીઠો જો,
તુળસીનો ક્યારો રે સાહેલી મારા સપનામાં રે.

આજ રે સપનામાં મે તો ગુલાબી ગોટો દીઠો જો,
ફૂલડિયાંની ફોરમ રે સાહેલી મારા સપનામાં રે.

ડોલતો ડુંગર ઈ તો અમારો સસરો જો,
ખળખળતી નદીએ રે સાસુજી મારાં ન્હાતાં’તાં રે.

ઘમ્મર-વલોણું ઈ તો અમારો જેઠ જો,
દહીંદૂધના વાટકા રે જેઠાણી મારાં જમતાં’તાં રે.

લવિંગ-લાકડી ઈ તો અમારો દેર જો,
ઢીંગલે ને પોતિયે રે દેરાણી મારાં રમતાં’તાં રે.

જટાળો જોગી ઈ તો અમારો નણદોઈ જો,
સોનાની થાળીએ રે નણદી મારાં ખાતાં’તાં રે.

પારસપીપળો ઈ તો અમારો ગોર જો,
તુળસીનો ક્યારો રે ગોરાણી મારાં પૂજતાં’તાં રે.

ગુલાબી ગોટો ઈ તો અમારો પરણ્યો જો,
ફૂલડિયાંની ફોરમ સાહેલી મારી ચૂંદડીમાં રે.

લોકગીતની ભાષામાં કાવ્યતત્ત્વ ઓછું અને તળપદી ભાષાનો કાકુ વધુ પ્રબળ જોવા મળે છે. આ બોલચાલની ભાષા છે અને વળી એ અકૃત્રિમ છે. લાગણીની સહજ અભિવ્યક્તિ અને પ્રાદેશિક લઢણની સ્વાભાવિક્તા આમાં સાંગોપાંગ ઊતરી આવે છે. અભણ લોકો જિંદગીની પાઠશાળામાં જે ભણે એ છે લોકગીત. ક્યારેક અતિવિસ્તારના કારણે અહીં ભાવવિશ્વ પાતળું બનતું અનુભવાય છે તો ક્યારેક લોકગીત ગણીને આગળ ચાલ્યા જવામાં કાવ્યતત્ત્વ ચૂકી જવાનો ભય પણ રહેલો છે.

પ્રસ્તુત લોકગીતમાં કોડભરી કન્યાના ઢગલાબંધ અરમાન નાનાવિધ સ્વપ્નોના પ્રતીક દ્વારા વ્યક્ત થયા છે. ડોલતા ડુંગરથી શરૂ કરીને ગુલાબના ગોટા અને એની ફોરમ સુધી નવોઢાના સપનાંનો વ્યાપ વિસ્તરે છે અને પાછળથી આ સૌંદર્યદૃશ્યો સાથે સસરાથી માંડીને પતિ અને પોતાની જાત સુધીનો આકર્ષક સંબંધ જોડવામાં આવ્યો છે.

Comments (7)

(પર્વ ૧૫૦૦) લોકગીત-વિશેષ :૧: કેમ કરી જાશો ચાકરી રે

આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે
કે ઝીણા ઝરમર વરસે મેઘ
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !

ભીંજાય હાથી ને ભીંજાય ઘોડલાં રે,
કે ભીંજાય હાથીનો બેસતલ સૂબો
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે ! – આભમાંo

ભીંજાય મેડી ને ભીંજાય માળિયાં રે
કે ભીંજાય મેડીની બેસતલ રાણી
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે ! – આભમાંo

ભીંજાય બારી ને ભીંજાય બંગલા રે
કે ભીંજાય બારીનો બેસતલ સૂબો
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે ! – આભમાંo

ભીંજાય લીલી ઘોડી ને પીળો ચાબખો  રે
ભીંજાય પાતળિયો અસવાર
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે ! – આભમાંo

તમને વા’લી દરબારી ચાકરી રે,
કે અમને વા’લો તમારો જીવ
ગુલાબી ! નહીં જાવા દઉં ચાકરી રે ! – આભમાંo

સભ્ય સંસ્કૃતિની થોડે બહારના વર્તુળમાં આદિમ જીવન વ્યતીત કરતા લોકો પોતાના દુઃખસુખ, મસ્તી-મજાક, રીતરિવાજ અને સામાજિક પ્રસંગો કે દિનબદિનની ઘટમાળના નાનાવિધ રંગોને લયમાં ઢોળીને જે બહુઆયામી ચિત્ર ઊભું કરે એ લોકગીત. આ ગીતોનો કોઈ સર્જક નહીં. એનું સર્જન ટેબલ-ખુરશી કે ઘરમાં બેસીને થાય નહીં, એ તો પ્રસંગોપાત્ત લોકોની વચ્ચે જ રચાય અને એમાં રચનારનું કોઈ કર્તૃત્ત્વ નહીં. રચાતાની સાથે જ એ તો લોકોની માલિકીનું થઈ જાય. કવિતાની જેમ એ કાગળ પર નહીં પણ સીધું લોકોના દિલમાં જ લખાઈ જાય અને પેઢે દર પેઢી ગળામાં જ સચવાય.આ સંઘોર્મિનું ગાયન છે અને એટલે જ સમય-સમયાંતરે લોકસમૂહ એમાં નવું ઉમેરતો પણ રહે છે અને જૂનું ક્યારેક વાઢતો પણ રહે છે.

પ્રસ્તુત લોકગીતમાં દરબારની ચાકરીને વહાલી ગણતા વહાલમને નોકરીએ ન જવા દેવા માટે લાખ-લાખ વાનાં કાઢતી નવોઢાના મનોભાવોનું ચિત્રણ અદભુત રીતે થયું છે.  એક પછી એક અસબાબને વરસાદમાં ભીંજાતો બતાવી અંતે નાજુક તબિયતનો પાતળિયો અસવાર ભીંજાય તો એના જીવને નાહક જોખમ થાય એમ બહાનું બતાવી છેલ્લે સુધી ‘કેમ કરી જાશો ‘નો ઉપાલંભ કરતી અર્ધાંગિની ‘નહીં જાવા દઉં ‘નો રોકડો રૂપિયો ખણખણાવે છે ત્યારે લોકગીતની મીઠાશ હૈયામાં અંકાઈ જાય છે…

Comments (6)

૧૫૦૦ – જાદુઈ આંકનો સ્પર્શ…

૪ ડિસેમ્બર, ૨૦૦૪ના રોજ ધવલે ‘લયસ્તરો.કોમ’ની શરૂઆત એકલા હાથે કરી ત્યારે ઇન્ટરનેટ પર ગુજરાતી બ્લૉગ્સની હજી શરૂઆત થઈ નહોતી પણ ‘ટ્રેડિશનલ’ ફોન્ટ્સવાળી કેટલીક વેબસાઈટ્સ અસ્તિત્વ ધરાવતી હતી. લયસ્તરો શરૂ થયું એના ગણતરીના મહિનાઓમાં બ્લૉગ્સની સંખ્યા વધવી શરૂ થઈ અને આજે અધિકારપૂર્વક ગણવું દોહ્યલું થઈ પડે એ હદે ગુજરાતી બ્લૉગ્સ ફૂલ્યા-ફાલ્યા છે.

પ્રતિદિન એક કવિતા ટૂંકા રસાસ્વાદ અથવા કવિપરિચય સાથે મૂકવાના નિયમ સાથે આ યાત્રામાં હું ૧૩ જાન્યુઆરી, ૨૦૦૬થી જોડાયો અને અમારી આ સહિયારી સફરના આજે લગભગ સાડા પાંચ વરસે ૫૦૦થી વધારે કવિઓની ૧૫૦૦ જેટલી રચનાઓ અહીં માઉસની એક ક્લિક્ પર હાથવગી થઈ છે. આજે લયસ્તરો ગુજરાતી કવિતાઓની સહુથી વિશાળ વેબસાઈટ છે અને આજે જ્યારે અમે બે મિત્રો ૧૫૦૦ના જાદુઈ આંકનો અક્ષુણ્ણ સ્પર્શ કરી રહ્યા છીએ ત્યારે શું કહેવું એ સમજાતું નથી…

‘આભાર’ શબ્દ આ પહેલાં આટલો વામણો કદી લાગ્યો નહોતો !

ધવલ – વિવેક

(તા.ક. : પંદરસો પોસ્ટનો આ સોનેરી અવસર આવવાનું એકમાત્ર કારણ આપ સહુ ‘લોકો’નો અનવરત સ્નેહ જ છે અને એટલે જ અમે આવતીકાલથી પાંચ દિવસ સુધી રોજ બે લોકગીતો અહીં પીરસીશું.)

Comments (36)

કેમ રહો છો મૂંગામંતર – ‘તખ્ત’ સોલંકી

નાનકડો તું કાગળ લખને,
બાકી છે, તે આગળ લખને !

વરસાદી મોસમના સમ છે,
ઝરમર ઝરમર વાદળ લખને !

શબ્દોના સાગર ક્યાં મળશે ?
ઝરણાં જેવી ખળખળ લખને !

પતંગિયા રૂપે મળશું પણ,
ફૂલો જેવું તું સ્થળ લખને !

કેમ રહો છો મૂંગામંતર ?
‘તખ્ત’ મિલનની બે પળ લખને !

– ‘તખ્ત’ સોલંકી

ટૂંકી બહેરની ગઝલ લખવી અને એમાંથી વળી કવિતા ઉપસાવવી આમેય થોડું દોહ્યલું હોય છે, એવામાં કવિતા ઉપરાંત વાતચીતનો કાકુ પણ સિદ્ધ  કરી શકાય તો તો ગંગા નાહ્યા. વડોદરાના ‘તખ્ત’ સોલંકીની આ ગઝલ આ કસોટી પર ખરી ઉતરે છે. મત્લાનો શેર જ -મનનો ને મહેફિલનો- મુશાયરો જીતી લે એવો થયો છે.  સાચા પ્રેમમાં અપેક્ષા લાંબીચોડી હોતી નથી પણ જે હોય છે તે છતી કરવામાં નાનમ પણ હોતી નથી. વધુ નહીં તો એક નાનકડોય કાગળ લખવાનું કવિ ઇજન આપે છે અને જે કહેવાઈ ગયું છે અથવા સમજાઈ ગયું છે અથવા આગળ લખાઈ ગયું છે એનું પુનરાવર્તન કરવું જરૂરી નથી એવું ટૂંકમાં સમજાવી એક નાનકડા અલ્પવિરામનો સચોટ ઉપયોગ કરી કવિ આગળ લખવા કહે છે… પણ અહીં પ્રેમ છે, એટલે વિનંતી સાથે આગ્રહ પણ છે… ‘લખ’ પાછળ ‘ને’નો ભાર જોડીને કવિ પ્રણયના ભાવને સ-રસ ઘૂંટે છે…

(સાભાર સ્વીકાર : ‘ગઝલ ગરિમા – 2008’, સંપાદક: શ્રી પંકજ શાહ)

Comments (15)

જુદાઈ – શેરકો બીકાસ (ઇરાકી કૂર્દીશ) (અનુ.:હિમાંશુ પટેલ)

જો તેઓ મારી કવિતામાંથી
ફૂલ લઈ લે
તો મારી એક ઋતુ મરી જાય.
જો તેઓ મારી પ્રિયતમા લઈ લે
તો બે મરી જાય
જો તેઓ પાંઉ લઈ લે
તો ત્રણ મરી જાય
જો તેઓ સ્વતંત્રતા લઈ લે
તો આખું વર્ષ મરી જાય
અને હું પોતે પણ મરી જાઉં.

– શેરકો બીકાસ (ઇરાકી કૂર્દીશ)
(અનુ.:હિમાંશુ પટેલ, અમેરિકા)

વિશ્વની અલગ-અલગ ભાષાઓમાં લખાતી કવિતા જે તે સંસ્કૃતિનો આયનો છે. ઇરાકી કવિની આ કવિતા વાંચીએ ત્યારે પહેલી નજરે છેતરામણી સરળ અને સહજ લાગે પણ છેલ્લી બે લીટી વાંચીએ ત્યારે સૉનેટ જેવી ચોટ અનુભવાય. કવિતામાંથી કુદરત અને સૌંદર્ય છિનવી લેવાય તો કદાચ કવિતાનો એક ભાગ મરી જાય પણ આખી કવિતા નહીં. પ્રેમ અને પ્રેમોક્તિ પણ કાઢી લેવાય તોપણ અડધી કવિતા તો જીવશે જ. ગરીબી, આજીવિકા કે મનુષ્યના અસ્તિત્વની વાતો પણ કાઢી લેવાય તોય કદાચ કવિતા સમૂચી મરી નહીં પરવારે. પણ જો અભિવ્યક્તિની સ્વતંત્રતા છિનવી લેવાય તો કવિ જાણે છે કે આ ‘જુદાઈ’ મરણતોલ છે… સ્વતંત્ર અભિવ્યક્તિ વિના કવિતા પણ શક્ય નથી અને કવિ પોતે પણ શક્ય નથી… કવિતા પૂરી થાય ત્યારે કવિતાનું શીર્ષક સાચા અર્થમાં સમજાય છે..

સાભાર સ્વીકાર:  અમેરિકા સ્થિત કવિ શ્રી હિમાંશુ પટેલના સંગ્રહો: ‘એક કવિતા પર્યાપ્ત છે અસ્તિત્વ માટે’ (દુનિયાભરની ભાષાઓની કવિતાઓનો અનુવાદ), ‘કવિતા : જીવનચિત્રોનું અક્ષયપાત્ર’ (દીર્ઘ અને ટૂંકા કાવ્યો),’ બધા રંગોમાં વેદના ભરેલી છે’ (દીર્ઘકાવ્ય).

Comments (7)

જાત આવી છે – યામિની વ્યાસ

મહેકી રાતરાણી ખુશનુમા મધરાત આવી છે
પરંતુ નીંદ ક્યાં ? એ લઈને અશ્રુપાત આવી છે

ઢબૂરીને સઢોમાં કંઇક ઝંઝાવાત આવી છે
સલામત નાવ આવ્યાની કિનારે વાત આવી છે

કપાશે વૃક્ષ પંખીઓ ને પ્રાણી ઠાર થઈ જાશે
અહીં પૃથ્વી ઉપર માણસની આખી જાત આવી છે

ઘટે ના આ રીતે ક્યારેય કોઈનાં થવું તુજને
હૃદય પાસે હવે બુદ્ધિની રજૂઆત આવી છે

ભલે ને રમ્ય છે પણ સાંજ રોકાઈ નથી શક્તી
હથેળીમાં લઈ એ ડૂબવાની ઘાત આવી છે

-યામિની ગૌરાંગ વ્યાસ

ઉપરથી પ્રસન્નચિત્ત નજરે ચડે એ બધા સાચે જ આનંદિત હોય એ જરૂરી નથી. મધરાતને ખુશબોસભર કરતી રાતરાણીને ખબર નથી કે એની ભીની મીઠી સુગંધ કોઈક આંખોમાં વિરહ અને યાદના અશ્રુપાત પણ આણી શકે છે. હોડી સલામત આવી ગઈ હોવાની વાત કિનારે ચાલી રહી છે પણ કાંઠાવાસીઓને એ ક્યાં ખબર જ હોય છે કે આ હોડી કંઈ કેટકેટલા તોફાન વેઠીને માંડ કિનારે આવી છે ?!

(સાભાર સ્વીકાર: યામિની વ્યાસનો પ્રથમ ગઝલસંગ્રહ ‘ફૂલ પર ઝાકળનાં પત્રો’ )

Comments (25)

સાંજ – ફિલીપ ક્લાર્ક

શૂન્યતાની પાંખ ફડફડતી રહી
ફૂલની લાશોય થરથરતી રહી
ડાળ પર સૂતો પવન પડખું ફર્યો
મહેક ભીની સાંજ સળવળતી રહી

– ફિલીપ ક્લાર્ક

Comments (4)