અહીં સૌએ મૂક્યાં છે બારણાં, બારીઓ ભીંતોમાં
ગમે ત્યારે બધાને ઘર ખૂલાં કરવાની ઈચ્છા છે
ભરત વિંઝુડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for October, 2023

(બહુ મોંઘી પડી) – રશીદ મીર

જીવવા-મરવાની ખુદ્દારી બહુ મોંઘી પડી,
જિંદગી સાથે વફાદારી બહુ મોંઘી પડી.

કામ આવી છે મને દીવાનગી વર્ષો સુધી,
થોડા દિવસોની સમજદારી બહુ મોંઘી પડી.

ઊંઘ આપીને પછી વિહ્વળ બનાવ્યો છે મને,
રેશમી ઝુલ્ફોની દિલદારી બહુ મોંઘી પડી.

આભ આખી રાત મારી આંખમાં વરસ્યું છતાં,
ભાગ્યના તારાની નાદારી બહુ મોંઘી પડી.

એક ડૂસકું ખાઈને જંપી ગઈ આ રાત પણ—
પાછલી રાતોની બેદારી બહુ મોંઘી પડી.

કેટલા પોકળ ખુલાસા તે પછી કરવા પડ્યા,
તારા પ્રત્યેની તરફદારી બહુ મોંઘી પડી.

મીર જેવા મીર’ પણ અંતે સવાલી નીકળ્યા,
ઓ ગઝલ! તારી વફાદારી બહુ મોંઘી પડી.

– રશીદ મીર

સહજ-સંતર્પક…

Comments (1)

કાગડો – રમેશ પારેખ

એક ધીખતી બપોર લઈ
કોઈ એક કાગડાનું રણ માથે થાવું પસાર

ઉપરોક્ત કાગડાના તરસ્યા મસ્તકમાંથી
સઘળા વિચાર ખરી ચૂક્યા છે
કૂંજાની, પાણીની, કાંકરાની, કાગડાની
વારતા ને સાર ખરી ચૂક્યાં છે

એટલે કે કાગડામાં
બાકી કશું જ નહીં ખરવાનું રણની મોઝાર

પડછાયો હતો તેય રેતીમાં પડી ગયો
વધ્યો હવે ફક્ત શુદ્ધ કાગડો
કાગડાપણું તો એમ ઓગળ્યું બપોરમાં કે
પાણીમાં મીઠાનો ગાંગડો

કાગડો નહીં તો નહીં
ઊડવું, ન પડછાયો, નહીં વારતાનો વિસ્તાર.

– રમેશ પારેખ

ગુજરાતી કવિતાને ર.પા.એ જેટલાં અછો અછો વાનાં કર્યાં છે એટલાં બહુ ઓછા કવિઓએ કર્યાં હશે. વાત ખાલી એટલી જ છે કે એક કાગળો બળતી બપોરે રણ પરથી પસાર થઈ રહ્યો છે. પણ ખરી મજા ‘ઉપરોક્ત’, અને ‘એટલે કે’ની છે. ગીતની બોલાશ બહારની વ્યવહારની ચલણી ભાષા કવિએ ગીતમાં આબાદ ગૂંથી બતાવી છે. વળી, કાગડાને તરસ્યો કહેવાના સ્થાને કવિએ એના મસ્તકને તરસ્યું કહ્યું છે. ઈસપની તરસ્યા ચતુર કાગડાની કથાને પણ કવિએ ગીતમાં ચતુરાઈપૂર્વક સાંકળી લીધી છે. તરસ હદપાર થાય ત્યારે વિચારશક્તિની પણ સીમા આવી જાય છે. પાણીની શોધ સિવાય કશું એ ક્ષણે જીવનમાં બચતું નથી. મીઠાનો ગાંગડો પાણીમાં ઓગળીને લુપ્ત થઈ જાય એ રીતે છેવટે કાગડાનું અસ્તિત્ત્વ મટી જવાની વાતમાં શુદ્ધ કાવ્યરસ અનુભવાય છે. આખી વાતને સર્જનપ્રક્રિયા સાથે પણ સાંકળી શકાય. જ્યાં સુધી આપણું મન ઈસપની વાર્તા જેવા જૂના સંસ્કારોથી મુક્ત થઈ શકતું નથી, જ્યાં સુધી આપણી સિસૃક્ષા પરાકાષ્ઠાએ પહોંચતી નથી, જ્યાં સુધી આપણે સ્વયંની ઇમેજ-છાયાથી મુક્ત થઈ શકતા નથી, જ્યાં સુધી આપણે મીઠાનો ગાંગડો પાણીમાં ઓગળે એ હદે અનુભૂતિમાં ઓગળી શકતા નથી, ત્યાં સુધી શુદ્ધ કવિતા બનતી નથી. કેવી સ-રસ વાત!

Comments (3)

ડાળે રે ડાળે – પ્રજારામ રાવળ

ડાળે રે ડાળે ફૂલડાં ફોરિયાં હો જી.

.        આવી આવી હો વસંત,
.        હેતે ક્ષિતિજો હસંત,
.        વગડો રંગે કો રસંત !
ખેતરુંને શેઢે મલક્યા થોરિયા હો જી. 0ડાળે રે.

.        કિચૂડ કોસનું સંગીત,
.        ભરપૂર પાણી કેરી પ્રીત,
.        દવનાં દાઝ્યાં થાતાં શીત!
તાજાં રે પાણીડે છલક્યા ધોરિયા હો જી. 0ડાળે રે.

.        આંબા ઝૂલે કૂણાં પાને,
.        કોયલ સાંભળે કૈં શાને?
.        કડવી લીમડીઓના કાને
વાયરે લહેરે મીઠાં લોળિયાં હો જી. 0ડાળે રે.

– પ્રજારામ રાવળ

વસંતને આવવાને હજી તો ઘણી વાર છે, પણ એક મજાની રચના હાથ લાગી તો થયું મનની મોજ સહુ સાથે વહેંચવી જોઈએ. વસંત આવતાં જ ડાળેડાળ ફૂલોથી છલકાઈ ઊઠે છે. ક્ષિતિજો હાસ્ય વેરે છે અને ઉજ્જડ વગડો નવા રંગો ધારે છે. થોર સુદ્ધાં મલકતાં નજરે ચડે છે. ફૂલો ઝાડને તો કોસનું સંગીત સૃષ્ટિને ભરી દે છે. ગરમીથી દાઝેલા હૃદય પાણી પીને શીતળતા અનુભવે છે. તાજા પાણીથી નીકો (ધોરિયા) છલકાઈ રહી છે. કોયલની મનમાનીને કારણે કડવી લીમડીઓના કાને પણ મીઠો રસ રેલાય છે. સાવ સરળ ભાષામાં કેવું મજાનું પ્રકૃતિચિત્ર કવિએ દોરી આપ્યું છે!

Comments (4)

નયનનાં મોતી : ૦૭ : ગઝલ પ્રમેય – નયન દેસાઈ

પ્રમેય:
અસ્તિત્વ બિંદુ છેઃ

પૂર્વધારણા :
બિન્દુનો આ વિરાટ અને એમાં આપણે
ખાલી હિંડોળા ખાટ અને એમાં આપણે

ઉદાહરણઃ
ઝાકળથી કોઈ આંખના અશ્રુ સુધીનો આ
બિન્દુનો રઝળપાટ અને એમાં આપણે.

પક્ષ:
બિન્દુથી… એક બિન્દુથી… બિન્દુ જ બિન્દુઓ
બિન્દુઓ ધડધડાટ અને એમાં આપણે

સાધ્યઃ
કો’ એક अ નું આમ આ ધસમસવું ब તરફ
વચ્ચે ક્ષણોની વાટ અને એમાં આપણે

સાબિતીઃ
નીકળી જવાની આસમાં ભેગાં થયા કરે
બિન્દુઓ મુશ્કેટાટ અને એમાં આપણે.

– નયન દેસાઈ

‘નયનનાં મોતી’ શબ્દાંજલિ શ્રેણીમાં આ સાતમી અને અંતિમ કડી…

પ્રમેય (થિયરમ) એટલે ગણિતમાં સ્વીકૃત પદ્ધતિ મુજબ સાબિત કરાતું મહત્વનું પરિણામ. પ્રમેયની સાબિતી સામાન્ય રીતે તે તે વિષયની પૂર્વધારણાઓ તથા તાર્કિક ક્રમમાં અગાઉ સાબિત થઈ ચૂકેલાં અન્ય પ્રમેયો પરથી તાર્કિક દલીલો વડે અપાય છે. નયન દેસાઈએ આપણને કેટલીક પ્રમેયગઝલો પણ આપી છે. ગણિતનો વિદ્યાર્થી જે રીતે દાખલો માંડીને પ્રમેય સિદ્ધ કરે, બરાબર એ જ રીતે કવિ પણ જે સિદ્ધ કરવાનું છે એ વાત કહીને પૂર્વધારણા, ઉદાહરણ, પક્ષ, સાધ્ય અને સાબિતી –એમ પ્રમેયના અંગોને એક પછી એક ન્યાય આપતાં જઈને દાખલો અને ગઝલ બંને સિદ્ધ કરે છે.

વિશાળ અનંત બ્રહ્માંડમાં આપણું અસ્તિત્ત્વ એક બિંદુથી વિશેષ કશું નથી આ વાતને તેઓએ ગઝલ-ગણિતથી રજૂ કરી છે. વાત પૂર્વધારણાથી શરૂ થાય છે, અને સાબિતી પર જઈને અટકે છે. નયન દેસાઈની પ્રયોગગઝલ છે એટલે એબ્સર્ડિટી કે એબ્સ્ટ્રેક્ટેશનથી અલિપ્ત તો હોય જ નહીં. કાવ્યાર્થથી વિશેષ આ રચનાઓ કાવ્યાનુભૂતિની રચનાઓ જ હોવાની. પોતપોતાની ક્ષમતા મુજબ એમાંથી આચમન કરી લઈએ એ જ ઉચિત.

Comments (8)

નયનનાં મોતી : ૦૬ : વસંત-આગમને – નયન દેસાઈ

આ તાર તાર બજતા પવનો ઊડે લ્યા!
કીડી ચઢી મલપતી સરતી થડે લ્યા !
ડાળો અવાક નીરખે સૂંઘતી હવાને,
આ કેફ કેફ ક્યહીંથી મૂળિયે ચડે લ્યા!

આકાશથી ધુમ્મસનાં નીકળ્યાં વહાણો;
એ જાય દૂર સરતાં ૠતુનાં ચઢાણો.
ટોળે વળેલ તડકા વિખરાઈ ચાલ્યા,
લ્યો ઊકલ્યાં સમયનાં લિપિ ને લખાણો.

ને આ નદી સ૨૫ શી વહેવાય લાગી,
જાણે ઊઠી અબઘડી શમણાં જ ત્યાગી
થીજેલ બેય ફરકયા નદીના કિનારા,
ચારે દિશા રણઝણી શહનાઈ વાગી

ફૂલો સજેલ ધરણી રૂપ ઊઘડે લ્યા !
ધીમે ધીમે પવનને લય આવડે લ્યા!

– નયન દેસાઈ

નયન દેસાઈના ખજાનામાં ક્યાંક એકાદ ખૂણામાં સૉનેટના એકાદ-બે મોતી પણ મળી આવે ખરાં. મૂળે ગીત-ગઝલના માણસ એટલે પારંપારિક સૉનેટમાં સહજ અપૂર્ણાન્વય (enjambment, run-off lines) પ્રયોજવાથી એ દૂર રહ્યા છે. વાક્ય એક પંક્તિમાંથી બીજીમાં ઢોળાવાના બદલે પંક્તિ પૂરતું જ સીમિત રહે છે. વાત વસંતના આગમનની હોવાથી કવિએ કાવ્યવાહન તરીકે વસંતતિલકા છંદ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. પાંચમી પંક્તિમાં ‘ધુમ્મસ’ શબ્દના પ્રારંભના અપવાદ સિવાય કવિએ છંદ સુપેરે નિભાવ્યો છે. સૉનેટની ચુસ્ત પ્રાસનિયોજના પર પણ ગીત-ગઝલનો સંસ્પર્શ વર્તાય છે. પંક્તિએ પંક્તિએ પૂર્ણ થઈ જતા વાક્ય સિવાય ગીતની સહજ બોલચાલની ભાષા કાવ્યસ્વરૂપને અતિક્રમીને અહીં પ્રવેશ પામી છે. લ્યા ને લ્યોથી સૉનેટ છલકાય છે. પવનથી શરૂ થયેલ વાત પવન પર પૂરી થાય એની વચ્ચે કવિનો કેમેરા કીડીથી લઈને આકાશ સુધી સૃષ્ટિ સમગ્ર પર ફરી વળે છે.

Comments (4)

નયનનાં મોતી : ૦૫ : હાઈબ્રીડ ગઝલ – નયન દેસાઈ

અમે ઊભા એવા સમય તટ પે જ્યાં ગગન પડછાયો પાથરતું રહે,
ટહુકે શબ્દો ને ગઝલ ઊડતી પાંપણેથી ઘેન ઝરમરતું રહે.

પુરાણી યાદોના નીરવ ઝરૂખે કોઈ સદા વ્યાકુળ બની ફરતું રહે,
ક્ષણો થીજેલી સૌ બરફ સમ ને મન હઠીલું સૂર્ય કોતરતું રહે.

અજાણ્યા રસ્તાઓ પરિચય સૂંઘે, લોકનું ટોળુંય કરગરતું રહે,
છતાં દોડી જાયે નગર રઝળું, રોજ એને કોણ આંતરતુ રહે?

સમુદ્રોનાં મોજાં વહન કરતું, આપણું હોડીપણું તરતું રહે,
કિનારે શ્વાસોના છળકપટનું દૃશ્ય ઝાંખુ સાથમાં સરતું રહે.

છરી જેવી સાંજો કતલ કરતી સૂર્યની દરરોજ સાંજે, હે ‘નયન’!
પછી પીંછાં ઊડે ખરખર અને શબ્દનું આકાશ ભાંભરતું રહે…

– નયન દેસાઈ

કલમ હાથ ઝાલે અને પ્રયોગ ન કરે એ કવિ ગમે તે હોય, નયન દેસાઈ તો નહીં જ. આપણે ત્યાં ઘણા સાહિત્યકારોએ સંસ્કૃત છંદોનો પ્રયોગ કરીને શુદ્ધ વૃત્ત ગઝલો આપી છે, પણ નયન દેસાઈ એક ડગલું આગળ જઈ સંસ્કૃત વૃત્ત અને ગઝલના છંદને એક જ ગઝલમાં ભેગા કરીને આપણને હાઈબ્રીડ ગઝલ આપે છે. ગઝલના દરેક મિસરાનો પૂર્વાર્ધ ખંડ શિખરિણી છંદમાં અને ઉત્તરાર્ધ ગઝલમાં સૌથી પ્રચલિત રમલ છંદમાં છે. સરવાળે આપણને સાંપડે છે એક સફળ પ્રયોગ-ગઝલ.

Comments (7)

નયનનાં મોતી : ૦૪ : કેન્ડલલાઈટ ડીનર – નયન દેસાઈ

*

અજવાળું એક અહેસાસ છે,
દોસ્તો ! એ ખાઈ શકાતું નથી.
મીણબત્તીનું અજવાળું એ કંઈ બેંક બૅલેન્સ નથી,
કે નથી ફ્લેટ કે નવી કારનું મૉડેલ,
એને વેચી કે વટાવી શકાતું નથી,
ખડખડતી ચમચીઓનો અવાજ મોટો ને મોટો થતો જાય છે.
કાળી ડિબાંગ રાત્રે જંગલમાં,
-મારા ગામના જંગલમાં વાગતા આદિવાસીના ઢોલની જેમ,
દોસ્તો ! હું ભૂલથી આવી ગયો છું અહીં
મને માફ કરો !
ફ્લડલાઈટ્સના આ ધોધમાર પ્રકાશમાં,
વહી નીકળ્યા છે બધા જ ચહેરા.
મેકઅપ – સ્માઈલ – સ્માર્ટ નેસવાળા ચહેરા,
વચ્ચે વચ્ચે અંગ્રેજી બોલતા ચહેરા.
દરેક આંખમાં પોતાનું જ એન્લાર્જડ પ્રતિબિંબ,
દરેક હાથ પર શેઈકહેન્ડની બોગનવેલિયા,
ક્યાં છે રોટલા ટીપીને રાહ જોતી એ આંખોનો ભાવ?
ક્યાં છે એક મુઠ્ઠી ભૂખને પંપાળતા હાથ ?
સાંજનું જાઝ વાગી રહ્યું છે,
એના ધ્રુજતા વર્તુળાતા ઘેન – ગુલાબી લયમાં
ગુલાબજાંબુની આછી ગંધ,
(વાડામાં ગુલાબનો છોડ મરી ગયો ત્યારે કેટલું રડ્યો હતો હું !)
સાંજ નસેનસમાં કોતરી રહી છે ઉન્માદના રાફડા
(નર્તકીની ઊછળતી છાતી પર સમુદ્રનો કોલાહલ)
અને સળગતા ડેફોડિલ્સના રંગ જેવાં કપડાંમાં સજ્જ
ભણેલગણેલ એટીકેટીવાળા પડછાયા,
ઊંચી ઓલાદના,
ગોઠવાય છે ચપોચપ ટેબલો પર
તૂટી પડે છે પડછાયાનાં હાથ, નાક, કાન આંખ,
ધીમે ધીમે સંભળાય છે ભગાના ઢોલનો
‘ધબ ધબ થ્રિબાન્ગ ધબ, થ્રિબાન્ગ ધબ’ નો અવાજ,
ગાડામાં ફણગી ઊઠેલ ગીત,
અડધા અડધા થઈ જતા માણસો,
સાચ્ચેસાચ્ચા માણસો –
જાનનો ઉતારો, નવી દોસ્તીના રંગ,
પણ બળદના ઘૂઘરાએ જાઝ નહીં,
એની વાત જુદી, એનો લય જુદો
ડ્રમ્સ એક સાથ બજી ઊઠે.
પછી બૉન્ગો,
પછી ઈલેક્ટ્રિક ગિટાર,
ને વચ્ચે વચ્ચે ફલ્યૂટની મુરકીભરકી મીઠાશ,
મીણબત્તી સાથે જ ઓગળી રહી છે સાંજ ધીમે ધીમે.
બધું જ ઓગળતું જાય છે,
દોસ્તો ! મીણબત્તીના ગઠ્ઠાનું પછી શું કરો છો ?

– નયન દેસાઈ

ગીત-ગઝલના સમ્રાટ નયનભાઈની કલમ ક્યારેક છંદોલયના બંધન ફગાવી આઝાદ નિર્બંધ કાવ્યવિહારે પણ નીકળે. જો કે એમના ખજાનામાં અછાંદસ કાવ્યો નહિવત્ માત્રામાં જ જોવા મળે છે.

એંસીના દાયકામાં પ્રગટ થયેલ સંગ્રહમાંનું આ કાવ્ય છે. આજની પેઢીને કેન્ડલ લાઇટ ડિનરની નવાઈ ન લાગે, પણ એ જમાનામાં આ વિચાર કેટલો નવતર લાગતો હશે એ કલ્પી શકાય. મીણબત્તીના ઉજાસથી કવિતાનો ઉઘાડ થાય છે. પહેલી પંક્તિથી જ નયનભાઈનો સંસ્પર્શ વર્તાય છે. કેન્ડલ લાઇટ ડીનર છે, પણ કેન્ડલ લાઇટનું ડીનર નથી એટલે આ નામકરણ પર હળવો કટાક્ષ કરતા હોય એમ કવિ મીણબત્તીનું અજવાળું અહેસસ છે, એને ખાઈ શકાતું નથી કહીને વાત માંડે છે. આ ડીનર ભલે પૈસાથી ખરીદાયું હોય, પણ એનો જે અહેસાસ છે એની કોઈ કિંમત આંકી ન શકાય. ખખડતી ચમચીઓનો અવાજ કવિને પોતાના ગામના જંગલ સુધી લઈ જાય છે. પોતે આ સ્થળે મિસફિટ હોવાનો અહેસાસ થતાંવેંત એ માફી માંગે છે.

અચાનક પ્રકાશનું પરિમાણ બદલાય છે. મીણબત્તીના આછા અજવાળાંના સ્થાને ફ્લડલાઇટ્સનો ધોધમાર પ્રકાશ કવિતામાં ફૂટી નીકળે છે. કવિને પોતાને કોઈ રેસ્ટોરન્ટમાં થયેલ અનુભવ એમણે આલેખ્યો છે કે કેમ એ તો હવે કેમ ખબર પડે, પણ પ્રકાશના આ અણધાર્યા વૈષમ્યમાં કવિ આધુનિકતાના રંગે રંગાયેલ શહેરીજનોને જુએ છે. દરેક જણ સામી વ્યક્તિમાં પોતાની જાતને જ છે એથી વધુ મોટી કરીને જોવા ટેવાયેલ છે. મળતાવેંત શેઇકહેન્ડ તો થાય છે પણ આ હસ્તધૂનનમાં પ્રતીક્ષારત્ માનો સ્નેહભાવ પણ નથી અને ભલે મુઠ્ઠીભર પણ સાચુકલી ભૂખ પણ નથી. આ રેસ્ટોરન્ટ કોઈક સમુદ્રકિનારે (દમણ?) હોવી જોઈએ. સરસ! પ્રકાશના બે સાવ ભિન્ન સ્વરૂપોની કવિતામાં આકસ્મિક ટાપશી પુરાયાનો તાળો અહીં જઈને મળે છે. સમુદ્રકિનારાની હોટલોમાં કેન્ડલલાઇટ દીનર, ફ્લડલૈટ્સ, અને લાઇવ લાઉડ સંગીત-નૃત્યની હાજરી આપણે સહુએ પ્રમાણી છે. નસોમાં ઉન્માદ વધી રહ્યો છે. એટીકેટવાળા નામ વગરના પડછાયાઓની ભૂતાવળ સમા શહેરીજનોથી ટેબલો ઝડપભેર ભરાઈ રહ્યા છે.

કવિના અહેસાસમાં એમના ગામડાંના સાચુકલા માણસો અને એમના થકી અનુભવેલું જીવનસંગીત ફણગાય છે, જ્યારે બીજી તરફ નજર સમક્ષ નાનાવિધ વાદ્યોના સમન્વયથી જાઝ સંગીત ગૂંજી ઊઠે છે. બંનેની વાત અને લય નોખા હોવા છતાં કવિ આધુનિક સંગીતની મીઠાશનો પણ સ્વીકાર કરે છે. મીણબત્તીની સાથોસાથ સાંજ ઓગળી રહી છે, રાત ગાઢી થઈ રહી છે. બધું ઓગળતું જણાય છે. પ્રકાશ-સંગીત-સમુદાય-સ્મરણ : બધું જ મીણબત્તીના મીણની જેમ અસ્તિત્ત્વમાં અજવાળું પાથરતાં પાથરતાં ક્રમશઃ ઓગળી રહ્યું છે, પણ ભીતર જે ગઠ્ઠો બાકી રહી જાય છે એનું શું કરવું એ અસમંજસનો કવિ પાસે ઉત્તર નથી. મીણબત્તી આખી બળી જાય તો તો શાંતિ, કશું બચે જ નહીં, પણ મીણબત્તી બળે ત્યારે અંતે પીગળતાં પીગળતાં મીણનો જે ગઠ્ઠો બચી જાય એવી અકથ્ય પીડા ભૂત અને વર્તમાનના સંધિકાળ પર ઊભેલા કવિની સહનશક્તિ બહાર છે. મિસફિટ માણસો શહેરમાં કઈ રીતે ફિટ થાય, કહો તો !

Comments (7)

નયનનાં મોતી : ૦૩ : ચંદુ – નયન દેસાઈ

ચંદુ ક્યાંકથી જાણી લાવ્યો
કે પાણી પર ચીતરી શકાય છે

સમજાવ્યો લાખ તોય માન્યો નહીં એ
પાણીની ભાષા કૈં શીખી શકાય છે ?
ચંદુ આપણાથી વાદળાં પર ચાલી શકાય છે ?

રસ્તા પ૨ સ્વીટીના હસવાનો અવાજ બાજુના મકાન સુધી પહોંચે છે
પણ નદી કિનારે બે વ્હાણ કરે વાતો આપણા કાન સુધી પહોંચે છે ?
પડછાયો ભોંય પર ખોડી શકાય છે ?
ચંદુ આપણાથી ભીંતો પર દોડી શકાય છે ?

પાંદડાની નસનસને સૂંઘે પવન પછી ૠતુઓનાં નામ એને આપી દેવાય છે
ફૂલ ઉપર ઝાકળનાં ટોળાંઓ બેસે એ ભોળા પંખીને દેખાય છે
કાળમીંઢ અંધારે આંગળી ચીંધી શકાય છે ?
ચંદુ આપણાથી એકલતા વીંધી શકાય છે ?

– નયન દેસાઈ

સ્વગતોક્તિ કાવ્ય છે. કવિ જાતને સમજાવે છે જાણે કે – જે શક્ય નથી તેની પાછળ ગાંડા શીદને કાઢવા ? પ્રેમિકાનો એકરાર હોય કે પછી કોઈ સ્વજન પાસે રાખેલી કોઈ વાંઝણી અપેક્ષા હોય….કે પછી એકલતા સામે ફરિયાદ હોય….મન માને કે ન માને – વાસ્તવિકતા સ્વીકારવી જ રહી….

Comments (1)

નયનનાં મોતી : ૦૨ : એક સ્ટિરિયોફોનિક પ્રતિક્રિયા – નયન દેસાઈ

*

લાંબુ ને લાંબુ ને લાંબુ ને લાંબું ને અધધધ નામ;
બાઝ્યું ને બાઝ્યું ને દાઝ્યું ને દાઝ્યું ને લોહીમાં ધડડડ ડામ.

આખ્ખી ને આખ્ખી ને ખાટ્ટી ને ખાટ્ટી ને માટ્ટી ને માટ્ટીની લસબસ યાદ;
ઝાંપો ને ઝાંખો ને આંખો ને નાખો ને ઊંડી ને કૂંડી ને ખણણણ બંધ.

વત્તા ને ઓછા ને વદ્દી ને રદ્દી ને લેખાં ને જોખાં ને સણણણ ગાળ;
ચહેરા ને તક્તા ને ભીંતોનાં ચક્તાં ને ટેકો ને ટૂંપો ને પળપળ ફાળ.

ચપ્પુ ને પપ્પુ ને અઠ્ઠુ ને સત્તુ ને બધ્ધું ને બળ બળ ડંખ;
શંકુ ને કંકુ ને અસ્તુ ને વસ્તુ ને હાય રે તથાસ્તુ ને અઢળક ઝંખ.

બેઠ્ઠું ને બેઠ્ઠું ને લિસ્સું ને ફિસ્સું ને પેલ્લું ને છેલ્લું ને ઝળહળ રૂપ;
અંતે ને ભંતે ને પોતે ને પંડે ને રેવા તે ખંડે ને લસરસ લસરસ ચૂપ.

ઘાંટો ને છાંટો ને જંપો ને કંપો ને ડંકો ને અરભવ પરભવ સાંધ;
હેલ્લો ને રેલ્લો ને ડૂસકું ને ઠૂસકું ને રૈ’જા ને થૈ જા ને ચ૨૨૨ સગપણ બાંધ!

– નયન દેસાઈ

આ ગીતનુમા રચનાનું શીર્ષક કવિએ ‘એક સ્ટિરિયોફોનિક પ્રતિક્રિયા’ રાખ્યું છે, એટલે એ બાબતે વિચારવાની ફરજ પડે. નયન દેસાઈના ગજવામાંથી તો ગુજરાતી કવિતાએ આ પૂર્વે કદી સાંભળ્યા જ ન હોય એવા અનેક શબ્દોના મોતી જડી આવશે, જેમ કે સંભોગસિમ્ફની ગઝલ, ગઝલ: નાર્કોલેપ્સી, હાઈબ્રીડ ગઝલ, મેટામોર્ફૉસિસ ગઝલ, ભૌમિતિક ગઝલ, ખગોલિય ગઝલ, ક્યૂબીઝમ રચના, ફોનેટિક ગઝલ વગેરે વગરે. ઓગણીસસો સિત્તેરના દાયકામાં હિંદી સિનેમામાં સ્ટિરિયોફોનિક સાઉન્ડના શ્રીગણેશ થયા એટલે એ સમયે આ શબ્દ લોકોને ટિપ ઑફ ધ ટંગ હોય એમાં કોઈ નવાઈ નથી. સ્ટિરિયોફોનિક એટલે અલગ-અલગ દિશાઓમાં જન્મેલા અવાજને અલગ-અલગ દિશાઓથી વહેતો કરવાની પદ્ધતિ જેના કારણે અવાજમાં ત્રિપાર્શ્વીય પરિમાણ ઉમેરાય અને અવાજ નૈસર્ગિક અવાજની વધુમાં વધુ નજીક હોવાનું પ્રતીત થાય. પ્રસ્તુત રચના વાંચવા માટેની નહીં, મોટા અવાજે લલકારવાની રચના છે, કારણ કે તો જ રચનામાં કવિએ ગોપવેલ અવાજની ત્રિપાર્શ્વીયતાનો ખરો અનુભવ કરવો શક્ય બનશે. ષટ્કલના આવર્તનો તો કવિએ યથોચિત જાળવ્યા છે, પણ આવર્તનસંખ્યામાં શિથિલતા સેવી હોવાને લઈને કેટલીક પંક્તિ નિર્ધારિત માપ કરતાં ટૂંકી તો કેટલીક લાંબી રહી ગઈ છે. પણ આપણને મમ મમ સાથે કામ છે કે ટપ ટપ સાથે?

‘લાંબુ ને લાંબુ ને…’ કહીને કવિ વાત જ્યારે ચોવડાવે છે ત્યારે લાંબુ સંજ્ઞા સાચા અર્થમાં ચાક્ષુષ થાય છે. માણસમાત્રને નામનો મોહ હોય છે. પોતાનું નામ દુનિયામાં વધુને વધુ મોટું થાય એની ઝંખના અને યત્નોમાં એ જીવન વીતાવે છે. એટલે કવિ અધધધ કહીને આશ્ચર્ય પ્રગટ કરે છે. નામને, પ્રતિષ્ઠાને જેટલું વધારે બાઝીશું એટલું જ વધારે દાઝવાનું થશે. લોહીમાં ધડડડ ડામ જેવા અનૂઠા કલ્પનથી કવિ ડામને પણ આબાદ ચરિતાર્થ કરી શક્યા છે. પ્રથમ પંક્તિમાં એક જ શબ્દની ચાર વારની પુનરોક્તિ બાદ બીજી પંક્તિમાં કવિ દ્વિરુક્તિ-બદલાવ-દ્વિરુક્તિની આંતરપ્રાસ સાંકળી યોજે છે. પણ એ પછી આખી રચનામાં આંતર્પ્રાસ સાંકળી રચતા શબ્દો એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં ને ત્રીજામાંથી ચોથામાં એટલા તો સાહજોક રીતે ઢોળાય છે કે એમાંથી ઊઠતો ધ્વનિ ચારેકોરથી આપણા અસ્તિત્વને ઝંકોરતો રહે છે. અર્થની દૃષ્ટિએ પરસ્પર એકસો એંસી ડિગ્રીનું વૈષમ્ય ધરાવતા એકાધિક શબ્દોને બખિયા મારીને કવિતાનું કપડું સીવવાની કળા કવિને હસ્તગત હતી. શબ્દમાંથી જન્મતા અર્થ સિવાય શબ્દના ધ્વનિ તથા બે શબ્દો વચ્ચેના અવકાશમાંથી તેઓ અર્થ જન્માવી શકતા હતા… માણસ ઉર્ફેથી લઈને અનેક રચનાઓમાં નયન દેસાઈની આ કાબેલિયત આપણી સાથે મુખામુખ થતી રહે છે.

સરવાળે જે અલગ-અલગ પ્રકારના અવાજોના સંમિશ્રણથી રચાતી એકરસ અનુભૂતિ છે એ જ છે ખરી કવિતા.

Comments (6)

નયનનાં મોતી : ૦૧ : અરે ! ઊલ્લુ બનાવે છે નયન દેસાઈ… – નયન દેસાઈ

અરે ! ઊલ્લુ બનાવે છે નયન દેસાઈ…
એની એવી છે ટેવ સીધું કૈના વિચારે
અને બદલે છે હરએકનાં નામઃ
પાંદડાને લીલુંછમ જંગલ કહે
અને પંખીને ટહુકાનું ગામઃ
ફૂલોને જુએ તો ઝાકળ થૈ જાય
અને આંખો ભીંજાવે છે નયન દેસાઈ
અરે ! ઊલ્લુ બનાવે છે નયન દેસાઈ…

તોડીફોડીને કાચ આયનો બનાવે છે
અને ચીતરે છે ચહેરાના ભાવ,
સૂરજના ડૂબવાનો અર્થ કરે એવો
આ તો બારીમાં સાંજનો પડાવ
પાંપણમાં પૂરેલી રાત વેચી વેચી
તડકાઓ વાવે છે નયન દેસાઈ
અરે ! ઊલ્લુ બનાવે છે નયન દેસાઈ…

કાંઠો જુએ તો કહે : એકલતા ગાય છે
વહેવાના સંદર્ભો સાવ જુદા બોલે છે
ખારવાનાં ડૂબેલાં ગીત કરી એકઠાં
પેટીની જેમ પછી પરપોટા ખોલે છે
દરિયો નિહાળે તો મનમાં ઉદાસ થૈ
મૃગજળ સજાવે છે નયન દેસાઈ
અરે ! ઊલ્લુ બનાવે છે નયન દેસાઈ…

– નયન દેસાઈ

નયનભાઈ સિવાય આવી કવિતા કોણ કરી શકે…!! એક હળવી શૈલીમાં લખાયેલી પરંતુ તેમાં આવી સરસ અર્થગંભીર પંક્તિ કેવી સહજતાથી ભળી જાય છે !!! —

“દરિયો નિહાળે તો મનમાં ઉદાસ થૈ
મૃગજળ સજાવે છે નયન દેસાઈ”

નયનભાઈની આ જ ખૂબી હતી. થોડું એવું લાગ્યા કરે કે ગુજરાતી કાવ્યજગત નયનભાઈને ઉચિત સન્માન ન આપી શક્યું…. નયનભાઇને પણ એ વાત થોડી ખટકતી-એકવાર ભગવતીકુમાર શર્મા આગળ હૈયાવરાળ ઠાલવી પણ હતી. પણ મસ્તમૌલા જીવને એવો ખટરાગ સદે નહીં… પાછા પોતાના અસલ મિજાજમાં આવી ગયા હશે…. અંગત રીતે મારા ગમતા કવિ ! તેઓને વાંચવા કરતાં સાંભળવાનો લ્હાવો વિશેષ ! એક વખત કવિસંમેલનમાં જરા ઢીલો દૌર ચાલતો હતો અને ભાવકો થોડા કંટાળ્યા હતાં – નયનભાઈ માઈક પર આવ્યા….. કોઈ પ્રસ્તાવના વગર સીધું જ બોલ્યા – ” મને કોલેજમાં એક છોકરી બહુ ગમતી, એ આખી દુનિયાની સૌથી સારી છોકરી હતી. એનો એક બાપ હતો, તે આખી દુનિયાનો સૌથી ખરાબ બાપ હતો…..” – આખું ઓડિયન્સ ખડખડાટ હસી પડ્યું….અને પછી નયનભાઇ રંગમાં અને ઓડિયન્સ પણ રંગમાં….

ખોટ સાલશે…..

Comments (1)

નયનનાં મોતી

 

બંને આંખ મીંચી હાથ ઊંચે લંબાવીને કાવ્યપાઠ કરે ત્યારે લૌકિકમાંથી અલૌકિક બની જતા આ માણસનો અવાજ પણ આ દુનિયાની પેલે પારના કોઈક અગોચર પ્રદેશમાંથી આવતો લાગે. મુશાયરાનું સંચાલન કરતા આ માણસને જેણે જોયો નથી, એણે કદી કોઈ મુશાયરાને માણ્યો નથી! એમના મુખે કવિતા સાંભળવાની ઘટના પોતે જ એક કવિતા હતી. કવિતાની અંદર ઓગળી જઈને પ્રગટતો આવો કવિ ભાગ્યે જ જોવા મળશે.

નયન હ. દેસાઈ.

જન્મ- ૨૨ ફેબ્રુઆરી ૧૯૪૬, નિધન- ૧૨ ઓક્ટોબર, ૨૦૨૩.

જન્મભૂમિ વાલોડ પણ કર્મભૂમિ સુરત. કદકાઠીએ ટૂંકા પણ આદમી મુઠ્ઠીઊંચેરા. તમને મળે અને તમારા નામથી તમને ન ઓળખે કે ખભે હાથ મૂકીને તમારા અસ્તિત્ત્વને પ્રેમના દરિયામાં ડૂબાડી ન દે તો એ નયન દેસાઈ નહીં. અભ્યાસ માત્ર SSc સુધીનો પણ કવિતામાં જાણે કે ડૉક્ટરેટ. વેદનાત્રસ્ત અને વેદનાગ્રસ્ત મનુષ્ય એમની કવિતાનું કેન્દ્રબિંદુ. પ્રકૃતિ એમની કવિતાનો વ્યાસ. જીવનની શરૂઆતમાં હીરા ઘસતા તે આજીવન કાચા હીરા જેવા કેટલાય કવિઓને પાસા પાડતા રહ્યા. ગીત અને ગઝલમાં પ્રયોગો કરવાની જાદુઈ હથોટી. પ્રયોગશીલતા ક્યારેક પ્રયોગખોરી પણ બની રહેતી. પણ ગીત-ગઝલમાં જેટલું વૈવિધ્ય એ એકલા હાથે લઈ આવ્યા એટલું જવલ્લે જ કોઈ કવિ લાવી શકે. નયન દેસાઈએ ગુજરાતી કવિતારાણીને જેટલા અછોઅછોવાનાં કર્યાં છે એટલા બહુ ઓછા કવિઓએ કર્યા છે. ઉર્દૂના પણ ઉસ્તાદ. નયનભાઈને તમે એકલા મળો કે કવિસંમેલનમાં કે સભામાં- આ માણસ હવાની જગ્યાએ કવિતા શ્વસતો હોવાની ખાતરી થયા વિના નહીં રહે.

રમેશ પારેખની જેમ એમનું નામ પણ છ અક્ષરનું જ. અને ર.પા.ની જેમ જ એમના ખોળામાં પણ ગુજરાતી કવિતા ખૂબ રમણે ચડી હતી, પણ કમનસીબે તળગુજરાતના આ ઓછા કદના કવિ ગુજરાતી કવિતામાં મોખરાનું સ્થાન છતી લાયકાતે પામી શક્યા નહીં… આ કમનસીબ તે નયન દેસાઈનું નહીં, ગુજરાતી કવિતાનું જ.

લયસ્તરો પર એક અઠવાડિયા સુધી નયન દેસાઈની કવિતાની અલગ અલગ મુદ્રાઓથી પરિચિત થઈએ અને કવિને ભેગા મળીને યથોચિત શબ્દાંજલિ આપીએ.

Comments (10)

દરજી – જુગલ દરજી

જીવતર મોંઘો તાકો દરજી
સમજી સમજી કાપો દરજી

કર્મોની મીટરપટ્ટીથી,
જાત તમારી માપો દરજી

સંઘરવાને ગમતાં સ્મરણો,
ગજવું મોટું રાખો દરજી.

છુપાવવાને જખ્મો જગથી,
અસ્તર સદરે નાખો દરજી.

સપનાને સાંધી દે એવો,
પ્રોવી દોને ધાગો દરજી

સીવ સીવ તો ખૂબ કર્યું, અબ,
શિવનો મંતર જાપો દરજી.

– જુગલ દરજી

લયસ્તરો પર કવિના ગઝલસંગ્રહ ‘પહેરણ એ પણ શબદ નામનું’નું સહૃદય સ્વાગત છે…

સંગ્રહમાંની કેટલીક રચનાઓ તો લયસ્તરો પર છે જ. દરજીના વ્યવસાયને પ્રતીક બનાવી જીવતરની સુકણિકાઓ સમજાવતી સરળ-સહજ-ગહન ગઝલ આજે માણીએ.

Comments (9)

શ્યામ – નિનુ મઝુમદાર

મેશ ન આંજુ, રામ!
લેશ જગ્યા નહિ, હાય સખીરી! નયન ભરાયો શ્યામ!

એક ડરે હું રેખ ન ખેંચું, ભલે હસે વ્રજવામ,
રખે નયનથી નીર વહે તો સંગ વહે ઘનશ્યામ – મેશ

કાળાં કરમનો કાળો મોહન કાળું એનું નામ,
કાજળની વધુ કાળપ લાગે કરશે કેવાં કામ – મેશ

– નિનુ મઝુમદાર

નાનું ગીત, મોટી વાત. કાવ્યનાયિકા આંખમાં મેશ આંજવા તૈયાર નથી. કારણ? નેણમાં તો શ્યામ સિવાય કશાની જગ્યા જ ક્યાં છે? આંખમાં તો કાજળ આંજવાની જગ્યા નથી જ, પણ આંખ નીચે કાજળની રેખા કરવા પણ નાયિકા તૈયાર નથી. એને ડર છે કે રખે ને આંખેથી આંસુ વહે અને એની સાથે ઘનશ્યામ પણ વહી નીકળે! વ્રજવાસિનીઓ ઠેકડી ઉડાવે તો ભલે ઉડાવતી. કૃષ્ણનું નામ, વર્ણ અને કામ –બધું જ કાળું છે. એ ભરેલ મટકીઓ ફોડી નાંખે છે, વણહકના દાણ ઉઘરાવે છે, દહીંદૂધ ચોરી ખાય છે, કપડાં લઈને ભાગી જાય છે. આટલું કંઈ ઓછું છે? વધારામાં કાજળની કાળપ લાગશે તો તો નટખટ ક્યાં જઈને અટકશે? નેતિનેતિ જ ને! મુખડાથી લઈને બંને અંતરા સુધી – આખા ગીતમાં કવિએ એકસમાન ચુસ્ત પ્રાસ જાળવ્યા હોવાથી ગીત વધુ ગાનક્ષમ બને છે. મુખડાની બંને પંક્તિમાં પ્રારંભે મેશ-લેશનો પ્રાસ પણ રચનાને વધુ હૃદ્ય બનાવે છે.

Comments (8)

મધરો મધરો – ‘ચંદ્ર’ ૫રમાર

મધરો મધરો પાયો કલાલણ !
અંકાશે હું ના માયો રે લોલ
મુંને નેણ કટોરો ઉલાળી કલાલણ!
ચંઈનો ચંઈ ઉછાળ્યો રે લોલ.

આંખે આભલિયું આંજ્યું કલાલણ!
પગલે પતાળ મેં દાબ્યું રે લોલ,
સૂરજમાં મુખ મેં ધોયું કલાલણ !
ચાંદલામાં મુખડું જોયું રે લોલ..

બત્રી કોઠે દીવા ઝળકે કલાલણ !
રૂંવે રૂંવે તારા લળકે રે લોલ,
રગે રગે તે રંગ છલકે કલાલણ!
અણસારે મેઘ-ધજા ફરકે રે લોલ.

મધરો મધરો પાયો કલાલણ !
અંકાશે કૈં ના માયો રે લોલ,
‘આવડું અંકાશ ભલે ઓછું પડે તું મારી
બાંધણીની ગાંઠે બંધાયો રે લોલ.’

– ‘ચંદ્ર’ ૫રમાર (રામચંદ્ર પથુભાઈ પરમાર)

ગીત તો કલાલણ, દારૂ વેચનાર સ્ત્રીને સંબોધીને લખાયું છે પણ સમજાય એવી વાત છે કે અહીં આંખોથી શરાબ પાનારની વાત થઈ રહી છે, કારણ આ શરાબ મધુરો છે, કડવો નહીં. મધરો મધરોની દ્વિરુક્તિ શરાબની મીઠાશને અધોરેખિત પણ કરે છે. પ્રણયરસ પીનારને આકાશ પણ નાનું પડેપડે છે. નરસિંહે પણ કહ્યું હતું ને, ‘પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર! તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે.’ પ્રિયજનના એક નેણઉલાળે નાયકને પોતે ક્યાંનો ક્યાં ફંગોળાઈ ગયા હોવાનું પ્રતીત થાય છે. નાયક આંખે આભ આંજે છે, પાતાળ પગ તળે દાબે છે; સૂરજમાં મોઢું ધુએ છે અને ચાંદામાં જુએ છે. એના બત્રીસે કોઠે દીવા ઝળકી રહ્યા છે અને એનો પ્રકાશ નાયિકાના રૂંવેરૂંવે લળકી રહ્યો છે. પ્રેમનો રંગ રગેરગથી છલકાઈ રહ્યો છે અને નેહનો મેહ વરસતો અનુભવાય છે. છેલ્લા બંધની બે પંક્તિ એ ગીતની પ્રથમ બે પંક્તિની પુનરોક્તિ જ છે પણ કવિએ ‘હું’કાર કાઢીને ‘કૈં’ શબ્દ મૂક્યો છે એ સૂચક છે. અહીં આવીને પ્રેમીનો સ્વ ડૂબી-ઓગળી ગયો છે. એકોક્તિમાં ચાલતા આખા ગીતની છેલ્લી બે પંક્તિ કલાલણના પ્રત્યુત્તરથી સંવાદગીતમાં પરિણમે છે. પ્રેમીને પ્રેમના નશામાં તરબતર કરી દેનાર પ્રેયસીનો ગર્વ છલકાતો સંભળાય છે. એ કહે છે, ભલે તને આખું આકાશ કેમ ઓછું ન પડતું હોય, મેં તો તને મારી બાંધણીની ગાંઠે બાંધી રાખ્યો છે. યે બ્બાત! ઉત્તર ગુજરાતની તળપદી બોલીને લઈને ગીત ઓર મધુરું મધુરું બન્યું છે.

Comments (4)

લેંચુજીનું ગીત – ઇન્દુ પુવાર

અમે લયનું લૂટાવ્યું ગામ
કે લેંચુ લચકેલો
તમે વાણીનો કરજો વેપાર
કે લેંચુ ચસકેલો

સૂના તળાવની પાળે ઊભેલા જાંબાનો જુગજૂનો જોગી
લહેરમાં આવીને કોક હુંકારો દે ત્યાં લપાક લઈને ભોગી
મારે લાડીવાડીનાં શાં કામ?
કે લેંચુ લટકેલો

અક્ષરની પૂંછડીનો વાંકો વિસ્તાર હું અર્થોની ઠાઠડી બાંધું
મહાંણિયા મહાદેવના ડમરુના હાદે ઘૂઘરમાળ બાંધી નાચું
મારી કાયામાયાનાં આ નામ
કે લેંચુ ભટકેલો
અમે લયનું લૂંટાવ્યું ગામ
કે લેંચુ લચકેલો

– ઇન્દુ પુવાર

વ્યંગ કવિતા આપણી ભાષામાં પ્રમાણમાં ઓછો ખેડાયેલ પ્રકાર છે. ઇન્દુ પુવારની ‘લેંચુકથા’ આ અવકાશ સુપેરે ભરી આપે છે. કવિએ એકાધિક લેંચૂકાવ્યો લખ્યાં છે, પણ કોશિશ કરવા છતાં કવિનો કોઈ સંગ્રહ કે લેંચૂકાવ્યો હાથવગાં થયાં નથી. સમગ્ર કાવ્યગુચ્છ હાથ આવે તો કવિ શું કહેવા ચહે છે એ કદાચ વધુ સારી રીતે સમજી શકાય. કોઈ વાચકમિત્ર કે કવિમિત્ર આ બાબતમાં મદદગાર થશે તો એનો આગોતરો આભાર…

છંદોલય જે તે કાવ્યસ્વરૂપમાં કવિતા સિદ્ધ કરવા માટેનું સાધનમાત્ર છે, પણ કવિતાના કસબથી પરિચિત થઈ જનાર કારીગર પોતાને કવિ ગણવા માંડે, અને સાધનને જ સાધ્ય ગણી લે એના પર કવિ મજેદાર કટાક્ષ કરે છે. લેંચુ કોણ તે તો આપણે જાતે જ સમજી લેવાનું. લયનું ગામ લૂંટાવીને કવિ સહુને વાણીનો વેપાર કરવાનું આહ્વાન આપે છે. જુગજૂના જોગીઓનો જ્યાં વ્યાપ છે એ સાચા સાહિત્યના તળાવ સૂનાં પડ્યાં છે. પણ આ જોગીઓય કંઈ સાવ સીધા નથી, હં કે! કો’ક લહેરીલાલા કે લાલી(!)એ ત્યાં આવીને ‘હું’કારો (હોંકારો નહીં હં કે) કર્યો નથી કે જોગી લપાક લઈને ભોગી બન્યા નથી… સાચા કવિને લાડી કે વાડીથી નહીં, કેવળ કવિતાથી જ નિસ્બત હોય. દલપતરામે ‘કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર’ કહ્યું હતું એનો અછડતો સંદર્ભ લઈ કવિ વાંકાચૂકા અક્ષરો અને એના એ જ (મૃત્યુ પામેલ) અર્થોની વાત કરીને નામ લીધા વિના આપણા અઢાર અવગુણો તરફ કટાક્ષ કરે છે. આ કાયા, આ માયા, આ નામ બધું અંતે તો સ્મશાનની રાખ ભેગું જ થવાનું છે એ તરફ ટકોર કરીને કવિ સરવાળે તો આપણને સાચી કવિતા તરફ વળવાનું આહ્વાન જ આપે છે.

Comments (6)

ઘર – હરીન્દ્ર દવે ( પ્રેરણા – Song of the open road – Walt Whitman

આ રોજ સવારે આંગણથી આરંભાતો
ને રોજ સાંજના ત્યાં જ સમેટાઈ રહેતો:
આ મારગ. ત્યાં હું ગતિ કરું કે માર્ગ સ્વયમ્
કે છળી બેઉને, રહે કાળ પોતે વહેતો.

હું હળવે હૈયે મારગ પર જ્યાં પાય મૂકું,
એ કેવા છલકાતા હેતે સામો ધસતો,
આ મલક મલક મલકાય મકાનો બેઉ તરફ
આ પવન પલક વીંટળાય, પલક આઘો ખસતો.

આ પાલખ પર ઘૂ ઘૂ કરતાં બે પારેવાં
મુજ પદરવથી શરમાઈ ફરી વાતે વળગ્યાં
આ પૂર્વગગનથી કિરણ કિરણની ધૂપસળી
અડકી તો રૂના પોલ સમાં વાદળ સળગ્યાં.

ઝાલી માતાનો કર જે ગગન નીરખતો’તો
મન થતું, જરા એ બાળક સંગે ગેલ કરું;
આ એકમેકથી રીસ કરી અળગા ચાલે,
બે માણસમાં એક ગીત ગાઈ મનમેળ કરું.

આ નેત્ર ઉદાસી ભરી અહીં બે વૃદ્ધ ઊભા,
હું અશ્રુ બે’ક સારી એને સાંત્વન આપું :
આ ઉન્મન ને સુંદર યુવતીની આંખોને,
એ તરસે છે, તલખે છે એવું મન આપું.

આ ભીડભર્યા કોલાહલમાં નીરવ રીતે,
કોઈ મિત્ર તણો હૂંફાળો કર થઈ જીવી શકું,
તો માર્ગ વહે કે કાળ વહે કોને પરવા,
પરવા કોને, હું થી૨ ૨હું કે વહી શકું.

જ્યાં રોજ સાંજ ઢળતાં ચરણો વળતાં મેળે,
આ માર્ગ પછીની મંજિલ એ મારું ઘર છે,
ને કદી જીવનની સાંજ ઢળ્યે જ્યાં જંપીશ હું
એ માર્ગ પછીની મંજિલ પણ મારું ઘર છે.

– હરીન્દ્ર દવે ( પ્રેરણા – Song of the open road – Walt Whitman )

બે પંક્તિઓ પર ધ્યાન ખેંચીશ –

તો માર્ગ વહે કે કાળ વહે કોને પરવા,
પરવા કોને, હું થી૨ ૨હું કે વહી શકું.

અને –

ને કદી જીવનની સાંજ ઢળ્યે જ્યાં જંપીશ હું
એ માર્ગ પછીની મંજિલ પણ મારું ઘર છે.

– બસ, આ જ જાણે કે કાવ્યનો સાર છે.

વોલ્ટ વ્હીટમેનના કાવ્ય કરતાં ઘણું જુદું છે પણ થોડી આભા છે ખરી…

Comments (1)