લાગણીની વાત પૂરી ના થઈ,
એટલે મેં સ્હેજ વિસ્તારી ગઝલ.
મનહરલાલ ચોક્સી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for July, 2024

પણ – ઉદયન ઠક્કર

મારો ઝાંપો વાસેલો હોય, પણ
એની ઉપરવટ ચરકલડીબાઈ
પણે તડકી ને છાંયડી વેરાઈ
જાણે જાર અને બાજરીના કણ

મારો ઝાંપો વાસેલો હોય, પણ
એને કુદાવીને ક્હે શિશુ,
‘એ…ઈ, આંખોને કાઢે છે શું?
આંખ મીંચીને દસ સુધી ગણ…’

મારો ઝાંપો વાસેલો હોય, પણ
નારિયેળીએ ચાંદ ઊગી જાય
ચાર ચીકુડી વાયરામાં ન્હાય
ખૂલતું જાય વાતાવરણ

મારો ઝાંપો વાસેલો હોય, પણ
ક્યાં સુધી સોરવાતો રહે?
વનવગડામાં જાવા ચહે
ડાહીનો ઘોડો: એક, બે, ત્રણ…

– ઉદયન ઠક્કર

ગુજરાતી ગીત-ગઝલના મેળામાં ઉદયન ઠક્કર અલગ ચોતરો માંડીને બેઠા છે. આમ જુઓ તો આ ગીત મુખડા અને પૂરક પંક્તિ વગરનું ચાર બંધનું ગીત છે, પણ આમ જુઓ તો ચારેય મુખડાની પહેલી પંક્તિ એક જ હોઈ એ ધ્રુવકડીનો ભાગ ભજવતી હોય એમ લાગે. અ-બ-બ-અ પ્રકારના પ્રાસગુંફન અને પંક્તિઓના સીમિત કદકાઠીના કારણે ગીતનું કલેવર પ્રવર્તમાન રચનાઓમાં એમ જ નોખું તરી આવે છે. પણ આ તો થઈ ઉપલક વાતો. જેને કવિતા માણવામાં રસ હોય એને તે મમમમ સાથે કામ હોય કે ટપટપ સાથે?

ચારેય બંધનો આરંભ ‘મારો ઝાંપો વાસેલો હોય, પણ’થી જ થતો હોઈ કવિમનોરથને પુનરોક્તિનું યથોચિત ચાલક બળ સાંપડે છે. આ ઝાંપો કેવળ ઘરનો ઝાંપો નથી, એ આપણા બંધિયાર વિચારો, આપણી કુંઠિત મનોવૃત્તિનો દ્યોતક પણ છે. જીવનમાં તડકી-છાંયડી તો આવતી રહેવાની, પણ જે રીતે ચકલી જુવાર અને બાજરીના ચણથી જીવનનિર્વાહ કરે છે એમ એને ભોગવતાં આવડવું જોઈએ. બાળસહજ નિર્દોષતાથી આપણા પૂર્વગ્રહોને વટી જતાં આવડવું જોઈએ. આપણો ઝાંપો બંધ હોય પણ એથી કંઈ પ્રકૃતિ પર તાળું લાગી જતું નથી. નારિયેળીના માથે ચાંદ ઊગવાને ઘટના કે ચીકુડીના વાયરામાં ડોલવાની ઘટના આપણા બંધત્વને અનુસરતી નથી. આપણો ઝાંપો બંધ હોય તોય વાતાવરણને ખૂલતું અટકાવી શકાતું નથી. આજની પેઢીને પરિચય નહીં હોય, પણ આપણી અને આપણી અગાઉની પેઢીઓ ‘એન ઘેન દીવા ઘેન’ જેવાં ગીતો પીને ઉછરી છે. આ બાળગીત જેને યાદ હશે એને ખાઈ-પીને ભાગી છૂટતો ડાહીનો ઘોડો પણ યાદ હશે જ. ડાહીનો ઘોડો એટલે બાળકોની રમત એવું અર્થઘટન પણ કરી શકાય. કથકના ઘરનો કે મનનો ઝાંપો વાસેલો છે પણ ડાહીનો ઘોડો ભીતર સોરવાયા કરે એવો નથી, એ તો વનવગડામાં જઈને જ ઝંપશે. બંધનની વિભાવનાને પુનરોક્તિથી અધોરેખિત કરતી આ રચના હકીકતે તો આઝાદીની આલબેલ જ પોકારે છે.

Comments (10)

(એ જ પ્રશ્ન છે) – કિરણ જોગીદાસ ‘રોશન’

પામી ગયાં બધું, પછી શું? એ જ પ્રશ્ન છે,
પામ્યા વિના કશું નથી શું? એ જ પ્રશ્ન છે!

મળવું હતું મળ્યાં, ને વિખૂટાં પડી ગયાં,
ચાહત મિલન પછી શમી શું? એ જ પ્રશ્ન છે.

એ અલવિદા કહી જુએ અવળું ફરી મને,
બાકી હશે પ્રણય હજી શું? એ જ પ્રશ્ન છે.

એક પળ દુઃખી રહ્યાં ને બીજી પળ હસી પડ્યાં,
દુ:ખની ઘડી ખરી હતી શું? એ જ પ્રશ્ન છે.

તારાપણાની ચાહમાં મારાપણું ભૂલી,
એ બાદ હું મને મળી શું? એ જ પ્રશ્ન છે.

– કિરણ જોગીદાસ ‘રોશન’

ગઝલને લોકપ્રિય બનાવવામાં ગઝલની સંરચનાનો બહુ મોટો ફાળો છે. છંદના કારણે જન્મતી રવાની સિવાય યુગ્મક પ્રકારનું બંધારણ અને રદીફ-કાફિયાની મદદથી સધાતું સાંગીતિક અને તાત્ક્ષણિક પ્રત્યાયન આમાં પ્રમુખ ભાગ ભજવે છે. ઉદાહરણરૂપે આજની આ રચના જોઈએ. ગઝલની રદીફ અહીં બે ભાગમાં વહેંચાયેલ છે. પહેલો એકાક્ષરી ભાગ ‘શું?’ પ્રશ્નરૂપે છે અને એ પછી ‘એ જ પ્રશ્ન છે’ કહીને સવાલનું સમાધાન આપતી સાંત્વના –આ પ્રકારની પ્રશ્નોત્તરીના કારણે ગઝલમાં સંવાદાત્મકતા ઉમેરાય છે, જે ગઝલને વધુ હૃદ્ય બનાવે છે. આ પ્રકારની ઉફરી પડતી રદીફ સાથે સૌથી મોટી સમસ્યા એના અવશિષ્ટ અંગ બનીને રહી જવાની છે. સદનસીબે અહીં પાંચેપાંચ શેરમાં શુંનો સવાલ અને એનું સમાધાન બંને તંતોતંત સચવાયા છે અને શેરને યથોચિત ઉંચાઈ આપવામાં સહાયક બન્યા છે.

અધૂરપ જીવનનું ખરું ચાલકબળ છે. બધું જ પામી જાવ તો આગળ શું કરવું એ પ્રાણપ્રશ્ન બની જાય. અને એથી વિપરીત પામવાનું બાકી હોય તો શું એય એવો જ પ્રાણપ્રશ્ન છે. જીવનના આ વૈષમ્યને કવયિત્રીએ કેવી સહજતાથી મત્લામાં રજૂ કર્યું છે! આખી ગઝલ જ આસ્વાદ્ય થઈ છે.

Comments (21)

અમદાવાદ સાથે શું વેર છે? – કૃષ્ણ દવે

મુંબઈમાં ધોધમાર દીધે રાખો છો ને કોરુંધાકોર મારું શ્હેર છે!
કહો, અમદાવાદ સાથે શું વેર છે?

બેડાં ભરે ને પાછાં કાંઠે ઠલવી દે છે, વાદળીયુંય આળસુની પીર!
અડધા અષાઢમાંય સુરજ ક્યાં જંપે છે? મારે છે તડકાનાં તીર!
વ્હાલની આ વ્હેંચણીના વરસાદી ખાતામાં જોઈ લ્યો ભાઈ, કેવું અંધેર છે!
કહો, અમદાવાદ સાથે શું વેર છે?

લીલી કંકોત્રીઓ લખવામાં આળસું જરાક અમે છઈએ તો છઈએ,
એમાં અકળાઈ તમે ઠલવ્યે રાખો છો, ઈ કેટલો બફારો અમે સહીએ?
સાંબેલાધારે નહીં, ઝરમર થઈ આવો ને, અમને તો તોય લીલાલ્હેર છે.
કહો, અમદાવાદ સાથે શું વેર છે?

– કૃષ્ણ દવે

કૃષ્ણ દવે સાંપ્રત વિષયો પરનાં કાવ્યો માટે જાણીતા છે. અને કવિ તો કોઈની પણ ખબર લઈ પાડે. આ વરસે મેહુલિયો બરાબરનો મંડ્યો છે. તળગુજરાત અને સૌરાષ્ટ્રમાં પૂરની પરિસ્થિતિ છે. મુંબઈ પણ એ રીતે જળબંબાકાર છે કે ગૌરાંગ ઠાકરનો શેર યાદ આવે:

તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો,
રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી.

પરંતુ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત કોરુંધાકોર છે એટલે અમદાવાદના કવિ મુંબઈનો સંદર્ભ લઈને મેઘરાજાનો ઉધડો ન લે તો જ નવાઈ. વરસાદ અમદાવાદ પર મહેર કરશે કે કેમ એ તો વરસાદ જ જાણે પણ આપણને તો નખશિખ સુંદર ગીતરચના સાંપડી એનો જ આનંદ!

Comments (9)

ઊંટ – ઉષા ઉપાધ્યાય

હતા દીવાલે ગયા સમયના
ઠાઠ અને અસબાબ સમા કૈ
ઝૂલ, ચાકળા, કાંધી, તોરણ, ભેટ અને તલવાર, કટારી;
પરસાળ વચાળે
અમીયલ નેણાંવાળી બાયું
સુપડે સોતી ધાન
કાંબીના રણકા શું હસતી’તી,
હતા આંગણે લીમડા હેઠે
ઢળ્યા ઢોલિયે હુક્કાના ગડેડાટ
મૂછોના તાવ
કાળને ધરબી દેતી આંખ્યુંની રાતડમાં
ઝગતા તેગઝર્યા અંગાર
અને ત્યાં દૂર
સમયને કાંધે લઈ
ગાંગરતું ઊભું ઊંટ
વાટ કોઈ નવી ખેપની જોતું,
જોતું ઝીણી આંખે દૂર ક્ષિતિજની પાર
હવાની શી લાગી કૈં ગંધ
અચાનક થડકી ઊઠ્યું –
કંપ્યું, ચીખ્યું, ભડકીને તોડાવી રાશ
ઊભી બજારે ધણધણતું, ચિત્કાર વેરતું
વાંભ વાંભની ઠેક ભરીને
હડફેટે ઘર ધડૂસ કરતું
પીઠ ઉપર લાદીને કબ્રસ્તાન
હાંફતું ઊભું ગામને છેડે
હાંફતું ઊભું ગામને છેડે
હાંફતું ઊભું ગામને –
અને હવામાં હવે તરે છે
ગીધ સમી મડદાંની તીખી ગંધ,
સાંજની રુંઝયું ઢળતાં
ટીંબા વચ્ચે ઊભેલા પીપળનાં પીળાં પાન
ગણે છે ઝાળ ચેહની,
વિખરાયેલાં વાળ, ચીંથરેહાલ સુરત લઈ
નગરની તૂટી મોતનમાળ નીરખતી
સ્તબ્ધ ધરા પણ
હજુ રહી છે કંપી!
હજુ રહી છે કંપી!

– ઉષા ઉપાધ્યાય

કવિતાની શરૂઆત ‘હતા’થી થાય છે, મતલબ જે જે સાહ્યબીની અહીં વાત થઈ રહી છે એ હવે નથી. એક ટાણે ઘરની દીવાલો વિગત સમયના ઠાઠ અને અસબાબની નિશાનીઓથી સુશોભિત હતી. પરસાળમધ્યે સૂપડામાં ધાન સાફ કરતી અમીનજરવાળી બાઈઓ ક્યારેક કાંબીના રણકાર જેવું રોકડું હાસ્ય વેરતી હતી. આંગણામાં લીમડાના વૃક્ષ તળે ઢોલિયા પર બેઠક જમાવીને બેઠેલ, મૂછોને તાવ દેતા અને કાળનેય કોઠું ન દે એવી અંગારઝગતી રાતી આંખોવાળા ઘરના મોભીઓના હુક્કાનો ગડેડાટ સંભળાતો હતો. નવી ખેપની વાટ જોતું ઊંટ પણ આંગણે ભાંભરતું હતું.

સૃષ્ટિનો નિયમ છે કે કુદરતી આપત્તિ આવવાની જાણ સૌથી પહેલાં મૂંગાં પશુપક્ષીઓને થઈ જાય છે. હવામાં કશીક ગંધ આવતાવેંત ઊંટ અચાનક થડકીને, ભડકીને, ચીખ મારતું રાશ તોડીને ઊભી બજારે લાંબી લાંબી ઠેક ભરતું ભાગી નીકળે છે કટાવ છંદની રવાની અચાનક દ્રુત ગતિ પકડે છે. થડકી-ચીખ્યું-ભડકી-ધણધણતું-વાંભ-વાંભ-ધડૂસ જેવા શબ્દપ્રયોગો ગભરાયેલ ઊંટની દોડને આબાદ ચાક્ષુષ કરી બતાવે છે. ઊંટની પાછળ ઘર ધડૂસ કરતું પડી ભાંગે છે. હાંફતું ઊભું ગામના છેડેની ત્રિરુક્તિમાં અંતે ‘છેડે’નો લોપ કરીને સર્જકે હાંફને પણ શબ્દોની પીંછીથી જીવંત કરી બતાવી છે. હવામાં ગીધ સમી મડદાંની તીખી ગંધ તરી રહી છે, પીપળાનાં પીળાં પડી ગયેલ પાન ચિતાની ઝાળ ગણે છે. છેક કાવ્યાંતે સર્જક મુઠ્ઠી ખોલે છે ત્યારે ખબર પડે છે કે આ તો કચ્છના ભૂકંપની દાસ્તાન છે. કાવ્યાંતે હજુ રહી છે કંપીની દ્વિરુક્તિ ભાવકના સ્તબ્ધ હૈયામાં પણ એક કંપ જગાવે છે, જે લાંબા સમય સુધી શમતો નથી.

Comments (3)

કોણ રતિના રાગે? – નિરંજન ભગત

કોણ રતિના રાગે,
રે મન મન્મથ જેવું જાગે?

જે ભસ્મીભૂત, મૃત, રુદ્રનયનથી;
એ અવ શિશિરશયનથી
જાગે વસંતના વરણાગે!

એના શ્વાસેશ્વાસે
વાગે મલયાનિલની વાંસળીઓ,
એના હાસવિલાસે
જાગે કેસૂડાની કૈં કળીઓ;
રે વન નન્દનવન શું લાગે!

– નિરંજન ભગત

પોતાનો તપોભંગ કરાવવા બદલ શંકર ભગવાને કામદેવને રુદ્ર નયનથી ભસ્મીભૂત કરી નાંખ્યો હતો. પણ પછી વિલાપે ચડેલ કામદેવની પત્ની રતિને એમણે સાંત્વના આપી હતી કે સદેહ ન સહી, પણ કામદેવ અનંગ રૂપે સમગ્ર ચૈતન્ય સૃષ્ટિમાં સદાકાળ વ્યાપ્ત રહેશે. કહે છે કે આ દિવસ વસંતપંચમીનો દિવસ હતો. વસંતપંચમી એટલે ઋતુચક્રનું શિશિરથી ગ્રીષ્મ પ્રતિનું પ્રયાણ. આમ તો આ વાતથી લયસ્તરોના મોટાભાગના સુજ્ઞ વાચકો અભિજ્ઞ જ હશે, પણ આટલી પૂર્વભૂમિકા પ્રસ્તુત રચનાને માણતા પૂર્વે જરૂરી છે.

વસંત ઋતુના પ્રારંભે સજીવમાત્રમાં આવિર્ભાવ પામતી પ્રણયોર્મિનું આ ગાન છે. રાગ શબ્દનો શ્લેષ નોંધવા જેવો છે. રાગ એટલે કંઠમાધુર્ય પણ અને પ્રેમ પણ. રતિના ગીતથી અથવા રતિ માટેના સ્નેહને વશ થઈ મન કામદેવની જેમ જાગૃત થાય છે. સાવ ટૂંકા મુખડાની બે પંક્તિઓમાં ર, મ અને જની ત્રિવિધ વર્ણસગાઈ ચુસ્ત પ્રાસનિયોજનાના કારણે કાવ્યારંભે જ મન મોહી લે છે. વસંતના ભપકાના કારણે શીતનિદ્રાલીન મન દેવહૂમા પક્ષીની જેમ પુનર્જીવન પામ્યું હોય એમ જાગે છે. વસંતનો પ્રભાવ જ એવો છે કે એકેએક શ્વાસ વાંસળી વાગતી હોય એવો પ્રતીત થાય છે. ઝાડમાં થઈને ફૂંકાતા પવનનું સંગીત વસંતઋતુનો શ્વાસ છે. વસંતના મૃદુ હાસથી કેસૂડાની અનેકાનેક કળીઓ ખીલી ઊઠે છે અને વન નંદનવન સમું લાગે છે. પ્રથમ બંધની પૂરકપંક્તિને કવિએ મુખડાના પ્રાસ સાથે આદ્યંતે એમ ઉભય સ્થાને બાંધી હોવાથી અષ્ટકલનો લય વધુ લવચિક બન્યો છે, પણ બીજા બંધમાં તો કવિએ હદ જ કરી છે. શ્વાસ-હાસ-વિલાસ, વાંસળીઓ-કળીઓ અને વાગે-જાગેના ત્રિવિધ પ્રાસમાં વન સાથે નંદન અને વનના ધ્વન્યાનુપ્રાસ તથા કેસૂડા-કૈં-કળીઓના વર્ણાનુપ્રાસ મેળવીને કવિએ બાહોશ કવિકર્મની સાહેદી પૂરી છે.

Comments (8)

એક જુનવાણી ઢબની કવિતા – જયન્ત પાઠક

સંતો આપવખાણ ભલાં!
ભદંતો આપલખાણ ભલાં!

બોલ્યા વણ વેચાય ન બોરાં, બજારધારો જાણો;
ઊભી બજારે કરો-કરાવો બુલંદ જાહિરનામાં;

હાંક્યે રાખો બડું બડાશી ઘોડું
આપ મૂઆ વિણ સ્વર્ગ જવાશે થોડું!

કોઈ કહેશે ગરવ કરો છો, કોઈ કહે: ‘છો જુઠ્ઠા!’
દુનિયા બોલે, દિયો બોલવા, બનો ન બાઘા – બુઠ્ઠા;

વરની મા જો નહીં વખાણે વરને
તે બત્રીલખણાને સામે કોણ જઈને પરણે!

કેાઈ કહેશે: રહો મહાશય લખાણને કહેવા દો –
કહેવું આપણેઃ “લખાણુ બોલે!”– રહેવા દો, રહેવા દો!

એવું બધું તો વદે વાયડા
અમે ન ભોળા, અમે ભાયડા!

અમે લખીશું, અમે વાંચશું, અમે કરીશું શ્લાઘા
ભલે બીજા તૈયાર સોય લઈ ઊભા
અમે સિફતથી દેશું પરોવી એમાં અપના ધાગા !

– જયન્ત પાઠક

કવિતાની એક મજા એ કાળજયી હોય એ પણ ખરી. જયન્ત પાઠકની આ વ્યંગ રચના દાયકાઓ પૂર્વે લખાઈ હોવા છતાં આજે પણ એ એટલી જ પ્રસ્તુત છે, જેટલી લખાઈ ત્યારે હશે. કદાચ આજે તો તો તંતોતંત પ્રસ્તુત ગણાય. પોતાના અને પોતાના લખાણના વખાણ કરવાં એ જ આજે મોટાભાગના સર્જકો માટે જીવનહેતુ બની ગયો છે. કવિએ અખાની જેમ વક્રોક્તિ સાથે આવા સર્જકોનો ઉધડો લીધો છે. કવિએ ભલે રચનાને જુનવાણી ઢબની રચના કહીને કેમ ન ઓળખાવી હોય, રચના પૂર્ણપણે સમસામયિક હોવાનું વર્તાય છે. પ્રાસનિયોજના અને કટાવ છંદના પ્રવાહી વહેણના કારણે રચનામાં ઓર નિખાર આવ્યો છે.

Comments (1)

નદી-કાંઠે – હર્ષદ ચંદારાણા

ફરી આવી ચડે છે કોઈ પગપાળું નદી-કાંઠે
અને ચારે તરફ અજવાળું – અજવાળું નદી–કાંઠે

અને એવું બને કે હોય જળ ત્યાં શિલ્પના રૂપે
અહીં છે પથ્થરોનું રૂપ પાંખાળું નદી-કાંઠે

દિવસભરની મહેનતની તરસનું આ બળદગાડું
હવે આવી રહ્યું છે આમ જળ-ઢાળું નદી-કાંઠે

ઘૂનામાં ધૂબકો મારી દીધો તેં જળ-પરી પાછળ?
કે જોતું સ્તબ્ધ થઈ ઊભું છે આ નાળું નદી-કાંઠે?

છે દરિયો છોકરા જેવો જ નખરાળો નદી-કાંઠે
નદી પણ છોકરી જેવી જ લજજાળુ નદી-કાંઠે

– હર્ષદ ચંદારાણા

કેવી મજાની રચના! ગઝલની ખરી મજા મોટી મોટી વાતો કરવામાં નહીં, પણ કલ્પનોની નાજુક પીંછીથી નમણાં દૃશ્યચિત્રો ખડાં કરવામાં છે. કવિએ જે રીતે કાફિયા પાસેથી કામ લીધું છે એ કાબિલ-એ-દાદ છે. જળ-ઢાળું કાફિયા તો કાઠિયાવાડ સિવાય સૂઝવો જ સંભવ નથી. મત્લાના શેરમાં કોઈકના આગમનથી નદીકાંઠે જે અજવાળું અજવાળું થઈ જાય છે એ વાંચતા જ આ બે અમર ચિત્રો તરત જ નજર સમક્ષ તાદૃશ થઈ ઊઠ્યાં:

આવું અજવાળું ના ઊગે ધણમાં,
કૈંક જાદુ હશે રબારણમાં! (શોભિત દેસાઈ)

लड़कियाँ बैठी थीं पाँव डालकर
रौशनी सी हो गई तालाब में। (પરવીન શાકિર)

Comments (20)

(માશાલ્લા) – સુરેન્દ્ર કડિયા

થતી ભાગ્યે જ હો એવી ખુદાની મહેર, માશાલ્લા
તમારા હોઠ પર મારી ગઝલનો શેર, માશાલ્લા

બને છે એક બીના રોજ, ઘરની બારી ખૂલવાની
પછી સિમસિમ ખૂલી જાતું આ આખું શહેર, માશાલ્લા

તમારી ઉમ્ર સત્તાવીસ કરું છું બાદ સોમાંથી
અહાહા! તોય ઝળહળ બાકીનાં તોંતેર, માશાલ્લા

તમે મીરાં કહ્યું તો ગટગટાવી ગ્યા અમે મીરાં
પચાવ્યાં ઝેર તેમ જ ઝેરનાં ખંડેર માશાલ્લા

મળે લાખો નવાં પગલાં, નથી ભૂંસી શકાતું એ
તમારું સાચવ્યું છે એક પગલું, ખેર! માશાલ્લા

– સુરેન્દ્ર કડિયા

માશાલ્લા એટલે ઈશ્વરે ચાહ્યું એ થયું. આભાર માનવા માટે કે ધન્યતા વ્યક્ત કરવા માટે પણ એ પ્રયોજાય છે. કવિએ આવી અનૂઠી રદીફ સાથે કામ પાર પાડીને મજાની ગઝલ આપી છે. ઝેરનાં ખંડેર સમજાયાં નહીં, એ સિવાય આખીય ગઝલ ઉમદા થઈ છે.

Comments (7)

ધારાવસ્ત્ર – ઉમાશંકર જોશી

કોઈ ઝપાટાભેર ચાલ્યું જાય,
ક્યાંથી, અચાનક…
સૂર્ય પણ જાણે
ક્ષણ હડસેલાઈ જાય.
ધડાક બારણાં ભિડાય.
આકાશમાં ફરફરતું ધારાવસ્ત્ર
સૃષ્ટિને લેતું ઝપટમાં
ઓ…પણે લહેરાય.
પૃથ્વી-રોપ્યાં વૃક્ષ એને ઝાલવા
મથ્યાં કરે — વ્યર્થ હાથ વીંઝ્યાં કરે.

– ઉમાશંકર જોશી

સંક્ષિપ્ત આસ્વાદ કવિશ્રી સંજુ વાળાની કલમે માણીએ:
સંપૂર્ણ આસ્વાદ માટે અહીં ક્લિક કરો.

પરમ પ્રકૃતિપુરુષની રમ્ય-રૌદ્ર લીલા

કવિને પ્રિય એવા કોઈ વર્ષાકાળે થયેલા અગમ્ય અને વિસ્મયભર્યા નભદર્શનથી સર્જાયેલું આ કાવ્ય છે. રસરાગી અને ચૈતન્યભાગી આપણા આ કવિના દર્શનમાં વર્ષાજળ વરસાવતાં, વિહરતાં વાંદળાં મેઘપુરુષનો ખેસ લહેરાતો હોય એવાં ભાસે અને કવિ એને ‘ધારાવસ્ત્ર’ કહે. માત્ર બે-ત્રણ શબ્દોની એક એવી દસ જ પંક્તિમાં કવિ વિરાટ, ભવ્ય અને આશ્ચર્યચકિત કરનાર ચિત્ર આ કાવ્ય રજૂ કરે છે. એટલે આ નાના કદનું પણ વિરાટ રહસ્યગર્ભે વિસ્તરતું કાવ્ય છે. પાંચેક જેટલા ક્રિયાપદો કાવ્યને ગતિ આપે છે જે ધારાવસ્ત્ર ઊડતું, ફરફરતું હોવાની પ્રતીતિ કરાવે છે. અને તેની ઉચિતતા પણ સ્થાપે છે.

કાવ્યના ઉઘાડની પંક્તિઓ જ કેવી રહસ્યમય અને વિસ્મિત કરનારી છે ! કોઈ પ્રચંડ અસ્તિત્વ આકાશવિહારે નીકળ્યું છે એની ચાલ કેવી તો કહે ‘ઝપાટાભેર’ એના આગળ-પાછળ થતા અજાનબાહુથી પવન સૂસવાટા મારતો હશે. આકાશ થોડું થરથર્યું હશે. એટલે જ તો દેવાધિદેવ સૂર્ય પણ બાજુ પર ખસ્યો નથી હડસેલાઈ ગયો છે. આ સાદ્શ્ય હજી તો માંડ પ્રત્યાયન પામે ત્યાં એક સાથે દૃષ્ટિ અને શ્રવણેન્દ્રિયને જગાડતી પંક્તિ સંભળાય છે : ‘ધડાક બારણાં ભિડાય.’ આ પ્રચંડ ધડાકાથી બારણા બિડાયાં કે બારણા બિડાવાનો આ ઘોરઘોષ (અવાજ) હતો ? મેઘગર્જન હશે ? પર્જન્યપુરુષના નભવિહારની કેવી રૌદ્ર નિષ્પત્તિ છે આ ? પરંતુ કવિ એના વિશે ચોખવટ કરે તો તો એ કવિ કરતા નિબંધકાર સાબિત થાય. જર્મન ઓથર ટોમસ માનની ઉક્તિ સંભળાય છે :’The real artist never talk about the main things.’

કાવ્યની છેલ્લી બે પંક્તિઓમાં આકાશમાં થતી વિશાળ અને વિશિષ્ટ હલચલની પૃથ્વીસ્થિત પ્રતિક્રિયા અથવા સહોપસ્થિતિ છે. અહીં ધ્યાન ખેંચે છે તે બન્ને ક્રિયાપદ- ‘મથ્યાં કરે, હાથ વીંઝ્યાં કરે.’ આ ક્રિયા જે કરે છે તેને કવિએ વૃક્ષ તો કહ્યાં, પાછા હાથ પણ દીધા. એટલે આપણા આંખ-કાન ચમક્યાં. વળી એક રહસ્યમય વાત પ્રગટી. આ હાથાળ વૃક્ષોને ઝીલવું તો છે પેલું ‘ધારાવસ્ત્ર’ પણ…! કવિએ એક જ વિશેષણથી કેવું સમાધાન આપી દીધું? ‘વ્યર્થ.’ ‘કરે’ ક્રિયાપદથી આ પ્રાપ્તિની મથામણ તો ચાલુ જ છે પણ વ્યર્થ. હવે રહે છે તો માત્ર ધારાવસ્ત્ર. પેલો પુરુષ કે અસ્તિત્વ પણ ઓગળી ગયું. છે તો માત્ર સૃષ્ટિ અને આકાશ અને.. બેઉને જોડતું આ અનુપમ, અદ્ભુત કે અલૌકિક ‘ધારાવસ્ત્ર.’

રસાસ્વાદ: સંજુ વાળા

Comments (2)

ત્રણ સૌથી વિચિત્ર શબ્દો – વિસ્વાવા શિમ્બોર્સ્કા (પોલિશ) (અનુ: વિવેક મનહર ટેલર)

જ્યારે હું ‘ભવિષ્ય’ શબ્દનું ઉચ્ચારણ કરું છું,
એટલીવારમાં તો એનો પ્રથમ શબ્દાંશ ભૂતકાળ બની ચૂક્યો હોય છે.

જ્યારે હું ‘મૌન’ શબ્દનું ઉચ્ચારણ કરું છું,
હું એને જ નષ્ટ કરી દઉં છું.

જ્યારે હું ‘કંઈ નહીં’ શબ્દનું ઉચ્ચારણ કરું છું,
હું કંઈક એવું સર્જી બેસું છું જે કોઈપણ અનસ્તિત્વ ઝાલી નહીં શકે.

– વિસ્વાવા શિમ્બોર્સ્કા
(અંગ્રેજી પરથી અનુ: વિવેક મનહર ટેલર)
[Wisława Szymborska: vʲisˈwava ʂɨmˈbɔrska = viˈswa.va ʃɨmˈbɔr.ska – vi-SWAH-vah shihm-BOR-ska]

*

ઓછામાં ઓછા શબ્દોમાં ધાર્યું પ્રત્યાયન સાધી શકે એ કવિતા ઉત્તમ. પ્રસ્તુત રચનામાં ભાષા અને અસ્તિત્વમાં નિહિત વિરોધાભાસી પ્રકૃતિનું અત્યંત લાઘવપૂર્ણ પણ અસરદાર નિરૂપણ કર્યું છે. પૉલિશ કવયિત્રીએ બહુ જ સરળ શબ્દોમાં ગહન ચિંતનોત્તેજક કૃતિ આપણને આપી છે. ‘કંઈ નહીં’ બોલતવેંત આપણે કશાકનું સર્જન કરી બેસીએ છીએ, અને ‘કંઈ નહીં’ એ કંઈ નહીં રહેતું નથી. સમયની ક્ષણભંગુરતા, મૌનની નજાકત અને શૂન્યતાના અસ્તિત્વગત નિહિતાર્થો ભાવકમનને વિચારતું કરી દે છે.

*

The Three Oddest Words

When I pronounce the word Future,
the first syllable already belongs to the past.

When I pronounce the word Silence,
I destroy it.

When I pronounce the word Nothing,
I make something no non-being can hold.

– Wislawa Szymborska (Polish)
(Translated by Stanislaw Baranczak & Clare Cavanagh)

Comments (6)

ચૂંટેલા શેર – ડૉ. પરેશ સોલંકી

આંસુઓનો ભાર લાગ્યો એટલે લખતો રહું છું,
શબ્દ તારણહાર લાગ્યો એટલે લખતો રહું છું.

મન ઝરૂખે ને જાત પિંજરમાં,
એક યોગી ગહન દ્વિધામાં છે.

કેદ જ્યાં ઈશ્વર થયો છે ચણતરોમાં,
મંદિરોને પણ ધરમનો ક્ષાર લાગે!

એટલે ઈજ્જત બચી ગઈ ખાલીપાની,
સ્મરણોએ આવવાની ના કહી છે.

પ્રેમમાં તારા મને પાગલ થવા દે,
કાં, બધાં વળગણ છૂટે એવી દવા દે.

અહીં યાદમાં આખું ચોમાસું ને ત્યાં-
સરેઆમ વરસાદ પણ બેઅસર છે.

કોઈ આવી વૃક્ષની ઘેઘૂરતા છેદી ગયું,
વીજળીના તાર પર બેઠું છે પંખી ભગ્ન થઈ.

હાથમાં હો હાથ ને મન દૂર હો,
આ અવસ્થા પ્રેમની ગંભીર છે.

સાવ ઓચિંતું સ્મરણ ને જામ હો,
સાંજના વૈભવની એ તાસીર છે.

જિંદગી બેસુમાર ચાહી છે,
આ ફકીરી એની ગવાહી છે.

થાક ઊંચાઈ પર બહુ લાગ્યો,
હા, તળેટી ચરણને ફાવી છે.

ક્યાંક અકબંધ છે કસક મારી,
સ્મિત સાથે ગવાઈને આવી.

લો, શરૂઆત જ્યાં પ્રણયની થઈ,
લાગણીઓ રિસાઈને આવી.

દોસ્ત તારી યાદનો દરબાર રાબેતા મુજબ છે,
આ નગરની ભીડમાં સૂનકાર રાબેતા મુજબ છે.

શ્વાસ આપીને શ્વાસ માંગે છે,
જિંદગી ક્યાં ઉધાર રાખે છે?

વગર નાવે ગઝલ દ્વારા,
બધા સાગર તરી બેઠો.

તેં બીડેલા સ્પર્શવાળો પત્ર મળતા,
ટેરવાં મોઘમ કવાયત બહુ કરે છે.

કોઈ મોઘમ આવ-જા બન્ને તરફ છે,
પ્રેમની આબોહવા બન્ને તરફ છે.

– ડૉ. પરેશ સોલંકી

Comments (7)

ભૂખની આગ – વજેસિંહ પારગી

ભૂખની આગ
કંઈ બળતો ડુંગર નથી
કે ગામ આખાને દેખાય.
ભૂખની આગ તો
પેટમાં ઉકળતો લાવા.
જેના પેટમાં હોય
એ અંદર ને અંદર ખાક.

– વજેસિંહ પારગી

દાહોદ જિલ્લાના ભીલ જાતિના ખેતમજૂર દંપતીના ઘરે કવિનો જન્મ. ગુજરાત એટલે જેમના મન ખેડા, વડોદરા અને અમદાવાદ જિલ્લો હોય એવા દારુણ ગરીબીમાં સબડતા દલિત આદિવાસીજીવનના શિકાર કવિના માટે વિધાતાએ પણ ‘રોઝિઝ રોઝિઝ ઑલ ધ વે’ના સ્થાને ‘અક્કરમીનો પડ્યો કાણો,’ ‘દુકાળમાં અધિકમાસ’ અને ‘દાઝ્યા પર ડામ ને પડ્યા પર પાટુ’ જેવી કહેવતો જ સર્જી હતી. વતનના ગામ ઇટાવામાં કોઈક ધિંગાણા વખતે અકસ્માતે એક ગોળી એમના મોંના ભાગે વાગી અને છ-સાત વર્ષમાં એક પછી એક ચૌદવાર શસ્ત્રક્રિયાઓ કરાવીને દેવાદાર થઈ આગળ ઈલાજ કરાવવાનું અને અધ્યાપક થવાના સ્વપ્નોનું એમણે નાછૂટકે પડીકું વાળી દેવું પડ્યું. પ્રૂફરીડર બન્યા પણ એમાંય સતત જાતિવાદનો ભોગ બનતા રહ્યા. છેવટે એમના જ શબ્દોમાં ‘જિંદગીનો લય ખોરવાઈ ગયો છે. કશું સમજાતું નથી. બધું અર્થહીન લાગે છે. ઓછી પીડાવાળું જીવન ઝંખ્યું પણ જીવવું પડે છે પીડાથી ભરચક’ કહીને એમણે સાંઠ વર્ષની આયુમાં ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ વિદાય લીધી.

એમના મરણોત્તર સંગ્રહ ‘ડાગળે દીવો’માંથી વાંચતાસોત ઊભાને ઊભા ચીરી મૂકે એવું એક લઘુકાવ્ય અહીં રજૂ કરીએ છીએ…

રામબાણ તો વાગ્યા હોય એ જાણે… ખરું ને? એ જ રીતે પેટની આગ પણ જેણે વેઠી હોય એ જ જાણી શકે… પણ કવિતા એક એવો જાદુ છે, જે ન વાગેલ રામબાણની પીડા કે ન વેઠેલ આગની તકલીફ પણ અનુભવાવી શકે…

Comments (7)