પારખાં ત્યારે જ મિત્રોના થશે,
કોઈની વેળા કવેળા થાય છે.
રાજુ રબારી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for August, 2015

કેમ નથી રે બદલાતું – સરૂપ ધ્રુવ

કેમ નથી હચમચતું તૂટતુ કડડભૂસ ના થાતું,
જીવતર જૂનું જીરણ જુઠ્ઠું કેમ નથી બદલાતું,
હજીયે કંઇ કેમ નથી રે બદલાતું…….

કે છે નવનિર્માણ કરે છે, નવા નગર એ બાંધે,
માણસ-માણસ વચ્ચેની જે તિરાડ કોઇ ના સાંધે
જૂનાં પાયા જૂનાં નકશા, નવું શું અહીં સર્જાતું,
હજીયે કંઇ કેમ નથી રે બદલાતું…….

મારી અંદર ઉથ્થલપાથલ ચાલે કંઇક સદીથી,
કાંઠા તોડું ધમરોળી દવ શીખું કંઇક નદીથી,
હમણાં તો ગુમરાતો અંદર, તડતડ કંઇ ગુમરાતું,
હજીયે કંઇ કેમ નથી રે બદલાતું…….

એવો એ ઇતિહાસ સુણ્યો છે માણસજાત લડે છે,
ઉથલાવે છે જુલ્મની સત્તા, અગનની જાળ બને છે,
ક્રાંતિનો લલકાર ઉઠે છે, કેમ બધુ વિસરાતું,
હજીયે કંઇ કેમ નથી રે બદલાતું…….

સમાજ રહેજે ગતપતન(?) તો બધુંય બદલાવાનું,
જો કરવાનું હોય કશું તો મારે એ કરવાનું,
એવું નડતર શું છે મનને, કેમ ના તત્પર થાતું,
હજીયે કંઇ કેમ નથી રે બદલાતું…….

-સરૂપ ધ્રુવ

આ કાવ્ય નેટ ઉપર વાંચ્યું. કવયિત્રીનો મને ઝાઝો પરિચય નથી, તેઓનું કોઈ પુસ્તક પણ પાસે નથી. જે સ્વરૂપમાં નેટ ઉપર વાંચ્યું તે જ સ્વરૂપમાં મૂકું છું.

કાવ્ય પ્રત્યે આકર્ષાવાનું કારણ એ કે ભલે વિષય જૂનો છે પણ કવયિત્રીના શબ્દોમાં એક અનોખી સચ્ચાઈ વંચાય છે……કાવ્ય દિલમાંથી બહાર આવ્યું છે….ઈમાનદાર આક્રોશ છે……

Comments (6)

સ્વચ્છ આકાશ – મનીષા જોષી

કોઈક સુસ્ત સાંજે

આકાશમાં અચાનક દેખાઈ જતા

મેઘધનુષને જોઈને

સહેજ ચીડ ચડે છે.

શું હવે આ મેઘધનુષ પર

લપસણીની જેમ સરકવાનું ?

કે આ રંગોને ઓળખવાનો ઢોંગ કરવાનો ?

રંગ સાપેક્ષ કે નિરપેક્ષ,

એ વિચાર પણ હવે વ્યર્થ લાગે છે.

અત્યારે તો હું માત્ર એટલું જ ઈચ્છું છું કે

મારી બારીની બહાર મને દેખાય

એક કોરું, સ્વચ્છ, ખાલી આકાશ.

એટલું ખાલી એટલું સફેદ

કે મારી આંખો એમાં શોધી શકે

વર્ષો પહેલાં

મારી સાવ પાસેથી થઈને

ઊડી ગયેલા

એ સફેદ પક્ષીને.

.

-મનીષા જોષી

ખૂબીપૂર્વક રૂપક વાપર્યા છે અહીં. મેઘધનુષ્ય એટલે સફેદ પ્રકાશનું સંતાન. સફેદ પ્રકાશ શાશ્વત છે,મેઘધનુષ્ય ક્ષણજીવી છે.

આ ચાવી વાપરીને કાવ્યને વિવિધ રીતે માણી શકાય…..મેઘધનુષ્ય એટલે ક્ષણજીવી સંબંધો, સફેદ પ્રકાશ એટલે એક દિલનો સંબંધ. વળી કવિયત્રીની આંખો શોધે છે સફેદ આકાશમાં ઊડી ગયેલું સફેદ પક્ષી – અહીં એક વધુ ચમત્કૃતિ છે. કોઈક કારણોસર ભૂતકાળનો એક અતિસંવેદનશીલ સંબંધ કે જેમાં ક્યાંક કોઈક કારણોસર વાચા દગો આપી ગઈ હતી, હૈયાની વાત હોઠે આવી શકી નહોતી, અને એ અમૂલ્ય ક્ષણ હંમેશ માટે લુપ્ત થઇ ગઈ હતી – તે પાત્રને,તે ક્ષણને આ તરસી આંખો શોધ્યા કરે છે…..સતત…..

Comments (4)

જળનાં ઝાડ – યોસેફ મેકવાન

આભમાં મ્હોર્યાં જળનાં મોટાં ઝાડ !
ક્યાંય નહીં કો નદી અને ક્યાંય નહીં કો પ્હાડ !
ઘૂમરી લેતા વાયરા સાથે ફરતાં એનાં મૂલ,
સહજ લહર ઠરતાં સુગંધ ઝરતાં ઝીણાં ફૂલ,
ધરતી સાથે પ્રીત એવી કે
.               ખરતાં થોડાં, ખરતાં ક્યારેક ગાઢ !
.                                                    – આભમાં૦

ડાળ ભરેલાં પાન એવાં ત્યાં કોઈ રહે ના પંખી,
એટલે સકલ સૃષ્ટિ એણે ઉરથી ઝાંઝી ઝંખી !
ઝંખના મારી એટલી કે એ
.           ફાળ ભરે ને તોય તે મને ડગલું લાગે માંડ !
.                     આભમાં ફોર્યાં જળનાં વિશાળ ઝાડ !

– યોસેફ મેકવાન

વાદળને જળનાં મોટાં ઝાડની સાવ નવીનતર ઉપમા આપ્યા પછી કવિ આકાશમાં વરસાદનું એક નવું જ દૃશ્ય દોરી આપે છે.

Comments (2)

(કોશિશ) – ડૉ. રાધિકા ટિક્કુ

સ્નેહવેલને
નવપલ્લવિત કરવા
જેવું હું
જળ ઉમેરું છું
ત્યાં જ
તારા
અપારદર્શક ચહેરા
ઉપર
બગાસું ઊગે છે.

– ડૉ. રાધિકા ટિક્કુ

સાવ એક જ લીટીની પણ સીધી જ મર્મભાગે ઘા કરે એવી ધારદાર કવિતા. ‘અપારદર્શક ચહેરા’ અને ‘બગાસું’માં જે સ્ત્રી-પુરુષના સંબંધની કડવી વાસ્તવિક્તા છે એ આ એક લીટીની વાતને કવિતાની કક્ષાએ લઈ જાય છે.

Comments (6)

હરી ગયો – નિરંજન ભગત

હરિવર મુજને હરી ગયો !
મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તોયે મુજને વરી ગયો !

અબુધ અંતરની હું નારી,
હું શું જાણું પ્રીતિ ?
હું શું જાણું કામણગારી
મુજ હૈયે છે ગીતિ ?
એ તો મુજ કંઠે નિજ કરથી વરમાળા રે ધરી ગયો !

સપનામાંયે જે ના દીઠું
એ જાગીને જોવું !
આ તે સુખ છે કે દુ:ખ મીઠું ?
રે હસવું કે રોવું ?
ના સમજું તોયે સ્હેવાતું એવું કંઈ એ કરી ગયો !
હરિવર મુજને હરી ગયો !

– નિરંજન ભગત

કેવું મજાનું પ્રણયગીત ! સરળ બાનીમાં કેવી મજાની કેફિયત !

Comments (4)

બદલવાથી – હિતેન આનંદપરા

દશાઓ એમ સુધરતી નથી ઈશ્વર બદલવાથી
સવાલો ક્યાં કદી બદલાય છે ઉત્તર બદલવાથી.

નથી નિષ્ઠા વિષે શંકા પરંતુ રીત ખોટી છે
નહીં પામી શકે તુ ફૂલને અત્તર બદલવાથી.

જરૂરી છે એ લય ને તાલ છે, જે લોહીમાં મળશે
નથી કંઈ ફાયદો ઓ નર્તકી, ઝાંઝર બદલવાથી.

નહીં આવી શકે તારા ઘરે, તું જીદ છોડી દે
સંબંધો એમ બંધાતા નથી અવસર બદલવાથી.

ત્વચા બીજા કોઈની આપણે ઓઢી ન હો જાણે
અજુગતું એમ કંઈ લાગ્યા કરે ચાદર બદલવાથી.

– હિતેન આનંદપરા

Comments (13)

કિનારા પર – ગની દહીંવાળા

સદા ચાલ્યા કરેછે શ્વાસ કોઈના ઇશારા પર,
જીવન જીવી રહ્યો છું કેટલા નાજુક સહારા પર !

મળ્યું વ્યાકુળ હ્રદય તેમાંય ચિનગારી મહોબ્બતની,
જીવનદાતા ! મૂકી દીધી ખરેખર આગ પારા પર.

કવિ છું, વિશ્વની સાથે રહ્યો સબંધ એ મારો,
હસે છે એ સદા મુજ પર,રડું છું, એ બિચારા પર.

હ્રદય સમ રાહબર આગળ ને પાછળ કૂચ જીવનની,
તમન્નાઓ મને ઠરવા નથી દેતી ઉતારા પર.

અષાઢી વાદળો ! મુજ આંગણે વરસો ન આ વરસે,
વરસવું હોય તો વરસો મને તરસાવનારા પર.

જીવન-સાગરમાં તોફાનોની મોજ માણો ભરદરિયે,
‘ગની’, ડૂબી જશે, અગર નૌકા આવી કિનારા પર.

******

બહુ સહેલાઈથી કષ્ટો મને આપ્યાં છે દુનિયાએ,
બહુ મુશ્કેલીએ તારી નિકટ આવી શક્યો છું હું.

– ‘ગની’ દહીંવાળા

એક સરળ હ્રદયની વાણી છે આ…..એક સંવેદનશીલ દિલની કથની છે. ગનીચાચાની ખૂબી જ એ હતી કે તેઓના કવનમાં દર્શન સહજ હતું.

Comments (5)

આવવું – મનહર મોદી

આંખમાં આવવા નથી આવ્યો,
સાવ દરિયો થવા નથી આવ્યો.

ડાળખી ડોલવું નથી ભૂલી,
એમ દેખાડવા નથી આવ્યો.

હોય ચોખ્ખો તો મારે જોવો છે,
કાચને કાપવા નથી આવ્યો.

પાંપણે પટપટું તો પૂરતું છે,
છેક ઊંડે જવા નથી આવ્યો.

જાતને ખોલવા ઊભો છું હું,
બારણું વાસવા નથી આવ્યો.

– મનહર મોદી

મનહર મોદીની ગઝલોની એક ખાસિયત એ કે એ સહેલાઈથી છેતરી જઈ શકે છે. જરામાં એ દુર્બોધ-દુર્ગમ લાગે તો ઘડીમાં બાળરમત. પણ ગઝલના શેરને હળવેથી ખોલીએ તો છીપમાંથી મોતી જડવાનું સાનંદાશ્ચર્ય થાય એ નક્કી…

 

Comments (1)

(વેદના) – નેહા પુરોહિત

મન મૂકીને માણવાની હોય છે,
વેદના કેવી મજાની હોય છે.

વેદના સત્વો જે રગરગમાં ભરે,
વેદના એણે વખાણી હોય છે.

શબ્દ શણગારે, પ્રભાવે મૌનને,
વેદનાની જાત શાણી હોય છે.

નીતરે જ્યારે ગઝલ થઈ વેદના,
એ સ્તરે એ રાજરાણી હોય છે.

વેદના બ્રહ્માંડમાં પણ વિસ્તરે,
ગાલગામાં પણ સમાણી હોય છે.

– નેહા પુરોહિત

એક-એક શેર પાણીદાર… ગઝલ જાણે વેદનાનો વેદ ના હોય !

Comments (9)

વિદાયઘડી – સાબિર વટવા

ચંદ્ર ઝાંખો થાય છે, ‘રોકાઈ જાવ’ !
હમણાં વા’ણું વાય છે, રોકાઈ જાવ !

એક ઘડીભર રાતની છે શી વિસાત ?
વર્ષો વીતી જાય છે, રોકાઈ જાવ !

અપશુકન છે રોકવામાં, શું કરું ?
મારું દિલ ગભરાય છે, રોકાઈ જાવ !

ચીબરી બોલી રહી છે આંગણે,
વનમાં ઘુવડ ગાય છે, રોકાઈ જાવ !

વાટમારુ છે નિરાશા માર્ગમાં –
કાફલા લૂંટાય છે, રોકાઈ જાવ !

હોઠ ઉપર છે ‘ખુદા હાફિઝ !’ છતાં
દિલમાં કૈં કૈં થાય છે, રોકાઈ જાવ !

આજ ‘સાબિર’ વારે વારે શું કહું ?
હોઠે આવી જાય છે, રોકાઈ જાવ !

– સાબિર વટવા

જરા રોકાઈ જવા જેવી ગઝલ…

Comments (4)

અમે કાગળ લખ્યો તો – મુકેશ જોશી

અમે કાગળ લખ્યો તો પહેલ વહેલો
છાનોછપનો કાગળ લખ્યો તો પહેલો વહેલો.
કસ્તુરી શબ્દોને ચંદનમાં ઘોળ્યા તા
ફાગણીયો મલક્યો જ્યાં પહેલો.

સંબોધન જાણે કે દરિયાના મોજાંઓ,
આવી આવીને જાય તૂટી;
તો સંબોધન છોડીને કાગળ લખ્યો ભલે,
કાગળમાં એક ચીજ ખૂટી.
નામ જાપ કરવાની માળા લઈ બેઠો
ને પહેલો મણકો જ ના ફરેલો.

પહેલાં ફકરાની એ પહેલી લીટી
તો અમે જાણીબુજીને લખી ખાલી,
બીજામાં પગરણ જ્યાં માંડ્યા
તો લજ્જાએ પાંચે આંગળીઓને ઝાલી.
કોરોકટાક મારો કાગળ વહી જાય,
બે એક લાગણીનાં ટીપાં તરસેલો.

ત્રીજામાં એમ થયું લાવ લખી નાખીએ
અહીયાં મજામાં સૌ ઠીક છે;
અંદરથી ચુંટી ખણી કોઈ બોલ્યું કે
સાચું બોલવામાં શું બીક છે?
હોઠ ઉપર હકડેઠઠ ભીડ હતી શબ્દોની
ને ચોકિયાત એક ત્યાં ઉભેલો.

લિખિતંગ લખવાની જગ્યાએ ઓચિંતું
આંખેથી ટપક્યું રે બિંદુ;
પળમાં તો કાગળ પર માય નહીં
એમ જાણે છલકેલો લાગણીનો સિંધુ.
મોગરાનું ફૂલ એક મૂકીને મહેકંતા
શ્વાસ સાથ કાગળ બીડેલો.

– મુકેશ જોશી

કવિની ઊંચાઈનો ખ્યાલ તેઓ દ્વારા થયેલી વિષયની માવજત આપે છે. પરંપરાગત વિષયને કેટલી અદભૂત તાજગી બક્ષી છે !!!

Comments (10)

मापदंड बदलो – दुष्यंत कुमार

मेरी प्रगति या अगति का
यह मापदंड बदलो तुम,
जुए के पत्ते-सा
मैं अभी अनिश्चित हूँ ।
मुझ पर हर ओर से चोटें पड़ रही हैं,
कोपलें उग रही हैं,
पत्तियाँ झड़ रही हैं,
मैं नया बनने के लिए खराद पर चढ़ रहा हूँ,
लड़ता हुआ
नई राह गढ़ता हुआ आगे बढ़ रहा हूँ ।

अगर इस लड़ाई में मेरी साँसें उखड़ गईं,
मेरे बाज़ू टूट गए,
मेरे चरणों में आँधियों के समूह ठहर गए,
मेरे अधरों पर तरंगाकुल संगीत जम गया,
या मेरे माथे पर शर्म की लकीरें खिंच गईं,
तो मुझे पराजित मत मानना,
समझना –
तब और भी बड़े पैमाने पर
मेरे हृदय में असंतोष उबल रहा होगा,
मेरी उम्मीदों के सैनिकों की पराजित पंक्तियाँ
एक बार और
शक्ति आजमाने को
धूल में खो जाने या कुछ हो जाने को
मचल रही होंगी ।
एक और अवसर की प्रतीक्षा में
मन की कंदीलें जल रही होंगी ।

ये जो फफोले तलुओं मे दीख रहे हैं
ये मुझको उकसाते हैं ।
पिंडलियों की उभरी हुई नसें
मुझ पर व्यंग्य करती हैं ।
मुँह पर पड़ी हुई यौवन की झुर्रियाँ
कसम देती हैं ।
कुछ हो अब, तय है –
मुझको आशंकाओं पर काबू पाना है,
पत्थरों के सीने में
प्रतिध्वनि जगाते हुए
परिचित उन राहों में एक बार
विजय-गीत गाते हुए जाना है –
जिनमें मैं हार चुका हूँ ।

मेरी प्रगति या अगति का
यह मापदंड बदलो तुम
मैं अभी अनिश्चित हूँ ।

– दुष्यंत कुमार

યુદ્ધ બાહ્ય રિપુ સામે હોય કે આંતરિક રિપુ સામે, સમર્થ સામે હોય કે કુટિલ સામે, સમોવડિયા સામે હોય કે વિરાટ બળ સામે – પરિણામનો આધાર ઇચ્છાશક્તિ [ will power ] ઉપર છે. આપણો ધર્મ છે પૂર્ણ સામર્થ્યસમેત લડવું…..ન તો જય કાયમી છે ન તો પરાજય, કાયમી છે પોઝિટિવ દ્રષ્ટિકોણ. કાયમી છે ‘ never say die ‘ સ્પિરિટ.

Comments (3)

આજકાલ – વેદ રાહી (ડોગરી) અનુ. નૂતન જાની

દિવસો એમ વીતી રહ્યા છે
જેમ
શત્રુના સિમાડા પાસેથી સૈન્ય.

શ્વાસ એમ લેવાઈ રહ્યા છે
જેમ
ઘાયલ થયેલા પંખીની ગભરાયેલી ચીસ.

પ્રેમ એમ થઈ રહ્યો છે
જેમ
સામર્થ્યથી વધુ, કોઈ મજૂર,
ઉપાડીને
લઈ જઈ રહ્યો છે ભાર.

– વેદ રાહી (ડોગરી)
અનુ. નૂતન જાની

આમ તો આજે પંદરમી ઓગસ્ટ. સ્વતંત્રતા દિન. એટલે વરસમાં બે દિવસ પૂરતી જાગી ઊઠતી દેશભક્તિ સાથે સુમેળ ખાય એવી કવિતા શોધવાની નેમ હતી પણ આ કવિતા આંખ તળેથી પસાર થઈ અને શ્વાસ થંભી ગયા. આજના દિવસે આથી વધુ યથાર્થ બીજી કઈ કવિતા હોઈ શકે? પોલાં દેશભક્તિના નારા લગાવવાના બદલે નાગી વાસ્તવિક્તાની જ વાત ન કરીએ?

Comments (1)

છાંયડાને દેશવટો – જયંત ડાંગોદરા

હિંડોળે હિંચકતાં ખંખેરી પાન
અમે છાંયડાને દેશવટો દીધો;
ટહુકાઓ કોરાણે મૂકીને
કાળઝાળ તડકાને ખોળામાં લીધો.

અડવું ઊભેલ ઝાડ પંખીને ભૂલીને
હવે ખરતાં પીછાંને પંપાળે,
ખરબચડી ડાળેથી લપસેલા નિઃસાસા
લીલીછમ વગડામાં ખાલીપો ઘોળીને

કળકળતો ઘૂંટ એક પીધો.
હિંડોળે…

ફૂલોને હડસેલા મારીને અત્તરિયા
પાસેથી માંગ્યું રે ફાયું,
ચકલીએ નોંધાવી બળવાનો સૂર
એક ચીંચીંયે સુદ્ધાં ન ગાયું,
પીડાનાં પાન પછી વાળીને
ફળિયામાં ડૂમાનો ઓળીપો કીધો.
હિંડોળે…

– જયંત ડાંગોદરા

આધુનિકીકરણ વિશે મબલખ કવિતાઓ લખાઈ ગઈ. પણ અહીં કવિ તટસ્થ માણસ દરિયો નિહાળે એમ માત્ર આધુનિકીકરણનો ચિતાર દોરી આપે છે એ કારણે કવિતા વધુ ઓપી ઊઠે છે. એમનો વિરોધનો સૂર પણ ચીંચીં સુદ્ધાં ન ગાતી ચકલી જેવો નિર્લેપ છે.

Comments (8)

ઍટલાન્ટામાં ડો.રઇશ મનીઆર સાથે હાસ્ય અને કવિતાના સંગમ સમી સાંજ

આ શુક્રવારે સાંજે ૮ વાગ્યે, ઍટલાન્ટામાં પહેલીવાર, ડો.રઇશ મનીઆર સાથે હાસ્ય અને કવિતાના સંગમ સમી સાંજ. એટલાન્ટા નિવાસી મિત્રો, આ પોસ્ટને આપના દોસ્તો સાથે અને ફેસબૂક પર જરૂરથી ‘શેર’ કરશો.

raeeshbhai-atlanta

Comments (1)

ભિક્ષુક – વિપિન પરીખ

મંદિર બ્હાર
ભિક્ષુક,ભીતર હું,
ફર્ક કેટલો?

[ મંદિરની બહાર ઊભેલો ભિખારી તો ભિખારી છે જ – જગ જાણે છે એ વાત, કિન્તુ મંદિરની અંદર પેસતો હુંય શું ભિખારી નથી !!?? હું ક્યાં મંદિરની અંદર નિ:સ્વાર્થ ભાવે જાઉં છું !!?? ]

માંગવાનું કહે છે તો માંગી રહું છું આ પ્રભુ!
દઈ દે મન એવું કે માંગે એ કશું નહી !

-વિપિન પરીખ

Comments (8)

જાયે છે – હરીન્દ્ર દવે

ઘણી વેળા ત્રિભેટા પર જે પથ ફંટાઈ જાયે છે,
બધેબધ જઈ શકું, એ ખ્યાલે ત્યાં અટકી જવાયે છે.

પ્રભુ એવું કરે નિ:શ્વાસમાં એની અસર ના હો,
લઉં છું શ્વાસ તો એક આગ ઉર ઠલવાઈ જાયે છે.

હું ઝંખું કે સમેટી લઉં મિલનની આ ક્ષણો હમણાં,
જરા અડકું છું ત્યાં નાજુક સમય વિખરાઈ જાયે છે.

કદી એને મૂલવવાની મને રસમો ન આવડતી,
ફકીરી હાલમાં જે થોડું ધન સચવાઈ જાયે છે.

હવે લાગે છે બાકી જિંદગીનો રાહ ટૂંકો છે,
કે હમણાં હમણાં લાંબા શ્વાસ બહુ લેવાઈ જાયે છે.

– હરીન્દ્ર દવે

બીજો શેર અદભૂત છે. ત્રીજો અત્યંત નાજુક વાત કહી જાય છે. ત્રીજો શેર એક દ્રષ્ટિએ મરીઝના પેલા અત્યંત જાણીતા શેર ‘…….એક તો ઓછી મદિરા છે અને ગળતું જામ છે’- ના પ્રતિશેર જેવો છે. રસ પીવામાં જલ્દી ન કરાય…… નહિતર રસ રસ રહે જ નહિ. પરમાનંદની ક્ષણોને અડાય !!!!! જો એવી ગુસ્તાખી કરો તો તે તરત જ અલોપ થઇ જાય. ઉતાવળે રસ પીવા કોશિશ કરી જુઓ, જામમાં પીણું જ રહી જશે……..રસ ઊડી જશે. ચોથો શેર નબળો લાગ્યો.

Comments (2)

એક મજાનું ગીત હું જાણતો હતો – સ્ટિફન ક્રેન (અનુ. વિવેક મનહર ટેલર)

એકવાર, હું એક મજાનું ગીત જાણતો હતો,
-એકદમ સાચી વાત, મારો વિશ્વાસ કરો-
એ આખું પંખીઓનું હતું,
અને મેં એ ઝાલી રાખ્યું હતું મારી છાબલીમાં,
જ્યારે મેં ઝાંપો ખોલ્યો,
હે પ્રભુ ! એ બધા જ ઊડી ગયાં.
હું ચિલ્લાયો, “પાછા આવો, નાના વિચારો!”
પણ તે ફક્ત હસ્યા.
તેઓ ઊડતા ગયા
ત્યાં સુધી જ્યારે તેઓ ધૂળ સમા દેખાવા માંડ્યા,
મારી અને આકાશ વચ્ચે ફેંકાયેલી.

– સ્ટિફન ક્રેન
(અનુ. વિવેક મનહર ટેલર)

*

સાવ નાના અમથા કાવ્યમાં કવિ કવિતાને કેવી સરસ રીતે સમજાવે છે ! કવિ પાસે એક ખૂબ મજાનું ગીત છે પણ કવિએ એ મજાના વિચારોને અક્ષરોમાં કેદ કરી રાખવા ધાર્યું છે. જો કવિ એના વિચારોને એના મન, એના કાગળની કેદમાંથી મુક્ત કરે તો તે તરત જ દૂર ઊડી જશે… આકાશમાં ફેંકેલી ધૂળ જેવા છે આ વિચારો… એ ધૂળ પાછી ચહેરા પર જ આવી પડશે. પણ જરૂર છે એને મુક્ત કરવાની કેમકે વિચારોની આઝાદી જ સાચી કવિતા છે.

*
LXV [Once, I knew a fine song]

Once, I knew a fine song,
—It is true, believe me,—
It was all of birds,
And I held them in a basket;
When I opened the wicket,
Heavens! They all flew away.
I cried, “Come back, little thoughts!”
But they only laughed.
They flew on
Until they were as sand
Thrown between me and the sky.

– Stephen Crane

Comments (4)

નહિ લખું – સુરેશ પરમાર ‘સૂર’

“તું લખે તો હુંય લખું” એવાં બહાને નહિ લખું;
છે પૂરું સામર્થ્ય પણ, ખોટા ઉપાડે નહિ લખું.

વાત પાયાની અને સાર્થક રહે, ત્યાં છે ગઝલ;
એ સમજ છે એટલે, વહેતા વિચારે નહિ લખું.

તુંય જાણે છે કે શું છે ન્યાય ? શું છે સમતુલા ?
એમ જાણી દોસ્ત, ઓછું કે વધારે નહિ લખું.

વાહવાહી, દાદ, તાળી-ગુંજ, બહુ સારી છે પણ;
હું સભાને આંજી દેવાના ઈરાદે નહિ લખું.

‘સૂર’મય બે શબ્દ લઈ, કાને પડું તો ઠીક છે;
માથે યા છાપે ચડું, એવા હિસાબે નહિ લખું.

– સુરેશ પરમાર ‘સૂર’

આજના ગઝલકારોએ આંખ સામે ૨૪ કલાક મૂકી રાખવા જેવી ગઝલ…

Comments (16)

ગઝલ – ગૌરાંગ ઠાકર

મહેલમાં જેમને વન લાગે છે,
એમની વાતમાં મન લાગે છે.

ખીણ પર્વતનું પતન લાગે છે,
ને ઝરણ એનું રુદન લાગે છે.

ભાર જીવનમાં બીજો છે જ નહીં,
હળવા પાકિટનું વજન લાગે છે.

આંખમાં આંસુ છે હૈયામાં આગ,
જાણે પાણીમાં હવન લાગે છે.

બાગમાં ફૂલ અને ઝાકળનું,
અમને તો હસ્તધૂનન લાગે છે.

તું કશું બોલે નહી ત્યારે બસ,
મૌન શબ્દોનું કફન લાગે છે.

આ તને ચાહવાનું છે પરિણામ,
વિશ્વ આખું જ સ્વજન લાગે છે

– ગૌરાંગ ઠાકર

સરલ, સહજ પણ મનનીય ગઝલ… કવિનું સ્ટાઇલ સ્ટેટમેન્ટ…

Comments (9)

શું જોઈતું’તું ? – અનિલ ચાવડા

વારતા આખી ફરી માંડી શકાતી હોત તો શું જોઈતું’તું ?
ને ક્ષણોની પોટલી બાંધી શકાતી હોત તો શું જોઈતું’તું ?

આપ બોલ્યા તે બધા શબ્દો પવન વાટે અહીં આવ્યા હશે પણ,
પત્રની માફક હવા વાંચી શકાતી હોત તો શું જોઈતું’તું ?

જો પ્રવેશે કોઈ ઘરમાં તો પ્રવેશે ફકત સુખની લ્હેરખીઓ,
એક બારી એટલી નાંખી શકાતી હોત તો શું જોઈતું’તું ?

ડાળથી છુટ્ટું પડેલું પાંદડું, તૂટી ગયેલા શ્વાસ, પીછું,
ને સમયની આ તરડ સાંધી શકાતી હોત તો શું જોઈતું’તું ?

આ ઉદાસી કોઈ છેપટ જેમ ખંખેરી શકતી હોત, અથવા,
વસ્ત્રની નીચેય જો ઢાંકી શકાતી હોત તો શું જોઈતું’તું ?

– અનિલ ચાવડા

 

થોડીક પ્રયોગાત્મક ગઝલ છે. કદાચ શાસ્ત્રીય ગઝલકારની ભૃકુટી તણાય પણ ખરી પરંતુ કલ્પનોની તાજગી કાબિલ-એ-તારીફ છે.

Comments (10)

સમર્થ સાચો અવાજ – સર્વેશ્વરદયાલ સક્સેના – અનુ. સુશીલા દલાલ

હવે હું કઈ કહેવા નથી માંગતો,
સાંભળવા ઈચ્છું છું એક
સમર્થ સાચો અવાજ
કદાચ ક્યાંક હોય.

નહીં તો
એના પહેલાંનું
મારું પ્રત્યેક કથન
પ્રત્યેક મંથન
પ્રત્યેક અભિવ્યક્તિ
શૂન્ય સાથે ટકરાઈને પાછી ફરી આવે,
એ અનન્ત મૌનમાં સમાઈ જવા ઇચ્છું છું
જે મૃત્યુ છે.

‘જે કહ્યા વગર મરી ગયો’
આ અધિક ગૌરવશાળી છે
આ કહેવાથી –
‘ કારણકે એ મરવાના પહેલાથી
કંઈક કહી રહ્યો હતો
જેને કોઈએ સાંભળ્યું નહીં. ‘

– સર્વેશ્વરદયાલ સક્સેના – અનુ. સુશીલા દલાલ

” The wasteland grows. Woe to him who hides wasteland within.” – Nietzsche

આ ઉદગાર ઓગણીસમી સદીના અંતભાગે એ વ્યક્તિ દ્વારા ઉચ્ચારાયા છે કે જેને માટે ખલિલ જિબ્રાને એમ કહ્યું હતું કે Nietzsche પૃથ્વી ઉપર ચાલનાર માનવોમાંનો સૌથી બુદ્ધિમંત માનવ હતો.

આ ઉદગારો Nietzsche ના પુસ્તક ‘ Thus spake Zarathrusta ‘ ના નાયકના મુખેથી બોલાયા છે. અર્થ આમ તો સ્પષ્ટ છે – વેરાની ફેલાઈ રહી છે. ધિક્કાર છે એને જે પોતાની અંદર વેરાની સંઘરીને બેઠો છે. આ વેરાની-ઉજ્જડતા વૈચારિક વેરાની છે…… સ્પષ્ટ-પૂર્વગ્રહમુક્ત-સમ્યક દર્શનના અભાવની વાત છે. અનભિજ્ઞ પ્રદેશે હિંમતભેર વિચરણના સાહસના સદંતર અભાવની વાત છે. વળી, ભયાનક વાત એ છે કે આ વેરાની ફેલાઈ રહી છે……ધીમે ધીમે બધું જ ઉજ્જડ થઇ જશે……

અનેક પ્રજ્ઞાવાન સાહસિકો આવું બધું ઘણું કહી ગયા છે…. શૂન્ય સાથે ટકરાઈને તેઓના સાદ પાછા વળતા રહ્યા છે. માનવજાત સ્વભાવગત પ્રચંડ આળસ અને ડરના અસાધ્ય રોગથી મુક્ત નથી થઇ શકતી.

જે કોઈ પણ ચિંતક વ્યક્તિને પોતાને કંઈક કરવાનું કહે છે તેને માનવજાત તરત જ ક્યાં તો ગુમનામીના અંધારે ગુમ કરી દે છે અથવા ઈશ્વર બનાવીને મંદિર/મસ્જીદ/ચર્ચમાં કેદ કરી દે છે…….

Comments (3)

તમે અમારાં ગુરુ – નટરાજ બ્રહ્મભટ્ટ

તમે અમારાં ગુરુ મીરાં !
તમે અમારાં ગુરુ
રોજ હવે તો હરિરસ ભાવે, ઘર લાગે છે તૂરું
મીરાં ! તમે અમારાં ગુરુ.

અમે તમારા શબ્દોની આંગળિયું પકડી ચાલ્યા,
અમે તમારા ભાવભુવનમાં ગગન ભરીને મ્હાલ્યા
તમે બતાવ્યું નામ, ઠામ ઠેકાણું પૂરેપૂરું.
મીરાં ! તમે અમારાં ગુરુ.

તમે કંઠમાં કેદ કર્યાં’તાં મોરપિચ્છ ને વેણુ
અમે તમારી કંઠી બાંધી, ઘટનું એ જ ઘરેણું
શ્વાસ હવે તો શામળિયો ત્યાં કોણ કરે કંઈ બૂરું !
મીરાં ! તમે અમારાં ગુરુ.

ગુરુ અમોને માંડ મળ્યાં છે ઘટમાં ઘાયલ ઘેલાં
રાત દિવસ બસ રાતામાતા એ જ ચીલામાં ચેલા
બાઈ મીરાંને લખવાનું કે તમે ઝૂર્યાં એમ ઝૂરું.
મીરાં ! તમે અમારાં ગુરુ.

– નટરાજ બ્રહ્મભટ્ટ

ગઈકાલે ગુરુપૂર્ણિમા ગઈ… એના ઉપલક્ષમાં આજે એક મજાનું ગીત…

Comments (8)