જિંદગીના રસને પીવામાં જલ્દી કરો ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.
મરીઝ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for August, 2007

અમથા અમથા – મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’

અમથા અમથા અડ્યા
કે અમને રણઝણ મીણા ચડ્યા.

એક ખૂણામાં પડી રહેલા હતા અમે તંબૂર;
ખટક અમારે હતી, કોઇ દી બજવું નહીં બેસૂર:
રહ્યા મૂક થઇ, અબોલ મનડે છાના છાના રડ્યા. –
કે અમને રણઝણ મીણા ચડ્યા.

જનમ જનમ કંઇ ગયા વીતી ને ચડી ઊતરી ખોળ;
અમે ન કિંતુ રણઝણવાનો કર્યો ન કદીયે ડોળ:
અમે અમારે રહ્યા અઘોરી, નહીં કોઇને નડ્યા. –
કે અમને રણઝણ મીણા ચડ્યા.

આ જનમારે ગયા અચાનક અડી કોઇના હાથ;
અડ્યા ન કેવળ, થયા અમારા તાર તારના નાથ:
સૂર સામટા રહ્યા સંચરી, અંગ અંગથી દડ્યા. –
કે અમને રણઝણ મીણા ચડ્યા.

હવે લાખ મથીએ, નવ તોયે રહે મૂક અમ હૈયું;
સુરાવલી લઇ કરી રહ્યું છે સાંવરનું સામૈયું:
જુગ જુગ ઝંખ્યા ‘સરોદ’-સ્વામી જોતે જોતે જડ્યા. –
કે અમને રણઝણ મીણા ચડ્યા.

-મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’

પ્રભુનો સ્પર્શ થાય તો કેવો નશો ચડે એનું ઉત્તમ ઉદાહરણ બની રહે છે આ ગીત. ઈશ્વર અમથા અમથા અડે તોય આખા શરીરમાં રણઝણાટી થઈ જાય એવો કેફ ચડે છે. કવિ કહે છે કે અમે તો એક ખૂણામાં મૂંગામંતર પડી રહેલા તંબૂરા હતા. અમને ચાનક ચડી હતી કે વાગવું તો સૂરમાં નહિંતર નહીં. બસ, છાના-માના અબોલ રડ્યા કરતા હતા. જન્મજન્માંતરો વહી ગયા. કેટલાય ખોળિયા બદલાઈ ગયા પણ અમે કદી રણઝણવાનો ઢોંગ કર્યો નહીં. અઘોરી જેમ સ્મશાનમાં પડીને સાધના કર્યા કરે એમ અમે પણ કદી કોઈને નડ્યા નહીં. પણ આ જન્મારે કોઈના હાથ એવા અડ્યા કે એ અમારા તાર-તારના નાથ બની ગયા. અંગ-અંગથી વહેતા રહે એવા સામટા સૂર અમારા તારે-તારમાંથી ઊઠવા માંડ્યા. અને હવે તો લાખ કોશિશ કરીએ તો યે અમારું હૃદય ચૂપ રહી શકે એમ નથી. એ તો સાંવરિયાનું સામૈયું કરવા સુરાવલિઓ લઈને ઊમડ્યું છે. જુગ-જુગોથી જેને ગોતતા હતા એ સ્વામી આજે મળ્યા છે ત્યારે અમને કદી માણ્યો ન્હોતો એવો કેફ ચડ્યો છે.

(મીણા ચડવા= કેફ ચડવો; ખટક = ચાનક; ખોળ=કાંચળી; સંચરી=વ્યાપી જવું, પ્રસરી જવું)

Comments (3)

મને વેદના… – બી. કે. રાઠોડ ‘બાબુ’

મને વેદના એટલે સાંપડી છે,
થયો જેમનો, એમને ક્યાં પડી છે ?

સહી ઘા ઘણાં જિંદગી મેં ઘડી છે,
પછી શબ્દની એ સરાણે ચડી છે.

નસીબે નથી પ્રેમની બુંદ એકે,
છતાં પ્યાસ મારી બધે આથડી છે.

સિતમ સજ્જનોના મને યાદ છે સૌ,
છતાં આંખ મારી કદી ના રડી છે.

નથી જૂઠ ત્યાં કોઈનું ચાલવાનું,
હૃદયની કચેરી બધાંથી વડી છે.

ભલે મોત સામે થયો હો પરાજય,
છતાં જિંદગી ‘બાબુ’ વર્ષો લડી છે.

– બી. કે. રાઠોડ ‘બાબુ’

નાની અમથી પણ મજાની ગઝલ… બધા શેર ગમી જાય એવા થયા છે. પ્યાસના આથડવાની વાત વધુ સ્પર્શી ગઈ. હૃદયની કચેરીની વાત પણ. (લયસ્તરો માટે એમનો પ્રથમ ગઝલ સંગ્રહ, ‘અહીંથી ત્યાં સુધી’ પ્રેમભાવે મોકલવા માટે કવિશ્રીનો ખૂબ આભાર…)

Comments (2)

વરસાદમાં – સુધીર પટેલ

ક્યાંય ના ધિક્કાર છે વરસાદમાં,
પ્યાર બસ ચિક્કાર છે વરસાદમાં.

પ્યાસનો સ્વીકાર છે વરસાદમાં,
તોષનો વિસ્તાર છે વરસાદમાં !

ધરતી માથાબોળ નાહી નીતરે,
એ જ તો શૃંગાર છે વરસાદમાં !

સૌના ચ્હેરા પર ખુશી રેલાય ગૈ,
એક છૂપો ફનકાર છે વરસાદમાં.

જિંદગીભર ચાલશે એક બુંદ પણ,
એટલો શ્રીકાર છે વરસાદમાં.

છત નીચે ઊભી ગઝલ ના લખ ‘સુધીર’
કૈં ગઝલનો સાર છે વરસાદમાં !

– સુધીર પટેલ

Comments (6)

ડંખ – જગદીશ જોષી

વીંછીના આંકડાની જેમ મારી વેદનાઓ
ડંખે છે વળી વળી કેમ ?

સીમે આળોટે લીલી વાડીની યાદ,અને
કૂવે ઝળુંબે એક વેલો :
થાળમાં કાંકરાને ડાળીને ઝાંખરા
પાણીનો ક્યાંય નહીં રેલો.

ચગદીને ચાલી જતી કોમળ પાનીઓ કેમ
આવે ને જાય હેમખેમ ?

બપ્પોરે આભમાંથી સપનાં સાપોલિયાં
થઇને આ આંખમાં લપાયાં:
સ્મરણોએ શ્વાસ જરી લીધો ન લીધો ત્યાં તો
નસનસમાં ઝેર થૈ છવાયાં.

રજકાના ભૂરા આ નિસાસે કોસતણો
વરસે છે જરી જરી વ્હેમ !

– જગદીશ જોષી

Comments

મુક્તક – લાભશંકર દવે

એને સૃજનનો મોહ કંઈ લાગે ન એટલે,
આકાર આપીને એ નિરાકાર થઈ ગયો !
એણે ખુશી થઈને કરી સ્વર્ગની સજા,
હું પુણ્ય કમાઈને ગુનેગાર થઈ ગયો !

પ્રસંગોપાત જીવનમાં હસી લઉં છું, રડી લઉં છું,
અને આ જીવવા જેવું જીવન જાતે ઘડી લઉં છું.
મને શાબાશીના બે શબ્દ કહેનારા નથી મળતા,
તો હું પોતે જ હાથે પીઠ મારી થાબડી લઉં છું.

– લાભશંકર દવે

Comments (1)

વાલમનો બોલ- અનિલ જોષી

કૂવો ઊલેચીને ખેતરમાં વાવ્યો
ને ઊગ્યો તે બાજરાને મોલ
કાંટાની વાડ કૂદી આવ્યો રે આજ
મારા વાલમનો હરિયાળો કોલ

શેઢે ઘૂમે રે ભૂરી ખિસકોલી જેમ
મારી કાયાનો રાખોડી રંગ
તરતું આકાશ લઈ વહી જાય ધોરિયે
અંતરનો બાંધ્યો ઉમંગ

દખ્ખણની કોર હવે ઊડતું રે મન
જેમ ખેતર મેલીને ઊડે પોલ.

ચારે દિશાઓ ભરી વાદળ ઘેરાય
અને પર્વતના શિખરોમાં કંપ
આઘે આઘે રે ઓલી વીતકની ઝાડીમાં
હરણું થઈ કૂદે અજંપ

સામે આવીને ઊભી ઝંઝાની પાલખીમાં
ફરફરતો વાલમનો બોલ.

-અનિલ જોષી

અનિલ જોષીના ખાસ મિત્ર રમેશ પારેખ આ ગીતનો ‘પાણીદાર ગીત’ કહીને જે આસ્વાદ કરાવે છે એને ટૂંકાણમાં માણીએ (થોડી મારી નોંક-ઝોંક સાથે):

ગીતના ઉપાડમાં જ કવિ ‘પાણી ઉલેચ્યું’ એમ નહીં, ‘કૂવો ઉલેચ્યો’ એમ કહીને આ કૈંક જુદી જ વાત છે એનો સંકેત કરી દે છે. પછી તરત જ ‘કૂવો વાવ્યો’ એમ કહે છે ત્યારે કૂવો એના વાચ્યાર્થનો પરિહાર કરીને રહસ્યમય વ્યંજના ધારણ કરે છે. વાતે-વાતે રડી પડનારને લોકો ‘ભઈ, તારે તો કપાળમાં કૂવો છે’ એવું કહે છે તે યાદ આવે. અને તરત જ ‘આંખ’ના સંદર્ભો વીંટળાઈ જાય. ‘ખેતર’નો પણ એની જડ ચતુઃસીમામાંથી મોક્ષ થયો છે. પ્રતિભાશાળી સર્જક પગલે પગલે શબ્દોનો મોક્ષ કરતો હોય છે.

જેનાથી દૃષ્ટિ પોતાનું સાર્થક્ય પામે તેવા કોઈ ‘અવલોકનીય’ને પામવાની અપેક્ષામાં આંખને રોપી, વાવી. પછી? પછી બાજરાના મોલની ખળા સુધી પહોંચવા માટે હોય તેવી પક્વ સજ્જતાનું અને ઉત્સુક્તાનું દૃષ્ટિમાં પ્રકટીકરણ થયું. કાંટાની વાડનું નડતર પણ ન રહ્યું કેમકે એને અતિક્રમીને વ્હાલમનો બોલ સન્મુખ પ્રકટ થયો છે.

કાયા અને કાયામાં રહેલો ઉમંગ હવે અસીમ બન્યો છે. ખેતર પાછળ મેલીને પોલ ઊડી નીકળે એમ સ્થૂળ દેહ ખેતરના શેઢે છોડીને મન વિસર્જિત થવા દક્ષિણ તરફ ઊડ્યું. (મૃત્યુ પછી મૃતદેહને દક્ષિણ દિશામાં વિસર્જિત કરાય છે એ પરંપરાગત સંદર્ભમાંથી કવિએ આ માર્મિક અભિવ્યક્તિ નિપજાવી લીધી છે).

ચારે દિશાઓ ભરાઈ જાય એટલા ઉમળકા હૈયામાં ઊઠી રહ્યા છે અને અ-ચલ પર્વતના શિખરોમાં ય કંપ છે. હરણાં જેવું મન અજંપે ચડી કૂદાકૂદ કરે છે…કેમકે પવનની પાલખીમાં આવેલ વ્હાલમનો કોલ, ઉપયોગી કે નિરુપયોગી તમામ વળગણોને તોડીફોડીને, પાલખીમાં લઈ જવા આવ્યો છે એટલે લઈ જ જશે…

Comments (8)

ગઝલ – નયન હ. દેસાઈ


(નયન દેસાઈએ સ્વહસ્તે ખાસ લયસ્તરો માટે લખી આપેલી અપ્રગટ રચના)

મૌન મટીને બૂમ થયો છું
હું મારામાં ગુમ થયો છું.

કૈં ઠેકા ઠુમકા કીધા છે
તો આજે રૂમઝૂમ થયો છું.

જીવતર આખું ભડકે બળતું
સારૂં છે નિર્ધૂમ થયો છું.

ચીરેચીરા સુખના કીધા
હું કેવો માસૂમ થયો છું !

ગામનું ઘર ને ખેતર વેચ્યા
કોઈ ભાડાની રૂમ થયો છું.

-નયન હ. દેસાઈ

નયનભાઈના મુખે કવિતા સાંભળવાની ઘટના પોતે જ એક કવિતા છે. માત્ર આંખ મીંચે અને આ માણસ લૌકિકમાંથી અલૌકિક બની જાય છે. એમનો અવાજ આ દુનિયાની પેલે પારના કોઈ પ્રદેશમાંથી આવતો લાગે. કવિતાની અંદર ઓગળી જઈને પ્રકટ થતો આવો કવિ ભાગ્યે જ જોવા મળે. નયનભાઈને તમે એકલા મળો કે કવિસંમેલનમાં કે સભામાં- આ માણસ હવાની જગ્યાએ કવિતા શ્વસતો હોવાનો વ્હેમ પડે એ પહેલાં જ ખાતરી થઈ જાય. આખેઆખી કવિતાઓ એમને કંઠસ્થ. વાતે-વાતે શબ્દની જગ્યાએ શેર ટપકે. એમના ઘરે બેસીને એમના કંઠેથી વરસેલા આ ગઝલના વરસાદમાં એમની સાથોસાથ પલળવાનો મોકો મળ્યો અને લાગલી જ લયસ્તરો માટે એમની પાસે એ (મોઢે જ) લખાવી પણ લીધી. આભાર, નયનભાઈ !

Comments (5)

યાહોમ કરીને પડો – કવિ નર્મદ

સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે;
યા હોમ કરીને પડો ફતેહ છે આગે.

કેટલાંક કર્મો વિષે, ઢીલ નવ ચાલે,
શંકા ભય તો બહુ રોજ, હામને ખાળે;
હજી સમય નથી આવિયો, કહી દિન ગાળે,
જન બ્હાનું કરે, નવ સરે અર્થ કો કાળે;
ઝંપલાવવાથી સિધ્ધિ જોઇ બળ લાગે….યા હોમ..

સાહસે કર્યો પરશુએ પૂરો અર્જુનને,
તે પરશુરામ પરસિધ્ધ, રહ્યો નિજ વચને;
સાહસે ઈંદ્રજિત શૂર, હણ્યો લક્ષ્મણે,
સાહસે વીર વિક્રમ, જગત સહુ ભણે;
થઈ ગર્દ જંગમાં મર્દ હક્ક નિજ માગે…યા હોમ..

સાહસે કોલંબસ ગયો, નવી દુનિયામાં,
સાહસે નિપોલિયન ભીડ્યો યૂરપ આખામાં;
સાહસે લ્યુથર તે થયો પોપની સામાં,
સાહસે સ્કાટે દેવું રે, વાળ્યું જોતામાં;
સાહસે સિકંદર નામ અમર સહુ જાગે…યા હોમ..

સાહસે જ્ઞાતિનાં બંધ કાપી ઝટ નાખો,
સાહસે જાઓ પરદેશ બીક નવ રાખો;
સાહસે કરો વેપાર, જેમ બહુ લાખો,
સાહસે તજી પાખંડ, બહ્મરસ ચાખો;
સાહસે નર્મદા દેશ-દુ:ખ સહુ ભાગે…યા હોમ..

-કવિ નર્મદ

કવિ નર્મદની જન્મજયંતી નિમિત્તે આજે એમની એક લબ્ધપ્રતિષ્ઠ કૃતિ… “યાહોમ કરીને પડો, ફતેહ છે આગે“- આ પંક્તિ તો આજે કહેવતકક્ષાએ પહોંચી ચૂકી છે. કવિ નર્મદનો પરિચય અને એમની અન્ય કૃતિઓ આપ અહીં વાંચી શક્શો. લયસ્તરો તરફથી યુગક્રાંતિના આ પ્રણેતાને સો સો જુહાર…

Comments (4)

ગઝલ – ધૂની માંડલિયા

શબ્દ જ્યારે પણ સમજણો થાય છે
અર્થ ત્યારે કંકુવરણો થાય છે.

આમ હળવું ફૂલ છે, તારું સ્મરણ
આમ રાતે બોજ બમણો થાય છે.

આંસુઓથી એ સતત ભીંજાય છે,
પ્રેમપંથ એથી લપસણો થાય છે.

આ સવારો, સાંજ, પછી રાત પણ,
તુંય કાં સૂરજ, બટકણો થાય છે ?

રોજ નમણું રૂપ સામે જોઈને,
જો અરીસો પણ આ  નમણો થાય છે.

-ધૂની માંડલિયા

Comments (12)

ગઝલ – દિલીપ વ્યાસ

વધારે નથી કોઈ શણગાર સજવા,
હવે ઊતરી જાવ હે રંગ ભગવા !

નથી રંગ એકાંત પર કોઈ ટક્તો,
સહુ રંગ આવે છે જાણે ફટકવા !

લિપિબદ્ધ થાતી રહી મૂંઝવણ પણ,
કહે, કેટલા પ્રશ્ન મારે ખડકવા ?

હવે વેદનાનો કયો આ તબક્કો ?
અવસ્થા ઉદાસીની લાગી છટકવા.

-દિલીપ વ્યાસ

માત્ર ચાર શે’રની બનેલી આ ગઝલ ચાર દિવાલોની મજબૂતાઈથી અર્થનું જે મકાન રચી આપે છે એની આગળ ભાવકે માત્ર નતમસ્તક થવાનું જ રહે છે.

Comments (4)

Intermediate Constant ની ગઝલ – હેમેન શાહ

છે ઉમર લંબી છતાં વર્ષો નિયત ક, ખ, કે ગ,
માંડ એમાં થઈ સરસ ક્ષણ હસ્તગત ક, ખ, કે ગ.

દોસ્ત હો, કે રેસ્ટોરાં હો, કે જળાશય જાદુઈ,
પેશ કરવાની તરસની સૌ વિગત ક, ખ, કે ગ.

ઘડ્ દઈને બંધ પુસ્તક થાય, બત્તી ઓલવાય,
ચૂં કે ચાં પણ ક્યાં કરી શક્શે તરત ક, ખ, કે ગ ?

લોહકણને એક ચુંબકક્ષેત્ર છે, મારા ઉપર
એક સાથે કંઈ પરિબળ કાર્યરત્ ક, ખ, કે ગ.

આ ખરા ખોટા વિકલ્પો કંઠ રૂંધી નાખશે,
બસ કરી દો બંધ આ મેલી રમત :’ક, ખ, કે ગ ?’

-હેમેન શાહ

પ્રતિભા કોટેચાએ મુંબઈ સમાચાર (૧૪-૦૫-૧૯૮૯)માં કરાવેલ આ ગઝલના સુંદર રસાસ્વાદને સંક્ષિપ્તમાં માણીએ:

આપણી ઉમર ગમે એટલી લાંબી હોય છતાં જેમ કક્કામાં સ્વર-વ્યંજનની સંખ્યા નિયત છે એમ એક નિયત આંકડે એનો અંત નિશ્ચિત છે. અને આ લંબી ઉમરમાં સારી વીતેલી ક્ષણો કેટલી? વીસ, બાવીસ કે પચ્ચીસ… માત્ર ક, ખ, કે ગ-આંગળીને વેઢે ગણાય એટલી.

આપણી તરસનાં અનેકાનેક રૂપ હોય છે. આ તરસ મિત્ર પાસે સ્નેહની હોય કે હૉટલમાં ઠંડા પીણાંની હોય. ‘જળાશય જાદુઈ’માં મહાભારતનો સંદર્ભ યાદ આવે. યક્ષના પ્રશ્નોનો ઉત્તર આપ્યા વિના વનમાં જળાશયનું પાની પીનાર ચારે પાંડવો મૃત્યુ પામે છે. યુધિષ્ઠિર યક્ષને ઉત્તર આપી બધાને બચાવી લે છે. આપણે પણ દરવખતે તરસ છિપાવતાં પહેલાં ઘણા સવાલોનું સમાધાન કરવું પડે છે.

રાત્રે ઊંઘ આવતાં આપણે નાઈટ-લેમ્પ ઓલવીને પુસ્તક ધડ્ દઈને બંધ કરી દઈએ છીએ ત્યારે બિચારા અક્ષરો ક, ખ, કે ગ કશું બોલી શક્તા નથી. ચૂં કે ચાં પણ કરી શક્તા નથી.

આપણા લોહકણ પર તો એક જ ચુંબકીયક્ષેત્ર અસર કરે છે પણ આપણા પર તો કેટલાંયે પરિબળો કામ કરતાં હોય છે-ઘર,આડોશપાડોશ, ઑફિસ, સમાજ…. આપણે કેટલીયે દિશાઓમાં ખેંચાવું પડે છે. આ દિશાઓ અને પરિબળો પછી ક હોય, ખ, કે ગ હોય…

જીવનના દરેક ક્ષેત્રે માણસ સામે વિકલ્પોની જટાજાળ ફેલાયેલી હોય છે. આ વિકલ્પો ખોટા જ હોય એવું નથી, પરંતુ આ બધાની તકલીફ એ છે કે માણસને કોઈ એક ચોક્કસ માર્ગ તરફ વધતાં અટકાવે છે. અને ક્યારેક આપણને એવા રૂંધી નાંખે છે કે આપણે ચિત્કારી ઊઠીએ છીએ: બસ કરી દો બંધ આ મેલી રમત :’ક, ખ, કે ગ ?’

Comments (8)

મુક્તક- મનસુખલાલ ઝવેરી

દુષ્કરોમાં સૌથી દુષ્કર શું હશે ?
-મોહ ને મહોરાં ઉતારી જીવવું.

-મનસુખલાલ ઝવેરી

Comments (6)

ખાંત – પ્રદ્યુમ્ન તન્ના

(ગુલમ્હોર…..                                            ….ચિત્રાંકન-પ્રદ્યુમ્ન તન્ના)

પોંચો મરડીને જરા ઢોલ ધમકાર્ય આમ ઢીલો ઢીલો વજાડ્ય શાનો ?
ઠીંકરી નથી રે કાંઈ દીધી લે હાંર્યે વળી આનો દીધો છ એલા આનો !

અમને તો ઈંમ કે સૂરજ ડૂબતા લગણ રમશું રે આજનો દા’ડો,
જોરાળો જાણી તારે કૂંડાળે પેઠાં તંઈ નીકળ્યો તું છેક અરે ટાઢો !
ઊડે ના આળસ તો જાને પી આય પણે હારબંધ મંડાણી સંધીની હોટલથી
કોપ એક ‘પેશીયલ’ ચાનો !
પોંચો મરડીને જરા ઢોલ ધમકાર્ય આમ ઢીલો ઢીલો વજાડ્ય શાનો ?….

તુંયે તે ખાંત ધરી હરખું વજાડે તો એવું અલ્યા રાહડે ખેલું,
ટોળે વળીને કાંઈ જોવાને ઊમટ્યું આ હંધું મનેખ થાય ઘેલું !
ને વાદે ચડીને આજ નોખો ફંટાયો એ હામે કૂંડાળેથી રમવાને આણી કોર
ઊતરી આવે રે મારો કાનો !
પોંચો મરડીને જરા ઢોલ ધમકાર્ય આમ ઢીલો ઢીલો વજાડ્ય શાનો ?

– પ્રદ્યુમ્ન તન્ના

તરણેતરના મેળામાં 60ના દાયકામાં ઢોલીઓ પોતાના કૂંડાળા દોરી ઊભા રહેતા. પૈસા આપીને એમાં પગ મૂકવાનો અને પછી ઢોલીના તાલે થીરકવાનું. ઢોલી જેટલો કાબેલ એટલું એનું કૂંડાળું જામે. બે નમણી સૈયર આનાનો લાગો આપીને કૂંડાળામાં ઘૂસી પણ દેખાવે બળુકા ઢોલીનો ઢોલ બરાબર ન જામતાં રાસ જમાવી શકી નહીં ત્યારે છણકો કરીને બોલી કે ‘હરખું વજાડને ‘લ્યા! ઠીંકરી નથી દીધી કાંઈ, આનો દીધો છે એક આનો’. ફોટોગ્રાફી કરવા મેળામાં આવેલ પ્રદ્યુમ્ન તન્ના આ ખેલ જોતા હતા અને જન્મ્યું આ ગીત. આળસ ન ઊડે તો સિંધીની હોટલમાં જઈ સ્પેશીયલ ચા પી આવવાની વાત પણ કેવી તળપદી શૈલીમાં રજૂ થઈ છે ! સૈયરની મનોકામના એવા રાસે ચડવાની છે કે મેળામાં આવેલ બધા માણસો ઘેલા થઈ ટોળે વળે અને વાદે ચડીને સામા કૂંડાળે રાસ રમવાના નામે આડા ફાટેલ મનના માણીગરને આ કૂંડાળામાં આવવાની ફરજ પડે.(ચાળીસ વર્ષથી વધુ લાંબી કાવ્યસાધનાના પરિપાક સમો આ ઈટાલીનિવાસી કવિનો પહેલો સંગ્રહ “છોળ’ મનભરીને માણવા સમો થયો છે. તળપદી ભાષાનું વરદાન એમને કેવુંક ફળ્યું છે તે એમની આ રચનામાં પણ જોઈ શકાય છે)

(ખાંત-ઉમંગ, જોરાળો-જોરાવર)

Comments (6)

શંકા ન કર -ઉર્વીશ વસાવડા

(ઉર્વીશ વસાવડાએ ખાસ લયસ્તરો માટે સ્વહસ્તે લખી મોકલાવેલ અપ્રગટ ગઝલ)

સૂર્યના ઢળવા વિષે શંકા ન કર
દીપ ઝળહળવા વિષે શંકા ન કર

આ કથાનો અંત બાકી છે હજી
આપણા મળવા વિષે શંકા ન કર

એક પથ્થર આપણે ફેંક્યા પછી
નીર ખળભળવા વિષે શંકા ન કર

છે તિખારો એક ઊંડે ક્યાંક પણ
હીમ ઓગળવા વિષે શંકા ન કર

એ અનાદિકાળથી ગુંજે ભીતર
નાદ સાંભળવા વિષે શંકા ન કર

-ઉર્વીશ વસાવડા

સહજતા એ ઉર્વીશ વસાવડાની ગઝલોની ખાસિયત છે. શેર વાંચતા જ સરલ અને અનુભવતા અતલ લાગે એ એમની વિશેષતા. સાવ નાની અમથી આ ગઝલમાં ક્યાંક ઊંડી વાતો કહેવાઈ ગઈ છે…(લયસ્તરો માટે આ અક્ષુણ્ણ ગઝલ સ્વહસ્તે લખી મોકલવા બદલ ઉર્વીશ વસાવડાનો ખૂબ ખૂબ આભાર!)

Comments (18)

લઘુકાવ્ય- હર્ષદ ત્રિવેદી

પિંજરાનું બારણું ખોલીને
પંખીને કહેવામાં આવ્યું,
‘હવે તું મુક્ત છે.’
પંખીએ બહાર  નીકળીને
માણસ સામે જોયું-
અને-
પાછું પિંજરામાં ભરાઈ ગયું.

-હર્ષદ ત્રિવેદી

ગાગરમાં સાગર જેવી આ કવિતાને એમ જ માણીએ…

Comments (16)

આયખું – ભાનુપ્રસાદ પંડ્યા

આયખું ના આજ અને કાલ, મારા બેલીડા,
.             આયખું તો અવસરની ડાળ !

કૂંપળની જેમ એને ફૂટે છે દિવસો
.            ને મંજરીની જેમ રાત મ્હોરે !
જીવતાં હોઈએ ન જાણે જીવતર સુવાસનું
.               મન એમ હળવું થઈ ફોરે !
આયખું તો ફાગણનો ફાલ, મારા બેલીડા,
.               આયખું તો આંબાની ડાળ !

કાગળમાં મંડાતો આંકડો એ હોય નહિ,
.             આયખું તો ઘરઘરની વાત !
વેળાના વાયરામાં રજોટાય નહિ એવી
.             વિરલાં વરસોની રૂડી ભાત !
ડગલાંનો સરવાળો નહિ, મારા બેલીડા,
.               આયખું તો હરણાંની ફાળ !

-ભાનુપ્રસાદ પંડ્યા

ભજનના ઢાળમાં વહેતું આ ગીત આપણને જીવન વિશેના વિધાયક અભિગમ તરફ આંગળી ચીંધે છે. આયખું એ આજ કે કાલ અર્થાત્ વર્તમાન કે ભૂત-ભવિષ્યના સમયનો સરવાળો નથી, કેવળ અવસરનો ખેલ છે. અર્થાત્ જે ક્ષણની પૂરી લહાણ લીધી એટલું જ સાચું આયખું. અને આપણે ડગમગ જીવન જીવવાનું નથી, આ જીવતરના અવસરને હરણફાળ ભરીને માણી લેવાનો છે. ભાનુપ્રસાદ પંડ્યાનું આવું જ એક નખશીખ સૌંદર્યસભર ગીત આપણે અહીં માણી ચૂક્યા છીએ.

Comments (4)

તેં શું કર્યું ? – ઉમાશંકર જોશી

દેશ તો આઝાદ થાતાં થઈ ગયો,
.                         તેં શું કર્યું ?
દેશ જો બરબાદ થાતાં રહી ગયો,
.                   એ પુણ્ય આગળ આવીને કોનું રહ્યું ?
‘લાંચ રુશ્વત, ઢીલ, સત્તાદોર, મામામાશીના,
કાળાં બજારો, મોંઘવારી : ના સીમા !’
.                  -રોષથી સૌ દોષ ગોખ્યા,
.                    ગાળથી બીજાને પોંખ્યા.
આળ પોતાને શિર આવે ન, જો ! તેં શું કર્યું ?
-આપબળ ખર્ચ્યું પૂરણ ? જો, દેશના આ ભાગ્યમાં તેં શું ભર્યું ?
.               સ્વાતંત્ર્યની કિંમત ચૂકવવી હર પળે;
.               સ્વાતંત્ર્યના ગઢકાંગરા : કરવત ગળે.
ગાફેલ, થા હુશિયાર ! તું દિનરાત નિજ સૌભાગ્યને શું નિંદશે ?
શી સ્વર્ગદુર્લભ મૃત્તિકાનો પુણ્યમય તુજ પિંડ છે !
.               હર એક હિંદી હિંદ છે,
.               હર એક હિંદી હિંદની છે જિંદગી.
હો હિંદ સુરભિત ફુલ્લદલ અરવિંદ : એ સ્વાતંત્ર્ય દિનની બંદગી.

-ઉમાશંકર જોશી

-સ્વતંત્રતા દિવસ આવે અને બધાને એક વાર પોતાનો દેશ યાદ આવી જાય. દરેક જણ આ નેતાઓએ દેશની પથારી ફેરવી નાંખી એવું માને છે. નહેરુના વંશજોએ દેશને ખાડે નાંખ્યો… લાલુ આમ કરે છે… પેલો તેમ કરે છે… પણ કોઈ કદી એમ વિચારે છે ખરું કે એ પોતે પણ આ દેશનો જ એક હિસ્સો છે? આ દેશ જો વિનિપાતના માર્ગે છે તો એને એમાંથી ઉગારવા માટે આપણે એક વ્યક્તિ તરીકે, એક દેશવાસી તરીકે શું કર્યું? ‘હર એક હિંદી હિંદ છે’ કહીને કવિએ આ કાવ્યમાં જે રીતે મસૃણતાથી ચોટ કરી છે એ આજે સાંઠ વર્ષ પછી કદાચ વધુ પ્રસ્તુત લાગે છે. (સૌ મિત્રોને લયસ્તરો તરફથી સ્વાતંત્ર્યદિનની શુભેચ્છાઓ…)
(પૂરણ= પૂર્ણ, પોંખ્યા= વધાવવું, મૃત્તિકા =માટી, ફુલ્લદલ=પૂર્ણવિકસિત કમળ)

Comments (3)

જો હોય – ઉશનસ્

આવી જ એક ક્ષણ હોય,
સામે અષાઢધન હોય;

ફણગો ફૂટે અડકતાં જ
ભીનોભીનો પવન હોય;

જે તે ચણ્યું ગમે ના,
કાચું પીમળતું વન હોય;

ઊગી જવાય વાડે
જો આ ક્ષણે વતન હોય;

સિમેન્ટમાં ઢુંઢું છું :
એકાદ મીટ્ટીકણ હોય;

ઠરવા ચહે છે આંખો
હરિયાળું ક્યાંક તૃણ હોય;

બોલાવે ઘેર સાંજે
બાના સમું સ્વજન હોય.

-ઉશનસ્

Comments (4)

ન રાખું આશા – રમણલાલ સોની

ન રાખું આશા કદી કોઈ પાસ
પછી કરે કોણ મને નિરાશ ?

– રમણલાલ સોની

Comments (3)

ગઝલ – આદિલ મન્સૂરી

ઈશ્વર
પથ્થર

બિંદુ
સાગર

પ્રશ્નો
ઉત્તર

માનવ
પામર

આદિલ
શાયર

-આદિલ મન્સૂરી

છંદનું એક જ આવર્તન હોય અને એક જ શબ્દનો મિસરો હોય એવી સાવ જ ટૂંકી-ટચ ગઝલ થોડા સમય પહેલાં આપણે અમૃત ઘાયલની કલમે વાંચી. અન્ય સાહિત્યકારોએ પણ આવા પ્રયોગ કર્યા છે. આજે માણીએ આદિલ મન્સૂરીની એવી જ વાંચતા પહેલાં જ પૂરી થઈ જાય એવી છતાં થોભો તો ચમત્કૃતિ અનુભવાય એવી એક ગઝલ…

Comments (6)

ઉંદરડા – વિવેક કાણે ‘સહજ’


(વિવેક કાણેએ લયસ્તરો માટે ખાસ સ્વહસ્તે લખી આપેલ અપ્રગટ ગઝલ)

દિશા કે લક્ષ્ય કે ઉદ્દેશ છોડ ઉંદરડા,
બધાય દોડે છે અહીં, તું ય દોડ ઉંદરડા.

ગમે તો ઠીક, અને ના ગમે તો તારા ભોગ
આ જિંદગી એ ફરજીયાત હોડ ઉંદરડા.

કોઈને પાડીને ઉપર જવાનું શીખી લે
શિખર સુધીનો પછી સાફ રોડ ઉંદરડા.

આ એક-બે કે હજારોની વાત છે જ નહીં
બધા મળીને છે છસ્સો કરોડ ઉંદરડા.

થકાન, હાંફ, ને સપનાં વગરની સૂની નજર
તમામ દોડનો બસ આ નિચોડ ઉંદરડા.

-વિવેક કાણે ‘સહજ’

ગયા અઠવાડિયે એમની કઠપૂતળીની ગઝલ વાંચી. એ જ વિષયને સંલગ્ન આજે આ ગઝલ. ઉંદરડાને પ્રતીક બનાવી કવિ ભલે દિશા, લક્ષ્ય કે ઉદ્દેશ છોડવાની સલાહ આપતા હોય, ગઝલ વાંચતા જ અનુભવાય છે કે કવિ આ ત્રણેય આયામ સફળતાથી પામ્યા છે. વિવેક કાણેને ઈ.સ.૨૦૦૦નો “શયદા” પુરસ્કાર પણ મળ્યો હતો. કવિતા ઉપરાંત પ્રકૃતિનો ખોળો ખૂંદવું એ એમના લોહીમાં વણાયેલું છે. (અમારા બંનેના નામ અને કંઈક અંશે શોખ તો એકસમાન છે જ… વિશેષ આશ્ચર્યમાં એ કે એમની (૧૬-૦૩-૧૯૬૭) અને મારી (૧૬-૦૩-૧૯૭૧) જન્મતારીખ પણ એક જ છે.)

Comments (8)

પ્રેમરસ – દયારામ

જે કોઈ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ઠરે.

સિંહણ કેરું દૂધ હોય તે સિંહણસુતને જરે,
કનકપાત્ર પાખે સહુ ધાતુ ફોડીને નીસરે. – જે કોઈo

સક્કરખોરનું સાકર જીવન, ખરના પ્રાણ જ હરે,
ક્ષારસિંધુનું માછલડું જેમ મીઠા જળમાં મરે. – જે કોઈo

સોમવેલી રસપાન શુદ્ધ જે બ્રાહ્મણ હોય તે કરે;
વગળવંશીને વમન કરાવે, વેદવાણી ઊચરે. – જે કોઈo

ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થ ના સરે,
મત્સ્યભોગી બગલો મુક્તાફળ દેખી ચંચુ ના ભરે. – જે કોઈo

એમ કોટિ સાધને, પ્રેમ વિના પુરુષોત્તમ પૂંઠ ના ફરે,
દયાપ્રીતમ શ્રીગોવર્ધનધર, પ્રેમભક્તિએ વરે. – જે કોઈo

-દયારામ

કહેવતની કક્ષાએ પહોંચેલ ધ્રુવપંક્તિ અને પ્રથમ અંતરાવાળું આ અમરકાવ્ય આપણા ભાષાકીય ખજાનાના એક સીમાચિહ્ન સમું છે. આ છે શાશ્વત કવિતા… યુગ કોઈ પણ હોય, એ સદૈવ સાંપ્રત જ લાગશે…

(કનકપાત્ર=સુવર્ણપાત્ર, સક્કરખોર=સાકર ખાનાર જીવડો, ખર=ગધેડો, વગળવંશી=વર્ણસંકર, વમન=ઊલટી, મુક્તાફળ=મોતી)

Comments (1)

કાફિયા-સાંકળીની મત્લા ગઝલ- મનહર મોદી

(કાફિયા-સાંકળીની મત્લા ગઝલ- એક પ્રયોગ)

ખૂબ પીડે છે દર્દ ઉપરથી,
કોતરે છે પછી અંદરથી.

બારણું ઊઘડે છે અંદરથી,
કોણ ઊતરી રહ્યું છે ઉપરથી ?

હું ગયો છું અહીંથી ઉપરથી,
ને પણેથી ગયો છું અંદરથી.

જાય છે કોણ કોણ અંદરથી ?
આંખ ઊઘડે તો જોઈ ઉપરથી.

હું થયો ખૂબ લાંબો ઉપરથી,
ને પછી પહોળો થયો અંદરથી.

-મનહર મોદી

ધ્યાનથી જોતાં આ ગઝલમાં ‘અંદર’ અને ‘ઉપર’ એમ બે અલગ-અલગ કાફિયાઓને વારાફરતી ગઝલની શરૂઆતથી અંત સુધી એક-બીજા સાથે સાંકળીને કવિએ જાણે ઉપર-અંદર-અંદર-ઉપર-ઉપર-અંદર એમ કાફિયાઓની એક સાંકળ રચવાનો પ્રયોગ કર્યો છે.

Comments (2)

ફૂટપટ્ટી – વિપિન પરીખ

વીસ વરસ પછી આજે અમારા ‘ક્લાસ-ટીચર’ મળી ગયા
સ્હેજ વીલું મોં, પ્રાણ વિનાનાં પગલાં
જૂનો કોટ,
શાળાની નોકરીએ એમને આટલો જ વૈભવ આપ્યો છે.
હવે ‘રીટાયર્ડ’ થયા છે.
સિંહ જેવો એમનો રોફ હતો.
એમનો અવાજ નહીં, એમની ત્રાડ આખા ક્લાસને ધ્રુજાવતી
એ અમને ઊભા કરતા ને અમે પાટલૂનમાં થરથરતા
એક દિવસ ખરાબ અક્ષર માટે
એમણે મને હાથ પર ફૂટ મારેલું
તે હજી યાદ છે.
મને ઢીલા અવાજે કહે,
“તને તો ખબર છે મારા અક્ષર સુંદર અને મરોડદાર છે,
અને હું હિસાબના ચોપડા પણ લખી શકું છું.
તારી ફેકટરીમાં… ”

– વિપિન પારેખ

આપણે જેમને આપણા આદર્શ માનીને મોટા થયા એ શિક્ષકોને આપણે શું વળતર આપીએ છીએ – બને એટલું ઓછું ! અને પછી આપણે ફરિયાદ કરીએ છીએ કે શિક્ષણ કથળતું જાય છે. હા, કથળે નહીં તો થાય શું ?! આપણે શિક્ષકોને ડોકટરો કે વકીલો જેટલો પગાર આપીએ તો જ આપણા બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ મળી શકે.

ખેર, આ સ્થિતિ ભારતમાં જ નહીં અમેરિકામાં પણ છે. આ જ વિષય પર એક અમેરિકન શિક્ષક/કવિ ટેઈલર માલીની ‘સ્લેમ પોએટ્રી’ પણ માણવા જેવી છે. (સ્લેમ પોએટ્રી એટલે એક પ્રકારની કવિતાની હરિફાઈ જેમા કવિતાને સ્ટેજ પર પર્ફોમ કરવાની હોય અને એના પરથી તમારું ગુણાંકન થાય. અમેરિકામાં આવી હરીફાઈઓ ખાસ્સી લોકપ્રિય છે.) એમાં કવિ/શિક્ષક પોતાનો બળાપો કાઢે છે અને ‘What do you really make ?’ ના જવાબમાં એક અવાજે કહે છે, I make a difference !

Comments (16)

યુદ્ધ છું – વિનોદ ગાંધી

બંધ આંખોથી હતો સિદ્ધાર્થ હું,
આંખ ખોલી તો હવે બુદ્ધ છું.

હું નથી અર્જુન, ગીતાનો કૃષ્ણ પણ
જે સતત ચાલે અહીં તે યુદ્ધ છું.

મોતની વિકરાળ હરદમ બીકથી,
જિંદગીથી કેટલો હું  કૃદ્ધ છું.

આ અણુયુગમાં જૂનાનું શું ગજું?
એ જ આદમ છું,  હવે હું  વૃદ્ધ  છું.

– વિનોદ ગાંધી

અલગ જાતના વિચાર લઈને આવેલી ગઝલ. બીજો શેર ખાસ સરસ થયો છે. કવિને કહે છે કે હું અર્જુન (એટલે કે યુદ્ધ કરવાથી કચવાતો = કર્મી ) કે કૃષ્ણ ( યુદ્ધની અનિવાર્યતા જાણનારો = જ્ઞાની)  નથી, હું તો સ્વયં યુદ્ધ જ છું. હું જ પોતે સકળ ઘટના છું, હું કાંઈ પ્રેક્ષક નથી. આ વાત બહુ બખૂબી પકડાઈ છે.

Comments (7)

પિતાની ઝૂંપડી મધ્યે – ચંપકલાલ વ્યાસ

પિતાની ઝૂંપડી મધ્યે  પાંચ પુત્રો વસી શકે,
પુત્રોના પાંચ મહેલમાં પિતા એક સમાય કે ?

– ચંપકલાલ વ્યાસ

Comments (4)

ગીત- સુરેશ દલાલ

મંદિર સાથે પરણી મીરાં, રાજમહેલથી છૂટી રે
કૃષ્ણ નામની ચૂડી પહેરી, માધવની અંગૂઠી રે.

અરધી રાતે દરશન માટે આંખ ઝરૂખે મૂકી રે
મીરાં શબરી જનમજનમની જનમજનમથી ભૂખી રે

તુલસીની આ માળા પહેરી, મીરાં સદાની સુખી રે
શ્યામ શ્યામનો સૂરજ આભે, મીરાં સૂરજમુખી રે

કાળી રાતનો કંબલ ઓઢી, મીરાં જાગે સૂતી રે
ઘાયલકી ગત ઘાયલ જાણે : જગની માયા જૂઠી રે.

-સુરેશ દલાલ

સુરેશ દલાલે લખેલા શ્રેષ્ઠ ગીતોમાં અગ્રિમ ક્રમે મૂકી શકાય એવા મીરાં જેવા જ સરળ અને સહજ આ ગીતને બસ, મમળાવી મમળાવીને વાંચીએ… માણીએ…

Comments (1)

કઠપૂતળી- વિવેક કાણે ‘સહજ’


(વિવેક કાણેએ લયસ્તરો માટે ખાસ સ્વહસ્તે લખી આપેલ અપ્રગટ ગઝલ)

કશુંક સામ્ય તો છે, સાચેસાચ કઠપૂતળી,
તને હું જોઉં, અને જોઉં કાચ કઠપૂતળી.

આ તારું નૃત્ય એ મારી જ કોરિયોગ્રાફી,
નચાવું જેમ તને એમ નાચ કઠપૂતળી.

હલનચલન ને આ ચૈતન્ય ખેલ પૂરતું છે
જીવંત હોવાના ભ્રમમાં ન રાચ કઠપૂતળી.

સમાન હક, ને વિચારોની મુક્તતા ને બધું,
જે મારી પાસે નથી, એ ન યાચ કઠપૂતળી.

‘સહજ’ નચાવે તને કો’ક ગુપ્ત દોરીથી
ને તારી જેમ છું હું પણ કદાચ કઠપૂતળી.

-વિવેક કાણે ‘સહજ’

પૂણે ખાતે સુઝલોન એનર્જી લિ.માં AGM તરીકે કાર્યરત્ વિવેક અનિલ કાણે ‘સહજ’ સાથે તમે વાત કરો તો એમનું તખલ્લુસ સાર્થક હોવાની પ્રતીતિ બે જ મિનિટમાં થઈ જાય. સહજતાથી એવી મુલાયમ ઢબે શબ્દો એમની અંદરથી સરે કે લપસ્યા વિના છૂટકો જ ન રહે. ટેલિફોન પર એમની ગઝલો સાંભળવાનો મોકો મળ્યો એ ક્ષણો ચિરસ્મરણીય બની રહેવાની. BE Mech અને MBA (Finance) જેટલું ઉચ્ચ શિક્ષણ મેળવનાર, પૂણેમાં જ જન્મેલ આ મહારાષ્ટ્રિયન કવિ ગુજરાતી અને ઉર્દૂ ગઝલક્ષેત્રે ખૂબ મોખરાનું નામ ધરાવે છે. ગુજરાતી કવિતાઓનું મરાઠીમાં ભાષાંતર (‘અનુભૂતિ’) કરવા ઉપરાંત મરાઠી સાહિત્યનો ગુજરાતી અનુવાદ કરીને એ બે ભાષાઓ વચ્ચેની સરહદ ઓગાળે છે.

‘લયસ્તરો’ માટે આ ગઝલ સ્વહસ્તે લખી મોકલવા બદલ અમે એમના ઋણી છીએ. આજ ગઝલની વિચારધારા સાથે સંલગ્ન એક બીજી ગઝલ પણ આ સાથે જ મૂકાય એવી એમની ઈચ્છા હતી, પણ મને થયું કે ઈંતેજારની મજા જ કંઈ ઓર છે…બીજી ગઝલ આવતા અઠવાડિયે…

Comments (6)

ફરી જોજો ! -કપિલરાય ઠક્કર ‘મજનૂ’

જિગર પર જુલ્મ કે રહેમત ઘટે જે તે કરી જોજો,
તમારા મ્હેલના મહેમાનની સામું જરી જોજો.

મુસાફર કંઈ બિચારા આપના રાહે સૂના ભટકે,
પીડા ગુમરાહની, ઊંચે રહી આંખો ભરી જોજો.

ઊછળતા સાગરે મેં છે ઝુકાવ્યું આપની ઓથે,
શરણમાં જે પડે તેને ડુબાવીને તરી જોજો.

વિના વાંકે છરી મારી વહાવ્યું ખૂન નાહકનું,
અરીસા પર નજર ફેંકી તમારી એ છરી જોજો.

કટોરા ઝેરનાં પીતાં જીવું છું એ વફાદારી :
કસોટી જો ગમે કરવી, બીજું પ્યાલું ધરી જોજો.

અમોલી જિંદગાની કાં અદાવતમાં ગુમાવો છો ?
કદર કો’દી ઘટે કરવી, મહોબત આદરી જોજો.

વરસતા શ્યામ વાદળમાં મળ્યા’તા મેઘલી રાતે,
વચન ત્યાં વસ્લનું આપ્યું, હવે, દિલબર ! ફરી જોજો.

-કપિલરાય ઠક્કર ‘મજનૂ’

‘બીજું પ્યાલું ધરી જોજો’ની આ ખુમારી ક્યાં મળે છે આ જમાનામાં? વીતેલા યુગના કવિશ્રી કપિલરાય ઠક્કર પરંપરાના ગઝલકાર હતા. એમની ગઝલો ઈશ્કે-મિજાજી (પ્રણયરંગ) અને ઈશ્કે-હકીકી (ભક્તિરંગ)થી છલકાતી જોવા મળે છે. જે જમાનામાં ગઝલને અસ્પૃશ્ય ગણવામાં આવતી હતી એ જમાનામાં મજનૂ જેવા શાયરોએ આજે આપણી ભાષાનો પર્યાય બની ગયેલી કાવ્યરચનાને પ્રાણવાયુ પૂરો પાડ્યો હતો. (જન્મ: ૦૩/૦૪/૧૮૯૨, મૃત્યુ: ૧૯/૦૨/૧૯૫૯; મરણોત્તર કાવ્યસંગ્રહ: ‘સ્વપ્નમંદિર’)

Comments (2)

ગઝલ – ચિનુ મોદી ‘ઈર્શાદ’

પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.

આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,
મારા ઘરે પધારો ઓ ગંજીપાની રાણી.

ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી.

થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

-ચિનુ મોદી ‘ઈર્શાદ’

ગઈકાલે ચિનુ મોદીની એક રચના આપણે માણી. જોગાનુજોગ આજે હું પણ એમની જ એક રચના લઈને આવ્યો છું. એમની ખૂબ જાણીતી તસ્બી પ્રકારની આ ગઝલ-રચના આજે કોઈપણ વધારાની પૂર્વભૂમિકા વિના જ માણીએ….

Comments (4)

મોકો મળ્યો – ચિનુ મોદી ‘ઈર્શાદ’

સરસ વાત કરવાનો મોકો મળ્યો,
તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો.

મને ક્યાં ખબર: હું છું વહેતો પવન,
બધા ઘેર ફરવાનો મોકો મળ્યો.

હતાં ઝાંઝવા એથી સારું થયું,
મને રેત તરવાનો મોકો મળ્યો.

થયું: હાશ સારું કે છે તો ખરો,
ખુદા છે તો ડરવાનો મોકો મળ્યો.

ગઝલને થયું: છે આ ‘ઈર્શાદ’ તો
ઠરીઠામ ઠરવાનો મોકો મળ્યો.

– ચિનુ મોદી ‘ઈર્શાદ’

સરસ અને સંવેદનશીલ. સીધી દિલને અડકતી ગઝલ.

Comments (8)