તું ન માને કહ્યું, તું ન વર્તે સમય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
છે મને રાત દી એક તારો જ ભય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
ગની દહીંવાલા

ફૂલોનું ઝેર – ‘શૂન્ય’ પાલનપુરી

કાંટાના ડંખ સાથે છે ફૂલોનું ઝેર પણ,
વાળે છે શું વસંત ગયા ભવનું વેર પણ.

તણખા છે સંસ્કૃતિના કળિયુગનો વાયરો,
જંગલની જેમ ભડકે બળે છે શહેર પણ.

દૃષ્ટિની સાથ સાથ પડળ પણ છે આંખમાં,
જ્યોતિની ગોદમાં છે તિમિરનો ઉછેર પણ.

આવ્યા, તમાશો જોયો અને લીન થઈ ગયા…
ભૂલી ગયા કે પાછા જવાનું છે ઘેર પણ.

શંકર બધું જ પી ન શક્યા ‘શૂન્ય’ એટલે
આવ્યું છે વારસામાં અમારે આ ઝેર પણ.

– ‘શૂન્ય’ પાલનપુરી

આમ જુઓ તો પરંપરાની ગઝલ પણ સંસ્કૃતિના તણખા, કળિયુગનો વાયરો અને વાતે-વાતે ભડકે બળતાં શહેરવાળા શેરથી વધુ સાંપ્રત બીજું શું હોઈ શકે?

Leave a Comment