કંઈ જ ના કહેવાય ક્યારે છેતરે,
શક્યતા સૌથી વધારે છેતરે.

ભાગ્યને જો નાવ સોંપી હોય તો,
છેક લાવીને કિનારે છેતરે.
– બાબુલાલ ચાવડા ‘આતુર’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for November, 2024

(અલગ છે!) – હર્ષવી પટેલ

ધાર્યા કરતાં સાવ અલગ છે
આવ્યો પણ બદલાવ અલગ છે

તમે લીધો એ દાવ અલગ છે,
અમે ગણ્યા એ ઘાવ અલગ છે.

શબ્દ જુદા છે હોઠ ઉપર ને,
આંખોમાં પ્રસ્તાવ અલગ છે.

તારી વાણી, તારું વર્તન,
તું જાતે સરખાવ, અલગ છે.

જાવું છે એ ઘાટ જુદો છે,
બેઠા છો એ નાવ અલગ છે.

સહુના માથે સૂરજ એક જ,
ધૂપ અલગ છે, છાંવ અલગ છે.

પહેલાં ભાવસભર મળતાં’તાં,
હમણાંનો સદભાવ અલગ છે!

– હર્ષવી પટેલ

લયસ્તરો પર કવયિત્રીના પ્રથમ કાવ્યસંગ્રહ ‘તારી ન હો એ વાતો’નું સહૃદય સ્વાગત છે…

ટૂંકી બહર અને સરળ ભાષામાં કવયિત્રી કેવી મજાની ગઝલ લઈ આવ્યાં છે. કયા શેરને વધુ પસંદ કરવો એ ભાવક માટે સમસ્યા થઈ પડે એવી જાનદાર સંઘેડાઉતાર ગઝલ…

Comments (7)

(છોકરીની નજરોએ) – અર્પણ ક્રિસ્ટી

છોકરીની નજરોએ કર્યું જ્યાં ‘સ્માઈલ’ ત્યાં છોકરાને ફૂટી ગઈ પાંખો,
છોકરાના સ્પર્શે સીંચાઈને છોકરીમાં મઘમઘ્યો બાગ આખેઆખો.

આંખોની સામે એ છોકરી ના હોય તોય છોકરાને દેખાતી આખી,
છોકરાનું નામ લેતાં છોકરીને લાગે કે જીંદગીને એણે છે ચાખી.
બંનેની નજરો મળે ત્યારે થઈ જાતી ‘લવ લેટર’ બંનેની આંખો.
છોકરીની નજરોએ કર્યું…….

છોકરાની છાતીમાં છોકરીનું રાજ અને છોકરાને લાગે ‘હું રાજા’,
અંગોમાં છોકરીનાં ઊગે છે છોકરો આ, થઈને ફૂલો રોજ તાજાં.
કોરીકટ ધરતી પર તેઓની વરસી હો જાણે કે વાદળીઓ લાખો…
છોકરીની નજરોએ કર્યું….

-અર્પણ ક્રિસ્ટી

છોકરા-છોકરીનાં ગીત કાને પડતાવેંત ર.પા.ની યાદ આવે. પણ ખરી મજા તો ત્યારે આવે, જ્યારે ર.પા. જેવા પૂર્વસૂરીના ખભે ઊભો હોવા છતાં સર્જક પોતાની વાત પોતાની રીતે કહી શકે. પ્રસ્તુત રચના આ વિશેષતા તુર્ત જ અનુભવાય છે. ગીત કોઈ પ્રકારની ટિપ્પણીનું મહોતાજ નથી. સહજસાજ ભાષામાં કવિએ છોકરા-છોકરીની દ્વિપક્ષી પ્રણયકથાને પ્રવાહી લયના તાંતણે બખૂબી વણી લીધી હોવાથી ગીત સાચા અર્થમાં મનનીય થયું છે.

Comments (7)

ભુજ શહેર-સ્થળમાં : એક વૃત્તાન્ત – ધીરેન્દ્ર મહેતા

ભુજને
કાંડું-પંજો અને આંગળીઓ પણ
ફૂટવા માંડી છે;
અને આંગળીઓએ સળવળી સળવળીને
વિસ્તરવા માંડ્યું છે…
સ્નાયુની જેમ ઊપસેલો ભુજિયો
એ જ નથી ભુજની શોભા હવે;
પાંચે આંગળીએ પહેરેલી
અનેક વીંટીના નંગ સમી
શોભવા લાગી છે સોસાયટીઓ…
અને પાંચે આંગળીઓએ
ભીંસાઈ ભીંસાઈને
કેટકેટલું લેવા માંડયું છે મૂઠીમાં!
આ ભીંસથી
એની નસોમાં ફરતું લોહી
કાળું પડવા માંડયું છે.
એનાં નસકોરાંમાંથી નીકળતો ધુમાડો જોઈ
મને હતું
કાળું પડતું જશે
આ આખું શહેર;
૫ણ જોઉં છું,
આ નગરની એક આંખ
(જે ઓળખાતી હમીરસરને નામે)
ફરી પાછી છલકાઈ ઊઠી છે
અને તરવા લાગી છે
એની લખોટા જેવી કીકી.
એના ખાલીપા નીચે
ધરબાઈ ગયેલાં
આ નગરનાં સ્વપ્નોએ
વૃક્ષો બનીને
ફરી પાછું
આકાશને તાકવા માંડ્યું છે.
વીતી ગયેલા એક સ્વપ્ન જેવો મહાલય
એને પોપચે ઊભો રહીને
ફરી જાણે આ
આંખમાં પ્રવેશવા મથે છે.
જલપ્રવાહની આવમાં ખેંચાઈ આવેલાં
મત્સ્યોની જેમ એમાં
ફરી પાછું
કશુંક સળવળવા માંડયું છે
અને
સુકાઈ ગયેલા આંસુની ધાર જેવો રસ્તો
ફરી પાછો
રેલો બનીને
લે, આ તારા ચરણ લગી આવી પહોંચ્યો છે.
આ ભુજ
હાથ બનીને–આંગળીઓ બનીને–નહોર બનીને
આ આંખને ફોડી નાંખે
એ પહેલાં
ચાલ, જોઈ લઈએ,
એમાં તરતાં મત્સ્યો,
એમાં તરતાં સ્વપ્નો!

– ધીરેન્દ્ર મહેતા

નગરકાવ્યો આપણી સાહિત્યસમૃદ્ધિનું અગત્યનું પાસું છે. પ્રસ્તુત રચનામાં ભુજ કેન્દ્રસ્થાને છે. ભુજમાં પ્રચંડ ભૂકંપ આવ્યો એના પંદર-સોળ વર્ષ પહેલાં લગભગ ૧૯૮૫ની આસપાસમાં આ રચના લખાઈ છે, પણ ચાળીસેક વર્ષ પૂર્વે શહેરીકરણનો રાક્ષસ જેટલો પ્રભાવી અને વિકરાળ જણાતો હતો એટલો જ આજે પણ લાગતો હોવાથી રચના આજેય એટલી જ પ્રસ્તુત લાગે છે. બંધ મુઠ્ઠી ખૂલે અને આંગળીઓના પ્રસારને લઈને પંજાનો વિસ્તાર વધતો જાય એ રીતે ભુજ પણ વિસ્તરી રહ્યું છે. નગરમધ્યે વિરાજમાન ભુજિયો ડુંગર ભુજની એકમાત્ર શોભા નથી રહ્યો પણ શહેરમાં ફૂલીફાલી રહેલી સોસાયટીઓ વીંટીના નંગ સમી શોભી રહી છે એમ કહીને કવિએ વેધક કટાક્ષ કર્યો છે. પ્રદૂષણનો કાળોતરો આખા ભુજને ગળી જશે એવી ભીતિના કાળાં વાદળોમાં કવિને ફરી એકવાર છલકાવા લાગેલ હમીરસર તળાવ નામની સોનેરી કોર નજરે ચડે છે. પાંખા વરસાદવાળા વિસ્તારની સમૃદ્ધિ સ્વાભાવિકપણે જળની આવને આભારી જ હોવાની. હમીરસર તળાવના ભરાવાથી નગરનાં સ્વપ્નોને વૃક્ષ બની મહોરવાની તક સાંપડી છે. ઔદ્યોગિકીકરણનો રાક્ષસ નગરને ભરખી જાય, એ પૂર્વે જીવી લેવાના આહ્વાન સાથે કવિ વાત પૂરી કરે છે ત્યારે આપણી ચેતનામાં સળવળાટ શરૂ થાય છે…

Comments (2)

(ગોઠે મને) – નયન હ. દેસાઈ

જિંદગી લઈ જા કોઈ કોઠે મને,
સાંજ પડતાં કેમ ના ગોઠે મને?

પ્યાસ પણ ક્યાં ગઈ હવે કોને ખબર?
મૃગજળો ચાંપી દઈ હોઠે મને.

ચાહવું, હર શખ્સને બસ ચાહવું,
સત્ય સમજાવ્યું કોઈ ઠોઠે મને.

હું નગરની ભીંતમાં ભૂલો પડ્યો,
લઈ લીધો પડછાયાની પોઠે મને.

જ્યાં નશામાં જીતના ફરતો રહ્યો,
તેં હરાવ્યો સાતમા કોઠે મને.

વ્યક્ત કરવો છે મને- પણ કઈ રીતે?
છેતર્યો તેં શબ્દના ઓઠે મને.

– નયન હ. દેસાઈ

એક જમાનો હતો જ્યારે વારાંગનાઓના કોઠા સમાજનો અગત્યનો હિસ્સો ગણાતા હતા. સભ્ય સમાજના લોકો ચાલચલગત શીખવા માટે તરવરિયા યુવાનોને કોઠા પર મોકલતા હતા. પાકીઝા, ઉમરાવ જાન, સાહેબ બીબી ઔર ગુલામ, દેવદાસ જેવી અસંખ્ય ફિલ્મોએ આ કોઠાઓના વૈભવને ખૂબ મહિમાન્વિત પણ કર્યો છે. પ્રસ્તુત ગઝલનો મત્લા સ્વાભાવિકપણે એ સમયના સંસ્કારોની નીપજ છે. સાંજ પડતાવેંત જીવને અસુખ અનુભવાવા માંડે એવા સમયે નખશિખ સજ્જન કવિને પણ કોઠો યાદ આવે છે, કેમ જાણે જિંદગીના તમામ અસુખોનો ઈલાજ ત્યાં જ ન હોય! આ તો થઈ મત્લાની વાત, પણ સરવાળે તો આખી ગઝલ જ સંતર્પક થઈ છે… નિભાવવી કઠિન થઈ પડે એવી રદીફ સાથે બખૂબી કામ પાર પાડીને કવિએ આપણને સાદ્યંત સુંદર ગઝલ આપી છે. નવા ગઝલકારો માટે સારું-નરસું નક્કી કરવું દોહ્યલું બની જાય એ હદે ચારેતરફ ગઝલોનો મહાસાગર ઉછાળા મારી રહ્યો છે, પણ સાચા અર્થમાં સારા ગઝલકારો શા માટે સારા ગણાયા એ સમજવું હોય તો આવી ગઝલો તરફ આપણી ધ્યાનની નૈયાનું સુકાન ફેરવવું પડે…

Comments (12)

ચાર દસકે – જગદીપ નાણાવટી

ચાર દસકે જિંદગી થઈ સાબદી,
રે! હજી તો યાદ છે સાતે પદી.

એ જ ખંજન, સ્મિત નમણું, એ અદા –
કાંઈ પણ લાગ્યું નથી વાસી કદી.

ભેદ ભાગ્યા, ગુણને ગુણ્યા કર્યા,
શેષમાં સંતોષ, વ્હાલપની વદી.

ખળખળ્યાં, ઉછળ્યાં ઝરણ થઈ, પણ હવે
ચાલ વહીએ, ધીરગંભીર થઈ નદી.

બે હલેસાં- એક તું, ને એક હું,
આપણે તો પાર કરવી છે સદી.

– જે. કે.

કવિતા એટલે ખરા અર્થમાં દિલથી દિલને જોડતી કડી… જે વાત કવિના હૃદયમાંથી નીકળી ન હોય અને/અથવા ભાવકના હૃદય સુધી પહોંચી ન શકે એ ગમે એટલી અલંકારિક કે વિદ્વત્તાસભર કેમ ન હોય, એ કવિતા તો નથી જ. વીરપુર નજીક જેતપુર ગામમાં એમડી ફિઝિશ્યન તરીકે વર્ષોથી સેવા બજાવતા તબીબ-કવિ-ગાયક જે. કે. નાણાવટીના દિલમાંથી એમના લગ્નજીવનના ચાર દસકા પૂરા થવાનાનિમિત્તે જે વાત નીકળી એ સીધી આપણા દિલને અડી જાય એવી છે. પાંચેય શેર સરળ હૃદયંગમ બાનીમાં લખાયા છે. જેમ જેમ ગઝલ આગળ વધતી જાય છે, એમ એમ શેર વધુ બળકટ થતા જાય છે. છેલ્લો શેર તો, ભઈ વાહ!

Comments (17)

…કોઈ સ્મરણ ઉપર – પંથી પાલનપુરી

જ્યાં વૃક્ષ ફૂલ ખેરવે વ્હેતાં ઝરણ ઉપર,
કોઈ લખી દો નામ એ સ્થળનું ચરણ ઉપર.

કિલ્લોલતું પરોઢ પ્રસરતું ગુલાલમાં,
જ્યાં સાત સૂરની ઝળુંબે સાંજ ધણ ઉપર.

મહેકે શકુન્તલાનો પરસ ફૂલ-પત્ર પર,
જ્યાં વ્હાલ કણ્વ ઋષિનું થરકે હરણ ઉપર.

ગુંગળાઉં છું, રિબાઉં છું ઓથાર હેઠ હું,
લઈ જાવ જ્યાં ન ધૂમ્ર હો વાતાવરણ ઉપર.

આ કાળમીંઢ ભીંત અને મ્લાન દર્પણો,
ચહેરા તળે છે આવરણ, કૈં આવરણ ઉપર.

તૂટે પીઠિકા થાકથી, ભીંસાય પાંસળી,
ખડકી છે કોણે કૈંક સદી એક ક્ષણ ઉપર?

એવો મળ્યો છે એક દિલાસો મરૂસ્થળે,
જોયા કરું છું ઊંટનો આકાર રણ ઉપર.

નિષ્પર્ણ વૃક્ષને અઢેલી આથમી ગયો,
‘પંથી’ જીવે તો કેટલું કોઈ સ્મરણ ઉપર?

– પંથી પાલનપુરી

ગઝલના મત્લા અને મક્તા વાંચતાવેંત મોહી પડાય એવા મજાના થયા છે. મત્લામાં નિસર્ગની ચાહના એના ચરમ શિખરે નજરે પડે છે તો મક્તામાં પ્રણયની નિરાશાની ચરમસીમા સિદ્ધ થઈ છે. બીજા શેરમાંના એક છંદદોષ અને વાતાવરણવાળા ચોથા શેરમાં કાફિયા-રદીફની અનિવાર્યતાને કારણે સર્જાતા ભાષાદોષ (વાતાવરણમાં-સાચું)ને અવગણીએ તો બાકીની આખી ગઝલ પણ આસ્વાદ્ય થઈ છે.

Comments (4)

(જરા છું, જરા નથી) – રઈશ મનીઆર

ચાલું છું પણ સફરમાં જરા છું, જરા નથી,
છું કેદ, તોય ઘરમાં જરા છું, જરા નથી.

એવીય છે ગતિ, જે વહે બાળપણ તરફ,
વધતી જતી ઉમરમાં જરા છું, જરા નથી.

વેરાઈ આમતેમ જરા હળવો થાઉં છું,
આ દેહની ભીતરમાં જરા છું, જરા નથી.

સંપૂર્ણ લક્ષ પણ નથી, અવગણના પણ નથી,
ઈશ્વરની પણ નજરમાં જરા છું, જરા નથી.

પીડા તો થાય છે છતાં છે સ્મિત હોઠ પર,
છેદ્યું તમે એ થરમાં જરા છું, જરા નથી.

પ્રત્યેક રાતે મરતો રહું છું જરાજરા,
હર ઊગતા પ્રહરમાં જરા છું, જરા નથી.

ફૂટેલા લીલા ઘાસમાં મારો જ અંશ છે,
દાટ્યો’તો એ કબરમાં જરા છું, જરા નથી.

– રઈશ મનીઆર

લયસ્તરો પર આજે કવિશ્રી રઈશ મનીઆરના નવ્ય ગઝલસંગ્રહ ’કેવળ સફરમાં છું’નું સહૃદય સવાગત કરીએ…

સંગ્રહમાંથી કોઈ એક ગઝલ પસંદ કરવાનું કામ બહુ અઘરું હતું. જે ગઝલ પસંદ પડે, એ તો લયસ્તરો પર હોય જ. એક અનૂઠી રદીફવાળી ગઝલ અત્રે રજૂ કરું છું. વર્ગમાં શિક્ષક ભણાવતાં હોય કે મિત્રો ભેગાં મળીને વાતચીત કરતાં હોય, મા-બાપ કોઈ બાબતે ઠપકો આપતાં હોય કે બાલ્કનીમાં ખુરશી ઢાળીને આપણે એકલા બેઠા હોઈએ, આપણા સહુનો અનુભવ છે કે આપણે જ્યાં હોઈએ છીએ ત્યાં કદીયે સોએ સો ટકા હાજર રહી શકતાં જ નથી. આવી અધકચરી અધૂરી ઉપસ્થિતિ લઈને જ આપણે દુનિયામાંથી પસાર પણ થઈ જઈએ છીએ. આવી જરા હોવાની અને જરા ન હોવાની આંશિકતાતો તંત ઝાલીને પડકારરૂપ રદીફ પ્રયોજીને કવિએ કેવી મજાની સપ્તરંગી ગઝલ આપી છે!

Comments (14)

ઝાલાવાડ – લાભશંકર રાવળ ‘શાયર’

બહાર અમારે રેતી, ભીતર
.            જલની ભરખમ આવ,
સુખમાં ભલે ન કાંઈ સમજીએ
.            દુઃખમાં તો દરિયાવ.
.            અમારે ભીતર જલની આવ.

જરીક ટચકો વાગે હૈયે
.            પ્રગટે રસ સરવાણી
જગને જ્યારે મૃગજળ અમને
.            સઘળે પાણી પાણી
વૈશાખી આંખોના તળિયે
.            ભાદરવાના ભાવ
.            અમારે ભીતર જલની આવ.

અષાઢનું જલ જગના હૈયે
.            કલકલ વહેતું જાતું,
પચતું ઉરની ભોંય અમારે
.            ફોગટ ના છલકાતું,
અષાઢ તો આષાઢ અમારે
.            સાગ૨નાય સમાવ
.            અમારે ભીતર જલની આવ.

વસંતમાં તો સૌ વિલસે ને–
.            સૌએ રંગવિભોર,
બળુ બળુ અંગારે કેવળ
.            હસી રહે ગુલમ્હોર
વગડો આખો લૂમે લેવા
.            કેસરભીના લ્હાવ
.            અમારે ભીતર જલની આવ.

– લાભશંકર રાવળ ‘શાયર’

કવિ સમાજનો ખરો પ્રહરી અને કવિતા ખરો આયનો છે. જે તે સમય અને પ્રદેશની કવિતાઓમાંથી જે તે સમયની સભ્યતાનો સાચુકલો ક્યાસ કાઢી શકાય છે. ઇતિહાસ તો રાજકારણીઓ અને વિજેતાઓ લખે, એને તથ્ય સાથે સંબંધ હોય જ એ જરૂરી નથી. જુગારમાં ભાઈઓ અને પત્નીને હારી જાય અને પત્નીના જાહેરસભામાં ચીરહરણ સમયે આંખો બંધ કરી બેસી રહે એને આપણે ધર્મરાજ કહીએ કારણ એ વિજેતા થયા. દુર્યોધનની જેમ હારેલાઓએ લખેલો ઇતિહાસ જોવામાં આવતો નથી. પણ સાહિત્યકાર રાજકારણ અને હારજીતના ભાવથી મુક્ત હોવાથી સમાજનું સાચું અને પ્રામાણિક આલેખન જોવું હોય તો એ ઇતિહાસ કરતાં વધારે સાહિત્યમાં જ જોવા મળશે. પ્રસ્તુત રચના એનું એક નાનકડું ઉદાહરણ છે. કવિએ ઝાલાવાડનો મિજાજ કેવો સુપેરે પકડી બતાવ્યો છે એ જુઓ. કઠિનમાં કઠિન પરિસ્થિતિમાં પણ જળવાઈ રહેતી સૌરાષ્ટ્રવાસીઓની દરિયાદિલી કવિએ બખૂબી ઝીલી છે.

Comments (3)

તમે-અમે – લાલજી કાનપરિયા

તમે મનની માલીપાની કોરીકટ ઇચ્છા, અમે રુદિયાની ભીનીછમ્મ લાગણી,
તમે મૂંગા રહેવાની ટેવ હોઠમાં ઉછેરો, અમે ઉછેરીએ બોલકણી માગણી!

ગઈ સાલ ચોમાસું કોરુંધાકોર ગયું,
કેવો અષાઢ ઓણ જાશે?
બેય તે કાંઠામાં હું તો છલકાતી હોઉં, પણ
મારામાં આવી કોણ ન્હાશે?

તમે વેણ બોલો તોય અણગમતાં બોલો, અમે ગણગણીએ મનગમતી રાગણી,
તમે મનની માલીપાની કોરીકટ ઇચ્છા, અમે રુદિયાની ભીનીછમ્મ લાગણી.

જોત રે જોતામાં આમ વીતી જશે
આ આયખાની લીલીછમ ક્ષણો,
આવતી કાલ કોણે દીઠી છે દુનિયામાં?
આજની ફસલ આજ લણો!

તમે કાળઝાળ સૂસવતી લૂની જેવા અને લહેરખી છીએ અમે ફાગણી!
તમે મનની માલીપાની કોરીકટ ઇચ્છા, અમે રુદિયાની ભીનીછમ્મ લાગણી.

– લાલજી કાનપરિયા

તમે-અમેની હુંસાતુંસી કે સરખામણીની ઘણી રચનાઓ આપણા ગીતસાહિત્યમાં જડી આવે છે. પ્રસ્તુત રચનામાં પણ નાયિકા પોતાની ભીનીછમ્મ લાગણીનો કોરોકટ પ્રતિસાદ આપતા મનના માણીગરને પ્રેમથી ઠમઠોરે છે. પ્રેમની હેલીની પ્રતીક્ષામાં અત્યાર સુધીનું જીવન કોરું ગયું હોવાથી એ વર્તમાન વિશે આશંકા સેવી રહી છે. બે કાંઠે છલકાતી જાતમાં પ્રિયતમ નહાશે કે કેમ એ મોટો સવાલ છે. પ્રથમ બંધની સરખામણીમાં બીજો બંધ પ્રમાણમાં સપાટ થયો હોવા છતાં ગીતનો મિજાજ સરવાળે જળવાઈ રહે છે, પરિણામે રચના આસ્વાદ્ય બની છે…

Comments (2)

વલખાટ – ગોપાલ ધકાણ

પાદરના પીપળાએ વાયરાને કીધું કે હુંયે રંગાવું વાળ કાળા,
ખીજડાની જેમ સાવ ખખડધજ ઊભા; હવે અમનેય થાવું રૂપાળા!

મહેંદીને ખાનગીમાં સંદેશો દેજે કે પીપળાની થાજે પાડોશણ.
કેતકીની આંખોમાં આંખ નાખી કહેજે કે પીપળાએ ખંખેર્યા ગઢપણ,
ચૂંટી ખણીને પછી માલતીને કે’જે કે ગૂંથીને રાખે વરમાળા.

લાંબીલચ ડાળીઓને કાપીકાપીને અમે થોકબંધ ઉતાર્યો મેદ,
બારમાસી સાથ કદી ખેલ્યા’તા ફાગ એવો અકબંધ રાખીશું ભેદ,
હૈડામાં ચોમાસું ધોધમાર વરસે ને કાયામાં ઊછળે ઉનાળા.

– ગોપાલ ધકાણ

લયસ્તરો પર આજે એક રમતિયાળ ગીત સાથે યુવાકવિ ગોપાલ ધકાણના ગીતસંગ્રહ ‘અજવાળું દીઠ્યું મધરાતે’નું સહૃદય સ્વાગત કરીએ.

જતી વયે પીપળાને મેકઓવર કરાવીને ફેર જુવાન થવાના ઓરતા જાગ્યા હોવાના કલ્પનને કવિએ બખૂબી રમાડ્યું છે. વાયરો વાત વહે એ વાતને ખપમાં લઈને પીપળો પોતાના મનની વાત વાયરાના કાનમાં કહે છે, જેથીમહેંદી, કેતકી અને માલતી સુધી સંદેશો બરાબર પહોંચી જાય. ગીતનું મુખડું અને પ્રથમ બંધ બંનેમજાનાથયા છે, પણ ખરી મજા તો બીજા બંધમાં છે. એક તરફ પીપળો ડાયેટિંગ કરીને વજન ઘટાડવા માંગે છે તો બીજી તરફ બારમાસી સાથેના અફેરને છૂપાવેલો પણ રાખવા માંગે છે. હૈયું પ્રેમમાં તરબતર છે અને કાયા ભડભડ બળી રહી છે… પુરુષસહજ વાર્ધક્યવૃત્તિને કવિએ પીપળાના પ્રતીકથી કેવી ખીલવી-ખેલવી છે, નહીં!

Comments (13)

(ભરબજારે) – અમિત ટેલર

લાજ, ભય, શંકા, રિવાજોની વચાળે,
એ મને ભેટી પડ્યા’તા ભરબજારે.

આંખ છોડી આંસુઓ એવાં તે નાઠાં,
જાણે છેલ્લો ઘંટ વાગ્યો હો નિશાળે.

એ કશું મનમાં વિચારીને લજાયાં,
હુંય થાતો પાણીપાણી એ વિચારે.

દર વખતની જેમ હું ચુપચાપ બેઠો,
એમણે વાતો કરી વળતી ઈશારે.

એકટશ જોયા કરે છે પંખીડાં બે,
જેમ શંકર-પોઠિયો બેઠા શિવાલે.

વેદનાનું વિસ્મરણ કરવું જ છે તો,
કેમ ઉતારે છે ગઝલમાં છાશવારે?

માર્ગ નહીં પણ સત્યમાર્ગે ચાલતા રહી-
થાય જે કડવા અનુભવ, એ મઠારે.

– અમિત ટેલર

ईद का दिन है गले आज तो मिल ले ज़ालिम,
रस्म-ए-दुनिया भी है मौक़ा भी है दस्तूर भी है।

– કમર બદાયૂનીએ જે વાત અધૂરી મૂકી હતી, ત્યાંથી આગળ વધીને કવિ આલિંગન પૂર્ણ કરે છે. સ્ત્રીસહજ લાજ, બદનામીનો ભય, નાયિકાના વર્તાવ અંગે નાયકના મનમાં રહેલી શંકા અને ઈદ કે દિવાળી જેવા કોઈક તહેવારોનો રિવાજો -ચાર અલગ અલગ પરિમાણોની વચ્ચે પ્રિયજન ભરવચાળે નાયકને બહુપરિમાણીય આલિંગન આપે છે એની મોજ એવી સ-રસ છે કે ભાવક પણ આ દુર્નિવાર્ય ભાવાલિંગનથી પરે રહી શકતો નથી. (ત્રીજા શેરમાં છે એ માનાર્થસૂચક અનુસ્વારની મત્લામાં અનુપસ્થિતિ જો કે થોડી ખટકે છે.) છેલ્લા બંને શેર નિવારી શકાયા હોત તો રચના સાદ્યંત આસ્વાદ્ય બની હોત. છઠ્ઠો શેર ગઝલના મિજાજથી થોડો વેગળો પડી જાય છે અને આખરી શેર તો સાવ આગંતુક જણાય છે. પરંતુ એટલું બાદ કરતાં પહેલા પાંચેય શેર ખૂબ જ મજાના થયા છે.

Comments (15)

(વિચારમાંથી) – આર. બી. રાઠોડ

તારા વિચારમાંથી, મારા વિચારમાંથી,
શીખી રહ્યો છું હું આ સૌના વિચારમાંથી.

શોધી શકાય છે જે થઈને વિચારશૂન્ય,
શોધી શકાય નહીં એ સઘળા વિચારમાંથી.

બેચાર જણની જ્યારે કોઈ સલાહ લઉં છું,
નોખું મળે છે ત્યારે નોખા વિચારમાંથી.

પાક્કા વિચારમાં પણ, રાખો ઘડીક ધીરજ,
થોડી કચાશ મળશે પાક્કા વિચારમાંથી.

એકાદ બીજ આખું વટવૃક્ષ થાય છે ને!
પુસ્તક રચાય છે બસ એવા વિચારમાંથી.

– આર. બી. રાઠોડ

નવું વર્ષ શરૂ થઈ ગયું છે… નવા વિચારો સાથે નવી શરૂઆત કરીએ. કવિએ પાંચેય શેરમાં બહુ જ સરળા ભાષામાં મજાની વાત કરી છે. ફરી ફરીને મમળાવવા જેવી ગઝલ…

Comments (14)

કોણ ઝીલે ? – ભૂપેન્દ્ર વ્યાસ

કોણ ઝીલે?
ભીતરની છોળ કોણ ઝીલે?
.                    – કોણ ઝીલે?

મારામાં માર્યો મેં
.            ધુબકો ધબ્બાક,
જળ ઊછળ્યાં છબ્બાક,
.            ઝીલે ઝીલે.
.                    – કોણ ઝીલે?

મારામાં ખીલ્યો હું
.            ખીલ્યો ખટ્ટાક,
ફોર ફૂટી ફટ્ટાક;
.            પી લે પી લે.
.                    – કોણ ઝીલે?

– ભૂપેન્દ્ર વ્યાસ

સારી કવિતા એ જે ઓછામાં ઓછા શબ્દોમાં કવિસંવેદનને વ્યક્ત કરી ભાવક સુધી સફળતાપૂર્વક પહોંચાડી શકે. પ્રસ્તુત ગીત જુઓ. આનાથી નાની ઇબારતના ગીત આપણી ભાષામાં જૂજ જ જડશે. ગીતની ભાષા પણ એકદમ સહજ અને સરળ છે. પંડિતાઈનું લેશમાત્ર પણ પ્રદર્શન કર્યા વિના કવિ અદભુત કરકસર સાથે દિલની વાત આપણી સમક્ષ યથાતથ મૂકી શક્યા છે. કવિહૃદયની ભીતર છોળ ઉછળી રહી છે. શેની છોળ અને કેમ એ વિશે ફોડ પાડ્યા વિના કવિએ એને કોણ ઝીલશે એ પ્રાણપ્રશ્ન રજૂ કર્યો છે. મુખડાના આરંભે અને અંતે ‘કોણ ઝીલે?’નો સવાલદોહરાવીને કવિએ એ વાત અધોરેખિત કરી છે, કે ભીતર છોળ ઉછળે છે એના કરતાંવધારે અગત્યની વાત એને ઝીલવાની છે. જીવનના અલગ અલગ તબક્કે આપણે સહુ અલગ અલગ પ્રકારની લાગણીઓના ફુવારા ભીતર ફૂટતા અનુભવીએ જ છીએ, પણ વધુ અગત્યનું એ છે કે એ ફુવારા તરફ આપણે કેટલા સચેત રહીએ છીએ અને એમાં ભીંજાવાનો લહાવો લૂંટીએ છીએ કે એને નજરઅંદાજ કરીને ઘાણીના બળદની જેમ કાયમના ચકરાવાઓમાં જ રત રહીએ છીએ! વાત સ્વયંની ભીતર ઉતરવાની છે,પણ સીડીના સહારે નહીં. સીધો ધુબાકો જ મારવાનો છે. અને પછી છબ્બાક કરતાંકને જે જળ ઉછળે એને ઝીલવાનાં છે. સ્વયંને ખીલવવાનું છે, પણ એય ખટ્ટાક કરીને… મતલબ અનાયાસ… પ્રયત્નપૂર્વક નહીં… અને પછી ફટ્ટાક કરતી જે ફોરમ ફૂટે એને પીવાની છે… આખા ગીતમાં ધ્રુવપંક્તિના ‘કોણ?’નો સવાલ ગૂંજ્યા કરે છે… આ કોણનો જવાબ મળી જાય તો જીવન સાર્થક થઈ જાય, ખરું ને?

Comments (4)

લાઠી સ્ટેશન પર – ઉમાશંકર જોશી

દૈવે શાપી
તેં આલાપી
.             દ્વય હૃદયની સ્નેહગીતા કલાપી !

દૂરેઽદૂરે
હૈયાં ઝૂરે
.             ક્ષિતિજ હસતી નવ્ય કો આત્મનૂરે.

તે આ ભૂમિ
સ્નેહે ઝૂમી,
.             સદય દૃગથી આજ મેં ધન્ય ચૂમી.

– ઉમાશંકર જોશી

(લાઠી સ્ટેશન, ૧૬-૧૦-૧૯૪૮)

અમેરેલી જઈએ અને ર.પા.ને યાદ ન કરીએ એ જેમ ન બને એ જ રીતે લાઠી ગયા હોઈએ અને કલાપી યાદ ન આવે એ કેમ બને? લાઠીના રેલવે સ્ટેશન પર સ્વાભાવિકપણે જ ઉ.જો.ને કલાપી યાદ આવ્યા હશે. એકબીજા સાથે જોડાયેલ બે હૃદયોની સ્નેહગીતાને નસીબનો શાપ મળ્યો હોવા છતાં જેણે આલાપી હતી એ કલાપીને એમના નગરના જ રેલવે સ્ટેશન ઉપર બેઠા બેઠા ઉમાશંકરે ચિરસ્મરણીય કાવ્યાંજલિ આપી છે. મંદાક્રાન્તા છંદના પ્રથમ ચાર ગુરુને બે પંક્તિઓમાં બેવડાવીને ખંડા મંદાક્રાન્તા છંદમાં ગુજરાતી કવિતાના એક શિખરે ગુજરાતી કવિતાના એક અગત્યના માઇલસ્ટોનને કેવી સ-રસ રીતે બિરદાવ્યો છે!

Comments (6)