આંસુઓ શાયરીને આપી દ્યો,
આંખમાં ફક્ત શાયરી રાખો.
કોટક ધાર્મિક ‘ગોપાલ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for February, 2013

હું ખેડું, તું વાવ – ચંદ્રકાન્ત શેઠ

હું ખેડું, તું વાવ,
આપણા ખેતર સૌ લ્હેરાવ,
હું વેડું, તું લાવ,
આપણી દોસ્તીનો એ દાવ.

કર માખણ-શી માટી મારી,
તારે ચાક ચડાવ,
ઘડા-કુલડી-માટ-કોડિયાં
ખપનાં ઠામ ઘડાવ,
હું પાકું એમ પકાવ,
હું દીપ ધરું, દરશાવ !

ઊંડો ખોદું કૂપ, ઝરણથી
તારાં એ ઊભરાવ,
તળિયું તરતું થાય, તલાવે
જળ એવાં છલકાવ !
હું ખૂલું, તું આવે !
આપણો જલસે થાય જમાવ !

– ચંદ્રકાન્ત શેઠ

ઇશ્વર સાથેની દોસ્તીનું એક મધુરું ગીત.. તળિયાને તરતું કરાવવાની વાતમાં આ ભક્તિભાવ કવિતાના સ્તરે પહોંચે છે…

Comments (6)

હિન્દી કાવ્ય – [ઓશો]

“मैं रुका रहा

किसी बाँस की डाली की तरह
हवा के सामने झुका रहा
और आवाज सुनता रहा एक
कि नति ठीक है
मगर मना नहीं है तुम्हारे लिये गति
हमने तो तुमसे उन्नत होने के लिये कहा है
विरति की बात कहाँ कही है हमने
रत रहने के लिये कहा है हमने तो तुमसे

सुनने को सुनता रहा मै यह आवाज
मगर समझ लिया मैंने
कि यह एक सलाह है

अपनी एक राह है मेरी
रुकने की और झुकने की
किसी न किसी जगह
पूरी तरह चुकने की ।”

-ओशो  – अथातो भक्ति जिज्ञासा – માંથી , કવિના નામ વિષે માહિતી નથી .

 

કોઈકે લિઓનાર્દો દ વિન્ચીને પૂછ્યું હતું – તમે નવોદિતોને વારસામાં શું આપવા ઇચ્છશો ? – તો તેઓનો જવાબ હતો – એક જ આગ્રહભરી વિનંતી – કદી તમારા મા-બાપ અને શિક્ષકોની સલાહ માનશો નહીં. પંડને જે દિશા સાચી લાગે તે દિશામાં નિર્ભયતાથી આગળ ધપજો ……

અંતિમ ચાર પંક્તિઓમાં આખી કવિતાનો અર્ક છે ….

Comments (9)

આપી દઉં – ઉદયન ઠક્કર

રૂપ રહેવા દે મ્યાન, આપી દઉં
ખંડણીમાં ગુમાન આપી દઉં

ભૂલથી પણ એ ભાવ પૂછે તો…
આખે આખી દુકાન આપી દઉં

મોસમે પૂછ્યું, આંખ મિચકારી
‘એક ચુંબન શ્રીમાન આપી દઉં?’

પાનખર આવે તો ભલે આવે
એને પણ માન-પાન આપી દઉં

કાં તો ભમરાને ગાન ના આપું
કાં તો કળીઓને કાન આપી દઉં

બોલ્યા પંડિત પતંગિયું જોઇ
‘ક્યારે પકડું, ને જ્ઞાન આપી દઉં!’

– ઉદયન ઠક્કર

રમતિયાળ ગઝલ ……

Comments (7)

વાંસલડીનો ઉત્તર – દયારામ

ઓ વ્રજનારી ! શા માટે તું અમને આળ ચડાવે ?
પુણ્ય પૂરવ તણાં, તેથી પાતળિયો અમને લાડ લડાવે.

મેં પૂરણ તપ સાધ્યાં વનમાં, મેં ટાઢ-તડકા વેઠ્યાં તનમાં,
ત્યારે મોહને મહેર આણિ મનમાં, ઓ વ્રજનારી !

હું ચોમાસે ચાચર રહેતી, ઘણી મેઘઝડી શરીરે સહેતી,
સુખ-દુઃખ કાંઈ દિલમાં નવ લ્હેતી, ઓ વ્રજનારી !

મારે અંગ વાઢ વઢાવિયા, વળી તે સંઘાડે ચડાવિયા,
તે ઉપર છેદ પડાવિયા, ઓ વ્રજનારી !

ત્યારે હરિએ હાથ કરી લીધી, સૌ કોમાં શિરોમણિ કીધી,
દેહ અર્પી અર્ધ અંગે દીધી, ઓ વ્રજનારી !

માટે દયાપ્રીતમને છું પ્યારી, નિત્ય મુખથી વગાડે મુરારિ,
મારા ભેદગુણ દીસે ભારી ! ઓ વ્રજનારી !

– દયારામ

વ્રજની ગોપીઓ દયારામની એક ગરબીમાં કૃષ્ણ વાંસળીને પોતાના કરતાં વધુ વહાલ કરે છે એમ માનીને ‘વેરણ’ અને ‘શોક’ કહી બોલાવે છે એનો પ્રત્યુત્તર વાંસળી આ ગરબીમાં આપે છે. વાંસલી વ્રજનારીને કહે છે કે અમને નહક આળ ન દે. અમારા આગલા જન્મોના પુણ્ય છે. અમે વનમાં ટાઢ-તડકો-મેઘઝડીઓ ખુલ્લા ડિલે મનમાં સુખ-દુઃખ આણ્યા વિના ઝીલ્યાં છે. અંગે કાપા પડાવ્યા, સંઘાડે ચડ્યા અને પછી કાયામાં છીદ્રો પડાવ્યાં ત્યારે મુરારીએ મને હોઠવગી કીધી છે.

(ચાચર = ખુલ્લો ચોક)

Comments (2)

ઢળે જો સાંજ – બંકિમ રાવલ

અમદાવાદથી વ્યવસાયે એન્જિનિઅર એવા બંકિમ રાવલ એમનો પ્રથમ સંગ્રહ “ઢળે જો સાંજ” લઈને આવે છે. માત્ર એકાવન કૃતિઓનો રસથાળ પીરસતો આ નાનકડો સંગ્રહ ૨૧ ગીત, ૨૨ ગઝલ અને બાકીના અછાંદસ-હાઇકુઓથી સજ્જ છે. માત્ર બાવીસ જ ગઝલમાં અલગ અલગ ૧૪ જેટલી બહેરનું છંદ-વૈવિધ્ય આપી શક્યા છે એ વાત સાનંદાશ્ચર્ય જન્માવે છે. ગીતોમાં ક્યાંક લય લથડે છે અને એકાદ અછાંદસ ગદ્યની પૃષ્ઠભૂ પરથી ઊંચે નથી ઊઠી શકતું એ જવા દઈએ તો સરવાળે સરસ કામ થયું છે.. ગઝલોમાં તો ઘણા બધા શેર આસ્વાદ્ય થયા છે.

ગઝલના કેટલાક શેર:

ગુંદર ન હોય એવી દેશી ટિકિટ માફક
આ મન લગાડવામાં વર્ષો વીતી ગયાં છે.

એ અવિરત પૂર ધસમસ, અંકપટ્ટી આપણે;
નોંધ ચોક્ક્સ થઈ શકે પણ ખાળવું સહેલું નથી.

કશું છે ભીતર ? શક પડે છે હવે,
પડળમાં પડળમાં પડળ કેમ છે !

વૃક્ષ કેવળ થડ બનીને રહી જશે,
લાગણી અગવડ બનીને રહી જશે.

કોકનું ચાલી જવું આ દ્વારથી હટતું નથી,
કોકનું આવ્યાં છતાં આવ્યા વિના ચાલી જવું.

ચોપાસ એમ રહેવું જાણે કશે જ ના હો,
એ તું હશે કે મારી અટકળ હતી ? જવા દો.

શબ્દની છલનાનું ગૌરવ સાચવું,
ચુપ રહું, અફવાનું ગૌરવ સાચવું.

ખુદને તાળું દઈ ઘરેથી નીકળું,
ભીડમાં ભળવાનું ગૌરવ સાચવું

વૃક્ષની પાર પણ વિશ્વ હોઈ શકે,
પાનખરની બહાને ખરી જોઈએ.

જાણવાથી કંઈ ફરક પડતો નથી,
દુઃખ એ જાણી ગયાનું હોય છે.

બચપણમાં સંતાડેલું તે જડી ગયું તો કામ આવ્યું,
એક રમકડું સ્વયં થકી સંતાઈ જવાની આદતનું.

પથ્થરનું સ્વપ્ન વૃક્ષ,
લીલો-પીળો પ્રવાસ.

ફ્રેમ બની જા તું ફોરમની,
મારી જાત મઢાવી આપું.

ઉલા-સાની બે ડાળની વચ્ચે,
ચંદ્ર શાયરની વ્યંજના જાણે.

ચલો, ‘હોવું’ મળે છે ક્યાં ‘ન હોવા’ને પૂછી લેશું,
ઊડી છે વાત કે બન્ને વસે એક જ સ્થળે, સાધો.

ગીતોમાંય ક્યારેક અદભુત કલ્પન ડોકિયાં કરી જાય છે. બે ઉદાહરણ જોઈએ:

પહેલી લીટી એક અજંપો, બીજી લીટી ડૂમો,
તારું હોવું ‘ફ્રેન્ચ’ કવિતા, કેમ કરું તરજૂમો !

કૂવાની મિલકત પૂછો તો પડઘા ને અંધારું,
વૈભવ લેખે તાડ ગણાવે શૂન્યભવન મજિયારું…

-બંકિમ રાવલ

કવિશ્રીને શુભકામનાઓ…

Comments (12)

દે તાલ્લી – અનિલ જોશી

કે પાદરમાં ઝરમર વેરાય તને મળવું દે તાલ્લી
કે વાતમાં મોરલાના ટહુકાનું ભળવું દે તાલ્લી

કે ડાંગરના ખેતર ઢોળાય તારા ઘરમાં દે તાલ્લી
કે કેડીઓ સમેટાઈ ગઈ મુસાફરમાં દે તાલ્લી

કે ગીતમાં અધકચરી માણસતા વાગી દે તાલ્લી
કે પાનખર પાંદડાની જાળીએથી ભાગી દે તાલ્લી

કે આંખ હજી ઉઘડી નથી ને પડ્યાં ફોતરાં દે તાલ્લી
કે ગામને મેળે ખોવાઈ ગયા છોકરાં દે તાલ્લી

કે સમળીના ચકરાવા વિસ્તરતા ખોરડે દે તાલ્લી
કે ચાંદરણા પડતા ખડીંગ દઈ ઓરડે દે તાલ્લી

કે એક વાર અડકી ગઈ આંખ તારી મન્ને દે તાલ્લી
કે એક વાર અટકી ગઈ વાત કહી અન્ને દે તાલ્લી

કે ચોકમાં પીંછું ખર્યું ને લોક દોડ્યા દે તાલ્લી
કે લેણદાર એટલા વધ્યા કે ગામ છોડ્યા દે તાલ્લી

– અનિલ જોશી

તાલીઓની વચ્ચે કવિ એક આખી કથા ગૂંથી લીધી છે. ને કથાના દરેક મુકામે તાલી તો ખરી જ !

Comments (5)

તમે એ ડાળ છો….- ગની દહીંવાળા

તમે એ ડાળ છો જે ડાળ પર પહેલું સુમન લાગે,
હું એવું પુષ્પ છું : મહેંકી રહું જ્યાં જ્યાં પવન લાગે.

કહ્યું છે સાવ મોઘમ, યોગ્ય જો તમને સૂચન લાગે,
ઘડીભર ખોરડું મારું મને ચૌદે ભુવન લાગે.

દિવસ ને આવવું હો તો વસંતોમાં વસી આવે,
સૂરજને સૂંઘીએ તો રોજનું તાજું સુમન લાગે !

ઊભો છું લઈને હૈયા-પાત્ર, યાચું કંઈક એવું કે,
જગત નિજની કથા સમજે, મને મારું કવન લાગે.

ઘણું ભારણ છે જીવનમાં, છતાં એક બોજ એવો છે,
ઉપાડો તો સહજ લાગે, ઉતારો તો વજન લાગે !

મનોમન વ્યગ્ર થઈ મનને મનાવી તો જુએ કોઈ,
હૃદય આ લાડકું, રિસાયેલું કોઈ સ્વજન લાગે.

‘ગની’, સંઘરેલ તણખાને હૃદયથી વેગળો કરીએ,
કોઈ સદભાગી હૈયે આપણા દિલની જલન લાગે.

– ગની દહીંવાળા

આ ગઝલ સાંભળવા માટે ક્લિક કરો: ટહુકો.કોમ

Comments (9)

જાય છે ? – રમેશ પારેખ

જે તરફ આપણી આસ્થા જાય છે,
આ ચરણ એથી કાં ઉલટાં જાય છે ?

પક્ષી માફક હું ટહૂક્યો તો કેવું થયું !
એકમાં વૃક્ષ સો ખૂલતાં જાય છે !

જેમ મધ્યાહ્ન પેઠે તપે છે તરસ.
એમ પાણી યે ટૂંકાં થતાં જાય છે.

ડાળ રહેશે તો ફૂલો નવાં બેસશે :
એમ કહીને સ્વપ્ન તૂટતાં જાય છે.

તારી કાયા જ મારી ઊગમણી દિશા,
મારાં નેત્રો ય સૂરજ થતાં જાય છે.

તેં જ પૂર્યો હતો ટીપડામાં તને,
માર્ગને તો જ્યાં જાવું’તું ત્યાં જાય છે.

– રમેશ પારેખ

Comments (12)

ગઝલ – ઉર્વીશ વસાવડા

બધુંય ધ્વસ્ત થશે એ પછીય બચવાનું
કયું એ તત્ત્વ હશે એ જ તો સમજવાનું

પડાવો એક બે એવાય સફરમાં આવે
ગમે કે ના ગમે બે-ચાર પળ અટકવાનું

ઘટિકાયંત્રની રેતી સમી જીવનગાથા
સમયના છિદ્રમાં અટકી પછી સરકવાનું

બધાના ભાગ્યમાં છે આગિયાપણું કેવળ
ન કૈં પ્રકાશ મળે એ રીતે ચળકવાનું

તૂટેલી ભીતના ભીડેલ દ્વાર જેવો હું
ખુલ્યાનો અર્થ નથી તે છતાં ખખડવાનું

– ઉર્વીશ વસાવડા

બધા જ શેર મનનીય… ઘટિકાયંત્ર અને આગિયાના પ્રતીકોનો કેવો સક્ષમ પ્રયોગ !

Comments (10)

પ્રેમ પછી પ્રેમ – ડેરેક વૉલ્કોટ (અનુ. વિવેક મનહર ટેલર)

સમય આવશે
જ્યારે, ઉત્તેજના સાથે,
તમે તમારી જાતને આવતી આવકારશો
તમારા પોતાના દરવાજે, તમારા પોતાના અરીસામાં,
અને બંને જણ સ્મિત કરશે પરસ્પરના આવકાર પર,

અને કહો, અહીં બેસો. આરોગો.
તમે ફરીથી આગંતુકને ચાહશો જે તમારી જ જાત હતો.
દારૂ પીરસો. રોટી આપો. પાછું આપો તમારું હૃદય
તમારા હૃદયને જ, આગંતુકને જેણે તમને ચાહ્યો છે

તમારું આખું જીવન, જેને તમે અવગણ્યો છે
બીજા માટે, જે તમને જાણે છે દિલથી.
અભરાઈ પરથી પ્રેમપત્રો ઉતારો,

ફોટોગ્રાફ્સ, વિહ્વળ નોંધો,
ઉતરડી નાંખો તમારું પોતાનું પ્રતિબિંબ અરીસામાંથી.
બેસો. તમારી જિંદગીને ઉજવો.

-ડેરેક વૉલ્કોટ
(અનુ. વિવેક મનહર ટેલર)

*
જીવનની દોડમાં ને અન્યોને ચાહવાની હોડમાં આપણે મોટાભાગે જાતને ચાહવાનું ભૂલી જતાં હોઈએ છીએ. અને જે જાતને નથી ચાહી શકતો એ અન્યને શી રીતે ચાહી શકે? પણ ક્યારેક એવો સમય જરૂર આવે છે જ્યારે તમારી પોતાની જાત તમને આગંતુક બનીને તમારા ઘરના દરવાજે, તમારા અરીસામાં મળે છે. એને આવકારો. એને ચાહો. અભરાઈ પરથી જૂની યાદો, જૂના સંબંધો ઉતારી દઈ, જે આભાસી જિંદગી તમે જીવતા આવ્યા છો એને જીવનના અરીસામાંથી ઉતરડી નાંખો અને તમારું પોતાનું હોવું ઉજવો…

વાઇન અને બ્રેડના સંદર્ભ ઇસુ ખ્રિસ્તને આ કવિતા સાથે સાંકળી કવિતાને આધ્યાત્મનો રંગ પણ આપે છે… દરવાજો, અરીસો અને પ્રેમને એ સંદર્ભમાં પણ જોઈ શકાય.

આ કાવ્ય અને ટિપ્પણી તૈયાર કર્યા પછી ધ્યાન ગયું કે આ કવિતાનો અનુવાદ તો ધવલે પણ લયસ્તરો પર મૂક્યો છે. આ સાથે જ ધવલનો અનુવાદ અને એની લાક્ષણિક ટિપ્પણીનો પણ લાભ લો: https://layastaro.com/?p=7076

*

Love after Love

The time will come
when, with elation,
you will greet yourself arriving
at your own door, in your own mirror,
and each will smile at the other’s welcome,

and say, sit here. Eat.
You will love again the stranger who was your self.
Give wine. Give bread. Give back your heart
to itself, to the stranger who has loved you

all your life, whom you ignored
for another, who knows you by heart.
Take down the love letters from the bookshelf,

the photographs, the desperate notes,
peel your own image from the mirror.
Sit. Feast on your life.

– Derek Walcott

Comments (10)

દિલ ભલા, આપણે એને ભૂલી જઈશું – એમિલી ડિકિન્સન

દિલ ભલા, આપણે એને ભૂલી જઈશું,
તું અને હું, આજ રાત્રે!
તું ભૂલી જજે એણે આપેલી ઉષ્મા,
હું ભૂલી જઈશ પ્રકાશ !

જ્યારે તું પરવારી લે, મહેરબાની કરી કહેજે મને,
ત્યારે હું મારા વિચારોને ધૂંધળા કરી દઈશ.
જલ્દી કર! રખેને તું પાછળ પડી જાય
ને હું એને યાદ કરી બેસું.

-એમિલી ડિકિન્સન
(અનુ. વિવેક મનહર ટેલર)

*
આજે વેલેન્ટાઇન ડે પર એક અનોખું પ્રેમકાવ્ય. કહે છે કે પ્રેમની ખરી તાકાતનો અંદાજ વિરહમાં મળે છે, મિલનમાં નહીં. પ્રેમભગ્ન થયા પછી નાયિકા પોતાના હૃદય સાથે સંવાદ સાધે છે અને બેવફા પ્રેમીને ભૂલી જવાનું નક્કી કરે છે. પણ ભૂલવાની પ્રક્રિયા કેટલી તો વસમી છે કે નાયિકા પહેલી ચાર લીટીમાં જ ત્રણ-ત્રણ વાર ‘ભૂલી’ શબ્દ દોહરાવે છે.

અને મજા તો ત્યાં છે જ્યારે નાયિકા હૃદયને મીઠો ઉપાલંભ આપે છે કે એને ભૂલવામાં જલ્દી કરજે. નાહક તું ધીમું પડશે અને હું એને યાદ કરી બેસીશ. કેવી વિવશતા ! કેવી મજાની પ્રેમની દિવાનગી હશે, કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો.

Heart, we will forget him

Heart, we will forget him,
You and I, tonight!
You must forget the warmth he gave,
I will forget the light.

When you have done pray tell me,
Then I, my thoughts, will dim.
Haste! ‘lest while you’re lagging
I may remember him!

– Emily Dickinson

Comments (19)

રૂપકો – સિલ્વિયા પ્લાથ

હું નવ અક્ષરનું એક ઉખાણું છું,
હાથી, ભારેખમ ઘર,
બે વેલ પર ઉપર તડબૂચ.
ઓહ લાલચટ્ટાક ફળ, હાથીદાંત, ઉમદા સાગ!
આથો ચડતો જાય છે લોટ ઉભરાતો જાય છે.
બટવામાં કડકડતી નોટો ઉમેરાતી જાય છે.
હું એક સાધન, એક રંગમંચ, એક ગાભણી ગાય.
ખાધા છે મેં ભારોભાર લીલા સફરજન,
ચડી ગઈ છું ગાડીમાં હવે ઉતરાય એમ નથી.

– સિલ્વિયા પ્લાથ
(અનુ. ધવલ શાહ)

સિલ્વિયા પ્લાથના અવસાનને ગઈકાલે પચાસ વર્ષ થયા. એમની કવિતાઓ એ જમનામા વંચાતી’તી એનાથી ક્યાંય વધારે આજે વંચાય છે. એમનું આખું જીવન ઉતાર ચડાવમાં ગયું. ડીપ્રેશન સાથેની જીવનભરની લડત છેવટે આત્મહત્યામાં પરિણામી. એમના જીવન વિશે વાત ફરી ક્યારેક કરીશું, આજે આ બહુ પ્રખ્યાત કવિતાની વાત કરીએ.

કવિતા એક ઉખાણા તરીકે લખી છે. આખી વાત માત્ર રૂપકોની મદદથી કરી છે. એટલે કવિતાનું નામ પણ રૂપકો જ રાખ્યું છે. નામથી પણ કવિતાના વિષય વિશે કોઈ સંકેત મળતો નથી. એટલે પહેલી વાર આ કવિતા વાંચો અને કશી પિચ ન પડે તો ચિંતા ન કરતા 🙂

આખી કવિતા પ્રસૃતિ દરમ્યાન કવયિત્રીની અકળામણ વિશે છે. નવ અક્ષર એ પ્રસુતિના નવ મહિનાનું પ્રતિક છે. કવયિત્રીએ કવિતામાં રૂપકો પણ ગણીને નવ વાપર્યા છે. પહેલા કવયિત્રી પોતાની અવસ્થા માટે હાથી, ભારેખમ ઘર અને (રમૂજમાં) બે વેલ (જેવા પગ) ઉપર તડબૂચ (જેવું પેટ) રૂપકો વાપરે છે. પણ પછીની લીટીમાં ખરી અકળામણ આવે છે. પ્રસૃતિ પછી દુનિયાની નજરમાં સ્ત્રીની કિંમત ઘટતી જાય છે, અને એના પેટમાં રહેલા બાળકની કિંમત વધતી જાય છે. ક્યારેક તો સ્ત્રી કરતા બાળકને જ વધુ મહત્વ અપાતું જાય છે. કવયિત્રી એ વાતને અજબ બખૂબીથી કરે છે. એ તો (ફળને બદલે)  ફળની અંદરના લાલચટ્ટાક ભાગ, (હાથીને બદલે) હાથીદાંત અને (આખા  ઘરને બદલે એમાં વપરાયેલા) ઉમદા લાકડાના વખાણ કરે છે.

પ્રસૃતિ આગળ વધતી જાય છે. આથો આવતા લોટની જેમ એ ઉભરાતી જાય છે. કવયિત્રી પોતાની જાતને બટવા સાથે સરખાવે છે જેનું કામ માત્ર અંદરની નોટોને સાચવવા જેટલું જ રહ્યું છે. પોતાની જાત કવિને માત્ર (સંતાન પ્રાપ્તિના) એક સાધન, (કલાકારોને આધાર આપતા) રંગમંચ કે ગાભણી ગાય (કે જેના વછેરામાં જ લોકોને રસ છે) જેવી લાગે છે. આદમ-ઈવે એક સફરજન ખાધેલું. જ્યારે કવયિત્રીએ તો ભારોભાર સફરજન ખાધા છે. લાલ સફરજન પ્રેમનું પ્રતિક છે. કવિ એને ઉલટાવીને લીલા સફરજનની વાત કરી છે.  છેલ્લી લીટીમાં કવયિત્રીની અકળામણ ચરમસીમાએ પહોંચે છે. આ મારતી ગાડીમાંથી હવે ઊતરી પણ શકાય એમ નથી. એટલે કે પ્રસૃતિ પછી જીંદગી હંમેશાને માટે બદલાઈ જવાની છે.

માતૃત્વના એક જુદા જ પાસાની વાત અહીં છે. કવિતા તો સશક્ત છે જ. પણ આવા વિચારને પ્રમાણિક રીતે પ્રગટ કરવો એ પણ બહુ મોટી વાત છે. હવે ફરી એક વાર કવિતા વાંચી જુઓ.

Comments (10)

ભટકે છે – બરકત વીરાણી ‘બેફામ’

વીતેલ પ્રસંગો એ રીતે જીવનની કથાના ભટકે છે,
જાણે કે મારા પુસ્તકના ફાટેલાં પાનાં ભટકે છે .

રસ્તા જ જગતના છે એવા,સૌ મોટા-નાના ભટકે છે,
કોઈ ભટકે છે છતરાયા,તો કોઈ છાના ભટકે છે .

સૌ વિહ્વળ છે, સૌ ચંચળ છે,કેવળ સૌનાં નોખાં સ્થળ છે,
રણમાં દીવાના ભટકે છે,ઉપવનમાં દાના ભટકે છે .

એક હું છું કે નિત ભટકું છું એકેક સમયની પળ પાછળ,
એક તું છે કે તારી પાછળ કંઈ લાખ જમાના ભટકે છે .

આ દુનિયા છે, આ દુનિયામાં જીવવાનો મોહ નથી છૂટતો,
‘બેફામ’ અહીં તો મોત પછી પણ જીવ ઘણાના ભટકે છે .

– બરકત વીરાણી ‘બેફામ’

Comments (10)

નવી કિતાબ – મરીઝ

કહું છું સાકીને જયારે મને શરાબ તો દે,
કહે છે આગલો બાકી છે એ હિસાબ તો દે.

અનેક રાગ છે કંઠસ્થ- રજૂઆત નથી,
તૂટી ફૂટેલું ભલે હોય એક રબાબ તો દે.

મને તો કોરી રહી છે આ મારી એકલતા,
ભલે સરસ નહીં, સંગત કોઈ ખરાબ તો દે.

કુરાન,ગીતા,અવેસ્તા, હવે જવા દે વાત,
હવે નવી હો લખેલી કોઈ કિતાબ તો દે.

જરાક તારી આ દુનિયામાંથી ખોવાઈ શકું,
ભલે ન ઊંઘ મને આપ, થોડાં ખ્વાબ તો દે.

અનંત ઊંઘ છે, પથ્થરના મારથી શું થશે ?
જનાજો જાય છે મારો જો હો, ગુલાબ તો દે.

-મરીઝ

[ રબાબ = એક જાતનું તંતુ વાદ્ય; એક દોરીનું કે એક્તારવાળું વિશિષ્ટ વાદ્ય; સારંગી ]

ચોથા શેર ઉપર ખાસ ધ્યાન દોરવા માગું છું – શાયરે કદાચ પોતાની રીતે આ શેર કહ્યો હશે પરંતુ તેને વક્રોક્તિ મુજબ મૂલવતા એક રસપ્રદ અર્થ સામે આવે છે – માનવીને સત્યની ખોજ નથી , ખોજ છે નિતનવા stimulus ની . જે . કૃષ્ણમૂર્તિએ તેઓના સુદીર્ઘ જીવનના અંતભાગે એક પ્રશ્નનો ઉત્તર આ રીતે આપેલો –

પ્રશ્ન- તમે 65 વર્ષ વિશ્વ સાથે આપના દ્રષ્ટિકોણ share કર્યાં . આ તબક્કે તમે તમારા પ્રયાસને કઈ રીતે મૂલવો છો ? તમને કેટલી સફળતા મળી તમારી વાત લોકોની અંદર ઉતારવામાં ?

ઉત્તર- શૂન્ય . લોકોએ મને સાંભળ્યો, વારંવાર સાંભળ્યો, અને પછી તરત જ બધી વાતો ભૂલી ગયા . તેઓ માટે મારું મૂલ્ય એક entertainer થી વિશેષ કશું જ નથી . મારા પછી કોઈ બીજા પાસે જશે પોતાના entertainment માટે . તેના પછી કોઈ ત્રીજા પાસે…..

Comments (12)

તડકાનો ટુકડો – યોગેશ જોષી

સૂરજ
આથમી ગયો –
સમેટી લઈ
તડકો
અને બધુંય અજવાળું…

સવારે
બારીમાંથી આવેલા
તડકાનો ટુકડો
રહી ગયો
મારી રૂમમાં…

બસ,
હવે એ ઓઢીને
હું સૂઈ જઈશ…

– યોગેશ જોષી

અછાંદસ કવિતાઓનો ફાલ ફાટી નીકળ્યો છે. થોડુંઘણું ગુજરાતી આવડતું હોય એ બધા અછાંદસ કવિતાઓ ઢસડવા માંડે છે પણ અછાંદસ એટલે કે મુક્ત કાવ્ય કવિતાનો સહુથી વિકટ પ્રકાર છે. ઉત્તમ અછાંદસ એ ગણાય જેમાંથી તમે એક શબ્દની પણ બાદબાકી કરી ન શકો.

આ જુઓ… સાવ નાનકડું પણ કેવું બળકટ અછાંદસ ! એક શબ્દ પણ આમાંથી બાદ તો કરી જુઓ..! તડકો અહીં ઉજાસ અને ઉષ્મા – બંનેનું પ્રતીક છે. આપણા બધાનાં જીવનમાં આવું બનતું હોય છે. કોઈ સૂરજની જેમ પ્રવેશીને આપણા જીવતરના આખા આકાશને ઝળાંહળાં કરી મૂકે છે અને પછી ચાલ્યું જાય ત્યારે ? એના સ્મરણનું અજવાળું અને હૂંફ જ જીવતરના ઓરડામાં વ્યાપી ગયેલા અંધકારને દૂર કરવામાં કામ આવતા હોય છે !

Comments (15)

ગઝલ – મકરંદ દવે

કદાચ આજ મરી જાઉં તો, કહો, શું બને?
વિચારું છું, કદાચ ઓળખીય જાઉં મને.

વિલુપ્ત થાય અહીં ગાનતાન મૌન મહીં,
અને કદાચ કહીં એ જ ગાનતાન બને.

ગમ્યું છે ખૂબ કહી જાઉં કોઈ કાન મહીં,
ગમે છે ખૂબ હસીને કહી રહું ગમને.

સહીશ આંસુ રુદન દોસ્ત બધાં હું તારા
હસી પડે જો જરા વ્યર્થ ઊંચક્યા વજને.

મજાક બે’ક કરી લઉં થતું સ્મશાન મહીં,
વદું પરંતુ વિના પ્રાણ હું કયા વદને !

હરેક પળમાં જીવ્યો’તો એ ખૂબ પ્રાણ ભરી
છતાંય ચાહતો હતો સદા ચિરંતનને.

ચલો, આ વાત વધારી જવામાં માલ નથી
તને ખબર છે બધી, મૌનમાં કહી છે તને.

– મકરંદ દવે

સાંઈ-કવિ મકરંદ પાસેથી રોમ-રોમ પુલકિત થઈ ઊઠે એવી ગઝલ મળે ત્યારે બે-ચાર છંદ-દોષ સામે આંખ-આડા કાન કરવા પડે… દરેક શેર બે ઘડી પાસે ઊભા રહી પંપાળવા પડે એવા…

Comments (8)

એક મધ્યરાત્રે – રાવજી પટેલ

અરે, આ ઓચિંતું, થઈ જ ગયું શું સ્હેજ પરસે !
પથારી ખીલી ગૈ, કુસુમ ટહુક્યાં કૈં રુધિરમાં !
ઝમે અંગુલિનાં શિખર લયમાં, ને નયનમાં
હજારો પૂર્ણિમા પ્રકટ થઈ ગૈ શી પલકમાં !
અને આ હૈયાની ઉષર ધરતીમાં પરિમલ્યા
નર્યા દૂર્વાંકુરો ફર ફર થતા સ્હેજ ચમક્યું
સૂતેલી પત્નીનું શરીર; ઝબક્યો હુંય; પરખી.
જરા મેં પંપાળી પ્રથમ. ઉર મારુંય છલક્યું.
વીતેલાં વર્ષોમાં કદીય પણ ચાહી નવ તને.
સ્તનોના પુષ્પોમાં શરમ છૂપવીને રડી પડ્યો.

– રાવજી પટેલ

નાની વયે અવસાન પામેલા રાવજી પટેલની ટીબીની બિમારીના કારણે જન્મેલી કમજોરીને કવિતાનો ભાગ ન ગણીએ તો પણ એટલું સમજી શકાય છે કે પ્રણયાભિવ્યક્તિની ગેરહાજરી મોટાભાગના સંબંધોના કરમાવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. પણ વધુ અગત્યનું એ છે કે શરમ ત્યજી શકાય તો સંબંધની આવી ઉષર જમીનમાં પણ પુષ્પ ખીલી શકે છે.

(પરસે= સ્પર્શે, ઉષર = ઉજ્જડ, દૂર્વાંકુર= કાળા ને કુમળા ઝીણા ઘાસનો ફણગો)

Comments (14)

એક ઊખાણું! – રાજેન્દ્ર શુક્લ

ના તું જાણે, ના હું જાણું,
બે ય મળીને એક ઊખાણું!

હું તારામાં ગયું ઓગળી,
તું મુજમાં આવી સંતાણું!

અવલોક્યું તો અલગ રહ્યું ના,
આંખોમાં આખ્ખું અંજાણું!

શ્વાસ સરીખા શ્વાસનું સાટું,
હરખી ઊઠ્યા હાટ, હટાણું!

કેવાં વસ્તર, કેવા વાઘા,
જેવો અવસર, જેવું ટાણું!

રંગ ચડ્યા ને રંગ ઊતર્યા,
રંગ વગર આખર રંગાણું!

અમે જ અમને ફટવી મૂક્યા,
ઉપરથી તમણું ઉપરાણું!

– રાજેન્દ્ર શુક્લ

સાથે રહેવામાં – મ્હાલવામાં – છલકવામાં – વિલસવામાં જે રંગત છે એનું કોઈ ‘લોજિક’ નથી. એ તો છે કારણ કે એ છે. એમાં રંગ વગર રંગાવાનું છે, શ્વાસથી શ્વાસમાં ભળી જવાનું છે, છાસવારે બદલાતા જવાનું છે, એક બીજામાં સંતાય જવાનું છે, અને હદ ઉપરાંત ફટવાય જવાનું છે. બહારથી જુઓ તો લાગે કે આ ઉખાણું છે પણ એની અંદર ઉતરો તો આવા સંન્નિવાસથી વધારે સહજ, સરળ બીજું કશું નથી.

Comments (10)

ન થયા – રમેશ પારેખ

આમ અછતા ન થયા આમ ઉઘાડા ન થયા,
હાથ ફૂલોમાં ઝબોળ્યા ને સુંવાળા ન થયા.

સ્વપ્ન તો આંખમાં આવીને રહે કે ન રહે,
ઘેર આવેલ પ્રસંગો ય અમારા ન થયા.

તાગવા જાવ તો – ખોદાઇ ગયા છે દરિયા,
અર્થ શોધો તો – અમસ્થા ય ઉઝરડા ન થયા.

એક વરસાદનું ટીપું અમે છબીમાં મઢ્યું,
ત્યારથી ભેજભર્યા ઓરડા કોરા ન થયા.

સમુદ્ર લોહીમાં ખીલ્યો, ખીલ્યો, ઝૂલ્યો ને ખર્યો,
બળી ‘ગ્યો છોડ લીલોછમ ને ધુમાડા ન થયા.

આજ ખાબોચિયાનાં થાય છે શુકન રણમાં,
તો ય ભાંગી પડેલ જીવને ટેકા ન થયા.

આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.

-રમેશ પારેખ

Comments (10)

ગઝલ – મરીઝ

મારું જીવન, જીવન નહીં, મારું મરણ, મરણ નહીં,
તારો અનંત કાળ છે, મારી તો એક ક્ષણ નહીં.

સ્પર્શ વિના મજા મળે એની મીઠાશ ઔર છે,
કુદરત તરફથી જે મળે તેવા જખમને ખણ નહીં.

તારી નજરની ભૂલથી તું તો ઠગાઈ જાય છે,
જોશે તો તારા લાખ જણ સમજે તો એક પણ નહીં.

મનદુઃખ તો થાય છે અહીં કિંતુ જરાક હદ રહે,
ઓળંગી જે શકે નહીં એવી દીવાલ ચણ નહીં.

પોતાનો એક પ્રવાહ હો, પોતાનું એક વહેણ હો,
જેમાં ન ખુદની હો ગતિ, મૃગજળ છે એ ઝરણ નહીં.

આ તો શરૂનું દર્દ છે મૃત્યુની ઝંખના ન કર,
હમણાં તો શ્રીગણેશ કર, હમણાંથી શ્રીચરણ નહીં.

સંત એ ક્યાં ગયા ‘મરીઝ’, ક્યાં એ ફકીર ગુમ થયા ?
ઢાંકણ બીજાનું રાખતા, પોતાનું આવરણ નહીં.

-મરીઝ

Comments (6)

ઉદ્ધવગીત – વીરુ પુરોહિત

વિણ માધવ, ઉદ્ધવજી ! જાણે ગોકુળ નિર્જન ટાપુ !
કેવળ શ્વસવું નથી જીવવું, લક્ષ પ્રમાણો આપું ?

ક્યાંય નથી સંભળાતો હંભારવ ગોકુળમાં આજે,
રોજ પ્રભાતે મધુવનમાં ફૂલ ખીલતાં પ્હેલાં લાજે !
તરડાતા કોયલ-ટહુકાને કોણ સાંધશે, ઉદ્ધવ ?
રાસ ફરી રમવાનું, કહેજો ઈજન પાઠવે માધવ !
ક્રંદન કરતી રાધા ભાળી થાય : શ્યામને શાપું !
વિણ માધવ, ઉદ્ધવજી ! જાણે ગોકુળ નિર્જન ટાપુ !

થાય વલોણું ડૂમાતું’ને નથી ઊતરતું માખણ,
પરત કરો, ઉદ્ધવજી ! મારી સોળવેલી એ થાપણ !
નંદ-જશોદાનું મુખ જોવું, નથી અમારું ગજું,
સમ છે તમને, જોયું તેવું નખશીખ કરજો રજૂ !
કરું ન અળગો, માધવ આવ્યે, છાતી સરસો ચાંપુ !
વિણ માધવ, ઉદ્ધવજી ! જાણે ગોકુળ નિર્જન ટાપુ !
કેવળ શ્વસવું નથી જીવવું, લક્ષ પ્રમાણો આપું ?

– વીરુ પુરોહિત

કૃષ્ણ ગોકુળ છોડી ગયા એ પછીના વિરહમાં આપણે ત્યાં મોટાભાગની ભાષાઓમાં ઢગલાબંધ વિરહગીતો અને ઠપકાગીતો રચાયા છે. વીરુ પુરોહિતનું આ ગીત આ ખજાનામાં માત્ર ઉમેરો નથી કરતું, આગવી શોભા પણ બક્ષે છે. કૃષ્ણ વિના યમુનાકિનારાનું ગોકુળ નિર્જન ટાપુ જેવું કેમ લાગે છે એના લાખ કારણો આપવા ગોપી તૈયાર છે. રાધાનું ક્રંદન જોઈ એ કાન્હાને શાપ પણ આપવા તૈયાર છે.

Comments (8)

ગઝલ – મનોજ ખંડેરીયા

રહસ્યોની ગુફામાં જઈ નિસરવું યાદ આવ્યું નહિ
સમયસર ‘ખુલ જા સિમ સિમ’ ઉચરવું યાદ આવ્યું નહિ

બરફ થૈ ને થીજી જાશુ સરળ સમજણ હતી કિંતુ
ભીના રહેવાના આનંદે નિતરવું યાદ આવ્યું નહિ

અમે જે બાળપણમાં ભીંત પર દોર્યું સરળતાથી
ઘણા યત્નો છતાં પાછું ચિતરવું યાદ આવ્યું નહિ

હતું એ હાથમાં ને રહી ગયું એ હાથમાં એમજ
ખરે ટાણે હુકમપાનું ઉતરવું યાદ આવ્યું નહિ

કલમથી શાહી બદલે દર્દ છંટકોર્યું છે કાગળ પર
બીજી કોઈ રીતે મન હળવું કરવું યાદ આવ્યું નહિ

– મનોજ ખંડેરીયા

સાદ્યંત સુંદર ગઝલ… અરેબિઅન નાઇટ્સની વાર્તા આ પહેલાં ગુજરાતી ગઝલમાં આટલી અદભુત રીતે ભાગ્યે જ કોઈ આલેખી શક્યું હશે… છંટકોર્યું જેવો શબ્દ પણ કેવી સહજતાથી ગઝલમાં ઊતરી આવ્યો છે !

આ ગઝલનો વિડિયો આપ અહીં માણી શક્શો.

પ્રસ્તુત ગઝલમાં બીજા નંબરનો શેર ચૂકી જવાયો હતો, જે જૂનાગઢથી કવિમિત્ર ઉર્વીશ વસાવડાએ મોકલાવી આપ્યો  છે. એ અહીં ઉમેરી દઉં છું… આભાર માનવો પડશે કે, ઉર્વીશભાઈ?

 

Comments (14)