નહિતર આ બધી નૌકાઓ ડૂબી જાય શી રીતે,
સમંદરમાંય મૃગજળ છે જે દેખાઈ નથી શકતા.
– આદિલ મન્સૂરી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for બાલમુકુન્દ દવે

બાલમુકુન્દ દવે શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




માતૃમહિમા : ૦૬ : તીર્થોત્તમ – બાલમુકુંદ દવે

ભમ્યો તીર્થે તીર્થે, ધરી ઉર મનીષા દરશની,
પુરી, કાશી, કાંચી, અવધ, મથુરા ને અવર સૌ
ભમ્યો યાત્રાધામો અડસઠ જલે સ્નાન કરિયાં;
વળી સાથે લાવ્યો વિમલ ઘટ ગંગોદક ભરી.

છતાં રે ના લાધ્યું પ્રભુ ! પુનિત એક્કે તીરથ જ્યાં
શકે મારી છીપી ચરમ મનીષા તું-દરશની !
અને એવા ઝાઝા દિન વહી ગયા શોધન મહીં,
વહ્યા એથી ઝાઝા સતત ઘટમાળે જીવનની !

અમે બે સાંજુકાં સહજ મઢીઓટે નિત પઠે
વળ્યાં’તાં વાતોએ, નયન નમણાં ને સખી તણાં
ઢળ્યાં’તાં વાત્સલ્યે, મૃદુલ નવજાતા કલી પરે-
ઝૂકી, ઢાંકી જેને અરધપરધા પાલવ થકી
ઉછંગે પિવાડી અનગળ રહી અમૃતધરા !
મને એ ચક્ષુમાં પ્રભુ ! જગતતીર્થોત્તમ મળ્યું.

– બાલમુકુંદ દવે

લયસ્તરો ‘માતૃમહિમા’ શ્રેણીના પ્રારંભે આપણે શ્રી કરસનદાસ માણેકનું જ્યોતિધામ સૉનેટ માણ્યું. શ્રી બાલમુકુંદ દવેનું આ સૉનેટ જાણે એ જ સૉનેટને આપણે અરીસામાં જોતાં હોઈએ એવી અનુભૂતિ કરાવે છે. ફરક માત્ર એટલો છે કે પેલા સૉનેટમાં બાળકના સંઘર્ષને માતા નિહાળી રહી છે, જ્યારે પ્રસ્તુત સૉનેટમાં કવિ પોતે જ આપવીતી રજૂ કરે છે. કવિ અનેક તીર્થોમાં ફરી વળે છે, ‘પાણી દેખી કરે સ્નાન’ પણ પ્રભુદર્શનની તરસ છીપાય એવું એકેય પુનિત તીર્થ સાંપડતું નથી. આમ ને આમ મોટાભાગની જિંદગી શોધખોળ પાછળ જ પૂરી થઈ ગઈ… પછી એક સાંજે બે પતિ-પત્ની પોતાની મઢૂલિના ઓટલા પર કાયમની જેમ બેઠાં હતાં અને વાતો કરતાં હતાં એ સમયે કળી સમાન કોમળ નવશિશુને અડધા-પરધા પાલવથી ઢાંકીને સ્તનપાન કરાવતી પત્નીને કવિ નિરખે છે. બાળકની માતાના અર્ધનિમિલિત નેત્રોમાંથી છલકાતાં વાત્સલ્યને જોઈને કવિને આખરે દુનિયાનું ઉત્તમ તીર્થ જડી આવે છે… મા! સાચા અર્થમાં જગત-તીર્થોત્તમ…

Comments (10)

સોનચંપો – બાલમુકુંદ દવે

રંકની વાડીએ મ્હોર્યો સોન રે ચંપાનો છોડ:
અમને ના આવડ્યા જતન જી !

ઊષર અમ ભોમકામાં શેનાં રે ગોઠે, જેનાં
નંદનવન હોય રે વતન જી ?

વજ્જરની છાતી કરીએ, તો ય રે દુલારા મારા !
ધીરે જીવન કોરે ઘાનાં ઘારાં જી !

કુવાને ઠાળે જેવા કાથી કેરા દોરડાના —
થોડે થોડે લાગે રે ઘસારા જી !

દેશ રે ચડે ને જેવો ભમતો અંધારે પન્થી
ગામની ભાગોળે સારી રાત જી !

ઘરની ઓસરીએ તેવી, ઠેબાં રે ખાતી તું વિણ
બાવરી બનેલી તારી માત જી !

બાવળની કાંટ્ય જેવી ભવની ભુલામણીમાં
આ રે કાંઠે ઝૂરે મા ને તાત જી !

સામે રે કાંઠે તારા દૈવી બગીચા, બેટા !
વચ્ચે આડા આંસુના અખાત જી !

– બાલમુકુંદ દવે

પોતાને જીવતેજીવ સંતાન મૃત્યુ પામે એ ઘા કોઈપણ મા-બાપ માટે દુનિયામાં સૌથી વસમો અને અસહ્ય હોય છે. પોતાના સંતાનના અકાળ અવસાન પછી કવિએ લખેલું ‘જૂનું ઘર ખાલી કરતાં’ સૉનેટ જેણે ન વાંચ્યું હોય એવો ગુજરાતી કાવ્યરસિક મળે તો એક તો એના ગુજરાતી હોવા વિશે અને બીજું, એના કાવ્યરસિક હોવા અંગે અવશ્ય શંકા સેવવી. જીવનની આ એક જ દારુણતમ ઘટના પર કવિ સૉનેટ લખે અને એ જ કવિ ગીત લખે ત્યારે સ્વરૂપભેદના કારણે કવિતામાં કેવું મોટું અંતર સર્જાય છે એ રસનો વિષય બને છે.

ગરીબની વાડીએ તો ઘાસ-ફૂસ કે આવળ-બાવળ ઊગે પણ અહીં તો સોનચંપા જેવું મજાનું સંતાન મ્હોર્યું હતું. એનું જતન કરવામાં પોતે નિષ્ફળ ગયા હોવાનો અહેસાસ કવિને કોરી ખાય છે. નંદનવનના નિવાસી છોડને ગરીબની ઉજ્જડ ભૂમિ ક્યાંથી ગોઠે? કૂવાથાળે કાથીના ઘસારા સમય સાથે પડતા જાય એમ મા-બાપના હૈયે ઘાનાં ઘારાં સર્જાય છે. દેશદેશાવરનો મુસાફર અંધારે ભમવા ગયો ને મા-બાપ માટે તો ગામની ભાગોળ કાયમી રાત જેવી બની ગઈ, બાવરી મા જીવતરની આ કાળી રાતમાં ઠેબાં ખાતી જીવી રહી છે. બાવળના કાંટા જેવી વેદનાસિક્ત બનેલી ભવભુલામણીના આ કાંઠે મા-બાપ એકલા ઝૂરે છે, ને સામે કાંઠે સ્વર્ગમાં અકાળે મરણ પામેલ દીકરાના-સોનચંપાના બગીચા હોવાનું કલ્પે છે; બે વચ્ચે આંસુના અખાત છે!

 

Comments

વિરહિણી – બાલમુકુંદ દવે

ચૈતર ચંપો મ્હોરિયો, ને મ્હોરી આંબાડાળ,
મઘમઘ મ્હોર્યા મોગરા, મેં ગૂંથી ફૂલનમાળ.

જૂઈ ઝળૂંબી માંડવે ને બાગે બાગે ફાલ,
તું ક્યાં છો વેરી વાલમા? મને મૂકી અંતરિયાળ!

આ ચૈતર જેવી ચાંદની, ને માણ્યા જેવી રાત;
ગામતરાં તને શે ગમે? તું પાછો વળ ગુજરાત.

કોયલ કૂજે કુંજમાં, ને રેલે પંચમ સૂર,
વાગે વન વન વાંસળી, મારું પલ પલ વીંધે ઉર.

અવળું ઓઢ્યું ઓઢણું ને મારા છુટ્ટા ઊડે કેશ,
શું કહું નિર્દય કંથડા! મને વાગે મારગ ઠેસ.

જોબનને આ ધૂપિયે, પ્રીત જલે લોબાન,
રત આવી રળિયામણી, મારાં કોણ પ્રીછે અરમાન?

સમજી જાજે સાનમાં, મન બાંધી લેજે તોલ;
હોય ઈશારા હેતના, એના ના કંઈ વગડે ઢોલ!

નારી ઉર આળું ઘણું, બરડ કાચની જાત,
તું જન્મ્યો નરને ખોળિયે, તને કેમ સમજાવું વાત?

બ્રહ્મા! ભારી ભૂલ કરી તેં સરજી નારી ઉર,
ઉરને દીધો નેહ ને વળી નેહને દીધો વ્રેહ!

-બાલમુકુંદ દવે

સ્ત્રીને સમજવી અઘરી જ નહીં, અશક્ય! પુરુષનું ખોળિયું લઈને જન્મે એને તો આ વાત સમજાવવી જ શક્ય નથી. આખી પ્રકૃતિ ચૈત્રના દિવસોમાં પૂરબહાર ખીલી હોય ત્યારે મનનો માણીગર ગુજરાત જેવો દેશ છોદીને ગામતરે શીદ નીકળી શક્યો હશે એ સમજવું પણ કપરું છે. હોય ઈશારા હેતના, એના ના કંઈ વગડે ઢોલ – આ પંક્તિ તો કહેવત બની ગઈ છે આજે.

 

Comments (7)

ચાંદની – બાલમુકુન્દ દવે

શરદરજની ધીરે ધીરે ગળાઈ ચળાઈને
અજબ ઊઘડી મોડી મોડી ખીલી પુરબા’રમાં!
કપૂર ધવલા આછી ગાઢી હસે મૃદુ ચાંદની,
પવન પર થૈ ધોળાં ધોળાં ખસે રૂપ આભલાં.
પલ પલ ખૂલે જ્યોત્સના કેરાં દલેદલ, મધ્યમાં
પ્રકટ પૃથિવીની ઊભી જાણે લસે નવપદ્મજા!
પૃથક ઘટકો ચન્દ્રીતેજે પરસ્પરમાં ગળી,
સુઘટિત રચે એકત્વે સૌ કલામય પુદ્ગલ.
દિવસ અજવાળે જે દીસે વિરૂપ, લજામણું
સ્વરૂપ પલટી તે તે ઊભું નવું સુહામણું!
જગસકલની ત્રાંબાકુંડી ભરી તસુએ તસુ,
શશિયર સ્વયં ના’વા જાણે રહ્યો નભથી સરી!
ભવનભવને મેડી સૂતાં મીઠાં યુગલો પરે,
સહજ અમથાં છિદ્રોથીયે નરી મમતા દ્રવે!
ગિરિ, વન, નદી, મેદાને થૈ સરે રમણીયતા,
પરણ પરની કીડીયે શી ધરે કમનીયતા!
અશરીર છતાં આકારો લે મનોહર ઊતરે,
ગહન વીમલાં સૌન્દર્યો શા રહી રહી નીતરે!

– બાલમુકુન્દ દવે

આજે શરદપૂર્ણિમા. કાલે ચાંદનીપડવો. સહુને ઘારીમુબારક. અને લયસ્તરોના વાચકમિત્રો માટે ઘારી જેવી શરદપૂર્ણિમાની ચાંદની રેલાવતી આ કવિતા..

કવિનો કેમેરો કેવો કમાલ ફરે છે તે જુઓ… જીવનમાં અચાનક અને પૂરેપૂરું મળી જાય એની કિંમત રહેતી નથી. શરદઋતુની આ ચાંદની કદાચ એથી જ ધીરે ધીરે ગળાઈ-ચળાઈને, અર્થાત્ શુદ્ધ થઈને મોડી મોડી પણ પૂરબહાર ખીલે છે. ગળાયેલી ચાંદનીને કવિ કપૂરની સફેદી સાથે સરખાવે છે. આવી અદભુત ઉપમા આપણે ત્યાં ભાગ્યે જ જોવામાં આવી હશે. કપૂર એની આગવી સુગંધ ઉપરાંત સફેદી અને પારદર્શિતાના ગુણ ધરાવે છે. શુદ્ધ શ્વેત ચાંદની માટે આનાથી વધુ ઉપયુક્ત ઉપમા બીજી કઈ હોઈ શકે? વરસાદની મોસમ હવે પતી ગઈ છે એટલે આભમાં પવનની પાંખ પર સરકતાં વાદળો પણ સફેદ જ હોવાનાં.

કેમેરાનો લેન્સ હવે આખા બ્રહ્માંડને સમાવિષ્ટ કરી લે છે. ચાંદની જાણે વિશાળ પુષ્પ હોય એમ એની પંખડીઓ એક પછી એક ખુલતી જાય છે અને મધ્યમાં પૃથ્વી લક્ષ્મી સમી ઊભી ભાસે છે. આવા આ અપાર્થિવ અવસરે પાર્થિવ તત્ત્વો ચાંદનીમાં એકસમાન ન્હાઈને જાણે પરસ્પરમાં ઓગળી-વિલીને થઈ કળાત્મક કૃતિનું સર્જન કરે છે. દિવસના અજવાળામાં જે કદરૂપું ભાસે છે એ બધું પણ ચાંદનીમાં ધોવાઈને નવીન અને સોહામણું બની રહે છે. દુનિયા આખી તાંબાકુંડી ન હોય અને ચાંદ જાણે એમાં નહાવા ન આવતો હોય એમ ધીમે ધીમે આભથી સરી રહ્યો છે. અહીં કશું જ ઉતાવળે થતું નથી એનું કારણ ચાંદનીની શીતળતા અને શુભ્રતા છે. ઘરે ઘરે મેડી પર સૂતેલાં પ્રેમનિમગ્ન યુગલો પર નાનાં-બારીક છિદ્રોમાંથી જાણે ચાંદની નહીં પણ પ્રકૃતિની મમતા દ્રવી રહી છે. નદી-નાળાં, પર્વત-મેદાન-જંગલ – બધું રમણીય છે. પાંદડા પરની કીડી પણ કમનીય દેખાય એ ચાંદનીની કમાલ છે અને આ કમનીયતા આબાદ ઝીલી શકે એ કવિના કેમેરાની કમાલ છે. ચાંદનીનો પોતાનો નથી કોઈ દેહ, નથી આકાર પણ એ છતાં એ અવનવા આકાર લઈ અવનિ પર ઉતરે છે અને પરિશુદ્ધ પણ ગહન સૌંદર્યસૃષ્ટિની જનેતા બની રહે છે..

Comments (1)

જૂનું ઘર ખાલી કરતાં (English) – બાલમુકુન્દ દવે

અંગ્રેજી અને દેશી-વિદેશી કવિતાઓના ગુજરાતી અનુવાદ આપણે અવારનવાર વાંચતા સાંભળતા આવ્યા છીએ. આપણી કવિતાઓ વિશ્વ સુધી પહોંચી શકતી નથી એનો વસવસો પણ આપણે ઘણીવાર કરતાં હોઈએ છીએ. ગુજરાતી કવિતાઓનો અંગ્રેજી અનુવાદ થતો નથી એટલે આપણી ભાષાના કોઈ કવિને નોબલ મળતું ન હોવાની હૈયાવરાળ કાઢનાર પણ દરેકને ક્યાંક ને ક્યાંક ભટકાયા જ હશે… તો થોભો… તમારી આ ફરિયાદોનો એક અક્સીર જવાબ હવે ઓનલાઇન ઉપલબ્ધ છે. ઉદયન ઠક્કરના નેજા હેઠળ શરૂ થયેલ poetryindia.com પર આપ ૩૦૦ થી વધુ ગુજરાતી કવિતાઓના અંગ્રેજી અનુવાદ માણી શકો છો.

MOVING HOUSE

Rummaging through the house again we found
Scraps of Lux soap, a toothbrush, an old broom,
a leaking bucket, tin box, and lidless bottles,
thread and needle, specs (broken), clips and pins!
Taking down the name-plate on the door,
we placed it face down in the departing lorry.
We looked around again one last time at where
those first ten years of married life went by:
our son, a boon so long desired, was born;
from where we took him to the fire’s last embrace.
Suddenly from some corner came a voice:
‘Ba-Bapu, you’ve left nothing here but me-‘
Our eyes were full of pricking grains of grass;
our leaden feet tired down with iron weights.

– Balmukund Dave
(Translated by Suguna Ramanathan & Rita Kothari)

*
અરે હા… આ છે મૂળ ગુજરાતી કવિતા… એ પણ માણી લ્યો…

ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું :
જૂનું ઝાડુ, ટૂથ-બ્રશ, વળી લક્સ સાબુની ગોટી,
બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,
તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી સોય-દોરો !
લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું,જે
મૂકી ઊંધુ, સુપરત કરી, લારી કીધી વિદાય.

ઊભાં છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ,
જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો;
જ્યાં દેવોના પરમ વર-શો પુત્ર પામ્યાં પનોતો
ને જ્યાંથી રે કઠણ હૃદયે અગ્નિને અંક સોંપ્યો !
કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે:
‘બા-બાપુ ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે ?’
ખૂંચી તીણી સજલ દૃગમાં કાચ કેરી કણિકા ! દૃગ=આંખ
ઉપડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણીકા !

– બાલમુકુન્દ દવે

Comments (12)

અંગત અંગત : ૦૫ : વાચકોની કલમે – ૦૧

‘લયસ્તરો’ની છઠ્ઠી વર્ષગાંઠની ઉજવણીમાં આજથી વાચક-મિત્રો જોડાશે… આપ પણ આપની અનુભૂતિ અમને ઇ-મેલ કરી શકો છો.

*

ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું :
જૂનું ઝાડુ, ટૂથ-બ્રશ, વળી લક્સ સાબુની ગોટી,
બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,
તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી સોય-દોરો !
લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું,જે
મૂકી ઊંધુ, સુપરત કરી, લારી કીધી વિદાય.

ઊભાં છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ,
જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો;
જ્યાં દેવોના પરમ વર-શો પુત્ર પામ્યાં પનોતો
ને જ્યાંથી રે કઠણ હૃદયે અગ્નિને અંક સોંપ્યો !
કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે:
‘બા-બાપુ ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે ?’
ખૂંચી તીણી સજલ દૃગમાં કાચ કેરી કણિકા !
ઉપડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણીકા !

– બાલમુકુન્દ દવે

(દૃગ=આંખ)

સાલ હતી ૧૯૬૩. હું ત્યારે કપડવણજ કોલેજમાં ભણું. ચદ્રકાન્ત શેઠ અમારા ગુજરાતીના અધ્યાપક. તેમણે અમદાવાદ જવાનું વિચાર્યુ અને તેમની જગા લીધી ચિનુ મોદીએ. બન્ને કવિઓ પણ તેમની વચ્ચે આસમાન -જમીન જેવો ફરક! શેઠ સાહેબ તો મારી પોળ નાના નગરવાડામાં જ રહે પરંતુ હું બને તેટલો દૂર રહેવા મથું જ્યારે ચિનુભાઈને ઘેર હું ક્યારેક તો વણબોલાવ્યો પણ પહોંચી જાઉં! હું કવિતા કરું ને ગઝલો પણ લખું પણ બધું અધ્ધરીયા ! એકવાર મારી થોડીક અછાંદસ કવિતાઓ બતાવા હું ચિનુભાઈને ઘેર ગયો. શનિવારની બપોર હતી. ઘરની રવેશ થોડીક અંધારિયા અને યાદ છે ત્યાં સુધી કોઈ બારી પણ નહીં! મારી કવિતાઓ ઝડપભેર વાંચી ને પછી કાગળિયાં બાજૂ પર મૂકતાં કહે : જો ભરત, રવીન્દ્રનાથ આવું બધું લખી ગયા છે એટલે આપણે આપણી કવિતા લખવાની. અમે બેઠા હતા તે ખાટલા પાસે જ એક મેજ પરથી એક પુસ્તકનાં પાનાં ફેરવતાં એક કવિતા પર પસંદગી ઉતારી- તે કવિતા તે બીજી કોઈ નહીં પણ આ હતી! આખીયે કવિતા ભાવવાહી રીતે વાંચી સંભળાવી. તે એક પળ હતી જેણે મને જૂની ઘરેડની કવિતામાંથી નવી કે આઘુનિક કવિતાના દ્વાર પર લાવી ખડો કરી દીધો ! બીજા જ અઠવાડિયે તો મારી નવી કવિતા -“રોમિયો-જૂલિયટ વાંચતાં થયેલે એક સરિયલ અનુભવ” કુમારમાં વંચાઈ ત્યારે કેવળ ચિનુભાઈ જ નહીં પણ આદિલ, મનહર મોદી, લા.ઠા. પણ હાજર હતા! એક કવિતા આપણી દિશા બદલી શકે છે.

ભરત ત્રિવેદી

Comments (7)

પારાવારના પ્રવાસી – બાલમુકુંદ દવે

આપણે તે દેશ કેવા ?
આપણે વિદેશ કેવા ?
આપણે પ્રવાસી પારાવારના હે…જી.

સંતરી સૂતેલા ત્યારે
આપણે અખંડ જાગ્યા;
કોટડાં કૂદીને ભાગ્યા :
આપણે કેદી ના કારાગારના હે…જી; 
આપણે પ્રવાસી પારાવારનાં હે…જી.

આપણે પંખેરું પ્યાસી
ઊડિયાં અંધાર વીંઝી
પાંખ જો પ્રકાશભીંજી :
આપણે પીનારાં તેજલધારના હે…જી;
આપણે પ્રવાસી પારાવારના હે…જી.

આપણે ભજનિક ભારે :
આપણે તે એકતારે
રણકે છે રામ જ્યારે
આપણા આનંદ અપરંપારના હે…જી;
આપણે પ્રવાસી પારાવારનાં હે…જી.

– બાલમુકુન્દ દવે

આઝાદીની ઝંખના,  જ્ઞાન-પ્રકાશની ખેવના અને ભક્તિના આનંદને ‘એક-તારે’ વણી લેતું ‘કાનથી વાંચવાનું’ ગીત. ઘણા ઘણા વખતથી મનમાં  તો હતું પણ આજે આ ગીત હાથમાં આવ્યું તો ‘આનંદ અપરંપાર’ થઈ ગયો !

Comments (6)

ફાગણ ફટાયો આયો -બાલમુકુંદ દવે

ફાગણ ફટાયો આયો, કેસરિયા પાઘ સજાયો
જોબનતા જામ લાયો, રંગ છાયો રંગ છાયો રે

પાંદરડે ઢોલ પિટાયો, વગડો મીઠું મલકાયો
શમણાની શાલ વીંટાયો, કીકીમાં કેફ ધૂંટાયો
ગોરી ધૂંઘટ ખોલાયો, નેણમાં નેણ મિલાયો
વરણાગી મન લુભાયો, રંગ છાયો રંગ છાયો રે.

કો રંગ ઊડે પિચકારીએ, કેસૂડે કામણ ઘોળ્યા
કો પાસેવાળા પડી રહ્યા, આઘાને રંગે રોળ્યા
કોઈનો ભીંજે કંચવો, કોઈના સાડી-શેલા
કોઈ ના કોરૂ રહી જશે, જી કોઈ મોડા કોઈ વ્હેલા!

-બાલમુકુંદ દવે

એમ તો હોળીને હજી થોડા દિવસોની વાર છે પણ ફાગણ તો આવી જ ગયો છે ને… તો બાલમુકુન્દ દવેના આ ખૂબ જ મજાનાં ફાગણિયા ગીતને માણવા માટે હોળીનાં દિવસ સુધી શા માટે રાહ જોવી ?  🙂

Comments (6)

યાદગાર ગીતો :૧૧: કેવા રે મળેલા મનનાં મેળ -બાલમુકુન્દ દવે

કેવા રે મળેલા મનના મેળ ?
હો રુદિયાના રાજા ! કેવા રે મળેલા મનના મેળ ?
હો રુદિયાની રાણી ! કેવા રે મળેલા મનના મેળ ?

ચોકમાં ગૂંથાયે જેવી ચાંદરણાની જાળી
જેવી માંડવે વીંટાયે નાગરવેલ :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ !

તુંબુ ને જંતરની વાણી,
હે જી કાંઠા ને સરિતાનાં પાણી;
ગોધણની ઘંટડીએ સોહે સંધ્યાવેળ :
હો રુદિયાના રાજા ! એવા રે મળેલા મનના મેળ !

ધરતી ભીંજાય જેવી મેહુલાની ધારે,
જેવાં બીજ રે ફણગાય ખાતરખેડ :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ !

સંગનો ઉમંગ માણી,
હે જી જિંદગીંને જીવી જાણી;
એક રે ક્યારામાં જેવાં ઝૂક્યાં ચંપો-કેળ :
હો રુદિયાના રાજા ! એવા રે મળેલા મનના મેળ !

જળમાં ઝિલાય જેવાં આભનાં ઊંડાણ,
જેવા ક્ષિતિજે ઢોળાય દિશના ઘેર :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ !

-બાલમુકુન્દ દવે

(જન્મ: ૭-૩-૧૯૧૬, મૃત્યુ: ૨૮-૨-૧૯૯૩)

સ્વરાંકન : ક્ષેમુ દિવેટીયા
સ્વર : હર્ષદા-જનાર્દન રાવલ

[audio:http://urmisaagar.com/saagar/audio/KEVA-RE-MALELA-MAN-NA-MEL-SangeetSudha.mp3]

સ્વર : સોલી-નિશા કાપડિયા

[audio:http://urmisaagar.com/saagar/audio/Keva-re-malelaa-SoliNishaKapadia.mp3]

બાલમુકુન્દ મણિશંકર દવે. વડોદરા જિલ્લાના મસ્તુપુરામાં જન્મ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે મસ્તુપુરા-કુકરવાડાની ગુજરાતી સરકારી શાળામાં અને વડોદરાની શ્રીસયાજી હાઈસ્કૂલમાં. મેટ્રિક થઈ ૧૯૩૮માં અમદાવાદ આવી શરૂઆતમાં સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયમાં કામ કર્યા બાદ થોડો વખત પત્રકારત્વ ક્ષેત્રે કામગીરી બજાવી ‘નવજીવન’માં જોડાયા. ત્યાંથી ત્રણેક દાયકે નિવૃત્ત થઈ નવજીવન પ્રકાશિત ‘લોકજીવન’નું સંપાદન કરેલું.  ૧૯૪૯માં એમને કુમારચન્દ્રક પણ મળેલો.  બાળપણમાં માણેલું પ્રકૃતિસૌંદર્ય, દાદીમાના પ્રભાતિયાં તેમ જ લગ્નગીતોનું શ્રવણ તથા ચિંતનાત્મક ને પ્રેરક સાહિત્યનું વાચન, બુધસભા અને કવિ વેણીભાઈ પુરોહિતની મૈત્રીએ તેમના કવિવ્યક્તિત્વને ઘડવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. પ્રકૃતિ, પ્રણય અને ભક્તિ મુખ્ય કવનવિષયો છે. શિષ્ટ પ્રાસાદિક વાણી અને સાચકલી ભાવાનુભૂતિ એમની કવિતાને મનોહારિતા આપે છે. (ગુ.સા.પરિષદ પરથી સાભાર)

બાલમુકુંદ દવેનાં નામની સાથે જ યાદ આવે- આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી, જૂનું ઘર ખાલી કરતાં જેવા બીજા ઘણા કાવ્યો… પરંતુ યાદગાર ગીતની વાત આવે ત્યારે મને તો સૌપ્રથમ આ જ ગીત યાદ આવે.  કેટલીયે વાર સાંભળવા છતાં કદી જૂનું જ નથી લાગતું.  પ્રસન્ન દામ્પત્યજીવનની અદભૂત ઝાંખી કરાવતું પ્રણય-સભર સુંદર ગીત.  વિવાહિતજીવનમાં સૌથી અઘરી (અને સૌથી સરળ પણ) એક જ વાત હોય છે, પતિ-પત્નીનાં મનનું મળવું.  ગીતમાં કવિએ પ્રકૃતિનાં શાશ્વત તત્ત્વોનું તાદાત્મ્ય વર્ણવીને ખૂબ જ સુંદર રીતે સમજાવ્યું છે કે દામ્પત્યજીવન કેવું હોવું જોઈએ.  એકમાંથી બે થવું જેટલું લાગે એટલું સહેલું નથી કારણ કે આખરે તો બે નહીં પણ એક જ બનીને રહેવાનું હોય છે… ઉભયનાં અલગ અલગ અસ્તિત્વનો સહજ સ્વીકાર કરીને.  એકીકરણમાં બે મહત્વની આવશ્યકતા એટલે કે પારદર્શકતા અને અહંકારની આહુતિ. સંગનો ઉમંગ જો સહજીવનની પ્રત્યેક પળે માણી શકાય તો જ સાહચર્યપણું સાર્થક ગણી શકાય, અને જીન્દગીને સાચી રીતે માણેલી-જીવેલી કહી શકાય.

Comments (6)

બંદો અને રાણી – બાલમુકુંદ દવે

સીમને સીમાડે તને જોયો મારા બંદા !
પ્રીતચિનગારી પહેલી જોઈ જી જોઈ જી.

એકલ બપોરે તને જોઇ મારી રાણી !
અક્કલપડીકી મેં તો ખોઈ જી ખોઈ જી.

આંબલાની હેઠ ગોઠ કીધી મારા બંદા !
હરખની મારી હું તો રોઈ જી રોઈ જી.

હોઠની ધ્રુજારી તારી પીધી મારી રાણી !
હેતભીની આંખ મેં તો લોઈ જી લોઈ જી.

કંઠમાં ગૂંચાણી મૂંગી વાણી મારા બંદા !
નજરુંમાં નજર મેં પ્રોઈ જી પ્રોઈ જી.

વણબોલ્યા કોલ લીધા-દીધા મારી રાણી !
તાંતણે બંધાયાં ઉર દોઈ જી દોઈ જી.

આંબલાની મેર ઝૂક્યો તુંય મારા બંદા !
ફેર ફેર મોહી તને જોઈ જી જોઈ જી.

ઉરધબકાર એકતાર મારી રાણી !
ઊઠતા ઝંકાર એક સોઈ જી સોઈ જી.
……. સોઈ જી સોઈ જી.

-બાલમુકુન્દ દવે

પ્રેમના રાજ્યના રાજા અને રાણીનો વારાફરતી એક-એક કડીમાં થતો વાર્તાલાપ આ ગીતને વાંચતાવેંત જ કૈં એવો ઓપ આપે છે કે ફરીથી પ્રેમમાં પડવાની ઈચ્છા થઈ આવે. બંદા અને રાણીના સંબોધનો સાથે પુનરાવર્તિત થતા ધ્રુવખંડ- જોઈ, રોઈ, લોઈ, દોઈ વિ. અને પાછળ ‘જી’કારનો થડકો પ્રેમની અનુભૂતિના આવર્તનોને પ્રલંબ બનાવતા હોય એમ આપણી સંવેદનાને પ્ર-દીર્ઘ સ્પર્શ કરે છે. પ્રેમ આંધળો હોય છે… પહેલા મિલનમાં જ ભરબપ્પોરના સીમના એકાંતમાં અક્કલપડીકી ખોઈ પ્રીતની ચિનગારી ભડભડવા માંડે છે. અને શું ચુંબનની પરિભાષા – હોઠની ધ્રુજારી તારી પીધી! મૌનનો વાર્તાલાપ અને જજરુંની ગુફ્તગુ… નામ પાડ્યા વિના અપાતા વચનો અને એક થતા હૈયાના તાર… આંબાતળે જાણે કે સ્વર્ગ રચાઈ ગયું !

Comments (4)

શબ્દોત્સવ – ૩: સૉનેટ: જૂનું ઘર ખાલી કરતાં – બાલમુકુન્દ દવે

ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું :
જૂનું ઝાડુ, ટૂથ-બ્રશ, વળી લક્સ સાબુની ગોટી,
બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,
તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી સોય-દોરો !
લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું,જે
મૂકી ઊંધુ, સુપરત કરી, લારી કીધી વિદાય.

ઊભાં છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ,
જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો;
જ્યાં દેવોના પરમ વર-શો પુત્ર પામ્યાં પનોતો
ને જ્યાંથી રે કઠણ હૃદયે અગ્નિને અંક સોંપ્યો !
કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે:
‘બા-બાપુ ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે ?’
ખૂંચી તીણી સજલ દૃગમાં કાચ કેરી કણિકા ! દૃગ=આંખ
ઉપડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણીકા !

– બાલમુકુન્દ દવે

બાલમુકુન્દ મણિશંકર દવે (જન્મ: 07-03-1916-મસ્તુપુરા, મૃત્યુ:28-02-1993,અમદાવાદ) એમના સ્વચ્છ અને સુરેખ અભિવ્યક્તિવાળાં છંદોબદ્ધ કાવ્યો તથા લયહિલ્લોલથી આકર્ષતાં, પ્રાચીન લોકગીતો અને ભજનોના ઢાળોવાળાં ગીતોથી આપણી ભાષાનો આગવો ટહુકો બની શક્યા છે. સરળતા, મધુરતા અને હૃદયસ્પર્શિતા એ એમની કવિતાની વિશેષતા.

ઘર બદલવાના સાવ સાદા ભાસતા પ્રસંગની અહીં વાત છે. કૂખેથી કાણી ડોલ, ઢાંકણ વગરની બોખી શીશી, તૂટેલાં ચશ્માં અને આવો ઘણો બધો સામાન મધ્યમવર્ગના માનવીનું એક ચિત્ર વાચકના મનોજગતમાં દોરી રહે ત્યાંથી કવિતા આગળ વધે છે. હળવી શૈલીમાં વર્ણવાયેલ આ અસબાબ છેતરામણો છે એની ત્વરિત પ્રતીતિ થાય છે પતિ-પત્ની સાથે મળીને છેલ્લી નજર નાંખે છે ત્યારે. અરે! આ તો એ જ ઘર, જ્યાં દામ્પત્યનો પહેલો મુગ્ધ દાયકો વિતાવ્યો હતો! અહીં જ તો ઈશ્વરકૃપા સમો પુત્ર મળ્યો! પણ એ સુખ ક્યાં કવિના નસીબમાં હતું જ? આ જ ઘરમાંથી એ પુત્રને ચિતા સુધી લઈ જવો પડ્યો હતો…. કાવ્યના પ્રારંભમાં સાવ તુચ્છમાં તુચ્છ ભાસતી તમામ તૂટેલી-ફૂટેલી વસ્તુને કમ-સે-કમ ગમે ત્યારે ગમે ત્યાં સાથે તો લઈ જવાતી હતી ને! મહામૂલા પુત્રરત્નને તો અહીં જ મૂકી જવાનો હતો ને! મૃત પુત્રનું બાળપણ જે આ ઘરના ખૂણે-ખૂણે કેદ છે એની યાદ લાગણીને સઘન બનાવી કાવ્યને વેધક ચોટ આપે છે. વાસ્તવચિત્રણ દ્વારા ઉત્કટ કરુણ તરફની ગતિ કાવ્યમાં ચમત્કારિક રીતે સિદ્ધ થઈ છે.

કાવ્યસંગ્રહ: ‘પરિક્રમા’., ‘કુંતલ’. બાળકાવ્યસંગ્રહ: ‘સોનચંપો’, ‘ઝરમરિયાં’, ‘અલ્લક દલ્લક’.

Comments (6)

સમજી જાજે સાનમાં -બાલમુકુન્દ દવે

સમજી જાજે સાનમાં, મન બાંધી લેજે તોલ,
હોય ઈશારા હેતના, એના ના કંઈ વગડે ઢોલ !

-બાલમુકુન્દ દવે

Comments (1)