બાકી શરીર કૈં નથી ચહેરો છે દોસ્તો
ઓળખ, અટક ને નામનો પહેરો છે દોસ્તો

માણસ સુધી તો કઈ રીતે પહોંચી શકે કોઈ
દેખાય તેથી પણ વધુ ગહેરો છે દોસ્તો
નયન દેસાઈ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for July, 2007

ગુજરાતી યુનિકોડને વધાઈ નંબર બે : દિવ્ય ભાસ્કર પણ હવે યુનિકોડિત !

થોડા વખત પર સંદેશ યુનિકોડનો ઉપયોગ કરનારું પહેલું ગુજરાતી છાપું બન્યું હતું. આજથી દિવ્ય ભાસ્કર યુનિકોડનો ઉપયોગ કરનારું બીજું ગુજરાતી છાપું બને છે. દિવ્ય ભાસ્કર જો તમે ઈંટરનેટ એક્સપ્લોરરમાં જોતા હો તો તમને કોઈ જ તફાવત દેખાશે નહીં. પરંતુ આ સાઈટના ફોંટ (સૂર્યા) એ આજથી યુનિકોડ એનકોડિંગમાં કામ કરે છે. હવે એક વધુ છાપું તમે ગુગલથી શોધી શકો છો અને એમાંથી કોઈ પણ ‘ટેક્સ્ટ’ લઈને કોઈને ઈ-મેલ કરી શકો છો.

આનો એક વધારે ફાયદો એ છે કે સૂર્યા ફોંટનો આપ યુનિકોડ ફોંટ તરીકે (શ્રુતિની જગાએ) ઉપયોગ કરી શકો છો. આ ફોંટને મેં આજે બરાબર અજમાવી જોયા છે અને કેટલીક બાબતમાં ( દા.ત.દૃ અને શ્લો જેવા અક્ષરો માટે) એ શ્રુતિ ફોંટથી પણ વધારે સરસ કામ આપે છે. ગુજરાતીમાં ‘પ્રોફેશનલ’ લેવલના ગણી શકાય એવા આ ‘શ્રુતિ’ પછીના પહેલા યુનિકોડ ફોંટ છે.

યુનિકોડનો પવન પુરબહારમાં ફૂંકાવા માંડ્યો છે. હવે ગુજરાતીના પતંગને નેટના આકાશમાં ઊંચે ચડવામાં જરાય વાર નહીં લાગે !

Comments (8)

તેઓ – અશોક વાજપેયી

તેઓ એક પીંજરું લાવશે
અદૃશ્ય
પણ તેને છોડીને પછીથી
ઊડી નહીં શકાય.

તેઓ વચન આપશે આકાશનું
તેઓ ઉલ્લેખ કરશે તેની
અસીમ ભૂરાશનો
પણ તેઓ લાવશે પીંજરું.

પછી તેઓ હળવેથી સમજાવશે
કે આકાશમાં જતાં પહેલાં
પીંજરાનો અભ્યાસ જરૂરી છે.

પછી તેઓ કહેશે કે આકાશમાં ખૂબ જોખમ છે
કે ક્યાંય નથી આકાશ
કે આકાશ પણ અંતે તો પીંજરું છે.

પછી તેઓ પીંજરામાં
તમને છોડીને
આકાશમાં
અદૃશ્ય થઈ જશે.

– અશોક વાજપેયી
(અનુ. કિશોર શાહ)

તમને દુનિયાદારીની રીત સમજાવનાર બધા અંદરથી દુનિયાદાર હોય છે ખાસ જાણવું. એમની કહેલી વાતોનું તો ये हकीकत ही हकीकत में फसाना ही न हो જેવું હોય છે. કોઈક વાર સ્વપ્ન જેમની સાથે મળીને જોઈએ એમનું ધ્યાન અંદરખાને બીજે જ હોય એવું પણ હોય છે. દરેક માણસે પોતાના આકાશ (અને પીંજરા) ની શોધ પોતે જ કરવાની હોય છે.

Comments (4)

સંવાદ – રજની પરુળેકર

અચાનક ક્યાંકથી ઘણી બધી ચકલીઓ આવી,
વાડ પરથી બેસીને ઝૂલવામાં મગ્ન થઈ ગઈ
તારની તીક્ષ્ણ, વળદાર ગાંઠો
તેમણે કેટલી સહજતાથી ટાળી હતી !
અને તારને પણ ચકલીઓનો ભાર લાગતો નહોતો;
તારા-મારા સંવાદનું તે ચિત્ર હતું !

– રજની પરુળેકર
(અનુવાદ : જયા મહેતા)

તારની વાડ પર બેસીને ઝૂલતી ચકલી – એવા સામાન્ય ચિત્રમાંથી કવિ કેટલી સિફતથી એક અદભૂત વાત કહી દે છે એ તો છેલ્લી લીટીની ચોટ આવે ત્યારે જ સમજાય છે.

Comments (3)

ગઝલ- રઈશ મનીઆર


(રઈશ મનીઆરે સ્વહસ્તે લયસ્તરો માટે લખી આપેલી અપ્રગટ ગઝલ)

જાણી ગયો છું આજ કશું જાણતો નથી
શું દર્દ ? શું ઈલાજ ? કશું જાણતો નથી.

સરકી ગયા છે પગ તળેથી જ્ઞાનના ઢૂવા
છું સ્થિર ભૂમિ પર આજ, કશું જાણતો નથી.

વ્યક્તિ, સમૂહની કશી રાખે નહીં તમા
વ્યક્તિ વિશે સમાજ કશું જાણતો નથી.

આંબી વિજયની રેખ ત્યાં છાલાં પડ્યાં પગે
માથા ઉપરનો તાજ કશું જાણતો નથી.

મધદરિયે મારી પાસે બચ્યા ફક્ત હાથપગ
ક્યારે તૂટ્યું જહાજ કશું જાણતો નથી.

મારી ભીતર છુપાયેલી કથનીઓ બાબતે
મારો પ્રગટ અવાજ કશું જાણતો નથી.

મારા અવાજનું હું તો કેવળ નિમિત્ત છું
છેડ્યું છે કોણે સાજ કશું જાણતો નથી.

મારા વિશે મને ન હો મારાથી રાવ કંઈ
બીજું શું છે સ્વરાજ કશું જાણતો નથી.

-રઈશ મનીઆર

કશું જાણતો નથી કહીને ઘણી બધી વાત અહીં કહેવાઈ રહી છે. ગઝલના મત્લામાં રઈશભાઈનો તબીબી વ્યવસાય કવિતાની કળામાં ઓગળતો દેખાય છે. જ્યારે કોઈ અગમ્ય બિમારી સામે તબીબ પોતાના હાથ હેઠા પડતા અનુભવે છે ત્યારે કોઈ ગેબી તાકાત સામે આ લાચારી જરૂર અનુભવાય છે. આખી ગઝલ અદભુત છે પણ હું રહી-રહીને ગઝલના આખરી શે’ર સામે પાછો ફરું છું. સ્વરાજ તમે કોને કહેશો? લાલા લજપતરાય, ભગતસિંહ અને ગાંધીએ જેના બી વાવ્યા હતા એ સ્વરાજની ભાવના આઝાદીના સાંઠ વર્ષ બાદ જુઓ તો, ક્યાં આવી પહોંચી છે ! દેશની આઝાદીથી લઈને અદના આદમી સુધી સમાન હક જેવા વિશાળ ફલક પર રચાયેલી સ્વરાજની વ્યાખ્યાઓ આજે કેટલી સીમિત બનીને રહી ગઈ છે એ વાત અહીં આબાદ દર્શાવાઈ છે. આજે મનુષ્યની આઝાદીના સીમાડાઓ એટલા બધા સંકુચિત થઈ ગયા છે કે મનુષ્યને પોતાને પોતાની જાત વિશે પોતાની જાત તરફથી કોઈ ફરિયાદ ન રહે એ પણ ખરું સ્વરાજ ગણાય… કદાચ આપણે ટૂંકા પાયા પર આટલું કરી શકીએ તોય ગાંધી-ઈચ્છ્યું સ્વરાજ પ્રાપ્ત થઈ શકે, ખરું ને? (દરેક જણ પોતાનું આંગણું સાફ કરે તો આખું વિશ્વ સાફ થઈ જાય!)

અને હા ! આ ગઝલ રઈશ મનીઆરે સ્વહસ્તે લયસ્તરો માટે ખાસ લખી આપી છે. કહેવાની જરૂર ખરી કે આ પણ એક સાવ નવી જ, તરોતાજા અને અત્યાર સુધી ક્યાંય પ્રગટ ન થયેલી ગઝલ છે!

Comments (12)

વારી વારી જાઉં રે – જીવણદાસ (દાસી જીવણ)

વારી વારી જાઉં રે
મારા નાથનાં નેણાં ઉપર વારી-ઘોળી જાઉં રે;
વારી વારી જાઉં રે મારા નાથનાં નેણાં ઉપર

ઘેર ગંગા ને ગોમતી મારે, શીદ રેવાજી જાવું રે ?
અડસઠ તીરથ મારા ઘરને આંગણે,
નત તરવેણી ના’વું રે. – વારી0

શીદને કરું એકાદશી, શીદ ત્રીજે ટંક ખાઉં રે ?
નાથ મારાનાં નેણાં નીરખી,
હું તો પ્રેમનાં ભોજન પાઉં રે. – વારી0

શામળા-કારણે સેજ બિછવું, પ્રેમથી પાવન થાઉં રે;
નાચું નાચું મારા નાથની આગળ,
વ્રજ થકી બોલાવું રે. – વારી0

દાસી જીવણ સંત ભીમને ચરણે, હેતે હરિગુણ ગાઉં રે;
સતગુરુને ચરણે જાતાં
પ્રેમે પાવન થાઉં રે. – વારી0

-જીવણદાસ (દાસી જીવણ)

ઈસવીસનની અઢારમી સદીના ઉત્તરાર્ધ (આશરે 1755)ના આ કવિ ભક્તિરસમાં એટલા તરબોળ હતા કે નામ જીવણદાસ હોવા છતાં દાસી જીવણ તરીકે ઓળખાતા. રવિભાણ સંપ્રદાયના આ કવિને પ્રભુવિરહનાં આરતભર્યાં પદ-ભજન ખાસ હસ્તગત હતા. સંતપરંપરાના કવિએ યૌગિક રહસ્યાનુભૂતિ, ગુરુમહિમા તથા પ્રેમલક્ષણાભક્તિને તળપદા વાણીવળોટો, રૂપકો અને હિંદીની છાંટ સાથે સુંદર વાચા આપી છે.

Comments (1)

મારા હિસ્સાનો સૂરજ-ગૌરાંગ ઠાકર

ગુજરાતી ગઝલના આકાશમાં નાના-મોટા સેંકડો તારલાઓ રોજ ઊગતા રહે છે અને સમયની ગર્તમાં ક્યાં અને ક્યારે ખોવાઈ જાય છે એ ખબર પણ પડતી નથી. પણ કેટલાક તારાઓ અધિકારપૂર્વક આ આકાશમાં પ્રવેશે છે, પોતાનો પ્રકાશ પાથરે છે અને ધ્રુવતારકની પેઠે પોતાનું નિશ્ચિત અને અવિચળ સ્થાન જમાવવામાં સફળ રહે છે. ગુજરાતી ગઝલનું મક્કા ગણાતા સુરતમાં આવો જ એક તારો, નામે ગૌરાંગ ઠાકર પોતાના હિસ્સાનો સૂરજ શોધવા નીકળે છે. માત્ર એકાવન ગઝલોના એમના ગઝલ-સંગ્રહની ગલીઓમાં ફરીએ ત્યારે સહેજે ખાતરી થઈ જાય કે આ તારો ખરી જનાર નથી. એમની ગઝલમાં એક અનોખી કુમાશ અને તાજગી વર્તાય છે. સરળ રદીફ અને સહજ કાફિયાઓના ખભે બેસીને એમની ગઝલો વાંચતાની સાથે દિલમાં ઘર કરી જાય એવી છે. છંદો પરની પકડ પણ ધ્યાનાર્હ બની રહે છે. ભાષાની સાદગી અને શે’રનું આંતર્સૌંદર્ય એ આ કવિની પોતીકી ઓળખ બની રહે છે. એમના પહેલા સંગ્રહ, ‘મારા હિસ્સાનો સૂરજ’માંથી ચુનેલા થોડા પ્રકાશ-કિરણોમાં ચાલો, આજે થોડું ન્હાઈ લઈએ….

કોયલ કમાડે આવીને ટહુક્યા કરે છે રોજ,
અફસોસ ના રહ્યો કે આ નાનું મકાન છે.

આભને પણ છે વિચારોના દુઃખો,
ક્યાં રહે પળવાર પણ વાદળ વગર?

આવી ઝરૂખે જ્યાં તમે બસ ‘આવજો’ કહ્યું,
આગળ ચરણ ગયાં નહીં, પાછા વળી ગયાં.

સપના સુધી તો આવશો એ ધારણા હતી,
પણ આપ તો ખરા છો કે પાંપણમાં રહી ગયાં.

હું સાંકડી ગલીમાં રસ્તા કરી જવાનો,
માણસ સુધી જવાનો, આગળ નથી જવાનો.

હું છું જ કૈંક એવો, તું છોડ આ પ્રયત્નો,
તું ભૂલવા મથે ને, હું સાંભરી જવાનો.

હોવાપણું ઓ ઈશ્વર, તારું વિવાદમાં છે,
મારી તરફ હું તેથી, પાછો વળી જવાનો.

હું તો માણસ છું, મને છે વળગણો,
રોજ મનને અવગણીને શું કરું?

કોઈ મારા ઘર વિશે જાણે નહીં,
એટલી ભીંતો ચણીને શું કરું ?

હવે તું સુખ વિશેની માન્યતા બદલે તો સારું છે,
કિરણ લાવ્યો છું બસ, સૂરજ ઘરે લાવી નથી શક્તો.

પડછાયાની પૂજામાં રમમાણ રહે તું જીવનભર,
તારું તારી વચ્ચે હોવું ક્યાંક તને સમજાઈ જશે તો ?

તું રહે ખારો એ તારો પ્રશ્ન છે,
કેટલી નદીઓ તને મળતી હતી.

અહીં સીધા રસ્તા મળી જાય તો પણ,
કદી આપણી ચાલ લાવે વળાંકો.

ક્યાં અપેક્ષા હોય છે આભારની?
વૃક્ષ પર વરસાદની તક્તી નથી.

આ ઝાકળ સમું મળવું લંબાય માટે,
આ ઊગતા સૂરજને હું મોડો કરી દઉં.

કોઈ કારણ વગર મળે ત્યારે,
જાત મારી અમીર લાગે છે.

મારો પડછાયો પણ સૂરજ લઈ જાય,
ક્યાં હું અકબંધ ઘેર આવું છું.

તું આવ હે ગઝલ તને આજે ઉતારી લઉં,
કાલે કદાચ દર્દની ઓછી અસર મળે.
વધુ આગળ વાંચો…

Comments (14)

કોનું મકાન છે ? – અમર પાલનપુરી

રોનક છે એટલે કે બધે તારું સ્થાન છે
નહિતર આ ચૌદે લોક તો સૂનાં મકાન છે

દીવાનગીએ હદ કરી તારા ગયા પછી
પૂછું છું હર મકાન પર, કોનું મકાન છે.

દિલ જેવી બીજે ક્યાંય પણ સગવડ નહીં મળે,
આવી શકે તો આવ, આ ખાલી મકાન છે.

થાશે તકાદો એટલે ખાલી કરી જશું,
કીધો છે જેમાં વાસ, પરાયું મકાન છે.

બાળે તો બાળવા દો, કોઈ બોલશો નહીં,
નુકશાનમાં છે એ જ કે એનું મકાન છે.

કોને ખબર ઓ દિલ, કે એ ક્યારે ધસી પડે,
દુનિયાથી દૂર ચાલ કે જૂનું મકાન છે.

એને ફનાનું પૂર ડુબાડી નહીં શકે,
જીવન ‘અમર’નું એટલું ઊંચું મકાન છે.

– ‘અમર’ પાલનપુરી

આ ગઝલ પ્રિયતમાને સંબોધીને લખી છે અને એમાં વિષય પણ પરંપરાગત – પ્રણય-વિચ્છેદ-વિયોગ – નો જ છે. છતાંય ગઝલ એકદમ તાજી લાગે છે. ‘મકાન’ શબ્દને કવિ કેટલા બધા જુદા જુદા અર્થમાં વાપર્યો છે એ પણ જોવા જેવું છે.

(ફના=વિનાશ)

Comments (3)

નિરુદ્દેશે – રાજેન્દ્ર શાહ

નિરુદ્દેશે
સંસારે મુજ મુગ્ધ ભ્રમણ
પાંશુમલિન વેશે.

કયારેક મને આલિંગે છે
કુસુમ કેરી ગંધ;
કયારેક મને સાદ કરે છે
કોકિલ મધુરકંઠ,
નેણ તો ઘેલાં થાય નિહાળી
નિખિલના સૌ રંગ,
મન મારું લઈ જાય ત્યાં જાવું
પ્રેમને સન્નિવેશે.

પંથ નહિ કોઈ લીધ, ભરું ડગ
ત્યાં જ રચું મુજ કેડી,
તેજછાયા તણે લોક, પ્રસન્ન
વીણા પર પૂરવી છેડી,
એક આનંદના સાગરને જલ
જાય સરી મુજ બેડી,
હું જ રહું વિલસી સંગે
હું જ રહું અવશેષે.

– રાજેન્દ્ર શાહ

કવિ રાજેન્દ્ર શાહનું આ અવિસ્મરણિય ગીત એમના યુગના ગીતોમાં શિરમોર છે. જગતના સૌંદર્યને કોઈ બંધન વિના માણી લેવાની ઈચ્છાને કવિએ આ ગીતમાં મૂર્તિમંત કરી છે. આ ગીત સાથે નિરંજન ભગતનું ગીત ફરવા આવ્યો છું અને ઉમાશંકરનું ભોમિયા વિના તરત જ યાદ આવે.

(પાંશુ=ધૂળ, કુસુમ=ફૂલ, નિખિલ=સમગ્ર સૃષ્ટિ, સન્નિવેશ=છૂપો વેશ, બેડી=હોડી)

Comments (1)

ગઝલ – કવિતા મૌર્ય

મૌન છળતું હોય છે,
ક્યાં ઉઘડતું હોય છે.

ફૂલસમ એકાંતમાં,
કોઇ રડતું હોય છે.

આ ધબકની શી વ્યથા?
શેં ધબકતું હોય છે?

એક ચાહક દિલમહીં,
નામ રટતું હોય છે.

કોણ છે? આ યાદમાં,
કેમ ભમતું હોય છે ?

કંટકો આગળ કદી,
ફૂલ નમતું હોય છે?

– કવિતા મૌર્ય

શબ્દનો અર્થ ન ઉઘડવાની ફરીયાદ તો ઘણી વાર કવિતામાં આવે છે. પણ અહીં તો મૌન ઉઘડતું ન હોવાની વાત છે. દિલ શા માટે હંમેશ ધડકતું હોય છે એ સવાલ કોઈ કવિને પૂછો તો શું ઉત્તર મળે ? – એ તો પ્રિયજનનું નામ રટતું હોય છે ! ને છેલ્લો શેર તો ગઝલનો સરતાજ શેર છે. કાંટા અને ફૂલનો સંબંધ અસંખ્ય વાર કવિતાઓમાં ખેડાયો છે. છતાં ય કવિ અહીં એક નવી વાત કરવામાં સફળ થયા છે. લયસ્તરોને આ ગઝલ મોકલવા માટે આભાર.

Comments (5)

ગઝલ લખાતી નથી – મુકુલ ચોક્સી


(મુકુલ ચોક્સીએ સ્વહસ્તે લયસ્તરો માટે લખી આપેલી અક્ષુણ્ણ ગઝલ)

પ્રલંબ જીવી જવાથી ગઝલ લખાતી નથી,
ને મોત વહેલું થવાથી ગઝલ લખાતી નથી.

નહીં તો સંતો ગઝલકાર થઈ ગયા હોતે,
ફકત પ્રભુની કૃપાથી ગઝલ લખાતી નથી.

મરીઝ જેવા સરળ પારદર્શી બનવું પડે,
ફકત શરાબ પીવાથી ગઝલ લખાતી નથી.

ગઝલ લખાય તો ક્યારેક અમથી અમથી લખાય,
અને નહીં તો કશાથી ગઝલ લખાતી નથી.

-મુકુલ ચોક્સી.

ગઝલોના લખાવા વિશે મુકુલ ચોક્સી કહે છે, “ગઝલોનું એવું છે કે લખાતી હોય ત્યારે ‘લખાતી હોવાની’ વાત મહત્ત્વની છે. તેના સંગ્રહની વાત અલ્પ મહત્ત્વની હોય છે. પણ ‘ન લખાતી’ હોય ત્યારે સંઘરવાની વાત મહત્ત્વની બને છે.” દરેક કવિના જીવનમાં નિષ્ક્રિયતાનો તબક્કો જરૂર આવે છે. આવા જ એક નિષ્ક્રિયતાના દૌરમાંથી પસાર થતી વખતે સમયના ખૂબ લાં…બા પટ ઉપર લખાયેલી ચાર જ શે’રની આ ટૂંકી ગઝલ ઘણું બધું કહી જાય છે. અરે હા! આ ગઝલ મુકુલભાઈએ પોતાના હાથે ખાસ લયસ્તરો માટે લખી મોકલાવી છે અને લયસ્તરો સિવાય ક્યાંય કોઈ પુસ્તકમાં કે સામયિકોમાં આજદિન સુધી આપે આ ગઝલ કદી વાંચી નહીં હોય એની પણ અમારી ગેરંટી…

Comments (14)

ગઝલ- સૌમ્ય જોશી

ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર,
તું કેવો અક્સ્માતથી સર્જાય છે ઈશ્વર.

હેઠો મૂકાશે હાથને ભેગા થશે પછી જ,
કોશિશ જ્યાં પતે ત્યાં જ શરૂ થાય છે ઈશ્વર.

જો દૂર પેલી વસ્તીમાં ભૂખ્યા છે ભૂલકાં,
લાગે છે તને દૂરનાં ચશ્માં ય છે ઈશ્વર.

કે’ છે તું પેલા મંદિરે છે હાજરાહજૂર,
તું પણ શું ચકાચોંધથી અંજાય છે ઈશ્વર ?

થોડા જગતના આંસુઓ, થોડા મરીઝના શે’ર,
લાવ્યો છું જુદી પ્રાર્થના, સંભળાય છે ઈશ્વર ?

એનામાં હું ય માનતો થઈ જાઉં છું ત્યારે,
મારામાં જ્યારે માનતો થઈ જાય છે ઈશ્વર.

-સૌમ્ય જોશી

ઈશ્વર ઉપર લખાયેલી  ઢગલાબંધ કવિતાઓમાં આ ગઝલ એનું અલગ જ પોત લઈને મોખરે પહોંચતી હોય એવું નથી લાગતું? ભગવાનની આવી સુંદર ધોલાઈ કદી જોઈ છે ખરી? છ એ છ શે’ર એવા નિપજ્યા છે કે ભગવાન જો ક્યાંય હોય અને આ ગઝલ વાંચી બેસે તો અચૂક હાર્ટ-એટેક આવી જાય…

Comments (19)

ગઝલ – ગની દહીંવાલા

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.

ન ધરા સુધી,ન ગગન સુધી,નહીં ઉન્નતિ,ન પતન સુધી,
અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.

હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.

છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી ;
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.

તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હૃદયથી જાઓ નયન સુધી.

તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.

જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.

– ગની દહીંવાલા

ગનીચાચાની આ શિરમોર ગઝલ લયસ્તરો પર છે જ નહીં એવું જ્યારે શોધતા જણાયું ત્યારે આશ્ચર્યાઘાત અનુભવ્યો. લગભગ દોઢેક વર્ષ પહેલાં એસ.વી.ના બ્લૉગ પર આ ગઝલ મેં જ ટાઈપ કરીને મોકલી હતી ત્યારે હજી લયસ્તરોના કાફલામાં જોડાવાનું થયું નહોતું. એટલે આજે ત્યાંથી આ ગઝલ અહીં આયાત કરી રહ્યો છું. ગનીચાચાની આ ગઝલ એ રીતે તો અનન્ય છે જ કે આપણી ભાષામાં જવલ્લે જ ખેડાતા છંદ -લલગાલગા-ના આવર્તનો અહીં વપરાયા છે, પણ એ રીતે પણ અભૂતપૂર્વ છે કે આ ગઝલના સાત શે’ર એક જ અનુભૂતિના સાત સ્તરના ઈંદ્રધનુ સમા થયા છે. ગમે એટલીવાર વાંચો, આ ગઝલ વાંચતા જીવ ધરાય જ નહીં એની અમારી ગેરંટી…

Comments (24)

સીધે રસ્તે – ઉદયન ઠક્કર

હું એનું નામ શું આપું ? તું એનું નામ જાણે છે
ગગનમાં એકલે હાથે કરેલું કામ જાણે છે
એ નાહક સીધે રસ્તે ચાલવાને હઠ લઈ બેઠો
થયું શું આખરે એનુ એ આખું ગામ જાણે છે !

– ઉદયન ઠક્કર

Comments (1)

ગઝલ – ઘાયલ

કુંતલ
બાદલ

કીકી
કોયલ

આંસુ
હલચલ

જીવન
જંગલ

સંશય
સોમલ

શાયર
પાગલ

સારસ
‘ઘાયલ’

– ‘ઘાયલ’

જયારે ગુજરાતી ગઝલ પરંપરાગત માળખામાં જકડાયેલી હતી ત્યારે ‘ઘાયલે’ આવા પ્રયોગો કરેલા. કદાચ આજદિન સુધી લખાયેલી સૌથી ટૂંકી બહેરની ગઝલ છે. (જાણકારો શું કહો છો ?)

બીજા દૃષ્ટિકોણથી જોઈએ તો આ ગઝલ ફ્રોઈડના વર્ડ એસોશીએશન ના પ્રયોગોની યાદ અપાવે છે. વર્ડ એસોશીએશન ટેસ્ટ માં દર્દીને એક શબ્દ કહેવામાં આવે છે (દા.ત. પાણી) અને એના પરથી તરત જ મનમાં જે શબ્દ આવે, જરાય વિચાર કર્યા વિના, એ દર્દીએ કહેવાનો હોય છે. (દા.ત. પાણી સાંભળીને કોઈ કહેશે તરસ, તો કોઈ કહેશે દરિયો, તો વળી કોઈ કહેશે પ્યાલો) અને એના પરથી દર્દીના મનમાં ઊંડે દબાઈ ગયેલી યાદોને બહાર કાઢી શકાય છે. અહીં ગઝલના દરેક શેરમાં બે શબ્દ મૂકીને શાયર આવી જ રમત રમતા હોય એવું નથી લાગતું ?!

(કુંતલ=વાળની લટ, સોમલ=ઝેર)

Comments (18)

ગઝલ પ્રમેય – નયન દેસાઈ

પૂર્વધારણા : દરેક સાંજ એકાંતનું સંગીત હોય છે
                પ્રત્યેક સાંજ લોહીમાં બાંધે છે રાફડો
                લાચાર સૂર્ય પણ નભે ડૂબે છે બાપડો

ઉદાહરણ :   જેવી રીતે આ દૃશ્ય સૌ આંખોમાં આથમે
                ચશ્માના કાચ પર પડે ઝીણી ઝીણી તડો

પક્ષ:          ડૂબે છે તારી યાદનો સારું છે આ સમય
                નહીંતર તો લાંઘવી પડે એ ઊંચી ભેખડો

સાધ્ય:        પડછાયો થઈ ગયા પછી માળા તરફ જવું
                એવું શીખ્યો છે આટલી ઉમ્મરમાં કાગડો

સાબિતી:      ચારે તરફથી આમ બસ કોરાવું કાળજે
                મારી ગઝલ છે સાંજની જણસનો દાબડો

– નયન દેસાઈ

નવા પ્રયોગો કરવામાં નયનભાઈ કદી પાછળ પડ્યા નથી. એમની એબસ્ટ્રેક્ટ ગઝલો તો અદભૂત અર્થછાયાઓ રચી આપે છે. ( જુઓ મુકામ પોસ્ટ માણસ કે માણસ ઉર્ફે ) અહીં એમણે ગણિતમાં આવતા પ્રમેયનું માળખું ઉઠાવીને એમાં ગઝલની રચના કરી છે. આવી રચના જોઈને ઉદયન ઠક્કરનું એક પ્રશ્નપત્ર યાદ ન આવે એવું તો બની જ કેવી રીતે શકે !   

Comments (9)

અભાવ – ગુણવંત શાહ

ખાંડ ?
સાડાચાર રૂપિયે કિલો.
ઘઉં ?
ત્રણ રૂપિયે કિલો.
તેલ ?
સાડાઆઠ રૂપિયે કિલો.
બધી ચીજોના ભાવ વધતા જ રહે ત્યારે
હું ભગવાનને
એક જ વિનંતિ કરું છું:
પ્રભુ !
મારો જીગરી દોસ્ત
વરસને વચલે દહાડે
પોતાના નાનકાને મુંબઈ બતાવવા આવે,
ત્યારે
મને એવું કદી ન થાઓ
કે :
એ હવે ક્યારે જશે ?’

– ગુણવંત શાહ

Comments (6)

ઘડિયાળની સાથે – કિરણસિંહ ચૌહાણ


(કિરણ ચૌહાણના સ્વહસ્તે ‘લયસ્તરો’ માટે લખેલી એક અક્ષુણ્ણ ગઝલ…)

રહે છે રોજ અધ્ધર શ્વાસ ને જંજાળની સાથે,
બધા પરણી ગયા છે જાણે કે ઘડિયાળની સાથે.

બધાની ખૂબ જૂની આળ ને પંપાળની સાથે,
સતત ઊંચે જવાનું હોય છે આ ઢાળની સાથે.

મળે, ભેટી પડે, બોલાવે મીઠી ગાળની સાથે,
તમારી જેમ નહિ, પૂરું કરે કોઈ આળની સાથે.

સજા આપી તરસ ને ભૂખથી મરવાની અમને… છટ્,
અમે વરસો સુધી કુસ્તી કરી દુષ્કાળની સાથે.

તમે ઘરડાઘરોને દાનમાં મા-બાપ દઈ દીધાં,
હવે પાયો ત્યજીને ક્યાં જશો આ માળની સાથે !

– કિરણસિંહ ચૌહાણ

ગયા અઠવાડિયે કિરણ ચૌહાણની એક તાજી અને અપ્રકાશિત ગઝલ એમના સ્વહસ્તે લખેલી માણી. એ જ શૃંખલામાં આગળ વધીએ અને આજે એમની એવી જ બીજી તરોતાજા અને અપ્રગટ ગઝલ, જે એમણે ખાસ ‘લયસ્તરો’ માટે સ્વહસ્તે લખી આપી છે એ માણીએ. વિશ્વ જેમ-જેમ નાનું થતું જાય છે એમ-એમ જીવન ઝડપી થતું જાય છે. મનુષ્ય જેટલી વધુ પ્રગતિ કરે છે, સમય એટલો જ ઓછો બચે છે એની પાસે. કવિને તો એવી શંકા પડે છે કે બધા ઘડિયાળ સાથે જ પરણી ગયા છે કે શું? આખી ગઝલ સ્વયંસિદ્ધ છે પણ આખરી શે’ર ખાસ દાદ માંગી લે એવો થયો છે. (કિરણભાઈના તળપદા લહેકામાં આ ગઝલ સાંભળીએ ત્યારે ‘વાહ…વાહ’નો પનો ટૂંકો પડતો લાગે).

Comments (13)

નાવિક વળતો બોલિયો – ભાલણ

નાવિક વળતો બોલિયો, સાંભળો માહારા સ્વામ;
સાથ સહુ કો નાવે બેસો, નહિ બેસારું રામ.

વાર્તા મેં સાંભળી છે, ચરણરેણુની અપાર;
અહલ્યા તાં થઈ સ્ત્રી સહી, પાષાણ ફીટી નાર.

આજીવિકા માહારી એહ છે, જુઓ મન વિવેક;
સ્ત્રી થાતાં વાર ન લાગે, કાષ્ઠ-પાષાણ એક.

આજીવિકા ભાંગે માહારી, આગે એક સ્ત્રી છે ઘેર;
બે મળીને શું જમે ? શી કરું તાં પેર ?

હસી વિશ્વામિત્ર બોલિયા, ચરણ-રેણે સ્ત્રી થાય;
તે માટે ગંગાજલ લેઈને પખાલો હરિ-પાય.

હસીને હરિ હેઠા બેઠા, રામ અશરણ-શર્ણ;
નાવિકે ગંગાજલ લેઈને, પખાલ્યા તાં ચર્ણ.

-ભાલણ.

ઈ.સ.ની 15 સદીના ઉત્તરાર્ધમાં પાટણના વતની ભાલણ ઘણીરીતે આપણા સાહિત્યમાં ધ્રુવસ્થાન ધરાવે છે. એ આપણી ભાષાના પ્રથમ અનુવાદક છે. બાણભટ્ટની ‘કાદંબરી’નો એમણે સંસ્કૃત ગદ્યમાંથી સરળ અને રસાળ પદ્યમાં ગુજરાતી અનુવાદ કર્યો છે. ભાલણ ‘આખ્યાનનો પિતા’ પણ કહેવાય છે. પૌરાણિક કથાઓમાંથી કથા-વસ્તુ લઈને એણે સૌપ્રથમવાર આખ્યાનો રચ્યા છે. આખ્યાનને કડવાબદ્ધ રૂપે રજૂ કરનાર પણ એ પ્રથમ કવિ. એમનું ‘નળાખ્યાન’ ખૂબ પ્રસિદ્ધ છે. એમના પદોમાં કૃષ્ણભક્તિ અને વિશેષતઃ રામભક્તિનો રંગ ખાસ જોવા મળે છે. રામ અને કૃષ્ણની બાળલીલાઓમાં એમણે વાત્સલ્યભાવનું અદભૂત નિરૂપણ કર્યું છે. અહીં આ પદમાં રામે શીલામાંથી અહલ્યાનો ઉદ્ધાર કર્યો હતો એ વાત ટાંકીને ભગવાનના ચરણ પખાળવાનો મોકો આડકતરી રીતે માંગી લેતા નાવિકની વાત ખૂબ સરળ અને સહજ ભાષામાં કવિએ કરી છે.

Comments (2)

ગઝલ- હિતેન આનંદપરા

બધું જલ્દી શીખવવાના તારા આયાસ રહેવા દે,
એ બાળક છે એના ખુલ્લાપણાના શ્વાસ રહેવા દે.

પ્રસંગો પર પ્રસંગો એ રીતે બનતા ગયા છે દોસ્ત,
કે હરદમ થાય માણસજાત પર વિશ્વાસ રહેવા દે.

વધારે હોય પૈસો યાર, તો માણસને ઊભા કર,
તું ઈશ્વરનાં નવાં મંદિર નવાં આવાસ રહેવા દે.

મને પામે જો વિસ્મયથી હું પળમાં ઊભરી આવું,
ગણિતની જેમ મારો અટપટો અભ્યાસ રહેવા દે.

જરા તું દોસ્તોની ખાનદાનીનો મલાજો કર,
બધાની હાજરીમાં એમનો ઉપહાસ રહેવા દે.

તને પૂછ્યું છે તારું નામ, ખાલી નામ બોલી દે,
તું તારા સાત કુળનો વૈભવી ઇતિહાસ રહેવા દે.

પરમ તૃપ્તિ, પરમ સંતોષ, તારા કામની વસ્તુ,
હું શાયર છું, તું મારા માટે થોડી પ્યાસ રહેવા દે.

-હિતેન આનંદપરા

હિતેન આનંદપરા ગઝલોની ગલીઓમાં ખૂબ ઝડપથી ઊભરી આવેલું નામ છે. એમની ગઝલો વાંચીએ તો ઘણીવાર રાજેશ રેડ્ડી કે નિદા ફાજલીને વાંચતા હોય એવું લાગે. બાળકો, ભગવાન, દોસ્તી – આ હાથવગા કલ્પનો એમની ગઝલોમાં સહજતાપૂર્વક પણ નવા આયામ સહિત ઉતરી આવે છે. ઘણીવાર વાતચીતની ભાષા એ રીતે કવિતામાં ગૂંથાઈ જાય છે કે આખો શે’ર વાંચ્યા પછી એક આંચકો અનુભવાય- શે’રમાં આ વાત પણ સંભવી શકે ખરી? પણ પછી એ જ શે’રને સહેજ અટકીને, એક શ્વાસ છોડીને ફરીથી વાંચીએ ત્યારે કવિની પીઠ થાબડવાનું મન થઈ આવે-વાહ દોસ્ત! આવો દાદુ શે’ર !! ઉદાહરણના તોર પર જુઓ આ શે’ર- તને પૂછ્યું છે તારું નામ, ખાલી નામ બોલી દે, તું તારા સાત કુળનો વૈભવી ઇતિહાસ રહેવા દે.

Comments (11)

પ્રીતનું વર્ણન – ઉશનસ્

પ્રીત તો બે જ પ્રકારે વરતે;
પ્રિયસંમુખ એ ભજે સમાધિ
                      અથવા થનગન નરતે.

પ્રીત તો બે જ પ્રકારે બોલે;
ગહન મૌનથી થાય મુખર વા
                       છલકે ગીત કલ્લોલે.

– ઉશનસ્

પ્રીતને કાંઈ પણ સામાન્ય ન હોય. પ્રીત વિષે જે કાંઈ પણ હોય, છલકતું જ હોય ! ભલે એ સમાધિ જેવી લગની હોય કે અંગેઅંગ નાચી ઊઠે એવો ઉત્સાહ હોય. પ્રેમ મૌનથી પ્રગટ થાય કે પછી ગીતથી પણ એ બન્નેમાં અસિમ ઉત્કટતા હોવાની જ. પ્રેમની રીતને કવિએ સરસ રીતે આલેખી છે.

Comments (1)

‘ડોટ કોમ’ના રંગે રંગાયા કવિશ્રી રાજેન્દ્ર શુકલ

rajendra_shukla

કવિશ્રી રાજેન્દ્ર શુક્લ એ ગુજરાતી સાહિત્યમાં ‘લિવિંગ લેજંડ’ છે. સફેદ દાઢીને કારણે કવિ પહેલી નજરે ઋષિ-સમાન લાગે છે અને એ વાત મહદ અંશે સાચી પણ છે. એમનો શબ્દ હંમેશા કેટલીય ચાળણીથી ચળાઈ ને આવતો હોય એવું દેખાઈ આવે છે. ગુજરાતી ગઝલને તો એમણે એકલા હાથે નવી દિશા બતાવી છે. કદાચ ગુજરાતી સાહિત્યમાં કોઈ પુરસ્કાર એવો નથી જે એમને અર્પણ ન થયો હોય.

એમના ચાહકોએ મળીને એમના વિષે સરસ વેબસાઈટ રાજેન્દ્રશુક્લ.કોમ બનાવી છે. વેબસાઈટ હજુ શરૂઆતની અવસ્થામાં છે. તરત દેખાઈ આવે છે કે વેબસાઈટ કવિશ્રી રાજેન્દ્ર શુક્લના નામને શોભે એવી સુંદર બની છે. એમાં કવિના પરિચય અને બીજી ઔપચારિક માહિતી ઉપરાંત કવિના પોતાના કંઠે કવિતા તમે સાંભળી પણ શકો છો. કવિના અવાજમાં એમની કવિતાના ધ્વનિમુદ્રણને સી.ડી.ના રૂપમાં તમે ખરીદી પણ શકો છો. આગળ જતા આ વેબસાઈટ પર ઘણી વધુને વધુ સામગ્રી મૂકવાની યોજના છે.

Comments (4)

છોડવી દોહ્યલી – હરિવલ્લભ ભાયાણી

જલમની ભોમકા,
જનની નિજ,
નીંદ પાછલા પહોરની,
ગોષ્ઠી મિત્રોની,
ને મનનું માનીતું જે જન –
છે છોડવી કેટલી દોહ્યલી
વસ્તુ એ પંચ !

– હરિવલ્લભ ભાયાણી

Comments (1)

વર્ષગાંઠ મુબારક, રીડગુજરાતી.કોમ !

આપણા બઘાની પ્રિય ગુજરાતી વેબસાઈટ, રીડગુજરાતી.કોમ આજે બે વર્ષ પૂરા કરે છે. રીડગુજરાતી ટીમને (એટલે કે મૃગેશને!) હાર્દીક શુભેચ્છાઓ. રીડગુજરાતીએ બે વર્ષમાં જેટલા સત્વશીલ સાહિત્યને વેબ મૂક્યું છે એટલું કોઈએ મૂક્યું નથી. પહેલી વાર રીડગુજરાતી વિષે નવેમ્બર 2005માં લયસ્તરો પર લખેલું ત્યારે રીડગુજરાતી પા-પા પગલી પાડતુ’તુ. હવે તો એ વટવૃક્ષ થઈને વિકસ્યું છે. આગળ જતા રીડગુજરાતી વધુને વધુ વિકસે એવી આશા સાથે મૃગેશને અભિનંદન !

Comments (1)

પ્રતિબદ્ધ – હિમાંશુ વ્હોરા

હે ખુલ્લી જગાઓ,
તમે મને સતાવો નહીં
હું ફેક્ટરી નાખવાનો વિચાર કરું છું.

ઓ હરિયાળા જંગલો,
મને લલચાવો નહીં
મારે તમારા લાકડાનું કામ છે.

હે આકાશના વાદળો,
મને આકર્ષો નહીં.
મારે ધુમાડો છોડવો છે.

હે સુરીલાં વહેણો,
મને મોહિત કરો નહીં
મારે તમને બંધમાં બાંધવા છે.

હે લીલાછમ ડુંગરો,
મને લોભાવો નહીં
મારે તમને વીંધી નાખવા છે.

હે કુદરતના પ્રેમીઓ
મને ચળાવો નહીં
હું પ્રગતિ કરવા પ્રતિબદ્ધ છું.

– હિમાંશુ વ્હોરા

માણસે પ્રગતિની મોટી કિંમત ચૂકવી છે અને હજુ વધારે ચૂકવશે. પ્રગતિ તો માણસો મૂળ ગુણ છે. પ્રગતિની ઈચ્છાને છોડી શકવા તો લાંબે ગાળે આપણે કોઈ સમર્થ છીએ જ નહીં. એ સંજોગોમાં આપણે એવી રીતે પ્રગતિ કરતા શીખવાનું છે જેથી આપણે આપણી જાતને અને આપણી આજુબાજુના જીવજગતને ઓછામાં ઓછું નડીએ. અને એ કામ અશક્ય નથી જ. જુઓ એક અને બે.

Comments (4)

મુક્તક – વિપિન પરીખ

રાવણના રાજ્યમાં જીવવાની
મને જડીબુટ્ટી જડી ગઈ છે.
મને રોજ રાતે
રામરાજ્યનાં સ્વપ્નાં આવે છે.

– વિપિન પરીખ

Comments (3)

ગઝલ – ભાવેશ ભટ્ટ ‘મન’

ચિંતા કરવાની મેં છોડી,
જેવું પાણી એવી હોડી.

ચોક્કસ ઘટના જેવો છું હું,
તું આવે છે વ્હેલી મોડી.

બારી એવાં દૃશ્ય બતાવે,
ભીંતો કરતી જીભાજોડી.

ટુકડા શોધું અજવાળાનાં,
કોણે મારી સવાર તોડી ?

એક જનમની વાત નથી આ,
કાયમની છે માથાફોડી.

– ભાવેશ ભટ્ટ ‘મન’

ભાવેશ ભટ્ટનો આમ કોઈ પ્રત્યક્ષ પરિચય નથી પણ એની કવિતાઓમાં હંમેશા થોડી તાજગી અનુભવાતી હોવાથી જ્યારે પણ કોઈ સામયિકમાં એમની કવિતા નજરે ચડે ત્યારે એ વાંચી લેવાની ફરજ પડે છે. આ ગઝલ પણ ટૂંકી બહેરની છતાં મજાની છે. સાવ વાતચીતની ભાષામાં ફરતાં-ફરતાં ક્યારે કવિતાની અડફેટમાં આવી ચડાય એ પણ ખબર ન પડે એવી સાહજિક્તા અહીં આકર્ષે છે. (જો કે આખરી શેરમાં કાયમની માથાફોડી કઈ છે એ સ્પષ્ટ થતું લાગતું નથી એ થોડું ખટકે પણ છે).

Comments (2)

ચલાવો છો – કિરણસિંહ ચૌહાણ

‘વ્યસન કોઈ ચીજનું અમને નથી’- એવું જણાવો છો,
બધી ચીજો વિના ચાલે છે તમને કે ચલાવો છો ?

તમે થાકી ગયા છો, એકદમ થાકી ગયા છો હોં,
બધા પ્રશ્નોના ઉત્તરમાં ફકત ડોકું હલાવો છો.

અમે પોતે જ પાણી થઈને લ્યો ખુદમાં ડૂબી જઈએ,
અમારા લીધે જ્યારે હર્ષના આંસુ વહાવો છો.

સમયની દોડ, એમાં પૂર ને એમાં તરસ પાછી,
ગજબ માણસ છો, કેવી રીતે આ સઘળું નિભાવો છો ?

અધૂરી લાગણી, ઈચ્છા, ફરજ વચ્ચે ભટકતા હો,
અને દીકરી પુછાવે ‘પપ્પા ! ક્યારે ઘેર આવો છો ?’

– કિરણસિંહ ચૌહાણ

કેટલાક માણસો કાંદા જેવા હોય છે. તમે એમને જેટલી વાર મળો, એક નવું જ પડ ઉખડેલું જોવા મળે. તો કેટલાંક માણસો પારદર્શક કાચ સમા, ગમે ત્યારે મળો, આરપાર દેખી શકાય. માણસ તરીકે અને કવિ તરીકે પણ કિરણ ચૌહાણ પારદર્શક કાચ છે. અને એની પ્રતીતિ તમે એને મળો એટલે થોડીવારમાં થાય. પત્ની સ્મિતા, નાનકડા મસ્તીખોર પુત્ર પલ્લવ અને કિરણથી બનતા સુખી ત્રિકોણમાં પગ મૂક્યા પછી સમય કમળપત્ર પરના પાણીની જેમ સરકી જતો લાગે. કિરણભાઈના ઘરે બેસીને એમના સ્વમુખે એમની કવિતાઓના અસ્ખલિત ઝરણાંમાં તરબોળ થવાની મજા જ ઓર છે. લયસ્તરો માટે એકદમ તાજી જ લખાયેલી આ અક્ષુણ્ણ ગઝલ સ્વહસ્તે લખી આપવા બદલ ખૂબ આભાર, કિરણભાઈ! (ચોમાસું અને પૂરનો ભય સુરતને હજી આ વર્ષે પણ કેવો સતાવે છે એની ખાતરી આ ગઝલમાં અનાયાસ આવી ગયેલા પાણી અને પૂરના બે શે’ર પરથી થાય છે).

Comments (16)

ગઝલ – હેમેન શાહ

આમ શાને આપણું અડબંગ ખાતું હોય છે ?
એક જીવન કેટલા સ્તર પર જીવાતું હોય છે !

આંખ છે તો પાંખ છે એ સત્ય સ્વીકારું છતાં,
દૃષ્ટિ વાટે કેટલું અંદર ઘવાતું હોય છે !

જનમની મુખપૃષ્ઠ જેવી સનસનાટી હોય છે,
ક્યાંક નીચે નોંધમાં મૃત્યુ મુકાતું હોય છે.

થાય છે મારું પ્રવાહીમાં રૂપાંતર એટલે,
નહિ તો ક્યાં વરસાદ સાથે વહી શકાતું હોય છે ?

ચાહવામાં હૂંફ છે કેવળ અમુક માત્રા સુધી,
એ પછી તો માત્ર આડેધડ દઝાતું હોય છે.

-હેમેન શાહ

હેમેન શાહ વ્યવસાયે મુંબઈગરા તબીબ છે પણ કવિતાના દર્દનો વધુ અક્સીર ઈલાજ કરી શકે છે. શબ્દો એમની પાસે રુગ્ણની જેમ આવે છે અને અર્થનું આરોગ્ય પામીને પાછા ફરે છે. ત્રિપદી એમની ખાસિયત તો ગઝલ પ્રાણવાયુ છે. હેમેન શાહ પોતાની ગઝલ વિશે કહે છે, “સાહેબ, ગઝલની વાત જ કંઈ ઓર છે. શે’રના બે મિસરા જાણે ચકમકના પથ્થર છે અને ગઝલનું તત્ત્વ છે એ બેના ઘસાવાથી થતો તણખો. જે બે હાથોએ ચકમકના પથ્થર પકડ્યા છે એ અદૃશ્ય છે. એ અદૃશ્ય હાથ શે’રના અધ્યાહાર અને અભિપ્રેત અર્થો છે અને તણખો પેદા કરવાનું એ જ પરિબળ છે. રજૂઆતની ઢબ જ્યારે ઉચિત મળે છે ત્યારે ગઝલને વિષયની મર્યાદા બહુ નડતી નથી. પરંતુ ઘણીવાર સરળ વાત પણ ગાંડીવની માફક હાથમાંથી સરી જાય છે.” પ્રસ્તુત ગઝલના પાંચ શે’ર પાંચ તણખાઓથી એવા તણખા-મંડળનું સર્જન કરે છે કે ભાવકના મનમાં લાંબો સમય ટકી રહે એવો પ્રકાશ પથરાઈ જાય છે.

કાવ્યસંગ્રહ: ‘ક, ખ, કે ગ…’, ‘લાખ ટુકડા કાચના’, ‘-તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ’ (પ્રતિનિધિ કવિતા). જન્મ: 09-04-1957

Comments (8)

‘વીસમી સદી’ અને હાજીમહમ્મદ અલ્લારખા શિવજી

veesami sadi Haji Mohammad Allarakha Shivji

‘વીસમી સદી’ સામયિકનું નામ પૂછો તો સો માંથી નવ્વાણું જણાએ માથુ ખંજવાળવાનો વારો આવે. અને એમનો વાંક પણ નથી. આ ‘વીસમી સદી’ સામાયિક માત્ર પાંચ વર્ષ ચાલેલું અને એ પણ છેક 1916થી 1920માં. તો તમે કહેશો કે ભલા માણસ આવા તો કેટલાય સામાયિક આવ્યા ને ગયા એમાં આ ‘વીસમી સદી’ની વાત આજે માંડવાની જરૂર શું છે ? – જરૂર છે. ‘વીસમી સદી’ અને એના સ્થાપક હાજી મહમ્મદ અલ્લારખા એ ગુજરાતી સાહિત્યને માટે જે કામ કરેલું છે એ હંમેશા સુવર્ણઅક્ષરમાં લખાયેલું રહેવાનું છે.

વાત માંડીને કરું તો હાજીમહમ્મદ એક શ્રીમંત કુટુંબમાં જન્મેલા. પિતાની પેઢીમાં બેસવા સિવાય એમણે કાંઈ કરવાની જરૂર હતી જ નહીં. પણ કિસ્મતનું કરવું કે એમને સાહિત્યનો શોખ લાગ્યો. કવિઓ સાહિત્યકારો સાથે રોજની બેઠક થઈ ગઈ. નરસિંહરાવ, કનૈયાલાલ મુનશી, ન્હાનાલાલ, રણજીતરામ બધા એમના મિત્રો. ઘરના પૈસા કાઢીને એ કલાનો પ્રચાર કરવાનું કામ કરતા. એમણે એ જમાનામાં ‘વીસમી સદી’ નામના રંગીન અને સચિત્ર સામાયિકની યોજના ઘડી. સાથે લીધા કલાગુરુ રવિશંકર રાવળને. સામયિકનું બધુ ટેકનિકલ કામ લંડનમાં કરાવેલું. ‘વીસમી સદી’માં પાને પાને ચિત્રો. એક એક કવિતા કે ગીતને રવિશંકર રાવળની પીંછીંનો લાભ મળતો. ટૂંકમાં, હજુ આજે પણ પ્રગટ નથી થતું એટલું સુંદર સામયિક હાજીમહમ્મદે નેવું વર્ષ પહેલા પ્રગટ કરેલું. અહીંથી આગળની વાત દિલ તૂટી જાય એવી છે. ઘર બાળીને તીરથ કરવાની વાતમાં હાજીમહમ્મદે પોતાના બધા પૈસા ગુમાવ્યા, ઘર ગુમાવ્યું અને દેવું કર્યું તે અલગ. 1921માં એમના ગયા પછી ‘વીસમી સદી’ બંધ થઈ ગયું.

પણ ‘વીસમી સદી’ની જે ધૂણી હાજી મહમ્મ્દે ધખવેલી તે ખાલી ગઈ નહીં. એમાં તૈયાર થયેલા રવિશંકર રાવળે ‘વીસમી સદી’ પરથી પ્રેરણા લઈ નવું સામાયિક અમદાવાદમાં ચાલુ કર્યું. અને તે માસિક તે ગુજરાતી સાહિત્યનો મોભ – ‘કુમાર’.

આ આખી વાત આજે એટલા માટે લઈને બેઠો છું કે ‘વીસમી સદી’ હવે આપ બધા માણી શકો છો. હા, ‘વીસમી સદી’ના બધા અંક હવે ઈંટરનેટ પર ઉપલબ્ધ છે ! નવનીતલાલ શાહ, રજનીકુમાર પંડ્યા અને ધીમંત પુરોહિતે મળીને ‘વીસમી સદી’ને છાજે એવી સરસ વેબસાઈટ બનાવી છે. એના પર આપ ‘વીસમી સદી’ના બધા અંકો એના મૂળ કલેવરમાં જોઈ શકો છો. લેખકના નામ કે ચિત્રકારના નામ પ્રમાણે બધી રચનાઓ ઝડપથી શોધી શકો એવી સગવડ પણ કરી છે. આ વેબસાઈટ જોઈને તમે મોંમા આંગળા ન નાખી જાવ તો પૈસા પાછા ! અને હા, ‘વીસમી સદી’ વાંચો ત્યારે હાજીમહમ્મદ અને એમની દરિયાદિલીને યાદ કરવાનું ચૂકશો નહીં.

(હાજી મહમ્મદ અલ્લારખાનું ચિત્ર: રજની વ્યાસ)

Comments (5)

ઊંઘ – માધવ રામાનુજ

ચાડિયાની આંખ તળે ચકલીનો રાતવાસો,
સીમનું રખોપું કરે રેઢિયાળ ઊંઘ.

અંધકાર ખેડી રહ્યું તમરાંનું તીણું હળ,
કુણાંકુણાં ચાસમાં ઓરાય મીઠી ઊંઘ.

ગાતડીની ગાંઠ વાળી, શિયાળની લાળી ભેળી
રાતરાણી તણી ગંધ લણી રહી ઊંઘ.

ચાકડે ચડીને કૈંક સોણલાં ઉતાર્યા કરે,
નિંભાડામાં ધીરે ધીરે ઠરી જાય ઊંઘ.

ઘોડિયામાં ઘર આખું ઢબૂરીને મેડે ચડી,
………….. મૂંગીમૂંગી શરમાય ઊંઘ.

– માધવ રામાનુજ

માધવ રામાનુજની ગઝલ માટે એક શબ્દમાં કહેવું હોય તો કહી શકો ‘નાજુક’. આ ગઝલમાં પણ કવિએ મઝાના નાજુક કલ્પનોની લાહણી કરી છે.

કવિ ગઝલનો ઉપાડ સીમનું રખોપું કરતી રેઢિયાળ ઊંઘથી કરે છે. અને બીજા શેરમાં તમરાં જાણે હળની જેમ રાતને ખેડે છે અને એ ચાસમાં ઊંઘ ઓરાય છે એવી વાત કરી છે. મનના ચાક્ડે એક પછી એક સપના ઊતર્યા કરે અને પછી ધીમે ધીમે ઠરી જાય એ ઊંઘ – કેવું મઝાનું કલ્પન ! સૌથી સુંદર શેર તો છેલ્લો શેર છે. નાના છોકરાને ઘોડિયામાં સુવાડીને મા, પતિની બાજુમાં મેડે સુવા પડે છે ત્યારે – કદાચ આખા દિવસમાં પહેલી વાર મળેલા – એકાંતમાં એ ઊંઘવાનો ડોળ કરતી મૂંગીમૂંગી શરમાય છે !

Comments (1)

શબ્દને – ઘાયલ

શબ્દને તોડ્યો છે મેં ફોડ્યો છે;
તોડીફોડી યથેચ્છ જોડ્યો છે.

મારી રીતે મેં બાંધ્યો છે એને,
મારી રીતે મેં એને છોડ્યો છે.

સીધેસીધો નથી જો ખોડાયો,
ઉંધે માથે મેં એને ખોડ્યો છે.

શ્વાસે શ્વાસે મેં રૂંધ્યો છે એને,
રૂંવે રૂંવે મેં એને તોડ્યો છે.

શબ્દને મેં કદી ચૂમ્યો છે કદી,
જોરથી લાફો ગાલે ચોડ્યો છે.

મેં નથી માત્ર એના ગુણ ગાયા,
ધૂમ જાહેરમાં વખોડ્યો છે.

પીઠ પર એના સોળ છે ‘ઘાયલ’
શબ્દને મેં સખત સબોડ્યો છે.

– ઘાયલ

ગુજરાતીમાં આવી ગઝલ લખવાની તેવડ રાખનાર એક જ કવિ થયો છે અને એ છે ઘાયલ. બીજા કવિઓ શબ્દને પંપાળવાની વાત કરતા હોય છે જ્યારે ઘાયલ ? એ તો શબ્દને ગુલામની જેમ રાખવાની અને યથેચ્છ વાપરવાની વાત કરે છે ! ઘાયલસાહેબની રચનાઓમાં એમની ખુમારી ચારે બાજુ દેખાય છે. એમનું આ મુક્તક જુઓ તો ખ્યાલ આવશે કે ઘાયલની ખુમારી શું ચીજ છે ! લે ! અને શાનદાર જીવ્યો છું પણ સાથે જોવાનું ચૂકશો નહીં.

આડવાતમાં, ગઝલને તદ્દન જુદા અર્થમાં જુઓ તો ઘાયલસાહેબ ઉંઝાજોડણીની છાલ કાઢતા હોય એવું નથી લાગતું ?! આ અર્થ મનમાં રાખીને ગઝલ ફરી વાંચી જુઓ 🙂 🙂 🙂

Comments (7)

માપસરના આંસુ – જલન માતરી

આવી ન બર મુરાદ તો શ્રદ્ધા ઊઠી ગઈ,
પાયા ડગી ગયા તો ઈમારત પડી ગઈ;
માનવ રડ્યો તો માપસર આંસુ સરી પડ્યાં,
પથ્થર રડ્યો તો સિંધુ ને ગંગા વહી ગઈ !

– જલન માતરી

Comments (3)

પસંદગીના શેર – હરદ્વાર ગોસ્વામી

હરદ્વાર ગોસ્વામી ગુજરાતી ગઝલના આકાશમાં ઝડપભેર આગળ વધતું નામ છે. એમની ગઝલોની ગલીઓમાં ફરતાં-ફરતાં કેટલાક શેર જે મારા મનને હળવેથી પસવારી ગયા, એ અહીં રજૂ કરું છું. ભાષાની સરળતા અને બાનીની સહજતા આ બધા જ શેરોમાં ઊડીને આંખે વળગે છે. સાદગી જો એમની ગઝલોનું પહેલું ઘરેણું હોય તો અટકીને વાંચતા જે ઊંડાણ અનુભવાય છે એ બીજું છે-

ઠેસ મારી, વિચાર ચાલે છે,
હિંચકો ના લગાર ચાલે છે.

ઓશિકું આકાશનું હું પણ કરત,
આભની કિંમત જરા ઊંચી પડી.

એક લીલી લાગણીને પામવા,
એક માણસ કેટલો ઘરડો પડે.

લોકના હોઠે હજી ચાલ્યા કરે છે ક્યારની,
ચાર હોઠે વિસ્તરેલી વારતા પૂરી થઈ.

તારો ઇશ્વર તારા જેવો,
મારા જેવો મારો ઇશ્વર.

છબી કોઈ ખેંચો, તરત આ ક્ષણે,
આ એકાદ વરસે હસાયું હશે.

હોય ઈશ્વર, તો તને વંદન કરી,
દોસ્ત, તારા નામ ઉપર ચોકડી.

આપણું હોવું છુપાવો શી રીતે ?
છે અરીસો એ તો સામો બોલશે.

એક માણસ કેવી રીતે જીવશે ?
એક પડછાયાએ તાક્યું તીર છે.

પરમ કૃપાળુ પરમાત્માનો પ્રશ્ન પૂછો છો !
ઉત્તર છે એક જ તસતસતો, એની માને …

અંધારું છે એથી ના દેખાઉં પરંતુ,
દૂર કરીશ તું ક્યાંથી ? તારો પડછાયો છું.

કોઈ કૂંપળ કોળી ઊઠશે,
પથ્થરને પણ પાણી પાજે.

હું ગઝલનો શેર છું સાહેબજી,
તું મને અખબાર માફક વાંચ મા.

-હરદ્વાર ગોસ્વામી

Comments (6)