કબૂતર જેવી મારી લાગણીને ચણ બતાવીને,
અજાણ્યા મ્હેલનું પ્રાંગણ નવો પડકાર ફેંકે છે.
- સંજુ વાળા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for દુહા

દુહા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ઓણુકા વરસાદમાં – રમેશ પારેખ

ઓણુકા વરસાદમાં બે ચીજ કોરી કટ,
એક અમે પોતે ને બીજો તારો વટ!

નેવા નીચે ઓસરી, આંખો નીચે ગાલ,
નખથી નક્ષત્રો સુધી જળ આંબ્યું આ સાલ.

વાવાઝોડું હોય તો કરીએ બંધ કમાડ,
આ તો ઘરમાં પાડતું જળનું ટીપું ધાડ.

નખ ઉગ્યા અંધારને, ભીંતે ઉગી દાઢ
ઉપર મારે આંચકા અણિયાળો આષાઢ.

તારા વટને કચ્છની સૂડી સરખી ધાર,
અમે કમળની દાંડલી-કરીએ શું તકરાર?

મીરાં કહે કે સાંવરા, વાગે વીજળી બહુ,
બીજું શું શું થાય તે આવ, કાનમાં કહું.

– રમેશ પારેખ

આજે ર.પા.ની જન્મજયંતી નિમિત્તે એક મસ્ત મજાની રચના… છ દોહાઓની સિક્સર પણ કહી શકો એને.

Comments (4)

(કોરોનાના દોહા) – નિનાદ અધ્યારુ

આ તે કેવી યાતના, આ તે કેવા હાલ !
જેવી આજે જોઈ છે, ના દેખાડે કાલ.

ધોળા-ભગવા બેઉમાં, ધોળો મોટો પીર,
હોસ્પિટલ હો શામળો, શાને જઉં મંદિર ?

ચીસો એકસો આઠની, સંભળાતી ચોકોર,
ભીતર તાતા-થૈ કરે શ્વાસોના બે મોર !

આ કેવી સંવેદના? આ કેવી દરકાર?
કોરટ ઉધડો લે પછી નિર્ણય લે સરકાર.

સાંજે પાછા ઘર જતા પડતી રુદિયે વીજ,
મનમાં-મનમાં બાંધતો હું ઘરને તાવીજ.

નાના-મોટા જે ગણો, સૌના સરખા હાલ,
સેવા તો મળશે બધે, ક્યાંથી મળશે વ્હાલ?

‘નિનાદ’ એક જ પ્રાર્થના- સૌનું સારું થાય,
હું સંધાતો હોઉં તો પહેલા તું સંધાય!

– નિનાદ અધ્યારુ

કવિતા આમ તો સ્થળ-કાળ-વ્યક્તિ નિરપેક્ષ હોય છે, પણ સાંપ્રતનો પડઘો જ ન ઝીલાયો હોય એવી કવિતા કોઈ ભાષા-સંસ્કૃતિઓમાં જડતી નથી. કોરોનાની મહામારી જવાનું નામ લેવાનું તો બાજુએ, વધુને વધુ વકરતી ને વિકરાળ થતી જાય છે. ગુજરાતી કવિતા પણ કોરોનાની અસરો ઝીલવાથી મુક્ત રહી શકી નથી. ગીતો અને ગઝલોની બોછારથી અળગા ચાલીને નિનાદ અધ્યારુ ખૂબસુરત દોહાઓ લઈને આવ્યા છે. કોરોના મહામારીના અલગ-અલગ આયામ કાવ્યસૌંદર્ય જાળવીને કવિએ કેવા બખૂબી રજૂ કર્યા છે! શ્વાસોના બે મોરનું તાતા-થૈ, ઘરને તાવીજ બાંધવાની વાત અને પોતાના પહેલાં સામાની તકલીફ સંધાવાની પ્રાર્થનામાં કવિતા ચરમસીમાએ પહોંચે છે.

Comments (12)

વસંત વિલાસ – ૦૨ : અજ્ઞાત (અનુવાદ: વિવેક મનહર ટેલર)

ગયા શનિવારે આપણે છસો વર્ષ પૂર્વે કોઈ અજ્ઞાત કવિ દ્વારા લખાયેલ અભૂતપૂર્વ અજરામર ફાગુકાવ્ય ‘વસંતવિલાસ’નો પ્રાથમિક પરિચય મેળવ્યો અને કેટલાક દુહાઓનો આસ્વાદ માણ્યો. ભાગ ૦૧ આપ અહીં ફરી માણી શકશો: https://layastaro.com/?p=18466

આજે બીજા કેટલાક દુહાઓનો આસ્વાદ કરીએ…(અત્રે પ્રસ્તુત દુહાઓનો વિગતવાર આસ્વાદ અહીં માણી શકાશે: http://tahuko.com/?p=19725

(૦૬)
ઘૂમઈ મધુપ સકેસર કેસરમુકુલિ અસંખ,
ચાલતઈ રતિપતિ સૂરઈ પૂરઈ સુભટ કિ શંખ. |૨૯|

ઘૂમે ભ્રમર કેસરકળી કેસરયુક્ત અસંખ,
ચાલે છે રતિપતિ શૂરા, સુભટ ફૂંકે છે શંખ. |૨૯|

ભમરાઓ બકુલની કેસરયુક્ત અસંખ્ય કળીઓ પર ઘૂમી રહ્યા છે, જાણે કે શૂરવીર કામદેવના પ્રયાણ સમયે સુભટ શંખ ફૂંકી રહ્યા છે.

(૦૭)
કેસૂયકલી અતિ વાંકુડી આંકુડી મયણચી જાણિ,
વિરહિણીનાં ઇણિ કાલિ જ કાલિજ કાઢએ તાણિ. |૩૪|

કિંશુકકળી અતિ વાંકડી, આંકડી મદનની જાણ,
તાણી આણશે આ ઘડી વિરહિણીના પ્રાણ. |૩૪|

કેસૂડાની વાંકી કળી જાણે મદનની આંકડી છે, વિરહિણીનાં કાળજાં તત્ક્ષણ બહાર ખેંચી કાઢે છે.

(૦૮)
સખિ મુઝ ફુરકઈ જાંઘડી તાં ઘડી બિહું લગઈ આજુ,
દુષ સવે હિવ વામિસુ પામિસુ પ્રિય તણૂં રાજુ. |૪૬|

સાથળ ફરકે મુજ સખી, આ પળ બેથી આજ,
દુઃખ હવે સૌ વામશું, પામશું પ્રિયનું રાજ. |૪૬|

સખી! મારી જાંઘ આ બે ઘડીથી ફરકી રહી છે. હવે બધા દુઃખ દૂર કરીશું અને પ્રિયનું રાજ્ય પામીશું.

(૦૯)
નમણિ કરઈં ન પયોધર યોધર સુરતસંગ્રામિ
કંચુક તિજઈં સંનાહુ રે નાહુ મહાભડુ પામિ. |૬૬|

રતિસંગ્રામે ના નમે યોધ પયોધર નામ,
કંચુકિ બખ્તર ત્યાગતાં પામતાં સુભટ નાથ. |૬૬|

રતિસંગ્રામમાં પયોધર નામના યોદ્ધાઓ નમતા નથી. તેઓ પતિરૂપી મહાભડને પામતાં કંચુકીરૂપી બખ્તર પણ ત્યજી દે છે.

(૧૦)
કેસૂય ગરબુ મ તૂં ધરિ મૂં સિરિ ભસલુ બઈઠ,
માલતીવિરહ બહૂ વહઈ હૂઅવહ ભણીય પઈઠ. |૭૭|

કિંશુક, ના કર ગર્વ તું, શિર છો બેઠો ભીર,
આગ ગણી પેઠો જો વધી માલતીવિરહ પીર. |૭૭|

હે કેસૂડા! મારા માથે ભમરો બેઠો છે એવો ગર્વ તું ન કર. (કારણ કે) માલતીના વિરહની પીડા અતિશય વધતાં એ (આપઘાતકરવાના ઇરાદે જ તને) આગ ધારીને (તારામાં) પેઠો છે.

(૧૧)
સખિ અલિ ચલણિ ન ચાંપઇ, ચાંપઇ લિઅઇ ન ગંધુ,
રૂડઇ દોહગ લાગઇ, આગઇ ઇસ્યુ નિબંધું. |૭૮|

ભ્રમર મૂકે ના પગ સખી, ના લે ચંપક ગંધ,
રૂડાંને દુર્ભાગ્ય એ આગળથી સંબંધ. |૭૮|

હે સખી! ભમરો ચંપામાં પગ મૂકતો નથી, એની ગંધ પણ લેતો નથી. રૂડી વસ્તુ સાથે દુર્ભાગ્ય જોડાયેલું હોય છે એ આગળથી ચાલતો આવેલો નિયમ છે.

(૧૨)
એક થુડિ બઉલ નઇ બેઉલ બેઉ લતાં નવ ભેઉ,
ભમર વિચાલિ કિસ્યા મર પામર વિલસિ ન બેઉ. |૮૧|

એક થડે બેઉલ બકુલ બેઉ લતામાં ન ભેદ,
ભોગવ બેઉને, ભ્રમર, ના કર પામર ખેદ. |૮૧|

એક થડ ઉપર બેઉલ અને બકુલ છે. બેઉ લતાઓમાં ભેદ નથી. હે ભ્રમર! બેઉ વચ્ચે શા માટે મરે છે? પામર! બંને સાથે વિલાસ કર ને!

Comments (3)

વસંત વિલાસ – ૦૧ : અજ્ઞાત (અનુવાદ: વિવેક મનહર ટેલર)

મધ્યકાલીન ગુજરાતમાં કાવ્યપ્રકાર ‘ફાગુ’ ખૂબ પ્રચલિત હતો. અને આ તમામ ફાગુકાવ્યોમાં ‘વસંતવિલાસ’ મોખરાનું સ્થાન ધરાવે છે. વસંત ઋતુ અને કામવિલાસ –બંનેનો અહીં સુભગ સમન્વય થયો છે. આપણી ભાષામાં અને કદાચ બીજી ભાષાઓમાં પણ વસંત અને વિલાસનું આવું પ્રતિષ્ઠાગાન અન્યત્ર જડવું દોહ્યલું છે. વસંતના વર્ણન ઉપરાંત સંભોગ અને વિપ્રલંભશૃંગાર ફાગુકાવ્યોમાં અવિનાભાવી સંબંધે જોડાયેલ છે. આશરે પંદરમી સદીના પ્રારંભકાળમાં રચાયેલ અને મોટાભાગે જૈનેતર ગણાતા ‘વસંતવિલાસ’ના કર્તાનું નામ શોધવામાં ઇતિહાસકારો સફળ થયા નથી.

સ્વરૂપની દૃષ્ટિએ વસંતવિલાસ દુહા/દોહરા છંદમાં લખાયેલ કાવ્ય છે. વસંતવિલાસની ખરી ખૂબી વાક્યાંતે આવતા ચુસ્ત અંત્યાનુપ્રાસ ઉપરાંત પંક્તિઓમાં વચ્ચે આવતા આંતર્પ્રાસમાં છે, જેને વિદ્વાનો યમકસાંકળી કહે છે. બે ચરણખંડોને જોડતી યમકસાંકળી ઉપરાંત કાવ્યસંગીતને અદકેરી ઊંચાઈએ લઈ જતી અભૂતપૂર્વ વર્ણસગાઈ વસંતવિલાસને તત્કાલીન ફાગુકાવ્યોનો બ્રાન્ડ એમ્બેસડર બનાવે છે, અને અપ્રતિમ કવિપ્રતિભાનું પ્રમાણ પૂરું પાડે છે. ગુજરાતી વ્યાકરણના પુસ્તકમાં જોવા મળે એ તમામ અલંકારો અને ઉપમાઓ કદાચ છસો વર્ષ પૂર્વે લખાયેલા આ કાવ્યમાંથી જડી આવે એવી ને એટલી આ રચનાની ભાષાસમૃદ્ધિ છે. પ્રવાહી ભાષા, વિપુલ શબ્દભંડોળ, અનન્ય નાદસૌંદર્ય, અદભુત અંતર્પ્રાસ અને અભૂતપૂર્વ આંતરપ્રાસની દૃષ્ટિએ આધુનિક યુગની ઉત્તમ ગીતરચનાઓને ટક્કર આપે એવી છે. કવિને એકેય જગ્યાએ વર્ણન કે ભાવ આલેખવા; લય કે પ્રાસ જાળવવા શબ્દોની તંગી પડી હોવાનું દેખાતું નથી. છસો વર્ષ પૂર્વેની આપણી ભાષા પણ કેટલી સબળ-સક્ષમ હતી એનું વસંતવિલાસથી મોટું પ્રમાણ જડવું મુશ્કેલ છે.

વિગતવાર આસ્વાદ માટે અહીં ક્લિક કરશો: http://tahuko.com/?p=19679

થોડા દુહા જોઈએ:

(૧)
પહુતીય શિવરતિ સમરતિ હવ રિતુ તણીય વસંત,
દહ દિસિ પસરઈં પરિમલ નિરમલ થ્યા દિશિ અંત. |૨|

સમરાત્રિ શિવરાત્રિ ને આવી ઋતુ વસંત,
દસ દિશ પરિમલ પ્રસરી ને નિરમલ થયા દિગંત |૨|

સમરાત્રિ શિવરાત્રિ આવી પહોંચી છે. હવે વસંત તણી ઋતુ છે. દસે દિશામાં પરિમલ પ્રસરી રહી છે અને દિગંત નિર્મલ થયા છે.

(૨)
વસંત તણા ગુણ ગહગહ્યા, મહમહ્યા સવિ સહકાર,
ત્રિભુવનિ જયજયકાર પિકા રવ કરઈં અપાર. |૪|

ફગફગ ગુણ વસંત તણા, મઘમઘ સૌ સહકાર,
અપાર ટહુકી કોકિલા, કરે ત્રિભુવન જયજયકાર. |૪|

વસંતના ગુણ વિસ્તરી રહ્યાં છે. બધા આંબા મઘમઘી રહ્યા છે. અને કોયલના અપાર ટહુકા ત્રિભુવનમાં જયજયકાર કરી રહ્યા છે.

(૩)
માનિનીજનમનક્ષોભન શોભન વાઉલા વાઈ,
નિધુવનકેલિકલામીય કામીય અંગિ સુહાઈં. |૬|

ક્ષુબ્ધ કરે માનુની મન, મનહર વાયુ વાય,
કામક્લાન્ત કામી તણા અંગોને સુખ થાય. |૬|

માનિની સ્ત્રીઓના મનને ક્ષુબ્ધ કરે એવા મનોહર વાયુ વાય છે. રતિક્રીડાથી થાકેલા કામી જનોના અંગોને શાતા વળે છે.

(૦૪)
મુનિજનનાં મન ભેદઈ, છેદઈ માનિની માન,
કામીય મનહ આણંદએ કંદએ પથિકપરાણ. |૭|

મન ભેદે મુનિ તણાં, છેદે માનુની માન,
કામીને આનંદ દે, પથિકના પીડે પ્રાણ. |૭|

(વાસંતી વાયરા) મુનિજનોના મનને ભેદે છે, માનુનીઓનાં માન છેદે છે, કામીના મનને આનંદિત કરે છે, અને પથિકજનોના પ્રાણને પીડે છે.

(૦૫)
થંભણ થિય ન પયોહર મોહ રચઉ મ ગમારિ,
માન રચઉ કિસ્યા કારણ તારુણ દીહ બિચ્ચારિ. |૨૪|

સુદૃઢ સ્તન રહેશે નહીં, મોહ ન રાખ ગમાર,
શાને માંગે માન તું? યૌવન દિન બે-ચાર. |૨૪|

સ્તન કાયમ સુદૃઢ રહેવાનાં નથી. હે ગમાર! મોહ ન કર. કયા કારણે માન કરે છે? યૌવન બેચાર દિવસ છે.

Comments (2)

વસંતવિલાસ – અજ્ઞાત (ભાવાનુવાદ: પ્રસાદ બ્રહ્મભટ્ટ)

પહુતીય શિવરતિ સમરતિ હવ રિતુ તણીય વસંત,
દહ દિસિ પસરઈં પરિમલ નિરમલ થ્યા દિશિ અંત. |૨|

સમરાત્રિ (અર્થાત્ જેમાં રાત અને દિવસ સરખાં છે એવી) શિવરાત્રિ આવી પહોંચી છે. હવે વસંતની ઋતુ (શરૂ થઈ) છે. દસે દિશાઓમાં (પુષ્પોના) પરિમલ પ્રસરી રહે છે. અને દિગંતો નિર્મળ (વાદળવિહીન) બન્યાં છે.

વસંત તણા ગુણ ગહગહ્યા, મહમહ્યા સવિ સહકાર,
ત્રિભુવનિ જયજયકાર પિકા રવ કરઈં અપાર. |૪|

વસંતના ગુણો (લાક્ષણિક શોભા) ખીલી ઊઠ્યા છે. બધા આંબા (મંજરીથી) મઘમઘી રહ્યા છે, અને કોયલના અનંત ટહુકા ત્રિભુવનમાં (વસંતઋતુનો) જયજયકાર કરી રહ્યા છે.

માનિની જનમનક્ષોભન શિભન વાઉલા વાઈ,
નિધુવનકેલિકલામીય કામીય અંગિ સુહાઈં. |૬|

માનિની સ્ત્રીઓનાં મનને ક્ષુબ્ધ કરી નાંખતા (અર્થાત્ પરાવ્શ કરી નાંખતા) મનોહર વાયરા વાય છે અને રતિક્રીડાથી શ્રમિત બનેલાં કામીજનોનાં અંગોને સુખ ઉપજાવે છે.

મુનિજનનાં મન ભેદઈ, છેદઈ માનિની માન,
કામીય મનહ આણંદએ કંદએ પથિકપરાણ. |૭|

વસંતના વાયુઓ મુનિજનના મનને (કામાવેગથી) ભેદે છે (અર્થાત્ વ્યથિત કરી મૂકે છે). માનિની સ્ત્રીઓનાં માન (પ્રણયકોપ) મુકાવી દે છે, કામીજનનોના મનને આનંદ આપે છે અને પથિકજનોના પ્રાણને પીડે છે.

મયણ જિ વયણ નિરોપિએ લોપએ કોઈ ન આણ,
માનિનીજનમન હાકએ તાકએ કિશલકૃપાણ. |૨૧|

મદન જે આદેશો ફરમાવે છે તેની આણ કોઈ લોપતું નથી. (અર્થાત્ કોઈ લોપવાને સમર્થ નથી.) તે કિસલય (કૂંપળ)રૂપી કટાર સામે ધરે છે અને (પ્રિયતમથી રિસાયેલી) માનિનીઓનાં મનને ભયભીત કરે છે.

થંભણ થિય ન પયોહર મોહ રચઉ મ ગમારિ,
માન રચઉ કિસ્યા કારણ તારુણ દીહ બિચ્ચારિ. |૨૪|

સ્તનો (હંમેશા) દૃઢ રહેવાનાં નથી માટે હે ગમાર સ્ત્રી, મૂર્ખતા કર નહીં. તું શા માટે રિસાય છે? યૌવન તો બેચાર દિવસ જ (ટકનાર) છે.

જિમ જિમ વિહસઈ વિણસઈ વિણસઈ માનિની માન,
યૌવનમદિહિં ઊદંપ તી દંપતી થાઈ યુવાન. |૨૭|

જેમ જેમ વનસ્પતિ ખીલી ઊઠે છે તેમ તેમ માનિનીઓનું માન (પ્રણયપ્રકોપ) ઓસરતું જાય છે (નાશ પામે છે), અને યૌવનના મદથી તે યુવાન દંપતીઓ ઉન્મત્ત બને છે.

ઘૂમઈ મધુપ સકેસર કેસરમુકુલિ અસંખ,
ચાલતઈ રતિપતિ સૂરઈ પૂરઈ સુભટ કિ શંખ. |૨૯|

બકુલની કેસરયુક્ત અસંખ્ય કળીઓ ઉપર ભરાઓ ઘૂમી (ગુંજી) રહ્યા છે, જાણે કે શૂરવીર મન્મથના (યુદ્ધ) પ્રયાણ સમયે સુભટ શંખ ફૂંકે છે!

– અજ્ઞાત
(ભાવાનુવાદ: પ્રસાદ બ્રહ્મભટ્ટ)

*

મધ્યકાલીન ગુજરાતમાં ફાગુકાવ્યોનો પ્રારંભ થયો હતો. સંસ્કૃત ‘ફલ્ગુ’ અર્થાત્ ફાગણ-વસંત પરથી ફાગુ એટલે વસંતવર્ણન માટેનો કાવ્યપ્રકાર એમ કહી શકાય. ‘રાસ’ કાવ્યોની જેમ જ એ સમયે ‘ફાગુ’ કાવ્ય પણ ગવાતું અને નૃત્યાદિ સાથે રમાતું. એ સમયના જૈનકવિઓએ ફાગુકાવ્યપ્રકારમાં સવિશેષ ખેડાણ કર્યું છે પણ આશરે પંદરમી સદીના પ્રારંભકાળમાં રચાયેલ ‘વસંતવિલાસ’ નામના આ ફાગુકાવ્યના કર્તાનું નામ જાણી શકાયું નથી, પણ મોટાભાગે જૈનેતર કવિની આ રચના હોવાનું મનાય છે. ૨૪ માત્રાના દોહરા અને રોળા છંદોની ગૂંથણી વડે ૮૪ કડીઓનું આ કાવ્ય વસંતઋતુ આવતાં પિયુની પ્રતીક્ષામાં સળગી રહેલી પ્રોષિતભર્તૃકાની પીડા અને પ્રિયતમના આગમન અને બંનેના મિલનના વર્ણનનું કાવ્ય છે, જેમાંથી કેટલીક કડીઓ લયસ્તરોના વાચક મિત્રો માટે અહીં રજૂ કરી છે. કવિતાની ભાષા, નાદસૌંદર્ય, પ્રાસ અને આંતર્પ્રાસની દૃષ્ટિએ આધુનિક યુગની ઉત્તમ ગીતરચનાઓને ટક્કર આપે એવી છે.

કડીઓ સાથેનો સરળ ગુજરાતી પાઠ શ્રી પ્રસાદ બ્રહ્મભટ્ટનો છે. એમનો આભાર.

Comments (1)

ફૂલ-કથા – મણિલાલ હ પટેલ

(દોહરા)

ફૂલમાં ઊઘડે આભલું ફૂલમાં ચૌદે લોક
ફૂલ વગરના આંગણે જીવ્યું જીવતર ફોક

ફૂલમાં પગલાં દેવનાં ફૂલમાં પ્રીતમ વાસ
ફૂલ અમારી એષણા ફૂલ અમારા શ્વાસ

નભમાં જેવા તારલા એવાં વેણી-ફૂલ
પાંપણ-આંસુ-તોરણો મૂલ એનાં અણમૂલ

ફૂલથી માટી મહેકતી ફૂલથી મહેકે પ્રીત
મહેકી મહેકી મટી જવું એની નોખી રીત

ફૂલને ના કોઈ કુળ છે એને કેવળ મૂળ
એ ચાહે આકાશને પણ ના ભૂલે મૂળ

માટી એને આપતી જાતજાતના રંગ
મળતો ફૂલને એટલે પતંગિયાનો સંગ

ફૂલને કાંટા હોય છે હોય ઘણાં સુખદુઃખ
ટગટગ હસતાં ફૂલ તો શૂળને માને સુખ

ફૂલ નેહનું નામ છે ફોરમને ના રોક
પડદે ઢાંક્યું નહીં રહે એમાં સૂતું કોક

– મણિલાલ હ પટેલ

સામાન્ય ઘરેડમાં વહ્યા કરતી કવિતાઓની ભરમારની વચ્ચે ક્યારેક આવી સાવ અલગ રચના હાથ જડી આવે તો આખો દિવસ મઘમઘ થઈ ગયો હોવાનું અનુભવાય. ફૂલની વાત છે. આપણા કોઈથી કશું અજાણ્યું નથી, પણ કવિ કેવી રીતે ફૂલની એક-એક પાંખડી ઊઘાડીને રસરંગથાળ સજાવે છે એની જ મજા છે. ફરી-ફરીને માણ્યા કરવાનું મન થાય એવી ખુશબૂદાર રચના…

Comments (3)

વિરહિણી – બાલમુકુંદ દવે

ચૈતર ચંપો મ્હોરિયો, ને મ્હોરી આંબાડાળ,
મઘમઘ મ્હોર્યા મોગરા, મેં ગૂંથી ફૂલનમાળ.

જૂઈ ઝળૂંબી માંડવે ને બાગે બાગે ફાલ,
તું ક્યાં છો વેરી વાલમા? મને મૂકી અંતરિયાળ!

આ ચૈતર જેવી ચાંદની, ને માણ્યા જેવી રાત;
ગામતરાં તને શે ગમે? તું પાછો વળ ગુજરાત.

કોયલ કૂજે કુંજમાં, ને રેલે પંચમ સૂર,
વાગે વન વન વાંસળી, મારું પલ પલ વીંધે ઉર.

અવળું ઓઢ્યું ઓઢણું ને મારા છુટ્ટા ઊડે કેશ,
શું કહું નિર્દય કંથડા! મને વાગે મારગ ઠેસ.

જોબનને આ ધૂપિયે, પ્રીત જલે લોબાન,
રત આવી રળિયામણી, મારાં કોણ પ્રીછે અરમાન?

સમજી જાજે સાનમાં, મન બાંધી લેજે તોલ;
હોય ઈશારા હેતના, એના ના કંઈ વગડે ઢોલ!

નારી ઉર આળું ઘણું, બરડ કાચની જાત,
તું જન્મ્યો નરને ખોળિયે, તને કેમ સમજાવું વાત?

બ્રહ્મા! ભારી ભૂલ કરી તેં સરજી નારી ઉર,
ઉરને દીધો નેહ ને વળી નેહને દીધો વ્રેહ!

-બાલમુકુંદ દવે

સ્ત્રીને સમજવી અઘરી જ નહીં, અશક્ય! પુરુષનું ખોળિયું લઈને જન્મે એને તો આ વાત સમજાવવી જ શક્ય નથી. આખી પ્રકૃતિ ચૈત્રના દિવસોમાં પૂરબહાર ખીલી હોય ત્યારે મનનો માણીગર ગુજરાત જેવો દેશ છોદીને ગામતરે શીદ નીકળી શક્યો હશે એ સમજવું પણ કપરું છે. હોય ઈશારા હેતના, એના ના કંઈ વગડે ઢોલ – આ પંક્તિ તો કહેવત બની ગઈ છે આજે.

 

Comments (7)

સખ્ય – સંજુ વાળા

દદડે દસ – દસ ધારથી રસ નીતરતું વ્હેણ
ઝીલો તો જળધાર બને લખીએ તો લાખેણ.

ચૌદ કળાએ ચંદ્ર, તો સોળ કળાએ આંખ
વ્હાલપ ફૂટે વૃક્ષને, શરીરે ફૂટે શાખ

તારામાં તું ઓતપ્રોત, હું મારામાં લીન
ઘરની જર્જર ભીંત પર મૂક લટકતું બીન

તું ચૈતરની ચાંદની, તું મંત્રોના જાપ
સ્પર્શું, ચાખું, સાંભળું, સઘળે તારો વ્યાપ

મારા મદીલ ‘સા’ ઉપર તું પંચમની ટીપ
લય સંધાયો જોગ-નો ઝળહળ પ્રગટ્યા દીપ

ઝળઝળિયાં-ની જોડ તું, તું ઘનઘેરી સાંજ
નેહે તન-મન કોળતા, વ્રેહે હૈયે દાઝ

ગહન ગૂફના ગોખમાં, તેં પ્રગટાવી જ્યોત
અંધારું લઇ પાંખમાં, ઉડ્યાં અંધ કપોત

– સંજુ વાળા

લગભગ પચ્ચીસસો વર્ષ પહેલાં ગ્રીક ફિલસૂફે કહ્યું હતું, ‘change is the only constant.’ આ અફર સાર્વત્રિક નિયમથી ગુજરાતી કવિતા પણ કેમ બચી શકે? સમયની સાથે-સાથે મહાકાવ્ય, ખંડકાવ્ય, આખ્યાનકાવ્ય, સૉનેટ અને દોહા -જેવા કાવ્યપ્રકારો ક્રમશઃ લુપ્ત થઈ જઈ રહ્યાં છે. સંજુ વાળા દોહાની વિસરાતી જતી પ્રણાલિનો હાથ ઝાલીને દોસ્તીના દોહા લઈને આવ્યા છે. એક-એક દોહા ખૂબ ધીમે ધીમે મમળાવવા લાયક…

Comments (8)

હેમચંદ્રના દુહા (રૂપાંતર: વિવેક મનહર ટેલર)

ઢોલ્લા સામલા ધણ ચંપાવણ્ણી,
નાઈ સુવણ્ણ-લેહ કસવટ્ટઈ દિણ્ણી

ઢોલો કેવો શામળો, ધણ છે ચંપાવર્ણ
કસોટી ખાતર પડી ન હો જાણે રેખા સ્વર્ણ
*
હિઅઈ ખુડુક્કઈ ગોરડી ગયણિ ધુડુક્કઈ મેહુ,
વાસારત્તિ પવાસુઅહં વિસમા સકડુ એહુ.

હૈયે ખટકે ગોરડી, ગગને ધડૂકે મેહ,
મેઘલરાતે યાત્રીને વસમું સંકટ એહ.
*
અગલિઅ-નેહ-નિવટ્ટાંહં જોઅણ-લખ્ખુ જાઉ,
વસિર-સોએણ વિ જો મિલૈ સહિ, સોકખહં સો ઠાઉ

અગણિત સ્નેહ કરંત કો લાખો જોજન જાય,
સો વર્ષેય મળે, સખી! સુખનું ઠામ જ થાય.
*
પિય-સંગમિ કઉ નિદ્દડી, પિઅહા પરોકખહા કેમ્વ,
મઈ વિન્નિ-વિ વિન્નાસિઆ નિદ્દ ન એમ્વ ન તેમ્વ.

પિયુસંગમાં ઊંઘ ક્યાં, પરોક્ષ હો તો કેમ?
બંને રીતે ખોઈ મેં, ઊંઘ ન આમ ન તેમ.
*
સાવ-સલોણી ગોરડી નવખી ક-વિ વિસ-ગંઠિ
ભડુ પચ્ચલ્લિઉ સો મરઈ જાસુ ન લગ્ગઈ કંઠિ

સાવ સલૂણી ગોરી આ નવલો કો વિષડંખ
ઊલટું મરે છે વીર એ, ન લાગી જેને કંઠ
*
વાયસુ ઉડ્ડાવંતિઅએ પિયુ દિઠ્ઠઉ સહસત્તિ,
અદ્ધા વલયા મહિહિ ગય અદ્ધા ફુટ્ટ તડત્તિ !

વાયસ ઉડાવનારીએ પિયુ દીઠો સહસા જ,
અડધા કંકણ ભૂમિમાં, અડધા તૂટ્યાં ત્યાં જ !
*
સિરિ જરખંડી લોઅડી ગલિ મણિઅડા ન વીસ
તો-વિ ગોટ્ઠડા કરાવિઆ મુદ્દાએ ઉઠ્ઠ-બઈસ!

માથે જર્જર ઓઢણી, ન કંઠ મણકા વીસ,
તોય કરાવી ગોરીએ ગોઠિયાવને ઉઠબેસ.
*
એ હુ જમ્મુ નગ્ગહ ગિઅઉ ભ્રડસિરિ ખગ્ગુ ન ભગ્ગુ,
તિકખા તુરિય ન વાહિયા ગોરિ ગલિ ન લગ્ગુ !

વ્યર્થ ગયો એ જન્મ, ભડ! શિર તલવાર ન ભાંગી
તીખા હય ન પલાણિયા, ગોરી ગળે ન લાગી!
*
મહુ કંતહા બે દોસડા હેલ્લિ, મ ઝંખઈ, આલુ
દેં તહા હઉં પર ઉવ્વરિઅ જુજઝંતહા કરવાલુ

મુજ કંથમાં છે દોષ બે, ન ખોટું બોલ લગાર,
દેતા હું ઊગરી, સખી, ઝઝૂમતાં તલવાર
*
ભલ્લા હુઆ યુ મારિયા બહિણે, મહારા કંતુ,
લજ્જેજ્જ તુ વયંસિઅહુ જઈ ભગ્ગા ઘરુ એંતુ !

ભલું થયું કે મારિયો, બહેના, મારો કંથ,
સહિયરમાં લાજી મરત, જો ભાગી ઘર ફરંત.

– મૂળ દુહા ‘સિદ્ધ-હૈમ’માંથી
(રૂપાંતર: વિવેક મનહર ટેલર)

લગભગ હજાર વર્ષ પહેલાંના આ દુહા જે-તે સમયની ગુજરાતી ભાષામાં જ લખાયેલા છે પણ પહેલી નજરે આ ગુજરાતી ગુજરાતી લાગતી જ નથી. કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રસૂરિએ ‘સિદ્ધ-હેમ શબ્દાનુશાસન’માં પ્રાકૃત વ્યાકરણના આઠમા અધ્યાયના ચતુર્થ ખંડમાં એમણે ‘અપભ્રંશ વ્યાકરણ’ના નિયમો ઉદાહરણ સહિત સમજાવ્યા છે. પ્રસ્તુત દુહાઓ ભલે હેમચંદ્રના માધ્યમથી આપણા સુધી પહોંચ્યા છે, પણ એના કર્તા હેમચંદ્ર પોતે નથી. જૂની ગુજરાતીમાં લખાયેલા આ દુહાઓને આજની ગુજરાતીના દુહાઓમાં ઢાળવા માટે શ્રી રમેશ જાનીએ ‘કવિતા અમૃતસરિતા’ પુસ્તકમાં આપેલા શબ્દાર્થ-સમજૂતિની સહાય લીધી છે.

ગૌરવાન્વિત શૌર્યછલકંતી ગરવી ગુજરાતનું ખરું સૌંદર્ય અને પ્રજાનું ખમીર હજાર-બારસો વર્ષ પૂર્વે પ્રવર્તમાન આ દુહાઓમાંથી છલકાય છે. આપણા વડવાઓની આ ભાષા પરથી ગુજરાતી ભાષાની નદી કેવાં કેવાં વળાંકો ને વહેણમાં વહીને આપણી આજ સુધી પહોંચી હશે એનો હૃદયંગમ ચિતાર પ્રાપ્ત થાય છે.

Comments (6)

થિરુક્કુરલ -તિરુવલ્લુવર (તામિલ) (અનુ.: વિવેક મનહર ટેલર)

સૌ કક્કામાં જોઈ લો, ‘અ’ જ કરે પ્રારંભ,
ઈશ્વરથી જ આ વિશ્વમાં પણ થાય શુભારંભ. ॥ ૦૧ ॥

વર્ષા છે સર્વસ્વ, એ સઘળું કરે બરબાદ,
ફરી ફરીને એ જ તો, બધું કરે આબાદ. ॥ ૧૫ ॥

પુત્રજન્મ પર માને મન આનંદનો નહીં પાર,
ઓર ખુશી જબ પુત્રનું નામ લિયે સંસાર. ॥ ૬૯ ॥

એવું કોઈ તાળું છે જે કરે પ્રેમને કેદ?
ખોલી નાંખે નાનકુ આંસુ સઘળા ભેદ. ॥ ૭૧ ॥

સત્કર્મોને ભૂલવું, દુષ્કર્મ એ જ મોટું,
દુષ્કર્મને ન ભૂલવું તુર્ત જ, બસ એ ખોટું. ॥ ૧૦૮ ॥

સામો હો બળવાન તો ગુસ્સાના શા દામ?
નબળાની આગળ કરો, એ મોટું બદકામ. ॥ ૩૦૨ ॥

ઊંડી ખોદો રેતને, પાણી લાગે હાથ,
ઊંડું વાંચો જેમ-જેમ, ડહાપણ વધતું જાય. ॥ ૩૯૬ ॥

અજવાળામાં માત દે ઘુવડને પણ કાગ,
જીતી લેશે શત્રુને જો સમય વર્તે રાજ. ॥ ૪૮૧ ॥

દુ:ખમાં રત છો હોય પણ દુઃખી કદી ના થાય,
દુઃખ ખુદ એના ઘેરથી દુઃખી થઈને જાય. ॥ ૬૨૩ ॥

એક રીતે વરદાન છે, આ આપત્તિનો શાપ,
ફૂટપટ્ટી છે, એ વડે મિત્રોને તું માપ. ॥ ૭૯૬ ॥

શાલિનતા ક્યાં રૂપની? ને ક્યાં એની આંખ?
જીવન પી લે એનું, જે માંડે સામે આંખ. ॥ ૧૦૮૪ ॥

આસવ ચાખો તો જ એ આપે છે આનંદ,
પ્રેમમાં એક દૃષ્ટિ પણ દે છે પરમાનંદ. ॥ ૧૦૯૦ ॥

દુઃખ અને દુઃખની દવા, હોવાનાં નોખાં જ,
હે સુંદરી! આશ્ચર્ય છે: તું દર્દ, તું ઈલાજ! ॥ ૧૧૦૨॥

ફરી ફરી ભણતી વખત, જ્ઞાત થાય અજ્ઞાન,
ફરી ફરી સંભોગથી દિવ્યાનંદનું ભાન ॥ ૧૧૧૦ ॥

-તિરુવલ્લુવર (તામિલ)
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)

બે-અઢી હજાર વર્ષ પૂર્વે તામિલનાડુની ધરતી પર થઈ ગયેલા સંતકવિ તિરુવલ્લુવરની અજરામર રચના-થિરુક્કુરલ-ના ખજાનામાંથી કેટલાક મોતી આજે આપણા માટે.

તિરુવલ્લુવર. તામિલનાડુમાં આશરે ૨૧૦૦થી ૨૪૦૦ વર્ષ પહેલાં જન્મ. વ્યવસાયે વણકર પણ કર્મે સંતકવિ. ઉત્તમ મનોવિજ્ઞાની અને ફિલસૂફ. મનુષ્યમનની સંકુલતાઓને જે સહજતા અને સરળતાથી એ કવિતાના કેમેરા વડે બબ્બે પંક્તિની ફ્રેમમાં કેદ કરી શક્યા છે એ न भूतो, न भविष्यति છે. મહાભારતની જેમ જ ‘થિરુક્કુરલ’ વિશે પણ કહેવાય છે કે એમાં બધું જ સમાવિષ્ટ છે અને એવું કશું નથી જે અહીં સમાવવાનું રહી ગયું હોય. ‘થિરુ’ એટલે પવિત્ર. ‘કુરલ’ એટલે ટૂંકાણ. થિરુક્કુરલ એટલે પવિત્ર શ્લોક. બબ્બે પંક્તિના ટૂંકા શ્લોકને ‘કુરલ’ કહે છે. દરેક કુરલમાં કુલ સાત શબ્દ (સર) હોય છે, પહેલી પંક્તિમાં ચાર અને બીજીમાં ત્રણ. એક અથવા એકથી વધુ શબ્દો જોડાઈને જે શબ્દ બને એને સર કહે છે. થિરુક્કુરલ એ થિરુ અને કુરલ બે શબ્દ ભેગા થવાથી બનતો એક સર ગણાય છે. ધર્મ, અર્થ અને કામ – આ ત્રણ મુખ્ય વિભાગોમાં લગભગ ૧૩૩ જેટલા પેટાવિષયો પર દરેક પર ૧૦, એમ કુલ ૧૩૩૦ જેટલા કુરલ આ પુસ્તકમાં ઉપલબ્ધ છે. કુરલના સાત શબ્દોના સ્વરૂપ અને તામિલ સંગીતના લયને યથાવત્ રાખીને તો ગુજરાતીમાં અનુવાદ શક્ય જ નથી એટલે દોહરા તરીકે કેટલાક કુરલનો અનુવાદ અહીં પ્રસ્તુત કર્યો છે.

આશ્ચર્યની વાત છે પણ મહાત્મા ગાંધીજીનો થિરુક્કુરલ સાથેનો પરિચય જર્મન ભાષામાં થિરુક્કુરલ વાંચી એમાંથી અહિંસાનો સિદ્ધાંત તારવનાર લેવ ટોલ્સ્ટોયે કરાવ્યો હતો. જો કે આપણી કરુણતા જ એ છે કે પશ્ચિમના વિવેચકો વખાણે નહીં તો આપણને આપણી દૂંટીમાં રહેલી કસ્તૂરીની કિંમત સમજાતી નથી.

Comments (11)

સૂફી દોહરા – 2 :- સિતાંશુ યશશ્ચંદ્ર

ક્ષણ મળવું, ક્ષણ બિછડવું, ક્ષણ આંસુ, ક્ષણ હાસ,
મરણ-પિયાલી હોઠ પર, [મને] અમરત પીધાંની આસ.

ભીતર તું, બાહિર નહીં – આને મિલન કહું કે વ્રેહ ?
બેય બાહુથી સાહવા હું ચહું તારો નમણો દેહ.

તારા નરદમ નેહને હું શોધું છું જગ માંહ્ય,
[પણ] ઝબકી ખરતા તારલા, એનાં નક્ષત્રો ન રચાય.

ખરતા તારા ઝબકતા, અમે જોઈ તારી મુખરેખ,
શાશ્વતને અજવાળતું કેવું અજવાળું પળ એક !

ઝંખા બીજલી ઝબકતી, બહુ અજંપ વરસે મેહ,
દુઃખ તે માટી, સુખ સુગંધ, ને ભીંજાવું તે નેહ.

ઝંખા બીજલી ઝબકતી, કયો પથ આ અજબ અંકાય,
[મને] મારગ માટીમાં મળ્યો, કેમ તારે ગગનમંડળ પહોંચાય ?

ઝંખા બીજલી ઝબકતી, [તેમાં] કંઈ જોઈ સુરત તારી,
[પછી] શ્યામ શિલા બિરહા સઘન, નખશિખ મૂરત કંડારી.

આંખ મીંચું તો જોઉં, સાંભળું જો શ્રુતિને જઉં ભૂલ,
શ્વાસ રૂંધું, તો સૂંઘી લઉં તારી છાતીના બેય ફૂલ.

– સિતાંશુ યશશ્ચંદ્ર

આગળ માણેલા સૂફી દોહરાનો બીજો ભાગ. પ્રત્યેક દોહરો સ્વતંત્ર છે. તમામમાં જગન્નિયંતા સાથે જાણે સંવાદ છે….ધ્યાનના ઊંડાણે નીપજતી અનુભૂતિને શબ્દે કંડારવાનો પ્રયાસ છે.

Comments (3)

દોહા – કબીર

साहेब मेरा एक है दूजा कहा न जाय,
दूजा साहेब जो कहूं साहेब खरा रिसाय।

મારો સાહેબ (ઈશ્વર) એક જ છે. બીજાને સાહેબ કેમ કહેવું? અદ્વૈતમાં દ્વૈત જોવા જઈએ તો સાચો સાહેબ રિસાઈ ન જાય?

एक कहौं तो है नहीं, दोय कहौं तो गारि,
है जैसा तैसा रहै कहै कबीर विचारी।

(ઈશ્વરને) એક જ છે એમ કહું તો (એ તો શૂન્યરૂપ છે એટલે) એ છે જ નહીં, દ્વૈતભાવે એ અદ્વૈતીને બે કહું તો ઈશ્વરને ગાળ દીધા બરાબર જ ગણાય. એટલે સમજી વિચારીને કબીર કહે છે એ જેમ છે એમ જ ભલે રહે, એના વિશે પિષ્ટપેષણ કરવું નકામું છે.

साहेब सों सब होत है बंदे ते कछु नाहि,
राई ते पर्बत करे, पर्बत राई माहि।

સાહેબની કૃપાથી જ બધું થાય છે, બંદાની તો હેસિયત જ શી છે વળી? એ ઇચ્છે તો રાઈમાંથી પર્વત બનાવી દે ને ઇચ્છે તો પર્વતને રાઈ કરી દે.

जाको राखे सांईयां मारि न सक्के कोय,
बाल न बाका करि सकै जो जग बैरी होय।

જેને રામ રાખે એન કોણ ચાખે? આખી દુનિયા દુશ્મન થઈ જાય તોય જેના પર પરમકૃપાળુની કૃપા હોય એનો વાળ પણ કોઈ વાંકો કરી શકે નહીં.

ज्यों तिल माहीं तेल है ज्यों चकमक में आगि,
तेरा सांई तुझमें जागि सकै तो जागि।

જે રીતે તલની અંદર તેલ (છૂપાયેલું) છે અને ચકમક પથ્થરની અંદર અગ્નિ (છૂપાયેલો) છે, એ જ રીતે તારો ઈશ્વર તારી અંદર જ છે. ઈશ્વર બહાર ક્યાંય છે જ નહીં. अहं ब्रह्मास्मि। જાગી શકાય તો જાગ.

नाम रतन धन पाई कै गांठि बांधि ना खोल,
नाहीं पटन नहिं पारखी नहिं गांहक नहिं मोल।

(હરી) નામ રત્નનું ધન મળ્યું છે તો એને (અંતરમાં જ) ગાંઠે બાંધી રાખ. ખોલીશ નહીં, અહીં એની કોઈ કિંમત નથી, કે નથી કોઈ પારખુ. નથી કોઈ ગ્રાહક કે નથી કોઈ મૂલ્ય.

चंदन गया बिदेसडे सब कोई कहि पलास,
ज्यों ज्यों चूल्हे झोंकिया त्यों त्यों अधकी बास।

ચંદન કાષ્ઠ (જ્ઞાનીજન) વિદેશ ગયું તો ત્યાં બધા એને ખાખરો (અજ્ઞાની) કહેવા માંડ્યા. પણ જેમ જેમ એને (કસોટી)ના ચૂલામાં નાંખતા ગયા, તેમ તેમ એની સુગંધ (ખરું સ્વરૂપ) વધુ ને વધુ મહેકી ઊઠી.

दुर्बल को न सताईये जाकी मोटी हाय,
बिना जीवे की साँस से लोहा भसम ह्वै जाय।

નિર્બળને સતાવવા જોઈએ નહીં કેમકે એમની હાય ભારે હોય છે. જીવ વિનાની (ધમણના) શ્વાસથી લોઢું પણ પીગળી જાય છે.

Comments (4)

સૂફી દોહરા – સિતાંશુ યશશ્ચંદ્ર

રાતો સાગર ચઢ્યો હિલોળે, એના હિંસ્ર ગરજતા લોઢ,
તળિયાના અંધારને અમે થઈ આવ્યા મોઢામોઢ.

અંધકારના તળિયે જઈને જોયું તો, સ્થિર જ્યોતિ
વડવાનલ જેમ ઝલકી ઊઠતું ઝંખાનું જે મોતી.

ઝંખું ઝંખું તારાં દરસ ને તું કેવળ અણસાર,
તારું હોવું મને અડકતું થઈ છેક જ તીણી ધાર.

લોચનથી હેરાય નહીં, તું છે જ નહીં જાણે સાવ,
[મારો] કર લંબાતો નજર થઈ [તો] તુજ દરસ મળે થઈ ઘાવ.

મરણતોલ ઘાયલ થયા [તો] થયો જીવવાનો આરંભ,
મિલનનું એક જ નામ છે – ઝંખન મનનું વણથંભ.

સદાકાળના સંગની ઝંખા જેવી કઈ ભૂલ ?
પંખી થઈને મળ્યું એક ડાળીને એનું ફૂલ.

શબદ હોય તો સમજવો, આ તો સાંભળવો ભણકાર,
પડતા પર્ણને મળીને મળ્યો પવન તણો આધાર.

સત્ય ફક્ત છે ઝંખા, મળવું ના-મળવું, એ ય શું ?
બીજની રાતે પૂનમનો ચાંદો શોધું છું હું.

– સિતાંશુ યશશ્ચંદ્ર
[આ સૂફી દોહરા ‘જટાયુ’માંથી લીધા છે.]

સંપૂણપણે આંતર-ગતિ કરતો સર્જક જ આ કક્ષાએ પહોંચી શકે ! પ્રત્યેક દોહરામાં નિષ્પક્ષ અને તલસ્પર્શી introspection – આંતરદર્શન છલકે છે. સિતાંશુભાઈની રચના હોય અને સૂક્ષ્મતા ન હોય એ સંભવે જ નહીં….જેમ કે – ‘ મિલનનું એક જ નામ છે – ઝંખન મનનું વણથંભ. ‘- આ કક્ષાનું દર્શન ભાગ્યે જ જોવા મળતું હોય છે.

Comments (7)

દુહા – ઉદયન ઠક્કર

લાલ લસરકો માટીનો, પીળો પચરક તાપ
એમાં વરસે વાદળી, ઓચ્છવ આપોઆપ

સરવર ઝાંખું થાય ને કાંઠાઓ કજરાય
ખોબે ખોબે પી લિયો, સાંજ સુકાતી જાય

ક્યાં જન્મે, ક્યાં ઊછરે, કોકિલાનાં કુળ ?
શું પ્રતારણામાં હશે સર્વ કળાનાં મૂળ ?

કદી કદી રિસામણાં, કદી કદી મેળાપ
બચપણના બે ગોઠિયા, અજવાળું ને આપ

સાંજ ઢળે, આકાર સૌ નિરાકારમાં જાય
ગોકુલ સરખું ગામડું શ્યામલવરણું થાય

રામમંદિરે પગરખાંની છે સખ્ત મનાઈ
લઈ પાદુકા હાથમાં, બહાર ઊભો ભાઈ !

જળ પર વહેતાં જોઈ લો, વનસ્પતિનાં મૂળ
મુંબઈકર ઠક્કર મ્હણે, ઈથેચ માઝે કુળ

સુખ ને દુ:ખનો પ્રાસ તો સરખેસરખો હોય
બે અક્ષરની બીચમાં, જો કે, થડકો હોય

– ઉદયન ઠક્કર

પ્રત્યેક ‘દુહો’ એક અલગ કહાની કહે છે….. નવતર પ્રયોગ…

Comments (11)

કબીર – અનુ.-પિનાકિન ત્રિવેદી-રણધીર ઉપાધ્યાય

લાલી મેરે લાલકી જિત દેખોં તિત લાલ,
લાલી દેખન મૈં ગઇ મૈ ભી હો ગઇ લાલ.

ઉલટિ સમાના આપ મેં પ્રગટી જોતિ અનંત,
સાહબ સેવક એક સંગ ખેલેં સદા બસંત.

જોગી હુઆ ઝલક લગી મિટિ ગયા એંચાતાન,
ઉલટિ સમાના આપ મેં હૂઆ બ્રહ્મ સમાન.

સુરતિ સમાની નિરતિ મેં અજપા માહી જાપ,
લેખ સમાના અલખમેં આપા માહીં આપ.

જો જન બિરહી નામ કે સદા મગન મનમાંહિં,
જ્યોં દરપન કી સુંદરી કિનહૂં પકડી નાહિં.

ચીંટી ચાવલ લૈ ચલી બિચમેં મિલ ગઈ દાર,
કહ કબીર દોઉં ના મિલૈ એક લે દૂજી ડાર.

-કબીર

૧- મારા પ્રભુની લીલા એવી છે કે હું જ્યાં જોઉં ત્યાં મને લાલ[ તેની લીલા જ ] જ દેખાય છે. આ લાલીને હું જોવા ગઇ તો હું પોતે લાલ થઈ ગઈ……

૨- બહાર ભટકતો એવો હું ઊલટો ફરીને-અંતર્મુખ થઈને સ્વ-રૂપમાં સમાઈ ગયો એટલે અનંતની દિવ્ય જ્યોતિ પ્રગટ થઈ. પછી સ્વામી અને સેવક સદાયે સાથે જ વસંત ખેલતા થઈ ગયા.

૩- પરમ તત્વની ઝાંખી માત્રથી બધીય ખેંચતાણ ટળી ગઈ. મારું અસ્તિત્વ [ અહમ ] ઓગળી ગયું એટલે અહમ પણ બ્રહ્મરૂપ થઈ ગયું.

૪- સુરતિ [ આત્મા ] નિરતિમાં [ આનંદ-સ્વરૂપ પરમાત્મા ] સમાઈ ગઈ અને સ્થૂળ જાપ અંતરમાં ચાલ્યા કરતા અખંડ જપમાં વિલીન થઈ ગયા. લક્ષ્યમાં આવતું દ્રશ્ય અલખમાં સમાઈ ગયું અને દ્વૈતની ભ્રમણા તૂટી અને અદ્વૈત સિદ્ધ થઈ ગયું.

૫- પ્રભુ-વિયોગમાં તડપતા સર્વકોઈ સદાયે અંતર્મુખ થઈને મનમાં જ તલ્લીન રહે છે. દર્પણમાં દેખાતી સુંદરીને જેમ કોઈ પકડી નથી શકતું તેમ આવા વિરહીને કોઈ પામી નથી શકતું.

૬- કીડી [ જીવ ] ચોખાનો દાણો [ આત્મતત્ત્વ ] લઈને ચાલી નીકળી. રસ્તામાં એને દાળનો દાણો [ રંગીન સંસાર ] મળી ગયો. કબીર કહે છે કે બંનેને એક સાથે રખાય તેમ નથી. એટલે એક લેવું હોય તો બીજું મૂકી દેવું પડે.

Comments (11)

આંસુ – સુરેશ દલાલ

આંખડીમાં હસતી ગુલાબકળી આંસુ
ને સ્પંદનની મ્હેકતી આ ધૂપસળી આંસુ !

અણદીઠા દરિયાનું મોતી એક આંસુ
ને વાદળાની વીજઆંખ રોતી એ જ આંસુ !

પાનખરે છેલ્લું ઝરે પાન એ જ આંસુ
ને કોકિલનું વણગાયું ગાન એ જ આંસુ !

ઝાકળનું ક્ષણજીવી બુંદ એક આંસુ
ને ચિરજીવી વેદનાનું વૃંદ એ જ આંસુ !

વાંસળીનો વિખૂટો સૂર એક આસું
ને ગોપીનું સૂનું સૂનું ઉર એ જ આંસુ !

કાળજામાં કોરાયા કૂપ એ જ આંસુ
તમે મારો મેણાં ને હોઠ ચૂપ એ જ આંસુ !

– સુરેશ દલાલ

ક્યારેક પ્રગટપણે તો ક્યારેક અપ્રગટપણે પણ માણસ આંસુ જરૂર સારે છે.  આંસુ ગુલાબની કળી જેવા મઘમઘતા પણ હોઈ શકે છે. આંસુ ક્યારેક પ્રિયજનના સાગર જેવા હૈયાના ઊંડાણનો તાગ આપતા મોતી સમા મૂલ્યવાન પણ હોઈ શકે.  આંસુ ક્યારેક બોલકાં હોય છે તો ક્યારેક સીવાયેલા હોઠ પાછળથી વહેતી રહેતી ચુપકીદી સમા પણ હોય છે…

Comments (10)

દુહા – ચિનુ મોદી

લાખ મથીને રાખતો દિવસે જેને શાંત,
રાતે છાપો મારતું ડંખીલું એકાંત;

એક સમે ક્યારેક ને આજે બારે માસ,
આંસુ ઝાંઝર પ્હેરતાં નખ નાખે નિશ્વાસ;

રાત મળી સરખી છતાં હું કેવો લાચાર,
તું પહેરે છે ચાંદની હું ઓઢું અંધાર;

આંસુને વરસાવશું નાહક ના મૂંઝાવ,
એક નદી નિપજાવશું જેને બન્ને કાંઠે નાવ;

સૈયર, કેવી પ્રીત આ ને કેવો આ સંગાથ ?
આંખો તો થાકી ગઈ ને આંસુ સારે હાથ.

-ચિનુ મોદી

વિરહ અને પરિણામે જન્મતા ‘ડંખીલા’ એકાંતની પીડા કવિના હાથમાંથી સરતા આંસુ બનીને અહીં આ પાંચ દુહાઓમાં કાગળ પર ઉતરી આવી છે. દિવસ આખો દુન્યવી બાબતોમાં વ્યસ્ત રહી એકાંતને ખાળ્યા કરો તો એ રાતના નીરવ અંધારામાં કેવા ડંખ સાથે છાપો મારે છે! પ્રિયજનની અનુપસ્થિતિમાં આજે બારેમાસ આંસુની જ છમ-છમ સંભળાયા કરે છે એ વાતની સાથે કવિ નખના નિશ્વાસને સાંકળી લે છે. શું અભિપ્રેત હશે અહીં કવિને? છૂટી ગયેલા સગપણને કવિ ‘આંગળીથી નખ છેટાં’ના સંદર્ભે જોવા માંગે છે કે શું? (આંસુ અને નખને સાંકળી લેતી ચિનુ મોદીની જ બીજી પંક્તિ, આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની અહીં તરત જ યાદ આવી જાય છે!) એક તરફ કવિ પાસે કદાચ (!) બંને કાંઠે જન્મતા મૂંઝારાનો ઈલાજ પણ છે તો બીજી તરફ રડી-રડીને અને રાહ જોઈ-જોઈને થાકી ગયેલી આંખની અવેજીમાં જે હાથમાં બીજા હાથનો સંગાથ ક્યારેક હતો એ ‘હાથ’ને રડતો બતાવી વિરહ-વેદનાને ખાસ્સી ધાર કાઢી આપે છે…

Comments (2)