મિલન-પળ અધૂરી કદી આવજો ના,
કશી બેસબૂરી કદી આવજો ના.
અમર્યાદ દૂરી કે બેહદ નિકટતા,
કશું બિનજરૂરી કદી આવજો ના.
પંચમ શુક્લ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for May, 2008

વીહલા, રોજ હાંજે સુંદરકાંડ વાંચીવાંચીને – કિશોર મોદી

024_24
(મોરારીબાપુ…..    ….અસ્મિતાપર્વ, મહુવા, ભાવનગર, ૧૯-૦૪-૨૦૦૮)

.

વીહલા, રોજ હાંજે સુંદરકાંડ વાંચીવાંચીને
થાકી ગિયા.
પેલા મોરારીબાપા કેવટનો પરસંગ મલાવી મલાવીને કે’ છે.
પણ આપળી હમજણને એવો લૂણો લાગી ગેયલો
છે ને… મગજમાં મારું બેટું કંઈ ઊતરતું નથી.

એ તો વળી એમ પણ કે’ છે કે
અમે તો વરહોવરહ વાહણને કલ્લઈ કરવાવાળા છીએ
પણ એલીમીનના વાહણને કંઈ કલ્લઈ થતી ઓહે,
વીહલા ?

– કિશોર મોદી

વરસોથી અમેરિકા રહેતા કિશોર મોદીના લોહીમાંથી સચીન (સુરત) નજીક આવેલા એમના ગામ કનસાડનો કણસાટ ઓગળ્યો નથી. એમના તાજા ‘એઈ વીહલા !’ કાવ્યસંગ્રહમાં અડધોઅડધ કાવ્ય સુરતી ભાષામાં (સૉરી, હુરતી ભાહામાં !) છે. આટલી વિપુલ માત્રામાં સુરતી કાવ્યોનો થયેલો આ કદાચ પહેલો સંચય હશે ! કવિતાના શબ્દે-શબ્દમાં પહેલા વરસાદના સંવનને ઘરતીમાંથી સોડમ ઊઠે એમ ઊઠતી ગામડાંની તળપદી મહેંક સૂંઘી શકાય છે.

કાલ્પનિક મિત્ર વીહલાને સંબોધીને કવિ આપણને સુંદરકાંડનો સંદર્ભ આપી રામાયણમાં પાત્રપ્રવેશ કરાવે છે. નાવિક કેવટનો પ્રસંગ તો યાદ હશે જ. રામને જ્યારે સરયૂ નદી પાર કરવાનો વખત આવે છે ત્યારે કેવટ પગ ધોવાની જીદ કરે છે. રામ પગ ધોવા દેવાના મતના નથી પણ કેવટ મક્કમ છે. તમારા ચરણસ્પર્શથી તો શીલા પણ સ્ત્રી (અહલ્યા) બની ગઈ હતી. મારી નાવડી જો સ્ત્રી બની જાય તો એક તો મારી આજીવિકા જાય, ઉપરથી મારે એનું ભરણપોષણ કરવાનું આવે. રામના સ્પર્શથી જડ પણ ચેતન બની જાય એ સંદર્ભ લઈને કવિ એક પ્રસંગમાંથી કાવ્યનું સર્જન કરવાનું કવિકર્મ આદરે છે.

મોરારીબાપુની કોઈક કથામાં સાંભળ્યા પ્રમાણે કવિ રોજ રામાયણનું પઠન કરી જાત મઠારવાની મથામણ કરે છે પણ લૂણો લાગી ગયેલ સમજણમાં કંઈ ઉતરતું નથી. મોરારીબાપુએ કદાચ વારંવાર કથા સાંભળવાનું અને રોજેરોજ રામાયણ વાંચવાનું માહાત્મ્ય સમજાવતા કહ્યું હશે કે આ તો દર વરસે પિત્તળના વાસણને જેમ કલાઈ કરીને આપણે ચમકાવીએ છીએ એવું કામ છે. પણ માત્ર મિત્રની સમક્ષ જ હૈયું ખોલીને જે નબળાઈ છતી કરી શકાય એ છતી કરતાં કવિ નિઃસાસો નાંખી કહે છે કે વાસણ પિત્તળનું હોય તો એને ચમકાવી શકાય, ઊજાળી શકાય પણ આપણી તો કાઠી જ મૂળે એલ્યુમિનિયમની છે. એને કેમ કરીને કલાઈ કરવી?

Comments (14)

ગઝલ – કુતુબ આઝાદ

હકથી વધારે લેશ અમારે ન જોઈએ,
હક થાય છે તે આપો, વધારે ન જોઈએ.

મઝધારમાં થયું તે થયું વાત વહી ગઈ,
તૂફાનનો અજંપો કિનારે ન જોઈએ.

હૈયામાં એનો પડઘો પડે તો જ મૂલ્ય છે,
અલ્લાહનો અવાજ મિનારે ન જોઈએ.

સ્હેલાઈથી જે પાળી શકો એ જ ધર્મ છે,
નિયમ કોઈ તલવારની ધારે ન જોઈએ.

‘આઝાદ’ જિંદગીની મજા ઔર છે એ દોસ્ત,
આ જિંદગી પરાયે સહારે ન જોઈએ.

-કુતુબ આઝાદ

આ ગઝલનો કયો શેર વધારે ગમી જાય એ નક્કી કરવાનું કઠિન થઈ પડે એમ છે. પણ અલ્લાહના અવાજનું સાચું મૂલ્ય અને મિનારાઓની- ધર્મસ્થાનોની નિરર્થક્તા સમજાવતો શેર મને એટલો ગમી ગયો કે હું દુબારા… દુબારા.. કહેતા થાકતો નથી.

Comments (15)

(ગીત) – મહેન્દ્ર વ્યાસ ‘અચલ’

કોઈ પ્રીત કરી તો જાણે !
અંતરમાં આ શીતળ અગનને કોઈ ભરી તો જાણે ! કોઈo

દિવસ ઊગ્યે બેચેન રહેવું,
રાત પડ્યે મટકું ના લેવું,
ખોવાયા ખોવાયા જેવી,
પળપળને વિસરાવી દેવી;
જીવતેજીવત આમ જીવનમાં કોઈ મરી તો જાણે ! કોઈo

દુનિયાની તીરછી દૃષ્ટિમાં,
વેધક વાણીની વૃષ્ટિમાં,
મસ્ત બનીને ફરતા રે’વું,
મનનું કૈં મન પર ના લેવું;
ખુલ્લે પગ કંટકભર પથ પર કોઈ ફરી તો જાણે ! કોઈo

મોજાંઓની પછડાટોથી,
ઝંઝાનિલના આઘાતોથી,
નૌકા જ્યાં તૂટી પણ જાયે
સાગર જ્યાં રૂઠી પણ જાયે;
એવા ભવસાગરમાં ડૂબી કોઈ તરી તો જાણે !

કોઈ પ્રીત કરી તો જાણે !

-મહેન્દ્ર વ્યાસ ‘અચલ’

પ્રેમ વિશે આપણે આજ સુધીમાં જે જે કંઈ ધાર્યું છે- શીતળ અગ્નિ, દિલનું ચેન ને રાતની ઊંઘનું હરાઈ જવું, મરીને જીવવું, ડૂબીને તરવું- એ બધી જ અભિવ્યક્તિઓ અહીં એક સાથે દરિયાના મોજાંની જેમ ભરતીએ ચડી આવી છે. પણ જે મજા અહીં છે એ આ ગીતના લયની છે, સંગીતની છે. વાંચતાની સાથે આ ગીત ગણગણાઈ ન જાય તો વાંચવાની રીત ખોટી એમ જાણજો…

Comments (3)

આવું છું – ઘાયલ

સાંજના પાછો ઘેર આવું છું
દ્વાર મારું જ ખટખટાવું છું
બીજું તો શું બહારથી લાવું ?
ઊંચકી હું મને જ લાવું છું.

– અમૃત ‘ઘાયલ’

Comments (14)

પાંખી પરિસ્થિતિ – ગની દહીંવાલા

સળગતો શબ્દ, પણ પીંખાયેલા પરિવાર જેવો છું,
મને ન વાંચ, હું ગઈ કાલના અખબાર જેવો છું.

અભાગી મ્યાનમાંથી નીકળી તલવાર જેવો છું,
ખરા અવસર સમે ખાલી ગયેલા વાર જેવો છું.

કદી હું ગત સમો લાગું, કદી અત્યાર જેવો છું,
નિરાકારીના કોઈ અવગણ્યા આકાર જેવો છું.

ભલે ભાંગી પડ્યો પણ પીઠ કોઈને ન દેખાડી,
પડ્યો છું તો ય છાતી પર પડેલા માર જેવો છું.

પરિચય શબ્દમાં પાંખી પરિસ્થિતિનો આપ્યો છે,
ને મોઢામોઢની હો વાત, તો લાચાર જેવો છું.

‘ગની’, તડકે મૂકી દીધા રૂડાં સંબંધના સ્વપ્નાં,
હવે હું પણ સળગતા સૂર્યના વ્યહવાર જેવો છું.

– ગની દહીંવાલા

આજે ગનીચાચાની ‘વિંન્ટેજ’ ગઝલ માણીએ  !

Comments (5)

સંબંધ નામના વૃક્ષની જાતકકથા – કમલેશ શાહ

તારી પાનીની ઠેસ વાગ્યા પછી
જેની પહેલી કૂંપળ ફૂટી હતી,
તે અશોકવૃક્ષને પાંદડે પાંદડે
મેં તારું નામ કોતરાયેલું જોયું.

તારા એ નામની બાજુમાં મેં
મારું નામ કોતરવાનો પ્રયત્ન કર્યો
અને એટલામાં તો
અશોક વૃક્ષ આકાશ થઈ ગયું.
મારી ભૂલ પર પસ્તાતો હું
ત્યાં જ સૂઈ ગયો.

હું જાગ્યો ત્યારે મારી ઉપર
બોધિવૃક્ષ
શ્વાસ લેતું હતું.

– કમલેશ શાહ

કોઈકે કહ્યું છે સંબંધનું analysis શક્ય નથી, એની માત્ર autopsy જ થઈ શકે. જે સંબંધને મૂલવવો પડે એ તો ક્યારનો ય મરી જ પરવાર્યો હોય છે. છતાં આ ‘સંબંધ’ નામના પતંગિયાના પડછાયાને પકડવાની રમત ચાલ્યા જ કરે છે. અહીં સંબંધવિચ્છેદ વધુ ‘સમજણ’માં પરિણામે છે એની વાત કરી છે. એક રીતે આ વાત તદ્દન ખરી લાગે છે પણ બીજી રીતે જુઓ તો… દિલ કે બહેલાને કો ગાલિબ યે ખયાલ અચ્છા હૈ જેવી લાગે છે. વધુ તો તમે જાણો !

Comments (6)

બોલ વાલમના – મણિલાલ દેસાઈ

ઊંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના.

ગામને પાદર ઘૂઘરા વાગે,
ઊંઘમાંથી મારાં સપનાં જાગે,
સપનાં રે લોલ વાલમનાં.
ઊંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના.

કાલ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ,
કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ,
ઝૂલતાં ઝોકો લાગશે મને,
કૂદતાં કાંટો વાગશે મને,
વાગશે રે બોલ વાલમના.
ઊંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના.

આજની જુદાઇ ગોફણ ઘાલી વીંઝશું લોલ,
વાડને વેલે વાલોળપાપડી વીણશું લોલ.
વીંઝતાં પવન અડશે મને,
વીણતાં ગવન નડશે મને,
નડશે રે બોલ વાલમના.
ઊંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના.
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના.

– મણિલાલ દેસાઈ

ગુજરાતી ભાષાનું મારું સૌથી પ્રિય પ્રતીક્ષા-ગીત એટલે મણિલાલ દેસાઈનું લોકપ્રિયતાની ચરમસીમા વટાવી ચૂકેલું આ ગીત. આ ગીત નથી, એક મુગ્ધાના મધમીઠાં ઓરતાનું શબ્દચિત્ર છે. ગ્રામ્ય પરિવેશ અહીં એટલી સૂક્ષ્મતાથી આલેખાયો છે કે આખું ગામ આપણી નજર સમક્ષ તાદૃશ થઈ ઊઠે છે. સૂતાં-જાગતાં, રમતાં-કૂદતાં ને રોજિંદા કામ કરતાં- જીવનની કે દિવસની કોઈ ક્રિયા એવી નથી જે વ્હાલમની ભીની ભીની યાદથી ભીંજાયા વિનાની હોય. ઠેઠ ગામને પાદર ઘૂઘરા વાગે તો એમાંય પ્રિયતમના આવણાંનો રણકાર સંભળાય છે. પગે કાંટો વાગે તો પણ વ્હાલમનો વાંક અને પવન છેડતી કરે તો એમાંય પ્રીતમજીનો જ વાંક. પોતાની ને પોતાની ઓઢણી નડે તો એમાંય વેરી વ્હાલો ! પ્રીતની પરાકાષ્ઠા અને પ્રતીક્ષાના મહાકાવ્ય સમું આ ગીત જે આસ્વાદ્ય રણકો વાંચનારની ભીતર જન્માવી શકે છે એ ગુજરાતી કવિતાની જૂજ ઉપલબ્ધિઓમાંની એક છે.

(ગવન=સ્ત્રીઓ દ્વારા પહેરાતું સુતરાઉ કાપડનું છાપેલું ઓઢણું)

Comments (8)

પ્રેમ – નગીન મોદી

મારો પહેલો પ્રેમ
વૃક્ષ
ને બીજો પ્રેમ
પુસ્તક
પણ કઠિનાઈ એવી કે
એક વૃક્ષ છેદાય ત્યારે
એક પુસ્તક પેદા થાય
ભલા, કોને ચહું
ને
કોને મૂકું.

-નગીન મોદી

સાવ નાનું અમથું આ અછાંદસ કદાચ એમાં વ્યક્ત થયેલા ઉદાત્ત ભાવના કારણે વાંચતાની સાથે જ સોંસરવું ઊતરી ગયું. સુરતના ડૉ. નગીન મોદી જાણીતા વિજ્ઞાન લેખક અને પર્યાવરણશાસ્ત્રી પણ ખરા. સરળ ભાષામાં એમણે બાળકો માટે જે વિજ્ઞાનકથાઓ, પ્રયોગ-પુસ્તિકાઓ અને પર્યાવરણને લગતી ઢગલાબંધ પુસ્તિકાઓ લખી છે એ માટે ગુજરાતી સાહિત્ય એમનું સદૈવ ઋણી રહેશે કેમકે કવિતા-નવલકથાઓ લખનારા તો હજારો મળી રહેશે.. એમના સેંકડો પુસ્તકોમાં પૃથ્વી અને પર્યાવરણ માટેનો એમનો પ્રેમ ઉનાળામાં મબલખ મહોરતા ગરમાળાની જેમ ઊડીને આંખે વળગે એવો છે. આ નાનકડું કાવ્ય એમના ‘તરુરાગ’ કાવ્યસંગ્રહમાંથી લીધું છે. આ આખા સંગ્રહમાં ફક્ત વૃક્ષ વિશેની કવિતાઓ જ છે…

(લયસ્તરોને તરુરાગ ભેટ આપવા બદલ નગીનકાકાનો આભાર… )

Comments (9)

શબ્દને અજવાળવાથી શું હવે ? – હર્ષ બ્રહ્મભટ્ટ

એક પળને પાળવાથી શું હવે ?
ને સમય પંપાળવાથી શું હવે ?

રક્તમાં પણ છે પ્રદૂષણ કેટલું ?
આ હવાને ગાળવાથી શું હવે ?

ક્યાં બચ્યું છે એક પણ જંગલ કશે ?
પાનખરને ટાળવાથી શું હવે ?

અર્થ એકે ક્યાં વસે છે ભીતરે ?
શબ્દને અજવાળવાથી શું હવે ?

ક્યાં બચ્યાં છે શ્હેર એકે જીવતાં ?
પૂર પાછાં ખાળવાથી શું હવે ?

-હર્ષ બ્રહ્મભટ્ટ

નિરાશાના ઘનઘોર અંધારાસભર આ ગઝલ ‘અંદર દીવાદાંડી’ના સંગ્રહકાર કવિ હર્ષ બ્રહ્મભટ્ટ લઈને આવ્યા છે. અંધારાનો નિયમ છે કે આંખ ચૂંચી કરીને જોવું પડે. અડાબીડ તમસના કાળા અંધકારને ઓઢીને ઊભેલી આ ગઝલને જરા આંખ ચૂંચી કરીને જોઈએ તો અંદર સાચે જ દીવાદાંડીનો પ્રકાશ પડતો દેખાશે. દરેક જણ પોતાનું આંગણું ચોખ્ખું રાખે તો આખું વિશ્વ ચોખ્ખું થઈ જશેની વિધાયક ભાવના કવિ કેવા નકારાત્મક શબ્દોથી ઊજાગર કરે છે ! આપણી ભીતર જ -આપણા લોહીમાં જ – એવા એવા દૂષણોનું પ્રદૂષણ ગોરંભાઈ બેઠું છે કે હવે બહારના પ્રદૂષણોને અટકાવવાની વાતો કરવી સર્વથા વ્યર્થ છે. અંદર અજવાળું ન થાય ત્યાં સુધી હવાને ગાળવાથી ફાયદો શો? ભીતરના અર્થ જ્યાં સુધી રળિયાત ન થાય ત્યાં સુધી ઠાલાં શબ્દોને અજવાળવાથી શું વળવાનું છે ? જંગલ એટલે ઊગી નીકળવાની આશા… આપણે ભીતર કે બહાર ક્યાંય કશું નવું કે લીલું ઊગી શકે એવી શક્યતાય ક્યાં બચવા દીધી જ છે કે હવે પાનખરને અટકાવવાની કામના કરવી?

યાદ રહે… કવિનું અંધારું એ સમાજનું અજવાળું છે. કવિની નિરાશા એ વિશ્વની આશાની આખરી કડી છે. કવિ જ્યાં તૂટી પડતો જણાય છે ત્યાં જ સમાજના ઘડતરની ને ચણતરની પહેલી ઈંટ મૂકાતી હોય છે. કવિ બળે છે તો પણ દુનિયાને અજવાળવા…

Comments (23)

કેમ ? – મુકુલ ચોકસી

તમે દીવાલને ભૂરાશ પડતા રંગે રંગી કેમ ?
હવે આકાશની તમને પડી લાગે છે તંગી, કેમ ?

તમારું કાળરાત્રિએ ખીચોખીચ એકલાં હોવું
ભરે એકાંતની જાહેરસભાઓ ખૂબ જંગી કેમ ?

અચાનક મારી સામે આમ આ બપોરને વખતે,
ક્ષિતિજના સૂર્ય જેવું તે હશે છે રક્તરંગી કેમ ?

બની’તી જે હકીકત, વારતારૂપે તો ગમતી’તી,
હવે મારી કથારૂપે એ લાગે છે ક્ઢંગી કેમ ?

– મુકુલ ચોકસી

એક એક પંક્તિએ અર્થછાયાઓમાં જે પરિવર્તન આવે છે એ જોવા જેવું છે. છેલ્લો શેર વાંચતા જો કહી ગયી ન મુઝસે વો જમાના કહ રહા હૈ, કે ફસાના બન ગયી હૈ મેરી બાત ચલતે ચલતે તરત જ યાદ આવે છે.

Comments (4)

આયનો ચૂમી રહ્યો છું ! – શૈલ પાલનપુરી

હું તને સમજી રહ્યો છું;
આયનો ચૂમી રહ્યો છું !

પ્રેમ પણ કેવી નિસરણી ?
તારલા તોડી રહ્યો છું !

કોણ કહે છે નગ્ન છું હું ?
રોશની પ્હેરી રહ્યો છું !

લાજ રાખું છું સૂરાની;
નિજ તરસને પી રહ્યો છું.

રાહ ખુદ દોડ્યા કરે છે,
રાહમાં બેસી રહ્યો છું.

શૂન્યનો છું ‘શૈલ’ ચેલો,
એકડો ઘૂંટી રહ્યો છું.

– શૈલ પાલનપુરી

પહેલો શેર ગઝલનો શિરમોર શેર (મારી દૃષ્ટિએ!) છે. સામાને સમજવાની પ્રક્રિયામાં મોટેભાગે માણસ પોતાનું જ પ્રતિબિંબ શોધતો હોય છે ! આગળ રજૂ કરેલી વિખ્યાત કવિતા દિલોજાનમાં આવી જ વાત હળવા અંદાજમાં રજૂ કરેલી છે.

Comments (7)

સાંભળો રે સાંભળો – ર.કૃ.જોશી

કાલે હું મારી સંપત્તિ જાહેર કરવાનો છું 

      ભાંગીતૂટી
      ત્રણ
      ખુરશી

             ઘોબા પડેલા
             ચારપાંચ
             વાસણો 

                     સનમાયકામાં
                     તડ પડેલું
                     ટેબલ
                     એક

      બે ડિઝાઈનના
           બે કપરકાબી
                     ન ચાલતું લાઈટર
                         લીક
                     થતો 
                         ગેસ

      ભેટ મળેલી બૉલપેન
           ગયા
           વર્ષની
           ડાયરી અને આ કવિતા.

– ર.કૃ.જોશી ( અનુ. જયા મહેતા)

કવિ ‘સાંભળો રે સાંભળો’થી કવિતાની શરૂઆત કરે છે – ગામમાં દાંડિયો આવ્યો હોય એમ. કવિનો પૂરો અસબાબ થોડી જ લીટીમાં આવી જાય છે જેમાં જરીપૂરાણી ચંદ ચીજો સિવાય કાંઈ નથી…  પહેલી નજરે આ કાવ્ય કવિની દરિદ્રતા પર કટાક્ષ લાગે પરંતુ કવિતાની ખરી ચોટ છેલ્લી લીટીમાં છે… જેમા કવિ પોતાની સંપત્તિમાં આ કવિતાને ઉમેરે છે. જે કવિને પોતાની ખરી જણસનો ખ્યાલ છે એ તો પોતાની જ અલગ દુનિયામાં રહે છે. એને માટે સંપત્તિની વ્યાખ્યા જ અલગ છે. લોકો દારિદ્ર સહન કરે છે અને છુપાવે છે જ્યારે કવિ એને ભરબજારે ‘સાંભળો રે સાંભળો’ કહીને સંભળાવે છે. એ કવિની આગવી ખુમારી છે. ફકીરીનો નશો જેણે કરેલો છે એને માટે દુનિયાના સમીકરણો તદ્દન અલગ હોય છે.

Comments (7)

-ની – રમેશ પારેખ

ચોક, ગલીઓની નહીં; આખ્ખા નગરની
વાત કર, માણસમાં ઊછરતી કબરની.

સૂર્યના હોવા વિશે સંશય નથી પણ
છે સમસ્યા સાવ અણસમજુ નજરની

પથ્થરો સાથે ય વાતો શક્ય છે પણ
શોધ, ભાષ તું પ્રથમ શબ્દો વગરની

મારી આંખો પર પડ્યો પરદો થઈ હું
ને પકડ છૂટી ગઈ દૃશ્યો ઉપરની

‘ર’ની હાલત મેશ જેવી છે છતાં યે
વાત ના માને કોઈ સળગેલ ઘરની

-રમેશ પારેખ

આજે રમેશ પારેખને ગયાને (મૃ.તા. ૧૭-૦૫-૨૦૦૬) બે વર્ષ થયા. ‘લયસ્તરો’ તરફથી આ ચહિતા કવિને ફરી એકવાર ભાવભીની અંજલિ. ર.પા.ના મૃત્યુ સમયે લયસ્તરો પર લખેલ ‘છ અક્ષરનું નામ‘ ફરીથી જોઈ આ કવિને શ્રદ્ધાંજલિ આપીએ. એમના સપ્તરંગી કાવ્યોનો વૈભવ પણ અહીં શબ્દ-સપ્તક પર માણી શકાશે.

Comments (12)

ઉપાડિયે – મનોજ ખંડેરિયા

કરીએ ન વેઠ હોંશે જીવનભર ઉપાડિયે
આપ્યો છે તેં જો બોજ, બરોબર ઉપાડિયે

અટકાવી રાખ્યું પાંપણે આંસુને એ રીતે
આંખોથી જાણે આખું સરોવર ઉપાડિયે

રેખા વળોટવાની તો હોઈ શકે ન વાત
આ તો અમસ્તો પગ જરા અધ્ધર ઉપાડિયે

તારા ઉપર ન ભાર ખુલાસાનો આવી જાય
આ મૌન માત્ર એટલા ખાતર ઉપાડિયે

ઢગલો ફૂલોનો નીકળે જે જે વખત અમે
સૂતું છે કોણ જાણવા ચાદર ઉપાડિયે

ક્યારેય પાપ જેવું કશું પણ કર્યું નથી
એથી જ થોડો આપણે પથ્થર ઉપાડિયે ?

ભારે છે પ્હાડ જેટલો એ જાણીએ છીએ
પણ હળવાફૂલ થઈ જવા અક્ષર ઉપાડિયે

-મનોજ ખંડેરિયા

બોલચાલની ભાષા અને એય સાવ સરળતા અને સાહજિક્તાથી ગઝલમાં શી રીતે વણી શકાય એ જોવું હોય તો આ ગઝલ એક નોંધપાત્ર ઉદાહરણ બની શકે એમ છે. સાત શેરની આ ગઝલમાં એકે શેર એવો નથી જે સમજવો દોહ્યલો બને અને છતાં લાગણીની જે ઋજુતા અહીં પ્રકટ થઈ છે એ પણ અનવદ્ય સૌંદયવાહિની બની રહે છે. પુરાકલ્પનોનો પ્રયોગ ગઝલમાં લગીરેક મુખર થયા વિના કેવી રીતે કરી શકાય એ પણ માણવા જેવું છે. રેખા વળોટવાની વાત સાથે જ રામાયણની લક્ષ્મણ રેખા અને સીતા તાદૃશ થઈ જાય છે. કવિ મર્યાદા ન ઓળંગવાની ખાતરી આપે છે પણ પગ બાંધી રાખવા સાથે પણ સંમત નથી. ફૂલોનો ઢગલાવાળો શેર વાંચીએ એટલે કબીર નજર સમક્ષ આવી ઊભે. કબીરના મૃત્યુ પછી એમના અનુયાયીઓમાં થયેલો બાળવા કે દાટવાનો વિવાદ યાદ આવે. મૃતદેહ પરથી ચાદર હટાવી ત્યારે ત્યાં કબીરના શરીરની જગ્યાએ માત્ર ફૂલોનો ઢગલો પડ્યો હતો એ ઘટના કવિએ અહીં બખૂબી વણી લીધી છે. અને પાપ અને પથ્થરવાળી વાત વાંચતા જ ઈશુ ખ્રિસ્ત અને પાપી અબળાનો પ્રસંગ જીવંત થતો લાગે છે. જેણે જીવનમાં કોઈ પાપ ન કર્યું હોય તે આ પાપણ પર પહેલો પથ્થર ફેંકેની વાત કરતાવેંત ટોળું શરમિંદગીસભર વિખેરાઈ ગયું હતું. પણ કવિનું કવિકર્મ તો એથી પણ આગળ જવામાં છે. આખી જિંદગીમાં એકે પાપ કર્યું ન હોય એ કારણે થોડો જ કંઈ પથ્થર ઉપાડવાનો પરવાનો મળી જાય છે? એ નિમિત્તે પણ પાપની શરૂઆત શા માટે કરવી ?

Comments (18)

ગઝલ – ગિરીશ મકવાણા

તારા ગયાના કેટલા મીનિંગ થઈ શકે ?
ઝળહળતો હોય સૂર્ય ને ઇવનિંગ થઈ શકે.

ત્રાટકતી હોય વેદનાની વીજળી સદા,
કાગળમાં શબ્દ તારથી અર્થિંગ થઈ શકે.

સ્કૂટરની બેકસીટથી ડોકાઈ જાય તે,
ખાલીપો ફ્રંટ-ગ્લાસથી ફીલિંગ થઈ શકે.

ઍનાલિસિસ ફૂલનું કરતું રહ્યા પછી,
ક્યાંથી લીલેરી મ્હેકનો સ્પેલિંગ થઈ શકે ?

ઑગાળી તારી યાદનો આઈસ હાથમાં,
હોવાના હંસથી પછી સ્વિમિંગ થઈ શકે.

-ગિરીશ મકવાણા

આજે એક ગુજલિશ ગઝલ. વાંચતાની સાથે મહોબ્બત થઈ જાય એવી. સહજ. સરળ. મુખર. સ્કૂટરની પાછળની સીટ પરથી ડોકાતા ખાલીપાને ફ્રંટ-ગ્લાસથી અનુભવવાનું કલ્પન અને હોવાપણાના હંસના સ્વીમિંગ કરવાની વાત સાવ નવી જ અનુભૂતિ જન્માવે છે.

Comments (9)

સંકલ્પ – શેખાદમ આબુવાલા

સંકલ્પ  વિના એ શક્ય નથી
તું   રોક નયનના આંસુ મથી
તું  હાથની   મુઠ્ઠી  વાળી  જો
રેખાઓ બધી બદલાઈ  જશે !

– શેખાદમ આબુવાલા

Comments (4)

તને મળવા નહિ આવું – ખલીલ ધનતેજવી

હું ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહિ આવું,
કે દર્પણ તોડી ફોડીને તને મળવા નહિ આવું.

ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી,
હું મારી ટેવ છોડીને તને મળવા નહિ આવું.

કહે તો મારું આ માથું મૂકી લાઉં હથેળી પર,
પરંતુ હાથ જોડીને તને મળવા નહિ આવું.

તું દરિયો છે, તો મારું નામ ઝાકળ છે, એ જાણી લે,
નદીની જેમ દોડીને તને મળવા નહિ આવું.

ટકોરા દઈશ, પણ દરવાજો તારે ખોલવો પડશે,
કોઈ દીવાલ તોડીને તને મળવા નહિ આવું.

ખલીલ ! આવીશ તો કે’ જે કે ઉઘાડેછોગ હું આવીશ,
હું માથામોઢ ઓઢીને તને મળવા નહિ આવું.

– ખલીલ ધનતેજવી

એક જ કેન્દ્રવર્તી વિચાર અને એક જ સાદી વાત છ શેરમાં ફરી ફરી કરી છે. વાત ના પાડવાની છે એટલે જરા વધારે સમજાવી ને કરવી પડે ને ! 🙂 હા પાડવી સરળ છે. ના પાડવી અઘરી છે. પોતાની મર્યાદા સમજવી અને સમજાવવી અઘરી વાત છે. મરીઝે કહ્યું છે કે ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ, ના કહો એમાં વ્યથા હોવી જોઈએ. એટલું ઘણું છે. માણસ કોઈના માટે બધુ કરી શકતો નથી. પોતાની શક્તિ અને ઈચ્છા સમજીને જે માણસ પોતાના સંબંધમાં લક્ષ્મણરેખા દોરે એ જ વઘારે તંદુરસ્ત સંબંધ બાંધી શકે. રોબર્ટ ફ્રોસ્ટે તો બહુ ઉત્તમ વાત એમની પોતાની રીતે કહી જ છે, Good fences make good neighbors.

Comments (17)

મોકલું – હનીફ સાહિલ

આંખોમાં તરવરે છે તે ભીનાશ મોકલું,
આ ખાલી ખાલી સાંજ ને આકાશ મોકલું.

તારા વગર હયાતીના કાચાં અધૂરા સ્વપ્ન,
રૂંવે રૂંવે ડસે છે તે એહસાસ મોકલું.

વાંચી તો કેમ શકશે તું શાહીની વેદના,
ઉકલી શકે તો લોહીનો અજવાસ મોકલું.

– હનીફ સાહિલ

ત્રણ શેરમાં વિરહ-ખાલીપણાના ત્રણ વિશ્વ માપી લેતી ગઝલ. આ ગઝલ વાંચતા જ ભગવતીકુમારનો ઉત્તમ શેર તુજને ગમે તો મોકલું ખાલીપણાના ફૂલ / અથવા વળાંકે ઊભેલો વિશ્વાસ મોકલું (યાદદાસ્તને આધારે ટાંકેલો આ શેર, યાદ હોય તો સુધારશો.) તરત જ યાદ આવે. વિવેકે આગળ રજૂ કરેલી કબૂલ મને ગઝલ પણ સાથે જોશો.

Comments (9)

ગઝલ – આદિલ મન્સૂરી

કેમ   પડતું  નથી  બદન  હેઠું,
ક્યાં સુધી જીવવાનું દુ:ખ વેઠું.

દેહમાંથી માંડ બ્હાર આવ્યો ત્યાં,
અન્ય   બીજું  કોઈ  જઈ   પેઠું.

અગ્નિજ્વાળા શમી ગઈ અંતે,
કોણ  આ  રાખથી  થતું  બેઠું.

કોને મોઢું બતાવીએ આદિલ,
માટીનું   ઠીકરું   અને   એઠું.

– આદિલ મન્સૂરી

આ ગઝલ તદ્દન કાળીમેશ નિરાશામાંથી જન્મેલી છે. છેલ્લો શેર બહુ સરસ થયો છે… પોતાની જાતને માટીના ઠેકરા, અને એ પણ એઠા, સાથે સરખાવીને કવિએ સરસ ચોટ ઉપજાવી છે.

Comments (6)

ક્યાં ક્યાંથી મળી છે ગઝલો… – મનહરલાલ ચોક્સી (કડી-૨)

‘લયસ્તરો’ના માધ્યમ દ્વારા ‘ક્યાં ક્યાંથી મળી છે ગઝલો… ‘ના વૈશ્વિક લોકાર્પણને મિત્રોએ અનન્ય અભૂતપૂર્વ સ્નેહથી વધાવી લીધું એ ગુજરાતી સાહિત્ય માટે આનંદની અને ગૌરવની વાત છે. કોઈપણ કળાકારને આપવામાં આવેલી મોટામાં મોટી શ્રદ્ધાંજલિ એ એની કળાનું સાચું મૂલ્યાંકન જ હોઈ શકે. મનહરલાલ ચોક્સીની ત્રીજી પુણ્યતિથિએ પ્રકાશિત એમના પ્રતિનિધિ ગઝલ સંગ્રહમાંથી ચુનેલી ચુનંદી સ્વર્ણકણિકાઓની બીજી અને અંતિમ કડી આપ સૌ માટે….

વિચારો બધા સાવ સામાન્ય છે,
વસંતો ગમે, પાનખર ના ગમે.

જોઈને મારી ગઝલ ‘મનહર’ કહેશે એ મને,
એક છાનું દર્દ પણ તારાથી સચવાયું નહીં ?

સવાલ લાખ ઊઠે જો જવાબ આપું તો,
તમે ય વાત ન માનો, જવાબ શું આપું ?

બધા પ્રશ્ન હલ થૈ જશે ક્ષણ મહીં,
બની જા ફરી અજનબી, વાત કર.

સૌ સમસ્યાઓ ઉકેલાઈ જશે !
ફિલસૂફોને લાગશે ચર્ચાનો થાક !

શ્વાસમાં પણ બોજ છે અસ્તિત્વનો;
તીવ્ર છે, ‘મનહર’ અહીં હોવાનો થાક.

દુનિયાની આંખમાં તો હું ઉપયોગી વૃક્ષ છું;
ઊડી શકું હું એટલો આઝાદ પણ નથી.

બે હાથ ભેગા થાય નહીં આપોઆપ આ,
આંખોની સામે જોઈએ આકાર કોઈ પણ.

એ વાત છે અલગ કે તમે ચાહતા નથી,
તૂટી શકે છે આમ તો કોઈ દીવાર પણ.

માનવ બધાય એક છે એની નજર મહીં,
તસ્બીએ કંઈ દીવાલ ચણી, કંઈ જનોઈએ !

લાગણીની વાત પૂરી ના થઈ,
એટલે મેં સ્હેજ વિસ્તારી ગઝલ.

આંખ મીંચો તમે તે છતાં
આંખ સામે સનમ આવશે.

મારે તો તારા શબ્દ લઈ જીવવું પડ્યું,
હારી ગયો, તો તારા વિજયની ગઝલ લખી.

તારો અવાજ એક વખત સાંભળ્યો હતો,
માનું છું તારા શબ્દમાં ટહુકાનું ઘર હશે.

હુંય રક્ષા કરીશ જીવનભર,
શબ્દની આ ધજા મને આપો.

ઉત્સવોની રાહ હું જોતો નથી,
તું મળે છે એટલે તહેવાર છે.

એક પ્રેમીથી હૃદયની વેદના,
વાદળીના દેહ પર અંકાઈ ગઈ;
પત્ર વાંચીને ગગન રોઈ પડ્યું
ને ધરાની ચુંદડી ભીંજાઈ ગઈ.

એકધારો સો વરસ ગાતો રહ્યો,
જિંદગીની હું તરસ ગાતો રહ્યો;
વેદનાની ચીસને મેં જાળવી,
લોક સમજ્યા કે સરસ ગાતો રહ્યો.

-મનહરલાલ ચોક્સી

Comments (5)

ગઝલ – અલ્પેશ ‘પાગલ’

કૈં પણ નહીં બાકી રહે આગળ પછી,
તું શબ્દ સાથે મૌનને સાંભળ પછી.

તું ક્યાંક તો આ જાતને અજમાવ દોસ્ત,
આ જિંદગીને કહે સફળ નિષ્ફળ પછી.

ના, ના, દવા પ્હેલાં દુવાઓ માંગ મા,
પ્હેલાં પ્રયત્નો હોય છે, અંજળ પછી.

આ એક પળ બાકી હતી આવી ગઈ,
શું શું ન જાણે આવશે આ પળ પછી.

જ્યાં હાસ્ય સાથે પ્રેમનો ટહુકો મળે,
ત્યાં ત્યાં વધેરી નાખ તું શ્રીફળ પછી.

એક શક્યતામાંથી જ ઘટનાઓ બને,
થૈ જાય છે વટવૃક્ષ આ કૂંપળ પછી.

આ જિંદગીની રેસમાં આવ્યો છે તો,
‘પાગલ’ ન રે’વું પાલવે પાછળ પછી.

-અલ્પેશ ‘પાગલ’

રાજકોટના યુવા કવિ અલ્પેશ ‘પાગલ’ શરીરે અપંગ છે. સોળ વર્ષની ઉંમરથી વ્હીલચેર સાથેની કેદ ભોગવે છે. પણ વ્હીલચેરમાં બેસીને જે ગઝલો લખે છે એમાં એમની વેદનાનું ઊંડાણ પણ તાદૃશ જરૂર થાય છે. મુલાયમ શબ્દો અને મખમલી પીડાઓ લઈને વ્હીલચેરનો નહીં, પણ ‘વીલ’ ચેરનો આ કવિ ઝડપભેર આગળ વધી રહ્યો છે. ‘લયસ્તરો’ તરફથી એમને હાર્દિક શુભકામનાઓ…

(ગઝલ સંગ્રહ: “ઈશ્કથી અશ્ક” – જિગર જોષી ‘પ્રેમ’ સાથે સંયુક્ત ગઝલ સંગ્રહ)

Comments (11)

ગઝલ – જિગર જોષી ‘પ્રેમ’

વાત જુદી છે તમોને હું ન સમજાયો હતો,
આટલી નફરત ન કર તારો જ પડછાયો હતો.

એક ખીલી ભીંતથી પડવા જ ટળવળતી હતી,
હુંય ફોટો-ફ્રેમ માફક ત્યાં જ ટીંગાયો હતો.

કોઈના માટે ઉતારો ના થયાનો  રંજ છે,
એક પણ ડાળી વગરના વૃક્ષનો છાંયો હતો.

આંસુનાં દરિયા બધા આવી ગયા ભરતી મહીં,
એટલે હું રણ મહીં આખોય ભીંજાયો હતો.

દર્દના બે નામ ‘પાગલ’ એક, બીજું ‘પ્રેમ’ છે,
ખુદ ખુદા આ નામમાં વરસોથી અટવાયો હતો.

સાંજ જેવી સાંજ પણ લાવે ઉદાસી આંખમાં,
‘પ્રેમ’ આવી કોઇ સંધ્યામાં જ સચવાયો હતો.

– જિગર જોષી ‘પ્રેમ’

રાજકોટના યુવા કવિમિત્ર જિગરે ગઝલની ગલીઓમાં ત્રણેક વર્ષથી જ રઝળપાટ કરવાનું આદર્યું છે પણ એમની ગઝલોમાંથી પસાર થઈએ ત્યારે સહસા જ લાગે છે કે આ રઝળપાટ સ-દિશ અને સ-હેતુક છે અને આ ગતિ મંઝિલ તરફની છે. ડાળી વગરના વૃક્ષના છાંયા હોવાનો રંજ જે હૈયામાં હોય છે એજ સૂક્કાભઠ્ઠ રણ વચ્ચે ભીંજાઈ શકે. દર્દનું બીજું નામ થઈને જીવતો આ કવિ હવે ઓન-લાઈન –શરૂઆત– પણ ઉપલબ્ધ છે. રાજકોટમાં નવોદિત સર્જકો માટે ચાલતી “રચના” સંસ્થામાં પણ એ મોખરાનો ભાગ ભજવે છે. ‘લયસ્તરો’ તરફથી જિગરને જિગરજાનપૂર્વક શુભેચ્છાઓ…  

(લયસ્તરોને એમનો પ્રથમ ગઝલ-ગ્રંથ ‘ઈશ્કથી અશ્ક’ ભેટ આપવા બદલ આભાર)

Comments (7)

ગઝલ – મરીઝ

સંભાળજે ઓ દિલ આ કટોકટની ઘડી છે,
આ દુનિયા  મને  એકીટશે  જોઈ  રહી છે.

આગળ તો જવા દે આ જીવનને પછી જોજે,
હમણાં  શું  જુએ  છે એ સુખી છે કે દુ:ખી છે.

સજદામાં  પડી જાઉં હું બળ દે ઓ બુઢાપા,
અલ્લાહ   તરફ  મારી  કમર સહેજ ઝૂકી છે.

સૌ  પાકા  ગુનેગાર  સુખી  છે,  હું દુ:ખી છું,
શું  મારા   ગુનાહોમાં   કોઈ   ચૂક થઈ છે ?

અલ્લાહ   મને  આપ  ફકીરીની  એ  હાલત,
કે  કોઈ ન સમજે, આ સુખી છે કે દુ:ખી છે.

– મરીઝ

મરીઝની ગઝલને વળી સમજાવવી પડે ? સાદા શબ્દોમાં મરીઝ કેટલી બારીક વાત વણે છે એનું આ ઉદાહરણ છે. જાત તરફ કટાક્ષ કરતા કરતા મરીઝ બહુ ઊંચી વાત કહી દે છે. શું મારા ગુનાહોમાં કોઈ ચૂક થઈ છે?  મારો પ્રિય શેર છે.

(સજદા=પ્રાર્થના)

Comments (6)

અનુભવ – જગદીશ જોષી

સિગ્નલ પાસે
ટેક્સી ઊભી-ન-ઊભી ત્યાં તો
એક ભિખારણે હાથ લંબાવ્યો
અને બોલવા લાગી, બોલ્યે જ ગઈ…
“ભગવાન તમને સુખી રાખે, મારા રાજા !”

સુખ…
શબ્દને મેં હોઠ વચ્ચેની કડવાશથી ભીંસી દીધો
અને
ઝટપટ બારીનો કાચ ચડાવતાં ચડાવતાં
કેવળ એટલું જ બબડ્યો:
“ભગવાનની બહેરાશનો મને પણ છે આવો જ અનુભવ…”

– જગદીશ જોષી

Comments (8)

ના કરે – ચિનુ મોદી

વાયુને હંફાવવા બળ ના કરે,
એ સુંગધી છે, કદી છળ ના કરે.

પુષ્પ પર ડાઘો પડે એ બીકથી,
જીવવાની જિદ્દ ઝાકળ ના કરે.

સ્વપ્નને સંકેલવાની બાબતે,
ઊંઘતો માણસ ઉતાવળ ના કરે.

ખૂબ ઘેરી ને ગહન છે લાગણી,
એ ઝરણની જેમ ખળખળ ના કરે.

ક્રોધ તો કરતો નથી ‘ઈર્શાદ’, પણ;
ના ગમે તો વાત આગળ ના કરે.

– ચિનુ મોદી

મારો સૌથી ગમતો શેર – ખૂબ ધેરી ને ગહન છે લાગણી,/ એ ઝરણની જેમ ખળખળ ના કરે ! અને છેલ્લો શેર પણ સરસ થયો છે. ગઝલમાં ગહન રૂપકોને બદલે રોજબરોજની ઘટનાઓનો પડઘો દેખાય એ સચ્ચાઈ અને તાજગીની પણ મઝા છે.

તા.ક. : આ ગઝલ પરથી પ્રેરણા લઈને પંચમ શુક્લે લખેલી ચિનુ મોદીને અંજલી આપતી રચના અહીં જુઓ.

Comments (8)

ક્યાં ક્યાંથી મળી છે ગઝલો… – મનહરલાલ ચોક્સી (કડી-૧)

ગુજરાતી ગઝલના મક્કા સુરત શહેરના શાયરોના માથે કોનું ઋણ સૌથી વિશેષ હશે એવો પ્રશ્ન પૂછીએ તો મનહરલાલ ચોક્સીનું નામ નિર્વિવાદપણે મોખરે આવે. નવાસવા ઢગલોક શાયરોને ગઝલની ગલીઓમાં આંગળી પકડીને જેટલા એમણે ફેરવ્યા છે, ક્યારેક તો ખભે બેસાડીને પણ, એટલા કોઈ ઉસ્તાદે નહીં ફેરવ્યા હોય. ગઝલના શેરની વાત હોય કે છંદની, ઉસ્તાદની નિઃશુલ્ક સેવા સ્મિતસભર હાજર જ હોય. સાવ અકિંચન અને અલગારી મનહરકાકા આજીવન અજાતશત્રુ રહ્યા અને શબ્દની મૂંગી સાધના કોઈ પણ દેખાડો કર્યા વિના કરતા રહ્યા. એમની પ્રતિનિધિ રચનાઓનો એક સંચય આજે મરણોત્તર પ્રગટ થઈ રહ્યો છે. “સાહિત્ય-સંગમ”, સુરત ખાતે આજે ૦૪-૦૫-૨૦૦૮ના રોજ સવારે સાડા દસ વાગ્યે ‘ક્યાં ક્યાંથી મળી છે ગઝલો…’ પુસ્તકનો લોકાર્પણ વિધિ શરૂ થશે ત્યારે લયસ્તરોના વિશ્વભરના વાચકો એ જ સમયે આ સમારંભમાં જોડાઈ શકે એવી અમારી લાગણીને માન આપીને કવિપુત્ર ડૉ. મુકુલ ચોક્સીએ પ્રગટ પુસ્તકની એમની પાસે આવેલી પહેલી અને એકમાત્ર નકલ ‘લયસ્તરો’ને મોકલાવી આપી એ બદલ એમનો આભાર…

(મનહરલાલ ચોક્સીનો ટૂંકો પરિચય એક સુંદર ગઝલ સાથે આપ અહીં જોઈ શકો છો. એમની એક સુરતી ગઝલ પણ આપ અહીં માણી શકો છો.)

Manharlal Choksi - Ghazalo
“ક્યાં ક્યાંથી મળી છે ગઝલો…” મનહરલાલ ચોક્સીનો પ્રતિનિધિ ગઝલ સંગ્રહ
પ્રાપ્તિસ્થાન: સાહિત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત-૧
ટેલિ. : (૦૨૬૧) ૨૫૯૭૮૮૨ / ૨૫૯૨૫૬૩, કિંમત: રૂ. ૮૫/=

માટે જ એને માટે મને પક્ષપાત છે,
ગઝલો તો પૂર્વજન્મના પુણ્યોનું વ્યાજ છે.

બે કદમ વધે છે એ રોજ શ્વાસની સાથે,
મોત પણ સલામત છે, જિંદગીની છાયામાં.

આકર્ષણોનું એની ઉપર આવરણ હતું,
જેને ગણ્યું જીવન એ ખરેખર મરણ હતું.

સાથ કાયમનો કદી હોતો નથી,
જાતની સાથેય અંતર રાખીએ.

આપના શાપનું સ્મરણ આવ્યું;
ને પછી પાપનું સ્મરણ આવ્યું.

સૂરજને જે પ્રકાશ તણું દાન દૈ શકે;
એવી તમારી પાંપણોમાં રોશની હતી.

સમજી શકાય એટલી આજે સરળ નથી;
કાલે તમારી વાતમાં વહેતી નદી હતી.

આટલે વર્ષે હવે ઈકરાર ના કરશો તમે,
જામ શું કે ઝેર શું, સઘળું સમય પર જોઈએ.

દર્શનની ધન્યતાનો અનુભવ નહીં કહું;
ઈશ્વરની શોધમાં જ હું મારા સુધી ગયો.

કોઈના ઉચ્ચારના આકાશમાં
એક મારા નામની જગ્યા નથી.

હોઠ પર બીજા શબ્દો, આંખમાં જુદા શબ્દો,
આપની ઉપેક્ષા પણ આવકાર લાગે છે.

તમે પૂછી રહ્યા છો વાત આજે ખાસ રોકીને,
હૃદય થંભી ગયું છે માર્ગ વચ્ચે શ્વાસ રોકીને.

જુઓ આ દેહમાં ઉષ્માનો પરપોટો નથી બાકી,
હવે કરશે મનન શું કોઈ કારાવાસ રોકીને ?

‘મનહર’, હું સ્વપ્નમાંય નથી કોઈને નડ્યો,
તો પણ મળ્યા છે ઘાવ, મુકદ્દરની વાત છે.

આજના સર્વ સુખને માણી લે,
કાલના સૌ પ્રહાર ભૂલી જા.

વમળમાં ડૂબવાની મારી હિંમત,
જુએ છે આ કિનારો મુગ્ધ થઈને.

એ ગલી તારી હતી ?
પગ સદાયે ત્યાં વળે.

ઇન્કાર એના હોઠ ઉપર ધ્રુજતો હતો,
અમને અમારી વાતનો ઉત્તર મળી ગયો.

ફેલાઈને ગગનની સીમાઓ વધી ગઈ;
પડઘા તમારી યાદના જો વિસ્તરી ગયા.

વૃક્ષોનાં નામ યાદ હું રાખી નથી શક્યો;
વૃક્ષોનાં છાંયડાઓ મને ઓળખી ગયા.

નથી કોઈ આજે દશા પૂછનારું, નજર અશ્રુઓથી સભર થઈ ગઈ છે;
તમન્ના ચણાઈ ગઈ છે ખરેખર, ભીતર આરઝૂની કબર થઈ ગઈ છે.

હસીને ખબર પણ પૂછી ના શક્યા,
ઘણા દોસ્ત મોટા વતનમાં મળ્યા.

– મનહરલાલ ચોક્સી

Comments (23)

મૌન – જોસેફ હાંઝલિક

કુહાડી કે શબ્દથી
કરાયેલા ઘા જેવું મૌન.

ગળા પરની
છરી જેવું મૌન.

ખડક પરથી તળિયા સુધીની
ચીસ જેવું મૌન.

બંદૂકમાંથી નીકળતું
કે પડઘમમાંથી પડઘાતું મૌન.

મૃત્યુ પછી ઉચ્ચારાયેલા
પ્રથમ અક્ષર જેવું મૌન.

હવે મૌન
અને ત્યાં સુધી મૌન.

– જોસેફ હાંઝલિક ( અનુ. હરીન્દ્ર દવે )

મૌન કંઈ કેટલીય અલગ અલગ રીતે આપણા પર ખાબકે છે. કોઈ વાર ખૂણામાં ઘેરે છે. તો કોઈ વાર જાહેરમાં વ્હેરે છે. કોઈ વાર તો ગળા પર છરીની જેમ ગોઠવાઈ જાય છે. કવિ આવા કારમા મૌનથી વાત શરૂ કરે છે. પણ આગળ એ કવિતાને અલગ તરફ લઈ જાય છે. મૃત્યુ પછીના પ્રથમ અક્ષર જેવું એટલે કેવું ? મૃત્યુ પછીનો અક્ષર એટલે એવો સ્વર જે કોઈએ કદી સાંભળ્યો નથી ? કે પછી મૃત્યુ પછીનો ઉચ્ચાર એટલે નવજીવનની નિશાની ? જીવનભર દર્દ બનીને ઝળુબંતુ મૌન, મૃત્યુ પછી એક તૃપ્તિ બની જશે ?! … ને એ પછી રહેશે શું ? …. બસ, મૌન ! કવિતા એક ખાલીપાથી શરૂ થાય છે અને જાણે સંતોષનો ઓડકાર ખાઈને અટકે છે. અને મનને શાંતિનો, મૌનના ઔદાર્યનો, સંદેશ આપતી જાય છે.

કવિ ચેકોસ્લોવેકિયાથી છે. એમના વિષે વધુ માહિતી અહીં છે.

Comments (4)

પ્રેમરસ પાને તું – નરસિંહ મહેતા

પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર !
તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે;
દૂબળા ઢોરનું કુશકે મન ચળે,
ચતુરધા મુક્તિ તેઓ ન માગે. પ્રેમ0

પ્રેમની વાત પરીક્ષિત પ્રીછ્યો નહિ,
શુકજીએ સમજી રસ સંતાડ્યો;
જ્ઞાન વૈરાગ્ય કરી, ગ્રંથ પૂરો કર્યો;
મુક્તિનો માર્ગ સૂધો દેખાડ્યો. પ્રેમ0

મારીને  મુક્તિ આપી ઘણા દૈત્યને,
જ્ઞાની, વિજ્ઞાની, બહુ મુનિ રે જોગી;
પ્રેમને જોગ તો વ્રજતણી ગોપિકા,
અવર વિરલા કોઈ ભક્ત ભોગી. પ્રેમ0

પ્રેતને મુક્તિ તો પરમ વલ્લભ સદા,
હેતુના જીવ તે હેતુ તૂઠે;
જનમોજનમ લીલારસ ગાવતાં,
લહાણનાં વહાણ જેમ દ્વાર છૂટે.  પ્રેમ0

મેં  ગ્રહ્યો હાથ ગોપીનાથ ગરવા તણો,
વાત બીજી નવ લાગે મીઠી;
નરસૈંયો જાચે છે રીતિ-મતિ પ્રેમની,
જતિ સતીને તો  સપને ન આવે. પ્રેમ0

-નરસિંહ મહેતા

Comments (4)

ગૂજરાત મોરી મોરી રે – ઉમાશંકર જોશી

મળતાં મળી ગઈ મોંઘેરી ગૂજરાત
.             ગૂજરાત મોરી મોરી રે.
ભારતની ભોમમાં ઝાઝેરી ગૂજરાત
.             ગૂજરાત મોરી મોરી રે.

સાબરનાં મર્દાની સોણલાં સુણાવતી,
રેવાનાં અમરતની મર્મર ધવરાવતી,
સમદરનાં મોતીની છોળે નવરાવતી,
.             ગૂજરાત મોરી મોરી રે.

ગિરનારી ટૂકો ને ગઢ રે ઈડરિયા,
પાવાને ટોડલે મા’કાળી મૈયા,
ડગલે ને ડુંગરે ભર દેતી હૈયાં,
.             ગૂજરાત મોરી મોરી રે.

આંખની અમીમીટ ઊમટે ચરોતરે,
ચોરવાડ વાડીએ છાતી શી ઊભરે !
હૈયાનાં હીર પાઈ હેતભરી નીતરે,
.             ગૂજરાત મોરી મોરી રે.

કોયલ ને મોરને મેઘમીઠે બોલડે,
નમણી પનિહારીને ભીને અંબોડલે,
નીરતીર સારસ શાં સુખડૂબ્યાં જોડલે,
.             ગૂજરાત મોરી મોરી રે.

નર્મદની ગૂજરાત દોહ્યલી રે જીવવી,
ગાંધીની ગૂજરાત કપરી જીરવવી,
એક વાર ગાઈ કે કેમ કરી ભૂલવી ?
.             ગૂજરાત મોરી મોરી રે.

ભારતની ભોમમાં ઝાઝેરી ગૂજરાત
.             ગૂજરાત મોરી મોરી રે.
મળતાં મળી ગઈ મોંઘેરી ગૂજરાત
.             ગૂજરાત મોરી મોરી રે.

-ઉમાશંકર જોશી

આજે પહેલી મે, ગુજરાત સ્થાપના દિન નિમિત્તે લયસ્તરોના ભાવકમિત્રો માટે ઉમાશંકર જોશીનું આ લોકપ્રિય ગીત એની મૂળ જોડણી સાથે. ગુજરાત રાજ્ય તો મળી ગયું, હવે એને ટકાવી રાખવાનું છે આપણે. આપણું ગુજરાતીપણું અંગ્રેજીની લ્હાયમાં આવનાર પચાસ-સો વર્ષમાં લોપ ન થઈ જાય એની જવાબદારી આપણા  સૌના માથે છે. ગુજરાત સ્થાપના દિને અમારો આજ સંદેશો છે – “બનીએ હજી વધુ ગુજરાતી.”

Comments (7)