વૃક્ષની એ વેદના સાચી હતી,
જે ખરી’તી એ કૂંપળ કાચી હતી.
– રાહુલ શ્રીમાળી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for શૂન્ય પાલનપુરી

શૂન્ય પાલનપુરી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




પ્રેરણાપુંજ : ૧૦ : મુક્તકો

પ્રેરણાપુંજ – રાહ ચીંધતી કવિતાઓની શ્રેણીમાં આજે આ આખરી કડી…

ઘણીવાર આખી કવિતા ઉપરાંત નાની-નાની કાવ્યકણિકાઓ પણ હૈયામાં કાયમી મુકામ કરી જતી હોય છે અને ટાણેટાંકણે આ કણિકાઓ સ્મરણપટ પર આપોઆપ ઉપસી આવતી હોય છે. જીવનના અલગ-અલગ વળાંકો પર, મનોદશાના અલગ-અલગ પડાવો પર આવી અલગ-અલગ કાવ્યકણિકાઓ આપોઆપ આગળ આવીને આપણો હાથ ઝાલી લેતી હોય છે, અને આવો હૂંફાળો સાથ મળ્યા બાદ આગળ ડગ માંડવાનું થોડું આસાન બની રહેતું હોય છે. અહીં જે મુક્તકો હું આપ સહુ સાથે સહિયારી રહ્યો છું, એ બધાએ ડગલેપગલે વફાદાર પ્રેમિકાની જેમ મારો સાથ નિભાવ્યો છે. આમ તો માબાપે આપેલ જીવન પ્રમાણમાં ખાસ્સું સરસ જ રહ્યું છે, પણ નાનીમોટી તકલીફો અને ઘણુંખરું પેટ ચોળીને ઊભાં કરેલ શૂળ ઈમાનદારીથી મને હંફાવવાની કોશિશ કરતાં આવ્યાં છે. આવા દરેક કપરા સમયમાં આ કવિતાઓએ મને ફરીફરીને બેઠો કર્યો છે. હજારોવાર આ પંક્તિઓને મોટેમોટેથી મેં મનમાં લલકારી છે. (ધવલે શેખાદમનું ‘અમને નાંખો જિંદગીની આગમાં’ મુક્તક પૉસ્ટ કરી દીધું છે એટલે એનું પુનરાવર્તન કરતો નથી.)

આવી જ કોઈ કવિતાઓ આપના માટે ‘પ્રેરણાપુંજ – રાહ ચીંધતી કવિતાઓ’ બની હોય તો કમેન્ટ વિભાગમાં જરૂર સહિયારજો.

*

અફસોસને આસન કદી જો આપશું,
જે રહ્યું થોડુંય તે લૂંટી જાશે;
જો ગુમાવ્યાની ગણત્રીમાં પડયા,
ફૂલ ઊઘડતુંય એ ચૂંટી જશે.
– મકરંદ દવે

કોક દિન ઇદ અને કોક દિન રોજા
ઊછળે ને પડે નીચે જિંદગીનાં મોજાં.
– મકરંદ દવે

ઉરની સાંકલડી શેરીના પંથ વિશાળ રચાવો,
હૈયાનાં ઝરણાં નાનાને સાગર જેવું બનાવો.
– સુન્દરમ્

નથી ઇચ્છા કે કિનારા થઈને પડ્યા રહીશું,
નાનું તોયે ઝરણું થઈને વહેતા રહીશું.
– ?

જીવવું છે, ઝૂરવું છે, ઝૂઝવું છે, જાનેમન !
થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી.
બાજ થઈને ઘૂમવું અંદાજની ઊંચાઈ પર,
ઇશ્ક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી
– વેણીભાઈ પુરોહિત

હાથની રેખા પ્રમાણે ચાલનારા છે ઘણા,
ચાલ તારાઓની બદલે એ જ શક્તિમાન છે.
– શેખાદમ આબુવાલા

મને એ નાખુદા પર છે ખુદા કરતાં વધુ શ્રદ્ધા,
કિનારો જોઈ જે પાછો વળી જાયે સમંદરમાં.
– શૂન્ય પાલનપુરી

કદમ અસ્થિર હો એને કદી રસ્તો જડતો નથી,
અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી;
તમારા મનને જીતી લો તો હું માનું. ‘સિકંદર છો’,
નહીંતર દિગ્વિજય ઉચ્ચારવામાં શ્રમ નથી પડતો.
– શૂન્ય પાલનપુરી

ઝુલ્ફ કેરા વાળ સમ છે ભાગ્યની ગૂંચો બધી,
માત્ર એને યત્ન કેરી કાંસકી ઓળી શકે.
– શૂન્ય પાલનપુરી

જિંદગી જીવવાની ફિલસૂફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં, આખરી સમજી લીધી.
– મરીઝ

જિગર પર જુલ્મે કે રહેમત, ઘટે જે તે કરી જોજો,
તમારા મ્હેલના મહેમાનની સામું ફરી જોજો;
કટોરા ઝેરના પીતાં કરું છું એ વફાદારી,
કસોટી જો ગમે કરવી, બીજું પ્યાલું ધરી જોજો.
– કપિલરાય ઠક્કર ‘મજનૂ’

ફરીથી વિશ્વને જોવા મળે પુરુષાર્થની સિદ્ધિ,
ફરીથી ભાગ્યરેખાઓ બધી ગૂંચવાઈ જાવા દ્યો.
– ‘દિલહર’ સંઘવી

સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી,
ચણાયેલી ઇમારત એના નક્શામાં નથી હોતી.
– અમૃત ઘાયલ

મને મળી નિષ્ફળતા અનેક,
તેથી થયો સફળ કૈંક હું જિંદગીમાં
– ઉમાશંકર જોશી

Comments (6)

પ્રેરણાપુંજ : ૦૨ : મુક્તકોનો ખુમારીભર્યો વૈભવ

કપરી ક્ષણે જયારે પોતાની જાતને પાનો ચડાવવાની જરૂર હોય ત્યારે ખુમારીભર્યા મુક્તકની ચાર લીટીઓ બહુ અકસીર ઈલાજ છે. મેં તો આ ઈલાજ ઘણો અજમાવ્યો છે. જીવનની અઘરી ક્ષણોએ જેણે છાંયો કરેલો એવાં કેટલાક મુક્તક આ રહ્યા.

અમને નાખો જિંદગીની આગમાં
આગને પણ ફેરવીશું બાગમાં
સર કરીશું આખરે સૌ મોરચા
મોતને પણ આવવા દો લાગમાં.

– શેખાદમ આબુવાલા

* * *

સંકલ્પ વિના એ શક્ય નથી
તું રોક નયનના આંસુ મથી
તું હાથની મુઠ્ઠી વાળી જો
રેખાઓ બધી બદલાઈ જશે !

-શેખાદમ આબુવાલા

* * *

ખાળ તારી આંખડીના નીરને
સંકટોમાં આ ન છાજે વીરને;
એને ઠોકર મારીને રસ્તે લગાવ,
ક્યાં સુધી પંપાળશે તકદીરને ?

– શેખાદમ આબુવાલા

* * *

પર્વતમાંયે રસ્તા પડી જાય છે
મૃગજળોને તરી નાવડી જાય છે
હાંફતા હાંફતા હાંફતા એક દિ’
શ્વાસ લેતા પછી આવડી જાય છે.

– રઈશ મનીયાર

* * *

વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે
તરણું ઊખડી જાય તો કે’જે મને
જિંદગી તારાથી હું થાક્યો નથી
તું જો થાકી જાય તો કે’જે મને

– ખલીલ ધનતેજવી

* * *

જે કહ્યું માને વિધાતાનું એ મુકદ્દર હું નહીં
આટલો વૈભવ છતાં ખારો સમંદર હું નહીં
મેં મુકદ્દરથી ઘણુંયે મેળવ્યું ‘મેહુલ’
અહીં જાય ખાલી હાથ તે પેલો સિકંદર હું નહીં

– મેહુલ

* * *

જીવનઉપાસનાની સદા ધૂન છે મને
હું જિંદગીનો એક નવો દૃષ્ટિકોણ છું
મારી વિચાર—જ્યોત મને માર્ગ આપશે
છું એકલવ્ય હું જ અને હું જ દ્રોણ છું

– મનહરલાલ ચોક્સી

* * *

જિંદગી ભાર માની નથી
ને નિરાધાર માની નથી
ધૂળ ખંખેરી ધપતાં જતાં
હારને હાર માની નથી

– મકરંદ દવે

* * *

અમૃતથી હોઠ સહુના એંઠા કરી શકું છું
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું
આ મારી શાયરી એ સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયાને બેઠા કરી શકું છું

– અમૃત ‘ઘાયલ’

* * *

મોતની તાકાત શી મારી શકે?
જિંદગી તારો ઈશારો જોઈએ
જેટલે ઊંચે જવું હો માનવી
તેટલા ઉન્નત વિચારો જોઈએ

– ‘શૂન્ય’ પાલનપુરી

Comments (2)

દર્દની ભેટ – શૂન્ય પાલનપુરી

એક દી સર્જકને આવ્યો
કૈં અજબ જેવો વિચાર;
દંગ થઈ જાયે જગત
એવું કરું સર્જન ધરાર!

ફૂલની લીધી સુંવાળપ,
શૂળથી લીધી ખટક
ઓસથી ભીનાશ લીધી,
બાગથી લીધી મહક.

મેરૂએ આપી અડગતા,
ધરતીએ ધીરજ ધરી
વૃક્ષથી પરમાર્થ કેરી
ભાવના ભેગી કરી.

બુદબુદાથી અલ્પતા,
ગંભીરતા મઝધારથી,
મેળવ્યો કંકાસ મીઠો
મોજના સંસારથી.

પ્રેમ સારસનો ઉપાડ્યો,
પારેવાનો ફડફડાટ,
કાગથી ચાતુર્ય લીધું
કાબરોથી કલબલાટ.

ખંત લીધી કીડીઓથી,
મક્ષિકાથી શ્રમ અથાગ,
નીરથી નિર્મળતા લીધી
આગથી લીધો વિરાગ.

પંચભૂતો મેળવી એ સર્વેનું મંથન કર્યું,
આમ એક દી સર્જકે નારીનું સર્જન કર્યું,
દેવદુર્લભ અવનવી આ શોધ જ્યાં બીબે ઢળી,
એ દિવસથી દર્દ કેરી ભેટ દુનિયાને મળી!

– શૂન્ય પાલનપુરી

બાઇબલ કહે છે કે ઈશ્વરે સ્ત્રીનું સર્જન પુરુષની પાંસળીમાંથી કર્યું છે. પરિણામે પુરુષ ઈશ્વરના સીધા સંપર્કમાં રહી શકે છે, પણ સ્ત્રીને એ સૌભાગ્ય પ્રાપ્ત થયું નથી. સ્ત્રીને ઈશ્વરના સંપર્કમાં આવવું હોય તો પુરુષના માધ્યમ વડે જ આવી શકે. (Hee for God only, Shee for God in him) (Paradise Lost, Milton) પુરુષપ્રધાન સમાજવ્યવસ્થાનો રણકો પ્રસ્તુત નઝમમાંથી પણ ઊઠતો સંભળાય છે. આખું જગત દંગ રહી જાય એવું સર્જન કરવાના વિચારે સર્જનહારે સૃષ્ટિના અલગ-અલગ તત્ત્વો પાસેથી અલગ-અલગ વસ્તુઓ પ્રાપ્ત કરીને તમામને એકરસ કરીને સ્ત્રીનું સર્જન કર્યું અને દુનિયાને નારી નામની નવતર ભેટ પ્રાપ્ત થઈ. કવિએ સ્ત્રીની પ્રકૃતિ પ્રગટ કરવા માટે પ્રકૃતિના જે જે તત્ત્વો પાસે મદદ લીધી છે એની યાદી અને રજૂઆતની શૈલી પ્રભાવિત કરે એવી છે. સ્ત્રીસ્વભાવને ઉપસાવવા માટેની રૂપકવર્ષા અને અદભુત કાવ્યાત્મક રજૂઆત આપણને ભીંજવી જાય છે, પણ કાવ્યાંતે કવિ સ્ત્રીનો જન્મ થવાને કારણે દુનિયાને દર્દની ભેટ મળી એમ કહીને પૌરુષી સિક્કો મારીને સ્ત્રીને દુઃખદર્દનું નિમિત્ત ગણાવે છે એ વાત જરા ખટકે એવી છે.

Comments (6)

પંચાયતને શું કહેવું ? – શૂન્ય પાલનપુરી

મોતની સાથે જીવનની અવિરામ લડતને શું કહેવું ?
શ્વાસે શ્વાસે ખેલાતા આ પાણીપતને શું ક હેવું ?

ખીલીને કરમાય છે કળીઓ, એ તો નિયમ છે કુદરતનો,
અણખીલી કરમાય કળી તો એ કુદરતને શું કહેવું ?

જ્યારે દેખો નાશની ચર્ચા, જ્યારે દેખો નાશની ધૂન,
કાયા તારી એક જ તરફી પંચાયતને શું કહેવું ?

રૂપની ભિક્ષા લેવા અંતર તારું દ્વાર જ શોધે છે,
એક જ ઘરની ટે’લ કરે એ અભ્યાગતને શું કહેવું ?

મોતની સામે રમતાં રમતાં રામ રમે છે જીવનના,
મીન થઈને ડૂબે એવા પારંગતને શું કહેવું ?

લાખ ઉષા ને સંધ્યા ખેલે હોળી વ્યોમની ધરતી પર,
રક્ત બની જે આંખમાં જામે એ રંગતને શું કહેવું ?

કાંઠા પર મજધાર બનાવે, હાય ! એ પામર નિર્બળતા ?
કાંઠાને મજધારમાં આણે, એ હિંમતને શું કહેવું ?

તારી યાદની હિચકી આવી પ્રાણને મુજ રીબાવે છે,
તું જ કરે છે ખોટી ખોટી અટકાયતને શું કહેવું ?

યાદ કોઈની દિલમાં આવી દિલની માલિક થઈ બેઠી,
શુન્ય હવે આ સત્તાલોભી શરણાગતને શું કહેવું ?

– શૂન્ય પાલનપુરી

Comments (1)

ફૂલોનું ઝેર – ‘શૂન્ય’ પાલનપુરી

કાંટાના ડંખ સાથે છે ફૂલોનું ઝેર પણ,
વાળે છે શું વસંત ગયા ભવનું વેર પણ.

તણખા છે સંસ્કૃતિના કળિયુગનો વાયરો,
જંગલની જેમ ભડકે બળે છે શહેર પણ.

દૃષ્ટિની સાથ સાથ પડળ પણ છે આંખમાં,
જ્યોતિની ગોદમાં છે તિમિરનો ઉછેર પણ.

આવ્યા, તમાશો જોયો અને લીન થઈ ગયા…
ભૂલી ગયા કે પાછા જવાનું છે ઘેર પણ.

શંકર બધું જ પી ન શક્યા ‘શૂન્ય’ એટલે
આવ્યું છે વારસામાં અમારે આ ઝેર પણ.

– ‘શૂન્ય’ પાલનપુરી

આમ જુઓ તો પરંપરાની ગઝલ પણ સંસ્કૃતિના તણખા, કળિયુગનો વાયરો અને વાતે-વાતે ભડકે બળતાં શહેરવાળા શેરથી વધુ સાંપ્રત બીજું શું હોઈ શકે?

Comments

જીવન મારું મરણ મારું – ‘શૂન્ય’ પાલનપુરી

જગતનાં અંત-આદિ બેઉ શોધે છે શરણ મારું
હવે શું જોઈએ મારે ? જીવન મારું મરણ મારું

અધૂરા સ્વપ્ન પેઠે કાં થયું પ્રગટીકરણ મારું
હશે કો અર્ધ-બીડી આંખડી કાજે સ્મરણ મારું

અગર ના ડૂબતે ગ્લાનિ મહીં મજબૂર માનવતા
કવિરૂપે કદી ના થાત જગમાં અવતરણ મારું

અણુથી અલ્પ માનીને ભલે આજે વગોવી લો
નહીં સાંખી શકે બ્રહ્માંડ કાલે વિસ્તરણ મારું

કહી દો સાફ ઈશ્વરને છંછેડે નહીં મુજને
નહીં રાખે બનાવટનો ભરમ સ્પષ્ટીકરણ મારું

કહો ધર્મીને સંભળાવે નહિ માયાની રામાયણ
નથી એ રામ કોઈમાં કરી જાયે હરણ મારું

રડું છું કેમ ફૂલો પર ? હસું છું કેમ ઝાકળ પર
ચમન-ઘેલાં નહિ સમજે કદાપિ આચરણ મારું

હું નામે શૂન્ય છું ને શૂન્ય રહેવાનો પરિણામે
ખસેડી તો જુઓ દ્દષ્ટિ ઉપરથી આવરણ મારું

-‘શૂન્ય’ પાલનપુરી

Comments (4)

યાદગાર મુક્તકો : ૦૨ : મરીઝ, શૂન્ય પાલનપુરી

સુરા રાતે તો શું, વ્હેલી સવારે પી ગયો છું હું,
સમય સંજોગના ગેબી ઈશારે પી ગયો છું હું;
કોઈ વેળા કશી ઓછી મળે તેની શિકાયત શું,
ઘણી વેળા ગજાથી પણ વધારે પી ગયો છું હું.

-મરીઝ

*
શ્વાસના પોકળ તકાદા છે, તને માલમ નથી,
નાઉમેદીના બળાપા છે, તને માલમ નથી;
જિંદગી પર જોર ના ચાલ્યું ફકત એ કારણે,
મોતના આ ધમપછાડા છે, તને માલમ નથી.

– શૂન્ય પાલનપુરી

મુક્તકોની ખરી મજા એમની Res Ipsa Loquitar (it speaks for itself-સ્વયંસ્પષ્ટ) પ્રકૃતિના કારણે છે. ચાર પંક્તિના ખોબામાં મુક્તક વાદળ ભરીને વરસાદ લઈ આવે છે. આજે ગુજરાતી ગઝલના બે ખ્યાતનામ શાયરોની કલમે એક-એક મુક્તકની મજા લઈએ… બંને મુક્તક સ્વયંસિદ્ધ છે…

Comments (5)

કોણ માનશે? – ‘શૂન્ય’ પાલનપુરી

દુ:ખમાં જીવનની લા’ણ હતી, કોણ માનશે?
ધીરજ રતનની ખાણ હતી, કોણ માનશે?

શૈયા મળે છે શૂલની ફૂલોના પ્યારમાં!
ભોળા હ્રદયને જાણ હતી, કોણ માનશે?

લૂંટી ગઈ જે ચાર ઘડીના પ્રવાસમાં,
યુગ યુગની ઓળખાણ હતી, કોણ મનશે?

ઉપચારકો ગયા અને આરામ થઈ ગયો!
પીડા જ રામબાણ હતી, કોણ માનશે?

આપી ગઈ જે ધાર જમાનાની જીભને,
નિજ કર્મની સરાણ હતી, કોણ માનશે?

જ્યાં જ્યાં ફરુકતી હતી સૌન્દર્યની ધજા,
ત્યાં ત્યાં પ્રણયની આણ હતી, કોણ માનશે?

પાગલના મૌનથી જે કયામત ખડી થઈ,
ડાહ્યાની બુમરાણ હતી, કોણ માનશે?

– ‘શૂન્ય’ પાલનપુરી

Comments (2)

હિંમત છે નાખુદા – શૂન્ય પાલનપુરી

ડૂબી નહીં શકું ભલે પાણીમાં તાણ છે;
હિંમત છે નાખુદા અને વિશ્વાસ વા’ણ છે.

અવસર વહી જશે તો ફરી આવશે નહીં,
આવી શકો તો આવો હજુ કંઠે પ્રાણ છે.

અશ્રુનો આશરો છે તો ઝીલી શકું છું તાપ,
નજરો શું કોઇની છે? જલદ અગ્નિ-બાણ છે.

સમજી શક્યું ન કોઇ મને એનો ગમ નથી,
દુનિયાથી મારે સાવ નવી ઓળખાણ છે.

ચાલી રહ્યો છું એમ ફના-પંથે રાતદિન,
જાણે મને કોઇના ઇરાદાની જાણ છે !

લઇ જાઓ, આવો ઊર્મિઓ ! એકેક અશ્રુને,
આવ્યું છે કોઇ એની ખુશાલીની લા’ણ છે.

સમજી શકે જો ધર્મ તણો સાર માનવી,
સર્વાંગ એ જ ‘શૂન્ય’ અઢારે પુરાણ છે.

 

-શૂન્ય પાલનપુરી

 

 

Comments (2)

સુરાહીમાં ખાલી – શૂન્ય પાલનપુરી

અમો પ્રેમીઓના જીવનમાં વસી છે આ સૌંદર્ય સૃષ્ટિની જાહોજલાલી
ધરા છે અમારા હ્રદય કેરો પાલવ, ગગન છે અમારા નયન કેરી પ્યાલી

અમે તો કવિ, કાળને નાથનારા, અમારા તો આઠે પ્રહર છે ખુશાલી
આ બળબળતું હૈયું, આ ઝગમગતા નૈનો, ગમે ત્યારે હોળી, ગમે ત્યાં દિવાળી

મને ગર્વ છે કે અમારી ગરીબી અમીરાતની અલ્પતાઓથી પર છે
સિકંદરના મરહુમ કિસ્મતના સૌગંદ, રહ્યા છે જીવનમાં સદા હાથ ખાલી

તને એકમાંથી બહુની તમન્ના, બહુ થી મને એક જોવાની ઇચ્છા
કરે છે તું પ્યાલામાં ખાલી સુરાહી, કરું છું હું પ્યાલા સુરાહીમાં ખાલી

-શૂન્ય પાલનપુરી

આ ગઝલ પ્રસ્તુત કરવાનો હેતુ એનો છેલ્લો શેર છે…….

Comments (6)

ખટકે છે – શૂન્ય’ પાલનપુરી

કોઈને નાત ખટકે છે કોઈને જાત ખટકે છે
અમોને સંકુચિત દ્રષ્ટિ તણો ઉત્પાત ખટકે છે

નથી એ ધર્મનાં ટીલાં કલંકો છે મનુષ્યોનાં
વિરાટોને લલાટે અલ્પતાની ભાત ખટકે છે

કદી ડંખે છે દિન અમને, કદી ખુદ રાત ખટકે છે
જુદાઈમાં અમોને કાળની પંચાત ખટકે છે

સમંદરને ગમે ક્યાંથી ભલા બુદબુદની પામરતા ?
અમોને પણ મારા દેહની ઓકાત ખટકે છે

વિવિધ ફૂલો છતાં હોતો નથી કૈં ભેદ ઉપવનમાં
ફકત એક માનવીને માનવીની જાત ખટકે છે.

કરી વર્ચસ્વ સૃષ્ટિ પર ભલે રાચી રહ્યો માનવ
અમોને દમ વિનાને શૂન્ય એ સોગાત ખટકે છે

– શૂન્ય’ પાલનપુરી

ચોથા શેરની બીજી કડીમાં કંઈક છંદની ગડબડ લાગે છે…..જાણકારો પ્રકાશ પડે…..

Comments (6)

પડછાયો હતો – શૂન્ય પાલનપુરી

ડગલે પગલે ભવમાં હું જેનાથી ભરમાયો હતો,
કોને જઇ કહેવું કે એ મારો જ પડછાયો હતો ?

ભેદ અનહદનો મને ત્યારે જ સમજાયો હતો,
જે દિવસે હું કોઇની નજરોથી ઘેરાયો હતો.

નામ પર મારા કોઇ શરમાય એ એની કસૂર ?
હું વિના વાંકે જીવન આખું વગોવાયો હતો.

ખુદ ઉષા-સંધ્યા ન એનો દઇ શકી કોઇ જવાબ,
લોહીથી સૂરજનો પાલવ કેમ ખરડાયો હતો ?

તારી આંખોના ઇશારે મારી એકલતા ટળી,
ભરસભામાં હું નહિતર ખૂબ મૂંઝાયો હતો.

માફ કરજે થઇ શક્યું ના આપણું જગમાં મિલન,
ભીડ કૈં એવી હતી કે હું જ રઘવાયો હતો.

આ ગઝલ કેરી ઇમારત છે અડીખમ આજ પણ,
એના પાયે ‘શૂન્ય’ કેરો પ્રાણ પૂરાયો હતો.

Comments (12)

કેટલા? – શૂન્ય પાલનપુરી

હું નથી પૂછતો, ઓ સમય! કે હજી તું ગુજારીશ દિલ પર સિતમ કેટલા?
એટલું પ્રેમથી માત્ર કહી દે મને, જોઇએ તારે આખર જખમ કેટલા?

ઓ ખુદા! આ ફરેબોની દુનિયામહીં, પ્રેમ તારો ખરેખર કસોટી જ છે
સાફ કહી દે કે રાજી તને રાખવા, પૂજવા પડશે મારે સનમ કેટલા?

દર્દની લાગણીના ઘણા રૂપ છે, માત્ર આંસુ જ હોવા જરૂરી નથી,
સ્મિત થઇને ફરકતા હશે હોઠ પર, વ્યક્ત થઇ ના શકે એવા ગમ કેટલા?

પ્રેમ ઇર્ષાથી પર ક્યાંક હોતો નથી, શબ્દથી વાત કેરું વતેસત થશે,
હોઠ સીવીને ચુપચાપ જોયા કરો, મૌન પેદા કરે છે ભરમ કેટલા?

સ્વાર્થની આ તો છે ભક્તિ-લીલા બધી, આત્મ-પૂજા વિના શૂન્ય આરો નથી,
એક ઇશ્વરને માટે મમત કેટલો, એક શ્રધ્ધાને માટે ધરમ કેટલા?

Comments (8)

ખુદા મળે-શૂન્ય પાલનપુરી

હરદમ તને જ યાદ કરું, એ દશા મળે,
એવું દરદ ન આપ કે જેની દવા મળે.

સોંપી દઉં ખુદાઈ બધી એના હાથમાં,
દુનિયામાં ભૂલથી જો કોઈ બાવફા મળે.

ઝંઝા સમે ગયો તે ગયો, કૈં પતો નથી,
દેજો અમારી યાદ અગર નાખુદા મળે.

સૌથી પ્રથમ ગુનાની કરી જેણે કલ્પના,
સાચો અદલ તો એ જ કે એને સજા મળે.

કાઠું થયું હૃદય તો જીવનની મજા ગઈ,
એ પણ રહી ન આશ કે જખ્મો નવા મળે.

રાખો નિગાહ શૂન્યના પ્રત્યેક ધામ પર,
સંભવ છે ત્યાં જ કોઇપણ રૂપે ખુદા મળે.

– શૂન્ય પાલનપુરી

Comments (13)

અવતારી નથી – શૂન્ય પાલનપુરી

છું સદા ચકચૂર એ કૈં મયની બલિહારી નથી ;
મારી મસ્તી કોઈ મયખાનાને આભારી નથી.

બંદગી હો કે ગઝલ હો, ક્યાંય લાચારી નથી;
કોઈની પણ મેં ખુદાઈ એમ સ્વીકારી નથી.

તારલાઓની સભા પર મીટ માંડી શું કરું ?
દિલ વિનાની કોઇપણ મહેફિલ મને પ્યારી નથી.

થઇ શકે છે એક મુદ્દા પર કયામતનો રકાસ –
ભાગ્યનું નિર્માણ કૈં મારી ગુનેગારી નથી !

એટલે તો કાળ સમો છું અડીખમ આજે પણ-
બાજીઓ હારી હશે,હિંમત હજી હારી નથી.

પાનખરને મેં વસંતો જેમ માણી છે જરૂર-
પાનખરને મેં વસંતો જેમ શણગારી નથી.

જયારે જયારે થાય છે ગ્લાનિ ગઝલને વિશ્વમાં –
શૂન્ય દોડે છે વહારે, જો કે અવતારી નથી.

Comments (8)

ગુજરાતી ગઝલમાં ‘મૃત્યુ’ :કડી ૦૫

મૃત્યુ વિષયક શેરોની ગલીઓમાં ફરી એકવાર થોડા આગળ વધીએ… આ વખતે કોઈ એક કવિ ‘મૃત્યુ’ નામના એક જ વિષય પર અલગ અલગ નજરિયાથી વાત કરે એના બદલે એક જ વિષય પર અલગ અલગ કવિઓ શું કહે છે એનો આસ્વાદ લઈએ…

શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે, ભાન ની સૃષ્ટિની સીમાને પરખવા માટે,
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે, કોઈ મહેફિલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.
– હરીન્દ્ર દવે

મોત તારી કારી નિષ્ફળતા ઘડીભર જોઈ લે,
કેટલા હૈયે સ્મરણ મારા બિછાવી જાઉં છું,
-હરીન્દ્ર દવે

જેવું તને મેં જોયું ત્યાં ભાંગી પડ્યો, મરણ!
મંજિલ મળી તો લાગે છે મોકાનો થાક છે.
– હરીન્દ્ર દવે

એ જ કારણસર રડ્યો ના હું સ્વજનના મોત પર,
ઓ ‘જલન’ જાણે કે મૃત્યુ મારું પોતાનું હતું.
– જલન માતરી

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’ ?
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.
– જલન માતરી

જીવન માટે સદા પ્રત્યેક ક્ષણ સંદેશ આપે છે,
નથી કાયમ અહીં કોઈ – મરણ સંદેશ આપે છે;
જે જન્મે રમ્યતા લઇને એ વિકસે છે પ્રભા થઇને,
ઉષાનું ઊગતું પહેલું કિરણ સંદેશ આપે છે.
– ઇજન ધોરાજવી

બારણે જો દે ટકોરા તો હું ભેટીને મળું
મળતું બિલ્લિપગ, મરણની એ જ તો તકલીફ છે
– પ્રણવ પંડ્યા

અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
હતી ક્યાં ખબર કે મરણ આવશે
– આદિલ મન્સૂરી

મરણ દરેકની સાથે કર્યા કરે રકઝક
બહુ અનુભવી જૂનો ઘરાક લાગે છે.
-આદિલ મન્સૂરી

જીવન થકી જ જણાયું કે અહીં મરણ પણ છે,
થઈ મરણને લીધે જાણ કે હયાતી છે.
– મુકુલ ચોકસી

મારું મરણ ક્યાં એકલું મારું મરણ હતું?
સંસાર, આંખ મીંચી તો નશ્વર બની ગયો!
-શ્યામ સાધુ

માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,
ઝગડો એ હા ને ના નો હતો. કોણ માનશે?
– ‘રૂસવા’

મરણ અહીંથી તને લઈ જવાનું પળભરમાં,
તું બેખબર આ જગતને વિશાલ સમજે છે.
– મરીઝ

મોત તું શું બહાનું શોધે છે?
મારું આખું જીવન બહાનું છે
– મરીઝ

મને એવી રીતે કઝા યાદ આવી,
કોઈ એમ સમજે દવા યાદ આવી.
– મરીઝ

મરણ પછી જે થવાનું છે તેની ટેવ પડે,
હું તેથી મારા જીવનમાં જ આમતેમ રહ્યો.
– મરીઝ

હવે કોઈ રડી લે તો ‘મરીઝ’ ઉપકાર છે એનો,
કોઈને કંઈ નથી નુક્શાન જેવું મારા મરવાથી.
– મરીઝ

આપ ગભરાઈને જતા ન રહો,
આ છે છેવટના શ્વાસ, હાય નથી.
– મરીઝ

તંગ જીવનના મોહથી છું ‘મરીઝ’,
આત્મહત્યા વિના ઉપાય નથી.
– મરીઝ

મરણ હો કે જીવન હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે;
જનાજો જશે તો જશે કાંધે-કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.
– મરીઝ

જીવનના બંધનો હસતા મુખે જેબે વિદાય આપે,
ફકત એ આદમીને હક છે કે આઝાદ થઈ જાએ.
– મરીઝ

મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’,
હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે.
– મરીઝ

કેમ હો જીવનનું ઘડતર જ્યારે હું શીખ્યો ‘મરીઝ’,
વાહ રે કિસ્મત ! કે મૃત્યુનો સમય આવી ગયો.
– મરીઝ

‘મરીઝ’ એની ઉપરથી આપ સમજો કેમ ગુજરી છે,
મરણ આવ્યું તો જાણ્યું જિંદગાની લઈને આવ્યો છું.
– મરીઝ

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.
– મરીઝ

દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું,
મૃત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો લે.
– મરીઝ

જીવનને કોઈ પણ રીતે નિષ્ફળ જવું હતું,
એવામાં કોઈ રોકે તો રોકે ક્યાં લગ મરણ ?
– રવીન્દ્ર પારેખ

આજે મરણનો ભેદ કાં પૂછે છે આ જગત?
પેદા થતાં ન પૂછ્યું કે કાં આવવું પડ્યું?!
– સૈફ પાલનપુરી

હવે તો સૈફ ઇચ્છા છે કે મ્રત્યુ દ્વાર ખખડાવે,
ઘડી ભર તો મને લાગે કોઈના આગમન જેવું
– સૈફ પાલનપુરી

જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી,
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
– ગની દહીંવાલા

જિંદગાનીને દુલ્હનની જેમ શણગારી ‘ગની’,
એને હાથોહાથ સોંપી જેમના ઘરની હતી.
– ગની દહીંવાલા

જિંદગી મૃત્યુની ખાતર જાળવી રાખો ‘ગની’,
આખરી મેહમાનને માટે ઉતારો જોઈએ.
– ગની દહીંવાલા

છોડીને એને ક્યારના ચાલી જતે અમે,
હક છે મરણનો એટલે રાખી છે જિંદગી
-અમર પાલનપુરી

દયા તો શું, હવે સંજીવની પણ કામ નહિ આવે,
જીવનના ભેદને પામી ‘અમર’ હમણાં જ સૂતો છે.
-અમર પાલનપુરી

એ ક્ષણે રંગો હશે, સૌરભ હશે, ઝળહળ હશે,
મૃત્યુ પણ કોઈ નવોઢા જેમ આંગણ આવશે
-ભગવતી કુમાર શર્મા

મને જીવન અને મરણની એટલી ખબર છે,
કબર પર ફૂલો ને ફૂલો પર કબર છે
-જયંત શેઠ (?પાઠક)

ખુલ્લી આંખો જિંદગી છે, બંધ આંખો મોત છે,
પાંપણો વચ્ચેનું અંતર જિંદગાની હોય છે.
– ‘કાબિલ’ ડેડાણવી

પ્રભુ ના સર્વ સર્જનની પ્રતિષ્ઠા જાળવું છું હું,
મરણની લાજ લૂંટીને નથી થાવું અમર મારે
-ઓજસ પાલનપુરી

મારી પાછળ મારી હસ્તી એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ.
-ઓજસ પાલનપુરી

કોણે કહ્યું હતું કે મૃત્યુ થયું છે તારું,
ફરકી રહી છે આજે તારી ધજા હજુ પણ.
– અબ્બાસ રૂપાવાલા ‘રફીક’

તને હું કેમ સમજાવું સફર છે દૂરની ‘અકબર’ ?
ઉતારો છે, તને જે કાયમી રહેઠાણ લાગે છે.
– અકબરઅલી જસદણવાળા

કહે છે મોત જેને એ અસલમાં છે જબરજસ્તી,
હરિ ઇચ્છા કહી એને હું પંપાળી નથી શકતો.
– ઘાયલ

એક પંખી મોત નામે ફાંસવા
જાળ છેલ્લા શ્વાસ કેરી પાથરો
– ડૉ. જગદીપ નાણાવટી

સામે છે મોત તો ય સતત ચાલતી રહે
આ જિંદગી ય ખૂબ નીડર હોવી જોઈએ
– રઈશ મનીઆર

ભલે મોત સામે થયો હો પરાજય,
છતાં જિંદગી ‘બાબુ’ વર્ષો લડી છે.
– બી. કે. રાઠોડ ‘બાબુ’

થોડીક શિકાયત કરવી’તી થોડક ખુલાસા કરવા’તા,
ઓ મોત જરા રોકાઈ જતે – બેચાર મને પણ કામ હતાં.
-સૈફ પાલનપુરી

હવે તો ‘સૈફ’ ઇચ્છા છે કે મૃત્યુ દ્વાર ખખડાવે,
ઘડીભર તો મને લાગે કોઈના આગમન જેવું.
-સૈફ પાલનપુરી

અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં;
સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં.
– શેખાદમ આબુવાલા

બે કદમ વધે છે એ રોજ શ્વાસની સાથે,
મોત પણ સલામત છે, જિંદગીની છાયામાં.
– મનહરલાલ ચોક્સી

જુઓ આ દેહમાં ઉષ્માનો પરપોટો નથી બાકી,
હવે કરશે મનન શું કોઈ કારાવાસ રોકીને ?
– મનહરલાલ ચોક્સી

મોત જો વરસાદ થઈ તૂટી પડે,
તો આ મરવું થાય મુશળધાર પણ !
-રવીન્દ્ર પારેખ

મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,
એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.
-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.
-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

જીવન અર્પણ કરી દીધું, કોઈને એટલા માટે,
મરણ આવે તો એને કહી શકું ‘મિલકત પરાઈ છે’ !
– ‘શૂન્ય’ પાલનપુરી

જમાનો એને મરણ માને તો ભલે માને –
કદમ વળી ગયાં મારાં અસલ મુકામ તરફ.
– ‘શૂન્ય’ પાલનપુરી

છે તમારી જ હયાતિનું એ બીજું પાસું,
મોત આવ્યું તો ભલે, એનો યે પરદો ન કરો!
-ભગવતીકુમાર શર્મા

રમત શ્વાસના સરવાળાની,
મૃત્યુ રાહત વચગાળાની.
-ઉર્વીશ વસાવડા

સ્મરણ રૂપે રહ્યો છું જીવતો હું સર્વના હૈયે,
મને ના શોધશો અહીં, હું કબર નીચે નથી સૂતો.
– ‘દિલહર’ સંઘવી

‘નૂર’ કેવળ શ્વેત ચાદર લઈને દુનિયાથી ગયો,
જિંદગી એણે વિવિધ રંગોથી શણગારી હતી.
‘નૂર’ પોરબંદરી

નથી ભય મોતનો કે મોત કેવળ એક વેળા છે,
જીવનની તો ઘણીવેળા દશા બદલાઈ જાય છે.
-હસનઅલી નામાવટી

Comments (39)

સાદ – શૂન્ય પાલનપુરી

પતવાર ને સલામ, સિતારાને રામરામ,
મજધારે જઈ રહ્યો છું, કિનારાને રામરામ.

ખુશ છું કે નાખુદાનું કશું ચાલશે નહીં,
નૌકાને તારનાર ઈજારાને રામરામ.

દિલને દઝાડતો રહ્યો; ભડકી શક્યો નહીં,
નિર્માલ્ય એવા પ્રેમ-તિખારાને રામરામ.

મારો જનાજો છે હવે મારી જ ખાંધ પર,
મૃત્યુ પછીના સર્વ સહારાને રામરામ.

દીધો છે સાદ ‘શૂન્ય’ ગહનતાઓએ મને,
કાંઠે ટહેલવાના ધખારાને રામરામ.

– ‘શૂન્ય’ પાલનપુરી

પરંપરાની ગઝલની પણ પોતાની મઝા છે. શેર ચોટદાર હોય તો કદી જૂનો થતો નથી. છેલ્લા ત્રણ શેર આજે ય એટલા જ નવા લાગે છે.

Comments (11)

બંધ – ઉમર ખૈયામ, અનુ. શૂન્ય પાલનપુરી

ભક્તિ કેરી કાકલૂદી, સ્વાર્થ કેરા જાપ બંધ
શંખનાદો ઝાલરોને બાગના આલાપ બંધ
મેં જરા મોટેથી પૂછ્યો પ્રશ્ન કે હું કોણ છું?
થઈ ગયા ધર્માલયોના દ્વાર આપોઆપ બંધ

– ઉમર ખૈયામ
અનુ. શૂન્ય પાલનપુરી

Comments (9)

લોહીની સગાઈ – ‘શૂન્ય’ પાલનપુરી

કહે છે કોણ આ ધરતી અમારે મન પરાઈ છે,
અમારા દેહમાં એની જ તો ખુશ્બૂ લપાઈ છે;
ખરેખર તો હવે કૈ રંગમાં આવ્યા છે સંબંધો,
વતન સાથે અમારે ‘શૂન્ય’ લોહીની સગાઈ છે.

– ‘શૂન્ય’ પાલનપુરી

Comments (7)

એક રુબાઈની લાંબી સફર : ઉમર ખૈયામ, શૂન્ય અને ફિટ્ઝેરાલ્ડ

તુંગી મય-ઈ-લાલ ખ્વાહમ ઓ દિવાની
સાદ-ઈ રમકી બાયદ ઓ નિસ્ફ-ઈ-નાની,
વાંગહ મન ઓ તુ નિશાસ્તા દર વિરાની,
ખૂવશ્ત બુવદ અઝ મામલાકત-ઈ-સુલ્તાની.

– ઉમર ખૈયામ

( એક લાલ મદિરાની સુરાહી અને કવિતાનું એક પુસ્તક હું ઈચ્છું છું. શરીર અને આત્માને સાથે રાખવા માટે રોટીનો એક ટુકડો પર્યાપ્ત છે. પછી હું અને તું બેઠા હોઈએ આ વિરાનમાં. આ સ્થિતિ કોઈ સુલતાનની સલ્તનત કરતા પણ વધારે આનંદદાયક હશે. અનુવાદ: બકુલ બક્ષી)

એક રોટી ઘઉંની, એક શીશામાં અંગૂરી અસલ,
શાંત નિર્જનમાં પ્રિયા ગાતી હો વીણા પર ગઝલ;
ભલભલા સમ્રાટને જે સ્વપ્નમાં પણ ના મળે,
ભોગવું છું વાસ્તવમાં ઐશ હું એવો વિરલ.

– શૂન્ય પાલનપુરી

Here with a loaf of bread beneath the bough
A flask of wine, a book of verse, and Thou,
Beside    me   singing   in   the  wilderness –
And      wilderness     is     Paradise   now !

– Edward FitzGerald

ઉમર ખૈયામની અતિ પ્રસિદ્ધ રુબાઈના આ ત્રણ સંસ્કરણ છે. કહે છે તમારી દરેક કવિતામાં માના દૂધનો સ્વાદ હોય છે. એટલે કે તમે જે વાતાવરણમાં ઉછરેલા હો એ વાતાવરણની અસર હંમેશ કવિતામાં દેખાવાની જ. ખૈયામની સલ્તનત ફિટ્ઝેરાલ્ડની કવિતામાં paradise બની જાય છે. જ્યારે ‘શૂન્ય’ની પ્રિયા તો ગઝલને વીણા પર વગાડે છે ! એક કવિતા કઈ રીતે સમય અને સંસ્કૃતિના પરિબળોથી બદલાય છે – અને છતાં ય એનો મૂળ વિચાર એટલો જ મોહક રહે છે – એનું આ સરસ ઉદાહરણ છે.

Comments (8)

મુક્તક – શૂન્ય પાલનપુરી

શ્વાસના પોકળ તકાદા છે તને માલમ નથી,
નાઉમેદીના બળાપા છે તને માલમ નથી;
જિંદગી પર જોર ના ચાલ્યું ફકત એ કારણે,
મોતના આ ધમપછાડા છે તને માલમ નથી.

– શૂન્ય પાલનપુરી

મૃત્યુના તસવ્વુરને શૂન્યે ખૂબ બહેલાવ્યો છે. દરેક શ્વાસ આપણને મૃત્યુની વધુ ને વધુ નજીક લઈ જાય છે એ ઘટનાને જિંદગી સામે વામણા બનતા મૃત્યુના ધમપછાડા સાથે સરખાવવાની કવિની ખુમારી કેવી મજાની છે ! 

Comments (7)

મુક્તિ-મંત્ર – શૂન્ય પાલનપુરી

સહન ચુપચાપ કરવાથી જીવન ફોગટ વહી જાશે.
કદમની  બેડીઓ  ‘કાયર’  સમા શબ્દો  કહી જાશે.
જવાંમર્દીથી   એક  જ  કૂદકે   અવરોધ  ટાળી  દે,
નહીંતર   મંઝિલો  દીવાલની  પાછળ  રહી   જાશે.

– શૂન્ય પાલનપુરી

Comments (10)

આપણી યાદગાર ગઝલો : ૦૭ : તમારા પ્રતાપે બધા ઓળખે છે – શૂન્ય પાલનપુરી

પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે;
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી, તમારા પ્રતાપે બધા ઓળખે છે.

સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી, અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે;
ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો, મને તારું સૌ મયકદા ઓળખે છે.

મે લો’યાં છે પાલવમાં ધરતીનાં આંસુ, કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું,
ઊડી ગઇ છે નીંદર ગગન-સર્જકોની, મને જ્યારથી તારલા ઓળખે છે.

અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા, નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે,
મળી છે અમોને જગા મોતીઓમાં, તમોને ફક્ત બદબુદા ઓળખે છે.

તબીબોને કહી દો કે માથું ન મારે, દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને, બહુ સારી પેઠે દવા ઓળખે છે.

દિલે ‘શૂન્ય’ એવા મેં જખ્મો સહ્યા છે, કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો,
છું ધીરજનો મેરુ, ખબર છે વફાને, દયાનો છું સાગર, ક્ષમા ઓળખે છે.

– શૂન્ય પાલનપુરી

સ્વર-સંગીત : મનહર ઉધાસ

[audio:http://tahuko.com/gaagar/layastaro/Shoonya Palanpuri-Parichay Chhe Mandir Ma Devo Ne.mp3]

જીવનમાં એક એવી પણ દશા આવે છે જ્યારે માણસને કહેવાનું થાય કે, તમારા પ્રતાપે બધા ઓળખે છે. મંદિર-મસ્જીદ-સુરાલય-સાગર બધાની વારંવાર મુલાકાત લેવાની થાય છે. કોઈ એને વ્યથાની દશા કહે પણ કવિ તો આ દશાને પણ પોતાની રીતે માણી રહ્યા છે. પોતાની જાતમાંથી બહાર નીકળીને જાતને જોવી, અને એ પણ વ્યથાના સમયમાં, એ બહુ મોટી વાત છે. એ અહીં કવિએ અજબ ખુમારી સાથે કરી બતાવે છે – નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે ! તબીબોને તો એમના સૌથી પ્રખ્યાત શેરમાથી એક છે. છેલ્લા શેરમાં વ્યથાનો સામનો કરવાના ચાર હથિયાર (ધીરજ, વફા, દયા અને ક્ષમા)ની વાત એમણે બહુ સરસ રીતે કરી છે.

Comments (8)

કૂંચી – શૂન્ય પાલનપુરી

પ્રેમ  કાજે,   પ્રેમ  દ્વારા,   પ્રેમ  કેરા  ટાંકણે,
સર્જકે  મુજ  શિલ્પ  કંડાર્યું  જીવનના આંગણે;
દિલને ઘડતાં રજ ખરી એનાથી જે કૂંચી બની,
કામ   લાગી   જ્ઞાનના   ભંડાર   કેરા  બારણે.

– શૂન્ય પાલનપુરી

Comments (5)

ગઝલમાં તબીબ, હકીમ અને વૈદ -સંકલન

બે વર્ષ પહેલાં ડૉક્ટર્સ ડેનાં દિવસે આપણા એક વ્હાલા તબીબે આપણને ‘ગઝલમાં દર્દ અને દવા’ નું ખૂબ જ મજાનું પ્રિસ્કીપ્શન આપ્યું હતું. પરંતુ આજે મને થયું કે આજે આપણે જ આ બંને તબીબ-મિત્રોને સરપ્રાઈઝ-પ્રિસ્કીપ્શન આપી દઈએ તો?!!

પહેલાં થયું કે ‘ગઝલમાં દર્દ અને દવા’નો ભાગ-3 બનાવું… પછી થયું કે એ ડૉક્ટરે તો મારા માટે કોઈ પણ શેરની દવા જ નથી રહેવા દીધી, હવે નવા શેર ક્યાંથી લાવું?!! તો વિચાર આવ્યો કે તબીબ, હકીમ કે વૈદવાળા શેર શોધીએ… પરંતુ ખોજ કરતા ખ્યાલ આવ્યો કે આ તો દર્દ અને દવા કરતાં અડધા શેર પણ ના મળ્યાં… પણ કંઈ નહીં મિત્રો, આપણે સૌ ભેગા મળીને શોધીએ અને એમને અર્પણ કરીએ… તમે સૌ મને શોધવા લાગશો ને?!!

મને મળેલા તબીબ/હકીમ/વૈદ નાં આટલા શેર આપણા વ્હાલા ડૉક્ટર-મિત્રો વિવેક અને ધવલને સપ્રેમ અર્પણ તથા અન્ય સૌ ડૉક્ટર-મિત્રોને પણ… અને ખાસ કરીને તમામ તબીબ-કવિ-મિત્રોને સપ્રેમ અર્પણ…!! વળી આજે વિવેકની હોસ્પિટલની આઠમી વર્ષગાંઠ પણ છે તો એ માટે વિવેકને ખાસ અભિનંદન.

સૌથી પહેલાં એકદમ તાજા શેર, જે ગૌરાંગભાઈએ ખાસ લખી મોકલ્યો છે… (જે મને આ તબીબ-મિત્રોને ખાસ કહેવાનું મન થાય છે! 🙂 )

હું ય પાસે રહીમ રાખું છું,
દોસ્ત મારો હકીમ રાખું છું.
-ગૌરાંગ ઠાકર

તબીબો પાસેથી હું નિકળ્યો દિલની દવા લઈ ને,
જગત સામે જ ઊભું હતું દર્દો નવા લઈ ને.
-બેફામ

દર્દ દેખી જો હૃદય ગદગદ નથી,
વૈદ! તારી ભાવના ભગવદ નથી.
-અગમ કોસંબવી

તું તબીબો જેમ માપે છે હૃદયનાં ઘાવને,
તું ગમે તે કર હવે આ દર્દ પકડાશે નહીં.
-અશરફ ડબાવાલા

અય હકીમો જાવ, દુનિયામાં દવા મારી નથી,
હું ઈશ્કનો બિમાર છું, બીજી કંઈ બિમારી નથી.
-અહમદ આકુજી સુરતી ‘સીરતી’

પોતે તબીબ છું પણ મારો ઈલાજ ક્યાંથી ?
વર્ષોથી સંઘરેલા રોગો મને ગમે છે.
-રઈશ મનીઆર

તારો ને મારો મેળ નહીં ખાય ઓ તબીબ,
મુજને પડી દરદની, તને સારવારની
શૂન્ય પાલનપૂરી

તબીબ જ સમજી શકશે દર્દ જાણી એમ આવ્યા છો,
તમારી સામે બેઠો છે પરંતું માનવી કોઈ.
-વિવેક ટેલર

એ મટે ના તો તબીબનો દોષ શો,
છે ઘણા દર્દો પીએ દવા તું એકલો.
-મુહમ્મદઅલી ભૈડુ ‘વફા’

એ દર્દ કે જેને મેં પાળ્યું છે જતનથી,
મુજને તબીબ માફ કર એની ન દવા યાદ.
-મુહમ્મદઅલી ભૈડુ ‘વફા’

તું તબીબ મિથ્યા પ્રયાસો છોડી દે નિદાનના
વેદના જુની થઈ ગઇ એટલે ભારી નથી.
-મુહમ્મદઅલી ભૈડુ ‘વફા’

અંતે શૂન્ય પાલનપુરીનાં બે મુક્તકો…

પીડા શમી ગયાનું કદી છળ નહીં કરે,
સેવાના કોઈ યત્નને નિષ્ફળ નહીં કરે,
સુંદર તબીબ હોય તો એક વાતનો છે ડર,
સજા થવાની કોઈ ઉતાવળ નહીં કરે.
-શૂન્ય પાલનપુરી

તબીબોને કહી દો કે માથું ન મારે,
દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને,
બહુ સારી પેઠે દવા ઓળખે છે.
શૂન્ય પાલનપૂરી

*

…અને હા મિત્રો, આ ડૉક્ટર્સ ડે પર ‘ગાગરમાં સાગર’ પર ડૉ.મધુમતી મહેતાનું ‘વૈદ મળ્યાં’ ગીત કાવ્યપઠન સાથે માણવાનું તેમ જ ‘ટહુકો’ પર ડૉ.અશરફ ડબાવાલાની અછાંદસ રચના SCHIZOPHRENIA વાંચવાનું પણ ચૂકશો નહીં હોં…!

Comments (23)

રુબાઈ – શૂન્ય – ખૈયામ

બુદ્ધિના પ્યાલે ભરીને લાગણી પીતો રહે,
છે સુરાલય જિંદગીનું, જિંદગી પીતો રહે;
કોઈની આંખોથી આંખો મેળવી, પીતો રહે,
દિલના અંધેરા ઉલેચી, રોશની પીતો રહે.

– ખૈયામ – શૂન્ય પાલનપુરી

Comments (2)

પ્યારું ઉપનામ – શૂન્ય પાલનપુરી

જેટલું   છે   બધું   જ   તારું  છે,
કૈં   ન   હોવાપણું  જ   મારું   છે.
‘શૂન્ય’ અવમૂલ્યનોની દુનિયામાં
તારું   ઉપનામ  કેવું  પ્યારું  છે !

– શૂન્ય પાલનપુરી

Comments (5)

રુબાઈ – ઉમર ખૈયામ (અનુ. શૂન્ય પાલનપુરી)

ઓ પ્રિયે ! પરિકરના જેવું આ જીવન છે આપણું,
બે જુદાં શિર છે પરંતુ એક તન છે આપણું;
વર્તુલો રચવા સુધીની છે જુદાઈની વ્યથા,
કાર્ય પૂરું થઈ જતાં સ્થાયી મિલન છે આપણું.

*

ડંખ દિલ પર કાળ-કંટકના સહન કીધા વગર,
પ્રેમ કેરા પુષ્પને ચૂમી શકે ના કો અધર;
કાંસકીને જો કે એના તનના સો ચીરા થયા,
તો જ પામી સ્થાન જઈને એ પ્રુયાની જુલ્ફ પર.

*

એમ લાગે છે કે આ કુંજો પણ ખરો પ્રેમી હશે,
કો સનમની રેશમી જુલ્ફોનો એ કેદી હશે;
હાથ આ રીતે વળે ના ડોક પર કારણ વિના,
યારની ગરદનનો મારી જેમ એ ભોગી હશે.

*

અ સનમ-દરબાર છે, ઓ દિલ તજીને સૌ ભરમ,
બાઅદબ દાખલ થઈ જા, ઓગળી જાશે અહમ;
પ્યારના હાથે ફનાનો ઘૂંટ જ્યાં પીધો કે બસ,
થઈ જશે આવાગમનના સર્વ ઝઘડાઓ ખતમ.

-હકીમ ઉમર ખૈયામ નીશાપુરી

ઈસવીસનની અગિયારમી સદીમાં ઈરાનમાં થઈ ગયેલા ઉમર ખૈયામની રુબાઈયાત આજે પણ વિશ્વ સાહિત્યની શ્રેષ્ઠ કૃતિઓમાં મોખરે સ્થાન પામે છે. એમનું મૂળ નામ ગ્યાસુદ્દીન ફત્હ ઉમર. ખૈયામ એમનું તખલ્લુસ. ખૈયામનો એક અર્થ તંબુ સીવનાર પણ થાય છે. (એમના પૂર્વજોનો એ ધંધો હતો). જન્મ ઈરાનના ખોરાસન મુકામે નીશાપુર ગામે. યાદદાસ્ત તીવ્ર. જ્યોતિષ, ખગોળશાસ્ત્ર, વાયુશાસ્ત્રમાં નિષ્ણાત. સુલતાન જલાલુદ્દીન મલેક શાહના દરબારમાં રાજજોષી તરીકે રહ્યા. હિજરી સન ૫૦૬માં પ્રાર્થનાના શબ્દો હોઠ પર રાખીને ૧૦૯ વર્ષની વયે દેહત્યાગ. એમની રુબાઈઓમાં ઈશ્વરીય પ્રેમ અને જીવન જીવવાની ફિલસૂફી સાકી, સનમ, શરાબના પ્રતીકો બનીને ઉપસી આવે છે.

આજે ‘વેલેન્ટાઈન ડે’ નિમિત્તે એક તરફ રૂમીની દાર્શનિક રુબાઈઓ માણીએ અને બીજી તરફ ખૈયામની પ્રણયોર્મિથી ચકચૂર રુબાઈઓનો ગુલાલ પણ કરીએ. શૂન્ય પાલનપુરીએ એમની રુબાઈઓના કરેલા અનુવાદ વિશે એવું પણ કહેવાય છે કે જો ઉમર ખૈયામ પોતે આ અનુવાદો વાંચે તો પોતાની તમામ રુબાઈઓ શૂન્યને જ અર્પણ કરી દે.

Comments (5)

ગઝલ – શૂન્ય પાલનપુરી

રાગ કેરી પ્યાલીમાં,  ત્યાગની સુરા પીને, લો અમે તો આ ચાલ્યા !
જિંદગીની મસ્તીને  આત્મ-ભાન  આપીને, લો અમે તો આ ચાલ્યા !

બુદ્ધિ કેરી વીણા પર લાગણી  આલાપીને,  લો અમે તો આ ચાલ્યા !
દર્દહીન દુનિયામાં દિલનું મૂલ્ય સ્થાપીને, લો અમે તો આ ચાલ્યા !

સૃષ્ટિના કણેકણમાં  સૂર્ય  જેમ  વ્યાપીને, લો અમે તો આ ચાલ્યા !
જાન કેરા ગજ દ્વારા  કુલ  જહાન માપીને, લો અમે તો આ ચાલ્યા !

ધર્મના   તમાચાઓ,  બેડીઓ  પ્રલોભનની,  કોરડા   સમય   કેરા;
એક  મૂંગી  શ્રદ્ધાની  વેદનાઓ  માપીને,  લો અમે તો આ ચાલ્યા !

ધૈર્ય   કેરા   બુટ્ટાઓ,   પાંદડી   ક્ષમા   કેરી,   વેલ   છે કરુણાની,
પ્રાણના પટોળા પર, દિવ્ય ભાત છાપીને, લો અમે તો આ ચાલ્યા !

થાય  તે  કરે  ઈશ્વર !  ભાન  થઈ ગયું અમને, આપ-મુખ્ત્યારીનું !
દમ  વિનાના  શાસનની આજ્ઞા ઉથાપીને, લો અમે તો આ ચાલ્યા !

શૂન્યમાંથી  આવ્યા’તા,  શૂન્યમાં  ભળી  જાશું,  કોણ રોકનારું છે ?
નાશ  ને  અમરતાની  શૃંખલાઓ કાપીને લો અમે તો આ ચાલ્યા !

-શૂન્ય પાલનપુરી

‘ગાલગા લગાગાગા’ના ત્રણ આવર્તનોથી બનેલી આ ગઝલ એની ઝીણી કોતરણી બદલ દાદ માંગી લે છે. એક તો છંદના આવર્તનોના કારણે એક અજબ લય ઊભો થાય છે અને એ મૌસિકી(સંગીત)માં ઉમેરો કરે છે ‘લો અમે તો આ ચાલ્યા‘નો બળકટ ગેય રદીફ. ‘અમે તો આ ચાલ્યા’ કહીને હાથ ખંખેરીને ચાલ્યા જવાને બદલે શૂન્ય આગળ ‘લો’ ઉમેરીને અહીં બીજું જ નિશાન તાકે છે. એક ‘લો’ શબ્દનો ઉમેરો વાચકને ઈંગિત કરતો જાય છે કે અમે તો ચાલ્યા, પણ તમારું શું? સાથે જોડાશો કે નહીં? કે જીવનની સફરમાં બેસી ને જ કાપશો?

કહેવાય છે કે ગઝલનો પહેલો શેર-મત્લા- એ ગઝલમાં પ્રવેશવાનો દરવાજો છે. કવિએ અહીં ત્રણ-ત્રણ મત્લા વાપરીને ભાવકને ગઝલ-પ્રવેશની ખાસ્સી અનુકૂળતા કરી આપી છે. એમ પણ કહી શકાય કે ગઝલનું આગવું ભાવવિશ્વ ત્રણગણું ઘૂંટીને આખા માહોલને વધુ પ્રભાવક બનાવી દીધો છે. એક બીજી નોંધવા જેવી વસ્તુ છે તે આ ત્રણેય મત્લામાં સતત પુનરાવર્તિત થયેલા નાનાવિધ વિરોધાભાસ. પ્યાલી રાગની હોય તો સુરા ત્યાગની. મસ્તી છલકાતી હોય ત્યાં આત્મભાન અડોઅડ. બુદ્ધિની વીણા પણ આલાપ લાગણીનો. બેદર્દી દુનિયાના બીજા પલ્લામાં દિલની દોલત. કણની સૂક્ષ્મતા સામે સૂર્યની વિશાળતા. ગજ એક જાન જેવડો નાનકડો પણ માપ દુનિયા જેવડું વિશાળ. જીવનની ફિલસૂફી આ ત્રણ મત્લામાં ઘૂંટી-ઘૂંટીને શૂન્ય ભાવકને એવી જગ્યાએ લાવી ઊભો કરી દે છે જ્યાંથી ગઝલ-પ્રવેશ ન માત્ર સરળ બની રહે છે, એક ફાટી ફીટે નહીં એવી ભાત પણ અંકાઈ જાય છે.

(આવતીકાલે એક નાનકડું સરપ્રાઈઝ આ કૃતિના અનુલક્ષમાં.)

Comments (6)

જોઈએ – શૂન્ય પાલનપુરી

મોતની તાકાત શી મારી શકે?
જિંદગી તારો ઈશારો જોઈએ
જેટલે ઊંચે જવું હો માનવી
તેટલા ઉન્નત વિચારો જોઈએ

– શૂન્ય પાલનપુરી

Comments (3)

કોણ માનશે?- ‘શૂન્ય’ પાલનપુરી

દુઃખમાં જીવનની ભાળ હતી, કોણ માનશે?
ધીરજ રતનની ખાણ હતી. કોણ માનશે?

શૈય્યા મળે છે શૂળની ફૂલોના પ્યારમાં.
ભોળા હૃદયને જાણ હતી. કોણ માનશે?

લૂંટી ગઇ છે યાર! ઘડીના પ્રવાસમાં.
યુગ-યુગની ઓળખાણ હતી. કોણ માનશે?

ઉપચાર તો ગયા અને આરામ થઇ ગયો.
પીડા જ રામબાણ હતી. કોણ માનશે?

ઇશ્વર સ્વરૂપે જેને જગત ઓળખી રહ્યું.
એ શૂન્યની જ પીછાણ હતી. કોણ માનશે?

– ‘શૂન્ય’ પાલનપુરી  

‘રૂસવા’ અને ‘શૂન્ય’ – ગુરુ અને શિષ્ય. બન્નેની એકજ કાફીયા ની બે ગઝલો છે. પણ ગુરુ કરતાં શિષ્ય ચઢી જાય છે. ‘રૂસવા’ ની ગઝલમાં ફરિયાદ છે. પીડા હાથે કરીને વહોરી છે, અને હવે પસ્તાવો થતો હોય તેમ લાગે છે.

‘શૂન્ય’ ની મસ્તી ન્યારી છે. તે તો પીડાને જ રામબાણ ઈલાજ માને છે.

આ કઇ પીડાની વાત છે? કઇ દિવાનગીની વાત છે? આ એ પીડાની વાત છે જે શિરીં અને ફરહાદે વહોરી હતી. જિસસ, મહંમદ, બુદ્ધ અને ગાંધીએ હાથે કરીને વહોરી હતી, તે પીડાની વાત છે. લોકોત્તર માનવીઓએ જીવનની સામાન્ય અપેક્ષાઓથી પર જઇને જે દિવાનગી અપનાવી હતી તેની ગાથા છે.

અર્થશાસ્ત્રના નિયમો – જરૂરિયાતો, સગવડો અને વૈભવો – થી સાવ નિરાળા એક ગાંડપણથી દોરવાતી જિંદગીની આ વાત છે. બધાજ ગઝલકારોએ જે શરાબની મુક્તકંઠે પ્રશંસા કરી છે તે શરાબ આ દિવાનાઓએ બરાબર પીધો છે. અને એની મસ્તીમાં આ પીડા જ રામબાણ ઈલાજ બની જાય છે. આ મસ્તીની પીડા મનના માણીગર કોઇ પ્રેમી માટે હોય, કે જીવનના છેલ્લા ગાળામાં સેંટ પીટરના દેવળની છત પર ચિત્રકામ કરનાર લિયોનાર્ડો- દ-વિંસીની તેના ચિત્ર માટે હોય, કે કોઇ શિલ્પકારની તેના શિલ્પ માટે હોય, કે જિસસની સમસ્ત માનવજાત પ્રત્યે કરુણા માટે હોય, કે કોઇ સત્યશોધકની પરમ સત્યને પામવા માટેની હોય.

મસ્તીમાં લીન થઇ ગયેલા માનવોની આ ગઝલ છે. જ્યારે આ મસ્તી ચરમ સીમાએ પહોંચે છે, ત્યારે જ વિરક્તિ આપોઆપ ટપકી પડે છે. કહેવાતો ઇશ્વર આ શૂન્યની પિછાણ છે. જેને આ શૂન્ય મળે છે તે મસ્તીથી પણ પર પરમ સમાધી અવસ્થાને પામે છે. વૈકુંઠમાં રાસનું દર્શન કરતાં નરસૈયા નો હાથ મશાલથી બળતો હોય તો પણ તેની પીડાની તેને ખબર ન પડે તેવી આ સમાધી હોય છે.

જવાહર બક્ષી પણ ગાય છે કે:-
’મસ્તી વધી ગઇ તો વિરક્તિ થઇ ગઇ.
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઇ ગયો.’

આપણને ઇશ્વર જોઇએ છે, કારણકે આપણને સ્વર્ગ જોઇએ છે. આપણને કશું જ ન જોઇએ તેવી શૂન્યની મસ્તી ખપે છે? એ પીડા જોઇએ છે? ના કારણકે આપણને એ પીડા લાગે છે. તેથી જ આપણે માટે કદી એ મસ્તીની ઉપલબ્ધિ શક્ય નથી. એટલે જ આપણે આ ધર્મ અને પેલા ધર્મ ના હવાતિયાં મારીએ છીએ.
આ મસ્તી માણવી બહુ જ સરળ છે. આપણે જેમાં રસ ધરાવતા હોઇએ તે પ્રવૃત્તિમાં કોઇ પણ અપેક્ષા વિના રમમાણ થવાનું, એકરૂપ થવાનું શરુ કરીએ. આપણા એ ‘Passion’ ને ચરમ સીમા પર લઇ જઇએ. મસ્તી વધતી જશે અને આપણે શૂન્યની વધુ ને વધુ નજીક જતાં જઇશું. જીવન વ્યવહારની સાથે સાથે આપણે આપણા જીવનનો વધારે ને વધારે અંશ આ મસ્તી માટે જરૂર ફાળવી શકીએ. કારણકે આપણને આનો ‘Passion’ છે. આમાં ફળ માટે કોઇ આસક્તિ નહીં રહે. કારણકે આ તો આપણો પ્રિયતમ છે. આપણે તેને માટે ખુવાર થઇ જવા તૈયાર છીએ. આપણે તો તેની સાથે એકાકાર થઇ, શૂન્યની અનુભૂતિ કરવી છે.

ચાલો આપણે જીવનને એક નવા રસ્તે વાળીએ. જ્યારે માનવજાતમાં કરોડોમાં એક વિરલા જેવા જિસસ કે ગાંધી જ નહીં પણ આપણા જેવા ઘણા બધા સામાન્ય માણસો જીવનની આ દિશાએ વળશે, ત્યારે નવી માનવજાત પૃથ્વી ઊપર પ્રગટશે. કદાચ પેલા કહેવાતા ઇશ્વરનું, જીવની ઉત્ક્રાંતિનું આ સ્વપ્ન પણ હોય.

Comments (5)

નૂરે ગઝલ -‘શૂન્ય’ પાલનપુરી

આંખડી છેડે સરગમ, હૃદય તાલ દે, અંતરો ગાય પંચમના સૂરે ગઝલ;
દર્દ અંગડાઇ લે, પ્રેમ ઝૂમી ઊઠે, રૂપ ઝણકાવે પાયલ ને સ્ફુરે ગઝલ.

દૃશ્ય સર્જાય મોંઘું મિલનનું અને સાથિયા ચાંદ-સૂરજના પૂરે ગઝલ;
દોર ગોઝારો જામે વિરહનો અને રાતના ઘોર સન્નાટે ઝૂરે ગઝલ.

ઊર્મિઓને કશું ક્યાંય બંધન નથી,લાગણી મુક્ત છે સ્થળ અને કાળથી;
બુલબુલોએ રચી ગુલશનોમાં અને આમ્ર-કુંજોમાં ગાઇ મયૂરે ગઝલ.

બે ધડકતા દિલોની કહાણી બને, રંગ ભીની કરુણાની લ્હાણી બને,
પ્રેમ ને રૂપની દિવ્ય વાણી બને, તો જ પહોંચી શકે દૂર દૂરે ગઝલ.

દેહના કોડિયે, પ્રાણની વાટને, લોહીમાં ભીંજવીને જો બાળી શકો,
તો જ પ્રગટી શકે દર્દની મ્હેફિલે, દિલને રોશન કરે એવું નૂરે ગઝલ.

જન્મ-મૃત્યુ છે, મત્લા ને મક્તા ઉભય, શ્વાસના કાફિયા, જિંદગીનો વિષય ;
રંગ લૌકિક છે પણ અલૌકિક લય , ગાય છે ‘ શૂન્ય’ ખુદની હજૂરે ગઝલ.

-‘શૂન્ય’ પાલનપુરી

આ રચના શ્રી મનહર ઉધાસે બહુ જ ભાવવાહી સ્વરાંકનમાં અને તેમના મધુર અવાજમાં ગાઇ છે. ગઝલ રૂપાળી કેમ લાગે છે તેનું આવું સુંદર બયાન ‘શૂન્ય’ જ આપી શકે.

બહારથી રૂપાળી દેખાતી ગઝલના મૂળમાં ‘સપનાં’ અને ‘શૂળ’ હોય છે તેની પ્રતીતિ આપણને આ ગઝલ વાંચતાં અને સાંભળતાં થાય છે.

રસિક જનોને માહિતી કે ‘શૂન્ય’ ની રચનાઓ બજારમાં આજ સુધી અપ્રાપ્ય હતી, પણ ‘મુસાફિર’ પાલનપુરીએ તેમના પાંચ સંગ્રહોમાંથી વીણી વીણીને રચનાઓ ભેગી કરી છે અને ‘શબ્દલોક પ્રકાશન’ ની સહાયતાથી આ વર્ષે એક પુસ્તકમાં પ્રકાશિત કરી છે, જેનું નામ છે – ‘દરબાર શૂન્યનો’

Comments (4)

રમવું જોઈએ – ઉમર ખૈયામ અનુ.’શૂન્ય’ પાલનપુરી

બાવરા થઈને કદી દરદર ન ભમવું જોઈએ,
ભાગ્ય સારું હો કે નરસું મનને ગમવું જોઈએ;
વ્યોમની  ચોપાટ  છે  ને સોગઠાં પુરુષાર્થનાં,
જેમ   પડતા   જાય   એમ  રમવું જોઈએ !

– ઉમર ખૈયામ
( અનુ.’શૂન્ય’ પાલનપુરી )

Comments (4)

રુબાઈયાત -ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,
એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.

શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.

હર પ્રભાતે ચેતવે છે કૂકડાઓની પુકાર,
જો ઉષાના દર્પણે તારા જીવન કેરો ચિતાર;
જાગ ઓ નાદાન, વીતી રાત આખી ઊંઘમાં,
આયખું એમ જ ઘટી જાશે કદી કીધો વિચાર ?

-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

Comments (5)

કોણ માનશે ? – શૂન્ય ‘પાલનપુરી’

દુ:ખમાં જીવનની લાણ હતી, કોણ માનશે ?
ધીરજ રતનની ખાણ હતી, કોણ માનશે ?

શૈયા મળે છે શૂળની ફૂલોના પ્યારમાં !
ભોળા હ્રદયને જાણ હતી, કોણ માનશે ?

કારણ ન પૂછ પ્રેમી હ્રદય જન્મ-ટીપનું,
નિર્દોષ ખેંચ-તાણ હતી, કોણ માનશે ?

ઈશ્વર સ્વરૂપે જેને જગત ઓળખી રહ્યું,
એ ‘શૂન્ય’ની પીછાણ હતી, કોણ માનશે ?

-શૂન્ય ‘પાલનપુરી’

Comments (5)